-
ફિલ્મી ગઝલો – ૫૫. પંડિત ફાની
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
પંડિત ગાફિલ પછી પંડિત ફાની.આ શબ્દ બેલડી કાન અને આંખને ભલે થોડી વિચિત્ર લાગે ( એક વિશુદ્ધ હિન્દી શબ્દ પછી તુરત ઉર્દૂ તખલ્લુસ ! ) પણ એ જ હિન્દુસ્તાની સંસ્કૃતિની ઓળખાણ છે.
પંડિત ફાની વિષે પણ ખાસ વ્યક્તિગત જાણકારી ઉપલબ્ધ નથી. બસ એટલું કે ‘૪૦ અને ‘૫૦ માં દશકમાં એમણે ચાલીસેક ફિલ્મોમાં દોઢસો આસપાસ ગીતો લખ્યા. થોડીક ફિલ્મોના સંવાદો પણ. મોટાભાગની ફિલ્મો ગુમનામ જ રહી. આવી કેટલીક ફિલ્મો એટલે મીના, બંસરી બાલા, નન્હે મુન્હે, અપની ઇજ્જત, આઈના, ભગવાન શ્રીકૃષ્ણ, બીતે દિન, હમારી બેટી, રૂપયે કી કહાની, તુલસી, રંગીન ઝમાના, રંગભૂમિ, નારી અને કીર્તિ વગેરે. એમણે લખેલી ગઝલોમાંની બે પ્રસ્તુત છે :
મિસ્લે ખયાલ આયે થે આકાર ચલે ગયે
દુનિયા હમારે ગમ કી બસા કર ચલે ગયેફૂલો કી આસ જિન સે જગાએ હુએ થે હમ
કાંટે વો રાસ્તે મેં બિછા કર ચલે ગયેઆઈ ન થી હમારે ચમન મેં બહાર ભી
વો આગ આશિયા મેં લગા કર ચલે ગયેભૂલે સે ભી કભી ન જિન્હેં હમ ભૂલા સકે
દિલ સે હમે વો અપને ભૂલા કર ચલે ગયે..– ફિલ્મ : આઈના ૧૯૪૪
– કલ્યાણી
– ગુલશન સુફી
મુહબ્બત ભી જુઠી ઝમાના બી જુઠા
મહોબ્બત કા હૈ યે ફસાના ભી જુઠાઅદાએં ભી જુઠી વફાએં ભી જુઠી
યે સબ રુઠ જાના મનાના બી જુઠાકહાં કા યે દિલ ઔર કૈસી મોહબ્બત
અરે દિલ કા આના ભી, જાના ભી જુઠાજુદા હોના મિલના હૈ ઇસકા બરાબર
યે રોના ભી જૂઠા હંસાના ભી જુઠા..– ફિલ્મ : હમારી બેટી ૧૯૫૦
– મુકેશ
– સ્નેહલ ભાટકર
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
વનવૃક્ષો : સીસમ

મારા ઘરમાં એક પેટી હતી. તે ઘણાં બધાં ખાનાંવાળી હતી, અને તેના ઉપર સુંદર સુંદર નક્શી હતી. એ પેટી સીસમની હતી.
જેમ સુખડમાં નક્શીકામ થાય છે તેમ સીસમમાં પણ નક્શીકામ થાય છે. એક પાટીદારના ઘરની આખી છત સીસમના લાકડાની ભરપૂર કોતરણીવાળી હતી. કેટલાંય વર્ષની તે હતી, છતાં તે નવા જેવી જ લાગતી હતી. કેમકે સીસમનું લાકડું જેવું ને તેવું રહે છે; ઝટ જૂનું થતું નથી, અને એને કીડા પણ લાગતા નથી.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી જૂના લોકો પથ્થરમાં તેમ જ સીસમના લાકડામાં કારીગરીને સરસ રીતે સાચવી રાખતા હતા.
કોઈના જૂના ઘરમાં જઈને હંમેશાં સીસમના ઇસ્કોતરાની તપાસ કરવી; ઘણા જૂના કારીગરોએ આગળ ઉપર એવા ઇસ્કોતરા બનાવેલા છે. મેં ઉપર કહ્યું તેમ એવો એક ઇસ્કોતરો મારા ઘરમાં હતો.
થોડા વખત પહેલા મેં બાળકો માટે ચાર દાંડિયા સીસમના કરાવ્યા હતા, પણ તે તો ઝટ લઈને તૂટી ગયા. મને પાછળથી માલૂમ પડ્યું કે સીસમનું લાકડું ૪૦-૫૦ વર્ષ પછી મજબૂત થાય છે. કોઈએ કાચું લાકડું કાપ્યું હશે ને તેમાંથી દાંડિયા કર્યા હશે એટલે એ તૂટી ગયા. ખરું પૂછો તો સીસમનું લાકડું સારું ને જૂનું હોય તો તેનાં પાટિયાં લોખંડ જેવાં મજબૂત નીકળે છે.
સારું સીસમ ઘણે વખતે પાકે છે, એટલે તે મોંઘું પડે છે. એટલે હાલના ઉપલકિયા લોકો જેવાં તેવાં બીજાં લાકડાંનાં ફરનિચર ઉપર સીસમનો રંગ કરી ખુરશીટેબલ વગેરે ફરનિચર સીસમના જેવાં બનાવે છે. પણ એમ કર્યે કાંઈ સાચા સીસમની તોલે આવે? અસલ તે અસલ, ને રંગ તે રંગ!

સીસમનું લાકડું કંઈક અબનૂસ જેવું કાળું હોય છે. પણ કદાચ એટલું બધું તો નહિ; પણ માણસ જ્યારે કાળે રંગે હોય છે ત્યારે ઘણી વાર લોકો એમ કહે છે કે “આ તો કાળો સીસમ જેવો છે.”
પણ સીસમથી કાળું અબનૂસ છે અને અબનૂસથી કાળો આફ્રિકાનો ‘નુબી’ નામની જાતનો વતની છે. આફ્રિકામાં જ્યારે હું નુબી લોકોને જોતો ત્યારે મને તેલ ચોપડેલી સીસમની લાકડી સાંભરતી.
તમે સીસમની લાકડી ઉપાડી જોશો તો માલૂમ પડશે કે બીજી લાકડીઓથી તે ભારે છે. દેવદારનું લાકડું ખૂબ હળવું છે તો સીસમનું લાકડું ખૂબ ભારે છે.
કેટલાંક મોટાં ઝાડો જેમ પર્વતો ઉપર થાય છે તેમ સીસમ પણ સહ્યાદ્રિ ઉપર ઠીકઠીક થાય છે. મલબારમાં પણ એની ઉત્પત્તિ સારી છે. આપણા ગુજરાત-કાઠિયાવાડમાં સીસમનું ઝાડ છે કે નહિ તે હું જાણતો નથી. પણ તમે કોઈ જાણતા હો તો મને લખી જણાવજો.
મારી પાસે બેઠેલી એક છોકરી કહે છે: “સીસમ શબ્દ સીદી ઉપરથી આવ્યો હશે.”
પણ એ વાત ખોટી લાગે છે. આફ્રિકામાં એ ઝાડ થાય છે કે નહિ એ માલૂમ નથી, પણ યુરોપમાં તો થાય છે. લૅટિનમાં તેનું નામ ‘ડાલ વર્જીયા ટ્રી ફોલિયા’ છે. કેવડું મોટું નામ ? લૅટિન ભાષાના બધા શબ્દો આવડા મોટા હોય તો તો બોલવામાં બહુ ભારે પડે, ને મોઢું પણ દુખે!
આપણે સીસમ શબ્દ ઠીક છે.
માહિતી સ્રોત : વિકિસ્રોત
વધારે માહીતી માટે:
-
યાયાવર પક્ષીઓનો ઋતુપ્રવાસ
ફરી કુદરતને ખોળે
જગત કીનખાબવાલા
ઋતુપ્રવાસ ઉપર નીકળતા પક્ષીઓની દુનિયા ખુબજ અલગ પ્રકારની રચના છે. જીવશ્રુષ્ટિના વિવિધ જીવમાં ઋતુપ્રવાસ એ તેમની જિંદગી અને ભવિષ્ય માટે જરૂરી હોય છે જેના વિના તેમનું જીવન શક્ય નથી બની રહેતું.
ખાસ કરીને લાંબા પ્રવાસ થકી દેશદેશાવર જતા યાયાવર પક્ષીઓનો પ્રવાસ તેઓના અસ્તિત્વ માટે વિસ્મયકારક, મોહક અને આકર્ષક ઘટમાર કુદરતે રચેલી છે. દરેક વર્ષે બે વખત વસંત ઋતુ તેમજ પાનખર ઋતુમાં પોતાના એક વતનથી બીજા વતન સુધી જવા માટે અસંખ્ય પક્ષીઓ ખુબ લાંબા પ્રવાસે અનુકૂળ વાતાવરણ માટે નીકળી પડે છે. તેઓ પોતાના નિશ્ચિત બીજા વાતને લગભગ નિર્ધારિત સમયમાં પહોંચી જાય છે.

પક્ષીઓ અનુકૂળ વાતાવરણ, ખોરાક અને પ્રજનનનો અનુકૂળતા મેળવવા માટે આવા લાંબા અને જોખમી પ્રવાસ કરતા હોય છે. વધારે પડતા ઠંડા પ્રદેશમાં તેમનું જીવવું અને ખોરાક મેળવવું એમ બંને અશક્ય બનતા હોય છે. શિયાળુ પ્રદેશમાંથી પોતાને અનુકૂળ હુંફાળા પ્રદેશમાં જાય છે અને ફરીથી ઋતુ બદલાય તેટલે પોતાના સાથીઓ સાથે પાછા પોતાના શિયાળુ વતન તરફ પાછા નીકળી પડે છે.

Bar-tailed Godwit પક્ષીઓમાં ત્રણ વર્ગ છે. પહેલા વર્ગમાં સ્થાનિક પક્ષી જે લાંબો પ્રવાસ નથી કરતાં. બીજા વર્ગમાં લાંબો પ્રવાસ કરનારા પક્ષી હોય છે અને ત્રીજા વર્ગમાં તેમના ઝુંડના કેટલાક પક્ષી લાંબા પ્રવાસે જાય છે તો કેટલાક નથી પણ જતા. ઋતુપ્રવાસવાળા પક્ષી અને સ્થાનિક પક્ષીના શરીરની રચના અને શારીરિક તાકાત કુદરતે અલગ અલગ રચેલી છે અને જે પક્ષી લાંબા પ્રવાશે જાય છે તેઓને શારીરિક રચના, હાડકાનું માળખું, આંખોનું તેજ, દિશાનું જ્ઞાન અને માનસિક ક્ષમતા બીજા પક્ષીઓ કરતાં આગવી હોય છે જે તેમને લાંબા પ્રવાસ માટે ઉપયોગમાં આવે છે.
પૃથ્વીના ઉત્તર ભાગના, ખુબજ ઠંડા પ્રદેશના પક્ષી, ઠંડી શરુ થતા પહેલા શારીરિક ક્ષમતા કેળવી પૃથ્વીના દક્ષિણ ભાગ તરફ જતા હોય છે. આ સમયમાં તેઓના શરીરનું વજન વધતું હોય છે. ભારતમાં હિમાલયના ઉપરના ખુબજ ઠંડા પ્રદેશમાંથી પક્ષીઓ દક્ષિણ ભારત, મધ્ય ભારત અને પશ્ચિમ ભારત તરફ પોતાના બીજા વતનમાં જતા હોય છે અને પોતાના ઉનાળુ વતનમાં ગરમીનો સમય શરુ થાય ત્યારે પાછા આવતા હોય છે.
