વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • ચૌદહવીં કા ચાંદ (૧૯૬૦)

     

    ટાઈટલ સોન્‍ગ

    (આ શ્રેણીમાં હિન્દી ફિલ્મોમાં આવતાં ટાઈટલ્સ દરમિયાન વાગતાં ગીતો વિશે વાત કરવાનો ઉપક્રમ છે.)

    બીરેન કોઠારી

    અમે નાનપણમાં ‘જૂની’ ફિલ્મો જ જોયેલી એમ કહું એનો અર્થ એ કે મહેમદાવાદમાં કદી નવી ફિલ્મ આવતી જ નહીં. ‘નવી’ ફિલ્મ જોવા માટે કાં નડીયાદ જવું પડે કે પછી અમદાવાદ. મહેમદાવાદની ‘આશા ટૉકિઝ’ સૌથી જૂની. એ પછી સેવાદળ તરફ ‘મુમતાઝ ટૉકિઝ’ થયેલી, જે અમને ઘણી ‘દૂર’ લાગતી. એ હદે કે ત્યાં કઈ ફિલ્મ આવી છે એનીય ખબર ન પડે. એક વાર ત્યાં ‘ખરેખર જૂની’ ફિલ્મ આવી. એવું યાદ છે કે અમે જોવા ગયેલા કોઈક બીજી ફિલ્મ, અને ત્યાં ગુરુદત્તની ફિલ્મોનાં સ્ટીલ્સ જોયા. એટલે જાણ્યું કે હવે ત્યાં ‘ચૌદહવીં કા ચાંદ’ આવવાની છે. આથી એ ફિલ્મ આવી એટલે હું અને ઉર્વીશ ઉપડ્યા મુમતાઝ ટૉકિઝે.

    ગુરુદત્તનું પડદા પરનું એ અમારું પહેલવહેલું દર્શન હતું. ‘ચૌદહવીં કા ચાંદ હો’ એ એક જ ગીત અમારું જાણીતું, પણ અમને બીજાં ગીતો સાંભળવામાં બહુ જ રસ હતો. ફિલ્મના ટાઈટલ શરૂ થતાં જ મહમ્મદ રફીના સ્વરમાં ‘યે લખનઉ કી સરજમીં’ ગીત આરંભાયું એ સાથે જ અમારા પહેલવહેલા ઉદગાર હતા: ‘ઓહો! આ ગીત આ ફિલ્મનું છે?’ એ પછી તો લગભગ દરેક ગીત વખતે આ ઉદગાર નીકળતા જતા. બધાં જ ગીતો પરિચીત હતાં, પણ અમને એ ખ્યાલ નહોતો કે તે આ ફિલ્મનાં હતાં.

    ગુરુદત્ત, વહીદા રહેમાન, જહોની વૉકર, રહેમાન, મીનૂ મુમતાઝ જેવા જાણીતા કલાકારો ફિલ્મમાં હતા અને ફિલ્મની પૃષ્ઠભૂમિ લખનઉની હોવાથી ઉર્દૂપ્રચૂર સંવાદો હતા. આમ છતાં, અમને બહુ મઝા આવી.

    (ડાબેથી:શકીલ, રવિ અને મ.રફી)

    શકીલ બદાયૂંનીનાં ગીતોને રવિએ સ્વરબદ્ધ કર્યાં હતાં. કુલ દસ ગીતો પૈકી ‘ચૌદહવીં કા ચાંદ હો’, ‘મિલી ખાક મેં મુહબ્બત’, ‘મેરા યાર બના હૈ દુલ્હા’ અને ‘યે લખનઉ કી સરજમીં’ રફીસાહેબના એકલગીત હતાં. ‘દિલ કી કહાની રંગ લાઈ હૈ’ અને ‘બેદર્દી મેરે સૈયાં શબનમ હૈ કભી શોલે’ આશા ભોંસલેનાં એકલગીત હતાં. ‘બદલે બદલે મેરે સરકાર નજર આતે હૈ’ લતા મંગેશકરે ગાયેલું. આ ઉપરાંત ‘શરમા કે યે ક્યૂં કબ પરદાનશીં’ (આશા, શમશાદ બેગમ અને સાથીઓ), ‘બાલમ સે મિલન હોગા’ (ગીતાદત્ત અને સાથીઓ) તેમજ ‘યે દુનિયા ગોલ હૈ’ (મ.રફી અને જહોની વૉકર) જેવાં ગીતો પણ મજાનાં હતાં. ગુરુદત્તે શકીલસાહેબ સાથે કદાચ પહેલી વાર સંયોજન કર્યું હતું, જેનું આગળ જતાં ‘સાહિબ, બીવી ઔર ગુલામ’માં પુનરાવર્તન કર્યું. સંગીતકાર તરીકે તેમણે રવિને શાથી લીધા હશે એ સવાલ છે. જો કે, આ ફિલ્મનાં ગીતો રવિએ સરસ રીતે સ્વરબદ્ધ કર્યાં હતાં.

    ૧૯૬૦માં રજૂઆત પામેલી આ ફિલ્મમાં ટાઈટલ સોંગ તરીકે મહમ્મદ રફીના ગવાયેલા ‘યે લખનઉ કી સરજમીં’નો ઉપયોગ કરવામાં આવ્યો છે. લખનઉની વિશેષતાઓ અહીં જણાવવામાં આવેલી છે. લખનઉનું એ પ્રશસ્તિકાવ્ય છે એમ કહી શકાય.

    આ ગીતના શબ્દો અહીં આપેલા છે.

    ये लख़नौ की सरज़मीं…
    ये लख़नौ की सरज़मीं (4)

    ये रँग-रूप का चमन
    ये हुस्न-ओ-इश्क़ का वतन
    यही तो वो मक़ाम है
    जहाँ अवध की शाम है
    जवां-जवां हसीं-हसीं
    ये लख़नौ की सरज़मीं (2)

    शबाब-ओ-शेर का ये घर
    ये अह्ल-ए-इल्म का नगर
    है मंज़िलों की गोद में
    यहाँ हर एक रहगुज़र
    ये शहर लालादार है
    यहाँ दिलों में प्यार है
    जिधर नज़र उठाइये
    बहार ही बहार है
    कलि-कलि है नाज़नीं
    ये लख़नौ की सरज़मीं (2)

    यहाँ की सब रवायतें
    अदब की शाहकार हैं
    अमीर अह्ल-ए-दिल यहाँ
    ग़रीब जांनिसार हैं
    हर एक शाख़ पर यहाँ
    हैं बुलबुलों के चहचहें
    गली-गली में ज़िंदगी
    कदम-कदम पे कहकहें
    हर इक नज़ारा है दिलनशीं
    ये लख़नौ की सरज़मीं

    ये लख़नौ की सरज़मीं
    ये लख़नौ की सरज़मीं
    ये लख़नौ की सरज़मीं ……

    એ પછી આ ગીત ધીમી ગતિએ ફિલ્મમાં અન્યત્ર સંભળાય છે, જેના શબ્દો આ મુજબ છે.

    यहां के दोस्त बावफा,
    महोब्बतों से आशना,
    किसी के हो गये अगर,
    रहे उसी के उम्रभर,
    निभाई अपनी आन भी,
    बढाई दिल की शान भी,
    है ऐसे महेरबान भी,
    कहो तो दे दें जान भी,
    जो दोस्ती का हो यकीं,
    ये लखनउ की सरजमीं. (5)

    ———–

    सरज़मीं = ભૂમિ

    अह्ल-ए-इल्म = વિદ્વાન,

    अह्ल-ए-दिल = પ્રેમાળ, ઉદાર

    रहगुज़र= રસ્તો

    रवायतें = કથાઓ

    अदब की शाहकार = સાહિત્યની ઉત્તમ કૃતિઓ,

    बावफा =વફાદાર,

    आशना = પરિચીત

    ———————–

    અહીં આપેલી લીન્કમાં આ ગીતના બન્ને ભાગ સાંભળી શકાશે.

     


    (તસવીરો નેટના અને વિડીયો ક્લીપ યુ ટ્યૂબના સૌજન્યથી)


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • આર્ટીફીસીયલ ઇન્ટેલિજન્સ વિષે જાણવું છે?

    કૃત્રિમ બુદ્ધિ (આર્ટીફિસિયલ ઈન્ટેલિજન્સ-AI)

    પાર્થ ત્રિવેદી

    આર્ટીફીસીયલ ઇન્ટેલિજન્સ શબ્દ સંભાળએ કે આપણને થાય કે આ શું હશે! AI જાણવાણી ઈચ્છા આજે કોઈપણ વ્યક્તિની હોઈ શકે…પછી ભલેને તે કોઈપણ ક્ષેત્રમાં કામ કેમ ન કરતી હોય. પરંતુ AI સુધીની સફર રાતો રાત ખેડાઈ નથી. તેની પાછળ ટેક્નોલોજી ઉપરાંત ડેટા અને તેના વિશ્લેષણની ઘણી બાબતોનો સમાવેશ થાય છે. આ AIને સમજવા માટે જરૂરી કેટલાક શબ્દોની અહીં સમજૂતી આપવામાં આવી છે.

    કૃત્રિમ બુદ્ધિ (Artificial Intelligence-AI):

    કોમ્પ્યુટર-મશીનને એવાં કાર્યો કરવાની ક્ષમતા કૃત્રિમ રીતે આપવી કે વિકસાવવી જેમાં યંત્ર માણસની
    જેમ ભૂતકાળના અનુભવ યાદ રાખે, ધારણા કરે, અવાજની ઓળખ કરે, ભાષાનો અનુવાદ કરીને પોતાની એક “કૃત્રિમ સમજ’ બનાવે અને તેના આધારે નિર્ણય કરે. વળી તેને નવી વિગતો-ડેટા મળે તે સતત એકઠો કરીને તે મુજબની પોતાની ક્ષમતા અને વર્તન બદલતું રહે.

    કોડ:

    એલ્ગોરિધમ્સ અને અન્ય કમ્પ્યુટર પ્રોગ્રામ્સ લખવા માટે ઉપયોગમાં લેવાતી તકનીકી ભાષા. અથવા બીજી રીતે કહીએ તો કોડ એટલે સંદેશને રજૂ કરવા માટેની એવી પદ્ધતિ જેમાં સંદેશ ફક્ત તે જ વ્યક્તિ સમજી શકે, જેને તે સંદેશ આપવો છે.

    બાયોમેટ્રિક :

    અનન્ય(એક ને માત્ર એક) શારીરિક લાક્ષણિકતાઓ અથવા વર્તન દ્વારા વ્યક્તિને ઓળખવા માટે સ્વયંસંચાલિત પ્રક્રિયાઓનો સમૂહ. જેમાં અવાજ, ફિંગરપ્રિન્ટ, આંખની કીકીની છાપ, ચહેરા વગેરેનો સમાવેશ થઇ શકે.

    ઉદા. તરીકે આપણી આંગળીની છાપથી અનાજ મળવું અથવા તો ઓફિસમાં દાખલ થયાની હાજરી લેવાઈ. હમણાં સુધી ફિલ્મોમાં જોયું છે તેમ આંખની કીકી સ્કેન થાય અને દરવાજો ખુલી જાય. આ બધી બાયોમેટ્રિક્સ વ્યવસ્થાઓ છે.

    ડેટા સેટઃ

    આગાહીઓ કરવા માટે અલ્ગોરિધમને તાલીમ આપવા માટે ઉપયોગમાં લેવાતા ડેટાનો સંગ્રહ.

    ડેટા હાર્વેસ્ટિંગ:

    વિવિધ સ્ત્રોતોમાંથી માહિતી એકત્રિત કરવાની પ્રક્રિયા, જેમ કે વેબસાઇટ્સ, એપ્લિકેશન્સ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વગેરે દરેક જગ્યાએથી કોઈ વિશેની માહિતી એક જગ્યાએ ભેગી કરીએ તે.

    ડેટા માઇનિંગ:

    જેને Knowledge in Data તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં બિગ ડેટામાંથી અથવા મોટા ડેટા સેટ્સમાંથી જરૂરી-કામની માહિતી જુદી તારવવામાં આવે છે. ધારો કે કોઈ કંપનીને પોતાની વસ્તુ વેચવા માટે ગ્રાહકોની યાદી જોઈએ છે. તો કરોડો લોકોનાં નામની યાદીમાંથી એવાં નામ શોધવાં કે જે કંપનીની વસ્તુ ચોક્કસ ખરીદે અથવા એવી પ્રક્રિયા શોધી કાઢવી કે જેનાથી આવી વ્યક્તિઓની યાદી બની શકે, તો તેને ડેટા માઈનિંગ કહીએ. બિગ ડેટાની ખાણમાંથી કામના ડેટા નામે હીરો શોધવો !

    અવાજ ઓળખ (Voice Recognition):

    કૃત્રિમ બુદ્ધિ (AI)જન્ય એવી ટેક્નોલોજી કે જે બોલાયેલા આદ્દશોનું અર્થઘટન કરે છે
    અને તે મુજબનું કામ કરે અથવા બીજા શબ્દોમાં કહીએ તો અવાજ ઓળખીને આદેશનું પાલન કરે છે, અથવા વ્યક્તિના અવાજના આધારે વ્યક્તિને ઓળખવાનું કામ કરે.

    ચહેરાની ઓળખ (Facial Recognition):

    વ્યક્તિઓને શોધવા, ચહેરાને ઓળખીને તેના આધારે વ્યક્તિની ઉંમર, લિંગ, ભૌગોલિક વિશેષતા જેવી વસ્તી વિષયક બાબતો જાણવા માટે અથવા તેની ધારણા કરવા માટે ઉપયોગમાં લેવામાં
    આવતી કૃત્રિમ બુદ્ધિ (AI)જન્ય ટેક્નોલોજી.

