વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • હું હરદમ તને પ્રેમ કરતી રહીશ : ડૉલી પોર્ટન

    સાલ ૧૯૯૨માં એક ફિલ્મ આવી “The Bodyguard”- A Warner Brothers Production.

    એક સફળ ગાયિકા અને તેના અંગરક્ષકની પ્રેમ કથા. તેમાં એક લાગણી સભર  અને એક અદ્ભુત કલાકાર પ્રતિભાને  અભિવ્યક્ત કરતુ ગીત ખુબ લોકપ્રિય થયું, શરૂઆત કરીએ એ ગીતથી અને પછી જાણીયે એ ગીત નો રોમાંચક ઈતિહાસ

    I Will Always Love You…” વ્હીટની હ્યુસ્ટનના અવાજમાં, આ ગીત દિલને સ્પર્શી ગયું. ગહન પ્રેમ અને મીઠો સંગાથ અનુભવ્યા પછી, પોતાના પ્રાણપ્રિય પાત્રને અંતરમાં રાખી…અળગો કરવો. તેવો નિસ્વાર્થ પ્રેમ સહજ, સરળ અને અવિનાશી છે. આ લાગણીને શબ્દરૂપ આપનારની તપાસ કરતાં, ડોલી પાર્ટનનો રસિક ઈતિહાસ મળી આવ્યો.

    સાંભળીએ વ્હીટની હ્યુસ્ટનના અવાજમાં: I Will always love you

    અઢારમી સદીમાં યુરોપથી અમેરિકા આવેલા હિજરતીઓ પોતાની સાથે પોતીકું સંગીત લાવ્યાં. તેમાં મૂળ રહેવાસીઓનું સંગીત ભળ્યું અને આ સંગીત હિલ-બિલી, જરા તોછડા નામે ઓળખવામાં આવ્યું. છેક સાલ 1948  પછી, રેકોર્ડિંગ કંપનીઓએ આ  હિલ-બિલીને, પશ્ચિમી સંગીત કે દેશી સંગીત Western Music or Country Music, માનભર્યું નામ આપ્યું.

    અમેરિકામાં નદીઓ-તળાવોથી રસાળ રાજ્ય ટેનેસી, અને તેનું મુખ્ય શહેર નેશવિલ. આ વિસ્તારને American Country Musicનું જન્મસ્થળ કહેવાય છે. અનેક ગાયકોની સંગીત કારકિર્દીનાં શ્રીગણેશ આ ગામમાં મંડાયા. વિશ્વ પ્રસિદ્ધ ગાયિકા, ટેલર સ્વીફ્ટના મા-બાપને કુમળી વયની દીકરીમાં કંઈક વિશિષ્ટ કુશળતા છે તેનો ખ્યાલ આવતા, ફિલાડેલ્ફિયાથી નેશવિલ આવી રહ્યાં હતાં. મેમ્ફિસમાં વડીલોપાર્જિત ઘર છોડી એલ્વિસ પ્રેસ્લી નેશવિલ આવીને રહ્યો હતો. તેનું પહેલું પ્રખ્યાત ગીત “Love me tender” અહીં રેકોર્ડ થયેલું.

    અસંખ્ય એવોર્ડ્સથી સન્માનિત ગીત  “I Will Always Love You”ની લખનાર અમેરિકન country musicની મશહૂર ગાયિકા, Dolly Partonની વાત અનેક માધ્યમ દ્વારા કહેવાતી રહી છે.

    તમાકુના ખેતરમાં મજૂરી કરતા માતા-પિતા સાથે કેબિનમાં રહેતાં 12 બાળકોમાં, ચોથા નંબરની દીકરી ડોલી – એક ૠજુહ્રદયી મસ્તીખોર જીવ, અને સાથે ગાવાની શોખીન પણ હતી. તેમની આર્થિક પરિસ્થિતિથી વાકેફ, બીજા ભાંડુઓની જેમ ડોલીની નાનપણથી જ કામ શોધવાની વૃત્તિ હતી. રેડિયો પર ગાવા જવાની તક મળતા, નાનીશી આવક થઈ. ડોલીની મહેનત જોઈ તેના કાકાએ ભત્રીજીને એક ગિટાર ભેટ આપ્યો.

    નવા ગિટાર સાથે પહેલી વખત TV કેન્દ્ર પર ગાવા આવી ત્યારે ડોલીની ઉંમર આઠ વર્ષની હતી. બાદ, અનિયમિતતાને કારણે, શાળામાંથી એક ટર્મ માટે બરતરફ કરવામાં આવી. આર્થિક મુશ્કેલીઓ સામે  લડવા જતાં ભણતરની તક ગુમાવી. બીજી તરફ, TV કેન્દ્ર પર ડોલીનાં ગીતોની ફરમાઈશ આવવા લાગી ત્યારે, તે પ્રોગ્રામ પ્રયોજકોએ  ડોલીને પૂછયું,

    “તું જે ગીતો ગાય છે તે કોના લખેલાં છે? ”

    ડોલીએ થેલીમાંથી નોટબુક કાઢીને બતાવી અને કહે, “આ ગીતો મારા લખેલા છે.”

    સ્મોકી માઉંટન્સની આજુબાજુ રહેતી પહાડી જાતિઓ નાં રીતરિવાજો અને આસપાસના અનુભવોની વાતો ડૉલીનાં ગીતો કહેતાં. તેની માતાએ જુદા કપડાં કટકામાંથી બનાવેલ કોટ વિશે નું ગીત અત્યંત લાગણીભર્યું છે. ગરીબીને સંતાડવી નહીં પણ બિરદાવવી તે Coat of Many Colors માં  દેખાય છે.

    Coat of…Dolly Parton

    …But I wore it so proudly
    Although we had no money
    I was rich as I could be
    In my coat of many colors
    My momma made for me… Dolly Parton.

    ડૉલીની પહેલી ગ્રામોફોન રેકર્ડ “Puppy Love” સાલ 1959માં બહાર પડી. નવતર આકર્ષણ, અમેરિકન TV Channel ઉપર કોઈ પ્રસંગ અથવા સમારોહ નું પ્રસારણ બતાવવાનો શીરસ્તો શરૂ થયો. તેમાં સંગીતનાં કાર્યક્રમનું જીવંત પ્રસારણ ખુબ લોકપ્રિય સાબિત થતું ચાલ્યું. તે સમયમાં ખાસ કરીને Country Music માં નેશવિલ થી ટેલિકાસ્ટ થતો  “Porter Wagoner & Norma Jean Show” ખાસ્સો પ્રસિધ્ધ હતો. નોર્મા જીન તે શો માંથી છૂટી થતાં…૨૧ વર્ષની ડૉલી પોર્ટન માટે એક તક ઊભી થઈ.

    અને આમ,  “Porter Wagoner & Dolly Parton Show” શરૂ થયો. ડૉલી અને પોર્ટર વેગનર નાં યુગલ ગીતોએ ધૂમ મચાવી. ઘણાંખરાં ગીતો ડોલીએ લખેલાં હતાં. Pop-Musicનાં જમાનામાં, આ Country Musicની રેકર્ડ, સંગીતની લોકપ્રિયતાની પારાશીશી જેવા Billboard Chart ઉપર તેમનું યુગલ ગીત ચોથા સ્થાન  સુધી પહોંચ્યું. આ શોના માધ્યમે ડોલીને  “મોસ્ટ પોપ્યુલર કંટ્રી સિંગર” બનાવી લગભગ આઠેક વર્ષની ભાગીદારી પછી ડોલીએ શૉ છોડી પોતાની Solo Career ઉપર ધ્યાન આપવાનું નક્કી કર્યું. વેગનરને આ મંજૂર ન હતું, પણ ડૉલી  એ બાબતમાં મક્કમ હતી. અને ડોલીએ પોતાનો શો શરૂ કર્યો.

    પોતાની વેગનર સાથેની ગહેરી દોસ્તીને અંજલિ આપતું તેણે એક ગીત લખ્યું, “I will always love you.” 1974માં પોતાના TV Show માં, આ સ્વરચિત ગીત રજુ કર્યું. સાંભળીયે ડોલી પાર્ટનના સ્વરમાં

    “I will always love you.”

    “I will always love you”…Dolly Parton…..આ ગીત લોકપ્રિયતાની ચરમસીમાએ પહોંચ્યું. ડૉલી એક ગીતકાર, ગાયક, જાજરમાન અદાકારા અને પરગજુ વ્યક્તિ તરીકે દુનિયામાં જાણીતા છે. ડૉલી એ અનેક સેવાકાર્યો, શાળા ના વિદ્યાર્થીઓ થી માંડી Black community, corona virus vaccine research માટે Millions of Dolars આપેલા છે. પતિ કાર્લ થોમસ ડિન નો ૧૯૬૪થી સાથ છે.

    સાલ ૧૯૯૨, ગાયિકા અને અદાકારા વ્હીટની હ્યુસ્ટન અને કેવિન કોસનરની મોટા બજેટવાળી Warner Brothersની ફિલ્મ “The Bodyguard” આવી. વ્હીટનીએ આ ગીત ફિલ્મ માટે ગાવાની તત્પરતા દર્શાવી. ડોલી પાર્ટનને દસ મિલિયન ડોલર રોયલ્ટી રૂપે આપી આ ગીત ખરીદ્યું. ડોલીએ આ ડોલર્સ ગરીબ વિસ્તારના વિકાસ માટે વાપર્યા હતા.

    આવા સરસ ગીતની… શ્રીમતી સરયૂબેન પરીખ દ્વારા ગુજરાતીમાં સુંદર અને નજાકતભરી રજુઆત:

    I Will Always Love You                                હું હરદમ તને પ્રેમ કરતી રહીશ.

    If I should stay                                                           જો હું આજે રોકાઈશ,
    I would only be in your way                                 હું અમસ્તી જ તારો અવરોધ બની જઈશ.
    So I’ll go, but I know                                                તેથી, હું જઈશ, પણ હું જાણું છું
    I’ll think of you every step of the way              દરેક પગલે હું તારો જ વિચાર કરતી રહીશ.
    And I will always love you                                    અને હું તને હંમેશા પ્રેમ કરતી રહીશ
    I will always love you॰                                           હું તને પ્રેમ કરતી રહીશ.

    My darling, you, mm, mm                                    મારા પ્રિયતમ, તું…
    Bittersweet memories                                           ખટમીઠ્ઠી યાદો,
    That is all I’m taking with me                              બસ, એ જ મારી સાથે લઈ જાઉં છું
    So goodbye, please don’t cry                             તેથી અલવિદા, પ્રાર્થુ કે તું ના રડીશ.
    We both know I’m not what you, you need બેઉ જાણીએ છીએ, એ હું નથી, જેની તને જરૂર છે
    And I will always love you                                    અને હું હરદમ તને પ્રેમ કરતી રહીશ

    I hope, life treats you kind                                    હું આશા કરું, જીવન તારી સાથે દયાળુ વર્તન કરે
    And I hope you have all you’ve dreamed of                અને હું આશા કરું કે, તારા સર્વસ્વપ્નો સિદ્ધ થાય
    And I wish you joy and happiness                    અને શુભેચ્છા કે, તને આનંદ અને સુખ મળે
    But above all this, I wish you love                    પરંતુ, આ સર્વોપરાંત, તને પ્રેમ મળે તે અભ્યર્થના
    And I will always love you                                    અને હું તને સદૈવ પ્રેમ કરતી રહીશ.
    Darling, I love you                                                    પ્રિયતમ, હું તને સદૈવ પ્રેમ કરતી રહીશ.
    I’ll always, I’ll always love you.                          હું તને હરદમ, હું તને હરદમ પ્રેમ કરતી રહીશ.  

    લેખિકાઃ ડૉલી પોર્ટન                             ભાવાનુવાદઃ સરયૂ પરીખ.

    અગ્યાર ગ્રેમી તેમજ અનેક રાષ્ટ્રિય સન્માન ડૉલી પોર્ટન ને મળેલા છે.

    સન્માનિત ડૉલી પોર્ટન. ૨૦૦૬.

    President George W. Bush and First Lady Laura Bush, with the John F. Kennedy Center for the Performing Arts honorees in the Blue Room of the White House during a 2006 reception. From left: singer-songwriter William “Smokey” Robinson; composer Andrew Lloyd Webber; Dolly Parton; film director Steven Spielberg; and conductor Zubin Mehta.


