-
સર્વેસર્વા
વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
સાવ ભોળો, ગોરોચીટ્ટો બબલુ ઘરમાં સૌને વહાલો. બબલુની મા શશિ તો એને જોઈને કેટલી ખુશ થતી ! એમ તો બબલુથી મોટી નીલુ પણ એને એટલી જ વહાલી હતી. જીવથીય વહાલા સંતાનો પ્રત્યે શશિ આવી બેદરકાર કેમ થઈ શકી?
આજે તો હદ જ થઈ ગઈ. એ નોકરી પર જવા નીકળતી હતી ને બબલુ એના પગે વળગી પડ્યો. પ્રેમથી છોડાવા પ્રયાસ કર્યો. અંતે ધીરજ ન રહેતાં એને ધમકાવી તો નાખ્યો, સાથે ગાલ પર એટલા જોરથી એક તમાચો ચોઢી દીધો કે બબલુના ગાલ પર સોળ ઊઠી આવ્યા.. બબલુના રડવાનો અવાજ સાંભળીને દાદાજી-દાદી બહાર આવી ગયાં. દાદીએ તો જે નજરે શશિ સામે જોયું એ સહેમી ગઈ. પણ મોડું થવાની ચિંતામાં ઘરની બહાર ચાલવા માંડી. નીકળતાં દાદાજીનો અવાજ સંભળાયો.
“પહોંચી નથી વળાતું તો નોકરી કરવાની જરૂર જ શી છે? ઘરમાં ખાવાનું ક્યાં ખૂટી ગયું છે?”
એ સ્કૂલે ગઈ પણ, આખો દિવસ કામમાં મન ન લાગ્યું. એક વાર મન થયું કે રજા લઈને ઘેર પાછી જાય પણ, નોકરીને હજુ માંડ દોઢ મહિનો થયો હતો. હિંમત ન ચાલી. સ્કૂલ પૂરી થઈ ને ઘેર જવા ઑટોરિક્ષા પકડી. ઘર પાસે આવતું ગયું એમ સવારની ઘટના યાદ આવવા માંડી. સાસુ-સસરાની નજરનો સામનો કેવી રીતે કરશે એ વિચારે બેચેન થઈ ગઈ. સવારે તો પતિદેવ ઘેર નહોતા પણ હવે તો પતિદેવને એટલે કે અજયનેય સમાચાર મળી જ ગયા હશે !
ઘેર પહોંચી તો રોજની જેમ બબલુ એને વળગવા દોડી ના આવ્યો. અંદર ગઈ તો નીલુ પણ એની સામે નજર કર્યા વગર અંદર ચાલી ગઈ.
રૂમમાં જઈને શશિ રડી પડી. કેટલાય વિચારોથી મન વિચલિત થઈ ગયું. સમય થતાં સાસુમાએ જમવા બોલાવી. સાસુમાની વહાલભરી કાળજીથી સંકોચ થઈ આવ્યો.
પરવારીને રૂમમાં આવી. રોજે રાત્રે બબલુ અને નીલુ આખા દિવસની વાતો કરતાં. શશિ એમને વાર્તા કહેતી. પણ, આજે તો એની રાહ જોયા વગર બબલુ ઊંઘી ગયો હતો. નીલુ હજુ ચૂપ જ હતી. શશિને એવું લાગ્યું કે, સવારની એક ઘટના માત્રથી બાળકોએ એને પરાઈ કરી દીધી.
******
પહેલી વાર ઈંદુને મળી એ દિવસ યાદ આવ્યો. કેવો ઝંઝાવાત લઈને આવ્યો એ દિવસ કે જેના લીધે એ મૂળસોતી ઉખડી ગઈ હતી ! જ્યારથી ઈંદુના ઘેર જઈને આવી ત્યારથી ઈંદુની વાતો, એના ઘરનો ઠાઠ જોઈને શશિને અચાનક પોતાની જાત વામણી લાગવા માંડી. કેવી સુખ-સાહ્યબી ! પોતાનું ઘર આવા ઠાઠમાઠથી શોભવું જોઈએ એ વિચારીને એણે સ્કૂલની નોકરી શરૂ કરી દીધી.
અજય અને ઈંદુનો પતિ મિત્રો હતા. રસ્તામાં અચાનક મળી ગયેલાં ઈંદુ અને મનોજે શશિ અને અજયને એમનાં ઘેર આવવા આમંત્રણ આપ્યું હતું.
ઈંદુનું ઘર જોઈને શશિ આભી બની ગઈ. એનો તો ડ્રોઇંગરૂમ હતો કે કોઈ મ્યુઝિયમ ! અતિ મોંઘી લાગતી ક્રોકરીમાં નાસ્તો આવ્યો. અજય અને મનોજ વર્ષો પહેલાંની વાતોમાં ખોવાઈ ગયા.
શશિ અને ઈંદુ વાતોએ વળગ્યાં. પણ એ વાતો નહોતી, એકતરફી સંવાદ હતો. ઈંદુ સતત એના વૈભવ વિશે કંઈક બોલ્યા કરતી હતી.
આજ સુધી શશિને વકીલાત કરતા અજયની કમાણીથી સંતોષ હતો. સુખશાંતિવાળો એનો પરિવાર હતો પણ મનોજ-ઈંદુના ઘેરની રોનક જોઈને એ ઓઝપાઈ ગઈ.
ઈંદુના રૂમમાં એલઈડી ટીવી, કંપ્યૂટર, ચમકતું ફર્નિચર, ઓહોહો શું નહોતું ઈંદુ પાસે ! એકદમ ફિલ્મી સ્ટાઇલ ડબલબેડ. એની પર મોંઘી રેશમની ચાદર. પોતે અજય સાથે એ બેડ પર હોય એવી કલ્પનામાં એ ખોવાઈ ગઈ.
ઈંદુની વાતોમાં મોટપનું પ્રદર્શન હતું. ગર્વથી કહેતી હતી કે, આ બધું એની મહેનતની આભારી હતું. ઘરની અને સંતાનની સંભાળ માટે મનમાં મદ હતો. દસ વર્ષનાં એક માત્ર સંતાનને એણે શિષ્ટાચાર શીખવવા હોસ્ટેલમાં મૂકી દીધો હતો.
“આ બધું મારા પ્રતાપે છે હોં. વિકીને હોસ્ટેલમાં ન મૂક્યો હોત તો શું હું નોકરી કરી શકી હોત ! ઘરમાં રાખું તો એને સાચવવા આયા, નોકર રાખો, પાછું એમની ચોકી કરો. હવે મને કોઈ ચિંતા નથી. વિકીને હોસ્ટેલમાં મૂકીને મલ્ટિનૅશનલ કંપનીમાં કંસલ્ટન્ટ તરીકે જોડાઈ. મહિને ૭૦ હજાર રૂપિયા કમાઉં છું. મોટી કંપનીમાં કામ કરીએ એટલે અપટુડેટ તો રહેવું જ પડે.”
હજુ ઈંદુ કંઈક બોલતી હતી. ઘરનો વૈભવ દર્શાવતા એના અવાજમાં અભિમાન છલકાતું હતું. શશિનું મન ભારે થઈ ગયું.
“અરે ચલો શશિ. ઘેર જવું છે એકે અહીંયા જ રહેવાનો ઈરાદો છે?” બહારથી અજયનો અવાજ સાંભળીને એ ચમકી.
આખી રાત સપનામાં ઈંદુનું ઘર દેખાયા કર્યું. સાડીઓનાં ઇંદ્રધનુષી રંગોથી શોભતું કબાટ દેખાયું. બાપરે, કેટલી સાડીઓ ! એકની એક સાડીનો વારો તો વર્ષમાં માંડ ત્રણ કે ચાર વાર આવતો હશે. એક કાર હતી, બીજી હવે આવવાની છે.
આજ સુધી શશિને પતિની બરોબરીના મિત્રોને મળવાનું થતું. આજે પહેલી વાર અજય કરતા વધુ શ્રીમંત મિત્રને મળી હતી. એણે ઈંદુના સમોવડિયા બનવા નોકરી કરવાનો નિર્ણય કર્યો.
આ નિર્ણય લેતાં પહેલાં અઢી વર્ષના બબલુ, વયસ્ક સાસુમાને કોણ સંભાળશે એની મૂંઝવણેય હતી. અજયથી માંડીને સૌની સલાહ હતી કે, સંજોગવશાત નોકરી કરવી પડે એ વાત જુદી પણ અંતે સૌએ નિર્ણય શશિ પર છોડ્યો.
શશિએ નિર્ણય લઈ લીધો હતો.
નોકરી શરૂ કરી દીધી. શરૂઆતમાં સ્કૂલમાં બબલુની યાદ આવતી. ઘેર પાછી આવતી તો ઘરની અવ્યવસ્થા ખટકતી. નીલુ હવે અસ્તવ્યસ્ત રહેતી. શશિને સૌની પર ગુસ્સો આવતો કે, બધાએ જાણી જોઈને એને હેરાન કરવા મોરચો માંડ્યો છે.
પહેલાં તો એ ઘરમાં અજયથી માંડીને બબલુ, નીલુ, સાસુસસરા સૌનું પ્રેમથી ધ્યાન રાખતી. નાનીમોટી બાબતની જરૂર ઊભી થાય એ પહેલાં સાચવી લેતી. દાદીનાં પૂરતાં ધ્યાન છતાં આ દોઢ મહિનામાં બબલુનું વજન ઘટી ગયું હતું. દાદા-દાદી ગમે એટલું વહાલ કરે પણ માતાની તોલે ઓછું પડતું.
આમ તો એની કમાણીનો અર્થ જ રહ્યો નહતો. ઘરખર્ચ વધી ગયો હતો. ધોબીથી માંડીને નોકરનું કામ વધતા પૈસા વધારે માંગતા હતા. પોતાનો ઑટોરિક્ષાનો ખર્ચો તો ખરો જ. સાસુમા આખો દિવસ કામ કરે ત્યારે માંડ પહોંચી વળતાં. થાકે એટલે એમનોય બબડાટ શરૂ થઈ જતો. એણે વિચાર્યું હતું એમ કોઈ નવું રાચરચીલું એ વસાવી શકી નહીં, વધારામાં ઘર, છોકરાંઓ રઝળી પડ્યાં હતાં. આખા ઘરની શાંતિ હણાઈ ગઈ હતી. તોબા આ નોકરીથી !
આજે એણે ફરી એક નિર્ણય લીધો.
સવારે ઊઠીને એક મહિનાની નોટિસ સાથે રાજીનામાનો પત્ર મોકલી આપ્યો. સાંજે શશિને ઘેર જોઈને અજયને નવાઈ લાગી.
“કેમ સ્કૂલે નથી ગઈ? તબીયત ઠીક નથી કે શું ? કેટલા દિવસની રજા રાખી છે?”
“કાયમ માટે.”
“સાચે શશિ હવે તું સ્કૂલે નથી જવાની? હાશ, ચાલો હવે મારે શર્ટ-પેન્ટને જાતે બટન ટાંકવા નહીં પડે. ધોબીને ધમકાવવાનું કામ પણ તું જ સંભાળી લઈશ, રાત પડે થાકી ગયાની બૂમ પણ નહીં મારે ને? હવે એ તો કહે, નોકરી છોડી કેમ દીધી ?” અજયના અવાજમાં રાહતનો સૂર હતો.
પતિદેવની વાત સાંભળીને શશિને રમૂજની સાથે દયા આવી.
“સાચે મારે નોકરી નહોતી છોડવી જોઈતી નહીં? જનાબને દરજીકામ તો આવડી જાત. અજબ માણસ છો. કમ સે કમ એક વાર તો કહેવું જોઈને ને કે શશિ તારા સ્કૂલે જવાથી કેટલી પરેશાની થાય છે.”
“ડીયર, હું તો શરૂઆતથી જ કહેવાનો હતો પણ મારી વાત તને ગમી ના હોત. વિચાર્યું કે થોડા દિવસ મનની ઇચ્છા પૂરી કરી લેવા દો. જ્યારે ઘરના હાલ સામે આવશે તો જાતે જ સમજી જશે. આટલી જલદી તું સમજી એ ગમ્યું. સાચું કહું શશિ, ખરેખર તો સારી ગૃહિણી બનવું વધુ કપરું છે. તું જ્યારે તારી જવાબદારી સરસ રીતે સાચવતી ત્યારે મને તારા પર ગર્વ થતો. એનો અર્થ એ ના સમજતી કે, તને ઘરના બંધનમાં જકડઈ રહેવા કહું છું. તું કંઈ નવું કરે, આગળ ભણે તો મારા તરફથી પૂરી છૂટ છે.”
“ઈંદુને જોઈને તમને એમ નથી લાગતું કે, એ કેટલી કુશળ સ્ત્રી છે? એનું ઘર એણે કેવી રીતે સજાવ્યું છે! એને જોઈને તમને મારામાં કમી નથી લાગતી?”
અજય ખડખડાટ હસી પડ્યો. “ તું એમ માને છે કે મનોજ ખુશ છે? એ શું કહેતો હતો સાંભળવું છે? એ કહેતો હતો કે, ઘરના ખાવાનાનો સ્વાદ ભુલાઈ ગયો છે. મનપસંદ ચીજો ખાધે કેટલો સમય થયો યાદ નથી. બસ, શ્રીમતીજી ઑફિસથી આવીને પરાઠાં શેકી લે છે. રવિવારે છુટ્ટીનો મૂડ હોય એટલે મોડાં ઊઠવાનું. હોટલમાં જમવાનું, પિક્ચર જોવાનું. તું સુખી છું ભાઈ. માબાપ પ્રત્યે કોઈ ફરજ હોય કે નહીં? અહીં તો માબાપને ઘેર પૈસા મોકલવામાંય સાંભળવું પડે છે.”
શશિ આભી બનીને જોઈ રહી.
“હજુ વધારે જાણવું છે? એ દિવસે બબલુ અને નીલુને જોઈને એટલો ખુશ થયો હતો. એને ઈંદુને કહેવાનું મન થયું હતું કે, બાળકો શિષ્ટાચાર પબ્લિક સ્કૂલમાં નહીં મા પાસેથી શીખે છે. હવે તું વિચાર કે આ સાંભળીને મને કેટલો આનંદ થયો હશે! એ તારી જીત હતી અને તારી જીત એ મારી જીત. મનોજ કહેતો હતો કે, ઈંદુની અડધી કમાણી સાડી, મેકઅપ, હોટલ, સેરસપાટામાં પૂરી થઈ જાય છે. દીકરાને હોસ્ટેલમાં રાખવાનો ખર્ચ અલગ. ઈંદુને એવો અહમ છે કે એનાથી ઘર ચાલે છે. પણ ચાલ શશિ, બહુ દૂર આવી ગયાં. પાછા વળીએ.
શશિના મનની બેચેની દૂર થઈ. એનાચહેરા પર પતિદેવ પ્રત્યે આદરભાવ છલકાયો.
મંગલા રામચંદ્રન લિખિત વાર્તા પર આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
ફિલ્મી ગઝલો – ૬૪. આઈ. સી. કપૂર
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
આઈ સી કપૂર અર્થાત ઈશ્વર ચંદ કપૂર પણ એક એવા ગીતકાર જેમનું નામ કાળની ગર્તામાં વિલીન થઈ ચુક્યું છે. મારા પ્રિય સંગીતકાર ચિત્રગુપ્તની ફિલ્મ ‘ ચાંદ મેરે આજા ‘ નું શીર્ષક ગીત ( રફી – લતા ) ‘ ચાંદ કો દેખો જી ‘ એમણે લખ્યું છે એ મને મોડી મોડી ખબર પડી. કેટલીક ફિલ્મોની કથા- પટકથા – સંવાદ પણ એમણે લખ્યા. એક સિંધી પ્રેમ કથાના અમર પાત્રો ઉપર આધારિત ફિલ્મ ‘ સસ્સી પુનું ‘ એમણે પોતે બનાવી. ૧૯૫૨ ની ફિલ્મ ‘ તરંગ ‘ નું નિર્દેશન પણ એમણે કર્યું. ઘર કી ઈજ્જત, દુસરી શાદી, ભોલી, ચહેરા, ચાંદ સિતારે, માનસરોવર, માં કા પ્યાર, અમર રાજ, ભાઈ બહેન, બેદર્દી, બચપન, મુસ્કુરાહટ, ફાઈટિંગ હીરો, એટમ બોમ્બ, યે હૈ દુનિયા, રોનક, નસીબ, રત્નાવલી, પીયા ઘર આજા, મધુબાલા, છોટી બહેન, અને સાવન જેવી ફિલ્મોમાં ૫૦ આસપાસ ગીતો લખ્યાં.
