-
વ્યાવસાયિક સફળતા પર પુનર્વિચાર કરીએ — સફળતાનાં પડઘમોના શોરબકોરની પેલે પાર
ધંધેકા ફંડા
ઉત્પલ વૈશ્નવ
કોણ કહે છે કે પોતાના વ્યવસાયમાં સફળ થવા માટે સ્ટાર્ટઅપ જ જરૂરી છે?
હા, સ્ટાર્ટઅપની પોતાનો અનોખો ઉત્કટ રોમાંચ છે,
પણ એ દરેક માટે નથી.
સફળતાઓની ઊંચાઈઓ બેશક અવર્ણનીય છે,પણ, નિષ્ફળતા
બહુ જ નિષ્ઠુર હોય છે.
તો વિકલ્પ શું છે?
લગાતાર, મૂલ્યવૃદ્ધિ કરતા વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત કરીએ.
અસાધારણ ઉત્કૃષ્ટતાથી તે કરીએ.આવા વ્યવસાય કદાચ ઇક્વિટી રોકાણકારોને કદાચ ન આકર્ષી શકે
પણ ઋણ ધિરાણ માટે તે શ્રેષ્ઠ ઉમેદવાર બની શકે છે.કેમ? સંભવતઃ
પહેલાં પણ જે સફળતાપૂર્વક કરી શકાયું છે તે ઋણ ધિરાણ માટે સલામત જોખમ બની રહે..
અને તેમ છતાં, અભિનવતા ક્યાં કોઈની જાગીર છે?
ઉદ્યોગમાં ક્રાંતિ લાવવાની જરૂર નથી.
કેટલીક વાર, નાના નાના સંશોધનો
મોટી અસર લાવી શકે છે.ઉદ્દેશ્ય શું હોવો જોઈએ?
બજારની જરૂરિયાત ખોળી કાઢો અને તેને પુરી કરો.
બીજાં કોઈ પણ રીતે વધુ સારી, વધુ અસરકારક રીતે.સ્ટાર્ટઅપ એજ એક માત્ર માર્ગ નથી.
એ તો એક વિકલ્પ માત્ર છે – બહુ જોખમી અને કદાચ બહુ આકર્ષક વળતર રળી આપનાર.→ તમને અનુકૂળ પડે એવી, તમારી શૈલીને અનૂકુળ આવે એવી જ રમત પસંદ કરો. તમારાં સાહસની પસંદગી તમે જ કરો.

આ શ્રેણીના લેખક શ્રી ઉત્પલ વૈશ્નવનો સંપર્ક hello@utpal.me વીજાણુ સરનામે થઇ શકે છે.
-
વ્યક્તિગત નિપુણતા અને નવું નવું શીખવા માટેની પ્રતિબદ્ધતા
સ્વ-વિકાસ : વિચાર વલોણું
તન્મય વોરા
આજનાં કોર્પોરેટ જગતમાં પણ, ઘણાં લોકો તેમના પોતાના વિકાસ માટે તેમનાં નોકરીદાતાઓ પર ઘણો આધાર રાખતાઅં જોવા મળે છે. જ્યારે જ્યારે વિવિધ કૌશલ્યોને સુગઠિત કરવાની કે પોતાનાના કાર્યક્ષેત્રમાં નવું કૌશલ્ય મેળવવાની વાત આવે છે, ત્યારે તેઓ કોઈ તે અંગે પહેલ કરે અને તેમને તાલીમ આપે તેની એ લોકો રાહ જુએ છે (એટલે કે ‘ભાણું પણ પીરસેઅને કોળિયા પણ ભરાવે!’).
તાજેતરમાં મારે ઇન્ટરવ્યુ લેવાનું થયું હતું. તે સમયે મેં લગભગ દરેક ઉમેદવારને એ પદ માટેનાં અમુક ચોક્કસ તેમજ અમુક મૂળભૂત કૌશલ્યો મેળવવા વિશે પૂછ્યું. એક ઉએમેદવારનો જવાબ હતોઃ “મને મારી વર્તમાન નોકરીમાં તેના પર કામ કરવાની ક્યારેય તક આપવામાં આવી નથી/તક મળી નથી”. બીજા એક ઉમેદવારે કહ્યું, “મને તેના પર ક્યારેય તાલીમ આપવામાં આવી નથી”. આવા નિવેદનો વ્યક્તિની પોતાના કાર્ય પ્રત્યેની નિષ્ઠા વિશે ઘણું કહી જાય છે.
આ તબક્કે કેટલીક મહત્વપૂર્ણ બાબતો યાદ રાખવી જોઈએ:
- કયા તબક્કે કઈ વ્યક્તિગત નિપુણતાની જરૂર પડશે તે જાણવું અને તે કેમ મેળવવી એ જાણવું એ દરેક વ્યક્તિની પોતાની એ વ્યક્તિગત સૂઝ છે. તમારા નોકરીદાતા તેમાંથી કેટલીક તાલીમોને માટે મદદ્કરે કે તેને લગતાં સંસાધનો માટે ચૂકવણી કરે એ બહુ સારી બાબત છે. પરંતુ આખરે, તે પાઠોને વ્યવહારમાં મૂકવાની જવાબદારી તો એ વ્યક્તિની પોતાની છે. તમારી માનસિક અને વ્યાવસાયિક ક્ષમતામાં વૃદ્ધિનો પહેલો, અને સીધો, ફાયદો ખુદ તમને જ, તમારા વિશે છે. એ ફાયદાનું મૂલ્યાંક્ન પણ દરેક વ્યક્તિની પોતાના વ્યક્તિગત દૃષ્ટિકોણ પર નિર્ભર છે.
- શરૂઆત વ્યક્તિની પોતાની આ બાબતની નિષ્ઠા અને પ્રતિબદ્ધતા સાથે થાય છે. જ્યાં સુધી તમે પોતે જ કંઈ પણ નવું શીખવા માટે પ્રતિબદ્ધ ન હો, ત્યાં સુધી કોઈ શીખવાડી શકતું નથી. જો તમારી પોતાની જ શીખવાની તૈયારી ન હોય ત્યાં સુધી કોઈપણ તાલીમ શીખવા માટેની બાંયધરી આપતી નથી. પ્રતિબદ્ધતાનો અર્થ એ પણ છે કે તમારી પાસે તમારા કાર્ય માટે આવશ્યક જવાબદારીની ઊંડી સમજ છે. એવી સમઝશે તો જ સતત શીખવાથી તમને વધુ સારી રીતે તમારી ભૂમિકા નીભાવવામાં એવી તાલિમ તમને મદદ કરી શક્શે.
- આ બાબતે કોણ, કેવી રીતે પહેલ કરે છે તે પણ મહત્વનું છે. એકવાર તાલીમ થઈ જાય, પછી એ વિષયને તમે તમારા વ્યવહારિક જીવનમાં કેટલો અને કેવો અમલ કરો છો? પાઠને વ્યવહારમાં મૂકવા માટે, નવી વસ્તુનો પ્રયોગ કરવા ભયને અતિક્રમીને આગળ વધવાની પહેલ કરવાની ક્ષમતા પણ મહત્વની છે. આગળ તમારે વધવાનું છે, એટલે કોઈ તમને એ માટે પરવાનગી આપે તેની રાહ જોવાની, કે એવી અપેક્ષા કરવાની, જરૂર નથી.
- તમારી પસંદગીની પણ અહીં ભૂમિકા છે. એક પરિપક્વ વ્યાવસાયિક તરીકે, તમે તમારી કારકિર્દી માટે કયો કરો છો, તમે શું અભ્યાસ કરતાં રહેસો, કે શીખતાં રહેશો, તમે કોની પાસેથી શીખશો, તમે ક્યાંથી શીખશો એ બધી પસંદગીઓ પણ અતિ મહત્ત્વની છે. આ પસંદગીઓ બીજા કોઈ પર છોડવી એ લાંબા ગાળે જોખમી બાબત નીવડી શકે છે. તમારી જાતને તમારાથી વધારે સારી રીતે કોઈ ઓળખી શકે નહીં.
- સંસાધનો તો પુષ્કળ છે. સદનસીબે, આપણે આજે એવી દુનિયામાં જીવી રહ્યા છીએ જ્યાં ઘણી બધી ઉચ્ચ ગુણવત્તાની શિક્ષણ સામગ્રી વિના, કે નજીવાં, મૂલ્યે મેળવી શકાય છે. ઓનલાઈન કોન્ફરન્સ, બ્લોગ્સ, ફ્રી ઈવેન્ટ્સ, ઉચ્ચ ગુણવત્તાનાં ટેકનિકલ સંસાધનો, ઈબુક્સ બધું વિના મૂલ્યે ઉપલ્બધ છે. તેથી, ગુણવત્તાયુક્ત સામગ્રીને પહોંચવું એ હવે સ્પર્ધાત્મક લાભ નથી રહ્યો. સ્પર્ધાત્મક સરસાઈ તો તમે તેમની સાથે શું કરો છો તેમાં રહેલ છે.
- આ બાબતે રોકાણ કરવાં આજે હવે જરૂરી બની ગયાં છે.. તમારી તાલીમ માટે કોઈ અન્ય વ્યક્તિ ચૂકવણી કરે તેની રાહ જોવાને બદલે, તે પહેલાં તો જાતે ચૂકવો. તે એક બહુ જ ઉપયુક્ત, મોકાસરનું, રોકાણ માત્ર એટલે નથી બની રહી શકતું કે તેના દ્વારા એક વ્યાવસાયિક તરીકે તમે તમારું મૂલ્ય વધારો છો, પરંતુ તે તમારી નજરે જ તમારાં આત્મસન્માનનાં ઘડતરમાં પણ મદદ કરે છે. સતત શિક્ષણ તમને ધ્યાનકેન્દ્રિત, હકારાત્મક, આશાવાદી રહેવામાં, અને તેથી ખુશ રહેવામાં પણ, મદદ કરે છે.
ડબલ્યુ. એડવર્ડ્સ ડેમિંગે બહુ સ્પ્ષ્ટપણે કહ્યું છે: ” નથી તો શીખવું અનિવાર્ય કે નથી તો અસ્તિત્વ ટકાવી રાખવું અનિવાર્ય !”
તેથી, અહીં એવા કેટલાક સંવેદન પ્રશ્નો મુક્યા છે જે આપણે સમયાંતરે આપણી જાતને પૂછી શકીએ છીએ (અને પૂછવા જોઈએ, પણ):
- પાછલા અઠવાડિયે/મહિના/ત્રિમસિક /વર્ષમાં આપણે શું શીખ્યા?
- હું એક વ્યાવસાયિક તરીકે કેવી રીતે વિકસિત થયો છું?
- શું મારાં નવુંનવું શીખવાથી મારી વ્યવસાયિક સજ્જતાની બાબતે મને ફાળો આપવાની મારી પોતાની ક્ષમતાને વધારવામાં મદદ મળી છે?
કેટલાક વિચારવા જેવા સવાલો:
શું તમારે એવા લોકોને મળવાનું થયું જેઓ તેમના પોતાના વિકાસ માટે તેમના નોકરીદાતાઓ પર આધાર રાખે છે?
જેઓ પોતાના વ્યાવસાયિક વિકાસની સંપૂર્ણ જવાબદારી જાતે જ લે છે એવા તમારી આસપાસના લોકો પાસેથી તમે શું શીખ્યા ?
આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
-
ચાલો, હવે દરિયાનો વારો કાઢીએ!
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
માનવની વિકાસદોટે પર્યાવરણનો જે સોથ વાળ્યો છે તેનાં વિપરીત પરિણામ નજર સામે હોવા છતાં એ દોટ વણથંભી રહી છે. દરેક દેશમાં, એક યા બીજી મોસમમાં પર્યાવરણ સાથે કરાયેલાં ચેડાં પરચો બતાવી જાય છે, છતાં વિકાસની દોટમાં માનવ એટલો આગળ નીકળી ચૂક્યો છે કે હવે તેના માટે પાછા ફરવું સંભવ રહ્યું નથી એમ લાગે છે. નદી, જમીન કે પર્વતની સાથોસાથ સમુદ્રને પણ તેણે બાકી રાખ્યો નથી.
સમુદ્રતળમાં અનેક દુર્લભ ધાતુઓ રહેલી છે. એ મૂલ્યવાન ધાતુઓને કાઢવા માટે કરાતા ખનનકામથી અતિ નાજુક એવી સમગ્ર દરિયાઈ પ્રણાલિને કાયમી નુકસાન વેઠવું પડશે એવી ભીતિ વધી રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે આ બાબતે ચિંતા સેવાઈ રહી છે. જુલાઈ, ૨૦૨૪માં જમૈકામાં સમુદ્રતળના ખનનના ભાવિ અંગે ચર્ચા કરવા માટે ‘ઈન્ટરનેશનલ સી-બેડ ઑથોરિટી’ (આઈ.એસ.એ.) દ્વારા વિવિધ મિટિંગ યોજાઈ. આમ છતાં, સમુદ્રતળમાંથી આ સામગ્રીને કાઢવા માટેના નિયમો નક્કી કરવા બાબતની ચર્ચામાં અનેક સવાલો નિરુત્તર જ રહ્યા.
૨૦૨૫ સુધીમાં ‘આઈ.એસ.એ.’ સમુદ્રતળના ખનનકામ બાબતે કાનૂની રીતે બાધ્ય થાય એવા નિયમો નિર્ધારીત કરવા ધારે છે. આવા નિયમ વિના કોઈ પણ પ્રકારનું આયોજનબદ્ધ ખનનકામ શરૂ નહીં થઈ શકે. આમ તો, આ બાબતે વરસોથી ચર્ચા થતી આવી છે, પણ સમુદ્રતળમાં થતા ખનનકામ પર દેખરેખ રાખવા તેમજ પર્યાવરણને થતા નુકસાનને રોકવા બાબતે આ નવા નિયમો કેવા મુશ્કેલ બની રહેશે એ બાબત આ મિટીંગમાં સ્પષ્ટ થઈ ગઈ. જર્મની, બ્રાઝિલ, પૅસિફિક મહાસાગરમાં આવેલા પાલાઉ ટાપુ જેવાં રાષ્ટ્રોએ નવા નિયમો બાબતે સંમત થવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. એ નિયમોની પર્યાવરણ પર શી અસર થાય છે એનું પૂર્ણ મૂલ્યાંકન થાય પછી જ તેના અમલ બાબતે તેઓ વિચારશે એમ તેમણે જણાવ્યું છે. બીજી તરફ ચીન, નોર્વે, જાપાન અને મધ્ય પૅસિફિકમાં આવેલા ટચૂકડા દેશ નાઉરુ આ અંગેનો કરાર તાત્કાલિક કરી નાખવા માટે ઊતાવળા થઈ રહ્યા છે, જેથી ખનનકામ કરતી કંપનીઓ ઝડપથી પોતાનું કાર્ય આરંભી શકે. ૧
ભારત, ચીન, જર્મની અને દક્ષિણ કોરિઆ હિન્દી મહાસાગરના વિસ્તારમાં પોલિમેટલિક સલ્ફાઈડ શોધીને કાઢવાનું લાઈસન્સ ધરાવે છે. ૨૦૨૨માં ભારતની ‘નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઓશન ટૅક્નોલોજી’ દ્વારા હિન્દી મહાસાગરના મધ્ય ભાગમાં ૫,૨૭૦ મીટરની ઊંડાઈએ કેટલાક ટેસ્ટ કરીને પોલિમેટલીક પદાર્થ તેમજ બટાટા આકારના ખડકો સમુદ્રતળ પર શોધેલા છે. તે મેંગેનીઝ, કોબાલ્ટ, નિકલ અને તાંબાથી સમૃદ્ધ છે, પણ તે બહાર કઢાય એવી શક્યતા જૂજ છે. ‘આઈ.એસ.એ.’નું પ્રતિનિધિત્વ કરતા ૧૬૯ દેશો પૈકીના ૩૨ દેશો સમુદ્રતળના ખનનને મોકૂફ રાખવાના કે સદંતર પ્રતિબંધિત કરવાના મતના છે. પર્યાવરણ સાથે સંકળાયેલાં અનેક સંગઠનો અને વિવિધ સમુદ્રી વિજ્ઞાનીઓનો આ દેશોને ટેકો છે. અલબત્ત, કેનેડાની ‘ધ મેટલ્સ કમ્પની’ નામની એક સ્ટાર્ટઅપ કંપનીએ ઘોષિત કરી દીધું છે કે આગામી મહિનાઓમાં વ્યાપારી ધોરણે સમુદ્રતળનું ખનનકામ કરવા માટેની અરજી ‘આઈ.એસ.એ.’ને કરવાનું તેનું આયોજન છે.
