વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • કાર્ટૂનકથા : ૧૬

    બીરેન કોઠારી

    આ શ્રેણીમાં માત્ર ‘સાહિત્ય’ના વિષયને કેન્‍દ્રમાં રાખીને ચીતરેલાં કાર્ટૂન મૂકવામાં આવે છે, જે વાર્તા સામયિક ‘વારેવા’માં અગાઉ પ્રકાશિત થઈ ચૂક્યાં છે.

    ‘વારેવા’ના સોળમા અંકમાં આ કાર્ટૂન પ્રકાશિત થયાં હતાં.

    વાર્તાવ્યંગ્ય

     

    (વાર્તામાં, વાર્તાલેખનમાં રસ ધરાવનાર સૌ કોઈને આ વિશિષ્ટ સામયિકમાં રસ પડશે. તેના વિશે વધુ વિગતો તેની સાઈટ https://vareva.co.in/ પર જોઈ શકાશે.)


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • પહેલા દલિત ક્રિકેટરનું જીવન અને સંઘર્ષ ફિલ્મી પડદે અવતરશે…

    નિસબત

    ચંદુ મહેરિયા

    રમત અને રમતવીરો વિશે ડઝનબંધ ફિલ્મો બની છે. ભારતના પ્રખ્યાત ક્રિકેટરો મોહમ્મદ અઝહરુદ્દીન, મહેન્દ્રસિંહ ધોની  અને મહિલા ક્રિકેટર મિતાલી રાજની બાયોપિક બની છે. પરંતુ લગભગ દોઢસો વરસ પહેલાં, ઓગણીસમી સદીની છેલ્લી પચીસીમાં જન્મેલા અને  સિત્તેરેક વરસો પૂર્વે અવસાન પામેલા દેશના પહેલા દલિત ક્રિકેટરની બાયોપિક બની રહ્યાનું જાણીએ તો કેવા ભાવ જન્મે? જાણીતા દિગ્દર્શક તિગ્માંશુ ધૂલિયા ૨૦૧૭થી ભારતના પહેલા દલિત ક્રિકેટર પી.બાલુ વિશે ફિલ્મ બનાવવા પ્રયત્નશીલ છે. આખરે તેમને અજય દેવગણ અને પ્રીતિ સિંહાનો નિર્માણ સહયોગ પ્રાપ્ત થયો છે.  એટલે આ વરસના અંત સુધીમાં ફિલ્માંકન શરૂ થશે.

    બાલુ બાબાજી પાલવણકર
    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    બાલુ બાબાજી પાલવણકર1ની એક સ્ટાર ક્રિકેટર બનવાની કહાની અને તે માટેની તેમની મહેનત તથા સંઘર્ષ આજે પણ વેદના અને પ્રેરણા જન્માવે છે. ક્રિકેટ જ્યારે રાજા-મહારાજાઓ, અમીરો અને કુલીન વર્ગની રમત હતી, નાતજાતના ભેદ બહુ તીવ્ર હતા  ત્યારે એક ગરીબ –દલિતનો તેમાં પ્રવેશ જ અસંભવ જેવો હતો. એ સંજોગોમાં તેનું ક્રિકેટ-સ્ટાર બનવું, દેશ-વિદેશમાં છવાઈ જવું અને આભડછેટ પાળતા લોકોને તેમની ગરજે પોતાને ટીમમાં સામેલ કરવા મજબૂર કરવા –આ સઘળી હકીકતો  ભારે રોમાંચક છે. પી.બાલુની બાયોપિક જેના પર આધારિત છે તે ઈતિહાસકાર રામચંદ્ર ગુહાની કિતાબ A Corner of foreign field : The Indian history of a British sport માં બાલુનું ક્રિકેટર કેરિયર અને તે માટેનો સંઘર્ષ આલેખાયો છે.

    ઓગણીસમી માર્ચ ૧૮૭૬ના રોજ તત્કાલીન બ્રિટિશ ભારતના બોમ્બે પ્રેસિડેન્સીના ધારવાડમાં બાલુનો જન્મ. જોકે મૂળ વતન મહારાષ્ટ્રના રત્નાગિરિ જિલ્લાનું પલવાની. ગામના નામ પરથી તેમની અટક પલવંકર કે પાલવણકર. મહારાષ્ટ્રના ઘણા દલિતોની જેમ બાલુના પિતા પણ બ્રિટિશ સેનામાં હતા.પુણેની આર્મ્ડ ફેકટરીમાં તે કામદાર હતા. એટલે બાલુ ત્યાંની સૈનિક સ્કૂલમાં ભણતા હતા. તેમને ત્રણ ભાઈઓ હતા : શિવરામ , ગણપત અને વિઠ્ઠલ. પિતાએ ઘરની નબળી આર્થિક સ્થિતિને લીધે  મોટા દીકરા બાલુને સત્તરમા વરસે ભણવાનું છોડાવી કામે વળગાળ્યા.

    માસિક ચાર રૂપિયાના પગારે પૂણેની ઈંગ્લીશ ક્રિકેટ કલબ પૂના જિમખાનામાં ગ્રાઉન્ડ સ્ટાફ તરીકે તેમનું કામ મેદાનની દેખભાળ, પિચ રોલ કરવી અને નેટ્સ લગાવવાનું હતું. છેક કિશોરાવસ્થાથી બાલુને બેટ-બોલની રમતનું ઘેલું હતું. મેદાનની બહાર બેઠાબેઠા સૈન્ય અફસરોને તેઓ ક્રિકેટ રમતા જોયા કરતા . ક્યારેક તેમનો બોલ લાવી આપતા. તે જે નકામા બેટ-બોલ ફેંકી દેતા તે લઈ લેતા અને ઘરે ભાઈઓ સાથે રમતા. એટલે ગ્રાઉન્ડમેન તરીકે તેમનો પ્રવેશ મેદાન પર થયો ત્યારે તો તે દોડીને બોલ લઈ આવતા. એક દિવસ નેટ પ્રેકટિસ કરતા એક જાણીતા પ્લેયરે બાલુને બોલિંગ કરવા કીધું. તેમણે પેલાના છક્કા છોડાવી નાંખતી બોલિંગ કરી અને એ જ દિવસથી તે મેદાન પર અને મેદાનની બહાર છવાઈ ગયા.

    હિંદુ, મુસ્લિમ, પારસી અને યુરોપિયન એમ ચાર ધર્મ આધારિત ટીમો( એ જમાનામાં આ સહજ હતું) વચ્ચે મુંબઈમાં ટુર્નામેન્ટ યોજાવાની હતી.ડેક્કન જિમખાના નામક હિંદુ ટીમમાં બધા કથિત ઉચ્ચ વર્ણના ખેલાડીઓ હતા. પરંતુ પૂનાની ધોળિયાઓની ટીમને હરાવવા તેમને બાલુ જેવા બોલરની જરૂર હતી. એટલે કેટલાક વિરોધ છતાં કથિત અસ્પૃશ્ય બાલુને ટીમમાં સામેલ કર્યા. ૧૯૦૫ થી દોઢેક દાયકો તેઓ ઘરેલુ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય મેચોમાં રમ્યા હતા.

    પતિયાળા નરેશની આગેવાનીમાં ભારતના ચાર ધર્મોની મિશ્ર ટીમ ૧૯૧૧માં ઈંગ્લેન્ડના પ્રવાસે ગઈ હતી. આ પ્રવાસમાં ટીમ તો ખાસ કંઈ ઉકાળી ના શકી પરંતુ  બાલુની કેરિયરમાં તે બહુ યાદગાર રહ્યો. ચૌદમાંથી બે જ મેચ ઓલ ઈન્ડિયન ટીમ જીતી પરંતુ લેફ્ટ આર્મ સ્પિનર બાલુએ ઈંગ્લેન્ડ પ્રવાસમાં ૧૮.૮૬ રનની સરેરાશથી ૧૧૪ વિકેટો લીધી હતી. ઈંગ્લીશ બેટસ્મેનોને બાલુની બોલિંગ બહુ ભારે પડી હતી.એટલે વિદેશી ક્રિકેટ સમીક્ષકોએ તેમના ભરપૂર વખાણ કર્યા હતા.

    જે બાલુ ક્રિકેટના મેદાનમાં હીરો હતા તે જન્મે દલિત અને એટલે અછૂત હોવાથી ટીમના સાથીઓની ઉપેક્ષા અને ભેદભાવનો સતત વેઠતા હતા.એમને જુદા ટેબલ પર જમવા બેસાડવામાં આવતા. ચા પણ ડિસ્પોઝેબલ કપમાં બધાથી અલગ પીવી પડતી. કોઈ સાથી ખેલાડી તેમની સાથે વાતચીત કરતો નહીં પછી ઉઠકબેઠક કે આત્મીયતાની વાત જ શાની. ? પોતાના વાસણ એમણે જાતે સાફ કરવા પડતા. મેદાન પર બાલુએ સ્પર્શ કરેલા દડાને બધા અડતા પણ મેદાનમાં કે અન્યત્ર તેમને માટે પાણી લાવનાર તેમનો જ્ઞાતિભાઈ હોય તેની કાળજી લેવાતી હતી.અનેક સિધ્ધિઓ અને લાયકાત છતાં એકમાત્ર દલિત હોવાના કારણે બાલુને કદી કેપ્ટન બનાવવામાં આવ્યા નહીં.

    જેમ ક્રિકેટમાં તેમ રાજનીતિમાં પણ બાલુએ પોતાનું સ્થાન બનાવ્યું હતુ. હોમરુલ જેવી આઝાદીની ચળવળમાં તે જોડાયા હતા. કોંગ્રેસના તેઓ સમર્થક જ નહીં સભ્ય પણ હતા. મુંબઈની મહાનગરપાલિકાના તે સભ્ય બન્યા હતા. બાલુ કરતાં ઉમરમાં પંદરેક વરસ નાના ડો.આંબેડકર બાલુને દલિત સમાજનો હીરો માનતા હતા. ઈંગ્લેન્ડમાં સફળ બોલર તરીકેની સિધ્ધિ મેળવી પરત આવેલા બાલુનું દલિતોએ ઠેરઠેર ઉમળકાભેર સ્વાગત કર્યું. રોહિદાસ વિધ્યાવર્ધક સમાજ તરફથી બાલુના સન્માનનો જે કાર્યક્રમ થયો તેમાં બાલુનું સન્માનપત્ર યુવાન આંબેડકરે લખ્યું હતું. કદાચ તે તેમના જાહેરજીવનનો આરંભ હતો.

