-
ફિલ્મી ગઝલો – ૫૨. ગોપાલસિંહ નેપાલી
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
ફિલ્મ સંગીત અને જુના ફિલ્મી ભજનોનો શોખીન ભાગ્યે જ કોઈ એવો હશે જેણે ફિલ્મ ‘ નરસી ભગત’ ૧૯૫૭ નું મન્નાડે, હેમંતકુમાર અને સુધા મલ્હોત્રાએ ગાયેલું ‘ દર્શન દો ઘનશ્યામ નાથ ‘ અને ‘ શિવ ભક્ત’ ૧૯૫૫ નું મોહમ્મદ રફી એ ગાયેલું ‘મુજે તો શિવ શંકર મિલ ગયે ‘ ન સાંભળ્યું હોય.
આ બંને ભજનોના કવિ હતા ગોપાલસિંહ નેપાલી. ફિલ્મ પ્રવેશ પહેલા જ તેઓ હિન્દી અને નેપાળી કવિતામાં ખાસી શોહરત હાંસલ કરી ચૂક્યા હતા. એમની આ પંક્તિઓ જુઓ :ઘર તો રખવાલોં ને લૂટા
મેરી દુલ્હન સી રાતોં કો,
નૌ લાખ સિતારોં ને લૂટા..
નેપાલી સાહેબે 60 થી વધુ ફિલ્મોમાં 400 થી યે વધુ ગીતો લખ્યા. આમાંની મોટા ભાગની ફિલ્મો ધાર્મિક, પૌરાણિક અને ઐતિહાસિક હતી જેમાં ગઝલોના સમાવેશ માટે અવકાશ ઓછો હતો . એમણે ગીતો લખ્યા એવી કેટલીક ફિલ્મોના નામ તુલસીદાસ, નાગ પંચમી, અનોખા પ્યાર, ગજરે, વામન અવતાર, માયા બાઝાર, પવનપુત્ર હનુમાન, રાજ દરબાર, તિલોતમા, સુદર્શન ચક્ર વગેરે.
એમની ગઝલો શોધવી મુશ્કેલ હતી પણ ‘ જિન ખોજા તિન પાઈયાં ‘ અનુસાર બે ગઝલ મળી જ ગઈ. પ્રસ્તુત છે :
રહ – રહ કે તેરા ધ્યાન રૂલાતા હૈ – ક્યા કરું
હર સિમ્ત મુજકો તુ નઝર આતા હૈ – ક્યા કરુંતેરી સમજ મેં ભી નહીં આતા હે મેરા હાલ
મેરી ઝૂબાં પે ભી નહીં આતા હૈ – ક્યા કરુંયે મુજકો ક્યા હુઆ હૈ મુજે ખુદ ખબર નહીં
હર વક્ત કોઈ યાદ હી આતા હૈ – ક્યા કરુંહૈરાં હું જબ ભી આંખ સે આંસુ ટપકતા હૈ
દિલ કી લગી કો ઔર બઢાતા હૈ – ક્યા કરું ..– ફિલ્મ: ગજરે ૧૯૪૮
– સુરૈયા
– અનિલ વિશ્વાસ
વો પૂછતે રહે હમ હાલે દિલ સુના ના સકે
જો બાત દિલ મેં થી અફસોસ લબ પે લા ન સકેમેરા શુમાર હૈ ઉન ઝખ્મિયોં મેં ઉલ્ફત કે
જો તીર ખાએ મગર ઝખ્મે દિલ દિખા ના સકેઅજબ ચિરાગ થા અરમાં કા આરઝૂ કા ચિરાગ
બુઝા તો ઐસે બૂઝા ફિર ઉસે જલા ન સકે..– ફિલ્મ: આપબીતી ૧૯૪૮
– રાજકુમારી દુબે
– હરિ ભાઈ
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
વાદ્યવિશેષ : (૧૨) – તંતુવાદ્યો (૮) : સંતૂર ભાગ (૨)
ફિલ્મી ગીતોમાં વિવિધ વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી
પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી
ગઈ કડીમાં આપણે જાણ્યું કે સંતૂરને વૈશ્વિક ફલક ઉપર લઈ જવામાં પંડીત શિવકુમાર શર્માનો અને તેમના શાસ્ત્રીય વાદનનો બહુ મોટો ફાળો રહ્યો છે. આ ઉપરાંત એક સંગીતકાર તરીકે અને એક વાદક તરીકે તેમણે ફિલ્મી સંગીતમાં પણ નોંધપાત્ર પ્રદાન કર્યું છે. સુખ્યાત વાંસળીવાદક પંડીત હરીપ્રસાદ ચૌરસીયા સાથે ‘શિવ-હરી’ નામે જોડી બનાવી, ફિલ્મોમાં સંગીતનિર્દેશન પણ કર્યું છે. આ જોડીના સંગીત વડે સજાયેલી ફિલ્મ ‘સિલસીલા’નાં ગીતો ખુબ જ લોકપ્રિય થયાં હતાં, એટલું જ લોકપ્રિય શિવકુમારે સંતૂર પર વગાડેલું તે ફિલ્મનું થીમસંગીત પણ થયું હતું. આજની કડીની શરૂઆતમાં તે માણીએ.
સંતૂરના સૂરનો પરિચય મેળવી લીધા પછી હવે કેટલાંક સંતૂરપ્રધાન ફિલ્મી ગીતો સાંભળીએ.
ફિલ્મ કાશ્મીર કી કલી(૧૯૬૪) નું સંગીત ઓ.પી.નૈયરે તૈયાર કર્યું હતું. તેના ગીત ‘ઈશારોં ઈશારોં મેં દિલ લેનેવાલે’માં સિતારની સાથેસાથે સંતૂરના પણ કર્ણપ્રિય અંશો છે,
https://www.youtube.com/watch?v=zNsNuCitZys
ફિલ્મ ખાનદાન(૧૯૬૫)નું સંતૂરના અંશોથી સભર ગીત ‘તુમ હી મેરે મંદીર’ સાંભળીએ. સ્વરનિયોજન રવિનું છે.
૧૯૬૫ના જ વર્ષમાં પ્રદર્શિત થયેલી ફિલ્મ મેરે સનમમાં ઓ.પી.નૈયરનું સંગીત હતું. આ ફિલ્મનાં ગીતોના વાદ્યવૃંદમાં નૈયરે સંતૂરનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કર્યો હતો. તે પૈકીનું એક ખુબ જ લોકપ્રિય ગીત ‘જાઈએ આપ કહાં જાઓગે’ સાંભળીએ.
ફિલ્મ સાવન કી ઘટા(૧૯૬૬)ના પ્રસ્તુત ગીત ‘આજ કોઈ પ્યાર સે દિલ કી બાતેં કહ ગયા’ના વાદ્યવૃંદમાં સિતારની સાથે સંતૂરના ટૂકડાઓ પણ કાને પડતા રહે છે. સંગીતનિર્દેશન ઓ.પી.નૈયરનું હતું.
https://www.youtube.com/watch?v=TLGeH9mWOD0
૧૯૬૬ના વર્ષમાં જ પરદા ઉપર આવેલી ફિલ્મ આયે દિન બહાર કેમાં લક્ષ્મીકાંત-પ્યારેલાલનું સંગીત હતું. આજે પણ તેનું એક ગીત ‘સુનો સજના પપીહે ને’ખુબ જ લોકપ્રિય બની રહ્યું છે. આ ગીત સાંભળતાં જ તેના વાદ્યવૃંદમાં વાગી રહેલા સંતૂરના અંશો પ્રભાવિત કરી જાય છે.
કલ્યાણજી- આણંદજીના સ્વરનિર્દેશનમાં તૈયાર થયેલા ફિલ્મ મેરે હમસફર(૧૯૬૬)ના ગીત ‘કિસી રાહ પે કિસી મોડ પર’ના વાદ્યવૃંદમાં સંતૂરનું પ્રાધાન્ય પરખાઈ આવે છે.
૧૯૬૬ના વર્ષની જ એક વધુ ફિલ્મ પતિ-પત્નીનું ગીત ‘કજરે બદરવા’ માણીએ. સંગીતનિર્દેશક રાહુલદેવ બર્મને આ ગીતના વાદ્યવૃંદમાં સંતૂરનો ભરપૂર ઉપયોગ કર્યો છે.
ફિલ્મ બહારેં ફીર ભી આયેગી(૧૯૬૬)નું સંગીત ઓ.પી,નૈયરે તૈયાર કર્યું હતું. તેના ગીત ‘કોઈ કહે દે જમાને સે જા કે’માં સંતૂરના કર્ણપ્રિય અંશો સંભળાતા રહે છે.
https://www.youtube.com/watch?v=UEnUmsb3qt0
૧૯૭૨ની ફિલ્મ મેરે જીવનસાથીની સફળતામાં રાહુલદેવ બર્મનના નિર્દેશનમાં બનેલાં ગીતોનું મોટું પ્રદાન હતું. આ ફિલ્મના ગીત ‘ઓ મેરે દિલ કે ચૈન’માં પહેલા અને બીજા અંતરા વચ્ચેના ઈન્ટરલ્યુડમાં સંતૂરના યાદગાર અંશો સાંભળવા મળે છે. અહીં સંતૂરનો સાવ અલગ પ્રકારે ઉપયોગ થયેલો છે.
https://www.youtube.com/watch?v=FFbc-jXkADs
૧૯૭૩ના વર્ષમાં પ્રદર્શિત થયેલી ફિલ્મ પ્રેમ પર્બતના ગીત ‘યે દિલ ઔર ઉન કી નિગાહોં કે સાયે’ના વાદ્યવૃંદમાં સંતૂર અને વાંસળીના સ્વરો એકબીજાને પૂરક હોય તેમ સજાવાયા છે. સંગીતનિર્દેશન જયદેવનું છે.
ઐતિહાસિક પશ્ચાદભૂ ધરાવતી ફિલ્મ રઝીયા સુલતાન(૧૯૮૩)નાં ગીતો તૈયાર કરતી વખતે સંગીતકાર ખય્યામે જે તે કાળખંડને ધ્યાનમાં રાખ્યો હતો. આ ફિલ્મના ગીત ‘એ દિલ એ નાદાં’ના વાદ્યવૃંદમાં સંતૂરનો વ્યાપક ઉપયોગ જણાઈ આવે છે.
આજની કડીમાં આટલું જ. હવે પછીના હપ્તામાં નવા વાદ્ય સાથે મળીશું.
નોંધ :
૧) તસવીર નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.
૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય છે.
૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.
સંપર્ક સૂત્રો :
શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com -
મુજરા ગીતો : इन आँखों से वाबस्ता अफ़साने हज़ारों हैं
નિરંજન મહેતા
આ શ્રેણીનો આ ત્રીજો અને અંતિમ ભાગ છે જેમાં ૧૯૭૮ પછીના સાંપડેલા મુજરા ગીતોનો સમાવેશ કર્યો છે.
૧૯૭૮ની ફિલ્મ ‘મુકદ્દર કા સિકંદર’નુ મુજરા ગીત અત્યંત પ્રચલિત મુજરા ગીત છે.
इश्क़ वालों से न पूंछो कि उनकी रात का आलम तनहा कैसे गुज़रता है
जुदा हो हमसफ़र जिसका वो उसको याद करता है
……….
तुम हमसे प्यार करने की ज़रा सी भूल कर लो
मेरा दिल बेचैन मेरा दिल बेचैन है हमसफ़र के लियेરેખા અને અમિતાભ બચ્ચન પર રચાયેલ આ મુજરા ગીતના રચયિતા છે અનજાન જેને સંગીત આપ્યું છે કલ્યાણજી આણંદજીએ. ગાનાર કલાકારો છે કિશોરકુમાર અને લતાજી.
૧૯૭૯ની ફિલ્મ ‘સુહાગ’નુ આ મુજરા ગીત પણ રેખા અને અમિતાભ બચ્ચન પર રચાયું છે.