ઉનાળુ વતનમાં ફૂલ, પાંદડા, જીવાત વગેરે ખોરાક તેમજ પ્રજનન કરી માળો બાંધી, બચ્ચાને ઉછેરીને પાછા પોતાના ઉનાળુ વતનમાં જવું તે તેમનો જીવન ક્રમ હોય છે. આવા પ્રવાસ દરમ્યાન તેઓને ઘણી કઠિણાઈઓનો સામનો કરવાનો આવી શકે છે. વાતાવરણમાં તોફાન, એકાએક પડેલો વરસાદ અને આંધી, સૂર્યનું ઢંકાઈ જવું અને તે કારણે દિશા ભુલાઈ જવી જેવા વિઘ્નોનો સામનો કરવાનો આવે તો તેનો સામનો કરતાં હોય છે.
ભારતમાં પીળક/ ગોલ્ડન Oriol જેવા પક્ષી ચોમાસાના મુંબઈના ભારે વરસાદને છોડી, મધ્યા ભારત જતા રહે છે અને ત્યાર બાદ ચોમાસુ પૂરું થતાં સપ્ટેમ્બર મહિનામાં મુંબઈમાં પાછા આવી જાય છે.
બધા પક્ષીઓ ગણતરી પૂર્વક ઋતુપ્રવાસ શરુ કરતા પહેલા પોતાનો ખોરાક વધારી દે છે અને એનર્જી ભેગી કરી લે છે જેનો વપરાશ તેઓ લાંબા અંતરે ઉડતા હોય ત્યારે થતો હોય છે. આ માટે તેમને પ્રવાસ માટેની એનેર્જી કેટલી જોઈશે તેનો અંદાજ સારી રીતે હોય છે અને જરૂર કરતાં થોડી વધારે એનર્જી ભેગી કરી લેતા હોય છે. પ્રવાસમાં દરિયા ઉપરથી ઉડવાનું હોય ત્યારે લાંબા સમય સુધી દિવસ રાત સતત ઉડવું પડતું હોય છે અને તેવા સમયે તેમની એનેર્જી વધારે વપરાતી હોય છે.
ઉપરાંત રસ્તામાં તેમને જુદાજુદા પ્રકારના શિકારી પક્ષીનો ભય, રસ્તામાં ધુમ્મસ અને આંધી, દિશા નક્કી કરવા માટે સૂર્ય અને ચંદ્ર ન દેખાવા જેવા પ્રશ્નો ઉભા થતાં હોય છે. આવતા જુદા જુદા વિવિધ વિઘ્નોનો સામનો કરી, પોતાનું જીવનચક્ર ચાલુ રાખવા માટે ઋતુપ્રવાસ એ તેતેઓના જીવનનો અનિવાર્ય ભાગ છે. કુદરતની બક્ષેલી કાબેલિયત ઘણી ઉમદા છે, સૂર્યના ઉગવા અને આથમવા ઉપરથી તેઓ કઈ દિશામાં કેતુ જવાનું છે તે નક્કી કરતાં હોય છે. આમ તેમનો રોજિંદો પ્રવાસ સૂર્યોદય અને સૂર્યાસ્ત ઉપરથી નક્કી થતો હોય છે.
નાના અને મોટા પક્ષીઓ એક દિવસમાં એક સાથે ૩૦ કિલોમીટર થી લઈને ૨૫૦ કિલોમીટર ઉંડાણ ભરતાં હોય છે તેમજ પોતાના શરીરની વધારે એનર્જી ન વપરાય માટે પોતાની ક્ષમતા પ્રમાણે ૬૦૦ થી ૧૮૦૦ મીટર ઊંચે સતત ઉડતા હોય છે અને તે દરમ્યાન તેમને નીચે ક્યાં ક્યાં ખોરાક મળી રહ્યો છે તે એટલે ઊંચેથી નજર રાખી ખોરાક મેળવતા હોય છે. જાણેકે આખા રસ્તાનો નકશો તેઓ જાણતાં હોય છે.
કુદરતની આ રચના એટલી અજાયબ છે કે નવા જન્મેલા અને પહેલી વક્ષત ઋતુપ્રવાસ ઉપર નીકળેલા પક્ષીઓનું જ્ઞાન પણ આશ્ચર્ય પમાડે તેવું હોય છે.
નિશ્ચિત જગ્યાએ પહોંચીને ખોરાક, પાણી, માળા બનાવવા, ઈંડા મુકવા અને બચ્ચાને ઉછેરવાની સાવચેતી સાથેની પ્રક્રિયા કરીને પોતાના શિયાળુ વતનમાં અને પ્રશ્નોનો સામનો કરી, ક્યારેક ખુવારી પણ ભોગવી જીવન વ્યથિત કરતાં હોય છે.
આવા પક્ષીઓમાંથી કેટલાક ૩૫,૦૦૦ કિલોમીટર સુધીની લાંબી યાત્રા કરતાં હોય છે.
આવું ઋતુપ્રવાસી એક આગવું પક્ષી ફ્લેમિંગો/ સુરખાબ એ ગુજરાત રાજ્યના પક્ષી પ્રતીક/ સ્ટેટ બર્ડ છે જે ઋતુપ્રવાસ કરી ભારતમાં શિયાળામાં આવે છે અને દર વર્ષે ચોક્કસ અને નિયત જગ્યાએ પહોંચી જતા હોય છે. તેઓ અહીં ઈંડા મૂકે છે, બચ્ચાને ઉછેરે છે અને ત્યાર બાદ પાછું પોતાના વિદેશના ઉનાળા વતનમાં પાછું જાય છે. ભારતમાંથી મેં માસમાં વૈયા/ Rosy Pastors મધ્ય એશિયામાં બચ્ચા ઉછેરે છે અને સપ્ટેમ્બર મહિનાના આરંભમાં પાછા ભારતમાં પોતાના કાયમી સ્થાને પાછા આવી જાય છે.
ચમચાચાંચ/ Spoonbills તેમજ દસાડી/ આડ/ Coots પક્ષીની જાત એવી છે કે તેઓમાંના કેટલાક ઋતુપ્રવાસ કરે છે અને કેટલાક ઋતુપ્રવાસ નથી પણ કરતાં.
આ એક ઘહન અને રસપ્રદ વિષય છે જેના વિષે ઘણો અભ્યાસ થઇ રહ્યો છે અને ઘણી બધી નવી સમાજ બહાર આવી રહી છે.
*સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો*
* Love – Learn – Conserve*
લેખક:
જગત કીનખાબવાલા (સ્પેરો મેન)
https://www.facebook.com/jagat.kinkhabwala
ઇમેઇલ: jagat.kinkhabwala @gmail.com
Mob. No. +91 98250 51214 -
કુદરતના જોર આગળ નાણાંનું જોર પાછું પડે ત્યારે…
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
આત્યંતિક હવામાનના વધુ એક પરચારૂપે રણપ્રદેશ એવા દુબઈમાં એપ્રિલ, ૨૦૨૪માં એક જ દિવસમાં વરસી પડેલો ૧૫૪ મિ.મી. જેટલો અધધ વરસાદ. સામાન્ય રીતે દુબઈમાં આનાથી અડધી માત્રામાં વરસાદ સમગ્ર મોસમ દરમિયાન વરસતો હોય છે. છેલ્લે અહીં આવી ઘટના છેક ૧૯૪૯માં થઈ હતી. આટલો બધો વરસાદ આટલા ટૂંકા ગાળામાં વરસે એટલે જે થવું જોઈએ એ જ થયું. આખો વિસ્તાર જળબંબાકાર થઈ ગયો, કેમ કે, વર્ષ દરમિયાન સાવ ઓછી માત્રામાં વરસાદ પડતો હોવાથી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા અહીં ઊભી કરાઈ જ નથી. આથી આખેઆખું તંત્ર ખોરવાઈ ગયું. વિમાનીસેવાથી લઈને રોજબરોજના જીવન પર ગંભીર અસર થઈ. નુકસાનનો અંદાજ આવવો મુશ્કેલ છે, પણ એ કરોડો ડોલરમાં હોવાનું મનાય છે. આ ઘટનાએ વધુ એક વાર હવામાનની વિપરીતતા અને કુદરતી પરિબળોમાં માનવીય હસ્તક્ષેપ અંગેની ચર્ચા જગાવી છે.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી એક ધારણા અનુસાર આવા દેમાર વરસાદના મૂળમાં ‘ક્લાઉડ સીડિંગ’ નામની વરસાદની પ્રક્રિયાને વેગવંતી બનાવવાની ટેક્નોલોજીનો ઉપયોગ છે. આ ટેક્નોલોજી આકાશમાં રહેલાં વાદળને નિયંત્રીત કરે છે અને વરસાદને સમય કરતાં વહેલો કે વિલંબીત કરી શકે છે. હકીકત એ છે કે સંયુક્ત આરબ અમીરાતમાં આવેલું દુબઈ શહેર એક અજાયબ શહેર તરીકે છેલ્લાં થોડાં વરસોમાં વિકસી રહ્યું છે. બહુમાળી ઈમારતો, રસ્તા, વિમાની મથકો તેમજ અન્ય અનેક ક્ષેત્રે તેણે સ્થાપત્યકળાના બેનમૂન નમૂના સર્જ્યા છે, અને એ પણ સાવ ટૂંકા ગાળામાં. કહેવાય છે કે ઘણું બધું ઘણી ઝડપથી કરી લેવાની ઉતાવળમાં ઝીણવટભર્યું અનેક આયોજન ધ્યાનબહાર રહી ગયું છે. એ પૈકીનું એક આયોજન એટલે ઘણા વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલની પ્રણાલિનો અભાવ. વરસાદના અભાવવાળા અતિશય ગરમ અને સૂકા એવા આ વિસ્તારમાં એની જરૂર જણાઈ નહીં.
સંયુક્ત આરબ અમીરાતમાં ‘ક્લાઉડ સીડિંગ’ દ્વારા વરસાદ વરસાવવાની નવાઈ નથી. છેક ૧૯૮૦ના દાયકાથી અહીંના ‘નેશનલ સેન્ટર ઑફ મીટીયરોલોજી’ (એન.સી.એમ.) દ્વારા ‘યુ.એ.ઈ.રેઈન એન્હેન્સમેન્ટ પ્રોગ્રામ’ (યુ.એ.ઈ.આર.ઈ.પી.) અંતર્ગત ‘નેનો મટિરીયલ’ તરીકે ઓળખાતો, મીઠાના આવરણયુક્ત ટીટેનિયમ ઑક્સાઈડ ધરાવતો ‘સીડિંગ એજન્ટ’ વિકસાવવામાં આવ્યો છે. અલબત્ત, આ દુર્ઘટના માટે ‘ક્લાઉડ સીડિંગ’ જવાબદાર ન હોવાનું સત્તાવાળાઓ તેમજ નિષ્ણાતો ભારપૂર્વક કહી રહ્યા છે. તેઓ આને માટે હવામાન પરિવર્તનને કારણભૂત ગણે છે.
આ પ્રકારના બનાવ એકલદોકલ નથી, બલકે વિશ્વભરના વિવિધ પ્રદેશોમાં જોવા મળી રહ્યા છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર વૈશ્વિક તાપમાનમાં થઈ રહેલી વૃદ્ધિને કારણે વરસાદ વરસે તો એનું જોર વધુ હોય છે. સાવ સૂકા પ્રદેશમાં ધોધમાર વરસાદ અને વરસાદી વિસ્તારમાં દુષ્કાળની પરિસ્થિતિ ઘણે ઠેકાણે જોવા મળવા લાગી છે. દુબઈની ઘટના એ હકીકતને વધુ ગાઢ કરે છે કે નાણાં, ટેક્નોલોજી કે સાહસવૃત્તિ ભલે અઢળક હોય, કુદરત રૂઠે ત્યારે એ કશું કામ નથી આવતું.
