-
સન બયાલીસના વીરનાયક: જયપ્રકાશ અને લોહિયા
તવારીખની તેજછાયા

પ્રકાશ ન. શાહ
ના, હું એમાં નકરી તારીખી કરામત નથી જોતો, પણ એક સૂચક જોગાનુજોગ જોઉં છું કે જે મહિનામાં ગાંધીનું જન્મ કલ્યાણક છે તે જ મહિનામાં જયપ્રકાશનું જન્મ કલ્યાણક (૧૧-૧૦-૧૯૦૨) છે, અને લોહિયાનું મૃત્યુ કલ્યાણક (૧૨-૧૦-૧૯૬૭) પણ.
જયપ્રકાશ નારાયણ અને રામમનોહર લોહિયા સન બયાલીસના વીરનાયકો છે, અને નેહરુ-પટેલ સહિતના કોંગ્રેસ શ્રેષ્ઠીઓના મુકાબલે એમનાં તેવર ને મિજાજ કંઈક બગાવતી છે. સ્વરાજ સંક્રાન્તિ લગોલગ નેહરુ-પટેલ રાજ્યબાંધણીની જવાબદારી સાહે છે ત્યારે સરકાર બહારની જવાબદારી કોને ભળાવવી, એ સવાલના જવાબમાં ગાંધીને જડેલાં નામો પક્ષપ્રમુખ તરીકે જયપ્રકાશ અગર આચાર્ય નરેન્દ્રદેવના છે, તો મહામંત્રીપદ માટેનું એમનું સૂચન લોહિયાનું છે… ત્રણેય સમાજવાદી! જોકે, કોંગ્રેસ શ્રેષ્ઠીઓને આ નામો સ્વીકાર્ય નથી લાગતાં. લીગ સાથે વચગાળાની સરકાર ચલાવવાના કડવા અનુભવ પછી નેહરુ ને પટેલ, એક અર્થમાં ગાંધીને બાજુએ રાખીને, વિભાજનની અનિવાર્યતા સ્વીકારવા લાગ્યા છે. કોંગ્રેસની બેઠકમાં વિરોધ-સૂર ઉચ્ચારવાની કામગીરી જેપી અને લોહિયા એ સમાજવાદીઓને શિરે આવી છે. કદાચ, ગાંધી નેહરુ-પટેલથી કંઈક છેટું અનુભવી રહ્યા છે અને જેપી-લોહિયાની ઓર નજીક જઈ રહ્યા છે.
બેતાલીસની લોકક્રાંતિ વખતે જેપી-લોહિયાએ નેપાળમાં થાણું જમાવી ‘આઝાદ દસ્તા’ તહેરની લશ્કરી જમાવટની કોશિશ કીધી છે જે સ્વાભાવિક જ ગાંધીમાર્ગ નથી. જોકે, આ અનુભવે કરીને એમને શાંતિમય પ્રતિકારની ગાંધીભૂમિકા સવિશેષ સમજાવા લાગી છે. વચગાળાની સરકારના વારાથી નેહરુ-પટેલ આદિને માથે રાજ્યબાંધણીનો મોડ છે. એ પણ છે તો સ્વરાજ નિર્માણની જ કામગીરી. પણ એથી કંઈ ગાંધીનું લોકાયન છૂટી શકે?
આ લખી રહ્યો છું ત્યારે નવેમ્બર ૨૦૧૬માં ગોવામાં દક્ષિણાયન રાષ્ટ્રીય પરિષદ મળી હતી એનું સ્મરણ થાય છે. દાભોલકર, પાનસરે, કલબુર્ગીની શહાદત અને એવોર્ડ વાપસીના સહજ ઉછાળ સાથે એક એવો રાષ્ટ્રીય મિજાજ બનવા લાગ્યો હતો જેવો ક્યારેક ગાંધીએ ‘કૈસરે હિંદ’ પરત કર્યો કે રવીન્દ્રનાથે નાઈટહુડ પાછું આપવાની હદે વિરોધલાગણી પ્રગટ કરવાપણું જોયું હશે. પરિષદ નિમિત્તે ગોવામાં રવીન્દ્ર ભવનથી કૂચકદમ કરતા અમે સૌ જાહેર સભા સારુ જ્યાં પહોંચ્યાં એનું નામ લોહિયા મેદાન હતું: આ એ મેદાન હતું જ્યાં લોહિયાએ ૧૯૪૬ની ૧૬મી જૂને પોર્ટુગીઝ ચુંગાલમાંથી ગોવાનો મુક્તિનો બુંગિયો બજાવ્યો હતો. વસ્તુત: એ ત્યાં પહોંચ્યા તો હતા, ૧૯૪૨ના બંદીઓ પૈકી કદાચ સૌથી મોડા છૂટેલા બે બંદીઓ પૈકી એકને નાતે કંઈક આરામ માટે.
લાહોર જેલમાં એમણે અને જયપ્રકાશે લાંબા જેલવાસ ઉપરાંત આકરા સિતમનો અનુભવ કર્યો હતો. બ્રિટિશ શાસન સાથે અવિશ્રાન્ત માથાકૂટ કરી ગાંધીએ બંનેને છોડાવ્યા હતા. ગોવામાં લોહિયાએ જોયું કે સામાન્ય કંકોતરી છપાવવા માટે પણ પોલીસ તપાસમાંથી ગુજરવું પડે એ તો ઠીક પણ ખાસ મોઝામ્બિકથી ભરતી કરી ઊભા કરાયેલ પોલીસ દળ થકી આખું એક ત્રાસ તંત્ર કાર્યરત હતું. બુંગિયો બજ્યો ને લોહિયા પકડાયા. નવી દિલ્હીમાં કાર્યરત વચગાળાની સરકાર આ પકડાયા બદલ કંઈક કોકરવરણી હશે પણ ગાંધીએ વાઈસરોય વેવલને લખ્યું ને ‘હરિજન’માં ટિપ્પણી પણ કરી કે ગોવામાં લોહિયા જેલબંધ છે તો ભારતનો મુક્તિવાંછુ અંતરાત્મા પણ જેલમાં છે. પોતાને અભીષ્ટ લોકાયન વાસ્તે ગાંધી તરુણ સમાજવાદી નેતાઓને હૂંફતા ને પાંખમાં લઈ રહ્યા હતા. બન્યું એવું કે છૂટીને લોહિયા ભારતને અડતી ગોવા સરહદે જાગૃતિ માટે ઘૂમી વળ્યા ને વળી પાછા ગોવા-પ્રવેશની તૈયારીમાં હતા ત્યાં તાર કરીને ગાંધીએ એમને પોતાની પાસે બોલાવી લીધા અને બંગાળના શાંતિ મિશનમાં સાથે લીધા.
૧૯૪૮ની ત્રીસમી જાન્યુઆરીએ ગાંધી પટેલ સાથે વાત આટોપી પ્રાર્થના માટે નીકળ્યા. પ્રાર્થના પછી તરત નેહરુ આવવાના હતા અને વળતે દહાડે લોહિયા. બેઉ મુલાકાતો ઈતિહાસના ‘જો’ અને ‘તો’માં રહી ગઈ. ગમે તેમ પણ, ગાંધીને જે આશા-અપેક્ષા હશે લોહિયા પરત્વે, એમાં લોહિયા આબાદ નિમિત્ત બન્યા એ તો અમેરિકામાં માર્ટિન લ્યુથર કિંગના નેતૃત્વ હેઠળની અશ્વેત (આફ્રિકન-અમેરિકન) સમુદાયની નાગરિક અધિકાર ચળવળ માટેના ઈતિહાસધક્કા થકી. ૧૯૫૧માં લોહિયા અમેરિકાના પ્રવાસે ગયા ત્યારે ટેનેસી પંથકમાં એમણે હાઈલેન્ડ ફોક સ્કૂલનીયે મુલાકાત લીધી હતી. અશ્વેત કર્મશીલો માટેની ગ્રીષ્મ શાળાના અભ્યાસક્રમમાં એમણે કહ્યું, ગાંધી ને થોરો ન હોય, સિવિલ નાફરમાની (સવિનય કાનૂન ભંગ) ન હોય એ કેમ ચાલે? પછીનાં વર્ષોમાં અભ્યાસક્રમ સુધર્યો અને એમાંનાં એક કર્મશીલ છાત્રા રોઝા પાર્ક્સે ૧૯૫૫માં પોતાની બેઠક ગોરા સારુ ખાલી કરવાની ના પાડી એમાંથી અલાબામાનો બસ સત્યાગ્રહ આવ્યો. એ માટે બનેલી સમિતિની જવાબદારી કિંગને માથે આવી. લાંબા સત્યાગ્રહ પછી અમેરિકી ફેડરલ કોર્ટે ગોરા-કાળા ભેદવાળી બસ બેઠક વ્યવસ્થા ગેરબંધારણીય ઠરાવી. કિંગની રાષ્ટ્રવ્યાપી ચળવળનો એ આરંભધક્કો હતો.
ગાંધી પછી કોણનો એક જવાબ હોઈ શકતા લોહિયા વહેલા ગયા. પણ ૧૯૭૪-૭૭માં આ પ્રશ્નના ઉત્તર રૂપે જયપ્રકાશ ઉભર્યા: ન નેહરુ-પટેલમાં બદ્ધ – ન લોહિયા-જેપીમાંયે બદ્ધ – ગાંધી, તું અસંભવ સંભાવના છો.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૦૯-૧૦– ૨૦૨૪ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
ગરબાના દોહા
દેવિકા રાહુલ ધ્રુવ
હે….. બુલંદ નાદે, નોબત વાગે, મૃદંગ બાજે, માઝમ રાત,
કસુંબ કોરે, આભની ટોચે, રતુંબ રંગે, સોહત માત.
હે… ચુંદડી ઓઢી, સહિયર સાથે, માવડી નાચે, નવનવ રાત,
ધડક ધડક નરનારી આજે, ખનન ખનન કર કંકણ સાજ.
હે… કંદોરો કેડે, પાઘડી શિરે, દાંડિયા ખેલે,નોરતાની રાત,
રસિયા જાગી, રંગ જમાવે, છલક છલક ગોરી ગુજરાત….
હે… રૂમઝૂમ રૂમઝૂમ ઝાંઝર બાજે, ઝનન ઝનન ઝનકાર.
થનગન થનગન જોબન નાચે, ઠુમક ઠુમક ઠુમકાર.
હે… પનઘટ વાટે, ઈંઢોણી માથે, ઘડુલા સાથે, ઝુમતી નાર,
બાંસુરી બાજે, યમૂના ઘાટે, નટખટ નાચે, ગોકુળ ગામ.
હે… મોબાઈલ મંચે, વોટ્સઍપ વાટે, વિડીયો ઝૂમે અનરાધાર.
મેસેજ ખુલે, ઈમોજી ખીલે, ‘ઝૂમ’પર નાચે નવ નવરાત..
હે…. ગબ્બર ગોખે, ભવાની અંબે, ઘટઘટ ગૂંજે, ‘અપો દીપો’ નાદ
જગજન ચોકે, શક્તિ વેરે, ઝળહળ ઝળહળ, દીવડા હાર…
હે…… આઠમ રાતે, અર્ધા ચંદ્રે, સૃષ્ટિ નાચે, ભૂલી સાનભાન.
ઢોલક નાદે, તાલી તાલે, તન-મન ડોલે, છુમક છુમક છુમછુમ.
હે… છેલછોગાળા, મૂરલીવાળા, નટવર, નટખટ નંદલાલ
નવતર રૂપ ધરી, ફરી અહીં અવતરી, આંતરદીપ પ્રગટાવ..
આ દોહાઓ નીચેની લિંક પર ક્લિક કરવાથી સાંભળી પણ શકાશે
https://www.dropbox.com/l/AAA9J20MSua9xRBOOcOhmFEGxHFc2lO5Of8/forgot_finish
Devika Dhruva.ddhruva1948@yahoo.com
-
રાઈનો પર્વત (૧૯૧૩) – અંક સાતમો: પ્રવેશ ૬

સર્જક : રમણભાઈ મહિપતરામ નીલકંઠ
અંક સાતમો : પ્રવેશ ૫ મો થી આગળ
પ્રવેશ ૬ ઠ્ઠો
સ્થળ : પ્રભાપુંજ મહેલમાંની દરબારકચેરી
[કચેરીમાં વાદ્ય કે સંગીત થતું નથી, તેમ જ કાંઈ શોભા કરેલી નથી. ફરસબંધી ઉપર તેમજ સિંહાસનની બેઠક ઉપર અને છત્રી ઉપર ધોળી કોરવાળાં કાળાં વસ્ત્ર અને કાળી કોરવાળા ધોળાં વસ્ત્ર પાથરેલાં છે. જગદીપ અને તેની જમણી તરફ વીણાવતી સિંહાસને બેઠેલાં છે. વીણાવતીની જમણી તરફ સાવિત્રી, કમલા અને બીજી સ્ત્રીઓ બેઠેલી છે, અને જગદીપની ડાબી તરફ કલ્યાણકામ, પુષ્પસેન, દુર્ગેશ અને બીજા પુરુષો બેઠેલા છે; એવો પ્રવેશ થાય છે.]
પ્રતિહાર : શ્રીમત્ પરમભટ્ટાર્ક પરમમાહેશ્વર પરમભાગવત, સમધીગતપંચમહાશબ્દ સકલસામંતાધિપતિ બાહુસહાય ગુર્જરનરેન્દ્ર શ્રીજગદીપદેવ મહારાજાધિરાજનો જય ! શ્રીમતી મહારાણી વીણાવતી દેવીનો જય ! મહારાજ અને માહારાજ્ઞી સભામાં સર્વનું સ્વાગત કરે છે.
જગદીપ : પ્રતિહાર ! સર્વને જાહેર કરો કે આજની કચેરીમાં ઉત્સવ અને અભિનન્દન બંધ છે.
પ્રતિહાર : (નમન કરીને) જેવો ધરણીધરનો હુકમ. ( દરબારમંડળ તરફ ફરીને મોટેથી) આજની કચેરીમાં ઉત્સવ અને અભિનંદન બંધ છે.
કલ્યાણકામ : મહારાજ ! આવે મંગલ પ્રસંગે આ બધો શોક ન ઘટે.