आज इम्तेहान है, इम्तेहान है
आज इम्तेहान है
आज की रात तू मेरा मेहमान है
आज इम्तेहान हैગીતના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનુ. ફરી એકવાર કિશોરકુમાર અને લતાજી ગાયકો.
૧૯૮૧ની ફિલ્મ ‘ઉમરાવ જાન’ તવાયફની વાત કરતી હોય તો તેમાં એક કરતાં વધુ મુજરા ગીતો હોવાના. પ્રથમ મુજરા ગીત છે
इन आँखों की मस्ती के मस्ताने हज़ारों हैं
इन आँखों से वाबस्ता अफ़साने हज़ारों हैं
બીજું મુજરા ગીત છે
दिल चीज़ क्या है आप मिरी जान लीजिए
बस एक बार मेरा कहा मान लीजिएત્રીજું મુજરા ગીત છે
ये क्या जगह है दोस्तो ये कौन सा दयार है
हद-ए-निगाह तक जहाँ ग़ुबार ही ग़ुबार हैત્રણેય મુજરાના કલાકાર છે રેખા. ગીતના શબ્દો છે શહરિયારના અને સંગીત આપ્યું છે ખય્યામે. ગાયિકા આશા ભોસલે
૧૯૮૨ની ફિલ્મ ‘ધરમ કાંટા’નુ મુજરા ગીત જોઈએ.
जालीम तेरा जहा की हर रसम छोड़ दी है
………….
के घुँघरू टूट गयेમુજરા કલાકાર છે સુલક્ષણા પંડિત જે અમજદ ખાન આગળ મુજરો કરે છે. મજરૂહ સુલતાનપુરીના શબ્દોને સંગીત આપ્યું છે નૌશાદે. ગાયિકા આશા ભોસલે. के घुँघरू टूट गये પર ઘણા ગીતો જોઈ શકાશે.
૧૯૮૫ની ફિલ્મ ‘રામ તેરી ગંગા મૈલી’નુ આ મુજરા ગીત રાજીવ કપૂરની એક વખતની પ્રેમિકા તેના લગ્ન સમારંભમાં ગાય છે.
एक राधा, एक मीरा दोनों ने श्याम को चाहा
अंतर क्या दोनों की चाह में बोलो
अंतर क्या दोनों की चाह में बोलो
एक प्रेम दीवानी, एक दरस दीवानीમંદાકિની આ ગીતના કલાકાર છે. ગીત અને સંગીત રવીન્દ્ર જૈનના અને ગાયિકા લતાજી
https://youtu.be/RC9LZWbhXGE?si=Ni_-HTBl5L8oVkVH
૧૯૮૭ની ફિલ્મ ‘માબેટી’નુ આ મુજરા ગીત મીનાક્ષી શેષાદ્રીની વ્યથાને વર્ણવે છે
मुझको सड़को से कोठे पे पहुँचा दिया
शुक्रिया आपके प्यार का शुक्रिया
ગીતના શબ્દો છે અનજાનના અને સંગીત આપ્યું છે આનંદ મિલિંદે. સ્વર છે અનુરાધા પૌડવાલનો.
૧૯૮૯ની ફિલ્મ ‘મેરી લલકાર’નુ મુજરા ગીત છે
बादल के भेष आँखों को तुम बहका नहीं सकते
जो धोका देनेवाले है वो धोका खा नहीं सकतेકલાકાર હ્યુમા ખાન(?). શબ્દો સનમ ગાઝીપુરીના અને સંગીત વિજય બતાલવીનુ. ગાનાર કલાકારો છે દિલરાજ કૌર અને સુદેશ ભોસલે
૧૯૮૯ની ફિલ્મ ‘રામ લખન’નુ આ ગીત હજી પણ પ્રચલિત છે.
ओ राम जी बड़ा दुःख दीना
तेरे लखन ने बड़ा दुःख दीनासुद-बूद बिसराई, मेरी नींद चुराईमेरा मुश्किल कर दिया जीनाમાધુરી દિક્ષિત આ મુજરાના કલાકાર છે જેના શબ્દો છે આનંદ બક્ષીનાં અને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે લતાજી ગીતના ગાયિકા.
૧૯૮૯ની ફિલ્મના નામમાં જ તવાયફ શબ્દ છે એટલે મુજરા નૃત્ય હોવાનું. ફિલ્મ છે ‘પતિ પત્ની ઔર તવાયફ’
कहाँ मैं कहाँ हैं पता तेरा
इज़ाज़त अगर हो तो करलु सलाम
मुझे लोग कहते हैं कदमों की धूलસલમા આગા આ મુજરા ગીતના કલાકાર છે. આનદ બક્ષીના શબ્દો અને લક્ષ્મીકાંત પ્યારેલાલનુ સંગીત. ગાયિકા છે સલમા આગા
૧૯૯૪ની ફિલ્મ ‘જય વિક્રાંતા’નુ મુજરા ગીત છે
शमा रोशन हुयी महफ़िल में नया नूर आया
आपके जैसा कोई पहले न हज़ूर आयाप्यार इक़रार मेरे यार हो गया
ઝેબા બખ્તિયાર સંજય દત્ત સામે આ મુજરો કરે છે. શબ્દો છે સમીરનાં અને સંગીત આપ્યું છે આનંદ મિલિંદે. કુમાર સાનુ અને અલકા યાજ્ઞિક ગીતના ગાયકો.
૨૦૦૨ની ફિલ્મ ‘દેવદાસ’નુ આ મુજરા ગીત આટલા સમય બાદ પણ તરોતાજા છે.
यह किसकी है आहाट
यह किसका है साया
हुई दिल मे दस्तकयहा कौन आया
हम पे यह किसने हरा रंग डाला
ख़ुशी ने हमारी हमे मार डाला ओह मार डाला
मार डाला हा मार डालाશાહરૂખ ખાન અને ઐશ્વર્યા રાય આ ગીતના કલાકારો. શબ્દો છે નસરત બદરના અને સંગીત આપ્યું છે ઈસ્માઈલ દરબારે. સ્વર છે કવિતા ક્રિશ્નામૂર્તિ અને કે.કે.ના
૨૦૦૫ની ફિલ્મ ‘મંગલ પાંડેનુ મુજરા ગીત છે
हर एक बात हैं जैसे
मीठी करारी
तुम्हारी अदाओं पे मैं वारी वारीરાની મુકરજી પર રચાયેલ આ મુજરા ગીતના શબ્દો છે જાવેદ અખ્તરના. સંગીત આપ્યું છે એ.આર. રેહમાને અને ગાયિકાઓ છે કવિતા ક્રિશ્નામૂર્તિ અને રીના ભારદ્વાજ.
૨૦૦૫ની ફિલ્મ ‘ક્રિશ્ના’નુ ગીત જોઈએ.
खूब पर्दा है के चिलमन से लगे बैठे है
साफ़ छुपाते भी नहीं सामने आते भी नहींસુસ્મિતા સેન અને વિવેક ઓબેરોય આ ગીતના કલાકારો છે. શબ્દો છે જાવેદ અખ્તરના અને સંગીત છે ઈસ્માઈલ દરબારનુ. ગાયકો એક કરતાં વધુ
૨૦૧૨ની ફિલ્મ ‘એજન્ટ વિનોદ’ માં પણ એક મુજરા ગીત છે.
फेंके नज़र के सिक्के उसने लगे के नइ हु मै
उसने जो छू लिया तो हाये लगे के नइ हु मैગીત રચાયું છે કરીના કપૂર અને સૈફ અલીખાન પર. ગીતના શબ્દો છે નીલેશ મિશ્રના અને સંગીત છે પ્રિતમનુ. આ ગીતમાં પણ ગાયકો એક કરતાં વધુ છે.
Niranjan Mehta
A/602, Ashoknagar(old),Vaziranaka, L.T. Road,Borivali(West),Mumbai 400091Tel. 28339258/9819018295વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com -
બાળ ગગન વિહાર – મણકો – ૩૬ : વાત અમારા રાફાએલની
શૈલા મુન્શા
પુરી એક અંધેરી ને ગંડુ રાજા,
ટકે શેર ભાજી, ટકે શેર ખાજાં!
-દલપતરામ
કવિ દલપતરામની આ પંક્તિ મને ખાસ એટલે યાદ આવી કે અમારો રાફાએલ પણ કોઈ રાજાથી ઓછો નહોતો. ફળ હોય કે નાસ્તો કે પછી આઈસક્રીમ બધું એને માટે એક સરખું.
રાફાએલ એક મેક્સિકન બાળક. જોકે બધા સ્પેનિશ બોલતાં માણસો આપણને મેક્સિકન લાગે, પણ કેટલાય જુદા જુદા દેશની એ પ્રજા. કોઈ પેરુ, તો કોઈ કોલમ્બિયા. કોઈ વળી ગ્વાટેમાલા તો કોઈ પોર્ટરિકો તો કોઈ ક્યુબાના. ભલે બધા સ્પેનિશ બોલતા હોય પણ લઢણ જુદી, ચામડીનો રંગ જુદો અને ચડતા ઉતરતા નો જાત તફાવત પણ ખરો.
રાફાએલ જ્યારે છ વર્ષનો થયો ત્યારનો એક પ્રસંગ યાદ કરતાં આજે પણ મારા ચહેરા પર મુસ્કાન આવી જાય છે. તે દિવસે એની વર્ષગાંઠ હતી. જ્યારે પહેલીવાર રાફાએલને જોયો અને ત્યારે એ ત્રણ વર્ષનો હતો.
ત્રણ વર્ષનો રાફાએલ રૂપાળો એટલો લાગતો કે કોઈ માને નહિ કે આ બાળક સ્પેનિશ હશે! એની બહેન પણ અમારી જ સ્કુલમાં ભણતી, ખૂબ હોશિયાર અને ડાહી.
જ્યારે રાફાએલ સ્કુલમાં આવ્યો ત્યારે કાંઈ બોલે નહિ, નાક ગળતું અને છી છી પી પીનું ભાન નહિ. પપ્પા એમના ખભે બેસાડી સ્કૂલમાં લઈ આવે. થોડા દિવસ તો એમ ચાલ્યું પછી પપ્પાને સમજાવ્યા કે રાફાએલ હવે સ્કૂલમાં આવે છે, એને સ્કુલના નિયમો પાળતા શીખવાડવું પડે. કદાચ રડે પણ ટેવાઈ જશે.
દીકરાની ભલાઈ પપ્પાને જલ્દી સમજાઈ ગઈ, અને સ્કૂલના દરવાજે હું કે મીસ લોરા જે ફરજ પર હોય તેમના હાથમાં રાફાએલને સોંપી એ નીકળી જતા. દિવ્યાંગ બાળકોમાં પણ આવડત તો હોય જ છે અને ધીરજપુર્વક કામ લેવામા આવે તો એમની પ્રગતિ પણ ચોક્કસ દેખાય જ છે.
ત્રણ વર્ષમાં રાફાએલની પ્રગતિ જોઈને બધા નવાઈ પામી ગયા હતા. લોરા કરીને એક ટીચર સાથે ત્યારે હું કામ કરતી હતી. બે વર્ષ પછી લોરા બીજી સ્કુલમાં ગઈ, પણ જો એ રાફાએલને ત્રણ વર્ષ પછી મળતે તો માની જ ના શકત કે જે રાફાએલ ક્લાસમાંથી ભાગી જતો અને કાંઈ ન બોલતો તે આટલો હોશિયાર થઈ ગયો. રાફાએલને સંગીત બહુ ગમતું. બધા ગીત એને આવડતા અને ડાન્સનો તો એટલો શોખ કે સામે સ્માર્ટ બોર્ડ પર ચાલતા ગીત પ્રમાણે હાથ પગ ઉછાળી નાચવા મંડી જતો.
