-
સ્વાધ્યાય અને સમીક્ષા
અમૃતાનુભવની ઉજાણી
દર્શના ધોળકિયા
વર્તમાન સમય સંદર્ભ આપણને સૌને ઉત્તરોત્તર યંત્રપ્રધાન સંસ્કૃતિ ભણી ખેંચી રહ્યો છે ત્યારે પણ ખૂણે બેસીને ઝીણું કાંતતો કોઈ કવિ આપણને ‘મહાગુફામાં પ્રવેશ’ કરાવી શકે એવી ગુંજાયેશવાળી કવિતા લઈને આવે ત્યારે આપણી આશા સંકોરાય છે. આવા ઝીણા જંતરની જેમ આછું ને ઓછું વાગતા એક કવિની કવિતા વિશે માંડીને વાત કરવાનું મન થાય, એવા કવિ છે. રમણીક સોમેશ્વર.
‘તમે ઉકેલો ભેદ’ નામનો ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત થયેલો એક જ કાવ્યસંગ્રહ જેમના નામે ચડેલો છે તેવા આ કવિ પાસે વિષયવૈવિધ્ય ને ભાવવૈવિધ્ય તો છે જ. તેમની કવિતામાં શૃંગારની કોમળતાનો મખમલી સ્પર્શ છે. નગરજીવને ડહોળી નાખેલ માનવજીવન પ્રત્યેનો વિષાદ છે, વિરહની વેદના પણ છે. કચ્છના પરિવેશથી પરિચિત હોવાને લઈને રણનો અનુભવ પણ છે. પણ આ બધા અનુભવોમાંથી ઉપર ઊઠીને કવિએ અંદર પડેલા, રણઝણતા જીવતરના જંતરને કાન દઈને સાંભળ્યું છે, એટલું જ નહીં, પણ એના ઝણકાર સાથે પોતાનો ‘સા’ મેળવ્યો પણ છે. પરિણામે તેમની કવિતામાં એક પ્રકારનો પરિતોષ આકાર લેતો દેખાય છે.
પરમતત્ત્વ પ્રત્યેની પ્રીતિ તો મધ્યકાળના દરેક કવિમાં લગભગ સમાંતરે ગવાઈ છે. એ પછી અર્વાચીન યુગના કવિઓ પણ એમાંથી અસ્પૃશ્ય નથી રહ્યા. સુન્દરમ જેવામાં તો એ મુખર થઈ ઊઠી છે. અનુગાંધીયુગના કવિઓનું એ મુખ્ય પરિબળ પણ બની છે. રવીન્દ્રનાથના પ્રભાવે કરીને. આ સૌમાં પ્રગટતો આ પ્રકારનો મનોભાવ ગુજરાતીમાં રહસ્ય તરીકે પણ ઓળખાવાયો છે. કેટલીક વાર ‘રહસ્ય’નો આ ભાવ આરોપિત કે અનુમાનને આધારે પ્રગટ્યો હોય એવું પણ બન્યું છે.સોમેશ્વરની કવિતામાં જીવનનું રહસ્ય આગવી મુદ્રાથી આલેખાયું છે. સોમેશ્વરની કવિતાને જોતાં પણ કંઇક આવું જ કહેવાનું મન થાય. તેમના કાવ્યસંગ્રહની પ્રસ્તાવનામાં શ્રી હરિકૃષ્ણ પાઠકે પણ આ વાત સ્વીકારતાં નોંધ્યું છે: “આપણા સિદ્ધ ગઝલકાર અને કવિ શ્રી રાજેન્દ્ર શુક્લમાં જે ઊર્ધ્વનો અનુભવ, અલખની ઓળખ અને અવધૂતી આનંદના પ્રતીતિકર રણકા સાંભળવા મળે છે તેના અણસાર આ કવિએ પણ આપ્યા છે.”
સંગ્રહની અન્ય કવિતાઓમાં આ કવિએ જીવતરના વિષમ અનુભવોને પણ પૂરા ગાંભીર્યથી પ્રમાણ્યા છે. તેમનું આ ગાંભીર્ય ઊર્ધ્વમાં આરોહણ કરતાં પ્રશાંત બને છે. પોતે જે જોયું છે, અનુભવ્યું છે, તેને પ્રાપ્તિ માનવાના ઘમંડમાં તણાવાને બદલે સૌમ્યતાપૂર્વક એ તત્ત્વનો હવાલો એ ભેદ ઉકેલવાની જેની હેસિયત છે એવા સંતોને સોંપીને આમ બાજુ પર ખસતાં કવિ જણાવે છે :
ક્ષર – અક્ષરની આરપાર જે
રમે શબ્દ ટેકીલો રે,
સૂરજનો દીવો સંકોરી
સંતો, ભેદ ઉકેલો રે.કવિએ તો માત્ર અદબપૂર્વક જ્ઞાનદીપનું, આંતરજ્યોતનું દર્શન જ કર્યું છે. તેના અજવાસમાં ભેદ ઉકેલવાનું મહાકાર્ય તો કો’ઋષિ જ કરી શકે એમ કવિનું માનવું છે.
કવિ ભલે ને નમ્રતાપૂર્વક ભેદ ઉકેલવાની નાં પાડે, પણ એ કામ તેમણે જેને સોંપ્યું છે એ સંત કવિનું જ અડધિયું છે. પછીની પંકિતમાં કવિનો સહોદર, કવિમાંનો સંત આ રીતે પ્રગટ્યો છે :
ઋતુ ઋતુનાં ફરે ચક્ર
પણ મને કશું નાં થાતું,
ભલે ફૂકાંતા શંખ,
કશું ક્યા મારામાં પડઘાતું ?મીરાંએ દિલ ખોલીને દીવો કરવાની વાત કરી છે. એ ખોલતાં મીરાંને દેખાઈ છે વાડીઓ, સંભળાયા છે મોરના ઝીંગોરા. સોમેશ્વરની અનુભૂતિમાં મીરાં પડઘાય છે.
એક વાવનાં સાત પગથિયાં
સાત પગથિયે દીવા રે,
દીવા જે પ્રગટાવી જાણે
તે નાર તો મરજીવા રે.આતળું કહીને કવિ અટક્યા નથી. એ મરજીવા કૃત્ય તેમણે કર્યું પણ છે, જેનું પ્રમાણ આ રીતે મળે છે :
કશું કર્ણ મધ્યે રણકતું ઝણકતું,
અહા ! જીવ મહાલે છે અજવાસ મધ્યે !શિરાએ શિરાએ વહે સર્વ નદીઓ !
વહે વાયુઓ સર્વ અવકાશ મધ્યે !આભાસ, આવાસ, આકાશ, આ હાશ,
બધું એક ભાસે ચિદાકાશ મધ્યે !કોઈ મરમી પામી શકે તેવું, નરવી દ્રષ્ટિથી થયેલું, ચિદાકાશનું આ દર્શન કવિને શ્રી ફલશ્રુતિ આપે છે તે પણ જોવા જેવું છે. કવિ તો ચાલ્યા ગયા છે અપારના પ્રદેશમાં, જ્યાં હોવું, ન હોવું, કેમ હોવું જેવા પ્રશ્નોની ઝંઝટ વ્યર્થ બની જાય છે;જ્યાં સર્વ ખરી પડે છે. આ તટે ઊભેલાં સર્વની વિદાય લેતાં જાણે કવિ ગાઈ ઊઠે છે :
મારું પગેરું ક્યા મળે છે કોઈ સ્થળ કે કાળમાં,
બીજમાં હું હોઉં છું, ને હોઉં ટગલી ડાળમાં !મંદ મસ્તીભર પદોમાં કે પછી કરતાળમાં,
હું તો વણાતો જાઉં છું ધીમે કબીરી સાળમાં !આમ તંતોતંત વહેતો હોઉં છું ચારે તરફ,
ને છતાં હોતો નથી હું કોઈ સ્થળ કે કાળમાં !આ પ્રાપ્તિ પછી કવિ બને છે નિઃશેષ કવિનો ‘સા’ બરોબરનો બેસી ગયો છે ને પ્રગટ્યો છે સંવાદ ને માત્ર સંવાદ :
હોઉં ઘરમાં ડાયરા વચ્ચે અને
એ જ ઘડીએ શક્ય છે, બારે’ય હોઉં.આ અનાસક્તિ કવિને એક જ ક્ષણમાં
સિદ્ધાર્થમાંથી બનાવી દે છે ‘બુદ્ધ’.ઘટના મને સ્પર્શીને ચાલી ગઈ અનાગતમાં,
નીકળી હું મારાથી પ્રવેશું છું તથાગતમાં,આ બન્યું જેમ ? કવિને પણ તેનું સાનંદ વિસ્મય છે.
એ હવે રુવે રૂંવે ઊતરી ગયો ભીતર,
હાથમાં લીધો પદારથ જે શરારતમાં.રમત –રમતમાં અજવાળું થઇ ગયું. ‘સહજ મિલે અવિનાશી’ જેવો તાલ થઈ ગયો !
અનાગતથી તથાગત સુધીની યાત્રાનો નકશો એટલે સોમેશ્વરની અવધુતિયા રંગવાળી રંગીન કવિતા. આ યાત્રા ઠેબે ચઢાવે તેવી છે, અળવીતરી છે, ખાંડાના ખેલ છે ને તેમ છતાં એનું કવિને અપાર આકર્ષણ છે. તેનું કારણ પણ તેમણે સ્પષ્ટ કર્યું છે.
થરકતા ધ્રૂજતાં પણ પહોંચવાનું થાય છે મન જ્યાં,
હજુ પણ કૈક છે એવું અગોચર આપણી અંદર !અંદર પડેલા અગોચરને અનુભૂતિના બળે વાળી-ઝૂડીને સ્વચ્છ કરવાનું અઘોર કાર્ય કવિ કરી શક્યા છે.
શ્રી સોમેશ્વરની કવિતા તેમની નિરામય અંતર્યાત્રાની સૂચક છે. તેમનો લહેરાતો ભગવો રંગ જીવન પ્રત્યેના વિષાદમાંથી કે પલાયનમાંથી નહીં, પણ અનિવાર્ય આવશ્યકતામાંથી જ ઉદ્ભવ્યો જણાય છે. આથી જ જીવન સમદરને હનુમાનના આંચકાથી કૂદતા આ કવિ પ્રસાદપૂર્વક કહી શક્યા છે :
ચરણ થંભ્યા પ્રથમ થોડું હવામાં,
અને આ કેટલું કૂદી જવાયું !અનર્ગળમાં પ્રવેશવાની ગતિએ પહોંચ્યા પછી મળેલી વિસ્મિત સ્તબ્ધતા કવિને શૈલાધીરાજતનયા પાર્વતીની લગોલગ મૂકે છે આમ :
અકળ એવો ધ્વનિ રણક્યો અનર્ગળ,
બધું થંભી ગયું, થીજી જવાયું.કૂદતાં – કૂદતાં થીજી જતા કવિએ જોયું છે અર્જુને જોયેલું વિરાટ દર્શન, પોતામાં જ રહેલું વિરાટ સ્વરૂપ. કવિ એને પચાવી શક્યા છે. આથી જ વિસ્મિત થવાને બદલે તેઓ ઉપશમને પામ્યા હોય તેવી અક્ષુબ્ધતા એમનાં કાવ્યોમાંથી પામી શકાય છે.
સૌજન્ય: ‘કચ્છમિત્ર’માં દર બુધવારે પ્રકાશિત થતી કોલમ ‘વાચનથાળ’
ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
વિદ્યાર્થી ગાંધી : પોરબંદરની લૂલિયા માસ્તરની નિશાળથી લંડનની લૉ કોલેજ
નિસબત
ચંદુ મહેરિયા
આજે દુનિયા જેમને મહાત્મા તરીકે પૂજે છે તે મોહનદાસ કરમચંદ ગાંધી વિદ્યાર્થી તરીકે કેવા હતા તે જાણવા- તપાસવાનો અવસર ગાંધી જયંતીથી વધુ રૂડો બીજો શો હોઈ શકે .
ગાંધીજીએ તેમની આત્મકથા ‘સત્યના પ્રયોગો ‘ માં તેમના શિક્ષણ વિશે વીગતે નહીં લખ્યાની ફરિયાદ ઘણાં ગાંધી અભ્યાસીઓની છે. ગાંધીજીનો આત્મકથા લેખનનો ઉદ્દેશ તેમના જીવનના યથાતથ જીવનવૃતાંતનો નહીં પણ તેમણે જે સત્યના પ્રયોગો કર્યા હતા તે આલેખવાનો હતો અને આત્મકથામાં વિદ્યાર્થી કાળના આવા પ્રયોગો તો તેમણે આલેખ્યા જ છે. છતાં તેમના વિદ્યાર્થી કાળ અને શિક્ષણ વિશે અલગ પુસ્તકો લખાયા છે. ગાંધીજી જ્યાં ભણ્યા હતા તે રાજકોટની આલ્ફેડ હાઈસ્કૂલના નિવૃત હેડમાસ્તર જયેષ્ઠારામ મણિશંકર ઉપાધ્યાયે ભારે લગન અને ખંતથી સંશોધન કરી અનેક આધાર, પુરાવા, મુલાકાતો એકત્ર કરી ગાંધીજીના શિક્ષણ વિષે અંગ્રેજી-ગુજરાતીમાં પુસ્તકો લખ્યા છે. ‘ મહાત્મા ગાધી એસ એ સ્ટુડન્ટ’ (૧૯૬૫) અને મહાત્મા ગાંધી એ ટીચર્સ ડિસ્કવરી(૧૯૬૯) એ બે પુસ્તકો ગાંધીજીના વિદ્યાર્થી કાળને સમજવામાં ખૂબ ઉપયોગી છે. ઈતિહાસકાર રામચંદ્ર ગુહાએ તો જે.એમ. ઉપાધ્યાયના પુસ્તકને લેખકીય ઉધ્યમિતા અને જૂના દસ્તાવેજો પ્રતિ ગુજરાતીઓના લગાવનું જીવંત ઉદાહરણ કહી બિરદાવ્યું છે.
માણસની જન્મ સમયથી શરૂઆતના કેટલાક વરસોની સ્મૃતિ હોતી નથી. જીવનના છપ્પનમા વરસે(૧૯૨૫માં) ગાંધીજીએ આત્મકથા લખવી શરૂ કરી હતી. આત્મકથા એ જો સ્મૃતિ કથા હોય તો ગાંધીજીનું આત્મકથામાં પહેલું સ્મરણ તેમના શાળા શિક્ષણનું છે. તેમણે લખ્યું છે, “બચપણ પોરબંદરમાં જ ગયું. કોઈ નિશાળમાં મને મૂકવામાં આવેલો. મુશ્કેલીથી થોડા પાડા શીખેલો.તે કાળે છોકરાઓની સાથે હું મહેતાજીને માત્ર ગાળ દેતા શીખેલો એટલું યાદ છે, અને બીજું કંઈ યાદ નથી” ગાંધીજીની આ ‘ કોઈ નિશાળ’ અંગે જ.મ ઉપાધ્યાય લિખિત “ મહાત્મા ગાંધીજીની શૈક્ષણિક સિધ્ધિઓ” પુસ્તકમાં માહિતી મળે છે. તે પ્રમાણે ગાંધીજીની પહેલી નિશાળ પોરબંદરના તેમના ઘર (આજના કીર્તિમંદિર) થી નજીક આવેલી વીરજી કામદારની નિશાળ હતી. વીરજી કામદારના પગે ખોડ હોવાથી સ્થાનિક લોકો તેમની શાળાને લૂલિયા માસ્તરની નિશાળ તરીકે ઓળખતા. હતા.
