-
સર્વાઈવર ટ્રી: ૯/૧૧ની દુર્ઘટનાનો જીવંત પુરાવો
તવારીખની તેજછાયા

પ્રકાશ ન. શાહ
હ વે તો દસકો થયો એ વાતને. ૨૦૧૫માં ન્યૂયોર્ક જવાનું થયું ત્યારે ૨૦૦૧1માં અમેરિકા ઓળખ શાં ટ્વિન ટાવર્સ ધ્વસ્ત થયા પછી ત્યાં જ, ગ્રાઉન્ડ ઝીરો પરની નવરચના સાથે મુખોમુખ થવાની સ્વાભાવિક જ હોંશ હતી. વૈકલ્પિક ઈમારતનું નિર્માણ કે કોઈ મ્યુઝિયમ સરખું આયોજન તો સમજ્યા જાણે, પણ સ્થળ મુલાકાત દરમ્યાન જોઉં છું તો એક વૃક્ષ પ્રસન્ન ગરવી શૈલીએ જાણે ગહેંકી રહ્યું છે. આમ તો એની ઓળખ ‘કૉલરી પિયર ટ્રી’ તરીકેની છે, પણ હું તો એને અક્ષરશ: અક્ષય વૃક્ષ જ કહીશ.
વાત એમ છે કે નાઈન ઈલેવનની (નવમા એટલે કે સપ્ટેમ્બર મહિનાની અગિયારમી તારીખની) ઈતિહાસઘટના સાથે ટ્વિન ટાવર્સ પરિસર પંથક આખો ઉદ્ધ્વસ્ત થઈ કેમ જાણે ખાવા ધાતો હતો. તે વખતે રોડા, કાંકરા, કપચી સહિત કાટમાળ આખો ઉશેટવાના જગન દરમ્યાન કામદારોને કશુંક ક્યારેક વૃક્ષ હતું એવું મળ્યું. શીર્ણવિશીર્ણ મૂળિયાં. લગભગ સૂકાં જેવાં. બળેલીઝળેલી ડાળીઓ. છતાં જીવનનો સહેજસાજ સંચાર વરતાતો હતો. કામદારોએ માધવ રામાનુજની ‘અમે કોમળ કોમળ’ રચના તો ક્યાંથી સાંભળી હોય? પણ એમણે હળવેકથી ને હેતથી, જેટલી સલુકાઈથી એટલી જ સિફતથી એ બધું સાચવી લીધું, જાણે એકલીઅટૂલી માંડ થોડા કલાકની શકુન્તલાને કણ્વયોગ થયો! અર્ધ ધબકતું તો અર્ધ મૃતવત્ એ એમણે ન્યૂયોર્ક વિરાટ નગરના ઉદ્યાન વિભાગને મોકલી આપ્યું. ઉદ્યાન વિભાગની માવજત પામી એ ૨૦૧૦માં, ૨૦૦૧ના ઉદ્ધ્વસ્તમાંથી પુનનિર્મિત પરિસર પર પાછું ફર્યું.
તે પછી પાંચે વરસે અમે એનાં દર્શન કરી રહ્યાં હતાં ત્યારે એ ખાસાં ત્રીસેક ફૂટની ઊંચાઈને આંબી ગયું હતું ને એનાં ડાળીડાળખાં ફૂલે લચ્યાં વાસંતી નર્તનનો સુખાભાસ કરાવી રહ્યાં હતાં. વિનાશ વચ્ચે અપૂર્વ ઊર્જા સમેત તે નવજીવનનો નેજો લહેરાવતું વરતાતું હતું. આ અક્ષય વૃક્ષનું હોવું વિનાશ અને વિધ્વંસનાં બળોની સામે અને વચ્ચે પ્રતિકારપૂર્વક નવજીવનની શક્યતાનો એક તરેહનો સાક્ષાત્કાર છે.
આ સાક્ષાત્કારી અનુભૂતિ ઈતિહાસમાં પાછે પગલે ૧૯૦૬ના સપ્ટેમ્બરની અગિયારમીએ છેક જોહાનિસબર્ગ લઈ જાય છે. સ્થળ છે એનું એમ્પાયર થિયેટર, જે ગેઈટી થિયેટર તરીકે પણ ઓળખાતું. (યુરોપીય ગેઈટી પરંપરાનો એક જમાનો હતો, જેની અંગ્રેજ વારાની ઈતિહાસસ્મૃતિ શિમલાના ગેઈટી થિયેટર રૂપે સચવાઈ છે. ત્રણેક દાયકા પર ‘ગદર’માં ફિલ્માવાતાં એણે વ્યાપક ધ્યાન ખેંચ્યું હતું.) થિયેટરની અંદરબહાર લોક ઉભરાતું હતું- એશિયાઈ સમુદાયને લગતા વટહુકમના વિરોધ માટે સૌ મળ્યું હતું. આ વટહુકમ ટ્રાન્સવાલ (દ. આફ્રિકા)માં વસતા એશિયાઈ લોકોને સારુ ગળેફાંસો હોય એવો આકરો હતો અને એનો આશય એશિયાવાસીઓને ધીરે ધીરે હાંકી કાઢવાનો હતો. તેની સામે વિરોધ અને પ્રતિકારની ભૂમિકાએ કરાયેલ આ આયોજન પાછળનું બળ બ્રિટિશ ઈન્ડિયા એસોસિયેશનના મંત્રી ગાંધી હતા.
સભાની શરૂઆત બ્રિટિશ ઈન્ડિયા એસોસિયેશનના પ્રમુખ અબ્દુલ ગની હતા. તેમણે સભાની શરૂઆત ઉર્દૂમાં કરી. (પાછળથી એનો અંગ્રેજ તરજુમો અલબત્ત અપાયો હતો.) ગનીએ વટહુકમના તાનાશાહી સ્વરૂપનો ને એનો સામનો કરવામાં રહેલાં જોખમોનો ખયાલ આપી દો ટૂક શબ્દોમાં કહ્યું કે દરેક પ્રજાની જિંદગીમાં ક્યારેક એવી ઘડી આવે છે જ્યારે કાનૂનભંગ થકી પ્રતિકાર અને કષ્ટ સહન એ એનો ધર્મ બની રહે છે. આ વાત વિધિવત્ ઠરાવ રૂપે હાજી હબીબે મૂકી હતી. આકરી ગુજરાતી જબાનમાં એમણે કહ્યું હતું કે ઉમદા હેતુ માટે જેલમાં જવા બાબતે શરમાવાનું ન હોય. એમણે તિલક મહારાજના જેલવાસને ભાવપૂર્વક સંભારીને ઉમેર્યું હતું કે આપણે ખુદાની કસમથી આ ઠરાવ કરીશું અને સઘળાં કષ્ટ સહન કરીશું. હાજી હબીબે ઈશ્વરને વચ્ચે રાખીને વાત મૂકી એથી પોતે કેવા ચમક્યા હતા એ ગાંધીજીએ વરસો પછી લખતાં સંભાર્યું છે.