એમણે લખેલી બે ખુબસુરત ગઝલ :
આંખો મેં આંસુઓ કો પીયે જા રહી હું મૈં
ઔર દિલ કો તાર તાર કિયે જા રહી હું મૈંબન બન કે આશિયાં મેરા ઉજડા બહાર મેં
ઇસ પર ભી ઐતબાર કીયે જા રહી હું મૈંયે કશ્મકશ હે જિંદગી કી ઉનસે ક્યા ગિલા
અબ મૌત સે ભી પ્યાર કિયે રહી હું મૈં ..( નૌશાદ સાહેબે પોતાની ફિલ્મ ‘ દુલારી ‘ માં લતાએ ગાયેલ ગીત ‘ ઐ દિલ તુજે કસમ હૈ તુ હિંમત ન હારના ‘ ની પ્રેરણા આ ગઝલની ધૂનમાંથી લીધી હોવી જોઈએ ! )
– ફિલ્મ : ચેહરા ૧૯૪૬
– શમશાદ બેગમ
– એમ એ મુખ્તારકભી ખુશીયો કે નગમે હૈ કભી ગમ કા તરાના હૈ
યહી દસ્તુરે દુનિયા હૈ યહી દર્દે ઝમાના હૈસમજ કુછ ભી નહીં આતા બસ ઇતના હમ સમજતે હૈં
બહાના ભી હકીકત હૈ હકીકત ભી બહાના હૈસુનો ઇસ ઝિંદગી કી દાસ્તાં તુમકો સુનાતે હૈં
હૈ દિલ મેં દર્દ કા તુફાં લબોં કો મુસ્કુરાના હૈમૈં મેહમાં હી સહી લેકિન મુજે ઉલ્ફત હૈ
ઇસ ઘર સે મુજે હર એક કીમત પર તેરે ઘર કો બસાના હૈ..– ફિલ્મ : તરંગ ૧૯૫૨
– રાજકુમારી દુબે
– ચિત્રગુપ્ત
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
કહાની કિસ્મત કી (૧૯૭૩)
ટાઈટલ સોન્ગ
(આ શ્રેણીમાં હિન્દી ફિલ્મોમાં આવતાં ટાઈટલ્સ દરમિયાન વાગતાં ગીતો વિશે વાત કરવાનો ઉપક્રમ છે.)
બીરેન કોઠારી
ફિલ્મક્ષેત્રે શુકન-અપશુકન અને અંધશ્રદ્ધા જેટલા પ્રમાણમાં જોવા મળે છે એ જોતાં એની નવાઈ ન લાગવી જોઈએ, કેમ કે, ફિલ્મ સફળ થવાનું નથી કોઈ ગણિત કે નથી કશી ફોર્મ્યુલા. અંકશાસ્ત્ર અને અક્ષરશાસ્ત્રથી લઈને અનેકવિધ ‘શાસ્ત્રો’માં શ્રદ્ધા રાખતા આ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો બીજું તો ઠીક, પણ આ ‘શાસ્ત્ર’ પર નભતા લોકોને રોજગાર અવશ્ય પૂરો પાડે છે. ક્યાંક પોતાના નામમાં એકાદો અક્ષર ઉમેરાવવો કે ઓછો કરવો, ફિલ્મનું નામ અમુક જ અક્ષરથી રાખવું વગેરે બહુ જાણીતી અને પ્રચલિત માન્યતાઓ છે.
અગાઉ અનેક ફિલ્મો કર્યા પછી એક તબક્કે નિર્માતા-દિગ્દર્શક શક્તિ સામંતે પોતાની ફિલ્મોનાં નામ ‘અ’થી રાખવાનું શરૂ કરેલું. જેમ કે, આરાધના, અમર પ્રેમ, અનુરાગ, અજનબી, અમાનુષ, અનુરોધ, આનંદ આશ્રમ વગેરે…અલબત્ત, આ સિવાયના અક્ષરથી શરૂ થતી ફિલ્મો પણ તેમણે બનાવી જ છે. નિર્માતા- દિગ્દર્શક જે. ઓમપ્રકાશ પોતાની ફિલ્મોનાં નામ ‘આ’થી રાખતા. જેમ કે, આસ કા પંછી, આઈ મિલન કી બેલા, આયા સાવન ઝૂમ કે, આયે દિન બહાર કે, આયે દિન બહાર કે, આંખો આંખોં મેં, આપ કી કસમ, આક્રમણ, આશિક હૂં બહારોં કા , આશા, આસપાસ, આખિર ક્યોં?, આદમી ખિલૌના હૈ વગેરે..તેમણે પણ અપવાદરૂપ અન્ય અક્ષરથી કેટલીક ફિલ્મ બનાવી છે.
રાકેશ રોશન નિર્માતા- દિગ્દર્શક બન્યા એટલે એમનો પ્રિય અક્ષર બન્યો ‘ક’. જેમ કે, ખૂન ભરી માંગ, કરણ અર્જુન, કિશન કન્હૈયા, ખુદગર્ઝ, કિંગ અંકલ, કોઈ મિલ ગયા, કોયલા, કહો ના પ્યાર હૈ, ક્રિશ વગેરે…
અન્ય એક નિર્માતા-દિગ્દર્શક-અભિનેતા અર્જુન હીંગોરાણીનો પણ પ્રિય અક્ષર ‘ક’ હતો, પણ તેઓ પોતાની ફિલ્મના નામમાં એક નહીં, ત્રણ ‘ક’ રાખતા. જેમ કે, કબ, ક્યું ઔર કહાં, કહાની કિસ્મત કી, ખેલ ખિલાડી કા, કાતિલોં કે કાતિલ, કરિશ્મા કુદરત કા, કૌન કરે કુરબાની, કૈસે કહું કિ…પ્યાર હૈ વગેરે. તેમની મોટા ભાગની ફિલ્મોમાં કલ્યાણજી-આણંદજીનું સંગીત રહેતું. ‘કૈસે કહું કિ…’માં કલ્યાણજીના પુત્ર વીજુ શાહ સંગીતકાર હતા. તેમની ફિલ્મો મોટા ભાગે થ્રીલર પ્રકારની રહેતી, જેમાં મુખ્ય ભૂમિકા ધર્મેન્દ્રની રહેતી. ધર્મેન્દ્ર સાથે મારામારીમાં ઝીંક ઝીલી શકે એવા ફાઈટ માસ્ટર શેટ્ટી પણ દેખાતા.
૧૯૭૩માં રજૂઆત પામેલી, કપલેશ્વર ફિલ્મ્સ નિર્મિત, અર્જુન હીંગોરાણી દિગ્દર્શીત ‘કહાની કિસ્મત કી’માં પણ ધર્મેન્દ્રની મુખ્ય ભૂમિકા હતી. એ ઉપરાંત રેખા, અજિત, રાજેન્દ્ર નાથ, ભારતભૂષણ સહિત અનેક કલાકારો હતા. આ ફિલ્મનું કિશોરકુમારે ગાયેલું ગીત ‘અરે રફ્તા રફ્તા દેખો આંખ મેરી લડી હૈ’ અતિશય લોકપ્રિય થયેલું. એમાં પણ ગીતની વચ્ચે રેખા દ્વારા બોલાતું ‘મૈંને ઐસા તો નહીં કહા થા’ તો હજી એ પેઢીના લોકો જુદા જુદા સંદર્ભે બોલતા રહ્યા છે.

આ ફિલ્મનાં કુલ પાંચ ગીતો હતાં, જે રાજેન્દ્ર કૃષ્ણે લખેલાં. ‘કબ તક ન દોગી દિલ’ (આશા ભોંસલે અને સાથીઓ), ‘દુનિયા મુઝસે કહતી હૈ તૂ પીના છોડ દે’ (કિશોરકુમાર), ‘તૂ યાર હૈ મેરા, દિલદાર હૈ મેરા’ (આશા ભોંસલે), ‘અરે રફ્તા રફ્તા દેખો આંખ મેરી લડી હૈ’ (કિશોરકુમાર અને રેખા) તેમજ ‘ઈન્સાન હંસે યા રોયે’ (મુકેશ અને સાથીઓ).
આ પાંચ ગીતો પૈકી મુકેશ અને સાથીઓના સ્વરે ગવાયેલું ગીત ‘ઈન્સાન હંસે યા રોયે, જો હોના હૈ સો હોએ, કહાની કિસ્મત કી’ ફિલ્મના ટાઈટલ સોન્ગ તરીકે લેવાયું હતું. આ ગીતના શબ્દો ફિલ્મના કથાનકના મૂળભૂત વિચાર અનુસાર છે, પણ સ્વતંત્ર ગીત તરીકેય એ પ્રસ્તુત છે. ફિલ્મના ટાઈટલમાં તે એક ફકીર દ્વારા ગવાતું બતાવાયું છે, અને અન્યત્ર તે પાર્શ્વગાન તરીકે સંભળાય છે.
ગીતના કુલ છ અંતરા છે, જે પૈકીના ત્રણ ટાઈટલ દરમિયાન છે, અને બાકીના ત્રણ અલગ અલગ સમયે ફિલ્મમાં પરિસ્થિતિ અનુસાર સાંભળી શકાય છે.
इंसान हँसे या रोये
जो होना है सो होए
इंसान हँसे या रोये
जो होना है सो होए
क्या होना है,
कब होना है लिखनेवाला जाने
कहानी…
कहानी किस्मत की
कहानी किस्मत कीमन ही मन नादान ज़माना
समझे कि तदबीर बड़ी है
यह ना सोचे कदम कदम पर
रस्ते में तकदीर खड़ी है
हार है किसकी
जित है किसकी लिखनेवाला जाने
कहानी…
कहानी किस्मत की
कहानी किस्मत कीजीवन के जितने दिन होंगे
उसमें इक दिन कम न होगा
उसमें इक दिन कम न होगा
जिसने राझ यह जान लिया है
फिर उसको कोई गम न होगा
फिर उसको कोई गम न होगा
कब तक लगा रहे ये मेला लिखनेवाला जाने
कहानी…
कहानी किस्मत की
कहानी किस्मत कीઅહીં ટાઈટલ પૂરાં થાય છે, અને ગીત પણ. એ પછી આ અંતરો ફિલ્મમાં વચ્ચે આવે છે.
कभी अर्श है कभी फर्श है
दुनिया की ये रीत पुरानी
कहीं पे सरगम, कहीं पे मातम
हर इक शय है आनीजानी
क्यूँ सुखदुःख के मौसम बदले लिखनेवाला जाने
कहानी….
कहानी किस्मत की
कहानी किस्मत कीગીતનો પાંચમો અંતરો આ મુજબ છે.
जीवन के जितने दिन होंगे
उसमें इक दिन कम न होगा
उसमें इक दिन कम न होगा
जिसने राझ यह जान लिया है
फिर उसको कोई गम न होगा
फिर उसको कोई गम न होगा
कब तक लगा रहे ये मेला लिखनेवाला जाने
कहानी…
कहानी किस्मत की
कहानी किस्मत कीગીતનો છઠ્ઠો અને છેલ્લો અંતરો ઝડપી લયમાં છે, જેના શબ્દો આ મુજબ છે.
होते होते भी अनहोनी
बात कोई ऐसी हो जाये
मंजिल पर राही जब पहुंचे
देखे तो मंजिल खो जाये
अभी हकीकत, अभी है सपना
लिखनेवाला जाने
कहानी…
कहानी किस्मत की
कहानी किस्मत कीફિલ્મમાં અલગ અલગ રીતે આવતા આ ગીતના તમામ અંતરા આ લીન્ક પર એક સાથે સાંભળી શકાશે.
(તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
મોહમ્મદ રફી – ૧૯૫૦ સુધી પદાર્પણ કરેલાં સંગીતકારોએ રચેલાં, પણ ઢંકાઈ ગયેલાં, રોમેન્ટીક મુડનાં કેટલાંક સૉલો ગીતો
મોહમ્મદ રફી – જન્મ શતાબ્દી વર્ષ યાદોની સફર તેમનાં ગીતોને સહારે
સંકલન: અશોક વૈષ્ણવ
મોહમ્મદ રફીની સમગ્ર ગાયકીની સફરના રગપટમાં અલગ અલગ મુડ, ગીતના પ્રકારો જેવા અનેક રંગોનું અનોખું મિશ્રણ સમાયેલું છે. એક જ પ્રકારનાં ગીતોના એક જ રંગના કહેવાતાં ગીતો પણ અનેક ભાવમાં ઉભરતાં રહેતાં હોય છે. વળી, કોઈ પણ ઇતિહાસકાર, કોઈ પણ વિવેચક, કોઈ પણ ચાહક કે કોઈ પણ શ્રોતા આ ગીતોને પોતપોતાના દૃષ્ટિકોણથી, કે સંદર્ભમાં, મુલવતાં હોય. પરિણામે, મોહમ્મદ રફીનાં ગીતો હંમેશાં કલઈડસ્કોપ હેઠળ દેખાતા ભાતીગળ રંગોવાળી ડિઝાઈન જેવાં બહુરસાળ જ રહ્યાં છે. કદાચ એમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નહીં લાગે કે જ્યારે માનવ (કે પછી ભવિષ્યમાં AIની પણ 😊) કલ્પના અને રસદૃષ્ટિની ક્ષિતિજને પહોંચી શકાશે, ત્યારે કદાચ મોહમ્મદ રફીનાં ગીતોનો રસાસ્વાદ ઉતરી ગયેલો લાગશે. તેમાં પણ મોહમ્મદ રફીની જન્મ શતાબ્દીની આ મોસમમાં તેમનાં ગીતો વધુ સૂક્ષ્મ નજરે જોવાય છે, અને એટલે ગીતોનો રસાસ્વાદ વધુ ને વધું ઘુંટાય છે, અને તેથી અનેક ગણો રસપ્રદ પણ બનતો રહે છે.પ્રસ્તુત લેખમાં આપણો ઉપક્રમ મોહમ્મદ રફીનાં ‘સદાબહાર’ અને બહુ સારાં’ ગીતોમાંથી આવાં ઢંકાઈ ગયેલાં સૉલો ગીતો રૂપી રત્નોને ફરી બહાર લાવવાનો છે. ગીતોની અંતિમ પસંદગીમાં આ રોમેન્ટીક સૉલો ગીતોમાં પણ વધારેમાં વધારે વૈવિધ્ય શક્ય બને એ માટે એક સંગીતકારનું એક જ ગીત લેવું એવો નિયમ પાળવાનું નક્કી કર્યું છે. જોકે, જ્યારે ખજાનાની શોધખોળ ચાલુ કરી ત્યારે તો આવાં એકથી વધારે ગીતો તો મળે જ. એટલે અંતિમ પસંદગી માટેની મારાં ‘મારાં’ કારણો પણ રજૂ કર્યાં છે.
મોહમ્મદ રફી માટે ૫૦નો દાયકો તેની કારકિર્દીનો શ્રેષ્ઠ સમય ગણાય છે. આ સમયમાં તેમણે તલત મહ્મુદ, મુકેશ કે મન્ના ડે તેવા પોતાના જ સમકક્ષ સમકાલીનો સામે પોતાનું અગ્રીમ સ્થાન સ્થાપિત કર્યું. ‘૬૦ના દાયકામાં ગીતોની સંખ્યા વધતી જવાનાં અને લોકચાહના તરફ વધારે ઢળતાં ગીતો રચાવાના ફિલ્મ સંગીતના બદલતાં જતાં કલેવરમાં મોહમ્મદ રફીનાં સામાન્ય શ્રોતા તરફથી મળતી લોકપ્રિયતા અને સંગીતના ગુણીલોકોની સ્વીકૃતિના માપદંડે પણ રફી ટોચ પર રહ્યા. એવામાં ૧૯૬૯માં ‘આરાધના’ આવી અને કિશોર કુમારના ભાવ રાતોરાત આકાશ આંબવા લાગ્યા. મોહમ્મદ રફીની આગવી ગુણવત્તામાં ક્યાંય ઝાંખપ ન આવી હોવા છતાં હવે તેઓ ‘બીજાં સ્થાન ‘ પર ગણાવા લાગ્યા. આ પરિપ્રેક્ષ્યમાં આજના લેખ માટેનાં ગીતોનો સમય કાળ ૧૯૫૦થી ૧૯૬૯ સુધી મર્યાદિત કરેલ છે.
hઆજના લેખમાં ગીતોની ગોઠવણી મોહમ્મદ રફીએ એ સંગીતકાર માટે પહેલવહેલું ગીત જે વર્ષમાં ગાયું (દરેક ગીતમાં સંગીતકારનાં નામ પઃછી એ વર્ષ મુક્યું છે) તે વર્ષના ચડતા ક્રમ મુજબ કરેલ છે.
ઈશ્ક઼ દિવાના હુસ્ન ભી ઘાયલ દોનોં તરફ એક દર્દ-એ-જીગર હૈ – સંઘર્ષ (૧૯૬૮) – ગીતકારઃ શકીલ બદાયુની – સંગીતઃ નૌશાદ (૧૯૪૬)
દીદાર (૧૯૫૧) મોહમ્મદ રફીની કારકિર્દીનું એક મહત્ત્વનું સોપાન કહી શકાય. દિલીપ કુમારના પાર્શ્વસ્વર તરીકે તેમનું સ્થાન સુનિશ્ચિત થવાની સાથે એ સમયના ખુબ જ શક્તિશાળી અને પ્રતિભાવાન ગાયકોની સ્પર્ધામાં હવે પછીનાં વર્ષોમાં તેમનાં આદિપત્યનાં પણ અંડાણ થયાં.
તેમની કારકિર્દી દરમ્યાન નૌશાદે દિલીપ કુમાર સિવાય અન્ય અભિનેતાઓની ફિલ્મો માટે પણ સંગીત આપ્યું છે. ભારત ભુcષણની ફિલ્મો બૈજુ બાવરા (૧૯૫૩) અને શબાબ (૧૯૫૪) ખુબ સફળ થઈ તો સોહિની મહિવાલ (૧૯૫૮) પણ સારી એવી સ્વીકૃતિ પામી. રાજેન્દ્ર કુમારની મેરે મહેબુબ (૧૯૬૩) જેટલી સફળ રહી એટલી પાલકી (૧૯૬૭) અસફળ રહી. સાથી (૧૯૬૮)માં તો તેમણે મુકેશનો જ સ્વર ઉપયોગમાં લીધો. જોય મુખર્જી સાથેની સાઝ ઔર આવાઝ (૧૯૬૬)નાં ગીતો પણ મહદ અંશે સ્વીકાર્ય રહ્યાં.