જગદીપ : ભગવન્ત ! અમારી બે માતાઓની ચિતાભૂમિ હજી ઉની છે તેટલામાં લગ્ન અને રાજ્યાભિષેકની ક્રિયાઓ કરી અમે સ્નેહનો વિચ્છેદ કર્યો છે તેનો તો અમને સાક્ષાત્કાર થવા દો.
કલ્યાણકામ : એ બંને ક્રિયાઓ કરવામાં મહારાજ અને દેવી કર્તવ્ય પારાયણ થયાં છો, અને કર્તવ્ય કરવામાં હર્ષશોકના અન્તરાય લેખાતા નથી. વળી, સંસારની તો એ જ ઘટના છે, કે–
(અનુષ્ટુપ)
ચિતા માતાપિતા કેરી સ્વહસ્તે સળગાવિને,
સંતાનો એ જ જ્વાલામાં ચેતાવે આત્મદીપને. ૯૯આપની ઈચ્છાનુસાર આજે ઉત્સવ અને અભિનન્દન બંધ કર્યાં છે, પણ રાજકાર્યો બંધ થઈ શકતાં નથી. એક રાજકાર્ય ત્વરાથી કરવાનું છે, તે રજૂ કરવાની રજા લઉં છું.
જગદીપ : આપણે યોગ્ય લાગે તે યોગ્ય હોવું જ જોઈએ, અને તે થવું જ જોઈએ.
કલ્યાણકામ : પ્રતિહાર ! બહાર બે અપરાધીઓ છે તેમને અંદર લાવો.
પ્રતિહાર : જેવો હુકમ.
[પ્રતિહાર બહાર જઈ શીતલસિંહને અને મંજરીને લઈ આવે છે.]
કલ્યાણકામ : મહારાજ , આ બંનેનો ન્યાય એમને કહી સંભળાવવા કૃપાવન્ત થશો.
જગદીપ : શીતલસિંહ ! મંજરી ! ભગવન્ત પ્રધાનજીની સલાહ લઈ અમે એ નિર્ણય કર્યો છે કે તમને ક્ષમા કરવી. પુરોહિત મહારાજ પરરાજ્યથી પરોણા આવેલા હતા, માટે તેમને કચેરીમાં આણવા જેટલી પણ શિક્ષા ન કરતાં અમે તેમને પોતાને દેશ મોકલી દીધાં છે. તમે રાજદ્રોહ કર્યો છે, તેની સાથે દેશદ્રોહ કર્યો છે. તમારા સ્વાર્થને માટે પ્રજાને પીડી એક કરોડ દામ ઉઘરાવવા અને દેશમાંથી એક આખું મંડળ કાપી નાખી પરરાજયને આપી દેવા તમે તૈયાર થયાં હતાં. એ મહાઅપરાધ માટે તમને ભારે શિક્ષા ઘટે છે, પણ ઘણા વખત સુધી તમો શીતલસિંહ ઉપર પર્વતરાય મહારાજની કૃપા હતી, અને તમો મંજરી પર લીલાવતી રાણીની કૃપા હતી તે લક્ષમાં લઈ અમે તમને શિક્ષા કરતા નથી. પ્રજામાં તમારી અપકીર્તિ થઈ છે, એ જ શિક્ષા હાલ તમને બસ છે. અને તમે ફરી દ્રોહમાં પ્રવૃત્ત નહિ થાઓ તો તમને બીજી કંઈ શિક્ષા કરવામાં આવશે નહિ. રાજ્યમાં રહેવાની તમને છૂટ છે.
શીતલસિંહ : મહારાજ, આપે કૃપાવન્ત થઈ મારા અપરાધ ક્ષમા કર્યા છે તો વફાદારીની પ્રતિજ્ઞા લેવાની મને રાજા આપશો.
જગદીપ : શીતલસિંહ, તમે પ્રથમ એ પ્રતિજ્ઞા લીધેલી છે તે સાંભરતું હશે.
શીતલસિંહ : (નીચું જોઈને) તે પળાઈ નથી માટે ફરી પ્રતિજ્ઞા લેવા ઇચ્છું છું.
જગદીપ : હવે વફાદાર થવાની દૃઢતા પ્રાપ્ત થાય તે પછી પ્રતિજ્ઞા લેજો.
શીતલસિંહ : મહારાજ, આપ ન્યાયી છો તેથી એક બીજી યાચના કરું છું. પુરોહિત અને મંજરીના હાથમાં મારી બધી દોલત ચાલી ગઈ છે. તેમણે મોંમાગ્યા દામ આપતાં મારી જાગીર પણ ડૂબી ગઈ છે.
જગદીપ : તેઓ કાંઈ પાછું આપે તો તે લેવાની તમને છૂટ છે.
દુર્ગેશ : અને દીકરા-દીકરી પરણાવવાનો તમારો સંકેત પાળવો હોય તો તે પાળવાની તમને છૂટ છે.
શીતલસિંહ : હું ગમે તેવો પણ ગુર્જરરાજનો સામન્ત. તેનો દીકરો તે દાસીની છોકરી સાથે પરણે ! અને, દાસીમાં પણ આવી કુપાત્ર કૃતઘ્ની સ્ત્રીની છોકરી સાથે !
મંજરી : અને, આવા બાયલા અને હિચકારાનો છોકરો તે કેવો નીવડવાનો હતો તે મારી દીકરી એને પરણીને સુખી થાય !
કલ્યાણકામ : સભા વચ્ચે તમારે આવો પરસ્પર દ્વેષ કરવો ન જોઈએ. એક બીજાનો ઇન્સાફ તમારે કરવાનો નથી. તમારા અપુણ્ય સંકેતમાંથી તમે છૂટ્યાં છો એટલું બસ છે.
જગદીપ : શીતલસિંહ ! ભવિષ્યમાં તમારે શું કરવું એ તમારે નક્કી કરવાનું છે, પરંતુ મારો સિદ્ધાન્ત તમને ઉપયોગી થતો હોય તો હું તે દર્શાવું. તમને યાદ હશે કે તે રાત્રે કિસલવાડીમાં મારો ખરો વૃત્તાન્ત મેં તમને જણાવ્યો ત્યારે મેં એક દોહરો કહ્યો હતો.
શીતલસિંહ : હા મહારાજ ! મને તે દોહરો યાદ છે.
(દોહરો)
પ્રભુથી સહુ કંઈ થાય છે, અમથી થાય ન કાંઈ;
રાઈનો પર્વત કરે, પરવતનો વળિ રાઈ. ૧૦૦જગદીપ : પ્રભુના વિધાનને અનુસરતાં હું રાઈનો પર્વત થયેલો બચ્યો અને પાછો રાઈ થયો, તો આજે રાઈનો જગદીપ થયો છું. મારા પિતાની ગાદીએ બેઠો છું, અને દીવ્ય પ્રેમથી મને પાવન કરનારી આ પત્ની પામ્યો છું. ભગવન્ત ! હવે આપના આશીર્વાદનું એક વચન સાંભળી આ સભા વિસર્જન કરીશું.
કલ્યાણકામ : રાજન ! તમારી ઊચ્ચ નીતિ એ જ પરમ આશીર્વાદ રૂપ છે. તો બીજું શું કહું ?
(વસંતતિલકા)
રહેજો સદા સ્મરણમાં પ્રભુનાં વિધાન,
લોકો ગ્રહો પથ ઉંચા અભિલાષવાન;
રાજા પ્રજા ઊભયનાં ઉર એક થાજો,
ને નીતિકીર્તિ તુજ દેશવિદેશ જાજો. ૧૦૧[પડદો પડે છે.]
ક્રમશઃ‘રાઈનો પર્વત’ નાટક આવતા અંકે ‘પરિશિષ્ટ’નાં પ્રકાશન સાથે સમાપ્ત થશે.
સ્રોત : વિકિસ્રોત
-
ફિલસુફીભર્યાં ગીતો – ૨૭ – जीवन चलने का नाम चलते रहो सुबह-ओ-शाम
નિરંજન મહેતા
૧૯૭૨ની ફિલ્મ ‘શોર’નું ગીત છે
जीवन चलने का नाम
चलते रहो सुबह-ओ-शाम
के रस्ता कट जाएगा मितरा
के बादल छट जाएगा मितरा
के दुःख से झुकना ना मितरा
के एक पल रुकना ना मितरा
जीवन चलने का नाम…जो जीवन से हार मानता, उसकी हो गयी छुट्टी
नाक चढ़कर कहे ज़िन्दगी, तेरी मेरी हो गयी कुट्टी
के रूठा यार मना मितरा
के यार को यार बना मितरा
ना खुद से रहो खफा मितरा
खुद ही से बने खुदा मितरा
जीवन चलने का नाम…उजली-उजली भोर सुनाती, तुतले तुतले बोल
अन्धकार में सूरज बैठा, अपनी गठड़ी खोल
के उससे आँख लड़ा मितरा
समय से हाथ मिला मितरा
के हो जा किरण-किरण मितरा
के चलता रहे चलन मितरा
जीवन चलने का नाम…के चली शाम के रंग महल में, तपती हुई दुपहरी
मिली गगन से साँझ की लाली, लेकर रूप सुनहरी
के रात बिखर जायेगी मितरा
के बात निखर जायेगी मितरा
के सूरज चढ़ जाएगा मितरा
काफिला बढ़ जाएगा मितरा
जीवन चलने का नाम…हिम्मत अपना दीन धरम है, हिम्मत है ईमान
हिम्मत अल्लाह, हिम्मत वाहगुरू, हिम्मत है भगवान
के इसपे मरता जा मितरा
के सजदा करता जा मितरा
के शीश झुकाता चल मितरा
के जग पर छाता जा मितरा
जीवन चलने का नाम…छोटा सा इक दीपक है और टीम टीम करती ज्योति
हीरे जैसी आँख से इसके टूट रहे हैं मोती
के नन्हें हाथ जुड़े मितरा, ना इसका बात मुड़े मितरा
अगर ये खो जाएगा मितरा, तो झूठा हो जाएगा मितरा
जीवन चलने का नाम…इक दुआ बस तुझसे माँगूँ, मैं आज बिछा कर पल्ला
मेरे यार की रक्षा करना, कदम-कदम पर अल्लाह
के लब पर यही दुआ मितरा
के बिगड़ी बात बना मितरा
के बेड़ा पार लगा मितरा
तुझे तब कहूँ खुदा मितरा
तुझे तब कहें खुदा मितरा
जीवन चलने का नाम…https://youtu.be/pzhKrjU7aIQ?si=So9tq7U2OOmKGeTd
અવિરત સાઈકલ ચલાવવાની હરીફાઈમાં મનોજકુમાર ભાગ લે છે અને તેને પ્રોત્સાહિત કરવા પ્રેમનાથ, જયા ભાદુરી વગેરે પણ ગીત ગાઈ સાથ આપે છે.
કહે છે કે જીવન તો અવિરત ચાલ્યા કરે છે, અટકવાનું નામ નથી લેતું. જેમાં દુઃખો તો આવે પણ તેની સામે ઝૂકવું નહિ, એક પળ પણ અટકવું નહિ કારણ સમય જતાં દુઃખના વાદળ વિખેરાઈ જશે અને રસ્તો પણ આપોઆપ ખુલી જશે.
જીવનમાં જે સામનો કરવાને બદલે હાર માને છે તેની હાલત બગડે છે. તેને સ્થાને તે હકારાત્મક વલણ અપનાવશે તો તેનું જીવવું સાર્થક થશે. જો તમારો મિત્ર આમ નકારાત્મક પરિસ્થિતિમાં રહેતો હોય તો તેને સમજાવો. મિત્રને મિત્ર બનાવી તમે જ ઈશ્વર બનો.
આગળ કહ્યું છે કે જેમ સવારના પહોરમાં અંધકારને ભેદીને સુરજ પોતાના કિરણો પસારે છે તેમ તું પણ આમ જ જિંદગીને દુઃખમાંથી બહાર લાવી આગળ ધપાવ. વળી સાંજની લાલી પછી રાતનું અંધારૂં ફેલાય તો છે પણ યાદ રહે ત્યાર બાદ ફરી સુરજ આવે છે, દિવસ શરૂ થાય છે અને એમ કાફલો આગળ વધે છે.
કહે છે કે હિંમત જ સર્વેસર્વા છે. તે ધર્મ છે, ઈમાન છે અને ઈશ્વર છે. કહે છે કે તું પણ તેને અપનાવ, તેને બિરદાવ. નીચા મસ્તકે જીંદગી જીવ અને દુનિયામાં છવાઈ જા.
જેમ દીવો એક નાની ચીજ છે અને તેની જ્યોતિ ટમટમતી રહે તે માટે હાથો વડે તેને સંભાળવી પડે જેથી તેની જ્યોત સચવાઈ રહે. તે જ રીતે જીવનમાં પણ આમ જ અન્યોની જ્યોતને તારા હાથોથી સંભાળ કારણ તે બુજાઈ જશે તો તેઓ અર્થહીન બનશે. તે પ્રમાણે તેનો મિત્ર દુઆ માગે છે કે ભગવાન મારા મિત્રની ડગલેને પગલે રક્ષા કરજે અને તેનો બેડો પાર પાડજે.
ઇન્દ્રજીત સિંહ તુલસીનાં શબ્દોને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. ગાનાર કલાકારો છે મહેન્દ્ર કપૂર, મન્નાડે અને શ્યામા ચિત્તર.
