વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • કાર્ટૂનકથા : ૧૫

    બીરેન કોઠારી

    આ શ્રેણીમાં માત્ર ‘સાહિત્ય’ના વિષયને કેન્‍દ્રમાં રાખીને ચીતરેલાં કાર્ટૂન મૂકવામાં આવે છે, જે વાર્તા સામયિક ‘વારેવા’માં અગાઉ પ્રકાશિત થઈ ચૂક્યાં છે.

    ‘વારેવા’ના પંદરમા અંકમાં આ કાર્ટૂન પ્રકાશિત થયાં હતાં. આ અંકથી કેવળ ‘વાર્તાવ્યંગ્ય’ શિર્ષકથી જ કાર્ટૂન ચીતરાતાં રહ્યાં. ‘ઊધઈ ઊવાચ’ અંતર્ગત કાર્ટૂનો તેરમા અંકમાં છેલ્લી વાર દેખાયાં.

    વાર્તાવ્યંગ્ય

     

     

    (વાર્તામાં, વાર્તાલેખનમાં રસ ધરાવનાર સૌ કોઈને આ વિશિષ્ટ સામયિકમાં રસ પડશે. તેના વિશે વધુ વિગતો તેની સાઈટ https://vareva.co.in/ પર જોઈ શકાશે.)


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • ગુમરાહ : દુનિયાએ કંડારી રાખેલા રસ્તા કરતાં જુદો રસ્તો એ હંમેશા આડો રસ્તો હોતો નથી

    સંવાદિતા

    બહુ ઓછા લોકો જાય એ કેડી મેં પસંદ કરી. આ બધો ફરક એના કારણે છે

    – રોબર્ટ ફ્રોસ્ટ

    ભગવાન થાવરાણી

    બલવંત સિંહ આમ તો ઉર્દૂના લેખક પણ પછીથી એમણે હિંદીમાં લખવાનું પણ શરૂ કરેલું. જન્મ ૧૯૨૧માં હાલના પાકિસ્તાની પંજાબના ગુજરાંવાલામાં અને દેહાંત અહીંના અલ્લાહાબાદમાં ૧૯૮૬માં. નવલકથા અને વાર્તા સાહિત્યમાં એમનો દરજ્જો તો ઉર્દૂના દિગ્ગજો કૃષ્ણ ચંદર, મંટો, રાજીંદરસિંગ બેદી અને ઈસ્મત ચુગતાઈ સમકક્ષ ગણાય પણ એમના અંતર્મુખી અને અતડા સ્વભાવના કારણે બાવીસ નવલકથાઓ અને બસો જેટલી વાર્તાઓ લખવા છતાં આજીવન અપેક્ષાકૃત ગુમનામીમાં રહ્યા. એક વિવેચકે લખ્યા પ્રમાણે ‘ એ પોતાની ચામડીની ભીતર જ રહેવાનું પસંદ કરતા ‘ !  ‘ કાલે કોસ ‘ અને ‘ રાવી પાર ‘ એમની સૌથી ચર્ચિત નવલકથાઓ.
    એમની એક વાર્તા ‘ ગુમરાહ ‘ ની વાત કરીએ. વાર્તા મૂળ ઉર્દૂમાં લખાયેલી. ગુમરાહ એટલે રસ્તો ભૂલેલ વ્યક્તિ.
    એક પિતા ચિંતિત છે. એમના માંડ કિશોરાવસ્થામાં પ્રવેશેલ દીકરા વિષે એના માસ્તરે એકાધિક વાર ફરિયાદ કરી છે કે એ અવારનવાર સ્કૂલે આવતો નથી. ઘરેથી તો એ દરરોજ નિયમિત સ્કૂલે જવા નીકળી જતો. મધ્યમવર્ગીય કારકૂન પિતાને તો દીકરો ભણીગણીને આગળ વધશે અને ‘ કુટુંબનું નામ રોશન કરશે ‘ એવા અરમાન હતા અને હવે માસ્તર સાહેબની આ ફરિયાદ !
    એક દિવસ પિતા સ્કૂલે જવા નીકળેલા દીકરાને ખબર ન પડે એ રીતે એનો પીછો કરે છે. દીકરો ખરેખર સ્કૂલના રસ્તાને બદલે ઊંધો રસ્તો પકડે છે. એ સીધો નગરની ભાગોળે ડેરો નાખી પડેલા નટ બજાણિયાની બસ્તીમાં જાય છે. પહેલાં તો પિતાને થયું કે અત્યારે જ એ બદમાશનો કાન પકડીને ‘ સીધો દોર ‘ કરું પણ પછી વિચાર્યું, જોઈએ તો ખરા એના હવે પછીના પરાક્રમ ! બજાણિયાના ખેલ રસપૂર્વક જોઈ સીટી વગાડતો દીકરો તો નિજાનંદે મસ્ત હતો. એ ચોમેર ફેલાયેલી વનરાજીમાં વિહરતો આગળ આવેલી મદારીઓની વસાહતમાં પહોંચ્યો. ઓત્તારી ! પણ પિતાને યાદ આવ્યું, એ પોતે નાના હતા ત્યારે પણ ક્યારેક ઘૂમતા અહીં આવી ચડતા. વસાહતમાંથી થોડાક ખતરનાક કૂતરા જોર જોરથી ભસતા દોડી આવ્યા પણ છોકરાને જોઈને શાંત થઈ ગયા ! એ એને ઓળખતા હતા. ત્યાં તો મદારીઓના છોકરાં પણ તંબૂઓમાંથી બહાર નીકળી આવ્યા અને દીકરાના ગોઠિયા હોય તેમ એને વીંટળાઈ વળ્યા. એમાંના એકે તો દીકરાના ગળામાં ચાર – પાંચ જીવતા સાપ પહેરાવી દીધા ! પિતા આતંકિત ! એમનો ગુસ્સો હવે દીકરા માટેની ચિંતામાં ફેરવાયો. દીકરો જરાય વિચલિત નહોતો . એ હસતો હતો. સાપ તો સહજતાથી એના શરીર પરથી સરકી નીચે ઘાસમાં ખોવાઈ ગયા !
    બાપનો ગુસ્સો હવે ધીમે ધીમે લાગણીમાં પલટાતો હતો. દીકરો જે કંઈ કરે છે એ ગુનાઈત તો નથી જ.
    પ્રકૃતિના તત્ત્વો જોડે રમતો, ખેલતો, કૂદતો દીકરો હવે નગરની નદીના કિનારે કરચલા પકડતા માણસોને જોવામાં તલ્લીન બન્યો. પિતાને થયું, એક હું , વર્ષોથી આ બધા નિર્દોષ આનંદથી વેગળો, સંઘર્ષોમાં ગૂંચવાયેલો કલમ ઘસ્યે જાઉં છું અને બીજી તરફ મારો દીકરો જેણે પરિઆવરણ જોડે મૈત્રી કેળવી લીધી છે !
    ત્યાં અચાનક દીકરાની નજર પિતા પર પડી અને એ એક સાથે ખસિયાણો અને ભયભીત ! પણ પિતાનો પ્રતિભાવ સાવ અનપેક્ષિત હતો ! એ તો એને વઢવાને બદલે આશ્વસ્ત કરે છે ! થોડીક વારમાં બન્ને વચ્ચેનું અંતર અદ્રષ્ય થઈ ગયું. બન્ને બાપ દીકરો મિત્રોની જેમ નદી પાર કરી સામે કાંઠે જાય છે. બાપ દીકરાને પીઠ ઉપર બેસાડી નદી વટાવે છે. દીકરો હવે હોંશે હોંશે પિતાને સામે પાર રહેતા લકડહારા, મંદિરના સ્વામીજી અને ગુરુદ્વારાની વાતો કરે છે. સામે કાંઠે મળતા સ્વામીજી તો દીકરાના પેટ ભરી વખાણ કરે છે ! એ પછી આવતા ચાના બગીચામાં ચાની પાંદડીઓ વીણતી સ્ત્રીઓ પણ આ બાળકને ઓળખતી હતી. એક ઝૂંપડાંમાંથી નીકળીને એક સ્ત્રીએ તો છોકરાને વર્ષોથી ઓળખતી હોય એમ પૂછ્યું પણ ખરું ‘ બહુ દિવસો પછી આવ્યો તું દીકરા ! ‘
     