દિલીપ કુમાર સાથેની દરેક ફિલ્મોનાં ગીતો અમુક ખાસ ઢાંચામાં જ રચાયાં હોવા છતાં છેક સુધી ગણ્યાં ગાઠ્યાં ગીતો સિવાય મોટા ભાગનાં ગીતો ‘સરેરાશથી વધારે’થી લઈને ‘નોંધપાત્ર’ સફળતાને વરતાં રહ્યાં. મારી શોધની સોઈ સંઘર્ષ (૧૯૬૮) નાં ગીતો પર અવશપણે અટકી ગઈ.
ફિલ્મની વાર્તા અને દરેક કલાકારની પોતપોતાનાં પાત્રોની ખુબ જ દમદાર રજુઆતને પરિણામે ફિલ્મમાં ગીતો થોડે ઘણે અંશે ઢંકાઈ જતાં હોય એવું લાગે. ફિલ્મનાં મોહમ્મદ રફીનાં બે રોમેન્ટીક ગીતોમાંથી જબ દિલસે દિલ ટકરાતા હૈ મત પુછીએ ક્યા હો જાતા હૈ‘ પણ અહીં છેલ્લી પસંદગી પામેલ ગીતને ઢાંકી દેતું હોય એવું મને લાગ્યું.
દિલમેં એક જાન-એ-તમન્નાને જગહ પાયી હૈ, આજ ગુલશનમેં નહીં ઘરમેં બહાર આઈ હૈ – બેનઝીર (૧૯૬૪) – ગીતકારઃ શકીલ બદાયુની – સંગીતઃ એસ ડી બર્મન (૧૯૪૭)
મોહમ્મદ રફી માટે પહેલવહેલું ગીત એસ ડી બર્મને દો ભાઈ (૧૯૪૭) માટે રેકોર્ડ કર્યું. તે પછી છેક પ્યાસા (૧૯૫૭) સુધી રફી તેમને માટે પહેલી પસંદ નહોતા. જોકે તે પછી ગાઈડ (૧૯૬૫) સુધીમાં તો એસ ડી બર્મને મોહમદ રફીનાં એક પછી એક એવાં સદાબહાર ગીતો આપ્યાં કે એક સાંભળીએ ત્યારે બીજાં બધાં ગીતો ઝાંખાં પડતાં લાગે. એસ ડી બર્મને જો કોઈ અભિનેતા માટે સૌથી વધારે રચ્યાં હોય તો તે બેશક દેવ આનંદ છે. એટલે મારી નજર પહેલાં તો ત્યાં જ દોડી. બાત એક રાતકી (૧૯૬૨)નું હેમંત કુમારનાં ગીત – ન તુમ હમે જાનો -ની પાછળ ઢંકાઇ જતું – અકેલા હું મૈં ઈસ દુનિયામેં (ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી) મારી પસંદગીમાં ઉતર્યું પણ ખરૂં.
જોકે એ પાટે ચડી ગયેલી મારી શોધને અતિક્રમીને અહીં મુકેલું ગીત મને પોતાની હાજરી પુરાવ્યા કરતું હતું એમ લાગતું હતું. બેનઝીર (૧૯૬૪) આમ તો સ્વાભાવિક રીતે મીના કુમારીનાં પાત્રને કેંદ્રમાં રાખીને રચાયેલ ફિલ્મ છે. એટલે ફિલ્મમાં સ્ત્રી સ્વરનાં ગીતો જ પહેલું સ્થાન ધરાવે એ પણ સ્વાભાવિક છે. તેમાં વળી, એ પાત્રના પ્રેમી તરીકે અશોક કુમારનાં પાત્રની ભૂમિકા પણ કથાનકને સહાયક જ હતી. એટલે શશી કપુર અને તનુજાને ભાગે તો જાણે હાજરી પુરાવાનું આવ્યું હોય એમ લાગે. દિગ્દર્શક્ને ક્યાંકથી શશી કપુરનાં પાત્ર માટે પણ ગીત મુકવું જોઈએ એવું સુઝ્યું હશે. પરિણામે જે ગીત એસ ડી બર્મને તૈયાર કર્યું એ બધી જ રીતે એટલું અનોખું બન્યું કે એ ગીતને ઢાંકી દેતાં એકોએક પરિબળોની સામે પણ તે અદકેરૂં બની રહ્યું.
તેરી પસંદ ક્યા હૈ યે મુઝકો નહીં ખબર, મેરી પસંદ યે હૈ કે મુઝકો હૈ તુ પસંદ – એક દિનકા બાદશાહ (૧૯૬૪) – ગીતકારઃ જુગલ કિશોર – સંગીતઃ હંસરાજ બહલ (૧૯૪૮)
હિંદી ફિલ્મોમાં જે બી અને સી કક્ષાની ફિલ્મો ગણાય છે તે સામાન્યતઃ બહું ટુંકા બજેટમાં, ફિલ્મોના વિશાળ દર્શક વર્ગમાંના અમુક ચોક્કસ વર્ગ માટે જ, બને. તેમ છતાં આ ફિલ્મોમાં ન સમજાય તેવી ખુબીની એક બાબત બનતી રહી અવશ્ય જોવા મળશે. બહુ જ પ્રતિભાવાન, પણ ક્યાંતો સફળતા જેમની સાથે કાયમ સંતાકુકડી જ રમતી હોય, કે હવે જેના નબળા દહાડા ચાલતા હોય એવાં સંગીતકારો જ સંગીત વિભાગ સંહાળતા હોય એવું લગભગ, સામાન્યપણે જોવા મળે. પરિણામે ફિલ્મનું એકાદ ગીત તો જરૂર એ ફિલ્મનાં સિનેમા હૉલમાં પ્રદર્શનનાં સ્થળ અને સમયની મર્યાદાની બહાર રહીને વ્યાપક શ્રોતા વર્ગને પણ ખુબ જ ગમે એવું હોય. આવાં ગીતો જ એક અલગ લેખનો વિષય બની રહી શકે એવો ચીંથરે વીંટ્યો ખજાનો છે..
બી અને સી વર્ગની ફિલ્મોનાં વાદળ પાછળ છુપાયેલું મોહમ્મદ રફીનું પ્રસ્તુત સૉલો ગીત એવાં ગીતો પૈકીનું એક ગીત છે.
આ લેખ માટે એક જ સંગીતકારનું કોઈ એક જ ગીત લેવું એવો નિયમ મેં રાખ્યો છે. પરંતુ, હસરત જયપુરી અને શૈલેન્દ્ર સાથે શંકર જયકિશને જે સહકાર્ય કર્યું છે તેને અવગણવાનું મને યોગ્ય ન લાગ્યું એટલે શંકર જયકિશન રચિત એક ગીત હસરત જયપુરીનું અને એક શૈલેન્દ્રનું એમ અલગ અલગ ગીત લેવાનો અપવાદ કર્યો છે.
ચાર દિનોંકી છુટ્ટી હૈ ઔર ઉનસે જા કે મિલના હૈ, જિસ માંગને હમકો માંગ લિયા ઉસ માંગમેં તારે ભરના હૈ – આસ કા પછી (૧૯૬૧) – ગીતકારઃ હસરત જયપુરી- સંગીતઃ શંકર જયકિશન (૧૯૪૯)
આમ તો રફીને ફાળે આવેલું ફિલ્મનું એક માત્ર ગીત ફૂલ સા ચેહરા ચાંદ સી રંગત ચાલ ક઼યામત ક્યા કહીએ (રાત ઔર દિન, ૧૯૬૭, ગીતકારઃ હસરત જયપુરી – સંગીતકારઃ શંકર જયકિશન) સીધે સીધી પસંદ હતી.
પરંતુ પ્રસ્તુત ગીત ખાસ યાદ કરો તો જ યાદ એવું છે, અને વળી એક નહીં અનેક પરિબળો પાછળ છુપાયેલું છે એટલે તેને અહીં સ્થાન આપવાનું નક્કી કર્યું.
રાજેન્દ્ર કુમારની શરૂની કારકિર્દી પર છવાયેલું ગ્રહણ હટવાનું નામ જ નહોતું લેતું એવામાં ૧૯૬૧ની ઘરાના અને સસુરાલ જેવી બે ફિલ્મોએ જાણે જાદુ કર્યો હોય એમ રાજેન્દ્ર કુમાર રાતોરાત ‘સિલ્વર જ્યુબિલી સ્ટાર’ની કક્ષામાં પહોંચી ગયા. બન્ને ફિલ્મો એકાદ માસનાં અતરે જ પ્રદર્શિત થયેલી.
બન્ને ફિલ્મો દક્ષિણનાં માતબર નિર્માણ ગૃહોએ બનાવી હતી. એટલું જ નહીં, બન્ને ફિલ્મો રાજેન્દ્ર કુમારનાં પાત્રો, અભિનય શૈલી, ફિલ્મમાં ગીતોની ગોઠવણી જેવી અનેક બાબતોમાં રાજેન્દ્ર કુમારની હવે પછીની સફળ ફિલ્મોનાં બીબાંની જાહેરાતની છડી પોકારતી હોય તેવી હતી.
આસ કા પંછી આ બન્ને ફિલ્મોની રીલીઝના એકાદ મહિનામાં જ રીલીઝ થઈ હતી, પણ તે આ ફિલ્મોનાં ઢાંચામાં નહોતી. રાજેન્દ્ર કુમાર માટે શંકર જયકિશને ત્રણ ત્રણ પાર્શ્વગાયકો પ્રયોજ્યા હતા. તેમાં પ્રસ્તુત ગીત તો વળી શંકર જયકિશનની શૈલી માટે પણ બિનપરંપ્રાગત બાંધણીનું હતું.
આમ પ્રસ્તુત ગીત રાજેન્દ્ર કુમારની સફળતાના ઢાંચાના અને તેને અનુરૂપ શંકર જયકિશનનાં ગીતોની બાંધણીના ઓછાયામાં ઢંકાઈ ગયું.
કહાં જા રહે થે કહાં આ ગયે હમ, કિસીકી નિગાહોંસે ટકરા ગયે હમ – લવ મેરેજ (૧૯૫૯) – ગીતકારઃ શૈલેન્દ્ર – સંગીતઃ શંકર જયકિશન (૧૯૪૯)
આ ગીતની અનોખી ખુબી એ છે કે એ જેટલું શૈલેન્દ્ર અને શંકર જયકિશનની ઓળખ સમી શૈલીનું ગીત છે એટલું જ દેવ આનંદની અભિનય શૈલી માટે જ અદ્દલોઅદ્દલ બનેલું ગીત છે. અને એ જ કારણ્સર અનોખી ભાત પણ પાડે છે.
પરંતુ આ જ ફિલ્મનાં બે યુગલ ગીતો – ધીરે ધીરે ચલ ચાંદ ગગનમેં (રફી, લતા – ગીતકારઃ હસરત જયપુરી) અને કહે ઝુમ ઝુમ રાત યે સુહાની (રફી, લતા – ગીતકારઃ શૈલેન્દ્ર) ની પહાડ જેવડાં ઉછળતાં મોજાંઓ જેવી સફળતાની પાછળ આ ગીતનાં અનોખાપણાંની સાદગીની લહેર છુપાઈ ગઈ.
મસ્તીમેં છેડ કે તરાના કોઈ દિલકા આજ લુટાયેગા ખજાના કોઈ દિલકા – હક઼ીક઼ત (૧૯૬૪) – ગીતકારઃ કૈફી આઝમી – સંગીતઃ મદન મોહન (૧૯૫૦)
મદન મોહનની કારકિર્દી દરમ્યાન રચાયેલાં ગીતોમાં તેમની લતા મંગેશકરની રચનાઓનો પ્રભાવ એટલો બધો રહ્યો છે કે તેમણે રચેલાં મોહમ્મદ રફીનાં બધાં જ ગીતો તેમાં છંકાઈ જતાં લાગે. જોકે, મદન મોહને રચેલાં મોહમ્મદ રફીનાં ગીતો પણ અનેક રંગોનો રંગપટ છે એ વાત ત્તો તેના પર અલગ અલગ લેખો થાય છે ત્યારે જ તેની યાદ તાજી થાય છે.
મદન મોહનનાં આવાં કેટલાંય યાદગાર ગીતોમાં જ સંતાઈ રહેલાં કહી શકાય એવાં ગીતોની મારી કાચી યાદી પણ બે એક લેખો માટેની સામગ્રી જેટળી બની રહી. મૈં નિગાહેં તેરે ચેહરે સે હટાઉં કૈસે (આપકી પરછાઈયાં, ૧૯૬૪ – ગીતકારઃ રાજા મહેંદી અલી ખાન), મેરી મહેબુબ કહીં ઔર મિલાકર મુઝકો (ગ઼ઝલ, ૧૯૬૪ – ગીતકરઃ સાહિર લિદિયાનવી) તુ મેરે સામને હૈ (સુહાગ, ૧૯૬૫ – ગીતકારઃ હસરત જયપુરી) કુછ ઐસી પ્યારી શક્લ મેરે દિલરૂબાકી હૈ (નયા કાનુન, ૧૯૬૫ – ગીતકારઃ હસરત જયપુરી), તેરે કુચેમેં તેરા દીવાના (હીર રાંઝા, ૧૯૭૦ – ગીતકારઃ કેફી આઝમી) જેવાં ગીતો સુધી પહોંચતાં જ મદન મોહન – રફીનાં છુપાયેલાં રત્નોમાંથી કોઈ એકની પસંદગી કેટલી મુશ્કેલ બની રહી શકે તે વિચાર મને મુંઝવવા લાગ્યો હતો.
પરંતુ, પ્રસ્તુત ગીતે એ બધી મુશ્કેલીઓને સહેજ વારમાં પીગળાવી નાખી.
હક઼ીક઼ત (૧૯૬૪ નાં જ અન્ય ગીતોએ આ ગીતને એટલી હદે ઢાંકી દીધું છે કે તેને સાંભળવા માટે તેને ખાસ યાદ કરવું પડે. અધુરામાં પુરૂં, ગીતનું ફિલ્માંકન વિજય આનંદ પર થયું છે, જે પોતે ગીતોને પરદા પર રજુ કરવાની કળાના જાદુગર મનાતા હતા, પ્ણ પોતે પરદા પર જે જે ગીતો ગાયાં તે જરા પણ જામ્યાં નહી.
અને હા, પ્રસ્તુત લેખ માટે અહીં પસંદ કરેલાં ગીતોમાં આ ગીત ટોચ પર આવે !
અભી ન ફેરો નજ઼ર જિંદગી સંવાર તો લેં દિલ કે શિશેમેં આપકો ઉતાર તો લેં – બીરાદરી (૧૯૬૮) – ગીતકારઃ પ્રેમ ધવન – સંગીતઃ ચિત્રગુપ્ત (૧૯૫૦)
એસ એન ત્રિપાઠીના સહાયક રહ્યા પછી સ્વતંત્ર સંગીતકાર તરીકેની ચિત્રગુપ્તની કારકિર્દી બી અને સી ગ્રેડની ફિલ્મોમાં જ પુરી થઈ જશે એમ લાગતું હતું. એવામાં ભાભી (૧૯૫૭) ની સફળતાએ ચિત્રગુપ્તના સંગીતની આડે પડેલું પાંદડું પણ ખસેડી નાખ્યું. એ પછી ચિત્રગુપ્ત સામાજિક ફિલ્મો માટે નિયમિત સંગીત આપતા થઈ ગયા અને સારી એવી સફળતા પણ અંકે કરી શક્યા. જોકે, દક્ષિણનાં નિર્માણ ગૃહો સિવાય તેમને અન્ય ‘મોટાં’ નિર્માણ ગૃહોના ‘રેગ્યુલર’, ‘સફળ’, સંગીતકારોની પંગતમાં જરા ઉતરતું સ્થાન મળ્યું ગણી શકાય. ચિત્રગુપ્તનાં લતા મંગેશકરનાં વધારે ગીતો લોકપ્રિયતા પામ્યાં, તો મોહમ્મદ રફીનાં પણ સારી એવી સંખ્યામાં ગીતો રફીનાં સદાબહાર ગીતોમાં સ્થાન પામ્યાં છે.
ચિત્રગુપ્ત – મોહમ્મદ રફીનાં સદાબહાર સૉલો ગીતોમાં એવાં પણ ઘણાં ગીતો છે જે સંગીત, કે ગીત,ની ગુણવત્તા સિવાયનાં કારણોસર ઢંકાયેલાં રહ્યાં.
હવે પછી ૧૯૫૦ પછી પદાર્પણ કરેલા સંગીતકારોએ રચેલાં, પણ ઢંકાઈ ગયેલાં, રોમેન્ટીક મુડનાં કેટલાંક સૉલો ગીતોની વાત કરીશું.
-
તમે AIનાં જોખમોની વાત વધુ કરો છો!
છેલ્લા કેટલાય સમયથી કૃત્રિમ બુદ્ધિ (આર્ટીફિસિયલ ઈન્ટેલિજન્સ-AI) ચોરે અને ચૌટે ચર્ચાની એરણે છે. ‘ભૂમિપુત્ર’માં આ વિષય પર બહુ જ માહિતીપ્રદ અને રસપ્રદ ચર્ચાશ્રેણીની રજુઆત ઓગસ્ટ ૨૦૨૩થી કરવામાં આવી છે.
અહીં તેને પ્રકાશિત કરીને આપણે આ નવી ટેક્નોલોજિના સામાન્યથી માંડીને માનવ જીવનની દિશા ફેરવી નાખી શકનારા ફાયદા અને જોખમોથી અવગત થઈએ.