    ડો.આંબેડકરના આ હીરો જાહેરપ્રવૃતિઓમાં તેમનાથી અલગ રહ્યા. ૧૯૩૨ના પૂના કરાર વખતે તેઓ ગાંધીજી અને કોંગ્રેસની તરફેણમાં અને ડો.આંબેડકરની વિરુધ્ધમાં હતા. તેઓ બાબાસાહેબની અલગ મતાધિકારની માંગણીને બદલે અનામતની તરફેણમાં હતા.પૂના કરાર પર તેમની સહી પણ છે. એટલું જ નહીં ૧૯૩૭માં પ્રાંતિક ધારાસભાની ચૂંટણીમાં આંબેડકર સામે મધ્ય મુંબઈ મત વિસ્તારમાંથી કોંગ્રેસના ઉમેદવાર પી. બાલુ હતા.  જો કે આ ચૂંટણીમાં બાબાસાહેબ સામે બાલુ હારી ગયા હતા ડો.આંબેડકર અને પી.બાલુની પેટાજ્ઞાતિઓ અલગ હોવાથી દલિતાના પેટા જ્ઞાતિવાદને વટાવવા અને વકરાવવા કોંગ્રેસે બાલુને ઉમેદવાર બનાવ્યા હતા. તત્કાલીન રાજકીય વિશ્લેષકોએ તેનું શ્રેય સરદાર પટેલને આપ્યું હતું.

    ૭૯ વરસની વયે ચોથી જુલાઈ ૧૯૫૫ના રોજ મુંબઈમાં બાલુનું અવસાન થયું ત્યારે તેઓ ઠીકઠીક ભૂલાઈ ગયા હતા.પોતાની પ્રતિભા અને લાયકાતના જોરે આઝાદી પહેલાંની હિંદુ ક્રિકેટ ટીમમાં બાલુ અને તેમના ચાર ભાઈઓ સામેલ થયેલ હતા. પણ  આજની વાસ્તવિકતા જુદી છે. ભારતના આશરે ૫૦૦ ક્રિકેટરોમાં ગણીને પાંચ જ દલિતો છે. ૨૦ કરોડની વસ્તીનું માંડ એક ટકો જ પ્રતિનિધિત્વ છે. ક્રિકેટ અને તેના વહીવટમાંથી દલિતોની બાદબાકી કડવું સત્ય છે. આવતા વરસના માર્ચથી પી.બાલુની સાર્ધ શતાબ્દી આરંભાશે. ગુમનામી અને ઉપેક્ષાના શિકાર દલિત નાયક બાલુને દોઢસોમા જન્મ વરસે તેમની બાયોપિક્થી વધુ સારી અંજલિ કઈ હોઈ શકે?


    1


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ઈશ્વરને ઇ મેઇલ – ૧

    ગગનગોખેથી   આવ્યો ઇ મેઇલ..

    નીલમ  હરીશ દોશી

    આયો આયો રે મારા વા’લાનો  ઇ મેઇલ,
    ગગનગોખેથી આજ આયો રે ઇ મેઇલ..

    પ્રિય દોસ્ત,

    આજે તારા સુધી પહોંચવા માટે મારે પણ ગરુડે ચડીને નહીં , પણ આધુનિક ટેકનોલોજીની અંબાડીએ ચડીને જ આવવું રહ્યું ને ? આ તમારા ઇ મેઇલે, તમારા કોમ્યુટરે મારા ગરુડ સહિત  બધા વાહનોને આઉટ ઓફ ડેઇટ બનાવી દીધા છે.હવે તો દોસ્ત, તારા સુધી પહોંચવાનો, મારા દિલની વાતો તારા સુધી પહોંચાડવાનો સૌથી સરળ અને ઝડપી રસ્તો મને  એક જ દેખાય છે. એથી જ તો હવે કાગળ પત્તર નહીં પણ ઇમેલથી જ હું મારા મનની વાત તારી સાથે  કરીશ. આમ તો મને જાણ છે કે હવે તમે બધા ઇમેલથી પણ આગળ નીકળી ગયા છો. હવે તો તમે વોટસ અપ અને ફેસબુક વાળા..પણ હજુ ત્યાં સુધી પહોંચતા મને થોડી વાર તો લાગે ને ? આ ઇમેઇલ હજુ તો માંડ માંડ શીખ્યો છું. પણ હજુ તમારા જેટલા સ્માર્ટ બનવાનું બાકી છે. હા, વોટ્સ અપ વાંચતા શીખી ગયો છું  રોજ સવારે વોટ સ અપ પર તમારા સૌના અત્યંત સુંદર મેસેજ વાંચીને હું પુલકિત બની ઉઠું છું. વાહ મારો ભકત..સોરી, મારો દોસ્ત કેટલું બધું જાણે છે. આને તો મારે કંઇ કહેવા કે સમજાવવા જેવું છે જ નહીં.

    ગીતાના અધ્યાય હવે મારે સમજાવવા પડે તેમ છે જ નહીં. ગીતાના કેટકેટલા નિતનવા અર્થો શોધી શોધીને તમે વોટસ અપ, કે ફેસબુક પર એ જ્ઞાનના ખજાનાની લ્હાણી છૂટે હાથે કરો છો. એનાથી હું બહું અભિભૂત થાઉ છું. ગમતું મળે તો ગૂંજે ભરીને તમે કંઇ એકલપેટા નથી બનતા એનો મને આનંદ છે.

    મને ગર્વ છે મારા સર્જન પર, મને ગર્વ છે તારી અપાર શક્તિ પર. મને ગર્વ છે તારી અમાપ બુધ્ધિ પર. તને આપેલા મગજનો આટલો વિકાસ તું કરી શકયો છે એનો મને આનંદ છે. મારા કેટલા ભવ્ય મંદિરો તેં બનાવ્યા છે. મારા નિતનવા આવાસો તું સર્જતો રહે છે. મારે તો કેટકેટલી જગ્યાએ રહેવું ? સોના, ચાંદી અને હીરાના આભૂષણોથી તું મારા નિતનવા શણગાર કરે છે. છપ્પનભોગ આરોગી આરોગીને તો મારું વજન વધી જવાનો મને ડર લાગે છે. લાગે છે મારે પણ તમારી જેમ ડાયેટ ચાર્ટ બનાવવો પડશે.દોસ્ત, ખરેખર તેં તો મારી સમક્ષ અપાર વૈભવ ખડકી દીધો છે. લક્ષ્મીપતિ  હું છું કે તું એવો પ્રશ્ન, એવી શંકા પણ મારા મનમાં કદીક જાગે છે.

    લિ. તારો  જ ઇશ્વર, અલ્લાહ, ભગવાન, જિસસ..( દોસ્ત, તને જે નામ પસંદ પડે તે તારું..)

    ચપટીક ઉજાસ:

    જગતનો સૌથી મોટો વણવપરાયેલો ભંડાર ભલમનસાઇનો છે.


    નીલમ  હરીશ દોશી : E mail: nilamhdoshi@gmail.com | બ્લોગ : પરમ સમીપે

  • કોઈનો લાડકવાયો – ( ૫૦) લાલા લાજપતરાયના મૃત્યુનો બદલો

    દીપક ધોળકિયા

    હિન્દુસ્તાન સોશ્યલિસ્ટ રીપબ્લિકન ઍસોસિએશન (HSRA)ના ક્રાન્તિકારીઓ લાલાજીના રાજકારણ સાથે સંમત તો નહોતા પરંતુ એમણે એમના મૃત્યુને સમગ્ર દેશના અપમાન જેવું ગણીને બદલો લેવાનું નક્કી કર્યું. સ્કૉટને મારવાની જવાબદારી ભગત સિંઘ અને શિવરામ રાજગુરુને સોંપાઈ. ચંદ્રશેખર આઝાદે આખી કાર્યવાહીનો દોર સંભાળ્યો. ક્રાન્તિકારીઓ આખા આંદોલનને સશસ્ત્ર ક્રાન્તિના માર્ગે વાળવા માગતા હતા અને દેખાડવા માગતા હતા કે લાલાજીના મૃત્યુ પછી એ હાથ બાંધીને બેઠા નથી. મૂળ લક્ષ્ય  તો લાહોરના પોલીસ કમિશનર જેમ્સ સ્કૉટને મારવાનો હતો પરંતુ લાલાજીના મૃત્યુના બરાબર એક મહિના પછી, ૧૭મી ડિસેમ્બરે સ્કૉટ પર હુમલો કરવાની બધી તૈયારી હતી ત્યારે સ્કૉટને બદલે આસિસ્ટન્ટ કમિશનર જ્હૉન સૉંડર્સ બહાર આવ્યો અને માર્યો ગયો.

    ક્રાન્તિકારીઓને પકડવા માટે એક ગોરો ઑફિસર બહાર આવ્યો પણ એના કાન પાસેથી બે ગોળીઓ સુસવાટા કરતી નીકળી ગઈ તે પછી એની હિંમત ન થઈ. પણ એક કૉન્સ્ટેબલ ચન્નન સિંઘે એમનો પીછો કર્યો અને એ પણ ગોળીથી વિંધાઈ ગયો.