પિતા કરમચંદ ગાંધી તે પછી રાજકોટ ગયા એટલે ગાંધીજીનું મેટ્રિક્યુલેશન સુધીનું શિક્ષણ રાજકોટમાં થયું હતું. બ્રાન્ચ–સ્કૂલ, પરાની શાળા કે તાલુકા શાળા અને કાઠિયાવાડ હાઈસ્કૂલ(જે ૧૯૦૭થી આલ્ફ્રેડ હાઈસ્કૂલ તરીકે ઓળખાતી ) એમ રાજકોટની ત્રણ શાળાઓમાં તે ભણ્યા હતા. તે સમયના નિયમ મુજબ ગુજરાતી શાળામાં એક થી ચાર ધોરણ કરીને પ્રવેશ પરીક્ષા પાસ થયેથી અંગ્રેજી શાળાના એકથી સાત ધોરણમાં ભણવાનું થતું. કુલ અગિયાર ધોરણના અંતે મેટ્રિકની પરીક્ષા આપવાની રહેતી હતી.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી ગાંધીજીનું વિદ્યાર્થી તરીકેનું સ્વમૂલ્યાંકન, “ હું ભાગ્યે સામાન્ય કોટિનો વિદ્યાર્થી ગણાતો હોઈશ’, “હું અનુમાન કરું છું કે મારી બુધ્ધિ મંદ હશે અને યાદશક્તિ કાચા પાપડના જેવી હશે” નું છે. પરંતુ તેમના વિદ્યાર્થીકાળના પુરાવા દર્શાવે છે કે તે જેમ તેજસ્વી વિદ્યાર્થી નહોતા તેમ સાવ ઠોઠ પણ નહોતા. તેમને એક મધ્યમ દરજ્જાના વિદ્યાર્થી ગણી શકાય. તે શાળામાં ભણતા ત્યારે જેમ નાપાસ થયા છે, ઝીરો માર્ક્સ મેળવ્યા છે તેમ કોઈ કોઈ વિષયમાં ટોપર કરતાં વધુ માર્કસ મેળવ્યા છે, એક જ વરસમાં બે ધોરણ પાસ પણ કર્યા છે. સત્રાંત પરીક્ષામાં નાપાસ થયા છે અને વાર્ષિક પરીક્ષા સારા ગુણે પાસ કરી છે. પરીક્ષાના સારા પરિણામના આધારે સ્કોલરશિપ મેળવી છે. અઘરી ગણાતી અંગ્રેજી માધ્યમની હાઈસ્કૂલની પ્રવેશ પરીક્ષા, મુંબઈ યુનિવર્સિટી દ્વારા લેવાતી મેટ્રિકની પરીક્ષા, અનિવાર્ય નહીં એવી લંડન મેટ્રિક્યુલેશનની પરીક્ષા અને બેરિસ્ટરીની લેટિન સાથેની પરીક્ષા એક કે બે જ ટ્રાયલે પાસ કરી છે. એટલે તેમને સાવ સામાન્ય કોટિના કે સરેરાશ વિદ્યાર્થી ગણી શકાય નહીં.
બાળક , કિશોર અને યુવા મોહનદાસ શરમાળ, સંકોચશીલ , ડરપોક , વિષયભક્ત, નરમાખ, મૂઢ, જ્ક્કી જવાન અને આપમતિલો છોકરો હતા. તે છોડી-જાળવીને અહિસા, સત્ય અને અભયના માર્ગે રાષ્ટ્રપિતા કે મહાત્મા થઈ શક્યા તેમાં તેમના શિક્ષણ અને શિક્ષકોનું યોગદાન કેટલું? કે મોહનદાસનું મહાત્મા તરીકેનું ઘડતર તેમના વિદ્યાર્થીકાળમાં થયું હતું ? તે સવાલનો જવાબ ઘણે ભાગે નકારમાં જ આવે છે. ખ્યાત અમેરિકી પત્રકાર લુઈ ફિશરે ગાંધીજીના જીવનચરિત્રમાં લખ્યું છે કે , “તેઓ મહત્વની વાતો ભણતરમાંથી નથી શીખ્યા. ખરા ગાંધી, ઈતિહાસના ગાંધી નિશાળના ભણતરમાંથી નથી પાક્યા.”
બાળપણ અને કિશોરાવસ્થામાં ગાંધીજીને બૂરી સંગત વળગી હતી. માંસાહાર, ચોરી અને વ્યસન કરતાં થયા હતા. પરંતુ કાળક્રમે એ જાતે જ છોડ્યું . એટલું જ નહીં બેરિસ્ટર બનવા લંડન જવાનું થયું ત્યારે માંસ, મદિરા અને સ્ત્રીસંગથી દૂર રહેવાની માતા સમક્ષ લીધેલી પ્રતિજ્ઞા અચૂક પાળી હતી. તેની પાછળ કયું બળ હતું.? હાઈસ્કૂલના અંગ્રેજી ધોરણના પહેલા વરસની પરીક્ષા વખતે કેળવણી ખાતાના ઈન્સ્પેકટરે પાંચ શબ્દોની જોડણી લખાવી હતી. તેમાં એક શબ્દ કેટલ(Kettle) હતો. મોહનદાસે તેની જોડણી ખોટી લખી હતી.એટલે વર્ગશિક્ષકે પોતાના બૂટની અણી મારી સામેના છોકરાની પાટીમાંથી જોઈ લઈ જોડણી સુધારી લેવાનો ઈશારો કર્યો હતો. પણ તેમણે તેમ ન કર્યું અને આખા વર્ગમાં તેમની જ એક શબ્દની જોડણી ખોટી ઠરી. કદાચ પરીક્ષામાં એ નાપાસ થયા પણ નીતિ શિક્ષણમાં પાસ થયા અને તે પણ શિક્ષકની ઉપરવટ જઈને. પિતાએ ખરીદેલ શ્રવણપિતૃભક્તિ નાટકનું વાચન અને હરિશ્ચંદ્રનું આખ્યાન જોવાનું પણ તેમને નિશાળના કોઈ શિક્ષકની દોરવણી વિના જ થયેલું અને તેમાંથી મળેલી શિખામણ તેમણે કાયમ માટે ગાંઠે બાંધી હતી. એટલે જીવન મૂલ્યો તે શાળા શિક્ષણમાંથી નહીં બીજી રીતે શિખ્યા હતા.
રાજકોટ સ્કૂલ ગાળાના સાથી મહેતાબ શેખ સાથેની દોસ્તીના ઉલ્લેખ વિના ગાંધીજીના વિદ્યાર્થી કાળનું આલેખન અધૂરું છે. મુસ્લિમ મિત્ર મહેતાબ સાથેના સંબંધને ગાંધીજીએ તેમની ‘ જિંદગીનું દુ:ખદ પ્રકરણ’ કહ્યું છે. મહેતાબની દોસ્તી ગાંધીજીને પણ કેટલાક દુર્ગુણો તરફ ખેંચી ગઈ હતી .જોકે તેઓ ઝડપથી પાછા વળી ગયા. પણ મહેતાબ સાથેની મિત્રતા લાંબો સમય રહી હતી. ગાંધીજીમાં કાયમ રહેલા હિંદુ-મુસ્લિમ ભાઈચારાના બીજ કદાચ મહેતાબ સાથેની દોસ્તીમાં હતા.
ગાંધીજીના સમગ્ર જીવન સાથે જે મૂલ્યો વણાયેલા છે તેના અણસાર તેમના વિદ્યાર્થીકાળમાં જોવા મળે છે. ૧૮૯૦માં લેવાયેલી લંડન મેટ્રિક્યુલેશનની પરીક્ષામાં સામાન્ય જ્ઞાનના પ્રશ્નપત્રમાં એક સવાલ હતો કે સુવર્ણ કરતાં વધારે સુવર્ણમય શું છે? અને એકવીસ વરસના પરીક્ષાર્થી મોહનદાસ ગાંધીનો જવાબ હતો કે, સત્ય એ સુવર્ણમય છે. ભલે ભણતરે ગાંધીજી સામાન્ય કોટિના વિદ્યાર્થી મનાય પણ ગણતરે જીવન મૂલ્યોસભર માનવી અને સત્યાગ્રહી તરીકે તે અસામાન્ય છે, અસાધારણ છે.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
બિહાઈન્ડ ધ ટાઈમ્સ – પરદા પાછળનાં પાત્રોની માર્મિક યાદોઃ બચી કરકરિયાની નજરે :: [૫]
નરેશ પ્ર. માંકડ
મણકો [૪]થી આગળ
જયદીપ બોઝ “જોજો”
એક પેઢીના અંતરાલમાં તંત્રીપદ ની સ્ટાઈલ બદલાઈ ગઈ. જયદીપ બોઝ વડાપ્રધાનને સલાહ આપવાની જવાબદારીમાં માનતા નહોતા. એમનામાં ઔપચારિકતા ન હતી એ તો સમજી શકાય, પોતાના પેટ નામ જોજો થી ઓળખાતા એમની પાસે ઔપચારિકતા ની અપેક્ષા શી રીતે રાખી શકાય?
જોજો સવારે સ્થાનિક તંત્રીને કહેશે, અખબાર આજે રાતે સમયસર નીકળી જવું જોઈએ. પછી ૧૦:00 વાગ્યે રાતે વીલું મોઢું લઈને તેની પાસે જઈને કહેશે, મારા પર ગુસ્સે ન થતો પણ હું ફ્રન્ટ પેજ બદલાવું છું. એમને જ્યારે ઇકોનોમિક ટાઇમ્સના તંત્રી બનાવવામાં આવ્યા ત્યારે એમની વય ૨૯ ની હતી. પછી ત્યાંથી ફેરવીને એમને ટાઇમ્સ ઓફ ઇન્ડિયાનો અખત્યાર સોંપાયો અને ચાર વર્ષ બાદ એમના માટે એડિટોરિયલ ડાયરેક્ટરની જગ્યા ઉભી કરવામાં આવી. એમની ટાઈમ્સની ક્રેસ્ટ એડીશન વૈશ્વિક પત્રકારત્વમાં સીમાચિહન સમાન હતી. લીડ ઇન્ડિયા (૨૦૦૭), ટીચ ઇન્ડિયા (૨૦૦૮) અને પાકિસ્તાન સાથે સંવાદસેતુ માટે પાકિસ્તાનના જંગ મીડિયા ગ્રુપના સહયોગથી ‘અમનકી આશા ‘(૨૦૧૦) જેવા એમના પ્રયાસો ઉત્સાહ સાથે ચાલતા રહ્યા.જોજોનો ટાઇમ્સનો દરેક પ્રોજેક્ટ વ્યૂહરચના, આયોજન અને ચાલાકીથી ભરેલી એક મોટી ગેમ જેવો હતો, પણ ભવ્ય, ૭૦ એમએમ મલ્ટી સ્ટાર્ટર બજેટ એડિશનને કોઈ મહાત ન કરી શકે એવી એ જંગી કવાયત હતી. વાચકના દરેક વર્ગ – કોર્પોરેટ નેતા, કરદાતા અને વપરાશકર્તા માટે બજેટનું વિવરણ કરવામાં આવતું. આ પૃષ્ઠો પર વિશ્લેષણ, નિષ્ણાતોના અભિપ્રાય જેવી જેટલી વધુ શક્ય હોય એટલી માહિતી ઠાંસીને મૂકવામાં આવ તીjojo અને આખરે વાંચનક્ષમ અને આકર્ષક પેકિંગ તૈયાર થતું.
આ અભિયાનના આરંભમાં જોજો એવું કહે કે આ વખતે સાદી આવૃત્તિ બનશે, પણ પછી તેઓ વધુને વધુ ઉત્તેજિત થતા જાય અને પોતાની થિંક ટેન્ક સાથે ક્યારેક તો છ – છ કલાક સુધી ચર્ચા ચાલે. એક પરેશાન અને થાકેલા સહભાગી એ કહ્યું હતું, આનાથી ઓછા સમયમાં તો મારી પત્નીની પ્રસુતિ થઈ ગઈ હતી.
જ્ઞાનતંતુની કવાયતમાં ચર્ચા ક્યારેક ભટકી જઈને ક્રિકેટ, રાજકારણ અને પુરાણી યાદોમાં સરી પડતી. દર ૧૫ મિનિટે કોઈ વાતને ફરી મુદા પર લાવતું . પી.રામ, અજીત નીનાન, નીલાભ બેનર્જી જેવા ચિત્રકારો તેમના ખયાલોની યાદી મોકલતા. દરેક આવૃત્તિ આગલી આવૃત્તિ કરતાં વધારે અપીલ કરનારી હોવી જોઈએ એવો વિચાર રહેતો. પ્રત્યેક વર્ષ આ એક મુશ્કેલ કાર્ય બનતું જતું હતું. પ્રથમ પૃષ્ઠના પાંચ કે છ વર્ઝન બનાવવામાં આવતાં. સ્ટાર ચેમ્બર ફરી ભેગી થતી. જોજો કહેશે, ઓકે કયું વર્ઝન? કોઈ કહે C વર્ઝન. જોજો કહેશે, હા પણ તમને નથી લાગતું કે D વધુ મૌલિક છે? તમે એમનો મત સ્વીકારો તો એ કહેશે, એમાં સમસ્યા એ છે કે… બે કલાક પછી તમે A વર્ઝન પર આવો છો જે એમણે પહેલેથી નક્કી કરેલ જ હતો. કોઈ કંટાળીને કહેશે, જોજો, અમને આટલા ભમાવવાની બદલે પહેલેથી જ આ વિકલ્પ કેમ પસંદ નથી કરી લેતા? જોજોને ખોટું લાગશે અને કહેશે, “શું માનો છો આ સરમુખત્યારશાહી છે?”
એવી શંકા પ્રવર્તતી હતી કે નાણાપ્રધાન બજેટનું આયોજન શરૂ કરે એથી પણ પહેલા જોજો બજેટ આવૃત્તિનું આયોજન શરૂ કરી દે છે. મોડેલ કે ટેમ્પલેટ પહેલેથી પેનલ્સ, બોક્સ, ઇન્ફોગ્રાફ, ટેબલ્સ, આંકડાઓ અને ટ્રીવીયાથી સજ્જ રાખવામાં આવે છે. એમાંના કેટલાક બજેટના દિવસે ‘ગરમ કરીને ખાઈ લો’ (Heat and Eat) જેવા તૈયાર હોય છે, બીજા કેટલાક નાણામંત્રીના ભાષણ પછી તૈયાર કરી શકાય છે. અસંખ્ય ડમી તૈયાર કરવામાં આવે. સેંકડો સંભવિત ફોટોગ્રાફ ડાઉનલોડ કરી રાખવામાં આવે છે, જે સ્માર્ટ કીકર્સ એટલે કે આકર્ષક મથાળામાં બંધબેસતા થઈ શકે. બજેટના અલગ અલગ ભાગ માટે વૈકલ્પિક શીર્ષકોની યાદી પહેલેથી જ તૈયાર રાખવામાં આવે અને ખૂબ સુઘડ રીતે તેનું વર્ગીકરણ કરવામાં આવે છે. એડિટોરિયલ ડાયરેક્ટર, જોજો, કરતાં પણ વધારે વ્યસ્ત એમનો અંગત મદદનીશ (પી. એ.) સૂચનાઓનો માસ્ટર ડોક્યુમેન્ટ અને તેની અસંખ્ય પુરવણીઓ ફોજના સૈનિકો અને એમના સરદારો ને અને કમાન્ડરને મોકલી આપવામાં રહેતો.
