-
કોઈનો લાડકવાયો – (૪૮) દક્ષિણેશ્વર બોંબ કેસ
દીપક ધોળકિયા
કાકોરી કાંડમાં રાજેંદ્ર લાહિડીને મૃત્યુદંડ મળ્યાનું આપણે વાંચી લીધું. એમના વિશે વધારે જાણવાની જરૂર છે.
એમનો જન્મ તો બંગાળના પબના જિલ્લા (હવે બાંગ્લાદેશ)માં થયો પણ પિતાએ એમને આગળ ભણવા વારાણસી મોકલ્યા. અહીં એ રામપ્રસાદ બિસ્મિલ, ચન્દ્રશેખર આઝાદ, ભગત સિંહ વગેરેના સંપર્કમાં આવ્યા અને હિન્દુસ્તાન રીપબ્લિકન આર્મી (HRA)માં જોડાઈ ગયા. થોડા વખત ઉત્તર પ્રદેશની ક્રાંતિકારી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા રહ્યા, તે પછી HRAએ બોંબ બનાવવાનું નક્કી કર્યું. આની તાલીમ લેવા માટે લાહિડીને ફરી પાછા બંગાળ મોકલવામાં આવ્યા.
બંગાળમાં ક્રાંતિકારીઓ વધારે સક્રિય હતા અને સશસ્ત્ર વિદ્રોહની તૈયારીઓમાં લાગ્યા હતા. બૅંક લૂંટવી કે નાનામોટા છાપા મારવામાં એમને બહુ રસ નહોતોં. એટલે એમણે દક્ષિણેશ્વર અને એની પાસેના શોભા બજારમાં બોંબ બનાવવાનાં કારખાનાં બનાવ્યાં હતાં. દક્ષિણેશ્વર રામકૃષ્ણ પરમહંસના કાલિમંદિરનું ધામ છે. અહીં યાત્રાળુઓની અવરજવર બહુ રહેતી એટલે પોલીસનું ધ્યાન કોઈ ગુપ્ત હિલચાલ પર જાય એવી શક્યતા ઓછી હતી. આ કારણે બધા ક્રાન્તિકારીઓ દક્ષિણેશ્વર અથવા શોભાબજારમાં જ રહેતા હતા.
૧૯૨૪ના જૂનમાં એક બ્રિટિશ વેપારીને ક્રાન્તિવીર હરિમોહન શહાએ મોતને ઘાટે ઉતારી દીધો. જો કે એની હત્યા ભૂલથી થઈ હતી. ખરેખર તો પોલીસ કમિશનર ચાર્લ્સ ટૅગર્ટને મારવાનો હતો. યુગાંતર સંગઠન અંગ્રેજો પર સતત હુમલા કરતું હતું પણ બંગાળ પ્રાંતની સરકાર આ બ્રિટિશ વેપારીની હત્યા પછી બહુ જ સક્રિય બની ગઈ.
૧૯૨૫ની ૧૦મી નવેમ્બરે દક્ષિણેશ્વરના કારખાનામાં જ બોંબ ફાટ્યો. ધડાકાથી પોલીસ ઝબકીને જાગી અને બન્ને સ્થળોએ દરોડા પાડીને કેટલાક ક્રાન્તિકારીઓને પકડી લીધા. આમાં રાજેંન્દ્ર લાહિડી ઉપરાંત બીજા આઠ – હરિનારાયણ ચંદા ( દક્ષિણેશ્વર જૂથના નેતા), અનંતહરિ મિત્રા, નિખિલ બૅનરજી, બીરેન બૅનરજી, સુધાંશુ ચૌધરી, ધ્રુબેશ ચૅટરજી. દેબીપ્રસાદ ચૅટરજી અને રાખાલ ડે પકડાઈ ગયા. એ જ દિવસે પોલીસે શોભાબજારમાંથી પ્રમોદ રંજન ચૌધરી અને અનંત ચક્રવર્તીને પણ પકડી લીધા. બધાને અલીપુર સેંટ્રલ જેલમાં મોકલી દેવાયા. માત્ર દોઢ મહિનામાં, ૧૯૨૬ની ૯મી જાન્યુઆરીએ કેસનો ચુકાદો આવ્યો અને જુદી જુદી સજાઓ કરવામાં આવી. નિખિલ, રાખાલ, ધ્રુબેશ અને બીરેનને પાંચ વર્ષની સખત કેદ અને દેબી પ્રસાદ અને સુધાંશુને બે વર્ષની સખત કેદ મળી. હરિનારાયણ ચંદા, અનંતહરિ મિત્રા અને રાજેન્દ્ર લાહિડીને દસ વર્ષ માટે કાળા પાણીની સજા થઈ. પરંતુ કાકોરી કાંડાના કેસમાં પણ લાહિડીનું નામ આવતાં એમને લખનઉ સેંટ્રલ જેલમાં મોકલી દેવાયા.
પરંતુ દક્ષિણેશ્વર બોંબ કેસના આરોપી ઉપરાંત અલીપુર સેંટ્રલ જેલમાં બીજા ક્રાન્તિકારીઓ પણ હતા અને એ શાંત નહોતા. ૧૯૨૬ના મે મહિનાની ૨૮મીએ એમણે નામચીન સ્પેશિયલ સુપરિન્ટેન્ડન્ટ રાયબહાદુર ભૂપેન્દ્રનાથ ચૅટરજીની જેલના કંપાઉંડમાં જ હત્યા કરી. એ ચાલાક હતો અને કેદીઓમાં મિત્ર તરીકે ભળી જતો અને માહિતી કઢાવવાની કોશિશ કરતો. બે ક્રાન્તિકારીઓ જદુનાથ અને યોગેશ ચંદ્ર ચૅટરજીએ આપેલી જુબાની મુજબ ક્રાન્તિકારીઓને એના માટે નફરત હતી અને એમણે એને માથા પર લોખંડનો સળિયો મારીને હત્યા કરી.
આ ઘટના પછી દક્ષિણેશ્વર કેસ ફરીથી ખોલવામાં આવ્યો અને પ્રમોદ રંજન, અનંતહરિ અને બીરેનને ફાંસીની સજા કરવામાં આવી અને બાકીના બધાને તરીપાર કરાયા. આ ચુકાદા સામે બૅરિસ્ટર એ. સી. મુખરજીએ કલકત્તા હાઈકોર્ટમાં અપીલ કરી તેમાં બીરેનની ફાંસી માફ થઈ ગઈ અને પ્રમોદ રંજન ચૌધરી અને અનંતહરિ મિત્રાને ૨૮મી સપ્ટેમ્બર ૧૯૨૬ના રોજ ફાંસી આપી દેવાઈ.
એમની ફાંસી પછી જે વિગતો બહાર આવી તે પ્રમાણે સુપરિન્ટેન્ડન્ટ પર સળિયાનો પ્રહાર ખરેખર નિખિલ બૅનરજી અને ધ્રુબેશ ચૅટરજીએ કર્યો હતો પણ રાયબહાદુર ભૂપેન્દ્રનાથને મારવાનો નિર્ણય સૌનો હતો એટલે કોને સજા થાય છે તે ક્રાન્તિકારીઓને મન મહત્ત્વની વાત નહોતી. એટલે કોઈએ આ વાત જાહેર ન કરી અને જેમણે ખરેખર હત્યામાં સીધો ભાગ નહોતો લીધો તે બે જણ પોતાના ગુપ્તતાના સોગંદ ખાતર ફાંસીએ ચડી ગયા.રાજેન્દ્ર લાહિડીને પછી કાકોરીના કેસ સાથે જોડીને ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લાની જેલમાં ફાંસી આપી દેવાઈ.
બધા વીરોને શત શત નમન.
000
સંદર્ભઃ
દીપક ધોળકિયા
વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com
બ્લૉગ સરનામું: મારી બારી
-
ધ્રોળ ધ્વજ સત્યાગ્રહ (ઈ. સ. ૧૯૩૧)
મહેબૂબ દેસાઈ
રાષ્ટ્રધ્વજ પરત મેળવવા ગુજરાતમાં ધ્રોળની પ્રજાએ કરેલો સત્યાગ્રહ. સૌરાષ્ટ્રમાં હાલના જામનગર જિલ્લામાં આવેલા ધ્રોળના જૂના દેશી રાજ્યમાં રાજા દોલતસિંહ(૧૯૧૪–૧૯૩૯)ના સમયમાં રાષ્ટ્રીય પ્રવૃત્તિઓને કચડી નાંખવામાં આવતી. ત્યાંના રાષ્ટ્રવાદી નેતા પુરુષોત્તમ ઉદેશીને રાજ્યની પોલીસે માર્ચ ૧૯૩૧માં જેલમાં પૂરી ખૂબ મારવાથી લોકોમાં ભય ફેલાયો હતો. ગાંધી-ઇર્વિન કરાર બાદ તેમને મુક્ત કરવામાં આવ્યા.
૧૯૩૧માં કરાંચીમાં કૉંગ્રેસ અધિવેશનમાં ધ્રોળના આગેવાનોએ ભાગ લઈ, રાજ્યના અન્યાય સામે લડવાની પ્રેરણા મેળવી. કૉંગ્રેસનો સંદેશો લોકોને પહોંચાડવા સ્થાનિક નેતાઓએ ધ્રોળમાં જાહેર સભા યોજી. રાજ્યની પોલીસે નિયત સ્થળે એકઠા થયેલા લોકોને વિખેરી નાખી પુરુષોત્તમભાઈ પાસેથી રાષ્ટ્રધ્વજ ખૂંચવી લીધો. તેથી તેમણે ધ્વજ મેળવવા ઉપવાસ કરી સત્યાગ્રહ આરંભ્યો. સૌરાષ્ટ્રના આગેવાન મણિલાલ કોઠારી ધ્રોળના દીવાનને મળ્યા ત્યારે દીવાને રાષ્ટ્રધ્વજ પાછો આપવાની ખાતરી આપવાથી પુરુષોત્તમભાઈએ પારણાં કર્યાં.
પરંતુ ઘણા દિવસ સુધી ધ્વજ પરત ન મળવાથી ફૂલચંદભાઈ શાહે પાંચ સ્ત્રીઓ સહિત ૫૪ સત્યાગ્રહીઓ સાથે ધ્રોળ જઈ ૨૬ મે, ૧૯૩૧ના રોજ સરઘસ કાઢી, દરબારગઢ ચોકમાં સભા ભરી ધ્વજ સોંપી દેવાની માગણી કરી. બીજે દિવસે સભા-સરઘસની મનાઈ ફરમાવી, સત્યાગ્રહીઓ પર લાઠીમાર કરી પુરુષોત્તમ ઉદેશીની ડેલીમાં જ બધાને ૨૪ કલાક સુધી પૂરી દેવામાં આવ્યા. ૩૦ મે, ૧૯૩૧ના રોજ ધોલેરા, બરવાળા, ભાવનગર વગેરે સ્થળેથી આવેલા સત્યાગ્રહીઓ સભા, સરઘસ તથા ઉપવાસમાં જોડાયા. ધ્રોળના લોકોએ સાંજે તેમને પારણાં કરાવ્યાં.
૩૧ મે, ૧૯૩૧ના રોજ પોલીસે ધ્વજ પરત કર્યો ત્યારે લોકોએ વિજયનો ઉત્સવ ઊજવ્યો.
આ સત્યાગ્રહથી ધ્રોળની કચડાયેલી પ્રજામાં અપૂર્વ જાગૃતિનો સંચાર થયો.