સમય અને સ્થાનની મર્યાદાને કારણે અર્થવ્યવસ્થા અને રોજગાર, કૃષિ અને ખોરાક, પર્યાવરણ, કેળવણી, નિયમન, ન્યાય જેવા મહત્ત્વના વિષયોની છણાવટ સામેલ તેમાં સામેલ નથી કરી શકાઈ. વેબ ગુર્જરીના જે કોઈ વાચકો આ વિશે માહિતી મેળવી શકે તેને અહીં વહેંચવા આમંત્રણ છે.
સંપાદક મંડળ – વેબ ગુર્જરી
કપિલ શાહ
કૃત્રિમ બુદ્ધિ (આર્ટીફિસિયલ ઈન્ટેલિજન્સ-AI) ચર્ચાની એરણે છે. સોશિયલ મીડિઆ અને કોમ્પ્યુટિંગ ટેક્નોલોજી સાથે જોડાયેલ વ્યવસાયકારો સ્વાભાવિકપણે તેમાં ખૂબ મોટી તકો જુએ છે. વિજ્ઞાનીઓના અભિપ્રાયોમાં બે ભાગ પડેલા છે, પણ ઇતિહાસકારો, તત્ત્વજ્ઞાનીઓ, સમાજવિજ્ઞાનીઓ અને નૃવંશશાસ્ત્રીઓ ભારે મોટી ચિંતામાં છે. એમ કહેવાય છે કે ૨૦૩૫ સુધીમાં એકતાલીસ માનવબુદ્ધિ કરતાં પણ વધુ કાર્યક્ષમતાથી કામ કરતું થઈ જશે! આ બાબત જેટલી સંભાવનાઓથી ભરેલી છે, તેનાથી વધુ જોખમી લાગે છે.
કૃત્રિમ બુદ્ધિના પિતા ગણાતા ડૉ.હિન્ટને ગૂગલમાંથી રાજીનામું આપીને ચેતવણીનો સૂર છેડ્યો છે. ગયા માર્ચ માસમાં એક જાહેરપત્ર પ્રસારિત કરવામાં આવ્યો, જેમાં વિશ્વની સરકારોને અપીલ કરવામાં આવી કે કૃત્રિમ બુદ્ધિજન્ય ટેક્નોલોજીનું તાત્કાલિક નિયમન કરવામાં આવે અને આગામી છ માસ માટે આવી ટેક્નોલોજીને પ્રજા સમક્ષ રજૂ ન કરવામાં આવે.
આ પત્રમાં જાણીતા વિચારક યુવાલ નોઆ હરારી, ટેસ્લાના માલિક ઈલોન મસ્ક અને ડૉ.હિન્ટન જેવા લગભગ ૩૩૦૦૦ વિશ્વવિખ્યાત વિચારકો, ઇતિહાસવિદો, વિજ્ઞાનીઓ, વ્યાવસાયિકો, તત્ત્વજ્ઞાનીઓ અને ટેક્નોક્રેટ્સે મળી લોકોએ સહી કરી છે! જ્યારે ટેક્નોલોજીને વિકસાવનાર જ તેની પર એક પ્રકારની રોક લગાવવાની અપીલ કરે ત્યારે “કલબ ઓફ રોમ’નું ‘Limit to Growth’ યાદ આવે! એટમબોમ્બના શોધક ઓપન હાઈમર યાદ આવે. ગાંધીજીનો યંત્ર-વિવેક યાદ આવે!
વિનોબા કહેતા,
વિજ્ઞાનન+અધ્યાત્મ = સર્વોદય;
વિજ્ઞાન+હિંસા = સર્વનાશ!
કૃત્રિમ બુદ્ધિની સંભાવનાઓ માણસજાતનો સંહાર કરવાથી માંડોને તેને અમરત્વ આપવા સુધીની ગણાય છે. વિજ્ઞાનની આ બંને ઉપલબ્ધિઓ ભારે અનર્થકારી સાબિત થશે. કૃત્રિમ બુદ્ધિ સાથે નેનોટેક્નોલોજી અને બાયોટેકનોલોજી જેવી અત્યાધુનિક ટેક્નોલોજીનો સમન્વય કરીને સુપરહ્યુમન બનાવવાનાં સપનાં જોવાઈ રહ્યાં છે! માણસના મગજમાં કોમ્પ્યુટર ચીપ નાંખવાની મંજૂરી મળી ગઈ છે અને થોડા જ વખતમાં લાગણી અને વિવેક દર્શાવતો રોબોટ તૈયાર થશે! માણસ અને મશીન વચ્ચેનો ભેદ રહેશે કે નહીં તે સવાલ છે! આ ટેક્નોલોજીનાં સંબંધી જોખમો આરોગ્ય કે પર્યાવરણથી વિશેષ જીવનના હેતુ અને મૂલ્યો સંબંધી છે, સોશિયલ ઓર્ડર સંબંધી છે, લોકશાહીના અસ્તિત્વ સંબંધી છે અને એટલે માણસજાતના
ભવિષ્ય સંબંધી છે!બીજું, વિષયની ગહનતા, વિવિધતા અને સતત વિકાસના સંદર્ભે સંપૂર્ણતા અન-અપેક્ષિત હોય જ. વિવિધ લેખકો લખે ત્યારે પુનરાવર્તન ટાળવાની કસરત કરતી વખતે લેખની મઝા જતી ન રહે તેનું પણ ધ્યાન રાખવું પડે છે.
જાણીતા વિચારક યુવાલ નોઆ હરારીને કોઈએ પૂછ્યું કે ‘તમે AIનાં જોખમોની વાત વધુ કરો છો, શું તમને એના ફાયદા નથી જણાતા?’
તેમણે કાંક આ મતલબનું કહેલું, “ફાયદા જણાય છે તો ખરા, પણ તેની વાત કરનારા ઘણા છે એટલે સમતુલા જાળવવા હું જોખમોની વાત વધુ કરું છું.
આ અંકને પણ તે લાગુ પડે છે !
અસ્તુ.
સાભાર સૌજન્યઃ ભૂમિપુત્ર, ૯ ઓગસ્ટ ૨૦૨૩
-
સમય પાક્યો છે……..ખેડૂતોએ પાછુવાળી જોવાનો !
કૃષિ વિષયક અનુભવો
હીરજી ભીંગરાડિયા
માત્ર હું એક જ નહીં, પણ છાતી માથે હાથ રાખીને જવાબ આપવાનું કહેવામાં આવે તો જાત મહેનત કરી, ખેતી ને આરાધ્યદેવ માની ગુજરાન ચલાવવાની મહેનત લઇ રહેલા બધા જ ખેડૂતો ચોક્કસપણે એવો જવાબ આપવાના કે “ખેતી” હવે કરવા જેવો ધંધો રહ્યો નથી.આ ધંધામાં હવે બાર સાંધીએ ત્યાં તેર તૂટે છે. કુટુંબનું ભરણ-પોષણ પણ ઠીક રીતે થઇ શકતું નથી.
આનો અર્થ શું આપણે એવો કરશું કે સૌરાષ્ટ્રના ખેડૂતો મહેનત કરવામાં થાકી ગયા છે ? ના, એવું બિલકૂલ નથી. એના શરીરની સરખાઇ અને ખડતલતાને હિસાબે રાત-દિવસ કે ટાઢ-તડકો જોયા વિના કાળજાતૂટ મહેનત કરવામાં કદિ પણ પાછા પડતા નથી. તો પછી શું ખેતી અંગેનું એનું જ્ઞાન બૂઠું થઇ ગયું ? કે બીજા બધા ક્ષેત્રોની જેમ ખેતીનું વિજ્ઞાન શું એની ભેર નથી કરી રહ્યું ? એની ખેતી કેમ ખાડે જવા લાગી છે ?
ખેતી ખાડે જવાના કારણો કયા છે ? =
આમ ગણો તો એવું એ નથી કાંઇ ! સૌરાષ્ટ્રના તળમાંથી પાણી ભલે ઘટ્યા, બાકી સૌરાષ્ટ્રના ખેડૂતોના પાણી હજુ ઉતર્યા નથી. તેની આગવી સૂઝ અને ખેતીની રોજ-બ-રોજની સમસ્યાઓના ઉકેલ માટેની હૈયા ઉકલતે ખેતીના નવા વિજ્ઞાનની અમલવારીથી વચ્ચે એક સમય એવો ઉભો કરી દીધો હતો કે ભલભલા ઉદ્યોગકારો પણ ખેતીનો ધંધો કરવા લલચાયા હતા.[ જોકે ઉદ્યોગકારોતો આજે પણ આડેધડ મોંધી કિંમતો આપીને જમીનો ખરીદી રહ્યા છે પણ એમનો હેતુ ખેતી કરવાનો નહીં, પાંચ-પંદર દાડે એ મિલ્કતની કિંમત વધે એટલે ફુંકી મારી પૈસા રળી લેવા માત્રનો હોય છે] નવા બિયારણો, અદ્યતન ઓજારો, સંરક્ષણના ઉપાયો અને છોડ-ઝાડના ખોરાક માટે ખાતર-પાણી-તમામ પ્રશ્નોમાં દિલ દઇને એવી તો મહેનત લેવાણી કે ઉત્પાદનમાં ક્રાંતિ સર્જાણી ! બજારભાવો પણ તે સમયે પ્રમાણમાં ઠીક મળ્યા.એટલે ખેતી કરતા કુટુંબોમાં શરીર ઉપર ઉજળા કપડાં અને પ્રસંગોની ઉજવણીમાં રોંનક દેખાવા લાગી. ગાર-માટીના છાપરાંને ઠેકાણે બેંગલોરી નળિયાં અને સિમેંટ કોંક્રેટના સ્લેબ છવાયા.
ગામડામાં રહી ખેતી કરે એટલે એને શું મનોરંજનના સાધનો કે ધર વપરાશની અદ્યતન સગવડો અને અન્ય જરૂરિયાતની ચીજ વસ્તુઓની ઇચ્છા ન થાય ? કમાયા તેમાંથી ઘરઘંટી, કૂલર કે ફ્રીજ જેવા સાધનો ઘેર ઘેર જોવા મળવા લાગ્યા.ટ્રેકટર ખેડૂતનું ગાડું બન્યું.અને મોટરસાયકલ પ્રવાસ માટેનું વાહન નિમાયું. છોકરા ભણતા થયા અને સારે ઠેકાણે વરતા થયા. સોળે કળાએ ગામડાંમાં સુખ, સમૃધ્ધિ અને શાંતિના આગમનના એંધાણ દેખાવાની શરૂઆત થઇ ત્યાં કોણજાણે કેમ કોઇની ભારે નજર પડી ગઇ હોય તેમ એવી રીતના એ પૂરના પાણી ઓસરવા લાગ્યા કે ઘટી ઘટીને આજે સાવ ઢેફે જઇ ઊભા રહી ગયા છે.’ખેતી’એ તો જાણે ખેડૂત માથે લોઢાને પાયે બેઠેલી પનોતી હોય તેમ રાક્ષસ બની ખેડૂતોને ભરખી રહી છે.
આમ કેમ બન્યું હશે ?
આજે ગામડાંઓમાં ખેડૂતોના ઘર દીઠ બે જણા, બન્ને બુઢ્ઢા,દાદા અને દાદી ઘર અને મિલ્કત એ અવાવરુ નહીં થવા દેવાના ઇરાદે સંકોડાઇને પડ્યા છે.કારણ કે ખેતીમાં તો છેલ્લા કેટલાય વરસોથી માત્ર નાખ્યા કરવાનું રહ્યું છે.લેવાનું કશું જ આવતું નથી. ખર્ચનો પાર નથી અને ઉપજમાં કાંઇ વળતું નથી. ખેતીમાં મજૂરી કરતા મજૂરને પણ ભીગીદારીથી ખેડૂતની જમીન સંભાળી હોય તો તેનેય ભાગમાં કંઇસુઝે નહીં,એટલે તેને રાત લઇને ભાગી જવાનો વારો આવતો હોય ત્યાં ખેડૂત પોતેય ભાળે શું ?
ખાતર, બિયારણ, દવાઓ, ડીઝલ, ક્રુડ, મજૂરી બધામાં મોંઘવારી ફાટી નીકળી, અને ખેડૂતે પકવેલ માલના કોઇ ધણી નહીં ! એમાંએ વૈશ્વિક બજારો ખુલ્લા થયા પછી કપાસ, ડુંગળી, બટેટા કે મોસંબી, ઘઉં, ગમે તે માલ પકાવો,-નાખી દેવાના જ ભાવ મળે ! ખેડૂત કરે શું ? નવલોહિયા જુવાનિયાઓને મા-બાપ જ કોઇ બીજા ધંધે શહેર ભણી ધકેલી દે છે. ન ધકેલે તો કુટુંબ ખાય પણ શું ? વાતેય સાચી છે. કહેવાય ભલે ખેડૂત “જગતનો તાત !” પણ તાતના છોકરાનો સંબંધ કરવો હોય, અને “ગામડામાં રહી ખેતી સંભાળે છે” તેમ કહો એટલે કોઇ કન્યા દેવા તૈયાર નથી. આ સ્થિતિ છે જગતના તાતની ! ભૂક્યા,દુખ્યા ને વાંઢા ફરવાની !
તમે માનશો ? કેટલાક ભણેલા ગણેલા અને લાંબુ આયોજન કરી ખેતીને પાયાનો અને આદર્શ ધંધો માની, આમાંથી જ પ્રમાણિક રોટલો રળવા, આને જ આરાધ્યદેવ માની, એક ધૂન લઇ લાગી પડેલા તેવા પ્રયોગશીલ ખેડૂતો પણ આજે મુંજવણમાં મૂકાઇ ગયા છે, અને વિચારતા થઇ ગયા છે કે “આપણે ક્યાંક ખોટા માર્ગે તો નથી ચડી ગયાને ?”
તો મિત્રો ! આવું કેમ બન્યું ? વરસોથી ખેતી કરતા અને બધી બાબતોનો વિચાર અને આયોજન પૂર્વકની ગણતરી વાળી ખેતી કરનારા સૌને એકજ પ્રકારનો એહસાસ થવાનો કે ………
વરસાદની અનિયમિતતા, ખેત ઉપયોગી જણસોમાં અસહ્ય ભાવવધારો, રાજ્યની કોઇપણ જાતની વ્યાજબી સેંસરશીપ વિના આડેધડ ફાટી નીકળેલા અનેકવિધ બિયારણો, મોંઘી થઇ ગયેલી મજૂરી, વીઝળી આપવામાં દેવાતા દાંડિયાં અને સૌથી મોટું કારણ ખેડૂતોમાં સંગઠનની કચાશ. અને પરિણામ ? પરિણામ-ખેતી એક થઇ ગયેલ ખોખલું ગાડું ! આ બધા ઉડીને આંખે વળગે એવાં કારણો ખેતીની કેડ ભાંગી નાખનારાં બહારવટિયા બની ખેડૂતોની સામે આવી ગયા છે.
અપણે કબૂલ પણ કરવું પડશે કે =
[૧] આપણે ખેડૂતોએ એટલી વાત જરૂર કબૂલવી પડશે કે “અતિ લોભ પાપનું મૂળ છે” એ સુત્ર આપણે ભૂલી ગયા અને વધુ ઉત્પાદનની લ્હાયમાં રાસાયણિક. ખાતર વાપરવાનો વિવેક છાંડી જઇ થેલીઓ મોઢે ઠાલવ્યા. જંતુનાશક દવાઓ જોયતા પૂરતી વાપરવાને બદલે ટીમણાંમોઢે રેડી છોડવાને ધમાર્યા અને નીચે જમીનને પણ ઝેરીલી દવાઓમાં રગદોળી ! ઉત્તેજના આપતા હોર્મોંસ છોડવે છોડવે પ્રસરાવ્યા અને પાતાળની નાડ્યુ ચૂસી ચૂસી મોળાં, ભાંભળા, ખારાં,કડવાં અને ઉના ફળફળતાં-જેવા હાથલાગ્યા એવાં પ્રવાહી [પાણી નહીં ! ] પૃથ્વીના ઉપલા જીવંત અને ફળદ્રુપ-ઉત્પાદક એવા ઉમદા પડ ઉપર ધબેડ્યે રાખ્યા.જેથી “જમીન” જમીન મટી એક નિર્જીવ ચોતરો બની ગઇ. હવે ગમે તેટલા રા. ખાતરો ઉમેરીએ તો પણ છોડવાઓ એનો જવાબ આપતાં બંધ થઇ ગયા છે. ગમે તેટલા જંતુનાશકો છાંટીએ તો પણ નુકશાનકારક જીવાતો હટતી નથી. પાણી,રા.ખાતર કે જંતુનાશક રસાયણો-કશાનો લગીરેય સાનુકૂળ પ્રતિભાવ મળતો નથી.
[૨] જે પાક એકાદ-બેવાર ઠીક પાક્યો એની પાછળ આપણે પડી ગયા.પછી તે ડુંગળી હોય કે કપાસ ! ચારે શેઢા બસ એનું જ વાવેતર ! શેઢામોસમ પણ એની જ ! એવી ‘એકપાકી’ પધ્ધતિના લાગલગાટ વાવેતર પર ઉતરી જઇ આપણા હાથે જ આપણા પગમાં કૂહાડો ઝીંક્યો હોય તેવું નથી લાગતું ?
લગાતાર વવાતા એકનાએક પાકના હિસાબે એને ભાવતા તત્વો તે જમીનમાંથી ખુટવાડી દે. અને એ પાક જેને ખૂબ ભાવે છે તેવા બધા જંતુઓ અને રોગો તેના મામા-માસીના બધા સગા-સહોદરને તેડાવી, અહીં ધામા નાખી દે ! આમાંથી જ પાકસંરક્ષણની અને પોષણતૂટની આ મોંકાણો સર્જાણી હોય એ વાત શું ખરી નથી ?