દુબઈમાં જે ધોધમાર વરસાદ વરસ્યો એ વાવાઝોડાની પ્રણાલિ સક્રિય થઈ હોવાને કારણે વરસ્યો, જે અરબી દ્વિપકલ્પ પરથી પસાર થઈને ઓમાનના અખાત તરફ આગળ વધતું હતું. ‘નાસા’ દ્વારા બહાર પાડવામાં આવેલી છબિઓમાં સામાન્ય રીતે સૂકા રહેતા આ પ્રદેશમાં પૂરે સર્જેલી ખાનાખરાબીનું પ્રમાણ જોવા મળ્યું. અનેક વિસ્તારોમાં પૂરનાં પાણી ફરી વળ્યાં છે.
લંડનની ‘ઈમ્પિરીયલ કૉલેજ’નાં વરિષ્ઠ વ્યાખ્યાતા ફ્રેડી ઓટ્ટોએ કહ્યું છે, ‘આપણે અશ્મિજન્ય ઈંધણને બાળવાનું બંધ કરવું પડશે અને આપણાં શહેરોનું આયોજન નવેસરથી કરવું પડશે. બધે જ કોન્ક્રીટ પાથરવાનું અટકાવવું પડશે. કેમ કે, આપણે ક્યાંય છિદ્રાળુ સપાટી રહેવા દીધી નથી કે જેને કારણે પાણી જમીનમાં શોષાઈ જાય. આને કારણે સડક સાવ ટૂંકા ગાળામાં નદીમાં પરિવર્તીત થઈ જાય છે. સરવાળે આ આખું આયોજન મોતની જાળ રચે છે, જેને કારણે મૃતકાંક વધે છે.
આપણે વિચારવાનું એ છે કે દુબઈ જેવા અતિ ધનવાન અને વિકસીત દેશમાં આ સ્થિતિ થઈ શકતી હોય તો આપણા જેવા દેશમાં આવું કંઈક થાય તો શી હાલત થાય? હવામાન પરિવર્તન અનેક સ્વરૂપે પોતાના પરચા દેખાડી રહ્યું છે. આપણા દેશમાં પણ આ પ્રકારે મર્યાદિત સમયમાં વરસાદ વરસી જવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે- ખાસ કરીને હિમાલયના પહાડી વિસ્તારોમાં. આમ છતાં, વિકાસની અવનવી યોજનાઓની ઘોષણાઓ થયે જાય છે. જે તીવ્ર દુર્ઘટનાઓ બની ગઈ એમાંથી કશો પાઠ શીખવાનું બાજુએ રહ્યું, એ સિફતપૂર્વક ભૂલાવી દેવામાં આવે છે. પર્યાવરણ પર વિપરીત અસર કરતા અનેક પ્રકલ્પો કે પરિયોજનાઓનો વિરોધ થાય છે તો પણ છેવટે એ ખાસ દબાણ પેદા કરી શકતો નથી.
હિમાલયની જૈવપ્રણાલિ આમ પણ અત્યંત નાજુક છે. તેની સાથે છેડછાડ જાનમાલનું ઘણું મોટું નુકસાન પહોંચાડી શકે છે. છેલ્લાં પાંચેક વરસમાં આ વિસ્તારમાં આની ઝલક આપતી વિવિધ દુર્ઘટનાઓ બની છે, છતાં એ બાબતે કશું વિચારાયું હોય એમ જણાતું નથી. નાગરિક તરીકે આ મામલે સાવ લાચારી અનુભવવી પડે એવી સ્થિતિ છે. તેમના ભાગે દુષ્પરિણામ ભોગવવા સિવાય ભાગ્યે જ કશું આવે છે. નીતિઘડતરના તબક્કે કશું કામ થતું જણાય તો નાગરિકો અશ્મિજન્ય ઈંધણના વિકલ્પના અમલ બાબતે કશું વિચારી શકે કે અમલ કરી શકે. નાગરિકોના કમનસીબે સરકારને મુખ્ય રસ નાણાંકીય આંકડામાં પડે છે. દુબઈના ઉદાહરણ પરથી એટલો બોધપાઠ લેવાય તોય ઘણું કે નાણાંના જોર કરતાં કુદરતનું જોર વધુ હોય છે.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૦૬ – ૦૬ – ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
પ્રસન્નતા તો પતંગિયાં જેવી છે
મંજૂષા
વીનેશ અંતાણી
વાયા ભારતીય લેખક રસ્કિન બોન્ડ મૂળ અંગ્રેજ પરિવારના. એમનો જન્મ પહાડી શહેર કસૌલીમાં થયો હતો. એમણે ભારતને પોતાનું વતન બનાવ્યું. વચ્ચે થોડાં વર્ષો બાદ કરતાં એમનું મોટા ભાગનું જીવન ભારતમાં પહાડોની વચ્ચે વીત્યું છે. અત્યારે પણ એ ઘણાં વર્ષોથી મસૂરીના એક ગામમાં રહે છે. નાનપણથી પહાડો સાથે બંધાયેલો સંબંધ જીવનભર ટક્યો છે. એ જાણે પહાડના અવિભાજ્ય અંગ બની ગયા છે! એમણે કહ્યું છે: ‘હું પહાડોનાં વૃક્ષો, ફૂલો અને ભેખડો – ખડકોનો કુટુંબીજન બની ગયો છું.’

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી સ્વાભાવિક રીતે એમણે મોટા ભાગનું લેખન પહાડોના સાંનિધ્યમાં કર્યું છે. એ કારણે એમની કૃતિઓમાં કુદરતી વાતાવરણની તાજગી, સુગંધ અને એક પ્રકારની હળવાશનો અનુભવ થાય છે. એમના વિપુલ સર્જનમાં બાળસાહિત્યથી માંડીને નવલકથા, વાર્તા, નિબંધો, કવિતા જેવાં સાહિત્યનાં વિવિધ સ્વરૂપોનો સમાવેશ થાય છે. પહાડોમાં વસતા લોકો સાથે રોજિંદા સંપર્કથી એમની લેખનશૈલી અને ઘટનાઓમાં સરળતા અને નિર્દોષતા માણી શકાય છે. કુદરતનાં તત્ત્વો સાથે એમનો ઘનિષ્ઠ અનુબંધ એમના શબ્દેશબ્દમાંથી નીતરે છે. એમની કથાઓ પરથી ‘ધ બ્લ્યૂ અમ્બ્રેલા’, ‘સાત ખૂન માફ’, ‘જૂનુન’ જેવી સુંદર ફિલ્મોનું નિર્માણ થયું છે.
ગયા મહિને – ઓગણીસમી મેના રોજ – એમણે નેવુંમા વર્ષમાં પ્રવેશ કર્યો. તે પ્રસંગે એમણે કહ્યું હતું : ‘હું નેવુંમા વર્ષમાં પ્રવેશ કરું છું ત્યારે મારે મને આ સવાલ અવશ્ય પૂછવો જોઈએ કે શું હું પ્રસન્ન અને ભરપૂર જીવન જીવ્યો છું? એનો જવાબ છે – હા, ક્યારેક ક્યારેક! અને જો તમે ‘ક્યારેક ક્યારેક’ પ્રસન્ન રહી શક્યા હો તો શક્ય છે કે બાકીના સમયમાં પણ પ્રસન્ન અને ભરપૂર જીવન જીવી શકશો.’
જીવનમાં પ્રસન્ન રહેવાની વાત સમજાવવા એ આપણને બાલ્યાવસ્થામાં લઈ જાય છે. કહે છે કે આપણે બાળક હોઈએ ત્યારે વારંવાર રડીએ છીએ. પછી સમય આવે છે સ્મિત અને કિલકારીઓનો. બાળકની કિલકારીઓ આ જગતનો સૌથી મીઠો અવાજ હોય છે. એવી કિલકારીઓમાંથી જ બાળક આ ‘મજેદાર’ દુનિયાની ખોજ કરવાનો આરંભ કરે છે. માણસને કોઈ પણ ઉંમરે બાળસહજ હાસ્યની જરૂર પડે છે. હાસ્ય માનવજાતને મળેલી બહુ મોટી ભેટ છે. ખાસ કરીને જીવનમાં આવતા મુશ્કેલ સમયમાં પણ આપણે હસી શકીએ, પ્રસન્ન રહી શકીએ, તો એ ભેટ વધારે મૂલ્યવાન બની જાય છે.
પ્રસન્નતાની વાત કરતાં કરતાં રસ્કિન બોન્ડની કલમમાંથી વિચારપ્રેરક સૂત્ર જેવું આ વાક્ય સરી પડે છે: ‘તમે સુખ – પ્રસન્નતાની પાછળ દોડશો નહીં તો એ સામે ચાલીને તમને મળશે.’ આ વાક્યને એમણે સુંદર દૃષ્ટાંત આપીને સ્પષ્ટ કર્યું છે: ‘તમે પતંગિયાને પકડવા એની પાછળ દોડશો તો એ ઊડી જશે, સ્થિર ઊભા રહેશો તો એ જાતે જ તમારા હાથ પર બેસી જશે.’ પછી ઉમેરે છે કે જીવનમાં હાસ્ય અને હળવાશને આકર્ષી શકીએ તો એ આપણા આત્માનો હિસ્સો બની જશે.
રસ્કિન બોન્ડ માને છે કે આપણે ચોવીસે કલાક પ્રસન્ન રહી શકીએ નહીં. પરંતુ થોડા સમય માટે તો ચોક્કસ ખુશ રહી શકીએ. દરેક નવો દિવસ, કશાકની નવી શરૂઆત, જીવનમાં આવતો દરેક નવો તબક્કો પ્રસન્નતાપૂર્વક માણતાં શીખવું જોઈએ.
એ પોતે પહાડોમાં વસતા હોવાથી એમને પહાડોના પ્રભાતનો અવર્ણનીય આનંદ માણવાનો લાભ મળ્યો છે. એમની દરેક સવાર સુંદર અને અલૌકિક વાતાવરણથી શરૂ થાય છે. કૂકડાનું કૂકડેકૂક અને પક્ષીઓના ચહેકાટ કાને પડતાં એમના દિવસનો આરંભ થાય છે ઘરની બારી ઉઘાડતાં જ ક્ષણેક્ષણે રંગ બદલતી ક્ષિતિજ અને પરોઢની શીતળ હવા એમના ચિત્તને પ્રસન્નતાથી ભરી દે છે. પરોઢનું અજવાળું ધીરેધીરે પહાડો પર, ઘરોનાં છાપરાં પર અને ખેતરો અને જંગલ પર ફેલાવા લાગે છે. ત્યાર પછી સૂરજ બધું પોતાના હાથમાં લઈ લે છે અને પૃથ્વી પરનું જીવન જીવંત થઈ ઊઠે છે.
શહેરોમાં રહેતા લોકોને પહાડોની વહેલી સવારનો લાભ ન મળે, પરંતુ શહેરીજનો પણ એમની રીતે નાનીનાની બાબતોમાંથી આનંદ મેળવી શકે. રસ્કિન બોન્ડ કહે છે તેમ શિયાળાની ઠંડીમાં તાપણાની આજુબાજુ બેઠેલાં પરિવારજનો સાથે માણેલી ક્ષણેક્ષણને આપણે આપણી ભીતર સંગોપી રાખીએ. ચોમાસામાં આકાશમાં આકાર બદલતાં વાદળો અને વરસાદનો આનંદ માણી શકાય. વહેલી સવારે ફરવા નીકળીએ ત્યારે આસપાસનાં વૃક્ષો, પક્ષીઓ, પ્રાણીઓ અને માણસોમાંથી કશુંક નવું જોઈ શકાય છે. રસ્કિન બોન્ડ કહે છે: ‘કોને ખબર છે – આજે આપણે જે રસ્તા પર ચાલ્યા એના પર ફરી ચાલવા મળશે કેમ?’