    બીજા દિવસે લાહોરમાં ઠેકઠેકાણે HSRAના નામ સાથે પોસ્ટરોએ દેખા દીધી – સોંડર્સ મરાયો… લાલાજીના મોતનો બદલો વસૂલ!” ક્રાન્તિકારીઓ ઇચ્છતા હતા કે હત્યા પછી પોલીસ એમની પાછળ પડે તો એની સાથે સામસામે ધીંગાણું કરવું અને મોતને ભેટવું. પરંતુ પોલીસે કંઈ ન કર્યું એટલે ભગત સિંઘ અને રાજગુરુ ત્યાંથી બે સાઇકલ પર નજીકમાં ડી. એ. વી. કૉલેજના બોર્ડિંગ હાઉસમાં ચાલ્યા ગયા. પોલીસે આખા શહેરમાં અને રેલવે સ્ટેશનોએ જાપ્તો ગોઠવી દીધો હતો એટલે લાહોરથી કેમ ભાગવું તેની યોજના પણ બનાવવાની હતી. એના માટે એ કૉલેજમાંથી બહાર નીકળ્યા તે પછી તરત જ પોલીસે કૉલેજને ઘેરી લીધી પણ એ તો નાસી છૂટ્યા હતા.

    ભગત સિંઘ અને સુખદેવ થાપર સૉંડર્સની હત્યા કરીને બે દિવસ પછી ભગવતી ચરણ વોહરાને ઘરે પહોંચ્યા. એમને લાહોરથી નીકળી જવું હતું અને કોઈ ઓળખી ન શકે એટલે એમણે વેશપલ્ટો કરી લીધો હતો. ભગત સિંઘે પહેલી વાર વાળ કપાવીને ફેલ્ટ કૅપ પહેરી. આજે તો એ તસવીરથી જ આપણે ભગત સિંઘને ઓળખીએ છીએ. પરંતુ ટ્રેનમાં એવું લાગવું જોઈએ કે એક સદ્‍ગૃહસ્થ કુટુંબ મુસાફરી કરે છે એટલે આ ફેલ્ટ કૅપવાળા જુવાનની પત્ની પણ હોવી જોઈએ. આ ભૂમિકા ભગવતી ચરણ વોહરાનાં પત્ની દુર્ગાભાભીએ ભજવી. ભગત સિંઘે દુર્ગાભાભીના પુત્ર શચીન્દ્રને તેડ્યો, અને બન્ને ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં બેઠાં. રાજગુરુ એમના ‘નોકર’ તરીકે થર્ડ ક્લાસમાં સામાન સાથે આવ્યા. પંડિત ચંદ્રશેખર આઝાદ ખરેખરા પંડિત બન્યા – અંગવસ્ત્ર, ધોતિયું, કપાળે તિલક, માળા વગેરેમાં સજ્જ થઈને એક યાત્રાળુઓની મંડળી સાથે લાહોરથી ભાગી છૂટ્યા.

    ભગવતી ચરણ વોહરા ભગવતી ચરણ વોહરાનો જન્મ ૧૯૦૪માં થયો. એ મૂળ ગુજરાતના હતા, પરંતુ બહુ પેઢીઓ પહેલાં ગુજરાત છોડીને આગરામાં એમનો પરિવાર વસી ગયો હતો. ભગવતી ચરણ અને એમનાં પત્ની દુર્ગાવતી પણ ગુજરાતી બ્રાહ્મણ પરિવારનાં જ હતાં. લગ્ન વખતે દુર્ગાની ઉંમર ૧૧ વર્ષ હતી. બન્ને પરિવાર આગરા છોડીને લાહોરમાં નજીક નજીકની શેરીઓમાં જ રહેતા હતા. દુર્ગાવતી પણ પતિની સાથે જ ભગત સિંઘની મંડળીમાં સક્રિય બની ગયાં. ગ્રુપમાં બધા એમને દુર્ગાભાભી કહેતા.

    ભગવતી ચરણ પહેલાં તો ગાંધીજીના સત્યાગ્રહમાં જોડાયા પણ ચૌરીચૌરાના બનાવ પછી ગાંધીજીએ સત્યાગ્રહ પાછો ખેંચી લેતાં એ ફરી કૉલેજમાં અધ્યાપક તરીકે જોડાઈ ગયા. વોહરા વાચનના જબરા શોખીન હતા અને ભગત સિંઘે સ્થાપેલી નૌજવાન ભારત સભા અને હિન્દુસ્તાન રીપબ્લિકન એસોસિએશનના સિદ્ધાંતવેત્તા હતા. આમ એમનું સ્થાન ગ્રુપમાં મુખ્યત્વે ચિંતક અને વિચારકનું હતું. એમણે કૉલેજમાં ભગત સિંઘ અને સુખદેવની સાથે મળીને માર્ક્સિસ્ટ સ્ટડી સર્કલ પણ બનાવ્યું હતું. એના પછી હિન્દુસ્તાન રીપબ્લિકન એસોસિએશનનું નામ હિન્દુસ્તાન સોશ્યલિસ્ટ રીપબ્લિક એસોસિએશન (HSRA) નામ અપાયું.

    સશસ્ત્ર કાર્યવાહીઓ માટે પૈસાની પણ જરૂર પડતી અને વોહરા પરિવાર પૈસેટકે સુખી હતો એટલે ગ્રુપની નાણાભીડમાં પણ ભગવતી ચરણની મદદ રહેતી. એમનાં મોટાં બહેન સુશીલાદીદી પણ ક્રાન્તિકારી હતાં. એ એક સ્કૂલમાં શિક્ષિકા હતાં પણ કશા ડર વિના ક્રાન્તિકારીઓને મદદ કરતાં. ભગત સિંઘ અને રાજગુરુ ડી. એ. વી. કૉલેજથી નીકળ્યા તે પછી બે દિવસ એમને આશરા માટે એક ઘર એમણે જ અપાવ્યું હતું.

    ૧૯૨૯માં ભગવતી ચરણ વાઇસરોયને ટ્રેનને બોમ્બથી ઉડાવી દેવાના કાવતરામાં સામેલ થયા. વાઇસરોયની ટ્રેનને તો કંઈ નુકસાન ન થયું પણ ગાંધીજીએ એની વિરુદ્ધ ‘Cult of Bomb’ લેખ લખ્યો. એના જવાબમાં HSRA તરફથી પણ એક લેખ પ્રકાશિત થયો – Philosophy of Bomb. આ લખનાર ભગવતી ચરણ હતા.

    હવે એમણે બોમ્બ બનાવવાનું શીખી લીધું હતું. એમનો વિચાર હતો કે ભગતસિંઘ અને એમના સાથીઓને બોમ્બ ફેંકીને જેલમાંથી છોડાવી લેવા. એક ભાડાના ઘરમાં એ અમુક સાથીઓની સાથે મળીને બોમ્બ બનાવતા. ૨૮મી મે ૧૯૩૦નો એ દિવસ હતો. ભગવતી ચરણ એક-બે સાથી સાથે રાવીના કિનારે બોમ્બનો અખતરો કરવા ગયા ત્યારે બોમ્બ અચાનક ફૂટી ગયો. અને ક્રાન્તિકારી વીર ભગવતી ચરણ વોહરાનું એમાં મૃત્યુ થઈ ગયું. એ સમયે એમની ઉંમર માત્ર ૨૫ વર્ષની હતી.


    સંદર્ભઃ

    1.भगत सिंह और उनके साथियों के सम्पूर्ण उपलब्ध दस्तावेज़. संपादकः सत्यम. राहुल फाउण्डेशन, लखनऊ ISBN 978-81-87728-95-5. #- 350-00 rhljk iqueqZnz.k % fnlEcj] 2017

    1. A Centenary History of the Indian National Congress Vol. II (1919-1935)

    ૩. http://www.shahidbhagatsingh.org/biography/c6.htm


    દીપક ધોળકિયા

    વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com

    બ્લૉગ સરનામું: મારી બારી

     

  • ૧૨મી જૂન, ૧૯૭૫ : બે ઐતિહાસિક ચુકાદાનો દિવસ

    તવારીખની તેજછાયા

    મોરારજી હંમેશ એક વાત પર ભાર મૂકતા: બરાબર વિચારો, આપણે વચન પાળી શકીએ એમ છીએ કે નહીં

    પ્રકાશ ન. શાહ

    લગભગ પાંચ દાયકા પાછળ ૧૨મી જૂન, ૧૭૫ના દિવસે બે ઐતિહાસિક ચુકાદા એકસાથે આવ્યા હતા. અલાહાબાદ હાઈકોર્ટે ઈન્દિરા ગાંધીને સાંસદ તરીકે ગેરલાયક ઠરાવ્યાં હતાં. જેપી આંદોલને આણેલ જાગૃતિના માહોલમાં ચોક્કસ જ ઈન્દિરાઈ એકાધિકાર પર આ એક ફટકો હતો. બીજો ફટકો ગુજરાત વિધાનસભાનાં ચૂંટણી પરિણામો સાથે પડ્યો: ભલે સીમિત પણ જનતા મોરચો ગજું કરી ગયો હતો.

    નવનિર્માણના દિવસોમાં જયપ્રકાશ ગુજરાત આવ્યા ત્યારે યોજાયેલ લોકસ્વરાજ સંમેલનનો તાંતણો પછી આગળ ચાલ્યો એમાં બિહાર આંદોલનથી બની રહેલ રાષ્ટ્રીય માહોલનો ખાસો હિસ્સો હતો. અમદાવાદનું ગાંધી શાંતિ પ્રતિષ્ઠાન કેન્દ્ર આ સંદર્ભમાં એક સંપર્કસૂત્ર જ નહીં રીતસર નર્વ સેન્ટર બની રહ્યું હતું. બેંતાલીસ બિરાદરી, સર્વોદય મંડળ, તરુણ વિદ્યાર્થીઓ, નિસબત ધરાવતા નાગરિકો, સૌનું એ મિલન ઠેકાણું બલકે થાણું હતું. સૌના ધરીપુરુષ ભોગીભાઈ- ભોગીલાલ ગાંધી. ૧૯૭૪ના ફેબ્રુઆરીમાં જેપીની મુલાકાત સાથે જે દોર આગળ ચાલ્યો એણે છોડાવવાનું એક મોટું ઉખાણું એ હતું કે ૧૫મી માર્ચે વિધાનસભાનું વિસર્જન તો થયું પણ નવી ચૂંટણીમાં સતત સળંગ મુદત પડતી ગઈ.