આમ તો, તાત્ત્વિક રીતે વિચારતાં કરેલ નિશ્ચય અને ઈશ્વરને નામે લીધેલ પ્રતિજ્ઞા વચ્ચે કોઈ ભેદ નથી, પણ સામાન્ય વ્યવહારમાં આપણે જોઈએ છીએ કે ઈશ્વરને નામે લેવાયેલ પ્રતિજ્ઞા બદલ જે તે વ્યક્તિ ને બાકી લોકો સવિશેષ ગંભીર હોય છે. એમણે પ્રમુખની રજા લઈ સભામાં દરમ્યાનગીરી કે કસમ ખાવા એ નાનીસૂની વાત નથી. મરતાં સુધી પાલન કરશું એમ સમજીને જ પ્રતિજ્ઞા લેવી રહે… આ સાથે, મનુષ્યજાતિએ પશુબળથી નહીં સ્વેચ્છાએ કષ્ટ સહન થકી આત્મબળ વાટે અન્યાયનો પ્રતિકાર કરવાનો નવો રાહ ખૂલ્યો, સત્યાગ્રહ.
૨૦૦૧ની ટ્વિન ટાવર્સ ઘટના અને તેની પૂંઠે અલકાયદાનું નેતૃત્વ કરનાર બિન લાદીન, ૧૯૦૬માં સત્યાગ્રહનો આવિર્ભાવ અને એમાં નિમિત્તભૂત ગાંધી: આશરે એક સૈકાને ફેરે (બરોબર કહીએ તો પંચાણું વરસના અંતરે) એક જ તારીખે બનેલી આ બે ઘટનાઓ બે વિકલ્પરૂપે આપણી સામે આવે છે. અહીં લોર્ડ ભીખુ પારેખે પરિકલ્પેલ બિન લાદીન – ગાંધી સંવાદનું સ્મરણ થાય છે. ભીખુભાઈને લોર્ડ એવી ઓળખ સામાન્યપણે ગમતી નથી તે જાણું છું. પણ વાચકનું ધ્યાન ખેંચવામાં ઉપયોગી થઈ પડે એ ગણતરીએ તેઓ ઈંગ્લેન્ડમાં ઉપલા ગૃહના (હાઉસ ઓફ લોર્ડ્ઝ)ના સભ્ય છે એવો ઉલ્લેખ ચહીને કર્યો છે. યુકેથી પ્રગટ થતા ‘પ્રોસ્પેક્ટ’માં એપ્રિલ ૨૦૦૪માં એમનો આ લેખ પ્રગટ થયો તે પછી તરતના મહિનાઓમાં ‘ઓપિનિયન’ (લંડન) અને ‘નિરીક્ષક’ (અમદાવાદ)માં વિપુલ કલ્યાણીના ગુજરાતી અનુવાદરૂપે સુલભ થયો હતો. આ કાલ્પનિક સંવાદ પાછળનો આશય ભીખુ પારેખના શબ્દોમાં ‘એક તો, બિન લાદીને ચેતનવંતા રાખતા જગતભરમાં ફરી વળેલા વિકૃત વિચારને સમજવાનો છે, કેમ કે તે સમજ્યા વગર તેને પરાજિત કરી શકાય તેમ નથી. બે, અવગણાયેલા અહિંસક વિકલ્પ વિશે દુનિયાને જાગૃત કરવી જરૂરી છે.’
અક્ષય વૃક્ષ, આટલું તારી સાખે!
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૧૧-૦૯– ૨૦૨૪ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
ફિનીક્સ
વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
શિયાળાની ધુમ્મસથી ઘેરાયેલી સવાર ક્યારની થઈ ગઈ હતી પણ, સતિષના ઘર સુધી ઉજાસ પહોંચ્યો નહોતો.
સવારે પાંચ વાગે ચાલવા જવું, આવીને બાબા રામદેવના યોગાસન કરવા એ સતિષનો દૈનિક કાર્યક્રમ. ત્યાં સુધીમાં બિરજુ આવીને ચા બનાવતો. ઘરનું કામ પણ બિરજુ જ કરતો. બિરજુ એટલે મહોલ્લાનો એફ.એમ. રેડિયો. સતિષ ચા પીવે ત્યાં સુધીમાં આખા ગામના ચટાકેદાર સમાચાર વધારાનો મસાલો ભભરાવીને સંભળાવતો. આજે બિરજુની હાજરી વર્તાઈ નહીં. ચા પીવાની તલપ જાગી પણ બનાવે કોણ?
સતિષ ગોસ્વામી-
પચાસ વર્ષની ઉંમરે વૉલન્ટરી રિટાયરમેન્ટ લીધેલ નિવૃત્ત બેંક ઑફિસર. ડાયાબિટીસ અને હાય બ્લડપ્રેશર એના કાયમી સાથી. વરુણ બાર વર્ષનો અને અર્પિતા દસ વર્ષની હતી ત્યારે એની પત્ની સંધ્યાનું હાર્ટએટેકથી અચાનક અવસાન થયું. સંતાનોની જવાબદારીમાં સુખેથી જીવન પસાર થઈ ગયું.
શ્વાસ છે ત્યાં સુધી જીવવાનું તો છે જ પણ, દીકરો પરદેશ સ્થાયી થઈ ગયો. દીકરી પરણીને ચાલી ગઈ ત્યારથી જીવન અકારું લાગવા માડ્યું.
બેંકની એક બ્રાંચમાં સાથે કામ કરતી સંધ્યા સાથે એના પ્રેમલગ્ન હતાં. લગ્નજીવનનો અંત આવી ગયો પણ સંધ્યા માટેનો પ્રેમ અકબંધ હતો. આજે પણ સંધ્યાની કાચની ચૂડીઓનો રણકાર, પાયલની ખનક આસપાસ હોય એવું અનુભવતો. સંધ્યા સાથે સુખી જીવન જીવ્યો હતો.
જૉન ડનની કવિતા’ ધ કૅનનાઈઝેશનની કેટલીક પંક્તિઓ બંનેને ખૂબ ગમતી. ‘જો બે વ્યક્તિ વચ્ચે દૈહિક આકર્ષણથી પરે અનંત, પ્રગાઢ પ્રેમ હોય તો એ પ્રેમ પોતાની ભસ્મમાંથી પુનઃજીવિત થતાં ફીનિક્સ પંખીની જેમ પુનઃજન્મ પામે છે.’
ફોનની સતત રણકતી ઘંટડીના અવાજથી સંધ્યાની યાદોમાં ઘેરાયેલો સતિષ સફાળો ચોંક્યો. સતિષની બહેન રાજરાણી એને તાત્કાલિક જયપુર બોલાવતી હતી.
સામાજિક પ્રતિષ્ઠા, સમાજની મર્યાદા કે પરિવારની જવાબદારીનાં લીધે અવિવાહિત રહી ગયેલાં કે સાથીનાં મૃત્યુ બાદ એકલાં થઈ ગયેલાં સ્રી-પુરુષની યુવાવસ્થા તો કદાચેય પસાર થઈ જાય. પરંતુ, એકલવાયા જીવનમાં પ્રૌઢાવસ્થા કે વૃદ્ધાવસ્થા શારીરિક અક્ષમતાને લીધે પસાર કરવી કપરી હોય છે. આ વિડંબના નિવારવા જયપુરમાં ‘પ્રૌઢ મહિલા-પુરુષ સંમેલન’ યોજાયું હતું.