સંપાદકીય નોંધ:
૧. ગુજરાતી વિશ્વકોશમાં આવરી લેવાયેલ ૧૬૯ વિષયોમાં વિસ્તરેલાં અધિકરણૉમાંથી ચૂંટેલાં અધિકરણો વેબ ગુર્જરી પર રજૂ કરવાના ઉપક્રમના ભાગ રૂપે આ લેખ ‘ઇતિહાસ – ગુજરાત’ વિષયમાંથી પસંદ કરેલ છે.
૨.. આ માહિતી અહીં માત્ર વાચકોની જાણ માટે જ છે. તેનો આગળ ઉપયોગ કરતાં પહેલાં એ બાબતની ખાસ નોંધ લેવી ઘટે કે વિશ્વકોશનાં તમામ અધિકરણોના કોપીરાઈટ/માલિકીહક્ક ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના છે. એટલે એ લખાણો કે અધિકરણોનો ઉપયોગ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની પરવાનગી સહિત જ કરવો આવશ્યક છે. તે ઉપરાંત ‘આ લખાણ કે અધિકરણના કોપીરાઈટ/માલિકીહક્ક ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના છે’ તે મતલબનું લખાણ હોવું આવશ્યક છે.
-
મનભેદ
નિરંજન મહેતા
વહાલી સુલુ,
આપણે રૂબરૂમાં જે વિષય પર ચર્ચા કરી હતી ત્યારબાદ લાગ્યું કે તારા મનમાં બંધાયેલી ગ્રંથિઓને કારણે તને મારી વાત યોગ્ય નથી લાગી. કદાચ તે વિષે વિચાર કરવાની પણ તારી ઈચ્છા ન હોય તે પણ શક્ય છે એટલે આજે આ પત્ર દ્વારા મારા વિચારો સ્પષ્ટ કરૂ છું, સ્વસ્થ મને તે પર તું વિચાર કરશે જ તેની મને ખાત્રી છે.
ચિ. સ્વાતિનો ઉછેર આપણે સારી રીતે કર્યો છે અને તે માટે મારા કરતાં તે તેનો વધુ ખ્યાલ રાખ્યો હતો તે મારી જાણ બહાર નથી. સંતાનને સારા સંસ્કારો અને સારૂં ભણતર આપવું જે આપણી ફરજ હતી તે આપણે અને ખાસ કરીને તે સારી રીતે બજાવી છે તેમાં બે મત નથી. આજે જે રીતે સ્વાતિ સમજદાર ગણાય છે તે આપણા અહોભાગ્ય.
હવે મૂળ મુદ્દા પર આવું. સ્વાતિએ કપિલ સાથે પોતાની મરજીથી લગ્ન કર્યા જે માટે તારી નામરજી હતી. તે ન કેવળ મારી આગળ પણ સ્વાતિ આગળ પણ તારી આ નારાજગી વ્યક્ત કરી હતી. પણ પોતાના ભવિષ્યનો વિચાર કરતા સ્વાતિને પોતાનું પગલું યોગ્ય લાગ્યું અને જ્યારે તારો સાથ ન મળ્યો ત્યારે સિવિલ લગ્ન કરી લીધા અને પોતાનો અલગ ઘરસંસાર માંડ્યો. આં પણ તને પસંદ ન હતું.
કપિલ આપણી નાતનો નથી અને આપણી નાતમાં છોકરાઓની ખોટ પણ નથી. વળી કપિલની આર્થિક સ્થિતિ પણ સામન્ય છે એટલે સ્વાતિને ગૃહસ્થીમાં તકલીફ રહેવાની આવા વિચારો તે તારા મનમાં ધરબી રાખ્યા છે જેને કારણે ન તો તે આજ સુધી સ્વાતિને તેના નવા અવતારમાં અપનાવી છે ન તો તેની સાથે બોલવાનો સંબંધ પણ રાખ્યો છે.
ડિયર, આજે એકવીસમી સદી ચાલે છે. એટલે લોકોના માનસમાં ઘણા ફેરફાર થયા છે, તેમાંય ખાસ કરીને મુંબઈ જેવા અદ્યતન શહેરમાં વસતા લોકોની વાત જ ન્યારી છે. તારા જેવી ગ્રેજ્યુએટ મહિલાના વિચારો તો આગળ વધવા માટેના હોય. તેવી મહિલા જરૂર લાગે ત્યાં બાંધછોડ કરવા તૈયાર જ હોય. તેમ છતાં લાગે છે કે તારા સ્વાતિ પ્રત્યેના વિચારો અને વલણમાં કોઈ ફેરબદલાવ જણાતો નથી એટલે વાતચીત દ્વારા તેનો હલ ન દેખાતા આ પત્ર દ્વારા તારા વિચારોમાં કોઈ ફરક થાય તેમ માની લખું છું.
તું તો જાણે છે કે કપિલ ભણેલો-ગણેલો છે. તેના માતાપિતા પણ ગ્રેજ્યુએટ હોઈ તેમણે કપિલને એન્જીનિઅર બનાવવા સાથે સાથે સારા સંસ્કાર પણ આપ્યા છે. આ બધું તારી જાણ બહાર નથી તેની મને ખાત્રી છે. પણ તે છતાં તું હજી તારા વલણમાં મક્કમ ઊભી છે.
તને કદાચ કપિલની આર્થિક સ્થિતિની માહિતી ન પણ હોય એટલે તેની પણ જાણ કરી દઉં. આજકાલ સારી કંપનીમાં નોકરી મેળવવી કેટલી મુશ્કેલ હોય છે તે તને કહેવાની જરૂર છે? તેમ છતાં પોતાની લાયકાત ઉપર તે એક પ્રતિષ્ઠિત કંપનીમાં સારા હોદ્દા પર સ્થિત છે. શું આ તેની લાયકાત પુરવાર કરવા માટે બસ નથી? અરે, આ જ લાયકાતને કારણે તે ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યો છે અને મારા હિસાબે તો નજીકના ભવિષ્યા તે ઉચ્ચ હોદ્દા પર પણ પહોંચી જશે. હું તો ત્યાં સુધી માનું છું કે આજે જ્યારે નવોદિતોને તેમનાં સામર્થ્યને વિકસાવવા તક મળે છે તો કપિલ પોતાનો ખુદનો કારોબાર ચાલુ કરે તો તેની નવાઈ નહીં લાગે.
આટલું બધું હું કપિલ વિષે ક્યાંથી જાણું જ્યારે તે મને સ્વાતિ સાથે સંબંધ ન રાખવા કહ્યું હતું? પણ મને મારી દીકરીની ચિંતા ન હોય? તેથી હું મારી રીતે તપાસ કરતો હતો ત્યારે મને જાણ થઇ કે મારા કોલેજકાળનો એક મિત્ર કપિલની જ કંપનીમાં કામ કરે છે. મને તેની મૈત્રી કામ આવી અને મને જોઈતી માહિતી મળતી રહી. તેની કાબેલિયત જોઇને તેણે જ મને કહ્યું હતું કે કપિલનું ભવિષ્ય ન કેવળ તે કંપનીમાં પણ અન્ય ક્ષેત્રમાં પણ ઉજ્જવળ છે.
આજસુધી આ બાબતમાં મેં કેમ તને અંધારામાં રાખી એમ કદાચ તારા મનમાં પ્રશ્ન ઉઠે. પણ જે રીતે તારી ગ્રંથિઓએ તારા વિચારોને સ્થગિત કરી દીધા હોય ત્યારે તને કપિલ વિષે કોઈ વાત કરવાનો અર્થ ખરો? હતું કે જે દિવસે તું તેના તરફનો તારો અણગમો દૂર કરશે ત્યારે આ બધું જણાવીશ પણ તેવો કોઈ મોકો જ ન મળ્યો.
સ્વાતિને તેના સાસરે જે માનપાન મળે છે કદાચ તેની તને જાણ નહીં જ હોય. કારણ તે જાણવાનો તે પ્રયત્ન જ નથી કર્યો. અહી પણ તારી સ્વાતિ માટેની માનસિક સંકુચિતતા આડે આવતી હશે એમ માનું છું. જ્યારે આપણે ધારીએ તેમ ન થાય ત્યારે આપણને તેનો સંતાપ થાય જ પણ એક સમજદાર વ્યક્તિ તરીકે તેનું નિરાકરણ કરીને માર્ગ કાઢીએ તો તે આપણને માનસિક પરિતાપમાંથી ઉગારી શકે છે. એક મા તરીકે મોટું મન રાખી શકાય તેવી અપેક્ષા તારી દીકરી રાખે તેમાં કોઈ નવાઈ છે? તારે પણ તારી સંકુચિતતાના કોશેટામાંથી બહાર આવી પરિસ્થિતિને સંભાળી લેવી જોઈએ તે હવે નથી લાગતું? મારા હિસાબે તો આટલા સમય બાદ તારૂં મન કુણું પડવું જોઈએ. પણ તું તારા વિચારોને હજી પણ પ્રગટ કરતી નથી પણ મને ખાત્રી છે કે તારા મનમાં તો એક મા તરીકે સ્વાતિ માટેના વિચારો જરૂર આવતા હશે. જો તેમ હોય તો હવે તે પ્રગટ કરીશ?
યાદ છે જ્યારે સ્વાતિએ પોતાના મનની વાત આપણને કરી અને કપિલ સાથે લગ્ન કરવાની મંજૂરી માંગી ત્યારે ભલે તે ઘસીને ના પાડી હતી પણ તને ખાત્રી હતી કે તે તેનું ધાર્યું કર્યા વગર નહીં રહે કારણ તેનામાં પણ તારા જેવી ખુદ્દારી છે. ભલે તે તેની સાથે તે વખતે તારા સંબંધ તોડી નાખ્યા હતાં પણ સ્વાતિએ જ મને કહ્યું હતું કે મારે તારી ઉપર આ સંબંધ સાંધવા કોઈ દબાણ ન કરવું, કારણ તે જાણતી હતી કે સમય સમયનું કામ કરશે અને એક દિવસ તું તેને ફરી અપનાવી લેશે.
દરેક દીકરી ભલે સાસરે સુખી જણાતી હોય તો પણ એવી કેટલીક વાતો હોય છે જે એક દીકરી મા આગળ જ ખુલ્લા મને કરી શકે છે. આજ સુધી તારા વર્તનને કારણે તે આ બાબતથી વંચિત છે તેની તને સમજ હશે જ. જો તે પોતાની વ્યથામાં તેની માને ભાગીદાર ન કરી શકે તો બીજું કોણ છે જેની આગળ તે વ્યક્ત કરે? મારી આગળ તો નહીં જ તે તું પણ સમજી શકે છે.
આટલું જાણ્યા બાદ પણ હજી તારી માનસિક તૈયારી ન હોય તો હવે પછીની વાત જાણી મને ખાતરી છે કે તું ગઈ ગુજરી ભૂલી જશે. મારા અન્ય સુત્રો તરફથી જાણવા મળ્યું છે કે તું નાની બનવાની છે. આવે સમયે જો મા દીકરીની પડખે ન હોય તો દીકરીની માનસિક સ્થિતિ કેવી થઇ જશે તે તું સારી રીતે સમજી શકે છે. આમેય તે બાળકો તને પ્રિય છે તો આવનાર વ્યાજને તું કેમ અળગું રાખી શકીશ?