Niranjan Mehta
A/602, Ashoknagar(old),Vaziranaka, L.T. Road,Borivali(West),Mumbai 400091Tel. 28339258/9819018295વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com -
ફિલ્મી ગઝલો – ૭૨. રમેશચંદ્ર પાંડે
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
રમેશચંદ્ર ઉર્ફે આર સી પાંડેની જે વિગતો ઉપલબ્ધ છે તદનુસાર એમણે આજની ગઝલોવાળી બે ફિલ્મો ઉપરાંત ભક્ત પૂરણ, ગંગા મૈયા, નવદુર્ગા, જાદુઈ ઝૂલા, રામ હનુમાન યુદ્ધ, રાજયોગી ભર્તૃહરિ જેવી ફિલ્મોમાં ચાલીસેક ગીતો લખ્યા. ધ્યાનુ ભગત, બજરંગ બલિ, કિસાન ઔર ભગવાન, અંજનગઢ, ઊંચનીચ, છોટા ભાઈ, લક્ષ્મી નારાયણ, હનુમાન પાતાલ વિજય, રાજરાની મીરા, જંગ બહાદુર, અનાર બાલા, લવ કુશ, મહાસતી સાવિત્રી અને હરિદર્શન જેવી ફિલ્મોના સંવાદો પણ લખ્યાં. એમના ગીતોમાં રફી – ગીતા દત્તનું ફિલ્મ ‘ નવદુર્ગા ‘ ( ૧૯૫૩ ) નું યુગલગીત ‘ હમ ઔર તુમ જો મિલ ગએ તો ખિલ ગઈ બહાર હૈ ‘ અને મોહમ્મદ રફીનું ફિલ્મ ‘ ભક્ત પૂરણ ‘ ( ૧૯૫૨ ) નું ‘ અંધા મનવા નૈન દિવાને ‘ થોડાક જાણીતા છે. એમના લખેલા કેટલાક ગીતો ઉપરોક્ત બે ફિલ્મોના સંગીતકાર એવા ચિત્રગુપ્તે અને ગુજરાતી મૂળના સંગીતકાર ડી દિલીપ ઉર્ફે દિલીપ ધોળકિયાએ પણ ગાયાં છે.
‘ ઝિંગારો ‘ ( ૧૯૬૩ ) ફિલ્મની વાર્તા પણ એમની હતી. તેઓ ૧૯૮૭ માં અવસાન પામ્યા.
એમની બે ગઝલ જોઈએ –
બતા દિલ કે કફસ મેં ક્યું જવાની ઘુટ કે મરતી હૈ
યૂં હી ઉલ્ફત કે મારોં પર યે દુનિયા ઝુલ્મ કરતી હૈજરા સી જાન હૈ લેકિન યહાં કાતિલ હઝારોં હૈં
કોઈ બેદર્દ ક્યા જાને કે હમ પર ક્યા ગુઝરતી હૈમુહબ્બત મેં મુસીબત હૈ યે કુદરત કી હકીકત હૈ
જહાં પાની બરસતા હૈ વહાં બિજલી ભી ગિરતી હૈઅરી પથ્થર કી દીવારોં મેરે અશ્કોં સે મત ખેલો
ફલક ભી ડૂબ જાતા હૈ ઘટા જબ આ કે ઘિરતી હૈબડા ઝાલિમ ઝમાના હૈ સતા લે જિતના જી ચાહે
કિસી કી કુછ નહીં ચલતી હૈ જબ કિસ્મત બદલતી હૈ..https://youtu.be/d8iS7mj2F-c?feature=shared
– ફિલ્મ : અલ્લાદીન ઔર જાદુઈ ચિરાગ – ૧૯૫૨
– રફી / શમશાદ
– એસ એન ત્રિપાઠીખુલી જો આંખ તો વો થા ન વો મઝાના થા
દહકતી આગ થી, તન્હાઈ થી, ફસાના થાગમોં ને બાંટ લિયા હૈ મુજે યું આપસ મેં
કે જૈસે મૈં કોઈ લૂટા હુઆ ખઝાના થાયે ક્યા કે ચંદ હી કદમોં પે થક કે બૈઠ ગએ
તુમ્હેં તો સાથ મેરા દૂર તક નિભાના થામુજે જો મેરે લહૂ મેં ડુબો કે ગુઝરા હૈ
વો કોઈ ગૈર નહીં, યાર એક પુરાના થાખુદ અપને હાથ સે હમને ઉસી કો કાટ દિયા
કે જિસ દરખ્ત કી ટહની પે આશિયાના થા..( આ ગઝલનો ઓડિયો કે વિડિયો સંસ્કરણ ઉપલબ્ધ નથી )
– ફિલ્મ : અનાર બાલા ૧૯૬૧
– ગાયક : અજ્ઞાત
– બુલો સી રાની
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
માનવ મગજ અને માનવ બુદ્ધિ એટલે શું?
કૃત્રિમ બુદ્ધિ (આર્ટીફિસિયલ ઈન્ટેલિજન્સ-AI)
જગત જતનકર
માનવ મગજ અત્યંત ક્લિષ્ટ વ્યવસ્થા છે. તેમાંના વિવિધ વિભાગો, તેમાંના ૮૬ અબજ ન્યૂરોન્સ (ચેતાકોષો) અને અબજો જોડાણ કઈ રીતે કામ કરે છે તે હજી સુધી પૂરું સમજમાં આવ્યું નથી. વિશ્વભરમાં અજાયબ ગણાતી અનેક શોધોની પાછળ માનવમગજે કામ કર્યું હોવા છતાં કહેવાય છે કે “Brain can not solve it’s own mystery”. માનવશરીરમાં દોઢેક કિલો વજન ધરાવતું મગજ શરીરના વજનનો ૪૦મો ભાગ થાય પણ શરીરમાં વપરાતી ઊર્જાનો ચોથો હિસ્સો એકલું મગજ વાપરી જાય છે. ઊર્જાની આટલી મોટી જરૂરિયાત પૂરી પાડવા તેનો ૬0% હિસ્સો ચરબીનો બનેલો છે.
તેમાં સ્નાયુઓ નથી, તેને હલનચલન કરવાનું નથી પણ શરીરની તમામ પ્રક્રિયાઓ જેવી કે, ઉષ્ણતામાન જાળવવું, ભૂખ-તરસનો અહેસાસ કરવો, અંત:સ્ત્રાવી ગ્રંથિઓ પર નિયંત્રણ રાખવું, અંગો-અવયવોના સ્નાયુ પર નિયંત્રણ, શ્વસન, હૃદયના ધબકાર, ઊંઘ જેવાં આપમેળે થતાં કામો પર નિયંત્રણ, દષ્ટિ-શ્રવણ-સ્વાદ-સુગંધ-સ્પર્શનો અહેસાસ કરવો. ઊંઠ- બેસ કરતા શરીરનું સમતોલન જાળવવું, ભાષા અને બોલવા પર નિયંત્રણ વગેરે તમામ કામો જન્મથી મૃત્યુ પર્યત ને દિવસ-રાત બખૂબી કરે છે.આ ઉપરાંત ભાવનાઓને સમજવી, જીવનભરમાં મળેલી માહિતી અને અનુભવોને સાચવવાનું, તેમનું વિશ્લેષણ કરવું, ગણતરી કરવી, કાર્ય-કારણ સંબંધ સ્થાપવો-સમજવો, તારણ કાઢવું, તેમાંથી બોધ પ્રામ કરવો અને જરૂર પડે યોગ્ય નિર્ણય લેવાનું અને તેને અમલમાં મૂકવાનું તથા તે માટે યોગ્ય કૌશલ્ય પ્રાસ કરી ધાર્યું પરિણામ મેળવવા મથવાનું કામ પણ આખરે મગજ જ કરે છે. સામાન્ય ભાષામાં હૃદય અને મન જેને માટે જવાબદાર ગણવામાં આવે છે તે દાક્તરની ભાષામાં મગજનાં જ
કામો છે. શરીરતંત્રને ચલાવવા સિવાયનાં જે કામોની યાદી ઉપર આપી છે તે એક રીતે બુદ્ધિ છે. દરેક વ્યક્તિની બુદ્ધિ અને તેના વિકાસ માટે માતા-પિતા તરફથી મળેલો વારસો મહત્ત્વનો ભાગ ભજવે છે, તેમ છતાં ઉછેર દરમ્યાનના વાતાવરણ અને તાલીમની અમુક અંશે અસર થતી હોય છે.બુદ્ધિ એટલે શું?
ઓક્સર્ફ્ડના શબ્દકોષમાં કહેવાયું છે કે “બુદ્ધિ એટલે સમજવા, શીખવા અને વિચારવાની ક્ષમતા’. મેરિઅમ-વેબસ્ટરના શબ્દકોષમાં જણાવ્યા પ્રમાણે “બુદ્ધિ એટલે શીખવા કે સમજવા કે નવી પરિસ્થિતિ સાથે પનારો પાડવાની ક્ષમતા’. એમાં બીજો અર્થ છે, “આસપાસના વાતાવરણને બદલવા જ્ઞાનનો ઉપયોગ કરવાની ક્ષમતા’ અથવા “નિરપેક્ષ રીતે વિચારવાની એવી ક્ષમતા જે માપી શકાય’. ખેર, વિવિધ માનસશાસ્ત્રીઓએ બુદ્ધિની વિવિધ વ્યાખ્યા કરી છે.
દરેક બાળક પ્રાકૃતિક રીતે બુદ્ધિ લઈને જ જન્મે છે, તેનાથી તે ઓછા સમયમાં વધુમાં વધુ શીખવા પ્રયત્ન કરે છે. આ શીખને કારણે ભવિષ્યની ઘટનાઓ અને જરૂરિયાતોનો વિચાર કરી આયોજન થાય છે. ભૂતકાળમાં પ્રાસ અનુભવોનો લાભ લેવાની ક્ષમતા આવે છે. તેનાથી સારા-નરસાનો વિવેક કરવાની સભાનતા પ્રાસ થાય છે. પુરુષો અને સ્ત્રીઓને પ્રાસ જન્મજાત બુદ્ધિમાં કોઈ ઝાઝો ફેર નથી પણ દરેક વ્યક્તિ અલગ અલગ રીતે અને માત્રામાં બુદ્ધિ ધરાવે છે. બુદ્ધિનો વિકાસ કિશોરાવસ્થા સુધીમાં થઈ જાય છે. આપણે ત્યાં કહ્યું છે ને કે સોળે સાન અને વીસે વાન !
બુદ્ધિનો પ્રકાર
હોવર્ડ ગાર્ડનર નામના એક માનસશાસ્ત્રીએ ૧૯૮૩માં લખેલ પુસ્તક “frames of mind“માં બુદ્ધિના આઠ પ્રકાર વર્ણવ્યા છે.
૨. શરીર અને અંગમરોડ માટેની બુદ્ધિ : શારીરિક હલચલ અને સ્નાયુઓ પર સારો કાબૂ, રમતોમાં હોંશિયાર, શરીરનાં અંગોનું અદ્ભુત સંયોજન કરવાની ક્ષમતા, સાંભળીને કે જોઈને નહીં પણ જાતે કરીને યાદ રાખવાનું પસંદ કરે.
૩. સંગીત માટેની બુદ્ધિ : ગીત-સંગીતને માણી શકે, અવાજ અને પેટર્નને આધારે વિચારે, સંગીત રચે.
૪. તર્કમય અને ગાણિતિક બુદ્ધિ : ગણિતના દાખલા ફટાફટ ગણે, અઘરી ગણતરીઓ પણ સમજે, એબ્સ્ટ્કેટ વિચારો પર વધુ મગજ ચાલે.
પ. આંતરવ્યક્તિ બુદ્ધિ : બીજાને સારી રીતે સમજે, તંદુરસ્ત દોસ્તી બાંધે ભાવનાત્મક સંબંધો ખૂબ મજબૂત હોય, બે જણ વચ્ચેનાં ઘર્ષણોને સારી રીતે ઉકેલે.
૬. વ્યક્તિકેન્દ્રી બુદ્ધિ : જાતનું નિરીક્ષણ અને આત્મસંશોધન વધુ કરે, પોતાની ક્ષમતા-નબળાઈઓને વધુ સારી જાણે, પોતા માટે ખૂબ જાગૃત રહે, પોતાની ભાવનાઓ માટે સંવેદનશીલ હોય.
૭. ભાષાવૈભવ માટેની બુદ્ધિ : શબ્દો, ભાષા, વાંચન અને લેખનમાં રસ પડે, જાહેર સંભાષણ સારું કરે, સારી રીતે સમજાવી શકે.
૮. પ્રકૃતિ તરફની બુદ્ધિ : પ્રકૃતિના તાણા-વાણા સારી રીતે સમજે. વનસ્પતિશાસ્ત્ર, જીવશાસ્ત, પ્રાણીશાસ્ત્રમાં રસ પડે. પ્રકૃતિની કદર કરે, ખેતી-બાગકામ-પ્રકૃતિભ્રમણને વિશેષ માણે.
અલબત, આવા વર્ગીકરણનાં સ્પષ્ટ ચોકઠાં નથી હોતાં. જેમ મગજનું છે તેમ બુદ્ધિ વિશેના ખ્યાલો હજી સ્પષ્ટ નથી, અને વિકસી રહ્યા છે. નિષ્ણાતોમાં પણ મતમતાંતર પ્રવર્તે છે. પણ ઉપરોક્ત સમજણ એટલા માટે જરૂરી છે કે બુદ્ધિ એટલે માત્ર તાર્કિક, ગાણિતિક અને કોયડા ઉકેલવાની ક્ષમતા નહીં પણ ઉત્તમ સંગીતકાર, ખેડૂત, પક્ષીવિદ્, શિલ્પકાર, ટીમનો કેપ્ટન કે કુટુંબને સાચવતી ગૃહિણી પ્રખર બુદ્ધિશાળી હોય છે! આવી સમજના અભાવે ભ્રમમાં રહેતા લોકો ગણિત-વિજ્ઞાનમાં ઓછા ગુણ લાવનારા બાળકને “ડફોળ’નું લેબલ લગાવી દે છે, આવા બાળકની બુદ્ધિનો સારો ઉપયોગ તેને
રમતવીર કે કવિ કે પ્રકૃતિવિદ્દ બનવાની તક આપવાથી અચૂક થયો હોત! એ દષ્ટિએ બીથોવન, લતા મંગેશકર, સચિન તેંદુલકર, રતન ટાટાને પણ બુદ્ધિશાળી ગણવા જોઈએ; માત્ર સ્ટીફન કોવીન કે રામાનુજનને જ નહીં! દરેકે પોતાની બુદ્ધિ કઈ રીતે અને શેના ભોગે વાપરી તે વાત અલગ છે!બુદ્ધિનો વિકાસ : મગજ અને બુદ્ધિ વિશેની આ છણાવટ કૃત્રિમ બુદ્ધ (AI)ને સમજવાની પૂર્વભૂમિકા રૂપે છે. આ લેખનો હેતુ ટેક્નોલોજી અને માનવજાત વચ્ચેના સંબંધને સમજવા માટે છે, કેળવણી વિશે નથી ; એટલે એ ચર્ચાને અહીં જ રોકીએ. ખેર, ઉત્ક્રાંતિ દરમ્યાન માણસજાતની બુદ્ધિનો વિકાસ થયો છે. મગજના કદનો વિકાસ અને બુદ્ધિના વિકાસને સીધો સંબંધ છે. આદિમાનવ પાદડાં-કંદ ખાઈને જીવતો ત્યારે તેનું જઠર મોટું, આંતરડાં લાંબાં હતાં અને મગજ નાનું હતું! બુદ્ધિના વિકાસને લીધે જ તેણે સાધનો (Tools) શોધ્યાં, પૈડું શોધ્યું, અમિનો ઉપયોગ કરતો થયો.