આમ, જોઈ શકાશે કે સમુદ્રતળના ખનનથી થતા નુકસાન બાબતે એકમત હોવા છતાં તેના અમલ બાબતે મતમતાંતર છે, જેનું મુખ્ય પરિબળ છે નાણાં અને નફો.
સમુદ્રતળના ખનનની વાત આવે ત્યારે પ્રાદેશિક જળસીમાની બહાર મળી આવતાં મેંગેનીઝ તેમજ અન્ય ખનીજો તેના કેન્દ્રસ્થાને હોય છે. આ વિસ્તારને ‘હાઈ સી’ તરીકે ઓળખવામાં આવે છે, અને વિશ્વભરના સમુદ્રોમાં તેનો હિસ્સો અડધોઅડધ છે. આવા વિસ્તારને માનવજાતના સંયુક્ત વારસા તરીકે ઓળખવામાં આવ્યો છે. અહીં રહેલો કાચો માલ કોઈ એક ચોક્કસ દેશનો નહીં, પણ સૌ કોઈનો છે. યુનાઈટેડ નેશન્સ કન્વેન્શનના સમુદ્રના કાનૂનમાં દર્શાવ્યા અનુસાર આ વિસ્તારોના વ્યવસ્થાપન અને કોઈ સંભવિત ખનનપ્રવૃત્તિ પરની દેખરેખની જવાબદારી ‘આઈ.એસ.એ.’ની છે. સ્વાભાવિકપણે જ સમુદ્રતળના ખનન અને તેના વ્યાપારી ઊપયોગમાં અનેક દેશો અને કોર્પોરેશનને રસ હોય. ‘આઈ.એસ.એ.’ દ્વારા ચોક્કસ વિસ્તારોમાં 31 લાઈસન્સ ફાળવવામાં આવ્યા છે, જે પૈકીનાં પાંચ ચીની કંપનીઓનાં છે. એ ઉપરાંત જર્મની, ભારત અને રશિયા જેવા દેશો પણ આ ક્ષેત્રે સક્રિય થઈ રહ્યા છે.
ખનનકામ કરતી કંપનીઓનો મુખ્ય રસ પોલિમેટલિક પદાર્થમાં છે, જે મેંગેનીઝથી ભરપૂર હોય છે, અને લાખો વરસોથી સાગરના તળિયે તે ઠરીને જમા થયેલા છે. તેમાં રહેલાં મેંગેનીઝ, કોબાલ્ટ, નિકલ અને તાંબાને કારણે તે ઈલેક્ટ્રિક કારની બૅટરી માટે મહત્ત્વનાં ગણાય છે. હવે સમગ્ર વિશ્વ પુન:પ્રાપ્ય ઊર્જાસ્રોત તરફ આગળ વધી રહ્યું છે અને ૨૦૪૦ સુધીમાં આ ધાતુઓની માંગ બમણી થઈ જવાની હોવાનો ‘ઈન્ટરનેશનલ એનર્જિ એજન્સી’નો અંદાજ છે.
મેક્સિકો અને હવાઈના ક્લેરિઅન-ક્લીપરટન વિસ્તાર તરીકે ઓળખાતા સમુદ્રતળમાં મેંગેનીઝના પદાર્થોનો વિશાળ જથ્થો છે, જેને ખનનકામ કરતી કંપનીઓ ચારથી છ હજારની ઊંડાઈએ ઊતરીને સ્વચાલિત વૅક્યુમ યંત્રમાનવથી સપાટી પર લાવવા ધારે છે. આ પદાર્થ કંઈ મૃત ખડકો નથી, પણ અનેક સમુદ્રી પ્રજાતિઓ અને સૂક્ષ્મ જીવો માટે મહત્ત્વનો આવાસ છે. સમુદ્રી વિજ્ઞાનીઓના જણાવ્યા અનુસાર વિવિધ પ્રકારની પાંચેક હજાર પ્રજાતિઓ આવા અતિ ઊંડા વિસ્તારમાં પોતાનો આવાસ બનાવે છે. ખનનકાર્ય કરતા યંત્રમાનવો સમુદ્રતળનો નાશ કરશે અને અસંખ્ય જળચરોને ભરખી જશે. ખનનના વિસ્તારોથી અનેક કિ.મી. દૂર આવેલા વિસ્તારોને પણ ધ્વનિ અને પ્રકાશ પ્રદૂષણને કારણે નુકસાન થશે,જે સમગ્ર દરિયાઈ પર્યાવરણ માટે જોખમરૂપ બની શકે.
આખા મામલાનો સાર એટલો છે કે સમુદ્રી વિજ્ઞાનીઓએ ચેતવણી આપી દીધી છે કે સમુદ્રતળમાં ખનનકાર્યનાં પરિણામો વિશે પૂરતું જ્ઞાન મેળવ્યા વિના એ કરવાથી હજી પ્રમાણમાં ઓછી જાણીતી આ દરિયાઈ સૃષ્ટિ અને જૈવવિવિધતાથી સભર પ્રણાલિનો વિનાશ નોંતરી શકે છે. એ માટે આવશ્યક સંશોધન થતાં દસ-પંદર વર્ષ લાગી શકે એમ છે, કેમ કે, અહીં પહોંચવું મુશ્કેલ છે.
જોવાનું એ છે કે માનવજાત પસંદગી શેની પર ઉતારે છે? પોતાના સ્વાર્થ સારું દરિયાઈ સૃષ્ટિના નિકંદન પર? કે પછી એની જાળવણી પર? જવાબ અઘરો નથી.
૧ સંપાદકીય નોંધઃ આ વિડીયો ક્લિપ માત્ર સાંદર્ભિક સ્પ્ષ્ટતા પુરતો જ અહીં લીધેલ છે.
ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૬ – ૦૯ – ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
બિહાઈન્ડ ધ ટાઈમ્સ – પરદા પાછળનાં પાત્રોની માર્મિક યાદોઃ બચી કરકરિયાની નજરે :: [૪]
નરેશ પ્ર. માંકડ
મણકો [૩]થી આગળ
બ્રેઇન ટ્રસ્ટ
તંત્રીઓની કોન્ફરન્સ ટાઇમ્સનું બ્રેઇન ટ્રસ્ટ હતું જે તેના એડિટ પાનાને ઘાટ આપતું હતું. એમાં ૧૯૭૦ અને ૧૯૮૦ ના દશકોમાં ઇન્દર મલ્હોત્રા, કે. સી. ખન્ના, એ. એસ. અબ્રાહમ, એમ. વી. મેથ્યુ અને પ્રેમશંકર ઝા ઉપરાંત રાહુલ સિંહ, ડેરિલ ડી મોન્ટે, ગૌતમ અધિકારી જેવા પત્રકારો હતા જેમાંના મોટા ભાગના ઑક્સબ્રિજ થી આવેલા હતા; તે સમયની એ પ્રણાલી હતી. મંદિરના ગર્ભગૃહ જેવી તંત્રીઓની ઓફિસમાં મળતી આ મીટીંગોમાં તેઓ રાજ્યના સંચાલનની કામગીરી બજાવે છે એવું માનતા.
તંત્રી અને મૅનેજમૅન્ટનું વડું મથક ૧૯૮૦ ના દશકના છેલ્લા ભાગમાં દિલ્હી ખસેડાયું ત્યારે લક્ષ્મણે મુંબઈથી ખસવાનો ઇનકાર કર્યો. એમની માન્યતા એવી હતી કે સત્તાના રાજકીય સૂર્યની વધુ નજીક જવાથી એમની વસ્તુલક્ષિતા ઓગળી જશે.
આ તંત્રીમંડળની મીટીંગ વર્ષો જૂની પ્રણાલી દ્વારા સ્થપાયેલી હતી. દરેક તંત્રી પોતાની સાથે પોતાની ગંભીરતા અને વિચિત્રતાઓ લાવતા. તંત્રીઓ બધા પુરુષ હતા, એ જાતીભેદની રેખા ફાતમા ઝકારીયાએ ગિરીલાલ જૈનના સમયમાં તોડી. પ્રોફેસર જેવા શામલાલના સમય કરતાં ગિરીલાલના કાળમાં આ બેઠકો વધુ શાહી ઠાઠવાળી બની. એ બેઠકો બરાબર દસ વાગ્યે શરૂ થતી અને મદદનીશ તંત્રીઓ પોતાની કેબીનમાં તૈયાર રહેતા. ગિરીનો પટાવાળો ભગવતી દરેકની પાસે જઈને સંદેશો આપતો, “ચાય તૈયાર છે.”
ગિરીલાલ ચામાટેની આ મિટિંગમાં પોતાની પાઇપ સળગાવી સુદૂર દ્રષ્ટિપાત કરતા, વિશ્વની પરિસ્થિતિ વિશે ગંભીર કથન કરતા; ત્યારબાદ હિન્દુ માનસ અને ભારતના ‘ આઈડિયા ‘ જેવી કોઈ ઉચ્ચ કક્ષાની વાતો વિશે કે મોટા વિખવાદો વિશે વાત કરતા પણ વિંધ્યની દક્ષિણ પછીની બાબતોમાં એમને કંઈ રસ ન હતો. એમના માટે રાષ્ટ્રની વ્યાખ્યા તેને જોડી રાખે એવા મજબૂત કેન્દ્રમાંથી ઉદભવતી હતી. તંત્રીના મોટા ડેસ્ક ફરતા સહાયક તંત્રીઓ બેસતા જેમાં એ .એસ. અબ્રાહમ સહુથી સિનિયર હતા, એ વચ્ચે બેસતા, અને એમને ફરતાં સચિન વિનાયક, ગૌતમ વોરા, પ્રફુલ બીડવાઈ અને ફાતમા ઝકારીયા ગોઠવાતાં. ક્યારેક દિલ્હીથી આવેલા પ્રેમશંકર ઝા કે ઇન્દર મલ્હોત્રા પણ હાજરી પુરાવતા. લક્ષ્મણ આ બધામાં એમના ઉચ્ચતર સ્થાનને કારણે આ અર્ધવર્તુળની બહારની ધાર પર બેસતા અને બીજા છેડા પર ગૌતમ અધિકારી બેસતા. લક્ષ્મણ ગિરીની નજરની બહાર રહે.કારણ કે તેઓ આર કે લક્ષ્મણ હતા એટલે તેઓ ચહેરાના હાવભાવ બનાવ્યા કરતા અને તંત્રી પાઇપ ફૂંકતા હોય ત્યારે એમની નકલ કરતા. આ બધું તેઓ ગૌતમની નજર સામે કરતા એટલે ગૌતમ માટે ભારેખમ ચર્ચાઓમાં ધ્યાન આપવાનું અને હસી ન પડાય એનું પણ ધ્યાન રાખવાનું મુશ્કેલ હતું. એક કલાકની છેલ્લી પંદર મીનીટ મૂળ હેતુ માટે વપરાતી.
એડિટ સોંપાઈ ગયા પછી ભોજન પહેલાં એ પૂરું કરવાનું રહેતું. આ બધા એડિટ ગિરીના બે અંગત મદદનીશને મોકલવામાં આવતા. તેઓ શબ્દની સંખ્યા અને સ્પેસ બરાબર ગોઠવીને સહાયક તંત્રીઓને પાછું મોકલતા. ગિરી સામાન્ય રીતે ડિરેક્ટર્સ લંચ રૂમમાંથી ટ્રે મંગાવતા અને ફાતમા તથા કદાચ લક્ષ્મણ સાથે ભોજન કરતા. ક્યારેક એમનો જ્યોતિષી આવી ચડતો. ભોજન બાદ કેબીનની બત્તી બુઝાવીને તેઓ ૩૦ મિનિટ ઝોકું ખાઈ લેતા. તાજામાજા થઈને તેઓ તંત્રીલેખ પર આવતા. ક્યારેક એ લેખો કાપકૂપ વિના બહાર આવતા, તો ક્યારેક સંપૂર્ણ રીતે ફરી લખતા. એમાં પણ વિષય જો ઇન્દિરા ગાંધી કે કોઈ મહત્વના રાષ્ટ્રીય મુદ્દાઓ હોય તો એમાં ગિરીની છાપ સ્પષ્ટ કળાતી.
બપોરના ૩:૩૦ સુધીમાં એડિટ તૈયાર થઈ જતા પણ પછીના બે કલાક સુધી તેઓએ ઓફિસમાં રહેવું પડતું. એ સમયમાં પુસ્તકો, અખબારો અને સામયિકોના વાચનથી તેઓ પોતાને વધુ સજ્જ રાખવા પ્રયત્ન કરતા રહેતા.
ગિરી પછીના સમયમાં એડિટ પેજને સ્વતંત્ર અસ્તિત્વ આપવામાં આવ્યું. એનો અખત્યાર એડિટ પેજના તંત્રીને સોંપાયો, જે એક્ઝિક્યુટિવ તંત્રીને જવાબદાર નહોતો. સમાચાર જે રીતે રજૂઆત પામતા એનાથી તંત્રીની ટિપ્પણીનું અંતર જાળવવા માટે એમ કરવામાં આવ્યું હતું.
*****
મહાકાય ટાલિયા ટેડી બેર જેવા પ્રેમ શંકર ઝા સહુથી વધુ અવ્યવસ્થિત સહાયક તંત્રી હતા. સવારે જીમમાંથી જ સીધા એડિટ મિટિંગમાં આવતા અને અચૂક મોડા પડતા. પરસેવાથી નીતરતા, હેલ્મેટ અને રેકેટ હાથમાંથી અણઘડ રીતે પાડતા અને કહેતા, ” માફ કીજીએ શામ લાલજી, માફ કીજીએ.”. શામ લાલ આ માણસનું શું કરવું એ નક્કી ન કરી શકતાં મિટિંગ આગળ ચલાવતા.પ્રેમનો હસ્તલિખિત તંત્રીલેખ સદાયે ગુમ થયા કરતો, તેઓ ગુસ્સા અને અકળામણથી બબડાટ કરતા અને વીસ મિનિટમાં ફરી લખી કાઢતા. હજી કોમ્પ્યુટર આવ્યાં ન હતાં; કેટલાકે ટાઇપરાઉટરને અનિવાર્ય અનિષ્ટ તરીકે સ્વીકારી લીધું હતું તો બીજા થોડા એવા હતા જેઓ ફાઉન્ટન પેનને વળગી રહ્યા હતા. એવા લોકોમાં જગ સુરૈયા આખર સુધી ટકી રહ્યા હતા.
પ્રેમ હંમેશા ધાંધલિયા હતા, જે તે સમયે એમના ચિત્તનો કબજો જમાવી બેઠેલી બાબત અંગે ઉગ્રતાથી વાત કરતા; કોઈ પણ ચાલી રહેલી વાત પર બુલ્ડોઝર ફેરવી દેતા. એક વાર. વિયેતનામ યુદ્ધ પર પંદરેક મિનિટથી વાત ચાલતી હતી એવામાં ગુસ્સાથી ધમધમતા પ્રેમ ધસી આવ્યા અને બોલ્યા, “શામ લાલજી, અરબી સમુદ્રમાં ઠલવાઇ રહેલા આટલા બધા કચરા અંગે આપણે તંત્રીલેખ કરવાની જરૂર છે.”
બચીના શબ્દોમાં, “તેઓ અને તેમની પત્ની ઉષા મિલનસાર દંપતી હતાં પણ મૃદુભાષી અને ગ્રેસફુલ ઉષા કમળ તળાવડીનું પાંદડું હતાં, જ્યારે પ્રેમ વિષવમન કરતા મહાસાગરના મંથન જેવા હતા.”