છેલ્લા સપ્તાહમાં કોપી લખાણનાં તેમ જ પેનલનાં લખાણનાં ચમકદાર મથાળા તૈયાર કરવા માટે ચાર લેખકોની એક ચુનંદી ડેસ્ક ટીમ બનાવાતી જે કોઈ પણ નીરસ વાત ઘુસી ના જાય તેની ખાસ ખાતરી કરતી. એક વર્ષે એક નીરસ બજેટને ‘ઠંડાગરમ.કોમ ‘ શીર્ષક આપ્યું હતું અને નાણાં પ્રધાને એના જવાબમાં કહ્યું હતું, “નહીં, આ ગરમાગરમ છે.”
+ + +
પ્રીતિેશ નંદી
ખુશવંત સિંહે વીકલી છોડ્યું પછી થોડો સમય એમ. વી. કામઠ આવ્યા, પછી બીજા સેલિબ્રિટી તંત્રી મળ્યા પ્રીતિશ નંદી. ખુશવંત વસ્ત્રોની બાબતમાં જેટલા નિસ્પૃહ હતા એટલા જ ભપકાદાર પ્રીતિશ હતા. તેમને સંપૂર્ણ કાળા પોશાકનો, ખુલ્લા બટન વાળા શર્ટ અને ચુસ્ત જીન્સનો શોખ હતો. એક રીતે તેઓ ટાલિયા રાસ્પુટીન જેવા હતા. તેઓ કવિ હતા અને ભાષા બાબત ચુસ્ત હતા. ખુશવંત સિંહથી ઉલટું, તેઓ જૈન પરિવારના અંતરતમ વર્તુળના સભ્ય હતા – ખાસ કરીને સમીર અને નંદિતાના.
એકવાર હાથમાં વીકલીની નકલ લઈને નંદી ઓફિસમાં આગ ઉગળતા ઘસી આવ્યા. પોતાના ચાર સહાય તંત્રીઓને બોલાવીને ગરજયા, “મેં ફ્લાઇટમાં જોયું. મારું મસ્તક શરમથી ઝૂકી ગયું. મારા સહપ્રવાસીઓ સામે હું નજર નહોતો મેળવી શકતો. આ f…ing શરમજનક છે. કઈ જાતનું કંટાળાજનક s..t તમે બહાર પાડ્યું છે?” પછી તેના ટુકડા કરી ને કારપેટ પર ફેંક્યા અને પોતાના ટ્રેડમાર્ક બુટથી તેને કચડ્યા. હમેશની જેમ અડધા કલાક પછી પોતાના ખુશ મિજાજમાં આવી ગયા. બચી એના માટે ‘ખૂંખાર આખલો’ શબ્દ વાપરે છે.જેને બચી દેશની સૌથી કાર્યક્ષમ પત્રકાર કહે છે એવાં શેરના ગાંધીએ કહ્યું હતું કે બીજા કોઈ પણ તંત્રી કરતાં એમને નંદી પાસેથી વધુ શીખવા મળ્યું હતું. એક ખોટું અલ્પવિરામ મૂક્યું હોય કે ન મૂક્યું હોય તો એ બહાર આવીને આખો ચોથો માળ સાંભળે એવી રીતે બૂમો પાડે. એક વાર નંદી અમેરિકા ગયા હતા ત્યારે એક અંકમાં ઘણી ટાઈપની ભૂલો હતી. સબએડિટરને બચીએ કહ્યું, }તારાં નસીબનો આભાર માન કે નંદી અહીં નથી.”. બચીને ખબર ન હતી કે એમને જ્યાં હોય ત્યાં વીકલી એર મેઇલથી મોકલવામાં આવે છે. એમણે ફોન પર સતત પંદર મિનિટ સુધી ભૂલ કરનાર ‘ સબ ‘ને ધમકાવ્યો હતો.
દિલ્હી બ્યુરોમાં કામ કરતી સરોજ નેગીએ એમના મિજાજ અને લે – આઉટ શીટની બાબતમાં એમના તાંડવ જેવાં યુદ્ધ નૃત્ય વિશે સાંભળ્યું હતું પણ દિલ્હીમાં નંદી આવે ત્યારે માનેકા ગાંધી સાથે કે અન્ય રાજકીય બાબતોમાં જ તેમનો સમય જતો. એક વાર તેઓ ઓફિસમાં આવ્યા અને કોઈ બાબતમાં તેમના સ્વભવનો ફ્યુઝ ઊડી ગયો. સરોજ સ્તબ્ધ બની ગઈ, “દર બીજા શબ્દમાં ગાળ આવતી હતી. હું માની શકતી નહોતી કે આ એ જ વ્યક્તિ છે જેની લાગણીસભર કવિતાઓની હું પ્રશંસક છું.” શેરના ગાંધી ઉમેરે છે નંદી ખેલદિલીપૂર્વક પોતાની ટીકાનો સ્વીકાર કરતા.
એમના પુરોગામીની જેમ નંદીને પણ ladies’ man કહી શકાય પણ ખુશવંત માત્ર બડાશ મારતા જ્યારે નંદી તો તેનો અમલ પણ કરતા. જેટલા ઉત્સાહથી એક ટીવી અભિનેત્રીની પાછળ પડ્યા હતા એટલા જ નિશ્ચયપૂર્વક તેને પડતી પણ મૂકી દીધી હતી. એ મહિલા ગુસ્સાભેર આવીને નંદીની સેક્રેટરીના રૂમમાં ઘુસી ગઈ અને નંદીને મળવાની માગણી કરી. અનુભવીએ સેક્રેટરીએ તેઓ બહાર ગયાં છે એવું બહાનું કાઢ્યું , પણ પણ પેલી મહિલાએ મચક ના આપી. સેક્રેટરીએ બાજુના રૂમમાં જ બેઠેલા નાંદીને ચેતવી દીધા. નંદી બારણા માંથી છટકીને રીતસર દોડતા ઉપરના માળે એમના જ તંત્રીપદ હેઠળના ‘ઇન્ડિપેન્ડન્ટ’ ની ઓફિસમાં ઘૂસી ગયા.
નંદીની પત્રકાર તરીકેની કુશળતાના ઘણા ચાહકો એમની માનેકા ગાંધી સાથેની મિત્રતાના ટીકાકાર હતા. એ ચાહકો માટે માનેકાએ તેમને પોતાને કિંગ મેકર સમજતા રાજકીય પ્રાણી બનાવી દીધા હતા. નંદી હસ્તક વીકલી વધુ વિવાદાસ્પદ બની ગયું. તેઓ એક પછી એક દંભી પણ શક્તિશાળી વ્યક્તિઓ પર નિશાન સાધવા લાગ્યા. ઓરિસ્સાના મુખ્યપ્રધાન જે. બી. પટનાયક સામે તેમની ગુસ્તાખી ભારે પડી ગઈ અને તેઓએ માફી માગવી પડી હતી.
એવું જ ચંદ્રા સ્વામીની બાબતમાં બન્યું. દુનિયાના અડધો ડઝન જેટલા દેશના વડાઓને છેતરીને ચંદ્રા સ્વામી કરોડો રૂપિયાના હીરા લઈને ભાગી ગયા હોવાની સ્ટોરી એમણે છાપી. ચંદ્રા સ્વામીએ ઇન્ટરવ્યૂ આપવાનું ઇન્કાર કરેલો તેથી નદીએ છેતરપિંડીનો માર્ગ લીધો અને સ્વામીના ચમચા બનીને એમને મળ્યા. સ્વામીએ કહ્યું ” યે પ્રીતિશ નંદી કૌન હૈ? હરામજાદા હમારે પીછે લગા હૈ. હું તને ૧૦ લાખ ડોલર આપીશ, તું એને મારા વિશે લખતાં અટકાવી દે. એને પૈસા આપીને બાકીના તું રાખી લેજે.”. નંદીએ નાટક આગળ ચલાવ્યું: “ગુરુજી, હું જ પ્રીતીશ નંદી હોઉં તો ? ” એક ગાળ બોલીને સ્વામી કહે, “દેખો યે હૈ મેરી તીસરી આંખ. મૈં ભવિષ્ય દેખ સકતા હું. હમકો કોઈ ઉલ્લુ નહિ બના સકતા હૈ.” નંદી વધુ આગળ વધ્યા: “તો મારું ભવિષ્ય શું છે ” “તારામાં શક્તિ છે તું જેટલો ગધેડા જેવો લાગે છે એટલો નથી, તું ક્યાંક પહોંચીશ” સ્વામીએ કહ્યું.
નંદીના ઇન્ટરવ્યુ વિક્લીની વિશેષતા બની ગયા. એમાંનો એક હતો પ્રમુખ જ્ઞાની ઝૈલસિંઘનો, જેમાં એમણે કહ્યું હતું કે મને કોઈ કંઈ માહિતી નથી આપતા. એમાંથી પછી બંધારણીય કટોકટી સર્જાઈ જેના પરિણામે તેઓ વડાપ્રધાન રાજીવ ગાંધીને બરતરફ કરશે એવી અફવા ફેલાઈ હતી.
ફિલ્મી ગાયક કિશોરકુમારનો એમણે લીધેલો ઇન્ટરવ્યૂ યાદગાર બન્યો.
વિવાદાસ્પદ કવર સ્ટોરી માટે તેઓએ અલગ, બિનપરંપરાગત રીતો અપનાવી હતી. આંતરરાષ્ટ્રીય ગુનેગાર ચાર્લ્સ શોભરાજે જેલમાં એક નવલકથા લખી હતી. નંદીના કહેવા મુજબ શોભરાજ તેની વકીલના પ્રેમમાં હતો. તેને પટાવીને એમણે નવલકથાની એક નકલ મેળવી લીધી અને એમાંથી થોડો ભાગ તેમણે વીકલીમાં છાપ્યો હતો.
બાંગ્લાદેશના વડા પ્રધાન ઝિયા ઉર રહેમાનની રુશવતખોરીની વાત મેળવવા નંદીએ તેની રખાતને સાધી લીધી. એ સ્ત્રી ઝિયાના નાણાં સાથે ન્યૂયોર્કમાં છુપાયેલી હતી.
અમિતાભ બચ્ચનની ઘણી ફિલ્મો ફ્લોપ ગઈ હતી ત્યારે એમણે કવર સ્ટોરી આપી: Superstar Finished. બીજી એક સ્ટોરી હતી: “સુનિલ ગાવસ્કર વિશ્વના સૌથી ખરાબ કેપ્ટન છે?”. આ સ્ટોરી કોને લખી હશે એનું અનુમાન કરી શકો છો? શશી થરૂરે. નંદી કલકત્તાથી એમના પરિચિત હતા.
નંદી ટાઇમ્સમાં જોડાયા એની વાત પણ રસપ્રદ છે. એમને લિસ્બનથી કેલિકટની વાસ્કો દ ગામાની મુસાફરીને લઈને એક નવલકથા લખવા માટે ભાભા ફેલોશીપ મળી હતી અને તેઓ મુંબઈથી પ્લેનમાં કલકત્તા જઈ રહ્યા હતા. યોગાનુયોગ બાજુની સીટ પર અશોક જૈન બેઠા હતા. તેમણે નંદીને પોતાને ઘરે બ્રેકફાસ્ટ માટે આમંત્રણ આપ્યું. નંદી જૈન હાઉસમાં પહોંચ્યા. એમને નોકરીની ઓફર આપવામાં આવી અને એમણે કલકત્તા છોડ્યું, તાતાની ફેલોશિપ પણ છોડી અને ટાઈમ્સમાં જોડાઈ ગયા. એમના કહેવા મુજબ એમને આખા ગ્રુપને ફ્રેશ કરવાનું કામ સોપાયું હતું પણ ” ટાઇમ્સના સિનિયર પત્રકારો સાથે વાત કરવાનું અશક્ય હતું. એ લોકો એવા જૂનવાણી હતા જેઓ પોતે દુનિયા આખીના માલિક છે એમ માનતા હતા. તેઓ પોતાની શક્તિ અને.વગને મારી સામે મૂક્યા કરતા હતા. ગિરીલાલ જૈન પોતાના હોદ્દાને સામંત શાહી વારસો ગણતા હતા. મને સતત કહેવામાં આવતું હતું કે ગિરીએ વડાપ્રધાનને આ કહ્યું અને પેલું કહ્યું.. શ્રીમતી ગાંધીએ ગિરીની આ વાત પર સલાહ માગી પણ મને એવું લાગતું હતું કે ટાઈમ્સના તંત્રીનું કામ વડાપ્રધાનને સલાહ આપવાનું નહોતું. એનું કામ મક્કમતાથી ઉભા રહીને વડાપ્રધાન ક્યાં ખોટા છે એ વાંચકોને જણાવવાનું હતું. ”
ગિરીએ અશોક જૈનને એવું કહ્યું હોવાનું મનાય છે કે પ્રીતિશ અંગ્રેજી લખી શકતો નથી, એ અધૂરાં વાક્યો લખે છે, એ જાહેરખબરીયું અંગ્રેજી લખે છે. આ વાતની જાણ થઈ ત્યારે પ્રીતિશે કહ્યું, “હું જેમ બોલું છું એમ લખું છું, મોટી ભારેખમ વાતો નહીં. હું ગિરી જેવું લખું તો એ શરમજનક હશે.