    દીકરો ઉત્સાહપૂર્વક પિતાને એની આ દુનિયાની વાત કરે છે. પિતાએ સિગરેટ સળગાવતાં એ એમને લાડપુર્વક ટોકે છે ‘ સારા માણસો ધૂમ્રપાન ન કરે ‘ . પિતાને ફરી દીકરા પર વહાલ ઉભરાઈ આવે છે. એ ઘડીક વિચારે છે, દીકરાને સ્કૂલ ન જવા બદલ ઠપકો આપવો કે નહીં પણ થોડાક મનોમંથન પછી માંડી વાળે છે. જે જગતથી એ પોતે અલિપ્ત હતા એ દીકરાનું ચિરપરિચિત જગત હતું !
    બન્ને સાંજે ઘરે પરત ફરે છે. પિતાની સાથે નોકરી કરતા કોઈક ખણખોદિયાએ  એમની પત્નીના કાનમાં ફૂંક મારી દીધેલી કે એ આજે ઓફિસ આવ્યા નહોતા. પત્ની ધુંઆંફુઆં ! એ કરડાકીથી તાડૂકે છે. પિતા બધો વાંક પોતાનો છે કહી દીકરાનો બચાવ કરે છે. પોતાના કારણે પિતાએ સાંભળવું પડ્યું એનો અપરાધ ભાવ અનુભવતો દીકરો રાતે પિતાની સોડમાં લપાય છે પણ એવી રીતે જાણે એ પિતાને પોતાની સોડમાં લેતો હોય ! હવે એ પિતા છે અને પિતા પુત્ર ! એ પિતાને સધિયારો આપે છે ‘ હવેથી હું ભણવામાં ધ્યાન આપીશ. બીજે ક્યાંય નહીં જાઉં. ‘
    એ ઘટનાના મહિનાઓ પછીની એક રાત. દીકરો હવે સ્કૂલ અને હોમવર્કમાં રચ્યો – પચ્યો રહે છે. એની મા અને શિક્ષકો હવે એનાથી ખુશ છે કારણ કે હવે એ ‘ ગુમરાહ ‘ નહીં પણ ‘ સીધા રસ્તે ‘ છે. પણ પિતા ?
    એ મનોમન ઈચ્છે છે કે દીકરો ફરી એક વાર સ્કૂલેથી ( અને પોતે ઓફિસેથી ! ) ભાગી રખડપટ્ટી કરવા નીકળી જાય. એમને લાગે છે કે પહેલાં દીકરો ગુમરાહ હતો, હવે એ પોતે છે. દીકરો તો ધોળે દિવસે રસ્તો ભૂલેલો એટલે પાછો ફર્યો, જે રાત્રિના અંધકારમાં પથચ્યુત થાય એનું શું !
    ‘ ગુમરાહ ‘ વાર્તા કેટલાક પ્રશ્નાર્થો છોડી જાય છે. સાંપ્રત સમયમાં પણ એ એટલા જ પ્રસ્તૂત છે જેટલા આ વાર્તા લખાઈ ત્યારે હતા.
    – શું શાળાનું ભણતર જ એકમાત્ર ભણતર છે ?
    – પ્રકૃતિના ખોળે વિહરતાં,  એના સાન્નિધ્યે ઉછરતા લોકોને હળીમળીને જે પ્રાપ્તિ થાય છે એ સમાજ માન્ય ભણતર કરતાં કમ છે ?
    – બાળકના કુદરતી આવેગોને ખાળી એને આપણે કંડારેલા માર્ગે જ ઘસડી જઈએ એ બરાબર છે ?
    – બધા જ ‘ અલગ રસ્તા ‘ શું ‘ ખોટા રસ્તા ‘ જ હોય ?

    સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • આપણા રોજબરોજનાં જીવનનાં સુખની ખોજનું અર્થશાસ્ત્ર : પ્રકરણ # ૫ # અંશ # ૧

    જીવનની અર્થવ્યવસ્થાનો

     વ્યાવહારિક અમલ

    આપણી અંગત અર્થવ્યવસ્થાના ઢાંચાને સમજવો

    ૪.૬ : અંશ # ૩  થી આગળ

    દિવ્યભાષ સી. અંજારીઆ

    જીવનની અર્થવ્યવસ્થાની નિર્ણયપ્રક્રિયાઓની રેખાકૃતિ 

    જીવનની અર્થવ્યવસ્થા બહુ સરળ છે. અર્થવ્યવસ્થાની સફરના નાણાકેન્દ્રિત વ્યવહારોનો પડાવ આપણે વટાવી ચૂક્યાં છીએ. આપણે હવે  એવા તબક્કામાં આવ્યાં છીએ જ્યાં આપણે કેવી અર્થવ્યવસ્થા અનુકૂળ આવશે અને તેનો અમલ આપણે શી રીતે કરવો છે તે નક્કી કરવું એ આપણી પોતાની પસંદગીનું ક્ષેત્ર છે. આ અર્થવ્યવસ્થાની ખીલવણી માટે આપણે અર્થશાસ્ત્રીઓનાં અર્થશાસ્ત્રની મદદ લેવી કે ન લેવી, એ અર્થશાસ્ત્રનું અને આપણી અંગત અર્થવ્યવસ્થાનું કોઈ પ્રમાણમાં મિશ્રણ કરવું કે ન કરવું, એ અર્થવ્યવસ્થાના નિયમો સમજવા છતાં તેમને બાજુએ મૂકવા ન મૂકવા વગેરે બાબતો વિશે આપણે, અને માત્ર આપણે જ, નિર્ણયો કરવાના છે.

    આપણા દરેકના રંગ, રૂપ, ઉછેર, જ્ઞાન અને અનુભવો, વિચારો, સંજોગો,  ભૌતિક, સામાજિક અને સાંસ્કૃતિક ભૂતકાળનાં તેમજ વર્તમાનનાં પરિબળો, સાવે સાવ, આગવાં છે, તેથી આપણી પોત પોતાની અંગત અર્થવ્યવસ્થા પણ સાવ આગવી જ રહે છે. જીવનની અર્થવ્યવસ્થા એ આપણા હાથમાંના આ પુસ્તક કે પછી બીજાં કોઇ પણ પુસ્તક કે અમુકતમુક ઢાંચાઓ વડે સુચવાયેલી કોઈ અર્થવ્યવસ્થા નથી. આપણા જેવી જ દેખાતી પરિસ્થિતિમાં રહેલ કોઈ બીજી વ્યક્તિને અમુક અર્થવ્યવસ્થા અનુકૂળ આવી એટલે આપણને પણ આવશે એવું તો બિલકુલ નથી. ત્યાં સુધી કે,  અમુક સંજોગો કે સમયમાં આપણને જ અનુકૂળ આવી હતી એવી પણ કોઈ અર્થવ્યવસ્થા હોતી નથી. ગમે એટલા આદર્શ જણાતાં મોડેલ કે સાર્વત્રિક મનાતા નિયમો એક માર્ગદર્શિકાથી વધારે કંઈ નથી, ન હોઈ શકે. આપણે ડિજિટલ ટેક્નોલોજિના વ્યવસાયના સફળ સંસ્થાપક હોઇએ, આપણો વ્યવસાય પણ અમેરિકામાં જ હોય તો પણ બિલ ગેટ્સ કે સ્ટીવ જૉબ્સને જે અંગત અર્થવ્યવસ્થા માફક આવી તે આપણને ન આવે, આપણો વ્યવસાય ભારતમાં હોય તો જમશેદજી તાતાને કે ધીરૂભાઈ અંબાણીને કે નારાયણ મૂર્તિને, જે અંગત અર્થવ્યવસ્થા માફક આવી તે આપણને ન આવે. બિલ ગેટ્સ બિલ ગેટ્સ છે અને આપણે આપણે છીએ. આપણે પોતે વિકસિત,કે વિકાસશીલ કે અણવિકસિત જેવી અલગ અલગ પ્રકારની જે અર્થવ્યવસ્થામાં રહેતાં હોઇએ,  એ દરેક પરિસ્થિતિઓના અલગ અલગ સમયકાળના સંજોગો મુજબ આપણી અંગત અર્થવ્યવસ્થા, એ જ અર્થવ્યવસ્થામાં એ જ સમયકાળમાં રહેતાં બીજાં લોકો કરતાં, સાવ અલગ જ હશે.

    અર્થવ્યવસ્થાનાં અમુકતમુક આદર્શ મોડેલનું ન હોવું એ એક હકીકત છે. તો બીજી બાજુ  છે આપણી આગવી આર્થિક જીવનદૃષ્ટિને અનુરૂપ, આપણા આર્થિક નિયમોને કે અર્થવવસ્થા. નાં આપણાં પોતાનાં મોડેલ મુજબની આપણી પોતાની અર્થવ્યવસ્થા. આપણાં પોતાનાં અર્થતંત્ર કે વ્યવસ્થાને  ન ખીલવવામાં, કે અમલ કરવામાં, આદર્શ મોડેલનું ન હોવું એ અવરોધ નથી, ન હોઈ શકે. તેનું કારણ પણ બહુ સ્પષ્ટ છે.

    જીવનની અર્થવ્યવસ્થા એ આપણાં જીવન માટે, આપણા દૃષ્ટિકોણથી, આપણે નક્કી કરેલાં સુખનાં લક્ષ્યને સિદ્ધ કરવા માટેની, આપણી, અંગત, અર્થવ્યવસ્થાના ઘડતર માટેના નિર્ણયો લેવા માટેનું માળખું છે. એ માળખાંની મદદથી આપણને સમજણ પડે તેવી, આપણી વર્તમાન અને ભાવિ જરૂરિયાતો પુરી કરતી રહી શકે તેવી રેખાકૃતિ આપણે આપણી નજર સમક્ષ રાખી શકીએ છીએ. આ રેખાકૃતિની રેખાઓ પથ્થર પર કોતરેલી લકીરો નથી. આપણે નક્કી કરેલા નિયમો, તેમાંથી વિકસતું આપણી પોતાની અર્થવ્યવસ્થાનું તંત્ર, દરેક તબક્કે, બહુ બહુ તો, એવી માર્ગદર્શિકાઓ છે, જે આપણાં જીવનની અર્થવ્યવસ્થાના પ્રવાહોની દિશા નક્કી કરવામાં મદદરૂપ બનતું એક સક્ષમ સાધન માત્ર છે.