    વિસર્જનને ખાસું એક વરસ વીતી ગયું ને કેન્દ્ર સરકારે ચૂંટણી યોજવાનું નામ ન લીધું ત્યારે અમે ગાંધી શાંતિ પ્રતિષ્ઠાન (નવી દિલ્હી)ના મંત્રી અને જેપી આંદોલનના સંયોજકવત્ રાધાક્રિષ્ણની વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાતના પક્ષ-અપક્ષ અગ્રણીઓનું સંમેલન યોજી ગુજરાત લોકસંઘર્ષ સમિતિની રચના કરી. તે પછી તરતના અઠવાડિયામાં એપ્રિલ ૧૯૭૫માં મોરારજી દેસાઈએ ચૂંટણી યોજવા માટે અનશન કર્યા અને ઈન્દિરાજીના મોકલ્યા ગૃહપ્રધાન દીક્ષિતે મોરારજીભાઈની માગણી સ્વીકારી. તે સાથે બાંહેધરી પણ આપી કે મિસાનો રાજકીય ઉપયોગ નહીં કરીએ. લોકસ્વરાજ આંદોલન-લોકસંઘર્ષ સમિતિ-જનતા મોરચો એ પ્રક્રિયા આગળ ચાલી.

    વાતની શરૂઆત પરિણામના દિવસથી કરી હતી, પણ ત્યાં સુધી પહોંચતાં પહેલાં ઝડપથી બે-ત્રણ મુદ્દા કરી લેવા જોઈએ. વ્યક્તિગત રીતે મોરારજીભાઈ સાથેના પરચિયથી (એમની અજાતમિત્ર આભા છતાં) સકારાત્મક છાપ પડી. મોરચાનો ઢંઢેરો તૈયાર કરવાની સમિતિ પર જેપી મિત્રોએ મૂક્યો હતો. કીર્તિદેવ દેસાઈ-પ્રવીણ શેઠ અમારા સહયોગી હતા. સંસ્થા કોંગ્રેસના બાબુભાઈ જશભાઈ ને દિનેશ શાહ તો અન્ય પક્ષો તરફથી આર. કે. અમીન વ. તેમ પ્રસંગોપાત પિલુ મોદી પણ જોડાતા. અમારા સૌમાં વયોવૃદ્ધ મોરારજી દેસાઈ બધો વખત બિલકુલ ટટ્ટાર બેસી ચર્ચામાં રસ લેતા. એક વાર પિલુ મોદીએ કહ્યું કે તમને છેલ્લે બધું બતાવી દઈશું. આટલું લાંબું બેસવાનું કષ્ટ કેમ લો છો. મોરારજી જેનું નામ- એ કહે, પિલુ, તું તો અંગ્રેજી આધ્યાક્ષર મુજબ બોર્ન પી.એમ. છે. જ્યારે મારે તો હજુ એમ.પી. બનવા માટે પણ મહેનત કરવાની છે. મુદ્દા ચર્ચવામાં મોરારજી હંમેશ એક વાત પર પોતાના વહીવટી અનુભવને જોરે ભાર મૂકતા: બરાબર વિચારો, આપણે વચન પાળી શકીએ એમ છીએ કે નહીં.

    ઢંઢેરાના મુખડા જેવો એક પેરા કીર્તિદેવ દેસાઈએ અને મેં તૈયાર કર્યો હતો. એમાં જયપ્રકાશના આંદોલનની આબોહવામાં એક નવું રાજકારણ રચાઈ રહ્યાનો નિર્દેશ હતો. ગુજરાતમાં જયપ્રકાશ ક્યાંથી, એવી વેધક પૃચ્છક નજરે મોરારજીભાઈએ અમારા સામું જોયું, પણ બાબુભાઈ દરમ્યાન થયા: આ લોકો (જેપી મિત્રો) છે તો આપણે બધા સાથે થઈ શક્યા છીએ.

    તે પછી બધું સમું ચાલ્યું. અનૌપચારિક સંબંધ એવો તો થઈ ગયો મોરારજીભાઈ સાથે પછીના ગાળામાં કે એ એમના આરોગ્યના પ્રયોગો વગેરેની વાત રસથી મિત્રભાવે કરે. એક વાર તાવ આવ્યો, ઊતરવાનું નામ લે, એટલે પોતે લંઘનનો રાહ લીધો. તે પછી આટલે વરસે એકે વાર તાવ આવ્યો નથી, એમ પણ એમણે કહ્યું. મારાથી રહેવાયું નહીં એટલે મેં એમને કહ્યું: ‘હવે મને ખબર પડી કે આપણે કેમ બનતું નથી… તમે રહ્યા લંઘનવાળા, અને અમે રહ્યા જેપીવાળા… ઉલ્લંઘનવાળા!’ એ ખડખડાટ હસી પડ્યા. પણ હતા તો મોરારજી, એટલે કહ્યા વગર રહી શક્યા નહીં કે તમે તમારા મનમાં કબજામાં છો જ્યારે મારું મન મારા કબજામાં છે.

    ખરું જોતાં વાસંતી સંઘર્ષ દિવસો તો એક લાંબી દાસ્તાં છે અને પાંચસો સાતસો શબ્દૈડીમાં એને ખતવી શકાય નહીં. પણ એટલું સંભારી લઉં કે જનતા મોરચાએ સરકાર રચવા માટે જે સાથ લેવો પડ્યો એને અંગે અમારા મનમાં કંઈક કચવાટ જરૂર રહ્યો. જોકે અત્યારે સૂત્રો હાથમાં ન લઈએ તો આવનારા દિવસો ભયાવહ વળાંક લઈ શકે છે એવીયે એક માન્યતા હતી. ઉમાશંકરે મન્યુવશ પ્રતિક્રિયા આપી કે અહીં જેપી થીસિસને બદલે મોરારજી થીસિસ ચાલે છે. શપથવિધિ માટે જતા બાબુભાઈને એમણે કહ્યું- હું તમને ‘વિશ’ કરી શકતો નથી. (જોકે ૨૬મી જૂને કટોકટી ઝિંકાઈ તે સાથે આ થીસિસ વિવાદ અપ્રસ્તુત બની ગયો.)

    પાંચમી જૂન, ૧૯૭૪ (સંપૂર્ણ ક્રાંતિ દિવસ) અને બારમી જૂન, ૧૯૭૫, જેપી થીસિસ ને મોરારજી થીસિસ વચ્ચેનું ગુણાત્મક અંતર ૧૯૭૭ના જનતા રાજ્યારોહણ સાથે કપાતું લાગ્યું.


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૧૨ – ૦૬ – ૨૦૨૪ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખ


    શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

     

  • મારો ચીનીભાઈ

    વાર્તાઃ અલકમલકની

    ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

    ચીનાઓની મને કોઈ વાત આમ તો યાદ રાખવા જેવી લાગી જ નથી. એક સરખું માપ લઈને તૈયાર કરેલા બીબાંઢાળ ચહેરા,ચુંચી આંખો, બુચાં નાક, એમના આકાર, પ્રકાર, વેશભૂષાના લીધે યંત્રવત ચાલતા પૂતળા જેવા જ લાગે. પણ, આજે યાદ આવે છે એક આદ્ર આંખોવાળો ચીની ફેરિયો જે બોલ્યા વગર કહી ગયો કે, અમે સૌ કાર્બન કૉપી નથી. અમારી પણ અલગ કથા હોય છે.

    કેટલાક વર્ષો પહેલાંની વાત છે. પીઠ પર કપડાંનું પોટલું લઈએ આવેલો એ ચીની ફેરિયો કંઈક વેચવા આવતો.

    “મેમસા’બ કંઈક લેશો?”

    મા, બહેન, દીદી, બેટી જેવાં સંબોધનથી ટેવાયેલાં મનને મેમસા’બ શબ્દ કઠ્યો. વિદેશી માલ હું નથી લેતી કહીને એની અવજ્ઞા કરી.

    “અરે! અમે ક્યાં વિદેશી છીએ. અમે તો ચીનથી આવીએ છીએ.” એની આંખોમાં વિસ્મય હતું અને અવજ્ઞાના લીધે આઘાત પણ.

    ધૂળથી મેલાં જોડા અને એવાં જ મેલાં કપડાંમા દૂબળો પાતળો એ ચીની કંઈક જુદો તો લાગ્યો જ.

    “સાચે જ મને કંઈ નથી જોઈતું ભાઈ.” અવજ્ઞાથી દુઃખી જોઈને હું થોડી કોમળ બની.

    “ભાઈ કીધું તો જરૂર લેશો ને?”

    આ તો ધરમ કરતાં ધાડ પડી.

    એણે તો પોટલું ઉતારીને ચાયના સિલ્ક, ચાયના ક્રેપનાં કપડાં બતાવવા માંડ્યા. એનાં ભારે આગ્રહ પછી માંડ બે ટેબલક્લોથ લીધાં અને માની લીધું કે હવે આટલી ઓછી આવક પછી ફરી એ અહીં આવવાની ભૂલ નહીં કરે.

    પંદર દિવસ પસાર થયા અને વરંડામાં પોટલું ખોલીને એને કંઈક ગણગણતો બેઠેલો જોયો.

    “હવે તો હું કશું જ નથી લેવાની.” એને બોલવાનો મોકો આપ્યા વગર જ કહી દીધું.

    ચીનીએ ભારે પ્રસન્ન ભાવથી ખીસ્સામાંથી એક રૂમાલ કાઢીને બોલ્યો, “ સિસ્તર, બહુ બેસ્ત સેલ થયું એટલે તારી વાસ્તે સંતાડીને લાવ્યો છું.” એ ‘ટ’ બોલવાના બદલે ‘ત’ બોલતો. બોલતો ત્યારે સતત હકલાતો.

    જાંબુડી રંગનાં નાજુક ફૂલોથી સજાવેલા સરસ મઝાના રૂમાલ હતા જેમાં ચીની નારીની નાજુક આંગળીઓની કલાત્મકતા જ નહીં જાણે જીવનના અભાવની કરૂણ કથા આલેખાયેલી હતી. મારાં મ્હોં પરના નકારાત્મક ભાવની પરવા કર્યા વગર એની ઝીણી આંખો પટપટાવતા એણે હકલાતા સ્વરે બોલવા માંડ્યું. “ સિસ્તર કે વાસ્તે લાયા હૈ. સિસ્તર કે વાસ્તે લાયા હૈ.”