એમણે બીજી એક ખૂબ મહત્ત્વની વાત કહી છે – તમારાં સપનાંને કદીય વિલાવા ન દો. તમે કોઈ સપનું સેવ્યું હોય તો એને સાચું પાડવા સતત પ્રયત્નશીલ રહો. સપનાં તમને ટકાવી રાખશે. તમે સેવેલાં સપનાં સાકાર કરવાનો માર્ગ પ્રસન્ન જીવનયાત્રા બની રહે છે. પ્રસન્નતા બહુ રહસ્યમય બાબત છે. એ સાવ નજીવી બાબતો અને ખૂબ મોટી બાબતોની વચ્ચે ક્યાંક રહેલી હોય છે અને તે આપણે જાતે શોધવાની છે. હળવા રહી ન શકતા, ગીતો ગાતાંગાતાં નાચીકૂદી ન શકતા લોકો પ્રસન્ન રહી શકતા નથી.
રસ્કિને પોતાને પૂછેલો સવાલ આપણે પણ આપણી જાતને પૂછી શકીએ – હું ખુશ છું એથી નાચું છું કે નાચું છું એથી ખુશ રહું છું? હું ગીતો ગાઉં છું એથી મને આનંદ મળે છે કે હું ગાઈ શકું છું એ કારણે પ્રસન્ન રહું છું?’
શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
‘દિવ્ય ભાસ્કર’ની ‘રસરંગ’ પૂર્તિમાં લેખકની કૉલમ ‘ડૂબકી’માં આ લેખ પ્રકાશિત થયો હતો.
-
ઇકીરુ : જીવન ક્ષણભંગુર છે ગોરી, હોઠ પરનું રતુમડું સ્મિત કરમાય તે પહેલા પ્રેમ કરી લે.
સંવાદિતા
મૃત્યુ નજીક છે એ જાણી કેટલાક એ ક્ષણથી જ મરવાનું શરૂ કરી દે છે. કેટલાક ત્યારથી જીવવાનું શરૂ કરે.
ભગવાન થાવરાણી
ઉર્દુ લેખક કૃષ્ણ ચંદરની એક ટૂંકી વાર્તા છે ‘જામુન કા પેડ ‘.એમાં ભરરસ્તે એક ઝાડ પડી જાય છે અને એની હેઠળ એક માણસ દબાઈ જાય છે. લોકો ભેગા થઈ એ ઝાડ હટાવી એની નીચેથી પેલા માણસને કાઢવાનો પ્રયત્ન કરે છે ત્યાં એક ડાહ્યો માણસ વચ્ચે પડે છે. ‘ આ સરકારી ઝાડ છે. આપણાથી હટાવાય નહીં. સરકારના માર્ગ વિભાગને જાણ કરવી જોઈએ.’ માર્ગ વિભાગના અમલદાર કહે છે ‘ જાહેર બાંધકામના કાર્યક્ષેત્રમાં આવે આ મામલો.’ એ વિભાગ કહે છે કે આ મામલો બાગાયતી વિભાગ હેઠળ આવે અને એ લોકો આ રાજ્ય સરકારનો નહીં કેન્દ્ર સરકારનો વિષય છે એવું કહી વાતને આગળ ઠેલે છે.અંતે ‘ સક્ષમ ‘ વિભાગના માણસો ઘટના સ્થળે પહોંચે ત્યાં સુધીમાં પેલો માણસ મરી ચૂક્યો હોય છે !
મહાન જાપાનીઝ ફિલ્મ સર્જક અકીરા કુરોસાવાની ૧૯૫૨ ની જે ફિલ્મ ‘ ઇકીરુ ‘ (એટલે જીવવું )ની વાત આજે આપણે કરવાના છીએ એનો નાયક કાંજી વાતાનબે આવો એક ‘ સક્ષમ ‘ અધિકારી છે જે દરેક રીતે એક અક્ષમ જીવન જીવ્યો છે. એણે ત્રીસ વર્ષની નોકરીમાં એક પણ દિવસ રજા પાડી નથી પરંતુ એ ત્રીસેય વર્ષોમાં યંત્રવત ફાઈલો ઠેકાડવા અને મુલાકાતીઓને ભગાડીને અન્યત્ર મોકલવા સિવાય કોઈ કામ કર્યું નથી. એ વિધુર છે અને પોતાના દીકરા અને વહુ સાથે રહે છે જેમને, એમની નજીક આવી રહેલી નિવૃત્તિના નાણા સિવાય એમનામાં કોઈ દિલચશ્પી નથી.મ્યુનસિપાલીટીના વિભાગીય વડા તરીકે એમની પાસે શહેરની મહિલાઓનું એક પ્રતિનિધિ મંડળ આવે છે. શહેરની વચ્ચે મચ્છરોથી ઊભરાતા કાદવ કચરા વાળા એક મેદાનને બાળ ક્રિડાંગણમાં ફેરવવા માટે એ રજૂઆત કરવા આવ્યું છે. એમને આ સાહેબ એમ કહી ભગાડી મૂકે છે કે આ કામ એમના કાર્યક્ષેત્રમાં આવતું નથી. એમણે આખી નોકરીમાં જવાબદારીઓનો આમ જ ઉલાળીયો કર્યો છે.પેટની તકલીફ માટે વાતાનબે સાહેબ એકવાર ડોક્ટર પાસે જાય છે. પોતાના એક્સ રેના પરિણામની રાહ જોઈ બેઠેલા વાતાનબેને ત્યાં એક વાતોડીયો માણસ ભેટે છે. વાત વાતમાં એ માણસ એમને કહે છે ‘ ડોક્ટર સાહેબ જો તમને કહે કે તમને ગમે તે ખાવા પીવાની છૂટ છે એનો અર્થ એવો કરજો કે તમને કેન્સર છે અને હવે છ એક મહિનાથી ઝાઝું જીવવાનું નથી. ‘ ડોક્ટર ખરેખર તેમ જ કહે છે. એમને હોજરીનું કેન્સર છે અને હવે મુશ્કેલીથી જિંદગીના છએક મહિના બચ્યા છે.ખળભળી ઉઠેલા કાંજી ઘરે પહોંચી આ વાત એકના એક દીકરાને કરવાનો પ્રયત્ન કરે છે પણ એ કોઈ રસ દાખવતો નથી. એ બ્લેન્કેટ ઓઢી એકલા એકલા રડે છે અને દિવાલ ઉપર ટિંગાડેલ ” નોકરીના 25 વર્ષ સફળતાપૂર્વક પૂરા કર્યા નું પ્રમાણપત્ર ” એમને ઉપહાસથી જોઈ રહે છે !સ્વસ્થતા કેળવી એ નોકરી ઉપર જવાનું બંધ કરે છે અને ખિસ્સામાં 50,000 યેન ભરી જીવન ‘ માણવા ‘ નીકળી પડે છે. બાર, કેસિનો, કેબરે, સ્ટ્રીપ ટીઝ અને માનુનીઓના મેળાવડામાં ફરતાં એમને એક મનમોજી લેખક ભેટે છે. એ એમની જીવી લેવાની ઉતાવળ અને એના કારણો સમજે છે. એ જ્યારે એમને વધુ પડતો દારૂ ઢીંચતા રોકે છે ત્યારે જવાબમાં કાનજી કહે છે ‘ આ પીવું એ મારો મારી અત્યાર સુધીની જિંદગી સામે નોંધાવેલો પ્રતિરોધ છે. ‘ !એક પાર્ટીમાં એ પિયાનો વાદકને એક જૂનું ‘ ગોન્ડોલા ગીત ‘ વગાડવાની ફરમાઈશ કરે છે અને પછી પોતે જ એ ગણગણે છે. એમણે ગાયેલા ગીતમાં સમાયેલું દર્દ સાંભળી પાર્ટીમાં ઉપસ્થિત સૌ લોકો ચકિત રહી જાય છે !એમની જ ઓફિસમાં કામ કરતી એક સહકાર્યકર સ્ત્રી એમને મળવા આવે છે. એ નોકરીમાંથી રાજીનામું આપવા માંગે છે કારણ કે દોઢ વર્ષ નોકરી કરી એણે પોતાનો સમય વેડફ્યો હોય એવું એને લાગે છે. એ સ્ત્રીને રાજીનામાના પત્રમાં કાંજીની મંજૂરીની સહી જોઈએ છે. જીવનના સાક્ષાત ધબકાર સમ એ સ્ત્રી ચંચળ લીલીછમ અને સતત પ્રવૃત્તિશીલ છે. એને નોકરી છોડી બાળકો રમીને રાજી થાય એવા રમકડા બનાવવામાં બાકીની જિંદગી ખરચવી છે. ઓફિસના સહકાર્યકારો એની ગેરહાજરીમાં એની કેવી ઠેકડી ઉડાડે છે એ વાત જ્યારે એ સ્ત્રી કાંજીને કહે છે ત્યારે એ જવાબ આપે છે ‘ કોઈની ઘૃણા કરવી હવે મને પોસાય જ નહીં. મારી પાસે એટલો સમય જ ક્યાં છે ? ‘ . એ સ્ત્રીની ની જીવન સાથેની ઘનિષ્ઠ નિસ્બત જોઈને કાંજી ઉચ્ચારે છે ‘ મરતાં પહેલા ઓછામાં ઓછો એક દિવસ મારે તારી જેમ વ્યતીત કરવો છે.’કાંજીને લાગે છે કે મોજમજા એ વેડફાયેલા જીવનને ભરપાઈ કરવાનો સાચો ઉકેલ નથી. એને યાદ આવે છે,એના શહેરમાં ખરાબાની જમીનને બાળ ઉદ્યાનમાં ફેરવવા વિનંતી કરવા એક સ્ત્રીઓનું જૂથ આવેલું. એ મનોમન કંઈક નક્કી કરે છે. ઘણા દિવસ પછી ઓફિસે જાય છે અને મચ્છર અને ગંદકીથી ખદબદતી એ જગ્યાએ બગીચો બનાવવાની ઝુંબેશ શરૂ કરે છે. બધા ચકિત કે આ મુર્દામાં જીવ ક્યાંથી ! એ બધું અવગણી દોડાદોડી કરે છે, અન્ય વિભાગોનો સહકાર લે છે, ક્યાંક પોતાના કાર્યક્ષેત્રની ઉપરવટ પરાણે જાય છે અને બગીચાનું નિર્માણ શરૂ કરાવે છે.બગીચો પૂર્ણ થાય છે. એક દિવસ સમાચાર આવે છે કે કાંજી, પોતે બધા સંજોગોની સામે ઝઝુમીને બનાવેલા બગીચામાં એક અડધી રાતે હિંચકામાં ઝૂલતો ઝૂલતો કડકડતી ઠંડીમાં થીજીને મૃત્યુ પામ્યો છે ! એક સહકાર્યકરે તો એ હિંચકતો હતો ત્યારે એને પોતાની સગી આંખે અને કાને ‘ગોંડોલાનું ગીત ‘ ગણગણતા ભાળ્યો પણ હતો !૧૯૧૫માં જાપાનીઝ કવિ ઈસામુ યોશી દ્વારા લખાયેલ એ ઊર્મિગીતના શબ્દો જુઓ :જીવન તો ભંગુર છે ગોરીપ્રેમ કરી લેજીવનમાંથી લાલચટક ખિલખિલાટ આથમેએ પહેલામાંહ્યલા થનગનાટનું પુર ઓસરે એ અગાઉકારણ કે છેવટ તોકાળ જેવું કશું છે જ નહીંજીવન તો પરપોટો છે ગોરીનેહ રળી લેએની હોડી એ એના જ હાથોથીછીનવી લે એ પહેલાંગાલોની લાલી ઓઝપાઈ જાય એ પહેલાકારણ આ દિશામાં તો રડ્યુંખડ્યું જ કોઈ આવે છે.જીવન તો સપનું રે ગોરીદલડું દઈ દેહોડી મોજાં પર સવાર થઈસરી જાય એ પહેલાંતારા ખભે ટેકવાયેલો હાથશિથિલ થઈ સરી પડે એ પહેલાકારણ અહીં લગી કોઈ નજર પહોંચે છે જ ક્યાંજીવન તો ટૂંકું ને ટચપ્રેમ પદાર્થ પામ રે ગોરીકાળી ભમ્મર ઝુલ્ફનો ચળકાટ ઝંખવાય એ પહેલાતારા જિગરની જ્વાળા ટમટમીને હોલવાઈ જાય તે પહેલાંકેમ કેઆજની ઘડી ગઈ તો પાછી ક્યાંથી ફરવાની..ફિલ્મમાં નાયકની અદભુત ભૂમિકા અભિનેતા તાકાશી શિમુરાએ ભજવી છે. એ કુરોસાવાની કુલ ત્રીસમાંથી એકવીસ ફિલ્મોમાં હતા. વિશ્વની સર્વકાલીન મહાન ફિલ્મોના ચયનમાં આ ફિલ્મ હંમેશા અગ્રસ્થાને હોય છે.ફિલ્મ લીઓ ટોલ્સટોયની લઘુ નવલ ‘ ડેથ ઓફ ઇવાન ઇલીચ ‘ ઉપરથી પ્રેરિત હતી. હિન્દી ફિલ્મ ‘આનંદ ‘માં પણ આ ફિલ્મની છાંટ હતી. ૨૦૨૨માં બ્રિટિશ ફિલ્મ ‘ લિવિંગ ‘ પણ એના પરથી બની છે.
સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
” ભગવાન પરશુરામ ” : આર્ય સંસ્કૃતિના સ્થાપનની કથા
અમૃતાનુભવની ઉજાણી
દર્શના ધોળકિયા
ઇતિહાસ અને પુરાણને ચિત્રાત્મક તેમજ લયબદ્ધ રીતે રજૂ કરનાર ગુજરાતી સાહિત્યના ઊંચા ગજાના સર્જકોમાં કનૈયાલાલ મુનશીનું નામ પ્રથમ પંક્તિની હરોળમાં લેવામાં આવે છે. કનૈયાલાલ મુનશી આર્ય સંસ્કૃતિના અનન્ય ચાહક અને ઉપાસક છે. આથી સહેજે તેમને પરશુરામનું ખેંચાણ છે એટલા માટે જ પ્રસ્તાવનામાં મુનશીએ નોંધ્યું છે કે, ‘આ કૃતિ મારી ઉલ્લાસમય તપશ્ચર્યાનો અંત છે. ‘

જ્યારે આર્ય ભૂમિનો પ્રાતઃકાળ હતો અને આ ભૂમિમાં જે સત્તા ભોગવતો હતો તે સહસ્ત્રાર્જુન પરશુરામ અને પછીથી તેની થનાર પત્ની લોમાને પકડીને દ્વારકા મૂકે છે અને ત્યારથી કથાનો પ્રારંભ થાય છે અને સહસ્ત્રાર્જુનના અંતથી આ કથા પૂરી થાય છે. આ બંને બિંદુઓની વચ્ચે કૃતિ સહૃદયને રસતરબોળ બનાવી દે છે.
પરશુરામ રામના પણ સમકાલીન છે અને કૃષ્ણના પણ સમકાલીન છે. આ બધાના સમયમાં પરશુરામ શ્વસ્યા છે. આ ભાર્ગવ રામમાં વશિષ્ઠ રોપાયા છે, વિશ્વામિત્ર રોપાયા છે, દંડનાથ જેવો અઘોરી પણ રોપાયો છે. માત્ર 30 વર્ષની ઉંમરમાં તેઓ રામમાંથી પરશુરામ બને છે અને પછીથી ભગવાન પરશુરામમાં રૂપાંતરિત થાય છે પૌરુષત્વ નો પર્યાય જાણે મુનશીએ પરશુરામ દ્વારા આપી દીધો છે. ભગવાન પરશુરામનું આલેખન એવું થયું છે કે બધા જ કથા પ્રસંગો વચ્ચે તેઓ તુંગ શિખરની જેમ ઊપસી આવે છે અને બીજાં બધાં જ પાત્રો તેમની સામે ઝાંખા પડી જાય છે – તેમના પિતા અને ગુરુઓ સુદ્ધાં.
ઇતિહાસ સાક્ષી રહ્યો છે તે પ્રમાણે સંક્રાંતિ કાળની કોઈપણ વ્યક્તિને હળાહળ તકલીફો જ સહન કરવી પડતી હોય છે. જ્યારે વેદકાળ પૂરો થતો હતો અને બ્રાહ્મણકાળની શરૂઆત થતી હતી એ વચ્ચેના સંક્રાંતિકાળનું પાત્ર છે આ પરશુરામ. બંને યુગની વચ્ચે સમન્વય સાધવાનું કામ તેમના ફાળે આવ્યું છે. અને આખી કૃતિમાં જો એમનું મહત્વનું લક્ષણ હોય તો તે અભય અને સત્વસંશુદ્ધિ છે. પરશુરામ ઉત્તમ પતિ છે, સાચા સમાજસુધારક, જાગૃત નેતા, સંસ્થાપક તેમજ વિવેકી રાજનીતિજ્ઞ પણ છે. પરશુરામ ના પગમાં ચક્ર છે જે તેને વણથંભ ચલાવે છે. ધીમે ધીમે આખી નવલકથામાંથી પસાર થતાં મુનશી આપણે બતાવતા જાય છે કે પરશુરામ એ પાત્ર નથી પણ ચરિત્ર છે. તેનો વ્યાપ કૃષ્ણની જેમ વિરાટ રૂપ ધારણ કરે છે. આ મહાનાયક દ્વારા મુનશી એ પણ સ્થાપવા માગે છે કે અભય અને સત્વસંશુદ્ધિ એ આ મહાનાયક ના બે મૂળ પાયા છે.
આ કથા ત્રણ ભાગમાં વહેંચાયેલી છે : પહેલા ખંડમાં રામની દ્વારકા થી જૂનાગઢ સુધીની યાત્રા છે, બીજામાં એ નર્મદાકાંઠે દંડનાથ અઘોરી પાસે વિદ્યા શીખે છે તેની વાત છે અને અંત ભાગમા યાદવોને, શૌર્યતોને એકજૂથ કરે છે ત્યારે ઘોર સંગ્રામ થાય છે અને અંતે સહસ્ત્રાર્જુનનો વધ થાય છે તેની કથા છે.
પરશુરામનો જન્મ જ આર્યત્વની સ્થાપના માટે થયો છે. એ જન્મથી જ ગુરુ છે. વારંવાર આ વાતને તેઓ ઘૂંટે છે કે હું ગુરુ છું અને ગુરુ જ રહીશ. જોવાની ખૂબી એ છે કે પરશુરામ માં એટલી સત્વસંશુદ્ધિ છે કે આ કહેતાં પણ તેમનાં પાત્ર દ્વારા અભિમાનની અનુભૂતિ નથી થતી. ભીષ્મ અને કર્ણ જેવા તેના શિષ્યો છે, જેને નિયતિનો ભોગ બનવું પડ્યું છે પણ તેમને હરાવવા અશક્ય છે, કારણકે તેઓ મહાગુરુ પરશુરામના શિષ્યો છે.
પરશુરામના જીવનમાં ઘણા પ્રસંગો બન્યા છે કે જેમાં તેમના સિદ્ધાંતો કેન્દ્રમાં રહ્યા છે. ફરતા ફરતા તેઓ પિતા પાસે પહોંચે છે ત્યારે તેમના પિતા પરશુરામની માતા રેણુકા ભ્રષ્ટ થયેલી છે એવી વાત કરે છે ત્યારે પરશુરામનું લોહી ઉકળી જાય છે અને પિતાના આદેશ મુજબ માતાનું ડોકું કાપી નાખવા માટે તેઓ તૈયાર થઈ જાય છે. માતાને શોધતા એ ગાંધર્વ ઋષિના આશ્રમમાં પહોંચે છે ત્યારે સામેનું ચિત્ર જોતાં અવાક્ થઇ જાય છે. ઋષિ ગાંધર્વ અને નગરવાસીઓને જે રોગનો ભોગ બન્યા છે તેની સેવાચાકરીમાં માતા રેણુકા મગ્ન હોય છે. આ જોતાં પરશુરામ પિતાની ગેરસમજને દૂર કરવા માતાને પિતા પાસે લઈ આવે છે અને પિતાની ગેરસમજણનું આકરા શબ્દોમાં સમાધાન લાવી આપે છે. મુનશીએ પરશુરામના ચરિત્રના આલેખન દ્વારા એ પણ સૂચવ્યું છે કે જ્યાં સિદ્ધાંત આવે ત્યાં સગા પિતાને પણ છોડી દેવા પડે. આ પૌરુષત્વની નિશાની છે. આવું પૌરુષત્વ એક ગુણ છે, એક તત્ત્વ છે. વ્યક્તિના સિદ્ધાંતો જ તેની મૂડી હોય છે. આખું જીવન પરશુરામ લડયા છે – પોતાના પિતાની સાથે પણ. અનંતરાય રાવળે નોંધ્યું છે કે, ‘એ જ પરશુરામની પૃથ્વીને નક્ષત્રિય કરવાની વાત છે. ‘ વિચારોનાં, રૂઢિનાં, ગેરસમજણોનાં જાળાં પરશુરામ એક પછી એક દૂર કરતા ગયા છે.
મુનશીની આ નવલકથાનાં સ્ત્રી પાત્રો પણ હંમેશા જાજરમાન અને સંકુલ રહ્યાં છે. પરશુરામના જીવનની આસપાસ પણ અનેક સ્ત્રી પાત્રો છે, જેના કારણે સતત પરશુરામની પરીક્ષા થતી રહી છે. કલ્વિણી કુક્ષી ઋષિની પત્ની છે. તે પ્રથમવાર રામને જોતાં જ તેના પ્રેમમાં પડે છે અને તેના પૌરુષત્વ પર મોહી પડે છે. એક વખત કલ્વિણી પરશુરામને પોતાને ઘેર નિમંત્રે છે. અને યુવાન રામ કલ્વિણીનો નિર્વસ્ત્ર દેહ જુએ છે. પરંતુ રામ સામાન્ય પુરુષ નથી કે કામતત્ત્વમાં તણાઈ જાય. એ પરશુરામ છે, જિતેન્દ્રિય પુરુષ છે. એ ક્ષણે તેઓ કલ્વિણીને સોટો વિંઝી દે છે. જે ક્ષણ ચારિત્ર્ય સરકી જવાની ક્ષણ હતી તે ક્ષણને પરશુરામ સાચવી શક્યા છે અને માટે જ તેઓ આર્યત્વનું સ્થાપન કરવામાં સફળ રહ્યા છે.