એક વાત યાદ કરાવું? હમણાં થોડા સમય પહેલા તારા ભાઈને ત્યાં પણ આવી જ સમસ્યા ઉત્પન્ન થઇ હતી. તેમની દીકરી સંગીતાના સંદર્ભમાં. ભાઈ તો તૈયાર હતાં જ પણ તારા ભાભીએ સમય પારખી તેના નિર્ણયને દિલથી આવકાર્યો હતો ને? આ પછી મને લાગ્યું કે હવે તારૂં મન પણ થોડું નરમ પડ્યું હશે માની રૂબરૂમાં વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ મારી માન્યતા ખોટી નીવડી. હવે કોઈ ચર્ચાનો અવકાશ નથી એટલે આ પત્ર દ્વારા બધું જણાવ્યું છે. વિગતો વાંચીને શાંતિથી વિચાર કરજે. ભલે અત્યારે તું તારી સ્વાતિ પ્રત્યેની લાગણીને બહાર લાવી નથી શકતી પણ જાગ્યા ત્યારથી સવાર માની તું જ જો પહેલ કરી સ્વાતિને ફોન કરશે તો ન કેવળ સ્વાતિને પણ મને પણ તેનો આનંદ થવાનો તેમાં બે મત નથી. હા, હજી કપિલને મળવા માટે તું કદાચ અચકાય તે પણ સમજાય એવું છે. ભલે, તેને માટે થોડો સમય રાહ જોઈશું પણ અંતે તેને પણ તું માફ કરીને મળશે એમ હું માનું છું.
તો હવે નવી દિશામાં ડગ માંડજે, સ્વાતિને ફોન કરીને.
તારો જીવનસંગી
Niranjan Mehta
A/602, Ashoknagar(old),Vaziranaka, L.T. Road,Borivali(West),Mumbai 400091Tel. 28339258/9819018295વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com -
અનોખું બંધન
વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
“હોસ્પિટલમાં છું, ચિંતાનું કોઈ કારણ નથી પણ, પત્રને તાર સમજીને તરત આવી જાવ.”- રમા.
દર વર્ષની જેમ આ વર્ષે રમા રક્ષાબંધન કરવા એના ભાઈના ઘરે જવા નીકળી હતી. બે દિવસ પછી રેડિયો અને અખબારમાં પ્રસરિત થતા સમાચાર પરથી સંતોષને જાણ થઈ કે કુંવારી નદીમાં ભીષણ પૂર આવવાથી જાનમાલને ખૂબ નુકશાન પહોંચ્યું છે જેનો સત્તાવાર આંકડો આપવો મુશ્કેલ છે.
ક્યાં હશે? અરે જીવિત હશે કે કેમ એ શંકાકુશંકામાં આખો એક મહિનો પસાર થવા આવ્યો ત્યારે ઓચિંતો રમાનો પત્ર મળતા અચંબાથી સંતોષ પત્ર સામે તાકી રહ્યો ને પછી તો લગભગ પચ્ચીસ વાર એ પત્ર વાંચી ગયો. એને વિશ્વાસ નહોતો આવતો કે રમા જીવે છે અને એ હવે એની રમાને મળશે.
રમાના સમાચાર જાણવા સંતોષે કેટલાય તાર કર્યા હતા, પણ રમાના ભાઈ તરફથી ક્યાંય સુધી એનો કોઈ પ્રત્યુત્તર સાંપડ્યો નહોતો.
અંતે એક દિવસ ભાઈનો પત્ર આવ્યો. એના પરથી એટલું સમજાયું કે જ્યારે પૂર આવ્યું એ દિવસે રમા એની કોઈ સહેલીને મળવા ગઈ હતી. રાત્રે પૂરનાં પાણી ચારેકોર તારાજી સર્જી રહ્યાં હતાં. સૌ કોઈ એ સમયે માલસામાનની ચિંતા કર્યા વગર જીવ બચાવાવાની મથામણમાં પડ્યાં હતાં. બે દિવસ પછી પૂર ઓસરતાં રમાના ભાઈએ રમાની તપાસ આદરી હતી. કોઈ ભાળ મળી નહીં એટલે રમા પાછી ઘેર પહોંચી ગઈ હશે એમ માની લીધું.
ત્યારથી સંતોષે પણ પોતાની રીતે રમાની તપાસ આદરી. કુંવારી નદીના પટ સુધી એ જઈ આવ્યો. ત્યાં તૂટેલો પુલ અને બચેલા અવશેષ જોઈને એ મનથી સાવ તૂટી ગયો. સરકારી કચેરીમાંથી પણ કોઈ જાણકારી ન મળતાં રમા જીવતી હશે કે કેમ એ વિચારે મન આશંકાથી ઘેરાઈ ગયું હતું તેમ છતાં એણે આશા છોડી નહોતી.
આજે રમાનો પત્ર મળતાં એની આશા ફળીભૂત થઈ. હવે એક ક્ષણ એ રાહ જોવા તૈયાર નહોતો. રમાને જોવા એનું મન એટલું તો અધીર થઈ ગયું કે દક્ષિણ એક્સપ્રેસ જેવી ફાસ્ટ ટ્રેનની ગતિ પણ એને લોકલ ટ્રેન જેવી ધીમી લાગી.
ગ્વાલિયર પહોંચતા રાત પડી ગઈ. હોસ્પિટલમાં રાત્રે અગિયાર વાગ્યે પ્રવેશ મળવો મુશ્કેલ હતો એટલે રમાને મળવા સવાર સુધી રાહ જોયા વગર કોઈ છૂટકો નહોતો. હોસ્પિટલની સામેના મુસાફરખાનાની બેંચ પર એણે લંબાવ્યું. કેટલાય સમયથી એની આંખ અને ઊંઘની દોસ્તી છૂટી ગઈ હતી. આજ સુધી ઊંઘ ન આવવાનું કારણ રમા હતી અને આજે પણ રમા જ હતી, પણ બંને સ્થિતિમાં આભ-જમીનનું અંતર હતું.
સવાર પડતાં હોસ્પિટલમાં રમાને જોવા એ અધીરો બન્યો. ઇન્ક્વારી કાઉન્ટર પર કેટલાય સવાલોના જવાબો આપ્યા પછી એને રમાને મળવાની અનુમતિ મળી. કાઉન્ટરથી રમા સુધી પહોંચવાનો કૉરિડૉર વટાવતા એના મનમાં એક અજબ કલ્પના ફરી સળવળી. લગ્નના થોડા સમય પછી એણે કેટલીય વાર એવી કલ્પના કરી હતી કે,
‘હોસ્પિટલના કૉરિડૉરમાં એ બેચેનીથી આંટા મારી રહ્યો છે. અંદર રમા વેદનાથી પીડાઈ રહી છે અને થોડી વારમાં અંદરથી નર્સ આવીને કહે છે કે, “મિસ્ટર સંતોષ અભિનંદન…”
વર્ષોના વર્ષો આ સાંભળવા એના કાન તલપાપડ થતાં રહ્યા. ધીમેધીમે એ આશા ઉત્કંઠામાં અને પછી નિરાશામાં પલટાઈ.
અંતે સંતોષે નિયતીનો આદેશ માનીને હકિકતનો સ્વીકાર કરી લીધો, પણ રમા સ્વીકારી નહોતી શકી. આસપાસના પડોશીઓથી માંડીને સંબંધીના વણપૂ્છાયેલા સવાલોનો એ સામનો કરી શકતી નહોતી. હારીને રમાએ કોઈ બાળક દત્તક લેવા સુધીની તૈયારી દર્શાવી હતી. સંતોષ એ માટે જરાય તૈયાર નહોતો. કોણ જાણે કોનું બાળક, કેવું બાળક, ના એ તો શક્ય જ નથી.
કૉરિડૉર વટાવીને એ રમાના વૉર્ડ સુધી પહોંચ્યો. સાવ નિસ્તેજ ચહેરે રમા ઊંઘતી હતી. સંતોષને એની પર વહાલ ઊભરાઈ આવ્યું. એને ઊંઘતી જ જોયા કરી. ધીમેથી ત્યાં મુકેલું નાનકડું ટેબલ ખેંચીને બેસવા ગયો અને રમાની ઊંઘ તૂટી.
આંખ મળતાં અગણિત શબ્દહીન સવાલોની સાથે કંઈ કેટલીય લાગણીઓની ઝડી વરસી. ત્યાં ખભા સુધી ચાદર ખેંચીને સૂતેલી રમાની બાજુમાં જાણે વાળના ગુચ્છા જેવું કંઈક હલતું સંતોષને દેખાયું. સંતોષને થયું કે આ માત્ર એનો ભ્રમ હોઈ શકે. કેટલાય વર્ષો સુધી કરેલી કલ્પના સાકાર થયાનો ભાસ હોઈ શકે, પણ ના એ કોઈ કલ્પના નહોતી.
એ ગુચ્છાદાર વાળવાળી એક છોકરીએ ચાદરમાંથી બેઠા થઈને રમાને કાલી ભાષામાં કંઈક કહ્યું. રમાએ ઊઠીને એ બાલિકાને પાણી આપ્યું.
“કોણ છે આ?” સંતોષથી પૂછાઈ ગયું.
“કોને ખબર, પણ પૂરથી બચવાની ભાગદોડમાં મારી સાથે એક દંપતિ અને એમની આ બાળકી હતાં. દંપતિએ તો પૂરમાં જળ સમાધિ લઈ લીધી અને બચી આ બાળકી. એ દિવસથી મારી પાસે છે. સોનુ, હવે તો આ બાળકી માટે તમે મને ના નહીં પાડો ને? ઈશ્વરે જ એને મારી ગોદમાં મૂકી છે. એ વાતનો અનાદર નહીં કરો ને?”
“હું ડૉક્ટરને મળીને ક્યારે રજા આપશે એ જાણીને આવું.”
બીજું કશું જ બોલ્યા વગર સંતોષ બહાર આવ્યો. રમાના સવાલથી પંખાની હવા વચ્ચે પણ એને જાણે અકળામણ થતી હોય એમ પરસેવે નાહી રહ્યો.
રમાના ડિસ્ચાર્જ સાથે પેલી બાળકી માટે શું નિર્ણય કર્યો એવા ડૉક્ટરના સવાલથી સંતોષ વધુ અકળાઈ ઊઠ્યો.
“You can’t force me Doctor.”
“Of course not. પણ તમારી પત્નીના સ્વાસ્થ્ય માટે થઈને મારી સલાહ છે કે એ અંગે મના ના કરતા. કદાચ તમારી નામરજીના ડરથી જ તમારી પત્નીએ તમને જાણ કરી નહોતી.” ડૉક્ટરે શાંતિથી કહ્યું.
સંતોષે કોઈ જવાબ ના આપ્યો. એને એવું લાગી રહ્યું હતું કે જાણે એને કોઈ મોટા ષડયંત્રનો હાથો બનાવવામાં આવી રહ્યો છે.
ત્રીજા દિવસે જ્યારે સંતોષ રમાને લઈને નીકળ્યો ત્યારે એ બાળકી સાથે હતી. નર્સે એના વાળ સરસ રીતે કાપી આપ્યા. ડૉક્ટરે આપેલું ફ્રોક, હોસ્પિટલના સ્ટાફે આપેલી કેટલીય ભેટ એ બાળકી પ્રત્યેનો પ્રેમ દર્શાવતી હતી. સંતોષ સાવ તટસ્થતાથી આ બધું જોઈ રહ્યો હતો. રમા ખૂબ ખુશ હતી. હર્ષોલ્લાસથી એની બીમારી સુદ્ધાં એ ભૂલી ગઈ હતી.
આખા રસ્તે એ બાળકીને રમાડવામાં વ્યસ્ત રહી. બાળકીએ પાપા કહીને સંતોષને બોલાવવા પ્રયત્ન કર્યો પણ સંતોષ મ્હોં ચઢાવીને ટ્રેનની બારીની બહાર જોતો રહ્યો.
ઘર સુધી પહોંચતામાં રાત પડી ગઈ હતી. આસપાસના પડોશીઓના સવાલોના જવાબ નહીં આપવા પડે એ વિચારે સંતોષને શાંતિ થઈ.
