-
મોરપિચ્છ મોકલજો |કવિ વિનાનું ગામ
સિદ્ધહસ્ત બે કવિઓનાં ઉત્તમ કાવ્યો
મોરપિચ્છ મોકલજો
– હરીન્દ્ર દવે
મથુરામાં સાંભળ્યું કે ચાંદની ખીલી છે, શ્યામ, વૃંદાવન રોજની અમાસ,
આજ હવે એ જ ધૂળ માથે ચડાવીએ કે કાલ જ્યાં રમ્યાં’તાં રૂડો રાસ.ચન્દનના વનમાં એક સાપ ગયો ડંખી, હવે સૌરભનું લેશ ન ઓસણ,
શ્યામની સંગાથે બધું સગપણ ગયું કે હવે કોઈની રહી ન ઓળખાણ,
કોઇ જરા ફૂલને સુંઘાડી જુઓ, ક્યારનોય અટકી ગયો છે મારો શ્વાસ.ગમતી ગલીઓમાં હવે સળ ના સૂઝે, ન વાગે રમતી સાહેલીઓનાં ઝાંઝર,
આજ હવે છૂટાં તરણાંય નથી હાથવગાં, એકઠાં કરી જે બાંધ્યું ઘર,
ઉદ્ધવની સાથે એક મોરપિચ્છ મોકલજો, બીજી કોઈ ન કરું આશ.કવિ વિનાનું ગામ
– અનિલ જોશી
પ્હાડ ફરીને પાછા વળતા પ્હાડ મૂકીને આવ્યા
પરોઢનું ઝાંખું અજવાળું ખાલી હાથે લાવ્યાકુંજડીઓના હારબંધ ટહુકાની બારી ખુલ્લી
સૂર્ય ડોકિયું તાણે ત્યાં તો ઝળહળ ઝાકળ ઝૂલીઅંધકારનો ભણકારો થઇ ભમરો ફોરમ દોરે
સવારના ચહેરા પર બેસી અજવાળાને કોરેકોરાતે અજવાળે ઊભાં રહીને પર્વત કાંખે
ખોબે ખોબે ધુમ્મસ પીધું પતંગિયાની પાંખેધુમ્મસ પીને ઝાંખીપાંખી એકલતાને ટેકે
ઢાળ ઊતરી ઊભાં આવીને પલાશ વનની મ્હેકેપલાશવન તો જાય દોડતું ક્યાંય લગી હરણોમાં
પર્વત આખો થા કે મારા થંભેલા ચરણોમાંમનમાં એવું થાય કે પૂગું પ્હાડ મૂકી સૂમસામ
અવાજના જંગલમાં ભટકે કવિ વિનાનું ગામ.
– પદ્યવિભાગઃ વે.ગુ. સમિતિઃ રક્ષા શુક્લ અને દેવિકા ધ્રુવ -
રાઈનો પર્વત (૧૯૧૩) – અંક છઠ્ઠો: પ્રવેશ ૪

સર્જક : રમણભાઈ મહિપતરામ નીલકંઠ
અંક છઠ્ઠો: પ્રવેશ ૩ થી આગળ
પ્રવેશ ૪ થો
સ્થળ : વીણાવતીના મહેલની અંદરનો ખંડ.
[વીણાવતી આસને બેઠેલી પ્રવેશ કરે છે. લેખા બારણા પાછળ સંતાઈને ઊભી છે.]
વીણાવતી : (સ્વાગત) આ અવનવો અનુભવ કઈ ઇન્દ્રિયનો છે?
(દંડી)
દેખું તેજ કાંઈ, પણ, ના રૂપરંગ,
ચાખું સ્વાદ કાંઈ, પણ ન રસનરંગ;
સૂંઘું ગંધ કાંઈ, પણ ન ઘ્રાણગ્રાહ્ય,
સૂણું શબ્દ કાંઈ, પણ ન શ્રોત્રશ્રાવ્ય. ૮૩અડકું વસ્તુ કાંઈ, પણ ન તે ત્વચામાં,
વસું દેશ કાંઈ, પણ ન તે ધરામાં;
દિસે અંકુર નહિં, ફૂટતું કાંઈ લાગે,
દેહમાંથિ ભાગ કાંઈ આત્મ માગે. ૮૪શું જગતના ભ્રમણનું કેન્દ્ર બદલાયું કે મારા પોતાના ચક્રનું કેન્દ્ર બદલાયું છે?
[લેખા નીકળીને પાસે આવે છે.]
લેખા : કુંવારીબા ! તમે આવા વિચાર કરો છો તે મને બીક લાગે છે.
વીણાવતી : કેવા વિચાર ?
લેખા : તમે બોલતાં હતાં તેવા. તમારે માટે મને ચિન્તા થવા માંડી છે, તેથી, મેં બારણાં પાછળ રહીને સાંભળ્યું.
વીણાવતી : મારે માટે શી બાબતને ચિન્તા થવા માંડી છે ?
લેખા : તે દિવસે હોડી ડૂબ્યા પછી પેલા કોઈ પુરુષે તમને પાણીમાંથી કાઢ્યાં ત્યારથી તમે બદલાઈ ગયેલાં છો.
વીણાવતી : મૃત્યુના આંગણામાં જઈને પાછી આવી તે એની એ ક્યાંથી રહું ?
લેખા : એ પુરુષનું તમને કાંઈ સ્મરણ રહ્યું છે ?
વીણાવતી : જેણે જીવિતદાન આપ્યું તેનું વિસ્મરણ શી રીતે થાય?
લેખા : સ્મરણ સાથે કાંઈ લાગણી મિશ્રિત થઈ છે ?
વીણાવતી : થઈ હોય તો શું ?
લેખા : માત્ર ઉપકારની કે તેથી વિશેષ ?
વીણાવતી : વિશેષને એ પાત્ર નથી ?
લેખા : કુંવારીબા ! આ શું કહો છો ? તમારું ચિત્ત એના તરફ આકર્ષાયું તો નથી ?
વીણાવતી : ચિત્તાકર્ષણ એ કાંઈ અનિષ્ટ વસ્તુ છે?
લેખા : તમારા આવા વચનથી હું ગભરાઉં છું. જે શબ્દ તમારી આગળ મેં કદી વાપર્યો નથી તેનો હવે ઉચ્ચાર કરીને પૂછું છું કે તમારા હૃદયમાં પ્રેમનો ઉદ્ભવ થયો છે ?
વીણાવતી : શબ્દનો ઉચ્ચાર દાબી રાખવાથી ભાવનો ઉદ્ભવ કદી દબાઈ રહ્યો છે?
લેખા : હાય ! હાય ! આ તો ગજબ થયો !
વીણાવતી : એમાં ગજબ શાનો ? પ્રેમ એ પુણ્ય અને ઉચ્ચ વસ્તુ નથી?
લેખા : પણ, તમારાથી પ્રેમ ન થાય.
વીણાવતી : મારાથી પ્રેમ ન થાય ? શું જગતની પ્રેમઘટનામાંથી વિધાતા એ મને બાતલ કરી છે?
[લેખા પોતાની આંખમાંથી આંસુ લૂછે છે.]
વીણાવતી : લેખા ! એકાએક આ શું ?
લેખા : જગતમાં શું છે તે તમે શું જાણો ? તમે કયે દહાડે આં વાડીમાંથી નીકળીને બહાર જગતમાં ગયાં છો ?
વીણાવતી : પ્રેમની પ્રાપ્તિ સાથે જ જગતનો સમાગમ થયો છે; અને મને સમજાયું છે કે આ વાડીમાં છે તે જગત છે. હું અનુભવું છું તે પ્રેમનો પ્રવાહ બધે વ્યાપી રહ્યો છે; તે છતાં તું શા માટે કહે છે કે મારે એકલી આ પ્રવાહથી અલગ રહેવું?
લેખા : અરે દેવ ! કહેવાનું આખરે મારે માથે આવ્યું ! હું કહું છું, પણ તમે પહેલાં આં કટારી ઊંચી મૂકવા દો.
[ખીંટીએ લટકતી કટારી લઈને પેટીમાં મૂકે છે. પેટીને તાળું વાસીને કૂંચી પોતાની કેડે ખોસે છે.]’
વીણાવતી : લેખા ! તને આં શું થયું છે ? આવું આવું વિચિત્ર શું કરે છે ? આં કટારી કેમ પેટીમાં મૂકી ?
લેખા : તમે પ્રેમનું નામ દઈ રહ્યાં છો, ને પ્રેમીઓ ઉતાવળાં હોય છે. હું કહું તેની નિરાશામાં આકળાં થઈ તમે કાંઈ સાહસ કરી બેસો એ બીકે મેં આં કટારી મૂકી દીધી.
વીણાવતી : નિરાશા આવશે ત્યારે એક નિસાસાનો આઘાત બસ નહિ થાય કે કટારીના આઘાત ની જરૂર પડશે?
લેખા : તમને પ્રેમના પુસ્તકો કડી વાંચવા આપ્યાં જ નથી, તોયે તમે એવાં પુસ્તકોમાં લખ્યું છે તેવું જ બોલો છો ! હમણાં કહ્યું તેવો જ દુહો મેં વાંચ્યો છે.
વીણાવતી : કેવો દુહો ?
લેખા: :
(दुहो)
‘कोई कटारी कर मरे, कोई मरे विख खाय;
प्रीति ऐसी कीजिये, ‘हाय !’ करे जीअ जाय। ૮૫ [૧]વીણાવતી : પણ એવું વસમું છે શું તે તો કહે.
લેખા : તમે મારી પાસે આવીને ભોંયે બેસો.
[બન્ને જમીન પર બેસે છે.]
લેખા : તમને તમારાં માતા જોયેલાં સાંભરે છે ?
વીણાવતી : બિલકુલ નહિ. હું નાની હઈશ.
લેખા : ત્યારે તો એમના છેવટનાં મંદવાડનું ક્યાંથી સંભારણ હોય?
વીણાવતી : નહિ જ.
લેખા : એમને જ્યારે એમ સમજાવ્યું કે આ મંદવાડથી નહિ ઉઠાય ત્યારે એમને તમારે માટે બહુ ચિન્તા થઈ, તમારું લગ્ન જોવાનો દિવસ આવશે. એનો એમને ભરોસો ન રહ્યો. તેથી એમણે મહારાજાને આગ્રહ કર્યો કે હું જીવું છું ત્યાં સુધીમાં વીણાવતીને પરણાવી દો.
વીણાવતી : કેવું નવાઈ જેવું ! હું તો છેક બાળક હઈશ !
લેખા : એકની એક પુત્રીના લગ્નનો લહાવો લેવાનો. તેથી તમારી આટલી નાની ઉંમર છતાં છૂટકો નહોતો.
વીણાવતી : પછી ?
લેખા : પછી મહારાજે તમારાથી સહેજ મોટી ઉમરના એક રાજકુમાર શોધી કાઢ્યા. તે જાતે તો અહીં આવ્યા નહિ, પણ, તેમનું ખાંડું આવ્યું, તેની સાથે તમારું લગ્ન કર્યું.
વીણાવતી : કોણે કર્યું ?
લેખા : તમારા પિતાએ.
વીણાવતી : કેવું હસવા જેવું !
લેખા : એ તો રૂઢિ છે, પણ હવે વિકટ વાત આવે છે. બાપુ ! તમે મારી નજીક આવો (વીણાવતીને સોડમાં લે છે.) મારી જીભ ઊપડતી નથી, પણ કહ્યા વિના હવે છૂટકો નથી. એ લગ્ન પછી આઠ દિવસે એ રાજકુમાર તાવમાં સપડાઈને દેવલોક પામ્યા.
[આંસુ ઢાળે છે.]
વીણાવતી : કેવું સંકટ ! એના માતાપિતા બિચારાં બહુ દુઃખી થયાં હશે !
લેખા : એનાં માતાપિતાની કેમ વાત કરો છો ? એ માઠી ખબર આવતાં જ રાણી રૂપવતીએ પ્રાણ છોડ્યા.
વીણાવતી : મારી માતા બહુ કોમલ હૃદયની હશે. બીજાના દુઃખથી એને કેવો સખત આઘાત થયો !
લેખા : બીજાનું દુઃખ અને પોતાનું નહિ ?
વીણાવતી : પોતાનું ?
લેખા : પોતાની એકની એક પુત્રીનો ભવ બગાડયો, એના જેવું બીજું શું દુઃખ હોય?