સતિષ આ સંમેલનમાં ભાગ લે એવી રાજરાણી અને એનો પતિ નવીનની ઇચ્છા હતી. રાજરાણીની વાત સાચી હતી. વચ્ચે સતિષની માંદગીને લીધે દસ દિવસ હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું ત્યારે દીકરી આવી શકી નહોતી. દીકરાએ તો સંબંધ જ નથી સાચવ્યો ત્યાં સતિષની જવાબદારી ક્યાં લેવાનો હતો? હા, ક્યારેક અમેરિકન ડૉલર મોકલે છે તો એ સતિષ નથી સ્વીકારતો એટલે વાત ત્યાં જ પૂરી થઈ જતી.
ઘણી આનાકાની, વાદવિવાદ પછી સતિષે માંડ તૈયારી દર્શાવી. સમારોહ શરૂ થયો. જેમનું નામ બોલાય એમણે સ્ટેજ પર આવીને સ્વ-પરિચય આપવાનો હતો. આમ તો સતિષે કેટલીય પ્રતિયોગિતાઓમાં ભાગ લીધો હતો પણ આજે સ્ટેજ પર બોલતા બેંકના એક સફળ, રૂઆબદાર ઑફિસરનો અવાજ કાંપતો હતો. ચહેરા પર પસીનો અને શ્વાસ ધમણની જેમ ફૂલતો હતો, જીભ તાળવે ચોંટી ગઈ હતી. માંડ ચાર લીટીમાં પોતાનો પરિચય આપી શક્યો.
“નામ-સતિષ ગોસ્વામી. નિવાસી-ગ્વાલિયર, પોતાનો ફ્લેટ. ઉંમર એકસઠ વર્ષ. વૉલન્ટરી રિટાયરમેન્ટ. પેન્શન- વીસ હજાર. વિવાહિત દીકરી અને દીકરો. ડાયાબિટીસ અને હાયપર ટેન્શનની બીમારી.”
પુરુષોના પરિચય પછી મહિલાઓનાં નામ બોલાયાં. એક મહિલા સિવાય અન્ય સૌ મહિલાઓએ સ્વ-પરિચય આપ્યો. સંગીતા નામની એક યુવતિ એની માસીની ઓળખ આપવા એને લઈને સ્ટેજ પર આવી.
“નામ-માલા રાવત. અભ્યાસ- પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી. ઉંમર સાઠ વર્ષ. નિવાસ-બરેલી. પતિ અને બે દીકરા જેમનું કાર અકસ્માતમાં અવસાન. સાહિત્ય વાંચનનો શોખ. પસંદગીના લેખક શેક્સપિયર. અપેક્ષા- દોસ્તરૂપે હમસફર કે જેની સાથે સુખ-દુઃખની વાત કરી શકાય. હાયપર ટેન્શન અને ઠંડીમાં શ્વાસની બીમારી.”
સ્ટેજ પર આવેલી માલા રાવતને જોઈને સતિષ ભોંચક્કો બની ગયો. ચહેરા પર સાદગી છતાં અનોખું તેજ, હરણી જેવી આંખો, એક તરફનો ચહેરો જોઈને એને સંધ્યાની યાદ આવી ગઈ. ચહેરા પર એ જ કાંતિ, એ જ શાંતિ. જાણે સંધ્યાની પ્રતિકૃતિ.
સર્વાનુમતે માલા પર પસંદગી ઉતરી. રાજરાણીએ માલા સાથે ફરી મળવાનું આયોજન કર્યું. બંને પરિવાર વચ્ચે વાતો થઈ. માલા અને સતિષ વચ્ચે એકાંતમાં વાતો થઈ. વિવાહ માટે રવિવાર નક્કી થયો.
રાજરાણીએ અર્પિતા અને વરુણને સમાચાર આપ્યા. આ ઉંમરે પપ્પા લગ્ન કરવાનું વિચારે છે એ સાંભળીને બંનેનું માથું ફરી ગયું. અર્પિતાએ તો પપ્પા સાથે વાત કરવાની ના પાડી દીધી. પશ્ચિમી સભ્યતાનો આંચળો ઓઢીને ફરતા વરુણે પ્રોપર્ટી વહેંચાઈ જશે એ બીકે પ્રોપર્ટી વેચીને એની પાસે જતા રહેવાનો અને જો સાથે ન રહેવું હોય તો કોઈ સીનિયર હોમમાં ચાલ્યા જવા આગ્રહ રાખ્યો. આજ સુધી પપ્પાની ખબર પણ લેવાની પરવા ન કરતા વરુણનો અસલી ચહેરો આજે સામે આવ્યો.
સતિષનાં સંતાનોને પપ્પાની એકલતાની નહીં, વારસામાં ભાગીદાર વધશે એની ચિંતા હતી. તો, માલા રાવતની હાલત પણ સતિષથી જરાય ઉતરતી નહોતી. સંગીતાના ટેકે મનોબળ મક્કમ કર્યા પછી સાસરિયાના વિરોધના લીધે માલાનો વિચાર બદલાયો.
પતિના મૃત્યુ પછી બે વર્ષ સુધી માલાની ખબર સુદ્ધાં ન લેનાર સાસરિયા એના ભાગે આવેલી જાયદાદ હાથમાંથી જતી ન રહે એનાં માટે માલાનાં લગ્ન આડે રસ્તે ચઢી ગયેલા દિયર સાથે કરાવવા જીદે ચઢ્યા હતા. એમને માલા નહીં એની મિલકત ખપતી હતી. દિયરવટું કર્યા પછીય માલાનું ભાવિ સલામત નહોતું.
‘સગાંસંબંધી કે દોસ્તો પણ જીવનભર સાથ નથી આપી શકતાં ત્યારે એક એવો જીવનસાથી જોઈએ જેની સાથે સુખ-દુઃખની વાત કરી શકાય’ એ વાત રાજરાણી સમજતી પણ સંપત્તિનાં સગાઓ સમજવા તૈયાર નહોતાં.
માંડ તૈયાર થયેલાં સતિષ અને માલાનાં મન અવઢવમાં આવી ગયાં.
સંધ્યાનાં મૃત્યુથી માંડીને આજ સુધી સંતાનોનાં સુખ માટે પોતાનું સુખ, આકાંક્ષાઓ વિસારે પાડીને જીવતો સતિષ એનાં સ્વાર્થી સંતાનો વિશે વિચારતો રહ્યો.
જયપુર આવ્યો તે પહેલાં આજ સુધી સતિષનાં મનમાં લગ્નનો વિચાર સુદ્ધાં ક્યાં હતો! આજે માલાને જોઈને મન વિચલિત થવાનું કારણ એ વિચારી રહ્યો. માલામાં સંધ્યાની છબી દેખાઈ હતી એટલે? સંધ્યા અને માલાના ચહેરા એકબીજામાં ભળી જતાં લાગ્યાં. માલા માટે સંધ્યા જેવું ખેંચાણ અનુભવી રહ્યો. પણ હા, એ દૈહિક તો જરાય નહોતું.
સંધ્યા સાથે વાંચેલી ’ધ કૈનનાઇજેશન’ની પંક્તિઓ ફરી યાદ આવી. ‘જો બે વ્યક્તિ વચ્ચે દૈહિક આકર્ષણથીએ પરે, અનંત, પ્રગાઢ પ્રેમ હોય તો એ પોતાની ભસ્મમાંથી પુનઃજીવિત થતાં ફીનિક્સ પંખીની જેમ પુનઃજન્મ પામે છે.’