બીજું સ્ત્રીપાત્ર મૃગાનું છે. એ ખૂબ નાની હતી ત્યારથી જ એ માતા પિતા વિહોણી છે અને સહસ્ત્રાર્જુને જેને પોતા પાસે આશ્રય આપ્યો છે તેવી એ જે સહસ્ત્રાર્જુનની ઉપપત્ની અને ગણિકા સ્ત્રી છે. મૃગા ખુબ જ સુંદર અને કામુક છે. સહસ્ત્રાર્જુન જેવો આસુરી પુરુષ પણ તેના વિના રહી શકતો નથી. ગણિકા હોવા છતાં તેણે સહસ્ત્રાર્જુન સિવાય કોઈ બીજા પુરૂષનો વિચાર સુધ્ધાં કર્યો નથી. વાતવાતમાં એ પરશુરામને પૂછી બેસે છે કે, તમે મારું શું કરો? કલ્વિણીને તો તમે સાઠકાથી મારી હતી. એ ક્ષણે ત્યારે અત્યંત માર્મિક વિધાન પરશુરામના મુખમાં મૂકીને મુનશી સ્ત્રીહૃદયને જીતી શક્યા છે. પરશુરામ જવાબ આપે છે કે, ‘ તમારે માટે હું એવું નહીં કરી શકું કારણકે તમે સહસ્ત્રાર્જુનને પરણ્યાં ન હોવા છતાં, ઉત્તમ ચારિત્ર્ય ન ધરાવતાં હોવા છતાં આખું જીવન એક જ વ્યક્તિને તમે પ્રેમ કર્યો છે. એટલે મારા મતે તમે ચારિત્ર્યવાન પ્રમાણિત થયાં છો. માટે હું તમને મારી મોટી બહેન માનું છું. ‘ આમ કહીને પરશુરામે મૃગા જેવી સ્ત્રીને ભાર્ગવીનું પદ આપી દીધું છે. માર્મિકતાની આ અંતિમ સીમા મુનશીને ઉત્કૃષ્ટ નવલકથાકાર ઠેરવે છે.
ત્રીજું, પરંતુ સૌથી મહત્ત્વનું એવું પાત્ર લોમાનું છે. નાનપણથી જ લોમા પરશુરામની સાથે છે. સ્ત્રી-પુરુષનો ભેદ ન કરી શકાય એવો મૈત્રીસંબંધ લોમા અને પરશુરામની વચ્ચે છે. મુનશી રંગદર્શિતાના લેખક છે. વચ્ચે વચ્ચે રંગદર્શિતા દર્શાવતા અનેક પ્રસંગો આવે છે પરંતુ બંને આ લાગણી પ્રત્યે અજાણ છે. કલ્વિણીને નિર્વસ્ત્ર જોઈ પરત ફરેલા પરશુરામ જ્યારે લોમા તરફ દૃષ્ટિ કરે છે ત્યારે તેમને પ્રથમવાર અનુભવાય છે કે આ પ્રેમ કરી શકવા જેવી સ્ત્રી છે અને તેથી તેઓ લોમા પાસે લગ્ન માટે પ્રસ્તાવ મૂકે છે. ક્યાં ઝુકી જવું અને ક્યાં તટસ્થ રહેવું એની કલામાં પરશુરામનો જોટો નથી.
એક તરફ આર્ય સંસ્કૃતિનું સ્થાપન કરતા પરશુરામ છે અને બીજી તરફ પોતાના માનસિક સંચલોને જોઈ શકતા અને બદલતા જતાં પરશુરામ છે. આ બંને પરશુરામનાં પરિવર્તન પામતાં જતાં રૂપ આ નવલકથામાં સમાંતરે ચાલ્યાં છે. પરશુરામના હિંસા અને અહિંસા પ્રત્યેના ખ્યાલો પણ તદ્દન જુદા છે. પરશુરામ માને છે કે દ્વેષ જીવનમાં ક્યારેય ન હોવો જોઈએ. એ આર્યત્વનું પ્રમાણ છે. પણ કોઈ વ્યક્તિ અંત સમય સુધી ન જ માને તો તેને હિંસા પૂર્વક મારી નાખવી એ દ્વેષ નથી પરંતુ દુર્જનોને દૂર કરતી એક પ્રકારની અહિંસા છે.
પરશુરામ ચરિત્ર પુરાણમાંથી લેવામાં આવેલું છે એટલે તેમાં અદભૂત રસ પણ છે. નર્મદાતટનો અઘોરી દંડનાથ પાણી પર ચાલી શકે છે, પાલતુ પશુઓ ની જેમ તેણે હિંસક મગરમચ્છને પાળ્યા છે. એ ઘડીકમાં પશુનું રૂપ લઇ શકે છે તો ઘડીકમાં મૃદુ સ્ત્રીનું રૂપ લઇ શકે છે. પ્રથમ નજરે જોતાં દંડનાથ જુગુપ્સાયુક્ત, ક્રૂર લાગે. પરંતુ બહુ જ સંયમપૂર્વક પરશુરામ આ બધી જ વિદ્યાઓ તેમની પાસેથી ગ્રહણ કરે છે. અને બદલામાં અઘોરીઓના આખા સમાજ જીવનને સુધારવાનું અદભૂત કાર્ય કરે છે. મહાદંતી જેવી અઘોરી સ્ત્રીનું સત્ત્વ પણ પરશુરામે પોતાનામાં સમાવ્યું છે અને પરિણામે પરશુરામનું તેજ દ્વિગુણિત બનતું ગયું છે. પરશુરામ ગર્વથી કહી શક્યા છે કે, અઘોરીએ મને દીકરો બનાવ્યો છે. વ્યંજનાઓનો એવો ભરપૂર ધોધ મુનશીએ આ કથામાં વહેડાવ્યો છે કે સમસંવેદનયુક્ત વાચક બે ઘડી માટે મુનશીની માયાજાળમાં ઓગળી જાય.
પરશુરામમાં જાણે નવું જ મિશ્રણ જોવા મળે છે – જેમાં વશિષ્ઠ ની સૌમ્યતા છે, વિશ્વામિત્રની પ્રખરતા છે, દંડનાથની આવડત છે, મહાદંતીના ચમત્કારો છે, માતાની કોમળતા છે અને પિતા જમદગ્નિનું આર્યત્વ છે.
પરશુરામને કારણે સહસ્ત્રાર્જુન રાત્રે ઊંઘી નથી શકતો એવી પરિસ્થિતિ છે. ભય અને અભયનો, સદ અને અસદનો ભેદ આ કથામાં કેન્દ્રમાં છે. પરશુરામનું હોવું જ અસદ તત્ત્વોને પીડે છે. રામથી આરંભાતી આ કથા સહસ્ત્રાર્જુનનો અંત આણતા અને ભગવાન પ્રમાણિત થતા પરશુરામ દ્વારા પૂર્ણ થાય છે. આમ, એક પછી એક પગથિયાં મુનશી સહૃદયને ચડાવતા ગયા છે. તેમને સ્થાપિત એ કરવું છે કે સહસ્ત્રાર્જુન જેવો આર્ય કર્મોને લીધે અઘોરી થઈ ગયો અને દંડનાથ જેવો અઘોરી આર્ય થઈ ગયો. સદ-અસદનો આ ભેદ નવલકથામાં સતત અનુભવાતો રહે છે.
મુનશીએ વિષય પસંદ કર્યો છે પૌરાણિક વસ્તુનો પરંતુ એમનો અભિગમ તદ્દન આધુનિક છે. મૃગા જેવી ગણિકા સ્ત્રીને મુનશી ‘પતિવ્રતા’ કહી શક્યા છે. અને પુરુષ સર્જક હોવા છતાં સ્ત્રીનાં નાજુક સંવેદનોને સમજી શક્યા છે એ ઘટના નોંધપાત્ર બને છે. માતાનું મસ્તક ઉડાડી નાખવાની ઘટનાને નવો વળાંક આપી પિતાને પણ સચોટ જવાબ પરખાવી દેતા પરશુરામ અહીં તદ્દન આધુનિક માનવ સાબિત થયા છે.
આ કથા લખતાં મુનશીને ૨૩ વર્ષ લાગ્યાં છે. પુરાણ અને આધુનિકતાનાં મિલનની તપશ્ચર્યા સભર આ કૃતિને અંતિમ અંજલિ આપતા અનંતરાય રાવળ નોંધ્યું છે કે, ‘ભગવાન પરશુરામ મુનશીના વાઙમય યજ્ઞનું શ્રીફળ છે. ‘
ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
આપણા રોજબરોજનાં જીવનનાં સુખની ખોજનું અર્થશાસ્ત્ર : પ્રકરણ # ૫ # અંશ # ૩ અને છેલ્લો શબ્દ – ફરી મળવા માટેનું આમંત્રણ
જીવનની અર્થવ્યવસ્થાનો
વ્યાવહારિક અમલ
પ્રકરણ ૫ : અંશ # ૨ થી આગળ
દિવ્યભાષ સી. અંજારીઆ
આપણાં જીવનની અર્થવ્યવસ્થાનાં મૉડેલનો નીચોડ – બે રેખાકૃતિઓ
બે છેલ્લા સવાલ
આ છેલ્લા બે સવાલના આપણા પ્રતિભાવ પર આપણી પોતાની અર્થવ્યવસ્થાનાં ઘડતર નિર્ભર કરે છે –
૧. તમારી ઉમર શું છે?
૨. તમારી રેખાકૃતિની શરૂઆત ક્યાંથી થાય છે?
આપણી પોતાની અર્થવ્યવસ્થાની રેખાકૃતિને એક એવાં મૉડેલ સ્વરૂપે નિશ્ચિત કરી શકવું શક્ય છે જે આપણાં વાંછિત સુખનું ધ્યેય સિદ્ધ કરવામાં મદદરૂપ બની શકેછે.
તમારાં જીવનની અર્થવ્યવસ્થાનું મૉડેલ નાણાકેન્દ્રી હોય કે બીનનાણાકીય સંસાધનો કેન્દ્રી હોય્ કે પછી બન્નેનું તમારું પોતાનું આગવું સંમિશ્રણ હોય, એ મૉડેલ તમારૂં પોતાનું, આગવું છે અને અમલ કરવા બાબતે સરળ પણ છે.
તમે યુવાન છો કે મોટી વયનાં છો એ મુજબનાં બે મૉડેલ અહીં રજૂ કર્યાં છે. આ મૉડેલના આધારે નાણાકેન્દ્રી અર્થવ્યવસ્થાનો ઉપયોગ કરીને આપણી પોતાની અર્થવ્યવસ્થાની રેખાકૃતિ તૈયાર કરી શકાશે.
વ્યક્તિનાં જીવનનું નાણાકેન્દ્રી અર્થવ્યવસ્થા મૉડેલ
જો તમે યુવાન છો અને તમારી માનસિક રુચિઓ આ તરફ સ્પષ્ટપણે ઢળતી હોય તો
તમારાં જીવનનો તબક્કો યુવાનીનો પ્રારંભ
તમારી માનસિક રુચિઓ સામાન્ય અતિખર્ચાળ / ઉડાઉ પરગજુ કમાવું હા હા હા ખર્ચવું હા હા હા બચત કરવી હા ના હા રોકાણ કરવું હા ના હા રોકાણનો ઉપાડ હા ના હા વહેંચવું કે એમને એમ આપી દેવું હા ના હા તમે સામાન્ય રુચિ ધરાવતાં હો કે પરગજુ વૃતિ ધરાવતાં હો, તો અંગત અર્થવ્યવસ્થાની રેખાકૃતિની છ એ છ પ્રવૃતિઓ તમારે કરવી જોઈશે. જો તમારું વલણ અતિખર્ચાળ કે ઉડાઉ હોવા તરફ હશે તો તમે નાણાની બચત કે રોકાણ કરવાની વૃતિ નહી ધરાવતાં હો. એ સંજોગોમાં આવક, ખર્ચ, બચત, રોકાણ અને શક્ય હોય તો તમરી સંપત્તિની વહેંચણી માટે તમારે બીજાં કોઈ બીનનાણાકીય સંસાધનો જોઈશે.