વીણાવતી : મારો ભાવ બગાડયો ? મેં શું કર્યું કે મારો ભવ બગાડ્યો ?
લેખા : બાપુ ! તમે દુનિયાથી છેક આજ્ઞાન છો. એ રાજકુમારના
મૃત્યુથી તમે વિધવા થયાં, એ તમે હજી સમજ્યાં નથી?
વીણાવતી : હું વિધવા થઈ ? શી વાત કરે છે ? હું ક્યારે પરણી છું?
લેખા : તમને પરણાવ્યાં એટલે તમે પરણ્યાં જ ગણાઓ.
વીણાવતી : એ લગ્ન તો ફક્ત મારા માતાપિતાના લહાવાનું અને ગમ્મતનું હતું.
લેખા : અને , તોયે તે તમારું ખરું લગ્ન જ કહેવાય.
વીણાવતી : ખરું લગ્ન તો પ્રેમનું હોય છે !
લેખા : એ જ માટે કહું છું કે તમારાથી હવે પ્રેમ ન થાય. સ્ત્રીનો પ્રેમ એક જ પુરુષ માટે હોવો જોઈએ.
વીણાવતી : પણ, મેં ક્યારે પ્રથમ બીજા કોઈ પુરુષ માટે પ્રેમ કર્યો છે?
લેખા : તમારું લગ્ન થયું એટલે તમે પ્રેમ કર્યો જ કહેવાય. વિધવાથી પ્રેમ થતો હોય તો વિધવાથી લગ્ન ના થાય ? વિધવાના લગ્નની આપણાં શાસ્ત્રોમાં ના કહી છે.
વીણાવતી : શા માટે ના કહી છે ?
લેખા : વિધવા લગ્ન કરે તો પ્રેમની ભાવના ખંડિત થાય.
વીણાવતી : જેના પર મારો પ્રેમ છે તેની સાથે હું લગ્ન કરું તો પ્રેમની ભાવના પુષ્ટ થાય કે ખંડિત થાય ?
લેખા : પ્રેમનું સ્વરૂપ તો શુદ્ધ છે.
વીણાવતી : મારા પ્રેમમાં કાંઈ અશુદ્ધતા છે ?
લેખા : આ સ્થિતિ ન આવે તે માટે મહારાજે કરેલા સર્વ પ્રયત્ન નિષ્ફળ ગયા ?
વીણાવતી : મહારાજે શા પ્રયત્ન કરેલા ?
લેખા : આ માઠો બનાવ બન્યો તે વખતે એ વાત કોઈએ કહી નહિ, અને કહે તો તે વખતે તમે સમજો શું ? પછી મહારાજે આજ્ઞા કરી કે તમારી મોટી ઉમ્મર થાય ત્યાં સુધી તમને આ વાત કોઈએ કહેવી જ નહિ. વસતિમાં એવી ગુપ્ત વાત રાખવી કઠણ, તેથી મહારાજે તમને નગર બહારના આ એકાન્ત મહેલમાં મારી સંભાળ નીચે મૂક્યાં. પછી, મહારાજે ફરી લગ્ન કર્યું, અને વૈધવ્ય સહન કરવામાં તમને કંઇ કઠણપણું ન લાગે માટે મહારાજે આજ્ઞા કરી કે તમારા સંસ્કાર જ એવા કરવા કે વૈધવ્યની વાત જાણવાની વેળા આવે ત્યારે સંસારના વિષયોમાં તમારું ચિત્ત જઈ શકે જ નહિ. તમારા ચિત્ત આગળ પ્રેમનો વિચાર સરખો પણ આવે નહિ, એવી રીતે તમને કેળવણી આપવાની મને આજ્ઞા કરી. કોઈ પણ પુરુષ કે સ્ત્રી તમને મળે નહિ એવો બંદોબસ્ત કર્યો. અને, વધારે જાપતા માટે તથા લોકોનું કુતૂહલ અટકાવવા માટે તમારા મરણની ખબર ફેલાવી. અહીં જે થોડા નોકરો છે તે પણ તમે કોણ છો તે જાણતા નથી, અને અહીંથી બહાર જવાની તમને આજ્ઞા નથી.
વીણાવતી : આટલાં આટલાં રોકાણ અને દબાણ છતાં જે પ્રેમ સ્ફુરયો તેને હવે કયા બળથી પાછો કાઢવો ધાર્યો છે?
લેખા : પ્રેમનો પ્રતિબંધ ના થઈ શકે, તો પણ લગ્નનો પ્રતિબંધ થઈ શકે છે.
વીણાવતી : પ્રેમ અને લગ્નનો વિયોગ કરવો ઇષ્ટ છે? અને , લગ્ન તે લગ્ન કરવાની ઇચ્છાનો વિષય નથી ?
લેખા : મહારાજ કદી એમ બનવા દેશે નહિ.
વીણાવતી : લેખાં ! હવે તું કાંઈ વૃત્તાંત ગુપ્ત રાખી શકે એમ નથી. મહારાજા વિદેહ થયા છે, અને હવે મારું ભવિષ્ય મારે જ ઘડવાનું છે.
લેખા : ખરે ! અહીં કોઈનો પણ સંચાર થયો છે ?
વીણાવતી : પ્રેમે જેને માટે આ વાડીના બંધ દ્વાર તોડ્યાં છે તેનો જ પગસંચાર થયો છે. લેખા ! તું ગભરાઈશ નહિ. હવે બધી જવાબદારી મારે માથે છે.
લેખા : પણ, એવા અજાણ્યા પુરુષને મળવું યોગ્ય છે?
વીણાવતી : જેને હ્રદયે જાણ્યો તે અજાણ્યો કેમ કહેવાય ?
લેખા : હ્રદયે જાણ્યો તે તો ઠીક, પણ એ કોણ છે તેની ખબર નહિ કાઢો ?
વીણાવતી : હું તને સર્વ કહીશ, અને તેના ગુણ તું સાંભળીશ ત્યારે તું પણ તેને જોવા ઉત્કંઠીત થઈશ. હવે હું તારાથી ગુપ્ત રીતે એને નહિ મળું. એ આવશે ત્યારે તને જોડેના ખંડમાં રાખીશ, પણ અત્યારે તો આપણે બન્ને અસ્વસ્થતા ભૂલી જવા સારું વાડીમાં જઈ ફૂલ વીણીએ.
[ બન્ને જાય છે.]
ક્રમશઃ
● ●
સ્રોત : વિકિસ્રોત
-
વાદ્યવિશેષ : (૧૩) – તંતુવાદ્યો (૯) : તાર શરણાઈ
ફિલ્મી ગીતોમાં વિવિધ વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી
પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી
આજની કડીમાં ઉલ્લેખાયેલા આ વાદ્યનું નામ જાણતાં જ વાદ્યો વિશે થોડીઘણી પણ જાણકારી ધરાવતા ભાવકોને પ્રશ્ન થાય કે હાલમાં જ્યારે આપણે ફિલ્મીગીતોના વાદ્યવૃંદમાં તંતુવાદ્યોના સમાવેશની વાત કરી રહ્યા છીએ ત્યારે તેમાં શરણાઈનો સમાવેશ શી રીતે કરાય! હકીકતે આ એક તંતુવાદ્ય જ છે, જેની સ્વરપેટી સાથે એક ભૂંગળું જોડી દેવામાં આવેલું હોય છે, આમ થતાં જે અવાજ નિષ્પન્ન થાય છે તે લાક્ષણિક તંતુવાદ્યનો ન હોતાં શરણાઈ જેવા ફૂંકવાદ્યની જેવો લાગે છે. નીચેની તસવીર જોતાં આ બાબત સ્પષ્ટ થશે.

જોઈ શકાય છે કે મૂળે તો સારંગીકૂળના દિલરૂબા અને ઈસરાજ તરીકે જાણીતાં વાદ્ય જેવી જ સંરચના ધરાવતા વાદ્યના તૂંબડા સાથે શરણાઈના મૂખ સાથે સામ્ય ધરાવતું ભૂગળું જોડાયેલું છે. આમ હોવાથી તેનો સ્વર શરણાઈ જેવો ઉપસે છે.
આ વાદ્યના સ્વરથી પરીચિત થવા માટે પીઢ વાદક પંડીત વિનાયકરાવ વોરાના વાદનની એક ઝલક સાંભળીએ.
https://www.youtube.com/watch?v=oszXbyzC9Ds
આ વાદ્યની રચના અને તેના સ્વરથી પરીચિત થયા પછી હવે માણીએ કેટલાંક ફિલ્મી ગીતો, જેમના વાદ્યવૃંદમાં તાર શરણાઈનો પ્રયોગ થયો છે. આ વાદ્ય એવું છે કે આખેઆખા ગીતમાં તે સતત વાગે તેમ ભાગ્યે જ બને. આથી જે તે ગીતમાં તેના અંશો જ સાંભળી શકાય છે.
ફિલ્મ બમ્બઈ કા બાબુ (૧૯૬૦)નું ગીત ‘ચલ રી સજની અબ ક્યા સોચે’ માણીએ, ગીતના પ્રારંભમાં કાને પડતા પૂર્વાલાપના વાદ્યવૃંદમાં શરૂઆતથી જ તાર શરણાઈના સ્વર આસાનીથી પારખી શકાય છે. સંગીત સચીનદેવ બર્મનનું છે.
૧૯૬૧માં પ્રદર્શિત થયેલી ફિલ્મ માયાનાં સલિલ ચૌધરીનાં સંગીતમઢ્યાં ગીતો છ દાયકા પછી આજે પણ રસિકોમાં ખુબ જ પ્રિય બની રહ્યાં છે. તે પૈકીનું ‘અય દિલ કહાં તેરી મંઝીલ, ના કોઈ દીપક હૈ ના કોઈ તારા હૈ’ ભારે હતાશા વ્યક્ત કરતું ગીત છે. તેના વાદ્યવૃંદમાં સમાવિષ્ટ તાર શરણાઈના સૂર તે ભાવને સુપેરે ઉપસાવી આપે છે.
ફિલ્મ અમર પ્રેમ (૧૯૭૧)નાં ગીતોની તરજો બનાવતી વેળાએ સંગીતકાર રાહુલદેવ બર્મને ખાસ્સા પ્રયોગો કર્યા હતા, જે બાબતથી રસિક ભાવકો જ્ઞાત હશે જ. જેમ કે ‘ચિનગારી કોઈ ભડકે’ના પૂર્વાલાપના વાદ્યવૃંદમાં ગીટારના સ્વર વાદકથી અપેક્ષા કરતાં અલગ છેડાઈ ગયા. પણ રાહુલદેવે તે જ સ્વર સાથે રેકોર્ડીંગ કરાવ્યું અને પરિણામ આપણા કાન સમક્ષ છે. તે ઉપરાંત બહુ જાણીતી નહીં એવી બાબત એ છે કે આ જ ગીતના વાદ્યવૃંદમાં તાર શરણાઈનો ટૂંકો પણ ખુબ જ અસરકારક પ્રયોગ કરાયો છે, જે 4.6 થી 4.16 દરમિયાન સાંભળી શકાય છે.
https://www.youtube.com/watch?v=ptqkTdtt7nI
રાહુલદેવ બર્મને ૧૯૭૧ની જ એક અન્ય સફળ ફિલ્મ કારવાંના ગીત ‘કીતના પ્યારા વાદા હૈ’ના વાદ્યવૃંદમાં પણ તાર શરણાઈનો ઉપયોગ કર્યો છે, જે આસાનીથી પારખી શકાય છે.
https://www.youtube.com/watch?v=K-6rS_EjRMU
૧૯૭૩ની ફિલ્મ અનામિકા માટે પણ રાહુલદેવ બર્મને સંગીત તૈયાર કર્યું હતું. તે ફિલ્મના ગીત ‘બાહોં મેં ચલે આઓ’ના મધ્યાલાપના વાદ્યવૃંદમાં તેઓએ તાર શરણાઈનો કર્ણપ્રિય ઉપયોગ કર્યો છે.