સંધ્યાનો પ્રેમ અનંત હતો જે માલા રૂપે પુનઃજીવન પામ્યો હશે?
આખી રાતનાં મંથન બાદ માલાને જીવનસાથી રૂપે સ્વીકારવાનો નિર્ણય લઈ લીધો.
ડૉ. પદ્મા શર્મા લિખિત વાર્તા પર આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
અતીતરાગ
આશા વીરેન્દ્ર
સદાનંદબાબુની દીકરી સુધા હવે તો જો કે, ૬૦-૬૨ વર્ષની થઈ ગઈ હતી, પણ એ સમયના બંગાળના રિવાજ પ્રમાણે એનાં લગ્ન થયાં ત્યારે એની ઉંમર હતી બાર વર્ષ. લગ્નના માત્ર સાત દિવસ પછી એને પાછો પગ કરવા પિયર લઈ આવ્યા એના બીજે-ત્રીજે દિવસે ઘરમાં રોકકળ મચી ગઈ. મા કલ્પાંત કરતાં બોલ્યે જતી હતી, ‘અરેરે, આ તે કેવું દુ:ખ આવી પડ્યું? જમાઈને એરુ આભડી ગયો. મારી સુધી વિધવા થઈ ગઈ. હવે શું થશે? બિચારી આખો જન્મારો કેમ કરીને કાઢશે?’
તે દિવસથી માંડીને આજ સુધી એ પિયરમાં જ રહી. ન કદી સાસરેથી કોઈએ એના ખબર પૂછ્યા કે ન કોઈ તેડું આવ્યું. લગ્નનું આખું પ્રકરણ એની જીવન કિતાબમાંથી ભૂંસાઈ ગયું. જો કે, આ ઘરે એને હૂંફ, લાગણી, માન-સન્માન બધું જ આપ્યું હતું. મા તો પંદરેક વર્ષ પહેલાં પરલોક સિધાવી ગઈ હતી પણ બાપુ, બે ભાઈઓ, ભાભીઓ અને એમના કલબલાટ કરતાં સંતાનોથી ભર્યા ભર્યા આ પરિવારમાં એનું વિશિષ્ટ સ્થાન હતું. એક સવારે રસોડાના કામમાં ગૂંથાયેલી સુધાને નાની ભાભીએ કહ્યું, ‘દીદી, તમને મળવા કોઈ મહેમાન આવ્યા છે તે બાપુ બેઠકખંડમાં બોલાવે છે.’
સુધાને આશ્ર્ચર્ય થયું. ‘મને મળવા વળી કોણ આવે?’
એ બેઠકખંડમાં પહોંચી ત્યારે એને જોઈને ૫૦-૫૫ ની વયનો લાગતો પુરુષ ઊભો થઈને એને પગે લાગ્યો, ‘ભાભી, હું તમારો દિયર-વિપીન. તમારાં લગ્ન વખતે આઠેક વર્ષનો હોઈશ. ઓળખાણ પડે છે?’
સુધાના ચહેરા પર સખ્તાઈ આવી ગઈ, ‘ના, હું તમને નથી ઓળખતી.’
સદાનંદબાબુએ કહ્યું, ‘વિપીનબાબુ કહેવા અવ્યા છે કે, એમને હવે બાપ-દાદાના વખતનો બંગલો વેચી દેવો છે. મિલકતની વહેંચણી કાયદેસર રીતે ત્રણ ભાગે થશે. એ બંને ભાઈઓનો એક એક ભાગ અને જમાઈબાબુની એકમાત્ર વારસ તરીકે તારો ત્રીજો ભાગ.’
‘બાપુ, મને આવી બધી ભાગ-લાગની વાતમાં કંઈ રસ નથી. વળી જે કદી મારું હતું જ નહીં એ ઘરમાંથી હું હિસ્સો શી રીતે લઈ શકું? મારે હજી ઘણું કામ પડ્યું છે. હું જાઉં?’ વિપીન એકદમ ઊભો થઈ ગયો. બે હાથ જોડીને કહેવા લાગ્યો, ‘ભાભી, તમે ખૂબ મહાન છો. બાકી આટલી સહજતાથી પોતાના હિસ્સાનો મોહ કોઈ કેવી રીતે ત્યાગી શકે? પણ મારી એક વિનંતી છે. એક વખત તકલીફ લઈને તમારે ગામ તો આવવું જ પડશે.’
‘શા માટે?’
‘અમારા બે ભાઈઓના હક્કમાં તમે તમારો ભાગ જતો કરો છો એવા લખાણ પર કોર્ટમાં આવીને વકીલની રૂબરૂ સહી કરી આપવી પડશે.’ ‘એમાં મારી ના નથી. જે કંઈ કરવું ઘટે એ કરીને મારે આ બધામાંથી મુક્તિ જોઈએ છે. મને આવી બધી ઝંઝટ નથી ફાવતી. પણ હા, હું બાપુ સાથે ત્યાં આવું ત્યારે બંગલો જોવાની મારી ઇચ્છા છે. બતાવશો ને?’ વિપીન તરત બોલ્યો, ‘જરૂર તમને બંગલે લઈ જઈશ ભાભી, પણ હવે એમાં જોવા જેવું કંઈ રહ્યું નથી. સાવ ખંડેર થઈ ગયું છે. ત્યાં રહી શકાય એમ પણ ન હોવાથી અમે બંને ભાઈઓએ ભાડાનાં ઘર લીધાં છે.’
છોકરી શરમાઈને કહે છે, ‘કેરી’.
બીજે દિવસે કિશોર બધાંથી છુપાવીને બે પાકી કેરી લઈ આવીને કિશોરીને કહે છે-‘જલદી જલદી ખાઈ લે, નહીંતર કોઈ જોઈ જશે ને બધાં આપણી મજાક ઉડાવશે.’ સુધાને સમજાયું નહીં કે વર્ષો પહેલાંની આ યાદથી આજેય એની આંખો ભીની કેમ થઈ ગઈ? વિપીન ગાડી લઈને સ્ટેશને લેવા આવ્યો હતો. ‘ચાલો, પહેલાં તમને એક સારી હોટેલમાં લઈ જાઉં. ચા-નાસ્તો કરો અને ફ્રેશ થઈ જાવ. કોર્ટના સમયને હજી વાર છે.’
‘સૌથી પહેલાં મારે બંગલો જોવા જવું છે.’ સદાનંદબાબુને સુધાની આ ઉતાવળ સમજાઈ નહીં પણ એમણે ચૂપ રહેવાનું યોગ્ય માન્યું. પડું પડું થતા એક બંગલા પાસે ગાડી ઊભી રહી. પોતાની પાસેની ચાવીથી તાળું ખોલતાં વિપીને કહ્યું, ‘જોયું ભાભી, મેં કહ્યું હતું ને કે, બંગલામાં કંઈ જોવાલાયક રહ્યું નથી. બધા ઓરડા ખાલીખમ છે. બેસવા માટે એક ખુરશી સુધ્ધાં નથી.’ ‘વાંધો નહીં. હું એક વાર ઉપરના માળે આંટો મારી આવું. તમે બંને વાતો કરો. હું હમણાં આવું છું.’