રમાએ એની અને સંતોષની વચ્ચેની જગ્યાએ બાળકીને સૂવડાવી. આ આખી પ્રક્રિયા સંતોષે સાવ અલિપ્ત રહીને જોયા કરી. સંતોષના આવા વર્તનથી દુભાયેલી, બીમારીની અસરના લીધે કમજોર અને થાકેલી રમા પલંગના બીજા છેડા પર જઈને સૂઈ ગઈ.
સોનેરી વાળ, કુમળી પાંદડી જેવા હોઠ પર ફેલાયેલું સ્મિત અને ચહેરા પરની નિર્દોષતા સામે અપલક જોઈ રહેલા સંતોષે ખસી ગયેલી ચાદર હળવેથી ખેંચીને બાળકીના નાના હાથ અને પગ પર ઓઢાડી દીધી. ઊંઘમાં જ સળવળતી બાળકીને ધીમે ધીમે થપથપાવવા માંડી. એ બાળકીના રેશમી સ્પર્શથી સંતોષના મન-હૃદયે અજબ સ્પંદનનો અનુભવ કર્યો.
સવાર પડતાં રમાની આંખ ખૂલી. સંતોષના પડખામાં એ બાળકીને સૂતેલી જોઈને સાવ અકલ્પનીય દૃશ્યથી એ રોમંચિત થઈ ઊઠી. બાળકીના નાના હાથ સંતોષના ગળે વીંટળાયેલા હતા અને સંતોષના મજબૂત હાથ બાળકીની પીઠ પર મમતાથી લપેટાયેલા હતા.
રમા આ અતિ વહાલું લાગતું દૃશ્ય જોઈને સંતોષપૂર્વક જરા પણ અવાજ ન થાય એમ બહાર નીકળી ગઈ.
માલતી જોશી લિખિત વાર્તા ‘નયે બંધ’ પર આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
અમર (૧૯૫૪)
ટાઈટલ સોન્ગ
(આ શ્રેણીમાં હિન્દી ફિલ્મોમાં આવતાં ટાઈટલ્સ દરમિયાન વાગતાં ગીતો વિશે વાત કરવાનો ઉપક્રમ છે.)
બીરેન કોઠારી
ફિલ્મનો નાયક નકારાત્મક ભૂમિકા કરે એ પ્રમાણ જૂજ હતું. એવું સાવ નહોતું એમ નહીં. એ સમયે મહેબૂબ ખાન નિર્મિત-દિગ્દર્શીત ‘અમર’માં દિલીપકુમારે કંઈક એ પ્રકારની કહી શકાય એવી ભૂમિકા ભજવેલી. અલબત્ત, એ સાવેસાવ નકારાત્મક એટલે કે ખલનાયક પ્રકારની નહોતી. ૧૯૫૪માં રજૂઆત પામેલી ‘મહેબૂબ પ્રોડક્શન્સ’ની અમર એટલે ગીતકાર શકીલ બદાયૂંની અને સંગીતકાર નૌશાદનાં ગીતોની રસલ્હાણ. મહેબૂબ ખાને ‘અમર’ અગાઉ ‘અંદાઝ’ અને ‘આન’માં દિલીપકુમારને દિગ્દર્શીત કર્યા હતા. આ બન્ને ફિલ્મો પણ મ્યુઝીકલ હીટ હતી.
મહેમદાવાદમાં અમારા ઘરની બિલકુલ સામે એક ડૉક્ટરનું મકાન હતું. આજે પણ એ છે. એ ડૉક્ટરને ત્યાં એ સમયે ડેક અને એમ્પ્લિફાયર સાથેનું ટેપરેકોર્ડર હતું, જેમાં તે લગભગ આખો દિવસ ગીતો વગાડતા રહેતા. અવાજ ઘણો મોટો રાખતા એટલે રસ્તે જતા સૌ કોઈને એમ અમને સૌને પણ એ સંભળાતાં. તેઓ ખાસ કરીને જૂની ફિલ્મનાં ગીતોનાં શોખીન એટલે અમુક ગીતો એમને ત્યાંથી અમારા કાને સતત પડતાં રહે. આથી ઘણાં ગીતોથી અમે એ રીતે પરિચીત થઈ ગયેલા, પણ એમાંના મોટા ભાગનાંની ફિલ્મનું નામ ખબર નહીં.

એ પછીના અરસામાં અમે રેકોર્ડપ્લેયર વસાવ્યું. ધીમે ધીમે, પૈસાની જોગવાઈ હોય એ મુજબ રેકોર્ડ ખરીદતા ગયા. એ ક્રમમાં એક વાર ઉર્વીશ મુંબઈથી ‘અમર’ની એલ.પી.રેકોર્ડ લઈ આવ્યો. એ રેકોર્ડ ચડાવી અને એક પછી એક ગીત શરૂ થયાં. પ્રત્યેક ગીત અમને સુખદ આંચકો આપતું ગયું. અમારા મોંમાંથી લગભગ એકસરખા ઉદ્ગાર નીકળતા: ‘અરે! આ પણ ‘અમર’નું છે!’ કારણ એ કે એ તમામ ગીતો અમારા કાને ડૉક્ટરના ટેપરેકોર્ડર દ્વારા પડી ચૂકેલા અને અમે એનાથી ઘણા પરિચીત થઈ ગયેલા, પણ એ તમામ ગીત એક જ ફિલ્મનાં છે એ તો રેકોર્ડ પર સાંભળ્યાં ત્યારે જ ખબર પડી.
દિલીપકુમાર, મધુબાલા, નિમ્મી, જયંત જેવા મુખ્ય કલાકારોને ચમકાવતી ‘અમર’નાં કુલ દસ ગીતો હતાં. નવાઈ લાગે એવી વાત એ છે કે એક સિવાયનાં તમામ ગીતો નાયિકાના મુખે ગવાયેલાં હતાં. જે એક ગીત પુરુષસ્વરમાં હતું એ પણ પાર્શ્વગાન તરીકે.

(ડાબેથી: નૌશાદ, મ.રફી અને શકીલ) બાકીનાં નવ ગીતો પૈકી બે ગીત આશા ભોસલે દ્વારા ગવાયાં હતાં અને સાત ગીત લતા મંગેશકર દ્વારા. આશા ભોસલે દ્વારા ગવાયેલાં બે ગીત હતાં ‘ઈક બાત કહૂં મેરે પિયા સુન લે અગર તૂ’ અને ‘રાધા કે પ્યારે કૃષ્ણકન્હાઈ’. લતા દ્વારા ગવાયેલાં ગીતોમાં ‘ઉદી ઉદી છાઈ ઘટા’, ‘ઉમંગોં કો સખી પી કી નગરિયા’, ‘તેરે સદકે બલમ ન કર કોઈ ગમ’, ‘ન મિલતા ગમ તો બરબાદી કે અફસાને કહાં જાતે’, ‘ન શિકવા હૈ કોઈ, ન કોઈ ગિલા હૈ’, ‘જાનેવાલે સે મુલાકાત ના હોને પાઈ’ અને ‘ખામોશ હૈ ખેવનહાર મેરા’. એક સાંભળીએ ને એક ભૂલીએ એવાં ગીતો!
પુરુષગાયકના સ્વરમાં ગવાયેલું એક માત્ર ગીત એટલે ‘ઈન્સાફ કા મંદીર હૈ યે ભગવાન કા ઘર હૈ’. આ ગીતને ફિલ્મના ટાઈટલ સોન્ગ તરીકે મૂકવામાં આવ્યું હતું, જે ફિલ્મની વાર્તાના મધ્યવર્તી વિચારને રજૂ કરે છે. ફિલ્મનો આરંભ જેમ આ ગીતથી થાય છે એમ તેનો અંત પણ આ જ ગીતથી આવે છે. મહંમદ રફીએ ગાયેલા આ ગીતમાં તેમના સ્વરની બુલંદી ગજબની નીખરી છે. એકદમ તીવ્ર સપ્તકમાં તેઓ પોતાનો સ્વર લઈ જાય છે, છતાં તેમનું માધુર્ય જળવાઈ રહે છે. ગીત ફિલ્મમાં ચાર તબક્કે આવે છે. અને ચારે વાર તેમાં વાર્તાની પરિસ્થિતિ અનુસારના શબ્દો છે. ટાઈટલ દરમિયાન એક હિસ્સો, બે ભાગ વચ્ચે અને અંત ભાગે ચોથો હિસ્સો.
આ ગીતમાં તંતુવાદ્યસમૂહ તેમજ શરણાઈનો અસરકારક ઊપયોગ છે. આ ઉપરાંત વચ્ચે વચ્ચે આવતા ઘંટના રણકાર જુદી જ અસર ઊભી કરે છે.
અહીં એ ગીત આખું મૂક્યું છે. શકીલ બદાયૂંનીએ લખેલા અને નૌશાદે સ્વરબદ્ધ કરેલા આ ગીતના શબ્દો નીચે મુજબ છે:
इन्साफ का मंदिर है ये…
भगवान का घर है…
इन्साफ का मंदिर है ये, भगवान का घर है
कहना है जो कह दे, तुझे किस बात का डर है
है खोट तेरे मन में, जो भगवान से है दूर
है पाँव तेरे फिर भी तू आने से है मजबूरઆ પંક્તિ પર ટાઈટલ્સનું સમાપન થાય છે અને ફિલ્મની કથા આરંભાય છે.
ફિલ્મની વચ્ચેના ભાગમાં ફરી એક વાર મુખડું વાગે છે અને ગીતની ધૂન પણ.
इन्साफ का मंदिर है ये, भगवान का घर है
कहना है जो कह दे, तुझे किस बात का डर है
है खोट तेरे मन में, जो भगवान से है दूर
है पाँव तेरे फिर भी तू आने से है मजबूर
हिम्मत है तो आजा, ये भलाई की डगर है
इन्साफ का मंदिर है…दुःख दे के जो दुखिया से ना इन्साफ करेगा
भगवान भी उसको ना कभी माफ़ करेगा
ये सोच ले…
ये सोच ले…
ये सोच ले हर बात की दाता को खबर है
हिम्मत है तो आजा, ये भलाई की डगर है
इन्साफ का मंदिर है…આ ચોથો હિસ્સો ફિલ્મના અંત ભાગે છે.
है पास तेरे जिसकी अमानत उसे दे दे
निर्धन भी है इंसान, मोहब्बत उसे दे दे
जिस दर पे सभी एक हैं बन्दे, ये वो दर है
इन्साफ का मंदिर है…मायूस ना हो, हार के तक़दीर की बाज़ी
प्यारा है वो गम, जिसमें हो भगवान भी राज़ी
दुःख दर्द मिले जिसमें, वही प्यार अमर है
ये सोच ले हर बात की दाता को खबर है
इन्साफ का मंदिर है…ફિલ્મમાં ટુકડેટુકડે આવતા આ ગીતના તમામ હિસ્સા આ ક્લીપમાં સાંભળી શકાશે.
(તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
ફિલ્મી ગઝલો – ૫૧. શમ્સ લખનવી
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
સૂર્ય માટે ઉર્દુમાં પર્યાયવાચી શબ્દો છે આફતાબ, ખુરશીદ અને શમ્સ.
આજે વાત કરીએ ગીતકાર શમ્સ લખનવીની. લખનવીઓમાં આરઝૂ લખનવી અને નૂર લખનવીની વાત આપણે કરી ગયા. શમ્સ સાહેબે પણ ગીતો કરતા ફિલ્મોની વાર્તા, કથા – પટકથા લેખનમાં વધુ કાઠું કાઢેલું. વ્હી. શાંતારામની પરછાંઈ, દહેજ અને સહેરા ઉપરાંત મહેબુબ ખાનની અંદાઝ તેમજ દુલારી, ઝાંસી કી રાની અને નૌશેરવાને આદિલ જેવી ફિલ્મો એમણે લખેલી.સોએક ફિલ્મી ગીતો પણ એમનું પ્રદાન. એમણે ગીતો લખ્યા એવી કેટલીક ફિલ્મો એટલે દોસ્ત, શીશ મહેલ, લાલ હવેલી, ઈસ્મત, સમ્રાટ અશોક, મઝધાર, શમા, દિલ, નૌકર, હીરા, બોલતી બુલબુલ, બેડા પાર અને વિશ્વાસ વગેરે.