ટાઈમ્સની ‘ઓલ્ડ લેડી’ ની છાપ દૂર કરવા જૈન પરિવાર તાજગી લાવવા માટે નવા દિમાગની જરૂરિયાત જોતા હતા. ત્યારે ટાઈમ્સના ૧૫૦ વર્ષ પણ પૂરા થતા હતા, એની ઉજવણીની તૈયારીઓ ચાલતી હતી. એ સમયે ટાઈમ્સમાં જોડાવાનું નિમંત્રણ આપવા માટેની યાદી તૈયાર કરવામાં આવી. નંદીના મતે એમના પાસે ખૂબ જ સત્તા હતી કારણ કે અશોક જૈન નો તેમને ટેકો હતો. “મને પરિવર્તન લાવવાની સત્તા આપવામાં આવી હતી પણ ડો. તરનેજા અને કૃષ્ણમૂર્તિ દ્વારા દોરવાતી બ્યુરોક્રસીની સંખ્યા મોટી હતી.” તરનેજાએ નંદીના પહેલા જ દિવસે ફરિયાદ કરી હતી કે તે ફાટેલું જીન્સ પહેરીને કામ કરવા આવે છે અને છાતી દેખાય એમ ખુલ્લો શર્ટ પહેરે છે. આ જગ્યાની સંસ્કૃતિનો તે નાશ કરી દેશે. એ સ્ટ્રીટ ફાઈટ માટે તૈયાર થઈને આવે છે. આ શબ્દો ભવિષ્યના વર્તારા સમાન હતા
PRK, એટલે પી. આર. કૃષ્ણમૂર્તિ, સાથે તો એમને ટાઇમ્સમાં જોડાતાં વેંત જ ઘર્ષણ થયું. નંદિની પોતાની કેફીયત જોઈએ તો તેઓ ટાઈમ્સમાં જોડાયા પછી એક અઠવાડિયા બાદ એમનો પરિવાર મુંબઈ આવ્યો; એમના ટિકિટના પૈસા બહુ સમય સુધી નંદીને ચૂકવાયા નહીં એટલે એમણે કૃષ્ણમૂર્તિની ઓફિસમાં જઈને કહ્યું કે મારું બિલ ક્યાંક અટવાયું છે. ઠાવકાઈથી કૃષ્ણમૂર્તિએ જણાવ્યું, “એ ક્યાંય નથી અટવાયું, મારી પાસે જ છે. અટકાવવાનું કારણ એમને એવું આપ્યું કે ફર્સ્ટ ક્લાસમાં જ મુસાફરી કરી છે એનો પુરાવો આપવા માટે ટિકિટ જોઈએ.” “ટિકિટ તો સ્ટેશનની બહાર નીકળતી વખતે ટી સી લઈ લે છે”, દંગ થઈ ગયેલા નંદી એ કહ્યું. કૃષ્ણમૂર્તિએ બળતામાં અંગાર ચાંપ્યો, ” તમે કંપનીને છેતરતા નથી એ મને કેમ ખબર પડે?” ગુસ્સાથી ભાન ભૂલીને નંદી કૃષ્ણમૂર્તિ પર તૂટી પડ્યા અને એમના સફેદ સફારીનું કોલર પકડીને ધમકાવ્યા “તમે એમ માનો છો કે હું છેતરું છું ? લાત મારીને તમારા દાંત તોડી નાખીશ. તમને એમ લાગે છે કે હું તમારા પિતાનો નોકર છું?”
બીજા દિવસે બિલ ચૂકવાઇ ગયું. ત્યાર પછી કૃષ્ણમૂર્તિ એમની સાથે સાકર જેવા મીઠા બની ગયા હતા.
બચી કહે છે, આ વાત એકપક્ષી છે અને પ્રીતિશ નંદીની કડક તંત્રી કાર્યશૈલીમાંથી બંધ નથી બેસતી.. “મને ક્ષમા કરશો, મેં કૃષ્ણમૂર્તિ સાથે આ ‘ક્લોઝ એન્કાઉન્ટર ઓફ ધ થર્ડ ક્લાસ’ ની ખરાઈ કરવાનો પ્રયત્ન પણ નથી કર્યો.”
વિમલા પાટીલ
ફેમીનાનાં તરવરાટિયાં તંત્રી વિમલા પાટીલને એમના ક્ષેત્રમાં પબ્લિશિંગ ડાયરેક્ટર તરીકે પ્રિતીશ નંદી દખલ કરવા લાગ્યા એ પસંદ નહોતું પડ્યું. પ્રીતિશના અભિપ્રાય મુજબ “વિમલા તખ્તા પર ખડા થઈને ભારતીય સ્ત્રીઓએ શું બનવું જોઈએ એનો બોધ આપે છે. મને એની સામે ગંભીર વાંધો છે. હું નથી માનતો કે આધુનિક નારી માટેનું સામાયિક આવું હોવું જોઈએ.”
જ્યારે ૧૯૭૦ના દશકમાં ફેમીનીઝમના પ્રથમ આવેગમાં સહકર્મીઓ નામની આગળ Ms લગાડતી હતી ત્યારે વિમલા ભારપૂર્વક Mrs Patil ને વળગી રહ્યાં હતાં. એમની યુવાવસ્થામાં તેઓ એટલાં આકર્ષક હતાં કે તેઓ લંચ રૂમમાં જવા કે ડો. તરણેજાને મળવા મેનેજર હોલમાંથી પસાર થાય ત્યારે દરેક વ્યક્તિ પોતાની પેન નીચે મૂકીને એમને નિહાળતા રહેતા.
ડેરીલ ડી મોન્ટેએ એવી વાત કરી હતી કે ઇમરજન્સી જાહેર થઈ ત્યારે વિમલાએ ઇન્દિરા ગાંધી વિશે પ્રશસ્તિ રજૂ કરતું લખાણ લખ્યું હતું. અમે બધા ડઘાઈ ગયા અને એમને આર્ટીકલ પાછો મંગાવી લેવા માટે સમજાવ્યાં; એમને ચેતવણી આપી કે સેન્સરશિપના નવા નિયમ મુજબ કોઈ પ્રકાશન ઇન્દિરા ગાંધીના નામનો ઉલ્લેખ ન કરી શકે. વિમલા બહુ સ્માર્ટ હતાં અને તેઓ વાત માની ગયાં એનું કારણ એ જ હોય કે તેઓએ પોતે એ ન લખવાનું નિરધાર્યું હોય.
સરોષ બનાજી
ફિલ્મફેરના જૂના વાંચકો સરોષ બનાજીના ફિલ્મ રિવ્યૂ વાંચવાનું પસંદ કરતા પણ એ મુશ્કેલ કર્મચારી હતા; એમને દૂર કરવાનું વધુ મુશ્કેલ હતું કેમ કે એ કાયમી નોકરી પર હતા. તેથી વધુ સરળ ઉપાય તરીકે કંપની એમને કંઈ જ કામ ન આપતી. તે પોતાના ડેસ્ક પર અવકાશમાં નજર નાખતા ૯:૩૦થી ૫ વાગ્યા સુધી બેસી રહેતા. મરાઠી લેખિકા શાંતા ગોખલે એનું વર્ણન કરે છે: ” હમણાં જ નાલીમાંથી નીકળ્યા હોય એમ તે ઓફિસમાંથી બહાર નીકળતા , એના હાથ શરીરથી દૂર લંબાયેલા હોય અને ચહેરા પર અણગમો હોય.”
પણ એ “રંગહીન, વાસવિહીન પ્રજાતિનું એક ખાનગી જીવન હતું.” એ રાયફલ રેન્જ પર સારા નિશાનબાજ હતા.
ક્રમશઃ
શ્રી નરેશ માંકડનો સંપર્ક nareshmankad@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
૧૦ – ૧૦ – ૨૦૨૪ના હવે પછીના મણકામાં બહેરામ કોંટ્રાક્ટર નો પરિચય કરાવ્યા પછી બચી કરકરિયા ટાઈમ્સ ઑવ ઈન્ડીયાની તવારીખના એક બીજાં મહત્ત્વનાં પ્રકરણ – જનરલ મેનેજરો’નો લાક્ષણિક પરિચય રજુ કરે છે. -
ગંગાજળથી વોડકા સુધીનું સફરનામું
વનિતાવિશેષ
રક્ષા શુક્લ
આજે મેં મારા ઘરનો નંબર
અને રસ્તા પરના નામનું પાટિયું ભૂંસી કાઢ્યું.
મેં બધા જ રસ્તાઓ પરના પાટીના થાંભલાઓ કાઢી નાખ્યા
તેમ છતાંય તારે મને શોધવી હોય તો,
પ્રત્યેક દેશના, પ્રત્યેક શહેરના
પ્રત્યેક રસ્તા પરના
પ્રત્યેક ઘરનો દરવાજો ખખડાવ.આ શાપ છે અને વરદાન પણ,
જ્યાં તારું અને મોકળાશનું મિલન થશે,
એ જ મારું ઘર સમજજે.– અમૃતા પ્રીતમ (અનુ. નૂતન જાની)
મહાન વિભૂતિઓની પ્રામાણિકતા માત્ર ભ્રષ્ટાચાર ન કરવો કે ટેક્ષ ભરવા સુધીની નથી હોતી. તેઓ તેમના જીવનની સત્ય ઘટનાઓનું અને સંઘર્ષનું નિરૂપણ કરે છે તો એ એમના પ્રસંશકો અને ચાહકો માટે પ્રેરણારૂપ બને છે. મુક્ત વિચારો ધરાવતી એક ઉત્તમ લેખિકા અને કવયિત્રી અમૃતા પ્રીતમ ભારતીય સ્ત્રીની ’ઈમેજ’ વિશેની સભાનતાને ફગાવીને જિંદગીને પોતાની શરતો પર જીવ્યા. અઢળક સૌદર્યની સાથે એમને અત્યંત સુંદર અને ભાવપૂર્ણ શબ્દોનું વરદાન મળેલું હતું. સંકોચની એક ન દેખાતી લકીરની અંદરની તરફ વાચકોને બોલાવીને તેઓ પોતાની આત્મકથની કહે છે ત્યારે ‘એનું સાહસ એના સત્ય કરતા જરાય ઓછું નથી’ એમ કહે છે. ખલીલ જિબ્રાને કહેલું છે કે ‘સત્ય બોલવામાં સંયમ રાખવો એ પણ દંભનો જ એક પ્રકાર છે’.
રેવતીશરણ શર્માએ એકવાર અમૃતાજીને પૂછેલું કે ‘અમૃતાજી, તમારી નવલકથાની છોકરીઓ પોતાના સત્યની શોધમાં વસેલું ઘર તોડી નાખે છે. સમાજ માટે એ હાનિકારક નથી ?’ ત્યારે અમૃતાએ ખૂબ સુંદર જવાબ આપેલો કે ‘રેવતીજી, આજ સુધી જેટલા ઘર તૂટતા રહ્યા છે એ જૂઠના હાથે તૂટતા રહ્યા છે. હવે થોડા સત્યના હાથે તૂટવા દો’. અમૃતાને જીવનના દરેક પડાવે કોઈને કોઈ પુરુષનો હુંફાળો સાથ અને પ્રેમ મળ્યા છે. જેણે એમને સીંચ્યા છે, જીલ્યા છે અને પૂજ્યા છે. પિતા કરતારસિંહ, પતિ પ્રીતમસિંહનો નિર્વ્યાજ પ્રેમ, મિત્ર સજ્જાદ હૈદરની મિત્રતા, સાહિર સાથેનો ઉત્કટ પ્રેમ અને પતિને છોડ્યા પછી મળેલો ઈમરોઝનો અદભૂત સાથ.

આ સર્વના નિઃસ્વાર્થ પ્રેમની ઊંચાઈ એવરેસ્ટ જેવી છે. અત્યંત સંવેદનશીલ અમૃતાને એક અહોભાવ અને કૃતજ્ઞતા સાથે તરસ પણ આપે છે. એટલે જ એ કહે છે તેમ કેટલીક છાયાઓ વર્ષો વીતી ગયા પછી પણ એનામાં રોકાઈ ગયેલી છે. છાયા તો કોઈ કાયાની હોય છે. દરેક છાયાને કોઈ કાયાની અપેક્ષા હોય છે પણ કેટલીક છાયા એવી ય હોય છે જે આ નિયમની બહાર હોય છે. તેમાં એક છાયા ન જાણે ક્યાંથી કાયાથી છૂટીને તમારી પાસે આવી જાય છે. પછી એને લઈને તમે દુનિયામાં ફર્યા કરો છો. શોધ્યા કરો છો કે કઈ કાયામાંથી એ તૂટી છે, છૂટી પડી છે. પણ આ શોધ અનંત હોય છે. એટલે જ અમૃતા એની જીવનયાત્રાને ‘ગંગાજળથી વોડકા સુધીનું સફરનામું છે, મારી પ્યાસનું..’ કહી આપણી સમક્ષ મૂકે છે.
જો કે ઈમરોઝનો અદભૂત પ્રેમ અમૃતાને એના ભગવાન હોવાનો અહેસાસ આપે છે. એ લખે છે કે ‘પિતા, ભાઈ, મિત્ર અને પતિ – કોઈ પણ શબ્દનો કોઈ સંબંધ નથી. પણ જ્યારે તેને જોયો ત્યારે આ બધા અક્ષરો ઘેરા થઈ ગયા’. અમૃતાને લાગતું કે સાહિર અને સજ્જાદની દોસ્તી પણ ઈમરોઝની દોસ્તીના ખીલેલાં ફૂલમાં ક્યાંક સામેલ છે. એકવાર અમૃતાએ કહ્યું કે ‘ઈમ, જો મને સાહિર મળી ગયો હોત તો તું ન મળત’ ત્યારે ઈમરોઝે અમૃતાને ‘અમૃતા’થી પણ આગળ અપનાવીને કહ્યું હતું, ‘હું તમને મળત જ મળત. ભલે, તને સાહિરના ઘરમાં નમાજ પઢતા શોધી કાઢત’. ઈમરોઝ સાથે જિંદગીના ૪૦ વર્ષ અમૃતાએ વિતાવ્યા હતા. ઈમરોઝને ખબર હતી કે અમૃતા સાહિરને કેટલો ચાહે છે પણ તેને એ પણ ખબર હતી કે એ પોતે અમૃતાને કેટલું ચાહતો હતો. પ્રેમ માટેની અનન્ય પ્રતિબદ્ધતા અને વિશ્વાસને લીધે એ કહેતા કે ‘સાહિર સાથેનો અમૃતાનો સંબંધ મિથ્યા અને માયાવી છે. જ્યારે મારી સાથેનો નાતો સાચો અને યથાર્થ.’ સાહિરે અમૃતાને બેચેની આપી છે જ્યારે મારા સાથે એ સંતુલિત અને પરિપૂર્ણ છે’. સાહિરના નામને બહુ જ સુંદર રીતે કેલીગ્રાફીમાં એમ્બોઝ કરી ઇમરોઝે પોતાના રૂમની દીવાલ પર સજાવીને રાખેલ હતું. કારણ પૂછાતા એણે કહેલું કે ‘સાહીરનું નામ અમૃતાના હૃદયમાં કોતરાયેલું છે સંબંધની શરૂઆતમાં મેં જોયેલું કે એની આંગળીઓ દ્વારા પણ સતત સાહીરનું નામ જ રચાતું હોય છે. તો જેને અમૃતા પ્રેમ કરે તેને અમારા દિલમાં, ઘરમાં ખાસ જગ્યા છે.’ ‘અમૃતા ઈમરોઝ’ના લેખિકા ઉમા ત્રિલોક લખે છે કે સમય જતા અમૃતાની તબિયત લથડતી ગઈ. એ દરમ્યાન એક નાના બાળકને સાચવે તેમ ઇમરોઝે અમૃતાને સાચવ્યા. અમૃતાનું દરેક કામ ઈમરોઝ દૈવીભાવથી કરતા. ૨૦૦૫માં અમૃતાએ ઇમરોઝને સંબોધીને એક કવિતા લખી…કદાચ છેલ્લી…
‘मैं तुझे फ़िर मिलूंगी
कहाँ किस तरह पता नही‘ખૂબ જ નાની વયે માતાને ગુમાવી દેનાર અમ્રુતાનો ઈશ્વર ઉપરથી વિશ્વાસ ઊડી ગયેલો. અમૃતા પોતાની દરેક સંવેદનાને આપણી સામે નોખી રીતે જ મૂકે છે એ કહે છે કે ‘મા જીવતી હોત તો કદાચ સોળમું વરસ કંઈક જુદી જ રીતે આવત, પરિચિતોની જેમ. પણ એ અપરીચિતની જેમ દરવાજો ખખડાવ્યા વિના ચુપચાપ આવ્યું અને ચાલ્યું ગયું. એટલે જ પછી એ જિંદગીના દરેક વર્ષમાં ક્યાંક સમાયેલું રહ્યું’. એમની સંવેદનાની અભિવ્યક્તિ કાબીલેદાદ છે. એ લખે છે કે ‘કોઈ ઋષિની સમાધિ તૂટી જાય તો ભટકવાનો શ્રાપ એની પાછળ પડે – મારી પાછળ ‘વિચારો’નો શ્રાપ પડ્યો છે’. એ ખુશ હતા કે એને સમાધિના સુખનું વરદાન નહોતું મળ્યું પણ રખડવાની બેચેનીનો શ્રાપ મળેલો હતો.