ધૂળથી ભરેલા ઓરડા પાસે જઈને સુધાએ ઊંડો શ્ર્વાસ લીધો. ધીમેથી બારી પાસે જઈ એણે બંધ બારીને ધક્કો માર્યો. જ્યાં બહાર નજર કરી ત્યાં એનું હૈયું એક થડકારો ચૂકી ગયું. ક્યાં ગયાં એ આંબા અને ફણસનાં ઝાડ? અહીં તો હતા માત્ર પથ્થરો અને માટીના ઢગલા. અચાનક એને પેલા કિશોરનો રમતિયાળ સ્વર સંભળાયો, ‘તને શું ભાવે? ફણસ કે કેરી?’ કિશોરની આપેલી કેરી જોવા સુધાએ પોતાના અડવા હાથ ઊંચા કરીને જોયું. હથેળી તો સાવ ખાલી હતી. એમાં કશુંય નહોતું. એને જોરમાં ડૂસકું આવ્યું. સાડલાના છેડાથી આંખો લૂછતી એ નીચે આવી અને બોલી, ‘ચાલો, મારે જે જોવું હતું એ જોવાઈ ગયું.’
કંઈ ન સમજાતાં સદાનંદબાબુ અને વિપીન એકમેકનાં મોઢાં જોઈ રહ્યા.
(સમરેશ મુજુમદારની બંગાળી વાર્તાને આધારે)
સૌજન્ય: ભૂમિપુત્ર, ૨૧ ઓક્ટોબર, ૨૦૨૦
સુશ્રી આશાબેન વીરેન્દ્રનો સંપર્ક avs_50@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
મોહમ્મદ રફી – ૧૯૫૦ પછી પદાર્પણ કરેલા સંગીતકારોએ રચેલાં, પણ ઢંકાઈ ગયેલાં, રોમેન્ટીક મુડનાં કેટલાંક સૉલો ગીતો
મોહમ્મદ રફી – જન્મ શતાબ્દી વર્ષ યાદોની સફર તેમનાં ગીતોને સહારે
સંકલન: અશોક વૈષ્ણવ
આ સદીના બીજા દશકના અંત સુધીમાં હિંદી ફિલ્મોમાં ૮૦,૦૦૦થી વધુ ગીતો રચાઈ ચુક્યાં છે. આ બધાં ગીતોને ગીતની બાંધણી, બોલ, ગાયકી, લોકપ્રિયતા જેવા કોઈ પણ માપદંડ પર મુલવીએ તો ‘સરેરાશથી સારાં’ કહી શકાય એવાં ગીતોની સંખ્યા બહુખ્યાત ૮૦:૨૦ના નિયમનું ઉલટું પ્રતિબિંબ દેખાય એવું વિધાન કરીએ તો ખોટાં પડવાની સંભાવના ઓછી રહે તેમ કહી શકાય.
કોઈ પણ પ્રમાણ્ય વિતરણ આલેખ (normal distribution curve)માં ૧૦ % ઉત્તમ, ૧૫% ‘સરેરાશથી સારાં’. ૫૦% (ઠીક ઠીક અપેક્ષા મુજબ) હોય છે. તેનાથી નીચે ૧૫ % ‘અપેક્ષાથી ઊણા’ અને છેલ્લા ૧૦% તો ‘સાવ કાઢી નાખવા’ જેવાં હોય છે.
મોહમ્મદ રફીનાં ગીતોમાં ‘સદાબહાર’, બહુ સારાં’ “ઠીક ઠીક’, ‘ચાલી જશે’ અને ‘સાવ કાઢી નાખવા જેવાં’ એવો ક્રમ પણ આ જ ઢાળ પર જતો હોવો બહુ સ્વાભાવિક જ છે. જોકે, દરેક ક્રમનાં ગીતોને વધારે ઊંડાણથી જોઈએ તો દરેક ક્રમમાં એવાં ગીતો જરૂર મળી રહેશે ‘જે બીજાં ગીતોની પાછળ ‘ઢંકાઈ’ ગયાં હોય.પ્રસ્તુત લેખમાં આપણો ઉપક્રમ મોહમ્મદ રફીનાં ‘સદાબહાર’ અને બહુ સારાં’ ગીતોમાંથી આવાં ઢંકાઈ ગયેલાં સૉલો ગીતો રૂપી રત્નોને ફરી બહાર લાવવાનો છે. ગીતોની અંતિમ પસંદગીમાં આ રોમેન્ટીક સૉલો ગીતોમાં પણ વધારેમાં વધારે વૈવિધ્ય શક્ય બને એ માટે એક સંગીતકારનું એક જ ગીત લેવું એવો નિયમ પાળવાનું નક્કી કર્યું છે. જોકે, જ્યારે ખજાનાની શોધખોળ ચાલુ કરી ત્યારે તો આવાં એકથી વધારે ગીતો તો મળે જ. એટલે અંતિમ પસંદગી માટેની મારાં ‘મારાં’ કારણો પણ રજૂ કર્યાં છે.
મોહમ્મદ રફી માટે ૫૦નો દાયકો તેની કારકિર્દીનો શ્રેષ્ઠ સમય ગણાય છે. આ સમયમાં તેમણે તલત મહ્મુદ, મુકેશ કે મન્ના ડે તેવા પોતાના જ સમકક્ષ સમકાલીનો સામે પોતાનું અગ્રીમ સ્થાન સ્થાપિત કર્યું. ‘૬૦ના દાયકામાં ગીતોની સંખ્યા વધતી જવાનાં અને લોકચાહના તરફ વધારે ઢળતાં ગીતો રચાવાના ફિલ્મ સંગીતના બદલતાં જતાં કલેવરમાં મોહમ્મદ રફીનાં સામાન્ય શ્રોતા તરફથી મળતી લોકપ્રિયતા અને સંગીતના ગુણીલોકોની સ્વીકૃતિના માપદંડે પણ રફી ટોચ પર રહ્યા. એવામાં ૧૯૬૯માં ‘આરાધના’ આવી અને કિશોર કુમારના ભાવ રાતોરાત આકાશ આંબવા લાગ્યા. મોહમ્મદ રફીની આગવી ગુણવત્તામાં ક્યાંય ઝાંખપ ન આવી હોવા છતાં હવે તેઓ ‘બીજાં સ્થાન ‘ પર ગણાવા લાગ્યા. આ પરિપ્રેક્ષ્યમાં આજના લેખ માટેનાં ગીતોનો સમય કાળ ૧૯૬૯ સુધી મર્યાદિત કરેલ છે.
આજના લેખમાં ગીતોની ગોઠવણી મોહમ્મદ રફીએ એ સંગીતકાર માટે પહેલવહેલું ગીત જે વર્ષમાં ગાયું (દરેક ગીતમાં સંગીતકારનાં નામ પછી એ વર્ષ મુક્યું છે) તે વર્ષના ચડતા ક્રમ મુજબ કરેલ છે.