તમે જૂઓ ! ખેતીના ઉત્પાદન અને એના ખર્ચનો મેળ ઊંધો ઉતરવા લાગ્યો છે. આવક કરતા ખર્ચ વધવા લાગ્યો છે. પરિણામે ખેડૂત માથે દેવું વધતું જાય છે. વ્યાજની ઝડપને ઘોડાએ આંબતાં નથી ! ભીખ માગવાનો તો ખેડૂતનો સ્વભાવ નથી. એટલે બાવા થઇ માગી ખાવાનો કોઇને વિચાર સુધ્ધાં આવતો નથી. પણ આ બધાનો અંત આ સિવાય નહીં આવે તેવું ગણિત કરી ‘આપઘાત’કરવાના આરંભ થઇ ચૂક્યા છે. ઉકેલો ઝડપથી શોધવા પડશે.
હવે કરવાનું શું ? “
જમીન પરની ખેતી” અને “દરિયા પરની ખેતી” એ બે જ પાયાના ઉદ્યોગ ગણાય. આવા કરોડરજ્જુ સમાન ઉદ્યોગમાં નહીં નહીં તોય ગુજરાત રાજ્યમાં 65 થી 68 ટકા લોકો ખેતી અને એને સંલગ્ન ધંધાઓમાંથી આજીવિકા મેળવે છે. આ ધંધાને જે કારમી થપાટ લાગી રહી છે, તેમાંથી તેને ઉગારી નહીં લઈએ તો તે ઘરડા બળદની જેમ પૂંછલે પડી જશે. પછી બહુ બધા મળી ડીંગડાં લઈ ઊભો કરવા બળ કરશું તોયે તે ઊભો થઈ ડગ માંડશે કે નહીં, તે કહી શકાય તેવું નથી.
[૧]…..સૌથી પહેલી વાત-ખેતીમાં ખર્ચ ઘટાડવો પડશે. જ્યાં કરકસર થઈ શકે તેમ હોય ત્યાં ભૂલ્યા વિના કરીએ. જ્યાં ખર્ચમાં કાપ મૂકી શકાય તેમ હોય ત્યાં મૂકીએ. ખર્ચ કરવામાં થોડા કઠ્ઠણ બની જઈએ. ઉત્પાદન થોડું ઓછું આવે તો કુરબાન, પણ ખર્ચ તો ઘટાડવો જ પડશે !
[૨]……પાકની એવી જાતો પસંદ કરીએ કે જે પ્રમાણમાં ખોરાક અને પાણી બન્ને ઓછાં માગે. તેની કોઇ લક્ઝરિયસ જરૂરિયાતો ન હોય. જે કાંઇ સહેજે ઉપલબ્ધ હોય તેનાથી ચલાવી લે તેવા જ પાકો પસંદ કરીએ.
[૩]……..રાસાયણિક ખાતરોનો ખૂબ જ વિવેકસભર ઉપયોગ કરીએ.અરે ! ખૂબ જ ઓછી માત્રામાં, એક અનિવાર્ય અનિષ્ટ તરીકે સમજીને જ ચાલીએ.
[૪]……..પાકના સંરક્ષણ અર્થે વપરાતી રાસાયણિક દવાઓ સદંતર બંધ કરી જૈવિક દવાઓ ભણી વળવું પડશે. કુદરત દ્વારા આપમેળે થઈ રહેલી જીવાત-સમતુલા પદ્ધતિમાં શ્રદ્ધા રાખી ધીરજ ધરવી પડશે.
[૫]………ભલે થોડું ઓછું ઉત્પાદન આવે પણ પોતાના શરીરને રોગ સામે ટક્કર લઈ અડીખમ રાખી શકે તેવી, પર્યાવરણને સાનુકૂળ થઈ જીવી જાણનારી જાતોનાં બિયારણ શોધવાં પડશે. એનો વ્યાપ વધારવો પડશે.
[૬]……..હવામાં ભમતા નાઈટ્રોજનને પકડી મૂળિયાંમાં ભેળો કરનાર અને જમીનમાં જકડાઇને પડી રહેલ ફોસ્ફરસને છોડ ખાઇ શકે તેવા સ્વરૂપમાં ફેરવનાર કુદરતના કીમિયાગર [જૈવિક ખાતર] બેક્ટેરિયાના મામૂલી કિંમતે મળતાં નાનાં એવાં પડીકાં અને પ્રવાહી બોટલોનો વપરાશ- થેલીબંધ તત્વોનો ઉમેરો કરવાની તાકાત ધરાવે છે. આપણે તેનો સાથ લેવાનો શરૂ કરીએ.
[૭]……જમીનને જીવતી રાખવા, તેની ફળદ્રુપતા અને ઉત્પાદકતા કાયમી રીતે ટકાવી રાખવા જેમ બને તેમ સેંદ્રીય ખાતરો વધુ વાપરતા થઈએ. સાંઠી, તલહરા, કુંવળ,પરાળ, પાંદડાં, ઓગાહ, કુણાં કાંટા સહિતનો ખેત-કચરો “ક્યારેય સળગાવશું નહીં” એવા શપથ લેવા પડશે. તેને કરડી,મરડી, ભાંગી-ભુક્કો કરી, માલઢોરના છાણ-પેશાબ તથા માટીમાં રગદોળી-સેડવી દઈ, વધુ દેશી ખાતર જાતે બનાવવાની મહેનત લેવી પડશે.
[૮]……..મોસમી પાકોની સાથે કેટલાક પર્યાવરણીય વૃક્ષ પાકોને ભેરુ બનાવી ઉત્પાદનમાં અને વરસાદી માહોલ તૈયાર કરવા માટે મદદે લેવા પડશે.
[૯] …..મગફળી અને કપાસ જેવી એકમાર્ગી પદ્ધત્તિને બદલે મિશ્રપાક પદ્ધત્તિ અને પાકની ફેરબદલીનું ચક્ર ગોઠવવી ચુસ્તપણે અમલ કરવો પડશે.
[૧૦] …..અત્યાર સુધી ઘણું “રેળ” પાયું ! હવે તો પાણીનો કરકસરપૂર્ણ અને કાર્યક્ષમ ઉપયોગ કરનારી પદ્ધત્તિઓ સિવાયની બીજીને રજા દેવી પડશે.
[૧૧]………વરસાદી પાણીને વહી જતું રોકી જમીનમાં ઉતારશું, પણ પાછા ઊંડા દાર વાટે નીચેના ખરાબ તળમાં વહી ન જાય, કે નીચેના ખરાબ તળનું પાણી ઉપર આવી મીઠા તળમાં ભેગા કરેલા પાણીને બગાડી ન જાય માટે માપથી વધુ ઊંડા દાર-બોર છે તેને બૂરીને સીલ કરી દેવાનું વિચારવું પડશે.
[૧૨] ….જેના થકી ખેતી વ્યવસાય ઉજળો છે એવું પશુપાલન અને એમાંય તે “ગાય-પાલન” કે જે ખેતીપાકોની મુખ્યપેદાશની સાથોસાથ ફરજિયાત રીતે પ્રાપ્ત થતાં ગૌણપેદાશ રૂપી પાંદડી, ડાંખળી, પરાળ, કુંવળ, કડબ, ઘાસ-પૂસ અને પાલા જેવી ચીજોને ખોરાક બનાવી દૂધ, ગોબર, ગૌમુત્ર અને ધીંગાધોરી [બળદ] ની ભેટ ધરનાર “ગાય” નો સાથ કદિ ન છોડીએ.
આ બધાના પરિણામે વાતાવરણ પ્રદુષણમુક્ત બને, ખેતી ચિરંજીવ બની રહે, કૃષિમાંથી ઉત્પન્ન થતો માલ ઝેરી રસાયણોથી મુક્ત અને સાત્વિક હોય તેવો તૈયાર થાય, તો તેને વાપરનારા પણ સુખી થાય, એ હવે આપણું લક્ષ બનશે ત્યારે ખેતી વ્યવસાયમાં ફરી પ્રાણ પુરાશે.
ખેતી ખાડે નાખવામાં કેટલાક કુદરતી અને બાકીનાં બધાં માનવસર્જિત-બન્ને પ્રકારના પરિબળો કારણભૂત બન્યાં છે. એની ચર્ચા ગમે તેટલી કરીએ, નિવેડો તો જ આવે કે ખેતી-પરિસ્થિતિમાં જે સમય બદલાયો છે તેને ઓળખી લઈએ, જે વળાંક આવ્યો છે તેને બરાબર પારખી લઈએ. કહોને સમયની રૂખને જાણી લઈએ અને તેમાંથી સીધો અને સરળ જે રસ્તો દેખાય એને નજર સમક્ષ રાખી આપણાં ખેત-આયોજનો અને કાર્યક્રમોમાં ફેરફારો શરૂ કરીએ. જો થોડાકેય મોડા પડ્યા તો મહા મોંઘવારી અને વિશ્વીકરણ-વ્યાપારના આ ઘોડાપૂરમાં ક્યારે ઓવાળે ચડી જઈશું તેની ખબર ખુદ આપણનેય રહેશે નહીં !
સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ : krushidampati@gmail.com
-
“મેક્ષી” ન હોત તો મારું સું થાત ?
સોરઠની સોડમ
ડો. દિનેશ વૈષ્ણવ
ખુદની વિચાર શક્તિની ખાલી જોળી ચોપડીયા જ્ઞાને ભરીને “બગસરાના સોના” જેવો હું ૧૯૭૦માં યુ.એસ.માં આગળ ભણવા ભારતથી પે’લી વખત આવેલ તે આજકાલ કરતાં મને આંઈ ૫૪ વરસ થઇ ગ્યાં ને આ દેશ મારું ઓરમાયું વતન અને કર્મભૂમિ બની ગ્યો. આ પારકા પરદેશે મને પયપાન નથી કરાવ્યું કે ઉજેર્યો નથી પણ બેશક એને ફૂંકણીની અગને ધગાવી, ગાળીને મને સોળવલ્લો કર્યો ને અનુભવના એરણે ટીચીટીપીને ઘાટે ઘડ્યો. ટૂંકમાં, આ સાવકી માંએ એક અણઘડ છોકરાને જીવતર જીવવાની સીડી ચીંધી જેમ લગનમાં ચાર ફેરા પછી “સપ્તપદિ” નવદંપતિને ચીંધે, અંતરજ્ઞાની ગુરુ – નહીં કે બની બેઠેલ ગુરુ – એના અનુયાયીને ચીંધે કે હિતેચ્છુ માણસ જીવતરની કેડી ચાતરેલાને ચીંધે.
મારી ઓરમાન માંએ દેખાડેલ દસ પગાંની જીવતરની સીડી ચડવી શક્ય છે કારણ કે એનો સાર ઈ છે કે:
(૧) નખશીખ પ્રમાણિક રે’વું કારણ કે ખોટું વેણ, કેણ, કાર્ય કે વર્તન વિચાર સંતાડવા બીજાં સો ખોટાં કરવાં પડે.
(૨) નીતિનું કોઈ કામ નાનું નથી અને જે કામ માથે લ્યો ઈ ઉત્તમ કરવું.
(૩) સમય અને પૂંજીનો કારભાર અને એનો સદ્દઉપયોગ કરવો.
(૪) દસેય દિશામાં જોઈને, અર્થાત વર્તુળાકારે વિચારીને, ઠરેલ મગજે નિર્ણય લેવો.
(૫) તાગ વિનાની ચર્ચામાં ન પડવું કે કોઈની ધાર્મિક માન્યતાને વિજ્ઞાનની નજરે ન જોવી કારણ કે વિજ્ઞાનનો પાયો શંકા ને ધર્મનો શ્રધ્ધા છે ને આ બેયને “બારમો ચંદરમાં” છે.
(૬) જીવનના કડવા અનુભવો ન ભુલાય તો એને અવગણવા જેથી ખુદના અને અન્યના જીવતરમાં ઝેર ન ઘોળાય.
(૭) અનુભવનાં પડીકાં વેંચાતાં નથી મળતાં, અસફળ જાતઅનુભવ જ સફળતાનો પાયો છે.
(૮) સંજોગ નહીં બદલાય, જરૂરિયાતે માણસે જ બદલાવું પડે.
(૯) માણસ જે છે, જેવો છે, જ્યાં છે અને જેટલું એની પાસે છે ઈ બધું ઈશ્વરીદેન ગણી એનો હરખશોક ન કરવો, અને
(૧૦) હળવા હૈયે, વર્તમાનમાં જિંદગી જીવવી કારણ “બેફામ” કે’છ એમ “જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.”
આ ઉપરાંત હું એમ પણ માનું છ કે જીવતરની સીડી ચડીને માણસ કદાચ આદર્શ જીંદગી જીવી શકે પણ એને જો જીંદગી જીતવી હશે તો સીડીના દસમા પગે ઊભી, હાથ લંબાવી ભક્તકવિ નરસિંહે દીધેલ “વૈષ્ણવજન તો તેને રે કહીયે”ની સંજીવની પામી, પી, પચાવી ને જીવવી પડશે.
હવે ઉપરોક્ત ડાહીડાહી વાત્યું પરથી કદાચ એમ લાગે કે હું યુ.એસ.ઉપર વારી ગ્યો છ, એને વરી ગ્યો છ તો ઈ ખોટું છે કારણ કે મારી ઉછ્ળતી જુવાનીમાં વતનમાં રઇને હું જે જોઈ શક્યો હોત, જીવી શક્યો હોત્ત ઈ બધું મેં ગુમાવ્યું છ. એટલે મારે આ ખોટને – જેમ કે મારી ચાળીસેકની ઉંમર પછી મને મારી ગેરહાજરી પારિવારિક સારાનરસા પ્રસંગોમાં ખટકે છ – મારી કર્મભુમી યુ.એસે. દીધેલ જીવતરની સિલક માંથી બાદ કરવી જ પડે. ભલે આ અને આવા ખટકાઓને હું હવે દેશ છોડ્યાની કિંમત ગણી “લાફો મારી મોં લાલ રાખું.” ઉપરાંત હું હવે જિંદગીના ઈ આરે પણ ઉભો છ કે “મારાં પોતાનાં” સિવાય ઘણું તો હવે “નજર બા‘ર ઈ મગજ બા‘ર” પણ થઇ ગ્યું છ. વધુમાં, છેલ્લા દસેક વરસથી તો મને એમ પણ લાગે છ કે મારી જન્મભૂમિએ બદલાવનું એક એવું કરારું પડખું ફેરવ્યું છ કે હું આ બદલાવ જીરવવાની ક્ષમતા ગુમાવવી બેઠો છ.
બાકી મારી પાંગરતી અને કૂકડાપાંખે આવેલ જુવાનીમાં યુ.એસ.માં કાઢેલ ભણતરનાં વરસોમાં મને જે ખટકતું ઇ ભારતની રાત-દી’ બદલાતી ફેશન કે જે હું નો’તો જોઈ કે જીવી શક્તો કારણ કે ત્યારે હોલીવુડે બોલીવૂડને જોજનવા છેટું રાખ્યુંતું. વધુમાં હું જ્યાં ભણતો યાં હિન્દી ચલચિત્રો તો શું પણ કોઈને અંગ્રેજી સિવાય અન્ય ભાષા હોઈ શકે ઈ માન્ય પણ નો’તું ને કોઈ માની પણ નો’તું સકતું. ઈ જ રીતે કોઈ બીજા દેશની ખાણીપીણીની ખબર યાંની વસ્તીને હોવી ઈ તો ઉગતા સૂરજને પશ્ચિમે નેજવું માંડીને જોવા જેવું હતું. પરિણામે, હું પણ ઈ વિસ્તારના નાગરિકોની જેમ “કૂવામાંના દેડકા”ની જેમ રંગેચંગે જીવતો થઇ ગ્યોતો ને દી’ના ત્રેણય ટંક મીઠામરચાં વિનાનું મોળું, ફીકું, બાફેલ વેજ અને નોનવેજ અમેરિકન ખાણું ઈ જ મારું નવું ખાણું ને ભાણું થઇ ગ્યાતાં. નવાઈની વાત ઈ છે કે આ ખાણું મને હજીયે ત્રણ રંગના, હોઠે બટકે એવા જાળીદાર મેસુબ; ચોખા ઘી ને ગુલાબની પાંખડીના થરે મઘમઘતા મોહનથાળ કે શુદ્ધ ઘીમાં બનેલ કેસરયુક્ત બંગડી જેવી જલેબી જેવું ને જેટલું જ ભાવે છ. ટૂંકમાં, આ દેશની મને ગમતી પાશ્ચાત્ય રે’ણીકે’ણી – સંસ્કાર નહીં – મેં ત્યારે અને આજે પણ અપનાવી છ કારણ કે એમાં હું જીવવાનો હેતુ અને જીવ જાતા વખતનો સાર ભાળું છ.