*******
સમીર જૈને એમની આગવી ચાલ દ્વારા યુયુત્સુ અરુણ શૌરીને ટાઇમ્સમાં લઈ આવીને ગિરીલાલ જૈનના આત્મસંતોષને બરબાદ કરી નાખ્યો. એ બન્ને એક બીજાના પહેલેથી જ વિરોધી રહ્યા હતા. પંજાબ સમસ્યા ત્યારે ટોચ પર હતી અને ખાલિસ્તાનીઓ વિરુદ્ધમાં તેઓ બંને ઉગ્ર ભાષામાં લખતા હતા તેથી એમના માટે અંગત સિક્યોરિટી ગાર્ડ રાખવામાં આવ્યા હતા. એ કારણે એવી જોક ચાલી રહી હતી કે આ બંને ‘વાઈલ્ડ વેસ્ટ’ની રીતે શૂટ આઉટ કરીને એકબીજાના મતભેદનો નિકાલ કેમ નથી કરી નાંખતા?
+ + +
સ્ટાર એડિટર: ખુશવંત સિંહ
પહેલા જ દિવસે ઓફિસના સમયથી ૪૫ મિનિટ પહેલાં સવારે ૮:૪૫ વાગ્યે ઓફિસમાં પગ મુક્યો એ એક ક્ષણે જ એમનો બિનપરંપરાગત ક્રમ શરૂ થઈ ગયો. ઇલસ્ટ્રેટેડ વીકલી ઑવ ઇન્ડિઆનો પટાવાળો મનોહર ફર્નિચરને ઝાપટીને સાફ કરતો હતો ત્યારે તેણે એક ઢીલા જૂના પેન્ટ અને ટીશર્ટ પહેરેલા લઘરવઘર સરદારને જોયા. નવા સરદારના આગમન પહેલા જ સરદારોનું આક્રમણ શરૂ થઈ ગયું એમ બબડતાં તેમણે કહ્યું , “એડિટર અભી તક નહીં આયે હૈ.” આગંતુકે કહ્યું, ” મૈં હી એડિટર હું.”
આ દ્રશ્ય સાથે સરદાર ખુશવંતસિંહનો વિકલીમાં પ્રવેશ થયો.ડેન્ટિસ્ટના વેઇટિંગ રૂમમાં જોવા મળતા કુતરાના કાન જેવા વળી ગયેલા પાનાવાળા ઇલેક્ટ્રીટેડ વિકલીને ઉગાર્યું ખુશવંતસિંહે અને પછી તેને સર્ક્યુલેશનના રેકોર્ડ તોડી નાખતું લોકપ્રિય સામયિક બનાવ્યું. એમણે સામાયિક પત્રકારત્વને તેની બોચીએથી ઝાલીને ઝંઝેડી નાખ્યું અને વાંચનક્ષમ બનાવવાની નવી ફોર્મ્યુલા બતાવી, જેને આજે પણ અખબારો અને સામયિકો અનુસરે છે.
કુખ્યાત સીરીયલ ખૂની રમણ રાઘવ પર ચાલતા ખટલા દરમિયાન કોર્ટમાં જાતે હાજરી આપીને તેના પરના લેખોની શૃંખલા કરી. તેઓ સામાજિક પ્રવાહના જાણકાર હતા, એટલે નવા ધનપતિઓ અને ઓશોના વિશાળ અનુયાયી વર્ગ અંગે અતિ સફળ કવર સ્ટોરી કરી, ક્રિકેટ પર લંબાણપૂર્વક લખાણો આપ્યા; રાજકારણ, વિજ્ઞાન, સ્પોર્ટ, સાહિત્ય, બધા જ ક્ષેત્રની નામી વ્યક્તિઓએ ખુશીથી વિકલી માટે લખ્યું, એમના સુસજ્જ સબ – એડિટરોએ પોતાનાં અઘરાં ભારેખમ ગદ્યને સામાન્ય અંગ્રેજીમાં ફેરવીને રજૂ કર્યું અને એની સાથે જોક્સ આપવાનું શરૂ કર્યું. એ બધું આટલા ઉત્સાહપૂર્વક થયું એના માટે વધારાનું વળતર ચુકવવામાં આવ્યું એ પણ એક કારણ હતું. લોકો પોતાની જ્ઞાતિઓ સાથે લાગણીના બંધનોથી જોડાયેલા હતા એ બાબત પર પણ એમનું ધ્યાન ગયું અને ભારતની અગણિત જ્ઞાતિઓ પર કવર સ્ટોરી કરીને એ લોકોને વીકલીના આજીવન ચાહક બનાવી દીધા. સન્માન્ય ભારતીય પત્રકારત્વના તેઓ પહેલા માર્કેટિંગ એડિટર હતા.
ખુશવંત જેવા સફળ નવલકથા લેખકને બેનેટ કૉલમેન કંપની લિ. દ્વારા વિકલીને સંભાળી લેવા માટે સમજાવવામાં આવ્યા. પણ એમના પ્રત્યાઘાત વિકલીમાં વિપરીત આવ્યા, “એ મોટા લેખક હશે પણ સામયિકને એડિટ કરવામાં શું જાણતા હોય?” આમ થવાનું મુખ્ય કારણ એ હતું કે તેઓમાંના એક આસિસ્ટન્ટ એડિટર સુબ્રોતો બેનર્જીની બદલે આ નિમણૂક થઈ હતી. પૂર્વ તંત્રી એ એસ રામને વિકલી છોડ્યા પછી સુબ્રતો બેનરજીને કાર્યકારી તંત્ર બનાવાયા હતા. આ બધા ટીકાકારો સરદારનો જાદુ જોઈને અને વિશેષ તો તેઓ વિકલીમાં બિનઅધિક્રમિક (non-hierarchical ) મિત્રાચારી લાવ્યા એ કારણે એમના પ્રશંસક બની ગયા.
તેમનો વધુ ગંભીર ગુનો એ હતો કે અમને શહેરના ધનવાન અને ખ્યાતિવાન માણસો સાથે ઓળખાણ કેળવવા સારા રેસ્ટોરમાં લઈ જવાની બદલે તેઓ જ્યોર્જ અને કેફેક્સ જેવા ફોર્ટ વિસ્તારના એમના માનીતા ઇરાની રેસ્ટોરમાં લંચ માટે લઈ જતા હતા. બચી કરકરિયા યોગ્ય રીતે બચાવ કરતા કહે છે જ્યારે એ જાતે જ ધનવાન અને ખ્યાતિવાન હતા, તો એમણે એવી ફિકર શાને કરવી જોઈએ? પરંતુ છેડાયેલા સિનિયરોએ એમને ‘બિરયાની બ્રિગેડ’ તરીકે ઉતારી પાડ્યા હતા વાસ્તવમાં ખુશવંત તો કોન્સ્યુલેટ્સના કોન્સલ જનરલ ને પણ કોરોનેશન દરબાર જેવી જગ્યાએ લઈ જતા.
બચી કરકરિયાને વિકલીમાં ખુશવંતના શાસનકાળ સમયે તાલીમાર્થી તરીકે કામ કરવાનો અમૂલ્ય લાભ મળેલો. એ જ રીતે પછીથી પ્રસિદ્ધિ મેળવનારા અન્ય યુવાનોમાં એક મિનહાસ મર્ચન્ટ પણ હતા. ખુશવતં સિંહ લોકશાહીવાદી હતા. પ્રિતેશ નાંદી કરતાં સ્વભાવ, વર્તન, દેખાવ, બધી જ બાબતમાં તેઓ ખૂબ સાદા અને સરળ હતા. અસુઘડતાને એમણે એમની વેશભૂષાની સ્ટાઈલ બનાવી હતી. એમણે પોતાનાં આગવાં સામાજીક ધોરણો સ્થાપ્યાં હતાં. બચીના શબ્દોમાં, ભોજન પર નિમંત્રણ આપનારી ‘મલબાર હિલ કી મૈના’ જેવી મહિલાઓને દરવાજે આઠ વાગે પહોંચીને નવ સુધીમાં ભોજનનો આગ્રહ રાખીને ફફડાટ ફેલાવતા ખુશવંત સિંહ પાર્ટીઓમાં પોતાના વ્હીસ્કીના બે પેગ સાથે લઈ જતા. પોતાના મહેમાનો પણ સાંજના સાત વાગ્યાના સમયે અચૂક આવી જાય એવું ઈચ્છતા. એમને ઘરે આવેલા ગમે તેવા ચમરબંધીને ૧૦ વાગ્યા પહેલાં વિદાય કરી દેતા. એક વાર વડાપ્રધાન રાજીવ ગાંધી એમને મળવા જવાના હતા પણ તેઓ રાતે દશેક વાગ્યે પહોંચ્યા ત્યારે ખુશવંત સિંહ સૂઈ ગયા હતા. એમને જગાડવામાં આવ્યા અને થોડી વાર વાતચીત કરીને રાજીવ વિદાય થઈ ગયા.
સવારે ખૂબ વહેલા ઉઠીને જીનસેંગની ચા પીને ટેનિસ રમવા જતા, રસ્તામાં કુદરતના નજારા નિહાળતા જતા. ઋતુઓના બદલાતા રંગો વિશે એમને Nature Watch નામની એક નાનકડી પુસ્તિકા લખી છે. પછી એમનો લેખનકાર્યનો સમય શરુ થતો. તેઓ પોતાનું લેખન વિદેશથી મંગાવેલી A 3 સાઈઝની નોટબૂકમાં કરતા. પોતાની ઘસાઈ ગયેલી જૂની બ્રીફ કેસમાં એ નોટબુકો અને ક્રોસ વર્ડ માટે લંડનના ધ ટાઇમ્સ ભરીને ઓફિસમાં લઈ જતા. ઓફિસમાં અલી સરદાર જાફરી અને કૈફી આઝમી જેવા તેમજ અન્ય ક્ષેત્રના મહાનુભાવો નિયમિત એમને મળવા આવી જતા. આકર્ષક રમણીઓની પણ કમી નહોતી. એમાં સાહિત્યિક મહત્વાકાંક્ષા ધરાવતી અથવા પોતાની પાર્ટીઓને ઝમકદાર બનાવવા માટે ટ્રોફી ગેસ્ટ તરીકે ઇચ્છતી સ્ત્રીઓ અને નૃત્ય ઇતિહાસકાર સુનિલ કોઠારી સાથે મુલાકાતે આવી જતી ઇલોરાના શિલ્પ જેવી નૃત્યાંગનાઓનો પણ સમાવેશ થતો.
લબ્ધપ્રતિષ્ઠ ઉર્દુ નવલકથાકાર, સાહિત્ય એકેડેમી, જ્ઞાનપીઠ અને પદ્મભૂષણના એવોર્ડ અને ખિતાબ જીતનાર કુર્રતુલએન હૈદર ખુશવંત સિંહના આગમનના થોડા સમય પહેલાં જ મદદનીશ તંત્રી નિમાયાં હતાં. વસ્ત્ર પરિધાનમાં તેઓ ખુશવંત સિંહ જેટલા જ બેપરવા હતા એ સિવાય બંને તદ્દન એકબીજાથી વિપરીત હતાં. તેઓની અથડામણ એ કારણે થતી કે ખુશવંત સિંહ ઇઝરાયેલના સમર્થક હતા, કુર્રતુલએન પેલેસ્ટાઇનનાં. ખુશવંત સિંહનાં લખાણ વાંચીને તેઓ એમની કેબિનમાં ધસી જતાં અને એમને તતડાવી નાખતાં. ખુશવંત સિંહ અસહાય બનીને તેમને સાંભળી લેતા. સ્કૂલથી પાછા ફરતા આઠ વર્ષના ફરીદ ઝકારીયા પોતાની માતા ફાતમા ઝકારીયાને લેવા આવે ત્યારે, ખુશવંતને મહાત કરનારા તેઓ, ફરિદની અભદ્ર જણાતી ટિપ્પણીઓથી છોભીલાં થઈ જતા. તેઓ પોતાના લખાણોથી અને પોતાની હાજરીથી વિકલીને વજનદાર બનાવતા હતા. પોતાનું લખાણ પહેલા ઉર્દુમાં લખીને પછી તેનું અંગ્રેજીમાં ભાષાંતર કરતા; દિવસને અંતે તેના પગ પાસે કાગળના ચોળાયેલા ડૂચાનો ઢગ થતો.
ખુશવંતની સ-રસ બિનઔપચારિકતાને કારણે ટાઈમ્સના અન્ય પ્રકાશનો કરતા વિકલીનો હોલ મિત્રાચારીપૂર્ણ વાતાવરણથી સભર લાગતો.
+ + +

ટાઈમ્સના પ્રથમ મહિલા સહાયક તંત્રી હતાં ફાતિમા ઝકરિયા. એમની પાસે પુરુષ સહકાર્યકરો જેવી બુદ્ધિશક્તિ ન હતી પણ એમના પતિ ડૉ.રફીક ઝકરિયાના રાજકીય વર્તુળનો સારો ફાયદો હતો. એ કારણે તે ખુશવંત સિંહની બરાબર પછીની જગ્યાએ પહોંચી શક્યાં પણ ખુશવંતના પતન પછી તેઓ ગિરીલાલ જૈનની નીચે આવ્યાં. ફાતિમા લેખક નહોતાં પણ સ્ટાર લેખકોથી મેગેઝિન કે એડિટ પેજ ભરી શકતાં. ૧૯૮૯માં ગિરીના પતન પછી એમણે ટાઈમ્સ છોડ્યું.
ક્રમશઃ
શ્રી નરેશ માંકડનો સંપર્ક nareshmankad@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
ટાઈમ્સનાં તંત્રીમંડળની નવી પેઢી કહી શકાય એવા જયદીપ બોઝ ‘જોજો અને પ્રીતિશ નંદીનો પરિચય ૮-૧૦ – ૨૦૨૪ના રોજ પાંચમા મણકામાં પ્રકાશિત થશે
-
સંમોહન
હકારાત્મક અભિગમ
રાજુલ કૌશિક
ઈશ્વરે આ જગતમાં અનેક જીવનું સર્જન કર્યું. પશુ, પંખી, માનવ…
કહેવાય છે કે માનવ એ ઈશ્વરનું સૌથી અનોખુ સર્જન છે. દિલ અને દિમાગનો અદ્ભૂત સમન્વય ધરાવતી માનવજાત આજે લગભગ દુનિયા પર પોતાનું સામ્રાજ્ય સ્થાપી ચૂકી છે. મનોવિજ્ઞાન મુજબ માનવીના ઘડતરમાં વારસાની સાથે વાતાવરણ પણ એટલી જ મહત્વની ભૂમિકા ધરાવે છે. બાળકના માનસિક-શારીરિક ઘડતર પર એને વારસામાં જે જિન્સ મળ્યા છે એ તો અસર કરવાના જ છે પણ સમજણું થાય ત્યારે આસપાસનું-બહારનું વાતાવરણ પણ એના ઘડતરને અસર કરવાનું. આપણા પર, આપણી સમજણ પર, આપણા મન પર પણ આસપાસનું વાતાવરણ અસર કરે જ છે.
એના અનુસંધાનમાં આજે જ વાંચેલું એક દ્રષ્ટાંત અહીં ટાંકવાનું મન થાય છે.
હાર્વર્ડ યુનિવર્સિટીમાં એક સમાન બુધ્ધિ પ્રતિભા ધરાવતા હોય એવા એક વર્ગના વિદ્યાર્થીઓ પર એક મનોવૈજ્ઞાનિક પ્રયોગ કરવામાં આવ્યો. આ વર્ગના વિદ્યાર્થીના બે જૂથ પાડવામાં આવ્યા.