આ સાધનોના વિકાસમાંથી ધીરે ધીરે ટેક્નોલોજીનો વિકાસ થયો. તેનો પોતાનો એક અદ્ભુત ઇતિહાસ છે. આજે વિજ્ઞાનની વિવિધ શાખાઓને આધારે મંગળ પર પહોંચવાથી માંડી, જનીન ઈજનેરી થકી ડિઝાઈનર બેબી વિકસાવે, લંડનમાં બેઠેલા દાક્તર દિલ્હીની હોસ્પિટલના ઓપરેશન થિએટરમાં સૂતેલા દર્દીનું ઓપરેશન કરે અને મીઠી વીરડીના અણુમથક સામે વ્યૂહાત્મક આંદોલન થકી યોજના પડતી મુકાય તે બધા જ અલગ અલગ રીતે બુદ્ધિના આવિર્ભાવ ગણાય! અલબત્ત, બુદ્ધિ સિવાયનાં ય પરિબળો જરૂર કામ કરતાં હોય છે! આમ, ઉત્ક્રાંતિ દરમ્યાન માનવબુદ્ધિનો ક્રમશઃ વિકાસ થયો અને આજે એ જ માનવબુદ્ધિ કૃત્રિમ બુદ્ધિનો પણ એવો વિકાસ કરવા માંડી છે કે એ બે વચ્ચે હરીફાઈ થઈ શકે!
સાભાર સૌજન્યઃ ભૂમિપુત્ર, ૯ ઓગસ્ટ ૨૦૨૩
-
ત્યારે અને અત્યારે : પોસ્ટકાર્ડ સામે વૉટ્સએપ
પરેશ ૨. વૈદ્ય
માણસજાતની કોઈ પણ બે પેઢીઓ વચ્ચે વિચારોનું અંતર રહ્યું જ હશે. તેની સાથે સુખસગવડો અને સામજિક વ્યવહારો વચ્ચે પણ અંતર હશે – ૫છી એ બે પેઢી ન્યૂ યોર્કની રહેવાસી હોય કે ડાંગના અદિવાસીની હોય. “જનરેશન ગૅપ’ એ શબ્દ આમ કાલજયી અને સ્થાનજયી છે.
આટલું જાણ્યા પછી એવું કહેવાની ઇચ્છા છે કે જે પેઢી અત્યારે ભારતમાં તેના સંધ્યાકાળમાં છે તેણે પોતાના એક જીવનકાળમાં જેટલા સામજિક અને ટૅક્નૉલૉજિકલ ફેરફારો જોયા છે તેટલા કોઈ પેઢીએ ક્યાંય નહીં જોયા હોય. આ વાત એ નાગરિકોની છે જેમની ઉંમર ૬૫થી ૮૦ વર્ષની વચ્ચે છે, અથવા કહો કે જેઓ ૧૯૫૫થી પહેલાં જનમ્યા હોય.
આની પાછળ અરસપરસ ગૂંથાયેલાં બે કારણો છે : એક તંત્રવિદ્યાને લગતું અને બીજું રાજકીય. વીસમી સદીના પૂર્વાર્ધમાં વિજ્ઞાને ઘણી મોટી ફાળ ભરી હતી. તેનું ટૅક્નૉલોજિમાં રૂપાંતર બીજા વિશ્વયુદ્ધને કારણે વધારે ઝડપથી થયું. સદીના ઉત્તરાર્ધમાં એ સતત થતું રહ્યું. એને કારણે દૈનિક જીવનમાં થતાં પરિવર્તન તો આખી દુનિયામાં થતાં હતાં. તેમાંથી સૂક્ષ્મ ઇલેક્ટ્રોનિક્સ અલગ ચર્ચાનો વિષય છે. પરંતુ ભારતના સંદર્ભમાં ખાસ બાબત એ કે આપણી આઝાદી વિશ્વ યુદ્ધ પછી તુરંત એ અરસામાં આવી. એટલે આર્થિક અને સામાજિક નિર્ણયો લેવાની રીતમાં અચાનક ફેરફાર થયો. વહીવટી વ્યવસ્થા ઉપર આપણો પોતાનો કાબૂ હોવાથી ટૅક્નૉલોજિના ઉપયોગ માટેની નીતિઓ પાછી સમાજલક્ષી બની.
નવા દેશના નવા રાજનેતાઓની સાથોસાથ નોકરશાહીને પણ ઉત્સાહ હતો કે “આપણા’ લોકોની જિંદગીમાં કશુંક એવું ઉમેરીએ જે ગુલામ દેશમાં ન હતું. પરદેશની ટૅક્નૉલોજિને અહીં આવતાં પચાસ વર્ષ થઈ જતાં તે સમયગાળો ક્રમે ક્રમે ઘટીને ર૦ વર્ષ થઈ ગયો (૧૯૯૧ પછી તો આ ગૅપ વધુ ઘટ્યો છે.) આઝાદી વખતે આપણા દૈનિક જીવનમાં વીસમી સદીની શરૂઆતની જ ટૅક્નૉલોજિ પ્રાપ્ત હતી. ઘરમાં વીજળી, રેડિયો, ટેલિફોન, વિમાનયાત્રા એ બધું હતું જ નહીં એમ કહી શકાય. પરંતુ ૧૯૫૫-૫૭ પછીથી ચિત્ર ઝડપથી બદલાયું. અપણે વાત કરીએ છીએ એ પેઢી શાળામાં આવી અને પરિવર્તનને આત્મસાત્ કરતી ગઈ. ટેક્નૉલોજિની એ તાકાત છે કે એ સામજિક જીવન અને સમીકરણો ઉપર પણ અસર પાડે જ છે. બા૫ અને દીકરો સાથે મળીને રેડિયો પર (આજે તો ઓનલાઈન) કૉમેન્ટરી સાંભળે એવું તેથી અગાઉની પેઢીમાં વિચારવું પણ અશક્ય હતું.
આને કારણે જ કહ્યું કે આ જ વયગટના હોઈ બીજા દેશના નાગરિકોએ જોયાં હોય તેથી વધું વ્યાપનાં પરિવર્તન ભારતની એ પેઢીએ જોયાં,. ૧૯૫૩ થી ૨૦૧૩ની વચ્ચે શબ્દશઃ જમીન-આસમાનનો ફરક છે. જીવન અમુક ક્ષેત્રોમાં તો પરિસ્થિતિ જાણે સામસામા છેડાની જ છે. કદાચ એમ કહી શકાય કે ૭૫ વર્ષમાં આટલો પરિવર્તનનો અનુભવ બીજી કોઈ પેઢીને નહીં થાય. પરંતુ એ તો સમય જ કહી શકે.

યોગાનુયોગ આ લખનારની ઉંમર પણ આશરે ભારતીય ગણતંત્ર જેટલી જ હોવાથી તે પણ ચર્ચા હેઠળની પેઢીનો ભાગ છે. અમારી પેઢીને પાછળ નજર કરતાં મુસાફરી એકદમ રોમાંચકારી લાગે છે. આરોગ્ય, સંદેશવ્યવહાર, વાહન વ્યવહાર, મનોરંજન, વગેરે બધાં ક્ષેત્રે ત્યારની પરિસ્થિતિ અત્યારે દંતકથા જેટલી જુદી લાગે છે, પરંતુ એ જ રોમાંચ છે. તેની વાત કરવામાં આવે તો નવી પેઢીના વાચકને જરૂર આશ્ચર્યનો અનુભવ થાય.
એ હેતુથી “ત્યાર”ની “અત્યાર’ જોડે સામાજિક અને વ્યક્તિગત સંદર્ભમાં તુલના કરવાની આ લેખમાળામાં નેમ છે.
+ + +
પોસ્ટકાર્ડ સામે વૉટ્સએપ
એક વખત જીવનનું મહત્ત્વનું અંગ હતું તે ટપાલ વ્યવસ્થાને ઇન્ફર્મેશન ટૅક્નૉલોજિની ક્રાન્તિએ કેવી અદૃશ્ય કરી દીધી તેની વાત આજે કરીશું.

રતુભાઈ સ્ટેશને ઊતર્યા અને ભત્રીજાને શોધવા આમતેમ નજર ફેરવતા હતા ત્યાં જ મોબાઇલ રણક્યો — “કાકા, મારાથી આવી નથી શકાયું. પરંતુ ચિંતા ન કરતા, મેં ઉબેર ટૅક્સી બુક કરી છે. એમ કરો, એન્જિન તરફનો દાદરો લઈ પહેલા પ્લેટફૉર્મ પર આવી જાઓ. “એક્ઝિટ’નીસામે જ ફલાણા નંબરની ટૅક્સી હશે. ત્યાં પહોંચો ત્યાં સુધી ઓટીપીનો મેસેજ કરું છું.”
કોઈ તકલીફ ન થઈ. રતુભાઈએ પચાસ વર્ષની ટૅક્નૉલોજિ યાત્રા કરી હતી એટલે ટૅક્સી શોધીને ઓટીપી આપવાનું તો કરી જ શક્યા. ગાડીમાં બેઠાં બેઠાં એમના મનમાં “ફ્લેશ બૅક’ ચાલ્યો.
ગઈ સદીના પચાસના દાયકામાં પોતાના મામા ગામથી મુંબઈ આવેલા ત્યારે ખાસ્સું નાટક થયેલું. મોબાઇલ તો. શું સાદા ટેલિફોન પણ બધાને ઘેર હતા નહીં. માત્ર ટપાલનો જ આધાર હતો. ટપાલ મળતાં ૫-૭ દિવસ થાય એ ધ્યાનમાં રાખીને જ કાર્યક્રમ ઘડવાનો રહેતો. મામાએ ૨૦ દિવસ પહેલાં જ કાગળ નાંખી પુછાવેલું કે ગામમાં તો હોઈશું ને? બાપુજીએ જવાબમાં એ પણ લખ્યું કે પોતે સ્ટેશને લેવા જશે.
ત્યારે રિઝર્વેશનની પ્રથા તો હતી નહીં. એટલે મહેમાન કયા ડબ્બામાંથી ઊતરે તે નક્કી નહીં. ટ્રેન પ્લેટફોર્મ પર આવે એટલે ગાડીની બારીમાંથી આવનાર વ્યક્તિ ડોકું કે હાથ બહાર કાઢી ધ્યાન ખેંચે. એટલે આપણે ડબ્બા જોડે દોડતાં જવાનું. બાપુજી સ્ટેશને પહોંચે તે પહેલાં ટ્રેન આવી. ગઈ, એટલે મામા મળ્યા નહીં. પ્લેટફૉર્મ પર અરધો કલાક આંટા મારી બાપુજી નિરાશ થઈ ઘરે આવ્યા. તેમની પાછળ તુરત સામાન ઢસડતા મામા પણ પહોંચી આવ્યા. બે સામસામા ક્રૉસ કેમ થાઈ ગયા એની દલીલો બે દિવસ ચાલી.
બધાંને આવો અનુભવ ક્યારેક તો થતો જ.
મોબાઇલના જમાનામાં આવો પ્રસંગ પડતો નથી. આમેય પોસ્ટકાર્ડમાં જેટલું લખાય એટલું તો હવે એસએમએસ કે વોટ્સએપમાં લખી જ શકાય છે. ટિકિટ લેતાં અગાઉ કરવાની ચોખવટો ૧૫-૨૦ મિનિટમાં થઈ જાય છે; વીસ દિવસની તૈયારી નથી લાગતી.
પણ અહીં પહોંચતાં સુધીની સંદેશવ્યવહારની યાત્રામાં ઘણા પડાવ આવ્યા છે. એ ટચૂકડા પોસ્ટકાર્ડે જ દાયકાઓ સુધી રાજ કર્યું. અંગત સંબંધો તેમ જ વેપાર-ધંધામાં ટપાલ વ્યવસ્થા એ એકમાત્ર કડી હતી.
એક વાર કાગળ લખ્યો તો ૧૦-૧૨ દિવસ પછી તેના જવાબની રાહ જોવાનું શરૂ થતું. નોકરીની અરજી હોય કે વેવિશાળની વાત હોય, ઉત્કટતા એવી જ રહેતી જેવી આજે વૉટ્સએપ સંદેશો ચૂક્યા પછી ૧૦-૧૨ મિનિટમાં જવાબની તાલાવેલીમાં જોવા મળે છે! ટપાલ દિવસમાં બે વાર આવતી. ગલીને નાકેથી ટપાલી દેખાય કે ડોક ખેંચાતી, શું આપણા દરવાજે પણ આવે છે? ન આવે તો જે નિરાશા થતી તેનું નિરૂપણ ધૂમકેતુની વાર્તા “પોસ્ટ ઓફિસ’માં બરાબર થયું છે. ગાડીવાન અલી શિયાળામાં સવારે રોજ ત્યાં જઈ દીકરી મરિયમના કાગળની પૂછા કરતો.