    ડેટા ગોપનીયતા :

    જેને માહિતીની ગોપનીયતા અથવા અંગતતા પણ કહેવામાં આવે છે, તે ડેટા સુરક્ષાના એક પાસા રૂપે છે. જેમાં માહિતીનો યોગ્ય સંગ્રહ, કોણ તેનો ઉપયોગ કરી શકે અને વિશેષ તો સંવેદનશીલ ડેટાની સુરક્ષા જેવી બાબતોનો
    સમાવેશ થાય છે. સરળ ભાષામાં કહીએ તો મારું ઘર જેમ હું ઇચ્છું તે વ્યક્તિ માટે જ ખૂલે અને હું ઇચ્છું ત્યાં સુધી જ તે વ્યક્તિ આવી શકે તેમ મારા ડેટા પર મારો જ અધિકાર હોય.

    ડેટા અધિકારોઃ

    ટેક્નોલોજી દ્વારા સરકારો અથવા કોર્પોરેશનો દ્વારા એકત્રિત કરવામાં આવેલી વ્યક્તિગત માહિતીની ગોપનીયતા, અંગતતા અને નૈતિક ઉપયોગ વિશેના અધિકાર. જેમાં માનવ અધિકારનો ઉલ્લેખ કરવો, તેના ઉપયોગ અંગે અંકુશ મૂકવા અને તેના ભંગ માટે સજાની જોગવાઈ કરવી. આ બધી બાબતો ડેટાના અધિકાર સાથે જોડાયેલી છે.

    કૃત્રિમ ન્યૂરલ નેટવકર્સઃ

    (ANNs, જેને Neural Networks અથવા ન્યૂરલ નેટ) એ મશીન લર્નિંગ મોડલની શાખાઓ છે જે પ્રાણીઓના મગજની રચના કરતા જૈવિક ન્યૂરલ નેટવર્ક્સમાં જોડાણ દ્રારા શોધાયેલ ન્યૂરોનલ સંસ્થાના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. અલબત્ત, પોતાની પાસે ઉપલબ્ધ ડેટાની મદદથી.

    મશીન લર્નિંગ:

    કૃત્રિમ બુદ્ધિ (AI)નો એવો અભિગમ જે સિસ્ટમને(કમ્યુટરને) માણસ દ્વારા સતત અને પ્રોગ્રામ કર્યા વિના ડેટામાંથી પેટર્ન શીખવાની ક્ષમતા પ્રદાન કરે છે. ટૂંકમાં કહીએ તો મશીનને માત્ર જે કામ કરવાનું છે તેનો કમાન્ડ આપવો, એ કામ કઈ રીતે કરવું તે મશીન-કમ્યુટર પોતાની રીતે શીખીને કરશે.

    બિગ ડેટાઃ

    ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વ્યક્તિઓ અને વ્યવસ્થા વિશેની શક્ય તેટલી વધુ માહિતીનો સામૂહિક સંગ્રહ. ઉદાહરણ તરીકે એક વ્યક્તિના ફોનમાં કેટલી બધી માહિતી(ડેટા)નો સંગ્રહ થયેલો છે. તેવા લાખો-કરોડો લોકોના ફોનની માહિતી ડિજિટલ સ્વરૂપે હોય તેને બિગ ડેટા કહી શકાય.

    સોશિયલ ક્રેડિટ સ્કોરઃ:

    ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી દ્રારા ડિઝાઇન કરાયેલ AI સિસ્ટમ કે જે વ્યક્તિની વિશ્વસનીયતાનું મૂલ્યાંકન કરવા માટે તેના
    ડેટાને ટ્રેક કરે છે અને તેનું વિશ્લેષણ કરે છે. એટલે કે કોઈ વ્યક્તિ સરકારની નીતિઓના વિરોધમાં કશું લખે-બોલે તો તેની વિશ્વસનીયતા ઓછી. તેના આધારે વ્યક્તિઓ પર નિયંત્રણ પણ લાદવામાં આવે છે.

    જાપ્તો (Surveillance):

    સરકાર દ્રારા કાયદો અને વ્યવસ્થાના હેતુઓ માટે, કોર્પોરેશનો દ્વારા વ્યાપારી હિતો માટે અને હરીફાઈ તોડવા અથવા
    નફો મેળવવા રાખવામાં આવતી દેખરેખ. આનો હેતુ વ્યક્તિની વર્તણૂક પ્રભાવિત કરવા પણ હોઈ શકે, જેમાં ઘણી સૂક્મ રીતે પ્રજાનું નિરીક્ષણ કરવામાં આવે છે.


    સાભાર સૌજન્યઃ ભૂમિપુત્ર, ૯ ઓગસ્ટ ૨૦૨૩

  • આપણે ક્યા ક્યા ઝેરના આમંત્રણથી બચતાં રહીશું ?

    કૃષિ વિષયક અનુભવો

    હીરજી ભીંગરાડિયા

    સમૂદ્રમંથન વખતે અમૃત પહેલાં હળાહળ ઝેર પ્રગટ્યું હતું. શીવજીએ તે પી જઈને જગતને બચાવ્યું હતું. આધુનિક વિજ્ઞાનના પંથને વિવિધ ક્ષેત્રે સગવડો રૂપી અમૃત સાથે નુકશાન કારક ઝેરો પણ ઓછાં નથી પ્રગટ્યાં. પણ તે પીવા હવે શિવજી નહીં આવે. તેમને માનવીની બુદ્ધિપ્રતિભા પર વિશ્વાસ બેઠો છે કે જે અમૃત પેદા કરી શક્યા છે તે પોતે ઝેરનો ઉપાય પણ ઢુંઢી લેશે. તો હવે તો કામ આપણે જ કરવું રહ્યું !

    ભગવાને આપણને એવી ચમત્કારિક શરીર રચના આપી છે કે જેવાતેવા ઝેરને એ ગાંઠતું નથી, પચાવી જાય છે. તેથી સ્વસ્થ રહેવું, સાજાં રહેવું સહેલું છે, ને માંદા પડવું અઘરું છે. પણ આપણી રહેણી-કરણી, ઊઠવા-બેસવાની રીતો, ખાણીપીણીના પદાર્થોની પસંદગી અને ઘર-વપરાશી જણસોનો ઉપયોગ એવી રાતે કરીએ છીએ કે માંદા પડી જ જવાય. 2015 ના વિશ્વઆરોગ્ય સંસ્થાના અહેવાલમાં જણાવાયું છે કે વિશ્વના મોટાભાગના દેશોના નાગરિકો જે ખાઇ રહ્યા છે તેમાં પાચનરોગ, માનસિક ગડબડ, પ્રજનન અંગેની કાયમી ખોડ અને શરીરના અનેક અંગોમાં ખોટકો તથા કેન્સર કરનાર જાત જાતના રસાયણો  ભળેલાં હોય છે.

    માનીએ કે ન માનીએ પણ આજે આપણે જે કંઇ ખાઇએ- પીએ છીએ તેમાંથી એકેય ચીજ ઝેરી રસાયણાથી મુક્ત નથી.. ખેડૂતોની વાડીઓમાં ઉત્પન્ન થતા મોટાભાગના ખોરાકી પાક- પછી તે અનાજના હોય કે કઠોળના, તેલીબિયાંના હોય કે શાકભાજીના, અરે, ફળફળાદિના હોય કે ભલેને મરી-મસાલાના હોય ! તે બધામાં ઓછા-વધતા અંશે ખેતીપાકના પોષણ અર્થે વપરાતા રાસાયણિક ફર્ટિલાઇઝર્સ, પાક સંરક્ષણ અર્થે ઉપયોગમાં લેવાતી ઝેરી પેસ્ટી સાઈડ્ઝ, નિંદણનાશ માટે છંટાતી હર્બીસાઇડ્ઝ અને જણસોને લાંબો સમય ટકાવી રાખવા માટે ઉપયોગમાં લેવાતા પ્રિઝરવેટર્સ ઉપરાંત ફળ કે શાકભાજીને તાજા અને ચમકદાર દેખાડવા માટે વપરાતાં કેટલીય જાતનાં રસાયણો અંતે તો જે તે ખાદ્યચીજો સાથે આપણા જ પેટમાં ઠલવાય છે ને ? અને આ બધાં જ રસાયણો પાછા એટલાં સોજાં અને નિર્દોષ નથી હોતાં કે જે આપણા શરીરમાં પહોંચ્યાં પછી તંદુરસ્તીને બગાડવામાં જરીકેય ઊણાં ઉતરે !

    આ 21 મી સદીમાં આપણા સૌના જીવન વ્યવહારમાં નોખનોખા કેટલા પ્રકારના ઝેરી રસાયણો ઉપયોગમાં લેવાઇ રહ્યા છે તે જાણવા માટે “ઘર” ની બહાર ક્યાંય ડોકિયું કરવાની જરૂર જ નથી ! સૌએ પોતપોતાનાં ઘરોમાં જ તંદુરસ્તીને વેડનારી ચીજ-વસ્તુઓનો વપરાશ દિનપ્રતિદિન કેટલો વધી રહ્યો છે તે તરફ જોઇ લેવું.

    ઝેરી રસાયણોને આમંત્રવાના આપણા સંદર્ભો :

    સવારમાં ઊઠતાંની સાથે જ કરંજ, દેશી બાવળ કે દાડમડીની કુણી ડાળીનું દાતણ કરવું એ મોઢાની સફાઈ અને દાંત-પેઢાની નરવાઈ બાબતે કેટલી તંદુરસ્તી બક્ષનારું હતું એ મોંઘેરી વાતને મગજમાંથી હડસેલી દેવાઇ છે, અને એનું સ્થાન–જેની બનાવટમાં કેવાં કેવાં નુકસાન કારક રસાયણો વપરાયાં હશે એની એક ટકા જેટલીએ આપણને જાણ નથી એવી વિવિધ રળી લેવાના જ ધ્યેયવાળી કંપનીઓની “ટૂથ્પેસ્ટ” થી  શરૂ કરી, રાત પડ્યે સૂતી વખતે ઊંઘમાં ખલેલ પહોંચાડનારાં મચ્છરોને દૂર રાખવા માટે મચ્છરદાની કે લીમડાના પાંદના ધુમાડાની મદદ લેવાને બદલે આંખોથી ઓઝલ એવો ઝેરી ગેસ પેદા કરતા “એલીથ્રીન” [સિંથેટિક પાયરોથાઈડ ગ્રુપનું કીટ-નાશક} ને જ હોંશે હોંશે આમંત્રણ આપી આંખોમાં બળતરા, ચક્કર આવવા, ઊલટી-ઉબકા થવા, છીંકો આવવી, માથું દુ:ખવું અને શ્વાસની તકલીફ જેવી બીમારીઓને સામેથી જ નોતરીએ છીએ ને ? આમ સવારમાં જાગવાથી  શરુ કરી રાતના સૂવા સુધીના ચકરડામાં કેટકેટલા રસાયણો સાથે પનારો પાડતા હોઇએ છીએ એની તરફ જરા નજર કરીએ તો …….

    [અ]……પીવાનું પાણી  :

    પ્રો. જે.આર. વઘાસિયાના એક લખાણમાં મેં વાંચ્યા મુજબ “પાણીથી કકળાટ શરૂ કરીએ તો જે ઓઝોનને આપણે જ ખતમ કર્યો તે ઓઝોન રહિત આકાશમાંથી સીધાં આવતાં સૂર્યના પારજાંબલી કિરણો નદી-નહેરના પાણી પર સીધાં પડતાં પાણીમાં “બ્રોમાઇડ” રસાયણ બને છે. નગરપાલિકાઓ તેમાં ક્લોરિન ઠાલવે છે. આવું પાણી ફરી પાછું સૂર્યપ્રકાશના સંસર્ગમાં આવતાં તેમાં “બ્રોમેટ” રસાયણ બને છે. જે પાણી પીવાથી શરીરના કોષોને ભારે નુકશાન પહોંચે છે.”

    કહો, આવું પાણી વિના ખચકાટે આપણે પીએ છીએ કે નહીં ?

    [બ]……સ્વાગત પીણું :

    ઘર બાંધીને બેઠા હોઇએ ત્યાં ઓછું-વધતું મહેમાન-પરોણાનું આવા ગમન તો શરૂ રહેવાનું એ તો સ્વાભાવિક જ છે. એમનું સ્વાગત સ્વાસ્થ્યપ્રદ ગરમદૂધ કે લીંબુ-સંતરાંના રસ-સરબત દ્વારા કરતા હોઇએ એવા કુટુંબ આજે કેટલાં ? આજની પેઢીને એ પીણું હવે જૂનવાણી અને અપર્યાપ્ત લાગવા માંડ્યું છે. અને જે ઝેરી પ્રવાહીને  આંધ્ર અને મહારાષ્ટ્રના કેટલાક સમજણા ખેડૂતોએ ખેતીપાકના ઉત્તમ જંતુનાશક તરીકે પૂરવાર કર્યું છે અને તેના તલસ્પર્શી અભ્યાસુ અને પ્રખર વિરોધી એવા સ્વ. રાજીવ દીક્ષીતજીએ તો ઘરના વોશબેશન અને ગેંડીની સફાઈ કરવા માટે જેની ભલામણ કરી છે એવા પેપ્સી અને કોકાકોલા જેવી ગળામાં ચચરાટી ઉત્પન્ન કરનારી બોટલોને બહુ આદરભેર “સ્વાગતપીણા” તરીકે ઉપયોગમાં લેવાનો ક્રેજ અમલમાં મૂકી દીધો છે.

    જેને મૃત્યુલોકનું અમૃત કહ્યું છે એવા દૂધમાં પાણીની ભેળસેળ ઇ તો હવે જૂની વાત થઈ ગઈ છે મિત્રો ! પણ જેનો ગરીબથી માંડી તવંગર સુધીના દરેકના ઘરમાં કાયમી ઉપયોગ થઈ રહ્યો છે એ દૂધને – વધુ દૂધ મેળવવાની લાલચે ગાયો-ભેંશોને બેફામ પણે અપાતા એંટીબાયોટિક જેંટામાઇસિન દવાના અંશો દૂધમાં ભેળવીને માનવ શરીરને કેટલું નુકસાન કરતા હશે એ વિચાર્યું છે કોઇએ ? ક્યારેય ?