    સંપર્કઃ 

    સરયૂ પરીખ  :  saryuparikh@yahoo.com | www.saryu.wordpress.com

    નીતિન વ્યાસ:   ndvyas2@gmail.com

  • સંસ્પર્શ – ૩

    ધ્રુવ ભટ્ટની નવલકથાઓ પર સ્વ- અનુભૂતિની લેખશ્રેણી

    જિગીષા દિલીપ

    ધ્રુવદાદાની નવલકથાની જે વાતે મારાં મનની અંદર અદકેરાં સ્પંદન જગાડી, મને  અનેરા આનંદથી પ્રકૃતિ સાથે પ્રેમ કરતાં શીખવ્યું છે, તેની વાત આજે મારે તમારી સાથે વહેંચવી છે. સામાન્ય રીતે આપણે  કોઈ નવલકથા વાંચીએ તો તેમાં સ્ત્રી-પુરુષ,  પ્રાણીપ્રેમ  કે  પરમ  સાથે  પ્રેમની  નવલકથા હોય.

    પણ જે પરમે આ સૃષ્ટિની રચના કરી છે તેનાં એકે એક સર્જન પવન, આકાશ, દરિયો, વાદળ, અગ્નિ, વૃક્ષ, પર્વત, તેમજ સર્જનહારે સર્જન કરેલાં દરેક પ્રાણીઓ અને માનવ-માનવ  વચ્ચેનાં  અજાણ  પ્રેમની  ઓળખ  ખૂબ  સહજતાથી,  દિલને  સ્પર્શી  જાય  તેમ  ધ્રુવદાદાએ  આપણને  કરાવી  છે.  ક્યાંક  તે  પ્રેમ  પોતે  અનુભવ્યો  છે,  તો  ક્યાંક  દરિયા  કિનારે  કે  ગીરનાં  અડાબીડ  જંગલોમાં  ફરતાં, ત્યાંનાં  સાવ  નિર્દોષ  માણસો  પાસેથી  સહજતા  સાથે  તેમને  સાંપડ્યો  છે. તેનો  ઉઘાડ  આપણને  નવલકથાઓમાં  અને  તેમનાં  ગીતો  થકી  આપણને  કરાવ્યો  છે.  તેમની  ખૂબ  ખ્યાતિ  પામનાર  નવલકથા  અકૂપારની અહોભાવ થઈ જાય તેવી અભિવ્યક્તિ તો જુઓ,

    “ઘંટલો પયણે ઘંટલીને ‘ને અણવર વાંહાઢોર
    હીરણ, મેઘલ જાનડિયું ને ગયરમાં ઝાકમઝોળ “
    આ વાત છે ઘંટલો અને ઘંટલી ડુંગરનાં લગ્નની અને તેમાં અણવર કોણ છે ખબર છે ? હીરણ અને મેઘલ બે જોતાં ન ધરાવ એવી બે રૂપાળી નદીઓ અને આ વાંહાઢોર એટલે એવો ઢોરનાં વાંહાં જેવો (બરડા જેવો) લાંબો ડુંગર. આ વાંહોઢોર ડુંગર ઘંટલાનો અણવર. આવી કલ્પના જે ગીરનાં માણસો સહજતાથી કરીને ગાતાં હોય તે ગીરમાં ઝાકમઝોળ ન હોય તો બીજું શું હોય? અકૂપારનાં નાયક અને મુસ્તફા સાથેનાં સંવાદમાં રજૂ થયેલ વાત સાંભળીને તમે પણ તે ધંટલા -ઘંટલીનાં   લગ્નમંડપમાં  ગોઠવાઈ  જાઓ  તો નવાઈ નહીં! તો આવો,જોડાવા આ લગ્નમંડપમાં, ધ્રુવદાદાનાં અકૂપારનાં નાયક અને મુસ્તફાની વાતચીત થકી,

    “મુસ્તફા કહે છે તે અધોડિયાની રમ્ય ,પારદર્શક હીરણ, લીલા રંગની અગણિત છટા દર્શાવતી ઝાડીઓથી ઢંકાએલી, તેને કાંઠે, પાસેના નાનકડા ડુંગરોએ મળીને સર્જેલી અબોલ રમ્ય શાંતિ ,ઉપર ભૂરા આકાશનો ચંદરવો કલ્પીને ભવ્ય લગ્નમંડપની રચના વિચારી શકનાર , કેવી કેવી સૃષ્ટિની કલ્પના કરવા સમર્થ હશે!”

    ઘંટલા-ઘંટલી  ડુંગરાંનાં  લગ્ન  એમાં  રમતિયાળ  રુપાળી  નદીઓ  જાનડીઓ,  પડોશી  ડુંગરો  વાંહોઢોર  અણવર  અને  લીલી  ઝાડીઓથી  થયેલ  મંડપની  સજાવટ  અને  આકાશનો ચંદરવો મને  તો  જાણે  હું  પણ  ત્યાં  પ્રકૃતિના  લગ્નમંડપમાં  બેસી  લગ્નમાં  મ્હાલતી  હોઉં  તેવું  મહેસુસ  થયું.  પ્રકૃતિને  પ્રેમ કરવાની  આ  અદકેરી રીત જોઈ  આપણે પણ  તેને  પ્રેમ  કરતાં  શીખી  જઈએ  છીએ  ખરું  ને?

    દાદા આટલેથી અટકતા નથી.

    આવા લગ્નમાં મહાલતાં મહાલતાં જાપાન અને ભારતીય સંસ્કૃતિની સામ્યતા દર્શાવવાનો પ્રયત્ન પણ કરે છે..

    જાપાનનાં બે ડુંગરોના હાર પહેરેલા ,લગ્નની ચોરીમાં બેઠાં હોય તેવા ફોટા અકૂપારનાં પાના નંબર-૩૪ પર  મૂકીને પ્રકૃતિપ્રેમીઓ જગતમાં ક્યાંય પણ હોય એકસરખાં જ હોય તે દર્શાવ્યું છે. ભલે તે  જાપાનમાં  હોય  કે  ગીરમાં  પણ  “વસુધૈવ કુટુમ્બકમ્’ની  ભાવના  અને  માણસ તો  બધે  એક સરખો માણસ  જ છે,  તેની  કલ્પનાઓ  પણ  બધે  જ એક સરખી, તે દર્શન કરાવ્યું છે.

    મુસ્તફા જ્યારે આંબલા ડુંગરને ‘રૂપાળો’ અને હીરણ નદીને ‘રૂપાળી’ કહે છે,આઈમા ,ગીરને ‘ખમા’ કહે છે અને સાંસાંઈ સિંહણને  ‘જણી’ કહે છે ત્યારે ગીરમાં રહેનાર તળનાં લોકો પાસેથી પ્રેરણા લઈને જ શું આપણાં વેદોની રચના દેવોએ કરી હશે, તેવો પ્રશ્ન અચૂક ઊઠે જ ! અને એટલે જ ધ્રુવદાદા કહે છે,” બધું ઉપરથી નીચે નથી આવ્યું, પણ  નીચેથી (તળથી)  ઉપર  ગયું  છે.  અને  મને  યાદ  આવે  છે  ગીતાના ૧૫મા  અધ્યાયનો પહેલો શ્લોક,

    ઉર્ધમૂલમધ: શાખમશ્વત્થં પ્રાહુરવ્યયમ્।
    છન્દાંસિ યસ્ય પર્ણાનિ યસ્તં વેદ સ વેદવિત્ ॥

    આજના રોબોટનાં જમાનામાં અને ટેકનોલોજી જ્યારે દરેક રીતે માનવજીવનને અતિક્રમી ગઈ છે ત્યારે પણ પ્રકૃતિને ખૂબ સહજતાથી પ્રેમ કરતાં તળનાં લોકોની સહજતાથી વ્યક્ત થતી લાગણીઓ અને સંવેદનાઓ સાંભળીને ઘડીભર આખા શરીરમાં એક અનોખી લાગણીનું લખલખું અનુભવાય છે.

    ધ્રુવદાદાનાં એક પુસ્તકમાં જોયેલો એક ફોટો યાદ આવે છે.

    PHOTO: DR VINOD/ COVER ASIA PRESS
    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    એ ફોટામાં એક અનાથ હરણનાં બચ્ચાંને પોતાનાં બાળકની સાથે જ સ્તનપાન કરાવતી એક બિશ્નોઈ સ્ત્રીને જોઈને એક જ વિચાર આવ્યો હતો કે,  આ  સ્ત્રી  ભણેલી  ગણેલી હશે કે ખબર નહીં પણ એને કોઈ ગીતા, વેદ કે ઉપનિષદોને ભણવા કે જાણવાની જરુર નથી. કોઈ વ્યક્તિ આટલું પ્રેમ અને કરુણાસભર હોય, એનામાં જ ઈશ્વરનો વાસ મને દેખાય છે અને યાદ આવે છે આ સ્ત્રીનાં ફોટાને જોઈ વિદ્વાન ભરતઋષિ  જે એક મહાન જ્ઞાની ઋષિ હોવા છતાં એક ગર્ભવતી હરણી પોતાનો જાન બચાવવા પાણીનુંઝરણું કૂદવા જતાં તેને ત્યાં જ બચ્ચું અવતરે છે અને તે પોતાનો જાન ગુમાવે છે અને ભરતમુનિ એ અનાથ હરણનાં બચ્ચાંને પોતાને આશ્રમ લઈ જાય છે.અને પછી ઋષિ  તેની માયામાં અને પ્રેમમાં પડી જાય છે.આ વાત સૌ જાણે છે. તેનો અર્થ એ પણ ખરો ને કે, એક મહાન જ્ઞાની ઋષિ અને એક ગામડાની સામાન્ય સ્ત્રીનાં વિચારો  અને  વર્તન  સાવ સરખા !

     એકવાર એક ગામડાંનો સીધો સાદો માણસ દિવાળીનું બોનસ લઈને ઘેર પાછો ફરી રહ્યો હતો. બસમાંથી ગામને પાદર ઉતર્યો. ગામને પાદર પોતાની નિશાળની બહાર એક આંબલીનું જૂનું ઝાડ હતું. તેને એક કઠિયારો કાપી રહ્યો હતો. પેલા માણસે બસમાંથી ઉતરીને પોતાની નિશાળની બહારનાં પોતાનાં ખૂબ વહાલા ઝાડને કોઈ કાપતું હતું તે જોયું ને તેનો જીવ કપાઈ ગયો. તેને થયું કે જે ઝાડ પર ચડીને,હું આંબલી -પીપળી બચપણમાં રમ્યો છું. જેની છાયામાં બેસીને મિત્રો સાથે ગિલ્લી-દંડા અને લખોટીઓ રમ્યો છું, તેને આ કાપી નાંખે છે??? ઝાડ કપાઈ જવાની વાતથી તેનો જીવ કપાઈ ગયો. તેને થયું ઝાડ કપાવવાની સાથે જાણે તેનું બાળપણ ભુંસાઈ જશે. એ કેવી રીતે ચાલે ?

    તે પેલા ઝાડ કાપવાવાળા પાસે જાય છે અને પોતાની વરસની દિવાળી બોનસની કમાણીનાં આઠસો રૂપિયા તેને આપી દે છે અને પોતાનાં વહાલાં ઝાડને કપાતું રોકી લે છે. એક ગરીબ માણસને મન તેનાં આખા વરસની મહેનતની કમાણી તેના વહાલા ઝાડથી વધારે નથી. તળનાં માનવીઓની આ સંવેદના જોઈને ધ્રુવદાદાનાં શબ્દો સરી પડે છે,

    ‘આપણે એ દંતકથા જાણવી શું કામ જેમાં ઝાડવું મરે તો ગામ રોતાં
    એકાદી ડાળ કોઈ એમનેમ કાપે તો દાદાજી સાનભાન ખોતા,
    ગામની નિશાળ એમાં ભણવામાં ઝાડવું ને ગણવાનાં આવતાં’તાં દેરાં
    આગળના પાઠ પછી સોટી સંભળાતી ને માસ્તરનાં કાન થતાં બેરાં

    આપણે એ જાણીને કરવાનું શું કે એક ઝાડવું ઊભુ’તું તે સૂતું
    શું એવી વાર્તાઓ સાંભળવા બેસવું કે ઝાડવાનાં નામ હોય હું-તું
    આપણી નિશાળ હવે નદીઓથી દૂર અને ભણવામાં કેટલાંય થોથાં..’