    આપણા જીવનના દરેક તબક્કે દરેક બદલતા સંજોગો અને સંદર્ભો તેમજ બદલતી રહેતી અપેક્ષાઓ અને જરૂરિયાતો અનુસાર આપણા જીવનની અર્થવ્યવસ્થા પરિવર્તન પામતી રહે છે, અને રહેશે.

    યાદ રહે કે આપણા જીવનની આપણે પોતે નક્કી કરેલી અર્થવ્યવસ્થા એ અંતિમ સાધ્ય નહીં પણ, હંમેશાં, ભલે ગમે તેટલી આવશ્યક અને સક્ષમ હોય, પણ એક સાધન માત્રથી વિશેષ નથી.

    આપણાં જીવનની અર્થવ્યવસ્થા નક્કી કરવા માટેના નિર્ણયો લેવા માટેના આ માળખાંને સક્ષેપમાં આ રીતે રજુ કરી શકાય.

    આપણે અત્યારે ક્યાં છીએ

    આપણે, સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય, આર્થિક એવા કોઈને કોઈ સમુદાયનો હિસ્સો છીએ. આપણને ગમે કે ન ગમે, કોઈ સમુદાય સાથેનાં આપણાં જોડાણ બાબતે આપણે સભાન હોઈએ કે ન હોઈએ, આપણે વિવિધ સમુદાયોમાં જ વસીએ છીએ. જેમ જેમ આપણે દુનિયામાં આપણા સ્થાન વિશેની આપણી સમજણ વધતી જાય તેમ તેમ આપણે એક સમુદાયમાંથી બીજા સમુદાય સાથે ભળવાના જાણ્યેઅજાણ્યે, પ્રયાસ કરીએ છીએ. દરેક વખતે, આપણી પસંદગીના સમયે, આપણી પસંદગી મુજબના સમુદાયમાં એવી ફેરબદલી સરળ હોય એ જરૂરી નથી. આપણે જે સમુદાયમાં છીએ તેમાંથી બહાર નીકળી જવું તો, મોટા ભાગે, વધારે મુશ્કેલ નીવડતું હોય છે. આપણા જેવા સામાન્ય માણસને મોટા ભાગે તો સમુદાય બદલીનો વિચાર આવે જ નહીં. આવે તો પણ એ કામ એટલું મુશ્કેલ જણાય કે એવો પ્રયત્ન કરવાનો વિચાર આવતાંની સાથે જ આપણે માંડી વાળવામાં શ્રેય જોતાં હોઈએ છીએ.

    આપણા જીવનની અર્થવ્યવસ્થા નક્કી કરવા માટે આપણે હાલમાં કયા પ્રકારના સમુદાયનો ભાગ છીએ તે સમજવું જરૂરી છે. આજે વિદ્યાર્થી અવસ્થામાં શિક્ષણ સમુદાયમાં વસતી વ્યક્તિ કાલે નોકરિયાત તરીકે સરકારી કે ખાનગી ક્ષેત્રના સમુદાયનો હિસ્સો બની શકે છે. નોકરિયાત તરીકે પાછા આપણે નાણાકીય કે માર્કેટિંગ, કે ઉત્પાદન વ્યવસ્થાપન જેવા પેટાસમુદાયનો હિસ્સો પણ હોઇએ છીએ. પણ, એક વસ્તુ તો ચોક્કસ છે કે સન્યાસ લઈને હિમાલયમાં જઈને વસીએ કે ખ્રિસ્તી, જૈન કે બૌદ્ધ સાધુની જેમ પોતાની બધી જ સંપતિઓનો ત્યાગ કરી નાખીએ, તો પણ ઓછે કે વત્તે અંશે, કોઈને કોઈ રીતે, આર્થિક સમુદાયનો હિસ્સો અચુકપણે રહેવાનાં  જ છીએ.

    આપણા સમુદાયના અને આપણા પોતાના નિયમો 

    જ્યારે આપણે કોઈ સમુદાયનો હિસ્સો હોઈએ છીએ ત્યારે આપણે એ સમુદાયના નિયમો મુજબ તેમજ આપણા પોતાના સિધ્ધાંતો અનુસાર, એમ બેવડી વ્યવસ્થા અનુસાર એક સાથે, રહેવું પડે છે. સમુદાયના નિયમો આપણો સંદર્ભ  પણ છે અને અંકુશ પણ છે. આપણા સિધ્ધાંતો આપણી જીવન અંગેની ફિલસુફી, કે તેનો એક ભાગ, છે. આપણા દેશ અને શહેરના પોતાના નિયમો છે. આપણે જ્યાં નોકરી કરીએ છીએ તેના પોતાના નિયમો છે. આપણે જે ધર્મ કે આસ્થામાં માનીએ છીએ તેના, આપણાં ખાનપાનના કે ધનસંગ્રહ જેવી બાબતોના, પોતાના આગવા નિયમો હોય છે. આ બધા નિયમો મળીને આપણી આસપાસનું જે વાતાવરણ સર્જાય છે, તે આપણી જીવન વ્યવસ્થાનો સંદર્ભ નક્કી કરે છે.

    આપણા આ સંદર્ભની પસંદગી થકી, અને તેની સાથે આપણે શી રીતે કામ લેવું છે તેના વડે, આપણી ઓળખ  નક્કી થાય છે.

    આપણા પોતાના જીવન સિદ્ધાંતો બાબતે, સામાન્યપણે, આપણે સભાન નથી હોતાં. એટલે, તેટલા અંશે, એ સિદ્ધાંતોથી  અજાણ પણ  હોઈએ છીએ. આપણું જીવન આ સિધ્ધાંતોથી એટલી હદે આપોઆપ ચાલતું હોય છે કે આપણે તેની સામે નથી તો કદી પશ્ન કરતાં કે નથી તો કોઈ ચોખવટ માગતાં. આપણાં વર્તન, નિર્ણયો અને પગલાંઓનું એ અભિપ્રેત ચાલક બળ બની રહે છે.

    આપણી પોતાની આર્થિક જીવનદૃષ્ટિનાં ઘડતરનું પહેલું પગથિયું આપણા જીવન સિધ્ધાંતોને, આપણી જીવન ફીલસૂફીને, સભાનપણે સ્પષ્ટ કરવાનું છે. એ પછી, તેનું વિશ્લેષણ કરવું જોઈએ. એ વિશ્લેષણ આપણને આપણા સિધ્ધાંતો બદલવાની જરૂર છે કે ચાલુ રાખવાની જરૂર છે એ નિર્ણય લઈ શકવાની સ્થિતિમાં મુકી આપી શકે તેવું હોવું જરૂરી છે. જોકે તેવો નિર્ણય લેવો કે નહીં તે, મહદ અંશે, આપણે, સ્વેચ્છાએ, સભાનપણે લેવાનો છે. આપણી સ્વેચ્છા એ શબ્દપ્રયોગ અહીં  સાપેક્ષ અર્થમાં છે, કેમકે આપણે જે સમુદાયમાં વસીએ છીએ તેના નિયમોના સંદર્ભની, સીધી કે આડકતરી, અસર આપણા આ નિર્ણય લેવાની પસંદગી પર પડે જ છે. એટલે ખરેખર તો ઇચ્છનીય એ રહે કે આપણા સમુદાયના નિયમોના સંદર્ભનું આપણે સમજપૂર્વક મૂલ્યાંકન કરીએ અને તેને ધ્યાનમાં લઈને આપણા સિધ્ધાંતોમાં ફેરફાર કરવા જરૂરી છે, કે આપણા સંદર્ભનું નવી દૃષ્ટિથી મૂલ્યાંકન કરવું જરૂરી છે તે નક્કી કરીએ. જો આપણા સિધ્ધાંતમાં ફેરફાર કરવો યોગ્ય ન જણાય તો, કદાચ, આપણા સમુદાયને બદલવાનો વિચાર પણ આપણે કરવો પડે.

    આ, આપણી આર્થિક જીવનદૃષ્ટિનાં ઘડતર માટે આપણા જીવન સિધ્ધાંતો અને આપણે જે સમુદાયનો હિસ્સો છીએ તેના નિયમોની સમીક્ષા કરવી એ પહેલો, અને ખુબ મહત્ત્વનો, વિચાર વ્યાયામ છે.

    આર્થિક સમુદાયના નિયમો

    ભારતના નાગરિક હોવું, અમુક ધર્મ કે વ્યવસાય સાથે સંકળાયેલા હોવું, યુવાન, મધ્ય વયના કે પ્રૌઢ કે નિવૃત હોવું, કે પછી કોઈ સામાજિક સંસ્થા કે સખાવતી પ્રવૃતિ સાથે જોડાયેલા હોવું જેવા વિવિધ સમુદાયોના આપણે એક સાથે સભ્ય હોઈ શકીએ છીએ. પરંતુ જ્યાં પણ, જે પણ પરિસ્થિતિમાં, રહેતા હોઇએ, જે કોઈ પણ સમુદાયના સભ્ય હોઇએ, આર્થિક સમુદાય એક એવો સમુદાય છે જેના સભ્ય તો આપણે હોઈએ જ છીએ. તેથી આપણી પોતાની અર્થવ્યવસ્થાની રૂપરેખા ઘડતી વખતે એ આર્થિક સમુદાયના સંદર્ભો આપણા ધ્યાન બહાર ન જાય એ બહુ જ આવશ્યક બની રહે છે. આપણી દરેક પ્રવૃતિ કે યોગદાન, ઓછેવત્તે અંશે, કોઈને કોઈ પ્રકારનાં આર્થિક વળતરના સ્વરૂપમાં જોવા મળે જ છે.  જે આર્થિક સમુદાયના આપણે સભ્ય છીએ તેના પોતાના નિયમો પણ હોય જ.