તે જ વર્ષની અન્ય ફિલ્મ શરીફ બદમાશમાં પણ રાહુલદેવ બર્મનનું સંગીત હતું. તેના એક ધમાકેદાર ગીત ‘મૈં નીકલ જાઉંગા’ના વાદ્યવૃંદમાં તાર શરણાઈ અવારનવાર કાને પડ્યા
વર્ષ ૧૯૭૪માં એક સફળ ફિલ્મ ઝહરીલા ઈન્સાન પ્રદર્શિત થઈ હતી. રાહુલદેવ બર્મનના સંગીતે મઢ્યું તેનું ગીત ‘કલી મસલ ગયી પાંવ તલે’ માણીએ. તેમાં તાર શરણાઈનો કર્ણપ્રિય ઉપયોગ થયો છે.
૧૯૮૨ની સફળ ફિલ્મ નમકીનમાં પણ રાહુલદેવ બર્મનનું સંગીત હતું. તેનું ખુબ જ મીઠું ગીત ‘ફીર સે આઈયો બદરા બિદેસી’ તાર શરણાઈના રોચક અંશોથી મઢ્યું છે.
૧૯૮૫માં રજૂ થયેલી ફિલ્મ સવેરે વાલી ગાડીના ગીત ‘આયા હૈ સંદેશ સવેરે વાલી ગાડી સે’માં બહુ મોડેથી એટલે કે 4.31 થી 4.38 દરમિયાન તાર શરણાઈના અસરદાર અંશો સાંભળવા મળે છે. આ ફિલ્મનું સંગીત પણ રાહુલદેવ બર્મને તૈયાર કર્યું હતું.
ફિલ્મ માસૂમ(૧૯૮૬)નાં ગીતો રાહુલદેવ બર્મનના નિર્દેશનમાં તૈયાર થયાં હતાં. તે પૈકીનું ગીત ‘દો નૈના ઔર એક કહાની’ માણતાં જ ખ્યાલ આવે છે કે તેના માધુર્યમાં તાર શરણાઈના અંશોનું મહત્વનું પ્રદાન છે.
૧૯૯૦ની પ્રયોગશીલ ફિલ્મ લેકીનમાં હ્રદયનાથ મંગેશકરનું સંગીત હતું. તેના ગીત ‘જૂઠે નૈન બોલે સાચી બતીયાં’ના વાદ્યવૃંદમાંના તાર શરણાઈના અંશો માણીને આજની કડીનું સમાપન કરીએ. આવતી કડીમાં નવા વાદ્ય સાથે મળીશું.
નોંધ :
૧) તસવીર નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.
૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય છે.
૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.
-
બાળકોએ ગાયેલા ગીતો – बचपन के दिन भुला ना देना
નિરંજન મહેતા
ફિલ્મોમાં બાળકલાકારો પણ અગત્યનો ભાગ ભજવે છે અને કેટલીક ફિલ્મોમાં તેમના ઉપર ગીતો પણ રચાયા છે. આ લેખમાં એવા થોડાક ગીતોનો ઉલ્લેખ છે
બાળ ગીતોની વાત માંડીએ એટલે પહેલી નજ્રર દોડે એવાં કલાકારો પર જેમણે હિંદી ફિલ્મોમાં બાળ કલાકારો તરીકે પદાર્પણ કર્યું તેમણે એ ઉમરે ગીત ગાયાં.
આવું પહેલું ગીત યાદ આવે હમકો હૈ પ્યારી હમારી ગલીયાં…
ફિલ્મ ‘બસંત’ – પરદા પર ગાયિકા – બેબી મધુબાલા – પાર્શ્વ સ્વરઃ શાંતિ સુધા ઘોષ – સંગીતકાર: પન્નાલાલ ઘોષ, ગીતકારઃ પી એલ સંતોષી
https://youtu.be/QCI7GQZ6TqI?si=jI1PRIWIt8mCTzga
આ ગીતનું એક બીજું વર્ઝન પણ છે જે ફિલ્મમાં મુમુતાઝ શાંતિ અને કિશોર વયના સુરેશે ગાયું છે. મુમતાઝ શાંતિ માટે સ્વર પારુલ ઘોષનો છે, પણ સુરેશ માટે કોનો સ્વર છે તે જાણવા નથી મળતું.
એ પછી યાદ આવે ‘અનમોલ ઘડી’નું એ સદાબહાર બાળ ગીત ઉડન ખટોલે પર ઉડ જાઉં તેરે હાથ ના આઉં
ફિલ્મમાં બાળ નુરજહાં તરીકે આ ગીત નુર ગાય છે અને બાળ સુરેંદ્ર તરીકે એમ કબીર છે. પાર્શ્વ સ્વરો અનુક્રમે શમશાદ બેગમ અને જોહરાબાઈ અંબાલેવાલીના છે. સંગીત નૌશાદનું અને બોલ તન્વીર નક઼્વીના છે.
૧૯૫૧ની ફિલ્મ ‘દીદાર’નુ આ ગીત બચપણની નિર્દોષતા યાદ અપાવતું ગીત છે
ओ बचपन के दिन भुला ना देना
आज हंसे कल रुला ना देना
आज हंसे कल रुला ना देना
ओ बचपन के दिन भुला ना देनाબાળકલાકારો છે બેબી તબસ્સુમ અને પરિક્ષિત સહાની. શકીલ બદાયુનીના શબ્દોને સંગીત આપ્યું છે નૌશાદે. ગાયિકાઓ છે શમશાદ બેગમ અને લતાજી.
૧૯૫૪ની ફિલ્મ ‘ બુટપોલીશ ‘નુ ગીત બાળકોના સકારાત્મક વિચારને દર્શાવે છે.
नन्हे मुन्ने बच्चे तेरी मुट्ठी में क्या है
मुट्ठी में है तक़दीर हमारीકલાકારો છે બેબી નાઝ અને ડેવિડ. ગીતકાર છે શૈલેન્દ્ર અને સંગીતકાર છે શંકર જયકિસન. ગાયકો છે આશા ભોસલે અને રફીસાહેબ.
આ જ ફિલ્મનુ અન્ય ગીત છે
तुम्हारे हैं तुमसे दया माँगते हैं
तेरे लाडलों की दुआ माँगते हैंઅનાથાશ્રમનાં બાળકો સમૂહમાં દાન માંગવા નીકળે છે ત્યારે આ ગીત ગાય છે. ગીતકાર છે શૈલેન્દ્ર અને સંગીતકાર છે શંકર જયકિસન. ગાયકો છે આશા ભોસલે અને રફીસાહેબ. કલાકાર છે રતનકુમાર અને અન્ય જેમાં બેબી નાઝ પણ જણાય છે.
૧૯૫૪ની ફિલ્મ ‘જાગૃતિ’નુ આ ગીત માને વિનંતી કરતા બાળકનું ગીત છે.
चलो चलें माँ सपनों के गाँव में
काँटों से दूर कहीं फूलों की छाओं मेंરતનકુમાર પ્રનોતી ઘોષને સંબોધીને આ ગીત ગાય છે જેના શબ્દો છે કવિ પ્રદીપજીના અને સંગીત છે હેમંતકુમારનું. સ્વર છે આશા ભોસલેનો
આ જ ફિલ્મનું અન્ય ગીત છે જે દેશભક્તિનું ગીત ગણી શકાય.
दे दी हमें आज़ादी बिना खड़ग बिना ढाल
साबरमती के संत तूने कर दिया कमालકલાકાર છે રતનકુમાર. ગીતકાર, સંગીતકાર અને ગાયિકા ઉપર મુજબ.
https://youtu.be/PIKLTEtntI8?si=6yZ1AVZ5ygCXYB-Y
૧૯૬૦ની ફિલ્મ ‘માસુમ’નુ આ ગીત બાળસહજ ભાવો દર્શાવે છે.
नानी तेरी मोरनी को मोर ले गए
बाक़ी जो बचा था काले चोर ले गएગીતના બાળકલાકાર છે હની ઈરાની. શબ્દો છે શૈલેન્દ્રના, સંગીત છે હેમંતકુમારનું અને ગાયિકા છે રાણુ મુકરજી જે હેમંતકુમારની પુત્રી છે.
૧૯૬૧ની ફિલ્મ ‘ઘરાના’નુ આ ગીત બાળકો દ્વારા દાદીમાના મનામણાં કરાય છે.
दादी अम्मा दादी अम्मा मान जाओ,
नन्हे मुन्ने बच्चों को न इतना सताओબાળકલાકારોના નામ નથી જણાતા પણ દાદીમાં તરીકે છે લલીતા પાવર. શકીલ બદાયુનીના શબ્દોને સંગીત આપ્યું છે રવિએ. ગાયિકાઓ છે આશા ભોસલે અને કમલ બારોટ.
૧૯૬૨ની ફિલ્મ ‘મૈ ચૂપ રહુંગી’નુ આ ગીત પ્રભુ પ્રત્યેની ભાવનાને ઉજાગર કરે છે.
तुम्हीं हो माता पिता तुम्हीं हो
तुम्हीं हो बंधु, सखा तुम्हीं होબાળકલાકાર છે બબલુ. ગીતકાર રાજીન્દર કૃષ્ણ અને સંગીતકાર છે ચિત્રગુપ્ત. ગાનાર કલાકાર છે લતાજી.
૧૯૬૨ની અન્ય ફિલ્મ ‘સન ઓફ ઇન્ડિયા’નુ આ ગીત બાળકોની દેશભક્તિની ભાવનાને શબ્દો આપે છે
नन्हा मुन्ना राही हूँ, देश का सिपाही हूँ
बोलो मेरे संग, जय हिंद, जय हिंद, जय हिंदકલાકાર છે સાજીદ ખાન. ગીતના શબ્દો છે શકીલ બદાયુનીના અને સંગીત આપ્યું છે નૌશાદે. ગાયિકા શાંતિ માથુર
https://youtu.be/WoASy–Ve9E?list=TLGG-ok2XrPdWc0xNTA2MjAyNA
૧૯૬૪ની ફિલ્મ ‘સંત જ્ઞાનેશ્વર’નુ આ ગીત બાળકની ભક્તિને વાચા આપે છે.
ज्योत से ज्योत जगाते चलो, प्रेम की गंगा बहाते चलो
राह में आए जो दीन दुखी, सबको गले से लगाते चलोબાળકલાકાર છે બબલુ. શબ્દો છે ભરત વ્યાસના અને સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું. ગાયિકા લતાજી.
૧૯૬૬ની ફિલ્મ ‘છોટા ભાઈ’નુ ગીત માથી વિખુટા પડેલા બાળકની વ્યથાને દર્શાવે છે.
माँ मुझे अपने आँचल में छिपा ले
गले से लगा लेकि और मेरा कोई नहींબાળકલાકારનું નામ નથી જણાવ્યું. ગીતકાર આનંદ બક્ષી, સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું. ગાયિકા લતાજી.
૧૯૬૬ની અન્ય ફિલ ‘હમ કહાં જા રહે હૈ’નુ ગીત બાળમસ્તીના રૂપમાં છે.
मुछ वाले दादा हो गोल मोल दादी
गयी गयी गयी ग़ुलामी गयीઆ ગીતમાં પણ બાળકલાકારનું નામ જણાતું નથી પણ કદાચ ડેઈઝી ઈરાની હોય શકે. શબ્દો છે કમર જલાલાબાદીના અને સંગીત આપ્યું છે બસંત પ્રકાક્ષે. ગાયિકા છે ઉષા મંગેશકર
૧૯૬૮ની ફિલ્મ ‘રાજા ઔર રંક’નાં આ ગીતમાં બાળકની મા પ્રત્યેની લાગણીને દર્શાવે છે.
तू कितनी अच्छी है तू कितनी भोली है
प्यारी प्यारी है ओ माँબાળકલાકારનું નામ જણાવાયું નથી. ગીતકાર આનંદ બક્ષી, સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું. ગાયિકા લતાજી.
૧૯૬૮ની ફિલ્મ ‘દો કલીયા’નુ ગીત બાળકોની નિર્દોષતાને રજુ કરે છે.
बच्चे मन के सच्चे सारे जग की आँख के तारे
ये वो नन्हे फूल हैं जो भगवान को लगते प्यारेઆ જ ફિલ્મનું અન્ય ગીત છે
मुर्गा-मुर्गी प्यार से देखे, नन्हाँ चूज़ा खेल करे
मैं किसको बोलूँ जो मेरे मात-पिता का मेल करेબંને ગીતોમાં બાળકલાકાર તરીકે બેબી નીતુ સિંહ છે અને ફિલ્મમાં તેણે બે બહેનોની બેવડી ભૂમિકા ભજવી છે. ગીતકાર સાહિર લુધિયાનવી અને સંગીતકાર રવિ. બંને ગીતોના ગાયિકા લતાજી.