    હવે ભણવામાં થોથાં તો ખૂબ વધી ગયાં છે ,પણ નદીઓ અને વૃક્ષો સાથેની સમગ્ર સૃષ્ટિ સાથે જોડેલી આપણી સંસ્કૃતિની ધરોહર સમ સંવેદનાનાં સબડકા ક્યાં છે? આ ખૂબ સુંદર વાત દાદા એમની નવલકથાનાં પાત્રો દ્વારા અને તેમનાં ગીતો દ્વારા સમજાવે છે.

    ધ્રુવદાદાની આવી જ સંવેદનાસભર વાત સાથે આવતા અંકે મળીશું.


    સુશ્રી જિગીષાબેન પટેલનો સંપર્ક dilipjigisha@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • એનાં અઢાર હશે, આપણાં છત્રીસ છે

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    શાળાના અભ્યાસકાળ દરમિયાન અનેક વૈજ્ઞાનિક, ઐતિહાસિક, ભૌગોલિક તથ્યો ભણવામાં આવતાં હોય છે, જે ભણતી વખતે મોટે ભાગે યાંત્રિક ઢબે વિદ્યાર્થીઓ યાદ રાખી લેતા હોય છે. તેનો મુખ્ય હેતુ પરીક્ષા પૂરતો જ હોય છે. આવું એક ભૌગોલિક સત્ય એટલે ‘ઊંટને રણનું જહાજ કહે છે’.

    ઊંટની શારિરીક રચના એવી છે કે તે રેતાળ પ્રદેશમાં સહેલાઈથી અનુકૂલન સાધી શકે છે. સ્વાભાવિકપણે જ રણપ્રદેશમાં તેનો ઉપયોગ બહુવિધ હોય. ઊંટને ‘રણનું જહાજ’ ગણવાનું આ જ કારણ. રણપ્રદેશના રહેવાસીઓ માટે તેનું જે મહત્ત્વ છે, તેને ધ્યાનમાં લઈને સરકારી સ્તરે ઊંટના સંરક્ષણ માટે વિવિધ નીતિઓ પણ ઘડાતી આવી છે. આમ છતાં, ચિંતાજનક બાબત એ છે કે રાજસ્થાનના પશુપાલન વિભાગના આંકડા અનુસાર આ પ્રદેશમાં ઊંટની સંખ્યા ઘટી રહી છે.

    નવાઈ લાગે એવી વાત છે કે છેલ્લા બે દશકમાં ઊંટના સંરક્ષણ માટે જે કામ થતું આવ્યું છે તેનાં પરિણામ સાવ વિપરીત અને આશ્ચર્યજનક મળ્યાં છે. ઊંટની સંખ્યામાં ચાલીસેક  ટકા જેટલો ઘટાડો થયો છે, જેનું મુખ્ય કારણ છે ઊંટપાલનમાં પશુપપલાકોની ઘટતી જતી રુચિ.

    ઈ.સ.૨૦૧૪થી ઊંટને રાજસ્થાનના ‘રાજ્ય પશુ’  તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે. ઊંટપાલન માટે પશુપાલકોને સરકારી સ્તરે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. રાજસ્થાનમાં પ્રવાસન સાથે સંકળાયેલાં પ્રત્યેક પાસાંમાં ઊંટોનો સમાવેશ કરાયેલો છે. આ બધા પ્રયત્નો છતાં ઊંટની સંખ્યા ઘટી રહી છે. આ બાબત ચિંતાપ્રેરક છે.

    ભારતનાં, ખાસ કરીને રાજસ્થાનનાં ઊંટો બાબતે અધિકૃત અભ્યાસ કરનારાં જર્મન વિજ્ઞાની, વિદૂષી ઈલ્સે કોહ્‍લર રોલેફ્સનના જણાવ્યા અનુસાર પાકિસ્તાન, મધ્ય એશિયા, આફ્રિકા કે વિશ્વભરમાં અન્યત્ર બધે જ ઊંટોની વસતિ વધતી રહી છે, પણ ભારતમાં એ ઘટી રહી છે એ ચિંતાનો અને અમુક અંશે વક્રતાનો વિષય કહી શકાય. ૨૦૨૪ના વર્ષને યુનાઈટેડ નેશન્‍સ ફૂડ એન્‍ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઈઝેશન (એફ.એ.ઓ.) દ્વારા ‘યર ઑફ કેમલીડ્સ’ તરીકે ઘોષિત કરવામાં આવ્યું હોય ત્યારે તો ખાસ.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    રોલેફ્સને આ ઘટાડા માટે અનેક કારણો ટાંક્યાં છે. એ મુજબ ભારતના કાયદા અનુસાર હવે રાજ્યની સરહદ બહાર તેમજ દેશ બહાર ઊંટોની નિકાસને પ્રતિબંધિત કરે છે. આને કારણે ઊંટનું મૂલ્ય સાવ ઘટી ગયું છે. તેમનો ચરાણવિસ્તાર નષ્ટ થઈ ગયો છે. ઊંટની પેદાશોના વેચાણ માટે યોગ્ય કડીનો અભાવ છે. રોલેફ્સને ‘કેમલ કરિશ્મા’ નામનું એક સામાજિક સાહસ આરંભ્યું છે, જે પશુપાલકોને બજાર સાથે સાંકળવાનું અને એ રીતે ઊંટના સંવર્ધનમાં સહાયરૂપ થવાનું લક્ષ્ય ધરાવે છે, જેથી સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિમાં ઊંટનું જે સ્થાન છે એ ટકી રહે.

    ઊંટની જેમ ગધેડાં જેવાં અન્ય ભારવાહક પશુઓની વસતિ ભારતમાં ઘટતી ચાલી છે. યાંત્રિકીકરણ આ માટેનું મુખ્ય પરિબળ ખરું, પણ રોલેફ્સનના જણાવ્યા અનુસાર પશુધનનું ઔદ્યોગિકરણ વધુ જવાબદાર છે. વિશ્વભરમાં પશુપાલકો ઊંટ તેમજ અન્ય પશુઓને પોતાના પરિવારનો હિસ્સો જ ગણે છે. તેનાથી આ બાબત સાવ વિપરીત છે. એકવીસમી સદીના આરંભથી વિશ્વભરના વિચરતા પશુપાલકો જોખમગ્રસ્ત બન્યા છે, કેમ કે, તેમની ગણના પછાતમાં થાય છે. ખનનકામ, સિંચાઈકામ કે અન્ય ઊર્જા પ્રકલ્પો થકી ‘વિકાસ’ના નામે તેમનાં વડવાઓના સમયથી ઉપયોગમાં લેવાતાં ગોચરો તેઓ ગુમાવી રહ્યા છે. રોલેફ્સને ભારતનાં ઊંટો પર પુષ્કળ અભ્યાસ કર્યો છે. તેમણે ઊંટના પર્યાવરણ પર પડતા પ્રભાવ બાબતે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું છે કે આવાં પશુઓ સતત ફરતાં રહે તો તેનો પ્રભાવ પર્યાવરણ પર સકારાત્મક પડે છે. અન્ય જંગલી શાકાહારી પશુઓની જેમ જ તે બીજને પ્રસરાવે છે, એના અંકુરણને સહાય કરે છે, સેન્દ્રિય સામગ્રીને જમીનમાં ઊતારે છે, કાર્બનચક્રને ટકાવે છે, જમીનનાં સૂક્ષ્મ જીવાણુઓને પોષણ આપે છે તેમજ પક્ષીઓના આહાર એવાં જંતુઓના પ્રજનન માટે અનુકૂળતા ઊભી કરે છે.

    ‘એફ.એ.ઓ.’ દ્વારા ઘોષિત ‘યર ઑફ કેમલીડ્સ’ દરમિયાન નિર્ધારીત લક્ષ્યાંકને પાર પાડવાં હોય તો ઊંટના ચરાણવિસ્તારનું રક્ષણ કરવું જરૂરી છે. તેની પેદાશો માટે વિકેન્‍દ્રિત માળખાકીય સુવિધાઓમાં રોકાણ કરીને તેને બજાર સાથે સાંકળવી જરૂરી છે.

    રાજસ્થાન સરકાર પણ આ સમસ્યાના ઊકેલ માટે વિવિધ પગલાં લઈ રહી છે. નવા જન્મેલા બોતડા દીઠ દસ હજાર રૂપિયાની સબસીડી તેના માલિકને આપવામાં આવે છે. રાજસ્થાનની ‘સરસ ડેરી’ દ્વારા ઊંટના દૂધનો વ્યાપાર આરંભાયો છે. રાજસ્થાન સરકારે વર્તમાન વર્ષના બજેટમાં ઊંટની જાળવણીના મિશનની ઘોષણા કરી છે, અને બોતડાને ઊછેરવા માટે વીસ હજારની પ્રોત્સાહક રકમ આપવાનું નક્કી કર્યું છે. આમ છતાં, આ પગલાં પૂરતાં નથી. ઊંટની જાળવણી માટે વધુ વ્યાપક સ્તરે, લાંબા ગાળાનાં પગલાં લેવાં જરૂરી છે.

    ઊંટ એક વિશિષ્ટ પ્રાણી છે, જે અતિ વિશિષ્ટ ભૌગોલિક પ્રદેશ માટે સર્જાયું છે. માનવ પોતાના સ્વાર્થ માટે તેને તદ્દન વિપરીત ભૌગોલિક વિસ્તારમાં પણ સ્થળાંતરિત કરે છે. એ હકીકત છે કે કોઈ પણ ચીજ આપણી પાસે સુલભ હોય ત્યારે આપણે ભાગ્યે જ એની જાળવણી બાબતે ફિકર કરતા હોઈએ છીએ. એમાં ને એમાં તે જોખમગ્રસ્ત બને ત્યારે આપણે સફાળા જાગીએ છીએ. સફાળા જાગ્યા પછી પણ જો યોગ્ય પગલાં ન ભરાય તો જોતજોતાંમાં એ ચીજ નષ્ટ થવાને આરે આવી જાય છે.

    ઊંટ હોય કે પર્યાવરણ સાથે સંકળાયેલાં અન્ય પરિબળો, સરકારી રાહે તેને બચાવવાના કાર્યક્રમ ભલે થતા રહે, પણ વ્યક્તિગત સ્તરે તેની જાગૃતિ ન આવે તો એનો કશો અર્થ નથી રહેતો.


    ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૫ – ૦૮ – ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • કાર્ટૂનકથા (૧૮)

    બીરેન કોઠારી

    આ શ્રેણીમાં માત્ર ‘સાહિત્ય’ના વિષયને કેન્‍દ્રમાં રાખીને ચીતરેલાં કાર્ટૂન મૂકવામાં આવે છે, જે વાર્તા સામયિક ‘વારેવા’માં અગાઉ પ્રકાશિત થઈ ચૂક્યાં છે.

    ‘વારેવા’ના અઢારમા અંકમાં આ કાર્ટૂન પ્રકાશિત થયાં હતાં.

    વાર્તાવ્યંગ્ય


    (વાર્તામાં, વાર્તાલેખનમાં રસ ધરાવનાર સૌ કોઈને આ વિશિષ્ટ સામયિકમાં રસ પડશે. તેના વિશે વધુ વિગતો તેની સાઈટ https://vareva.co.in/ પર જોઈ શકાશે.)


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • સમવ્હેર સ્ટ્રીટ – શેરી ભલે અજાણી હોય, જીવન તો ત્યાં પણ ધબકે છે

    સંવાદિતા

    જે દેશોને ત્રાસવાદી, ચાંચિયા, બદમાશ કે અસલામત જેવાં નામ અપાયા છે ત્યાં પણ સામાન્યજન જ બહુમતીમાં છે

    ભગવાન થાવરાણી

    ટલાંયને મન ફરવું, પ્રવાસ, ભ્રમણ એટલે માત્ર જે તે દેશ કે શહેરના ‘ જોવા લાયક સ્થળો ‘ નું સાઈટ સીઇંગ અને ઈતિશ્રી ! કેટલાક એવું ય માને કે કોઈ દેશ જોવો એટલે ત્યાંના અંતરિયાળ સ્થળો અને જાણીતાં શહેરોની અજાણી ગલીઓમાં જીવાતા જીવનને નજીકથી જોવું એ છે. મૂળ જર્મન ભાષાનો શબ્દ ‘ વોંડરલસ્ટ ‘ કદાચ આ ભાવનું પ્રતીક છે.