    અરે ! જેને ત્યાં એક પણ ગાય કે ભેંશનું દુઝણું ન હોય છતાં ટેંકરો મોઢે દૂધ સપ્લાય કરતી હોય તેવી ડેરી ચાલતી હોય એ દૂધ શેમાંથી બનાવાતું હશે એ જાણ્યું છે ક્યારેય ? અખબારોમાં એની વિગત વાંચી છે કે આવા નકલી દૂધ રીફાઇંડ તેલ, કોષ્ટિક સોડા, યુરિયા ફર્ટિલાઇઝર અને ડીટરજંટ પાવડરની સાથોસાથ થોડા ખાંડ-મીઠાના ઉમેરણથી તે તૈયાર થતું હોય છે, અને એને પ્લાસ્ટિક પાઉચમાં ઉત્તરપ્રદેશ અને દિલ્હીના કેટલાક વિસ્તારોમાં દૂર દૂર સુધી વેચાતું હોવાના અહેવાલ છાપામાં ચમક્યા કરે છે. અરે, આપણે ત્યાંયે મળે છે, માત્ર દૂધ જ નહીં, એમાંથી બનાવેલ દહીં-છાશ તો સમજ્યા મારાભાઇ ! ઘી-માવો-મીઠાઇ અને દૂધનો પાવડર સુદ્ધાં એમાંથી બનાવાઇ રહ્યો છે, એ બધામાં જંતુનાશકોના અવશેષો જોવા મળ્યા છે એવું લેબ-રિપોર્ટો કહી રહયા છે.

    અરે ! એક લખાણમાં મેં વાંચ્યું છે કે “રાષ્ટ્રીય પીણું” બની ગયેલ “ચા” માં ચા ને મળતાં પાંદડાંને ચા ના જેવો જ રંગ ચડાવવા ડામરમાંથી બનતી ડાઇનો ઉપયોગ થાય છે. જે ફેફસાંને બગાડી નાખે છે અને કેન્સર કરે છે.

    ઝેરના પ્રકોપોને આમંત્રવાના આપણા સંદર્ભો

    [ક]…..સૌંદર્ય પ્રસાધનો :

    શરીરની ચોખ્ખાઇ-સુઘડતા અર્થે અને ચામડીની સુંદરતા વધારવા માટે હળદરનો પાવડર, ચણાનો લોટ , લીંબુ-નારંગીની છાલ તથા કુંવારપાઠાનો રસ અને માથાના વાળ ધોવા શિકાકાઇ અને અરિઠાંના ઉપયોગની પ્રાચીન રીતો આજે પણ કેટલીક ગૃહિણીઓ વાપરી રહી છે તેઓને ખુબ ખુબ ધન્યવાદ ! પણ આપણા સમાજમાં આવી જૂનવાણી ગણાતી બહેનોની સંખ્યા કેટલી ? આજની આધુનિક બહેનોની યુવા પેઢી તો માથાના વાળ ધોવા જુદા જુદા શેંપુ અને શરીરની ચામડીને નરમ અને ભીનાશવાળી રાખવા,ચામડી પર પડેલ ડાઘા દૂર કરવા ટીવીના પડદે લોકોને મૂર્ખ બનાવતી અવિરતપણે ધૂમ મચાવતી રહેતી જાહેરાતોમાં દેખાઇ રહેલ વિવિધ સૌંદર્યપ્રસાધનો નો જે આડેધડ ઉપયોગ વધી ગયો છે, તે બધી બનાવટોમાં કેવા કેવા નુકશાન કારક રસાયણો રગદોળેલ હોય છે એની જાણ વિજ્ઞાન ભલી-ભાંતિ પ્રગટાવે છે પણ તે આપણે થોડા માનીએ છીએ ?

    [ખ]….ઘરની સ્વચ્છતા :

    “ઘર” તો વાળીચોળીને સાફ કરી દિવસમાં એકાદીવાર બારી-બારણાં ખુલાં કરી અંદર ચોખ્ખી હવાને આખા મકાનમાં આંટો મારવા દેતા હોઇએ અને ફર્શ પર લાદી ચોડેલ હોય તો દિવસમાં એકાદીવાર ચોખ્ખા પાણીનું પોતું ઘસીને કરવામાં કરવામાં આવે તો ઘર ચોખ્ખું જ રહે. પણ નહીં ! પોતું કરવાના પાણીમાં ફીનાઇલ કે એસિડ જેવા કેટલાક જંતુનાશક પ્રવાહીનું ઊમેરણ અને માખી-મચ્છર-વાંદા-કંસારી-કરોળિયા-ઉધઈ તથા કીડી-મકોડાને દૂર કરવા “લક્ષ્મણરેખા” નામના લાદી પર લીટા દોરવા વપરાતા કાંકરાનો ઉપયોગ ન કરાય ત્યાં સુધી ગૃહિણીના જીવને નિરાંત થતી નથી. આવા પદાર્થોના વપરાશ થકી ઘરની હવા ઝેરી બની આપણા શ્વાસોશ્વાસમાં પ્રવેશી તંદુરસ્તીને કેવી ખોખલી બનાવે છે તેનો વિચાર કરવાનું સાવ જ માંડી વાળ્યું છે.

    [ગ}…..ખાદ્ય પદાર્થો :

    આપણી ખોરાકી ચીજોમાં કઈ ચીજ ઝેરી રસાયણોથી મુક્ત હશે એ કહેવું મુશ્કેલ બની ગયું છે. ઔદયોગિક વસાહતોમાંથી નીકળતાં પ્રદુષિત અને ગટરોના પાણીથી ઊગાડેલ શાકભાજી શું ઝેરમુક્ત હોઇ શકે ? અરે, બજારમાં મળતાં ભીંડો-રીંગણ-કોબી-ફુલાવર-કારેલા કે મરચાં-વાલોળ બધાં જ ખેડૂતોની વાડીઓમાં તાજેતરમાં જ ઝેરી દવાઓના છંટકાવમાં નાહીને તરત જ ગૃહિણીઓના રસોડાં સુધી પહોંચે છે. અરે, શાકભાજીને ચમકીલો દેખાવ કરવા તો કેટલાક કોપરસલ્ફેટ જેવામાં ઝબોળી રંગ ચડાવવામાં આવે છે અને રાતોરાત વધીને મોટા થઈ જાય તે માટે ઓક્સીટોસિન હોર્મોંસના ઇંજેકશનો અપાતાં હોય છે, એ બાબતની કેટલાને ખબર હોય છે બોલો ! કેરી, કેળાં, પપૈયાં અને લીંબુ જેવા વનપક ફળોને ગ્રાહકની આંખને આકર્ષી લે તેવો પીળો ધમરખ રંગ આપવા તેને કેલ્શિયમ કાર્બાઈડ ભેળું સુવાડ્યું હોય છે. આ રસાયણ એ ફળના અંગેઅંગમાં પ્રસરેલું હોય છે.

    [ઘ]……રસોઇ-મસાલા :

    યાદ કરો ! રસોઇને સ્વાદિષ્ટ બનાવવા જરૂરી મસાલા દા.ત.- હળદરના ગાંઠિયા, જીરુ-ધાણાના દાણા, હિંગના ગાંગડા, રાય અને મેથીના દાણા, અરે, સૂકાં મરચાં સુધ્ધાં મૂળ સ્વરૂપે મેળવી, ઘેરે જ ખાંડી-પીસીને ભરી રાખતા, જેને આખું વરસ ઉપયોગમાં લેતા. એને બદલે આજે તૈયાર આકર્ષક પેકીંગમાં મળતા મસાલા જ વાપરવાનો ક્રેજ ઊભો થઈ ગયો છે. એમાં કેવા કેવા કૃત્રિમ રંગોનો ગિલેટ ચડાવી, આંખને ગમી જાય એવા આકર્ષક બનાવી દેવામાં આવ્યા હોય છે એનો ખ્યાલ કર્યો છે ક્યારેય ? અતિશય લાલ રંગનો મરચાનો પાવડર કે વધુ પડતો પીળો હળદરનો પાવડર ભાળીએ એટલે સમજી જ જવાનું કે આ કારસ્તાન કૃત્રિમ રાસાયણિક રંગોનું જ છે !

    અરે, મસાલા ઉપરાંત કાયમ ખાતે ઠીક ઠીક જથ્થામાં વપરાતા અનાજ-ઘઉંનો તૈયાર લોટ બજારમાં મળવા લાગ્યો છે. એ લોટને દેખાવે સરસ અને સ્વચ્છ રાખવા તેને બ્લિચ કરવામાં આવે છે, જેમાં વીસ-બાવીસ જેટલા રસાયણો દેખાયાં છે. આવો લોટ કીડની, જ્ઞાનતંતું અને લીવરને શિથિલ બનાવે છે એવું લેબ-રિપોર્ટ જણાવી રહ્યા છે.

    [ચ}……અનાજ સંગ્રહ :

    યાદ કરો ! અનાજ સાચવવાની જૂની-પૂરાણી રીત કેવી સરસ હતી ? છાણ-માટીમાંથી ગૃહિણીઓએ હાથે ઘડતર કરેલી કલાત્મક કોઠીઓ હતી. અને એને ગોબરનું લીંપણ કરી-જંતુરહિત બનાવ્યા પછી ,તેમાં અંદરથી તૂટેલ-ફૂટેલ દાણા અને કસ્તર વગેરે દૂર કરી, સૂર્યતાપમાં ખુબ તપાવ્યા પછી એક રાત્રિ કુદરતી વાતાવરણમાં ટાઢુ પડવા દઈ, અંદર લીમડાનાં પાન ભેળવી અનાજથી આખી કોઠી ભરી દીધા પછી ઉપર છાણાની રાખનો એક ઇંચનો થર કરી, કોઠીનું ઢાંકણ બંધ કરી, સાંધાની જગ્યાએ છાણ-માટીનું ચાંદણ કરી હવાચૂસ્ત બનાવી દેતા, જેથી અનાજ સળતું નહોતું. હવે માટીની કોઠીઓને બદલે કઠોળ કે અનાજ ભરવા ગેલ્વેનાઈઝના પતરાની પેક પેટીઓ અમલમાં આવી ગઈ છે, પણ તેને સળતું રોકવા માટે અનાજ-કઠોળમાં એલ્યુમિનિયમ ફોસ્ફાઇડની ગોળીઓ મૂકી દેવામાં આવે છે. શું એમાંથી નીકળતો ઝેરી ગેસ જિવાતોને નાબુદ કરવાનું કામ કરવા ઉપરાંત તે અનાજ ખાનારને પણ નાબુદ કરવાનું કામ નહીં કરતો હોય ? કરે જ !

    [છ]…..ગળપણ :

    હું જ્યારે માલપરાની વાત્સલ્યધામ લોકશાળામાં ભણતો [1960] હતો ત્યારે સંસ્થાની વાડી અમે ઊગાડેલ શેરડીને ચીચોડામાં પીલી, જે રસ નીકળે એને  ચૂલ પર કડાઇમાં ઉકાળી “ગોળ” બનાવતા ત્યારે ગોળને કચરા રહિત અને ઉજળો દૂધ જેવો બનાવવા ઉકળતી કડામાં ભીંડીનો રસ ઉમેરતા, જે આરોગ્યને બીલકુલ નડતર રૂપ નહોતું. પણ આજે તો ગોળને ઉજળો બનાવવા સોડિયમ હાઈડ્રો સલ્ફાઇડ- સાઇટ્રીક એસિડ અને ડીટરજંટ પાવડરનો ઉપયોગ થઈ રહ્યો છે, જે માનવ આરોગ્ય માટે ખુબ હાનિકારક છે.  આ જાણીએ છીએ પણ પસંદગી રંગ ઉપર છે. ગુણ ઉપર નહીં.

    અંતે…..

    મિત્રો !  એટલું જ કહેવાનું છે કે વિજ્ઞાનની હરકોઇ શોધ માનવ-સમાજની સુખાકારી માટે જ હોય છે. પણ આપણે તે શોધનો કેવી રીતે ઉપયોગ કરવો તે આપણે નક્કી કરવાનું હોય છે. આજની આ કહેવાતી વિકાસ અને ફેશનની આંધળી દોડ માનવજિંદગીને તારશે કે પછી નોખનોખી બિમારીઓની ભેટ ધરી, ધીરે ધીરે કરતાં સમૂળગા મારી નાખશે ? શું થવા દેવું છે, એ નક્કી કરવું આપણા હાથમાં છે.


    સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ : krushidampati@gmail.com

  • એક દેશને કેટલો વિકાસ જોઈએ?

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    મહાત્મા ટૉલ્સ્ટોયની અતિ જાણીતી વાર્તા ‘એક માણસને કેટલી જમીન જોઈએ?’માં એક ખેડૂતના અતિ લોભની વાત કરવામાં આવી છે. સૂર્યાસ્ત સુધીમાં વધુ ને વધુ જમીનને પોતાના પગ તળે આવરી લેવાની લ્હાયમાં આખરે ખેડૂત મૃત્યુ પામે છે, અને તેના દફન પૂરતી, કેવળ છ ફીટ જમીન પામી શકે છે. આ વાર્તા કોઈ એક માનવની નહીં, પણ સમગ્ર માનવજાતની છે એમ કહી શકાય. કેમ કે, માનવજાતના લોભને કોઈ થોભ નથી. [1]

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    વર્તમાન સમયમાં તે સમયના વિચિત્ર વળાંકે ઊભેલો છે. એક તરફ તે વિકાસની આંધળી દોટમાં મશગૂલ છે. બીજી તરફ આ દોટની વિપરીત અસરોનું પરિણામ નજર સામે છે, અને તે પોતાની જીવનશૈલીમાં ફેરફાર કરીને લઘુત્તમ જીવનશૈલી તરફ નજર કરી રહ્યો છે. ત્રીજો માર્ગ ભૂતકાળ તરફ પાછા વળવાનો છે, જે સદંતર બંધ થઈ ચૂકેલો છે.

    પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર એવા આપણા દેશના રાજ્ય ગોવામાં તેનું પ્રાકૃતિક સૌંદર્ય જ તેનું દુશ્મન બની બેઠું છે. એક તરફ સમુદ્ર અને બીજી તરફ પર્વતોનું વિશિષ્ટ ભૂપૃષ્ઠ ધરાવતા આ પ્રદેશમાં હવે પર્વતોનું પદ્ધતિસર નિકંદન કાઢવાની પ્રવૃત્તિ આરંભાઈ છે. સ્વાભાવિકપણે જ વૃક્ષ, પર્વત, સમુદ્ર વગેરે પર અનેક પ્રકારની જૈવપ્રણાલિ નિર્ભર હોય છે. પર્વતોનો વિનાશ એટલે તેની પર નિર્ભર આવી અનેક જૈવપ્રણાલિઓનો નાશ.