પોતે સ્ત્રી હોવા છતાં સ્ત્રી હોવાની અનુભૂતિ અમૃતાને જીવનમાં ત્રણ જ વખત થાય છે. પહેલી વાર યુવાન અમૃતાને સ્વપ્નમાં ફૂલના કુંડામાં એક બાળકનો ચહેરો ઉપસી આવેલો દેખાયો, બીજી વાર સાહિરને તાવ આવતા તેની છાતીમાં વિક્સ ચોળી આપતા અને ત્રીજી વાર સ્ટુડિયોમાં બેઠેલા ઈમરોઝે પાતળું બ્રશ કાગળ પરથી ઊંચકીને લાલ રંગમાં ડુબાડ્યું અને પછી ઉઠીને એ બ્રશથી અમૃતાના કપાળ પર એક બિંદી કરી ત્યારે. ક્યારેક અમૃતાએ એની અંદરની ‘કેવળ સ્ત્રી’ને નિરાંતે નિહાળી છે. જેને કોઈ કાગળ-કલમની જરૂર નહોતી. આ ક્ષણોને તેમણે જિંદગીભર ફ્રીઝ કરીને રાખી. અને જરૂર પડ્યે એમાંથી હૂંફ મેળવતા રહ્યા. આપણા દેશના ભાગલા વખતે જે ઘટ્યું એના જેવો ખૂની, બર્બર કાંડ કોઈની કલ્પનામાં પણ ન આવે તેવો ભીષણ અને અત્યાચારી હતો. જે મરી ગયા હતા કે વિખૂટા પડી ગયા હતા એનું મિલન કોણ કરાવે ? ટ્રેઈનમાં મુસાફરી કરતા અમૃતા લાશ જેવા લોકોની પીડા જોઇને ધ્રૂજી જાય છે. એ સમયે એને પંજાબના દુઃખને વાચા આપી શકે તેવા કવિ વારીસ શાહ યાદ આવે છે. જેણે હીર જેવી બેટીના દુઃખને ગાયું હતું. અને ચાલતી ગાડીએ અમૃતા કાંપતી આંગળીઓથી વારીસ શાહને સંબોધીને એમનું પ્રખ્યાત કાવ્ય લખે છે…’આજે વારીસ શાહને કહું છું કે તમારી કબરમાંથી બોલો…’
‘મારી મહોબતમાં એના માટે પૂજા પણ સામેલ છે…’ એવું લખીને અમૃતા પ્રીતમ પોતાની આત્મકથા ‘ધી રેવન્યુ સ્ટેમ્પ’માં સાહિર સાથેના પ્રેમને ડંકાની ચોટ પર કબૂલે કરે છે. આત્મકથા એ સર્જકના આત્માની ઓળખ છે. જે હૃદયની પ્રામાણિકતાથી લખાય છે. તેમાં બુદ્ધિની કસરત કોરે મૂકવી પડે. એમાં કલ્પના પણ ન ચાલે. હકીકતોનું જ આલેખન કરવાનું હોય છે. સાહિરના પ્રેમમાં ગળાડૂબ અમૃતા પાગલપનના શિખર પર સવાર હતી. માતૃત્વ ધારણ કરવાની અંગત પળોને અમૃતાજીએ પોતાની રીતે જ આકારી. ગર્ભાવસ્થા દરમ્યાન સતત સાહિરના જ વિચારોમાં જીવી, સાહિરની જ છબીને દિલો-દિમાગ પર કંડાર્યા કરી જેથી બાળકનો ચહેરો સાહિરને જ મળતો આવે. એટલે જ ૧૩ વર્ષનો પુત્ર નવરોઝ નિર્દોષતાથી પૂછી બેસે છે, ‘મમ્મા, શું હું સાહિર અંકલનો દીકરો છું ?’ કોઈ ગમે તે માને પણ સાહિર સાથેનો અમૃતાનો પ્રેમ અલૌકિક હતો. અમૃતા લખે છે કે સાહિર મળવા આવે ત્યારે એની ખામોશીમાથી નીકળીને એક ટૂકડો ખુરશીમાં બેસતો અને ચાલ્યો જતો. ‘કોઈક વાર… એક વાર એના હાથને સ્પર્શવાની ઈચ્છા થતી, પણ મારી સામે મારા જ સંસ્કારોનું એક એવું અંતર હતું કે જે કાપી શકાતું નહોતું’.
એક દર્દ હતું-
જે સિગારેટની જેમ
મેં ચૂપચાપ પીધું છે
ફક્ત કેટલાંક ગીત છે –
જે સિગારેટ પરથી મેં
રાખની જેમ ખંખેર્યાં છે !અમૃતાએ ૧૯૬૦માં પ્રીતમસિંહથી છૂટા પડવાનું નક્કી કર્યું એ નિર્ણય બંનેનો સંયુક્ત હતો. કોઈ ફરિયાદ કે આક્ષેપો નહીં. અમૃતાના મનમાં પતિ પ્રીતમસિંહ માટે સતત માન અને આદર રહ્યા. પોતાના નામમાંથી એમણે એટલે જ ‘પ્રીતમ’ને હટાવી દેવાની કોશિશ ન કરી. મુઠ્ઠી ઊંચેરા પ્રીતમસિંહે પણ હંમેશા અમૃતાનું માન-સન્માન જાળવ્યું. જીવનના પાછલા વર્ષોમાં અમૃતાને સતત ઈમરોઝનો હુંફાળો મૈત્રીભર્યો સાથ મળતો રહ્યો પણ પ્રીતમસિંહ છેક સુધી એકલા જ હતા. છેલ્લા વર્ષોમાં જ્યારે પ્રીતમસિંહ ખૂબ બીમાર રહેતા હતા ત્યારે અમૃતા અને ઈમરોઝ એને ઘરે લઇ આવ્યા હતા અને મૃત્યુપર્યંત એમની સેવા કરી. આ હતી એક ઉમદા ચારિત્ર્યની મિસાલ. સ્ટીફન કોવી કહે છે કે ‘આપણે આપણા વિશે જે વિચારીએ છીએ તે નહીં, પરંતુ આપણે જે વારંવાર ઉચ્ચારીયે અને આચારીએ છીએ તે જ આપણું સાચું ચારિત્ર્ય છે.’
સમાજના ખોખલા રિવાજો અને માન્યતાઓ સામે બંડ પોકારનાર અમૃતા પ્રીતમની આત્મકથા ‘રેવન્યુ સ્ટેમ્પ’, જિંદગીનો અલગ રાહ પસંદ કરી જીવતી પ્રતિભાસંપન્ન નારીની આંતરિક મથામણો, સંઘર્ષો, તેના અંગત અને જાહેર જીવનની ખાટ્ટી-મીઠી ઘટનાઓ, તબક્કાઓ અને સંસ્મરણોની સ્મૃતિગાથા છે. અગણિત માન-સન્માન અને ઇનામ-અકરામ તેઓને મળેલા છે. મુખ્યત્વે ૧૯૮૨માં ‘કાગઝ કે કેનવાસ’ માટે તેમને ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો. તદ્દઉપરાંત ૧૯૬૧માં પદ્મશ્રી અને ૨૦૦૪માં પદ્મવિભૂષણ જેવા સન્માન વડે તેમને નવાજવામાં આવ્યાં. આ ઉપરાંત, શાંતિનિકેતન સહિત અન્ય કેટલીયે પ્રસિદ્ધ યુનિવર્સિટીઓ દ્વારા તેમને ડી. લિટરેચરની માનદ્ ડીગ્રી પ્રાપ્ત થઈ ! ઇનામો અકરામો એમને મળીને ગૌરવાન્વિત થયા છે.
ઇતિ
જે કાર્ય કર્યા પછી તમને પસ્તાવો થાય તે અનીતિ.
જે કાર્ય કર્યા પછી તમને આનંદ થાય તે નીતિ.
-અર્નેસ્ટ હેમિંગ્વે
સુશ્રી રક્ષાબેન શુક્લનો સંપર્ક shukla.rakshah@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
ગાંધીજી : જહાં હો વહાં
તવારીખની તેજછાયા

પ્રકાશ ન. શાહ
ગાં ધીજીની અને ગાંધી આસપાસની ટપાલ ટિકિટોને લગતી નિરીક્ષા ને નુક્તેચીનીને ધોરણે તરતમાં પ્રકાશિત થઈ રહેલા પુસ્તકનું નામ હસિત મહેતાએ પાડ્યું છે પણ મજાનું- ગાંધીજી : જહાં હો વહાં. વસ્તુત: આ શીર્ષક ગાંધીજી પર આવેલી કોઈ ટપાલ પરના સરનામાનું છે! દૂર દેશથી આશાએ ને આરતે ભર્યું કોઈ જણ બાપુને પત્ર લખે છે.
ખબર નથી, ત્રીજા વર્ગનો નિત્યપ્રવાસી આ પત્ર પુગશે ત્યારે ક્યાં હશે. ભલે ભાઈ, ‘જહાં હો વહાં’ લખ્યું કે પતાકડું પુગ્યું સમજો. ગાંધીસ્મૃતિ પણ હવે તો અમૃતપર્વનાં વર્ષોમાં પ્રવેશી ચૂકી છે ત્યારે, આટલે વરસે, આવા રમતીલા-ગમતીલા પ્રસંગો સંભારવાનું મન કેમ થઈ આવે છે? એવું તો નથી ને કે ગાંધીને કિસ્સા-કહાણીમાં ખતવી નાખ્યા કે હાશ, છૂટ્યા! હમણાં મેં એમને ત્રીજા વર્ગના નિત્યપ્રવાસી કહ્યા.
૧૯૧૫થી ૧૯૪૮નાં એમનાં હિંદવી વર્ષોમાં એમણે ત્રીજા વર્ગની મુસાફરીમાં કેટલા દિવસો કાઢ્યા હશે, એ પણ એક વિસ્મયનો વિષય સ્તો. હજુ બે-ત્રણ અઠવાડિયાં જ થયાં છે એ વાતને જ્યારે નવી દિલ્હીના ‘ગાંધીદર્શન’ પરિસરમાં કેન્દ્ર સરકારના સંસ્કૃતિ ને પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે અસલના વારાના ત્રીજા વર્ગના ડબ્બાની એક સોજ્જુ પ્રતિકૃતિ ખુલ્લી મૂકી છે. સરકારી ખાતાને એક સ્મૃતિજોણું સૂઝ્યું એ તો જાણે કે ઠીક થયું. પણ શેખાવતે તે પ્રસંગે જે કહ્યું એમાં મને ચોક્કસ જ રસ પડ્યો. એમણે કહ્યું કે સામસામાં ધ્રુવીકરણો ને ઝઘડે ભર્યા આજના જગતમાં બાપુનો સંવાદિતા ને સ્વયંપોષિતતાનો જે સંદેશ છે તે અગાઉ કરતાં પણ વધુ અગત્યનો બની રહે છે.
આજનું સત્તા-પ્રતિષ્ઠાન ગાંધીની આ વાતમાં ખરેખર માને છે કે કેમ એ અલબત્ત તપાસનો વિષય છે, પણ ગાંધીને ઉઘાડે છોગ ફગાવવાનું એને સારુ કદાચ શક્ય નથી. હજુ મહિનો પણ નથી થયો એ વાતને જ્યારે વિદેશ મંત્રી જયશંકરે ‘ફોટો-ઓપ’ની સર્વાગ્ર કાળજીભેર જીનીવા ખાતેની પોતાની સત્તાવાર કામગીરીનો આરંભ ત્યાં મુકાયેલી ગાંધી પ્રતિમાના વિધિવત્ દર્શનથી કર્યો હતો. ગયે અઠવાડિયે દેશમાં બે બૌદ્ધિક ઉપક્રમો એક કરતાં વધારે ઠેકાણે જોવા મળ્યા તે આ ક્ષણે સાંભરે છે. એક ઉપક્રમ પક્ષ પરિવારના સિદ્ધાંતકોવિદ દીનદયાલ ઉપાધ્યાયના ૧૦૮મા જન્મદિવસ આસપાસનો હતો તો બીજો પુના કરારના અવસરને અનુલક્ષીને હતો.
દીનદયાલના વિચારો અને ગાંધીવિચારમાં કેવું સામ્ય છે એ ઉપસાવવાની સહજ કોશિશ સત્તાવર્તુળોમાંથી થઈ. પુના કરાર એ દેશના દલિત બૌદ્ધિકોના મોટા હિસ્સાને સારુ ગાંધીજી બાબતે ટીકાનો મુદ્દો રહેલ છે. જોકે, ગોપાલ ગુરુ આ મુદ્દામાં પિન ચોંટી ન રહેતા વ્યાપક રીતે ન્યાય ને સમાનતાની કોશિશ બેઉ છેડેથી હતી તે વાત પર પોતાની રીતે ધ્યાન ખેંચતા રહ્યા છે. ગમે તેમ પણ આ વખતે મેં કોઈક બૌદ્ધિક-શૈક્ષણિક સંસ્થાનમાં ગાંધી-આંબેડકર બેઉ પોતપોતાને છેડેથી સ્વતંત્રતા અને સમાનતા તેમજ બંધુતાને કેટલા બધા વરેલા હતા એ મુદ્દા પર ભાર મૂકાતો પણ જોયો.
આપણી સ્વરાજ લડતની કથિત મુખ્ય ધારાના કોઈ પણ નેતા કરતાં ગાંધીજી કદાચ સૌથી વધુ સંવાદમાં ઊતર્યા હશે. ભીખુ પારેખે ‘ડિબેટિંગ ઈન્ડિયા’માં ટાગોર ને આંબેડકરથી માંડીને બધા મહત્ત્વના સંવાદો સુપેરે મૂકી આપ્યા છે. મને લાગે છે, જે દિવસોમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ તેમાં આ પ્રકારનું ગાંધીસેવન નિરામય સમજ કેળવવાની દૃષ્ટિએ ખાસું ઉપયોગી ભાથું ખસૂસ સંપડાવી શકે.