બપોરના ઊંઘમાંથી ઉઠ્યા પછી બાળકોને નાસ્તો આપવામાં આવતો અને મીસ મેરી એને કહે કે જા જઈને રેફ્રિજરેટરમાંથી જ્યુસ લઈ આવ તો બરાબર જેટલા બાળકો હોય એ પ્રમાણે ગણીને લઈ આવતો. કોમ્પ્યુટર પર એ, બી, સીની રમત અને સંગીત સાંભળવું એને ખૂબ ગમતું. આખી સ્કૂલ એને ઓળખતી. કાફેટેરિઆમાં જમવા જઈએ, મેદાન પર રમવા જઈએ, જ્યાં જઈએ ત્યાં જે સામે મળે એને એવા લહેકાથી હાય કહેતો કે સામી વ્યક્તિ એને વહાલ કર્યા સિવાય રહી જ ના શકે.
રાફાએલ જ્યારે છ વર્ષનો થયો એટલે એને સમજ પડતી કે એની વર્ષગાંઠ ક્યારે આવે છે. મને બરાબર યાદ છે કે આગલા દિવસથી જ રાફાએલ જે સામે મળે એને કહેતો “tomorrow my birthday” એટલે બીજે દિવસે સવારથી જે સામે મળે એ બધા એને વર્ષગાંઠની શુભેચ્છા આપવા માંડ્યા. રાફાએલની ખુશીનો તો પાર નહોતો. એની વર્ષગાંઠની ઉજવણી અમે બધાએ નાસ્તાના સમયે કપકેક અને આઈસક્રીમ ખાઈને કરી. ક્લાસના બાળકોએ અમારી સાથે મળી રાફાએલ માટે સરસ મજાનું વર્ષગાંઠનું કાર્ડ બનાવ્યું
અમેરિકામાં બાળકોને સ્કૂલ તરફથી તરફથી નાસ્તો અને જમવાનું મળતું હોય, નાસ્તો તો બધાને મફત હોય પણ જમવાના પૈસા આવક પ્રમાણે આપવાના હોય. મોટાભાગનાં બાળકો સફરજન કે સંતરા વગેરે ફળ ખાય નહિ એટલે અમે એ ફળ એમની બેગમાં ઘરે મોકલી આપતા. રાફાએલને પણ એવી ટેવ કે રોજ એના ભાગનું સંતરૂં કે સફરજન જઈને પોતાના દફતરમાં મુકી આવતો.
મજાની વાત હવે આવે છે.
રાફાએલે કેક તો ખાધી પણ એને આઈસક્રીમ ખાવો નહોતો એટલે જઈને આદત મુજબ પોતાની બેગમાં મુકી દીધો હતો. (ટકે શેર ભાજી ને ટકે શેર ખાજાં)
ઘરે જવાનો સમય થયો એટલે મીસ મેરી રાફએલનું કાર્ડ એની બેગમાં મુકવા ગઈ પણ એને હાથમાં કાંઈ ચીકણુ લાગ્યું. બેગ ખોલીને જોયું તો આઈસક્રીમ પીગળવા માંડ્યો હતો!
આખા દિવસની મજા પછી જતાં જતાં રાફાએલભાઈનો દિવસ બગડી ગયો, મીસ મેરીએ ચીસ પાડી રાફાએલલલલલ……..
આજે પણ જ્યારે આ પ્રસંગ અને રાફાએલનો ચહેરો યાદ આવે છે ત્યારે મારા ચહેરા પર હાસ્ય છલકી ઉઠે છે, કારણ એ નિર્દોષ બાળકને તો ખબર પણ નહોતી કે સફરજન અને આઈસક્રીમમાં ફરક હોય છે અને આઈસક્રીમ એમ જ બેગમાં મુકી ના દેવાય.
નવાઈભર્યો રાફાએલનો ચહેરો મારા માનસપટ પર જડાઈ ગયો છે. આવા નિર્દોષ મસ્તીભર્યાં એ દિવસો મારા જીવનની અમૂલ્ય મુડી છે. ઈશ્વર રાફાએલ અને એના જેવા સર્વે બાળકોની એ નિર્દોષતા કાયમ જીવંત રાખે.
અસ્તુ,
સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::
ઈ-મેલ: smunshaw22@yahoo.co.in
બ્લૉગ: www.smunshaw.wordpress.com -
ભૂતમ શરણમ ગચ્છામિ
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
ફિલ્મોના વિવિધ પ્રકાર પૈકીનો એક છે ‘હોરર’ ફિલ્મોનો, જેનો એક આગવો ચાહક વર્ગ છે. ‘હોરર’નો સાદો અર્થ થાય ભય, આંતક, દહેશત વગેરે..ફિલ્મોના આ પ્રકારમાં સામાન્ય રીતે અલૌકિક તત્ત્વ અને તેના થકી ઊભી થતી દહેશત કેન્દ્રસ્થાને હોય છે. સાદી ભાષામાં તેને ‘ભૂતિયા’ કહી શકાય. વાર્તાસાહિત્યમાં પણ આ પ્રકાર ચલણી છે, જે ખરેખર તો ફિલ્મોથી વહેલો અસ્તિત્વમાં આવ્યો. ‘ડ્રેક્યુલા’, ‘ફ્રેન્કેન્સ્ટાઈન’ જેવાં પાત્રો ‘હોરરકથા’નાં અતિ જાણીતાં કહી શકાય. ફિલ્મોમાં ‘ધ એક્ઝોરસિસ્ટ’, ‘ધ એન્ટિટી’, ‘પોલ્ટરગેસ્ટ’, ‘ઈવિલ ડેડ’, ‘ધ કોન્જ્યુરિંગ’ જેવી અંગ્રેજી સહિત અનેક અન્યભાષી ફિલ્મો આ શ્રેણીમાં સ્થાન પામે છે. આવી કથાઓ વાંચનારો અને ફિલ્મો જોનારો જુદો જ વર્ગ છે, જે તેને બરાબર માણે છે. ઘણા વાચકો કે દર્શકો કબૂલે છે કે આવી કથાઓ વાંચતાં કે ફિલ્મો જોતાં તેઓ રીતસર ડરી જાય છે, ફફડી ઉઠે છે, અને લાંબા સમય સુધી તેઓ તેની અસરમાં રહે છે. છતાં તેઓ આ પ્રકારનો આનંદ લેતા રહે છે. રહસ્યરંગી સાહિત્યને ઘણા સમય સુધી ‘સાહિત્ય’નો દરજ્જો નહોતો મળ્યો. તો ‘હોરર’નો પ્રકાર તેનાથી પણ નીચલા દરજ્જે બિરાજે છે એમ કહી શકાય.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી આવા માહોલમાં પુસ્તકવિક્રયની વિગતો એકઠી કરતી ઈન્ગ્લેન્ડસ્થિત કંપની ‘નિલ્સન બુકસ્કેન’ દ્વારા બહાર પડાયેલા વેચાણના આંકડા આશ્ચર્યજનક છે. એ મુજબ વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન હોરર કથાઓનાં પુસ્તકોના વેચાણમાં ૫૪ ટકા જેટલો અધધ કહી શકાય એટલો ઊછાળો નોંધાયો છે. કુલ ૭.૭ મિલીયન યુરો એટલે કે આશરે ૬૮ કરોડ રૂપિયાની કિંમતનાં આવાં પુસ્તકો આ અરસામાં વેચાયાં છે. વર્તમાન વર્ષ એટલે કે ૨૦૨૪ના પ્રથમ ત્રણ મહિનામાં પણ વેચાણ અગાઉના વર્ષ કરતાં ૩૪ ટકા ઊંચું રહ્યું છે. આ પરિણામ નવાઈ પમાડે એવું છે. એટલે સ્વાભાવિકપણે જ તેના કારણોમાં ઊંડા ઊતરવાની કવાયત ચાલી.
એક કારણ કે તારણ એ મળ્યું કે આ સમયગાળો વિશ્વભરમાં સામાજિક અને રાજકીય અસ્થિરતાનો બની રહ્યો. યુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ, ઈઝરાયલના પેલેસ્ટાઈન પર હુમલા, મહામારીનો ઝળૂંબી રહેલો ઓથાર, આર્થિક અનિશ્ચિતતા, આત્યંતિક હવામાનની વિપરીત અસરો વગેરે આના માટે જવાબદાર હોવાનું મનાય છે. એ શી રીતે?
આવી કથાઓના લેખક અને પ્રકાશક માને છે કે આમ થવાનું એક કારણ એ છે કે આ કથાપ્રકાર રાજકીય પણ છે. થોડા સમય પહેલાં જ પ્રકાશિત થયેલી ‘ધ હન્ગરી ડાર્ક’ નવલકથાનાં બ્રિટીશ લેખિકા જેન વિલીયમ્સના જણાવ્યા અનુસાર, ‘વૈશ્વિક ઘટનાઓની સમાંતરે હોરર સાહિત્યના વેચાણમાં સતત વધઘટ થતી રહે છે. વાસ્તવિક જીવનની ભયાવહતા સામે તે આભાસી, વધુ ડરામણું, છતાં આનંદ આપતું પ્રતિબિંબ દેખાડે છે. યુદ્ધ, મહામારી, હવામાન પરિવર્તન જેવી ઘટનાઓના ચિંતાજનક કાળમાં આપણે જીવી રહ્યા છીએ ત્યારે એ જોવું રસપ્રદ બની રહે છે કે હોરર કથા ફરી પાછી ચલણમાં આવી રહી છે અને વધુ લોકો સુધી પહોંચી રહી છે.’
‘એટલાન્ટિક બુક્સ’નાં એક સંપાદિકા જોઆના લીના જણાવ્યા અનુસાર હોરર કથાનો પ્રકાર ‘અનિવાર્યપણે રાજકીય’ છે. ‘બરો પ્રેસ’નાં એડિટર-એટ-લાર્જ કહે છે કે નિષ્ણાતો માને છે કે કઠિન સમયમાં વાચકો આનંદદાયક વિષયો વાંચવાનું પસંદ કરે છે, પણ આ પ્રવાહ એથી વિરુદ્ધનો છે. વાચકો કદાચ એમ માનીને એ તરફ દોરાતા હશે કે, ‘આનાથી પણ બદતર પરિસ્થિતિ હોઈ શકે. હું બદલો લેનારી આત્માઓના હુમલાનો ભોગ બની શકું.’ .
ઘણાં નવાં હોરર પુસ્તકોમાં નારીવાદનું ચિત્રણ ગાઢ રીતે થયેલું જોવા મળે છે. એ ઉપરાંત (સંબંધોમાં) સંમતિ, માતૃત્વ, ઉલ્લંઘન દર્શાવતી હોરર કથાઓ અતિશય લોકપ્રિય છે. મહિલાઓનો ક્રોધાવેશ અને લાંબા સમયથી દાબી રાખેલાનો સ્ફોટ થાય ત્યારે સર્જાતી પરિસ્થિતિ જેવી બાબતો આ કથાપ્રકારમાં એકદમ બંધબેસે છે.
આગામી જૂનમાં પ્રકાશ્ય ‘ફ્રીકસ્લો’ નામની નવલકથાનાં લેખિકા જેન ફ્લેટના જણાવ્યા મુજબ હોરર પુસ્તકમાં ઉછાળો આવવાનું કારણ તાજેતરનાં વરસોમાં આપણે અનુભવેલી આઘાતજનક ઘટનાઓની પ્રતિક્રિયા છે. ચોમેર બોઝિલ વાતાવરણ હોય ત્યારે અંધારાને લપેટાઈ જવામાં એક આભાસી રાહત મળે છે. તેમણે એમ પણ કહ્યું કે તેમના ખુદના માટે આવી ભયાવહ કથાઓ એક એવો અવકાશ પૂરો પાડે છે, જેમાં તેઓ તાકાત અને તાકાતવિહીનતા એમ બન્ને પરિબળો સાથે રમી શકે છે. આપણી પાસેથી આપણું ચેન હરી લેવા તત્પર હોય એવા જગતમાં આવી અનુભૂતિ અતિશય ભાવશામક બની રહે છે.