મેં જયારે દેશ છોડ્યો ત્યારે જુવાનીમાં શું ગુમાવ્યું એનો હિસાબ જો હું માંડું તો જુવાનીયાઓની ફેશન પૃથ્વીરાજ કપૂર, સો’રાબ મૉદિ, સાયગલ, નાગેશ, મોતીલાલ ને શેખ મુખ્તારથી હરણફાળે આગળ વધીને જીતેન્દ્રનાં તડોતડ પાટલૂને ને અણીયાળા બૂટે અને દેવાનંદ ને ધર્મેન્દ્રના ચટ્ટાપટ્ટા પેરણે પૂગીતી. માથે મોવાળાની ફેશન બાબરીને બદલે ગુચ્છો, ક્રુકટ કે બેય કાને લાંબા કાનસિયે આવીતી. “વક્ત”ના રાજકુમારે થોડાકને ડાબે-જમણે ડોલતા તાબૂતની ચાલે તો “જબ જબ ફૂલ ખીલે”ના શશી કપૂરે બીજા થોડાકને “ચટક ચાલે” હાલતા કર્યાતા. થોડાક તો વળી મદનપૂરી, અમજદખાન, જીવન કે પ્રાણ જેવા દેખાવા હાથમાં કડાં ને પેરણનાં બે ઉઘાડે બટને પણ બજારમાં ભટકતા. પણ જેને આવી જાકમજોળ ન ગમી, પરવડી કે પોતીકાપણું રાખવુંતું ઈ સૌ દિલીપકુમાર, મનોજકુમાર, સુનિલદત્ત ને ગુરુદત્તની સાદગી વ્હોરી, પગમાં બે પટ્ટીની સ્લીપર્સ પે’રી “સિમ્પલ લિવિંગ, હાઈ થીંકીંગ“ કરતાતા. મિત્રો, હું પણ આમાંથી ચટ્ટાપટ્ટા પેરણની ફેશન જીવીને જમણો ટાંટિયો મયડાણો યાં લગી રાજકુમારની હાલે હાલ્યોતો. અલબત્ત અસ્તિત્વમાં હશે તોયે મેં રાજેશ ખન્ના કે અમિતાભનાં નામ તીંયેં નો’તાં સાંભળ્યાં એટલે ઈ શું ફેશન કરતા એની મને ખબર નો’તી
તો બીજી કોર યુ.એસ. આવ્યો તીંયેં જુવાનડીયુંની ફેશન પણ મુન્નાવર સુલતાના, દુર્ગા ખોટે, શોભના સમર્થ, કામિનીકૌશલ, તબ્સૂમ, કલ્પના કાર્તિક, નલિની જયવંત, મધુબાલા ને નરગીસેથી ઠેકડો મારીને મીનાકુમારી, નૂતન, માલાસિંહા ને વહીદા રે’માન જેમ અવળા છેડાની સાડી કે પો’ળા પંજાબી ડ્રેસે પૂગીતી. તો બીજી ઘણી વૈજન્તીમાલા, નંદા ને સાયરાબાનુ જેમ સ્લીવલેસ બ્લાઉઝ ને પોતાનું પોણું પેટ દેખાય એમ સાડી પે’રતી થઇતી. પ્રમાણમાં ઓછી આશા પારેખ ને મુમતાઝ જેમ ચપોચપ સલવાર-કમીઝે પૂગીતી. હા, કેટલીક છોકરીયું સ્કર્ટ્સ ને કોટી પે’રતી પણ મિનિસ્કર્ટ તો મોટા શહેરની કે પારસી ને ગોવાનીઝ છોડીયું જ પે’રતી ને બાકી રૂપેરી પડદે હેલન ને શશીકલા પે’રતાં. ટૂંકમાં, મેં ભારત છોડ્યું ત્યારે યુવાનો અને યુવતિઓનું ફેશન જગત અટલે આમ્બ્યુંતું.
પછી હું ૧૯૭૬ના ડિસેમ્બરમાં છ વરસે પે’લી વાર દેશ પાછો આવ્યો ઈ દરમ્યાન ફેશનનો ફાળકો કેટલાંય ચક્કર ફરી ગ્યોતો ને ત્યારે મેં જે જોયું એના થોડાંક ઉદાહરણોમાં: કેટલાય યુવાનો પાટલૂન કે જેના પાયજામાંથી માખીએ ન ઘુસી સકે એમાંથી હાથીની સૂંઢ ઘુસી જાય એવાં “બેલબોટમ” પાટલૂન ને અણિયાળા ને બદલે જાડા તળિયાના (પ્લેટફોર્મ) બુઠ્ઠા જોડે પૂગ્યાતા. બીજા કેટલાય આવાં પોળા પાયજાના પાટલૂન, એના ઉપર અમાપ જભા, પગમાં ચંપલ, માથે લાંબા જટિયાં વાળ, બગીયાબાપુના બોકડા જેવી દાઢી, ખભે ખાલીખમ બગલથેલો ને ભરઉનાળે પણ સાલમાં વીંટળાઈને ફરતાતા. આમાના કેટલાયને તો મેં વળી કાળી રાતે સનગ્લાસીસમાં આંખ સંતાડી ઘોડીએ ચડાવેલ થ્રિવિહલરે બેસીને એની વ્હાલી દિલદારાની વાટ જોતાએ જોયાતા. પણ સાહેબ, દી’ના આ બધા જે વેંસ કાઢતા હોય ઈ પણ રાતના સુવામાં મેં પે’ર્યાંતાં ઈ કફનીલેંઘા કે ચટ્ટાપટ્ટા નાઈટડ્રેસને બદલે આ બધા બાંકેબિહારી લતીફખાન જેવી લૂંગીમાં વીંટળાતાતા. આ લૂંગી પે’રવાની સમાનતા જોઈ એટલે મેં તપાસ કરી તો જાણ્યું કે રાજેશ ખન્ના ને અમિતાભ ઘણીવાર ત્યારે આવી લૂંગીમાં વીંટળાતા.
યુવતીઓની ફેશનમાં પણ આ છ વરસમાં એવી ઉથલપાથલ થઇ ગઇતી કે ચોરવાડમાં અમારાં જુનાં કામવાળાં કાનીમાંની દીકરી કંકુથી લઈને ગામમાં એલચી કેળાંની વખારના માલિક કાકુભાઇ શેઠની કોકિલા લગી સૌ ચપોચપ પંજાબી ડ્રેસ ને લાંબાં કે ટૂંકા સ્કર્ટ્સ પે’રતાં થઇ ગ્યાતાં. કેટલીક છોકરીયું તો ઘેર વિનાનું સાથળયું ફરાક પણ પે’રતીતી. પણ્યવાની ઉંમરની છોડીયું પણ સાડી તો પ્રસંગોપાત જ પે’રતીતી બાકી તો બધી કંકુ ને કોકિલા જ થઇ ગઇતી. સૌના પગમાં પણ બાટાની બે પટ્ટીની સ્લીપર્સને બદલે સાડાચાર ઇંચ એંડીના ચંપલ ને મોજડી ગર્યાંતાં. તો માથે અરીઠે ધોયેલ ને તેલ નાખેલ ચપોચપ બે ચોટલાની જગ્યાએ શેમ્પુ કરેલ કોરાધાકોર, ઢીલા એક ચોટલે છોડીયું ઉભી બજાર માથે કરતીતી. પાછી આવી ભેંસ-પોદળા ચોટલે કેટલીયેને લાલપીળા ચણિયા ને માથે એના બાપુજીના પેરણે મેં ભાળી ત્યારે મને વધુ નવાઈ લાગીતી. વખત હારે બદલાવો તો મેં ધાર્યાતા જ પણ અમદાવાદમાં મારા મામા ભેગો હું “આકાશેઠ ફૂવા”ની પોળના એક ઘરમાં ગ્યો યાં માં, એની આધેડ વયની દીકરી, પ્રમાણમાં જુવાન વહુ ને એની હાડેતી દીકરી એમ સાગમઠે સૌને “મેક્ષી”માં ભાળ્યાં ત્યારે મને આ બદલાવની પરાકાષ્ટા લાગીતી.
હવે મારો રિસર્ચ-ડેવલ્પમેન્ટનો સ્વાભાવ એટલે મેં આ “મેક્ષી”ની ઉપજ વિષે વિચાર્યું તો મારાં “ટીન” વરસોમાં “ઈલ્યુસ્ટ્રેટેડ વીકલી”માં ફોટા જોયાતા ઈ યાદ આવતાં મને લાગ્યુંતું કે “મેક્ષી”ક્રિસ્ટયન આયાઓ ઘરમાં માથાથી પગ લગી લાંબુંલપસીંદર ક્યાંક પે’રતી એની કદાચ “ઝેરોક્ષ” હતી. હું આ “મેક્ષી” વિષે ૧૯૭૮ ફેબ્રુઆરી લગી એટલો અજ્ઞાની હતો કે બેનોએ ઈ ચણીયા ઉપર પે’રી હોય કે શું ઈ મને ખબર નો’તી ને છતાં આજ ૪૭થી વધુ વરસ ગૌધુલીક સમયે, ચાર ફેરે અપનાવેલ મારાં પત્ની હારે મારું હોવું ઈ પણ ઈ “મેક્ષી”ને જ આભારી છે. એટલે આજ મને થ્યું કે મારી પાતળી પરમાર ઘરવાળીની અર્ધાકિલાથી ઓછી “મેક્ષી”ના ઋણના ભાર તળે હું આજીવન દબાયેલ રહું એના કરતાં ઈ વાત માંડીને એનો ઋણસ્વીકાર કરું.

તો વાત એમ છે કે ૧૯૭૬ના ડિસેમ્બરમાં પોરબંદરમાં સુદામાચોકથી ઘેર આવવા બસમાં બેસતાં પપ્પાએ મને પૂછ્યું:
“તમારે લગન કરવાં છ?
હું: હા, વાંધો નથી.
પપ્પા: તમારે અમેરિકામાં કોઈ લફરું નથી ને?
હું: ના.
પછી માર્ચ ૧૩, ૧૯૭૭માં મેં ને નીલાએ ચાર ફેરા ફરી લીધા બાદ એક મહિનો અમે બે માં-પપ્પા હારે જૂનાગઢ રયાં કે જેમાં અમારો અર્ધો દી’ અઘેરા કુટુંબના વડીલોને પગે લગાવામાં ને પાસેનાં સગાંસબંધીઓને ઘેર જમવા જાવામાં ગ્યો. વધુમાં નીલા પણ ત્યારે શરમાળ કારણ કે ત્યારે મૉટે ભાગે ઘરમાં એના માં, ચાર બેનો અને એક પુરુષ – ને ઈ એના પિતા – હારે જ એનો ઊઠવા-બેસવા-બોલવાનો રોજનો નાતો હતો. આજ જો હવે મારા મશ્કરા મગજે વિચારું તો ઈ દિવસોમાં મને એમ પણ ક્યારેક લાગતું કે નીલા “વૈષ્ણવ જન તો તેને રે કહીયે”નું “પર સ્ત્રી જેને માત રે…” ને બદલે “પર પુરુષ મારો બાપ રે…” એમ સમજ્યાં હશે. ખેર, પછી લગનનો આફરો હેઠો બેઠો એટલે હું પણ યુ.એસ. પરત થઇ પીએચ.ડી. જલ્દી પૂરું કરવાના વિચારમાં બાકીનો અર્ધો દી’ કાઢવા મંડ્યો. છેલ્લે એપ્રિલ ૧૪ના હું યુ.એસ. પાછો આવ્યો. પાછા આવીને મેં પીએચ.ડી.નું ડીઝર્ટેસન લખી, ડિફેન્ડ કરી ને એમાંથી ત્રણ પેપર્સ લખીને પ્રસિદ્ધ કરવા મોકલ્યાં. પછી આસિસ્ટન્ટ પ્રોફેસરની પે’લી નોકરી મેં ઓગસ્ટ મહિનામાં અલાબામા રાજ્યના એક ગામમાં લીધી.
લગ્ન પે’લાંના મારાં યુ.એસ.નાં વરસોમાં હું ડોર્મમાં રેતો એટલે અલાબામાના નવા ગામમાં મારી નાની કારમાં કચરાપેટી, સાવયણી ને મારાં ચાર પાટલૂન ને ચાર ખમીસ હારે આવ્યો ને મેં બે બેડરૂમનું એપાર્ટમેન્ટ ભાડે રાખ્યું. પે’લો પગાર મહિને આવ્યો એટલે લિવિંગરૂમ સજાવા કોઈએ વાપરેલ પણ સારો સોફાસેટ ને એક ખુરસી લીધાં. રસોડામાં વાપરેલ એક ટેબલ ને ચાર ખુરસી ગોઠવ્યાં ને રાંધવા સારુ ચાર વાસણો લીધાં. એક બેડરૂમ ખાલી રાખી બીજા સારુ ખાટલો, ગાદલું, બે ઓશીકાં ને ઓઢવા એક ધાબળો વસાવ્યાં. બાથરૂમમાં બે ટુવાલ ને બે નેપ્કીન્સ મૂક્યા ને આમ જિંદગીનું પે’લું ઘર મેં માંડ્યું કે જેમાં પે’લો પગાર વાપરી નાખ્યો. પછીનો મહિનો ખાવાપીવાના સાંસા પડ્યા પણ મને બ્રેડ, કેચપ ને પાણીએ પેટ ભરવાની ટેવ હતી એટલે આ તાણનો મહિનો રોડવી દીધો.
નવું ગામ, મારું પે’લું ઘર, નવી નોકરી, લેક્ચરો ને લેબ્સની તૈયારી, વ.માં હું વ્યસ્ત રે’તો ને નીલાનો ચેહરો ધીરેધીરે ભૂલવા મંડયોતો છતાં દર અઠવાડિયે એને એક પ્રેમપત્ર ને મારે ઘેર ખુશીસમાચારનો કાગળ લખતો. ફોન તો ત્યારે નોંધાવા પડતા ને મોંઘા પણ હતા એટલે ઈ ઓછા કરતો. મને સજોડે અમારા ભાડાના ઘરમાં રે’વાનો ઉમળકો હતો એટલે હું વ્યસ્ત હતો છતાં રાત જાગીને નીલાના વિઝા માટે મેં કામ હાથ ધર્યું ને એને વિઝા મળ્યો. ઈ અલાબામાના મારા નવા ગામ પાસે લોકલ એરપોર્ટ પર ન્યુયોર્ક થઇને એક શનિવારે આવશે એમ નક્કી થ્યું. ઈ નિયત શનિવારે હું બપોરે એને તેડવા ગ્યો પણ મનમાં ભય ઈ હતો કે જો જાજી છોકરીઓ ફ્લાઇટમાંથી ઉતરશે તો મને કેમ ખબર પડશે કે આમાં નીલા કોણ છે. ઈ બપોરે છોકરીઓ તો ઘણી ઉતરી પણ “મેક્ષી”માં એક જ ઉતરી એટલે “ચેતતો નર સદા સુખી” ઈ રુહે ઈ “મેક્ષી”ધારી પાસે જઈને મેં વિવેકથી પૂછ્યું,”એક્સક્યુઝ મી પ્લીઝ. આર યુ નીલા?” એને કીધું, “યસ,યસ” ને બસ ત્યારથી અમે સજોડીયો ઇતિહાસ રચવાની શરૂઆત કરી.
એરપોર્ટથી આવતાં રસ્તામાં નાનીમોટી વાતો થઇ એમાં જાણ્યું કે હું નીલાને પુરેપુરો યાદ હતો. આની વિરુદ્ધમાં મને એનો ચેહરોમોહરો જાજો યાદ નો’તો પણ ત્યારે નીલા દશેદિશાયે ભારતથી “ફ્રેશ ઓફ થઈ બોટ” આવેલ ભારતીય યુવતી હતી એટલે એને ધારી લીધું હશે કે મને પણ ઈ યાદ જ હશે. ઈશ્વરકૃપા કે મારી “બાંધી મૂઠી લાખની” રહી ગઈ ને ખાકની ન થઇ.
ખેર, આ હતો ૪૬ વરસ પે’લાંનો ભૂતકાળ પણ મિત્રો આજ હવે મારા હળવા હૈયે સવાલ કરું તો, “જો ઈ “મેક્ષી” ન હોત તો આઘેરી ને આછેરી પણ શક્યતા તો હતી ને કે નીલા માનીને હું કોક બીજી હારે આજ ઘર માંડીને બેઠો હોત?”
ડૉ. દિનેશ વૈશ્નવનો સંપર્ક sribaba48@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
વનસ્પતિના નામમાં પૂર્વગ્રહ હોઈ શકે?
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
નામ શું સૂચવે? ઓળખ? માન? કે અપમાન? આ ત્રણે જવાબ અલગ અલગ સ્થિતિમાં પોતપોતાના સ્થાને સાચા છે. નામનો પ્રાથમિક અને મૂળભૂત હેતુ ઓળખનો છે. ચાહે એ મનુષ્ય હોય, નગર હોય કે બીજું કંઈ. પણ માન અને અપમાન? આ મુદ્દે જરા વિચારવા જેવું છે. માનની વાત કરીએ તો એનાં સૌથી પ્રચલિત અને સાદાં ઉદાહરણ વિજ્ઞાનમાં જોવા મળશે. ગુરુત્વાકર્ષણ બળની શોધ કરનાર વિજ્ઞાની ન્યૂટનના નામે બળનો એકમ ‘ન્યૂટન’ તરીકે ઓળખાવાયો. વીજપ્રવાહનો એકમ એમ્પિયર ફ્રેન્ચ ભૌતિકશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી આન્દ્રે એમ્પિયરના નામથી ઓળખાય છે. વીજઅવરોધનો એકમ ઓહ્મ જર્મન ભૌતિકશાસ્ત્રી જ્યોર્જ ઓહ્મના માનમાં નામકરણ પામ્યો છે. આવાં અનેક ઉદાહરણો અન્ય ક્ષેત્રમાં પણ મળી આવશે.
ઓળખ અને માન પછી વાત અપમાન માટે થતા નામના ઉપયોગ વિશે. આ યાદી ઘણી લાંબી થઈ શકે એવી છે. માણસો એકબીજાને અપમાનિત કરવા માટે પ્રાણીઓના નામે સંબોધે છે. વિવિધ પ્રાણીઓનાં નામ સાથે માનવીય ગુણોનું સામ્ય દર્શાવીને તેમને પણ ઉતારી પાડવામાં આવે છે. વિવિધ જ્ઞાતિઓ માટે અપમાનસૂચક સંબોધનો ચલણમાં હતાં, જેનો પડઘો આપણી અનેક કહેવતોમાં જોઈ શકાય છે.