મૈં ખો ગયા યહીં કહીં, જવાં હૈ ઋત સમા હસીં – ૧૨ ઑ’ ક્લૉક – ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી – સંગીત – ઓ પી નય્યર (૧૯૫૩)
મોહમ્મદ રફીને સામાન્ય વર્ગના શ્રોતાના પણ મનપસંદ ગાયક બનાવવામાં ઓ પી નય્યરનો સિંહફાળો રહ્યો છે એમ કહી શકાય. ઓ પી નય્યરનાં ગીતોમાંથી મોહમ્મદ રફીનાં ‘સરેરાશથી વધુ સારાં’ ગીતો શોધવા માટે કોઈએ ફિલ્મ સંગીતના ખાસ જાણકાર હોવાની પણ જરૂર ન પડે.
‘પ્યાસા’ (૧૯૫૭) પહેલાં ગુરુ દત્તે બનાવેલી બધી જ ફિલ્મો હળવા મુડની થ્રિલર ફિલ્મો હતી જેની સફળતામાં ઓ પી નય્યરનો ફાળો પણ ઘણો મોટો હતો. રોમેન્ટીક પ્રકારની ભૂમિકો પણ્કરી શકે છે એવા એક અભિનેતા તરીકે ગુરુ દત્તની છાપ પ્રસ્થાપિત કરવામાં પણ આ ગીતોએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
જોકે, પ્રસ્તુત ગીત એટલું બધું રોમેન્ટીક છે કે હિંદી ફિલ્મોમાં જેમની છાપ જ રોમેન્ટીક હીરોની હોય એવા અભિનેતાને પણ પરદા પર આ ગીત રજુ કરવામાં સરખાં ફાંફાં પડ્યાં હોત. વળી ઓ પી નય્યરમાં બીજાં ગીતોની સરખામણીમાં આ ગીતની ધુન ગાવામાં સહેલી પડે એવી પણ નથી.
https://youtu.be/BVdw5hVWpjI?si=RSHEaiRbbKeNO6nr
તુમ એક બાર મોહબ્બત કા ઈમ્તિહાન તો લો, મેરે જૂનુન મેરી વહસત કા ઈમ્તિહાન તો લો – બાબર (૧૯૬૦) – ગીતકારઃ સાહિર લુધિયાનવી – સંગીત રોશન (૧૯૫૪)
રોશન અને મોહમ્મદ રફીના સંગાથની શરૂઆત તો ૧૯૫૪થી થઈ ગયેલ. પરંતુ, શરૂઆતનાં વર્ષોમાં રોઅશને મુકેશને તલત મહમુદ પાસે ગવડાવેલાં ગીતો વધારે નોંધપાત્ર રહ્યાં છે.
રોશન અને મોહમ્મદ રફીનાં ખુબ ઉત્તમ અને લોકપ્રિયા ગીતોનું ઘોડાપુર તો બરસાતકી રાત પછી જ આવ્યું ગણાય છે. એ ફિલ્મે તો રોશન અને સાહિરનાં સંગાથને કાયમ માટે હરિયાળો બનાવી રાખ્યો.
રોશન અને સાહિરનાં એક એકથી ચડે એવાં ગીતોની આ હેલીમાં તેમની પહેલવહેલી ફિલ્મ ‘બાબર’ (૧૯૬૦) તેનાં ઊંચી કક્ષામાં ગીતો છતાં આ હેલીમાં સાવ કોરાં જ રહ્યાં.
https://youtu.be/JSmeq0fqA50?si=9kdD-p9lHNDq33bY
જાને કહાં દેખા હૈ તુમ્હેં કહાં દેખા હૈ તુમ્હેં, જાગી જાગી અખિયોકે સપનોંમેં કહાં દેખા હૈ તુમ્હેં – બીવી ઔર મકાન (૧૯૬૬) – ગીતકારઃ ગુલઝાર – સંગીત હેમંત કુમાર (૧૯૫૪)
હેમંત કુમારનાં સંગીતમાં કોઈ પણ પુરુષ ગાયકને ફાળે ફિલ્મનું હીરો દ્વારા પરદા પર ગવાયું હોય એવું રોમેન્ટીક ગીત તો ભાગ્યે જ મળી આવે એવી જ સામાન્ય છાપ ગણાય. તેમાં પાછી, બીવી ઔર મકાન આમ તો કોમેડી પ્રકારની ફિલ્મ ગણાય ! અને પાછું ફિલ્મનું મુખ્ય પાત્ર રોમેન્ટીક હીરો બિશ્વજીત નહીં પણ મહેમુદ! આવી ફિલ્મમાં બહુ જ યાદગાર એવું રોમેન્ટીક ગીત, અને તે પણ પાછું રફીના સ્વરમાં, હશે એવી કલ્પના પણ ક્યંથી થાય !
જોકે, આમ કહેતી વખતે બિશ્વજીત માટે જ એટલું જ યાદગાર રોમેન્ટીક ગીત – તેરા હુસ્ન રહે મેરા ઇશ્ક઼ રહે (દો દિલ, ૧૯૬૫) – ગીતકારઃ કૈફી આઝમી) હેમંત કુમાર આપી ચુક્યા હતા એ નોંધ તો અવશ્ય લેવી જ પડે.
મેરી મહેબુબ મેરે સાથ હી ચલના હૈ તુમ્હેં, રોશની લેકે અંધેરેસે નીકલના હૈ તુમ્હેં – ગ્યારહ હજાર લડકીયાં (૧૯૬૨) – ગીતકારઃઃ કૈફી આઝમી – સંગીતઃ એન દત્તા (૧૯૫૫)
ફોલ્મ ટિકિટબારી પર બહુ સફળ ન થઈ હોય તો પણ મોહમમ્દ રફીનાં શ્રેષ્ઠ કહી શકાય એવાં ગીતો પરદા પર ગાયં હોય એવા હીરોમાં ભારત ભુષણનું નામ બહુ ઈર્ષા સાથે લેવાય.
પ્રસ્તુત ગીતને ફિલ્મમાં એન દત્તાનાં શ્રેષ્ઠ યુગલ ગીતો પૈકી એક ગણાતાં દિલકી તમન્નાથી મસ્તીમેં મંઝિલસે ભી દુર નિકલતે એ જ ઢાંકી દીધું છે !
મુઝે તુમ સે મોહબ્બત હૈ મગર મૈં કહ નહીં સકતા, મગર મેં ક્યા કરૂં બિના બોલે ભી નહી રહ સકતા – બચપન (૧૯૬૩) – ગીતકારઃ હસરત જયપુરી – સંગીત સરદાર મલિક
સરદાર મલિકની ગણના ‘પ્રતિભાવાન પણ સફળ ન રહ્યા’ હોય એવાં સંગીતકારોમાં થાય. એટલે એમનાં જે ગીતો બહુ જ લોકપ્રિય રહ્યાં તેમને ‘અપવાદ’ તરીકે ગણવામાં આવે! ‘સારંગા તેરી યાદમેં (સારંગા, ૧૯૬૧ – મુકેશ – ગીતકાર ભરત વ્યાસ) એવાં ગીતોમાંનું શીરમોર ગીત. આ તો ભલું થજો યુ ટ્યુબ પર અનેક અપ્રાપ્ય ગીતો મુકનારાઓનું કે આ ગીતને પહેલં રફી પાસે પણ ગવડાવાયું હતું એની નોંધ મળી આવે છે.