    કોઈ પણ આર્થિક તંત્રનો સૌથી મહત્ત્વનો નિયમ, તેમજ સદર્ભ, નાણા જ હોય; બધી અર્થવ્યવસ્થાઓ નાણાની આસપાસ જ રચાતી હોય છે. આપણા દરેક વ્યવહારો કે યોગદાનોના લેણદેણના વિનિમય માટે સર્વસામાન્ય માધ્યમ પણ નાણા જ હોય છે. આપણી સફળતા, આપણી બીજા સમુદાયોમાં સ્વીકૃતિ જેવા કોઈ પણ માપદંડ, એક યા બીજા સ્વરૂપે, નાણા દ્વારા જ નિર્દિષ્ટ થતા હોય છે. જો દરેક અર્થમાં સંસારનો ત્યાગ કરીને હિમાલયમાં વાનપ્રસ્થ અવસ્થામાં જીવન ગાળવાનું નક્કી કર્યું ન હોય તો, આપણે આ સ્વીકારવું રહ્યું, અને એ મુજબ જ આગળ વધવું રહ્યું.

    આપણી આર્થિક જીવનદૃષ્ટિનું બીજું મહત્ત્વનું પરિબળ નાણાના સંદર્ભમાં આપણે નક્કી કરેલા આપણા સિધ્ધાંતો છે. નાણા કેમ મેળવવાં, કેમ ખર્ચ કરવાં, તેના શા શા ઉપયોગો કરવા વગેરે બાબતો વિશે આપણા સિધ્ધાંતો વિશે સ્પષ્ટતા હોવી જરૂરી છે.

    નાણા વિશે આપણે શું વિચારવું જોઈએ?

    પહેલું તો એ કે નાણા વિશે આપણી જે કંઈ સમજણ હોય તે, બહુ ઝીણવટથી, તપાસી જવી જોઈએ. તે પછી,નાણા બાબતે આપણા દૃષ્ટિકોણ શું છે તે વિશે સ્પષ્ટતા હોવી જોઈએ. તદુપરાંત, નાણાકેન્દ્રી અર્થવ્યવસ્થાના સંદર્ભમાં આપણા આર્થિક નિર્ણયો અને પ્રવૃતિઓને લગતા આપણા સિધ્ધાંતોને આપણે બરાબર સમજીને અને વિચારીને સ્પષ્ટ કરી લેવા જોઈએ.

    આમ છતાં, જીવનની અર્થવ્યવસ્થાની સમગ્ર ચર્ચાવિચારણા માટે જે બહુ જ મહત્ત્વનો પદાર્થપાઠ આપણે યાદ રાખવાનો છે તે એ છે કે આપણે નાણાકેન્દ્રી અર્થવ્યવસ્થા પૂરતું સીમિત નથી બની રહેવાનું. નાણા બિલકુલ અપ્રસ્તુત હોય, કે પછી કમસે કમ ઓછા મહત્વનાં હોય, એવા વિકલ્પોની આપણી ખોજ અવિરતપણે ચાલતી રહેવી જોઈએ.

     

    હવે પછીના મણકામાં આપણે આપણી આગવી અર્થવ્યવસ્થાનાં ઘડતર માટે વિચારણા કરવા અંગેના કેટલાક મહત્ત્વના પ્રશ્નો’ વિશે વાત કરીશું..


    શ્રી દિવ્યભાષ સી. અંજારીઆનો સંપર્ક dc@anjaria.email વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • નિર્જન કચ્ચાથીવુ દ્વીપ વિવાદમાં : ધુમાડો અને પ્રકાશ

    નિસબત

    ચંદુ મહેરિયા

    પચાસ વરસ પહેલાં, ૧૯૭૪માં,  થયેલી આંતરરાષ્ટ્રીય સમજૂતી હેઠળ જેના માલિકી હકનો વિવાદ સમાપ્ત થયો હતો તે કચ્ચાથીવુ દ્વીપનો મામલો ૨૦૨૪ની લોકસભા ચૂંટણીના  પ્રચારમાં ગરમાયો છે. તમિલ રાજનીતિનો આ વિવાદિત મુદ્દો હવે રાષ્ટ્રીય રાજકારણમાં પણ ઉઠ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્ચાથીવુ શ્રીલંકાને આપી દેવાના કોંગ્રેસના પગલાંને ‘ મા ભારતી કા એક અંગ કાટ દિયા’  થી માંડીને ‘ દેશની એકતા, અખંડતા અને હિતો વિરુધ્ધનું ‘ ગણાવ્યું છે. તમિલનાડુનો સત્તાપક્ષ ડીએમકે  કચ્ચાથીવુ પ્રશ્ને કોંગ્રેસની સાથે નથી પણ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ ગઠબંધનનો ભાગ છે એટલે તેના આ બેવડા વલણને ભાજપ વખોડે છે. આ સ્થિતિમાં રાજકીય દોષારોપણથી આગળ જોઈને આ પ્રશ્ને ખરી હકીકતો જાણવાની જરૂર છે. પણ આજે તો કચ્ચાથીવુ વિવાદની આગથી ઉઠેલા ધુમાડે સૌને તાપી લેવું છે. એની પછવાડેનો પ્રકાશ કોઈને શોધવો નથી.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    હિંદ મહાસાગરમાં ભારતના દક્ષિણ છેડે અને શ્રીલંકા વચ્ચે પાક જલડમરુ મધ્ય અર્થાત પાણીનો માર્ગ બને છે. તેના પર ઘણા દ્વીપ આવેલા છે. તે પૈકીનો એક કચ્ચાથીવુ છે. આ નિર્જન ટાપુ ભારતના રામેશ્વરમથી બાર માઈલ અને શ્રીલંકાના જાફનાના નેન્દુતીવુથી સાડા દસ માઈલના અંતરે આવેલો છે. બંગાળની ખાડીને અરબી સમુદ્ર સાથે જોડતો કચ્ચાથીવુ દ્વીપ ચૌદમી  સદીમાં જ્વાળામુખીના વિસ્ફોટથી રચાયો હતો. રેતીલા અને પરવાળાના દૈહિક માળખામાંથી તૈયાર થયેલા ખડકો અહીં પુષ્કળ પ્રમાણમાં છે. તેથી મોટા વહાણો ત્યાં લાંગરી શકતા નથી. પીવાના સાફ પાણીના અભાવે કચ્ચાથીવુ પર કોઈ માનવ વસ્તી નથી. માછીમારો આરામ માટે કે તેમની જાળ સુકવવા માટે તેનો ઉપયોગ કરે છે. ટાપુ પરનું એક માત્ર બાંધકામ કદાચ ખ્રિસ્તીઓ જેને નાવિકોના સંરક્ષક સંત માને છે તેવા સંત એન્થનીનું ચર્ચ છે. એટલે તેના વાર્ષિક ધાર્મિક ઉત્સવમાં એક બે દિવસ ભારત અને શ્રીલંકાના માછીમારો ત્યાં જાય છે. તે સિવાય ટાપુ પર માનવીય અવરજવર સીમિત છે.છતાં તેની માલિકીનો વિવાદ હજુ ય યથાવત છે.

    ૨૮૫ એકરનો કચ્ચાથીવુ દ્વીપ રામનાથપુરમના રાજાને અધીન હતો. પછી તે મદ્રાસ પ્રેસીડેન્સીનો ભાગ બન્યો હતો. ભારતના માછીમારો અને શ્રીલંકાના તમિળો પારંપારિક રીતે તેનો માછીમારી માટે ઉપયોગ કરતા હતા. બ્રિટિશ શાસનમાં પણ  બંને દેશો તેનો સંયુક્ત ઉપયોગ કરતા હતા. ૧૯૨૧માં માછીમારી માટે બંને દેશોએ એક માત્ર પોતાનો જ હક હોવાના દાવા કર્યા અને તેની માલિકીનો વિવાદ પેદા થયો.તે ઉકેલવાના પ્રયાસો બંને દેશોના રાજદ્વારીઓ ભારતના સ્વાતંત્ર્ય પછી પણ કરતા રહ્યા હતા. ૧૯૪૮માં શ્રીલંકાએ તેની અનુમતિ વિના ભારતીય નૌસેના અભ્યાસ નહીં કરી શકે એમ જણાવ્યું અને ૧૯૫૫માં ત્યાં શ્રીલંકન એરફોર્સે અભ્યાસ કર્યો. તેથી પણ તણાવ વધ્યો. ૧૯૭૪માં તત્કાલીન ભારતીય વડાપ્રધાન ઈન્દિરા ગાંધી અને શ્રીલંકન વડાપ્રધાન સીરીમાવો બંડારનાયક વચ્ચે સમુદ્રી સીમા સમજૂતી થઈ અને ભારતે કચ્ચાથીવુ પર પોતાના દાવો જતો કરી તેની માલિકી શ્રીલંકાને આપી દીધી. બંને દેશો વચ્ચે  આંતરરાષ્ટ્રીય જળ સીમા નિર્ધારિત થઈ હોવા છતાં માછીમારોની અવરજવર અને ધાર્મિક ઉત્સવમાં વિના વિસાએ જવાનું ચાલુ રહ્યું હતુ. ૧૯૭૬માં બંને દેશો વચ્ચેની અન્ય સમજૂતીમાં એકબીજાના વિશેષ આર્થિક ઝોનમાં માછીમારી કરવા પર પ્રતિબંધ લદાયો. તેથી તમિલનાડુનામાછીમારો માટે મુશ્કેલીઓ ઉભી થઈ.