શું વનસ્પતિના નામને આ બાબત લાગુ પડી શકે? એક સમાચાર હમણાં અખબારોમાં ચમક્યા.
જુલાઈ, ૨૦૨૪માં, સ્પેનના મેડ્રિડ શહેરમાં છ દિવસીય ‘ઈન્ટરનેશનલ બોટનીકલ કોંગ્રેસ’ (આંતરરાષ્ટ્રીય વનસ્પતિશાસ્ત્રીય સંમેલન) યોજાઈ ગઈ. સોથી વધુ સંશોધકોએ તેમાં હાજરી આપી. તેમાં એક મહત્ત્વનો નિર્ણય લેવાયો. તે એ કે વંશીય રીતે અપમાનજનક જણાતા હોય એવી ચોક્કસ વનસ્પતિઓનાં નામ બદલવાં.
ખાસ કરીને ‘કાફ્રા’ (અથવા કેફ્રા/Caffra) શબ્દ ધરાવતી તમામ, લગભગ બસોથી વધુ વનસ્પતિઓ, ફૂગ અને લીલ પ્રજાતિનું નામ બદલીને ‘આફ્રા’ (affra) કરવામાં આવશે. જેમ કે, પ્રોટીઆ કાફ્રા નામની વનસ્પતિ હવે પ્રોટીઆ આફ્રાના નામે ઓળખાશે. આવું કેમ એ જાણવા માટે આ શબ્દનું મૂળ જાણવું રહ્યું.

પ્રોટીઆ આફ્રા
સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી‘કાફ્રા’ શબ્દનું મૂળ અરબી શબ્દ ‘કાફિર’માં રહેલું છે. ‘કાફિર’ શબ્દ આમ તો ‘અશ્રદ્ધાળુ’ થાય છે, પણ આ શબ્દનો વધુ વ્યાપક બનતો ગયો, અને ખાસ કરીને આફ્રિકાના શ્યામવર્ણા લોકો માટે અપમાનજનક રીતે વપરાવા લાગ્યો. અપમાનમાં તિરસ્કાર અને ધિક્કાર ભળેલો હોય છે. આમ, આફ્રિકાના આ ચોક્કસ જૂથની વનસ્પતિઓની પાછળ તેની આફ્રિકી ઓળખ દર્શાવતો શબ્દ કે પ્રત્યય ‘કાફ્રા’ લગાડાતો થયો. એક આખા માનવવંશ માટેનો ધિક્કાર કેવાં કેવાં ક્ષેત્રોમાં, સાવ અનાયાસે વ્યાપી રહે છે એનો આ નમૂનો છે. આગળઉપર એમ પણ બનતું રહે છે કે આવા અપમાનવાચક શબ્દનું મૂળ ભૂલાઈ જાય અને આગળની પેઢીમાં તે સાવ અનાયાસે પ્રસરતો રહે છે.
‘કાફ્રા’ને બદલે ‘આફ્રા’ લગાડવાનો હેતુ એ છે કે તેનાથી વનસ્પતિની એ પ્રજાતિનું મૂળ આફ્રિકા હોવાનું સૂચિત થાય છે. નામકરણ સત્રમાં ભાગ લેનારા વિજ્ઞાનીઓ એક વિશેષ સમિતિ રચવા બાબતે સંમત થયા. આ સમિતિ નવી શોધાયેલી વનસ્પતિઓ, લીલ અને ફૂગના નામકરણ પર કામ કરશે. સામાન્ય રીતે જે વ્યક્તિ દ્વારા વિજ્ઞાનલક્ષી સાહિત્યમાં પહેલવહેલી વખત તેનું વર્ણન કરવામાં આવે એ વ્યક્તિના નામ પરથી નવું નામ રાખવામાં આવે છે. અલબત્ત, કોઈ નામ ચોક્કસ સમુદાય કે વંશ માટે તુચ્છકારસૂચક જણાય તો સમિતિ એને નકારી કાઢી શકે છે.
આ જ સંમેલનમાં વિવાદાસ્પદ ઐતિહાસિક લોકોનાં નામ ધરાવતી વનસ્પતિઓનું નવેસરથી નામકરણ કરવાના પ્રસ્તાવને નકારી કઢાયો. જેમ કે, ભૂખરા રંગનું, આંખ વિનાનું બીટલ પ્રકારનું જીવડું એનોફ્થાલ્મસ હીટલરી નામ ધરાવે છે, જેનું નામકરણ જર્મન સરમુખત્યાર હીટલરના નામ પરથી રખાયું છે. એ જ રીતે હીપોપ્તા મુસોલિની નામનું એક ફૂદું ઈટાલિયન સરમુખત્યાર મુસોલિનીની પાછળ નામકરણ પામ્યું છે.
આમ છતાં, એ હકીકત છે કે આ પ્રકારે વનસ્પતિઓનાં વાંધાજનક નામ બદલવાનું પગલું આ પહેલવહેલું છે. તેની વ્યાપક પ્રશંસા થઈ રહી છે.
વનસ્પતિની નવી શોધાતી પ્રજાતિ માટે નામકરણ અનિવાર્ય બની રહે છે. તેમાં આવી કાળજી રાખવામાં આવે એ આનંદની વાત છે.
આ ઘટનાના સામા પક્ષે આપણા દેશની કેટલીક શિક્ષણસંસ્થાઓનાં નામ જોઈએ. જ્યાં દેશના ભાવિ નાગરિકો તૈયાર થવાના છે એવી શિક્ષણસંસ્થાઓનાં નામ કેવાં હોવાં જોઈએ એના કરતાં વધુ સ્પષ્ટતા એ કેવાં ન હોવાં જોઈએ એ બાબતે હોવી જોઈએ.
આપણી આસપાસ નજર કરતાં ખ્યાલ આવશે કે મોટા ભાગની શૈક્ષણિક સંસ્થાઓનાં નામ કોઈ ને કોઈ ધર્મ, સંપ્રદાય, સમુદાયવિશેષનાં દેવીદેવતા, જ્ઞાતિવિશેષ કે પેટાજ્ઞાતિવિશેષ સાથે સંબંધિત હોય છે. આવું નામકરણ કોઈ શૈક્ષણિક સંસ્થાનું થાય ત્યારે સમાજમાં સાવ ખોટો સંદેશ પ્રસરે છે. જો કે, ઘણાખરા કિસ્સામાં એમ બનતું હશે કે શાળાના સંચાલકો એવું નામ રાખીને પોતે ઈચ્છે છે એવો જ સંદેશ પહોંચાડવા માગે છે. ઘણા સ્થાપકો માટે હવે શાળા એક સત્તાકેન્દ્ર બનવા લાગ્યું છે, એવું સત્તાકેન્દ્ર જેની વ્યાસપીઠ પર બિરાજીને પોતે ‘પ્રતિષ્ઠિત’ બની શકે અને નાણાંની આવકનો એ અખૂટ સ્રોત બની રહે.
આમાં જો કે, એકલા સ્થાપકો કે સંચાલકોનો દોષ શી રીતે કાઢી શકાય? તેઓ મોટે ભાગે એ જ પૂરું પાડે છે, જેની મોટા ભાગના લોકોને જરૂર હોય છે. હવેના યુગમાં પ્રત્યેક માબાપ ઈચ્છે છે કે પોતાનાં સંતાનો ‘ગમે એવાં’ બાળકો સાથે બેસીને ન ભણે, અને ‘પોતાનાં જેવાં જ’ વર્ગનાં બાળકો સાથે હળેમળે. ભલે એના માટે જે નાણાં ચૂકવવા પડે એ.
આમ, હજી આપણે ત્યાં શિક્ષણનો સીધો સંબંધ નાણાં સાથે જોડાયેલો છે. મોંઘી શાળા, અઢળક આવક ધરાવતી કારકિર્દી, અઢળક આવક પેદા કરતા લોકો આપણો આદર્શ હોય એમ લાગે. આવા સંજોગોમાં શાળાના નામ જેવી ક્ષુલ્લક બાબત વિશે શું કામ કોઈ વિચારે?
એ દૃષ્ટિએ જોતાં વનસ્પતિશાસ્ત્રીઓની આ ચેષ્ટા અવશ્ય બિરદાવવા લાયક ગણાવી શકાય.
ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૦૮ – ૦૮ – ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
જટિલ ઇતિહાસ અને કઠિન વર્તમાનની વચ્ચે બંધાયેલાં સ્નેહનાં સૂતર
અમૃતાનુભવની ઉજાણી
દર્શના ધોળકિયા
પ્રવાસપ્રીતિ જેમનો સ્થાયી ભાવ રહ્યો છે એવાં પ્રીતિ સેનગુપ્તાએ આ પુસ્તકમાં દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ વિગતે આલેખ્યો છે. દરેક સ્થાનને સમાનભાવે ચાહતાં-આરાધતાં લેખિકા પુસ્તકની પ્રસ્તાવનામાં પોતાના મનની વાત ઉઘાડતાં નોંધે છે..
‘માર્ગને અંત નથી હોતો અને સ્થાનો પ્રત્યેના સ્નેહને સીમા નથી હોતી, તે જાણ મને થઈ ચૂકી છે. વિશ્વની અનેકવિધ વિશેષતાઓ અને સંમુગ્ધકર સુંદરતાને નિરખવામાં મારાં ઘણાં વર્ષો વીત્યાં છે, ને ધીરે ધીરે કરતાં હું સમજી છું કે રસની રેતીનાં ભિન્ન આકારોમાં જંગલોની હરિત-શ્યામ ગીચતામાં અને સાગરની કોઈ પણ કિનારે પહોંચતી છાલકમાં એટલી જ દૈવી ઉપસ્થિતિ છે જેટલી કે આપણે હિમાલયનાં ઊંચાં શિખરો પર આરોપીએ છીએ. (પ્રાસ્તાવિક પૃ. ૫)
સૌંદર્યનું આ પ્રકારે આવાહન કરતાં કરતાં અહીં લેખિકાએ કરાવ્યું છે દક્ષિણ આફ્રિકાનું દર્શન. દક્ષિણ આફ્રિકા પ્રત્યે લેખિકાને અજાણતાં જ એક પ્રકારનો વિશિષ્ટ લગાવ થઈ ગયો છે. જેના મૂળમાં મહાત્મા ગાંધી પ્રત્યેનો તેમનો આદરભાવ પડેલો છે. તો સાથોસાથ આફ્રિકામાં સ્થાપિત થયેલી ‘એપાર્થાઇડ’ની નીતિએ તેમનામાં જગવેલા વિષાદને કારણે આફ્રિકન પ્રજા પ્રત્યે જાગેલી ને વિકસેલી સહાનુભૂતિ પણ તેમને દક્ષિણ આફ્રિકા જવા પ્રેરે છે. આ બંને સંદર્ભોની જોડાજોડ ઉપસ્થિતિ પ્રસ્તુત પુસ્તકમાં સાદ્યંત જોવા મળે છે.
એમાંનું કથાનક બે ભાગમાં વિસ્તર્યું છે. દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ બે વાર કરનારાં લેખિકાએ જોહાનિસબર્ગ, ડર્બન અને કેપટાઉનની મુલાકાત બંને વખત લીધી છે. પણ બંને સમયની પ્રવૃત્તિઓ અને પર્યટનો જુદા પ્રકારના હોઈ, બંને સફરને લેખિકાએ વિભક્ત કરીને મૂકી છે.
૧૯૯૫માં થયેલી દક્ષિણ આફ્રિકાની પ્રથમ સફરનું પહેલું કેન્દ્ર રહ્યું છે જોહાનિસબર્ગ. એ પછી ટાન્ઝાનિયા, ‘દાર’ ટાપુનું જૂથ એવું ઝાંઝીબાર, કરારે, નાતાલ, ડર્બન, કેપટાઉન. આ દરેક સ્થળની પ્રવૃત્તિ, એનો ઇતિહાસ, એની સંસ્કૃતિને તેના આલેખતાં રહ્યાં છે.
સવા ચાર કરોડની દક્ષિણ આફ્રિકાની વસતીમાં દસેક લાખ જેટલા ઇન્ડિયનો છે, બાકીની ‘કલર્ડ’ કહેવાતી મિશ્ર પ્રજા છે. વર્ષો પછી ‘એપાર્થાઇડ’નો અંત આવતાં સ્વતંત્ર થયેલી બ્લૅક પ્રજાના અનેક પ્રશ્નો છે, ઉદ્દંડ બની ગયેલા બ્લૅક લોકો હિંસક ને ગુનાખોર પણ બન્યા છે ને જાણે તેનો લાભ લઈને આફ્રિકામાં પેસી ગયેલી ઇન્ડિયન પ્રજાએ પગદંડો જમાવ્યો છે. આફ્રિકન પ્રજા પ્રત્યેની સહાનુભૂતિના વિપક્ષે ત્યાં રહેતી ભારતીય પ્રજામાં વિકસતો ગયેલો માલિકીભાવ લેખિકાને સતત કઠતો રહ્યો જણાય છે. અનેક જગાએ એમણે આ પ્રકારનો વિષાદ વ્યક્ત કર્યો છે :
‘આ બ્લેક લોકો પાસે ભણતર નથી, અભ્યાસ નથી. ઇન્ડિયનો પાસે છે – આવડત, ભણતર, હોશિયારી, મહેનત, ધગશ, મહત્ત્વાકાંક્ષા બધું જ. ઇન્ડિયનોની વસતી આટલી ઓછી છે, પણ દરેક ક્ષેત્રમાં એ લોકો મોખરાના સ્થાને છે..’ (પૃ. ૯-૧૦)
ઝાંઝીબારના લાંબા ઇતિહાસને નિરીક્ષતાં-આલેખતાં લેખિકાનો ત્યાંના ભારતીયો વિશેનો અભિપ્રાય પણ ઊંચો નથી. ઝાંઝીબારના ઇતિહાસમાં ઇંડિયનોનો સંદર્ભ આવે (મોટે ભાગે ગેરકાયદેસર) વેપારને માટે એમના કશા પ્રદાનનો કોઈ ઉલ્લેખ મેં જોયો નથી.. ઇન્ડિયનો ક્યાંય કોઇનાં બની શકતાં નથી. એ પૈસાપાત્ર બને છે. સ્નેહાદરને પ્રાપ્ત બની શકતાં નથી. (પૃ. ૭૯)
ઈરાનીઓ જેમ ભારતીયો દૂધમાં સાકરની પેઠે ભળી ન શક્યાનો લેખિકાનો વસવસો સતત વિષાદમાં પરિણમતો રહ્યો છે. લેખિકાને વિસ્મય એ વાતનું છે કે એક બાજુ ભારતીયો બ્લૅક પ્રજાથી ભય પામે છે. દરેક જણને મળતી વખતે કાળી પ્રજા તરફથી થયેલા ડરામણા અનુભવોની ચર્ચા થતી જ રહે. ચોરી, લૂંટ, ખૂનના અનુભવોને સાંભળીને સાંભળનાર જીવ બાળે તો પાછો એમાં ઊલટો પ્રતિભાવ આપતુ લોક ‘શું સરસ જિંદગી છે. અહીં અમારી અને ખૂબ નસીબદાર છીએ અમે’ એમ કહી બેસે !
લેખિકાને લાગે છે કે ‘ભય અને ભાગ્ય – નરસાં અને સારાં બંને પ્રકારનાં સંવેદનો અહીંના ઇન્ડિયન લોકોના મનમાં સતત, શાશ્વત અને સમાંતર વસે છે.’ જે દેશમાં મહાત્મા ગાંધીએ સમસંવેદનશીલતા અભિવ્યક્ત કરીને તે સમયની ભારતીય અને પછીથી કાળી પ્રજાને પણ પ્રત્યક્ષ ને પરોક્ષ રીતે પ્રેરી-દોરી તે જ દેશમાં પછીથી મહાત્માનાં જ સંતાનો જુદી દૃષ્ટિથી રહેવા પ્રેરાયાં એની સખેદ નોંધ, પારકા પોતાનાના ભેદભાવ ભૂલીને, પારદર્શી દૃષ્ટિથી લેખિકા લઈ શક્યાં છે. અહીં તેમની ઇતિહાસકાર તરીકેની છબિ સ્પષ્ટ થાય છે.
દક્ષિણ આફ્રિકાની સંસ્કૃતિનો રસપૂર્ણ ચિતાર લેખિકાએ અહીં સંપડાવ્યો છે. જોહાનિસબર્ગનું વિશાળ મ્યુઝિયમ જ્યાં દક્ષિણ આફ્રિકા જે બધું છે – દક્ષિણ આફ્રિકા જે બધું હતું – તેનું દર્શન કરાવે છે. ગાંધીજીની સહી સાથે ટાઇપ કરાયેલો પત્ર, સ્ત્રી કલાકારની કલા જેવી અનેક મહત્ત્વની વિગતો લેખિકાએ ઝીણાં નિરીક્ષણોથી આલેખી છે. કરારે શહેરનું સુઘડ કેન્દ્ર ખ્રિસ્તી દેવળનું સ્થાપત્ય, આર્ટ ગેલેરીઓ, ચપુન્ગા શિલ્પોદ્યાનની કલાકૃતિ, પીટરમારિત્ઝબર્ગન સ્ટેશન જ્યાં ૧૮૯૩ના જૂનની સાતમી તારીખે ગાંધીજી ટ્રેનની બહાર ફેંકાયા હતા તેમાં તે તેમની સ્મૃતિમાં ઊભું થયેલું વ્હાઇટ શિલ્પીએ બનાવેલું મહાત્માનું આદરણીય શિલ્પ.