    એક સમયે ગોવાની વસતિ પ્રમાણમાં ઘણી ઓછી હતી, પણ પ્રવાસનને કારણે સ્થાનિકો તેમજ બહારના લોકોને અહીં સ્થાવર મિલકત વસાવવાની ચાનક ચડી. ખાસ કરીને સમુદ્રતટે લોકો મિલકત વસાવવા લાગ્યા. તેને પગલે ઈમારતો ઊભી થવા લાગી અને જોતજોતાંમાં જમીન ઓછી પડવા માંડી. તેને કારણે લોકો સમુદ્રતટેથી દૂર, અંતરિયાળ વિસ્તારમાં જવા લાગ્યા. પરિણામસ્વરૂપ જમીનનું આડેધડ પુરાણ થવા લાગ્યું.

    આ ગતિવિધિને કાનૂનમાં વિવિધ સુધારા દ્વારા મંજૂરી આપવામાં આવી, અને કેટલાય ‘અવિકસીત’ વિસ્તારોને રાતોરાત બાંધકામ માટે સુયોગ્ય ઠેરવી દેવામાં આવ્યા. મોટા મોટા પ્રકલ્પો માટે ધીમે ધીમે ખેતરોની જમીનમાં પુરાણ થતું ચાલ્યું. આટલું પર્યાપ્ત નહોતું. નવી જમીન પેદા કરી શકાય એમ નહોતી, એટલે ‘વિકાસ’ની નજર હવે પર્વતો તરફ જવા લાગી. ઠેરઠેર પહોળા માર્ગ, નિવાસી સંકુલો, શૉપિંગ પ્લાઝા વગેરેની ભરમાર ઊભી થતી રહી છે, જેના માટે હવે પર્વતોને નષ્ટ કરવાનું શરૂ થયું છે.

    આ વલણ કેટલું ખતરનાક અને પ્રાણઘાતક નીવડી શકે એમ છે એ કંઈ કોઈથી અજાણ્યું નથી. સમુદ્રતળની ઊંચાઈએ આવેલાં શહેરોમાં તળાવનું પુરાણ કરીને બાંધકામ કરવામાં આવે તો પણ એ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની સમસ્યા ઊભી થઈ જાય છે. તેને બદલે અહીં તો પર્વતોને સાફ કરવાનું શરૂ થયું છે. કુદરત સાથેની આ છેડછાડનું પરિણામ કેટલા ગણું ભોગવવું પડશે એ વિચાર જ ધ્રુજાવી નાખનારો છે.

    કેરળના વાયનાડમાં થયેલા ભૂસ્ખલનને પગલે ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે જણાવ્યું છે કે નિષ્ણાતોની સમિતિ દ્વારા ગોવાના ભૂસ્ખલન અંગે તૈયાર કરાયેલા એક અહેવાલનો અમલ કરવામાં આવશે અને જરૂર પડ્યે પર્વતોના ઢોળાવ પર અપાતી બાંધકામની મંજૂરીને રદ કરવામાં આવશે. પર્વતોના ઉચ્છેદનને સંબંધિત અધિકારીઓના ધ્યાન પર લાવવાની સીધી જવાબદારી તેમણે તલાટીઓના શિરે ઢોળી છે. એટલે કે ગામના તલાટીઓ પર્વતોને કાપવાના, તેમના ઢોળાવ પર બાંધકામના મામલે દેખરેખ રાખશે અને કશી ગેરકાનૂની બાબત જણાય તો જિલ્લા કલેક્ટરના ધ્યાને તેને લાવશે.

    તલાટીના ધ્યાને આવું કંઈક આવે, તેઓ જિલ્લા કલેક્ટરને જાણ કરે, જિલ્લા કલેક્ટર તેની પર પગલાં લે ત્યાં સુધીમાં પર્યાવરણને જે નુકસાન થઈ ગયું હોય એ થઈ ગયું હશે. ધારી લઈએ કે આવી ગતિવિધિમાં અદાલતનો ચૂકાદો એ વિસ્તારને ‘યથાવત્’ કરી દેવાનો આવે તો પણ કશું હતું એમનું એમ થઈ શકે નહીં, કેમ કે, આસપાસની જીવસૃષ્ટિ અને જૈવપ્રણાલિને થઈ ચૂકેલું નુકસાન ભરપાઈ ન કરી શકાય એવું હોય છે.

    સૌથી મહત્ત્વની અને અવગણી ન શકાય એવી બાબત એ છે કે આ પ્રકારની ગતિવિધિઓ કંઈ સામાન્ય નાગરિકો કરતા નથી હોતા. સરકારમાં વગ ધરાવતા બિલ્ડરો સિવાય કોની હિંમત ચાલે? સરકાર ખરેખર કોઈ નક્કર પગલાં લેવા ઈચ્છે તો તેની સામેલગીરી બને એટલી સીધી હોવી ઘટે. મુખ્ય સવાલ એ છે કે સરકાર પગલાં લેવા ખરેખર ઈચ્છે છે કે પગલાં લેવાનો કેવળ દેખાવ કરવા માગે છે?

    આ ગતિવિધિને લઈને પર્યાવરણ ક્ષેત્રે કામ કરતા ગોવાના કર્મશીલોને ડર છે કે વેળાસર અને યોગ્ય રીતે પગલાં લેવામાં નહીં આવે તો ગોવાનો પર્વતીય વિસ્તાર જોતજોતાંમાં સફાચટ થઈ જાય એ દિવસ દૂર નહીં રહે. એમ થાય તો પછી તેનાં પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે. દર વખતે થાય છે એમ વિકાસનાં ફળ ચાખશે કોઈક બીજું, અને તેનાં માઠાં પરિણામ ભોગવશે અન્ય કોઈ.

    માનવજાતને ભેટમાં મળેલી કુદરતી સંપદાની તેને કશી કિંમત નથી એ હકીકત વખતોવખત વિવિધ રીતે અને લગભગ સર્વત્ર પુરવાર થતી રહી છે. સરકારની આ બાબતે ઉદાસીનતા એક મુખ્ય પરિબળ ખરું, સાથોસાથ નાગરિક તરીકે આપણે પણ આ બાબતે પોતાની ભૂમિકા યોગ્ય રીતે ભજવવામાં નિષ્ફળ ગયા છીએ એમ લાગ્યા વિના રહેતું નથી. ‘એ શી રીતે?’ એવો સવાલ કોઈને થાય તો પ્રવાસન સ્થળોએ આપણો વ્યક્તિગત અભિગમ કેવો હોય છે એ વિશે વિચારીએ તો આનો જવાબ મળી જશે. વિકાસની આંધળી દોટ જોઈને લાગે છે કે ટૉલ્સ્ટોયની વાર્તા સદાય પ્રસ્તુત છે.


    [1]


    ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૨ – ૦૯ – ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • જો તમારા કરમમાં હશે તો…

    સોરઠની સોડમ

    ડો. દિનેશ વૈષ્ણવ

    વીસથી વધુ પેઢીએ મારા વડદાદા નરસિંહ મેહતાએ કીધું છ, “જેહના ભાગ્ય્માં જે સમે જે લખ્યું તેહને તે સમે તે જ પોંહચે.” મારી વાત્યુંના ઊંડા ઈશકોત્રા માંથી આજ મારે જે વાત વે’તી મેલવી છ એનું પણ ક્યાંક એવું જ છે કારણ કે નસીબનો બળિયો જ ઈ જોઈ શકે, માણી શકે, જીવી શકે ને જીરવી શકે.

    …તો મિત્રો, મારું બાળપણ જૂનાગઢ તાબાનાં ગામડાંઓમાં ગ્યું છ કે જ્યાં ન હતાં વીજળી, નળનું પાણી, બાંધેલાં પાકાં જાજરૂ, રેલવે સ્ટેશન, બજારુ ખાવા સારુ હોટેલ કે શેરની અન્ય સુવિધાઓ ને છત્તાં મને ક્યારેય કાંઈ ગુમાવ્યું હોય એવું નથી લાગ્યું કારણ કે ડો. જગદીશ ત્રિવેદી કે’છ એમ ગામડામાં:

    “ધૂળ ઢેફા ને પાણાં હોય, ભીંતેભીંતે છાણાં હોય; ટાણાં એવાં ગાણાં હોય, મળવા જેવા માણાં હોય
    ઉકરડાં ને ઓટા હોય, બળદીયાના જોટા હોય; પડકારા હાકોટા હોય, માણસ મનનાં મોટાં હોય
    માથે દેશી નળીયાં હોય, વિઘા એકનાં ફળીયાં હોય; બધા હૈયાબળીયા હોય, કાયમ મોજે દરીયા હોય
    સામૈયાં ફુલેકાં હોય, તાલ એવા ઠેકા હોય; મોભને ભલે ટેકા હોય, દિલના ડેકાડેકા હોય
    ગાય,ગોબર ને ગારો હોય, આંગણ તુલસીક્યારો હોય; ધરમનાં કાટે ધારો હોય, સૌનો વહેવાર સારો હોય
    ભાંભરડા ભણકારા હોય, ડણકું ને ડચકારા હોય; ખોંખારા ખમકારા હોય, ગામડાં શેર કરતાં સારાં હોય.”

    આ કવિત માંથી જો હું “ટાણાં એવાં ગાણાં હોય,” ને “પડકારા હાકોટા હોય, માણસ મનનાં મોટાં હોય” એટલું જ પકડું તો ઈ ચારણી દાજી ડાયરા; ભજનો, સંતવાણી, લોકગીતો, માતાજીની સર્જો, ટીપણી ગીતો, ખારવાનાં ગીતો ને મરણે મરશિયાં હેકીક કરતાં મારાં નેણે ને માયલે બેઠાં થાય છ કારણ કે હું એનો સાક્ષી હતો ને શાશ્વત એને જીવ્યો છ કે જેના થોડાક દાખલાઓમાં:

    અમે સનખડા હતા તીંયેં મારી ઉંમર નાની પણ થોડુંઘણું યાદ છે ને ઘણું પપ્પાએ કીધુંતું ઈ મુજબ યાં ભરવાડું શિયાળે ઢોરઢાંખર, ઘેંટાં ને ઊંટનું ખાડું દવાખાનાના ચોગાનમાં બેસાડતા ને સાચા ભાવે માતાજીની સર્જ્યું ગાતા. ઘણીવાર ગામની આસપાસ ધોબીયો, તડ, નારણબાગ ને ધોળીવાવમાં પણ ઈ સર્જ્યું ગાતા. પછી ગર્યના એક નાકા જેવા દેલવાડામાં અમે હતા તીંયેં સૂમરા માલધારી ચોમાસે અમારા દવાખાના પછીત ખેતરમાં કચ્છથી કુંઢીયુનાં ખાડાં લઈને ચરાવા આવતા ને કચ્છી જભાને સૂફી ગીતો ગાતાં તસબીહ ફેરવતા. તીંયેં પાસેમાં તુલસીશ્યામ, દુધાળા. ગાંગડા ને દ્રોણેશવરમાં ભજનું ને લોકગીત્યું અમે સાંભળતા. જાણ ખાતર કે સૂમરા અસલમાં પરમાર રજપૂત હતા પણ આઠમી સદીમાં એને મુસ્લિમ ધરમ સ્વીકાર્યોતો.

    હવે જો આગળ કહું તો ગર્યના બીજા નાકા મેંદરડા ને પાડોસનાં ગામોમાં – માનપુર, નાજાપુર, આલીધ્રા, સમઢીયાળા, ગીર ખોરાસા, કણજા, ચીરોડા, જીંજુડા, અણીયા,વ.માં – ધાધલ શાખના કાઠી અને કડવા કણબી જાજા. આ બધા વાવણી થઇ જાય પછી ઘરની ફળીમાં, ગામના ગોંદરે કે મધુવંતીના કાંઠે ભથેશ્વર ને ધારેશ્વર મહાદેવના મંદિરમાં ડાયરા ને ભજનોના કાર્યક્રમ રાખતા. એમાં અમને ઈ અરસાના ઊંચા ગજાના કલાકરો માણવાની તક મળીતી. વધુમાં મેંદરડાનો એક બીજો પ્રસંગ કહું તો ૧૯૫૦ના વચાળે માનપુરમાં પપ્પાના એક જુવાન કાઠી દર્દીનું મયણું થ્યુંતું ને ગાડે બેસાય એટલે હું પણ મારા બાપની આંગળીએ ઈ ખરખરે ગ્યોતો. ગાડેથી નીચે ઉતર્યા યાં ઈ ઘરની ફળીમાં બાયું છાંજીયાં લેતીતી ને મરશિયાં ગાતીતી. મને થોડુંક યાદ છે એમ મરશિયું ક્યાંક આમ હતું:

    “એ…ઘરનો મોભ ખડેડ્યો..
    એ…અમે ઉઘાડાં થઇ ગીયાં..
    એ…મારા ચૂડલાનો શણગાર નંદવાઇ ગીયો..
    એ…મારા સેંથો ને ચાંદલો રોળાઇ ગીયાં..
    એ… અમને નોધારાં ને નિમાણાં મેલીને હાલી ગીયા..”