તેમની લખેલી બે ગઝલો :
દિલ લગાને મેં કુછ મઝા હી નહીં
ઇસ ઝમાને મેં જબ વફા હી નહીંદિલજલોં કા વો હાલ ક્યા જાને
જિસકા દિલ ખુદ કભી જલા હી નહીંફસ્લે ગુલ આઈ ભી ચલી ભી ગઈ
ગુંચા એ આરઝુ ખિલા હી નહીં..ફિલ્મ: શહેનશાહ બાબર ૧૯૪૪
– ખુરશીદ
-ખેમચંદ પ્રકાશ
દો દિન બહાર ફૂલ તો દિખલા કે રહ ગયે
જલતી હુઈ હવાઓ મેં કુમ્હલા કે રહ ગયેવો ઐસે ખુશનસીબ નઈ ઝિંદગી મિલી
હમ ઐસે બદનસીબ – ઉન્હે પા કે રહ ગએજો દિલ કી હસરતેં થીં વો દિલ હી મે રહ ગઈ
મંઝિલ કે હમ કરીબ ગએ – જા કે રહ ગએગુંદી હે હમને પ્રેમ કે સહરે કી હર લડી
આંસુ હમારી આંખ મેં આ – આ કે રહ ગએ..– ફિલ્મ: દહેજ 1950
– જયશ્રી
– વસંત દેસાઈ
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
“ સુખ વહેંચણી ” નો નવતર પ્રયોગ “ ખેડુતોની વાડીઓમાં નિયમિત મિલન”
કૃષિ વિષયક અનુભવો
હીરજી ભીંગરાડિયા
કોઇ સગા-સંબંધી કે સ્નેહી-સ્વજનના કુટુંબમાં મૃત્યુનો પ્રસંગ આવી પડ્યો હોય, ત્યારે આપણે ખરખરે [ખોંખારે] જતાં હોઇએ છીએ. એવું જ કોઇ ઓળખીતા પાળખીતા કે સ્નેહી સંબંધીમાં આવી પડેલ બીમારી કે અકસ્માતનો ભોગ બની પથારી સેવતા જણની ખબર પૂછવા પણ જતા હોઇએ છીએ. તમે યાદ કરજો ! ક્યારેક તેમના ઘરમાં નાની મોટી ચોરી થવા પામી હોય કે પછી અવળા સંજોગોનો ભોગ બની ધંધામાં લાંબી-ટૂંકી નુકશાની થવા પામી હોય, ત્યારેયે આપણે સમય કાઢીને ખાસ હુંફ-હોંકારો કે શક્ય તેટલો આર્થિક ટેકો પહોંચાડવાની ફરજ સમજતા હોઇએ છીએ. અરે ! આતો બહુરંગી જીંદગી છે ભાઇ ! કઠણાઇ માથા મારતી હોય, તો કોઇ શખ્સ-ઇસમ સાથે નજીવી બાબતમાં જીભાજોડી અને વાતવાતમાં વાત વધી જતાં કજિયો-કંકાસના ભોગ બની જવાયું હોય, ત્યારે એ કુટુંબને દિલાસો દેવાનું આપણે ચૂકતા નથી એવું બને છે ને ? ઊંડો વિચાર કરીએ તો સમજાયા વિના નહીં રહે કે મૃત્યુ પ્રસંગનો ખોંખારો, બીમારીમાં ખબર પૂછવી, ચોરી કે ધંધા-ફટકામાં આર્થિક ટેકો અને ઝઘડા-ટંટામાં અપાતો દિલાસો – આ બધાંમા પ્રસંગોપાત બોલાતા વેણ-વાક્યો ભલે અલગ અલગ વપરાયા હોય- ભાવાર્થ બધાનો એક જ છે કે “ સામાના દુ:ખમાં ભાગ પડાવવો.” અને એનું પરિણામ મળે છે હો મિત્રો ! આપણા તરફથી સાચા હદયથી એ પ્રસંગની પતાવટ માટે જરૂરી માર્ગદર્શન-ટેકો-સોઇ-હુંફ-મદદ જ્યારે મળે છે, ત્યારે તે કુટુંબનું દુ:ખ જરૂર હળવું પડે છે.
એવું જ સુખની વહેંચણીનું =
જીંદગીમાં સુખના પ્રસંગો જ્યારે આવે – જેમ કે ઘેર દીકરી-દીકરાનો જન્મ થાય, તેની વર્ષગાંઠ ઉજવાતી હોય, યુવાન દીકરી-દીકરાનાં લગ્ન લેવાણાં હોય, નવા મકાનના વાસ્તુનો પ્રસંગ હોય, કે ક્યારેક યાત્રા-પ્રવાસ કે પરદેશગમનની વધાઇનો પ્રસંગ ભલેને હોય ! આવા બધા હરખના પ્રસંગે કુટુંબના બે-ત્રણ કે પાંચ-સાત સભ્યો જે હોય, માત્ર એના એ જ એ પ્રસંગની હોંશ માણી પ્રસંગને પૂરો નથી કરી દેતા ! પણ જેવી જેની પહોંચ અને મિત્રવર્તૂળ,સગા-સંબંધી, ઓળખિતા સમાજમાં જેવા જેના સંબંધો-બધાને ફોન, પત્ર,આમંત્રણ કે રુબરૂ તેડાં મોકલી,સૂર-સંગીત-જમણવાર અને પહેરામણી સાથેના પ્રસંગની ઉજવણીમાં સૌને ભાગીદાર બનાવીએ જ છીએને ! આ બધું શું છે કહો ! સુખની વહેંચણી કરી, સુખને વધુ મોટું કરવાના જ પ્રયત્નો થયા ગણાયને ?
પણ આ તો થઇ માત્ર સામાજિક વ્યવહારો અને સંબંધો જીવતા રાખવાના પ્રયત્નોની વાત. પણ આપણે તો કરવી છે તે ઉપરાંતની 65-67 ટકા લોકો જેનાપર નિર્ભર છે,તેવા ખેતીવ્યવસાયમાં પડેલાઓમાં પણ આવું કંઇ થઇ શકે કે નહીં એની વાત 1
જવાબ છે હા ! =
જરૂર થઇ શકે. બીજા ધંધાઓમાં થોડી મોનોપોલી ભળાઇ રહી છે તે વાત સાચી, પણ ખેતીનો ધંધો એટલો વિશાળ અને સર્વત્ર વિસ્તરેલો છે, કે એમાં ‘મોનોપોલી’ જેવું કંઇ હોતું નથી. વળી આખો વ્યવસાય કુદરતી પરિબળો ને હોય છે પૂરેપૂરો આધિન ! એટલે બધી બાબતોમાં ખેડુતનું જ ધાર્યું થઇ રહે એવુંએ ખેતીમાં બનતું નથી. ખેતી એતો ખુલ્લો, બાપેય કરે અને બેટોયે કરે–એવો જાહેર ધંધો હોઇ, એકબીજાથી છૂપાવવાપણું કે ખાનગી રાખવાનું કોઇ કારણ પણ નથી.
ઉલટાનું કોઇ નવા સફળ બીજ, કોઇ નવી પધ્ધતિ કે નવો પ્રોજેક્ટ દાખલ કરવાનું મન થાય, ત્યારે એકલા એકલા એનો અમલ કરવાને બદલે બે-ત્રણ કે પાંચ જણને એની જાણ કરી, એને પણ સાથે જોડ્યા હોય તો-વાડી એમની, મહેનત એમની, ખર્ચ પણ એમણે કરવાનો અને લાભ થાય તો ‘જશ’ આપણને આપે ! એટલે અન્યને લાભ અપાવવામાં નિમિત્ત આપણે બન્યા ! “ न हिंग लगे न फिटकरी, और रंग गाढा आये !” માત્ર આંગળી ચિંધ્યાનું જ પૂણ્ય ! કહો, આવો પ્રયત્ન શુંકામ ન કરવો ? હા, પણ આ તો જ શક્ય બને, જો આપણા મનમાં બીજાને લાભ થઇ જાય, તે બાબતની ઇર્ષા ન હોય તો ! બીજાને કેમ વધુમાં વધુ ઉપયોગી થવાય, તેવી ભાવના હોય તો જોડાઇ રહેવાનાં પરિણામ તો સારાં જ મળતાં હોય છે મિત્રો !
છેલ્લા ૪૭ વરસથી આદરેલા ખેતીના વ્યવસાયમાં જ્યાં કયાંયથી નવી વાત, નવી પધ્ધતિ, બિયારણ કે નાનો એવો નુસ્ખો પણ હાથ લાગ્યો છે, ત્યારે પોતાની વાડીમાં, જાત દેખરેખ નીચે તેની ચકાસણી કરીને પરિણામો લીધા છે. જે જે લાભદાયી જણાયાં, તેને કાયમી આવકાર્યાં છે અને એને એકલાને એકલા ઉપયોગમાં લેવાને બદલે જેટલા વધુ ખેડુતો એને અપનાવે તેટલાને એમાં શામેલ કરવાના પ્રયત્નો કર્યા છે. કારણ કે “સુખ વહેંચવાથી વધે છે” એ સંસ્કાર વાત્સલ્યધામ લોકશાળા અને લોકભારતી ગ્રામવિદ્યાપીઠાના શિક્ષણે બાળપણથી જ દ્રઢ કર્યા છે.
એની થોડીક વાત કરું, તો સફળ પ્રયોગ જ્યારે વાડીપર પૂરબહારમાં હોય ત્યારે અસંખ્ય વાર નાનાં-મોટાં મિલનો ગોઠવી, બહોળી સંખ્યામાં ખેડુતોને સ્થળ પર બોલાવી, બપોરના રોટલા ખવરાવી, નિદર્શનો અને ઉત્પાદનો બધું નજરોનજર દેખાડી, સફળ વાત કેમ જાજા ખેડુતો અપનાવતા થાય તેવી મહેનત લીધી છે. જરૂર પડ્યે તેમની વાડીઓમાં જઇ, સલાહ-સૂચનો કે માર્ગદર્શન દીધાં છે, ખેડુતોની મિટીંગો કે સભા-સંમેલનોમાં મોકો મળ્યેથી એ વાત બહોળા ખેડુતવર્ગને કાને નાખવાની ચીવટ લીધી છે. તક મળતાં રાજકોટ રેડિયો પર “ગામનો ચોરો” વિભાગમાં અને ટી.વી.ના માધ્યમથી ઇટીવી ના “અન્નદાતા” અને દૂરદર્શનના “કૃષિદર્શન” કાર્યક્રમમાં સફળ વાતોના સંદેશા ફરી ફરીને ઘુંટાવ્યા છે. ઘણાં છાપાં-સામયિકોએ મારી ખેતીના અનુભવોની વાત ખેડુતજગત માટે ઉપયોગી માનીને છાપ્યા કરી છે. ઉપરાંત બત્રીસેક પુસ્તકો ખેતીકાર્યમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવવાની ઇચ્છા ધરાવતા ખેડુતવર્ગ માટે પ્રેરક બન્યા છે. મારી આવી જાણકારીની વહેંચણી, ટેકનીકની વહેંચણી- સંતોષની વહેંચણી બની છે. આનંદની વહેંચણી બની છે.