વ્યક્તિનાં જીવનનું નાણાકેન્દ્રી અર્થવ્યવસ્થા મૉડેલ
જો તમે મોટી વયનાં છો અને તમારી માનસિક રુચિઓ આ તરફ સ્પષ્ટપણે ઢળતી હોય તો
તમારાં જીવનનો તબક્કો ઢળતી વયે
તમારી માનસિક રુચિઓ નિવૃત સુખી
નિવૃત જરૂરિયાતમંદ
નિવૃત પરગજુ
કમાવું ના હા હા ખર્ચવું હા હા હા બચત કરવી ના ના હા રોકાણ કરવું ના ના હા રોકાણનો ઉપાડ હા ના હા વહેંચવું કે એમને એમ આપી દેવું હા ના હા જો તમે નિવૃત્ત છો અને તમારી ભૂતકાળની બચતોથી ખુશ છો તો તમે તમારી સંપત્તિ ખર્ચી શકો છો, અને કદાચ, વહેંચી પણ શકો છો. તમારે કમાવાની, બચત કરવાની કે રોકાણ કરવાની જરૂર નથી. તમારે બીનનાણાકીય સાધનો પર પણ આધાર રાખવાની જરૂર નથી. જો તમારી પાસે પહેલેથી કોઈ બીનનાણાકીય સંસાધનો હોય તો તેનો તમે તમારા ઉદ્દેશ્યો મુજબનો ઉપયોગ કરી શકો છો.
પરંતુ, તમે નિવૃત્ત છો અને તમારે હજુ પણ નાણાની જરૂર રહે છે, તો તમારે કમાવાનું, અને ખર્ચ કરતાં રહેવાનું, ચાલુ રાખવું પડશે. તમારા માટે બચત કે રોકાણ કરવાં શક્ય નથી કે સંપત્તિની વહેંચણી કે સખાવત કરવી હિતાવહ નથી.
પરંતુ તમારે આ ઉંમરે પરગજુ થવું જ છે તો તમારે અંગત અર્થવ્યવસ્થાની છ એ છ પ્રવૃત્તિઓ ચાલુ રાખવી જોઈશે. તે ઉપરાંત્ પરગજુ વૃત્તિને ટકાવી રાખવા માટે તમારે હજુપણ વધારે બીનનાણાકીય સંસાધનો પણ ઊભાં કરવાં જોઈશે.
આપણી અંગત અર્થવ્યવસ્થા વિશેની સમજ સ્પષ્ટ કરીએ – વર્તમાન સ્થિતિ અને આપણી ભવિષ્યની અર્થવ્યવસ્થાનું આયોજન
ઉપર જોયું એ મુજબની આપણી અર્થવ્યવસ્થાની બે શક્ય રેખાકૃતિઓ મુજબ, આપણી ઉમર અને અને આપણી માનસિક રુચિઓને અનુરૂપ, આપણે આપણું આર્થિક મૉડેલ ઘડી કાઢી શકીએ. એ પ્રક્રિયા દરમ્યાન આપણે આપણે જે સમાજનો ભાગ છીએ એવાં આપણાં આસપાસનાં વાતાવરણ, આપણી સાંસ્કૃતિક ધાર્મિક માન્યતાઓ અને પરંપરાઓ, આપણા હમસફર વ્યાવસાયિકોનાં વલણો અને પસંદનાપસંદ તેમ જ પ્રથામિકતાઓ વગેરે જેવાં પરિબળોને પણ આપણે ગણતરીમાં લેવાં જોઈએ.
આપણું પોતાનું મૉડેલ ઘડી કાઢવા માટે, અંગત અર્થવ્યવસ્થાની છ સર્વસામાન્ય પ્રવૃત્તિઓ આધારિત બે નમૂનાઓ અહીં રજૂ કર્યા છે. તેમાં પ્રશ્નો સામેના જવાબો ખાલી છે. આપણાં જીવનના વર્તમાન તબક્કા અનુસાર જવાબો આપણે જ તેમાં મુકવાના છે. યાદ રહે કે આ આપણાં આર્થિક લક્ષ્યો નથી, પણ આપણી વર્તમાન સ્થિતિનું ચિત્રણ છે જે આપણને આપણી આર્થિક પરિસ્થિતિ સમજવામાં મદદરૂપ થશે.
તમારી વર્તમાન પરિસ્થિતિ
તમારાં જીવનનો તબક્કો
કમાઓ છો?
ખર્ચા કરો છો?
બચત કરો છો?
રોકાણ કરો છો?
રોકાણના ઉપાડ કરો છો?
સંપત્તિની વહેંચણી કરો છો,
કે એમ ને એમ જ આપી દો છો?આપણા જીવનની આટલી ઉલટતપાસ જીવનમાં, અને જીવનની અર્થવ્યવસ્થામાં, આપણે ક્યાં છીએ તેનું ચિત્ર સ્પષ્ટ કરી આપશે.
હવે ઉપર મુજબની જ વિગતોની મદદથી આપણે આપણા વાંછિત લક્ષ્યને પણ સ્પષ્ટ કરી શકીશું. અહીં પણ સવાલોની સામેની ખાલી જગ્યામાં આપણાં લક્ષ્યો લખી જણાવવાનાં છે.
આપણું આર્થિક લક્ષ્ય
તમારાં જીવનનો તબક્કો
કમાઓ છો?
ખર્ચા કરો છો?
બચત કરો છો?
રોકાણ કરો છો?
રોકાણના ઉપાડ કરો છો?
સંપત્તિની વહેંચણી કરો છો,
કે એમ ને એમ જ આપી દો છો?આ છે આપણું પોતાનું – નાણાકેન્દ્રી – આર્થિક આયોજન ….
એક વાર ફરીથી ઉપર મુજબની વિગતોની મદદ લઈને હવે આપણાં જ્ઞાન-અનુભવ, કૌશલ્ય, સમય, સેવાઓ જેવાં દરેક ઉપલબ્ધ બીનનાણાકીય સંસાધન માટે આપણા જીવનની અંગત અર્થવ્યવસ્થાની રૂપરેખાનું આલેખન કરીએ.
તમારી પાસેનું ઉપલબ્ધ સંસાધન
કમાઓ છો?
ખર્ચા કરો છો?
બચત કરો છો?
રોકાણ કરો છો?
રોકાણના ઉપાડ કરો છો?
સંપત્તિની વહેંચણી કરો છો,
કે એમ ને એમ જ આપી દો છો?પહેલી બે રેખાકૃતિઓ આપણી સામે સર્વસામાન્ય આર્થિક મૉડેલની સરખામણીમાં આપણી પોતાની કઈ ઈચ્છાઓ, કેટલી હદે ઉચિત રહેશે તેનું ચિત્ર રજૂ કરે છે.
તે પછીની રેખાકૃતિ આપણી આર્થિક સ્થિતિને અને તેની સરખામણીમાં આપણાં આર્થિક લક્ષ્યોને, નાણાકીય માપદંડના સંદર્ભમાં, રજૂ કરે છે.
તેનાથી પછીની રેખાકૃતિ એવી કોરી પાટી છે જેમાં આપણે આપણાં દરેક બીનનાણાકીય સંસાધનની વર્તમાન સ્થિતિ અને તેની સામે આપણા ભાવિ આયોજનનું આલેખન રજૂ કરીએ છીએ.
છેલ્લો શબ્દ – ફરી મળવા માટેનું આમંત્રણ
જતાં જતાં, જીવનની અર્થવ્યવસ્થા માટે છેલ્લો શબ્દ
આપણા જીવનની અર્થવ્યવસ્થા આપણી પોતાની, આગવી છે.
આપણાં જીવનની અર્થવ્યવસ્થા માટે જે કોઈપણ મૉડેલ અપનાવ્યું હોય, તે આપણા જીવનનાં, નાણાવિષયક તેમ્જ બીનનાણાવિષયક, સુખની સિદ્ધિનું એક સાધન માત્ર જ છે.
અર્થશાસ્ત્રીઓ દ્વારા રજૂ કરતા વ્યાપક અર્થતંત્રના પ્રવાહો તેમજ તેઓ દ્વારા ઘડાતી આર્થિક નીતિઓની આપણી અર્થવ્યવસ્થા પરની અસરોને સમજવી જરૂર જોઈએ, પણ માત્ર તેના પર જ આધાર રાખીને આપણી પોતાની અર્થવ્યવસ્થાનું આયોજન કે ઘડતર ન કરાય.
આપણા જીવનની અર્થવ્યવસ્થાનાં આયોજન, ઘડતર અને સંભાળ આપણે જ, અને માત્ર આપણે જ, આપણી સમજ અને ક્ષમતા કેળવીને, કરવાનાં છે.
આર્થિક દૃષ્ટિએ જીવન સુખમય રહે એવી શુભેચ્છાઓ……
ફરી મળવા માટેનું આમંત્રણ
મારા આ પુસ્તકના લેખક તરીકે અને તમારા આ પુસ્તકના વાચક તરીકે આ પુસ્તકનું આ છેલ્લું પાનું છે. પરંતુ આપણી પોતપોતાની અર્થવ્યવસ્થાઓના હમસફર તરીકેના સંબંધનો અહીં અંત નથી આવતો.
“તમારી પોતાની અર્થવ્યવસ્થા’ બાબતે તમારા વિચારો, અનુભવો, મૉડેલ, રેખાકૃતિઓ, કે પુસ્તકમાં આવરી લેવાયેલ મુદ્દઓ વિશે તમારા પ્રતિભાવો ફરી ફરીને મળવાનું આપ સૌને હાર્દિક આમંત્રણ છે.
આપણે એકબીજાના સંપર્કમાં રહીએ એવી હું આશા સેવું છું.
મારા સંપર્ક માટે આપને અનુકૂળ રહે એ વિકલ્પનો ઉપયોગ કરી શકશો –
૧. ઇ-મેઇલ dca@iifs.co.in અથવા dca@economicsoflife.com
૨. WhatsApp – xxxxxxxxxx – લેખીત પ્રતિભાવ માટે
૩. મારી વેબસાઈટ economicsoflife.com પર પ્રતિભાવ, કે પછી
૪. નીચેના સરનામે પત્ર સંપર્ક
Anjaria, D. C.
8 square Leon Blum
92800 Puteaux
France
અથવા
દિવ્યભાષ સી. અંજારીઆ
૨૦ સંસ્કાર ભારતી સોસાયટી
અંકુર રોડ, નારણપુરા
અમદાવાદ ૩૮૦૦૧૩
ગુજરાત, ભારત
શ્રી દિવ્યભાષ સી. અંજારીઆનો સંપર્ક dc@anjaria.email વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
‘ઈન્ડિયન ઓપિનિયન’માં ગાંધીજીનું આરંભિક પત્રકારત્વ
નિસબત
ચંદુ મહેરિયા
બીજી ઓકટોબર ૧૮૬૯ના રોજ જન્મેલા મોહનદાસ ગાંધી ૧૮૯૩ના એપ્રિલમાં દક્ષિણ આફ્રિકામાં વકીલાત કરવા ગયા ત્યારે ૨૩ વરસના યુવા બેરિસ્ટર હતા. અલબત્ત ‘કુલી બારિસ્ટર’. દક્ષિણ આફ્રિકાના રંગભેદનો અનુભવ એમને બીજે કે ત્રીજે દિવસે જ ત્યારે થયો , જ્યારે ડરબનની કોર્ટમાં ન્યાયાધીશે તેમને માથા પરની પાઘડી ઉતારવા કહ્યું. અઠવાડિયા પછી ડરબનથી ટ્રેનમાં પ્રિટોરિયા જતાં ફર્સ્ટ ક્લાસની ટિકિટ હોવા છતાં શરીરના રંગને લીધે તેમને મેરિત્સબર્ગ સ્ટેશને ધક્કો મારીને નીચે ઉતારી મૂક્યા. અંગત અપમાનની આ ક્ષણે જ તેમણે રંગદ્વેષના મહારોગની નાબૂદીનો સંકલ્પ લીધો હતો. બે ટૂકડે ૨૧ વરસ ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં રહ્યા હતા. ગયા હતા તો વકીલ તરીકે પણ ત્યાં ખરેખર તો તેમણે અહિંસક સત્યાગ્રહના નવતર પ્રયોગ થકી રંગભેદ નાબૂદીની વકીલાત કરી હતી. ભારતના મોહનદાસ ગાંધી દક્ષિણ આફ્રિકાના મહાત્મા ગાંધી બની ૧૯૧૫માં સ્વદેશ આવ્યા ત્યારે દેશનું આઝાદી આંદોલન જાણે કે તેમના નેતૃત્વની પ્રતીક્ષા કરતું હતું.