    બીજું મારું નાનપણનું ગામ ઈ ચોરવાડ કે એમાં ને પાડોસ કાણેક, ગડુ, કુકસવાડા, વિસણવેલ, વ.માં કોળી, રબારી, કારડીયા રજપૂત, ખારવા ને વેલારીની વસ્તી જાજી ને થોડાક સંત પઢિયારજીના વારસે વસેલા ગીરનારા પણ ખરા. એટલે યાં ડાયરા, ભજન, લોકગીત, ખારવાનાં ગીત, કોળણનાં ટીપણી નાચ ને ગીત, ગીરનારા ને કોળીની ગરબી ને રબારીની પુંજનો અનેરો લાભ અમને મળ્યો. હું પોતે ગરબી લેતાં ગિરનારા મિત્ર કિરીટ પઢીયાર ને ડાંડીયારાસ અમારા પટ્ટાવાળા ઘેલાભાઈ રબારી પાસેથી શીખ્યોતો. ચોરવાડની ટીપણી અને સંગીત દાયકાઓ પે’લાં રાજેન્દ્રકુમાર અને અમિતા અભીદર્શિત “ગુંજ ઉઠી શેહનાઈ” ચલચિત્રમાં દેખાડેલ. અલબત્ત, ઈ ફિલ્મી હતું પણ મેં જે અસલી અનુભવ્યુંતું ઈ ગામના નગરશેઠની અગાસીમાં ધ્રાબો પથરાણો તીંયેં. એમાં કોળણોએ આલા મીરની શરણાઈ ને પશાભાઈના ધ્રીજબાંગ ઢોલના તાલે ટીપણી ટીપતાં ક્યાંક આમ ગાયુંતું:

    “ધ્રોબો ધ્રોબો રે ધાબો શેઠની મેડીએ રે લોલ,
    ધાબે રૂડા પોપટ ને મોરલા ચિતરાવો રે લોલ…”

    તો બીજીકોર ચોરવાડના દરિયા કાંઠે પપ્પાના ખારવા દર્દી કાનાભાઇ મોતીવારસના ખોયડેથી “નાળિયેરી પૂનમે” સાગમઠે સંભળાય:

    “પાંચ વાણુંનો કાફલો, એલા! પાંચ વાણુંનો કાફલો;
    તેમાંલો એકલો હકરાણો, જવાનડા!
    એકલો હકરાઈશ મા,એલા હકરાઈશ મા;
    કાચા હૈયાના ધણી! એકલો હકરાઈશ મા!
    વાવડાનું જોર છે, એલા! વાવડાનું જોર છે;
    હેમત રાખીને સઢાં છોડજે, જવાનડા.”

    મેં ૧૯૭૦માં દેશ છોડ્યો ઈ પે’લાં અમે ગાંડી ગર્યના નાકા વિસાવદરમાં હતા. તીંયેં આ ગામ ને એને ફરતો વિસ્તાર – આપાગીગાનું સતાધાર, તાલાળા, માલણકા, વાણિયાવાવ, કાંસીયા નેસ, લખુઆઈનો નેશ, લીલાપાણીનો નેસ, મેલડીનો નેસ,વ. – હારે પણ અમારે જાજો ધરોબો. આ વિસ્તારમાં મોટાભાગની માલધારીની વસ્તી ને આંઈ પણ મેંદરડા વિસ્તારની જેમ દી’ આથમે ડાયરા ને ભજનુંની બેઠકુંમાં અમે ગાડે ચડીને જાતા. આંઈ ફરક ઈ હતો કે અમે બેસતા યાંથી પાસેના કરમદી કે બોયડીનાં ઢૂંવાં માંથી સાવજની ઝબુકતી આંખ્યું દેખાતી ને ડણાકું સંભળાતી ને તીંયેં મેઘાણીજીના નીચેના શબદો જીવ્યાનો એહસાસ થાતો:

    ઝબૂકે

    વાદળમાંથી વીજ ઝબૂકે
    જોટે ઊગી બીજ ઝબૂકે

    જાણે બે અંગાર ઝબૂકે
    હીરાના શણગાર ઝબૂકે

    જેગંદરની ઝાળ ઝબૂકે
    વીર તણી ઝંઝાળ ઝબૂકે

    ટમટમતી બે જ્યોત ઝબૂકે
    સામે ઊભું મોત ઝબૂકે

    ડણાક

    બાવળના જાળામાં ગરજે
    ડુંગરના જાળામાં ગરજે

    કણબીના ખેતરમાં ગરજે
    ગામ તણા પાદરમાં ગરજે

    નદીઓની ભેખડમાં ગરજે’
    ગિરિઓની ગોહરમાં ગરજે

    ઉગમણો, આથમણો ગરજે
    ઓરો ને આઘેરો ગરજે

    મને એક આડવાત આંઈ કેતાં પોરસના પલ્લા છૂટે છ કે તીંયેં એનો જનમ નો’તો થ્યો પણ આજ જગજાણીતા ગર્યગઢવી રાજભા ઈ લીલાપાણીના નેસની જ નીપજ છે.

    …તો મિત્રો, જનમથી માંડીને હું એકવીસનો થ્યો ને દેશ છોડ્યો યાં લગીમાં નહીંનહીં તોયે સોએકથી વધુ ડાયરા, લોકગીતો ને સંતવાણીની બેઠકયુંમાં હું ગ્યોતો ને ઈ દિવસુંના અદકા કલાકરું જેવા કે માધુભગત જેઠવા, કનુભાઈ બારોટ, પરબના મહંત, અભરામ ભગત, ઇસ્માઇલ વાલેરા, કાનજી ભૂટા બારોટ, દુલા કાગ, હરદાનભાઈ, ઠારણભાઈ, ગંગુભાઈ, શંકરદાનજી, મેરૂભાબાપુ, બચુબાપુ, પદ્મશ્રી દાદબાપુ, પ્રવીણદાન ને જુવાનડા હેમુભાઈને ભરપેટ માણ્યાતા. વળી પપ્પા દાક્તર હતા ને ગામડામાં ઈ મોટું માથું એટલે અમે લગભગ આ બધા કલાકારોને હરૂભરૂ પણ મળ્યાતા ને હારે અડાળીઅડાળી ચા યે પિધોતો. હવે જો વિચારોતો આ સૌ નામોમાં પછીના પ્રખ્યાત ને ઊંચા ગજાના કલાકારો લાખાભાઇ ગઢવી, ઈશરદાન ગઢવી, મુગટલાલ જોશી, પ્રાણલાલ વ્યાસ, નારાયણ સ્વામી (શક્તિદાન ગઢવી), તખતદાન ગઢવી, પદ્મશ્રી દિવાળીબેન ભીલ કે પદ્મશ્રી ભીખુદાન ગઢવી,વ.નો ઉલ્લેખ નથી કારણ કે તીંયેં એમાંથી કેટલાક ઉંમરે નાના હતા, કેટલાકની પાપાપગલી હતી ને જે જાહેર કર્યક્રમના માચડે ચડ્યાતા ઈ બધાએ હજી એટલાં ઊંચા માથાં નો’તાં કાઢ્યાં.

    બીજું ત્યારે મેં જાહેર એકેય નહીં પણ દાજી ડાયરા ઘણા માણ્યાતા પણ એમાં જે બે જુદુ જાતના ડાયરા મને યાદ છે ઈ એક દરબારી ઠાઠનો ડાયરો માનપુર દરબાર સાહેબની ડેલીએ ને બીજો ચોરવાડમાં એક રઈસ ને દરિયાવ દિલના વેલારીની વાડીમાં. દરબારી ડાયરે ઘુંટેલ અફીણની ધ્રોબેથી અંજલિયું દેવાતી, કવાકસુંબા થાતા ને પડકારા હાકોટાથી ડેલી ને દરબાર સાહેબની મોટપથી સૌનાં હૈયાં ભરાઈ જાતાં. મેં અગાઉ આ ડાયરા સબબ લ્ખ્યુતું એટલે આજ ચોરવાડમાં મેં જે બીજી ભાતનો દાજી ડાયરો માણ્યોતો ને ઈ આજેયે ત્રાજવે ત્રોફાઈ ગ્યો છ ને છૂંદણે છવાઈ ગ્યો છ એની વાત પણ ભેળાભેળી માંડું છ.

    …તો સાહેબ, ઈ ફાગણ સુદની ટાઢી રાત, ઈ સમૃદ્ધ વેલારી પરિવારની સોનાના કટકા જેવી વીસેક વીઘા વાડી ને એના આંબાવાડિયાના પડકામાં બગલાની પાંખ જેવું ઉજળું સામીયાણું. એની બારની પાંગતે ગર્યના કાઠી કનેથી લીધેલા પાણીદાર ઘોડા ને કાણેકના ડોડીયા પરિવાર કનેથી લીધેલ નમણી ગાયું, ભગરી ભીહું ને રઢિયાળા ઢાંઢાં એમ સૌ ગેલ કરતાંતાં ને ભમ્ભ્રાટીયું દેતાંતાં. આ હંધાય જનાવારું વાડીના જ ઢાળિયેથી કાઢેલું નિણ, મુઠીફાટ કપાસ ને ગોળના ગાંગડા સમેણી જાતાંતાં. જો સાચું કહું તો આજનાં પ્લાસ્ટિકનાં ઝભલાં ચાવતાં ઢોરાંને આવું ખાણ કદાચ પચે હોત નહીં.

    આ સમીયાણામાં ચાંદો ગળાઈને પૂગતોતો ને રાતના નવેક થ્યા એટલે ડાયરો બંધાવા મંડ્યો. સૌ સાજન શેમળાના રૂના ગાદ્લે ગોઠવાણા કે જેમાં ભાયડા એક કોર ને બૈરા એક કોર બેઠાં. અમે તો વળી તકિયે ટેકા હોત દીધાતા કારણ કે પપ્પા દાક્તર હતા. અમારી પડખે ગામના ફોજદાર મહેતા સાહેબ, વૈદરાજ બંસીભાઇ, હેડમાસ્તર વ્યાસ સાહેબ એમ સૌ પણ બેઠા. કાનો, દેવો, તરભો ને ચમન એમ ચાર વાળંદું ડાયરે ફરતાતા. જો ભૂલેચૂકે પગ લાંબો કરો તો એમાંથી એક દાબીદે, માથું નીચું કરો તો ટોપરાનું તાજું તેલ માથે ભરી દે ને ખોખારો ખાવ તો પીતળની અડાળીમાં ટીનની કીટલીએથી ચાની દરેડ પાડી જાય. ઉપરાંત સૌ બંધાણી હાટુ ઈ હૂકો ભરી ને દેસી નળિયે ટેકવી જાય, મોઢે બીડી ટેકવી જાય કે દેસી તમાકુ જાડા ચુને ચોળી, એની ધુંસ ઉડાડીને ચપટી હેતથી હોઠે દાબી જાય. જેમ ભાયડાઉમાં વાળંદું ફરતાતા એમ બૈરાઉંમાં જાના, મોંઘી, લખમી ને ઉજમ એમ વાડીનાં જ “દાડિયાં” ફરતાંતાં ને ઉમળકે આકતાસ્વકતા કરતાંતાં.

    દસેક વાગવાના થ્યા તીંયેં ડાયરાના સંચાલક મુળુ બારોટ આવ્યા ને ને ઈ ટાણાના રિવાજે હારે ભગત બાપુ, કાનજી ભુટા બારોટ, અભરામ ભગત, માધુ ભગત જેઠવા, કનુભાઈ બારોટ ને હેમુ ગઢવી ઇમ માચડે ગોઠવાણા. પછી આ સૌએ પેટી ઉપર પરબવાવડીના મહંત ને તબલા ઉપર ગામના માયાભાઇ ખુમાણ હારે ૨૦-૩૦ મિનીટ મેળ કર્યો ને હારોહાર રામસાગરના તાર મેળવાણા ને જાંજ ને મંજીરાની દોરીયું પણ આંગળિયું એ વીંટાઈ ગઈ. ઈ મેળ થ્યા પછી ડાયરો દુહા-છંદ હારે મુળુભાએ, ભગતબાપુએ, હેમુભાઈ ને કનુભાઈએ ઉપાડ્યો પણ સાહેબ, ઈમાં રેણુંકી, રેખ્તા, ત્રીભંગો, કટુડી, ધડુકી એમ એક પછી એક છંદ મંડાણા. કાનજીભાઈએ ને ભગત બાપુએ વાત્યું માંડી, ગઢવીઉએ લોકગીત્યું ગાયાં, ને ભજનીકુએ ભજનું ને સાખીયું. પણ જેમ ડાયરો ખીલતો ગ્યો એમ સમિયાણામાં ખાવાનું ફરવા મંડ્યું. આમાં જાદરિયું, બાજરાનો શાકરમાં ભેળવેલ પોંક, ગાયના દૂધની એલચી વાળી બળી, કાચાં કેળાંનાં પોપટીયાં ને પીવામાં સ્ટ્રો તરીકે પોપૈયાના પાનની દાંડી ખોસેલા ત્રોફા. આ બધું ખાતાંખાતાં એક પછી એક ગઢવી ને બરોટાના બોલને અમે આતમે ઉતારતા ગ્યા.

    આ ડાયરેથી આજ મારે માયલે જે માયું છ ને મગજે ભ્રમણ કરે છ ઈ ભગત બાપુની હનુમાનજીની વાત, કાનજીભાઈની જંતરના સંગાથે “જીથરાભાભા”ની વાત, હેમુભાઈનું “ગામમાં પિયર ગામમાં સાસરું” ને “પે’લા પે’લા જુગમાં રાણી તું હતી પોપટી” લોકગીત. એટલાં જ ન ભુલાય ઈ અભરામ ભગત, માધુભગત ને કનુભાઈ વચાળે ગવાયેલાં ભજનો ને ગીતો “હાલો મારા હરીજનની હાટડીએ,” કુંતા બાંધે અભિમન્યુને અમર રાખડી રે લોલ,” બારબાર વરસે માધવવાવ ગળાવી,” “વીજળીના ચમકારે મોતીડાં પરવો પાનબાઈ” ને “રામદેપીર”નો હેલો. છેલ્લે ઢોરોને પહર ચારવાનું ટાણું થ્યું તીંયેં હેમુભાઈએ “ભૈરવી” કરી ને એના મધીયા ગળે “જાગને જાદવા” પરભાતિયું ગાયું.

    છેલ્લે અટલું જ કહીને હું પણ “ભૈરવી” કરું કે “જો તમારાં કરમમાં હશે ને હજીયે ક્યાંક આવા ડાયરા થાતા હશે તો તમે ઈ માણસો બાકી બાદશાહ, યો યો હની સીંઘ, ડિવાઇન, રફ્તાર, ટીટોડી જેમ કૂંજતી કક્કર કે રાડીયા રેશમિયા જેવાની કઠણાઈ તો તમારા કરમે બેઠી જ છે.