    આ તે કેવો યોગાનુયોગ! નાની હતી ત્યારે સૌ મને ચીની કહીને ચીઢવતા. હવે રહીરહીને આખા અલ્હાબાદમાં સૌને છોડીને બહેનનો સંબંધ જોડતો આ ભાઈ મળી આવ્યો! એ દિવસથી મારા ઘેર આવવાનો જાણે એને વિશેષાધિકાર મળી ગયો.

    ચીનની સામાન્ય વ્યક્તિ પણ કલા સંબંધી અભિરૂચી ધરાવે છે એ એની પાસેથી જાણ્યું. આસમાની રંગની દીવાલો પર કેવું ચિત્ર શોભે, લીલા કુશન પર કેવા પક્ષી સુંદર દેખાય, સફેદ પરદા પર કેવા ફૂલોનું ભરત શોભશે જેવી જાણકારી એની પાસેથી મળી. રંગ અંગેની એની જાણકારીથી તો એવું લાગ્યું કે, એની આંખો પર પટ્ટી બાંધી હોય તો સ્પર્શ માત્રથી પણ એ કયો રંગ છે એ કહી દેશે.

    ચીની વસ્ત્ર કે ચીની ચિત્રોનાં રંગો જોઈને થતું કે, ચીનની માટીનો કણકણ આવા રંગોથી રંગાયેલો હશે. મારે ચીન જોવું છે જાણીને એ અતિ પ્રસન્ન થઈ ગયો. પોતાની કથા સંભળાવવા એ અતિ ઉત્સુક રહેતો પણ કહેવા, સાંભળવા વચ્ચે ચીની અને બર્મીઝ ભાષાની ખાઈ હતી. એની ભાંગીતૂટી વાતોથી પૂરો સંદર્ભ સમજવો મુશ્કેલ હતો પણ, ભાવને ભાષા કે શબ્દોની સીમાઓ ક્યાં નડે? જે સમજાયું એ સાચે કરૂણ કથા જેવું હતું.

    એના માતા-પિતાએ બર્મા આવીને ચાની ટપરી ખોલી ત્યારે એનો જન્મ નહોતો થયો. એના જન્મ પછી તરત જ સાત વર્ષની બહેન પાસે છોડીને એની મા પરલોક પહોંચી. જે માને જોઈ પણ નહોતી એ મા પ્રત્યેની એની શ્રદ્ધા અજબ અને અતૂટ હતી. પિતાએ બીજી બર્મીઝ સ્ત્રી સાથે લગ્ન કર્યા અને મા વગરનાં એ બાળકોનાં દુર્ભાગ્યની શરૂઆત થઈ. પાંચ વર્ષનો થયો ત્યાં પિતા એક દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા. અબોધ બાળકોએ સંજોગ સાથે પનારો સ્વીકારી લીધો. અપરમાનો ત્રાસ વધતો જતો હતો. ક્યારેક બહેન અને મા વચ્ચેનાં વૈમનસ્યને લઈને અબોધ બાળકને વધુ સજા મળતી. કેટલીય વાર ઘરનાં બંધ બારણાની બહાર આખી રાત ઠંડીમાં ઠરતી એની આંગળીઓ બહેનની હથેળીમાં ઉષ્મા શોધતી. બહેનનાં મલિન વસ્ત્રોમાં એના આંસુ ઝીલાતા. બહેનનાં નાનાકડા ખોળામાં ભરાઈને પિતા પાસે જવાની જીદ કરતો ત્યારે એના ફિક્કા ગાલ થપથપાવીને બહેન શાંત પાડતી. પડોશીઓના ઘેર કામ કરીને બહેન એના માટે ભાત માંગી લાવતી.

    બહેનની વ્યથાનો અંતિમ પડાવ હવે શરૂ થતો હતો. એક રાત્રે એણે જોયું તો મા બહેનને ખૂબ અલગ રીતે સજાવીને ક્યાંક લઈ ગઈ. એ જોઈને એ ખૂભ ભય પામી, રડીરડીને ઊંઘી ગયો. જ્યારે જાગ્યો ત્યારે એની પાસે પોટલાની જેમ પડી બહેન રડતી હતી. એ દિવસથી ભાઈને રોજે સારુ ભોજન, કપડાં, રમકડાં મળવા લાગ્યા. હવે ઉત્તરોઉત્તર બહેનની ક્ષીણ થતી કાયાને વધુ રંગરોગાન કરવામાં આવતા.

    રોજ એ વિચારતો કે કોઈક રીતે એના પિતાની ભાળ મળી જાય તો એમને ઘેર લઈ આવીને બહેનને ખુશ કરી દે પણ, એ ખોજ શરૂ ન થઈ શકી.

    હવે તો સાંજ પડે બહેનની કાયાપલટ, અડધી રાતે થાકીને આવતી બહેનના હાથમાંથી જંગલી બિલાડીની જેમ તરાપ મારીને પૈસાની પોટલી છીનવી લેતી મા, ભાઈના માથા પાસે ઢગલો થઈ જતી બહેન રોજનો ક્રમ થઈ ગયો હતો.

    એક દિવસ બહેન પાછી આવી જ નહીં. પિતાને શોધવા માંગતો બાળક હવે ગલીગલી ફરીને બહેનને શોધવા માંડ્યો. રાત્રે જે રૂપમાં જોતો એ બહેનને દિવસના અજવાળે શોધવી કપરી હતી. આમતેમ ભટકતા બાળકને સૌ પાગલ માનવા માંડ્યા. આમ ભટકતો એ કોઈ બર્મી,ચીની, સ્યામી ખીસાકાતરુ લોકોની ટોળીના હાથે જઈ ચઢ્યો. અતિશય ગંદી જગ્યમાં રહેતી આ ટોળકીએ એનું અલગ ઘડતર કરવા માંડ્યું. શીખતા જો ભૂલ થાય તો ઢોરમાર, ક્યારેક ઠીક ઠીક અભિનય કરે તો લાતથી પુરસ્કાર. ગંદા ગોબરા વાસણમાં મ્હોંમા ન જાય એવા ખાવામાંય એક બિલાડી જોડે ભાગ કરવો પડતો. આજે એ યાદ કરતા એની આંખોમાં અપમાનની જ્વાળા ભભૂકી ઉઠતી.

    મોડી રાતે પાછા આવતા સાથીઓના પગરવ પરથી અંધારામાંય એમની કમાણીનો કે કોઈની સાથે લડીને આવ્યાનો અંદાજ એ કાઢી શકતો.

    સંજોગોથી ત્રસ્ત એ બાળકનું જો કે નસીબ ઉજળું નીકળ્યું. ચોરીચપાટીની આ દિક્ષા પૂર્ણ થયા પછી જ્યારે કામે લાગ્યો ત્યારે અનાયાસે પિતાના ઓળખીતા વેપારી સાથે મેળાપ થયો અને એની જીવનદિશા બદલાઈ.

    પ્રસંશાની પુલ બાંધતાં કેવી રીતે જૂનો માલ પકડાવી દેવાનો, ગજથી કપડું માપે ત્યારે ઓછું મપાય પણ વેઢા જેટલું વધુ ન મપાય, પાઈપાઈના હિસાબની સામે પૈસા પાછા વાળવામાં ખોટા સિક્કા સરકાવી દેવાના એ કપડાંની દુકાનના વેપારી પાસે શીખવા માંડ્યો. માલિક સાથે ખાવાનું અને દુકાનમાં સુવાની વ્યવસ્થાથી એવું લાગ્યું કે જાણે એની પ્રતિષ્ઠા વધી.

    નાની ઉંમરથી ધન કેવી રીતે વાપરવું એ સંબંધી મૂલ્ય સમજી ગયો. હજુ એની બહેનને શોધવાનો પ્રયાસ છોડ્યો નહોતો. એને ક્યાં ખબર હતી કે આવી બાલિકઓનું જીવન જોખમોથી ખાલી નથી હોતું. ક્યારેક મૂલ્ય આપીને ખરીદી લેવાય કે ક્યારેક વિના મૂલ્યે એને ગાયબ કરી દેવાય. ક્યારેક કોઈ શરાબી નશાની હાલતમાં એનાં જીવનનો અંત આણે તો ક્યારેક હતાશામાં એ પોતે આત્મહત્યા કરી લે, કંઈ કહેવાય નહીં. અપરમા કોઈ બીજા જોડે પરણીને ચાલી ગઈ હતી એટલે એ રસ્તો પણ બંધ થઈ ગયો.

    દરમ્યાન કામ માટે એ રંગૂન આવ્યો. બે વર્ષ કલકત્તા રહ્યો. સવારથી સાંજ કપડાં વેચવાની ફેરી કરતો રહ્યો. હજુ એનામાં ઈમાનદાર બનવાની અને બહેનને શોધવાની ઇચ્છા જીવિત હતી. એ ઇચ્છાપૂર્તિ માટે ભગવાન બુદ્ધને પ્રાર્થના કરતો.

    ક્યારેક થોડો સમય એ દેખાતો નહીં પણ જ્યારે આવે ત્યારે “સિસ્તર કે વાસ્તે યે લાયા હૈ” કહીને ઊભો રહી જતો. એક દિવસ ખબર પડી કે હવે લડવા માટે એ ચીન જવાનો છે. એ ઇચ્છતો હતો કે હું બધાં કપડાં લઈ લઉં તો એ એના માલિકનો હિસાબ ચૂકતે કરીને ચીન પાછો જઈ શકે.

    પહેલી વાર આવ્યો ત્યારે પણ હકલાતો હતો, પાછો જઈ રહ્યો છે ત્યારે પણ હકલાતો હતો. પણ જ્યારે મેં પુછ્યું કે, ત્યાં તું એકલો જઈને શું કરીશ ત્યારે પહેલી વાર પૂર્ણ વિશ્વાસ સાથે બોલ્યો કે, “આટલા મોટા ચીનમાં એ ક્યાં એકલો છે?”