    તમિલનાડુ સરકારે કચ્ચાથીવુ દ્વીપ શ્રીલંકાને આપી દેવાના નિર્ણયનો ૧૯૭૪થી જ વિરોધ કર્યો હતો. તમિલનાડુની રાજ્ય સરકારને આ નિર્ણય તેમના રાજ્યના માછીમારોના હિત વિરુધ્ધનો લાગતો હતો.રાજ્યમાં રાજવટ ડીએમકેની હોય કે એઆઈડીએમકેની બંને પક્ષો કેન્દ્રના આ નિર્ણયને રાજ્યના હિત વિરુધ્ધનો ગણતા હતા. ૨૦૦૮ અને ૨૦૧૧માં રાજ્યની વિધાનસભામાં કચ્ચાથીવુ દ્વીપ પરત મેળવી લેવા વિનંતી કરતો પ્રસ્તાવ પણ પસાર થયો હતો. હાલના મુખ્યમંત્રી એમ.કે સ્ટાલિને પણ કેન્દ્ર સરકારને પત્રો લખી વિનંતી કરી છે. તમિલનાડુ સરકારે મદ્રાસ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પણ ટાપુ પરત લેવા દાદ  માંગી હતી.

    શું કચ્ચાથીવુ દ્વીપ પરત લઈ શકાય ? ભારત અને શ્રીલંકા વચ્ચે સદીઓથી મૈત્રીપૂર્ણ સંબંધો છે. ભારત તેના પાડોશી દેશો સાથે સારા સંબંધો ઈચ્છે છે. ૧૯૭૪ અને ૭૬ની સમજૂતીઓનો ઉદ્દેશ દ્વિપક્ષી સંબંધો મજબૂત કરવા માટેનો હતો. આ પ્રકારની સમજૂતી બંને પક્ષોની સંમતિથી અને બંનેના હિતમાં હોય તે પ્રકારે થાય છે. સમુદ્રમાં સંસાધનોનું પ્રબંધન અને કાયદાના અમલનો પણ તેનો ઉદ્દેશ હતો..એટલે  કચ્ચાથીવુ પરત મેળવવો થુકેલું ચાટવા બરાબર છે. ૨૦૧૪માં સુપ્રીમકોર્ટમાં તમિલનાડુ સરકારની અપીલના સંદર્ભે ભારત સરકારનો પક્ષ રજૂ કરતા તત્કાલીન એટર્ની જનરલ મુકુલ રોહતગીએ કોર્ટમાં કહ્યું હતું કે, ‘કચ્ચાથીવુ દ્વીપ સમજૂતી પ્રમાણે શ્રીલંકાને આપ્યો છે. હવે તે વૈશ્વિક જળ સીમાનો હિસ્સો છે. હવે તેને પરત મેળવવા માટે શ્રીલંકા સામે યુધ્ધ કરવું પડે.’ શું આ શક્ય છે?

    સીમા વિવાદો ઉકેલવાનો સ્થાપિત ચીલો જમીનની લેવડદેવડ છે. ભારતે કચ્ચાથીવુ દ્વીપ આપ્યો છે તો બદલામાં કન્યાકુમારી તરફની વાડ્જ બેંક ( ઈકો સિસ્ટમ માટેનો સામાન્ય શબ્દ) મેળવી પણ છે. અહીં માછીમારી પણ થઈ શકે છે અને ખનિજ સમૃધ્ધ વિસ્તાર પણ છે. હાલની કેન્દ્ર  સરકારે બાંગ્લાદેશ સાથેના  જમીન વિવાદમાં કરેલી સમજૂતીમાં વધુ જમીન આપીને ઓછી મેળવી છે. ચીન સરહદે ભારતે જમીન ગુમાવ્યાના આક્ષેપો વિપક્ષ સતત કરે જ છે ને?

    જ્યારે કોઈ મુદ્દો લોકહિતના નામે રાજકીય રૂપ ધારણ કરે છે ત્યારે સારાસાર વિવેક પણ ચૂકી જવાય છે. વડાપ્રધાન મોદીએ ચૂંટણી પ્રચાર સભાઓમાં કચ્ચાથીવુ મામલે વિરોધ કર્યા પછી વિદેશમંત્રી એસ. જયશંકરે પત્રકાર પરિષદમાં કેટલાક મુદ્દા રજૂ કર્યા હતા. વર્તમાન વિદેશમંત્રીનું પૂર્વના વિદેશ સચિવ તરીકેનું વલણ અને અભિપ્રાય અને હાલનું વલણ ધ્યાનથી ચકાસીએ તો તેમાં વિવાદનો ધુમાડો વધુ છે અને વાસ્તવિક પ્રકાશ ઓછો છે.

    કચ્ચાથીવુ તરફ  માછીમારી માટે જતા ભારતીય માછીમારોની ધરપકડો, તેમના વહાણોની જપ્તી અને ગોળીબારની ધમકીના બનાવો બન્યા છે. આ માછીમારોના અધિકારોનું હનન છે કે શ્રીલંકાની  જોહુકમી ? તેવો સવાલ થાય ત્યારે ભારત સરકારના વિદેશ મંત્રાલયની વેબસાઈટ જોઈ લેવી. તેમાં ૧૯૭૪ અને ૭૬ની સમજૂતીનો હવાલો આપીને કચ્ચાથીવુ  શ્રીલંકાનો હોવાનું સ્પષ્ટ જણાવ્યું હોય કે ૨૦૧૪માં મદ્રાસ હાઈકોર્ટ સમક્ષના જવાબમાં ભારતનું વિદેશ મંત્રાલય ભારતીય માછીમારો શ્રીલંકાની જળસીમામાં જઈ શકે નહીં તેમ જણાવે તો અધિકારોનું હનન ક્યાં? તેનો જવાબ મળે છે.

    રાજકીય નિરીક્ષકોના મતે કચ્ચાથીવુ વિવાદની અસર તમિલનાડુની રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓમાં પણ ખાસ થઈ નથી તો લોકસભા ચૂંટણીમાં તેની નહિવત અસર થઈ શકે છે. પણ લોકસભા ચૂંટણીમાં આ મુદ્દો ઉઠ્યો તે બંને દેશોના સંબંધોને અસર કરનારો ન નીવડે પણ ઉકેલ લાવનારો નીવડે તો સારું. કચ્ચાથીવુ પરત મેળવવાનો મુદ્દો કેટલો ભાવનાત્મક છે અને કેટલો માછીમારોની રોજીરોટીનો છે, તેનો તર્કબધ્ધ અને અભ્યાસપૂર્ણ જવાબ મેળવવાનો પણ હજુ બાકી છે.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ગાંધી અને ટાગોર : એકમેકના ‘મહાત્મા’ અને ‘ગુરુદેવ’

    તવારીખની તેજછાયા

    ૨૦૧૯માં પ્રજાસત્તાક દિવસની પરેડમાં બાંગ્લાદેશ તરફથી ‘શાંતિનિકેતન અને બેલિયાઘાટામાં ગાંધીજી’ની થીમ પર આ ટેબ્લો રજૂ કરાયો હતો

    પ્રકાશ ન. શાહ

    કવિએ ભલે ભોમિયા વિના ભમવા ચાહ્યું હોય, આપણે સારુ તો કેમ જાણે ભોમિયા રૂપે જ એમણે ચચ્ચાર ‘ગુજરાત સ્તવનો’ રમતાં મૂક્યાં જ છે.

    ગાંધીજી અને રવીન્દ્રનાથને મળવાનું તો જરી મોડેથી થયું છે. પણ દક્ષિણ આફ્રિકાના ભાંડુઓની ભાળ લેવા ગયેલા દીનબંધુ (ચાર્લ્સ એન્ડ્રુઝ) મારફતે બંનેના પરોક્ષ સંપર્કની શરૂઆત થઈ હતી. ગાંધી ને એન્ડ્રુઝ તો એટલા નજીક આવી ગયેલા કે એકબીજાને ‘મોહન’ ને ‘ચાર્લી’ તરીકે સહજ સંબોધતા. આ પરોક્ષ સંપર્ક અલબત્ત આગળ વધવાને નિરમાયેલો હતો કેમ કે કાયમ માટે ભારત આવવાનું નક્કી કર્યા પછી પોતે આવે તે આગમચ ગાંધીજીએ આશ્રમસાથીઓના એક જથ્થાને શાંતિનિકેતન મોકલી આપ્યો હતો.