જરા વિચિત્ર લાગે પણ એ હકીકત છે કે ઘણી વાર જગતમાં બનતી ઘટનાઓ સમાચાર થકી જાણવા મળે એના કરતાં આવી પરોક્ષ રીતે જાણવા મળે ત્યારે તેની તીવ્રતા વધુ ગંભીરતાથી અને યોગ્ય પ્રમાણમાં ધ્યાને આવે છે. આવું જ અન્ય એક માધ્યમ છે રાજકીય કાર્ટૂન.
પોતપોતાના પ્રદેશમાં અને એ રીતે સમસ્ત વિશ્વમાં બની રહેલી અરાજકતાભરી ઘટનાઓમાં નાગરિકોના ભાગે તેને વેઠવા કે સાક્ષી બનવા સિવાય ભાગ્યે જ કશું કરવાનું આવે છે. શાસકો પોતાનો ધર્મ ચૂકે, પણ નાગરિકોએ નાગરિકધર્મનું પાલન કર્યે રાખવું એવી અપેક્ષા સેવવામાં આવે છે. પોતે જ પસંદ કરેલા શાસકને તગેડી મૂકવાનો વિકલ્પ સામાન્ય સંજોગોમાં એટલો હાથવગો નથી હોતો, કેમ કે, એ જોગવાઈ શાસકે પોતાના પક્ષે આગોતરી કરી લીધી હોય એ શક્યતા વધુ હોય છે.
વાસ્તવ જીવનની કપરી પરિસ્થિતિ કરતાંય બદતર પરિસ્થિતિ હોઈ શકે એ ધારણાથી પ્રેરાઈને લોકો હોરર પુસ્તકોના વાંચન તરફ વળે એ જ સૂચવે છે કે વિશ્વભરમાં અશાંતિ અને અરાજકતા આપણે કાને કે આંખે ચડે છે એથી અનેકગણી વધુ પ્રમાણમાં વ્યાપ્ત છે.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૬ – ૦૫ – ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
ધ્રુવ ભટ્ટની નવલકથાઓ પર સ્વ- અનુભૂતિની લેખશ્રેણી :સંસ્પર્શ : પ્રવેશ પરિચય
આ મહિનેથી દર ચોથા ગુરુવારે આપણે સુશ્રી જિગીષા પટેલની લેખશ્રેણી ‘સંસ્પર્શ’ શરૂ કરી રહ્યાં છીએ.એ પ્રસંગે સુશ્રી જિગીષા પટેલનો હાર્દિક આભાર માનવાની સાથે વેબ ગુર્જરી મંચ પર તેમનું સહર્ષ સ્વાગત કરીએ છીએ.સુશ્રી જિગીષાબેન પટેલનો સંપર્ક dilipjigisha@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.સંપાદક મંડળ – વેબ ગુર્જરી
‘સંસ્પર્શ’ લેખશ્રેણીની પ્રસ્તાવના/ જિગીષા દિલીપમિત્રો,
લ્યો, હું તો આવી ગઈ, તમારી સાથે વાતો કરવા, મારા વહાલા અને સૌને ગમતા ધ્રુવદાદા એટલે કે સન્માનીય શ્રી ધ્રુવ ભટ્ટ લઈને. ધ્રુવદાદા એટલે એક એવું સરળ, સહજ અને પરાણે વહાલું લાગે તેવું વ્યક્તિત્વ. ન કોઈ દેખાડો, ન કોઈ ઔપચારિકતા કે મોટાઈ. પોતાની જાતને, આખી દુનિયાને અને સમગ્ર પ્રકૃતિને મબલક પ્રેમ કરતું વ્યક્તિત્વ. તમે એમનું કોઈ પણ પુસ્તક કે ગીત વાંચો એટલે અંદરથી ને બહારથી ભર્યાભર્યા થઈ જાઓ. ભીતર છલકાઈ જાય. એ સંસ્પર્શથી જાણે પુલકિત થઈ જવાય, સમગ્ર દૃષ્ટિ અને સૃષ્ટિ બદલાઈ જાય.
એક મુલાકાત અંગે ધ્રુવદાદા સાથે વાતચીત કરવાનું બન્યું. તેમના એકદમ સાદા અને સહજ જીવન અંગે, તેમના પુસ્તક વિશે તેમજ તેમનાં ધ્રુવગીતો વિશે અવનવી વાતો જાણવા મળી. એમણે જે પુસ્તક કે કે ગીત લખ્યાં તે લખવાની પ્રેરણા તેમને કેવી રીતે મળી, તે પુસ્તક લખવા તેમણે કેટલો અને કેવો પ્રવાસ કર્યો,
એ બધી વાતો સાવ અલગ અને ખૂબ જ રસપ્રદ હતી. એ સમયગાળા દરમ્યાન જ તેમનાં પુસ્તક પરથી બનેલ ‘રેવા’ એવોર્ડ વિનીંગ ફિલ્મ જોવાનું બન્યું. ગીતા અને ઉપનિષદને ખાલી વાંચવાનાં નહીં પણ તે વિચારોને જીવનમાં ઉતારી તે મુજબ જીવવા પ્રયત્નશીલ બનવાનાં તેમના વિચારો , તેમજ નારી શક્તિને ઉજાગર કરવા, પોતાના રોજબરોજનાં જીવનમાં તેમજ તેમનાં પુસ્તકમાં સ્ત્રી પાત્રોને અદકેરું સ્થાન આપી પોતાના વિચારોની સુંદર રજૂઆત કરનાર ધ્રુવદાદાનાં પુસ્તકો મારાં મનને સ્પર્શી ગયાં, તેમની સાવ અભણ અને સાવ નાનામાં નાના માણસની વાતમાંથી મળતા મોટા ઉપદેશ શોધી તેની મહત્તા સમજી, સમજાવવાની વાત ખૂબ ઊંડી જીવનદૃષ્ટિ માંગી લે છે.
તેમની સાથે વાત કરતાં મને માણસની ‘જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ’નો અર્થ સમજાયો એટલે તેનો સંસ્પર્શ વાચકો સુધી પહોંચાડવાનું મને મન થયું. એમના પુસ્તકોને એક નવલકથાની જેમ વાંચી ન જવાય. તેનાં એકએક શબ્દને આલિંગન આપવું પડે, એકએક પાનાંને વાંચીને વાગોળવું પડે, કારણ તે વિચારો માત્ર સમકાલીન નહીં, દીર્ઘકાલીન, સમયાતીતકાલીન છે. તે વિચારોને તમારી ભીતર રોપવા પડે અને રોપશો તો તમે પણ નિજાનંદનો અનુભવ કરશો. કંઈક નવું જ પામશો. ધ્રુવદાદા તેમનાં લખેલ ગીતો માટે જરા પણ પઝેસિવ નથી એટલે ગીતો લખીને તે ગીતને લોકો સુધી પહોંચાડ્યાં પછી તેને” ગાય તેના ગીત “ તેવું નામ આપી સૌને તે ગીતો ગાઈને પોતાના બનાવવાનું આહ્વાહન આપે છે. તેમનાં પુસ્તકોમાં અને ગીતોમાં સંદેશ વગર આધ્યાત્મિકતાનું મૌન સૂચન છે.
તેમના પુસ્તકો વાંચી માણસ માત્ર તો શું, પશુ, પંખી, આકાશ, ધરતી, સાગર, અગ્નિ, વાયુ, સમગ્ર કાયનાત સાથે તમે વાતો કરતાં, પ્રેમ કરતાં થઈ જાઓ. તમે તમારામાં મસ્ત બની ગાવા લાગો. ઝૂવા લાગો. દુન્યવી કષાયોને ભૂલી નિજાનંદમાં ખોવાઈ જાવ.
જરા, આ બે કડી સાંભળીએ…
“એમ તમે બોલ્યા કે આવ્યા તે ‘આ’ ભૈ ને હું જ મને ઓળખતો નૈં
ચાલો આ એનાં ખાધા સોગંદ કહો જાત અમે ક્યાં ખોળી ભૈ.”તો ચાલો મિત્રો, આવતાં અંકથી શરૂ કરીશું આપણી ‘સંસ્પર્શ યાત્રા’ જાણીતા અને સૌનાં માનીતા કવિ અને લેખક શ્રી ધ્રુવ ભટ્ટનાં જુદાંજુદાં પુસ્તકોની અને ધ્રુવગીતોની વાતો થકી.
જિગીષા દિલીપ
જિગીષા પટેલ
પરિચયઃ
જન્મઃ અમદાવાદ, હાલ નિવાસ કેલિફોર્નિયા.
દિવ્યભાસ્કર ન્યુઝપેપરની કેલિફોર્નિયાની બ્યુરોચીફ અને કોમ્યુનિટી એમ્બેસેડર તરીકે પત્રકારત્વ સંભાળ્યું છે. સાથેસાથે કેટલાંય મુદ્રિત અને ડિજિટલ માધ્યમો પર ૫૧ વાર્તા, કવિતા, બાળકો માટે જુદીજુદી હોબી જેવા વિષયો પર આર્ટિકલ લખ્યા છે.
”કબીરો” મારો અલગારી ફકીર પુસ્તક પણ પ્રકાશિત કર્યું છે. ન્યુજર્સીનાં રેડિયો ’રેડિયો દિલ‘ પરથી તે પુસ્તકનાં ૫૧ પ્રકરણનું પ્રસારણ થયું છે. ‘તુલસી ખુસરો ગૃપ’, ‘સાહિત્ય ફોરમ ગૃપ’ અને ‘કબીર ભક્ત સમાજ’ SRBS ગૃપમાં ઓનલાઈન કબીર પર વક્તવ્ય આપ્યાં છે.
-
Should’ve Been Dead – એક ચસકેલ વ્યસનીની વ્યસન – મુક્તિની સાથે વણાયેલ શરમ અને ગુન્હાહિત માનસમાંથી છુટકારાની પ્રેરક ગાથા
પુસ્તક પરિચય

Should’ve Been Dead – Lessons From A Crack Pot Addict Who Broke Free – Sweta Patel with Rory Londer અશોક વૈષ્ણવ
એકાદ દાયકા સુધીનાં કોકેનના ઉન્માદી વ્યસનમાંથી મુક્ત થઈને આજે હવે ગૃહ – સુધારણાના લાખો ડોલરના વ્યાવસયિક અમેરિકનના જીવનના અનુભવોને બે વર્ષ સુધી ચાલેલા સંવાદો દ્વારા ત્યાંની શાળાની એક શિક્ષિકા દ્વારા આ પુસ્તકમાં ઝીલાયા છે. એ શિક્ષિકા પચાસેક વર્ષ પહેલાં અમેરિકા સ્થળાંતર થયેલાં ગુજરાતી માબાપની અમેરિકામાં જન્મેલી, ઉછરેલી અને શિક્ષિત થયેલ દીકરી છે એ બાબતનું મહત્ત્વ પણ આપણા, અહીના તેમ જ વિદેશોમાં વસેલા, સમુદાયને અમુક હદથી વધારે ન હોય તે પણ સ્વાભાવિક છે. કોકેઈન જેવા નશાના બંધાણીની વ્યસન મુક્તિ સાથે, તમાકુ જેવાં આપણા સમાજનાં બહુવ્યાપક થયેલાં વ્યસનો પણ દેખીતી રીતે આપણી શાળાઓમાં બહુ વ્યાપક ન થયેલાં જણાતાં હોવાને કારણે આજનાં ગુજરાતી સમાજનાં માબાપોને આ પુસ્તકનું અગત્ય ન જણાય એ પણ સમજી શકાય. જે કપડાં ધોવાનાં મશીનોની આડશમાં હાડકાં થીજાવતી ઠંડી સામે રક્ષણ મેળવ્યું તેને જ ખરીદીને તેમાંથી ગૃહ – સુધારણાનો વ્યવસાય ઊભો કર્યો એ વાત પણ અમેરિકન સમાજ જેવા સમાજના, ચીંથરેહાલ સ્થિતિમાંથી લાખોની દોલતના માલિક બનનારા, અનેક લોકોને વાસ્તવિક જીવનમાં સિદ્ધ કરવી એ દિવાસ્વપ્ન જેવી વધારે લાગે એમાં પણ કોઈ નવાઈ નથી. એ શિક્ષિકા જ્યારે આ અનુભવો એ વ્યક્તિના મોઢે જ પોતાની શાળાઓનાં વિદ્યાર્થીઓ સાથે વહેચતાં ત્યારે આવા કલ્પનાતીત જીવનપલટાની વાત રૂબરૂમાં સાભળવા મળે છે એ બાબત વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ નીવડતી હતી એ પણ અમેરિકાનાં વાતાવરણ માટે કદાચ નવી પણ કહેવાય.