કમાલ તો એ રીતે પ્યારેલાલ કૃત ‘લાસ્ટ ફેઝ’ (‘પૂર્ણાહુતિ’) પણ છે. ગાંધી એમના જીવનના અંતિમ પર્વમાં જે સંઘર્ષ અને જે સાધનામાંથી સમર્પણ બુદ્ધિપૂર્વક ગુજર્યા એનું આ તંતોતંત આલેખન ત્યારના જાહેર જીવનને અને સ્વરાજ સંક્રાન્તિને સમજવામાં પણ એક દિલબર ભોમિયો બની રહે એ બરનું છે. આપણા સમયનું મહાભારત જ કહો તો પણ ચાલે. એમણે જે પંથ પકડ્યો હતો એને ભર અસંમતિએ પણ પ્રીછનારા ને પ્રમાણનારા એમને ક્યાં ક્યાંથી કેવા મળી રહ્યા એની તપસીલ આહલાદક રીતે આશ્વસ્તકારી છે.
પખવાડિયા પર જ જેમની ૧૪૫મી જન્મજયંતી ગઈ તે રામસ્વામી પેરિયારે ગાંધીહત્યા પછી એમની પત્રિકા ‘વિદુથલાઈ’માં લખ્યું હતું: ‘અનેક લોકો માને છે કે ગાંધી પ્રત્યે મારું શોકાકુલ હોવું, મગરનાં આંસુથી અધિક નથી. તેઓ જે માનતા હોય તે એમને માનવા દઈએ. કેવળ એ દુષ્ટ પ્રવૃત્તિના લોકો જેમણે ગાંધીહત્યા નિમિત્તે મીઠાઈ વહેંચી હતી તેઓ જ ગાંધીથી પ્રભાવિત ન હોય એવું ને, અને તે પણ એ હદે કે તેઓ ખુશી મનાવે છે. પણ ગાંધીના નિધનની ખબર મળતાં હું મારું દુ:ખ રોક્યું રોકી શક્યો નહોતો. લાંબો વખત હું મારા પંદર બાય પંદરના કમરામાં આંટા પર આંટા મારતો રહ્યો, કેવળ એ પ્રેમને વશ થઈને જે એમના રાજકારણ અને સેવાઓને કારણે મારા દિલના અતલ ઊંડાણમાં છુપાયેલ હતો. એમની કેટલીક રાજકીય રસમો સાથે મને ઊંડા મતભેદ હતા, પણ એમના અહિંસા, સત્ય અને પ્રેમને લઈને મારા મનમાં કોઈ પૂર્વગ્રહ નહોતો. એ સ્તો હતું મારા શોકનું કારણ.’
ગાંધી ‘જહાં હો વહાં’ ત્યાં તો આપણે ક્યાંથી પહોંચી શકવાના હતા! પણ આપણે જ્યાં છીએ ત્યાં આ કે તે નિમિત્તે ગાંધી સાથે હૃદયવાર્તા તો કરી જ શકીએ છીએ ને. એમની પ્રસંગમાળા, વિચારમાળા, સમગ્ર ગાંધી સાહિત્ય રૂપે સર્વજન સુલભ છે. મળતાં મળે એવા અવસરો પણ આવી જ મળતા હોય છે. ગાંધી સંસ્થાઓ પરની સરકારી તવાઈમાં જેમ આ સંસ્થાઓની ખરી ખોટી નિર્બળતાઓ નિમિત્ત આપતી હશે તેમ સત્તા પ્રતિષ્ઠાનની માનસિકતા પણ તરત ઢેકો કાઢતી માલૂમ પડે છે. આ તવાઈ પણ, એમ તો, ગાંધી સન્મુખ થવાનો અવસર જ ને?
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૦૨-૧૦– ૨૦૨૪ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
કોઈનો લાડકવાયો – (૫૭): આદિવાસી વિદ્રોહની બે કથાઓ
દીપક ધોળકિયા
આ લેખ શરૂ કરતાં પહેલાં એક ભૂલ બદલ ક્ષમા માગવાનું જરૂરી છે. ઘટનાક્રમમાં આ બન્ને વિદ્રોહોની કથા ચોરી ચૌરાથી પહેલાં અને ગદર પછી છે, પણ એ શરતચૂક થઈ છે. જાગ્રત મન તો આદિવાસીઓના સંગ્રામનું મૂલ્ય જરાય ઓછું નથી આંકતું પણ સુષુપ્ત મન કદાચ અંદરના શિક્ષિત, શહેરી મધ્યમ વર્ગીય માણસની ટેવોથી મુક્ત નથી થયું એટલે જ આ બન્ને ઘટનાઓ ક્રમમાં હોવા છતાં લખવાનું રહી ગયું. ચાલો, જાગ્યા ત્યાંથી સવાર.
૦૦૦
રાજસ્થાન અને ગુજરાતમાં ભીલોનો બળવો;
છોટા નાગપુર (ઝારખંડ)માં ટાના ભગતનું આંદોલન
ભીલો
કોંગ્રેસની સ્થાપના પછી દેશમાં ત્રણ મોટા જન સંહાર થયા. જલિયાંવાલા બાગની ઘટનાથી આપણે પરિચિત જ છીએ. તે પછી કિસ્સા ખ્વાની બજારમાં અહિંસક પઠાણો પર બેફામ ગોળીબાર. પણ સૌથી પહેલો નરસંહાર ગુજરાત અને રાજસ્થાનની સરહદે બાંસવાડા જિલ્લાના માનગઢના પહાડોમાં થયો. અંગ્રેજો અને દેશી રાજાઓએ મળીને ૧૫૦૦ ભીલોને મોતને ઘાટે ઉતારી દીધા. આજે પણ ભીલો એને માનગઢ ધામ તરીકે ઓળખે છે.
આ આંદોલનના નેતા ગોવિંદ ગુરુ પોતે ભીલ નહોતા, એ લંબાડા (વણઝારા) હતા પણ અંગ્રેજો અને રાજાઓ સાથે મળીને શોષણ કરતા હતા તે એમનાથી જોઈ શકાયું નહીં. ભીલોએ મહારાણા પ્રતાપની સેનામાં ભારે કૌવત દેખાડ્યું હતું પણ એમનો ગૌરવશાળી ઇતિહાસ હવે શોષકોના પગ તળે ચગદાવા લાગ્યો હતો. એમના સ્વાભિમાન પર સતત હુમલા થતા હતા.ગોવિંદ ગુરુએ પહેલાં તો એમનામાં સામાજિક સુધારા શરૂ કર્યા. દારૂ ન પીવો, માંસાહાર છોડવો, સ્ત્રીઓનું સન્માન કરવું, ચોરી ન કરવી, વગેરે.
ધીમે ધીમે ગુજરાત અને રાજસ્થાનના ભીલો એમના ઉપદેશોને માનતા થઈ ગયા. એમણે ગીતો પણ રચ્યાં:
अंग्रेजिया नई मानू. नई मानूं
हरि ना शरणा में गुरु गोविंद बोल्या
जांबू (देश) में जामलो (जनसमूह)जागे है,
अंग्रेजिया नई मानू. नई मानूं।।(અંગ્રેજોને હું નહીં માનું. જંબુદેશમાં લોકો હવે જાગી ગયા છે. અંગ્રેજોને હું નહીં માનું…)
એમનું બીજું એક ગીત છે, જેમાં એમણે કહ્યું છે કે ભૂરિયા (અંગ્રેજો) જમીન લઈ લેવા આવ્યા છેઃ
दिल्ली रे दक्कण नू भूरिया, आवे है महराज।
मगरे झंडो नेके आवे है महराज।
नवो-नवो कानून काढे है महराज।।
दुनियां के लेके लिए आवे है महराज।
जमीं नु लेके लिए है महराज।।હવે આદિવાસીઓ સંગઠિત થવા લાગ્યા અને એમના શોષક કોણ છે તે સમજવા લાગ્યા. ૧૮૮૩માં એમણે આદિવાસીઓ માટે સંપ સભાની સ્થાપના કરી. ૧૯૦૩માં એનું પહેલું સંમેલન મળ્યું ભીલોમાં જાગૃતિ આવી હતી. દેશી રાજાઓ પહેલાં એમની પાસે વેઠમજૂરી કરાવતા પણ હવે ભીલોએ એના માટે ચોખ્ખી ના પાડી દીધી. એમણે દારૂ છોડ્યો એટલે પીઠાં બંધ પડ્યાં અને સરકારની આવક ઘટવા લાગી. એમણે હવે ઉધાર લેવાનું બંધ કરી દીધું એટલે શાહુકારોની કમાણી પણ બંધ પડી. દેશી રાજાઓને ડર લાગવા માંડ્યો કે આટલી સશક્ત જાતિ જાગી જશે તો ક્યાંક એમનાં રાજપાટ ઝુંટવી ન લે!
૭મી ડિસેમ્બર, ૧૯૦૮ના રોજ સંપ સભાનું વાર્ષિક અધિવેશન માનગઢ ધામ ખાતે યોજાયું હતું. જેમાં હજારો લોકોએ ભાગ લીધો હતો. ફરી ૧૯૧૩માં, ગોવિંદ ગુરુના નેતૃત્વમાં માનગઢમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ એકઠા થયા. તેમના વિરોધીઓએ એવી અફવા ફેલાવી કે આદિવાસીઓ રજવાડાઓ કબજે કરવાની તૈયારી કરી રહ્યા છે.
તે સમયે ગુજરાત બોમ્બે પ્રાંત હેઠળ હતું.૧૦ નવેમ્બર ૧૯૧૩ના રોજ બોમ્બે પ્રાંતની સેના ટેકરી પાસે પહોંચી પણ ભીલોએ અંગ્રેજ ફોજને પીછેહઠ કરવા ફરજ પાડી. ટેકરીથી દૂર લશ્કર થંભી ગયું. ૧૨મી નવેમ્બરે એક ભીલ પ્રતિનિધિ ટેકરી પરથી નીચે આવ્યો અને ભીલોનો માંગણી પત્ર સેનાના ઊપરીને સોંપ્યો પરંતુ સમાધાન ન થઈ શક્યું. કરારના અભાવે, ડુંગરપુર અને બાંસવાડાના રજવાડાઓએ અમદાવાદના કમિશનરને જાણ કરી કે જો “સંપ સભા”ના ભીલોને જલ્દી દબાવવામાં નહીં આવે, તો તેઓ તેમના રાજ્યને લૂંટી લેશે અને પોતાનું રાજ્ય સ્થાપશે. અંગ્રેજ અધિકારીઓએ મેવાડ છાવણીમાંથી સેનાને બોલાવી. આ સેના ૧૭મીએ માનગઢ પહોંચી અને પહોંચતાની સાથે જ ગોળીબાર શરૂ કરી દીધો. કુલ પંદરસો મૃતદેહો એક પછી એક પડ્યા. ગોવિંદ ગુરુને પગમાં ગોળી વાગી હતી. તેઓ ત્યાં પડી ગયા. એમની ધરપકડ કરવામાં આવી. કેસ ચાલ્યો તેમાં એમને ફાંસીની સજા ફટકારવામાં આવી. પરંતુ બાદમાં ફાંસીની સજાને આજીવન કેદમાં બદલી દેવામાં આવી. સારા આચરણને કારણે તેમને ૧૯૨૩માં મુક્ત કરવામાં આવ્યા. તેમની મુક્તિ પછી, તેઓ ગુજરાતના પંચમહાલ જિલ્લાના કંબોઇ ગામમાં રહેવા લાગ્યા. જીવનના અંતિમ દિવસો સુધી તેઓ લોકકલ્યાણના કાર્યોમાં વ્યસ્ત રહ્યા. ત્યાં ૧૯૩૧માં તેમનું અવસાન થયું.આજે પણ માનગઢ ટેકરીના પથ્થરો પર પંદરસો આદિવાસીઓની શહાદત કોતરેલી છે. ભીલોએ જે ધૂણી પ્રગટાવી તે આજે પણ જીવંત છે.
ઝારખંડમાં ટાના ભગત આંદોલન
બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થવાની અસર છોટા નાગપુર (હવે ઝારખંડ)માં પણ દેખાઈ. અહીં વટાળ પ્રવૃત્તિમાં માત્ર બ્રિટિશ મિશનરીઓ નહીં, જર્મની અને ઑસ્ટ્રિયાના મિશનરીઓ પણ સક્રિય હતા. વિશ્વયુદ્ધમાં બ્રિટન અને જર્મની સામસામે હતાં. આદિવાસીઓમાં જર્મન મિશનરીઓનો પ્રભાવ વધારે હતો. એમ મનાય છે કે જર્મન મિશનરીઓ એમના આદિવાસી અનુયાયીઓની બહુ મોટી સંખ્યાનો લાભ લઈને કંઈ અળવીતરાં ન કરે એટલા માટે બ્રિટિશ મિશનરીઓએ ટાના ભગત આંદોલન શરૂ કરાવ્યું. પરંતુ ટાના ભગત આંદોલન મુખ્યત્વે બ્રિટિશ સરકારની વિરુદ્ધ રહ્યું. એમાં ખાસ કરીને મુંડા અને ઉરાંવ આદિવાસી જોડાયા.
ટાના ભગત આંદોલનની શરૂઆત જતરા ભગત નામના એક વીસ-પચીસ વર્ષના યુવકે કરી. એણે જાહેર કર્યું કે એને ‘ધર્મેશ’ (ભગવાન)નાં દર્શન થયાં અને ભગવાને આદેશ આપ્યો છે કે ઉરાંવ આદિવાસીઓ હવેથી માત્ર ભગવાનની ભક્તિ કરશેમતિયાવ (ભૂતપ્રેત) ની પૂજા વગેરે બંધ કરી દેશે. દરેક જણે સાદું જીવન જીવવાનું છે, માંસ, દારુ, નાચગાન, આભૂષણો છોડવાનાં છે. જતરા ભગતના આદેશોમાં વૈષ્ણવ અને કબીરપંથીઓની અસર સ્પષ્ટ દેખાય છે.
જતરા ભગતે આ સાથે જ ઉપદેશ આપ્યો કે ઉરાંવ કાયમી ખેતજમીન નહીં ખેડે અને એમની પરંપરાગત ઝૂમ ખેતી કરશે( આ પ્રકારની ખેતીમાં એક જગ્યાએ ઝાડઝાંખરાં બાળીને ખેતી કરાય છે, બીજા વર્ષે એ જમીનને પડતર રહેવા દેવાય છે કે જેથી એનાં રસકસ સચવાઈ રહે, દરેક પ્રદેશમાં એનાં જુદાં જુદાં નામ હોય છે). ઉરાંવને જમીનદારો કે સરકારના કર ચુકવવાની પણ મનાઈ કરી. થોડા જ વખતમાં દૂર દૂરના આદિવાસીઓ પણ એના અનુયાયી બની ગયા. હવે માત્ર ઉરાંવ જ નહીં બીજા આદિવાસીઓ પણ ભળ્યા. આમ ભૂતપ્રેતમાં આસ્થા હટાવવા માટે શરૂ થયેલું આંદોલન હવે આર્થિક બની ગયું. સત્તાધારીઓ અને જમીનદારો આદિવાસીઓને કૂલી સમજતા પણ હવે આદિવાસીઓ કૂલીગીરી કરવાની ના પાડતા થઈ ગયા. જતરાના ઉપદેશમાં ઉપભોગવાદ માટે જગ્યા નહોતી. એટલે એવાં કામો છોડવાનું આદિવાસીઓ માટે સહેલું થઈ ગયું.