૧૯૬૮ પછીના ગીતો ભાગ બેમાં.
Niranjan Mehta
A/602, Ashoknagar(old),Vaziranaka, L.T. Road,Borivali(West),Mumbai 400091Tel. 28339258/9819018295વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com -
ફિલ્મી ગઝલો – ૫૬. વહીદ કુરેશી
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
વહીદ કુરેશી એટલે વધુ એક એવા ગીતકાર જેમના નામ અને કામથી ભાગે જ કોઈ પરિચિત છે. ( વહીદ કુરેશી નામના અન્ય એક વિદ્વાન લેખક, કવિ અને શિક્ષણ શાસ્ત્રી પણ આ જ ગાળામાં પાકિસ્તાનમાં થઈ ગયા. )
વહીદ સાહેબે દિલ કી બસ્તી (૧૯૪૨ )નામની ફિલ્મનું દિગ્દર્શન પણ કરેલું અને ફેશનેબલ વાઈફ (૧૯૪૯), મેરી કહાની ( ૧૯૪૮), દુનિયાદારી (૧૯૪૮) ઘર કી લાજ (૧૯૬૦ ), ઘર સંસાર (૧૯૫૮) અને નેક પરવીન (૧૯૪૬ )નું લેખન પણ.‘૪૦ અને ‘૫૦ના દશકમાં એમણે પ્યાસે નયન, આબશાર, મેરે સાજન, ગૃહસ્થી, દિલ કી બસ્તી, ભૂલ ન જાના, નેક પરવીન, તુફાન, રંગીન કહાની, પતિ સેવા, બ્લેક આઉટ, ખઝાનચી કા બેટા અને લહેરી કેમેરામેન જેવી ત્રીસેક ફિલ્મોમાં ૧૫૦ થી વધુ ગીતો પણ લખ્યા. ફિલ્મ સંગીતના અસલ શોખીનોએ કદાચ એમનું લખેલું ફિલ્મ ‘ પ્યાસે નૈન ‘ ( ૧૯૫૪ ) નું તલત અને આશાએ ગાયેલું યુગલ ગીત ‘ મેરે જીવનમેં આયા હે કૌન ‘ સાંભળ્યું પણ હશે.
એમના ગીતોમાં ગઝલો પણ ખાસ્સી માત્રામાં હતી એમાંની ત્રણ ગઝલો :
ખામોશ મોહબ્બત કી ખામોશ કહાની હૈ
આંખે હૈ ઝુબાન દિલ કી આંખો સે સુનાની હૈરહેને દે મેરે દિલ મેં તું રોગ જુદાઈ કા
યે તેરી મોહબ્બત કી છોટી- સી નિશાની હૈકર કે દુનિયા દિલ કી આબાદ મોહબ્બત સે
બરબાદ ઇસે કરને કી કિસ લિયે ઠાની હૈતુ ચાહે તો ઠુકરા દે તુ ચાહે તો અપના લે
દિલ હે તેરે કદમો પર ઠોકર મેં જવાની હૈ..– ફિલ્મ : સહેલી ( ૧૯૪૨ )
– રતનબાઈ
– બશીર દેહલવી
વો અબ ન આયેંગે ઐ દિલ તુ ઈન્તેઝાર ન કર
તુ બેકરાર ના હો મુજકો બેકરાર ન કરયે કૈસે આંખ મેં આંસુ યે કૈસા દર્દે દિલ
તુ ભૂલ જા ઉન્હેં અબ યાદ બાર બાર ન કરયે કહ કે દિલ ને બુઝા ડાલા આરઝૂ કા ચિરાગ
કિસી પે ભૂલ કે દુનિયા મેં ઐતબાર ન કર..– ફિલ્મ: ભૂલ ન જાના ૧૯૪૭
– બ્રિજ માલા
– ખાન મસ્તાના
ઉનસે હમ કુછ કહેતે કહેતે રહ ગયે
લેકિન આંસુ સબ ફસાના કહ ગયેઆગ દિલ મેં તુમ લગા કર ચલ દિયે
ઔર યહાં અરમાન જલતે રહ ગયેદિલ કે ટુકડે થે નિશાની પ્યાર કી
આજ વો ભી આંસુઓ મેં બહ ગયે..– ફિલ્મ: દિલ કી બસ્તી ૧૯૪૯
– લતા
– ગુલામ મોહમ્મદ
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
‘વિજ્ઞાન વિચાર’ : પ્રકરણ ૨ જું: વૈજ્ઞાનિક વૃત્તિ : ચોકસાઈ
આજથી લગભગ ૧૦૦ વર્ષ પહેલાં વિજ્ઞાન પર લખાયેલ એક પુસ્તકને દર મહિને એક એક પ્રકરણના હિસાબે વેબ ગુર્જરીના વાચકો સમક્ષ રજુ કરવાનો આ એક પ્રયોગ છે.
આજથી ૧૦૦ વર્ષ પહેલાં વિજ્ઞાન જેવા વિષય પર ગુજરાતી ભાષામાં શું લખાયું હતું અને કેવી શૈલીનો પ્રયોગ થયો હતો તે જાણવા ઉપરાંત વિજ્ઞાનની ઘણી મૂળભુત બાબત વિશે પણ માહિતી મેળવવાનો આ પ્રયોગનો ઉદ્દેશ્ય છે. અહીં મૂળ પુસ્તકનાં લખાણને તેનાં મૂળ સ્વરૂપે જ મુકવાનો પ્રયાસ કરેલ છે.
સંપાદન મડળ – વેબ ગુર્જરી
પોપટલાલ ગોવિંદલાલ શાહ

કેવળ સત્યને માટેની જિજ્ઞાસા આ ગુણો વિના નિષ્ફળ જાય છે. તથ્યો એકઠા ફરવાની ઇચ્છા ઘણીયે હોય તો પણ તે બારીક નિરીક્ષણ અને ચોકસાઈયી પ્રાપ્ત કરવામાં ન આવ્યાં હોય અયવા તો તેમને સ્પષ્ટતાથી વર્ણવવામાં ન આવ્યાં હોય તો બધી મહેનત વ્યર્થ જાય છે. વિજ્ઞાનનો પાયો ચોકસાઈથી પ્રાપ્ત કરેલાં તથ્યો ઉ૫૨ રચાયેલો હોય છે. તેથી તેમના નિર્ણયમાં કે વર્ણનમાં કોઈ પણ ઠેકાણે અચોક્કસતા જણાય તો સર્વ કાર્ય દોષિત થાય છે અને તજી દેવું પડે છે. આ ચોકસાઈ જેટલી આવશ્યક છે તેટલી જ પ્રાપ્ત કરવી કઠિન છે. ઘણાં બાળક પોતાના જાગ્રત અને સ્વપ્નાવસ્થા અનુભવ વચ્ચેનો ભેદ સમજી શકતાં નથી, અને સ્વપ્નને પણ સાચું માને છે.
તેવી જ રીતે પ્રાચીન સમયના કેટલાએક મુસાફરોએ પોતાના અનુભવનાં વર્ણન કરતી વખતે પોતે નજરે જોયેલી ખરી હકીકતો, બીજા લોકોએ કહેલી વાતો, અને પોતાના માનસિક અભિપ્રાયો એકઠા કરી નાખ્યાં છે. આવી નોંધપોથીઓ વૈજ્ઞાનિક સમન્વેષણમાં નિરુપયોગી થઇ પડે છે. એક સાધારણ બનાવની હકીકત ત્રણ ચાર જુદાં જુદાં મનુષ્યો જુદી જ રીતે કહેશે. તેની ચોકસાઈથી અને પોતાના અંગત અભિપ્રાયથી રંગ્યા સિવાય વર્ણન કરનારા ઘણા ઓછા જ મળશે. પ્રયોગથી એમ સિદ્ધ થયું છે કે એક જ નાટ્યપ્રયોગનાં વર્ણનો પણ જુદા જુદા વિદ્યાર્થીઓ એકસરખી ચોકસાઈથી લખી શકતા નથી.
પરતુ આ ચોકસાઈ ની ટેવ પ્રાપ્ત કર્યા વિના વૈજ્ઞાનિકોને ચાલે તેમ નથી. સર માયકેલ ફોસ્ટર નામના વિખ્યાત વૈજ્ઞાનિકના શબ્દોમાં કહીએ તો “સાધારણ” અનભિજ્ઞ અવૈજ્ઞાનિક મનુષ્યોને “લગભગ” “આશરે”, “ચાલશે” એવા શબ્દોથી ધણી વાર સંતોષ મળે છે. પરતુ કુદરતને તેથી સંતોષ થતો નથી. એ વસ્તુઓમાં ચોખાપુર અથવા તો ચોખાના સહસ્ત્રાંશ જેટલો પણ ફેર હોય તો કુદરત તો તે બને વસ્તુઓને જુદી જ ગણશે. સાધારણ મનુષ્ય પોતાની દુનિયાદારીની રેવ પ્રમાણે વૈજ્ઞાનિક પ્રક્રિયાઓમાં આ સુક્ષ્મ ભેદ સમજ્યા વગર કામ કરવાની ધૃષ્ટતા રાખે તો કુદરત તેને ક્ષમા આપવાની નથી. આ ઝીણા ભેદ જોઇ નહિ શકવાથી જ્ઞાનનો માર્ગ હાથમાં આવેલો છતાં દેખી રાકાતો નથી, અતે કુદરતના ખજાનાની ચાવી સમીપ હોવા છતાં તેનો લાલ લઈ શકાતો નથી. વરાળયત્ર જેવા ય’ત્રતી બનાવટમાં આવી ચોખાપુર પણૃ ભૂલ કરવાથી કોઈવાર તે યંત્રની અને વાપરનાર મનુષ્યની પોતાની સહીસલામતીનો પણ ભોગ આપવો પડે છે. આવી બારીકાઇ અને ચોકસાઈથી બનાવાતાં યંત્રો અને હથિયારો દરેક દેશની ઔદ્યોગિક સ્વતંત્રતાના પાયા રૂપ છે.
ક્રમશઃ
હવે પછીના મણકામાં વૈજ્ઞાનિક વૃત્તિનાં બીજાં એક લક્ષણ “સૂક્ષ્મ નિરીક્ષણની ટેવ” વિશે વાત કરીશું.
-
ખેડૂત ધારે તો ખેતીમાં જણાતી “આફતો”ને “અવસર”માં ફેરવી શકે
કૃષિ વિષયક અનુભવો
હીરજી ભીંગરાડિયા
“આફતને ફેરવીએ અવસરમાં“ આ જરા અવળવાણી લાગીને ? પણ આફતને અવસરમાં ફેરવી શકાય છે. હરેક આફતોના ઉકેલ અવશ્ય હોય છે. ઘણીવાર અણધારી આવી પડેલી આફત એવી તબાહી ફેલાવી એટલું બધું નુકશાન વહોરાવી દે છે કે એ જોઇને અરેરાટી નીકળી જાય છે. આમાંથી ઉગરવાનો કોઇ આરો વારો જ નથી દેખાતો. એવા મુંઝારાની વિકટ પળે પણ જો માણસ મનને હિંમત વડે બરાબર મક્કમ બનાવી આવી પડેલી મુશ્કેલી-આફતને “કંઇક કરી છૂટવાનો મોકો” [ચાંસ] સમજીને પુરુષાર્થ વડે ઉકેલવાનો પ્રયત્ન કરવામાં આવે તો એ વલોવાટમાંથી મલાઇ રૂપ કોઇ નવી વાત, નવી પદ્ધતિ કે કાર્યક્રમ- નુસ્ખા મુંઝારામાં માર્ગ રૂપે મળી આવ્યા હોય એવા જાત અનુભવના મારા બેચાર .પ્રસંગોની વાત કરવી છે આજે.