પ્રથમ જૂથને એક અલગ ખંડમાં લઈ જઈને બ્લેકબોર્ડ પર એક ગણિતનો ગૂંચવણભર્યો પ્રશ્ન લખીને એને ઉકેલવાનું કહેવામાં આવ્યુ. સાથે એવું પણ જણાવવમાં આવ્યું કે આ પ્રશ્ન ખરેખર એટલો ગૂંચવણભર્યો છે કે તમારામાંથી ભાગ્યેજ કોઈ એનો ઉકેલ શોધવમાં સફળ થશે. તમારાથી પણ ઉપલા વર્ગના વિદ્યાર્થીઓ પણ માંડ આનો ઉકેલ શોધી શક્યા હતા એટલે તમને પણ સફળતા મળશે કે કેમ એ શંકા તો છે જ પણ તેમ છતાં તમારી પાસે સમજી વિચારીને આનો ઉકેલ લાવવાની તક છે. અજમાવી જુઓ.
આ જૂથે ખૂબ મહેનત કરી પરંતુ એ પંદર વિદ્યાર્થીઓના જૂથમાંથી ત્રણ જ વિદ્યાર્થીનો જવાબ સાચો પડ્યો.
હવે બીજા જૂથને ગણિતનો આ જ પ્રશ્ન ઉકેલવાનું કહેવામાં આવ્યું.
સાથે એમને એમ કહેવામાં આવ્યું કે આ એકદમ સહેલો પ્રશ્ન છે. આનો ઉકેલ લાવવામાં ભાગ્યેજ કોઈ નિષ્ફળ જશે. તમારાથી નીચલા વર્ગના વિદ્યાર્થીઓ પણ આ પ્રશ્નનો ઉકેલ શોધી શક્યા હતા. જ્યારે તમે તો એમનાથી બુધ્ધિશાળી વિદ્યાર્થીઓની ગણતરીમાં આવો છો.
હવે જોવાની મઝા એ છે કે આ જૂથના પંદર વિદ્યાર્થીઓમાંથી બાર જણ એનો સાચી રીતે ઉકેલ લાવી શકયા હતા.
સીધી વાત- જો આપણી આસપાસનું વાતાવરણ જો મનને સકારાત્મક રીતે ઊર્જિત કરનારું હોય તો મન સાચે જ સકારાત્મક બનશે પણ જો આપણા મનને નિર્બળ બનાવે એવું વાતાવરણ હશે તો ચોક્કસ એની અસર આપણા મન અને પછી વર્તન પર થવાની જ. કોઈપણ બાળક કે વ્યક્તિને પણ સતત એમ કહેવામાં આવે કે આ કામ તો તું કરી જ શકીશ. એ કાર્ય કરવા એ ઉત્સાહિત તો જરૂર થશે જ અને એમાં સફળ થવાની શક્યતા વધી જશે.
હિપ્નોટિઝમ શું છે? આપણે ઘણીવાર સ્ટેજ પર પણ એવા હિપ્નોટિઝમનના પ્રયોગો જોયા હશે. એ હિપ્નોથેરેપિસ્ટ સતત એકધારી સૂચનાથી આખા વૃંદને સંમોહિત કરતા હોય છે. જો આપણા મન પર કોઈના કીધાથી સારી કે ખોટી, સકારાત્મક કે નકારાત્મક અસર થતી હોય તો એ જ બાબતને આપણે જાત અનુભવમાં પણ મૂકીએ, આપણા મનને સતત એવા આદેશ આપીએ કે જે આપણી સકારાત્મકતાને ઊર્જિત કરે. જે કામ કોઈ હિપ્નોથેરાપિસ્ટ કરી શકે એ જ રીત આપણે પણ અમલમાં મૂકી જ શકીએ ને?
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
સારપ – નજર ફેરવશો તો એ ડગલે ને પગલે ફેલાયેલી જોવા મળશે
સંવાદિતા
દરેક યુગે દુનિયામાં સારા લોકોની જ વિરાટ બહુમતી હતી, છે અને રહેશે.
ભગવાન થાવરાણી
ઘણાં લોકો વિષે એમને સારી રીતે ઓળખતાં લોકો કહે છે ‘ એ ખાલી વર્તનમાં તોછડા છે, દિલના બિલકુલ સાફ છે. ‘ આવા લોકોને કહેવાની ઈચ્છા થાય કે દુનિયામાં મોટા ભાગના લોકો સાથે આપણે માત્ર વહેવાર પૂરતી નિસ્બત છે. એમના દિલમાં છે એને ક્યાં ધોઈને પીવું છે ? વર્તન શાલીન, વિનમ્ર અને વિશેષ તો માનવીય હોય એ જ મહત્વનું છે. દિલની મલીનતા કોઈ ભલે દિલમાં રાખે, આપણને શો ફેર પડે !વર્ષો પહેલાં ઝી ટીવી પર એક સિરીયલ આવતી. નામ હતું ‘ શાયદ ‘ . એના એક હપ્તાનું નામ હતું ‘ યહ ગલત બાત હૈ ‘ . જલાલ આગા અને સબ્યસાચી ચક્રવર્તી મુખ્ય ભૂમિકાઓમાં હતાં. વાર્તા એવી કે શહેરમાં કેટલીક હત્યાઓ થાય છે જેનો કોઈ દેખીતો હેતુ પકડાતો નથી. અંતે એક પોલિસ ઈંસ્પેક્ટર અપરાધીને શોધી કાઢે છે. એક માણસને એવા માણસો પ્રત્યે ભારોભાર નફરત હતી જે કોઈને વગર વાંકે કે નાનકડી ભૂલ માટે જાહેરમાં અપમાનિત કરે ! આવા માણસોના વર્તનના સાક્ષી બન્યા બાદ એ એમને વીણી વીણીને મારી નાંખતો કારણ કે એની માન્યતા હતી કે કોઈને જાહેરમાં હડધૂત કરવો એ હત્યા કરતાં પણ જઘન્ય કૃત્ય છે ! ‘ યહ ગલત બાત હૈ ‘ ! ઈંસપેક્ટર એને છોડી મુકે છે કારણ કે એ પણ એમ જ માને છે !જીવનમાં ડગલે ને પગલે સારા માણસો મળ્યાં છે. એમની સારપ ભૂલી ભુલાતી નથી. દ્રઢ વિશ્વાસ છે કે આવા માણસો જ જગતમાં બહુમતીમાં છે. નરસાં માણસો હશે તો પણ નગણ્ય. ભલાઈ – ભલમનસાઈના આવા કેટલાક કિસ્સા દિલમાં જડાઈ ગયાં છે.થોડાક સમય પહેલાં ઘરની બાજુમાં આવેલી લાઈબ્રેરીમાં પુસ્તક બદલવા ગયો હતો. એક કવિતાનું પુસ્તક લઈને ચાલતો ચાલતો ઘરે પાછો જતો હતો. એક ભાઈએ પાછળથી આવીને અચાનક બાજુમાં સ્કૂટર રોક્યું. મને કહે ‘ બેસી જાઓ, તમને ઘેર મૂકી જઉં. ‘ એ પરિચિત લાગ્યા નહીં. મેં પૂછ્યું ‘ તમે મને ઓળખો છો ? ‘ અજાણ્યા માણસની લિફ્ટ લેવાના જોખમો વિષે ઘણી વાતો સાંભળી હતી . એ કહે ‘ ના, પણ તમે સારા માણસ લાગ્યા. તડકામાં ચાલતા જાઓ છો એટલે કહ્યું. ‘ થોડીક રાહત સાથે મેં સસ્મિત પૂછ્યું ‘ હું સારો માણસ કેમ લાગ્યો ? ‘ તો એ કહે ‘ તમારા હાથમાં કવિતાનું પુસ્તક જોયું એટલે ‘ ! હું શું કહું ? એમની મદદ તો ન લીધી પણ એ માણસ સદૈવ યાદ રહેશે.દાયકાઓ પહેલાં એક મહાનગરના જાહેર ઉદ્યાનમાં લટાર મારતો હતો. સામેથી એક સજ્જનને આવતા જોયા. એ પણ ચાલવા નીકળ્યા હોય એવું લાગ્યું. એ પસાર થયા એટલે મારા મોંમાંથી અનાયાસ નીકળી ગયું ‘ નમસ્કાર ‘ ! એ થોડાક આગળ નીકળી જઈને સહસા પાછા ફર્યા. મને પૂછ્યું ‘ તમે મને ઓળખો છો ? ‘ મેં ના પાડી તો કહે ‘ તો પછી ? ‘ હું એમની મૂંજવણ સમજી ગયો. કહ્યું ‘ નમસ્કાર કરવા માટે ઓળખાણ હોવી ક્યાં જરૂરી છે ? ‘ જાણે ઝબકાર થયો હોય તેમ એ કહે ‘ અરે હા ! ‘ અને પછી ‘ આવો, થોડીક વાર બેસીએ. ‘ બાજુની બેંચ પર બેઠા. વાતો કરી. પરિચય કેળવ્યો. એ બાજુમાં જ રહેતાં હતાં . હું પરદેસી હતો. આગ્રહપૂર્વક એમના ઘરે લઈ ગયાં. એ પછી વર્ષો લગી એમની સાથે પત્રવ્યવહાર ચાલ્યો. કાળેક્રમે સંપર્ક તૂટી ગયો. અત્યારે એ હશે કે કેમ, ક્યાં હશે, કોઈ માહિતી નથી. આજે પણ કોઈને નમસ્કાર કરું તો એ સજ્જન અચૂક યાદ આવે.એ જ મહાનગરના એક પ્રશિક્ષણ સંસ્થાનમાં મારી સંસ્થા વતી ટ્રેનીંગ માટે જવાનું થતું. સંસ્થાન વિશાળ જગ્યામાં ફેલાયેલું હતું. રહેણાક, ભોજન અને ભણતર બધું એક જ સંકૂલમાં. એક વિશાળ લાઈબ્રેરી પણ ખરી. હું પુસ્તકનો કીડો એટલે પહેલા જ દિવસે ક્લાસ પૂરા થતાં ત્યાં પહોંચી જતો અને નિયમાનુસાર મળતા ત્રણ પુસ્તકો મારી પસંદગીના લઈ આવતો. એક વાર ત્યાંના ગ્રંથપાલ મેં પસંદ કરેલા પુસ્તકો જોઈને કહે ‘ તમને આવા પુસ્તકો ગમે છે ? મારી હા સાંભળી કહે ‘ આવો મારી સાથે. ‘ એ મને વિશાળ લાઇબ્રેરીના એક વિભાગમાં લઈ ગયા. થોડાંક કબાટો ચીંધીને કહે ‘ આ બધા કબાટમાં તમને ગમે છે એવાં પુસ્તકો છે. અહીંથી લઈ લેવાં. ‘ પછી કાઉંટર પર જઈ ધીમેકથી ખાનગી વાત કરતાં હોય તેમ ‘ આમ તો ત્રણ પુસ્તકો લઈ જવાનો નિયમ છે પણ તમે ભલે વધારે લઈ જાઓ. ‘ અને પછી તાકીદ ‘ હા, ટ્રેનીંગ પૂરી થયે જમા કરાવવાનું ભૂલતા નહીં ‘ ! હું ગદગદ અને ભાવવિભોર !આખરી કિસ્સો. પંચમહાલના એક નાનકડા ગામમાં સંબંધોના કારણે અવારનવાર જવાનું થાય. ગામ એટલું નાનું કે એકાદ કલાકમાં ગામના એક છેડેથી બીજા છેડે જઈ શકાય. એક વાર સંબંધીના ઘર માટે બાજુમાં ભરાતી શાક માર્કેટમાં શાક લેવા ગયો. એક શાકવાળા બહેન આગળ થોડાક બીજા ગ્રાહકો ઊભા ભાવતાલ કરી શાક થેલીમાં ભરતાં હતાં. મારે જોઈતાં બધાં શાક એમની કને હતાં. મેં ભાવતાલ કર્યા વિના મારે જોઈતાં શાક અને જથ્થો એમને કહ્યો. પાંચેક વાનાં. કેટલા પૈસા થયા એ પૂછ્યું તો એ બહેન કહે ‘ જૂઓ, બટાકાનાં પેલા ભઈના પાંચ લીધા, તમારા ચાર. રીંગણના પેલાના ચાર, તમારા ત્રણ. ટમેટાંના એમના બે, તમારો દોઢ ‘ વગેરે વગેરે ! મેં હસીને પૂછ્યું ‘ મારા ઓછા કેમ ? ‘ તો કહે ‘ તમે ભાવ ઓછા ના કરાવ્યા એટલે ‘ !
હું શું કહું !કવિ ભગવત રાવતે આવા માણસોને લક્ષમાં રાખી લખેલી એક હિંદી કવિતાનો તરજુમો :|| આ પૃથ્વી પર જ છે એ લોકો ||આ પૃથ્વી પર ક્યાંક ને ક્યાંકકેટલાક લોકો છે જરૂરજેમણે પૃથ્વીને પોતાની પીઠ પરકશ્યપની જેમ ધારણ કરી છેબચાવી રાખી છે પૃથ્વીનેપોતાના જ દોઝખમાં ડૂબવાથીએ લોકો છે એટલું જ નહીંબિલકુલ અજાણ્યા ઘરોમાં રહે છેએટલા ગુમનામ કે કોઈ એમનું સરનામુંબરાબર જણાવી નહીં શકેએમના પોતાના નામ પણ છેપરંતુ એ એટલાં સામાન્ય કે ચીલાચાલુ છેકે કોઈને એમના નામ બરાબર યાદ પણ નથી રહેતાંએમના પોતીકાં ચહેરા છે પરંતુએ એકમેકમાં એટલાં ભળી ગયેલાં છેકે કોઈ એમને જોતાંવેંત ઓળખી પણ ન શકેએ લોકો છે અને આ જ પૃથ્વી ઉપર છેઅને આ પૃથ્વી એમની પીઠ પર ટકેલી છેઅને સૌથી મજાની વાત તો એકે એમને એ લેશમાત્ર જાણ નથીકે એમની જ પીઠ ઉપરટકેલી છે આ પૃથ્વી ..
સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
કુદરતની કેડીએ – કેડી કંડારનારા – ૪
સંકલન : યાત્રી બક્ષી
ભારતની જેમ જ વિશ્ર્વની પ્રમુખ સભ્યતાઓમાં ગ્રીસની ગણના થાય છે અને ત્યાં પણ કેટલાંક પ્રકૃતિની કેડી કંડારનારાં પ્રખર ગુરુ વ્યક્તિત્વોએ કેડી કંડારવી શરૂ કરી દીધેલી. જેમાં સમુદ્ર અને તેની જૈવિક વિવિધતાની શોધ ગ્રીક ક્લાસિક્સ દ્વારા અને ખાસ કરીને જીવ વિજ્ઞાનની શોધ ખ્યાતનામ એરિસ્ટોટલ (૩૮૪-૩૨૨ બીસી) દ્વારા કરવામાં આવી હતી. એરિસ્ટોટલની પહેલાં અને પછી પણ, ઘણા ગ્રીક ફિલસૂફોએ પૃથ્વી અને જીવનની ઉત્પત્તિ વિશે અનુમાન લગાવ્યું હતું પરંતુ તેમના સિદ્ધાંતને પ્રયોગમૂલક તપાસ દ્વારા સમર્થન મળ્યું ન હતું.
થિયોફ્રેસ્ટસ, એક ગ્રીક ફિલસૂફ હતા, જેણે પ્રથમ પ્લેટો સાથે અભ્યાસ કર્યો અને પછી એરિસ્ટોટલના શિષ્ય બન્યા, તેમને વનસ્પતિશાસ્ત્રની સ્થાપનાનું શ્રેય આપવામાં આવે છે. તેમના દ્વારા લખાયેલા અંદાજિત ૨૦૦ વનસ્પતિશાસ્ત્રીય ગ્રંથોમાંથી માત્ર બે જ વિજ્ઞાન માટે જાણીતા છે. મૂળ ગ્રીકમાં લગભગ ૩૦૦ બીસીઈમાં લખવામાં આવેલી તેઓની લેટિન હસ્તપ્રતો, ‘ડી કોસીસ પ્લાન્ટેરમ’ અને ‘ડી હિસ્ટોરિયા પ્લાન્ટેરમ’ના રૂપમાં અસ્તિત્વમાં છે. મોર્ફોલોજી, વર્ગીકરણ અને છોડના કુદરતી ઇતિહાસની તેમની મૂળભૂત વિભાવનાઓ, જે ઘણી સદીઓથી સ્વીકૃત હતી પરંતુ તેમાં પણ સંશોધન થતાં રહ્યાં. પ્રથમ સદી (સીઇ)ના ગ્રીક વનસ્પતિશાસ્ત્રી, થિયોફ્રેસ્ટસ પછી પેડેનિયસ ડાયોસ્કોરાઈડ્સ, સૌથી મહત્ત્વપૂર્ણ વનસ્પતિશાસ્ત્રી લેખક હતા. તેમના મુખ્ય કાર્યમાં તેમણે લગભગ ૬૦૦ પ્રકારના છોડનું વર્ણન કર્યું છે, જેમાં તેમની વૃદ્ધિ અને રૂપાંતરણની વિગતો તેમજ તેમના ઔષધીય ગુણધર્મો પર ટિપ્પણીઓ છે.