    શાંતિનિકેતનના પ્રબંધનમાં ત્યારે દ.બા. કાલેલકર કાર્યરત હતા. વતન પરત થઈ ગાંધીજી સાથીઓને મળવા શાંતિનિકેતન ગયા ત્યાં એમનો ને કાલેલકરનોયે પરિચય થયો. (રવીન્દ્રનાથ પાછળથી જરી પ્રણયકલહ પેઠે ગાંધીજીને ફરિયાદ પણ કરતા કે તમે અમારા દત્તુબાબુને લઈ ગયા તે લઈ જ ગયા… પાછા આપવાનું નામ જ નથી લેતા!) કાલેલકરના મિત્ર કૃપાલાની ત્યારે મુઝફ્ફર કૉલેજમાં ઈતિહાસના અધ્યાપક હતા. કાલેલકરે કૃપાલાનીને લખ્યું કે આફ્રિકાખ્યાત ગાંધી અહીં છે. તું મળવા આવ. આમ તો બેઉ ફર્ગ્યુસોનિયન, હિમાલયના રસિયા સહયાત્રી અને વળી ક્રાંતિકારી પ્રવૃત્તિ સાથેય કંઈક સંકળાયેલા. પણ હવે એક હિમાલય સદૃશ પ્રતિભાના સંપર્કે નવો અધ્યાય નિરમાયેલો હતો.

    કૃપાલાની ને ગાંધીની એ પહેલી મુલાકાત: ‘તેઓ અવારનવાર મારા તરફ ટીકીને જોતા હતા.’ કૃપાલાની લખે છે, ‘તે પરથી મેં ધાર્યું કે તેઓ મારું માપ કાઢે છે.’ વળી સટાક ઉમેરે છે, ‘હું પોતે પણ એ જ કરતો હતો.’ એ આરંભિક મુલાકાતોમાં ગાંધીજીના રાજકીય વિચારોની તો કૃપાલાની પર ખાસ અસર નહીં થઈ હોય, પણ ‘હું જોઈ શક્યો કે તેઓ ગરીબો પ્રત્યે કેવળ સહાનુભૂતિ જ નહોતા ધરાવતા, પણ ગરીબોની જેમ જીવવા પ્રયત્ન કરતા હતા. ગરીબો પ્રત્યેનો તેમનો પ્રેમ નહોતો બૌદ્ધિક કે નહોતો વેવલો કે નહોતો ભાવનાપ્રધાન. તેઓ ગરીબોને મુરબ્બીની પેઠે મદદ નહોતા કરતા, તેઓ તેમની સાથે તાદાત્મ્ય અનુભવવા મથતા હતા.’

    ગમે તેમ પણ તે પછી બે’ક વરસે ચંપારણની જાતતપાસ માટે જતાં ગાંધીજી મુઝફ્ફરપુરમાં કૃપાલાનીના મહેમાન થયા. ગાંધીજીએ એમને પૂછ્યું કે ચંપારણના પ્રશ્ન વિશે તમે શું જાણો છો. કૃપાલાનીએ જણાવ્યું કે ખેડૂતો સાથે ક્રૂરતાથી વર્તાવ થઈ રહ્યો છે. તે સિવાય મને ખાસ ખબર નથી. આટલું સંભાર્યા બાદ કૃપાલાનીએ જે ટિપ્પણ કર્યું છે તે અર્થગર્ભ છે: ‘તે જમાનામાં આપણું રાષ્ટ્રાભિમાન એવું હતું કે પાસેના ગામડામાં શું બની રહ્યું છે એની પણ આપણને ખબર નહોતી! આપણે શિક્ષિતો એક અલગ વર્ગ તરીકે રહેતા હતા. આપણી દુનિયા શહેરો અને કસબાઓ તથા આપણા શિક્ષિતો પૂરતી મર્યાદિત હતી. આમજનતા સાથે આપણો સંપર્ક જ નહોતો.’

    રાષ્ટ્રપ્રેમ અને સ્વરાજચિંતનનું આ અભિનવ અર્થઘટન જોયું તમે? ગરીબો સાથે મુરબ્બીવટ નહીં પણ તાદાત્મ્યની સાધના- અને દેશ એટલે કોઈ અમૂર્ત કલ્પના નહીં પણ આમજનતા, એનાં સુખ-દુ:ખ, એની સાથે સંધાન.

    ૧૯૨૨માં અમદાવાદમાં બ્રુમફિલ્ડની કોર્ટમાં (સરકિટ હાઉસમાં) ગાંધીજી પર કેસ ચાલ્યો છે અને સજા થઈ છે. (અદાલતમાં તસવીર તો ક્યાંથી ખેંચાય, પણ ર.મ.રા.નો લંડન ટાઈમ્સમાં પ્રકાશિત સ્કેચ એક મોંઘેરું સંભારણું છે.) જુબાનીમાં ગાંધીએ પોતાનો વ્યવસાય ખેડૂત અને વણકરનો કહ્યો છે.

     

    સુદૂર બંગાળમાં અનુશીલન સમિતિના એક ક્રાંતિકારી મિત્ર નોંધે છે કે હું રહું છું ત્યાં નીચેના ભાગમાં એક ગરીબ મુસલમાન વણકર રહે છે. એને ગાંધીની ચળવળ વિશે તો શું ખબર હોય, પણ ‘મારો જાતભાઈ’ પકડાયો છે એ ખયાલે એની આંખોમાં આંસુ આવી ગયાં! ક્રાંતિકારી તે અમે અનુશીલનવાળા… કે આ ગાંધી?

    એ જ વરસના ડિસેમ્બરમાં રવીન્દ્રનાથ અમદાવાદ આવ્યા છે ને ગાંધીસૂના આશ્રમમાં ‘એમની ગેરહાજરીથી તમને સૌને કેવું વસમું લાગતું હશે એ હું સમજું છું’ એ ઉદ્્ગારો સાથે પોતે ગાંધીજીને મહાત્મા કેમ કહે છે એનીયે હૃદયવાર્તા માંડી છે: ‘મને ખાતરી છે કે મહાત્માજીનો આત્મા તમારી વચ્ચે સક્રિય છે એવું તમે અનુભવી રહ્યા હશો. ‘મહાત્મા’ એટલે મહાઆત્મા, મુક્ત આત્મા… એનું જીવન ‘સ્વ’માં સીમિત નથી… એની જીવનચર્યા સમગ્ર વિશ્વ માટે, સમસ્ત મનુષ્યજાતિ માટે છે, નહિ કે સીમિત જગત અને સંકુચિત જીવન માટે.’

    મેનું પહેલું અઠવાડિયું વટાવતે વટાવતે ગુજરાત જોગ જે ઈતિહાસબોલ સાંભર્યા, મહાત્મા ને ગુરુદેવ વાટે, તે અહીં ઉતારતા ઊંબરે ઊભી વાલમબોલ સાંભળતો હોઉં એમ લાગે છે. પણ ગાંધી-રવીન્દ્રે એકવીસમી સદીને કે બેસતી નવી સહસ્ત્રાબ્દીને જે ઈતિહાસ-ખો આપી છે એની સામે ગુજરાત બલકે ભારત ક્યાં છે?


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૦૮ – ૦૫ – ૨૦૨૪ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખ


    શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • વાહનો : ભાગ (૨)

    મહેન્દ્ર શાહનાં કળાસર્જનોનો સંપુટ

     

    Mahendra Shaha Kala Sampoot – Vehicles Part 2

     


    મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com

  • રાઈનો પર્વત (૧૯૧૩) – અંક છઠ્ઠો: પ્રવેશ ૧

    સર્જક : રમણભાઈ મહિપતરામ નીલકંઠ

    અંક ચોથો: પ્રવેશ ૫   થી આગળ

    સ્થળ : રંગિણી નદીનો કિનારો.

    [ જગદીપ નદીતટે શિલાપર બેઠેલો પ્રવેશ કરે છે. ]

    જગદીપ :  આ રમણીય સ્થળ આટલું પાસે છતાં અહીં હું કદી આવ્યો જ નથી, એ કેવું નવાઈ જેવું ! કિસલવાડી અને કનકપુર વચ્ચે હું બહુ ફર્યો છું, અને આખું કનકપુર ફરી વળ્યો છું. પણ, કનકપુર મૂકીને ઉત્તરે આ પહેલાં હું કદી આવ્યો જ નથી, એ કેવું ! પણ આઘે નદી બાગમાં થઈને જાય છે, અને, બાગમાં અગાડી મોટું મકાન દેખાય છે, તોપણ શીતલસિંહ મને આ તરફ કદી લાવ્યા નથી, અને એ મકાન વિશે મને તેમણે કાંઈ માહિતી આપી જ નથી ! હશે. પણ શીતલસિંહનું શું થશે ? હું એમને કે જાલકાને મળવા રહો હોત તો એમની બન્નેની ક્ષમા માગી શકત. ક્ષમા! અમારા ત્રણમાંથી ક્ષમા કોણે કોની માગવાની ! વળી હું રાતે બારોબાર નીકળી આવ્યો ન હોત તો મને આવી સ્વતંત્રતા ક્યાંથી મળત ! એ સ્વતંત્રતાના ઉપભોગમાં અરુણોદયથી કેવો ઉલ્લસ થાય છે.

    (વસંતતિલકા)

    ધિમે ધિમે સ્ફુરતું જે ગગને પ્રભાત
    એકાત્મ તે શું થઈ આ પૃથિવી સમસ્ત!
    જ્યાં ત્યાં પ્રભાત ફુટતું જલ વાયુ વૃક્ષે!
    ફૂટે પ્રભાત વળિ પક્ષિનિ પાંખમાંથી ! ૬૫
    અને મારામાંથી પણ પ્રભાત પ્રગટ થતું લાગે છે.