    મારી પાસે હતા એટલા અને બીજા પાસેથી ઉધાર લઈને પૈસાનો બંદોબસ્ત કર્યો ત્યારે એ અતિ પ્રસન્ન હતો.

    જતાંજતાં એનો કપડાં માપવાનો ગજ આપતો ગયો ત્યારે એના “સિસ્તર કે વાસ્તે” સિવાયના અન્ય શબ્દો હકલાવામાં સમજાયા નહીં.


    મહાદેવી વર્મા લિખિત વાર્તા ‘ वह चीनी भाई/ चीनी फेरी वाला’પર આધારિત ભાવાનુવાદ


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ખુશીઓનો પાસવર્ડ

    આશા વીરેન્દ્ર

    નીતીશની આંખો અચાનક ખૂલી ગઈ. કેટલા વાગ્યા હશે? એણે મોબાઈલમાં જોયું. ઓહ! હજી તો ચાર પણ નથી વાગ્યા. હમણાં હમણાં આવું જ થાય છે. અડધી રાતે ઊંઘ ઊડી જાય પછી આંખ મીંચાવાનું નામ નથી લેતી. એટલામાં એને કાને અવાજ પડ્યો,

    ‘ટ્વિચ, ટ્વિચ,’

    કોણ જાણે આ ચકલીનું શું લુંટાઈ જતું હશે કે, આટલી વહેલી સવારે ઊઠીને કકળાટ કરવાનું ચાલુ કરે છે ! નીતીશ મનોમન ખિજાયો. ગાર્ગી જો જાગતી હોત તો હસીને કહેત,

    ‘અરે, પણ આ માસુમ ચકલી પર વગર કારણે તારો ગુસ્સો શું કરવા ઊતારે છે? એ તો પતાની મસ્તીમાં બોલતી રહે છે!’ પણ અત્યારે તો ગાર્ગી રેવાને ગળે વળગાડીને નિરાંતે સૂતી હતી. સૂએ જ ને? આખા દિવસમાં કેટકેટલાં કામ કરે છે? થાકી જતી હશે. આવાં બધાં કામ કરવાની એને આદત પણ ક્યાં છે? ને રેવા? ગોરી પરી જેવી મારી દીકરી અહીં આવીને કેવી ઝાંખી પડી ગઈ છે? એ વ્હાલથી રેવાના વાળ સરખા કરવા ગયો ત્યાં રેવાએ ઉં… ઉં… અવાજ કર્યો એટલે ગાર્ગી જાગી ગઈ.

    ‘શું થયું નીતીશ? ઊંઘ નથી આવતી? તબિયત તો બરાબર છે ને?’ એણે ઉપરા છાપરી સવાલો પૂછી નાખ્યા.

    ‘તબિયતને તો કંઈ નથી થયું પણ મન બહુ બેચેન રહે છે. તને અને રેવાને અહીં લાવીને મેં ભૂલ કરી હોય એવું મને લાગ્યા કરે છે. જાણે મહેલમાં રહેનારાંને જેલમાં પૂરી દેવાનો ગુનો મારાથી થઈ ગયો હોય એવો સંતાપ મને સુખેથી ખાવા નથી દેતો કે નથી શાંતિથી સૂવા દેતો.’ બોલતાં બોલતાં એની આંખ ભીની થઈ ગઈ.

    ગામડાં ગામમાં એકઢાળિયું મકાન, પાકથી લચી પડતાં ખેતર અને કુદરતી હર્યાભર્યા વાતાવરણમાં ઉછરેલો નીતીશ એગ્રીકલ્ચર એંજિનિયરની ડીગ્રી મેળવ્યા પછી સિંગાપુર જવાની જીદ લઈને બેઠો ત્યારે મા-બાપુને ઘણું આકરું લાગેલું પણ પોતાની પીડા મનમાં જ છુપાવીને એમણે દીકરાની મરજીને વધાવી લીધેલી.

    ‘ભલે બેટા, તારી ખુશીમાં અમારી ખુશી.’

    સિંગાપુર જઈને નીતીશે ઘણીસારી પ્રગતિ કરી. .ઑફિસમાં સાથે કામ કરતી ગાર્ગી એને ગમી ગયેલી. એ દિવસોમાં ઑફિસની બારીની પાળ પર એક પંખી આવીને બેસતું. આખું કાળું અને છાતીથી પેટ સુધીનો ભાગ સફેદ. પૂંછડી એવી રીતે ઊંચી કરતું જાણે ટી.વી.નો એંટિના. આ પક્ષીની હિલચાલ અને એના અવાજને નીતીશે ગાર્ગીના ગમા- અણગમા અને વર્તન સાથે જોડી દીધેલાં. એ બે વાર પૂંછડી હલાવે તો ગાર્ગીને પોતે ગમે છે, દસ સુધી ગણે ત્યાં સુધી એ એક જ જગ્યાએ બેસી રહે તો ગાર્ગી પોતાનો લગ્નનો પ્રસ્તાવ સ્વીકારશે- આવું તો કેટલુંય એ પક્ષીને કેંદ્રમાં રાખીને વિચારતો. પછી તો બેઉ જોડાયાં બાદ એણે આ વાત કરી ત્યારે બંને પેટ પકડીને હસેલાં.

            ‘તું ય ખરો છે નીતીશ! પણ હવે આપણી એ મિત્રનું નામકરણ કરવું જોઈએ, એવું નથી લાગતું?’

    ‘મેં તો વિચારેલું જ છે. એ કાળી છે એટલે એનું નામ કલ્લી. બરાબરને?’

    ત્યારબાદ સમય એટલો ઝડપથી વિતવા લાગ્યો કે એની સાથે તાલ મિલાવવાની દોડમાં કલ્લી ક્યાંય ભુલાઈ ગઈ. રેવાનાં જન્મ પછી સિંગાપુરની વૈભવશાળી જીવનશૈલીમાં બંને સારી રીતે ગોઠવાઈ ગયાં .એક દિવસ માનો ફોન આવ્યો હતો. રડતાં રડતાં એણે કહ્યું હતું,

    ‘બેટા, તારા બાપુ બહુ માંદા છે. તમને બધાંને જોવાની એમને બહુ ઈચ્છા છે. જેમ બને એમ જલ્દી આવી જાવ.’

    સિંગાપુરથી એ સૌ પહોંચ્યા ત્યારે બાપુની હાલત નાજુક તો હતી જ પણ જ્યાં એમનાં મનને પજવતી વાત સમજીને નીતીશે ગામ પરત ફરીને ખેતી સંભાળી લેવાની વાત કરી ત્યાં તો જાણે ચમત્કાર થયો. થોડા દિવસમાં એમની તબિયતમાં ઘણો સુધારો થયો. મા-બાપુને ખુશ જોઈને દીકરાને આનંદ તો થયો જ પણ સાથે જ એક અજંપો એને ઘેરી વળ્યો કે, પોતાની મરજી એણે પત્ની પર થોપી દીધી હતી.

    ‘હું તમારા બેઉનો ગુનેગાર હોઉં એવું અનુભવું છું ગાર્ગી, અહીં નથી ઢંગની સ્કૂલ, નથી કોઈ પાર્ક કે નથી મૉલ. મારી લાડકવાયીને શું હું આવી જિંદગી આપીશ?’

    ‘નીતીશ, મને લાગે છે કે, સિંગાપુર છોડતી વખતે તેં મને અને રેવાને અગવડ ભરી જિંદગી આપવા માટે, તકલીફમાં મૂકવા માટે પોતાને જવાબદાર માનીને તારા મનની ફાઈલમાં એક ફોલ્ડર  તૈયાર કરી લીધું અને બાકી બધી ખુશીઓને પાસવર્ડથી પ્રોટેક્ટ કરી લીધી. એ પાસવર્ડ તારી પાસે જ છે પણ કદાચ તું ભૂલી ગયો છે.’

    ‘સાચે જ તું એમ માને છે, ગાર્ગી?’

    ‘સો ટકા. અહીં આવીને થોડો વખત મને બેચેની જરૂર લાગી પણ હવે જમીન ખેડવામાં, બીજ રોપવામાં, બીજને અંકુરિત થતું જોવામાં મને જે આનંદ મળે છે એ આપણી એરકંડીશંડ ઑફીસમાં નહોતો મળતો. ને રેવાની વાત કરતો હોય તો એને આ કુદરતની શાળામાં જે પાઠ શીખવા મળે છે એની સરખામણીમાં પ્લે સ્કૂલનું પોપટિયું શિક્ષણ મને તો નકામું લાગે છે.’

    ‘હાશ, આજે તેં મારા મન પરથી મોટો બોજ ઉતાર્યો. હવે હું નિરાંતે સૂઈ શકીશ.’

    ‘નીતીશ, તારું એગ્રીકલ્ચરનું અને મારું માર્કેટીંગ નું ભણતર હવે આપણે ખેતીનું આધુનિકીકરણ કરવામાં કામે લગાડીશું. ઓન લાઈન માર્કેટીંગનો ઓપ્શન વિચારવા જેવો છે. રાગી અને કિનોવાના ઑર્ડર તો અત્યારથી મળવા માંડ્યા છે.’

    ‘તારા સાથથી મને નવું બળ મળ્યું છે ગાર્ગી. હવે મને લાગે છે કે, આપણે કંઈક અર્થસભર કામ કરવા અહીં આવ્યાં છીએ. આપણે ઘણાં લોકોને રોજી- રોટી આપી શકીશું.’

    ‘તારો ખૂબ આભાર ગાર્ગી,..’ ખુશ થઈને નીતીશ આગળ કંઈ કહેવા જાય ત્યાં અવાજ આવ્યો, ‘ટ્વિચ, ટ્વિચ’

    બંને ખુશ થઈને એક સાથે બોલી ઊઠ્યા, ‘અરે, આ તો કલ્લી.’