બીજી સદી સુધી, રોમન લેખકોના ઉત્તરાધિકારીઓએ ખેતી, બાગકામ અને ફળ ઉગાડવા પરે લેટિન હસ્તપ્રતો તૈયાર કરી હતી પરંતુ તે પણ વૈજ્ઞાનિક તપાસની દૃષ્ટિએ વિકસિત નહોતી. પ્લિની ધ એલ્ડર દ્વારા કરવામાં આવેલું નેચરલ હિસ્ટ્રીનું જ્ઞાનકોશીય વૈજ્ઞાનિક કાર્ય, ૭૭મી સદીમાં નેચરાલીસ હિસ્ટોરિયા(લેટીન) તરીકે પૂર્ણ થયું. બધા મળી ૧૪૬ રોમન અને ૩૨૭ ગ્રીક લેખકોનું પ્રતિનિધિત્વ કરતી લગભગ ૨,૦૦૦ કૃતિઓમાંથી સંકલિત ૩૭ ગ્રંથોનો આ જ્ઞાનકોશ ‘હિસ્ટોરિયા નેચરાલીસ’ તરીકે ઓળખાયો, જેમાં ૧૬ ગ્રંથો વનસ્પતિને સમર્પિત છે. પરંતુ તેમાં પણ ત્રુટીઓ અને વિવેચનાઓનો અભાવ હોવાથી તે પણ પૂર્ણ વિકસિત વૈજ્ઞાનિક પદ્ધતિ દર્શાવતો કોષ નથી. આ સમય સુધી પશ્ર્ચિમ હોય કે પૂર્વ, પ્રકૃતિ ખેડતા અભ્યાસુઓ માટે મુખ્ય અને કેન્દ્રવર્તી હેતુ પ્રકૃતિના અન્ય જીવોની માનવી માટેની ઉપયોગિતા માત્ર છે.
૧૫મી સદીમાં ચિત્ર પલટાય છે. બે ટેકનોલોજીઓ જ્ઞાનપિપાસુઓના સહારે આવે છે.
૧. પ્રિન્ટિંગ પ્રેસ
પ્રિન્ટિંગ પ્રેસે વનસ્પતિ વિજ્ઞાન સહિત તમામ પ્રકારના સાહિત્યની ઉપલબ્ધતામાં ક્રાંતિ આણી. ૧૫મી અને ૧૬મી સદીમાં દવામાં ઉપયોગી વનસ્પતિઓનું વર્ણન કરવાના હેતુથી ઘણી ‘હર્બલ’ પ્રકાશિત કરવામાં આવી હતી. ચિકિત્સકો અને તબીબી રીતે વનસ્પતિશાસ્ત્રીઓ દ્વારા લખાયેલ, પ્રારંભિક હર્બલ મોટાભાગે ડાયોસ્કોરાઈડ્સના કાર્ય પર અને થોડા અંશે થિયોફ્રેસ્ટસ પર આધારિત હતી, પરંતુ ધીમે ધીમે તે ઔષધ ઉત્પાદન માટેનું અવલોકન બની ગયું. દાયકાઓથી હર્બલ્સની વધતી જતી ઉદ્દેશ્યતા અને મૌલિકતા આ પુસ્તકોને સમજાવવા માટે તૈયાર કરવામાં આવેલા વુડકટ્સની સુધારેલી ગુણવત્તામાં સ્પષ્ટપણે પ્રતિબિંબિત થાય છે.
‘પ્લાન્ટ મોર્ફોલોજિસ્ટસ’ દ્વારા માઇક્રોસ્કોપના વ્યાપક ઉપયોગે ૧૮મી સદીમાં એક વળાંક પૂરો પાડ્યો – વનસ્પતિશાસ્ત્ર મોટાભાગે પ્રયોગશાળા વિજ્ઞાન બની ગયું. સાદા લેન્સ અને કમ્પાઉન્ડ માઈક્રોસ્કોપની શોધ થઈ ત્યાં સુધી, વનસ્પતિની ઓળખ અને વર્ગીકરણ મોટાભાગે કદ, આકાર અને પાંદડાં, મૂળ અને દાંડીની બાહ્ય રચના જેવાં મોટાં રૂપાંતરણ (મોર્ફોલોજિકલ) પાસાઓ પર આધારિત હતું.
વનસ્પતિના આનુવાંશિક ગુણો અને ચરિત્રોને જાણવાના અભ્યાસો પણ, જે તે વનસ્પતિના આહાર અને ઔષધીય ઉપયોગો વિશેનાં અવલોકનો પૂરતા સીમિત હતા. વનસ્પતિ અને વન્યજીવોની પદ્ધતિસરની આનુવાંશિક ઓળખ માટેની પદ્ધતિઓ આ ટેકનોલોજીની સહાયથી વધુ ચોક્સાઈ મેળવવા લાગી.
આ એ સમય છે કે જ્યારે પ્રકૃતિનાં વિવિધ પાસાઓને ઊંડાણ-પૂર્વક સમજવા માટે તેમાં રહેલી વિવિધતાઓને જોવા, નમૂનાઓ એકત્ર કરવા તેનું સુચારુ દસ્તાવેજીકરણ કરવું વગેરેમાં રસ ધરાવતા પ્રખર અભ્યાસુઓ નવી કેડી કંડારવા લાગ્યા. એક તરફ યંત્ર યુગની આડઅસરોના પાયા નંખાઈ રહ્યા હતા તો બીજી તરફ કુદરત પોતે જાણે એવા માનવો તૈયાર કરી રહી હતી કે જેઓ આવનારી પેઢી માટે જ્ઞાન અને માર્ગદર્શનનો ખજાનો તૈયાર કરે. જેમાંના પ્રથમ છે ૧૭૦૭માં સ્વીડનના રશલ્ટામાં જન્મેલા, કાર્લ લિનીયસ, જેઓ વનસ્પતિશાસ્ત્રી, ચિકિત્સક અને પ્રાણીશાસ્ત્રી તરીકે આજે પણ અમરત્વ ભોગવી રહ્યા છે. તેમને આધુનિક વર્ગીકરણના પિતા તરીકે ઓળખવામાં આવે છે અને આધુનિક ઇકોલોજીના પિતામાંના એક તરીકે પણ ગણવામાં આવે છે.
બાળક તરીકે લિનીયસ પહેલેથી જ ફૂલ-છોડ અને બગીચાઓથી આકર્ષાયેલા હતા. તેમના પિતા મોટાભાગે તેમને ફૂલ-છોડનાં નામ જણાવી અવલોકન કરાવી સમય પસાર કરાવતા. તેમણે નાનકડા લિનિયસને એક ખૂણો પોતાનો બગીચો બનાવવા આપ્યો. અભ્યાસમાં નીરસતા અને ફૂલ-છોડમાં ઊંડો રસ જોઈ, શાળાના મુખ્ય શિક્ષકે પણ તેને બગીચો સંભાળવાનું કામ આપ્યું. આમ ધીમે ધીમે પિતા સાથે ગ્રામ્ય વિસ્તારોમાં નવાં ફૂલ છોડ શોધવા પણ જવા લાગ્યા. શાળાના મુખ્ય શિક્ષક, ડેનિયલ લેનરસે તેનો પરિચય સ્માલેન્ડના રાજ્ય ડૉક્ટર જોહાન રોથમેન સાથે કરાવ્યો જેઓ ખૂબ સારા વનસ્પતિશાસ્ત્રી પણ હતા. રોથમને વનસ્પતિશાસ્ત્રમાં લિનીયસની રુચિને પદ્ધતિસર વિકસાવવામાં મદદ કરી. ૧૭ વર્ષની ઉંમર સુધીમાં, લિનીયસ એ સમયના વનસ્પતિ સાહિત્યથી સારી રીતે પરિચિત થઈ ગયા હતા.
રોથમેને સૂચવ્યું કે લિનીયસનું ભવિષ્ય ચિકિત્સામાં હોઈ શકે. ડૉક્ટરે લિનીયસને તેના પરિવાર સાથે વૅક્સજોમાં રહેવાની અને તેને શરીરવિજ્ઞાન અને વનસ્પતિશાસ્ત્ર શીખવવા કાર્લના પિતાને સૂચન કર્યું. રોથમેને લિનીયસને બતાવ્યું કે વનસ્પતિશાસ્ત્ર એક ગંભીર વિષય છે. તેણે લિનીયસને ટુર્નેફોર્ટની પદ્ધતિ અનુસાર છોડનું વર્ગીકરણ કરવાનું અને છોડના જાતીય પ્રજનન વિશે પણ શીખવવામાં આવ્યું. ૧૭૨૭માં ૨૧ વર્ષની ઉંમરના લિનીયસે સ્વીડનની લુંડ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો. તેમની નોંધણી લેટિનમાં કારોલુસ લિનનેઉસ તરીકે કરવામાં આવી હતી. જે આગળ જતાં તેમનાં તમામ પ્રકાશનોના માધ્યમથી વિશ્ર્વભરમાં પ્રસિદ્ધ થયું.
૧૭૨૮માં, લિનીયસ ઉપસાલા યુનિવર્સિટીમાં જોડાયા. ઉપસાલામાં, લિનીયસ એક નવા પરોપકારી કલાપ્રેમી વનસ્પતિશાસ્ત્રી, પ્રોફેસર ઓલોફ સેલ્સિયસને મળ્યા જેમણે પોતાની લાઈબ્રેરીનો ઉપયોગ કરવાની મંજૂરી આપી, જે સ્વીડનની સૌથી વિશાળ વનસ્પતિ પુસ્તકાલયોમાંની એક હતી. ૧૭૨૯માં, લિનિયસે વનસ્પતિના જાતીય પ્રજનન પર ‘પ્રેલુડિયા સ્પોન્સેલિયોરમ પ્લાન્ટારમ’ નામની થીસીસ લખી. આનાથી યુનિવર્સિટીઓનું ધ્યાન આકર્ષિત થતાં તેમને વક્તવ્યો આપવા માટેનાં આમંત્રણ મળવા માંડ્યાં જ્યારે કે તેઓ પોતે બીજા વર્ષના વિદ્યાર્થી માત્ર હતા. ૧૭૩૦માં તેમનાં પ્રવચનો લોકપ્રિય થવા લાગ્યાં. લિનીયસ ઘણી વાર ૩૦૦ શ્રોતાઓને સંબોધતા હતા.
લિનીયસની આશા નવા છોડ, પ્રાણીઓ અને સંભવત: મૂલ્યવાન ખનિજો શોધવાની હતી. તે મૂળ સામી લોકોના રિવાજો વિશે પણ ઉત્સુક હતા. સ્કેન્ડેનેવીયાનાં વિશાલ ટ્રુન્દ્ર જંગલોમાં ભટકતા શીત પ્રદેશનું હરણ-રેન્ડિયરનું પાલન કરતી વિચરતી જાતિઓના પ્રકૃતિલક્ષી જીવનને જાણવામાં રસ હતો. અંતે ૧૭૩૨માં, લિનીયસને તેની મુસાફરી માટે ઉપસાલામાં રોયલ સોસાયટી ઓફ સાયન્સ તરફથી અનુદાન પ્રાપ્ત થયું.
૧૭૩૨ના મે મહિનામાં, યુવાન અને કટિબદ્ધ, વૈજ્ઞાનિક કાર્લ લિનીયસે જૂના યુનિવર્સિટી ટાઉન – ઉપ્સલાથી સાપમી, જે તે સમયે લેપલેન્ડ તરીકે જાણીતા પ્રદેશ પર સંશોધન અભિયાન આદર્યું. આ ઉત્તર નોર્વે, સ્વીડન અને ફિનલેન્ડ તેમજ રશિયાના કોલા દ્વીપકલ્પનો વિસ્તાર છે જે એ સમયે અત્યંત નિર્જન-વેરાન પ્રાંતો ગણાતા. લિનિયસના પ્રવાસનો ઉદ્દેશ્ય તેની પ્રકૃતિનું વર્ણન કરવાનો હતો. આ અને અન્ય પ્રવાસો પરનાં અવલોકનોએ લીનીયસને રાજ્ય, વર્ગ, ક્રમ, જીનસ અને પ્રજાતિઓ (વર્ગીકરણ) દ્વારા છોડ, પ્રાણીઓ અને પત્થરોને ઓળખવા, નામ આપવા અને વર્ગીકૃત કરવા માટે તેની પ્રખ્યાત પદ્ધતિ સ્થાપિત કરવા પ્રેરણા આપી.
૧૯૪૦ના દાયકામાં, તેમણે છોડ અને પ્રાણીઓને શોધવા – વર્ગીકૃત કરવા માટે સ્વીડનથી ઘણી મુસાફરી કરી. લિનીયસ ૧૭૪૧માં ઉપસાલા યુનિવર્સિટીમાં વનસ્પતિશાસ્ત્રના પ્રોફેસર બન્યા. તેમણે વનસ્પતિશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર અને અન્ય વિષયોનું અધ્યાપન કર્યું. તેઓ વિદ્યાર્થીઓમાં ખૂબ જ લોકપ્રિય હતા. ૧૭૫૦ અને ૧૭૬૦ના દાયકામાં, તેમણે પ્રાણીઓ, છોડ અને ખનિજો એકત્રિત અને વર્ગીકૃત કરવાનું ચાલુ રાખ્યું.
૧૭૫૩માં લિનીયસે તેની મુખ્ય કૃતિ, પ્રજાતિઓ પ્લાન્ટારમ પ્રકાશિત કરી, જેમાં તે સમયે જાણીતા વિશ્ર્વના તમામ ભાગોમાંથી છોડની ૬,૦૦૦ પ્રજાતિઓનું કાળજીપૂર્વક વર્ણન છે. આ કાર્યમાં લિનીયસે દ્વિપદી નામકરણની પ્રણાલી સ્થાપિત કરી જે આજે પણ આધુનિક વનસ્પતિ વર્ગીકરણ માટે મૂળભૂત સંદર્ભ સાહિત્ય છે. આ પ્રણાલી મુજબ દરેક પ્રકારના છોડને બે નામો દ્વારા ઓળખ આપવામાં આવી કે જેમાં પ્રથમ પ્રજાતિનું નામ અને બીજું તેની જાતિ દર્શાવતું હોય, જેમકે રોઝા કેનિન ફૂલછોડમાં રોઝા એ પ્રજાતિ નામ અને કેનિન એ તેની જાતિનું નામ. આ અગાઉ લાંબાં વર્ણનો ધરાવતાં જટિલ નામો પ્રચલનમાં હતાં જે દ્વિપદી નામકરણના કારણે સરળ થઈ ગયાં અને સાથે વનસ્પતિની ઓળખ મળતાં તે જાતિના બીજી વનસ્પતિઓ સાથેના સંબંધો અને તફાવતો સમજવામાં પણ સહાય થવા લાગી.