[૧]…..”ખેતર” નું રૂપ “વાડી” માં ફેરવાઇ ગયું :
કૃષિ કોલેજના ભણતર દરમ્યાન મેળવેલ ખેતીના વિવિધ વિષયોના સૈધાંતિક જ્ઞાન, પ્રત્યક્ષકાર્યો, શૈક્ષણિક પ્રવાસો તથા પ્રયોગશીલ ખેડૂતોની વાડીઓની મુલાકાતો પછી નિશ્ચય કરેલો કે “ભણીને એવી ખેતી કરી દેખાડવી છે કે જોઇને લોકો કહે કે જુઓ, “ઉત્તમખેતી” કોને કહેવાય ?” એનો ઉત્તમ નમૂનો ખડો કરી દેવાના મનસુબા સાથે ભણતર પૂરું કરી પહોંચી ગયો એવી ખેતી કરવા વતનમાં.
પણ આ શું ? Hear ij the land ? Bat wher ij the Soil ?” ખેતી કરવાના મારા નિર્ણયમાં બળ પૂરનાર ખેડૂતોની ઉત્તમ વાડીઓ, અવનવા ખેત સાધનો અને નોખનોખી ખેતીની પદ્ધતિઓ, ફળોથી લથબથ બગીચાઓ, હેંડલ માર્યા ભેળાં ખ..ળ..ળ..ળ પાણીના ધોધ વહાવતાં ઓઇલ એન્જિનો, ફરજામાં હમચી ખુંદતાં ઘોડા જેવા બળદોની જોડી, અરે ! દૂધથી ફાટ ફાટ થતા અડાણ વાળી ગાયો થકી વ્યવસ્થિત મળતાં વળતરના સંતોષથી હરખાતા હરખાતા માણકી ઘોડી પર સવાર થઈ મોલાતોમાં આંટો મારતા ખેડૂતો મારી નજર સામે હતા. ક્યાં એ મેં કલ્પેલા આદર્શના દ્રશ્યો અને ક્યાં આ મરુભૂમિ જેવી આ મારા ખેતરની ધરતી અને એની સ્થિતિ ?
જમીન ખરી, પણ સાવ ભૂખલી અને વધારામાં પાછી ઢોરાઢડિયા અને ઢાળવાળી ! નહીં ખેતર ફરતી વાડ કે કોઇ બંધપાળાનું નિશાન ! નથી ભળાતી મોલને પિયત દેવાની કોઇ સુવિધા કે નથી ભળાતું પડામાં એકેય ઝાડવું ! દેખાય છે બસ પરંપરાગત ખેતીના નબળા પાકો અને જૂની પુરાણી ખેતીની પદ્ધત્તિઓ ! આને કાંઇ “વાડી” થોડી કહેવાય ? મેં તો ધાર્યું હતું કે “હું ઉત્તમ ખેતી કરી દેખાડીશ” આવી પરિસ્થિતિમાં ખેતી કરવી કેમ ? મારું ખેતી કરવાનું સ્વપ્નું ભાંગીને ભુક્કો થઈ ગયું ! અને મુંઝારામાં ને મુંઝારામાં જરા જોરથી બોલાઇ ગયું “ ભારે કરી ! ખેતી કરવાનો નિર્ણય લેવામાં ક્યાંક ભૂલ તો નથી થઈ ગઈ ને મારી ?” આ મારી પહેલી આફત હતી.
“ના ના ! જરાય ભૂલ થઈ નથી તમારી ! ભડ થઈને ભાંગી કાં પડો છો ? જુઓ, આ જ ખેતરમાંથી આપણા અભણ વડીલો કુટુંબના રોટલા રળી શકતા હોય તો તમે તો ખેતીવાડીનું ભણતર ભણ્યા છો. હરેરી ગયે થોડો પાર આવે ? હિંમતે મર્દા તો મદદે ખુદા ! બધું થઈ રહેશે. હું છું ને ૧૬ વરસની તમારી સાથે !” પત્નીનો આવો બળુકો પડકારો મળતાં હૈયામાં હિંમત આવી ગઈ. અને ભૂખલ્યા ખેતરને વ્યવસ્થિત વાડી બનાવવાના ઉપાયો અજમાવવા મન મક્કમ બન્યું.
લોકભારતીમાંના શિક્ષણ દરમ્યાન ખેતીને ઉજ્વળ બનાવવાના અનેક પાસાંઓ માંહ્યલી સૌથી પહેલાં “પાક ઉત્પાદનમાં પિયતનું મહત્વ અને એના લાભ” વિશેની વિગત યાદ આવી ગઈ. આવતી સીઝન પહેલાં આખા ખેતરમાં પિયતની સગવડ કરે પાર !
ઘડીભર થયું કૂવો ખોદાવું ? પણ તળમાં નીચે કાળમીંઢ પથ્થર ! કામ ઘણું કઠ્ઠણ-લાંબું અને પાણી થવાની પૂરી અનિશ્ચિતતા વાળું ! કૂવાની ધમાલમાં મોસમ ચુકાઇ જવાય તો ? મન કૂવાની અવેજી શોધવા લાગ્યું. ખેતરને નીચલે શેઢે જ કાળુભાર નદી. તે દિવસોમાં બારેમાસ અખંડ વહે. નદીમાં જ એન્જિન મૂકી ખેતરને પાણી પીતું કરવા મન અધીરું બન્યું. પણ નદી હતી ખુબ નીચાણમાં અને પડું હતું ખૂબ ઉંચું ! આ તો નેવાંનાં પાણી મોભારે ચડાવવાનાં ! પૂછતાં ઉપાય જડ્યો. ભૂગર્ભમાં સિમેંટ-પાઇપ નાખી શકાય. એ વખતે એવા ઉપાયનું જરાયે પ્રચલન નહોતું. પાઇપ બનાવનારા ભાગ્યે જ મળતા. પહોંચ્યો બોટાદ. એક રૂપિયાની એક ફૂટ એ લેખે થોડી પાઇપ લાવ્યો અને એની ટેકનીક પણ જાણતો આવ્યો. ખેતરના કાંઠે જ રેતી અને પાણી તો હતાં જ ! જાતે 2000 ફૂટ પાઇપ બનાવી. અમારા પરિશ્રમે જવાબ આપ્યો. નદીનો સીધો પ્રવાહ – વાયા પાઇપલાઇન – આખા ખેતરમાં પહોંચી ગયો ! પડું બધું હવે “ખેતર” મટી “વાડી” બની ગયું. ઉત્પાદન અચંબો પમાડે એવું જોરુકું મળવા લાગ્યું. આવી પડેલી મુશ્કેલીથી મુંઝાયા વિના માર્ગ શોધવાની મહેનતે ખેતીને કાયમ ખાતે જીવંત બનાવી દીધી.
[૨]…..ઉપરા ઉપરી પડેલા 3 દુકાળે- પિયતની ઇલમી પધ્ધત્તિની ભેટ ધરી :
અમારા ગઢડા વિસ્તારમાં ૧૯૮૫, ‘૮૬ અને ‘૮૭ ના ઉપરા ઉપરીના ત્રણ ખાબક્યા દુશ્કાળ. કૂવાના પાણી ડૂક્યાં, તળ તોડાવ્યાં, આડા-ઊભા દાર કરાવ્યા, પણ પાણી ન વધ્યું. કાંઠે વહેતી કાળુભાર નદી પણ સાવ કોરી ધાકોડ ! કુદરતના રીસામણાં સામે માનવી શું કરી શકે ? કૂવામાં માત્ર પોણો કલાકનું પાણી અને સામે પાણી માગનારાં ૬૦ વીઘામાં ૪,૦૦૦ ઝાડવાં ! ક્યુ ઝાડ શેનું છે તે યે ન પરખાય તેવાં પાન વિહોણાં નર્યાં ઠુંઠા ! તેમના “પાણી…પાણી” ના પોકારો વચ્ચે ઊભેલા અમ પતિ-પત્ની ! તદ્દન અવાક, અસહાય ! દુશ્કાળરૂપી આવેલી આફતનું એ દ્રશ્ય યાદ આવતાં આજે પણ રુંવાડાં ઊભાં કરી દે છે
મુંઝાયે પાર આવે એવું નહોતું.. મૂળવિસ્તારમાં માટલાં દાટી તેમાં પાણી ભરી જોયું. પણ જામ્યું નહીં. ભાવનગરમાં “ટપક” વિશેની મિટીંગની વાત સાંભળી. પહોંચી ગયો ત્યાં. વાત કરનાર કંપનીના ડીલરને તેડી લાવ્યો વાડીએ, અને સર્વે કરાવ્યો. તેમણે અંદાજ આપ્યો- “સવાલાખ રૂપિયા થશે”. આંકડો સાંભળી મન મોળું પડી ગયું. આટલી મોટી રકમ ? એનું વ્યાજ કેટલું થાય ? અને આ “ટપક-ઇલમ” ન હાલ્યો તો ? તો તો ગોઠણભેર જ થઈ જઈએ ને ?
પણ વાડીએ આવીએ અને ઝાડવાં સામું જોઇએ ત્યાં મન ચકરાવે ચડે -“આ ઝાડવાં મરી જશે હો” ! ઘડીક આ છાબડું નમે, ઘડીક પેલું નમે ! બે દિવસના મનોમંથન થકી નક્કી કર્યુ કે સાહસ કરવું. ગામની સહકારી મંડળી, જિલ્લા સહકારી બેંક અને તેના પ્રમુખ શ્રી જયવંતસિંહજી જાડેજાની ત્વરિત મદદે ભેર કરી. લોન મળી. વાડીએ વીજ જોડાણ નહોતું. ઓઇલ એન્જિનના સહારે સાઇઠે વીઘામાં પથરાએલી ટપકની નળીઓ દ્વારા ટીપે ટીપે પાણી પિરસાયું. અને માત્ર પોણા કલાકના પાણીથી–કહોને દસમાં ભાગના પાણીથી ૪,૦૦૦ ફળવૃક્ષો બચી ગયાં ! “દુશાળ”નું રૂપ લઈને આવેલી આફતે “ડ્રીપ ઇરિગેશન સીસ્ટિમ” રૂપી બાબરાભૂતની ચોટલી હાથમાં આપી દીધી. આજે એ ઘટના ઉપરથી 35 વરહના વહાણાં વાઈ ગયાં- પણ એના પ્રત્યે વધુને વધુ વહાલ ઊભરતું જાય છે,
[૩] …”વાવાઝોડા” એ લીંબુનાં ઝાડને નવી ઝીંદગી કેમ આપવી તે શિખવાડ્યું :
મારી સાંભરણ્યનાં ૧૯૮૩, ૧૯૯૬, ૨૦૦૫ અને તાજેતરમાં ૨૦૨૧માં ખાબકેલ “તોક્તે” મળી કુલ ચાર વાવાઝોડાંનો પંચવટીબાગને માર ખમવાનો આવ્યો છે. એમાં ૧૯૯૬ નું વાવાઝોડું તો વાવણીના પ્રથમ વરસાદની સાથે જ તોફાની પવન આંટીઓ ખાઈ અવળચંડાઇએ એવો ચડી ગયો હતો કે ઘેરાના ઘેરા વૃક્ષોનો સોથ વાળી દીધો હતો. વાડી ફરતી ઊંચી ને અડાબીડ ઊભેલી જીવંત વાડને પહેલાં ઉલાળી, અને પછી લીધો અંદરનાં ઝાડવાંનો વારો ! ઝાડવાંને કરડી-મરડી ભાંગ્યાં એટલાને ભાંગી-ચૂંથી નાખ્યા ! અને જેણે સામે ધક ઝીલી, એને મૂળિયાંમાંથી ઊખેડી-ઊથલાવી નાખ્યાં. ગામ ભાંગવા જેમ બહારવટિયા વારે ચડી આવ્યા હોય એમ આખા બાગને ધમરોળી નાખ્યો.