આ પુસ્તકની કથાના નાયક, રોરી લૉન્ડરના જીવનના એ વર્ષોના અનુભવોને ૧૨ પદાર્થપાઠમાં વહેંચાયેલાં પ્રકરણોના આ પુસ્તકનું મહત્વ, શિક્ષિકા-લેખિકા, શ્વેતા પટેલ આ રીતે રજુ કરે છે –
“મેં શાળામાં મારાં શૈક્ષણિક કામ દરમ્યાન ડ્રગ વ્યસનીઓ, કડવા સંબંધોવાળાં કુટુંબો, સુધારણા ગૃહો, માથાભારે વિદ્યાર્થૉઓ, હતાશાઓ, આપધાતના પ્રયાસો જેવી ખુંચે એવી બધી વાસ્તવિકતાઓની કેટલીય વાતો સાંભળી છે. કેટલીક ઘટનાઓના તો સ્વાનુભવો પણ થયા હતા. આ બધી ઘટનાઓમાં જે એક સુર કાયમ જોવા મળતો તે ઊંડી પીડાની વેદનાનો હતો. આ વિદ્યાર્થીઓ માટે શાળા પછીની કારકિર્દીનો વિચાર તો ભૂલેચુકે જ ક્યાંય જોવા નહોતો મળતો.
“પણ, રોરી લૉડર આ બધાંથી સાવ જ નોખો હતો, આજે તે પચાસ વર્ષનો છે, અને તેની પાસે પોતાનું એક વર્તમાન છે. તે હવે કાયમ Rory’s Home Improvement ભરત કામ કરેલાં હુડી અને સફેદ પેન્ટમાં જ જોવા મળે છે. વિદ્યાર્થી સામે પોતાની વાત ચાલુ કરતાં પહેલાં તે પોતાના માથાં પર એક બે વાર ટપલી મારે, તેના માટે મુકાયેલી ખુર્શીમાં થોડીક ઢળતી બેઠક જમાવે, વિદ્યાર્થીઓની આંખોમાં આંખો પરોવે અને પછી તેમની કક્ષાએ જ આવીને પોતાની વાતને વહેવા દે.
કોવીડ પછી જ્યારે મેં તેમને ઓનલાઈન વ્યકત્વો આપવા વિશે પુછાવ્યૂં ત્યારે તેમને બદલે તેમના સહાયક તરફથી જે જવાબ આવ્યો તે દિલ વલોવી નાખે તેવો હતો. રૉરીને ચોથા સ્ટેજનું ફેફસાંનું કેન્સર હતું. થોડો સમય વીત્યા પછી તેમના ધીમા સુધારાના સમાચાર આવતા થયા ત્યારે મારા જીવમાં જીવ આવ્યો. આવા બધા વિવારોનાં વલોણામાંથી રૉરીની જીવનગાથાને પુસ્તકરૂપે ઉતારવાનો વિચાર જન્મ્યો.
“રોરી અને તેમનાં કુટુંબના સભ્યો સાથે મારી જે લાંબી વાતો થઈ તેને પુસ્તક સ્વરૂપે ઉતારવામાં મારાં સંતાનોના ઉછેર અને શાળાની જવાબદારીઓ સાથે સમય કાઢવો બહુ મુશ્કેલ હતો. એટલે ૨૦૨૨ – ૨૦૨૩નનાં શૈક્ષણિક વર્ષ માટે મેં ચાલુ નોકરીએ રજા લીધી. રૉરીની જીવનગાથા માત્ર અસ્તિત્વ ટકાવી રાખવાની વાત નથી,પણ જીવનને માણતાં માણતાં જીવી જવાની વાત છે.
“રોરી ડ્રગના એક અઠંગ વ્યસનીમાંથી એક સફળ ઉદ્યોગપતિ કેમ બની શક્યા એ અનુભવો અમારી શાળાના વિદ્યાર્થીઓને પ્રેરણા પુરી પાડતા રહે એ માટે અમારી શાળામાં પાંચ વર્ષ સુધી વ્યકત્વ્યો આપવા આવતા રહ્યા. તેમના અનુભવોની વાતો તેઓ એક વ્યસનીની જ ભાષામાં કહેતા, જેમાં વર્ગના અમેરિકન તરૂણો વાપરે તેવા અપશબ્દો પણ છૂટથી વપરાતા હતા.
“રોરી કહેતા કે એક દિવસ નશામાં ધુત થઈને મોટેલની એક રૂમમાં પડ્યા હતા ત્યારે ટીવીના પડદા પર તેમનાં કારનામાંની કથા કહેવાઈ રહી હતી. રોરી હવે ‘મોસ્ટ વોન્ટેડ’ ગુનેગાર બની ગયા હતા. “રોરી કહે છે કે તે રાત્રે તેમને ભાન થયું કે ‘મને શું જોઈએ છે તે તો ખબર નથી, પણ આ તો નથી જ જોઈતું.’ તેમણે વ્યસન મુક્તિધામોની સારવાર હેઠળ વ્યસન સામે યુદ્ધ આદર્યું.
“તેઓ આગળ વધતાં કહે છે કે આજે હવે જ્યારે લોકો તેમનાં વ્યસનની જૂની વાત સાંભળે છે ત્યારે તેમને મારા નામ સાથે મારા ગૃહ સુધારણા વ્યવસાયની, મેં મારા સમુદાયમાં કરેલા સ્વયંસેવાના કામોની, મારી પત્ની સાથેના સુખી ઘરસંસારનીની જ યાદો આવે છે. આ માણસ કેમ સુધર્યો તેનો કોયડો ઉકેલવાના તેમના આ પ્રયત્નોમાં મારા આવા જવાબો તેમને વધુ ગુંચવે છે –
- મારો ઉછેર ખુબ પ્રેમાળ માતાપિતા પાસે થયો હતો.
- યહુદી શાળામાં હું ભણ્યો છું. મારી ચાલચલગત બહુ જ સારી હતી. હું હંમેશાં ઑનર્સ કક્ષાનો વિદ્યાથી રહ્યો હતો.
- મારે પણ મારાં સપનાં હતાં. ત્યાંના એક રેસ્તરાંનો હું આશાસ્પદ શેફ હતો.
“એટલે, તે પછીનો સ્વાભાવિક સવાલ પુછતાં પહેલાં એ લોકો અચુક થોડી વાર થોભી જતાં. અને પછી એક જ સવાલ આવતો : તો પછી આવું બધું કેમ થાય? કેમ શક્ય બને?
“અને મારી કથનીનાં પડ ઉખળવા લાગતાં…….”
એ પછી શ્વેતા પટેલ અને રોરી લૉન્ડર વચે જે મુલાકાતોનો દૌર ચાલ્યો તે આ પુસ્તકના ૧૨ પ્રકરણોમાં બહુ મુલ્ય અનુભવોના સ્વરૂપે પ્રતિબિંબિત થયો છે. એ દરેક પ્રકરણો રોરીનો, આપણા સૌ માટેનો, પ્રેરણા આપતો, નિરાશાઓમાંથી બહાર કાઢી આપતો, આપણી જીવનદૃષ્ટિને બદલી નાખતો અને જીવનને આગળ ધપાવાવાનો જુસ્સો પુરો પાડતો, વારસો છે.
રોરીની જીવન કથની પુસ્તક પુરું થતાંની સાથે પુરી નથી થતી. તે તો તે પછી, વણબોલ્યે પણ, આપણા મનમાં પડઘાય છે. શ્વેતા પટેલ તો કહે જ છે કે રોરીના સંદેશાઓએ તેમનામાં જે જાદુઈ ફેરફાર કર્યો તેને લીધે તેમનો આત્મવિશ્વાસ તો વધ્યો જ, પણ તે સાથે તેમના વિદ્યાર્થીઓ સાથેના, અને પોતાની જાત સાથેના, સંબંધો વધારે ગહન, વધારે સહજ અને વધારે આપસી સમજવાળા બન્યા.
આમ, રોરી લૉન્ડરના જીવનના પદાર્થપાઠો માત્ર કોઈ વ્યસની પુરતા જ મર્યાદિત નથી બની રહેતા.
દરેક વ્યક્તિની જીવનશૈલી બીજાને માટે દીવાદાંડી બની રહે તો એનાથી વધારે સારી જીવનસ્વપ્નની સિદ્ધિ બીજી કોઈ ન હોઈ શકે!
પુસ્તક વિશેઃ
Should’ve Been Dead – Lessons From A Crack Pot Addict Who Broke Free
લેખકોઃ શ્વેતા પટેલ, રોરી લૉન્ડર સાથે (https://www.shouldvebeendead.com/ )
પૃષ્ઠ સંખ્યાઃ ૨૯૨ । © 2023 by BookSplash Publishing
કિંમત – પેપરબેક – રૂ. ૬૪૦ । કિંડલઃ રૂ. ૪૪૯
પુસ્તક પરિચય શ્રેણીના સંપાદક શ્રી પરેશ પ્રજાપતિનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : pkprajapati42@gmail.com
-
પોતાના સમય કરતાં વહેલા જન્મી ગયેલા કલાકારોનું જીવન કેવું નર્કાગાર સમું હોય છે એનું પ્રતિબિંબ છે આ નવલકથા
સંવાદિતા
બે મહાન અને વિચક્ષણ લેખકો વચ્ચેનો એકાલાપ સમો આ કાલ્પનિક સંવાદ એમના સમય અને જીવનની હકીકતો ખોલે છે
ભગવાન થાવરાણી
ઉર્દૂ – ફારસીના મહાન શાયર મિર્ઝા અસદુલ્લાહ ખાં ‘ ગાલિબ ‘ સન ૧૭૯૭ માં જનમ્યા અને ૧૮૬૯ માં ઝન્નતનશીન થયા તો ઉર્દૂના એવા જ વિદ્રોહી અને ક્રાંતિકારી કલમકાર સઆદત હસન મંટો ગાલિબના ઈંતેકાલ પછી આશરે પચાસ વર્ષે જન્મી ૪૩ વર્ષની યુવાન વયે ૧૯૫૫ માં પાકિસ્તાનના લાહૌરમાં અવસાન પામ્યા.અલગ અલગ સમયગાળામાં જન્મેલા આ બન્ને કલાકારોની ફિતરતમાં કેટલીક આશ્ચર્યકારક સમાનતાઓ હતી. બન્ને વિલક્ષણ અને નખશીખ બળવાખોર આત્માઓ તો ખરા જ, પણ બન્નેની કલમ જાણે તેજાબમાં ઝબોળાઈને જિગરના લોહીથી લખતી. બન્નેની કદર એમની જીવનકાળમાં બિલકુલ ન થઈ, બન્ને સમાજ દ્વારા લગભગ હડધૂત થયા, બન્ને આજીવન નાસ્તિક અને શરાબી, બન્નેએ રોજીરોટી માટે નિરંતર સંઘર્ષ કર્યો, બન્નેએ પાછલી જિંદગીએ માણસની માણસ પ્રત્યે અમાનુષી ક્રૂરતા જોઈ, બન્ને સંજોગોની અગ્નિપરીક્ષામાંથી પસાર થયા પણ પોતાના વિચારોને મક્કમતાથી વળગી રહ્યા અને બન્નેના સ્વપ્નોના કાટમાળ અને સમયના હાથે મળેલી શિકસ્તનો રંગ એક જ હતો !