આજનું વ્યવસ્થિત વનસ્પતિશાસ્ત્ર હવે વનસ્પતિશાસ્ત્રની તમામ પેટાશાખાઓમાંથી માહિતી અને તકનીકોનો ઉપયોગ કરે છે. તેમને જ્ઞાનના એક ભાગમાં સમાવિષ્ટ કરે છે. ફાયટોજીઓગ્રાફી (છોડની જૈવભૂગોળ), વનસ્પતિ ઇકોલોજી, વસ્તી આનુવાંશિકતા અને કોષોને લાગુ પડતી વિવિધ તકનીકો-સાયટોટેક્સોનોમી અને સાયટોજેનેટિક્સ-એ વ્યવસ્થિત વનસ્પતિશાસ્ત્રની વર્તમાન સ્થિતિમાં ઘણું યોગદાન આપ્યું છે અને અમુક અંશે તેનો ભાગ બન્યો છે. તાજેતરમાં, વ્યવસ્થિત વનસ્પતિશાસ્ત્રની પ્રવૃત્તિઓમાં ફાયટોકેમિસ્ટ્રી, કોમ્પ્યુટરાઈઝ્ડ આંકડાશાસ્ત્ર અને ફાઈન-સ્ટ્રક્ચર મોર્ફોલોજી ઉમેરવામાં આવ્યા છે.
તેમને ૧૭૪૭માં મુખ્ય શાહી ચિકિત્સક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. અને ૧૭૫૮માં જ્યારે તેમણે કાર્લ વોન લિન નામ લીધું ત્યારે તેમને નાઈટની ઉપાધિ આપવામાં આવી હતી. તેમના મૃત્યુ સમયે, તેઓ યુરોપના સૌથી પ્રખ્યાત વૈજ્ઞાનિકોમાંના એક હતા. વનસ્પતિશાસ્ત્રીઓના રાજકુમાર, લીનીયસ માત્ર વર્ગીકરણ – ટેક્સોનોમીના જનક જ નહિ, પરંતુ જીવસૃષ્ટિમાં પરસ્પરના આંતરસંબંધોના પારિસ્થિકીય વિજ્ઞાન – ઇકોલોજીના આરંભકર્તાઓમાંના પણ એક અગ્રણી છે.
પૂર્વીય વિશ્ર્વની સિંધુ ખીણમાં સંહિતાઓથી શરૂ થયેલી વનસ્પતિ-શાસ્ત્રના અભ્યાસની સફર પ્લુટો અને એરિસ્ટોટલ દ્વારા ગ્રીસમાં પશ્ર્ચિમી વિશ્ર્વમાં વૈજ્ઞાનિક સંશોધન શાખામાં દાખલ થઈ અને લિનીયસ, આધુનિક પદ્ધતિમાં પરિપક્વ સિસ્ટમેટિક્સ પ્રત્યેક વનસ્પતિની ઓળખ અને રેન્કિંગ સાથે કામ કરે છે. તેમાં વર્ગીકરણ અને નામકરણનો સમાવેશ થાય છે અને વનસ્પતિશાસ્ત્રીને છોડની વિવિધતા અને ઉત્ક્રાંતિની વ્યાપક શ્રેણીને સમજવા માટે સક્ષમ બનાવે છે.
૨૦મી સદીમાં વનસ્પતિશાસ્ત્રમાં સંશોધનના વિકાસના દર અને તેમાંથી પ્રાપ્ત થયેલાં પરિણામોમાં ભારે વધારો જોવા મળે છે. ભૂતકાળના અનુભવના લાભ સાથે વધુ વનસ્પતિશાસ્ત્રીઓ, વધુ સારી સવલતો અને નવી તકનીકોના સંયોજનને પરિણામે શ્રેણીબદ્ધ નવી શોધો, નવી વિભાવનાઓ અને વનસ્પતિશાસ્ત્રીય પ્રયાસોનાં નવાં ક્ષેત્રો થયાં છે. અને સાથેસાથે ઉત્તરવેદકાલીન સાહિત્યોથી શરૂ થયેલી સફરમાં, યુરોપીય જગતના મહાન કેડી કંડારનારાઓની જીવવિવિધતાની યાદીઓમાંથી આજના પ્રકૃતિના અભ્યાસુઓ હવે આ જ પદ્ધતિનો ઉપયોગ કરી લુપ્ત થતી જીવવિવિધતાઓનો દસ્તાવેજ પણ માનવસમાજ સમક્ષ રજૂ કરતા રહે છે.
Source: Wikipedia
યાત્રી બક્ષી : paryavaran.santri@gmail.com
સ્રોત સૌજન્ય: ભૂમિપુત્ર : ૧૮ જુલાઈ, ૨૦૨૪
-
ગુજરાતના જ્ઞાતિ સમાજોનો સમાજસુધારાનો સાદ
નિસબત
ચંદુ મહેરિયા
સાર્થ ગુજરાતી જોડણીકોશ (૧૯૨૯)માં ‘સંસારસુધારો’ શબ્દનો અર્થ સામાજિક અને કૌટુંબિક બાબતોમાં સુધારો’ અને ‘ સુધારક’ એટલે ‘ સુધારનારું, સુધારો કરનારું , રિફોર્મર’ એમ જણાવ્યો છે. ભગવદગોમંડળ (૧૯૪૪-૧૯૫૫)માં ‘ સમાજસુધારા ’ નો અર્થ ‘ જનસમુદાયના કલ્યાણ માટે સમાજ વ્યવસ્થામાં ફેરફાર કરવો તે ’ અને ‘સમાજસુધારક ’ નો અર્થ ‘સમાજમાં સુધારો કરનાર’ દર્શાવ્યો છે. ઑક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ દ્વારા પ્રકાશિત પી.જી.દેશપાંડેની અંગ્રેજી ડિકસનેરી(૧૯૭૦)માં Reformation શબ્દનો અર્થ ‘ રાજકીય, ધાર્મિક કે સામાજિક બાબતોમાં દૂરગામી સુધારો’ છે.
આપણા દેશ અને રાજ્યમાં સમાજિક સુધારણાની ચળવળનો દીર્ઘ ઈતિહાસ છે. આઝાદીના આંદોલન સમયે કોંગ્રેસના અધિવેશનોના મંડપમાં જ, અધિવેશન પછી સમાજ સુધારણા પરિષદો મળતી હતી. ગાંધી, નહેરુ, સરદાર અને બીજા અગ્રણી નેતાઓ તેમાં ભાગ લેતા હતા.એટલે રાજકીય-સામાજિક કાર્યો સાથે ચાલતા હતા. તત્કાલીન સમાજની જરૂરિયાત પ્રમાણે ત્યારે સમાજસુધારણામાં બાળલગ્ન પર પ્રતિબંધ, કન્યા કેળવણી, સતીપ્રથાની નાબૂદી, વિધવાવિવાહ જેવી બાબતોને પ્રાધાન્ય મળતું હતુ. પછી તેમાં સમાનતા અને આભડછેટ નિવારણ જેવા મુદ્દા પણ ઉમેરાયા હતા. સ્વતંત્રતાની પ્રાપ્તિ બાદ રાજકીય પક્ષોએ સમાજ સુધારણા ક્ષેત્રેથી હાથ ખેસવી લીધો. હવે તેનું સ્થાન વિવિધ જ્ઞાતિ સમાજોએ લીધું છે. જ્ઞાતિ એ ભારતની કડવી વાસ્તવિકતા છે. લગભગ બધા જ સામાજિક પ્રસંગો જ્ઞાતિ પંચો અને જ્ઞાતિ બંધારણોથી ઉકેલાય છે. દિનરાત સંવિધાન, સંવિધાન લવ્યા કરતા દલિતો પણ સારાનરસા પ્રસંગોએ ભારતના બંધારણને બદલે ‘ સમાજની પત્રી’ ને જ સંભારે છે.
હાલમાં પણ સમાજિકસુધારણાના ઘણાં ક્ષેત્રો પહેલા હતા તે જ રહ્યા છે અને ઘણા બધાં નવા ઉમેરાયા છે. સતી પ્રથાના અવશેષો ક્યારેક જોવા મળે છે ખરા.પણ વિધવા વિવાહ, બાળલગ્ન, કન્યા કેળવણી જેવા ક્ષેત્રે ઠીક ઠીક પ્રગતિ થઈ છે. નવા જમાનામાં નવા સવાલો પણ ઉભા થયા છે. જ્ઞાતિ, પેટાજ્ઞાતિ, ગોળ, પરગણામાં વહેંચાયેલા વર્તમાન ભારતીય સમાજના જ્ઞાતિ સમાજો અને તેના સંગઠનોના શિરે જ સમાજ સુધારણાનું કામ આવ્યું છે. ઘણા જ્ઞાતિ સમાજો સામાજિક કુધારા, કુપ્રથા કે દેખાદેખીમાં થતા ખર્ચામાં બદલાવ કરે છે અને સમાજસુધારાની નવી દિશા ખોલી આપે છે.
બાળકનો જન્મ, સગાઈ, લગ્ન, સિમંત, બાબરી, જનોઈ, વાસ્તુથી લઈને મરણ સુધીના પારિવારિક અને સામાજિક પ્રસંગો માટે જ્ઞાતિપંચો, મંડળો અને સંગઠનોએ નિયમો બનાવ્યા છે. તેમાં સમયાનુસાર ફેરફારો થતા રહે છે. મુખ્યત્વે સુરેન્દ્રનગર, કડી, ચુંવાળ અને ચરોતરમાં વસતા તપોધન બ્રહ્મ સમાજે સંતાનોના લગ્નોમાં થતા લાખોના ખર્ચા બંધ કરી સમૂહ લગ્ન કરવા અને બચેલા નાણા યુવક-યુવતીના નામે ફિક્સ ડિપોઝીટમાં રોકવાની અનોખી પહેલ કરી છે. જ્ઞાતિના સંગઠનના પ્રયાસોથી આ સમાજની કન્યાઓનો લિટરસી રેટ ૯૨ ટકા છે.
બેતાળીસ લેઉવા પાટીદાર સમાજના પાંસઠ વરસ પૂર્વેના ૧૯૫૮ના બંધારણમાં સુધારા કરવામાં આવ્યા છે. લગ્ન પ્રસંગે જાનને એક જ રાત રોકવી, મામેરામાં અમર્યાદિત રકમો અને દાગીના ન આપવા ઉપરાંત જાનમાં બેન્ડ વાજા, કન્યાઓના વરઘોડા અને ફટાણા, મરણ પાછળના ખોટા ખર્ચા અને છાજિયા બંધ કરવામાં આવ્યા છે. મહિલાઓએ પી-વિડિંગ ફોટોશૂટ, ડીજે, બેબી શાવર, હલ્દીરસમ બંધ કરવાનો નિશ્ચય કર્યો છે. યુવા મંડળે પાટીદાર સમાજના સમૂહલગ્નમાં પ્રી-વેડિંગ કરાવનાર યુગલોને બાકાત રાખ્યા છે. કડવા પાટીદાર સમાજ અને ઓલ ઈન્ડિયા અગ્રવાલ સમાજે પણ પ્રી-વેડિંગના નવા ચાલ પર પ્રતિબંધ મૂક્યો છે.
કથિત મધ્યમ સમાજો પણ સામાજિક સુધારાનો સાદ સંભળાવે છે. બનાસકાંઠા અને દસ્ક્રોઈ ઠાકોર સમાજના આગેવાનોએ પણ ડીજે પર પ્રતિબંધ સહિતના ખર્ચાળ રિવાજો બંધ કરવા નિશ્ચય કર્યો છે. સગાઈમાં ૧૧ અને લગ્નમા ૫૧ લોકોએ જવું તથા લગ્નમાં દીકરીઓને જીવનજરૂરી વસ્તુઓ મર્યાદિત પ્રમાણમાં આપવા સંકલ્પ કર્યો છે. લગભગ તમામ જ્ઞાતિ સમાજોએ શિક્ષણ, રોજગાર અને વ્યસન મુક્તિના સઘન પ્રયાસો હાથ ધર્યા છે.
પછાત, નિમ્ન અને જ્ઞાતિવ્યવસ્થાના તળિયે રહેલા મનાતા સમાજો પણ સામાજિક સુધારણા માટે જાગ્રત છે. નર્મદા જિલ્લાના નાંદોદ અને તિલકવાડા તાલુકો તથા વડોદરા જિલ્લામાં વસતા આદિવાસી મેવાસી સમાજે એપ્રિલ મે મહિનામાં વિધ્યાર્થીઓની પરીક્ષાઓના ગાળામાં જ લગ્નસરા હોય છે. એટલે પરીક્ષાર્થીઓને અભ્યાસમાં ખલેલ ન પહોંચે તે માટે ડીજે ન લાવવાનો ઠરાવ કર્યો છે. નર્મદા જિલ્લાના તડવી સમાજે બાળકોના શિક્ષણ પર અસર ના થાય તે માટે એપ્રિલ થી મે મહિનામાં લગ્નો કરવા પર જ બંધી ફરમાવી છે. દાહોદના આદિવાસી સમાજે પત્ની હયાત હોવા છતાં બીજા લગ્ન કરનારને રૂ. ૧.૧૧ લાખ , દારુ પી ઝઘડનારને રૂ. ૧૧ હજાર અને લગ્નમાં ડીજે વગાડનારને ૫૧ હજારનો દંડ નક્કી કર્યો છે. રબારી સમાજે દીકરીઓના શિક્ષણ માટે શિક્ષણ રથ ફેરવ્યો હતો. ઘરના સારા-માઠા પ્રસંગે શિક્ષણ માટે રૂ.૫૦૦નું દાન ફરજિયાત કર્યું છે. સુરત,નવસારી, બીલીમોરા મેઘવાળ સમાજે સામાજિક પ્રસંગો સાદગીથી કરવા અને શિક્ષણ ફંડ વધારવા નક્કી કર્યું છે.
સમાજ સુધારણાના જે નવા ક્ષેત્રો ઉઘડ્યા છે તેમાં લેઉવા પાટીદાર સમાજની દીકરીઓનો સર્વાઈકલ કેન્સરના પરીક્ષણનો કેમ્પ યોજાયો હતો. જેમાં ૬૩૧ દીકરીઓને કે જે કેન્સર સંક્રમિત હોવાનું જણાયું છે તેમની સારવાર શરૂ કરી છે. રબારી સમાજના શિક્ષણ ભવનમાં સ્પર્ધાત્મક પરીક્ષાની સઘન તાલીમ અપાતાં આશરે બસો ઉમેદવારો પાસ થયા અને વિવિધ સરકારી નોકરીઓ મેળવી છે.
પ્રગતિશીલ અને ઉદારવાદી સમાજ સુધાર સાથે જ્ઞાતિ સમાજો સંકુચિત કે જમાનાને પાછળ ધકેલનારા નિર્ણયો પણ કરે છે. જેમાં આંતરજ્ઞાતિય લગ્નો પર પ્રતિબંધ, દીકરીઓને મોબાઈલ વાપરવા પર બંધી, ગામડામાંથી શહેરોમાં અભ્યાસ માટે અપડાઉન કરતી દીકરીઓને જાહેર પરિવહનનો ઉપયોગ ન કરવા દેવો, છૂટાછેડા માંગતા દીકરીના મા-બાપને દંડ જેવી બાબતો આપણે કઈ સદીમાં જીવીએ છીએ અને સ્ત્રી-પુરુષ સમાનતા કેટલી દૂર છે તેની પ્રતિતી કરાવે છે.
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના આંકડા પ્રમાણે દેશમાં દરરોજ ૪,૩૨૦ બાળલગ્નો થાય છે. ઉત્તર ગુજરાતમાં ૩૨ ટકા કન્યાઓના લગ્નો ૧૮ વરસ પહેલા અને એકલા મહેસાણા જિલ્લામાં ૩૨.૩૦ ટકા બાળલગ્નો થાય છે. છેલ્લા પાંચ વરસોમાં દલિત- બિનદલિત વચ્ચે આંતરજ્ઞાતિય લગ્નો દેશમાં ૮૭૦૮૨ અને ગુજરાતમાં ૩૮૩૯ જ થયા છે. છોકરીઓને તરછોડી દેવાનું કે અનાથ આશ્રમમાં છોડી દેવાનું પ્રમાણ છોકરા કરતાં વધારે છે. આ સંજોગોમાં સમાજસુધારણાના ક્ષેત્રે કેટલું બધું કરવાનું બાકી છે તે સમજાવું જોઈએ.