    [સંગીત સંભળાય છે.]

    અહો ! ધ્વનિ શાનો સંભળાય છે? સંગીતનો સ્વર નદીના પટ ઉપર થઈને ચાલ્યો આવે છે. (દૃષ્ટિ લાંબે નાખીને) નદીમાં હોડી છે. તેમાં બે સ્ત્રીઓ છે: એક હંકારે છે અને એક સારંગીના વાદ્ય સાથે ગાય છે. કેવો મધુર કંઠ ! હોડી આ તરફ આવે છે. પણ નદી બાગમાંથી બહાર નીકળે છે ત્યાં નદીના પટ ઉપર ઝૂલતો ઝાંપો છે, એટાલે અહીં સુધી હોડી આવશે નહિ. હું અહીંજ બેસીને સાંભળું. આ ચંબેલીના છોડનો ઓથો છે, તેથી હું નજરે નહિ પડું.

    [નદી પર તરતી હોડીમાં બેઠેલાં વીણાવતી અને લેખા આઘેથી આવતાં પ્રવેશ કરે છે. લેખા હોડી હંકારે છે અને વીણાવતી સારંગી વગાડી ગાય છે.]

    વીણાવતી :

    (ભૈરવી)

    વિનવું, માર્ગ કરો ! વહે મુજ નાવ.
    રોક નદી! તુજ પ્રતિકૂળ સ્રોત તું, આ નાવ સમાવ; વિનવું.
    વાયુ ! ધસે જે વેગ તુજ સામો, નાવ કાજ તે હઠાવ; વિનવું.;
    કાષ્ઠ ! તું તજ આ જડ ભાર તારો, નાવ હલકી બનાવ; વિનવું.
    જાઓ છુટી સહુ સ્થૂલ મુજ બન્ધન, સૂક્ષ્મગતિ ! તું આવ; વિનવું.
    સરલ પથ મન અભિલાષા… … … ૬૬

    જગદીપ :  એકાએક સંગીત બંધ કેમ થયું ? (દ્રષ્ટિ કરીને) અરે ! પણે હોડી ડૂબે છે !(ઊભો થાય છે.)

    [‘કોઈ આવજો વે’ એવે બૂમ સંભળાય છે.]

    હું શી રીતે જઈ પહોંચું ? બાગની આસપાસ તો ઊંચો કોટ છે. હા! નદીના પટ પરનો ઝૂલતો ઝાંપો એક ઠેકાણે તૂટેલો છે ! નદીમાં થઈને એ રસ્તે જાઉં. પાણી ઊંડું આવશે ત્યાં તરીશ.

    [નદીમાં પ્રવેશ કરીને ઉતાવળો જાય છે. હોડીમાં પાણી ભરાઈ જતાં હોડી ડૂબે છે, અને વીણાવતી અને લેખા પાણીમાં પડે છે. જગદીપ ત્યાં જઈ પહોંચે છે. લેખા તાણાઈને આઘે જાય છે. વીણાવતી પાણીમં નીચે જાય છે, જગદીપ વીણાવતીને ઊંચકી કિનારે લઈ આવે છે અને સુવાડે છે.]

    એણે પાણી પીધું નથી. માત્ર ધ્રાસકાથી બેભાન થઈ ગઈ છે. બાઈ ! બાપુ ! જાગ્રત થાઓ! અહો ! કેવું અદ્ભુત લાવણ્ય!

    (મન્દાક્રાન્તા)

    અંગે અંગે પટ જલ તણું ઝીણું એને વિટાયું,
    ધોળું કેવું ચકચક થતું કાન્તિથી તે છવાયું!
    ચારે પાસે તૃણમય ધરા તેજ-સંક્રાન્તિ પામી
    દીપે જાણે લિલમથિ જડી ભૂમિ પ્રાસાદમાંથી ૬૭

    અને, આ પણ કોઈ પ્રાસાદમાંની જ કોઈ લાવણ્યશ્રી છો. પણ, અરે, આ મૂર્છાગત થયેલી પરવશ સ્ત્રીના અંગનું નીરીક્ષણ કરવું એ યોગ્ય છે ? હું આડી દૃષ્ટિ રાખીને જ એને જગાડવા પ્રયન્ત કરીશ. (આડું જુએ છે) બાઈ ! ઊઠો! }}

    [લેખા ભીને લૂગડે પ્રવેશ કરે છે.]

    લેખા :  હાય ! હાય ! કુંવરીબાનું શું થયું ?(જગદીપને જોઈને અટકીને) તમે કોણ છો ?

    જગદીપ :   હોડી ડૂબતી જોઈને હું મદદે દોડી આવ્યો છું અને આમને મેં પાણીમાંથી બહાર કાઢીને સુવાડ્યાં છે. જુઓ એ હાલ્યાં !

    [લીલાવતી આંખ ઉઘાડે છે.]

    વીણાવતી :      લેખા ક્યાં છે?

    લેખા :  આ રહી. હું તમારી પાસે જ છું.

    વીણાવતી :      આપણે શી રીતે બચ્યાં ?

    લેખા :  હું તો વહેણમાં થોડું તણાઈને પછી કિનારા તરફ જતાં છોડવાં ને ઝાલીને બહાર નીકળી આવી. તમે તો હોડી આગળ જ ડુબ્યાં તે આમણે તમને બહાર કાઢ્યાં.

    [વીણાવતી બેઠી થઈને જગદીપ તરફ જુએ છે અને પછી નીચું જુએ છે.]

    વીણાવતી :      લેખા ! હાલ તો આપણે અહીંથી જવું જોઈએ. આપણાં લૂગડાં ભીનાં છે. આપણા નોકરો આ આવી પહોંચ્યા.

    [નોકરો પ્રવેશ કરે છે.]

    લેખા :  (નોકરોને) બા માટે પાલખી લઈ આવો.

    [નોકરો જાય છે.]

    લેખા :  (જગદીપને) અમે આપનાં બહુ આભારી છીએ, પણ હવે આપ સિધાવો. આ ભૂમિમાં કોઈ પરાયાએ પેસવું નહિ એવી સખત આજ્ઞા છે.

    વીણાવતી :      લેખા ! એમ અસભ્ય થવાય ?

    લેખા :  ત્યારે શું એમને આપણે ત્યાં આવવાનું નિમંત્રણ કરું ?

    વીણાવતી :      એવી અમારી ઇચ્છા છે એમ મેં તને ક્યારે કહ્યું ?

    જગદીપ :        આ અકસ્માત બનાવથી આમેન્ કાંઈ અસ્વસ્થતા થઈ નથી, એ સમાચાર મને મળે તો હું ઉપકૃત થાઉં.

    લેખા :  એ કેવળ અશક્ય છે.

    [નોકરો પાલખી લઈ પ્રવેશ કરે છે.]

    લેખા :  (વીણાવતીને) બા, ચાલો, આ પાલખીમાં બેસો. (જગદીપને) કોટમાં સામું દ્વાર છે તે આપને જવા માટે નોકર ઉઘાડી આપશે.

    [વીણાવતી જગદીપ તરફ દૃષ્ટિ કરતી પાલખીમાં બેસે છે. પછી નોકરો પાલખી ઉપાડી જાય છે. સાથે લેખા જાય છે.]

    જાગદીપ :       (પાલખી પાછળ દૃષ્ટિ કરીને) કેટલી ઝડપથી પાલખી અદૃશ્ય થઈ ગઈ ! પણ, બીજા પાસેથી રત્ન ઝુંટવી લેનાર બીજાનું શું થયું તે જોવા ક્યારે ઊભું રહે છે?

    (ચામર)

    હોડિમાંથી રત્ન એ ઝુંટાવિ રંગિણી નદી,
    ચાલિ ને લઈ પછાડિ હોડિ મૂકિ ડૂબતી;
    રંગિણી કનેથિ ખેંચિ મેં ન જોયું તે ભણી,
    મારિ વૃત્તિ તે ગણે શું જાય જે મને લુંટી? ૬૮.

    એવી લુંટાયાની અવસ્થામાં હું આવ્યો છું ? આજ હું એ કાંઇ નવો કજ ભાવ અનુભવું છું ! પેલું દ્વાર મારે માટે ઉઘડ્યું મારે જવું જ પડશે.

    (વંશસ્થ)

    ન જાણું મારું મુકિ જાઉં શું અહીં,
    ન જાણું મારું લઇ જાઉં સાથ શું;
    બહાર આવી ઉરવૃત્તિઓ બહુ,
    સમેટિ જાણું નહિં તે હું આ ઘડી. ૬૯

    [દ્વારમાં થઈ કોટ બહાર જાય છે.]


    ક્રમશઃ

    ● ●

    સ્રોત : વિકિસ્રોત

  • આ દર્પણનું સાચ / ચાલ્યાં જુઓ

    જીતેન્દ્ર જોશી

    અમથી અમથી તું ટીચે છે એના ઉપર ચાંચ
    આવ તને સમજાવું, ચકલી, આ દર્પણનું સાચ.