    ડૉ. દિનેશ વૈશ્નવનો સંપર્ક sribaba48@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • દેરસુ ઉઝાલા – એક નિરક્ષર રમતારામની પર્યાવરણ સજાગતાની વાત

    સંવાદિતા

    ફિલ્મકાર અકીરા કુરેસાવાની એકાધિક ફિલ્મોનો વિષય પર્યાવરણ અને એ પ્રત્યેની આપણી ઘોર નિષ્કાળજી છે

    ભગવાન થાવરાણી

    વિશ્વ સિનેમાના મહાનતમ સર્જકોની મારી યાદી બનાવું તો એના શીર્ષ સ્થાને જાપાનનાં અકીરા કુરોસાવાસ્વીડનના ઈંગમાર બર્ગમેન અને ભારતના સત્યજીત રાય આવે. આ કલાકારોની ફિલ્મોની ચર્ચા આપણે અહીં કરતા રહ્યા છીએ. આજે કુરોસાવાની એક કાલજયી ફિલ્મ ‘ દેરસુ ઉઝાલા ‘ ( ૧૯૭૫ ) ની વાત કરીએ. એમની ૩૧ ફિલ્મોમાંથી આ એકમાત્ર ફિલ્મ જે એમણે જાપાનીઝ સિવાયની – રશિયન – ભાષામાં બનાવી, રશિયન કલાકારો, કસબીઓ અને નિર્માણ સંસ્થાના સહયોગથી.

    ફિલ્મની કથા છે નિરંતર જંગલો અને પહાડોમાં ભટકતા રહેતા એક એવા અટૂલા શિકારીની જે પોતાની કોઠાસૂઝથી પ્રકૃતિ અને માણસ વચ્ચેનો સંબંધ સમજે છે. એનું નામ છે દેરસુ ઉઝાલા . રશિયન લશ્કરના કેપ્ટન વ્લાદીમીર આરસેન્યેવ ના ૧૯૨૩ માં લખાયેલા સંસ્મરણાત્મક પુસ્તક ઉપરથી બનેલી આ ફિલ્મ કહાણી છે બે મિત્રોની. આ મિત્રો એટલે કેપ્ટન આરસેન્યેવ અને દેરસુ ઉઝાલા.ફિલ્મમાં બે મૈત્રીની વાત છે.  સાવ ભિન્ન પૃષ્ઠભૂમિ ધરાવતાં પરંતુ એકમેક પ્રત્યે સમજણના સેતુથી જોડાયેલા દેરસુ અને કેપ્ટન આરસેન્યેવની મૈત્રીની અને માનવીની કુદરત સાથેની મૈત્રીની પણ !  બન્ને પાત્રોનો ભેટો અનાયાસ જંગલમાં થાય છે. ૧૯૦૨ ની સાલમાં રશિયાના દૂર પૂર્વ સાઈબીરીયામાં સંશોધન અને માપણી અર્થે ગયેલી સૈન્ય ટુકડીને ભટકતો દેરસુ મળે છે. ભાંગી તૂટી રશિયન ભાષા બોલતો દેરસુ શરુઆતમાં સૌને રમૂજી અને અવિશ્વસનીય લાગે છે. ધીમે ધીમે એની સૂજબૂઝ અને સચોટ આગાહીઓથી એ સૌનો આદરપાત્ર બને છે. કેપ્ટન માનભેર ટુકડીનું નેતૃત્વ એને સોંપે છે.

    અભિયાન દરમિયાન એક અવાવરુ ઝૂંપડીમાં રાતવાસો કર્યા બાદ દેરસુ કેપ્ટનને અનુરોધ કરે છે કે ઝૂંપડીમાં થોડુંક સીધું, મીઠું અને દીવાસળીની પેટી મૂકતા જઈએ. ‘ આપણે ક્યાં અહીં પાછા આવવાના છીએ ? ‘ ના જવાબમાં એ કહે છે ‘ આપણા જેવા બીજા કોઈક તો આવી શકે ને ! એમને પણ જીવાડીએ. ‘ !

    પોતાના અનુભવ અને આંતરસૂઝથી ટુકડીનું નેતૃત્વ કરતાં એ એકાધિક વાર એમને કુદરતી આફતોથી બચાવે છે. નિરર્થક ગોળીઓ ચલાવવા અને પ્રાણીઓનો માત્ર મોજ ખાતર શિકાર કરવાનો એ વિરોધી છે. ક્યારેક તો વનસ્પતિના પર્ણોને કોઈ બિનજરૂરી ખલેલ પહોંચાડે તો પણ એ ઉશ્કેરાઈ જાય છે ! એના મતે ‘ સૂર્ય અને ચંદ્ર મહાન છે. અગ્નિ ભયાનક. એ ગુસ્સે થાય તો જંગલ દિવસોના દિવસો સળગતું રહે. ‘ એ અગ્નિ, પાણી અને પવનનો આદર કરે છે. ઘેરું ધુમ્મસ જોઈ એને લાગે છે કે જંગલ અને પૃથ્વીને પરસેવો થઈ રહ્યો છે ! એક વાર જંગલમાં વાઘ દેખાતાં એ વાઘને જતા રહેવા માટે માનવીની ભાષામાં બુમો પાડી આજીજી કરે છે જેથી એણે મજબૂર થઈ ગોળી છોડવી ન પડે. એવું ન થતાં એણે ગોળી છોડવી પડે છે. વાઘના ઘાયલ થયાનો અહેસાસ થતાં એ ઘોર પશ્ચાતાપ અનુભવે છે.

    કેપ્ટન પણ કબૂલ કરે છે કે કુદરતની અફાટ વિશાળતા આગળ માનવી બહુ તુચ્છ કહેવાય. અભિયાનનો પહેલો દૌર સંપન્ન થતાં એ પ્રેમપૂર્વક દેરસુને સાથે પોતાના શહેર ખાબરોવસ્ક આવવા નિમંત્રે છે. ‘ મને શહેરમાં ફાવે નહીં. ત્યાં શિકાર કરવાનો તો હોય નહીં ! ‘ કહી દેરસુ ઈનકાર કરે છે.

    પ્રથમ અભિયાનના પાંચ વર્ષ બાદ આરસેન્યેવની ટુકડી ફરી વાર એ જ ઇલાકાની માપણી માટે નીકળે છે અને નસીબજોગે એમને ફરી દેરસુનો ભેટો થાય છે. હવે એની ઉંમર વર્તાય છે. આંખો નબળી પડી છે. હવે એ નિશાનબાજીમાં પણ ભૂલો કરે છે. એની જંગલો અને પહાડો પ્રત્યેની પ્રીતિ એ જ છે. ફરી એ એક અગત્યની વાત કરે છે. તાપણા આસપાસ બેસી ભોજન કરતી ટુકડીનો એક સભ્ય જ્યારે ખાતાં ખાતાં માંસનો ટુકડો અગ્નિમાં ફેંકે છે ત્યારે દેરસુ એને ટોકે છે. ‘ માંસ બહાર ફેંકો. એને સળગાવો નહીં. આપણા પછી આવનારા નાના પ્રાણીઓનું પેટ ભરાશે.‘ 

    લાચાર દેરસુ છેવટે કેપ્ટન સાથે એમના શહેર જાય છે. ત્યાં કેપ્ટનના નાનકડા પુત્ર સાથે એને ફાવે પણ છે પણ સુધરેલા સમાજની રીતરસમો એને રુચતી નથી. ‘ પાણી વેચાતું લેવું પડે ‘ એ જાણીને એને આઘાત લાગે. શહેરમાં હવામાં ગોળીબાર કરવાની પણ મનાઈ ? અને તમે લોકો ‘ આ ખોખાં જેવા ઘરમાં રહો છો કઈ  રીતે ? મને બહાર જઈ ખુલ્લામાં તંબુ ખોડીને રહેવાની ઈચ્છા થાય છે.’ 

    કેપ્ટન એની કરુણ પરિસ્થિતિ જોઈ એને પરત જંગલમાં રવાના કરે છે. થોડાક સમય પછી દેરસુ જંગલમાં મૃત્યુ પામ્યાના સમાચાર મળે છે. કેપ્ટન ત્યાં જઈ એની અંત્યેષ્ટિ કરે છે. જ્યાં જંગલ હતું ત્યાં એનું નિકંદન કાઢી હવે ગામ વસી ગયું છે.

    દેરસુ જેવા પાત્રો કુરોસાવાની ફિલ્મોમાં આવતાં રહે છે. આ પાત્રોને શહેરના જીવનની કોઈ ગતાગમ હોતી નથી. એમનામાં નૈસર્ગિક સૂઝબૂઝ હોય છે. એ લોકો સરળ, અંતર્મુખી, સીધી વાત કરનારા અને એકલા હોય છે. એમને યોગ્યાયોગ્યનું ભાન હોય છે. એમના માટે જીવન અને જીવનમાં નૈતિકતા જાળવવી એ બન્ને પડકાર હોય છે. સંસ્કૃતિના વિકાસનું દરેક પગલું સાથે કશુંક નુકસાન પણ લાવે છે. જી.પી. એસના જમાનામાં રાત્રિના આકાશમાં તારાઓનું સ્થાન જોઈને રસ્તો શોધનારા લુપ્ત ચરિત્રની વાત કુરોસાવાની આ ફિલ્મમાં છે.

    ફિલ્મની સિનેમાટોગ્રાફી અદ્ભુત છે. સ્વયંભૂ ‘ વાહ ‘ પોકારી જવાય એવા એક દ્રશ્યમાં કેપ્ટન અને દેરસુ જંગલમાં બેઠા છે. એમની એક તરફ ઊગતો સૂર્ય છે તો બીજી તરફ ઢળતો ચંદ્ર ! બેમિસાલ ! થીજેલી નદીમાં આવતા બરફના તોફાનના દ્રશ્યો પણ કમાલ ફિલ્માવાયાં છે. સાઈબીરીયાના જંગલોની અપ્રદુષિત વિશાળતા અહીં કેમેરામાં આબાદ ઝીલાઈ છે.

    ફિલ્મમાં દેરસુની ભૂમિકા મોંગોલિયન મૂળના અભિનેતા મેક્સીમ મુંઝુક ભજવે છે અને આરસેન્યેવની યુરી સોલોમન. ફિલ્મને ૧૯૭૫ ની શ્રેષ્ઠ વિદેશી ફિલ્મનો ઓસ્કર એનાયત થયેલો.


    સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • કાર્ટૂનકથા (૧૯)

    બીરેન કોઠારી

    આ શ્રેણીમાં માત્ર ‘સાહિત્ય’ના વિષયને કેન્‍દ્રમાં રાખીને ચીતરેલાં કાર્ટૂન મૂકવામાં આવે છે, જે વાર્તા સામયિક ‘વારેવા’માં અગાઉ પ્રકાશિત થઈ ચૂક્યાં છે.

    ‘વારેવા’ના ઓગણીસમા અંકમાં આ કાર્ટૂન પ્રકાશિત થયાં હતાં.

    વાર્તાવ્યંગ્ય


    (વાર્તામાં, વાર્તાલેખનમાં રસ ધરાવનાર સૌ કોઈને આ વિશિષ્ટ સામયિકમાં રસ પડશે. તેના વિશે વધુ વિગતો તેની સાઈટ https://vareva.co.in/ પર જોઈ શકાશે.)


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • શતાબ્દીએ કાકોરી કાંડની કહાણી, ‘બિસ્મિલ’ની જુબાની

    નિસબત

    ચંદુ મહેરિયા

    સો વરસ પૂર્વે ૧૯૨૫માં બ્રિટિશ શાસન દરમિયાન ટ્રેનમાંથી ૪૬૭૯ રૂપિયા,  ૧ આનો અને ૬ પાઈની લૂંટ કરવામાં આવી હતી. સરકારી ખજાનાની લૂંટના આરોપસર ૪૦ લોકોની ધરપકડો થઈ હતી. તેમાંથી ચારને ફાંસીની, બે ને કાળાપાણીની અને બીજા ચૌદને ચારથી ચૌદ વરસ સુધીની જેલની સજા થઈ હતી. આશરે પાંચેક હજાર રૂપિયાની લૂંટ બદલ ગોરી હકુમતે આઠ લાખ રૂપિયા જેટલો અધધ ખર્ચ કર્યો હતો. કેમ કે તેના માટે આ કોઈ સામાન્ય લૂંટ નહોતી. આ કૃત્ય ભારતના ક્રાંતિવીરોનું હતું. સરકારને તેમાં સમ્રાટ સામે સશસ્ત્ર યુધ્ધનો પડકાર લાગ્યો હતો.તેથી તેણે ચારને ફાંસી જેવી આકરી સજા કરી હતી. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ઈતિહાસમાં કાકોરી કાંડ તરીકે જાણીતી ઘટનાનું આ શતાબ્દી વરસ છે. એટલે તેના સ્મરણ સાથે મૂલ્યાંકન અને પુનર્મૂલ્યાંકનનો પણ અવસર છે.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    સાબરમતીના સંતે બિના ખડગ બિના ઢાલ આઝાદી અપાવી છે તે સાચું પણ આઝાદી આંદોલનમાં ક્રાંતિકારીઓનું ય યોગદાન અને ભૂમિકા રહેલાં છે. અહિંસક સત્યાગ્રહી અને સશસ્ત્ર ક્રાંતિકારી બંને આઝાદી માટે લડ્યા હતા. ગાંધીની અહિંસાના  માર્ગે દેશને આઝાદી નહીં મળે અને હિંસાથી જ તે શક્ય છે તેવું માનનારા ઘણાં ક્રાંતિવીરો ફાંસીના માંચડે ચડી ગયા હતા. ૧૯૨૫ની કાકોરી ટ્રેન લૂંટ કાંડના અગ્રણી રામપ્રસાદ ‘બિસ્મિલ’ ( ૧૧ જૂન, ૧૮૯૭ –  ૧૯ ડિસેમ્બર, ૧૯૨૭) સ્વાતંત્ર્ય ચળવળની ક્રાંતિકારી ધારાનું પ્રમુખ નામ છે. તેઓ કવિ, લેખક, અનુવાદક પણ હતા. ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાં જન્મેલ રામપ્રસાદ  ‘ બિસ્મિલ’ (અર્થાત આત્મિકરૂપે આહત) ના તખલ્લુસથી કવિતાઓ લખતા હતા. પછી તો ઉપનામ જ તેમની ઓળખ બની ગયું હતું. આરંભિક શિક્ષણ ઉર્દૂમાં લીધા પછી તે હિંદી –અંગ્રેજી ભણ્યા. જોકે ભણવામાં બહુ પાછળ હતા. ખોટી સોબતે ચોરી અને વ્યસનો પણ વળગ્યા હતા. પરંતુ આર્ય સમાજના રંગે રંગાયા પછી જીવનની દિશા બદલાઈ. સ્વામી સોમદેવને ગુરુ પદે સ્થાપ્યા. તેમણે જ બિસ્મિલને ઉપનિવેશવાદ વિરોધી સંઘર્ષ તરફ વાળ્યા અને તેમનામાં સરફરોશીની તમન્ના જગવી હતી. ભણતર તો બહુ વહેલું છૂટી ગયું પણ આઝાદી અને તે ય હિંસાના માર્ગે તરફનું ખેંચાણ કાયમ રહ્યું હતું.