ગાંધીજી અને ડો.આંબેડકર બંને એ વાતે સંમત છે કે સમાજસુધારણાનું કામ અતિ કઠિન છે. ડો.આંબેડકરે કહ્યું છે કે, “ ભારતમાં સમાજસુધારણાનું કામ મોક્ષ પ્રાપ્તિ જેટલું જ કઠિન છે. આ કામમાં મિત્રો ઓછા અને દુશ્મનો ઝાઝા હોય છે.” ગાંધીજીનો મત હતો કે,” રાજ્ય પ્રકરણી ચળવળ કરતાં સંસારસુધારાની ચળવળ ઘણી વધારે મુશ્કેલ છે. સંસાર સુધારાના કામમાં રસ ઓછો છે, બાહ્ય પરિણામ નજીવું જેવું લાગે છે, અને તેમાં માનાપમાનાદિને બહુ ઓછું સ્થાન છે, તેથી આ કામ કરનારે જૂજ પરિણામથી સંતુષ્ટ રહેવું પડશે.”
ગુજરાતના ભિન્ન ભિન્ન જ્ઞાતિ સમાજોમાં હાલમાં સમાજ સુધારણાની જે હલચલ જોવા મળે છે તે શેનો સંકેત છે? આપણો જ્ઞાતિસમાજ પલટાઈ રહ્યો છે? બદલાઈ રહ્યો છે? સ્થિર છે કે પાછા પગલાં ભરી રહ્યો છે?
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
“ફર્યા કરે…..!
રિન્કુ રાઠોડ ‘શર્વરી’
ગઝલ
તારા અભાવની સતત ચર્ચા કર્યા કરે.
આ કોણ તારું નામ લઈ મનમાં ફર્યા કરે?આધાર લઈને ભીંતનો ઊભી રહી ક્ષણિક,
ત્યાં પોપડા સહિત હયાતી પણ ખર્યા કરે.લોકોની જેમ આંગળી ચીંધી શકે નહીં,
તું આયના સમીપ જઈ નાહક ડર્યા કરે.જીવન વિશે હૃદય! મને સાચો જવાબ દે,
ધબકાર હોય છે કે તું બસ થરથર્યા કરે?આ વારતાનો અંત પણ હું માંડ લાવું છું,
પ્રત્યેક પાને તે છતાં તું અવતર્યા કરે.:આસ્વાદઃ
સપના વિજાપુરા
મૂળ દાહોદના વતની અને હાલમાં ગાંધીનગર સ્થિત યુવા કવયિત્રી રિન્કુ રાઠોડ ‘શર્વરી’
આપણને એક સુંદર ગઝલ આપે છે.“તારા અભાવની સતત ચર્ચા કર્યા કરે.
આ કોણ તારું નામ લઈ મનમાં ફર્યા કરે?”પ્રિય વ્યક્તિ શારીરિક રીતે તમારાથી દૂર થઈ જાય, પણ ખરેખર એ મનથી દૂર થાય છે ખરી?
એનો સતત અભાવ હૃદયમાં રહ્યા જ કરે! એ એક નામ હૃદયમાં ગૂંજ્યા કરે. એ એક નામની ચર્ચા હૃદયમાં થયા કરે. આ કોણ છે જે હૃદયમાં તારું નામ લઈ ફર્યા કરે છે? વ્યક્તિ દૂર ચાલી જાય તો પણ એનું નામ હૃદયમાં ગુંજ્યા કરે.“ગુંજતા હું જો દિલ મેં તો હૈરાન હો કયું ,
મૈં તુમ્હારે હી દિલ કી તો આવાઝ હું,
સુન સકો તો સુનો ધડકનો કી ઝુબાં!”મન એકલું રહેતું નથી. મનમાં સતત એના અભાવની ચર્ચા રહે છે. જે હૃદયમાં બિરાજમાન છે એ વિચારો પર રાજ કરે છે. એ રક્ત બનીને નસોમાં ફર્યા કરે છે.વ્યક્તિનું પાસે હોવું જરૂરી નથી. વ્યક્તિની યાદ સતત ગૂંજ્યા કરે. તું જહાં રહે તું કહીં ભી રહે, તેરી યાદ સાથ હૈ. બે પંક્તિના આ શેરમાં કવયિત્રીએ કોઈના ના હોવા છતાં હૃદયમાં રહેતી એ વ્યક્તિનો અભાવ કેટલો છે તે જણાવી દીધું.
“આધાર લઈને ભીંતનો ઊભી રહી ક્ષણિક,
ત્યાં પોપડા સહિત હયાતી પણ ખર્યા કરે.”કોઈના સહારે જિંદગી કાઢવી અને એ સહારાનો આધાર જિંદગીભર લેવો કેવો ક્ષણભંગૂર નીકળે છે. એ આધાર જ પાંગળો નીકળે તો! તમારી હયાતી પણ ખરતી જાય! એ આધારના પોપડાની જેમ ખરતો જાય અને જીવન પણ પૂરું થતું જાય. આવા સંબંધનો અંત લાવવો જ રહ્યો.
“વોહ અફસાના જિસે અંજામ તક લાના ના હો મુમકિન;
ઉસે એક ખૂબસૂરત મોડ દે કર છોડના અચ્છા!”જે સંબંધ તમારી હયાતીને ધીમેધીમે ઓછી કરતો જાય એ સંબંધ તોડવામાં ભલાઈ છે. ધીરી ગતિથી સાબુની ગોટીની જેમ ઓગળવું એના કરતાં પથ્થર બની ટકરાઈ જવું સારું!
“લોકોની જેમ આંગળી ચીંધી શકે નહીં,
તું આયના સમીપ જઈ નાહક ડર્યા કરે.”દર્પણ જૂઠ ના બોલે. દર્પણ સત્ય જ બોલશે. લોકોની ઉડાડેલી વાતો પર આંગળી નહિ ચીંધે! એ ખામોશ છે. જે સામે છે એ જ બતાવે છે. દર્પણ સામે જવા માટે ડરવાની જરૂર નથી. એ લોકોની જેમ વાતો ઘડી નહીં કાઢે.
માણસ જ્યારે પોતાની આંખ સામે આંખ મેળવી શકે ત્યારે એને આયનાથી ડરવાની જરૂર નથી. જો તમે સાચા હો તો ડરવાની જરૂર નથી. દર્પણને જેવું ચિત્ર બતાવશો, એનું જ પ્રતિબિંબ બતાવે છે.
“જીવન વિશે હૃદય! મને સાચો જવાબ દે,
ધબકાર હોય છે કે તું બસ થરથર્યા કરે?”‘આહ’ નીકળી જાય એવો શેર બન્યો છે. હૃદયનું ધડકવું એ જીવન હોવાની નિશાની છે. પણ ખરેખર હૃદયનું ધડકવું એ જ જીવન છે? કવયિત્રી હૃદય પાસે જવાબ માંગે છે. મારા ધબકારમાં જીવન છે કે નહીં કે તું ખાલી થરથર્યા કરે છે?
શ્વાસનું આવવું જવું કે હૃદયનું ધડકવું એ જીવન છે? થરથરવું એ ડરની નિશાની પણ છે. કોઈના ડરથી થરથરી જવું. હૃદયના ધબકારમાં કેટલાય ભાવ હોય છે. પ્રેમથી ભીંજાવું, કોઈને જોઈને ધબકાર ચૂકી જવું, ગુસ્સાથી કંપી જવું. અને કોઈને જોઈને શરમથી ધબકી જ જવું. જો હૃદય સાચો જવાબ આપે તો! હૃદય પાસે કવયિત્રી જવાબ માંગે છે, બોલ મારામાં જીવન છે કે નહિ?
“આ વારતાનો અંત પણ હું માંડ લાવું છું,
પ્રત્યેક પાને તે છતાં તું અવતર્યા કરે.”વાર્તા હોય, કે શાયરી હોય તો જ અવતરે જો હૃદયમાં પ્રેમ હોય! ગઝલનો વાર્તાનો અંત આવે છે,
પણ પાનેપાને તું જ અવતર્યા કરે! મત્લાનો શેર યાદ આવી ગયો.“તારા અભાવની સતત ચર્ચા કર્યા કરે.
આ કોણ તારું નામ લઈ મનમાં ફર્યા કરે?”જે વ્યક્તિ હૃદયમાં ગૂંજતી હોય તે પાનેપાને અવતરી શકે છે. એ દ્રષ્ટિથી દૂર છે પણ મનથી નહીં.
ગઝલ પૂરી કરવાનું મન થતું નથી. કારણકે પાને પાને તું જ દેખાય છે. ફરી બીજી વાર્તા, બીજી ગઝલ શરુ થશે પણ તું જ હોઈશ પાનેપાને!“તું હી રે તેરે બીના કૈસે જીયું!”
માંડ કરીને વાર્તાનો અંત લાવું, પણ તું પાનેપાને દેખાય છે અને વાર્તા પૂરી નથી થતી. આ લેખન તો
ચાલતું જ રહેશે, જ્યાં સુધી વાર્તામાં તારું નામ ના આવે!“આંખથી ઓજલ પણ નજરની સામે જ છે તું,” – પ્રેમથી ભરપૂર સુંદર ગઝલ!
-
બિહાઈન્ડ ધ ટાઈમ્સ – પરદા પાછળનાં પાત્રોની માર્મિક યાદોઃ બચી કરકરિયાની નજરે :: [૩]
નરેશ પ્ર. માંકડ
મણકો [૨]થી આગળ
ટાઈમ્સની બહારથી સારા પત્રકારોની શોધ
કલકત્તા જ્યારે દેશનું સહુથી બુદ્ધિમંત શહેર ગણાતું ત્યારની વાત છે. એ સમયે ગિરીલાલ જૈન ટાઇમ્સમાં મોટા ફેરફારો લાવવામાં અવરોધ રૂપ હતા એટલે એમને ખસેડીને નવા તંત્રીને લાવવાનો સમીર જૈન નો ઇરાદો હતો. તેઓ સારા પત્રકારોની શોધમાં હતા. અશોક જૈને ગૌતમ અઘિકારીને કહ્યું, ” મને કહેવામાં આવે છે કે ભારતના ટાઈમ્સની બહાર ભારતમાં કોઈ સારા પત્રકાર નથી.” ગૌતમે કહ્યું, ” ના સર, ઘણા પત્રકારો છે અને મને ખાતરી છે કે તેઓ ટાઈમ્સમાં ખુશીથી જોડાશે. ગૌતમ એક લિસ્ટ બનાવ્યું ,જેમાં ચંદન મિત્રા, સ્વપનદાસ ગુપ્તા અને જગ સુરૈયાનાં નામ હતાં. સ્વપ્ન અને ચંદન તો રાજકીય પ્રાણી હતા જ અને સ્વપન તો સ્ટેટ્સમેનની દિલ્હી આવૃત્તિમાં જ હતા. જગ સુરૈયા સ્ટેટ્સમેન છોડી શકે અને કલકત્તાના ઉન્નતભ્રુ વાતાવરણની બહાર નીકળીને ટકી શકે એ અસંભવિત જણાતું હતું. ગૌતમે પોતાના જૂના મિત્ર જગને પૂછ્યું, “આપણે મળી શકીએ?”. જગને લાગ્યું કે ગૌતમ સ્ટેટ્સમેનમાં જોડાવા માંગે છે, તેમણે સુનંદા કે. દત્તા રે ને વાત કરી. દત્તાએ હોઠ પરથી સિગારેટ હોલ્ડર હટાવતાં કહ્યું, “એ આપણે માટે એસેટ થશે, એને કહો મને ફોન કરે.”
એલફીન બારમાં બંને મળ્યા ત્યારે ગૌતમે જગને ટાઈમ્સમાં જોડાવાની ઓફર આપી. આશ્વર્યની વાત એ હતી કે જગ એના માટે ઇચ્છુક હતા. બન્ને એટલા ઉત્તેજિત હતા કે બિલ ચૂકવ્યા વગર જ બહાર નીકળી ગયા. એ બિલ હજી બાકી જ છે. ચંદન મિત્રાએ પણ સંમતિ આપી. સ્વપનનો એક વર્ષ બાદ સંપર્ક કરવામાં આવ્યો.
એ ઉપરાંતની બાબત હતી ગિરીના સંભવિત ઉત્તર અધિકારી તરીકે દિલીપ પડગાઓકરને લેવાની. ત્યારે તેઓ યુનેસ્કોમાં હતા. ટાઈમ્સની ન્યુયોર્ક આવૃતિ કાઢવાની વાત ચાલતી હતી ત્યારે ન્યુયોર્ક જતા માર્ગમાં પેરિસ જઈને દિલીપ સાથે વાત કરવાનું ગૌતમ અને રમેશ ચંદ્ર એ નક્કી કર્યું ગૌતમ રમેશ ચંદ્ર કરતાં એક દિવસ અગાઉ પેરિસ પહોંચી ગયા. તેમણે દિલીપને ફોન કર્યો. દિલીપે મેટ્રોમાં ડુપ્લેક્સ સ્ટેશન આવી જવા કહ્યું. ગૌતમ ત્યાં પહોંચીને ખાલીખમ પ્લેટફોર્મ પર હાથમાં સૂટકેસ લઈને ચાલવા લાગ્યા ત્યાં તેમને ધુમ્મસમાંથી કોઈ વ્યક્તિ નીકળીને પોતાની તરફ આવતી જોઈ. આ ટ્રુફોટના ફિલ્મી દ્રશ્ય જેવું હતું.
બીજા દિવસે રમેશ ચંદ્ર આવી ગયા અને વાતચીતને અંતે દિલીપને વિદેશ સંવાદદાતા તરીકે નોકરી પણ લેવામાં આવ્યા.
દિલીપ પડગાંઓકર
ગિરીલાલ જૈન સંપૂર્ણ સત્તા ધરાવતા છેલ્લા તંત્રી હતા. એમના અનુગામી દિલીપ પડગાંઓકર એક્ઝિક્યુટિવ એડિટરનો હોદ્દો ધરાવતા થયા. વધુ બોલકા અને ભભકદાર, વિકલીના પ્રીતિશ નાંદીની જેમ, તેઓ દીના વકીલના યાદગાર શબ્દોમાં ‘ an impresario editor’ હતા. Impresario એટલે કોન્સર્ટ, બેલે, ઓપેરા જેવા જાહેર સમારંભોના વ્યવસ્થાપક. દીના એનો ઉચ્ચાર આ રીતે કરતાં: આમ – પ્ર – સ્સા – રી – ઓહસોસાયટી મેગેઝિન માટે શોભા ડે એ લીધેલા ઇન્ટરવ્યુમાં દિલીપે પોતાનાં પદને ‘ બીજા નંબરના સહુથી મહત્વના જોબ ‘ તરીકે ગણાવ્યું હતું અને આ આપવડાઈ કે બડાશને મેગેઝિનનાં મુખપૃષ્ઠ પર ચમકાવ્યું હતું. ક્ષોભિત થયેલા દિલીપે એવો બચાવ કર્યો કે એમણે તો એમના બોસ ગિરીલાલ જૈનને ટાંક્યા હતા પણ એ ખોટી રીતે એમના નામે ચડાવી દેવાયું હતું. ગૌતમ અધિકારીએ એ વાતને સમર્થન આપતાં કહ્યું હતું કે ગિરી ઘણી વાર કહેતા કે તેઓ દેશની બીજા નંબરની સહુથી મહત્વની વ્યક્તિ છે. બચી કહે છે, ” અમે એમની પીઠ પાછળ મજાક કરતા કે એમનો સેક્રેટરી રોશન ૧૦ નંબરનો સૌથી અગત્યનો અને પટાવાળો ભગવતી ૧૭મો સૌથી અગત્યનો માણસ છે.” એ જે હોય તે પણ તેનો વણકહ્યો ભાવાર્થ એ હતો કે ટાઈમ્સના તંત્રીના કાર્યનું મહત્વ વડાપ્રધાન પછીના બીજા નંબરનું નહિ પણ એનાથી ખરેખર તો વધુ હતું.