    ઘણા યાત્રિક આત્માઓ એવું માને કે પ્રવાસ એટલે પગપાળા અને એ પણ એકલાં ઘૂમવું. રસિક ઝવેરીની ભાષામાં ‘ અલગારી રખડપટ્ટી ‘. આવું ભ્રમણ દરેક માટે, દરેક ઉંમરે અને દરેક પરિસ્થિતિઓમાં મુશ્કેલ છે પણ ઈંટરનેટની દુનિયાએ આવી તરસ ધરાવનારાઓ માટે એક બારી ખોલી આપી છે. ભલે અસલ યાત્રાની સમકક્ષ નહીં પરંતુ યુટ્યૂબ જેવી ચેનલો[1] પર હવે હજારો ‘ વોકીંગ ટૂર ‘ ઉપલબ્ધ છે. થોડીક મિનિટોથી માંડીને કલાકોના કલાકો ચાલતી આ ટૂરમાં એક અદ્રશ્ય કેમેરાધારક કોઈ જાણ્યા-અજાણ્યા નગરની સડકો પર ચાલતો જાય અને અહેસાસ આપણને થતો રહે કે આપણે ચાલીએ છીએ. કોઈ કોમેંટ્રી નહીં, અવાજો માત્ર પસાર થતા લોકોના અને આજુબાજુની ચહલપહલના. નગરના અંતરિયાળ વિસ્તારોમાં ચાલતાં ત્રિભેટે એકથી વધુ રસ્તા કે ગલીઓ આવે ત્યારે એ અદ્રશ્ય સૂત્રધાર થોડીક ક્ષણો વિચારતો ઊભો રહે ( આપણી જેમ ! ) અને પછી નિર્ણય લઈ કોઈ એક શેરીમાં પ્રવેશે. આજુબાજુનો માહોલ પોતાની નજરે જોતો અને આપણને પણ દેખાડતો જાય. એ દ્રશ્યોમાં ઘણાને જોવા જેવું કશું જ ન લાગે કારણ કે એ સીધું સપાટ જીવન હોય, સાઈટસીઈંગ નહીં !

    જાપાનની એન.એચ.આર વર્લ્ડ નામની કંપનીએ એક અદ્ભુત શ્રુંખલાનું સર્જન કર્યું છે જેનું નામ છે ‘ સમવ્હેર સ્ટ્રીટ ‘ એટલે કે અજાણી શેરી. એ વિશ્વના પ્રમાણમાં અજાણ્યા, નાના નાના નગરોનું એક દિવસીય દર્શન કરાવે છે અને એ પણ ચાલતાં – ચાલતાં ! અહીં પણ સૂત્રધાર અદ્રશ્ય રહે છે . એનો સ્ટેડીકેમ કેમેરા આગળ વધતો રહે.

    આ ટૂરની એક નક્કી શિસ્ત. મોટા ભાગે અઠવાડિક પ્રસારણ ( જે મૂળ જાપાનીઝ ભાષામાં અને પછીથી અંગ્રેજીમાં ડબ કરી યૂટ્યુબ જેવી ચેનલો પર મૂકવામાં આવે ) . દરેક હપ્તો ૪૯ મિનિટનો. નગર પ્રવાસની શરુઆત ત્યાંની તાસીર પ્રમાણે સવારના આઠ કે નવ વાગ્યે થાય. સૂત્રધાર નગરની સડકો પર ચાલવાનું શરુ કરે. એ ખુલ્લા દિલે સામે મળતાં રાહદારીઓ, ફેરિયા, સાયકલ સવારો અને લારી-ગલ્લાવાળાઓનું અભિવાદન કરતી જાય. રિક્ષા – ટેક્સી, ઘોડાગાડી, ગધેડાગાડી, છાપાંવાળા પણ મળે જેમની સાથે સ્થાનિક ભાષામાં થયેલી વાતચીત આપણને અંગ્રેજીમાં સંભળાય. વિડિયોમાં એ સંવાદો અંગ્રેજીમાં વાંચવાનો વિકલ્પ પણ ખરો. થોડી થોડી વારે એ કોઈકને વિનંતી કરીને રોકે અને એની રોજીરોટી, દિનચર્યા અને સામાન્ય જીવનની વાતો કુતુહલપૂર્વક પૂછે. એમાં ક્યારેક શાકભાજી લેવા નીકળેલી કોઈ ગૃહિણી હોય, કોઈક મોર્નીંગ વોકમાં નીકળેલું વૃદ્ધ દંપતિ હોય અને કોઈ છાપાંનો ફેરિયો પણ હોય.

    પછીના ક્રમે શહેરનો કોઈક સ્થાનિક ભોમિયો આપણને શહેરના જાણીતા અને જોવાલાયક સ્થળોની ટૂંકી મુલાકાત કરાવે પણ એ માત્ર થોડીક મિનિટોમાં જ.

    બપોર ઢળવા આવે અને સૂત્રધાર આપણને ગામના રહેણાંક વિસ્તારોમાં લઈ જાય . અહીં શેરીઓ અને મહોલ્લાઓમાં બાળકો રમતાં હોય, ક્યાંક ફુવારાઓ કે નળ હેઠળ નહાતા હોય, સ્ત્રીઓ ધરના ઓટલે બેસી સીવણ, ગૂંથણ કે શાકભાજી સમારતી હોય. એમાંનુ કોઈક વળી સૂત્રધારના અવાજમાં રહેલો મૈત્રીભાવ ભાળી એને ઘરની અંદર આમંત્રે. ઘરના સભ્યો સાથે મુલાકાત કરાવે, ઘરમાં ચાલતી ગતિવિધિઓથી અવગત કરાવે. રસોડામાં એ સમયે બની રહેલી કોઈ સ્થાનિક વાનગીનો આસ્વાદ પણ કરાવે અને એ બનાવવાની પદ્ધતિથી વાકેફ કરાવે. કોઈક ઘરમાં કોઈક વૃદ્ધ દંપતિ સંતાનોથી અલગ રહેતું હોય તો ક્યાંક ઘરમાં અસંખ્ય રોપા ઉછેરાતા હોય, કોઈક ઘરમાં ગૃહ ઉદ્યોગ ચાલતો હોય અને માલિક સૂત્રધાર સહિત આપણને અંદર લઈ જઈ સમગ્ર વિધિ સમજાવે,  કોઈક સેવાભાવી યુવક ગામના ઊંચાણવાળા વિસ્તારોમાં ચડઉતર કરી અશક્તોને દૂધ, શાકભાજી કે બ્રેડ પહોંચાડતો હોય, ક્યાંક કોઈ એકલવાયા વૃદ્ધના ખોરડાંને પડોશીઓ સેવા ભાવે ધોળી આપતાં હોય. ટૂંકમાં નકરું અને નિર્ભેળ જીવન, જીવન અને જીવન !

    શેરીમાંથી બહાર નીકળીએ અને વિષય બદલે. હવે જઠરાગ્નિ માટે કશુંક. આપણો મેળાપ થાય નગરના કોઈ સ્વાદપ્રિય અને ખાઉધરા શોખીન સાથે. એ આપણને નગરની સૌથી જાણીતી ત્રણ વાનગીઓનો પરિચય કરાવે. એ પોતે આરોગતો ( કે આરોગતી ) જાય અને એ વ્યંજન બનાવવાની વિધિ આપણી સમક્ષ પસાર થતી જાય ( ચેતવણી : મોટા ભાગની વાનગીઓ સામિષ હોય જેમાં ડુક્કર, ઘોડા, ઓક્ટોપસ અને કૂતરા સુદ્ધાંના માંસનો ઉપયોગ થયો હોય ! )

    એ પછી બસ કે ટ્રેનમાં બેસી નગરની આજુબાજુના બે’ક સ્થળોનો ઝડપી પ્રવાસ અને પરત.

    સાંજના પાંચેક વાગ્યે નગરની સાંસ્કૃતિક પ્રવૃતિઓ, નૃત્ય – સંગીત, રમતગમત, કસરતો અને સ્થાનિક લોકોના શોખની ગતિવિધિઓ.

    આખરે દિવસ આથમવાનું અને અંધકાર ઘેરાવાનું શરુ થાય ત્યારે સૂત્રધાર અનિવાર્યપણે આપણને લઈ જાય નગરની ભાગોળે વહેતી નદી કે સમુદ્ર કને. ત્યાં દૂર જળ સમાધિ લેતા સૂર્યને નમન કરીને આપણે નગરની વિદાય લેવાની, ફરી કોઈ નવલા નગરમાં એક આખો દિવસ ગાળવાનાં સ્વપ્ન સેવતાં !

    કેવા કેવા નગર અને દેશને સેંકડો હપ્તા વાળી આ  શ્રુંખલા હેઠળ આવરી લેવાયા છે એની સંક્ષિપ્ત ઝાંખી :

    ગોર્દેસ ( ફ્રાંસ )ડ્રેસડન ( જર્મની )આલબેરોબેલ્લો ( ઈટાલિ )ગ્વાડાલાજારા ( મેક્સિકો )કાનાઝાવા ( જાપાન)ઉતરેખ્ત ( નેધરલેંડ્સ )ડુનેડીન ( ન્યુઝીલેન્ડ )લિસ્બન ( પોર્ટુગલ )દુનહુઆંગ ( ચીન )લા પાઝ ( બોલીવિઆ )ગ્રાઝ ( ઓસ્ટ્રીયા )સાન મેરીનો ( સાન મેરીનો )જિઓંજુ ( દક્ષિણ કોરિયા )જીરોકાસ્તરા ( આલ્બેનિયા )કોટરો ( મોંટેનેગરો )વિયેનતિયેન ( લાઓસ ) અને વેલેટ્ટા ( માલ્ટા ).


    [1] https://www.youtube.com/playlist?list=PLMGrCYM_ZSd0-9deXotCi35YjIp93uRcr


    સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • અનામતનીતિને તળેઉપર કરતો સુપ્રીમ કોર્ટનો ચુકાદો

    નિસબત

    ચંદુ મહેરિયા

    ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડી.વાય ચંદ્રચૂડના નેતૃત્વ હેઠળની સુપ્રીમ કોર્ટની સાત ન્યાયાધીશોની બંધારણીય પીઠના અનામત નીતિ અંગેના હમણાંના ચુકાદાએ ભારે વિવાદ જગવ્યોછે. છ વિરુધ્ધ એકની બહુમતીના આ ચુકાદામાં અનુસૂચિત જાતિ અને જનજાતિની અનામત બેઠકોમાં સબકેટેગરીને બંધારણીય ઠેરવી છે. એથી આગળ વધીને ચાર જજોએ તો દલિત આદિવાસી અનામતમાં પણ ઓબીસીની માફક ક્રીમી લેયર દાખલ કરવા જણાવ્યું છે. દલિત આદિવાસીઓ માટેની અનામત નીતિને આ ચુકાદાએ હચમચાવી દીધી છે.  તેના વિરોધમાં ભારત બંધનું એલાન સુધ્ધાં અપાઈ ચૂક્યું છે. ઐતિહાસિક ગણાતો અને સારી-નરસી દૂરોગામી અસરો જન્માવનારો આ ચુકાદો સામાજિક ન્યાય અને સમાનતાના બંધારણીય ખ્યાલ અંગે પણ સવાલો ઉભા કરે છે.

    ભારતીય બંધારણના અનુચ્છેદ ૩૪૧થી અનુસૂચિત જાતિ અને ૩૪૨થી  અનુસૂચિત જનજાતિની યાદી , સંસદની મંજૂરીથી રાષ્ટ્રપતિએ નોટિફેકશન દ્વારા  જાહેર કરી છે. આ યાદીના દલિતો- આદિવાસીઓને શિક્ષણ, સરકારી નોકરી અને રાજકારણમાં અનામત બેઠકો મળે છે. અનામતનો ઉદ્દેશ સામાજિક-સાંસ્કૃતિક ભેદભાવ, આભડછેટ, જ્ઞાતિભેદનો ભોગ બનેલા સમૂહોને પ્રતિનિધિત્વ આપવાનો, સમાનતા આણવાનો અને અંતે જ્ઞાતિ નિર્મૂલનનો છે. આર્ટિકલ ૩૪૧ અને ૩૪૨ હેઠળની યાદીના તમામ લોકો એકસરખા ભેદભાવ અને આભડછેટનો ભોગ બનેલા છે. પરંતુ આ સૂચિની પ્રભુત્વ ધરાવતી જ્ઞાતિઓને જ અનામતનો લાભ મળે છે અને અ.જા. કે અ.જ.જાની અન્ય નબળી જ્ઞાતિઓ સુધી અનામતનો લાભ પહોંચ્યો નથી કે સરકારી નોકરીઓમાં તેમનું અલ્પ પ્રતિનિધિત્વ છે. આ સ્થિતિના ઉકેલ માટે કેટલાક રાજ્યોએ અનામતમાં અનામતની નીતિ અખત્યાર કરી છે.