તેરી તસવીર ભી તુઝ જૈસી હસીન હૈ લેકિન, ઈસ પે ક઼ુરબાન મેરી જાન – એ – હઝીન હૈ લેકિન,યે મેરે ઝખ્મી ઉમંગોકા મદાહાવા તો નહીં – કિનારે કિનારે (૧૯૬૩) – ગીતકારઃ ન્યાય શર્મા – સંગીતઃ જયદેવ (૧૯૫૭)
‘તસવીર’ પરનાં મોહમ્મદ રફીનાં બધાં જ ગીતો ખુબ જ જાણીતાં થયાં ગણાય છે. આટલું સારૂ એવું ગીત એમાં કેમ અપવાદ રહી ગયું હશે? ચેતન આનંદ પર ફિલ્માવાયું છે એટલે હશે? કે પછી ‘કિનારે કિનારે’નાં બીજાં ગાયકોએ ગાયેલાં ગીતોની લોકસ્વીકૃતિ કારણભૂત હશે?
ઝરા સુન હસીના – એ – નાઝનીન મેરા દિલ તુઝહી પર નિસ્સાભી હૈ .. તેરે દમ પે હી મેરે દિલરૂબા મેરી ઝિંદગીમેં બહાર હૈ – કૌન અપના કૌન પરાયા (૧૯૬૩) – ગીતકારઃ શકીલ બદાયુની – સંગીતઃ રવિ (૧૯૫૭)
રવિની કારકિર્દીને ‘ચૌદહવી કા ચાંદ (૧૯૬૦) એ કાયમ માટે ચાર ચાંદ લગાડી આપ્યાં. તે પછી તેમણે બનાવેલાં રફીનાં બધં જ ગીતોએ ડંકો વગાડ્યો હશે ! કોઈ રડ્યાં ખડ્યાં ‘સામાન્ય’ કહી શકાય એવાં ગીતો પણ તે સમયે તો સફળ થયાં જ હતાં.
પ્રસ્તુત ગીત રવિનાં ઉત્તમ ગીતો પૈકી એકમાં ગણના પામે. શકીલ બદાયુનીના બોલ અને રફીની ગાયકી પણ એટલાં જ સુંદર છે. એટલે (જ્હોની વૉકરના ભાઈ) વિજય કુમારને મળેલી સરિયામ અસ્વીકૃતિએ આ ગીતને ઢાંકી દીધું હોય એમ કહી શકાય.
મેરી નિગાહને ક્યા કામ લાજવાબ કિયામ ઉઅન્હીં કો લાખોં હસીનોમેં ઇન્તકાબ કિયા – મોહબ્બત ઇસકો કહતે હૈ (૧૯૬૫) – ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી – સંગીતઃ ખય્યામ (૧૯૫૮, એમનાં પોતાનાં નામથી રફી સાથેનું પહેલું ગીત)
આ ગીતની સામે મારી પાસે ઔર કુછ દેર ઠહર ઔર કુછ દેર ન જા (આખરી ખત, ૧૯૬૬) – ગીતકારઃ કૈફી આઝમી) પડ્યું છે.
જોકે આ બન્ને ગીતને એ ગીતોની ફિલ્મોનાં બીજાં ગીતોએ પણ ઢાં દીધાં તો હતાં જ. એ ગીતો છેઃ ‘મહોબ્બત ઈસકો કહતે હૈં’ નાં ઠહરીયે હોશમેં આઉં તો ચલે જાઈયેગા (રફી, સુમન કલ્યાણપુર); જો હમ પે ગુજરતી હૈ તન્હા કિસે સમજાએં (સુમન કલ્યાણપુર) અને ઇતના હુસ્નપે હુઝુર ન ગુરૂર કિજિયે (મુકેશ). ‘આખરી ખત’નાં લતાનં બે સોલો – બહારોં મેરા જીવન ભી સંવારો અને મેરે ચંદા મેરે નન્હે તેમજ ભુપિન્દરનું ઋત જવાં જવાં રાત મહેરબાં
દિલ કે આઈનેમેં તેરી તસવીર રહેતી હૈ … મૈંયે સમજ઼ા કે કોઈ ઝન્નત કી પરી રહતી હૈ – આઓ પ્યાર કરેં (૯૧૬૪) – ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ – સંગીતઃ ઉષા ખન્ના (૧૯૫૯)
રફીનાં પાંચ સોલો અને એક યુગલ ગીતને કારણે આ ફિલ્મ ઉષા ખન્નાએ રફીની ભરપુર ઉપયોગ કર્યો હોયે પૈકીની એક ફિલ્મ ગણાય. જોકે, આમ પણ ઉષા ખન્ના અને રફીનાં ગીતો તો અલગ લેખનો વિષય છે !
આ લેખ માટે ઉષા ખન્નાનાં ગીતોએ ફંફોસતો હતો ત્યારે યાદીમાં આપેલા મુખડાના બોલ પરથી આખું ગીત યાદ ન આવ્યું. એટલે આખું ગીત સાંભળ્યું. તે પછી વસવસો રહ્યા કરે છે એક આવું સરસ ગીત કેમ યાદ ન આવ્યું?
હમને દેખા હૈ તુમ્હેં ઐસા ગુમાં હોત હૈ, … આંખ મિલતી હૈ તો ક્યોં દર્દ જવાં હોતા હૈ – જી ચાહતા હૈ (૧૯૭૧) – ગીતકારઃ હસરત જયપુરી – સંગીતઃ કલ્યાણજી આણંદજી
સાચી યા ખોટી પણ એક એવી સામાન્ય છાપ રહી છે કે કલ્યાણજી આણંદજી પાસે જ્યાં સુધી કોઈ વિકલ્પ હોય ત્યાં સુધી એ લોકો રફીને લેવાનું ટાળે. જોકે તેઓએ રફી પાસે ગવડાવેલાં ગીતોની સંખ્યા અને ગુણવત્ત કંઈ કમ તો નહોતી જ. આપણે પ્રસ્તુત ફિલ્મની જ વાત લઈએ. આ ફિલ્મમાં રફીનાં બે સોલો, બે યુગલ ગીતો અને એક ટ્વીન ગીત છે. આ ગીતો એ સમયે લોકપ્રિય પણ થયેલાં. પણ મુકેશ પાસે ગવડાવેલું એક જ ગીત, હમ છોડ ચલે હૈ મહેફિલ કો યાદ આયે કભી તો મત રોના, બધાંને ઢાંકી દે છે.
પ્રસ્તુત ગીતના બોલ પરથી અને ગીતની બાંધણી પરથી એવો ભાસ થાય કે ગીતમાં કરૂણ ભાવની છાંટ પણ છે. પણ ફિલ્માંક્ન જોતાં એવું લાગે કે પ્રેમ સંબંધની ખાતી મીઠી કડવી યાદોના વિચારોમાં નાયક ઊંડો ઉઅતરી ગયો છે.. કદાચ ભાવનાં આવાં અસ્પષ્ટ નિરૂપણને કારણે આ ગીત ઢંકાઈ ગયું હશે.