બંગાળી લેખક રવિશંકર બલની ૨૦૧૨ માં પ્રકાશિત નવલકથા ‘ દોઝખનામા ‘ એક અનોખી કૃતિ છે. એ ગાથા છે ગાલિબ અને મંટો વચ્ચે પોતપોતાની કબરોમાંથી થયેલા કાલ્પનિક સંવાદની. એ નવલકથામાં સમાયેલી અન્ય એક નવલકથાની વાત છે. પુસ્તકનો અનુવાદ હિંદી અને અંગ્રેજીમાં થયો છે. હિંદી અનુવાદ અમૃતા બેરાએ કર્યો છે તો અંગ્રેજી અરુણવ સિંહાએ.હિંદી અનુવાદના કુલ ૪૫ પ્રકરણમાંના પ્રત્યેકનો આગાઝ મિર્ઝા ગાલિબ અથવા મીર તકી મીરના કોઈક સાંદર્ભિક શેરથી થાય છે. કથાની શરુઆત થાય છે કલકત્તામાં વસતા એક પત્રકારની લખનૌ શહેરની મુલાકાતથી, જ્યાં એ ત્યાંની તવાયફોના જીવનનો અભ્યાસ કરવા આવ્યો છે. એને અકસ્માતે ભેટે છે મરણના કિનારે ઊભેલો એક જૈફ શખ્સ જેણે એક અમૂલ્ય પુસ્તકની જીર્ણશીર્ણ હસ્તપ્રત સાચવી રાખી છે. એ હસ્તપ્રત છે સઆદત હસન મંટોએ પોતાના જીવનમાં લખેલી એકમાત્ર નવલકથાની. પત્રકાર એ હસ્તપ્રત લઈ કલકત્તા પાછો ફરે છે અને પોતે ઉર્દૂ ભાષા ન જાણતો હોઈ એ ભાષાની એક યુવાન પંડિતા તબસ્સુમ મિર્ઝાની મદદથી એ પુસ્તકનો બંગાળી તરજુમો કરવાની તજવીજ આરંભે છે. એ પુસ્તકમાં સમાવિષ્ટ છે ભારત – પાકિસ્તાનની કાંટાળી વાડના સામસામા કાંઠે દિલ્હી અને લાહૌરમાં પોતપોતાની કબરોમાં સૂતેલા બે મહાન સર્જકો ગાલિબ અને મંટો વચ્ચેનો સંવાદ !મંટો લિખિત આ નવલના પહેલા પ્રકરણની તારીખ છે ૧૮ જાન્યુઆરી ૧૯૫૫ અર્થાત મંટોની મૃત્યુ તિથિ ! શરુઆતમાં જ મંટો ગાલિબને ઉદ્દેશીને કહે છે કે તમે એ રીતે નસીબદાર કે તમે ૧૯૪૭ ના ભાગલા અને એ અન્વયે થયેલો અમાનુષી રક્તપાત અને રાક્ષસી હરકતો ન જોઈ ! દરેક પ્રકરણમાં વારાફરતી બન્ને એકમેકને ( અને આજુબાજુની કબરોમાં સૂતેલા અન્ય સૌને ! ) સંબોધીને પોતપોતાની કેફિયત સંભળાવે છે. એ સંવાદના બહાને બન્ને વાત તો કરે છે પોતાના જમાના, સમાજ, મિત્રો – દુશ્મનો, સંબંધીઓ, કુટુંબીઓ, લગ્નજીવન, પ્રેમ અને પ્રેમિકાઓ અને ત્યારના સમગ્ર માહૌલની.મંટો ગાલિબને કહે છે ‘ મારી વાર્તાઓમાં એ જ પાત્રો છે જે તમારા શેરોમાં હતા. ‘ નવલકથામાં ડગલે ને પગલે બન્નેએ સાંભળેલી દાસ્તાનો અને કિસ્સા આવતા રહે છે. ગાલિબ કહે છે ‘ મારી બધી કલમો મેં મારા પૂર્વજોના તૂટેલા તીરોમાંથી બનાવી છે ‘ ( એમના પૂર્વજો સૈન્યના સરદારો હતા ) અને ઉમેરે છે ‘ હજારો ગઝલો લખ્યા છતાં કોઈને કવિ ન કહી શકાય, જો એણે એકાદ શેર પણ એવો લખ્યો ન હોય જેમાં હૃદયના ઝબોળાયેલો કણસાટ હોય. મેં હમેશાં મારા ઝખ્મો વિષે જ લખ્યું છે.’પુસ્તકમાં જેટલા ગાલિબના શેર ઉદ્ધૃત કરાયા છે એટલા જ મીર તકી ‘ મીર ‘ ના પણ. લેખક કહે છે ‘ વાતને પરદામાં રાખવાનો હુન્નર ગાલિબ પાસે હતો. ‘ મીર ‘ તો લોહીથી લથબથ પોતાનું હૃદય લાગલા જ ભાવકના હાથમાં પકડાવી દેતા ! ગાલિબ એ પડછાયા સાચવી દૂર સ્થિર ઊભેલા આયના જેવા હતા !બન્ને દિલ્હી અને લાહૌરની તવાયફો સાથેના પોતાના વ્યક્તિગત સંબંધોનો ઉલ્લેખ પણ સંપૂર્ણ બેબાકીથી કરે છે. મંટોના મુખે લાહૌરની હીરામંડીના કોઠાઓની દાસ્તાનો અવાક્ કરી દે છે. એ કહે છે ‘ હીરામંડીના રંગીન દુનિયામાં અનેક સુરીલા દિલ ધબકતા હતા. કોઈ સાક્ષાત માલકૌંસ, કોઈ બિહાગ, કોઈ ભૈરવી તો કોઈ પૂરવી. એ રાગોમાં જ સમાયેલા હતા અશ્રુ, લોહી અને ચીસો. ‘ તો ગાલિબ પોતાના પુરોગામી શાયર મીર તકી મીરની પ્રેમકથા અને એ કારણે એ પાગલ થઈ ગયા એ કિસ્સો કહી આપણને સ્તબ્ધ કરી મૂકે છે. ગાલિબ પોતાની પ્રેમિકાઓ મુનીરાબાઈ અને બેગમ ફલક આરાની વાત વિગતે કરે છે તો મંટો પણ લેખિકા ઈસ્મત ચુગતાઈ અને બેગૂ નામની સ્ત્રી સાથેના પોતાના સંબંધોની કથની કહે છે. મંટો કહે છે ‘ જિંદગીની કિંમત વ્યાજ અને મુદ્દલ સાથે અહીં જ ચૂકવી જવાની હોય છે.’ પોતે કવિ ન હોવા છતાં કવિતા વિષે એ કહે છે ‘ અલંકારોથી લદાયેલી સ્ત્રીનું સૌંદર્ય એની હેઠળ દબાઈ જાય છે. એવું જ કવિતાનું છે. ‘પોતાના પેન્શન માટે કલકત્તા અંગ્રેજ દરબાર આગળ રજુઆત કરવા ગાલિબ દિલ્હીથી મહિનાઓનો પ્રવાસ ખેડીને ગયેલા. રસ્તામાં આવતા કાશીમાં એ ખાસ્સા દિવસો રોકાયેલા. એ નગરી, ત્યાંના લોકો અને ત્યાંના મણિકર્ણિકા ઘાટની એ ભૂરિ – ભૂરિ પ્રશંસા કરે છે. ત્યાંના આધ્યાત્મિક અનુભવ વિષે એ વાત કરતાં થાકતા નથી. ગંગા ઘાટે કબીર સાહેબને મળ્યાનો એમનો કાલ્પનિક અનુભવ પણ રસપ્રદ છે.મંટોએ મુંબઈની ફિલ્મી દુનિયાની હસ્તીઓ સિતારા, કે આસિફ, નસીમ બાનો અને શ્યામના જીવન અને એમના દિલફરેબ વ્યક્તિત્વ વિષે એવી વાતો કરી છે કે બરબસ એ બધા પ્રત્યે ભાવ ઉપજી આવે. ગાલિબ દિલ્હી ( ત્યારે એ શાહજહાનાબાદ કહેવાતું ) ના આખરી મુગલ બાદશાહ બહાદુરશાહ ‘ ઝફર ‘ વિષે કહે છે કે એ કવિ હતા જ નહીં ! એમની ઐયાશી વિષે પણ ઉલ્લેખ છે. ૧૮૫૭ ના નિષ્ફળ બળવા વિષે એ કહે છે ‘ સૈનિકો માત્ર લડી શકે, શહેરો ઉજાડી શકે, એ લોકો ક્યારેય આઝાદી ન અપાવી શકે. એ કામ પ્રજાનું છે. ‘ખરેખર તો આ સંવાદ નહીં, આપવીતી છે પણ બન્ને દ્વારા એ નિમિત્તે જે કઈ કહેવાયું છે એ વિચલિત કરી મૂકે છે અને ‘ દોઝખનામા ‘ ને એક વિશિષ્ટ નવલકથા તરીકે પ્રસ્થાપિત કરે છે.ગાલિબ ૧૮૫૭ ની હિંસા જોયા બાદ મૃત્યુ પર્યંત લગભગ મૌન જ રહ્યા. એમના સમગ્ર કાવ્યોના દીવાન અને એમણે મિત્રો ઈત્યાદિને લખેલા પત્રોના સંગ્રહની વિવિધ આવૃત્તિઓ થઈ છે. મંટોએ મુખ્યત્વે વાર્તાઓ, રેડિયો નાટકો અને ફિલ્મોની કહાણીઓ લખી. ૧૯૫૪ ની સોહરાબ મોદીની ફિલ્મ ‘ મિર્ઝા ગાલિબ ‘ ની વાર્તા એમણે લખેલી. પોતાની કબર ઉપર મૂકવા એમણે પોતે જ જે મૃત્યુ લેખ લખી રાખેલો ( જે એમની કબર પર ક્યારેય મુકાયો નહીં ) એના શબ્દો છે ‘ અહીં ટનબંધ માટી નીચે સૂતો છે મંટો અને એની સાથે વાર્તા લેખનના બધા રહસ્યો પણ. એ હમેશાં એવું વિચારતો કે કોણ વાર્તા લેખક મોટો ? ખુદા કે મંટો ? ‘
સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
સુંદરતાઘેલા સમાજમાં પ્રાચી નિગમનું દસમી ટોપર થવું …
નિસબત
ચંદુ મહેરિયા
ઉત્તરપ્રદેશ માધ્યમિક શિક્ષણ બોર્ડની ૨૦૨૪ની દસમા ધોરણની પરીક્ષામાં ૯૮.૫૦ ટકા માર્ક્સ મેળવી પ્રથમ આવેલી પ્રાચી નિગમે બે ચાર દિવસ પછી જ પત્રકારોને અફસોસ સાથે કહ્યું કે મારે થોડા ઓછા માર્ક્સ આવ્યા હોત અને ટોપર ના બની હોત તો સારું. પ્રાચીને કેમ આવું કહેવું પડ્યું? તેના કારણો જાણીએ તો સ્વાભાવિક જ રોષ જન્મે છે.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી પંદર વરસની આ કન્યા યુ.પી.ના સીતાપુર જિલ્લાના મહેમુદાબાદની સીતા ઈન્ટર કોલેજમાં ભણતી હતી. તેની તેજસ્વીતા, મહેનત અને લગનનું પરિણામ હતું કે સમગ્ર રાજ્યના પંચાવન લાખ પરીક્ષાર્થીઓમાં તે પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થઈ. તેની સફળતાના ઓવારણા તો લેવાતા હતા જ. પરંતુ સમાજનો એક વર્ગ તેને સોશ્યલ મીડિયા પર ટ્રોલ કરતો હતો. પ્રાચીના અપરલિપ્સ પર વાળ છે તે તેની તસવીરોમાં સ્પષ્ટ દેખાય છે. બાહ્ય સુંદરતાઘેલા કેટલાક લોકોને તેનો જ વાંધો પડ્યો. એટલે કોઈએ આર્ટિફિસિયલ ઈન્ટેલિજન્સ થકી તેના ચહેરાને રૂપાળો બનાવ્યો,કોઈએ શેવ કરવાની સલાહ આપી, કોઈએ મિમ્સ બનાવ્યા, ઘણાંએ ભણવા સાથે ચહેરાની માવજત કરવા કહ્યું અને બહુ બધાએ તેના ચહેરા પરના વાળની મજાક કરી. સફળતાના સર્વોચ્ચ શિખરે પહોંચેલી આ કન્યા ટ્રોલિંગથી આહત ન થાય તો જ નવાઈ. આરંભિક અફસોસ પછી પ્રાચીએ જાતને સંભાળી લીધી અને ટીકાખોરોની જમાતને દમદાર જવાબ પણ આપ્યો.