તંત્રી પદની આવી બડાશથી ટાઈમ્સના કર્તાહર્તા સમીર જૈન ગુસ્સાથી તમતમી ગયા હતા કે તેને બ્રાન્ડિંગની કુશળતા ગણીને એમાં રાચતા હતા એ બાબતે હજુ કંઈ ખાતરીપૂર્વક કહી શકાતું નથી.
દિલીપનો ટાઈમ્સ સાથેનો સંપર્ક એમની ૨૪ વર્ષની ઉંમરે ૧૯૬૮માં શરૂ થયો. એમનું એક લખાણ શામ લાલને ગમી ગયું. દિલીપે નોકરી માગી અને એ પણ મળી ગઈ. પાંચ વર્ષ એમણે ફ્રાન્સમાં સંવાદદાતા તરીકે ગાળ્યાં અને એમને પછી સહાયક તંત્રી તરીકે બઢતી પણ મળી. ૧૯૭૮માં યુનેસ્કોમાં જોડાયા અને પછી ત્યાંથી છૂટા થયા. ફરી ટાઈમ્સની ઑફર આવી અને તેઓ જોડાઈ ગયા. ફ્રાન્સના તેમના વળગણને કારણે ટાઇમ્સમાં એ વિશે મજાક પણ થતી. એમને પેડ્ડી અને ફિલિપ્પ જેવા નામ પણ આપવામાં આવ્યાં હતાં.
પત્રકારોને રસપ્રદ લોકોને મળવાનું વધારે બનતું હોય છે, શબ્દો પર સારું અધિપત્ય હોય છે, એટલે તેઓ પાર્ટીમાં સરસ વાર્તાકથનની આવડત ધરાવતા હોય છે અને મીમીક્રીની કુશળતા બહુ મજેદાર હોય છે. અતિશયોક્તિભરી વાતો બનાવી કાઢવામાં દિલીપ અજોડ હતા. રાત્રી ભોજન પછીની એમની અતુલ્ય સ્ટાઈલમાં એમણે શામ લાલ વિશે કેટલીક વાતો કરી હતી. પેરિસમાં એમના નાનકડા પુત્રને શામ લાલ પાસે છોડીને પતિ પત્ની બહાર ગયાં હતાં એ કિસ્સો શામ લાલની વહેવારિક સમજના અભાવનો રમૂજી પુરાવો છે. ટ્રાફિક પોઇન્ટ પર ભીખ માગતાં નાના બાળકો પર એમનું બિલકુલ ધ્યાન ન જતું એ એક વક્રોક્તિ સમાન હતું. ભારતની દારુણ ગરીબી અને હાંસિયામાં ધકેલાઈ ગયેલાને સહાય કરવા અંગે આગ્રહપૂર્વક લખતા શામ લાલ ભીખ માગતા બાળકો પર નજર પણ નાખતા ન હતા. બચી કરકરીયા કહે છે તેમ તેઓ છપાયેલા શબ્દોના કેદી હતા. તેઓ ‘અદીબ’ના તખલ્લુસ થી ‘લાઈફ એન્ડ લેટર્સ’ નામની સાપ્તાહિક કોલમ લખતા. બૌદ્ધિક વિશ્લેષણાત્મક રજૂઆત સાથેના ફ્રેન્ચ અસ્તિત્વવાદ, જર્મન પત્ર લેખન, સામ્યવાદી શાસનના વિરોધ મત કરાવનારા પોલીશ નાટકો વગેરે વિષય પર એમના લેખોનો એક વિશેષ વાચક વર્ગ હતો. એમના લખાણ કોઈ પણ ક્ષુલ્લક બાબતો અંગે ઉપહાસપૂર્ણ, વેધક, તિરસ્કારપૂર્ણ હતાં; એક સમર્થ લેખક તરીકેનું અંગ્રેજી ભાષાનું તેમનું લચીલાપણાનું એ મહાન દર્શન હતું. એમનો એક નાનો પણ સંપૂર્ણ રીતે ચાહનારો અનુયાયી વર્ગ હતો.
+ + +
૫૦% પારસી ૫૦% જાપાનીસ ૧૦૦% બૌદ્ધિકઃ એન જે નાનપોરિયા
એક પ્રકરણનું નામ બચીએ આપ્યું છે ‘૫૦% પારસી ૫૦% જાપાનીસ ૧૦૦% બૌદ્ધિક’ આવા એક તંત્રી હતા એન જે નાનપોરિયા. દુનિયાના દરેક અંતર્મુખી તંત્રી અંગે કહેવાયું છે તેમ નાનપોરિયા વિશે પણ એવી એક વાર્તા ચાલે છે કે તેઓ ભાગ્યે જ કોકટેલ સર્કિટમાં જતા હતા એવી એક પાર્ટીમાં એક વ્યક્તિએ એમની સાથે વાતચીત શરૂ કરી. નાનપોરિયા થોડા ક્ષુબ્ધ હતા પણ એ વ્યક્તિ છોડતી ન હતી. એમણે ચીન અને જાપાન વચ્ચેના ફર્કની વાત જાણવા પ્રયત્ન કર્યો. નાનપોરિયાને આશ્ચર્ય થતાં એ વ્યક્તિ શું કરે છે એ અંગે પૂછ્યું. પેલાએ જરા મૂંઝવણ સાથે કહ્યું, “સર, હું આપનો ન્યુઝ એડિટર છું.”રવિવારે ચોર બજારની મુલાકાત લેવાની એમનો ક્રમ હતો. અસાધારણ બુદ્ધિ ધરાવતા નાનપોરીયા સિદ્ધહસ્ત લેખક હતા. એમના પુરોગામી ફ્રાન્ક મોરાએસની જેમ એમની લેખન શૈલી ખૂબ સુંદર હતી. બંનેને પોતાના સ્ટેનોને ડિકટેટ કરાવતાં કરાવતાં વિશાળ ખંડમાં આંટા મારવાની આદત હતી. ફ્રાન્કનો મદદનીશ શોર્ટ હેન્ડમાં લખતો, નાનપોરિયાનો સ્ટેનો સીધું ટાઈપરાઇટર પર ઉતારતો. વિરામચિહ્ન સહિત અણીશુદ્ધ રીતે ઘડાયેલાં વાક્યો અને સંપૂર્ણ રીતે સર્જાયેલા વાક્યખંડોનો અસ્ખલિત પ્રવાહ જે રીતે વહેતો હતો એ એક અનંત અચમ્બો પમાડતી બાબત હતી અને એટલી જ આશ્ચર્યજનક વાત એ હતી કે તેઓને ક્યારે અટકવું એનો પણ બરાબર ખ્યાલ રહેતો. અખબાર જગતની ભાષામાં ૩-૪-૫ કોલમ તરીકે જાણીતી તંત્રી લેખનાં પાનાંની ખાસ જગ્યા માટે જરૂરી હોય બરાબર એટલા જ શબ્દોની સંખ્યા જેટલી જ એડિટની સામગ્રી તેઓ ડિક્ટેટ કરાવતા. બંને એમના સ્ટેનોના કામ પર નજર ફેરવી લેતા પણ એડિટિંગ ન કરતા અને એમની કોપીમાં ક્યારેય પણ કાપકૂપ કરવી ન પડતી, કોઈ હિંમત પણ ન કરતું.
+ + +
જગ સુરૈયા
જગ સુરૈયાને બહાર રાખીને ટાઈમ્સની વાત ન કરી શકાય. એમનું નામ રમુજી પ્રસિદ્ધ કોલમ ‘જગ્યુલર વેઇન’ને કારણે જાણીતું છે. કાર્યકારી તંત્રીથી સ્વતંત્ર એડિટ પેજના તંત્રી તરીકેની જવાબદારી તેઓ સંભાળતા હતા. એમનો વિષય અને મૂડ આગલી રાતે ગુડગાંવમાં એમને ઘરે ઇલેક્ટ્રિસિટી હતી કે નહીં એની પર અને સવારે લાંબી ડ્રાઇવ કરીને આવતા ટ્રાફિકની પરિસ્થિતિ પર આધારિત રહેતા. એમની સિનિયર તંત્રીઓની વૈવિધ્યપૂર્ણ ટીમમાં વિજ્ઞાન લેખક મુકુલ શર્માથી માંડીને સંરક્ષણ વિશ્લેષક કે. સુબ્રમણ્યમ જેવાનો સમાવેશ થતો હોવાથી ચર્ચાની શક્યતાઓ અને તંત્રીલેખોના વિષયો અમર્યાદ હતા.એક વાર અણુપ્રસારબંધી અને વિદેશ નીતિ જેવા વિષયો પર લખનારા સિદ્ધાર્થ વરદરાજન અત્યંત અકળાયેલી મનોસ્થિતિમાં મિટિંગમાં બોલી ઉઠ્યા, “પેલી જાજરમાન સ્ત્રી – એ કેવી રીતે ગમે તે અજાણી વ્યક્તિને પરણી જઈ શકે ? પોતાની પ્રતિષ્ઠા પ્રત્યે, તેના પ્રશંસકો પ્રત્યે અને દેશ પ્રત્યે પણ તેમની જવાબદારી છે.” બોલીવુડની રાણી માધુરી દીક્ષિતનાં લગ્ન વિદેશ નિવાસી ડો. નેને સાથે થવાથી આ ઉભરો બહાર આવ્યો હતો. સિદ્ધાર્થ આ વાતને પૂરી ગંભીરતાથી લેતા હતા, તેથી જગ સુરૈયાએ એમને કહ્યું, ” ઠીક છે, આ બાબતમાં તમારી આટલી ઉગ્રતાભરી લાગણી છે, તો એના વિશે તંત્રીલેખ લખો. સિદ્ધાર્થ કહે, ” સારું હું થર્ડ એડિટ લખીશ.” “નહિ , મારો મતલબ છે લીડ એડિટ,” જગે સ્પષ્ટતા કરી. સિદ્ધાર્થે જુલિયા રોબર્ટની એ જ વર્ષે હિટ થયેલી ફિલ્મ ના નામ પરથી Runaway Bride શીર્ષકથી લખ્યું અને વાંચકોના પત્રોનો અભૂતપૂર્વ ધસારો થયો. વાચકોની લાગણી પણ સિદ (સિદ્ધાર્થ) જેવી જ હતી અને જગ સુરૈયાએ પોતાના મગજને મહત્વની જણાતી બાબત કરતાં વાંચકોના હૃદયને સ્પર્શતા વિષય માટે ફર્સ્ટ એડિટની ઉચ્ચ પરંપરા તોડવાની તૈયારી બતાવી.
એમની ટીમના એક વિશેષ સભ્ય હતા કે. સુબ્રમણ્યમ, પ્રખ્યાત સ્ટ્રેટેજીક વિશ્લેષક જે પછી ભારત સરકારના સિક્યુરિટી સલાહકાર બન્યા. (વર્તમાન સમયના સંદર્ભમાં એક વધારાની ઓળખઃ હાલના વિદેશ મંત્રી એસ જયશંકરના તેઓ પિતા થાય). એમના આક્રમક અભિગમને કારણે એડિટ ટીમના અન્ય એક સભ્ય તરફથી એમને ‘બોમ્બ મામા’નું નામ મળ્યું હતું. પણ તેઓ શાંતિવાદી હતા અને એમને કહેતા કે તમારા પરમાણુના સર્વનાશના અંતે માત્ર વંદો જ બચશે.
સર્જનાત્મકતા વિશેના રહસ્ય અંગે એમનો મત એવો હતો કે એ કોઈ મોટી વાત નથી. કોઈ પણ બાબતમાં કોઈ પણ લખી શકે અને એક તંત્રી લેખ તમે ૩૦ મિનિટમાં લખી શકો.
જગ પોતાની એકાંતપ્રિયતા માટે કુખ્યાત હતા અને મોટાભાગની માનવીય પ્રજાતિઓના અસ્તિત્વને માન્ય નહોતા કરતા. એમની એક વધુ પ્રસિદ્ધિ પામેલી ઘટના એ ખરેખરા જગ અંગેની હતી. નવો પટાવાળો એની એમની કેબિનમાં તાજું પાણી ભરી આપવા માટે પ્રવેશ્યો અને અચકાતાં બોલ્યો,
“સર, જગ.”
“બોલો, શું કામ છે?” સુરૈયાએ કહ્યું.
“જી સર, જગ.”
આમ થોડી વાર ચાલતું રહ્યું પછી ગુસ્સે થયેલા તંત્રીને જવાબ આપતાં પાણીના જગ સામે આંગળી ચીંધીને પટાવાળાએ નાના બાળકને સમજાવતો એમ કહ્યું ” પા…ણી.”
નારાયણી ગણેશન એડિટ પેજમાં જોડાયાં પછી કામ અંગે પ્રવાસમાં ગયાં ત્યારે બીજા યુવાન પત્રકારો એમને પૂછતા કે તમે કોને જવાબદાર છો? એ લોકોને ખબર પડે કે નારાયણી સુરૈયા સાથે કામ કરે છે ત્યારે તેઓની આંખો આશ્ચર્યથી પહોળી થઈ જતી, “જગ સુરૈયા! કેટલા ભાગ્યશાળી! એ કેટલા રમુજી છે, તમારો કેવો રમુજ ભર્યો સમય જતો હશે!” વર્ષો પછી એટલી હિંમત આવી ગઈ હતી એટલે જગ પાસે આ વાત કરતાં તેમણે ઉમેર્યું, ” તેઓને ક્યાં ખબર છે કે તમે આવા ખરાબ સ્વભાવના છો!” અલબત્ત, જગની સર્વસંમતિ સાથે કામ કરવાની રીતની તેઓ પ્રશંસા કરતાં.
+ + +
ઇન્ડિયન એક્સપ્રેસની જેમ કટોકટીનો સામનો કરવા માટે ખડા ન રહેવા માટે ટાઈમ્સની ટીકા કરવામાં આવી હતી પરંતુ અખબારની માલિક કંપની, બૅનેટ કૉલમેન, નાં બોર્ડમાં સરકાર દ્વારા નિયુક્ત બે અધિકારીઓને કારણે પણ એ બન્યું હોય તે સંભવિત છે; છતાં ઇમર્જન્સી ઉઠી ગયા બાદ શામલાલ ની સામે આ માટે ઘણો વિરોધ વ્યક્ત થયો હતો. તેઓ ઇન્દિરા તરફી ન હતા પણ દિલ્હીના રેસીડેન્ટ એડિટર ગિરીલાલ જૈન તો ઇન્દિરા તરફી જ હતા.
+ + +
નિવૃત્તિ પછી શામલાલ મુંબઈ આવે ત્યારે ગૌતમ અધિકારીને ચર્ચગેટ સુધી ચાલવા માટે બોલાવતા અને ગેલોર્ડના ખુલ્લા વિભાગમાં બેસીને અંધારું થઈ જાય ત્યાં સુધી ગોષ્ઠિ કરતા. ગૌતમ કહે છે કે શામલાલને ગોસીપ બિલકુલ ગમતી નહીં પણ ગીરીલાલ જૈનને બહુ પસંદ હતી.
+ + +
ટાઈમ્સના મ્યુઝિયમ જેવા બચી કરકરિયાના આ દસ્તાવેજની રસાળતા એનું મજબૂત જમા પાછું છે, તો બીજી બાજુ ફ્રાન્ક મોરાએસ વિશે સંપૂર્ણ મૌન રહેવું – ખાસ કરીને ટાઈમ્સ છોડીને અસંખ્ય પત્રકારો સાથે ફ્રાન્ક સાગમટે ઇન્ડિયન એક્સપ્રેસમાં જોડાયા એવી ઘટના વિશે કોઈ ઉલ્લેખ ન હોય – એ બાબતને પણ એની ખામી ગણી શકાય.
+ + +
ક્રમશઃ
શ્રી નરેશ માંકડનો સંપર્ક nareshmankad@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
ચોથો મણકો ૩ – ૧૦ – ૨૦૨૪ના રોજ પ્રકાશિત થશે જેમાં એડીટ પેજની વાતો, પ્રેમ શંકર ઝા અને ખુશવંત સિંહની યાદો રજુ કરાઈ છે.