    દેશના કોઈ એક રાજ્યની વસ્તીમાં દલિત વસ્તીનું પ્રમાણ સૌથી વધુ હોય તો તે પંજાબ છે. આખા દેશમાં સૌ પ્રથમ પંજાબે ૧૯૭૫થી દલિતોની બે સૌથી નબળી પેટા જ્ઞાતિઓ વાલ્મીકિ અને મજહબી શિખો માટે અ.જાતિની કુલ અનામતમાંથી જ પચાસ ટકા અનામતની જોગવાઈ કરી છે. અવિભાજિત આંધ્રપ્રદેશની ૫૭ અનુસૂચિત જાતિઓને ૧૫ ટકા અનામત મળતી હતી. ૨૦૦૦માં રાજ્ય સરકારે તેમાં વિભાગીકરણ કર્યું અને માડિગાની સબકેટેગરી માટે અનામતની જોગવાઈ કરી હતી. આ પ્રકારના વિભાગીકરણનો વિરોધ થયો અને અનામતમાં અનામત કાનૂની અને રાજકીય મુદ્દો બન્યો. ૨૦૦૪માં સર્વોચ્ચ અદાલતે બંધારણના અનુચ્છેદ ૩૪૧ને સમરૂપ, સમાન સમૂહ ગણી તેમાં કોઈ વિભાગીકરણ કરી શકાય નહીં તેમ ઠરાવી સબકેટેગરી માટેની અનામતને ગેરબંધારણીય ઠેરવતો ચુકાદો આપ્યો હતો. ઈ.વી. ચિન્નેયા વર્સિસ આંધ્ર રાજ્યના આ ચુકાદાની અસર પંજાબની અનામત નીતિ પર પણ પડી હતી.પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે પંજાબમાં મજહબી શિખો અને વાલ્મીકિ માટેની અનામતને રદ કરી હતી. એટલે પંજાબે ૨૦૦૬માં તે ચુકાદાની ઉપરવટ જઈને નવો કાયદો ઘડ્યો. પંજાબ અનુ.જાતિ અને પછાતવર્ગ( સેવાઓમાં અનામત ) અધિનિયમ, ૨૦૦૬ની કલમ ૪(૫)માં વાલ્મીકિ અને મજહબી શિખોને અનામતમાં પ્રાથમિકતા આપવાની જોગવાઈ કરી હતી.૨૦૧૦માં હાઈકોર્ટે આ કાયદાને અને કોટામાં  કોટાને ફરી રદ કરતો ચુકાદો આપ્યો એટલે પંજાબ સરકારે સુપ્રીમ કોર્ટમાં ધા નાંખી કે અનામતમાં અનામત બંધારણીય અને કાયદેસર છે. એટલે ઈ.વી. ચિન્નેયા ચુકાદાની સમીક્ષા કરી તેને રદ કરવામાં આવે.

    સિવિલ એપ્લિકેશન નંબર ૨૩૧૭ ઓફ ૨૦૧૧માં પંજાબ સરકાર અપીલકર્તા હતી. તો દવિંદર સિંઘ અને અન્ય પ્રતિવાદી હતા. અન્ય બે પ્રતિવાદી ચમાર મહાસભા અને લછમન સિંઘ હતા. અન્ય ૨૨ કેસો સાથેના આ કેસનો અંતિમ ચુકાદો આ મહિનાની પહેલી તારીખે આવ્યો છે. તે પૂર્વે પાંચ જજોની બેન્ચે  સબક્લાસિફિકેશને  માન્ય રાખ્યું હતું પરંતુ આંધ્રનો ચુકાદો પાંચ જજની બેન્ચનો હતો એટલે આ કેસ સાત જજોની બેન્ચને સોંપવામાં આવ્યો. સાત જજોની બંધારણીય બેન્ચે ઈ.વી. ચિન્નેયા ચુકાદા બાબતે પુનર્વિચાર, રાજ્યોને અનામતનું વિભાગીકરણ કરવાનો અધિકાર , અને સબકેટેગરાઈઝેશન સમાનતાના અધિકારનો ભંગ કરે છે કે નહીં તે નક્કી કરવાનું હતું.

    સી.જે.આઈ ડી.વાય ચંદ્ર્ચૂડ, બી.આર ગવઈ, વિક્રમનાથ, બેલા ત્રિવેદી, પંકજ મિત્તલ , મનોજ મિશ્રા અને સતીશ ચંદ્ર શર્માની બંધારણીય બેન્ચના બેલા ત્રિવેદી સિવાયના છ જજિસે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને એક્લ, સમાન અને સમરૂપ માનવાનો ઈન્કાર કર્યો. તેમણે ઐતિહાસિક અને અનુભવજન્ય સાક્ષ્યના સંકેતો પરથી તારવ્યું કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એકરૂપ અને સમાન નથી. એટલે અનામતના લાભથી વંચિત માટે વિભાગીકરણ કરવું જોઈએ.આ પ્રકારની સબકેટેગરીનો રાજ્યોને હક છે, તે બંધારણીય છે અને સમાનતાના અધિકારનો ભંગ થતો.બેન્ચના એક માત્ર દલિત ન્યાયાધીશ ગવઈએ અનામતમાં ક્રીમી લેયર દાખલ કરવાનું જણાવ્યું હતું. જેને બીજા ત્રણ જજોએ સમર્થન આપ્યું હતું. જસ્ટિસ પંક્જ મિત્તલે અનામતનો લાભ એક જ પેઢી સુધી આપવા જણાવ્યું હતું..

    જસ્ટિસ બેલા ત્રિવેદી બહુમતી ચુકાદા સાથે સંમત નહોતા. તેમણે અલગ ચુકાદામાં જણાવ્યું હતું કે રાજ્ય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની સૂચિમાં કોઈ જ્ઞાતિને અલગ તારવી તેને પ્રાયોરિટી આપી શકે નહીં. રાજ્યનું આવું પગલું સૂચિ સાથે છેડછાડ છે. અનામતનો લાભ  પૂર્ણતયા આખી સૂચિને મળે છે એટલે રાજ્યો રાષ્ટ્રપતિએ મંજૂર કરેલ સૂચિમાં ફેરફાર કરી શકે નહીં. આ અસંમત ચુકાદો અગાઉના ઈ.વી. ચિન્નેયા  ચુકાદાનું સમર્થન  કરે છે અને અનામતમાં અનામતનો વિરોધ કરે છે.

    અનામતનો લાભ લેવામાં પ્રભુત્વ ધરાવતી જ્ઞાતિઓ આગળ હોય છે તે વાસ્તવિકતા સ્વીકારીને તેનો ઉકેલ અનામતમાં અનામત છે કે અન્ય તે  વિચારવાનું છે. વળી આંધ્ર, પંજાબ અને તમિલનાડુમાં સબકેટેગરી બનાવી છે. તેનો અનુભવ પણ લક્ષમાં લેવાયો નથી. પંજાબમાં જે બે જ્ઞાતિઓને લગભગ ચાળીસ વરસથી સબકેટેગરીથી કેટલો ફાયદો થયો છે તેનો કોઈ અભ્યાસ આ ચુકાદામાં જોવા મળતો નથી. જો સૂચિ સમરૂપ ન હોય તો તેમના પ્રત્યેનો સામાજિક ભેદભાવ પણ ચડતો ઉતરતો હોવો જોઈએ. પરંતુ દલિતોની તમામ જ્ઞાતિઓને અસ્પૃશ્યતા અને સામાજિક ભેદભાવનો એક સરખો લાભ મળે છે. તો માત્ર અનામતનો લાભ જુદો કેમ ? અલગ સબકેટેગરી કરવામાં આવે અને હાલના રોસ્ટરક્રમ પ્રમાણે ભરતી કે બઢતી થાય તો અનામત લગભગ નાશ પામે અને કોઈને તેનો લાભ ન મળે તેવું બની શકે છે.

    અનામતનો આધાર સામાજિક ભેદ હોવા છતાં દલિત જજ ગવઈ ક્રીમી લેયરની વાત કરે અને આર્થિક માપદંડની વાત જોડે તે સમજ બહારનું છે. આ બેન્ચે જેમ અનુસૂચિત જાતિ માટે વિચારણા કરવાની હતી તેમ છતાં તેમાં અનુસૂચિત જનજાતિને સામેલ કરી તેમ ક્રીમીલેયરનો સવાલ પણ બેન્ચની વિચારણા બહારનો અને સુનાવણી દરમિયાન ઉપસ્થિત નહીં થયેલો છે.

    લગભગ ત્રણ હજાર વરસોથી વર્ણ વ્યવસ્થાનો ભોગ બનેલા દલિતો એક જ પેઢી અનામતનો લાભ મેળવી સક્ષમ અને સમાન થઈ જશે તેમ કહેવું સાવ વાહિયાત છે.અત્યાર સુધી મધ્યમ વર્ગના ડ્રોઈંગ રૂમમાં જે સંભળાતું હતું તે સુપ્રીમ  કોર્ટના જજે ચુકાદામાં લખ્યું છે. મોરારજી દેસાઈ જ્યારે વડાપ્રધાન હતા  ત્યારે પત્રકારના અનામતો ક્યાં સુધી એવા સવાલનો સ્પષ્ટ જવાબ આભડછેટ છે ત્યાં સુધી હતો.સર્વોચ્ચ અદાલતે ઈન્દ્રા સહાની કેસમાં જણાવ્યું હતું કે કોઈ જ્ઞાતિને કેવળ આર્થિક આધારે અનામતની બહાર કાઢી ન શકાય. આર્થિક ઊન્નતિનો અર્થ સામાજિક ઉન્નતિ ના હોઈ શકે. સર્વોચ્ચ અદાલતના માનનીય ન્યાયાધીશો તેમના પૂર્વસૂરિઓના ચુકાદા પણ વિસરી જશે?


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ઈશ્વરને ઇ મેઇલ – 3

    તારી વાત..મારી વાત..

    નીલમ  હરીશ દોશી

    કર્મકી શાખા કો હિલાના હોગા,
    ન હોગા કુછ કોસને સે અંધેરે કો,
    અપને હિસ્સે કા દિયા ખુદ હી જલાના હોગા

    પ્રિય સખા,

    કાલે તારો ઇ મેઇલ મને મળ્યો. દોસ્ત, તારી ફરિયાદ મારા સર આંખો પર.તેં તારા ઇ મેઇલમાં મને ફરિયાદ કરી છે કે હું રોજ રોજ પ્રાર્થના કરું છું. પણ તું મારી વાત સાંભળતો જ નથી. મારી કોઇ માગણી તું પૂરી કરતો જ નથી. તું શું બહેરો છે ?

    તારો આક્રોશ કદાચ તારી દ્રષ્ટિએ વ્યાજબી હશે. પણ દોસ્ત, તું જરા મારો વિચાર કરીશ તો તને સાચી વાત સમજાશે.

    દોસ્ત, મને એક વાતનો જવાબ આપ. રોજ રોજ તારે ઘેર અનેક લોકો આવે, જાતજાતની વાતો કરે તો  દોસ્ત,  સાચું કહે તને એમાંથી શું અને કેટલું યાદ રહે ?