લેખિકાને દક્ષિણ આફ્રિકા જવા માટે જેણે પ્રેર્યા તે ડર્બનનો ફિનિક્સ આશ્રમ, બંને વખતના પ્રવાસમાં આકર્ષણનું ને આરધનાનું કેન્દ્ર બને છે. પહેલી વાર ત્યાં જવું જોખમી જણાતાં ન જઈ શકાયું. પણ ડર્બનના સાંસ્કૃતિક પરિવેશને સાચવતી ઇમારત લેખિકાથી જોઈ શકાઈ.
બીજી વારના પ્રવાસમાં લેખિકા જેને યાત્રાધામ તરીકે ઓળખાવે છે તે મહાત્માના એમના સમયના નિવાસસ્થાન જેનો ‘ફિનિક્સ સેટલમેન્ટ’ તરીકે પુનર્જન્મ થયેલો તે જગાની યાત્રા થઈ શકી.
દક્ષિણ આફ્રિકાના આ સર્વોદય આશ્રમની ઝીણી મોટી વિગતોનું વિસ્તારથી બયાન આપ્યા પછી અંજલિબદ્ધ બનતાં લેખિકા નોંધે છે : ‘જો મનસા, વાચા, કર્મણા માનવતાવાદી મૂલ્યોનું પાલન તે સાચો ધર્મ છે. તો એ નરસિંહ ધર્મનું સેવન જ્યાં થતું રહ્યું હોય તે સ્થાન યાત્રા ધામ છે…’
દક્ષિણ આફ્રિકાના ઇતિહાસ ને સંસ્કૃતિનાં વિગતે થયેલાં વર્ણનો પુસ્તકનો મોટો ભાગ રોકે છે. લેખિકાની આ સફર વિશેષતઃ સાંસ્કૃતિક સફર છે એવું સાર્વત અનુભવાય છે, પણ દક્ષિણ આફ્રિકાની કુદરતનો તાણો પણ ત્યાંના સંસ્કૃતિદર્શનની સાથે વણાતો રહ્યો છે. જોહાનિસબર્ગથી પાછા ફરતાં કોતરો જેવા પર્વતાકારોનું દર્શન કરતાં લેખિકામાં રહેલો સહૃદય જાગ્રત બને છે.
પ્રકૃતિદર્શનથી ઉદીપ્ત થતાં લેખિકા અવારનવાર પર્યંત્સુક બની બેસે છે! પી.ઈ.ના સાગરતટે રહેલાં લેખિકા ઉતારા પર બેસીને વાંચતાં વાંચતાં અનુભવે છે,એમ થયા કરે, કે દરિયો જોવાય એમ રહું. એ તો સંમોહક ને સંવાદી હતી જ પણ માહિરા ઉદંડ હતો… ઉતાયના ઘરની અંદર ગઈ પછી કશું અસહ્ય ના રહ્યું દરિયો યાદ આવતો રહ્યો -તે જ. (પૃ. ૨૨૮)
કૃગરનો નેશનલ પાર્ક તેમાં વિરતા પ્રાણીઓ કુદરતનું નોખું દર્શન કરાવે છે તો ચુમાલાન્ગા વિસ્તારમાં ઉઠેલા આવાસી વન ધ્યાનાકર્ષક બને છે. વાણીમાંથી મનના કેમેરામાં કેદ થાય છે ટેકરીઓ પછી ટેકરીઓ લીલા ઢોળાવોના ઢોળાવો એકાદું ઝરણું થોડા બદામી રંગેલા પર ને સુંદરતાનું સતત સંઘોળા વાહનની ગતિ સાથે દશ્યો છૂટતા વિછૂટતાં જાય વર્ષોથી જેમને યાદ કરીને ઝૂરતાં રહેલા તે સહજ સુંદર વિરચની નેત્રોને ઘડીઓનું સુખ આપી જાય. (પૃ. ૨૯૦)
બીજી વારનો, ૨૦૦૩ના વર્ષનો દક્ષિણ આફ્રિકાની લેખિકાનો પ્રવાસ સતત સંતર્પક બની રહ્યો છે. એમાં વિશેષતઃ આફ્રિકાની કલા, તેનો વન્ય પ્રદેશ, મહાત્માની તપોભૂમિનું દર્શનનું વિગતે નિરૂપણ થયું છે પ્રથમ ખંડમાં આફ્રિકાનો મધ્યભાગ ઝિલાયો છે તો બીજા ખંડમાં તેના કિનારે કિનારે થયેલા પ્રવાસનું આલેખન છે.
પ્રસ્તુત પ્રવાસપુસ્તકમાં પ્રમાણમાં એક પડખે રહી આલેખે છે ગયેલા દેશ પ્રત્યેનું સંવેદન કેન્દ્રમાં હોઈ લેખિકાની વ્યક્તિગત સહાનુભૂતિ તેમાં વિશેષપણે મુખર બનતી જણાય છે. એ દેશની સંસ્કૃતિ ને ઇતિહાસ જ્યાં ગાંધીજીએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે તેના વર્ણનો કાંય અતિ વિસ્તાર પામ્યાં છે પણ આખાય એક અજાણ્યા દેશની રસ પડે તેવી અનેક ઝીણી વિગતો ઝડપી ન ખેડી શકાય એવા દુર્ગમ પ્રવાસને અહીં સૌ માટે સુગમ બનાવી શકવામાં સમર્થ નીવડી છે.
દક્ષિણ આફ્રિકામાં જ ભારતીયો મજૂર તરીકે પ્રવેશેલા તે જ ભારતીયોની ચોથી પેઢી આજે અહીં આખી દુનિયાને સર કરવા નીકળી પડી છે એવા વિભિન્ન વિરોધાભાસોનું આલેખન આફ્રિકાના સાંપ્રત પ્રત્યે આપણને જુદી રીતે જાગ્રત કરવા પ્રેરે એ રીતે લેખિકા આલેખે છે.
બ્લેક લોકોથી એક સમયે અસ્પૃ શ્ય બનેલો આ પ્રદેશ લેખિકાનાં એ દેશ પ્રત્યેનો સંવેદન સાથે સહૃદયોને જોડે છે તેમના આ અંતિમ વિધાનથી બોલતાં બોલતાં મોઢું ભરાઈ જાય તેવા નામવાળો દેશ – દક્ષિણ આફ્રિકા.. કેટલો મોટો ને કેવો સુંદર એની સાથે મારો પરિચય ઘનિષ્ઠ થઈ ગયેલી છે.. અનેકવિધ અનુભવો દ્વારા સ્નેહનાં સૂક્ષ્મ સૂતરથી મારું હૃદય એની સાથે જોડાઈ ગયું છે એને કારણે દુનિયામાં મારું એક ઘર વધ્યું છે ઘેર તો વારંવાર જવાનું જ હોય ને? (પૃ. ૩૧૬)
સૌજન્ય: ‘કચ્છમિત્ર’માં દર બુધવારે પ્રકાશિત થતી કોલમ ‘વાચનથાળ’
ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
ફ્રાંઝ કાફ્કા – જીવતાં ઉવેખાયા, મરણોપરાંત જગતભરમાં પોંખાયા
સંવાદિતા
આપણે એવા પુસ્તકો વાંચવા જોઈએ જે આપણને વીંધે, ઈજા પહોંચાડે, હચમચાવે.
ભગવાન થાવરાણી
એમ કહેવાય છે કે ગત શતાબ્દીઓમાં જન્મેલા ત્રણ જર્મનભાષી યહુદીઓએ પોતાની વિચારસરણી અને અન્વેષણથી માનવજાતના વિકાસ પર દુરંગામી અસર કરી છે. આ મહામાનવો એટલે કાર્લ માર્ક્સ, સિગમંડ ફ્રોઈડ અને આલ્બર્ટ આઈન્સ્ટાઈન. ( જે યહુદીઓનું નિકંદન કાઢવામાં જર્મનીના નાઝી શાસને પાછું વાળીને જોયું નહીં ! ) સાહિત્યના ક્ષેત્રે આવા એક જર્મન યહુદીનું નામ લેવું હોય તો નિ:શંકપણે ફ્રાંઝ કાફ્કાને ( ૧૮૮૩ – ૧૯૨૪ ) ઉમેરી શકાય. હમણાં ૩ જૂને એમના મૃત્યુને સો વર્ષ પૂરાં થયાં. એમના સાહિત્યે વાંચકો અને એમના પછીની પેઢીના સાહિત્યકારોને એ હદે પ્રભાવિત કર્યા છે કે સાહિત્યની પરિભાષામાં એમના નામ પરથી એક શબ્દ પ્રચલિત થયો છે – KAFKAESQUE – કાફ્કાએસ્ક એટલે એક એવી પરિસ્થિતિ જે કાફ્કાની કૃતિઓમાં અવારનવાર આવતી પરિસ્થિતિની જેમ અણગમતી, બિહામણી અને મૂંઝવણજનક હોય.માત્ર ચાલીસ વર્ષની જિંદગી જીવી ઓસ્ટ્રીયામાં ક્ષયરોગથી અવસાન પામનારા કાફ્કાએ વિપુલ પ્રમાણમાં લખ્યું. કરુણતા એ કે એમણે લખ્યું એમાંનું મોટા ભાગનું એમણે પોતે પોતાના હયાતીકાળમાં જ નષ્ટ કરી નાંખ્યું. એ એટલા અંતર્મુખી અને સ્વમાની ( પોતાની વ્યાખ્યા પ્રમાણે ! ) હતા કે મૃત્યુ પહેલાં પોતાનું બચેલું લખાણ પોતાના મિત્ર મેક્સ બ્રોડને એવી સૂચના આપી સુપ્રત કરી ગયા કે એમના મૃત્યુ બાદ એ બધું સળગાવી દેવામાં આવે ! આપણા સૌના સદભાગ્યે એમના મિત્રએ એવું ન કર્યું અને અહીં તહીં વિખેરાયેલું બધું સુગ્રથિત કરી એમના મરણોપરાંત પ્રકાશમાં આણ્યું.
કાફ્કાએ માત્ર ત્રણ નવલકથાઓ ધી કેસલ, અમેરીકા અને ધી ટ્રાયલ લખી. ત્રણેય એમના મૃત્યુ પછી પ્રકાશિત થઈ. એમણે પોતાના પિતાને લખેલો દીર્ધ પત્ર ‘ લેટર ટૂ હીઝ ફાધર ‘ અને એમની ચર્ચિત લઘુ નવલ ‘ ધી મેટામોર્ફોસીસ ‘ એમના જીવનકાળમાં પ્રકાશિત થયાં પણ કોઈએ એની નોંધ લીધી નહીં. એમની ડાયરીઓ, પ્રેમિકાઓ ફેલીસ અને મિલેના, બહેન ઓટલા અને મિત્રો – કુટુંબીઓ- સંપાદકોને લખાયેલા સંકલિત પત્રો પણ સંગ્રહો રૂપે પછીથી છપાયાં. એ ઉપરાંત અનેક ટૂંકી વાર્તાઓ પણ.
એમના સાહિત્યમાં વાસ્તવવાદ કલ્પનામાં એકાકાર થતો જોવા મળે છે. અસ્તિત્વવાદ નામે ઓળખાતી વિચારધારાના પુરસ્કર્તાઓ સોરેન કિર્કગાર્ડ, જ્યાં પોલ સાર્ત્ર, સિમોન દ બુવાર, ફ્રેડરીક નિત્શે, ફ્યોડોર દોસ્તોએવસ્કી વગેરે સાથે કાફ્કાને પણ માનભેર બેસાડી શકાય.
કાફ્કા આજીવન કુંવારા રહ્યા હતા પણ એમને સ્ત્રીઓ સાથેના સંબંધોમાં ભરપૂર રસ હતો. એમણે ત્રણ સ્ત્રીઓ સાથે સગાઈ કરી અને સમયાંતરે તોડી નાંખી. પોતાના શરીરની ક્ષમતા અંગે એમનામાં કાયમી લઘુતાગ્રંથિ હતી. લેખનને એ ‘ પ્રાર્થના – નૃત્ય ‘ કહેતા. એ ચિત્રકાર પણ હતા. ૨૦૨૨ માં એમણે દોરેલા ચિત્રોનું પુસ્તક પણ પ્રકાશિત થયેલ છે.કવિ ડબલ્યુ એચ ઓડેન એમને ‘વીસમી સદીનાં દાંતે’ કહે છે તો ‘ લોલિતા ‘ ના સર્જક વ્લાદિમાર નોબાકોવ એમને એ સદીના મહાનતમ લેખકોમાંના એક તરીકે બિરદાવે છે. એમની ડાયરીમાં ટપકાવેલા એક પરિચ્છેદ ઉપરથી એમની જગતને જોવાની દ્રષ્ટિ સ્પષ્ટ થાય છે :‘ મારી ચાર દિવાલોની અંદર કેદ હું પરદેશ ફેંકાઈ ગયેલા વિસ્થાપિત જેવો છું. મારા કુટુંબીઓ મને વિચિત્ર પરગ્રહવાસીઓ જેવાં લાગે છે. એમની અજાણી રીત- રસમો, વિધિઓ અને ભાષા મારી સમજની બહાર છે. મારી અનિચ્છા છતાં એ લોકો એમની આ વિધિઓમાં ભાગ લેવા મને ફરજ પાડી રહ્યાં છે. હું એમનો સામનો કરી શકતો નથી. ‘એમની કેટલીક ઉક્તિઓ :– ઝુકો નહીં, ઢીલા ન પડો, તમારી વાતને તર્કસંગત બનાવવા પ્રયત્ન ન કરો, રૂઢિ પ્રમાણે તમારા આત્માને ઢાળો નહીં, તમારા ગાંડપણને નિર્દય બની અનુસરો.– પુસ્તક એવું હોવું જોઈએ જે આપણી ભીતરે થીજી ગયેલા બરફને કુહાડી બની તોડે.– ઘણા પુસ્તકો આપણી ભીતરના દુર્ગને ખોલવાની ચાવી જેવાં હોય છે.– જે મુક્ત હોય એ જ ભૂલો પડી શકે.– જેનું અસ્તિત્વ જ નથી એને તીવ્ર રીતે આકાંક્ષીને આપણે એનું સર્જન કરીએ છીએ. કોઈનું ન હોવું એટલે પર્યાપ્ત માત્રામાં ન ઇચ્છવું તે .– રસ્તાઓ ચાલવાથી બંને છે.પોતાના પિતાને એમણે લખેલો દીર્ઘ પત્ર ( જે એમના પિતાએ તો ક્યારેય વાંચ્યો પણ નહીં ! ) એક અનોખી સાહિત્યિક કૃતિ છે. એમાં એમણે પિતાને ‘ કરડા, વ્યવહારુ અને કડક દુકાનદાર ‘ કહ્યા છે, જેમના માટે ભૌતિક સફળતા અને સામાજિક પદ જ સર્વસ્વ હતું. પોતાના જીવનની નિષ્ફળતા અને પોતાને સાહિત્ય તરફ વાળવા માટે પણ એ પિતાને જ જવાબદાર ઠેરવે છે.એમના હયાતિ કાળમાં પ્રકાશિત થયેલી અને શરુઆતમાં સાવ જ ધ્યાને ન લેવાયેલી એમની લઘુ નવલ METAMORPHOSOS – મેટામેર્ફોસીસ – રુપાંતરણ વિષે થોડીક વાતો.
નવલની શરુઆત આમ થાય છે. ‘ એક સવારે જ્યારે ગ્રેગોર સામ્સા એના વિચલિત કરતા સપનાઓમાંથી જાગ્યો ત્યારે એને ખબર પડી કે એ રાતોરાત માણસ મટી એક કદાવર વંદામાં તબ્દીલ થઈ ગયો હતો. ‘ ગ્રેગોર એક ટ્રાવેલીંગ સેલ્સમેન હતો અને એનું માતા, પિતા અને બહેન સહિતનું ઘર એની કમાણી પર ચાલતું હતું.શરુઆતમાં એની લાડકી બહેન એની પરિસ્થિતિ સમજી એની પર્યાપ્ત કાળજી લે છે પણ એના સરમુખત્યાર પિતા ( કાફ્કાના પોતાના પિતાની પ્રતિકૃતિ ! ) એને એના બેડરૂમમાં પડ્યા રહેવાની ફરજ પાડે છે. ગ્રેગોર વાત કરી શકતો નથી. એને સમજાતું નથી કે આ શું થયું ! એની હાલત કથળતી જાય છે. એ ધીમે ધીમે કુટુંબ અને સમાજથી અળગો થતો જાય છે. એનું કુટુંબ પણ વેરવિખેર થતું જાય છે. કુટુંબમાં આર્થિક કટોકટી ઊભી થાય છે. વધારાની આવક ઊભી કરવા નાનકડા ઘરમાં ભાડુઆત લાવવા પડે છે.કુટુંબીઓ ગ્રેગોરથી વિમુખ થતા જાય છે, એની હાલત પ્રત્યે બેદરકાર ! ગ્રેગોર એકલો પડી જાય છે. એનો કમરો એ જ એનું કારાગાર બની જાય છે. આખરે એ એકલો મૃત્યુ પામે છે અને પોતાની યાતનામાંથી છુટકારો મેળવે છે. એનું કુટુંબ એના મૃત્યુને એક પ્રકારની મુક્તિ અને પોતપોતાની જિંદગીમાં પાછા ફરવાની એક તક તરીકે જુએ છે .ગ્રેગોરનું રૂપાંતરણ એક રીતે એના કુટુંબના અસલી ચહેરાની ઓળખમાં પરિણમે છે.
સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