સારા કામને કંઇ ‘સીમા’ થોડી હોય ? =
મન તો ઘોડા ઘડ્યા જ કરતું હતું કે આવી સફળ વાતો બહોળા ખેડુત સમાજમાં હજુ સારી રીતે વિસ્તારવાનો કોઇ ઉપાય ખરો ? શોધ ચાલુ જ હતી. એમાં એક પ્રસંગ ઊભો થયો- દોડવું હોય એને ઢાળ મળી જાય એવો ! માધુભાઇ નાંદરિયાની ભાગીરથી વિદ્યાલય-ટાટમમાં આસપાસના ૪૦ – ૫૦ ખેડુતોની એક મીટીંગ બોલાવાઇ હતી. ડૉ. બેનરજી બી.ટી. કપાસની ટેક્નોલોજી સમજાવવા મહેમાન બની આવેલા.મીટીંગ પૂરી થયે જમી-પરવારી, હું, માધુભાઇ નાંદરિયા, કાંતિભાઇ પડસાળા, ઠાકરશીભાઇ બોરડા, ઠાકરશીભાઇ ધનાણી, પોપટભાઇ વાઘાણી, મહેંદ્રભાઇ ગોટી, વલ્લભભાઇ પાંચાણી, રાજનભાઇ સરવૈયા વગેરે બેઠા બેઠા વાતો કરતા હતા કે “ મીટીંગમાં આવી મજા હો ! ક્યારેક ક્યારેક આ રીતે મળતા રહેતા હોઇએ તો નવું નવું જાણ્યા કરવાની બેટરી ચાર્જ થતી રહે ખરું ને ? ” વિચાર બધાને ગમી ગયો. સૌએ વધાવી લીધો. પછી તો ધર્મના કામમાં ઢીલ થોડી પોસાય ? “ લખો નામ, આપણે આટલા છીએ એટલાનાં. અને કરીએ નક્કી કે મહિનામાં એકવાર અચૂક મળવું.” પછી તો આસપાસ આંટા મારતા મિત્રોનેય બોલાવી લીધા.વાત વ્યવસ્થિત ગોઠવી.
‘વિચાર’ બન્યો ‘વ્યવહાર’ =
મંડળનું નામ રાખવું-“કૃષિ વિકાસ મંડળ ગઢડા.” પણ તેનું કોઇ રજીસ્ટ્રેશન નહીં. કોઇ મૂડી ભેગી કરવાની નહીં.સભ્ય ફી પણ નહીં. માનો કે પ્રસંગોપાત કોઇ ખર્ચ કરવાનું અનિવાર્ય બન્યું, તો સ્થળ પર જ ૧૦૦ – ૨૦૦ – ૫૦૦ યથાશક્તિ સૌ આપી હિસાબ પૂરો કરી દેવાનો. મિલનમાં બપોરના રોટલા ખવરાવે, જે આમંત્રણ આપી મીટીંગના યજમાન બને તે. મંડળનું કોઇ પ્રમૂખ નહીં, કોઇ ખજાનચી નહીં. સૌનો દરજ્જો એક સમાન !
આમાં રાજકારણ કે ધર્મકારણ-જ્ઞાતિ-જાતિના ભેદભાવ આવે નહીં. ખેતી કરતા હોય તે ખેડુત. અને જેને આવા કાર્યક્રમો માં રસ હોય તે ભળી શકે.-આવી શકે.દર મહિનાના છેલ્લા બુધવારે [ખરખરાના કામો બંધ હોય ને ! ] અગાઉથી નક્કી થયેલ યજમાનની વાડીએ સૌએ આપમેળે ભેળા થઇ જવું. જરૂર જણાય તો એકબીજાએ ફોનથી વાતચીત કરી લેવી. કોઇ કારણસર ક્યારેક ન અવાય તો માફ ! પણ મંડળ આપણે ઊભું કરી રહ્યા છીએ-એટલે શક્ય તેટલાં બીજા રોકાણો રદ કરી અહીં પહોંચવાની ગણતરી રાખવી. “બોલો બરાબર ને ?” –“ હા, બરાબર !” ફાઉંડેશન બરાબરનું ધરબાઇ ગયું..
અને થઇ શરૂઆત=
અમલીકરણ શરૂ થયાને આ જ ૨૦૨૪માં અઢાર વરસ પુરાં થઈને ઓગણીસમું શરૂ થયું. દર મહિને, છેલ્લા બુધવારે અગાઉથી જાહેરાત થયા મુજબ યજમાન ખેડુતની વાડીએ નવ-સાડાનવ વાગતાં સૌ ભેળા થઇ જાય છે.ગઢડા,શિહોર ઉમરાળા અને બોટાદ ચાર તાલુકાના પચાસેક જણા તો કાયમી છે.અને એમની સાથે ટવર્યા ટવર્યા નવા ચહેરા ભળતા રહી દર મિટીંગે ૮૦ – ૯૦ – ૧૦૦ જેવી સંખ્યા થઇ જાય છે.
યજમાનની વાડીની મુલાકાત અને વિતેલા માસની વાત=
સૌ પ્રથમ બધા આવતા જાય, તેમ તેમ યજમાનની વાડીમાં ઊભેલ મોલાત,પાકની તંદુરસ્તી, પિયતની સોઇ, પધ્ધતિ, પશુઓની સ્થિતિ, વૃક્ષોનો વસવાટ વગેરે બધી બાબતોનું નિરીક્ષણ કરે.પછીના અર્ધોએક કલાકમાં વિતેલા માસ દરમ્યાન કોઇને કોઇ નવી વાત મળી હોય, નવી પધ્ધતિ નજરે ચડી હોય, કોઇ સારું બિયારણ સાંપડ્યું હોય કે કોઇ રોગ-જીવાત કે રોઝડા-ભુંદડાંની મુશ્કેલી ઊભી થઇ હોય તેની વાત કરે. મુંઝવણના ઉપાય અંદરો અંદરની ચર્ચામાંથી મળી રહેતો ભલે, નહીં તો કોઇ જાણકારને મળી નિવેડો લાવવાની નોંધ થાય.કોઇ નવો કાર્યક્રમ કરવાનું સુજ્યું હોય તો દરખાસ્ત થાય, તેનાપર ચર્ચા થાય. અમલવારીનો નિર્ણય લેવાય.
તજજ્ઞતા બને મહેમાન =
દર વખતે કોઇ એક અગર બે એવી વ્યક્તિઓને મહેમાન તરીકે બોલાવાય, કે જે ખેતીના વિવિધ પાસાંઓ, સ્વાસ્થ્ય, શિક્ષણ, સામાજિક સમસ્યાઓ વિષે ઉંડા અભ્યાસી,જ્ઞાની હોય.તે વ્યક્તિ પછી કૃષિ યુની.ના વિજ્ઞાનિકો હોય, કે સામાજિક સંસ્થાઓના સંચાલકો હોય, ડૉક્ટરી વિદ્યાના જાણકાર હોય કે હોય પછી-પોલીસ,રેવન્યુ,વીજળી બોર્ડ, પાસપોર્ટ, આરટીઓ વગેરે કચેરીઓના હોય અધિકારી. તેમની પાસેથી જાણવા જેવી, ઉપયોગી વાતો એક-દોઢ કલાક સાંભળ્યા પછી પ્રશ્નોતરી થાય. છેલ્લે મહેમાનોનું આભારદર્શન અને આવતી મીટીંગ કોની વાડીએ-કોણ યજમાન છે, તેની જાહેરાત થાય. સૌ બપોરા કરવા ઊભા થાય.
બપોરા =
બપોરા બાબતે તો એવું નક્કી થયેલું કે યજમાન રોટલા બાબતે સાદું ભોજન-રોટલા,શાક,અથાણું અને છાશ-બસ પૂરતું. અને કપાણ્ય હોય તો ખાલી નાસ્તાથી પણ ચલાવાય. અરે ! સાથે ટીફીન લઇને આવવું પડે તોય ભલે ! કે સવારના બદલે બપોર પછી મિલનનો સમય રાખી, માત્ર ચા-પાણીથી રોડવવાનું ગોઠવીએ. પણ આતો પ્રદેશ છે કાઠિયાવાડનો ! અને મિલન હોય છે ખેડુતોનું. અને એય પાછું ખેડુતને ત્યાં જ ! એમાં રોટલા બાબતે સંકુંચન થોડું હોય ? “જેનાં અન્ન ભેળાં એનાં મન ભેળાં” અને અતિથિને રોટલો ખવરાવ્યા જેવું બીજું મોટું પૂણ્ય ક્યું ? ”કોઇ યજમાન વિના મિષ્ટાને બપોરા કરાવતા નથી
મુંઝવણો =
માત્ર છોડવા, ઝાડવા કે પશુ માંદા પડે, એની શું સેવા-ચાકરી કરવી એવા જ પ્રશ્નો આવે એવું કાયમ બનતું નથી. ક્યારેક એકબીજા વચ્ચેના શેઢાની તકરાર, વીજળીબોર્ડ સાથે લાઇટ કનેક્શનોને લગતા સવાલ, રેવન્યુ અને પોલીસને લગતી મુંઝવણો પણ સભ્યો તરફથી રજૂ થતી હોય છે. આવા ટાણે સભ્યોમાંથી જેની જે તે વિષયની વિશેષ જાણકારી હોય તેને તે પ્રશ્ન સોંપાય છે, અને પતાવટના પ્રયત્નો લેવાય છે.
નવા પ્રયાણ = મૂળ ગણતરી સજીવખેતી બાજુ વળવાની છે. પણ તે શક્ય ના બને ત્યાં સુધી વચલા માર્ગ તરીકે-ખેતીમાં બિયારણ અને પાકસંરક્ષણ બાબતે જે માપથી વધુ ભાવો દઇ શોષાવું પડે છે, તેના છૂટકારા માટે સભ્યોએ હજાર હજાર રૂપિયા કાઢી એક “ अपना किसान मोल ” દુકાન શરૂ કરી છે. નહીંનફો-નહીં નુકશાનના ધોરણે ચીજ વસ્તુ મેળવી, પોતાને પડતો આર્થિક ઘસારો ઘટાડ્યો છે.
ખેતી તો મુખ્ય વ્યવસાય છે ભાઇ ! એમાં મંડળમાં જોડાયા પછી ચાઇના પધ્ધતિથી મગફળીની ખેતી, કપાસ,તરબૂચ અને પપૈયામાં મલ્ચીંગ, જમીન-પાણીના નમૂનાની તપાસ, કપાસ સાથે સોયાબીન,તૂવેર અને દિવેલાનું મિશ્રપાકી વાવેતર, પશુપાલનમાં વિશેષ લેવી જોઇતી કાળજી, રોઝડા-ભુંદડાંના ત્રાસમાં થોડીકેય રાહત, ટપક પધ્ધતિનો અમલ,હરતા ફરતાગોબર ગેસપ્લાંટ વગેરે જેવા ઘણા પ્રયોગો અને સુધારા તથા સાંપ્રત પ્રવાહો સાથે ખેતીમાં કેમ ટકી રહેવાય તેવા પ્રયત્નો-એટલેકે પાયામાં ભલે ખેતી,ગોપાલન,બાગાયત,પર્યાવરણ જેવા વિષયો હોય, પણ સાથોસાથ સમાજમાં રહેનાર નાગરિક તરીકે શૈક્ષણિક અને સામાજિક રીતે પણ સંસ્કારિતાનું ઘડતર થાય,સ્વાસ્થ્ય સારું રખાય અને ઘસાઇને ઉજળા થવાની આદત ઊભી થાય તેવા થઇ રહેલા અમારા પ્રયત્નો શું “સુખ વહેંચણી” ના વ્યાજબી પ્રયત્નો ન ગણાય ?
સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ : krushidampati@gmail.com
-
‘વિજ્ઞાન વિચાર’ : પ્રકરણ ૨ જું: વૈજ્ઞાનિક વૃત્તિ : જિજ્ઞાસા
આજથી લગભગ ૧૦૦ વર્ષ પહેલાં વિજ્ઞાન પર લખાયેલ એક પુસ્તકને દર મહિને એક એક પ્રકરણના હિસાબે વેબ ગુર્જરીના વાચકો સમક્ષ રજુ કરવાનો આ એક પ્રયોગ છે.
આજથી ૧૦૦ વર્ષ પહેલાં વિજ્ઞાન જેવા વિષય પર ગુજરાતી ભાષામાં શું લખાયું હતું અને કેવી શૈલીનો પ્રયોગ થયો હતો તે જાણવા ઉપરાંત વિજ્ઞાનની ઘણી મૂળભુત બાબત વિશે પણ માહિતી મેળવવાનો આ પ્રયોગનો ઉદ્દેશ્ય છે. અહીં મૂળ પુસ્તકનાં લખાણને તેનાં મૂળ સ્વરૂપે જ મુકવાનો પ્રયાસ કરેલ છે.
સંપાદન મડળ – વેબ ગુર્જરી
પોપટલાલ ગોવિંદલાલ શાહ

આ વૈજ્ઞાનિક વૃત્તિનું પ્રથમ લક્ષણ જિજ્ઞાસા છે. આ બીજાના ખાનગી પત્રો વાંચવાના જેવી ક્ષુલ્લક અને ક્ષુદ્ર જિજ્ઞાસુ પ્રકારની નથી હોતી, પરંતુ નિઃસ્વાર્થી અને પવિત્ર હોય છે. ખરી બાતમી મેળવવી, સાધારણ હકીકતોમાંથી અસત્યનાં છોડાં જુદાં પાડી તથ્યની માપ્તિ કરવી એ કાર્યમાં સત્યને માટે અનહદ પ્રીતિ વિલક્ષણ પ્રેરક બળ આપે છે, પ્રેમીઓની પિપાસા, દેશભક્તોની ધગશ, અથવા તો મુમુક્ષોઓની જિજ્ઞાસા એ સર્વેના કરતાં વૈજ્ઞાનિકોની તથ્યોને માટે તૃષ્ણા[1] વધારે નિઃસ્વાર્થી અને તેથી વધારે પવિત્ર હોય છે.
ફરહાદ તેની શિરીનને શોધવાને માટે ડુંગરા તોડવાને તત્પર હતો; દેશભકતોનાં દેશના માને કે મુક્તિને સાટે માથું આપવાનાં દૃષ્ટાંતો દેશદેશના ઇતિહાસમાં મળી આવે છે; નચિકેતા જેવા મુમુક્ષુઓ મોક્ષની ઇચ્છાથી પ્રેરાઈ યમરાજ પાસે જતાં ડરતા નથી-પરંતુ એમના સર્વ યત્નોમાં કંઇ પણ લાભની આશા હોય છે. પણ વૈજ્ઞાનિક યત્નોમાં, ખાસ કરીને વિજ્ઞાનનાં એવાં તથ્યોની શોધમાં, કેવળ જ્ઞાનશુદ્વિ સિવાય વૈજ્ઞાનિકોને કાંઇ લાભ થતો નથી. अर्थ साधयामि, देहं पातयामि वा એનાં દૃષ્ટાંતો મારવાડના શુષ્ક પ્રંદેશોમાંથી આવનારા, અને મુંબાઈ અને કલકત્તા જેવા શહેરોને ધુજાવનારા વ્યાપારીઓમાં મળી આવે, પરંતુ सत्यं साधयामि, देहंपातयामि वा એવા નિઃસ્વાર્થી શોધક બુદ્ધિવાળા સત્યપ્રેમીઓ તો વૈજ્ઞાનિકો સિવાય અન્ય મળવા મુશ્કેલ છે. ઇંદ્રને અસુરોથી બચાવવા ખાતર પોતાનાં અસ્થિ આપવામાં દધીચિ ઋષિને પૂજ્ય ગણતા દેવોની આજ્ઞા કારણુભૂત હતી, પણ ધવલગિરિ કે ગૌરીશંકરના ઉચ્ચતમ શિખર ઉપર અયવા તો ઉત્તર કે દક્ષિણ ધ્રુવ સુધી પહોંચવા, અને ત્યાંનાં હવામાન વગેરે તથ્યો વિષે જ્ઞાન પ્રાપ્ત કરવામાં જિદગીનું જોખમ હોવા છતાં પણ તેને માટે ફરી ફરી પ્રયત્ન કરનારા વૈજ્ઞાનિકોને આત્મભોગની સ્વયંપ્રેરિત ભાવના કારણભૂત હોય છે.
કેટલાએક અંશે એમ કહી શકાય કે શિકારીઓની પેઠે નવું પરાક્રમ કરવાની ભૌતિક લાલસા એમને પ્રેરે છે, પરંતુ આ લાલસા શિકારીઓની કેવળ શિકારી અતે હિંસક વૃત્તિથી ભિન્ન પ્રકારની હોય છે: કારણ કે આ પ્રયાસોનો અ’તિમ ઉદ્દેશ તો નવાં તથ્યો પ્રાપ્ત કરવાનો-તથ્યોની તૃષ્ણા છે. આ તૃષ્ણા બિનસ્વાર્થી હોવાને લીધે વિજ્ઞાનના ઉચ્ચ આશય અને પ્રગતિનું મુખ્ય સાધન બને છે.
જિજ્ઞાસા એ મતુષ્ય સ્વભાવનું સાધારણ લક્ષણ છે. નાના બાળકમાં પણ આ જિજ્ઞાસા સ્વાભાવિક હોય છે અને “આ શું છે”, “શા માટે”, “કેવી રીતે?” એવા પ્રશ્નોથી ઘણીવાર માતાપિતાને તેઓ પજવી મૂકે છે. ઘણી વાર આળસુ અને અજ્ઞાન માતપિતા તરફથી આ જિજ્ઞાસાને ઉતેજન ન મળવાથી તે દબાઈ જાય છે, અને તેથી વૈજ્ઞાનિક અન્વેષણને આવશ્યક માનસિક વૃત્તિ ખીલવા પામતી જ નથી. વૈજ્ઞાનિકોનાં જીવનચરિત્રોમાં તેમના બાલ્યકાળમાં ખીલવેલાં આ લક્ષણો વિષે ધણીવાર વાંચવામાં આવે છે.
ક્લાર્ક મેક્સવેલ નામના પ્રતિભાશાળી ભૌતિકશાસ્ત્રીની બાલ્યાવસ્યામા આ વિષે ખાસ
ઉલ્લેખ છે; તેને સાધારણ ઉત્તરથી સંતોષ ન યતો અતે દરેક પ્રશ્નને માટે ચોક્કસ ઉત્તર મેળવવા મથતો; “આનું કારણ શું” એટલાથી સતોષ ન માનતાં “આનું ખાસ કારણ શું ” એ પ્રશ્રથી વધારે માહિતી મેળવવા તે યત્ન કરતો. આ ઉત્કંઠા અને જિજ્ઞાસા વૈજ્ઞાનિકોના જીવનરસરૂપ છે, પરંતુ તે બાળકોના પ્રશ્નોના જેવી ક્ષણજીવી અને ક્ષુલ્લક નથી હોતી. સત્યશોધકના પવિત્ર આદર્શને લીધે જિજ્ઞાસામાંથી શુદ્ધ અને સાત્વિક માર્નાસક સ્થિતિ સધાય છે. તે સ્થિતિ પ્રાપ્ત કરવા માટે ચોકસાઈ, બારીક નિરીક્ષણની ટેવ, સ્પષ્ટતા વગેરે ગુણ પણ આવશ્યક થઈ પડે છે.
ક્રમશઃ
હવે પછીના મણકામાં વૈજ્ઞાનિક વૃત્તિનાં બીજાં એક લક્ષણ “ચોકસાઈ” વિશે વાત કરીશું.
[1] Passion for facts
-
આપણા ખોરાકમાં કેટલું ઝેર જવા દેવું એ કોણ નક્કી કરે?
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
સ્વાસ્થ્ય અંગેની સભાનતાના વર્તમાન યુગમાં હવે લોકો શુદ્ધ, સાત્વિક અને પૌષ્ટિક આહાર પસંદ કરતા થયા છે. પણ પોતે લે છે એ ખોરાક એવો છે એની જાણ શી રીતે થાય? આપણા દેશમાં ૨૦૦૮થી ‘ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઈન્ડિયા’ (એફ.એસ.એસ.એ.આઈ.) નામની સરકારી સંસ્થા કાર્યરત છે, જેનું કાર્યક્ષેત્ર ખોરાકલક્ષી વિવિધ નીતિનિયમો, પ્રમાણમાપ નક્કી કરવાનું અને એ માટે જરૂરી માર્ગદર્શિકા તૈયાર કરવાનું છે. આ સંસ્થા સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે. ખાનપાનની લગભગ તમામ ચીજ અંગેનાં પ્રમાણમાપ તે નક્કી કરે છે. ખોરાકી મસાલા બનાવતી આપણા દેશની બે અગ્રણી કંપનીઓ ‘એવરેસ્ટ મસાલા’ અને ‘એમ.ડી.એચ.મસાલા’નાં કેટલાક ઉત્પાદનોના નમૂનાની ચકાસણી ‘એફ.એસ.એસ.એ.આઈ.’ દ્વારા કરવામાં આવશે એવા હમણાં અહેવાલ છે. એનું ચોક્કસ કારણ છે.
આપણા દેશની આ બન્ને અગ્રણી કંપનીઓનાં ચાર ઉત્પાદનોને હોંગકોંગ અને સીંગાપોરના સત્તાવાળાઓએ એપ્રિલ, ૨૦૨૪માં બજારમાંથી પાછા ખેંચાવી લીધા. આ ચાર ઉત્પાદનોમાં ‘એમ.ડી.એચ.’ના ‘મદ્રાસ કરી પાઉડર’, ‘સંભાર મસાલા મિક્સ્ડ મસાલા પાઉડર, તેમજ ‘કરી પાઉડર મિક્સ્ડ મસાલા પાઉડર’ અને ‘એવરેસ્ટ’ના ‘ફીશ કરી મસાલા’નો સમાવેશ થાય છે. બન્ને બ્રાન્ડનાં આ ચારે ઉત્પાદનોમાં ઈથિલીન ઓક્સાઈડનું અતિ ઊંચું પ્રમાણ મળી આવ્યું. આ રસાયણ જૂથ એકમાં વર્ગીકૃત કેન્સરકારક છે, જેનો મુખ્ય ઉપયોગ જંતુનાશક દવા બનાવવા માટે થાય છે. ‘જૂથ એક’ એટલે ‘ઈન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઑન કેન્સર’ (આઈ.એ.આર.સી.) દ્વારા વર્ગીકૃત થયેલાં ચાર જૂથ પૈકીનું એક, જે સૂચવે છે કે આ જૂથના દ્રવ્યથી નિશ્ચિતપણે કેન્સર થાય છે. ભારતમાં ‘એફ.એસ.એસ.એ.આઈ.’ દ્વારા આ રસાયણના ઉપયોગની પરવાનગી નથી, અને તેના એક અધિકારીના જણાવ્યા અનુસાર નિકાસ તેમના કાર્યક્ષેત્રમાં આવતી નથી.