    કાકોરી ટ્રેન લૂંટ કાંડ રામપ્રસાદ બિસ્મિલના નેતૃત્વમાં પાર પડ્યો હતો. ક્રાંતિકારીઓના સંગઠન  હિંદુસ્તાન રિપબ્લિકન એસોસિએશનના તેઓ સ્થાપક સભ્ય હતા. કાકોરી કાંડના આરોપી તરીકે લખનૌ અને ગોરખપુરની જેલમાં  બિસ્મિલે આત્મકથા લખી હતી.’ નિજ જીવન કી એક છટા’  નામે આત્મકથનની હસ્તપ્રત ચોરીછૂપી જેલની બહાર આવી હતી. તેમાં બિસ્મિલના જન્મથી ફાંસીના ત્રણ દિવસ પૂર્વે સુધીના જીવનનું બયાન છે. સો પૃષ્ઠ, ચાર ખંડ અને ૨૯ પ્રકરણોની આ આત્મકથા તેમની શહાદતના બીજા વરસે જ, ૧૯૨૮માં,  કાનપુરથી ગણેશ શંકર વિધ્યાર્થીએ પ્રગટ કરી હતી.  આત્મકથામાં કાકોરી કાંડ અને તે પછીની ઘટનાઓ તથા તે સંબંધી તેમનું ચિંતન અને ચિંતાઓ સ્પષ્ટપણે આલેખાયા છે. બહુ ઓછું ભણેલો, માંડ ત્રીસ વરસની આવરદા ભોગવી શકેલો એક યુવા ક્રાંતિવીર કઈ હદે વૈચારિક પ્રતિબધ્ધતા અને પાકટતા ધરાવી શકે તેનો ખ્યાલ આ આત્મકથા આપે છે.

    મૈંનપુરી ષડયંત્રમાં પણ રામપ્રસાદ આરોપી હતા.એટલે તેઓ ફરાર થઈ ગયા હતા. ભૂગર્ભવાસ દરમિયાન તેમણે પુસ્તક લેખન અને પ્રકાશનના વિચારો કર્યા. આજે નવાઈ લાગે તેવી વાત એ છે કે બિસ્મિલે પુસ્તકો લખી- વેચી તેમાંથી જે નાણા ઉપજ્યા તેના શસ્ત્રો ખરીધ્યા હતા! અગિયારેક વરસના જાહેરજીવન દરમિયાન તેમણે અગિયાર મૌલિક કે અનૂદિત પુસ્તકો લખીને પ્રકાશિત કર્યા હતા.આ બધા પુસ્તકો કાં તો પ્રતિબંધિત ઠરાવાયા હતા કે જપ્ત થયા હતા. પરંતુ તે લખવા, છાપવા, વેચવા પાછળનો તેમનો હેતુ લોકજાગ્રતિનો તો હતો જ સશસ્ત્ર ચળવળ માટે નાણાં ઉભા કરવાનો ખાસ હતો.૧૯૧૬માં  અઠારેક વરસના બિસ્મિલ કોંગ્રેસના લખનૌ અધિવેશનમાં ગયા હતા. તે પછીના લગભગ તમામ અધિવેશનોમાં તે હાજર રહેતા હતા. જોકે કોંગ્રેસના જહાલ નેતાઓ તરફ તેમનું સ્વાભાવિક આકર્ષણ હતું.

    ક્રાંતિકારીઓની ધરપકડો, જેલવાસ અને ફાંસી છતાં નવજવાનો હિંસાના રસ્તે આઝાદી મેળવવા આવતા રહેતા હતા. પરંતુ આ કામ માટે જરૂરી નાણાની સતત ખેંચ રહેતી હતી.બે અમીરોને ત્યાં ચોરી કે લૂંટ કરી પણ ખાસ કશું મળ્યું નહીં. એટલે ટ્રેનમાં લઈ જવાતા સરકારી ખજાનાની લૂંટ કરવાનું નક્કી કર્યું . નવમી ઓગસ્ટ ૧૯૨૫ના દિવસે બિસ્મિલ, અશફાક ઉલ્લા ખાં,  રાજેન્દ્ર લાહિડી , ચંદ્ર શેખર આઝાદ અને બીજા છ મળી  કુલ દસ લોકોએ કાકોરી કાંડને અંજામ આપ્યો હતો. લખનૌ નજીકના કાકોરી રેલવે સ્ટેશને સહરાનપુર લખનૌ પેસેન્જર ટ્રેનનું ચેન પુલિંગ કરી તેને રોકી, આજની એ કે ૪૭ જેવી જર્મન બનાવટની ચાર માઉજર પિસ્તોલથી ગાર્ડના ડબ્બામાંથી સરકારી ખજાનાની પેટી લૂંટીને ક્રાંતિકારીઓ ભાગ્યા હતા. આ ઘટનાએ દેશભરમાં ઉહાપોહ મચાવ્યો હતો. ક્રાંતિકારીઓની આ હિંમતથી અંગ્રેજ સરકાર પણ હચમચી ગઈ હતી. એટલે તેણે ફાંસી જેવું આકરું પગલું લીધું.

    આત્મકથામાં બિસ્મિલે અશફાક માટે એક પ્રકરણ ફાળવ્યું છે. સરકારે અશફાકને ફાંસીની સજા કરી એના દુ:ખ સાથે તેમને પોતાનો જમણો હાથ  ગણાવ્યા તે દોસ્તીનું ગૌરવ કર્યું છે. અંતિમ પ્રકરણમાં બિસ્મિલે લખ્યું છે કે તેઓ પ્રાણ ત્યાગતાં એ વાતે નિરાશ નથી કે તેમનું બલિદાન વ્યર્થ ગયું છે.  પરંતુ સવાલ પણ કર્યો છે કે અશફાક ઉલ્લા કટ્ટર મુસલમાન થઈને પાકા આર્યસમાજી રામપ્રસાદના ક્રાંતિકારી દળનો આધારસ્તંભ બની શકે છે તો નવા ભારતમાં સ્વતંત્રતાના નામે હિંદુ-મુસલમાન પોતાના નાનાનાના લાભનો વિચાર છોડીને કેમ એક ના થઈ શકે?

    હિંદુ-મુસ્લિમ એકતા જ અમારી યાદગાર અને અંતિમ ઈચ્છા છે તેમ સ્પષ્ટ લખનાર બિસ્મિલને કાકોરીની શતાબ્દી ટાણે આપણે કઈ હિંદુ-મુસ્લિમ એકતા અર્પણ કરીશું? હથિયારધારી બિસ્મિલ અને તેમના ક્રાંતિકારી વિચારો એ રીતે પણ મહત્વના છે કે અંતિમ સમયે તેમને કોંગ્રેસ અને અહિંસાનું મહત્વ સમજાયું છે અને તે બેબાક વ્યક્ત પણ કર્યું છે. ક્રાંતિકારીઓને જનસમર્થન ઓછું મળ્યાના બળાપા સાથે તેમણે ભારતના નવયુવાનોને નમ્ર નિવેદન કર્યું હતું કે જ્યાં સુધી ભારતવાસીઓમાં શિક્ષણનું પ્રમાણ વધે નહીં જ્યાં સુધી તેમને કર્તવ્ય-અકર્તવ્યનું જ્ઞાન ના હોય ત્યાં સુધી તે અજાણતા પણ કોઈ ક્રાંતિકારી ષડયંત્રોમાં ભાગ ના લે. બિસ્મિલે બલિદાનના ત્રણ દિવસ પૂર્વે એવી હાર્દિક અપીલ દેશવાસીઓને કરી હતી કે હિંદુ-મુસલમાન સહિત બધા એક થઈને કોંગ્રેસને જ પોતાની પ્રતિનિધિ સંસ્થા માને. કોંગ્રેસ જે નક્કી કરે તેને બધા જ લોકો દિલથી સ્વીકારે અને અમલ કરે. જો આમ કરીશું તો સ્વરાજ ઢુકડુ છે. પરંતુ જે સ્વરાજ મળે તેમાં (એ વખતની વસ્તી પ્રમાણેના)  છ કરોડ અછૂતોને શિક્ષણ અને સામાજિક અધિકારોમાં સમાનતા મળે તેમ પણ તે ઈચ્છે છે. જે દેશમાં છ કરોડ મનુષ્યોને અસ્પૃશ્ય ગણવામાં આવતા હોય એ દેશના લોકોને સ્વાધીન થવાનો અધિકાર ખરો? તેવો આકરો સવાલ પણ તે પૂછે છે.

    બિસ્મિલના બોલ યાદ કરી તેનો અમલ કરી શકીએ તે જ બિસ્મિલ, અશફાક અને કાકોરીના શહીદોનું શતાબ્દીએ સાચું સ્મરણ અને તર્પણ હશે.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ઇશ્વરના ઇ મેઇલ..૪

    પછી કેમ કહીએ કે અમે અસુંદર છીએ ?
    પરમના હાથે ઘડાયું ઘડતર છીએ.

                                                             ઇશ્વર, અલ્લાહ, જિસસ….

    નીલમ  હરીશ દોશી

     પ્રિય સખા,

    કેમ છો દોસ્ત ? મારો ગઇ કાલનો ઇ મેઇલ તને મળી ગયો હશે. નેટને ઝરુખેથી મળતા કયાં વાર લાગવાની ? બરાબરને દોસ્ત? હવે હું પણ તારી જેમ નેટ સેવી થઇ ગયો છું.

    દોસ્ત, અનેક આશા સાથે મેં તારી તરફ મૈત્રીનો હાથ લંબાવવાની પહેલ કરી છે. કદાચ એ મારી જરૂરિયાત, મારી ગરજ, મારો સ્વાર્થ હોય એવું પણ બની શકે. કેમકે મારા અનેક કામો જે મેં તારા દ્વારા કરાવવા ધાર્યા હતા એ બધા આજે રઝળી પડયા હોય એવું મને લાગે છે. દોસ્ત, તારા સર્જન પછી મેં કોઇ નવું સર્જન નથી કર્યું. એક કલાકાર તેના જીવનનું સર્વોત્તમ સર્જન કરી લે પછી  એનાથી ઉતરતું એને કંઇ ખપતું નથી.

    દોસ્ત, તું પણ મારું પરમ સર્જન છો. તારા સર્જન વખતે મેં કેટકેટલી કલ્પનાઓ કરી હતી ! અન્ય પ્રાણીઓથી   તને વિશિષ્ટ બનાવવાની  મારી  હોંશ હતી. મેં વિચાર્યું હતું કે હવે કોઇ એવું સર્જન કરું જેના પછી મારે બીજું કશું સર્જન કરવું જ ન પડે..એ પોતે જ મારા બધા કામ કરે. એના દ્વારા જ હું મારા બધા કામો કરાવી શકું અને નિશ્વિંત બની શકું. કોઇ યોગ્ય, કુશળ, વિશ્વાસુ  વ્યક્તિને બધી જવાબદારી સોંપીને જેમ તું નિશ્વિંત બની શકે છે એ જ રીતે તારા સર્જન બાદ પરમ વિશ્વાસથી હું નચિંત બની ગયો હતો. હાશ ! હવે તું મારી બધી જવાબદારીઓ સંભાળી લઇશ. તું મનુષ્ય એટલે  મારું ગૌરવ , મારું લાડકું સર્જન. દોસ્ત, મારા આ સકારણ ગર્વને તું અકબંધ રાખીને મારું ગૌરવ જાળવીશ ને ?

    દોસ્ત, તને મારી જરૂર હોય કે ન હોય પણ આજે મને તારી બહું જરૂર છે. આજે હું નહીં, પરંતુ તું મને મદદ કરીશ ને ? આજ સુધી તેં મારી પાસે અનેક વસ્તુઓ માગી છે. અનેક વાર વગર માગ્યે પણ મેં તને ઘણું આપ્યું છે. દોસ્ત, આજે મારે તારી પાસે માગવું છે. આજે હું આશાભરી મીટ તારી તરફ માંડું છું.  સદીઓથી તારી પ્રાર્થનાનો સાંભળનાર હું આજે તને પ્રાર્થના કરું તો તું સાંભળીશ તો ખરો ને ?

    લિ. ઇશ્વરની યાદ


    પ્રાર્થના એટલે.. કોઇ લેવડદેવડ નહીં, પણ કોઇ સૂક્ષ્મ, અદીઠ આવનજાવન..

    જીવનનો હકાર..


    ચાવી વિનાનુ તાળુ કોઇ બનાવતુ નથી રીતે ઇશ્વર ઉકેલ વિના કોઇ સમસ્યા નથી મોકલતો.


    નીલમ  હરીશ દોશી : E mail: nilamhdoshi@gmail.com | બ્લોગ : પરમ સમીપે

  • કોઈનો લાડકવાયો – (૫૬) માસ્ટરદાની મહિલા સાથીઓ

    દીપક ધોળકિયા

    બંગાળની યુવાન પેઢી પર માસ્ટરદાની મોહિની એવી છવાયેલી હતી કે દેશની સ્વાધીનતા માટે એમના નામે ફના થઈ જવા માટે યુવાન છોકરા કે છોકરી તત્પર હતાં. છોકરીઓએ ગજબ બહાદુરી દેખાડી.