    (શ્રધ્ધા થવાઈતની હિંદી વાર્તાને આધારે)


    સૌજન્ય: ભૂમિપુત્ર


    સુશ્રી આશાબેન વીરેન્દ્રનો સંપર્ક avs_50@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • મોહમ્મદ રફી – ૧૯૪૬ – ૧૯૮૦ :: ૩૫ વર્ષોઃ ૩૫ ગીતો – [ ૩ ] : ૧૯૬૮ થી ૧૯૮૦

    મોહમ્મદ રફી – જન્મ શતાબ્દી વર્ષ યાદોની સફર તેમનાં ગીતોને સહારે

    શિવનંદમ પાલમડાઈ

    ૧૯૬૮ – લિખે જો ખત તુઝે વો તેરી યાદમેં હજારો રંગ કે નઝારે બન ગયે – કન્યાદાન – શંકર જયકિશન – નીરજ – શશી કપૂર

    શૈલેન્દ્રના નિધન પછીના વર્ષોનાં આ ગીતમાં હવે નીરજ ગીતકાર તરીકે આવી ગયા છે.

    જોકે શંકર જયકિશનની હવે ‘લાઉડ’ થતી જણાતી શૈલીની સાથે મોહમ્મદ રફીની ઊંચા સ્વરમાં અદાયગી હજુ પણ મહદ અંશે કર્ણપ્રિય રહી છે.

    ૧૯૬૯ – તેરી આંખોંકે સિવા ઈસ દુનિયામેં રખા ક્યા હૈ – ચિરાગ – મદન મોહન – મજરૂહ સુલ્તાનપુરી – સુનીલ દત્ત

    મદન મોહનની ધુનને મોહમ્મદ રફીએ પોતાની આગવી શૈલીમાં રજૂ કરી છે. ‘ઈનમેં મેરે આનેવાલે’ કે ‘આંખોં કે’ સમયે અલગ જ લહેકો ‘ર..ખ્ખા’  અને ‘ક્યા હૈ ‘ વચ્ચે થોડું અંતર જેવી હરક્તો રફીની આગવી પહેચાન બની ચુક્યાં હતાં.

    ૧૯૭૦ – તુમ સે કહું એક બાત પરોંસે હલકી હલકી – દસ્તક – મદન મોહન – મજરૂહ સુલ્તાનપુરી – સંજીવ કુમાર

    પ્રેમીકાના છેક હોઠ પાસે લાવીને બોલાતા ગીતના શબ્દો બહાર વરસાદની ઝરમરની અસરને વધારે આત્મીય અને માદક બનાવી રહે છે.

    આવો જ યાદગાર પ્રયોગ મદન મોહને ‘હીર રાંઝા’ (૧૯૭૦)નાં રફી – લતાનાં યુગલ ગીત મેરી દુનિયામેં તુમ આયે‘ (ગીતકારઃ કૈફી આઝમી) માં પણ કર્યો છે.

    ૧૯૭૧ – યે જો ચિલમન હૈ દુશ્મન હૈ હમારી – મેહબુબ કી મેંહદી – લક્ષ્મીકાન્ત પ્યારેલાલ – આનંદ બક્ષી – રાજેશ ખન્ના

    ‘આરાધના’ પછી પણ રાજેશ ખન્ના માટે રફીએ ગાયેલાં આ ગીતમાં રફીએ જે કુમાશથી ગીતની રજૂઆત કરી છે તે રફીના જ નહીં પણ રાજેશ ખન્નાના ચાહકોને પણ એટલી જ પસંદ પડી હતી.

    જોકે સંગીતકારોએ એક ગીત – મેરે દીવાનેપન કી દવા નહીં –  કિશોર કુમાર પાસે, તેમને અનુરૂપ શૈલીમાં, પણ ગવડાવવું પડ્યું છે.

    ૧૯૭૨ – એક ના એક દિન કહાની બનેગી તુ મેરે સપનોંકી રાની બનેગી – લક્ષ્મીકાન્ત પ્યારેલાલ – આનંદ બક્ષી – રાજેન્દ્ર કુમાર

    જયકિશનનાં અવસાન પછી રાજેન્દ્ર કુમાર માટે ગવાયેલાં ગીતોની શંકર જયકિશનની આગવી હથોટીનો વારસો જાણે લક્ષ્મીકાન્ત પ્યારેલાલ જાળવી રહ્યા છે !

    ૧૯૭૩ – તુમ જો મિલ ગયે હો તો યે યે લગતા હૈ કે જહાં મિલ ગયા હૈ – મદન મોહન – કૈફી આઝમી – નવીન નિશ્ચલ

    બદલતી જતી લય, દરેક લયમાં  પરદા પરની સીચ્યુએશનને જીવંત કરતી ગાયકી જેવા મદન મોહને કરેલા અદ્‍ભૂત પ્રયોગોને મોહમ્મદ રફીએ એટલા જ અનોખા અંદાજમાં રજુ કરેલ છે.

    https://www.youtube.com/watch?v=7cQaLY4sUDo

    ૧૯૭૧ – તેરી ગલીયોંમેં ન રખેંગે કદમ – હવસ – ઉષા ખન્ના – સાવન કુમાર – અનિલ ધવન

    ઉષા ખન્ના તેમની કારકિર્દીની ૧૯૫૯ થી કરેલી શરૂઆતથી મોહમ્મદ રફી પાસે ઘણાં યાદગાર ગીતો ગવડાવ્યાં છે. મહેમઉદ જેમાં હીરો છે એવી ફિલ્મ, લગભગ ‘બી’ ક્લાસની ફિલ્મ શબનમ (૧૯૬૪)માં પણ તેમણે રફીના સ્વરમાં મૈને રખા હૈ મોહબ્બત અપને અફસાને કા નામ અને યે તેરી સાદગી યે તેરા બાંકપન જેવાં યાદગાર ગીતો આપ્યાં છે.

    ૧૯૭૫ – દૂર રહ કર ન કરો બાત કરીબ આ જાઓ – અમાનત – રવિ – સાહિર લુધિયાનવી – મનોજ કુમાર

    મનોજ કુમાર જ્યારે મહેન્દ્ર કપૂર કે મુકેશના જ સ્વરોમાં ગીત ગાતા એવા બદલી ગયેલા સમયમાં પણ રવિ, તેમના સાહિર લુધિયાનવી સાથેના સુવર્ણ કાળને છાજે એવી રચના મોહમ્મદ રફીના સ્વરમાં રજૂ કરે છે.

    ૧૯૭૬ – બરબાદ – એ – મોહબ્બત કી દુઆ સાથ લે જા, ટૂટા હુઆ ઈકરાર – એ – વફા સાથ લે જા – લૈના મજ઼નુ – મદન મોહન – સાહિર લુધિયાનવી – ઋષિ કપૂર

    મદન મોહન (૧૯૨૪), સાહિર લુધિયાનવી (૧૯ર૧) અને મોહમ્મદ રફી (૧૯૨૪) ઋષિ કપૂરથી ખ્ખાસી એક આખી પેઢી આગળના છે. પણ તેમનાં સંગીતને ઉમરની આવી દિવાલો નડતી નથી !

    ૧૯૭૭ – કહીં એક માસુમ નાજ઼ુક સી લડકી બહુત ખુબસુરત મગર સાંવલી સી … મુઝે આપને ખ્વાબોં કી બાહોંમેં પાકર કભી નિંદમેં તો મુસ્કરાતી તો હોગી – શંકર હુસ્સૈન – ખય્યામ – કમાલ અમરોહી – કંવલજીત

    ઉમદા શરાબ જેમ જૂનો થાય તેમ વધુ મુલાયમ બને અને વધુ અસરકારક બને એમ જ ખય્યામ તેમની બીજી ઇનિંગ્સમાં એમની જ ઉમરના શ્રોતાઓને પણ પોતાની ઉમર ભુલાવી દે એવી રચના સર્જે છે !

    ૧૯૭૮ – હમમેં હૈ ક્યા કે હમેં કોઈ હસીના ચાહે … સિર્ફ જજ઼બાત હૈ જજ઼બાતમેં ક્યા રખા હૈ – નવાબ શૈખ – સી અર્જુન – સાહિર લુધિયાનવી – પરિક્ષિત સાહની

    આ આખી શ્રેણીમાં આ એક ગીત એવું છે જેની ફિલ્મ અને ગીત કદાચ સાવ અજાણ્યાં કહી શકાય. જોકે સંગીતકાર, ગીતકાર, ગાયક અને અબિનેતા બહુ જાણીતા છે. સી અર્જુન જેવા પ્રતિભાશાળી સંગીતકાર અને સાહિર જેવા શાયરની રચના હોવાને કારણે આ ગીત હવે લુપ્ત થતાં જતાં માધુર્યમાં મીઠી વીરડી સમાન લાગે છે.

    મોહમ્મદ રફીનો સ્વર કેટલો યુવાન લાગે છે !

    ૧૯૭૯ – ખુશ્બુ હું મૈં ફૂલ નહીં હું જો મુર્જાઉંગા…જબ જબ મૌસમ લહેરાયેગા મૈં આ જાઉંગા – શાયદ – માનસ મુખર્જી – નિદા ફાઝલી – નસીરૂદ્દીન શાહ

    આ ગીતના સંગીતકાર ખરા અર્થમાં નવી પેઢીના કહી શકાય. જોકે માનસ મુખર્જીની પ્રતિભાની પુરી ઓળખ થાય તે પહેલાંતો, ૪૩ વર્ષની વયે, તેઓ આ દુનિયા છોડી ગયા. તેમનાં સંતાનો, શાન અને સાગરિકાને શ્રોતાઓની નવી પેઢીએ ગાયકો તરીકે બહુ નવાજ્યાં.

    આ ગીતના બીજા જૉડીયા ભાગમાં મોહમ્મદ રફીની સાથે સાગરિકા પણ સાથ આપે છે.

    અહીં મુકેલ લિંક વડે  બન્ને ભાગને ઑડીયો સ્વરૂપે સાંભળી શકાય છે.