    દોસ્ત, તને ખબર છે જ કે મારી પાસે પણ રોજ હજારો લોકો જાતજાતની માગણી લઇને આવે છે.દરેકની ઇ્ચ્છાઓને યાદ રાખવી ન પડે  એથી હું તમારા દરેકની ભીતરમાં જ અડ્ડો જમાવીને બેઠો છું. પણ દોસ્ત, તું એ વાત તો સમૂળગી ભૂલી જ ગયો છે અને મને ખોટી જગ્યાએ શોધતો ફર્યા કરે છે. જયાં હું હૌઉ જ નહીં ત્યાં તું પ્રાર્થના કરે, કોઇ માગણી કરે તો એ મારા સુધી કેવી રીતે પહોંચી શકે ? હું તારી ભીતર જ છું પણ તું તારી ભીતર ઝાંકવાની તકલીફ તો લેતો જ નથી. હું કદીક ઝીણા રવે તને કહેવાનો પ્રયાસ કરું છું પણ તેં તારી આસપાસ કેટલો કોલાહલ જમા કર્યો છે કે મારો સાદ દોસ્ત, તને સંભળાતો જ નથી. બોલ, હવે દોષ કોનો ? ફરિયાદ કોણે કરવી જોઇએ ?

    જો  તું તારા પોતાના આત્માનું સાંભળે, સમજે  અને સાચી દિશામાં પ્રયત્ન કરે તો ચોક્કસ તારી બધી માગણીઓ પૂરી થશે જ. બની શકે તારી માગણીઓનો પ્રકાર પણ બદલાઇ જાય. બાકી જે જગ્યાએ હું છું જ નહીં, એવા તેં બનાવેલા ભવ્ય મંદિરોમાં તું કલાકો બેસી રહે અને પ્રાર્થના કરે કે મારા પરિવારનું દુઃખ દૂર કરો તો કંઈ થશે નહિ.  હકીકતે તારા દુઃખ માટે  તારે પોતે જ કાર્યરત થવું પડશે અને તું જયારે સાચા દિલથી, પૂરી પ્રામાણિકતાથી થાકયા સિવાય  પ્રયત્ન, પરિશ્રમ કરતો રહીશ ત્યારે તારી ભીતરમાં બેસેલો હું તને જરૂર મદદ કરતો રહીશ. દોસ્ત, જે સ્વયંને મદદ નથી કરી શકતો એને હું પણ મદદ નથી કરી શકતો. દોસ્ત, આશા રાખું છું તું મારી વાત સમજી શકીશ. અને  ભીતરનો અવાજ સાંભળવા માટે બહારનો કોલાહલ થોડો ઓછો કરવો પડશે. દ્રષ્ટિ થોડી ભીતર તરફ વાળવી પડશે.ત્યારે જ તું અંદરનો અવાજ સાંભળી શકશે.

    લિ. ઇશ્વરના સ્નેહ સ્મરણ

    ચપટી ઉજાસ…

    સહુથી મહાન ઇરાદા કરતા સહુથી નાનું  શુભ કાર્ય વધારે મહત્વનું છે.


    નીલમ  હરીશ દોશી : E mail: nilamhdoshi@gmail.com | બ્લોગ : પરમ સમીપે

     

  • ભાગલાની સ્મૃતિને રાજકીય રંગ આપવાની શી જરૂર?

    તવારીખની તેજછાયા

    પાર્ટિશન મ્યુઝિયમ – અમૃતસર

    પ્રકાશ ન. શાહ

    કટોકટી દરમ્યાન ૧૯૭૬માં અમે સૌ મિસાબંદીઓનું જે રૂડું રાવણું જામ્યું હતું, વડોદરા જેલમાં, એમાં જનસંઘના રામદયાલ વિશ્વકર્મા પણ હતા. ભાગલા પછી સિંધથી જેઓ અહીં આવ્યા તે પૈકીના એક એ પણ હતા અને પહેલ ને પુરુષાર્થથી વડોદરા પંથકમાં ‘પ્રતાપ’ પેનના નિર્માણથી એમણે આગવી ઓળખ પણ જમાવી હતી. આગળ ચાલતાં એ વડોદરાના ડેપ્યુટી મેયર પણ થયા હતા. આઝાદી દિવસના ઉંબર કલાકો માટે આ લખી રહ્યો છું, અને આ ઉંબર કલાકો- ૧૪મી ઓગસ્ટનો દિવસ- સત્તાવાર રીતે ‘ભાગલાના ત્રાસ ને હિંસાના સ્મૃતિ દિવસ’ તરીકે મનાવવાનું એલાન થયેલું છે તેનો મને ખયાલ છે.

    જેલમાં વાંચવાનું ઠીક ઠીક બનતું. મહેન્દ્ર મેઘાણી તરફથી ‘મિલાપ’ના અંકો અને બીજું સાહિત્ય નિયમિત મળતું રહેતું. ‘મિલાપ’નો એક અંક ગુજરાતી લિપિમાં છાપેલી હિંદુસ્તાની રચના લઈને આવ્યો. જલાવતન જિંદગી બસર કરતો કવિ પોતે જ્યાંથી નિર્વાસન પામેલો છે એ વતનને યાદ કરતા કોઈ મુલાકાતીને પૂછે છે, કેવું છે આપણું ગામ ને એની ગલીઓ, હજુ એ જ કૂવે પનિહારીઓ પાણી ભરે છે… અને હા, પેલું મંદિર ને ઘંટારવ. ઊતરતી આવતી રાતે અમારા વોર્ડમાં અમે સહજ બેઠા હતા અને આ રચના એક મિત્ર પ્રગટપણે વાંચતા હતા. એ વાંચતા જાય ને લીટીએ લીટીએ રામદયાલ વિશ્વકર્માનું ડૂસકું સંભળાય. દેખીતી રીતે જ, પોતે ભાગલા વખતે જે ધરતી પાછળ મૂકી એનો સાદ એમને સંભળાતો હતો ને ડુમાયેલ ડૂસકાં વિના એ ક્ષણે કદાચ કોઈ મોક્ષ પણ નહોતો.

    મુદ્દે, ઐતિહાસિક કારણોસર આપણા પ્રજાજીવનના એક હિસ્સાને સારુ હિંદુ વિ. મુસ્લિમ એ મુખ્ય વિમર્શ મુદ્દો બની રહેલ છે. વિભાજનની સ્મૃતિ આપણને પજવે એ તો સમજી શકાય એમ છે, પણ એને એક રાજકીય વિચારધારાનો માંજો પાઈને ઉછેરવાના વલણને સ્વીકારી શકાતું નથી. એ દિવસો સંભારીએ ત્યારે વિભીષિકા ન સાંભરે એવું તો નહીં જ કહી શકાય. પણ એ વિભીષિકાને કેન્દ્રમાં રાખીને પ્રજાજીવન ઘડી શકાય? લાખો માણસો સરહદની એક બાજુએથી બીજી બાજુએ ગયા. બંને બાજુએ લોકોએ વેઠ્યું જ વેઠ્યું. જે લોકો આ બાજુએથી ત્યાં ગયા એ પણ પોતે છોડેલ વતનની યાદે ઝૂરતા નહીં હોય એમ તો કહી શકાતું નથી. ઈતિહાસવસ્તુ તરીકે વિભીષિકા એક વાસ્તવિકતા છે, પણ આખા ઘટનાક્રમ પરત્વે અને આગળ ચાલવાની રીતે તો જે બન્યું એને કારુણિકા તરીકે જોઈએ એમાં કદાચ વિશેષ ઔચિત્ય છે.

    વિભીષિકાથી બને કે વિક્ટમહુડ અને વેરઝેરનું એક વ્યાકરણ રચાતું આવે. કારુણિકાનો અભિગમ આત્મખોજ અને રચનાનું કાવ્ય બનીને વિલસે. હમણાં હમણાં જે સત્તાવાર એલાન થયું છે, ૨૬મી જૂનને ‘બંધારણ હત્યા દિવસ’ તરીકે મનાવવાનું, એને પણ આ રીતે જોઈ તો શકાય. કટોકટીકાળે દેશના અંતરાત્મા તરીકે ઉભરેલું વ્યક્તિત્વ જયપ્રકાશ નારાયણનું હતું. કટોકટી ઊતર્યા પછી જનતા પર્વ બેઠું ત્યારે જયપ્રકાશ છાત્ર યુવા સંઘર્ષ વાહિનીના સાથીઓને ૨૬મી જૂનને ‘લોકચેતના દિવસ’ તરીકે મનાવવાનું સૂચવ્યું હતું. પ્રતિકારનો મહિમા પણ પ્રતિશોધની નહીં, પરંતુ નિર્માણની રાજનીતિનો પુરસ્કાર. આખી વાતને ધોરણસર પરિપ્રેક્ષ્યમાં મૂકી જોવા-તપાસવા અને સમજવાની રીતે, બને કે, અમૃતસરમાં તાજેતરનાં વરસોમાં ઊભું થયેલું પાર્ટિશન મ્યુઝિયમ અને એ પ્રકારના બીજા ઉપક્રમો ઉપયોગી થઈ શકે.

    એક આવકાર્ય બિનસરકારી પહેલ, એમ તો, સુદૂર અમેરિકાના બર્કલી કેમ્પસ પરથી પાછલાં વર્ષોમાં થઈ છે. ગુનીતા સિંઘ ભલ્લાએ વિભાજન પછી ૧૨-૧૩ દેશમાં પથરાયેલા ભારતીયો કનેથી પ્રથમ વ્યક્તિ એકવચનમાં દસ્તાવેજી દાસ્તાન મેળવવાનો આખો એક મૌખિક ઈતિહાસ પ્રકલ્પ, કેટલાક પગારદાર ને સંખ્યાબંધ સ્વૈચ્છિક લોકોની સંકલનાથી ઊભો કર્યો છે. દસ હજારથી વધુ લોકોની જુબાની સાથે, અને હજુ ઉમેરાતી જુબાનીઓ સાથે, ગુનીતા સિંઘે ‘પાર્ટિશન આર્કાઈ‌વ્ઝ’[1]ની દિશામાં મોટું કામ હાથ ધર્યું છે. ગુનીતા સિંઘ કહે છે કે કોઈ સંસ્થાગત કે રાજકીય જુબાનીઓથી ઉફરાટે આ વ્યક્તિગત નિવેદનો કંઈક જુદું જ કહે છે. ભારત-પાકિસ્તાન સત્તાવર્તુળોની પોતપોતાની તરેહની ‘રાષ્ટ્રવાદી રજૂઆત’માં નહીં બંધાતી ઘણી વાતો સમજવાની રીતે સામે આવે છે.

    સહેજ આઘોપાછો થતો લાગું, પણ સંભારું કે એક અર્થમાં આપણે બબ્બે વિભાજન જોયાં છે. પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશનું એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે બહાર આવવું, એ પણ આમ તો વિભાજન છે ને! ૧૯૦૫માં બંગભંગ એ પહેલો અનુભવ હતો, પછી ભારત-પાક ભાગલા, અને તે પછી પાકિસ્તાનના ભાગલા… સ્વતંત્ર વિષય છે, પણ આપણી ચર્ચામાં ઉપયોગી એવું સ્મરણ તસલીમા નસરીનનું કરી જ લઉં. અયોધ્યા ઘટના પછી બાંગ્લાદેશમાં મુસ્લિમ કટ્ટરવાદીઓએ હિંદુઓને નિશાન બનાવ્યાં ત્યારે કોમી ગાંડપણ સામેના નિર્ભીક ને નક્કુર અવાજ લેખે તસલીમા ‘લજ્જા’ નવલકથા લઈને ઉભર્યાં હતાં. પરિણામે એ નિર્વાસન પામ્યાં ને યુરોપમાં, અંતે, ભારતમાં નિવાસ પામ્યાં છે. આપણે એમને એમની નાગરિક ને માનવીય ભૂમિકાવશ સ્વાભાવિક જ પોંખીએ પણ છીએ. આ જ તસલીમાએ એમનાં ભારતવર્ષોમાં જે જોયું, અનુભવ્યું એ પછી તે ‘લજ્જા’ની અનુનવલ ‘બેશરમ’ (‘શેઈમલેરસ’) લઈને આવ્યાં છે. બાંગ્લાદેશમાં રંજાડ પામેલું હિંદુ કુટુંબ ભારતમાં આશરો લે છે. આખો વાર્તાસાર તો નથી આપતો, પણ બાંગ્લા રંજાડવશ આ સમુદાર સેક્યુલર પરિવાર અહીં એક તબક્કે હિંદુત્વ રાજનીતિમાં પનાહ શોધવા કરે છે. પણ દિલનો કરાર ક્યાં. ઠેકાણું પડતું નથી. ક્યાંથી પડે?