સરકારે જતરા સામે કામમાં આડે આવવા બદલ કેસ કર્યો અને બે વરસની સજા કરી. તે દરમિયાન એની પત્નીએ આંદોલનનું નેતૃત્વ સંભાળ્યું. ૧૯૧૫માં સજા પૂરી થતાં જતરા પાછો આવ્યો ત્યારે એ આંદોલનથી દૂર થઈ ગયો અને એક કોંટ્રૅક્તરને ત્યાં નોકરીએ લાગી ગયો. પણ જેલવાસ દરમિયાન એને રોગ લાગુ પડી ગયો હતો અને એનું થોડા જ વખતમાં મૃત્યુ થઈ ગયું.
જતરા પછી બીજા પણ ભગવાનનો આદેશ લઈને આવ્યા અને આંદોલન સંપૂર્ણપણે અંગ્રેજોની વિરુદ્ધ થઈ ગયું. ઉરાંવ હવે જર્મનીના વિજયનાં ગીતો બનાવતા થઈ ગયા. એમણે ‘જર્મન બાબા’ માટે ભજનો પણ બનાવ્યાં. એવામાં દુકાળ પડ્યો અને આદિવાસીઓ બીજે હિજરત કરવા લાગ્યા.
દરમિયાન સરગૂજાના નાના રજવાડામાં બળવો થઈ ગયો એમાં ૫૩ માણસ માર્યા ગયા. આ બળવો કિશન અને ઉરાંવ આદિવાસીઓએ કર્યો હતો. એમનો હેતુ બ્રિટન માટે દેશમાં અંધાધૂંધી ફેલાવવાનો હતો. જો કે એમણે હિંસાનો માર્ગ પહેલી વાર લીધો હતો. હિંસાચારમાં ઉરાંવનો ફાળો ઓછો રહ્યો તે ટાના ભગત આંદોલનનો પ્રભાવ ગણાય.
ધીરે ધીરે ભગત આંદોલનમાં નવા નેતા આવ્યા એમણે જતરા ભગતે આચારવિચાર માટે નક્કી કરેલાં ધોરણો હળવાં બનાવ્યાં, આંદોલન પણ રાષ્ટ્રીય આંદોલન તરફ ઢળવા લાગ્યું અને અંતે ગાંધીજીની રાંચીની એક મુલાકાત પછી પૂરેપૂરું ગાંધીજીના આંદોલનમાં ભળી ગયું.
૦૦૦
સંદર્ભઃ
૧. લેખક જનાર્દન ગોંડ https://www.forwardpress.in/2020/04/history-mangarh-bhil-tribes-hindi/
૩. સંજય કુમાર – Kumar, S. THE TANA BHAGAT MOVEMENT IN CHOTANAGPUR (1914-1920). Proceedings of the Indian History Congress, 69, 723-731. https://www.jstor.org/stable/44147236
દીપક ધોળકિયા
વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com
બ્લૉગ સરનામું: મારી બારી
-
પ્રતિબિંબ
વસુધા ઈનામદાર
‘જરા ગાડી ધીમી ચલાવ ‘ સૌમ્યાએ સાર્થને કહયું.
સાર્થે હસીને ચાલુ ગાડીએ સૌમ્યા સામે જોયું. ,ને તે બોલ્યો , ‘તને મારા ડ્રાઇવિંગની બીક લાગે છે ?’
‘ના , એમ નથી પણ …… ‘‘પણ શું ? સૌમ્યા જો તો ખરી આ રોડની શોભા ! એકબીજા તરફ ઢળેલાં આ વૃક્ષોએ કેવી સરસ કમાન બનાવી છે ! આ પેલા ઘનઘોર વાદળાં જો તો ખરી ! ગાગર છલકાય તેમ હમણાં જોતજોતામાં છલકાવાનાં, અરે એટલું જ નહીં ,ધોધમાર વરસી પડવાનાં, ને એના ઝાપટામાં આપડે ન સપડાઈએ એટલેજ સ્તો !! ‘
‘બસ બસ હવે રહેવા દે ! સાચું શું છે તે કહી દે ! ‘ સૌમ્યાએ સાર્થને કહયું.
‘સાચું કહું સૌમ્યા ,નીતા આંટીએ જ્યારથી આનિયાની વાત કરી છે ને , ત્યારથી મારું મન જાણે એ નાનકડી આનિયાની પાછળ પતંગિયાની જેમ ઉડાઉડ કરે છે. એના ફોટા જોયા ત્યારથી એક સુખદ અજંપો મનમાં ફેલાયો છે. એના નાના નાજુક હાથ, એના કાલાઘેલા શબ્દોની સરગમ, પણ પછી મારું મન ધીરેધીરે એના ચહેરા પર સ્થિર થાય છે. એનો નિર્દોષ ચહેરો અને એ ભલી ભોળી આંખો અને મા માટે એની આંખમાંથી દદડતાં આંસુ ! ‘
‘બસ કર સાર્થ , હું આનિયાને મળું તે પહેલાં જ તારે મને રોવડાવવી છે ?’
‘સોરી, સોરી સૌમ્યા ! પણ સાચું કહું સૌમ્યા ! મારા મનમાં વલોવતી મારી લાગણીના ફુવારા છે ! ‘
સાર્થે ,સ્ટીઅરિંગ પરથી હાથ ઉઠાવીને સૌમ્યના હાથ પર મુક્યો ! સૌમ્યા ક્યાંય સુધી સાર્થના
હૂંફાળા સ્પર્શને માણતી રહી !થોડીવાર પછી હળવેથી સાર્થનો હાથ સ્ટીઅરિંગ પર મુકતા કહ્યું . ‘સાર્થ આપણે આનિયાના ફોટા અને વીડિયો જોયાં અને આપણને ફેસબુક પર જોયા,છતાં મને ખબર નથી કે આપણને જોતાં જ નાનકડી આનિયાની શું પ્રતિક્રિયા હશે, તે હું નથી જાણતી પણ મારા આ બે હાથોની, મારા હૃદયની, મારા છાતીમાં ધબકતા મારા ધબકારની એક જ પ્રતિક્રિયા હશે,
…… હું આનિયાને જોશથી મારી છાતીએ વળગાડી, મારા હૃદય સરસી ચાંપીને એને વહાલથી નવડાવી દઈશ ને કહીશ , ઓ મારી દીકરી આનિયા, તું જ મારી દીકરી છો ! ‘સાર્થ ગંભીર અવાજે બોલ્યો ,’ સૌમ્યા, તને આ આપણો નિર્ણય બરાબર લાગે છે ? આપણે તો કોઈ સરોગસી કરવાવાળાં બહેનની શોધમાં હતાં ને આમ અચાનક તેં નિર્ણય બદલ્યો ! જોકે હું પણ તારી સાથે જોડાયો છું, પણ તને લાગે છે કે આપણે આ નિર્ણય લીધો છે તે બરાબર છે ? આપણાં માટે એ યોગ્ય નીવડશે ? કે પછી …… ?’
‘જો સાર્થ, સાચા ખોટા નિર્ણયની મને ખબર નથી ,નીતુ આંટી કહે છે તેમ , આપણે આ એક ઉમદા અને માનવતાભર્યું કામ કરવા જઈએ છીએ. જોકે એમાં આપણો સ્વાર્થ પૂરેપૂરો છે. આપણે મા-બાપ બનવાના સાર્થ ! કોવિડને કારણે અનાથ થયેલી દીકરીને, હું કાંઈ માત્ર દયા કે કરુણાથી નથી અપનાવતી. એના વિષે આખી વાત જાણી, એને ફેસબુક પર જોયા પછી મારી ઝંખનાની ઝાલરે જાણે વાત્સલ્યના સૂર રેલાવ્યા છેં અત્યારે તો હું આનિયાની મા બનવાની છું એની તૃપ્તિ અને પ્રસન્નતા અનુભવું છું ,એથી વિશેષ કાંઈ નહિ ! આપણે હવે એક જ નિર્ણય લેવાનો છે અને તે છે આનિયાને એના અસલી માબાપની ખોટ જિંદગીભર નહિ સાલવા દેવાની !
સાર્થે એની વાતમાં ટાપસી પુરાવી તેને કહયું, ‘ તારી વાત એકદમ સાચી છે સૌમ્યા !’
વાતવાતમાં બંને જણ નીતુ આન્ટીની દીકરીને ત્યાં આવી પહોંચ્યા. રસ્તામાં વરસાદમાં ના ભીંજાયા, પણ વરસાદી મોસમમાં લાગણીથી છલોછલ થઈને તેઓએ એકબીજાની સામે જોયું ,
ને દરવાજાની બેલ મારી !!દીપાએ દરવાજો ખોલ્યો ,એની પાછળ એનો ડ્રેસ પકડીને ઉભેલી આનિયાને સૌમ્યા જોઈ જ રહી ! પોતાની મા જેવા જ પંજાબી ડ્રેસમાં આવેલી સ્ત્રીને આનિયા પણ જોઈ જ રહી, પોતાની મા સમજીને દોડી ગઈ ,પણ નજીક જઈને અજાણ્યો ચહેરો જોતા જ આનિયાએ રડવાનું શરું કર્યું. તે પાછી ફરીને દીપાને વળગી પડી ! સાર્થ એકીટશે તે બંનેને ચુપચાપ જોઈ રહ્યો ! દીપાએ બંનેને સોફા પર બેસવાનું કહ્યું.
સૌમ્યાએ આનિયાની સામે જોતાજોતા પોતાની પર્સમાંથી જુદાજુદા રંગની ,નાનીનાની બંગડીઓ કાઢી, એટલું જ નહીં આનિયાને ગમતી લાલ રંગની માળા પણ એણે કાઢી ! પોતાના બંને હાથનો ખોબો કરીને આનિયાને આંખના ઈશારા વડે બોલાવી .આનિયાએ આગળ આવીને માળા સૌમ્યાના હાથમાંથી લઈ લીધી. એની આંખો રડતી હતી પણ ચહેરા પર સ્મિત રેલાયું ! માળા ડોકમાં નાંખી તે દીપાની પાછળ સંતાઈ ગઈ !
સાર્થે સૌમ્યાને પૂછયું ,’તું આ બધું કયારે લાવી ?’
સૌમ્યાએ હસીને કહ્યું ,’ મને નીતુ આંટીએ કહયું હતું, કે આનિયાને માળા અને બંગડીઓ ગમે છે .’
દીપાએ આનિયાને પોતાના ખોળામાં બેસાડી અને બોલી, ‘આનિયાની મમ્મી પણ મારા જેવી નર્સ હતી. આનિયાના પપ્પા ડોક્ટર હતા. કોવીડના દર્દીઓની સેવા કરતા કરતા એમને પણ કોવીડ થયો. તેઓ દસેક મહિના પહેલાં જ મૃત્યુ પામ્યા. આનિયાની મમ્મીનું નામ શશી હતું. એ થોડા મહિના પહેલાં જ અમારી હૉસ્પિટલમાં આવી હતી. અમે બંને એક જ શિફ્ટમાં કામ કરતા હતાં .અમને જયારે સાથે રહેવાનો ટાઈમ મળતો ત્યારે તે હંમેશા આનિયાની જ વાતો કરતી, આનિયાના માતા પિતાના લવ મેરેજ હતા.’
બંને પક્ષે એમના લગ્ન મંજૂર નહોતા. આનિયાના પિતાના મૃત્યુ પછી શશી ડરવા લાગી હતી , એણે પોતાના માતાપિતા અને પતિના કુટુંબનો સંપર્ક કરવા પ્રયત્ન કર્યો અંતે ના છૂટકે તે આનિયાને આયા પાસે મૂકતી. કોવીડના કારણે આયા પણ જતી રહી. ડોક્ટર અને નર્સ ને ત્યાં કોવિડને કારણે કોઈ કામ કરવા તૈયાર નહોતું, ત્યારથી હું અને શશી આનિયાને સાચવતાં.
એક દિવસ શશી હોસ્પિટલમાંથી તાવ લઈને આવી, તેનો ટેસ્ટ કરવામાં આવ્યો. તેને કોવીડ થયાનું નિદાન આવ્યું, અમે બંને ડરી ગયાં. મેં કોવીડના બીકથી હોસ્પિટલમાંથી રજા લઈ લીધી !શશીની તબિયત બગડવા લાગી, તેણે એક સાદા સ્ટેમ્પ પેપર પર પોતાને કશુંક થાય તો આનિયાને દત્તક આપવી એમ લખીને ડોક્ટર અને નર્સની હાજરીમાં આ પેપર પર સહીઓ કરીને સહુની વચ્ચે કહયું કે, મારી અંતિમ ઈચ્છા છે કે, દીપાએ આનિયાને રાખવી અથવા કોઈ એડપ્શન એજન્સીની મદદથી સારું ઘર શોધીને આનિયાને દત્તક આપવી.તમે તો જાણો છો જ મારી મમ્મી સોશિયલ વર્કર છે , અને તે કોઈ દત્તક એજન્સીની કાયેદેસર મદદ લઈને આ દત્તકની સમગ્ર પ્રક્રિયામાં મદદ કરશે .આ કાયદાકીય દૃષ્ટિએ જોઈતી બધી જ મદદ કરવાનું મારી મમ્મીએ માથે લીધું છે.
સૌમ્યાબહેન, મારા મમ્મી કહેતાં હતાં કે, તમે થોડા દિવસ રોજ આવીને આનિયા સાથે રહેવાના છો. આ તમારો વિચાર ખૂબ જ સારો છે. આનિયા તમારી સાથે ભળી જશે. શશીએ એડપ્શનનાં પેપર પર સહુની હાજરીમાં સહીઓ કરી છે તેથી તમારું કામ ખૂબ જ સરળ થઈ જશે.આનિયાના પિતાએ શશીને કહયું હતું કે ,’ જો તું મારી જેમ કોવીડમાં સપડાય તો આપણી આનિયાને તારા કે મારા પરિવારમાં ના સોંપતી, આપણાં પ્રેમની સજા આનિયાને નહિ આપતી ! ‘ કદાચ તેથી જ એ બંને પરિવાર તરફથી શશીને કોઈ અપેક્ષા નહોતી .મારા મમ્મી કહેતાં હતાં ,’ તમારા સિવાય આનિયાને આટલો સારો પોતીકો લાગે એવો પરિવાર નહીં મળે’. મમ્મીની વાત મને સાચી લાગે છે .
સાર્થ અને સૌમ્યા જયારે ઘરમાંથી બહાર નીકળ્યા ત્યારે રાતરાણીની સુગંધથી સમગ્ર વાતાવરણમાં પ્રસન્નતા ફેલાઈ હતી.