    ૧૯૮૦ – મૈંને પૂછા ચાંદ સે કે દેખા હૈ મેરે યાર સા હસીન, ચાંદને કહા ચાંદનીકી કસમ નહીં નહીં નહીં – અબ્દુલ્લાહ – આર ડી બર્મન – આનંદ બક્ષી – સંજય ખાન

    મોહમ્મદ રફી સાથે આર ડી બર્મનનું આ છેલ્લું ગીત કહી શકાય. આર ડી અને રફીના વ્યવસાયિક સંબંધો વિશે જે પણ કંઇ કહેવાતું રહ્યું છે તે દરેક વાતને આ બન્નેએ જે ગીતો આપ્યાં છે તે સાવ તથ્યવિહિન સાબિત કરતાં હોય તેવું લાગે.

    પાદનોંધ :

    મોહમ્મદ રફીના ગીતોની યાદીમાં ૧૯૯૭ સુધીનાં ગીતો જોવા મળે છે. આવાં ગીતોની સંખ્યા પાછી ૧૮૮ જેટલી છે. બધાં ગીતો એવાં હશે કે જે રેકોર્ડ પહેલાં થયાં હશે, પણ એ ફિલ્મો મોડેથી રજૂ થઈ હશે.

    આ લેખનો ઉપક્રમ મોહમ્મદ રફીનાં ખરેખર સક્રિય વર્ષોમાંથી કેટલાં ગીતોને પસંદ કરવાનો માત્ર છે. એટલે જે અને જેટલાં ગીતો અહીં મુક્યાં છે તેના કરતાં આ દરેક વર્ષે અનેક ગીતોને અહીં મુકી શકાય તેમ છે.

    આશા કરીએ કે મોહમ્મદ રફીના બીજા ચાહકો પાસેથી આવા રસથાળનો લાભ આપણને મળતો રહેશે.


    મોહમ્મદ રફીની જન્મ શતાબ્દીની ઉજવણી રૂપે સોંગ્સ ઑફ યોર પર પ્રકાશિત લેખ Rafi’s Centenary Special: 35 songs from 35 years (1946-1980)નો આંશિક અનુવાદ

    અનુવાદ: અશોક વૈષ્ણવ

  • ફિલ્મી ગઝલો – ૫૫. પંડિત ફાની

    ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

    ભગવાન થાવરાણી

    પંડિત ગાફિલ પછી પંડિત ફાની.આ શબ્દ બેલડી કાન અને આંખને ભલે થોડી વિચિત્ર લાગે ( એક વિશુદ્ધ હિન્દી શબ્દ પછી તુરત ઉર્દૂ તખલ્લુસ ! ) પણ એ જ હિન્દુસ્તાની સંસ્કૃતિની ઓળખાણ છે.

    પંડિત ફાની વિષે પણ ખાસ વ્યક્તિગત જાણકારી ઉપલબ્ધ નથી. બસ એટલું કે ‘૪૦ અને ‘૫૦ માં દશકમાં એમણે ચાલીસેક ફિલ્મોમાં દોઢસો આસપાસ ગીતો લખ્યા. થોડીક ફિલ્મોના સંવાદો પણ. મોટાભાગની ફિલ્મો ગુમનામ જ રહી. આવી કેટલીક ફિલ્મો એટલે મીના, બંસરી બાલા, નન્હે મુન્હે, અપની ઇજ્જત, આઈના, ભગવાન શ્રીકૃષ્ણ, બીતે દિન, હમારી બેટી, રૂપયે કી કહાની, તુલસી, રંગીન ઝમાના, રંગભૂમિ, નારી અને કીર્તિ વગેરે. એમણે લખેલી ગઝલોમાંની બે પ્રસ્તુત છે :

    મિસ્લે ખયાલ આયે થે આકાર ચલે ગયે
    દુનિયા હમારે ગમ કી બસા કર ચલે ગયે

    ફૂલો કી આસ જિન સે જગાએ હુએ થે હમ
    કાંટે વો રાસ્તે મેં બિછા કર ચલે ગયે

    આઈ ન થી હમારે ચમન મેં બહાર ભી
    વો આગ આશિયા મેં લગા કર ચલે ગયે

    ભૂલે સે ભી કભી ન જિન્હેં હમ ભૂલા સકે
    દિલ સે હમે વો અપને ભૂલા કર ચલે ગયે..

    –  ફિલ્મ : આઈના ૧૯૪૪

    – કલ્યાણી

    – ગુલશન સુફી

     

    મુહબ્બત ભી જુઠી ઝમાના બી જુઠા
    મહોબ્બત કા હૈ યે ફસાના ભી જુઠા

    અદાએં ભી જુઠી વફાએં ભી જુઠી
    યે સબ રુઠ જાના મનાના બી જુઠા

    કહાં કા યે દિલ ઔર કૈસી મોહબ્બત
    અરે દિલ કા આના ભી, જાના ભી જુઠા

    જુદા હોના મિલના હૈ ઇસકા બરાબર
    યે રોના ભી જૂઠા હંસાના ભી જુઠા..

    –  ફિલ્મ : હમારી બેટી ૧૯૫૦

    –  મુકેશ

    – સ્નેહલ ભાટકર


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • વનવૃક્ષો : સીસમ

    ગિજુભાઈ બધેકા

    મારા ઘરમાં એક પેટી હતી. તે ઘણાં બધાં ખાનાંવાળી હતી, અને તેના ઉપર સુંદર સુંદર નક્શી હતી. એ પેટી સીસમની હતી.

    જેમ સુખડમાં નક્શીકામ થાય છે તેમ સીસમમાં પણ નક્શીકામ થાય છે. એક પાટીદારના ઘરની આખી છત સીસમના લાકડાની ભરપૂર કોતરણીવાળી હતી. કેટલાંય વર્ષની તે હતી, છતાં તે નવા જેવી જ લાગતી હતી. કેમકે સીસમનું લાકડું જેવું ને તેવું રહે છે; ઝટ જૂનું થતું નથી, અને એને કીડા પણ લાગતા નથી.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    જૂના લોકો પથ્થરમાં તેમ જ સીસમના લાકડામાં કારીગરીને સરસ રીતે સાચવી રાખતા હતા.

    કોઈના જૂના ઘરમાં જઈને હંમેશાં સીસમના ઇસ્કોતરાની તપાસ કરવી; ઘણા જૂના કારીગરોએ આગળ ઉપર એવા ઇસ્કોતરા બનાવેલા છે. મેં ઉપર કહ્યું તેમ એવો એક ઇસ્કોતરો મારા ઘરમાં હતો.

    થોડા વખત પહેલા મેં બાળકો માટે ચાર દાંડિયા સીસમના કરાવ્યા હતા, પણ તે તો ઝટ લઈને તૂટી ગયા. મને પાછળથી માલૂમ પડ્યું કે સીસમનું લાકડું ૪૦-૫૦ વર્ષ પછી મજબૂત થાય છે. કોઈએ કાચું લાકડું કાપ્યું હશે ને તેમાંથી દાંડિયા કર્યા હશે એટલે એ તૂટી ગયા. ખરું પૂછો તો સીસમનું લાકડું સારું ને જૂનું હોય તો તેનાં પાટિયાં લોખંડ જેવાં મજબૂત નીકળે છે.

    સારું સીસમ ઘણે વખતે પાકે છે, એટલે તે મોંઘું પડે છે. એટલે હાલના ઉપલકિયા લોકો જેવાં તેવાં બીજાં લાકડાંનાં ફરનિચર ઉપર સીસમનો રંગ કરી ખુરશીટેબલ વગેરે ફરનિચર સીસમના જેવાં બનાવે છે. પણ એમ કર્યે કાંઈ સાચા સીસમની તોલે આવે? અસલ તે અસલ, ને રંગ તે રંગ!

    સીસમનું લાકડું કંઈક અબનૂસ જેવું કાળું હોય છે. પણ કદાચ એટલું બધું તો નહિ; પણ માણસ જ્યારે કાળે રંગે હોય છે ત્યારે ઘણી વાર લોકો એમ કહે છે કે “આ તો કાળો સીસમ જેવો છે.”

    પણ સીસમથી કાળું અબનૂસ છે અને અબનૂસથી કાળો આફ્રિકાનો ‘નુબી’ નામની જાતનો વતની છે. આફ્રિકામાં જ્યારે હું નુબી લોકોને જોતો ત્યારે મને તેલ ચોપડેલી સીસમની લાકડી સાંભરતી.

    તમે સીસમની લાકડી ઉપાડી જોશો તો માલૂમ પડશે કે બીજી લાકડીઓથી તે ભારે છે. દેવદારનું લાકડું ખૂબ હળવું છે તો સીસમનું લાકડું ખૂબ ભારે છે.

    કેટલાંક મોટાં ઝાડો જેમ પર્વતો ઉપર થાય છે તેમ સીસમ પણ સહ્યાદ્રિ ઉપર ઠીકઠીક થાય છે. મલબારમાં પણ એની ઉત્પત્તિ સારી છે. આપણા ગુજરાત-કાઠિયાવાડમાં સીસમનું ઝાડ છે કે નહિ તે હું જાણતો નથી. પણ તમે કોઈ જાણતા હો તો મને લખી જણાવજો.

    મારી પાસે બેઠેલી એક છોકરી કહે છે: “સીસમ શબ્દ સીદી ઉપરથી આવ્યો હશે.”

    પણ એ વાત ખોટી લાગે છે. આફ્રિકામાં એ ઝાડ થાય છે કે નહિ એ માલૂમ નથી, પણ યુરોપમાં તો થાય છે. લૅટિનમાં તેનું નામ ‘ડાલ વર્જીયા ટ્રી ફોલિયા’ છે. કેવડું મોટું નામ ? લૅટિન ભાષાના બધા શબ્દો આવડા મોટા હોય તો તો બોલવામાં બહુ ભારે પડે, ને મોઢું પણ દુખે!

    આપણે સીસમ શબ્દ ઠીક છે.


    માહિતી સ્રોત : વિકિસ્રોત


    વધારે માહીતી માટે:

    સીસમ (સીસુ)  : ગુજરાતી વિશ્વકોશ