    રોજ રોજ તું ભૂલી પડતી આ ખોટા સરનામે,
    બિંબ જોઈને ઝૂર્યા કરતી તું દર્પણની સામે.
    કોઈ નથી એ બીજું મ્હોરું, ખાલી છે આ કાચ.
    આવ તને સમજાવું, ચકલી, આ દર્પણનું સાચ.

    ડાળ ઉપરથી ચીંચીં કરતી, ઘૂમરાતી તું ઘેલી,
    વ્યાકુળ થઈને ખખડાવે છે બંધ કરેલી ડેલી,
    કોઈ નથી ખોવાયું તારું, ના કર અમથી જાંચ.
    આવ તને સમજાવું, ચકલી, આ દર્પણનું સાચ.

    ફરફર ફરફર ફરક્યાં કરતી તારી કોમલ પાંખો,
    કોઈ નર્તકી જેમ નાચતી તારી બન્ને આંખો,
    કોઈ નથી જોનારું અંદર, તારો સુંદર નાચ.
    આવ તને સમજાવું, ચકલી, આ દર્પણનું સાચ.

    ઝૂરી ઝૂરી થાકી ગ્યા છે, કૈંક અહીં છેવટમાં,
    લોહી નીગળતી ચાંચ રહે છે, અંતે અહીં ફોગટમાં,
    પથ્થર છે આ, નહીં આવે કંઈ, એને ઊની આંચ.
    આવ તને સમજાવું, ચકલી, આ દર્પણનું સાચ.


    મુકુલ ચોકસી

    – ગઝલ –

    બે’ક હંસો ચાંચ બોળીને ઊડી ચાલ્યા જુઓ,
    ને સરોવરમાંથી જળ કેવાં ખૂટી ચાલ્યાં જુઓ.

    એકબીજામાં આ પડછાયા ભળી ચાલ્યા જુઓ,
    ને આ જીવતા માણસો અળગાં રહી ચાલ્યા જુઓ.

    જે તૂટે તે લાકડા જેવુંય તરતા રહી શકે,
    વહાણ આખેઆખાં તો પળમાં ડૂબી ચાલ્યાં જુઓ.

    રાહ જોતાં’તાં સદીથી એક મહેફિલની અમે,
    ને મળી તો આમ અડધેથી ઊઠી ચાલ્યાં જુઓ.

    કોઇને ગમતાં નહોતાં તેઓ પણ આજે મુકુલ
    અમથું અમથું એક અરીસાને ગમી ચાલ્યાં જુઓ.

  • ફિલ્મી ગઝલો – ૫૦. પંડિત ઇન્દ્ર

    ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

    ભગવાન થાવરાણી

    વીતેલા જમાનાના પંડિત કહેવાતા અનેક ગીતકારોમાંના એક હતા પંડિત ઈન્દ્ર.  આખું નામ પંડિત ઇન્દ્ર ચંદ્ર દધિચ. ( એમને યાદ કરતા યાદ આવે ૧૯૩૨ ની ફિલ્મ ‘ ઇન્દ્ર સભા ‘ જેમાં ૭૨ ગીતો હતા ! જો કે એમાં પંડિત ઈન્દ્ર ક્યાંય નહોતા. હા, એમણે એ જ અરસામાં ફિલ્મ પ્રવેશ કર્યો ખરો ! )

    ૧૯૩૩ થી ૧૯૬૮ સુધી પંડિતજીએ ૧૨૮ ફિલ્મોમાં ૯૦૦ થી વધુ ગીતો લખ્યા.  અમારી પેઢીના લોકોએ જ્યારે એમની ૧૯૬૦ ની ફિલ્મ ‘જમીન કે તારે ‘નું ગીત ‘ઓ મેરે પ્યારો ઝમીં કે તારો‘  સાંભળ્યું ત્યારે એમની કારકિર્દી લગભગ અસ્ત થઈ ચૂકી હતી.

    કહેવાય છે, મુંબઈના અંધેરી વિસ્તારમાં ક્યાંક એમના નામનો કવિવર પંડિત ઈન્દ્ર માર્ગ પણ છે. બહરહાલ, એમની બે ખૂબસૂરત ફિલ્મી ગઝલો જોઈએ :

    માના કે તુમ હસીન હો અહલે – શબાબ હો
    ઇસકા તો કુછ જવાબ દો ક્યું લાજવાબ હો

    તુમ મેરે વર્ક – એ – ઝિંદગી કે પહેલે હર્ફ હો
    કિસ્મત લિખી હૈ જિસમેં તુમ્હી વો કિતાબ હો

    પરવા નહીં ઝમાના કહે તુમકો સંગદિલ
    મેરી નઝર મેં જાને – જહાં આફતાબ હો

    બનકે ગઝલ કે શેર તુમ આઓ ખયાલ મેં
    મૈં હું ખૈયામ ઓર મેરી તુમ શરાબ હો..

    – ફિલ્મ : મૂર્તિ ૧૯૪૫

    – મુકેશ

    – બુલો સી રાની

    ( મુકેશ હજી ત્યારે કુંદનલાલ સાયગલની છાયામાં હતા. સાંભળી જુઓ ! )

     

    જિસને જલાયા આશિયાં ઉસકો સલામ હો
    જિસને ગિરાઈ બિજલીયાં ઉસકો સલામ હો

    દર્દ બન કે આયે ક્યોં આહ બનકે જાએ ક્યોં
    જો લે રહા હૈ ઇમતેહાં ઉસકો સલામ હો

    બિછડા હૈ મુજસે બાગબાં અબ વો કહાં મૈં
    કહાં લાયા બહાર મે ખિઝાં ઉસકો સલામ હો

    બખ્શી હમેં બરબાદીયાં દે ગયે નામુરાદિયાં
    જિસને મિટા દિયા નિશાં ઉસકો સલામ હો..

    – ફિલ્મ : છીન લે આઝાદી – ૧૯૪૭

    – શમશાદ બેગમ

    – હંસરાજ બહલ

     

     

  • ફિલસુફીભર્યાં ગીતો – ૨૨ – भूलोगे तुम, भूलेंगे वो, पर हम तुम्हारे रहेंगे सदा

    નિરંજન મહેતા

    ૧૯૭૦ની ફિલ્મ ‘મેરા નામ જોકર’નુ આ અતિપ્રસિદ્ધ ગીત બહુ જ સુંદર રીતે જીવનની ફિલસુફી સમજાવે છે.

     

    जीना यहाँ, मरना यहाँ
    इसके सिवा जाना कहाँ
    जीना यहाँ, मरना यहाँ
    इसके सिवा जाना कहाँ

    जी चाहे जब हमको आवाज़ दो
    हम है वहीं, हम थे जहाँ
    अपने यहीं दोनों जहाँ
    इसके सिवा जाना कहाँ

    ये मेरा गीत, जीवन संगीत कल भी कोई दोहराएगा
    ये मेरा गीत, जीवन संगीत कल भी कोई दोहराएगा
    जग को हँसाने बहरूपिया रूप बदल फिर आएगा

    स्वर्ग यहीं, नर्क यहाँ
    इसके सिवा जाना कहाँ

    जी चाहे जब हमको आवाज़ दो
    हम है वहीं, हम थे जहाँ
    अपने यहीं दोनों जहाँ
    इसके सिवा जाना कहाँ

    कल खेल में हम हो-ना-हो, गर्दिश में तारे रहेंगे सदा
    कल खेल में हम हो-ना-हो, गर्दिश में तारे रहेंगे सदा
    भूलोगे तुम, भूलेंगे वो, पर हम तुम्हारे रहेंगे सदा

    https://youtu.be/VhfIebV8yQw

     

    શૈલી શૈલેન્દ્રના શબ્દો છે જેને સંગીત આપ્યું છે શંકર જયકિસને અને સ્વર છે મુકેશનો.

    એક કલાકારનુ જીવન ક્યા પ્રકારનું હોય છે તે અદાકાર રાજકપૂર આ ગીત દ્વારા જણાવે છે. ભલે તે કલાકારને લગતું હોય તો પણ તે આપણને સર્વેને પણ લાગુ પડે છે.

    જેમ એક કલાકાર પોતાની જે કોઈ કારકિર્દી અપનાવે છે તેને અંત સુધી વળગી રહે છે તે જ રીતે આપણે પણ આપણા જીવનધ્યેયને વળગી રહેવું જોઈએ. કારણ આપણી પાસે કદાચ અન્ય કોઈ રાહ ન પણ હોય.

    ગીતમાં આગળ જણાવ્યું છે કે તમે મને યાદ કરશો તો હું અહી જ છું. ભલે હું કાલે નહિ હોઉં તો પણ અન્ય કોઈ મારૂં સ્થાન લઇ લેશે. મારા ગીત સંગીતને તે અપનાવશે અને જુદા જ રૂપમાં જગતને હસાવવા માટે આવી જશે.

    હું ભલે હયાત ન હોઉં અને કદાચ તમે મને ભૂલી જશો પણ હું તો સદાય તમારો છું અને તમારો રહીશ. આ જ વિધાન આપણને પણ નથી લાગુ પડતું?

    કહેવાનો ભાવાર્થ એ જ કે સારા કર્મો કરશો તો લોકો તમને તમારી હયાતી બાદ પણ યાદ કરશે.


    Niranjan Mehta

    A/602, Ashoknagar(old),
    Vaziranaka, L.T. Road,
    Borivali(West),
    Mumbai 400091
    Tel. 28339258/9819018295
    વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com