તે દિવસોમાં પંચવટીબાગમાં ઉંમરલાયક ફળઝાડના ઘેરા હતા બે. એક લીંબુડીનો અને બીજો હતો ચીકુડીનો. ચીકુડીની ડાળીઓ હોય ચીકણી અને દૂધવાળી, વળી એની આખી ઘટા હોય જમીનને અડકેલી. વાવાઝોડાના ગાંડા વાયરાએ એનેય આડી-અવળી હલાવી-ધૂણાવી બહુ, પણ ભાંગી-તોડી-ઊથલાવી નાખવા જેવું વહમું નુકશાન કરવાની કારી ન ફાવી .મુશ્કેલીમાં પૂરેપૂરો મૂક્યો લીંબુડીના ઘેરાને ! ૩૦૦ ઝાડના આખા ઘેરામાં એક પણ ઝાડને સાજુ-નરવ્યું ન રહેવા દીધું. ત્રણસોએ ત્રણસો લીંબુડીની લાશો માથું પૂર્વમાં અને ટાંટિયા આથમણા, એવો એક સરખો સમાર જ ફેરવી દીધો જાણોને ! અમારા આ વહાલસોયા વૃક્ષની એકાદ ડાળીને થોડુંકેય નુકશાન કોઇ કાવરુ માણહે કર્યું હોય તો વઢી-ઝઘડીને તેની તો ધૂડ કાઢી નાખી હોય, એને બદલે આખેઆખા ઘેરાને સુવરાવી દીધો ? ભગવાન ભેળો થાય તો એકવાર તો બાથંબાથ આવી જવાનું મન થઈ ગયું હતું. માથે ફાળિયું ઓઢીને રોવાનું જ બાકી રહ્યું હતું. કોને કહેવું આ દુ:ખ કહો !
વાવાઝોડું તો કુદરતી હવામાનની પ્રતિકુળ પરિસ્થિતિ પેદા થતાં સર્જાતું હોય છે, તે કેટલી ઝડપે આવી રહ્યું છે, ક્યારે ક્યાં પહોંચશે અને કઈ બાજુ ફંટાશે-તેનું ગણિત કંઇકે કરી શકાય છે, પણ તેને બંધ કરવાની ત્રેવડ હજુ સુધી વિજ્ઞાન મેળવી શક્યું નથી. ત્યાં સુધી તો તે પસાર થઈ ગયા પછી પાયમાલીની જે પરિસ્થિતિ ઊભી કરી હોય તેમાંથી હવે સુધારો કેમ કરવો તેના જ ઉપાયો અજમાવવા પડતા હોય છે.
હવે શું કરવું ? બધાં ઝાડ નેવકા કાઢી નાખવા ? પછી નવું જે રોપાણ કરીએ તેનું ઉપજણ લેતાં તો વાર લાગી જાય ૫ -૬ વરસની ! શું કરવું કંઇ સુઝતું નહોતું. “કંઇક તો કરવું જોઇશે” એવું વિચારી સૂઈ રહેલા લીંબુડીના ઘેરા વચ્ચે એક ઝાડ, બીજું ઝાડ, ત્રીજું-ચોથું એમ એકે એકની ખબર લેવા માંડ્યા. ૮ ૧૦ ઝાડવાને તપાસ્યાં ભેળો એક ઝબકારો થયો ! અલ્યા ! આ બધાં ઝાડવાં માંદા થયા છે, કંઇ મર્યા નથી ! તેનાં એકબાજુનાં મૂળિયાં બહાર ભલે નીકળી ગયાં એ વાત સાચી, પણ નીચેની બાજુનાં તો સાવ જ સાબૂત છે ! એમ કર્યું હોય તો કે દરેક થડને જમીનથી 6 ઇંચ ઉપરથી કાપી લઈએ અને બહાર દેખાતાં મૂળ પણ કાપી લઈ, અને થડ ફરતે માટીનું ઢુંગલું કરી દઈએ તો ? નીચેના સાબૂત મૂળિયાં દ્વારા નવી ફૂટ નહીં મેળવી લે ?
વિચારને મૂક્યો અમલમાં. બધા ઝાડને થડિયેથી કાપી, ડાળી-પાંખડા દૂર કરી, થડિયે માટી ચડાવી, અંદરના ખાલામાં દાંતી-રાંપ ચલાવી પડું કર્યું ચોખ્ખું અને ખામણા કરી ખાતર-પાણી કર્યા શરુ ! દરેક થડિયે પીલા ફૂટ્યા ઘણા, પણ બે બે રાખી, વાંસ-લાકડીનો ટેકો આપી ઝાડવાંને વધવાની મોકળાશ કરી આપતાં ત્રીજા જ વરસે ઉત્તમ ઘટાદાર બાળવૃક્ષો બની ફાલ આપવા મંડી પડ્યા ! જાણે ઉપરથી વાવાઝોડા રૂપી ઘાત ગઈ જ નથી ! કહો, આફતે તો લીબુંના બાગને વૃદ્ધમાંથી ફરી યુવાન બનાવી દીધોને?
[૪]…..કોરોના-કોવિડ-19 વાયરસના હુમલા પછી જીવન જીવવાની નવી રીત મળી :
દુનિયા આખીના કંઇક માણસોને મોતની ખાઇમાં ધકેલી દેનાર વાયરસ-કોવિડ-૧૯ એ ૨૨ માર્ચ-૨૦૨૦ થી ભારતમાં પગપેસારો કર્યાને દોઢ વરસ થવા આવ્યું છતાં દેશ છોડવાનું નામ લેતો નથી એવા આ લપિયા વાયરસે બહુ લાંબો સમય લોકડાઉન ઉપર લોકડાઉન- અને એને પરિણામે દેશના નાનાં મોટાં તમામ ધંધાઓ બંધ, કારખાના-ફેક્ટરીઓ, બસસેવા, ટ્રૈનસેવા, દરિયાઇસેવા, અરે ! હવાઇ જહાજ-પ્લેનસેવા અને મોટર-કાર, ટ્રકો, રીક્ષાઓ તથા બાઇક સેવા તો શું, બજારોમાં લોકોની હરફર સુદ્ધાં બંધ, જેવા ઘણા બધાં પગલાં તેને મહાત કરવા ભરાયાં છતાં તેની બીજી લહેરે તો એવો આતંક મચાવ્યો કે દવાખાનાઓ બધાં દર્દીઓથી ઊભરાયાં,દવાઓ ખુટી પડી, રેમડેસીવર ઇંજેક્શનોના કાળાબજાર બોલાયા છતાં મોતના ખપ્પરમાં એટલા બધાને લઈ લીધા કે કુદરતનો માણસોને મારી નાખવાનો લક્ષાંક જાણે પૂરો જ ન થતો હોય તેમ મડદાંઓને સ્મશાનોમાં દાખલ થવા માટેની લાઇનો લાગી-કહોને સ્મશાનો ખૂટી પડ્યાં ! આ કંઇ “આફત” નહોતી, “કુદરતનો કોપ” હતો. એણે દેશ અને દુનિયાના લોકોને ગફલતમાં રહ્યે શું થાય તેનું વરવું દર્શન કરાવી દીધું.
જેમનું જેમનું આયુષ ખુટ્યું હતું તેવાને કાળને ભેટાડવાનું નિમિત્ત કોવિડ-૧૯ જરૂર બન્યો, પણ બીજી બાજુ વિચારીએ તો જે માણસો જરા સમજુ હતા, વિજ્ઞાનના તજજ્ઞોની સલાહને માનનારા હતા-કહોને પોતે સજાગ હતા તે બધાએ કોરોનાએ મચાવેલા વરવા દ્રશ્યો જોઇ પોતે જીવન કેવું જીવવું એ પાઠ પાક્કો કરી લીધો છે. આ દરદને લગતી દવાઓ, ઇંજેકશનો અને સારવાર બધાથી ઉપર શરીરને સાજું રાખવાનો કારગરમાં કારગર ઉપાય જો કોઇ હોય તો પોતાના શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોવી એ જ છે. અમોને પણ આ વાત બરાબરની સમજાઇ, અને તબીબી વિજ્ઞાન આપણી ભેરે આવી ગયું હોવાથી શોધાએલાં વેક્સીનના ઇંજેક્શનો સમયસર લઈ લેવા ઉપરાંત આળસ ખંખેરી, નિયમિત પણે યોગ-પ્રાણાયામ, કલાકભર સવારમાં ચાલવું, થઈ શકે તેટલો ઉત્પાદક શ્રમ કરવો, તુલસી-અજમો-ફુદિનો-ગળો અને હળદરનો ગરમ પાણી સાથેનો નાહ અને આ જ પદાર્થોનો ઉકાળો, આદુ-લીંબું-આમળાનું સેવન, સાદો-પૌષ્ટિક ખોરાક, હાથ-મોં-શરીરની ચોખ્ખાઇ અને વગર જોઇતા પ્રવાસોનું નિયમન તથા પરિવાર ભાવનાને પ્રાયોરીટી જેવી ટેવો, કોરોના વહ્યો જાશે તો પણ ચાલુ રાખવાની આદત ઊભી થઈ ગઈ હોવાથી જીવન સુખમય રીતે પસાર કરી શકાશે તેવો વિશ્વાસ આવી ગયો છે.
આ રીતે મિત્રો ! આફતો આપણા હીરને બહાર પ્રકટાવવાનો મોકો આપતી હોય છે. કસોટીની ખરી પળ આવે છે ત્યારે જ આપણે મીણના છીએ કે પોલાદના તે આવા સમયે જ નક્કી થાય છે.
સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ : krushidampati@gmail.com
-
અમારું પામ તેલ ખરીદો. ભેટમાં ઉરાંગઉટાંગ મેળવો
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
કુદરતે પ્રત્યેક જીવોનું ભૌગોલિક સ્થાન નિર્ધારીત કરેલું છે, જે મહદ્ંશે જે તે પ્રદેશની આબોહવા અને ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર હોય છે. માનવ તેનાથી ઉપરવટ જઈને, પોતાના ક્ષુલ્લક સ્વાર્થ ખાતર આ સ્થિતિમાં પરિવર્તન કરવાનો પ્રયાસ કરે ત્યારે તે કુદરતના ચક્રને ખોરવે છે, જેનાં વિપરીત પરિણામ કયા સ્વરૂપે જોવા મળશે એ કહી શકાતું નથી.
અત્યારના ઈન્ટરનેટના યુગમાં જોઈતી, વણજોઈતી તમામ માહિતી આંગળીના ટેરવે સુલભ છે. તેને કારણે સૌથી મોટો ભોગ સહજ વિસ્મય અને જિજ્ઞાસાનો લેવાયો છે. પણ એ પહેલાંના યુગમાં કેવળ મુદ્રિત માધ્યમોનો જમાનો હતો ત્યારે માહિતી કેવળ કર્ણોપકર્ણ કે વાંચીને પ્રાપ્ત થતી. વિવિધ પશુપક્ષીઓ જોવાની આવી જિજ્ઞાસાએ જન્મ આપ્યો પ્રાણી સંગ્રહાલયના વિચારને. બાળકો માટે તેનું ખૂબ આકર્ષણ હતું, જે સ્વાભાવિક હતું. સર્કસમાં પણ વિવિધ પ્રાણીઓ જોવા મળે એ એક આકર્ષણ હતું. આમ છતાં, ઘણાં પ્રાણીઓ વિશે કૌતુક હતું.
નવાસવા આઝાદ બનેલા આપણા દેશના વડાપ્રધાન જવાહરલાલ નહેરુની છબિ ‘બાળકોના પ્રિય’ તરીકેની હતી. તેમને જાપાનનાં બાળકોએ પત્ર દ્વારા જણાવ્યું કે પોતે કદી હાથી જોયો નથી, તો તેઓ એ બાબતે કંઈ કરી શકે કે કેમ. હાથી ભારતનું પ્રાણી છે એ જાણીને બાળકોએ આમ લખેલું. નહેરુજીએ મૈસૂરના પ્રાણીબાગમાંથી એક હાથી દરિયાઈ માર્ગે જાપાન મોકલેલો અને લખેલું, ‘હાથી મજબૂત છતાં દયાવાન, શાણું અને ધૈર્યવાળું પ્રાણી છે. આશા રાખું કે આપણા સૌમાં આવા ગુણો વિકસે.
ભાવનાત્મક રીતે આ પગલું પ્રશંસનીય જણાય, પણ દરિયાઈ સફર દરમિયાન અને એ પછી સાવ નવાસવા વાતાવરણમાં અનુકૂલન સાધતાં એ હાથીને કેવી મુશ્કેલી પડી હશે! નહેરુજીના આ પગલા પાછળ કેવળ બાળપ્રેમ નહોતો, બલકે મુત્સદીગીરી પણ હતી.
રાજદ્વારી સંબંધો બનાવવા કે વિકસાવવા માટે પ્રાણીઓની આપ-લે કરવાની આ પદ્ધતિ ઘણી પ્રચલિત અને હવે તો જૂની કહી શકાય એવી છે. અલબત્ત, એમ કરવાથી ખરેખર રાજદ્વારી સંબંધો બને છે કે ટકે છે એ વિચાર માગી લેતો વિષય છે.