    પાકિસ્તાનની નિર્વાસન પામી ફહમિદા રિયાઝ અમૃતા પ્રીતમની ભલામણથી ઈંદિરાજીના કાળમાં આપણે ત્યાં સાત વરસ રહી ગયાં હતાં. પણ, પછી આપણી બદલાયેલી હવામાં માર્ચ ૨૦૨૪માં એમણે લખ્યું: ‘તુમ બિલકુલ હમ જૈસે નિકલે, વો મૂર્ખતા, વો ગંવારપન, જિસમેં હમને સદી ગંવાઈ, આખિર પહોંચી દ્વાર તુમ્હારે, અરે બધાઈ, બહોત બધાઈ…’


    [1] https://in.1947partitionarchive.org/


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૧૫-૦૮– ૨૦૨૪ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ


    શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • કોઈનો લાડકવાયો – (૫૪) માસ્ટરદાની આગેવાની હેઠળ ચિત્તાગોંગના શસ્ત્રાગાર પર હુમલો (૧)

    દીપક ધોળકિયા

     એક બાજુ, ભગતસિંઘ, રાજગુરુ અને સુખદેવ પર ખટલો ચાલતો હતો, ગાંધીજીની દાંડી યાત્રા હજી સમાપ્ત જ થઈ હતી એ જ અરસામાં ૧૮મી ઍપ્રિલ ૧૯૩૦ના રોજ માસ્ટરદા સૂર્ય સેનની સરદારી હેઠળ કૉલેજ અને સ્કૂલના છોકરાઓએ ચિત્તાગોંગમાં શસ્ત્રાગાર પર હુમલો કરીને દેશભરમાં ખળભળાટ મચાવી દીધો.

    સૂર્ય સેન એક સ્કૂલમાં શિક્ષક હતા. પહેલાં તો એ કોંગ્રેસમાં જોડાયા હતા અને ૧૯૨૦માં ગાંધીજીના અસહકાર આંદોલનમાં સક્રિય હતા પણ ચૌરીચૌરાના બનાવ પછી ગાંધીજીએ આંદોલન રોકી દીધું  તે એમને  ન ગમ્યું અને માત્ર શસ્ત્રોને માર્ગે જ આઝાદી મળશે એમ માનતા થઈ ગયા. તે પછી એમણે અંગ્રેજો વિરુદ્ધ એમણે સ્કૂલ અને કૉલેજના વિદ્યાર્થીઓને સંગઠિત કરવાનું શરૂ કર્યું અને ઇંડિયન રીપબ્લિકન આર્મીની રચના કરી. એમણે એલાન કર્યું: ભારતના યુવાનોને માથે ક્રાન્તિનું એક મહાન કાર્ય આવી પડ્યું છે. આપણા રાષ્ટ્રનાં અરમાન અને અપેક્ષાઓને સંતોષવાનું દેશભક્તિપૂર્ણ કાર્ય કરવાની જવાબદારી પાર પાડવાનું ગૌરવ આપણને ચિત્તાગોંગવાસીઓને મળે છે.”

    માસ્ટરદાએ એકઠા કરેલા યુવાનોમાં ગણેશ ઘોષ, લોકનાથ બાલ, નિર્મલ સેન, અંબિકા ચક્રવર્તી, નરેશ રાય, વિનોદ બિહારી ચૌધરી, તારકેશ્વર દસ્તીદાર, શશાંક દત્તા, અર્ધેન્દુ દસ્તીદાર, હરિગોપાલ બાલ (ટેગરા), અનંતા સિંઘ, જીવન ગોસ્વામી. આનંદ પ્રસાદ ગુપ્ત, પ્રીતિલતા વોડેદાર, કલ્પના દત્તા, સુબોધ રાય, દેવી પ્રસાદ ગુપ્ત અને બીજા ઘણા યુવાનો હતા.

    માસ્ટરદા અને એમના ભાઈ તારકેશ્વર દસ્તીદારનું સાહસિક કૃત્ય કાકોરીમાં ટ્રેન લૂંટવાના નિષ્ફળ બનાવ પછીની આ એક બહુ જ સફળ કાર્યવાહી હતી. ઇંડિયન રીપબ્લિક આર્મીની વ્યૂહરચના એ હતી કે બૅંકો લૂંટવી, સરકારી તિજોરી લૂંટવી, ચિત્તાગોંગને કલકતાથી વીખૂટું પાડી દેવા માટે રેલવે સેવાઓ ખોરવી નાખવી, તાર-ટપાલ ઑફિસો પર હુમલા કરવા અને શસ્ત્રાગારો પર હુમલા કરવા.

    ***

    રાજશાહી ડિવીઝનનો કમિશનર સર રૉબર્ટ રીડ વાઘના શિકારે જવાની તૈયારી કરતો હતો ત્યારે એને સમાચાર મળ્યા કે ચિત્તાગોંગ આર્મરી પર વિદ્રોહીઓએ હુમલો કર્યો છે. રૉબર્ટ રીડનો રિપોર્ટ જોઈએઃ ૧૮મી ઍપ્રિલ ૧૯૩૦, ગૂડ ફ્રાઇડેના દિવસે લાંબા વખતથી બંગાળ પ્રાંતમાં સુષુપ્ત પડેલું બંગાળી ત્રાસવાદી આંદોલન ખૂબ તીવ્રતાથી સક્રિય થયું. અત્યાચાર લગભગ ગાંધીએ મુંબઈના કાંઠે દાંડીમાં મીઠાનો કાયદો તોડવા સાથે શરૂ કરેલા સવિનય કાનૂનભંગને પગલે શરૂ થયોઆર્મરી પરનો છાપો બંગાળમાં ત્રાસવાદી પાર્ટીએ કરેલો સૌથી મોટો બળવો હતો અને બહુ કાળજીથી એની યોજના બની હતી.”

    રીડના જણાવ્યા પ્રમાણે વિદ્રોહીઓએ ચાર ટુકડીઓ બનાવી હતી. એ બધા એ રાતે કોંગ્રેસ પાર્ટીની ઑફિસે એકઠા થયા. ગણેશ ઘોષના નેતૃત્વ હેઠળ છ વિદ્રોહીઓની એક ટુકડીએ પોલીસના શસ્ત્રાગાર (આર્મરી) પર હુમલો કરવાનો હતો. બીજી ટૂકડીની જવાબદારી લોકનાથ બાલને સોંપાઈ હતી, એમની સાથે દસ જણ હતા. એમણે સહાયક લશ્કરી દળના શસ્ત્રાગાર પર હુમલો કરવાનો હતો. ત્રીજી ટુકડીએ યુરોપિયનોની ક્લબ પર છાપો મારવાનો હતો અને ચોથી ટુકડીએ ટેલીફોન એક્સચેન્જ અને ટેલીગ્રાફ ઑફિસને નષ્ટ કરવાનાં હતાં.

    ક્લબ પર હુમલો કરનારી ટુકડી ત્યાં પહોંચી ત્યારે ક્લબ ખાલી હતી એટલે એ ટુકડી બીજી કોઈ ટુકડી સાથે ભળી ગઈ. પોલીસ આર્મરી પર પચાસ માણસોએ હુમલો કર્યો. એમણે ત્યાંના સંત્રીને ગોળીએ દીધો અને તલવારો, પિસ્તોલો પોતાના કબ્જામાં લઈ લીધી. એ જ વખતે એકાદ માઇલ દૂર બીજી ટુકડીએ આર્મરીના સહાયક દળના શસ્ત્રાગાર પર હુમલો કર્યો. આમાં એક સાર્જન્ટ-મેજર અને બે સિપાઈ માર્યા ગયા. તે પછી વિદ્રોહીઓએ આર્મરીનો દરવાજો તોડી નાખ્યો અને રાઇફલો, પિસ્તોલો અને કારતુસો લઈ લીધાં. પણ બન્ને હુમલામાં કોઈ મોટો જથ્થો હાથ ન લાગ્યો.

    ટેલિગ્રાફ ઑફિસ પર ગયેલી ટુકડીએ ઑફિસને ધ્વસ્ત કરી નાખી. તે પછી એમણે ચિત્તાગોંગને ‘સ્વતંત્ર’ જાહેર કર્યું અને બધા પોલીસ લાઇનમાં એકઠા થયા. અહીં ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ જે. સી. ફાર્મરને સમાચાર મળી ગયા હતા એટલે એણે બંદર પરની નાની હથિયારબંધ ટુકડીને એક તોપ સાથ બોલાવી લીધી હતી. એના તોપમારા પછી વિદ્રોહીઓ શહેરની બહાર જલાલાબાદની ટેકરીઓના જંગલમાં સંતાઈ ગયા.

    અહીં એ ત્રણ દિવસથી થાક્યાપાક્યા, ખાધાપીધા વગર પડ્યા હતા. પ્રભાષ પાલને એમણે પહેરા માટે રાખ્યો હતો. ત્યાંથી એક ટ્રેન પસાર થતી. એનું ત્યાં સ્ટેશન નહોતું પણ એ ઊભી રહી. પ્રભાષને કંઈક વિચિત્ર લાગ્યું. એણે જોયું કે ટ્રેનમાંથી ઇન્ફન્ટ્રીના સૈનિકો ઊતર્યા. પ્રભાષે બીજા બધાને સાવધાન કરી દીધા.  આ જોઈને માસ્ટરદાએ  તરત લોકનાથ બાલને ‘સર્વાધિનાયક” બનાવ્યા અને પોતે નિર્મલ સેન અને પ્રીતિલતા વોડેદાર સાથે ત્યાંથી નીકળી ગયા.

    ટેકરીઓ પર હવે ક્રાન્તિકારીઓ અને ઇન્ફન્ટ્રીના ગોરખા સૈનિકો વચ્ચે ઘમસાણ યુદ્ધ ખેલાયું. ક્રાન્તિકારીઓ મચક આપતા નહોતા. પણ એમની બંદુકો હવે જામ થવા માંડી હતી. તેલ તો હતું નહીં. એટલે એમણે પોતાના ઘાયલ સાથીઓના લોહીનો ઉપયોગ ઊંઝણ તરીકે કર્યો. પોલીસ દળ પણ થાકવા લાગ્યું હતું. એંસી ગોરખા સૈનિકો માર્યા ગયા હતા અને ક્રાન્તિકારીઓને રાતના અંધારામાં પકડી શકાય તેમ નહોતું એટલે સાંજ પડતાં, રીડના શબ્દોમાં શહેરની ભયભીત વસ્તીના રક્ષણ માટે ટુકડીને પાછી બોલાવી લેવાઈ.

    તે પછી ક્રાન્તિકારીઓ ટેકરીઓ પરથી નીચે આવ્યા. એમના ૧૨ સાથીઓ વીરમૃત્યુને ભેટ્યા હતા. વળી બીજી સવારે પોલીસ પાર્ટીએ હુમલો કરતાં કેટલાયે વિદ્રોહીઓના જાન ગયા કે પકડાઈ ગયા. આ હુમલામાં કુલ ૬૫ ક્રાન્તિકારીઓ હતા.

    આ બાજુ, પ્રીતિલતા અને નિર્મલ સેન ઢાલગટ ગામમાં છુપાઈ ગયાં અને બે પોલીસ અધિકારીઓ અહેસાનુલ્લાહ ખાન અને ચાર્લ્સ જ્‍હોનસનને મારી નાખવાની યોજના બનાવતાં હતાં પણ અહેસાનુલ્લાહને ખબર મળી ગયા.. પોલીસે એમના છુપાવાના સ્થળ પર હુમલો કર્યો. નિર્મલ ઝપાઝપી માટે તૈયાર હતા પણ કંઈ કરે તે પહેલાં જ એ ગોળીનો શિકાર બની ગયા. એ માસ્ટરદાના નાના ભાઈ હતા. એમના મૃત્યુ પછી પ્રીતિલતા એકલાં જ ભાગી છૂટ્યાં. ચિત્તાગોંગના પોલીસ શસ્ત્રાગાર પર હુમલો કરવાની યોજનામાં માસ્ટરદાને પ્રીતિલતાની બહુ મદદ મળી હતી.

    ક્રાન્તિકારીઓમાંથી કેટલાક ચંદ્રનગર પહોંચી ગયા હતા. ચંદ્રનગર અને પોંડીચેરી એ વખતે ફ્રેન્ચ નિયંત્રણમાં હતાં. પરંતુ કલકત્તાનો પોલીસ કમિશનર ટેગર્ટ ફ્રાન્સના વહીવટદારનો મિત્ર હતો એટલે ટેગર્ટ ચંદ્રનગર જઈ શક્યો અને ત્યાં બધા ક્રાન્તિકારીઓને ફ્રાન્સની મદદથી શોધીને મારી નાખ્યા.