આજે એ વાતને પાંચેક વર્ષ થઈ ગયા. આનિયા હવે સ્કૂલમાં જાય છે. વર્ષો પહેલાં દીપાને ઘરેથી નીકળતી વખતે દીપાએ સૌમ્યાને શશીની પંજાબી ડ્રેસની ઓઢણી આપતા કહયું હતું , ‘સૌમ્યા બહેન ,આનિયાને એની મમ્મીની આ ઓઢણી બહુ જ ગમે છે. રાતે એને ઊંઘ ના આવે તો તેને આ ઓઢણી આપજો .’ એ ઓઢણી સૌમ્યાએ હજી સુધી સાચવી રાખી હતી.
રોજની ટેવ મુજબ સૌમ્યા આનિયાના વાળ ઓળે છે , અરીસામાં જ સૌમ્યાની સામે જોઈ આનિયા બોલી , ‘મમ્મી, તમને ખબર છે ,મારી મમ્મી કેવી દેખાતી હતી ?’
સૌમ્યા હસી. કબાટના ઉપરના ખાનામાં મૂકેલી શશીની ઓઢણી આનિયાને ઓઢાડીને બોલી, ‘જો આનિયા, તારી મમ્મી બિલકુલ આવી જ, તારા જેવી જ દેખાતી હતી .’
આનિયા અરીસામાં જોઈ જ રહી. ક્યાંય સુધી ,બસ જોઈ જ રહી !!
સૌજન્યઃ અખંડાઅનંદ
વસુધા ઇનામદાર : ફોન – +૧ -૭૮૧ ૪૬૨ ૮૧૭૩
-
મુક્તિ
વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
સમાચાર મળ્યા, ‘ફોઈ નથી રહ્યાં.’ સાંભળીને દુઃખ થવું જોઈએ. ન થયું. જીવનભરની ઉપાધિઓમાંથી એમને છૂટકારો મળી ગયો. મને શાંતિ થઈ. છેલ્લાં બે વર્ષથી એ પોતાની જાત સાથે લડતી હતી. જેને પોતાને જ જીવવાની ઈચ્છા ન રહી હોય એને દવા શું અસર કરે?
મા ગઈ એ પછી આ ફોઈ જ તો હતી જે મારી મા બની રહી હતી. મારી પસંદ-નાપસંદ જાણતી હતી. મારા નખરાં એ જ સહન કરતી હતી. હૉસ્ટેલથી આવું ત્યારે ફોઈના ઘેર જ રહેતી હતી. ચાર વર્ષ પહેલાં એના દીકરાએ જીવનસંઘર્ષથી હારીને આત્મહત્યા કરી ત્યારથી એ બદલાવા માંડી. એ સમયે હતાશામાંથી બહાર આવવા સૌએ ફોઈને સાથ આપ્યો હતો. થોડા અંશે એ આઘાતમાંથી બહાર આવી હતી. એમ તો ફોઈને બીજા બે સંતાન હતાં છતાં એ વ્યથિત રહેતી.
એ પછીનાં બે વર્ષે મારાં લગ્ન થયાં.
ફોઈ બીમાર છે એ જાણ્યાં પછી નવું ઘર, નવી જવાબદારીઓ, કામનાં ભારણનાં લીધે હું એની પાસે ભાગ્યે જઈ શકતી. કેટલીય વાર ફોઈનાં મનનો તાગ લેવાનો વિચાર્યું હતું, પણ શક્ય ન બન્યું. ફોઈને મળીને પાછી આવું ત્યારે એની ઉદાસીથી હું ઉદાસ બની જતી. ફોઈનો રોનક વગરનો ચહેરો નજર સામેથી ખસતો નહીં. હમણાંથી એનાં ચહેરા પર સ્મિતના બદલે ઘેરા શોકની છાયા જોવા મળતી. આ વખતે મને જોઈને એનાં હૃદયમાં બંધ તૂટી ગયા. સમજાયું નહોતું કે, દીકરાના આકસ્મિક મોતની એ છાયા હતી કે પોતાનાં લગ્નજીવનની તંગદિલીની અસર હતી?
ખરી વાત એ હતી કે, ફોઈ અને ફુઆ વચ્ચે લાગણીનો સંબંધ રહ્યો નહોતો. ફુઆએ પૈસા આપવાનાં બંધ કર્યા હતા. હાથ પણ ઉપાડવા માંડ્યા હતા. એક વાર કાન પાસે એટલા જોરથી માર્યું કે, ફોઈને સંભળાવાનું બંધ થઈ ગયું જેનો કોઈ ઈલાજ નહોતો. બીજી વાર ફુઆની મહેરબાનીથી તૂટેલા હાથપગ લઈને હૉસ્પિટલમાં દાખલ થવું પડ્યું એ વધારાનું.
મારાં દાદી હંમેશા કહેતાં, “ઘરની સમસ્યાઓ લઈને બહાર નહીં આવવાનું. પતિને બદનામ નહીં કરવાના. સમય જતાં બધું થાળે પડશે. ઝગડા કોનાં ઘરમાં નથી હોતા?”
બસ, પોતાની માના એ શબ્દોને લઈને ફોઈ જીવનભર એ તૂટેલો સંબંધ સાચવતી રહી.
ફોઈનાં બંને સંતાનો બહાર ભણતાં હતાં. એમને ફોઈએ પોતાની પીડાનો અણસાર સુદ્ધાં ન આવવા દીધો. ફોઈનું ભર્યુંભાદર્યું ઘર ઉજ્જડ બનવા માંડ્યું. ઘરનો દબદબો ઘટવા માંડ્યો. આંગણાંમાંની ગાયો ઓછી થતી ગઈ. બસ, ખૂંટે બાંધેલી એક ગાય હતી જેનાં ગળે એવો ઘા હતો જે રૂઝાતો જ નહોતો. ફોઈએ એને ખૂંટેથી આઝાદ કરી દીધી હતી પણ, એ ક્યાંય જતી નહોતી. ઉદાસીથી એ ખૂંટા પાસે જ ઊભી રહેતી.
ફોઈનું પણ કદાચ એવું જ હતું.
ફુઆએ ઘરની જવાબદારી લેવાનું છોડી દીધું હતું. મા સમાન ફોઈની પીડા મારાથી સહન નહોતી થતી. લાખ વાનાં કર્યા, છતાં એ ફુઆને છોડીને મારી સાથે આવવા તૈયાર ન થઈ. સ્ત્રીઓ માટે પતિનું ઘર સુરક્ષા કવચ જેવું હશે કે, પછી પરિવાર અને સમાજની મર્યાદા એનાં પગની બેડી બની જતી હશે?
અંતે અકળાઈને ફોઈ પાસેથી ચાલી નીકળતી, પણ ફોઈનો વ્યથિત ચહેરો નજરથી ખસતો નહીં. વિચાર્યા કરતી કે, કોઈ પોતાનાં જીવનને કેવી રીતે આમ દાવ પર મૂકી શકે?
ફોઈને મળીને આવતી એ ક્ષણે એવું લાગતું કે, મારું જીવન ફોઈનાં જીવનથી જરાય જુદું નથી. સંતાનો થયાં પછી મારાં જીવનમાં પણ આમ જ બનવા માંડ્યું હતું. કેટલીય વાર પૂછવા છતાં એ મૌન રહેતા. એમનું મૌન મને કોરી નાખતું. લોહીલુહાણ કરી દેતું. મારાં સંતાનોનું ભવિષ્ય, ઘર-પરિવારની મર્યાદા, બધું જ ડામાડોળ થવા માંડ્યું જેને સ્થિર કરવાની હું નિષ્ફળ કોશિશ કરતી હતી. મોડી રાત્રે આવે ત્યારે એમના મનની શાંતિ કોની પાસેથી શોધવા જતા હશે, એ વિચારથી હું વિચલિત થઈ જતી.
શક્ય હતું ત્યાં સુધી હું કર્તવ્યમાંથી ચલિત થઈ નથી. શક્ય હોય ત્યાં સુધી મારાં મનમાં છટપટાતા, અનુત્તર રહી જતા સવાલોને મનમાં ધરબીને અમારી વચ્ચે કશું જ અઘટિત બન્યું નથી એવી રીતે એમની સાથે વર્તી છું.
પણ, હવે હું ફોઈ જેવી નહીં બનું. મારી પાસે નોકરી છે જેનાં આધારે હું ચાર દીવાલોની વચ્ચે કેદ નહીં રહું.
ફોઈ મરી ગઈ એ સારું જ થયું. આપણું કોઈ દગાબાજ નીકળે તો જીવવું કેટલું કપરું બને એ હવે મને સમજાય છે.
હોઠ પર વહી આવેલાં ખારાં પાણીના સ્વાદથી સફાળી ચોંકી, ત્યારે સમજાયું કે આ આંસું જ મારી કાયમી એકલતાના સાથી છે. ફક્ત કમજોર હોવાની છાપ ઊભી ન થાય એ માટે એને કોઈની હાજરીમાં વહેવાં નથી દીધાં.
“મા, ક્યાં છું?” કહેતો દીકરો રૂમમાં આવ્યો ત્યારે વર્તમાનમાં પાછી ફરી. મારા સદાના સાથીને વહી જતાં રોકીને ઊભી થઈ. કેટલો સમય વીતી ગયો એનો ક્યાં અંદાજ રહ્યો હતો?
રૂમમાંથી બહાર આવીને ઘર-મંદિરમાં ફોઈનાં નામે ત્રણ દીવા પ્રગટાવી, આંખો બંધ કરીને ફોઈના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી. બંધ આંખોની સામે ફોઈનો સ્વસ્થ, હસતો ચહેરો દેખાયો. ફોઈની આંખોમાં મારા પ્રત્યેનો અપ્રતિમ સ્નેહ છલકાતો દેખાયો અને ફરી મારી આંખોમાંથી આંસુની ધાર વહેવા માંડી.
હવે આ આંસુમાં પીડા નહોતી. મનમાં શાંતિ અને હૃદયમાં ફોઈની મુક્તિ માટેનો આનંદ હતો.
ડૉ. ચુકી ભૂટિયા લિખિત વાર્તાને આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
મહેન્દ્ર શાહનાં સપ્ટેમ્બર ૨૦૨૪નાં ચિત્રકળા સર્જનો
મહેન્દ્ર શાહનાં ચિત્રકળા સર્જનો
Mahendra Shah’’s Creations for Month Of September 2024 creations
મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com
-
ફિલ્મી ગઝલો – ૭૧. સરસ્વતી કુમાર દીપક
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
સરસ્વતી કુમાર દીપકના પરિચય અને લેખન ક્ષમતા માટે બે જ ઉદાહરણો કાફી છે. આર કે ફિલ્મ્સની પ્રથમ ફિલ્મ ‘ આગ ‘ ( ૧૯૪૬ ) નું ‘ કહીં કા દીપક કહીં કી બાતી આજ બને હૈં જીવનસાથી દેખ ચાંદ કી ઔર ‘ ( શમશાદ – શૈલેષ ) અને આર કે ની જ મહાન ફિલ્મ ‘ બુટ પોલિશ ‘ નું ‘ રાત ગઈ ફિર દિન આતા હૈ ‘ ( મન્ના ડે – આશા ). ‘ આગ ‘ નું ‘ કાહે કોયલ શોર મચાએ રે ‘ ( શમશાદ ) પણ એમની જ લેખનીની નીપજ.
લગભગ ૧૦૦ ફિલ્મોમાં ૪૦૦ આસપાસ ગીતો લખનાર સરસ્વતી કુમારનો જન્મ ૧૯૧૮ માં અને દેહાવસાન ૧૯૮૬ માં. મોટા ભાગની ફિલ્મો ધાર્મિક અને પૌરાણિક. આવી કેટલીક ફિલ્મો એટલે ઝબાન, ભૂમિ, માનસરોવર, પિયા મિલન, મન કા મીત, જય શંકર, વીર અર્જુન, હારજીત, અયોધ્યાપતિ, શિવ પાર્વતી, માયા સુંદરી, કોઈ ગુલામ નહીં, દો શોલે, અમર પ્રેમ, સ્વર્ણ ભૂમિ, લવ કુશ, અફસાના, હર હર મહાદેવ, પ્રભુ કી માયા, રામાયણ, ઇન્દ્રલીલા, પવનપુત્ર હનુમાન, તીર્થ યાત્રા, અભિમાન, સતી પરીક્ષા, જય મહાકાલી, દશાવતાર, બંસરી બાલા, શ્રી વિષ્ણુ ભગવાન, ભક્ત પ્રહલાદ, માયા બાઝાર, શોલે ( જૂનું ), નનદ ભોજાઈ, ઘાયલ, નાગ લોક, વીર ઘટોત્કચ, સુભદ્રા હરણ, માયા મછિન્દ્ર, ચક્રવર્તી વિક્રમાદિત્ય, રામ ભક્ત વિભીષણ, રામ જન્મ વગેરે. આમાંની મોટા ભાગની ફિલ્મોના સંવાદ પણ એમણે લખ્યાં.
‘ અયોધ્યાપતિ ‘ ફિલ્મનું હેમંત કુમાર દ્વારા ગવાયેલું ‘ છોડ ચલે આજ હમારે રામ અયોધ્યા છોડ ચલે ‘ અને ‘ ભાગવત મહિમા ‘ ફિલ્મનું એમણે જ ગાયેલું ‘ ભાગવત ભગવાન કી હૈ આરતી ‘ પણ શ્રવણિય ગીતો છે.
એમણે કેટલીક ગઝલો પણ લખી એ આશ્ચર્યની વાત ! બે ગઝલો જોઈએ :
વો ઝિંદગી મેં આએ ઔર આકર ચલે ગયે
ગુલશન મેરા ઉજાડ બના કર ચલે ગયેમૈં ઝિંદગી કા ઉનકો સમજતી થી આસરા
તુફાં મેં મેરી નાવ ફંસા કર ચલે ગયેઝૌકા હવા કા થા મેરી ખુશિયોં કા ઝમાના
દો ચાર દિન બહાર દિખા કર ચલે ગયેતકદીર સે તકદીર કા લિખા ન મિટ સકે
હંસને કી તમન્ના થી રૂલા કર ચલે ગયે..– ફિલ્મ : સાજન કા ઘર ૧૯૪૮
– સિતારાબાઈ કાનપુરી
– કે એલ સાગર( રફીના ‘ આયે બહાર બન કે લુભા કર ચલે ગયે ‘ અને ‘ ઉન કે ખયાલ આયે તો આતે ચલે ગયે ‘ વાળો લય. )
કોઈ આહ કરે કોઈ વાહ કરે દુનિયા કા યહી અફસાના હૈ
જિસકો હમ અપના સમજે થે વો આજ હુઆ બેગાના હૈતકદીર બુરી જબ હોતી હૈ સાયા ભી જુદા હો જાતા હૈ
જિસકી તુફાન મેં કશ્તી હો અબ ઉસકા કૌન ઠિકાના હૈજિસ પ્યાર કે ગુલશન કો હમને અપને આંસૂ સે સીંચા થા
હાએ પ્યાર વહી અપના ન હુઆ કિતના બેદર્દ ઝમાના હૈ..– ફિલ્મ : હમારી શાન ૧૯૫૧
– તલત મહેમૂદ
– ચિત્રગુપ્ત
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