આ કેટલું વાસ્તવિક છે તેનો એ પેઢીમાં બધાને અનુભવ હતો. ૧૯૬૦માં મોટાબહેનનાં લગ્ન મુંબઈ કર્યા. તે વખતે ભુજ સ્ટેશને જઈ જાનને વળાવી આવ્યા પછી વડીલો ગણતરી કરતા રહેતા, “આજ નીકળ્યાં, કાલે સાંજે પહોંચશે. પરમ દિવસે કદાચ ટાઇમ ન મળે તો બુધવારે કાગળ લખશે. આવતા સોમવાર
સુધી આવવો જોઈએ’. એટલે આઠ દિવસ સુધી ચિંતાને દબાવી દેવાની આ યુક્તિ. આમાં એ વાતની તો ગણતરી નહીં કે નવા ઘરમાં વહુને કાર્ડ કે કવર કોણ લાવી આપશે, પોસ્ટ ઓફિસ કેટલી દૂર હશે, વગેરે. આવું તો દરેક અગત્યના પ્રસંગે થાય. મન મનાવીને જીવનમાં ધીરજ રાખવાની ફરજિયાત ટ્રેનિંગ મળતી રહેતી. ટૅક્નૉલોજિએ એ સાધનાની તક છીનવી લીધી છેસદભાગ્યે ટપાલ પાછળની લાગણીઓને એ ખાતું બરાબર સમજતું. અંગ્રેજોએ જડબેસલાક વ્યવસ્થા બનાવી હતી. ધીમા વાહનવ્યવહારને કારણે ટપાલ મોડી મળે તે ખરું, પણ ગેરવલ્લે જવી તે અપવાદ હતો. બધા ટપાલી ડિલિવરી કરીને પાછા આવે ત્યારે પોતપોતાના ખાખી થેલાઓને ઊંધા કરી, ઝાટકીને ગડી કરવાનો નિયમ હતો. આ સાદી વ્યવસ્થાથી ખાતરી થતી કે કોઈ પતાકડું ભૂલથી ય રહી ન જાય.
આમ છતાં, કોઈ પત્ર ગેરવલ્લે જાય તો તેની ભાળ કાઢવાનીય વ્યવસ્થા હતી. જેને “ડેડ લેટર ઓફિસ’ કહેતા.

“એ… તારવાળો…‘”
રગશિયાં ગાડાની ટપાલવ્યવસ્થામાં સંદેશા ઝડપથી મોકલવા માટે પણ વ્યવસ્થા હતી. તેને “તાર’ (ટેલિગ્રામ) કહેતા. “હતી” એવો ભૂતકાળવાચક શબ્દ વાપર્યો છે, કારણ કે, છેલ્લાં ૧૦ વર્ષથી તાર ખાતું બંધ કરાયું છે. શરૂઆતમાં તાર મૉર્સની સંજ્ઞાઓ વાપરીને મોકલાતા. લખવામાં એ ટપકાં અને લીટીનાં મિશ્રણથી બનેલ બારાખડી, છે, પણ વ્યવહારમાં એ વીજળીનો ‘“કૉન્ટેક્ટ’ ટૂંકા અને લાંબા સમય માટે પકડી રાખવાથી થતો અવાજ છે. એક છેડે તાર માસ્તર ઇલેક્ટ્રિક ચાંપને દબાવીને આવા અવાજ પેદા કરે અને સામે છેડે કાન ઉપર ભૂંગળું મૂકી બેઠેલ તાર માસ્તર અવાજની શ્રેણી પરથી અક્ષર ઓળખી ઝડપથી શબ્દો લખતો જાય. ટૅક્નૉલોજિને નિચોવીને પણ પોતાની જિંદગી સુધારવાના માણસના સ્વભાવનું આ જૂનું ઉદાહરણ. પછી તો ટેલિપ્રિન્ટર આવ્યાં, ડિજિટલ સંદેશા આવ્યા.તાર વિશે ક્યારેક રમૂજી તો ક્યારેક કરુણ ઘટનાઓ બનતી. તાર મૂકવાનો ખર્ચ શબ્દોની સંખ્યા પ્રમાણે લેવાતો. એટલે તેનો ડ્રાફ્ટ બનાવનારા ટૂંકાણમાં કેટલું વધારે કહી દેવાય તેની ભાંજગડમાં રહેતા. અને તેમાંથી ગોટાળા પણ થતા. (આજે the ને “d’ કે andને n’ લખનારી પેઢીને આ વાત સમજાશે!) એવી ટૂંકી ભાષાને “ટેલિગ્રાફિક’ ભાષા કહેતા.
તાર મોડો પડે તો તેનાથી પહેલાં મહેમાન ઘરે આવી જાય તેવું ય બનતું. કોઈ તેનાથી હસતું તો કોઈ ગુસ્સે થતું. રાત્રે ૧૧ વાગ્યા પછી જો ડેલીએ “એ… તારવાળો…” એવી બૂમ પડે તો ધ્રાસ્કો પડતો. કારણ,
આવી કવેળાએ તારવાળા માત્ર મરણના સમાચાર દેવા માટે જ ડ્યૂટી કરતા.ભારતનો છેલ્લો તાર ૧૪મી જુલાઈ ૨૦૧૩માં થયો – એ હતો સંદેશવ્યવહાર ખાતાના પ્રધાન શ્રી કપિલ સિબ્બલ જોગ, એ વિનંતી કરવા માટે કે “તાર ખાતું બંધ ન કરવું!”
પહેલાં ઇ-મેઇલ અને પછી મોબાઇલે ટપાલ ખાતાનું કામ ક્રમશઃ ઘટાડી નાંખ્યું.
કુરિયર વ્યવસ્થા આમ તો ટપાલ જ છે, પણ એમાંથી ઉત્કંઠા અને સંતોષના એ ભાવ નથી નિષ્પન્ન થતા જે ગઈ સદીમાં ટપાલીના આગમનથી થતા. લેખની શરૂઆતમાં જોઈ તેવી રતુભાઈ અને તેના યજમાનની મુશ્કેલીઓ પણ હવે નથી જ. ઊલટું, આજે તો લોકો ઘેરથી સ્ટેશન જવા નીકળે ત્યારથી “સ્ટેટ્સ’ આપવા લાગે છે. એમણે ભજિયાં ક્યાં લીધાં અને “ચાય’ કયે સ્ટેશને પીધી તેની ય તમને ખબર રહે છે. છેવટે ટ્રેન પહોંચી આવે ત્યારે પ્લેટફોર્મ ઉપર એક કાને મોબાઇલ અને બીજો હાથ દૂરથી હલાવી સામસામી હાજરી દેખાડતા લોકો જરૂર દેખાય છે.
સૌજન્ય: નવનીત સમર્પણ | જૂન ૨૦૨૪
ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક prvaidya@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
‘જીવો જીવસ્ય ભોજનમ્’ માણસને પણ લાગુ પડે
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
પ્રાચીન સમયમાં લોકો માનતા હતા કે પૃથ્વી સ્થિર છે, અને સમગ્ર બ્રહ્માંડ તેની ફરતે ચકરાવા લે છે. પછીના યુગમાં વિવિધ સંશોધનોને પગલે વાસ્તવિકતાની જાણ થઈ કે હકીકતમાં પૃથ્વી સૌર માળાનો એક ગ્રહમાત્ર છે અને બીજા અનેક ગ્રહોની જેમ તે પણ સૂર્યની ફરતે ચકરાવા લે છે. અલબત્ત, આ વૈજ્ઞાનિક સત્ય થયું. માનવજાતે ઉત્ક્રાંતિ કરવા માંડી એ પછી ઊત્તરોત્તર તે પૃથ્વી પરના વિવિધ સ્રોતોનો ઊપયોગ કરતો ગયો અને આખરે તે એ રીતે વર્તતો થયો જાણે કે પોતે બ્રહ્માંડના કેન્દ્રમાં છે અને સમસ્ત બ્રહ્માંડ પોતાના માટે સર્જાયું છે. એવા કયા પ્રાકૃતિક સ્રોત માનવની નજરથી બચ્યા હશે કે જેનું તેણે નિકંદન ન કાઢ્યું હોય? હવે તો વિજ્ઞાનને લઈને એ પણ ખબર પડે છે કે આ કૃત્યોનાં દુષ્પરિણામ કેવાં હશે, છતાં તેની એ વૃત્તિમાં કશો ફેરફાર થતો જણાતો નથી.

બગલાની ચાંચમાં માછલી અને એ માછલીના મોમાં બીજી માછલી – તસવીરઃ Ernie Aranyosi સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી
એનું છેલ્લામાં છેલ્લું ઉદાહરણ એટલે નામિબિયાની સરકારે કરેલી ઘોષણા. આફ્રિકાની દક્ષિણે આવેલા આ દેશમાં દુષ્કાળ સામાન્ય બાબત છે, કેમ કે, આ પ્રદેશ તદ્દન સૂકો અને બિનફળદ્રુપ છે. અગાઉ ૨૦૧૩, ૨૦૧૬ અને ૨૦૨૯માં દુષ્કાળને કારણે અહીં રાષ્ટ્રીય કટોકટી ઘોષિત કરવામાં આવી હતી. અલબત્ત, આ વર્ષનો એટલે કે ૨૦૨૪નો દુષ્કાળ વ્યાપક અને વિનાશક બની રહ્યો છે. ઑક્ટોબર, ૨૦૨૩માં બોત્સવાનાથી આરંભાયેલી દુષ્કાળની પરિસ્થિતિ એન્ગોલા, ઝામ્બીઆ, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં પ્રસરતી અને તીવ્ર બનતી રહી છે. આફ્રિકાના મોટા ભાગના દક્ષિણ વિસ્તારમાં આવી પરિસ્થિતિ વ્યાપેલી છે.
આટલી ગંભીર પરિસ્થિતિ પેદા થવાનું મુખ્ય કારણ અલ નીનો છે. તેને કારણે વિશ્વના ઘણા પ્રદેશોમાં અતિશય ગરમી અને સૂકું હવામાન જોવા મળી રહ્યું છે. આ વિસ્તારમાં સાત વર્ષ પછી, ૨૦૨૩માં અલ નીનોને કારણે સરેરાશ કરતાં વધુ તાપમાન અને લઘુત્તમ વરસાદ જોવા મળ્યાં છે, જેને પરિણામે દુષ્કાળ સર્જાયો છે. ચિંતાજનક બાબત એ છે કે જળવાયુ પરિવર્તનને કારણે દુષ્કાળ, પૂર એવી આત્યંતિક પરિસ્થિતિઓ વારેવારે અને તીવ્રતાપૂર્વકની જોવા મળી રહી છે.
આ તો જાણે કે પરિણામ અને એનાં કારણ થયાં. ઊકેલનું શું? આફ્રિકાના દક્ષિણ ભાગની આશરે ૧૪ લાખની વસતિને ખોરાક પૂરો પાડવા માટે નામિબિયાએ કુલ ૭૨૩ વન્ય પશુઓને હણવાનો નિર્ણય લીધો છે. આમાં ૩૦ હિપ્પોપોટેમસ, ૬૦ ભેંસો, ૫૦ હરણો, ૧૦૦ બ્લુ વાઈલ્ડ બીસ્ટ (એક પ્રકારનું કાળિયાર), ૩૦૦ ઝેબ્રા, ૮૩ હાથીઓ અને ૧૦૦ ઈલેન્ડ (એક પ્રકારનું હરણ)નો સમાવેશ થાય છે.
દુષ્કાળની પરિસ્થિતિ વિશે જાણીને દુ:ખ અવશ્ય થાય, પણ આટલાં પ્રાણીઓની હત્યા કરવાની વાતે હાયકારો નીકળી ન જાય તો જ નવાઈ! નામિબિયાના પર્યાવરણ, વન અને પ્રવાસન ખાતાના મંત્રીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ‘આ કવાયત જરૂરી છે, અને અમારા નૈસર્ગિક સ્રોત નામિબિયાના નાગરિકોના લાભાર્થે વાપરી શકાય એવી બંધારણીય જોગવાઈ સાથે સુસંગત છે.
એવું નથી કે સરકાર કેવળ માંસ માટે આ પ્રાણીઓનો શિકાર કરાવે છે. સરકારને ડર છે કે દુષ્કાળને કારણે પ્રાણીઓએ ખોરાકપાણીની શોધમાં સ્થળાંતર કરવું પડશે, જેને કારણે માનવવસ્તિ સાથે ટકરાવના તેમના બનાવ વધશે. આ દેશમાં ચોવીસેક હજાર હાથીઓ છે, જે વિશ્વની સૌથી વધુ વસતિ ધરાવતા દેશ પૈકીનો એક કહી શકાય. પર્યાવરણ, વન અને પ્રવાસન મંત્રાલય અનુસાર કેટલાંક પ્રાણીઓનો શિકાર કરવાથી તેમની પર દુષ્કાળની અસર ઓછી પડશે. ઘાસ અને પાણીના વ્યવસ્થાપન પર આવતું દબાણ પણ તેનાથી ઘટશે.
આહાર માટે પશુઓને મારવાની નવાઈ નથી. ઝેબ્રા, હરણ જેવાં પ્રાણીઓ સામાન્ય સંજોગોમાં પણ આ વિસ્તારમાં શિકાર કરીને ખવાતાં હોય છે. છતાં આ પરિસ્થિતિ વધુ પડતી તીવ્ર કહી શકાય. સ્વાભાવિકપણે જ આ નિર્ણયની ટીકા થઈ રહી છે. અમુકનું કહેવું છે કે આ અભિગમ કરુણ અને ટૂંકી દૃષ્ટિનો છે. વન્ય પશુઓને મારવાથી દેશની ખોરાકની અછત ઘટે નહીં. બલકે એનાથી જૈવ પ્રણાલિ અસરગ્રસ્ત થશે અને જોખમગ્રસ્ત પ્રજાતિઓ વધુ જોખમગ્રસ્ત બનશે. જૈવ સંતુલનની જાળવણીમાં આટલા મોટા પાયે પ્રાણીઓનો સંહાર કરવાથી તેનાં વિપરીત પરિણામ આવી શકે.
નામિબિયા તરફથી વારંવાર ત્યાંની ભીષણ પરિસ્થિતિની વાત આગળ ધરવામાં આવે છે, જે સાચી છે, અને તેઓ પોતાના આ પગલાને બંધારણીય રીતે વાજબી ગણાવે છે. વિશ્વના વિવિધ લોકોએ તેમને વૈકલ્પિક ઊકેલ વિચારવા કહ્યું છે, પણ પરિસ્થિતિ વધુ ગંભીર છે. વિચારણાની સ્થિતિ ક્યાંય પાછળ રહી ગઈ છે અને હવે નક્કર પગલાંનો વખત આવી ગયો છે.