ચીનમાં પાન્ડા નામનું શ્વેતશ્યામ પ્રાણી જોવા મળે છે. દેખાવમાં રૂપકડા અને નિર્દોષ જણાતા આ પ્રાણીનો ઉપયોગ ચીન રાજદ્વારી સંબંધો માટે કરતું આવ્યું છે. આ પ્રથાને ‘પાન્ડા ડિપ્લોમસી’નું નામ અપાયું છે. ટપાલટિકિટના સંગ્રાહકો જેમ પોતાના સંગ્રહની વધારાની ટપાલટિકિટોની આપ-લે કરે એમ ચીન કેટલાક પશ્ચિમી દેશોમાં પાન્ડા મોકલીને રાજદ્વારી સંબંધો જાળવે છે. એટલે કે પાન્ડાના બદલામાં તે કેટલીક બાબતોની તરફદારી ઈચ્છે છે યા મેળવે છે.
પ્રાણીઓનો આવો ઉપયોગ નૈસર્ગિક સંતુલનને ખોરવે છે, એમ જે તે પ્રાણીના સ્વાસ્થ્ય પર પણ વિપરીત અસર કરે છે. આ પરંપરાનું છેલ્લામાં છેલ્લું ઉદાહરણ મલેશિયાનું છે. ત્યાંના ચીજવસ્તુ મંત્રી જોહરી અબ્દુલ ગનીએ ઘોષણા કરી છે કે પોતાના દેશમાંથી પામ તેલ ખરીદનાર વ્યાપારી હિસ્સેદારોને ઉરાંગઉટાંગ ભેટ તરીકે આપવામાં આવશે. પામનું તેલ મલેશિયાના અર્થતંત્ર માટે અતિ મહત્ત્વનું છે. એ દેશમાં પામના તેલનો વિકાસ અને પ્રસાર ‘મલેશિયન પામ ઑઈલ બૉર્ડ’ નામની સરકારી સંસ્થાને હસ્તક છે. જો કે, છેલ્લાં થોડાં વરસોમાં પામના તેલ માટે વૃક્ષોનું આડેધડ છેદન થવા લાગતાં યુરોપિયન કમિશન દ્વારા મલેશિયાને ચેતવણી આપવામાં આવી કે ઈ.સ.૨૦૩૦ સુધીમાં પામ તેલનો ઉપયોગ સદંતર બંધ કરી દેવામાં આવે. આની સામે મલેશિયાના ભૂતપૂર્વ વડાપ્રધાન મહાતીર મહમ્મદે આક્ષેપ મૂક્યો કે યુરોપિયન સંગઠન મલેશિયા સાથે સાવ ગેરવાજબી ધોરણે વ્યાપારયુદ્ધ શરૂ કરવા ઈચ્છે છે અને ધનવાન લોકો ગરીબોને વધુ ગરીબ બનાવવા ઈચ્છે એવી આ વાત છે.
આ આખી વાતમાં ભોગવવાનું આવશે ઉરાંગઉટાંગને ભાગે. વાનર પ્રજાતિનું આ પશુ મનુષ્યેતર પ્રજાતિઓમાં સૌથી બુદ્ધિમાન ગણાતી પ્રજાતિઓ પૈકીનું એક છે. મલેશિયામાં તેના ત્રણ પ્રકાર છે અને પુષ્કળ વસતિ હતી, પણ મનુષ્યના સ્વાર્થને કારણે તેની સંખ્યા સતત ઘટતી ચાલી છે અને હવે તેનું વર્ગીકરણ ‘જોખમગ્રસ્ત પ્રજાતિ’માં કરવામાં આવ્યું છે.
યોગ્ય રીતે જ વન્ય જીવ સાથે સંકળાયેલી વિવિધ સંસ્થાઓએ મલેશિયન સરકારને અન્ય વિકલ્પ વિચારવા માટે વિનંતી કરી છે. ‘જસ્ટિસ ફોર વાઈલ્ડલાઈફ મલેશિયા’ નામના પર્યાવરણ સંગઠને જણાવ્યું છે કે પામ તેલના મુદ્દા બાબતે ‘ઉરાંગઉટાંગ ડિપ્લોમસી’ અનેક વિકલ્પો પૈકીનો એક છે એ અમે જાણીએ છીએ, એમ યુરોપ અને મલેશિયા વચ્ચેના સંબંધ સુધારવા માટે પણ આ અગત્યનું પરિબળ છે. આમ છતાં, આનો અન્ય વિકલ્પ વિચારવો જોઈએ. ‘ઉરાંગઉટાંગ ડિપ્લોમસી’નો 1 અમલ અઢળક વૈજ્ઞાનિક અને કાનૂની સંશોધન માગી લે છે. આ જૂથે એમ પણ જણાવ્યું કે ઉરાંગઉટાંગના નૈસર્ગિક આવાસ જેવાં જંગલોનું રક્ષણ કરવું સૌથી મહત્ત્વનું છે. ‘ઉરાંગઉટાંગ ડિપ્લોમસી’ પાછળ ખર્ચ થનારાં નાણાંનો ઉપયોગ તેમના આવાસ જેવાં વનોના સંરક્ષણ માટે વપરાવાં જોઈએ.
ભારત જેવા દેશમાં વન્ય પશુઓને એક રાજ્યમાંથી અન્ય રાજ્યમાં સ્થળાંતરિત કરવામાં આવે તો પણ એ પશુ માટે ઘાતક નીવડી શકે છે. એની સરખામણીએ સાવ અલાયદા હવામાનવાળા દેશમાં ઉરાંગઉટાંગને મોકલવાથી તેના અસ્તિત્વ પર ખતરો પેદા થઈ શકે એ શક્યતા પૂરેપૂરી છે. પણ દેશના ‘વ્યાપારી સંબંધો’ સુધરતા હોય, નાણાંની આવક થતી હોય તો આ જીવને બિચારાને પૂછે કોણ?
વિજ્ઞાન, ટેક્નોલોજી અને ઈન્ટરનેટ થકી થયેલા માહિતીના વિસ્ફોટના આ યુગમાં કોઈ દેશ વ્યાપારને ઉત્તેજન આપવા માટે આવી પ્રતિકૂળ અને ક્રૂરતાપૂર્ણ પદ્ધતિ અપનાવે એ કેવી વિચિત્રતા છે! આપણે સમય સાથે આગળ વધી રહ્યા છીએ કે પાછા જઈ રહ્યા છીએ?
1 સાંદર્ભિક વિડીયો: યુ ટ્યુબ પરથી
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૩ – ૦૬ – ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
પરિવર્તન- ૮ : ખગ્રાસ સૂર્યગ્રહણ
અવલોકન
– સુરેશ જાની
એપ્રિલ મહિનામાં આપણામાંના ઘણા બધાએ ખાસ ગોગલ્સ પહેરીને જોવાનો આનંદ માણ્યો. અમે પણ!

સૂર્યને રાહુ અને કેતુ ગ્રસી ગયા! સૂર્યને અને ચન્દ્રને તો સૌએ જોયા છે. પણ આ રાહુ અને કેતુ જોવા દૂરબીનમાંથી આંખો ફાડી ફાડીને પ્રયત્નો કર્યા, પણ કાંઈ ભળાયું નહીં. કદાચ જૂના જમાનામાં વરાહ મિહીરને ઈશ્વરે દિવ્યચક્ષુ આપ્યા હશે, જેનાથી કોઈ સાધન વગર તેઓ આ ઉપદ્રવી આકાશી પદાર્થો જોઈ શક્યા હશે! હળવી મજાક બાજુએ મુકી દઈએ તો એક વાત નિર્વિવાદ છે કે, જ્યારે બાકીનું વિશ્વ અજ્ઞાનના ગર્તામાં ગરકાવ હતું; ત્યારે ભારતના વિચારકો અને વૈજ્ઞાનિકોનો સુવર્ણયુગ હતો.કશા કેલ્ક્યુલેટર, કોમ્યુટર કે ગણિતીય લોગેરિધમ ટેબલ વાપર્યા વગર જે ચોકસાઈથી આકાશી પદાર્થોની ગતિની ચોક્કસ ગણતરી કરવાની પધ્ધતિ આપણી એ મહાન વિભૂતિઓએ શોધી કાઢી હતી; તે જોઈ આપણે આશ્ચર્ય ચકિત થઈ જઈએ છીએ.
ગ્રહણ થાય ત્યારે આખા સમાજમાં શોક અને ભયનું વાતાવરણ વ્યાપી જતું; અને બધાં ગ્રહણ છૂટે ત્યારે હાશકારો અનુભવતા અને સ્નાન કરતા. અમે ભાઈ બહેનો નાનાં હતાં ત્યારે આ અંધશ્રધ્ધાને ભારોભાર તિરસ્કારથી હસી કાઢતા. પણ આ એકવીસમી સદીમાં અને તે પણ અતિ આધુનિક ઉપકરણો અને જ્ઞાનનો ઉપયોગ કરનાર, અમેરિકાની નાસા સંસ્થાએ પણ ત્સુનામી, વાવાઝોડા, અભૂતપુર્વ ભરતી વિ. થવાની આશંકા વ્યક્ત કરી; આગોતરી ચીમકીઓ આપી હતી. સૂર્ય અને ચન્દ્રના એક જ દિશામાં કાર્યરત થતા ગુરુત્વાકર્ષણના બળને પ્રતાપે આમ થવાની શક્યતા એમને પૂર્ણ વેજ્ઞાનિક જણાઈ હતી.
આ બાબત મારું જ્ઞાન તો બહુ જ સીમિત છે. પણ નવસારીના શ્રી. ગોવીંદ મારુના બ્લોગ’ અભીવ્યક્તી’ પર આ વિષય પર બે અભ્યાસપૂર્ણ લેખ વાંચવાનું સૌ વાચકોને જરુર ગમશે.
https://govindmaru.com/2009/07/10/govind-maru-14/
વિશેષ અભ્યાસ માટે ‘ નાસા’ ની આ વેબ સાઈટ પણ જોવી ગમશે.
https://eclipse.gsfc.nasa.gov/solar.html
પણ આ લેખમાં અલગ જ અંદાજથી વાત કરવાની છે –
ગ્રહણ થાય એ તો કુદરતી ઘટના છે. પણ વ્યક્તિગત અને સામાજિક જીવનમાં પણ ગ્રહણો થતાં હોય છે. ક્યાંક કશુંક બને છે અને કશુંક ગ્રસાઈ જાય છે. ઘોર અંધકાર વ્યાપી જાય છે. પૃથ્વી રસાતાળ જવાની હોય, સેંકડો જ્વાળામુખી ફાટી જતા હોય, ધરતીકંપોના આંચકાથી બધું ઉપરતળે થઈ ગયું હોય; તેવો નિર્વેદ અને ગમગીની જીવનને ક્ષુબ્ધ કરી નાંખે છે. અંધારા બોગદાનો કોઈ છેડો જ ન હોય તેવી, શોકમય અનુભૂતિમાં આપણે અથવા સમાજ ગરકી જતાં હોઈએ છીએ. પણ..
જેમ દરેક ગ્રહણ અલ્પ સમય માટે જ ટકતું હોય છે અને ફરીથી ચમકતો અને દમકતો સૂર્ય નજર અંદાજ થઈ જતો હોય છે -તેમ બધી વ્યથાઓ અને બધા સંતાપો અલ્પકાલિન જ હોય છે.
કશું શાશ્વત નથી. સુખ પણ નહીં અને દુખ પણ નહીં.
‘ આનંદમયી મા ‘ એ કહ્યું હતું તેમ,
‘ वो भी चला जायगा ‘
અને આ ક્ષણે ન. ભો. દિવેટીયા યાદ આવી ગયા-
‘ કાળા ઘને ઉજ્જ્વળ સૂર્યબિંબ ઢંકાયું , તે ચિત્ર દીસે અગમ્ય.
પરંતુ તે છાંયની પેલી પારે, જ્યોતિ રહ્યો ઝળહળી ન કદીય ખૂટે.’પરિવર્તન…પરિવર્તન…પરિવર્તન…સઘળું અનિત્ય છે. કેવળ વર્તમાન જ સતત છે.
શ્રી સુરેશ જાનીનો સંપર્ક surpad2017@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
છાકો કી વાપસી : પોતાની જમીન અને સંસ્કૃતિ પ્રત્યેનો અદમ્ય લગાવ આવે છે ક્યાંથી ?