    ચાર મહિના પછી, ઑગસ્ટમાં ટેગર્ટ કલકત્તાના ડલહૌઝી ચોકમાંથી જતો હતો ત્યારે એના પર બોંબ ફેંકાયો પણ એ બચી ગયો. એ જ મહિનાના અંતમાં કલકત્તાના બે પોલીસ ઑફિસરો લૉસન અને હૉડસન ઢાકામાં કોઈ પોલીસ ઑફિસરને મળવા ગયા ત્યારે એમના પર ક્રાન્તિકારીઓએ હુમલો કર્યો. લૉસન માર્યો ગયો પણ હૉડસન લાંબા વખત સુધી પથારી ભેગો થઈ ગયો. લૉસનના મૃત્યુ પછી ક્રેગ ઇન્સ્પેક્ટર જનરલ બન્યો. એના પર પણ હુમલો કરવાની ક્રાન્તિકારીઓની યોજના હતી, એમણે હુમલો કર્યો પણ ક્રેગને બદલે એક બંગાળી પોલીસ ઑફિસર છટકાની જગ્યાએ આવ્યો અને ક્રાન્તિકારીઓની બંદૂકોનું નિશાન બની ગયો.

    ચિત્તાગોંગના વીરોની ગાથા હજી આગળ ચાલશે.

    ૦૦૦

    સંદર્ભઃ

    ૧.Years of Change in Bengal and Assam. સર રૉબર્ટ રીડ, ૧૯૬૬. (archive.org પરથી ૧૪ દિવસ માટે વાંચવા માટે લઈ શકાશે).

    ૨.culturalindia.net

    1. indiafacts.org

    ૪. thebetterindia.com/155824/

    ૫. mythicalindia.com/features-page/

    ૬. thedailystar.net

    ૭. myind.net

    ૮. self.gutenberg.org

    ૯. historica.fandom.com


    દીપક ધોળકિયા

    વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com

    બ્લૉગ સરનામું: મારી બારી

     

  • ઉન્માદ અને ઉદાસી

    સરયૂ પરીખ

    એ દિવસે, અમારી ટેક્સાસની સેવા-સંસ્થામાં એક ભદ્ર મહિલા આવી…ગોરો વાન અને ભરાવદાર બાંધાવાળી, આદર્શ ગૃહિણી સમી લાગતી હતી. હિન્દીભાષામાં તેણે મારી સાથે વાતચીત શરૂ કરી.

    “મારું નામ શોભા. મારા પતિને છૂટાછેડા લેવા છે. તેની ફરિયાદ છે કે હું થોડી ગાંડી છું અને મારા કારણે અમારી દીકરી બગડી ગઈ છે. નાનપણથી મારો સ્વભાવ અસ્થિર કહેવાતો. પણ આપણા જૂના રીત રિવાજ પ્રમાણે કેળવાયેલી છોકરીની જાત…નમ્રતા સ્વભાવમાં વણાયેલી હોવાથી મારું જીવન ઠીક જઈ રહ્યું હતું. પરંતુ મારી અમેરિકામાં ઊછરેલી કિશોરવયની દીકરીની શું વાત કરું? …તેનામાં ઉન્માદ અને ઉદાસીનો અતિરેક જોતા અમે તેને મનોચિકિત્સક પાસે લઈ ગયા ત્યારે આ સ્વભાવને નામ મળ્યું, ‘બાયપોલાર’ અને મારા પતિને ખાત્રી છે કે, મારી દીકરી મારે લીધે, વારસાગત બાયપોલાર છે.”

    “તમારા પતિ અત્યારે ક્યાં રહે છે?” મેં સવાલ પછ્યો.

    “અમે એક જ ઘરમાં રહિયે છીએ. અમારા વચ્ચે કડવાહટ નથી પણ ગમગીની છે, નિરુત્સાહી સહજીવનથી તે દૂર જવા માંગે છે. મુશ્કેલી એ છે કે, તેમણે નક્કી કરેલા વકીલ પાસે જ જવાનું અને તેની વિચારણા પ્રમાણે જ ભાગલા પડે, એવી તેમની જોહુકમી છે, અને તે વાત મને માન્ય નથી. તેથી મારે તમારી સંસ્થાની મદદની જરૂર છે, તમારા તરફથી માનસિક સહારાની જરૂર છે.” શોભા વ્યથિત ભાવે બોલી, “અમારા છૂટાછેડા બાબત કોર્ટની તારીખ નજીક આવી રહી છે.”

    “તમારી દીકરી હાઈસ્કૂલમાં ભણે છે અને તમારી સંભાળમાં છે, ખરું?” મેં સવાલ પૂછ્યો.

    “અમે ત્રણ જણા એક જ ઘરમાં – પણ જાણે એકલા છીએ. અમારો નોકરિયાત દીકરો સ્વતંત્ર રહે છે અને ક્યારેક જ મળવા આવે છે. એને અમારા જીવનમાં રસ નથી,” શોભા ઉદાસી સાથે બોલી.

    ચાર દિવસ પછી મળવાનું નક્કી કરી શોભા વિદાય થઈ. શોભાની વાત સાંભળ્યા પછી મેં બાયપોલાર વિશે વાંચ્યું… “બાયપોલાર ડિસઓર્ડર. આ બીમારીના પ્રમુખ લક્ષણો વ્યવહારમાં બદલાવ આવવો છે. દર્દી જેમાં અતિશય ઉત્સાહ અને અતિશય નિરાશા જેવા; બે અંતિમો વચ્ચે ઝોલાં ખાધા કરે. થોડા લોકો સ્વભાવથી અસ્થિર હોય છે, જેનો અર્થ એવો નથી કે તેઓ બીમાર છે. સામાન્ય રીતે બાયપોલાર ડિસઓર્ડરના પ્રાથમિક લક્ષણો કિશોરાવસ્થા અને યુવાનીના પ્રથમ ચરણમાં જ જોવા મળી જાય છે. નિરાશામાં વ્યક્તિ ખૂબ જ નિષ્ક્રિય થઇ જાય છે અને ઉન્માદમાં ખૂબ જ સક્રિય થઇ જાય છે. થોડા મુખ્ય લક્ષણોમાં જોઈએ તો…

    • ઉત્કટ ઉદાસી અથવા ઉન્માદની લાગણી
    • શંકા-સંશયગ્રસ્ત. ઊંઘ બહુ ઓછી.
    • બેચેન અને ઉશ્કેરાયેલી માનસિક અવસ્થા.
    • ફોકસ…ધ્યાન એકત્રિત કરવાની મુશ્કેલી
    • મૃત્યુ અથવા આત્મહત્યાના વિચારો

    લગભગ ૫0 ટકા દરદીઓમાં આ વિકાર વારસાગત હોય છે. બંને પ્રકારના એપિસોડ્સની દવાઓ પણ અલગ-અલગ હોય છે. અનેકવાર આ વિકાર આપમેળે પણ ઠીક થઇ જાય છે પરંતુ સાવધાની માટે મનોચિકિત્સક પાસે સલાહ લેવી જરૂરી છે. ઘણા કલાકારો જેવા કે, મહાન સંગીતકાર બિથોવન, નારીવાદની પ્રણેતા વર્જિનિયા વુલ્ફ, મહાન પેઇન્ટર વાન ગોગ, વગેરે પણ આ રોગના શિકાર હતા.

    એ દિવસે, મળવાના સમય કરતાં શોભા થોડી મોડી આવી. “મોડું થઈ ગયું, માફ કરજો… પણ ગઈ રાતના નવેક વાગે, મારી દીકરી, અમને ન ગમે તેવા કપડા પહેરી, બહાર જવા નીકળી. એક તો ચાલુ સ્કૂલના દિવસો, અને તેના મિત્રો સામે મને અણગમો હોવાથી મેં તેને જવાની ના પાડી. મને ગાંઠતી નહોતી તેથી મારા પતિ વચ્ચે પડ્યા અને પરાણે તેના રૂમમાં ધકેલી… કકળાટ થઈ ગયો. અમારા ત્રણે માટે રાત અને સવાર બહુ ખરાબ હતી.” શોભા ચિડાઈને બોલી, “છોકરીનો ગુસ્સો તેનો બાપ મારા પર ઉતારે છે.”

    મેં તેને ઠંડુ પાણી આપી શાંત થવાનો સમય આપ્યો. પછી મેં કહ્યું કે, “અમે એક સેવાભાવી વકીલની સલાહ લીધી છે. તેની સાથે તમારી મુલાકાત ગોઠવી તમારો મુકદ્દમો તૈયાર કરી શકશો.”

    આ વાતથી શોભાના ચહેરા પર ચમક આવી. “મારી દીકરી છે અને મને વ્હાલી છે. હું એને નોધારી છોડીશ નહીં. ભલે ગમે તે થાય.” થોડા દિવસોમાં તૈયારી થઈ ગઈ અને કોર્ટનો દિવસ આવી ગયો. છૂટાછેડા પહેલા, સમજાવટ-સુલેહ mediation, કરાવવા માટેની કાર્યવાહી મહિનાઓ પહેલા થઈ ગઈ હતી તેથી હવે કોર્ટનો ફેંસલો છેલ્લો હતો. એ દિવસે, હું અને મદદગાર વકીલ, શોભાની રાહ જોતા ઉભાં હતાં.

    અમારા આશ્ચર્ય વચ્ચે, શોભા, તેનો પતિ અને વકીલ સાથે આવ્યાં. મેં શોભાને પ્રશ્ન કર્યો તો એ કહે, “એક ઘરમાંથી નીકળી… એક જ કોર્ટમાં જવાનું હતું, તેથી અમે સાથે આવ્યાં.” મને આ સરળ જવાબથી આનંદ થયો.

    જજની સામે પણ શોભા અને તેનો પતિ યોગ્ય રીતે વર્તતાં હતાં. શોભાને અમારા વકીલની મદદથી થોડો વધારે ફાયદો થયો અને છૂટાછેડા થઈ ગયા. પતિનો ચહેરો ઉદાસ હતો અને શોભાની આંખો ભીની હતી. પતિ ઘર છોડીને જતો રહેવાનો હતો. પરંતુ શોભાની આંખોમાં પતિની વાપસીનો ઇંતઝાર-એતબાર ઝળકતો હતો.

    શોભા બોલી, “હવે મારે છોકરીને કેમ સંભાળવી એ વાતથી ગભરામણ થાય છે. એમને, બોલાવીશ તો મદદમાં આવશે, પણ અત્યારે તો એક પગની આગળ બીજો પગ કેમ મૂકું…તેની મૂંઝવણ છે.”

    શોભાને પોતાની અવ્યવસ્થિત હાલત અને તેમાં વળી દીકરીની માનસિક બીમારી, ભવિષ્યની મુશ્કેલીઓની કલ્પનાથી જ ડર લાગતો હતો. તે દિવસે તો હું તેને સહારો આપી શકું પણ પછી શું! એટલું જરૂર કરી શક્યા કે, તેને Bipolar Support Group and Bipolar Treatment Optionsની માહિતી આપી અને તેને સાથે લઈ જઈને સંવેદનશીલ સભ્યોની ઓળખાણ કરાવી.

    વેરવિખેર

    ગૂંથેલા માળાના કુંજન ને ગુંજન,
    ઓસરતા ભીને અવસાદે.
    ખુલ્લા ખાલીપાના ખોખાંને આજ
    સૌ ધીરે ધીરે કરતાં નોખાં.

    વેગે વિખરાતી નાની શી દુનિયા
    ને કેટલાં દૂર જઈ પંહોચ્યાં!
    ઓળંગી અવધી તણાયે પ્રવાહમાં
    પાંદડીઓ અળગી વહેણમાં.

    સંધ્યાના ઓળાઓ પોકારે વાળવાં
    પણ, મારગ ભાસે છે મૃગજળ સમા.
    ગાણાં સમાઈ ગયાં સૂના સન્નાટામાં
    વિહ્વળ રે વ્હાલપ લિસોટા.


    સંપર્કઃ સરયૂ પરીખ  :  saryuparikh@yahoo.com | www.saryu.wordpress.com