એક અહેવાલ મુજબ અનંત અંબાણીના સ્વપ્નપ્રકલ્પ ‘વનતારા’એ નામિબિયાના હાઈ કમિશ્નરને આ મામલે સહાયની દરખાસ્ત કરતો પત્ર લખ્યો છે. એ પછી શું થયું એ વિશે જાણકારી જોવા મળતી નથી.
દરમિયાન નામિબિયાના નાગરિકો આ નિર્ણયથી વ્યથિત છતાં તેને જરૂરી માને છે એમ જણાયું છે. પોતાનાં બાળકો ભૂખે મરતાં હોય ત્યારે તેમને ખોરાક આપવાની જોગવાઈની પ્રાથમિકતા હોય એ સમજાય એવું છે. આટલે દૂર બેસીને, વાસ્તવિક પરિસ્થિતિને નજરે જોયા વિના તેના વિશે કંઈ કહેવું મુશ્કેલ છે. પણ એક હકીકત વારેવારે પુરવાર થતી આવી છે કે પર્યાવરણ સાથેનાં ચેડાં માનવજાતને ભારે પડી રહ્યાં છે, છતાં એ સુધરવાનું નામ લેતો નથી. વિકાસની આંધળી અને અંતહીન દોટ કેવું ભયાનક પરિણામ લાવી શકે એનો જીવતોજાગતો દાખલો નામિબિયાનો વર્તમાન સ્થિતિને ધ્યાને રાખીને કરાયેલો નિર્ણય છે.
ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૦૩ -૧૦ – ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
બિહાઈન્ડ ધ ટાઈમ્સ – પરદા પાછળનાં પાત્રોની માર્મિક યાદોઃ બચી કરકરિયાની નજરે :: [૬]
નરેશ પ્ર. માંકડ
મણકો [૫]થી આગળ
કિંગશુક નાગ અમદાવાદ આવૃત્તિના રેસિડન્ટ એડિટર હતા ત્યારે ૨૦૦૨ના રમખાણોના અહેવાલને કારણે એક્ઝિક્યુટિવ એડિટર શેખર ભાટિયાને દૂર કરવા માટે દબાણ થયું હતું પણ ટાઈમ્સ અડગ રહ્યું. ચેરમેન સમીર જૈને આ વાતનો અછડતો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, ‘મને ખ્યાલ છે કે પ્રધાનમંત્રીની ઓફિસમાંથી દબાણ થયું હતું પણ મને ચિંતા નહોતી’. સમીર ક્યારેય કોઈ સમાચારને સેન્સર કરવા કે પડતા મૂકવા માટે દબાણ ન કરતા.
+ + +
છૂટક વેપારની અને ફિલ્મો તેમ જ નાટકોની જાહેરાત મેળવવા નિષ્ક્રિય પડેલાં રોટરી પ્રિન્ટિંગ મશીનને ઉપયોગમાં લેવાના હેતુથી ઇવનિંગ ન્યૂઝ ઓફ ઇન્ડિયા શરૂ કરવામાં આવ્યું હતું જે ૧૯૮૭માં બંધ થઈ ગયું. દિવસના કાળાં અને સફેદ અખબારની અસરને ધોઈ નાખવા માટે આ સાંજના અખબારની રંગીન કથાઓ છાપવા માટે રંગોનો ઉપયોગ થતો. તેના ખબરપત્રીઓ ‘ આંટી ‘ ના દારૂના અડ્ડાઓની અને ક્યારેક અંડરવર્લ્ડના અડ્ડાઓની મુલાકાત લેતા. પોલીસના એફ.આઇ.આર. કે સરકારી સમાચારોની શૈલી રિપોર્ટમાં ન આવી જાય એ માટે મથવું પડતું.
+ + +
બહેરામ કોન્ટ્રાક્ટર ‘બિઝી બી’
ઇવનીંગ ન્યૂઝનું સહુથી જાણીતું ફીચર હતું બિઝી બી નું Round and About. એમાં મુંબઈના નિમ્ન તેમજ ઉચ્ચ જીવનની કથાઓ વિશે ક્યારેય ન લખાઈ હોય એવી વાતો આવતી. આર્ટ બુચવોલ્ડની ન્યુયોર્ક ટાઇમ્સમાં પ્રગટ થતી કોલમ સાથે ઘણી વાર તેની તુલના કરવામાં આવતી, પણ એ પોતે એક દંત કથા બની ગઈ હતી. બીઝી બી ઉપનામધારી બહેરામ કોન્ટ્રાક્ટર – વાંકા વળેલ, દુબળા, બેફામ પીવા અને ધુમ્રપાન કરવા વાળા અને સોડા બોટલના કાચવાળા ચશ્માથી જગતને નિહાળનારા – શહેરના ગંદી સ્લમમાં ફરીને આખી રાત ચાલતા ખાણીપીણીના સ્થળોમાં જતા. તેમણે મુંબઈના સુધરેલા સમૃદ્ધ લોકો માટે સ્લમમાં જવાનું ફેશનેબલ બનાવી દીધું અને લોકો ગંદી શેરીઓમાં સાત હાંડીમાં રંધાતા કબાબ અને સ્ટીકના વર્ણન વાંચીને એ ખાવા માટે ઉમટી પડતા.
લક્ષ્મણના સામાન્ય માણસની જેમ બીઝી બીનું પાત્ર હતું ‘ પત્ની ‘, જેના દ્વારા તેઓ પોતાની ટિપ્પણી આપતા. વાસ્તવમાં તેઓ કુંવારા હતા. પછી તેમણે ફરઝાના સાથે લગ્ન કરીને બધાને આશ્ચર્યનો આંચકો આપ્યો. ફરઝાનાએ તેમની જિંદગી બદલાવી નાખી. અત્યારે સર્વવ્યાપી બની ગયેલા સેલિબ્રિટીઓ હજી ચર્ચામાં ન હતા એટલે ખાઈ – પી ઉતરેલા રાજકારણીઓ અને કોઈ ક્યુબન ફિલ્મની મુલાકાત લેતા ફિલ્મ નિર્માતાઓની તેઓ ખબર લેતા.બહેરામને તેમના સહકાર્યકર્તાઓ સાથે અને ટાઈમ્સના નિયમિત મુલાકાતીઓ સાથે પણ ઝઘડો થઈ જતો. લક્ષ્મણ જેમને પેટન્ટ લેધર હેર કહેતા તે એ.જી. નૂરાની – ખુશવંત સિંહના ખાસ મિત્ર અને સાંજના ચાલવાના કાર્યક્રમના સાથીદાર – એકવાર વીકલીની મુલાકાતે આવ્યા હતા. એ કટોકટીના દિવસો હતા જ્યારે પત્રકારો નેસ્તનાબૂદ જેવા થઈ ગયા હતા અને ભલભલા બંધારણીય નિયમોના આગ્રહીઓ ભયભીત હતા. ગફુર નૂરાની જેવા પહેલા ટટ્ટાર અને કડક માણસ હવે પોતાના પડછાયા જેવા બની રહ્યા હતા, ત્યારે બહેરામ ત્યાં જઈ ચડ્યા અને મજાકિયા મિજાજમાં કહ્યું, ” શું નુરાની, તમે હજી જેલમાં નથી ગયા ? ” ગફુરનો દબાયેલો ગુસ્સો બહાર ધસી આવ્યો અને ઉશ્કેરાયેલી ભાષામાં બહેરામને આડેહાથ લીધા. બહેરામ નિસ્પૃહ રીતે અને રમૂજથી એમના જાડા કાચના ચશ્મામાંથી નૂરાનીની જોઈ રહ્યા, પણ ઓફિસના બાકીના લોકો આઘાતથી થીજી ગયા. સદભાગ્યે નૂરાની પોતાના પોલીશથી ચળકતા જૂતાની એડી પર જનુનથી ફરીને તેઓ ચાલતા થયા. “એ આટલા ગુસ્સે કેમ થઈ ગયા?” બહેરામે બનાવટી નિર્દોષ ભાવથી પૂછ્યું.
ખ્યાતનામ પર્યાવરણવાદી અને ઔદ્યોગિક સામ્રાજ્યના ચેરમેન ગોદરેજ મેંગ્રોવ કે વાઘ કે સારસને બચાવવાના કોઈ વિષય પર પ્રેસ કોન્ફરન્સને સંબોધતા હતા. એમણે વક્તવ્ય પૂરું કર્યું, ત્યાં જ બહેરામ ઉભા થયા અને એમના નરમ અવાજમાં પ્રશ્ન કર્યો, ” મિસ્ટર ગોદરેજ તમારા નવા ટાઈપરાઈટરની ચાવી (keys ) કેમ નીકળી જાય છે?” બહેરામ નું પસંદગીનું ટાઈપીંગ મશીન હતું જરીપુરાણું અન્ડરવૂડ. એના પર નમીને સ્ટૂલ પર બેસીને ૩૦ મિનિટમાં તેઓ પોતાની કોલમ લખી નાખતા ત્યારે તો હજી ન્યુઝ રૂમ ‘ જીવંત ‘ પણ થયો નથી હોતો.
૫:૧૭ ની બોરીવલીની કે બીજી કોઈ ફાસ્ટ ટ્રેન પર ઘર ભણી જઈ રહેલા થાકેલા લોકોને મનોરંજન આપતું ઇવનિંગ ન્યુઝ બપોરે 3:00 વાગ્યે બહાર પડતું. બહેરામ ક્યારેક બચી કરકરિયાને પણ પોતાની ઝપટમાં લેતા, પણ માપસર, નવાગંતુક તરીકેના સ્થાનને ધ્યાનમાં લઈને. બચી ત્યારે ખુશવંત સિંહની અભૂતપૂર્વ સફળતાના પરાવર્તિત જાજવલ્યમાં મહાલતાં હતાં. તે પણ બહેરામની પાછળ કોઈ જગ્યાએ મળતી સ્વર્ગીય પરીઓની સાથે સ્પર્ધા કરે એવી કોઈ જગ્યાએ બિરીયાની અજમાવી જોવા જતાં. પાછા ફરતા ટેક્સીને રોકીને બહેરામ કહેતા, ” ટાઈમ્સ ઓફ ઇન્ડિયા.” અને પછી બચી તરફ ફરીને કહે, ” હું વીકલી કહીશ તો એમને ખબર નહિ હોય ને?”
બહેરામ ટાઈમ્સના નિર્ભય ખબરપત્રી હતા. બસ્તરનો દુકાળ, ઔરંગાબાદના કોમી રમખાણો જેવા બનાવોને કવર કરવા ફરતા અને મસાલેદાર ગરમા ગરમ બટેટા વડા માટે જાણીતા સ્થળ ખોપોલી પણ જતા. બહેરામ આ બધા સ્થળોપર કોઈ નોંધ ન ટપકાવતા પણ પાછા ફરીને અવિસ્મરણીય ગદ્ય લખી કાઢતા.
નવભારત ટાઈમ્સ ના બહુ સફળતંત્રી વિશ્વનાથ સચદેવ પોતાના ખબરપત્રીઓને આ વાત હંમેશા કરતા. પેટ્રોલિયમ મંત્રીએ પેટ્રોલની તંગીના સમયે બળતણની બચતના પગલાઓ જાહેર કરવા પત્રકાર પરિષદ બોલાવી. બધી ચીલાચાલુ વાતો થઈ. બધા રિપોર્ટરોએ લગભગ એકસરખો જ રિપોર્ટ કર્યો પણ બહેરામે અંતમાં લખ્યું, “પરિષદના અંતે પેટ્રોલિયમ મંત્રી એમના 20 કારના કાફલા સાથે વિદાય થયા.” વિશ્વનાથજી કહેતા કે સારા રિપોર્ટર અને મહાન રિપોર્ટરમાં આ જ ફરક છે.
બહેરામ કોન્ટ્રાક્ટર ૧૯૭૯ માં ટાઈમ્સ છોડીને ખાલીદ અન્સારી સાથે મીડ ડે માં જોડાયા અને પછી ૧૯૮૫ માં પોતાનું ‘આફ્ટરનૂન ડિસ્પેચ એન્ડ કુરિયર’ શરૂ કર્યું એટલે ‘રાઉન્ડ એન્ડ અબાઉટ કોલમ’ પણ એમની સાથે ગઈ. કહેવાય છે કે ઇવનિંગ ન્યુઝ આ કોલમને લીધે જ મુખ્યત્વે ચાલતું હતું, છતાં કોઈ ન્યૂઝ એડિટરે એ કોલમ માટે ચૂકવાતી વધારાની રકમ રૂપિયા ૭ થી વધારીને ૧૦ કરવાનો ઇનકાર કર્યો હતો.
+ + +
મૅનેજમૅન્ટ અને તંત્રીમંડળ વચ્ચેનું ઘર્ષણ તો સમય જેટલું જ જૂનું છે. એક ખ્યાતનામ અમેરિકન અખબારે લિફ્ટ પણ એવી રાખેલી કે એડિટોરિયલ માળની લિફ્ટ મૅનેજમૅન્ટના માળ પર અટકતી નહીં અને મૅનેજમૅન્ટની લિફ્ટ એડિટોરિયલ માળ પર ઊભી ન રહેતી. ટાઈમ્સ આ હદે તો ગયું ન હતું પણ સમીર જૈને નવી ફિલસૂફી આપી. અખબાર પ્રકાશનને ‘ ઉમદા ફરજ’ ગણાવતી એ સમયની પ્રચલિત માન્યતાના ધજાગરા ઉડાવતાં તેમણે જાહેર કર્યું કે ‘અખબાર એક ધંધો જ છે અને એ સાબુની ગોટીની જેમ વેચાવું જોઈએ”. તેમણે પોતાની વાત પકડી રાખી, સમગ્ર અખબાર જગતમાં માનભરી ગણાતી કેટલીય ‘પ્રતિમાઓ’ તંત્રી વિબાગમાંથી તેમનાં સ્થાનોએથી ‘ ગબ’ડી પડી, આવક ઊભી કરતાં ડિપાર્ટમેન્ટ નવા સ્ટાર્સ બની ગયાં. જોકે વર્ષો જતાં તેઓ એડિટોરિયલ આવકનું મહત્વ સ્વીકારતા થયા, એડિટોરિયલ ની બૌદ્ધિક મૂડીનું મહત્વ સ્વીકાર્યું, બંને વિભાગો વચ્ચે સરખા અને સમાન સંબંધો સ્થપાયા.