કેટલીક મહિલાઓને શરીર પરનાં અનિચ્છનીય વાળનો સામનો કરવો પડે છે. ચહેરો,, હાથ, પીઠ અને છાતી પર વાળ ઉગવાનું કારણ બાયોલોજિકલ, હોર્મોનલ ઈમ્બેલેન્સ કે અસંતુલિત હોર્મોન્સ છે. પ્રાચીના ચહેરા પર મૂછ જેવા જે વાળ ઉગ્યા છે તેને પ્રાચી, તેનો પરિવાર, શાળાના શિક્ષકો અને તેના સહાધ્યાયીઓએ કશું મહત્વ આપ્યું નથી.પરંતુ તે ટોપર બનતાં તેની તસવીરો અનેક માધ્યમોમાં પ્રગટ થતાં તે મજાક અને ટીકાનું પાત્ર બની છે. પ્રાચી કોઈ ગોખણશી છોકરી નથી. ઉચ્ચ મૂલ્યો અને સકારાત્મ્ક વિચારો સાથે તે ભણે છે. ટ્રોલિંગ જે હદે થયું તે હદની નહીં તો તેનાથી વધતી-ઘટતી સ્થિતિનો સામનો તેણે અગાઉ ઘણી વાર કર્યો છે. આગળ અભ્યાસ જારી રાખીને ઈજનેર બનવા માંગતી આ કિશોરી માટે તેનું ધ્યેય અગત્યનું છે નહીં કે શરીરની બનાવટ. તેણે ટ્રોલરિયાઓને રોકડું પરખાવતાં કહ્યું છે કે જ્યારે જરૂર જણાશે ત્યારે હું મારો ઈલાજ કરાવી લઈશ પણ હાલમાં તો મારું લક્ષ મન દઈને ભણવાનું છે. વિષાક્ત સાઈબર સ્પેસ સંદર્ભે પ્રાચી માને છે કે ક્ષણિક્નું મનાતું ટ્રોલિંગ પણ વ્યક્તિ પર નકારાત્મક અસર કરે જ છે તેથી આવા તત્વો પર કાર્યવાહી થવી જોઈએ.
પ્રાચીને ટીકાકારોની જેમ સમર્થકો પણ મળ્યા છે. તેની જ સ્કૂલના બે અન્ય ટોપર્સ હેમંત વર્મા અને જ્ઞાનેન્દુ વર્માએ # ડોન્ટ ટ્રોલ પ્રાચી કેમ્પેન શરૂ કર્યું છે.તેને ઘણો હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર પ્રાચી વિશેની સઘળી ટિપ્પણીઓનો આ સહપાઠીઓ જ જવાબ વાળે છે. શાળાના આચાર્ય, શિક્ષકો અને વિધ્યાર્થીઓ સતત પ્રાચીના પક્ષે રહ્યા છે. સુંદરતાને સર્વોચ્ચ માનતા લોકોને સ્કૂલ પ્રિન્સિપાલ બહુ ગંદી ભાવના ધરાવનારા ગણાવે છે.
પ્રાચીના ટેકામાં બોમ્બે શેવિંગ કંપનીએ જાહેરખબર પ્રકાશિત કરી છે. જેમાં તેણે પ્રાચીનો બચાવ કર્યાનો દાવો કર્યો છે. કંપનીએ ડીયર પ્રાચીના સંબોધન સાથેની એડમાં લખ્યું છે કે જે લોકો આજે તારા ચહેરા પરના વાળને લીધે તને ટ્રોલ કરી રહ્યા છે તે કાલે પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ માટે તારી પ્રસંશા કરશે. જોકે કંપની જાહેરખબરમાં તેનું તકવાદી માનસ પ્રગટ કરતાં ના રહી શકી.તેણે માર્કેટિંગ કરતાં લખ્યું , અમે આશા રાખી છીએ કે અમારું રેઝર ઉપયોગ કરતાં જ તને કોઈ પરેશાન નહીં કરે. કંપનીની આ એડ્નો વ્યાપક વિરોધ થયો છે. એડવર્ટાઈઝીંગ સ્ટાન્ડર્સ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (ASCI)એ લોકોના આક્રોશની નોંધ લઈને આ જાહેરખબરની તપાસ શરૂ કરી છે. સરકારના ઈશારે પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ ( PGI ) , લખનૌએ પ્રાચીના મફત ઈલાજની ઓફર કરી છે.
આખરે આ સુંદરતા એટલે શું અને તેના માપદંડો ક્યા ? સુંદરતાને પરિભાષિત કરવી કઠિન છે. બાહ્ય સુંદરતા કે શરીરની સુંદરતા પિતૃસત્તાત્મક વિચારની પેદાશ છે. જેણે મહિલાઓના માથે તે થોપી છે. લગભગ તમામ વયની મહિલાઓને સુંદરતા વળગાડી છે. પણ કિશોર અને યુવાન વયમાં તે વિશેષ છે. લગ્ન વિષયક જાહેરાતોમાં ગોરી, નમણી,નાજુક, સમપ્રમાણ કદ કાઠી , કાળા લાંબા ભરાવદાર અને સીધા વાળ, નાનું નાક અને મોટી પાણીદાર આંખો ધરાવતી મહિલાઓની માંગ સૌ કોઈ કરે છે. પુરુષોની સુંદરતાની સમજ જ નહીં સોંદર્યના બજારની પણ આ માયાજાળ છે.
સોંદર્યનું બજાર કદી મંદ પડતું નથી. સોંદર્ય પ્રસાધનોની વિશ્વની ટોપ બ્રાન્ડ ભારતમાં પુષ્કળ કમાણી કરે છે. ભારતનો કોસ્મેટિક ઉધ્યોગ સૌથી વધુ કમાણી કરતો વિશ્વનો ચોથા નંબરનો ધંધો છે. શરીર સોંદર્ય અને વ્યક્તિગત માવજતના સાધનોનું બજાર ૨૦૨૦માં એક લાખ કરોડ રૂપિયાનું હતું જે આવતા વરસે બે લાખ કરોડનું થવાનું છે. સુંદરતાના બજાર અને સમાજે બનાવેલા વિચારજડ માપદંડોમાં મહિલાઓ જકડાયેલી છે. એટલે પોતાની નાની શી બદસૂરતી પણ તે બરદાસ્ત કરતી નથી અને પોતાના આવા શરીરને તે ખુદ જ સ્વીકારતી નથી. અભાવગ્રસ્ત જિંદગી અને તેની જદ્દોજહદ વચ્ચે શરીરની બહારની સુંદરતાની તેની સમજ બજાર પર આધારિત છે. સુંદરતાના બજારની સૌથી મોટી ગ્રાહક મહિલાઓ જ હોય છે. હવે તેમાં પુરુષો પણ ફસાયા છે. ગોરા થવાની મેન્સ ફેરનેસ ક્રીમ અને સાબુ પણ ધૂમ વેચાય છે. ભારતના કુલ સોંદર્ય બજારનો ચોથો ભાગ તો નાહવાના સાબુનો છે. ગોરી ચામડી માટેના પ્રસાધનો ૨૦ ટકા અને માથામાં નાંખવાના તેલનો હિસ્સો ૧૫ ટકા છે.
પ્રાચી નિગમના અપરલિપ્સ પરના વાળની મજાક કરતો સુંદરતાઘેલો સમાજ ખરેખર તો સુંદરતાના બજારથી ઘેરાયેલો છે. બોડી શેમિંગની નઠારી અસર બાળકોના મન પર પડે છે. તેઓ લઘુતાગ્રંથિ કે હીન ભાવ અનુભવે છે. તેની અસર તેમના અત્મવિશ્વાસ અને અભ્યાસ પર પડે છે. ફિલ્મો, સોંદર્ય પ્રસાધનના સાધનોના વિજ્ઞાપનો અને નટનટીના રૂપાળા દેખાવાના ખર્ચા અને નખરાંથી અછૂતા રહી શકતી પ્રાચી જેવી કોઈ વિરલ તેજસ્વી કન્યા પણ મજાક અને આલોચનાનો શિકાર બને છે.તો સામાન્ય દેખાવના લોકોનું તેની સામે ટકવાનું શું ગજું . સોશ્યલ મીડિયા અને દેખાવડા લોકોને ઈન્સ્ટાગ્રામ જેવા માધ્યમ પર મળતી પ્રાથમિકતા પણ બળતામાં ઘી હોમે છે. દરમિયાન હાલમાં તો દસમી ટોપર પ્રાચીને અભિનંદન અને સોંદર્યઘેલછાની દેશવ્યાપી ચર્ચા માટે આભાર.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
ઈશ્વરને ઇ મેઇલ – નવી શ્રેણી શરૂ થવાને ટાણે વિષય અને લેખિકાનો પરિચય
આ મહિનેથી દર ત્રીજા મંગળવારે સુશ્રી નીલમબેન દોશીનાં પુસ્તક ‘ઈશ્વરને ઇ મેઇલ’ને ક્રમશઃ પ્રકાશિત કરવાનું આયોજન કરેલ છે.
વેબ ગુર્જરી પર આ લેખમાળા પ્રકાશિત કરવાની સહમત આપવા બદલ સુશ્રી નીલમબેન દોશીનો આપણે આભાર માનીએ છીએ અને તેમનું સહર્ષ સ્વાગત કરીએ છીએ.
સંપાદક મંડળ – વેબ ગુર્જરી
એક ડગલું આગળ…
પત્ર સાહિત્ય હમેશા મને આકર્ષતું રહ્યું છે. કારણ કદાચ એટલું જ કે એમાં આખ્ખેઆખ્ખું મન મન અનાયાસે ઠલવાતું હોય છે, ભીતરની સંવેદના કોઇ પ્રયાસ સિવાય ઉલેચાતી હોય છે.જેમાં દિલની સચ્ચાઇ અને સંવેદનાનું અજબ સામંજસ્ય રચાઇ જતું હોય છે. મેઘધનૂષની જેમ એક પછી એક અનેક રંગો ઉઘડતા રહે છે અને આખરે જાણે બધું શ્વેત રંગમાં એકાકાર બની રહે છે.
દીકરી, દીકરો, સાસુ, વહુ, મિત્ર..અનેક સંબંધોને ઉદ્દેશીને પત્રો લખાયા. એ લખતી વખતે એ દરેક સંબંધો ફરી એકવાર જિવાયા. એમની સાથેના સ્મરણો, એ મીઠાશ ફરી એકવાર માણી..અસંખ્ય ભાવકોના હૂંફાળા પ્રતિસાદથી છલકાણી. અનેક નવા, તાજગીભર્યા સુંદર સંબંધો આ પત્રોએ આપ્યા.