    એમાં પણ સનસનાટીભરી હત્યા તો તિપેરાના જિલ્લા મૅજિસ્ટ્રેટ સી. બી. જી. સ્ટીવન્સની હતી. સ્કૂલમાં ભણતી બે પંદર-સોળ વર્ષની છોકરીઓ, શાંતિસુધા ઘોષ અને સુનીતિ ચૌધરી સ્વીમિંગ ક્લબ માટે મદદ માગવા સ્ટીવન્સને મળવા ગઈ. એમણે પોતાનાં નામ ‘ઈલા સેન’ અને ‘મીરા દેવી’ લખ્યાં. સ્ટીવન્સે બન્નેને અંદર બોલાવી. બન્નેએ અંદર જતાંવેંત ગોળીઓ છોડવાનું શરૂ કરી દીધું. સ્ટીવન્સ બચવા માટે પાસેના રૂમ તરફ ભાગ્યો પણ એને છાતીમાં ગોળી વાગી હતી એટલે એ ત્યાં જ ઢળી પડ્યો. બે જણે છોકરીઓને પકડી લીધી. રૉબર્ટ રીડ લખે છે કે એ કોમિલ્લા ગયો અને સ્ટીવન્સના અંતિમ સંસ્કારમાં જોડાયો. તે પછી એ જેલમાં શાંતિ અને સુનીતિને મળવા ગયો. બન્ને છોકરીઓએ પોતે જે કર્યું તેના માટે અફસોસ પણ ન દેખાડ્યો. એમની ત્રીજી સાથી પ્રફુલ્લા નાંદીને પોલીસે ઘરમાં જ નજરકેદ કરી લીધી. પરંતુ એને દાક્તરી મદદની જરૂર હતી જે બરાબર ન મળતાં પાંચ વર્ષ પછી એનું અવસાન થયું. શાંતિ અને સુનીતિને જનમટીપની સજાઓ થઈ પણ ૧૯૩૯માં આમ-માફી મળતાં બન્ને બહાર આવી. શાંતિસુધા પછી કોંગ્રેસમાં જોડાયાં. પશ્ચિમ બંગાળાની વિધાન પરિષદ અને વિધાનસભામાં પણ ચુંટાયાં. ૧૯૮૯માં એમનું અવસાન થયું.

    સુનીતિ  જેલમાંથી બહાર આવ્યાં ત્યારે માત્ર ૨૨ વર્ષનાં હતાં પછી એમણે અભ્યાસ આગળ વધાર્યો અને MBBS થયાં. ૧૯૮૮માં એમનું અવસાન થયું.

    આ ઘટના પછી દોઢ મહિને એક ૧૮ વર્ષની છોકરી બીના દાસ પિસ્તોલ સાથે કલકત્તા યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં ઘૂસી ગઈ. ગવર્નર સ્ટેન્લી જૅક્સન યુનિવર્સિટીના ચાન્સેલર તરીકે પદવીઓનું વિતરણ કરતો હતો.  બીનાએ એના પર ગોળીઓ છોડી. જૅક્સન જૂનો ક્રિકેટર હોવાથી બાઉંસર સામે તરત નમી જવાનું જાણતો હતો એટલે બચી ગયો. તે પછી વાઇસ ચાન્સેલર હસન સુહરાવર્દી (મુસ્લિમ લીગના નેતા) એ વચ્ચે આવીને ગવર્નરને બચાવી લીધો. બીનાની હૉસ્ટેલના રૂમની ઝડતી લેતાં સ્ટીવન્સની હત્યા કરનાર છોકરીઓ શાંતિ અને સુનીતિના ફોટા મળ્યા. બીનાએ એની સામે કામ ચાલ્યું ત્યારે કોર્ટમાં કહ્યું કે વ્યક્તિ જૅક્સન સામે એને કંઈ વાંધો નહોતો, એને ગવર્નર જૅક્સન પર ગોળી છોડી હતી. જૅક્સનની જગ્યાએ બીજો કોઈ હોત તો પણ એણે એને મારવાની કોશિશ કરી હોત! બીનાને પણ જનમટીપ મળી પણ ૧૯૩૯માં એને છોડી મૂકવામાં આવ્યાં. તે પછી એ ક્રાન્તિકારી જ્યોતિષ ચંદ્ર ભૌમિકને પરણ્યાં અને ૧૯૪૨માં ક્વિટ ઇંડિયા આંદોલનમાં એમને ત્રણ વર્ષની સજા થઈ તે પછી એમણે શિક્ષિકા તરીકે જીવન ગાળ્યું. એમની સામાજિક સેવાઓ માટે એમને પદ્મશ્રી પણ અપાયો. પતિના અવસાન પછી ઋષિકેશમાં એકલાં રહેતાં હતાં. ૧૯૮૬માં રસ્તાને કિનારે એમનું અવસાન થયું ત્યારે એમની ઓળખ કરનાર કોઈ નહોતું. ઘણા દિવસો પછી એક વખતના શિક્ષણ મંત્રી ત્રિગુણ સેને એમના દેહની ઓળખ આપી.

    બે છોકરીઓ, કલ્પના દત્તા અને પ્રીતિલતા વડ્ડેદાર, પ્રાથમિક શાળાથી સાથે હતી. જો કે પ્રીતિ કલ્પના કરતાં એક વર્ષ આગળ હતી. બન્નેની આર્થિક સ્થિતિમાં પણ ફેર હતો. કલ્પનાનું ઘર સુખી હતું, પણ પ્રીતિલતાના પિતાજી ક્લાર્ક હતા અને પગારમાં ચાર સંતાનોનો ઉછેર કરવામાં જ મુશ્કેલી પડતી હતી. નાની ઉંમરે જ પ્રીતિલતા માતાની હાજરી હોવા છતાં ઘર ચલાવતાં. પિતા પોતાનો પગાર એમના જ હાથમાં મૂકતા. બન્ને બહેનપણીઓ ટેનિસ રમતાં રમતાં ક્યારે ક્રાન્તિકારીઓની પાર્ટીમાં સામેલ થઈ ગઈ તે કુટુંબીઓને ખબર પણ ન પડી. પ્રીતિલતા ભણવામાં સારાં હતાં અને કલકત્તા યુનિવર્સિટીમાં જવા માગતાં હતાં પણ ઢાકા યુનિવર્સિટીમાં જવું પડ્યું. કલ્પના ક્લકત્તા યુનિવર્સિટીમાં ગયાં.

    ચિતાગોંગ આર્મરી પરના હુમલા વખતે જ પ્રીતિલતા પાર્ટીમાં આવી ગયાં હતાં પણ માસ્ટરદાને મળ્યાં નહોતાં. પરંતુ આર્મરી પરના હુમલા પછી ક્રાન્તિકારીઓ જલાલા-બાદની ટેકરીઓમાં છુપાયા હતા તેમાં પ્રીતિલતા પણ હતાં આપણે જોયું કે માસ્ટરદા સૈનિકોએ જલાલાબાદની ટેકરીઓ પર હુમલો કર્યો ત્યારે જ ત્યાંથી ભાગી છૂટ્યા હતા. એમની સાથે નિર્મલ સેન અને પ્રીતિલતાને પણ એ લેતા ગયા હતા.રોકાયા હતા પણ ઓચિંતા જ પોલીસે છાપો મારતાં નિર્મલ સેન માર્યા ગયા અને પ્રીતિલતા એકલાં જ ભાગી નીકળ્યાં. પછી એક ક્રાન્તિકારી હુમલામાં એ સખત ઘવાયાં અને મોતને પોતે જ બોલાવી લીધું

    ૨૪ની સપ્ટેમ્બર ૧૯૩૨, શનિવાર. પહાડતલી રેલવે ઑફિસર્સ ક્લબ સ્ટેશન પાસે જ હતી. દર શનિવારે રેલવેના યુરોપિયન અધિકારીઓ ત્યાં એકઠા થતા અને મોજમસ્તી કરતા. પણ એ રાત મોજમસ્તીની નહોતી. રાતે નવ વાગ્યે ઓચિંતા બોંબધડાકા થયા અને ચીસાચીસ થઈ પડી. પંદર મિનિટ પછી ક્લબમાં શાંતિ છવાઈ ગઈ, માત્ર ઘાયલોના કણસવાના અવાજો ઊઠતા હતા. પ્રીતિલતા વડ્ડેદારની આગેવાની નીચે આઠ નવલોહિયા ક્રાન્તિકારીઓએ સફળ હુમલો કર્યો હતો અને બધા હેમખેમ પાછા આવી ગયા હતા, એક માત્ર પ્રીતિલતા સિવાય. એમની છાતીમાં અણીદાર કરચો ઘૂસી ગઈ હતી, પહેરેલું શર્ટ લોહી-લોહી થઈ ગયું હતું. એ આગળ ડગલું ભરી શકે તેમ નહોતાં. એમણે ગજવામાંથી પોટેશિયમ સાઇનાઇડની ગોળી કાઢીને ચાવી લીધી. ક્લબથી માત્ર દસેક મીટરના અંતરે એમનો દેહ મળી આવ્યો. દેશ માટે ઘણા જુવાનોએ ફાંસીના ફંદાને વહાલો ગણ્યો પણ ક્રાન્તિકારી પરાક્રમમાં જાતે જ મોતને ભેટનાર પહેલાં મહિલા તરીકેનું માન પ્રીતિલતા વડ્ડેદારને ફાળે જાય છે.

    તે વખતે કલ્પના જેલમાં હતાં. માસ્ટરદા અને તારકેશ્વર દસ્તીદાર પકડાયા ત્યારે એ પણ પકડાઈ ગયાં. એ જ કેસમાં માસ્ટરદા અને તારકેશ્વરને મોતની સજા થઈ પણ કલ્પનાની ઉંમર માત્ર ૧૮ વર્ષની હતી એટલે ફાંસીથી બચી ગયાં, પણ આજીવન કેદ મળી. જો કે છ વર્ષ પછી ૧૯૩૯માં એ આમ-માફી હેઠળ બહાર આવ્યાં. જેલજીવન દરમિયાન એ કમ્યુનિસ્ટોના સંપર્કમાં આવ્યાં હતાં અને વ્યક્તિગત વીરતાને સ્થાને સામુદાયિક ચેતના જગાવવા માટે વિચારતાં થઈ ગયાં હતાં. એમણે ૧૯૪૨ની ક્વિટ ઇંડિયા મૂવમેંટમાં પણ ભાગ લીધો અને એમાં ત્રણ વર્ષની કારાવાસની સજા થઈ. તે પછી એ બહાર આવ્યાં અને કમ્યુનિસ્ટ પાર્ટીના એ વખતના જનરલ સેક્રેટરી પી. સી. જોશી સાથે પરણ્યાં, પતિ તો કમાતા નહોતા પણ કલ્પનાએ ક્લકતાના ઇંડિયન સ્ટેટિસ્ટિકલ ઇંસ્ટીટ્યૂટમાં નોકરી કરી લીધી. નિવૃત્તિ પછી પણ એ સામાજિક કાર્યોમાં સક્રિય રહ્યાં. ૧૯૯૫માં એમનું પણ અવસાન થતાં માસ્ટરદાનાં અંતિમ અનન્ય સાથીએ પણ વિદાય લીધી.

    આ મહાન સન્નારીઓને સલામ. બંગાળમાં ૧૯૩૦ના દાયકામાં જે સશસ્ત્ર ક્રાન્તિકારી આંદોલન થયું તેમાં માસ્ટરદાની ભૂમિકા બહુ મહત્ત્વની રહી. ઘણાય વીરોનાં નામ અહીં રહી ગયાં છે, કારણ કે ઇતિહાસ એટલો ફેલાયેલો છે કે બધું એક જ સ્રોતમાંથી નથી મળી શક્યું. પરંતુ એ તમામ વીરો અને વીરાંગનાઓ, જેમણે પ્રાણ ન આપ્યા હોય તો પણ બહુ મોટાં બલિદાન આપ્યાં, ક્રાન્તિકારીઓને આશરો આપવાના કે એમના સંદેશાઓની આપ-લે કરવાના અપરાધમાં સાવિત્રી દેવી, સુહાસિની ગાંગુલી અને બીજી અનેક મહિલાઓને ચાર-ચાર વર્ષની સજાઓ થઈ, એ સૌને વંદન કરીએ. જેમનો ઉલ્લેખ રહી ગયો હોય તે સૌની ક્ષમાયાચના સાથે આ ચિત્તાગોંગના અધ્યાયને અહીં સમાપ્ત કરીએ છીએ.

    000

    સંદર્ભઃ

    ૧.Years of Change in Bengal and Assam. સર રૉબર્ટ રીડ, ૧૯૬૬.

    ૨. Gentlemanly Terrorists: Political Violence and the Colonial State in India. દુર્વા ઘોષ ગૂગલ બુક્સ

    ૩. Chitttagong Armoury Raiders – કલ્પના દત્ત. (આ પુસ્તક કલ્પનાજીએ પોતે જ લખ્યું છે. પાછલી જિંદગીમાં એમણે ‘દત્તા’ને બદલે ‘દત્ત’ લખવાનું શરૂ કર્યું હતું. આ પુસ્તક મૂળ ૧૯૪૬માં પ્રકાશિત થયું.

    બધી તસવીરો બિનવ્યાવસાયિક હેતુ માટે ઇંટરનેટ પરથી લીધી છે. આ ઉપરાંત કેટલીયે વેબસાઇટો પણ જોઈ છે જેની સૂચી નીચે આપી છેઃ

    1. culturalindia.net
    2. indiafacts.org
    3. thebetterindia.com/155824/
    4. www.thebetterindia.com/181498/
    5. mythicalindia.com/features-page/
    6. thedailystar.net
    7. myind.net
    8. self.gutenberg.org
    9. historica.fandom.com
    10. eminisminindia.com

    દીપક ધોળકિયા

    વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com

    બ્લૉગ સરનામું: મારી બારી