+ + +
સમ્રાટનું શાસન
નવાં રૂપવાળાં અખબારો The Independent અને Metropolis on Saturday વહેતાં મૂકવા માટે સમ્રાટ પબ્લિકેશન્સ ૧૯૯૦ના દશકમાં આરંભમાં સર્જવામાં આવ્યું. પ્રથમ અખબારે સોફિસ્ટીકેટેડ વાચકોને આકર્ષ્યા, બીજું શહેર કેન્દ્રિત બ્રોડશીટ હતું જે રંગીન પાનાઓ વધુ આપવા માટે ચાર ભાગમાં હતું.
ધ ઇંડીપેન્ડન્ટના એક ભૂતપૂર્વ તંત્રી (વિનોદ મહેતા?) અંબાણીના નવાં બહાર પાડી રહેલાં બિઝનેસ એન્ડ પોલિટિકલ ઓબઝર્વરમાં જોડાઈ ગયા. એમનો ભૂતપૂર્વ મદદનીશ પણ જોડાવાનો હતો પણ હજુ સમ્રાટમાં જ હતો. તેણે બીજા ઘણા લોકોને પોતાની સાથે લઈ જવા પ્રયાસ કર્યા, ઘણાં રાજીનામા આવ્યાં પણ છેવટે તેઓ કટોકટી ટાળવામાં સફળ થયા.
પૂરણેન્દુ સેન એમના ક્યાંય નમતું ન જોખવાના વલણને લીધે પ્રિન્સ ઓફ ધ અંડરવર્લ્ડ કહેવાતા. તેઓ કાંદિવલીમાં એશિયાના શ્રેષ્ઠ ટાઈમ્સ સબરબન પ્રેસના વડા હતા. સર્વશક્તિમાન ડો. તરનેજા કે એમના અનુગામી પી. આર. કૃષ્ણમૂર્તિ તેનું માન રાખતા. એમના ધારાધોરણની બહારનું કામ કરવાનું એમને કહેવામાં આવે તો તેઓ કહેશે “સાહેબ, નહિ હોગા. બ્રહ્મા પણ એ નહિ કરી શકે.” ક્યારેક બહુ ઓછા પ્રસંગે તેઓ પોતાનું નરમ પાસું બતાવતા. એક વાર એમણે નિલોફર બિલીમોરિયાને પેન નાઇફ ભેટ આપ્યો હતો.
પી.આર.કૃષ્ણમૂર્તિ
બધી જ સંસ્થાઓમાં એક પી.આર.કૃષ્ણમૂર્તિ હોય છે, અને ન હોય તો તેને ખાસ વરદી આપીને પણ લાવવો પડે.. પીઆરકેમાં આપબળે આગળ આવેલા માણસનું દંભીપણું હતું. એ સેક્રેટરીમાંથી શક્તિશાળી જનરલ મેનેજર બન્યા હતા. તીવ્ર નિરીક્ષણ શક્તિ ધરાવતા આર. કે. લક્ષ્મણે એ સ્થૂળકાય જી.એમ. અંગે કહ્યું હતું કે એમનું હાસ્ય તરંગોની જેમ ગળાંથી નીચે પેટ સુધી ઊતરે છે.કોમ્પ્યુટર ટાઇમ્સમાં હજી નવાં નવાં આવ્યાં હતાં અને બહુ સિનિયર વ્યક્તિઓને જ આપવામાં આવ્યા હતાં. કૃષ્ણમૂર્તિ કોઈ મુલાકાતી આવે તેને અભિમાન સાથે કહેતા, ” આ જુઓ, આ મારું કોમ્યુટર છે અને આ તેનો ઉંદર.”
બચી એની લાક્ષણિક અદાથી ઉમેરે છે, “એમણે કદાચ એમ ન પણ કહ્યું હોય અને આ મોરચાની તંત્રી બાજુએથી આવેલી મેનેજમેન્ટ કહાણી હોય!”
નિલોફર બિલીમોરીયા ( “of exotic look”, બચીના શબ્દોમાં) કોઈ કામ માટે એમના ખંડમાં દાખલ થયાં ત્યારે કૃષ્ણમૂર્તિએ એની સામે જોયું પણ નહિ. નિલોફરે દબાયેલા અવાજમાં કહ્યું, ” હું એક સમસ્યા બાબત પૂછવા માટે આવી છું.” આંખો મિલાવ્યા વગર જ એમણે કહ્યું, ” હું માત્ર ડિપાર્ટમેન્ટના વડા સાથે જ વાત કરું છું.” નિલોફરે જરા ગુસ્સામાં કહ્યું, ” હું ડિપાર્ટમેન્ટ હેડ જ છું.” કૃષ્ણમૂર્તિની નજર હજુ એની સામે પડેલા પેપર પર જ હતી. ધૂંધવાયેલ નિલોફર બહાર નીકળી ગયાં અને બોસને ફરિયાદ કરી. કૃષ્ણમૂર્તિ થોડા કૂણા પડ્યા. સમય જતાં તેઓ મિત્ર બની ગયા, ખાસ તો એટલે કે નીલોફેરને લગભગ દર અઠવાડિયે એમની કાનૂની સલાહ લેવી પડતી.
પ્રીતિેશ નંદીની કૃષ્ણમૂર્તિ સાથેની મુલાકાત વિશે આ પહેલાં વાત કરેલી જ છે.
*****
ભૂતકાલીન જનરલ મેનેજરો
૧૯૬૦ અને ‘૭૦ ના દશક વચ્ચેના વર્ષોમાં પી. કે. રોય જનરલ મેનેજર હતા. ફિલ્મફેર એવોર્ડના એક કાર્યક્રમમાં અમીન સાયાની ખીલ્યા હતા ત્યારે એમણે આ વાત કરી હતી, “જ્યારે મિસ્ટર રોય નિરાંતે જમીને આવે છે ત્યારે ત્રીજા માળના મોટા હોલમાં ગણગણાટ થાય છે, ” પીકે આયા હૈ.”
જે. સી. જૈન આમ તો બહુ શક્તિશાળી જનરલ મેનેજર હતા, પણ એમનો અવાજ પાતળો હતો. એના વિશે એક એવી વાર્તા ચાલે છે કે એક વાર તેઓ હોલિવૂડની મુલાકાતે ગયા ત્યારે ‘ સ્મોકી ‘ અવાજ વાળી – જરા પુરુષ જેવા અવાજ વાળી – સુંદરી લોરેન બેકૉલને મળ્યા. એવી સુંદરીને કંઈ સ્માર્ટ વાત કહેવી જોઈએ એમ માનીને એમણે કહ્યું, Miss Bacall, is it true that you are sometimes mistaken for a man?” પોતાની સુપ્રસિદ્ધ ભ્રમરોની કમાન ખેંચીને એ મહિલાએ વળતો જવાબ આપ્યો,” No, Are you?”
ટાઈમ્સમાં વિચિત્ર લોકોનો સમૂહ એકઠો થયો હતો. એ. એસ. અબ્રાહમ બાથરૂમમાંથી નીકળીને છેક સુધી પેન્ટના બટન બંધ કરતા જતા.
અર્થશાસ્ત્રના જાણકાર સ્વામિનાથન અંકલેસરિયા આયરની પણ ઘણી વિચિત્રતાઓ હતી પણ જીનિયસ તરીકે તેમને એનો પૂરો ક્વોટા ધરાવવાનો હક હતો. તેઓ પોતાનો ચાનો કપ ત્રીજા માળ પર આવેલા બાથરૂમમાં લઇ જતા.
ખુશવંતસિંહના વીકલી ઓફ ઇન્ડિયામાં ચોથા માળ પર આર.ગોપાલ કૃષ્ણ હતા, એમની એક બાજુ ખૂબ જ બોલકા જાલ એન્જિનિયર બેસતા જે તેમને વિચિત્ર સવાલો પૂછતા અને કહેતા ગો – પાલ, વ્હેર ઇઝ ભો – પાલ. આ બ્રાહ્મણને એમના બાજુમાં બેસતા સહકર્મી કરતાં વધારે રંજાડ એ વાતથી થતી કે ત્યાંથી પસાર થતા મુલાકાતીઓ એમની પાસે આવીને પૂછતા, “where is the loo?” બ્રાહ્મણ ગુસ્સે થતા, ” આ લોકો મને જ કેમ પૂછે છે, અને આ શબ્દ શું છે, લૂ?” એકવાર કંટાળીને એમણે “આ માણસ બહેરો મૂંગો છે,” એમ લખેલું કાર્ડબોર્ડ પોતાના ડેસ્ક પર મૂક્યું. આનો પણ કંઈ ફાયદો ન થયો. બહારના લોકો એમના ટેબલ પાસે આવીને આ જ પ્રશ્ન પૂછતા. એ શાંતિથી પોતે મુકેલા બોર્ડ તરફ આંગળી ચિંધતા અને ચાર મિનાર ફૂંકતા; પેલા લોકો પૂછવાનું ચાલુ રાખતા, ” યસ, યસ, બટ વ્હેર ઇઝ ધ લૂ?”
વી. એસ. ટેરર મલાઈ
ટાઇમ્સમાં ચાલતી ભૂત – પ્રેત ની વાર્તાઓમાં એક હતી જાહેરખબરના વિભાગના વી. એસ. થીરુમલાઈને લગતી. એડવરટાઈઝમેન્ટ વિભાગમાં એમના નામથી જ બધા થરથરતા. એમનો પટાવાળો – ટાઈમ્સની ભાષામાં સિપોય – કોઈને બોલાવવા માટે આવે અને કહે, ” સાબ બુલાયા,” એટલે એ વ્યક્તિના છક્કા છૂટી જાય. એમનું અચાનક અવસાન થયું, એના બીજા દિવસે જ એની ઓફિસમાં રહસ્યમય રીતે આગ ફાટી નીકળી અને એમાં તેની બધી જ ફાઈલો, કાગળો, પુસ્તકો બળીને રાખ થઈ ગયાં, પણ બાજુની કેબીનોમાં આંચ પણ ન આવી.
એક સાંજે અરુણ અરોરા એમની કેબિનમાં લોક થઈ ગયા. એમને પણ ભૂતના વિચાર આવ્યા. વોચમેન પણ એમ જ વિચારતા હતા એટલે અરોરા બારણું ખખડાવતા હતા ત્યારે એ બધા ડરથી ભાગ્યા. એ અંદરથી બૂમો પાડતા રહ્યા, ” પાછા આવો, પાછા આવો, હું અરુણ અરોરા છું.” આખરે રાતે ૧૦ વાગ્યે એક બહાદુર દરવાને બારણું ખોલ્યું.
પ્રદીપ ગુહા
સમીર જૈને ટાઈમ્સ ન્યૂઝપેપર હાઉસની બદલે બીઝનેસ હાઉસની જેમ ચલાવવું જોઈએ એમ જાહેર કર્યું. પત્રકારત્વનો રહસ્યમય દબદબો ગટરમાં ધોવાઈ ગયો. હવે આખરી ગ્રાહક વાચક નહિ , પણ જાહેર ખબર આપનારો બન્યો. એડવર્ટાઇઝિંગ ડિપાર્ટમેન્ટ વ્યુહાત્મક બટાલિયન બની ગયું અને પ્રદીપ ગુહા તેનો સ્ટાર જનરલ. એ રુ.૭૫૦ના વેતનથી નોકરી શરૂ કરીને બેનેટ કોલમેનના સૌથી શક્તિશાળી વ્યક્તિ બન્યા. ત્રીસ વર્ષ પછી એમણે નોકરી છોડી કેમ કે એમને વિનીત જૈન સાથે સમીર જૈન જેવું અંગત બંધન નહોતું. તે ઝી માં જોડાયા અને ૨૦૦૫માં ટાઈમ્સનું હરીફ DNA શરૂ કર્યું. પણ આજ સુધી એમણે પોતાનો નિમણૂકનો પત્ર સાચવી રાખ્યો છે. ટાઈમ્સની એટલી પકડ છે કે ઘણા જૂના ટાઈમ્સના માણસોએ પીળા પડી ગયેલા આવા પત્રો સાચવી રાખ્યા છે.પ્રદીપે બોલાવેલી મીટીંગ એકપક્ષી રહેતી. બીજા લોકો પોતાનું મંતવ્ય આપે ત્યારે તેના પર કંઈ ધ્યાન આપ્યા વગર પ્રદીપ પોતાના વિચારમાં ડૂબેલા રહેતા અને છેવટે એણે ધાર્યું હોય એ જ થતું. એના લોકો એને ખુશામતખોરીની હદે પૂજતા. તંત્રીઓ.પણ તેનું માન જાળવતા. બેંગલોર એડિશનની કાયા પલટ તેણે અતિશય ટુંકા સમયમાં કરી દીધી. સુઘડ દેખાવ માટે જરૂરી ટેકનોલોજીકલ સાધનો ટાઇમ્સમાં ન જોવા મળે એટલી ઝડપથી મંજૂર કર્યાં.
ફેમિના મિસ ઇન્ડિયા સ્પર્ધા તંત્રી અને જનરલ મેનેજરના ગર્વને પોષતી હતી. મિસ ઇન્ડિયા રીટા ફેરીઆ ૧૯૬૫માં મિસ વર્લ્ડ બની. પ્રદિપે ઘરેલુ પ્રોડક્શનને વૈશ્વિક બ્લોકબસ્ટર બનાવી દીધું. ગ્રૂમિંગ ની પ્રક્રિયામાંથી અનેક ઉદ્યોગ બન્યા, વસ્ત્ર, હલન ચલનની રીતભાત (deportment), નૃત્ય થી માંડીને તેમણે જે સવાલોનો સામનો કરવાનો છે એ બધું એમાં આવતું. પહેલાં આ બધું થતું તે મર્યાદિત સાધનો અને હેતુ માટે થતું. રિંગ માસ્ટર પ્રદીપ કહે છે: “તેઓ મિસ ઈન્ડિયાનું સર્જન કરવાની દૃષ્ટિ રાખતા હતા, મારી નજર ભારતમાંથી મિસ વર્લ્ડ કે મિસ યુનીવર્સ સર્જવા પર હતી.” એ વર્ષોમાં ઐશ્વર્યા રાય અને સુસ્મિતા સેન જેવા અનેક ખિતાબો જીતનારા બન્યા.