રંગભેદનો ભોગ બનનાર લોકોએ તેના વિરોધ માટે એકત્ર આવવું જરૂરી હતું. ગાંધીજીની પહેલ અને પ્રયત્નોથી ૧૮૯૩માં નાતાલ ઈન્ડિયન કોંગ્રેસની સ્થાપના થઈ હતી. આ સંગઠનનું ધ્યેય ભારતીયોના હિતોનું રક્ષણ તથા દક્ષિણ આફ્રિકાના ભારતીયોની સ્થિતિ અંગે અંગ્રેજો, સરકાર અને લોકોને માહિતગાર રાખવા અને સ્થિતિ સુધારવાના પ્રયત્નો કરવાનુંહતું. ૧૯૦૩માં ટ્રાન્સવાલના ભારતીયોના હિતોની રક્ષા માટે બ્રિટિશ ઈન્ડિયન એસોસિએશનની રચના થઈ. રંગભેદ નાબૂદીની ચળવળ માટે સંસ્થાગઠન પછીની જરૂરિયાત અખબારની લાગી. અગાઉ પણ તે માટેના પ્રયાસો થયા હતા. ગોરી સરકાર હિંદીઓ પ્રત્યે બેપરવા અને પ્રેસ નિહિત સ્વાર્થમાં રમમાણ હતા.એટલે ભારતીયોને પોતાનો અવાજ રજૂ કરવા સામયિક જરૂરી લાગ્યું..
મૂળે મુંબઈના પૂર્વ શિક્ષક અને ગાંધીજીના રાજકીયા સહકર્મી મદનજીત વ્યવહારિકે ૧૮૯૮માં ડરબનમાં પોતાનું પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કર્યું હતું. નાતાલ કોંગ્રેસનું બધું જ સાહિત્ય ત્યાં છપાતું હતુ. મદનજીત એક અખબાર શરૂ કરવા માંગતા હતા. ગાંધીજીના મદદ અને માર્ગદર્શનથી તે આસાન બન્યું. ચોથી જૂન ૧૯૦૩ના રોજ ઈન્ડિયન ઓપિનિયન શરૂ કરવામાં આવ્યું. આજે તો તેને ૧૨૧ વરસો થયાં. પરંતુ ગાંધીજીના પત્રોમાં તેમનું આ પહેલું સામયિક ઘણું મહત્વનું છે.
અઠવાડિક ઈન્ડિયન ઓપિનિયનના પહેલા તંત્રી(જેને ગાંધીજી અધિપતિ કહે છે) મનસુખલાલ નાજર હતા. સત્યના પ્રયોગોમાં ગાંધીજીએ લખ્યું છે તેમ તંત્રીપણાનો લેખન સહિતનો તમામ બોજો ગાંધીજી પર હતો. ગાંધીજીની સહી વગરના ગાંધીજી લિખિત પહેલા અંકના અગ્રલેખ ‘ આ વર્તમાનપત્ર’માં અખબારની જરૂરિયાત અને ઉદ્દેશ સ્પષ્ટ કરવામાં આવ્યા છે. તે મુજબ તેઓ ઈન્ડિયન ઓપિનિયન મારફતે જુદી જુદી પણ એક જ અદભૂત રાજની પ્રજા વચ્ચે સંપ વધારવા અને ભાઈબંધી ઘાડી કરવા માંગતા હતા. સાથે સાથે ઈન્ડિયનોની ભૂલો બેધડક બતાવવા અને તે સુધારવાની રીત સૂચવવાનો પણ હેતુ જણાવ્યો છે.
સત્યના પ્રયોગોમાં ગાંધીજી લખે છે : ઈન્ડિયન ઓપિનિયન તેમના જીવનના કેટલાક ભાગનો નિચોડ છે. દર અઠવાડિયે ગાંધીજી તેમાં પોતાનો આત્મા રેડતા હતા. વાચકોને તેઓ જેને સત્યાગ્રહરૂપે ઓળખતા હતા તે સમજાવતા હતા. ગાંધીજીએ ૧૯૧૪ સુધીના ઈન્ડિયન ઓપિનિયનના એક પણ અંકમાં કંઈ ના લખ્યું હોય તેમ બન્યું નથી. વળી એક પણ શબ્દ વગરવિચાર્યે, વગરતોળ્યે લખ્યો નથી કે કોઈને કેવળ ખુશ જ કરવાને લખ્યો નથી. એટલે જ ગાંધીજીને ઈન્ડિયન ઓપિનિયને કોમની સારી સેવા કરી હોવાનો સંતોષ હતો.
જેમ હિંદીઓ તેમ ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાના ગોરાઓ પણ ઈ નઈયન ઓપિનિયનના વાચકો અને ચાહકો હતા. કેટલાક ગોરાઓ તો તંત્રીમંડળમાં અને વ્યવસ્થાપનમાં પણ સક્રિય હતા.શરૂઆતમાં તે અંગ્રેજી, ગુજરાતી, તમિળ અને હિંદીમાં પ્રગટ થતું હતું.દક્ષિણ આફ્રિકામાં હિંદી પ્રજાની સ્થિતિ ભારતના અસ્પૃશ્યો જેવી હતી. પણ અંગ્રેજોની ન્યાય કરવાની નીતિ પસંદ હોઈ ગાંધીજીએ રજૂઆતો વિનંતી અને અરજનો માર્ગ અપનાવ્યો હતો. તે ફળીભૂત ના થતાં અહિંસક સત્યાગ્રહનો રસ્તો લીધો. વારંવાર જેલ ગયા, હિંદીઓને અન્યાયકર્તા કાયદાનો વિરોધ કર્યો, ઉપવાસ કર્યા અને કઠિન પ્રયાસો અને લાંબી ધીરજ પછી સફળ થયા હતા.
ગાંધીજીએ તેમના જીવનકાળમાં ઈન્ડિયન ઓપિનિયન, યંગ ઈ ન્ડિયા, નવજીવન અને હરિજન પત્રો કાઢ્યા હતા. પત્રકારત્વ વિશેના તેમના વિચારો ખૂબ જ સ્પષ્ટ હતા. લવાજમ કે લોકોની આર્થિક મદદથી અખબાર ચલાવવામાં તે માનતા હતા અને ખાનગી કે સરકારી જાહેરખબરોથી દૂર રહેવાનું તેમનું વલણ હતું. વર્તમાંપત્રો સેવાભાવથી જ ચાલવા જોઈએ તેમ તેઓ અનુભવથી માનતા હતા. અખબારની શક્તિ અને તેની મર્યાદા બંને તે જાણતા હતા.એટલે તેમણે લખ્યું, ‘ વર્તમાનપત્ર એ ભારે શક્તિછે. પણ જેમ નિરંકુશ પાણીનો ધોધ ગામનાં ગામ ડુબાવે છે ને પાકનો નાશ કરે છે તેમ નિરંકુશ કલમનો ધોધ નાશ કરે છે.
ગાંધીજીનું આરંભિક પત્રકારત્વ અને તેમની વિશિષ્ટતા તથા મર્યાદા ઈન્ડિયન ઓપિનિયનના તેમના લખાણોમાં દેખાય છે. ભાષાની સરળતા અને વિચારોની સ્પષ્ટતા ગાંધીજીનો વિશેષ છે. ઈન્ડિયન ઓપિનિયનમાં તેમણે લખેલા ચરિત્રો અને મોટાભાગે વિદેશીઓના તે પછીના ગાંધીજીના લેખનમાં જોવા મળતા નથી. એ જ રીતે હિંદ સ્વરાજ કે આત્મકથાની જેમ ગાંધીજીની અન્ય લેખમાળાઓ પણ અહીં હપ્તાવાર પ્રકાશિત થઈ હતી. કેટલાક શબ્દો અને વાક્યો ભાષા અને વ્યાકરણની દ્રષ્ટિએ ત્રુટિપૂર્ણ લાગે છે. ભારતીય કલા પરનું તેમનું લખાણ વિચારોની પરિપકવતા અને સ્પષ્ટતાની રીતે ચકાસવા જેવું છે. મૈસુરના મહારાજાનો નવો મહેલ બંધાઈ રહ્યો છે તેના અંગ્રેજી અખબારના અહેવાલના અંશો પ્રગટ કરી તેમણે ટિપ્પણી કરી છે કે ભારત એ જંગલી લોકોનો કે ઝૂંપડીઓનો દેશ નથી. વળી આ મહેલના બાંધકામને તેમણે રાષ્ટ્રીય ગૌરવની સંતુષ્ટિનો મામલો ગણાવ્યો ત્યારે ગાંધીની સાદાઈના આગ્રહ સામે સવાલ થાય છે. ૪ થી જૂન ૧૯૦૩ના રોજ ઈન્ડિયન ઓપિનિયનનો પ્રથમ અંક પ્રગટ થયો હતો તેમ છતાં ગાંધીજીએ આત્મકથામાં “આ છાપાની ઉત્પત્તિ ૧૯૦૪માં થઈ “ ( પ્રુષ્ઠ ૨૭૬) તેમ જણાવ્યું છે. સાર્થ ગુજરાતી જોડણીકોશના ઉઘડતે પાને “ હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી “ એમ ગાંધીજી કહે છે. પરંતુ સત્યના પ્રયોગો અને દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહના ઈતિહાસમાં એમણે ઈન્ડિયન ઓપિનિયનની જોડણી સ્વૈચ્છાએ કરી છે!
ઈન્ડિયન ઓપિનિયનના પહેલા વરસના તંત્રીલેખમાં ગાંધીજીએ લખ્યું હતું , “ “અમે નથી તો તમિળ કે નથી બંગાળી, નથી હિંદુ કે મુસલમાન. નથી બ્રાહ્મણ કે વાણિયા અને ન જ હોવા જોઈએ. બલકે અમે કેવળ બ્રિટિશ ભારતીય છીએ. “” દક્ષિણ આફ્રિકાના વિભાજીત ભારતીયોમાં ઈન્ડિયન ઓપિનિયને એક રાષ્ટ્રીય ઓળખ ઉભી કરી હતી.
ચાર વરસ પછી ઈન્ડિયન ઓપિનિયનના પ્રાગટ્યના સવાસોમે, વર્ણ, વર્ગ, જ્ઞાતિ,કોમ, ભાષા, લિંગ અને એવી ઘણી રીતે વિભાજીત ભારતને ૧૨૦ વરસ પૂર્વે લખાયેલા ગાંધીજીના આ શબ્દોના અમલની કેટલી જરૂર છે, નહીં ?
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
મહેન્દ્ર શાહનો પ્રેરણાત્મક કલાકૃતિઓનો કળાસંંપુટ
મહેન્દ્ર શાહનાં કળાસર્જનોનો સંપુટ
મહેન્દ્ર શાહનો પ્રેરણાત્મક કલાકૃતિઓનો કળાસંંપુટ
મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com