સંવાદિતા
બોલી, પહેરવેશ, ખોરાક, રહેણીકરણી અને સમગ્ર સંસ્કૃતિ જ માણસ – માણસને જોડે છે
ભગવાન થાવરાણી
ભારત-પાક વિભાજન વિશે ખાસ્સી માત્રામાં ભારતીય સાહિત્ય રચાયું છે. આપણા ગુજરાતના લોકપ્રિય લેખિકા શરીફાબેન વીજળીવાળાએ આ ક્ષેત્રને ખુબ ખેડ્યું છે. અનેક ટૂંકી વાર્તાઓ ઉપરાંત અમૃતા પ્રીતમની નવલકથા ‘ પિંજર ‘, રાહી માસુમ રઝાની ‘ આધા ગાંવ ‘, અસગર વજાહતની ‘ જિન લાહોર નહીં વેખ્યા ‘ જેવી કૃતિઓ તેઓ સુંદર અનુવાદો દ્વારા ગુજરાતી વાંચકો સમક્ષ લાવ્યા છે. ખુશવંતસિંહની ‘ટ્રેન ટુ પાકિસ્તાન ‘ યશપાલની ‘ આધા સચ ‘અને ભીષ્મ સહાનીની ‘ તમસ ‘ પણ આ વિષયની પ્રતિનિધિ નવલકથાઓ છે, પણ આ બધી મહદંશે ઉત્તર ભારત અને પંજાબ ઉપર વિભાજને વર્તાવેલા કેરની વાત કરે છે. પૂર્વ ભારત – બંગાળ -પૂર્વ પાકિસ્તાનમાં પણ આ જ વિભિષિકા પ્રવર્તી હતી એ વિષે બહુ ઓછું સાહિત્ય આપણી સમક્ષ આવ્યું છે. અલબત્ત અનેક બંગાળી લેખકોએ એ વિષે લખ્યું છે જે બંગાળી ભાષા અથવા વધીને અંગ્રેજી અનુવાદ સુધી સીમિત રહ્યું છે. ઇન્તેઝાર હુસૈન અને અબ્દુલ્લા હુસૈન જેવા પાકિસ્તાની લેખકો અને કયેસ અહેમદ અને હસન અઝીઝુલ હક જેવા બાંગ્લાદેશી લેખકોએ પણ આ વિશે સરસ પુસ્તકો આપ્યા છે. વિભાજન વિશેની ઋત્વિક ઘટકની ફિલ્મ-ત્રયી વિશે આપણે અહીં જ થોડા સમય પહેલા જોઈ ગયા.આવી એક નવલકથા એટલે હિન્દી- ઉર્દુ લેખક બદીઉઝઝમા ( આખું નામ સૈયદ મોહમ્મદ ખ્વાજા બદીઉઝઝમા ) દ્વારા ૧૯૭૫ માં લખાયેલી નવલકથા ‘ છાકો કી વાપસી ‘. આ લેખક અને એમના આ પુસ્તક વિષે હિન્દી સાહિત્યમાં પણ ભાગ્યે જ ચર્ચા થઈ છે. એમણે આ પુસ્તક ઉપરાંત ‘એક ચૂહે કી મોત’, ‘અપુરુષ’, ‘છઠ્ઠા તંત્ર’ અને ‘ સભા પર્વ ‘નામના ઉપન્યાસ પણ આપ્યા. ગુજરાતમાં બહુ ઓછા સાહિત્યરસિકોના ધ્યાન પર આ મહત્વપૂર્ણ કૃતિ આવી છે. પુસ્તક બિહારના ગયા શહેરના મુસ્લિમ બહુમતી ધરાવતા એક મોહલ્લામાં વસતા બે પરિવારોના કિશોર વયના બાળકોની મૈત્રીની વાત કરે છે. મધ્યમ વર્ગના ફરજંદ ‘ ખાજે બાબુ ‘અને સાવ ગરીબ પરિવારના છાકો ઉર્ફે અબ્દુલ શકુરની વાત. ખાજે બાબુ ઉચ્ચ વર્ગના સૈયદ પરિવારમાંથી આવે છે જ્યારે છાકો ગરીબ દરજી પરિવારનો છોકરો છે. છાકો અડોશ પડોશમાં રહેતા અન્ય ગરીબ કડિયા, કુંભાર, મોચી પરિવારો વચ્ચે રહે છે. હિન્દુઓની જેમ અહીં મુસ્લિમો વચ્ચે પણ વર્ગભેદ છે. ખાજે બાબુના પિતાને અંદરખાને એ ગમતું નથી કે એમનો દીકરો આ હલકા વર્ણના છોકરા જોડે ભળે.
ખાજે ભણેલો હોવાથી મહોલ્લાભરની ગરીબ સ્ત્રીઓ પરદેશ કમાવવા ગયેલા પોતાના સંતાનો કે પતિના પત્રો એની પાસે વંચાવવા કે જવાબ લખાવવા સતત આવતી રહે છે.૧૫ પ્રકરણોમાં ફેલાયેલી નવલકથા નિરંતર ભૂત અને વર્તમાનમાં આવનજાવન કરતી રહે છે. વર્તમાન એટલે વિભાજન પછીના ત્રણ ચાર વર્ષ પછીનો ગાળો જે કથાના અંત લગી પહોંચતા ૧૯૭૧ ના બાંગ્લાદેશ સર્જન સુધી લંબાય છે.મહોલ્લામાં જ રહેતો ખાજેબાબુના કાકાનો પરિવાર ઢાકા જતા રહેવાનો નિર્ણય કરે છે કારણ કે ત્યાં ‘ ભણેલા ગણેલા મુસ્લિમો માટે ઉજવળ ભવિષ્ય છે ‘ ખાજેબાબુનો પરિવાર પોતાનો દેશ, પોતાનું ઘર, પોતાની માટી અને પોતાના મૂળિયાં ત્યજી જવાનો વિરોધી છે, ખાસ કરીને એની અમ્મા. અધૂરામાં પૂરું, નાયકનો મિત્ર છાકો પણ રોજગારની લાલચને વશ થઈ, પૂરી વિગતો જાણ્યા – સમજ્યા વિના પાકિસ્તાનનું નાગરિકત્વ લઈ ઢાકા પહોંચી જાય છે !સમગ્ર નવલકથાનો પ્રધાન સૂર એ છે કે લોકો- સમાજને જોડે છે તે ધર્મ નહીં પરંતુ સંસ્કૃતિ – રહેણીકરણી, ખોરાક, પહેરવેશ, ભાષા અને સંસ્કાર – જેને જમીન કહેવાય- તે છે. હોંશે હોંશે ‘ મુસલમાનોના નવા સ્વર્ગ ‘ પૂર્વ પાકિસ્તાન ગયેલ નાયકનો પિતરાઈ હબીબ ત્યાંથી લખે છે, ‘ આ બંગાળી મુસલમાનોના તૌર તરીકા હિન્દુઓ જેવા વધુ છે. અહીં કોણ હિંદુ અને કોણ મુસ્લિમ એ પારખવું જ મુશ્કેલ. ઉર્દુ તો કોઈને આવડે જ નહીં. સંસ્કારની દ્રષ્ટિએ આ લોકો હિન્દુઓની વધુ નજીક છે. અમે અહીં આવ્યા તો કદાચ આ લોકો સુધરશે.’ ત્યાં ગયેલા આ સંભ્રાંત લોકો એમ પણ માને છે કે બિહાર બંગાળના ગરીબ પછાત મુસલમાનો જો અહીં આવશે તો પાકિસ્તાનની પ્રગતિમાં અડચણરૂપ બનશે ! અન્ય એક પત્રમાં હબીબભાઈનો બળાપો, ‘ માત્ર કહેવા ખાતર આ બંગાળીઓ પોતાને મુસલમાન કહેવડાવે છે. આ લોકો કુરાનની આયતો પઢે તો આપણને હસવું આવે. જાણે કોઈ બંગાળી કિતાબ વાંચતા હોય ! આ લોકોમાં તો એટલા સંસ્કાર પણ નથી જેટલા બિહાર બંગાળના હિન્દુઓમાં છે.આ લોકોને આપણી પાસેથી કશું શીખવું જ નથી ને ! ‘નવલકથાનો એક બિનસાંપ્રદાયિક મુસ્લિમ કહે છે ‘ હિંદુ મુસલમાનોએ જેટલું એકબીજાનું લોહી વહાવ્યું છે એનાથી ક્યાંય વધારે રક્તપાત મુસલમાનો વચ્ચેના વિખવાદ દરમિયાન થયો છે. ‘ એક કટ્ટરવાદી જ્યારે એમ કહે છે કે હિન્દુસ્તાનના બધા મુસલમાનોની ભાષા ઉર્દુ છે તો એના જવાબમાં ‘ ક્યારેક સિંધ અને બંગાળના મુસલમાનો સાથે એ ભાષામાં વાત કરી જોજો. ‘નવલકથાના પાત્રો સ્થાનિક મગહી બોલીનો ઉપયોગ કરે છે જેમાંથી ભોજપુરી અને મૈથિલી જેવી લોકબોલીઓ ઉતરી આવી છે. ગયા શહેરની ભૌગોલિક સ્થિતિ, શહેરની ફલગુ નદી અને નદીના ઘાટ, શેરીઓ, રસ્તાઓ અને સ્થળોનું પણ તાદ્રશ વર્ણન કરાયું છે. સમાજ એવો ગંગા – જમુની કે મુસ્લિમ બાહુલ્યવાળા વિસ્તારમાં એકલો હિન્દુ હજામ આરામથી રહે. એ એમના બાળકોની સુન્નત કરે, એમની જાનમાં દુલ્હાનું છત્તર પકડે, મુહરમમાં સિપર ઝાલે, પિંડદાન કરાવવા આવેલા હિન્દુઓનું મુંડન પણ એ જ કરે અને એને ઘરનો માણસ ગણી મુસ્લિમ સ્ત્રીઓ એનાથી પરદો પણ ન કરે !ઢાકામાં બિહારી અને બંગાળી મુસલમાનો વચ્ચે રમખાણો થયાના સમાચાર વધુ એકવાર પુરવાર કરે છે કે ધર્મનું જીવનમાં શું સ્થાન છે . હબીબભાઈ આ બંગાળી મુસલમાનો વિષે વધુ એક વાર ટિપ્પણી કરતાં લખે છે કે એમની આગળ ઈકબાલનો કોઈ શેર કહીએ તો મોઢું વકાસીને જોઈ રહે ! એમને તો ટાગોરના ગીત જોઈએ ! ઘરે ઘરે અહીં રવિન્દ્ર સંગીત !માત્ર ધર્મના કારણે વતન છોડી જતા લોકો માટે એક બિનસાંપ્રદાયિક મુસ્લિમ પાત્ર કહે છે ‘ ઇન્હેં વતન કભી નસીબ નહી હોગા. યે ભટકતે રહેંગે ઔર અપની મિટ્ટી ઔર હવાઓં કે લિયે તરસતે રહેંગે. ‘વર્ષો લગી રોજગારી માટે ઝઝૂમ્યા પછી નાયકને આખરે જજની નોકરી મળે છે. પૂર્વ પાકિસ્તાન થી વતન વિઝા ઉપર આવેલો છાકો આવીને પોતાના જૂના મિત્ર આગળ કાલાવાલા કરે છે કે મારે કોઈ પણ રીતે પાછું અહીં ગયા આવવું છે. તું વગદાર છો. કંઈક કર ને ! વિટંબણા એ કે એ મુસલમાન છે, પાકિસ્તાની નાગરિક છે. એનું કુટુંબ અહીં હોવા છતાં હવે કાનૂનન કશું થઈ ન શકે !સમયાંતરે નાયકના પિતા અને માતાનું અવસાન થાય છે. એ હવે એકલો છે અને સાથે છે માત્ર ગયા, પરિવાર અને પોતાના લોકોની સ્મૃતિઓ ! આખરે પૂર્વ પાકિસ્તાન નવા દેશ બાંગ્લાદેશમાં પરિણમે છે અને અહીંથી ત્યાં ગયેલા બિહારી મુસલમાનોને ફરી એકવાર પશ્ચિમ પાકિસ્તાન ભાગવું પડે છે !આને ઇતિહાસનું પુનરાવર્તન કહીશું !
સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