ઉલ્લેખનીય છે કે ભારત વિશ્વભરમાં મસાલાનો સૌથી મોટો ઉત્પાદક, ગ્રાહક અને નિકાસકાર છે. આ ઘટનાથી વિશ્વભરનાં બજારોમાં તેની પ્રતિષ્ઠા જોખમાઈ છે. ભારતમાંથી નિકાસ કરાતા મસાલાનું નિયમન ‘સ્પાઈસીઝ બોર્ડ ઑફ ઈન્ડિયા’ દ્વારા કરવામાં આવે છે, જે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય અંતર્ગત કામ કરે છે. નિકાસ માટેના મસાલાની ગુણવત્તા અને સલામતિને સુનિશ્ચિત કરવા માટે આ બોર્ડ સુયોગ્ય પગલાં ભરતું રહે છે. હોંગકોંગ અને સીંગાપોરની ઘટનાને પગલે આ બોર્ડે જણાવ્યું છે કે આ બન્ને દેશોમાં મોકલાતા માલ માટે તે હવે પછી ઈથિલીન ઑક્સાઈડની ચકાસણીને ફરજિયાત બનાવશે. આ ઘટનાનું મૂળ શોધીને તેને માટે યોગ્ય પગલાં લેવા બાબતે બોર્ડ બન્ને નિકાસકારો સાથે વાત ચલાવી રહ્યું છે.
હોંગકોંગ અને સીંગાપોરને પગલે હવે ‘એફ.ડી.એ.’ તરીકે ઓળખાતું અમેરિકાનું ‘ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન’ પણ આ બન્ને કંપનીઓનાં ઉત્પાદન અંગે ચકાસણી કરી રહ્યું છે.
‘એફ.એસ.એસ.એ.આઈ.’ દ્વારા દસ દસ વખત મસાલા અને જડીબુટ્ટીઓમાં ‘મેક્સિમમ રેસિડ્યુ લિમિટ’ (મહત્તમ અવશેષ મર્યાદા-એમ.આર.એલ.)નો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે મસાલા અને જડીબુટ્ટીઓમાં જંતુનાશક દવાઓના કાનૂની રીતે માન્ય પ્રમાણમર્યાદામાં વધારો કરાતો રહ્યો છે. અગાઉ તે એક કિ.ગ્રા. દીઠ ૦.૦૧ મિ.ગ્રા. હતી, જે વધીને હવે ૦.૧ મિ.ગ્રા. કરવામાં આવી છે. આ પગલાનો અનેક કર્મશીલો અને વિજ્ઞાનીઓએ વિરોધ કર્યો છે. નવી દિલ્લી સ્થિત સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટના સસ્ટેનેબલ ફૂડ સિસ્ટમ્સના પ્રોગ્રામ ડિરેક્ટર અમીત ખુરાનાએ જણાવ્યું હતું કે ‘એફ.એસ.એસ.એ.આઈ.’ દ્વારા આ મર્યાદામાં છૂટ મૂકવામાં આવે એનો અર્થ એ થયો કે છેવટે માનવશરીરમાં તે વધુ પ્રમાણમાં જંતુનાશક દવાઓના પ્રવેશ માટે માન્યતા આપે છે. આવડો મોટો નિર્ણય લેવામાં આવે તો જેના આધારે એ લેવાયો એ વિગતો જાહેર કરાવી જોઈએ. પ્રમાણમર્યાદા બદલાવા અંગેની માહિતી પણ પૂરી પાડવી જોઈએ.
‘એમ.આર.એલ.’નું મૂલ્ય ‘સેન્ટ્રલ ઈન્સેક્ટિસાઈડ્સ બૉર્ડ એન્ડ રજિસ્ટ્રેશન કમિટી (સી.આઈ.બી.આર.સી.), કૃષિ અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા પ્રાપ્ત થયેલા ક્ષેત્રીય પ્રયોગો (ફિલ્ડ ટ્રાયલ)ના આંકડાના આધારે નક્કી કરાતું હોવાનું ‘એફ.એસ.એસ.એ.આઈ.’એ જણાવ્યું. જો કે, ‘પેસ્ટિસાઈડ એક્શન નેટવર્ક ઑફ ઈન્ડિયા’એ આના વિરોધમાં એક પત્ર દ્વારા જણાવ્યું છે કે ‘સી.આઈ.બી.આર.સી.’ દ્વારા કદી જંતુનાશક દવાઓના ક્ષેત્રીય પ્રયોગો હાથ ધરાતા નથી. પ્રાપ્ત વિગતોના આધારે ‘એમ.આર.એલ.’ નિર્ધારીત કરવાની કોઈ ઘોષિત પ્રક્રિયા નથી. સામાન્ય રીતે દવાઓની ઉત્પાદક કમ્પનીઓ વિગતો પૂરી પાડે છે અને તેના આધારે ‘સી.આઈ.બી.આર.સી.’ જંતુનાશક દવાઓને મંજૂરી આપે છે. ‘સી.આઈ.બી.આર.સી.’ દ્વારા કદી અવશેષની મર્યાદા નક્કી કરાતી નથી.
અગાઉ ૨૦૨૨માં ‘એફ.એસ.એસ.એ.આઈ.’એ જણાવેલું કે ભારતની મોટા ભાગની જંતુનાશક દવાઓ બાબતે ક્ષેત્રીય પ્રયોગોની વિગતોનો અભાવ હોય છે. તેઓ આ વિગતો પેદા કરી શકે ત્યાં સુધી ‘કોડેક્સ એલિમેન્ટેરીઅસ’ દ્વારા નિર્ધારીત આંતરરાષ્ટ્રીય ધોરણો લાગુ પાડવામાં આવે છે.
આવી અટપટી વાતનો સાર એટલો જ કે આપણા દેશમાં અનેક પ્રકારની જંતુનાશક દવાઓ ઉપયોગમાં લેવામાં આવે છે, જેના પ્રમાણમાપ માટે કોઈ નિર્ધારીત ધોરણ હજી નક્કી થયું નથી. અને એ નક્કી કરવામાં આવે તો તેની જાણકારી યોગ્ય રીતે જાહેર કરવામાં આવતી નથી. આ તો નિકાસ કરાયેલી સામગ્રીની ચકાસણી થઈ અને એમાં વાંધાજનક માત્રામાં કેન્સરકારક દ્રવ્યો મળી આવ્યાં, પણ દેશમાં જે ખાદ્યસામગ્રી ઉપયોગમાં લેવામાં આવે છે એમાં રહેલાં નુકસાનકારક દ્રવ્યોનું શું? એનાથી નાગરિકોને થતા નુકસાનની જવાબદારી કોની? નાગરિકો તેને અટકાવવામાં કશું પ્રદાન કરી શકે?
નિકાસ થતી સામગ્રીમાં મળી આવતા દ્રવ્યોના કારણે આવતા પ્રતિબંધથી આર્થિક નુકસાન તો થાય છે જ, સાથે દેશની પ્રતિષ્ઠા પણ જોખમાય છે. આત્મનિર્ભર હોવાના નારા લગાવવા અને એનું ઠાલું ગૌરવ લેવું એક વાત છે, અને વ્યવહારથી લઈને વ્યાપારમાં શુદ્ધતા જાળવવી બીજી વાત છે. નાગરિક તરીકે બીજું કશું તો આપણા હાથમાં નથી, પણ એટલું વિચારી અવશ્ય શકીએ કે આપણે શામાં છીએ.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૦૯– ૦૫ – ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
પરિવર્તન – ૭ : આર્બોરેટમ
અવલોકન
– સુરેશ જાની
તે દિવસે મારા દીકરાની સાથે ડલાસના વ્હાઈટરોક તળાવના કાંઠે આવેલા આર્બોરેટમની (વનસ્પતિ સંગ્રહાલય?) મુલાકાતે ગયો હતો. મન પ્રસન્ન થઈ ગયું. વસંતના આગમનની સાથે જ વનસ્પતિ સંપદા મહોરી ઊઠી હતી. એક જ મહિના પહેલાં જે વૃક્ષો સાવ બોડાં અને શુષ્ક હતાં, તે નવપલ્લવિત બની ગયાં હતાં. સર્વત્ર લીલોતરીનું સુભગ અને મનને શાતા આપતું સામ્રાજ્ય છવાઈ ગયું હતું. વાતાવરણમાં ન તો શિયાળાની હાડ થીજાવી દે તેવી ઠંડી હતી કે, ન તો પસીને રેબ ઝેબ કરી દે તેવી ગરમી.
આ ખુશનુમા વાતાવરણમાં જાતજાતના અને ભાતભાતનાં ફૂલો ખીલી ઊઠ્યાં હતાં. જ્યાં જુઓ ત્યાં રંગોની સૃષ્ટિ ખડી થઈ ગઈ હતી. ભમરા ગુંજન કરતા ફુલોનો મિષ્ટ રસ પીવા ઊડી રહ્યા હતા. લીલા છમ્મ ઘાસની વચ્ચે ક્યાંક ક્યાંક દાણાદાર માટીના નાનકડા ઢગલા રતુમડી, કીડીઓની સેના ફરીથી કામગરી બની ગયાની સાક્ષી પૂરતા હતા.

આવા મધુર માહોલમાં રોમન બગીચાના એક બાંકડા પર પોરો ખાવા અમે બેઠા. બે હજાર વર્ષ પહેલાંની, રોમન સંસ્કૃતિની પ્રતિકૃતિ જેવો માહોલ હતો. બાજુના એક ક્યારામાં પીળાં અઝેરિયા મંદ સમીરમાં ઝૂમી રહ્યાં હતાં. એક મહિના પહેલાં તો એની ઉપર કેવળ સૂકી ડાળીઓ જ હતી. એક ભમરો ત્યાં આવી પહોંચ્યો અને ફૂલે ફૂલે ફરી રસ પીવા લાગ્યો. સાવ સાદા પાણીમાંથી અઝેરિયાએ એ રસ બનાવ્યો હતો. હવે ભમરો એમાંથી મધ બનાવશે. એવા જ કોઈ ભમરાએ બનાવેલું મધ હું વાપરીશ અને મુખમાં મીઠાશ વ્યાપી જશે.
અને એટલામાં જ આ શાંત માહોલમાં ખલેલ પાડતી, કોલાહલ કરતી, શાળાના બાળકોની એક વાનરસેના ત્યાં આવી પહોંચી. શોરબકોર મચી ગયો. શિક્ષિકાએ બાળકોને રોમ, રોમન સંસ્કૃતિ અને રોમન બગીચા વિશે જ્ઞાન આપતું નાનકડું પ્રવચન કર્યું; ફોટા પડ્યા અને એ લશ્કર વિદાય થઈ ગયું. ફરી પાછી શાંતિ સ્થપાઈ ગઈ.
અને મન વિચારે ચઢી ગયું.
એ રોમન સંસ્કૃતિ પણ ન રહી. આ આર્બોરેટમ પણ નહીં રહે. આ વસંત પણ નહીં રહે. એ ભમરો પણ વિદાય થઈ જશે. એ અઝેરિયા પણ એક બે દિવસમાં કરમાઈને ધૂળ ભેગાં થઈ જશે. એ વાનરસેના બીજી કોઈ મસ્તીમાં પ્રવૃત્ત થશે. અમે પણ પાંચ મિનિટમાં ઊઠીને બાજુમાં આવેલા એક બીજા બગીચા તરફ પ્રયાણ કરીશું. બાંકડો ફરી સૂનો પડી જશે. સાંજ પડશે અને આ બધો નજારો રાતની કાળી ચાદર ઓઢીને પોઢી જશે. અમે પણ અમારા થાનકે પાછા પહોંચી જઈશું.
સતત પરિવર્તન. સતત બદલાવ, સતત બદલાતા કણ કણ ..
અને ટેનીસનની મને બહુ ગમતી કવિતા ઊભરી આવી –
There rolls the deep, where grew the tree
O! earth what changes hast thou seen?
There where the long street rolls hath been
The Stillness of the central sea.– Tennyson
શ્રી સુરેશ જાનીનો સંપર્ક surpad2017@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