થોડા સમય પહેલા અરૂણોદય પ્રકાશનના શ્રી ચંદ્રમૌલિભાઇએ પ્રાર્થના જેવું કશુંક લખી આપો ને. એવો પ્રસ્તાવ મૂકયો. મને ગમ્યો. અલબત્ત શું લખવું એ માટે કોઇ ચોક્કસ ફોર્મેટ મનમાં સ્પષ્ટ નહોતું. પ્રાર્થનાના અનેક સુંદર પુસ્તકો અગાઉ વાંચ્યા હતા. એના કરતા કશુંક અલગ કરવું હતું. અલબત્ત પ્રાર્થના એટલે વાત તો ભીતરમાં બિરાજમાન ઇશ્વરની જ આવવાની. એટલે સહજ રીતે એ જ બધી વાતો આવવાની જે અગાઉ બધા કહી ચૂકયા હોય. એમાં હું નવું શું કરી શકવાની ? એવી અવઢવ, એક મથામણ મનને મૂંઝવતી રહી. ચન્દ્રમૌલિભાઇના એ જ વિષયના આગ્રહને લઇને લખવા તો બેઠી. બે પાંચ લેખો લખ્યા. ચન્દ્રમૌલિભાઇને મોકલ્યા. તેમને ગમ્યા. ગ્રીન સીગ્નલ આપ્યું પણ પૂરી નિખાલસતાથી કહું તો મારી ભીતર હજુ કોઇ પિંડ નહોતો બંધાયો. લખવાની મજા નહોતી આવતી. અને મને પોતાને મજા ન આવે ત્યારે હું કદી લખતી નથી. જે લખતા મને જ મજા ન આવે કે સંતોષ ન થાય તો મારા વાચકોને કયાંથી સ્પર્શે ? એટલે એ કામ થોડા સમય પૂરતું અટકાવી દીધું. મનમાં વિષય તો પ્રાર્થનાનો જ ઘૂંટાતો રહ્યો હતો. એથી ઇશ્વરની, અવકાશની, અખિલાઇની સર્જનહારની વાતો મનમાં ચાલતી રહી.
અચાનક એક દિવસ ઉંઘમાં, સપનામાં જ જાણે ભગવાન મને કોઇ ફરિયાદ કરતા હોય એવું અનુભવાયું. અલબત્ત ઘણાં દિવસોથી મનમાં આવા વિચારો ચાલતા હતા એ જ વાતનું પ્રતિબિંબ સપનામાં પડયું હતું. બાકી ખરેખર ભગવાનનો સાદ સાંભળી શકું એવી કોઇ કક્ષા, એવી કોઇ પાત્રતા મારી નથી એનાથી હું અજાણ નથી. પણ સપના તો અચૂક આવતા રહ્યા. બે ચાર દિવસ લાગલગાટ જાણે ભગવાન મને કશુંક કહેતા રહ્યા.
અને બસ..એ કશુંક અનાયાસે કાગળમાં..લેપટોપમાં ઉતરતું રહ્યું. ભગવાનને પણ આજે આપણી સામે કેટકેટલી ફરિયાદો હશે જ ને ? એમને પણ કંઇક કહેવાનું મન થતું હશે ને ?
એવા કોઇ વિચાર સાથે ભગવાનની ફરિયાદ, વ્યથા, પીડા જાણે મારા મનમાં ઉભરતી રહી. શબ્દોરૂપે ઠલવાતી રહી. પૂરી પ્રામાણિકતાથી કહું તો બે ટકા પ્રયત્નો અને અને અઠાણું ટકા સાવ અનાયાસે શબ્દો આવતા ગયા. વાતોનો, શબ્દોનો જાણે ધોધ ફૂટી નીકળ્યો. શું લખવું, કેમ લખવું, કયા ફોર્મેટમાં લખવું એવા કોઇ પ્રશ્ન જ ન આવ્યા.. બધું આપમેળે જ ચાલતું રહ્યું. ઇશ્વર સાથે વાત કરતી વખતે પણ સાવ સહજતાથી પત્રનું જ સ્વરૂપ આવી ગયું હતું એ તો બે ચાર પત્રો લખાઇ ગયા બાદ જ મને ભાન થયું. સામાન્ય રીતે કંઇ પણ લખ્યા પછી એને મઠારવાનું અચૂક બનતું હોય છે. પરંતુ આ લખાયા પછી એને એક પણ વાર મઠારવાની તો શું બીજી વાર વાંચવાની સુધ્ધાં તકલીફ નથી લીધી..એવું મન જ ન થયું. જાણે બીજી વાર વાંચીશ તો કશુંક વધારવા, ઘટાડવાનું મન થાય અને એની સહજતા, એનો લય ખોરવાઇ જાય તો ? એવો કોઇ ભય મનમાં હતો કે શું ?
જે પણ હોય તે.પરંતુ બીજી વાર વાંચ્યા સિવાય જ ચંદ્રમૌલિભાઇને મોકલી દીધા. કે પ્રાર્થનાને બદલે મારા મનમાં આવું કશુંક સૂઝયું છે અને એ જ ઠલવાયું છે. મને લખવામાં ખૂબ મજા પડી છે અને એમાં હવે મારે કોઇ ફેરફાર કરવો નથી.
ઇશ્વર સાથેની આ અનાયાસ યાત્રા દરમ્યાન મારું બોલવાનું લગભગ શૂન્ય બની ગયું હતું. જોકે ઘરમાં બોલવાવાળું કોઇ હતું પણ નહીં. પણ આ સમય દરમ્યાન ફોન, ફેસ બુક, વોટસ અપ, ઇ મેઇલ વગેરે પણ અટકી ગયા હતા. મારી એકલતામાં મદદગાર એ બધા સાધનો યાદ જ નહોતા આવ્યા એમ કહી શકું. રાત્રે એક વખત પતિદેવ સાથે ફોનમાં વાત કર્યા સિવાય બીજા કોઇ જ સાથે હું સંપર્કમાં નહોતી રહી. આ ગાળા દરમ્યાન હું લગભગ અલિપ્ત જેવી બની રહી. ફકત ઇશ્વર સાથે અનુસંધાન રચાતું રહ્યું એમ જાતને છેતર્યા સિવાય પૂરી પ્રામાણિકતાપૂર્વક કહી શકું. મારી શારીરિક તકલીફો અવગણાતી રહી. નિજાનંદનો જે અહેસાસ આ પત્રોએ મને કરાવ્યો છે એ કદાચ મારા જીવનનો એક અદભૂત અનુભવ બની રહ્યો. શબ્દો મને સાત સાગર પાર લઇ ગયા છે, પણ આજે શબ્દો જાણે મને ઇશ્વર સુધી લઇ ગયા છે એ અનુભૂતિની એક પરમ પ્રસન્નતા આ લેખનયાત્રા દરમ્યાન સતત સાથે રહી.
આ લખતા લખતા હું પોતે ભીતરના અજવાસની દિશામાં વધારે નહીં તો યે એકાદ ડગલું જરૂર આગળ વધી છું એવી અનુભૂતિ પામી શકી છું. મારી અંદરના બાવા જાળાની સંપૂર્ણપણે નહીં તો યે થોડે અંશે સફાઇ થઇ શકી છે. ઉજાસની એકાદ લકીર, એકાદું કિરણ મારી ભીતર પ્રવેશી શકયું હોય એવો અગાઉ કદી ન અનુભવેલો આનંદ પામી રહી છું. અને મને પૂરી શ્રધ્ધા છે કે આ જ કિરણનો ઉજાસ આ પુસ્તકના વાચકો, ભાવકોના હ્રદયમાં જરૂર ઉઘડશે અને છીએ એના કરતા થોડા..ભલે ને સાવ જ થોડા પણ વધારે સારા બનવાની દિશામાં મારી જેમ જ એકાદ ડગલું આગળ તો જરૂર મંડાશે જ.
અહીં ઇશ્વર આપણો દોસ્ત, સખા બનીને આપણી સાથે વાત કરે છે. અને સાચા મિત્રની વાત અવગણવી કંઇ સહેલી તો નથી જ ને ? આ પ્રકારે ઇશ્વરે લખેલા પત્રોનું કોઇ પુસ્તક અગાઉ લખાયું છે કે કેમ એની મને જાણ નથી. પણ મેં વાંચ્યું નથી એટલી જાણ છે. હા, ઊઘડતા દ્વાર અંતરના , સુશ્રી ઇશા કુંદનિકાનું પ્રિય માનવને ઉદ્દેશીને લખાયેલું ખૂબ મજાનું પુસ્તક ચોક્કસ વાંચ્યું છે. ખૂબ ગમ્યું છે. એ વાંચતી વખતે મારાથી ઇશ્વર સાથે મૈત્રીભાવ નહીં પણ આદરભાવ અનુભવાયો છે. ઉપરાંત આદરણીય કુંદનિકાબહેનનું પરમ સમીપે તો અનેક વાર વાંચ્યું છે , અનુભવ્યું છે, માણ્યું છે. ભીતરમાં સંગ્રહાયેલા એ બંને પુસ્તકની છાયા વત્તે ઓછે અંશે અહીં કયારેક અનુભવાય તો આશ્વર્ય નહીં થાય. એ બંને પુસ્તક અને એમના સર્જકની દિલથી રૂણી છું.
આ લખતી વખતે તો કોઇ જ મિત્રો, સ્વજનો, મનમાં પ્રવેશ્યા નહોતા. ફકત અને ફકત પરમ તત્વ સાથે જ અનુસંધાન રહ્યું છે.
હું એટલે નીલમ હરીશ દોશી..
જીવનની ગમતી ક્ષણો..એટલે મારી શબ્દયાત્રા….અને આ યાત્રામાં મિત્રો સામેલ થાય તો એથી વિશેષ રૂડું બીજું શું હોઇ શકે ? અહીં જે લખાય તેમાંથી આપને ગમે તે આપનું…અને ન ગમે તે મારું તો છે જ..! આ સહિયારી યાત્રામાં ગુલાલના થોડા છાંટણાથી આપની બે ચાર ક્ષણો રંગી શકાય તો પણ એની સાર્થકતા. જીવન પ્રત્યે સતત પોઝીટીવ.. હકારાત્મક અભિગમ એ જીવનલક્ષ્ય….અને એ જ આશા સાથે….અને શબ્દો જીવનમાં પણ મહોરી ઉઠે એ લેખન અને લેખકની કસોટી. એ કસોટીમાં કેટલે અંશે સફળ થઇ શકીશ. તે જાણ નથી. પણ નિષ્ઠાપૂર્વકના પ્રયત્નો ચાલુ રહેશે જ..કોઇ શકા, આશંકા વિના…
” મારું જીવન..એ જ મારો સંદેશ..’ એમ તો ગાંધીજી જેવા મહાન વ્યક્તિ કહી શકે..મારી એ પાત્રતા નથી..એ જાણું છું. પરંતુ કયારેક મારા શબ્દો..મારું લેખન.. એ જ મારું જીવન બની રહે…એવી ભાવના સાથે…
વાર્તાઓ, લેખો, કાવ્યો, લલિત નિબંધો વિગેરે રચનાઓ અવારનવાર અખંડ આનંદ, નવનીત સમર્પણ, શબ્દ્સૃષ્ટિ, પરબ, દિવ્યભાસ્કર, સંદેશ, ગુજરાત,જન્મભૂમિ પ્રવાસી, અભિયાન, મુંબઇ સમાચાર, અહા ઝિન્દગી, ઉદ્દેશ, કાવ્યસૃષ્ટિ, શબ્દસર, વિચારવલોણુ, જનકલ્યાણ, સ્ત્રી,જલારામ દીપ, છાલક વગરેમાં પ્રકાશિત થતી રહે છે.
ગુજરાતી બ્લોગ : પરમ સમીપે – https://paramujas.wordpress.com
નીલમ હરીશ દોશી : E mail: nilamhdoshi@gmail.com