આ વૈશ્વિક જીતથી ફેશન, સૌંદર્ય અને સજાવટના ઉદ્યોગો નાના ગામોમાં પણ વિકસ્યા.
પ્રદીપે સંસ્થા છોડી ત્યારે તેમને વિદાય આપવા માટે બીજા માળથી ગેટ સુધીની કતાર બની હતી.
ક્રમશઃ
શ્રી નરેશ માંકડનો સંપર્ક nareshmankad@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
૧૫ -૧૦ ૨૦૨૪ના હવે પછીના મણકામાં દરેક સંસ્થામાં સાંભળવા મળતી હોય એવી કેટલીક રસપ્રદ વાતો વડે ટાઈમ્સનાં ‘ભારે’ વાતાવરણમાં હળવાશ અનુભવાશે.
-
હીરામન – ફણીશ્રનાથ રેણુનો, શૈલેન્દ્રનો અને ભગવત રાવતનો
સંવાદિતા
અલગ અલગ સર્જકો એક જ પાત્રને કઈ રીતે ઉપસાવે છે એ પણ એક રસપ્રદ અભ્યાસનો વિષય છે
ભગવાન થાવરાણી
હીરામન નામ સંભારીએ એટલે દ્રષ્યપટલ પર ૧૯૬૬ ની શૈલેન્દ્ર – બાસુ ભટ્ટાચાર્યની ફિલ્મ ‘ તીસરી કસમ ‘ નો રાજકપુર ઉભરી આવે – એમણે પરદા પર ગાયેલાં ‘ સજન રે જૂઠ મત બોલો ‘, ‘ સજનવા બૈરી હો ગએ હમાર ‘ અને ‘ દુનિયા બનાને વાલે ‘ ગીતો સહિત !અસલ હીરામન એટલે આ ફિલ્મી પાત્ર નહીં પરંતુ ફિલ્મ બન્યાના દસ વર્ષ પહેલાં હિંદી લેખક ફણીશ્વરનાથ રેણુએ ૧૯૫૬ માં સર્જેલ વાર્તા ‘ મારે ગએ ગુલફામ ઉર્ફ તીસરી કસમ ‘ નો નાયક. એ બિહારના અંતરિયાળ ગામડાંનો ચાલીસ વર્ષીય અપરિણિત પ્રૌઢ છે. એ ગાડીવાન છે. બળદગાડું ભાડે ચલાવે છે. એ ભોળોભટાક છે પણ મૂર્ખ નથી. એનું મન નિર્મળ, કપટહીન છે. એની લુચ્ચાઈ અને ચતુરાઈ ઉપર પણ આપણને વહાલ ઉભરાઈ આવે. ગાડામાં માલની હેરાફેરીમાં એ ક્યારેક ખોટું પણ કરી બેસે, પણ પછી એને પશ્ચાતાપ પણ થાય. જાત અનુભવે એણે પ્રણ લીધું છે કે પોતાના ગાડામાં જકાતચોરીનો માલ લાદવો નહીં અને વાંસની હેરાફેરી ન કરવી. એને પોતાના બે બળદ જીવ કરતાં વધુ વહાલાં છે. માલની હેરાફેરી છોડી હવે એણે મુસાફરોને લેવા – મૂકવા માટે ટપ્પર જોતર્યું છે.
એક વાર એને ચંપાનગર સ્ટેશનથી ફાર્બસગંજના મેળે એક મુસાફરને લઈ જવાની વર્ધી મોં માગ્યા ભાડે મળે છે. એની પેસેંજર એક નાટ્ય કંપની – નૌટંકીની નર્તકી છે. ચોવીસ કલાકથીયે વધુ સમયનો પ્રવાસ સાંજે શરુ થાય છે. ટપ્પરમાં ઓઝલ આ અજાણી સ્ત્રીની ઉપસ્થિતિ માત્રથી હીરામનને એવું લાગ્યા કરે છે કે એનું ગાડું ચંપાની સુગંધથી મઘમધી ઊઠ્યું છે. એ સ્ત્રી નામે હીરાબાઈ એનું નામ જાણી કહે છે કે આપણું નામ એકસરખું એટલે આપણે એકમેકના ‘ મીતા ‘ કહેવાઈએ. એ સ્ત્રી એનાથી ખાસ્સી દૂર બેઠી હોવા છતાં એને નિરંતર પીઠમાં ગલગલિયાં જેવું થયે રાખે છે ! ખચકાટ દૂર થતાં બન્ને વાતોએ વળગે છે. હીરાબાઈનું સ્મિત પણ હીરામનને ખુશ્બૂદાર લાગે છે !હીરામનના મતે જે ચાલાકી છે તે હીરાબાઈને મન નર્યું ભોળપણ છે. સામે મળતો ગાડીવાન પૂછે કે ટપ્પરમાં કોણ છે તો એ કહે ‘ પિયરથી બાજુના ગામે સાસરે જતી છોકરી ‘ ! કયું ગામ તો કહે અગડમ બગડમ ! એને એમ છે કે સાચું કહીશ તો લોકો અવનવી અફવાઓ ઉડાડશે અને આ ‘ કુમારિકા ‘ બદનામ થશે એ વધારામાં ! અન્ય એક ગાડીવાનની પૃચ્છાનો જવાબ ‘ શહેરથી દાક્તરનીને બાજુના ગામમાં સુવાવડી સ્ત્રીની સારવાર માટે લઈ જાઉં છું ‘ અને હીરાબાઈ આગળ ચોખવટ ‘ ગામડાંના લોકોને પારકી ચોવટ બહુ હોય ! ‘હીરામન જબરો વાતોડિયો છે. બતરસ એની નસ નસમાં છે. એ હીરાબાઈને આ વિસ્તારની લોકવાયકાઓ, દંતકથાઓ અને લોકગીતો સંભળાવતો જાય છે. એના ગળાની હલક ઘેઘુર છે. એ એવું માનવા લાગ્યો છે કે એનાં ગાડામાં કોઈક દેવકન્યા સવાર છે. એ એને મહુવા ઘટવારિનની કથા સંભળાવે છે. એ દુખી ગરીબ કન્યાને એક સોદાગર ખરીદીને પોતાના વહાણમાં જબરદસ્તીથી લઈ ગયો હતો. છુટકારો પામવા મહુવા પાણીમાં કૂદી પડી હતી. એને બચાવવા એની પાછળ એને છુપો પ્રેમ કરતો સોદાગરનો ગુલામ પણ કૂદી પડેલો. હીરામન મનોમન વિચારે છે કે એ મહુવા એટલે હીરાબાઈ અને ગુલામ એટલે એ પોતે ! હીરાબાઈ ટપ્પરનો પડદો ખોલે એ હીરામન સાંખી શકતો નથી. કોઈકની બુરી નજર ન લાગી જાય !વિચારોમાં ખોવાયેલા હીરામનનો ચહેરો જોઈ હીરાબાઈ વિચારે છે દરેક વિચારમગ્ન માણસ આવો ભોળો લાગતો હશે ! હીરામને ગાયેલું ગીત એ ગણગણે છે તો હીરામન વિચારે છે કે આ તો જાણે પેલા ફેનુગિલાસ – ગ્રામોફોનનો અવાજ !મેળો આવી પહોંચે છે . હીરામનને એના જેવા જ એના ગામના હીરામનો ઘેરી વળે છે. હીરાબાઈ એને ભાડું અને બક્ષીશ આપે છે તો એને ખોટું લાગે છે. હીરાબાઈ પાસેથી ભાડું લેવાય ! હીરાબાઈ બધા હીરામનોને નૌટંકી જોવા આવવા માટે પાસની વ્યવસ્થા કરી આપે છે. હીરામન ફૂલ્યો સમાતો નથી. અધુરામાં પૂરું હીરાબાઈ કંપનીના ચોકીદારને કહી રાખે છે ‘ આ મારો હીરામન છે. એને મારી પાસે આવતાં રોકવો નહીં ! ‘ નૌટંકી જોવા આવનાર કોઈક નશેડી હીરાબાઈને રંડી કહે છે અને હીરામનનો પિત્તો જાય છે. એ મારઝૂડ કરે છે. પોતાની પાસેની રુપિયાની થેલી એ હીરાબાઈને સાચવવા આપે છે. મેળામાં તો ચોરી ચપાટી થાય ! એના મનમાં સતત હીરા નામનું વાજિંત્ર બજતું રહે છે.હીરાબાઈ હીરામનની આસક્તિથી પ્રસન્ન પણ છે અને વ્યગ્ર પણ. એ સ્ત્રી છે પણ હીરામન એને દેવી માને છે. એ હીરામનનું દિલ અને સપનું તોડવા માંગતી નથી. એ અચાનક મક્કમ નિર્ણય લઈ પોતાને ગામ જતા રહેવાનું નક્કી કરે છે. હીરામનની અમાનત પરત આપવા એ એને સ્ટેશને પહોંચવાનું કહેણ મોકલે છે. ત્યાં એ એને ફરી બક્ષીશ આપવાની ચેષ્ટા કરે છે . હીરામન બોલી ઊઠે છે ‘ પૈસા ! વાતવાતમાં પૈસા ! માણસનું કંઈ નહીં ! ‘ હીરાબાઈની ગાડી ઉપડે છે અને હીરામનને બધું ખાલી ખાલી, સુનું સુનું લાગે છે. પોતાનું ટપ્પર પણ !પ્રાણનું પ્લેટફોર્મ સુનું થઈ જશેટ્રેન અજવાળું લઈ સરશે પછીહીરામન ત્રીજું પ્રણ લે છે. કંપનીની બાઈને ક્યારેય ટપ્પરમાં બેસાડવી નહીં !ગીતકાર શૈલેન્દ્રના વડવાઓ બિહારના એ જ વિસ્તારના હતા જ્યાંના રેણુ હતા અને જે પરિવેશને કેન્દ્રમાં રાખી એમણે હીરામનનું પાત્ર રચ્યું . એમનું સ્વપ્ન હતું કે રેણુની આ વાર્તા ઉપરથી ફિલ્મ બનાવવી. સાવ હીરામન જેવા શૈલેન્દ્રને ફિલ્મોના આર્થિક પાસા અને બેરહમ રીત રસમોની ખબર નહોતી. ફિલ્મના નિર્માણમાં એ પૈસે – ટકે અને વ્યવહાર જગતની ક્રૂરતાથી શરીર અને મનથી એવા ભાંગી પડ્યા કે ફિલ્મ પ્રદર્શિત થઈ એ પહેલાં જ અવસાન પામ્યા ! એ જેમને મિત્ર માનતા હતા એ રાતોરાત ફરી ગયા. એમનું અંતિમ ફિલ્મી ગીત ‘ રુલા કે ગયા સપના મેરા ‘ એમના આ ભગ્ન સ્વપ્નની જ વાત છે . હા, એમણે રેણુની મૂળ વાર્તા અને હીરામનના પાત્ર સાથે પૂરો ન્યાય કર્યો. બજારની જરૂરિયાતને ધ્યાનમાં રાખી એમણે ફિલ્મમાં ખલનાયકનો ઉમેરો કર્યો ખરો પણ ફિલ્મનો અંત બદલી હીરાબાઈ અને હીરામનનું ‘ સુખદ મિલન ‘ કરાવવાની વાતમાં એ ટસના મસ ન થયા. ફિલ્મમાં ઘણાં ગીતો છે પણ મજેદાર વાત એ કે એમાંના પાંચ ગીતના મુખડા તો રેણુની મૂળ વાર્તામાં પણ છે. ગીતકાર શૈલેન્દ્રએ એમનો અર્થવિસ્તાર કર્યો છે. આ ગીતો એટલે સજન રે જૂઠ મત બોલો, સજનવા બૈરી હો ગએ હમાર, મારે ગએ ગુલફામ, લાલી લાલી ડોલિયા મેં લાલી રે દુલ્હનિયા અને તેરી બાંકી અદા પર મૈં હું ફિદા. હીરામનના પાત્રમાં ક્વચિત અભિનેતા રાજકપુર પોતે ડોકાઈ જતા હોવા છતાં એમની અભિનય કારકિર્દીનું એ શ્રેષ્ઠ સોપાન છે.હીરામનનું ત્રીજું પ્રતિરૂપ એટલે હિંદી કવિ ભગવત રાવત. એ હીરામન અને રેણુથી એટલા જ અભિભૂત હતા. પ્રાધ્યાપક તરીકેની કારકિર્દીમાં એમણે વર્ષો લગી પોતાના વિદ્યાર્થીઓને આ વાર્તા ભણાવેલી. એ ભારપૂર્વક કહેતા કે આને પ્રેમકથા કહેવાય નહીં. એના પ્રકારને કોઈ વ્યાખ્યામાં બાંધી શકાય નહીં ! એ સંબંધને કોઈ નામ આપવું એ સંબંધનું અવમૂલ્યન કરવા તુલ્ય છે. જીવનના એક તબક્કે માંદગીના બિછાને હતા ત્યારે એમણે બાવીસ કવિતાઓ લખી અને એ બધી જ હીરામનને સંબોધીને લખાયેલી હતી ! એ કવિતાઓ જે સંગ્રહમાં ગ્રંથસ્થ થઈ એનું નામ ‘ સુનો હીરામન ‘ ! એ બધી જ બે હીરામન વચ્ચેનો સંવાદ છે !રેણુ, શૈલેન્દ્ર અને ભગવતની જેમ આપણા સૌમાં પણ ક્યાંક ને ક્યાંક હીરામન વસે છે. બસ એટલું કે દુનિયાદારીના રંગો અને મજબૂરીઓ હેઠળ એ કચડાઈ જાય છે !
સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