તુમ્હેં દેખા હૈ મૈને ગુલિસ્તાંમેં. કે જન્નત ઢુંઢ લી હૈ મૈને ઈસ જહાં મેં – ચંદન કા પલના (૧૯૬૭) – ગીતકારઃ આનંદ બક્ષી- સંગીતઃ આર ડી બર્મન (૧૯૬૧)
રફી પાસે આર ડી બર્મને ૧૯૬૯ પછી તો ભાગ્યે જ કોઈ ગીત ગવડાવ્યાં હશે એવા મત વિષેની ચર્ચામાં બન્ને પક્ષ હંમેશાં ઉગ્ર વિવાદે ચડી જતા રહ્યા છે. એ ચર્ચાથી આપણે દુર રહીને એટલી નોંધ લઈ શું કે મોહમ્મદ રફીનાં આર ડીએ ગવડાવેલાં બધાં ગીતોમાંથી માત્ર ત્રીજા ભાગનાં ગીતો જ ૧૯૭૦ સુધીનાં છે.
આ લેખ માટે ગીતોની શોધ દરમ્યાન ૧૯૭૦ પહેલાંના આર ડીનાં રફીનાં ગીતોમાંથી બે એક ગીતો જ મારા માટે ઓછાં પરિચિત જણાયાં . જેમાનું એક ગીત આ પ્રસ્તુત ગીત છે. ખુબીની વાત એ છે કે આ ગીત આર ડીની શૈલીનું જરા પણ લાગ્તું નથી. અને એટલે જ ક્દાચ, ઢંકાઈ ગયું હશે !
અભી કમસીન હો નાદાં હો જાન – એ – જાના .. ક્યા કરોગી મેરા દિલ તોડ દોગી દોગી મેરા દિલ પહલે સીખો દેલ લગાના – આયા તૂફાન (૧૯૬૪) – ગીતકાર અસદ ભોપાલી – સંગીત લક્ષ્મીકાન્ત પ્યારેલાલ
લક્ષ્મી પ્યારેની શરૂઆતની ફિલ્મો ટુંકા બજેટની બી કે સી ગ્રેડની ફિલ્મો હતી. પણ એ ફિલ્મોનાં બધાં જ ગીતો તેમનાં સૌથી સારાં ગીતોમાં માનભર્યું સ્થાન ભોગવે છે. પ્રસ્તુત ગીત ખુબ મજાનું ગીત છે, પણ એક બાજુ પારસમણી (૧૯૬૩) અને બીજી બાજુ દોસ્તી (૧૯૬૪)નાં ગીતોની અઢળક લોકચાહના વચ્ચે તે પીસાઈ ગયું છે.
હવે પઃછી મોહમ્મદ રફીનાં ૧૯૭૦ સુધીનાં ઓછાં સાભળવા મળતાં સૉલો રત્ન સમાં ગીતોને યાદ કરીશું.
-
ફિલસુફીભર્યાં ગીતો – ૨૬ – जीवन से ना हार ओ जीने वाले
નિરંજન મહેતા
કિશોરકુમારના કાંઠે એક વધુ ફિલસુફી ભર્યું ગીત. આ ગીત તેની જ ફિલ ‘દૂર કા રાહી’નુ છે જેના શબ્દો છે ઇર્શાદના અને સંગીત અને સ્વર છે કિશોરકુમારના. નાના બાળકો સાથે સફર કરતાં કિશોરકુમાર તેમને જીવનનો બોધપાઠ આપે છે. નાના બાળકોમાં અમિતકુમાર પણ સામેલ છે.
जिन्ना जिन जिन जिन्नारा
साथ तेरे है ऊपर वाला वही है तेरा रखवाला
जीवन से ना हार ओ जीने वाले
बात मेरी तू मान अरे मतवालेहर ग़म को तू अपना कर
दिल का दर्द छुपाकर
बढ़ता चल तू लहरा कर
दुनिया के सुख-दुख को बिसरा करसुख-दुख जीवन के दो पैराए
धूप सुनहरी कहीं घनेरे साए जो सूरज अँधि
यारे में खो जाए वही लौटकर नया सवेरा लाए
तो बढ़ता चल तू लहरा कर
दुनिया के सुख-दुख को बिसरा करजीवन से ना हार ओ जीने वाले
बहती नदिया तुझको याद दिलाए
समय जो जाए कभी लौट ना आए
दीप तो वो जो हवा में जलता जाए
खुद को जलाकर जग को राह दिखाएજીવનની ફિલસુફી આ ગીતમાં બહુ જ સુંદર રીતે સમજાવાઈ છે. કહે છે કે ઉપરવાળો તારી સાથે છે માટે જીવનમાં હતાશા અનુભવી તુ હારી ના બેસ. હરેક દર્દને હૃદયમાં તુ અપનાવી લે અને જિંદગીના દરેક સુખ-દુઃખને ભૂલીને તું આગળ વધતો રહે.
આપણે જાણીએ છીએ કે ક્યારેક તડકો તો ક્યારે છાંયડો હોય છે. બીજા અર્થમાં સુખ-દુઃખ જીવનની ગાડીના બે પૈડા માફક છે. જેમ સુરજ અસ્ત થઇ ફરી ઊગે છે અને નવા દિવસનો ઉદય થાય છે તે જ રીતે તું જગતના બધા સુખ-દુઃખને ભૂલીને આનંદથી જીવન જીવ. જ્યારે દુઃખનો અનુભવ થાય ત્યારે હાર માનીને બેસી ન રહે પણ ત્યારે વહેતી નદીને યાદ કર જે આવતા અવરોધોને પાર કરીને અવિરત વહ્યા કરે છે અને તારૂં જીવન પણ તે જ રીતે આગળ વહેવા દે.
યાદ રાખજે કે સમય એકવાર વિતી જાય પછી તે ક્યારેય પાછો નથી આવતો. તારે તો એક દીપકની જેમ જીવવાનું છે જે પવનનો સામનો કરીને પણ પ્રજ્વલ્લિત રહે છે અને આમ જાતે સળગતા રહી અન્યોને પોતાના પ્રકાશ વડે રાહ દેખાડે છે.
Niranjan Mehta
A/602, Ashoknagar(old),Vaziranaka, L.T. Road,Borivali(West),Mumbai 400091Tel. 28339258/9819018295વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com -
ફિલ્મી ગઝલો – ૬૮. રામપ્રસાદ ‘ બિસ્મિલ ‘
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
કયો ભારતીય હશે જેણે રામપ્રસાદ ‘ બિસ્મિલ ‘ નું નામ નહીં સાંભળ્યું હોય ? ૧૯ ડિસેમ્બર ૧૯૨૭ ના માત્ર ત્રીસ વર્ષની વયે એમની ક્રાંતિકારી ગતિવિધિઓ માટે એમને અંગ્રેજ હકુમત દ્વારા ફાંસી અપાયેલી. દેશ માટે આહુતિ આપનારા અમર શહીદોમાં એમની ગણના થાય છે.
બિસ્મિલ એમની દેશભક્તિની જોશીલી કવિતાઓ માટે જાણીતા હતા. એમની આવી કવિતાઓ એમના ‘ મન કી લહર ‘ નામના સંગ્રહમાં સંચયિત છે. પોતાની આત્મકથા પણ એમણે ગોરખપૂર જેલમાં લખેલી જે એમના મરણોપરાંત ‘ કાકોરી કા શહીદ ‘ નામે ૧૯૨૮ માં પ્રકાશિત થયેલી.એમને ફિલ્મી ગઝલકાર તરીકે ઉલ્લેખીને એમની ગરિમાનું ઉલ્લંઘન કરાય નહીં પરંતુ એમણે લખેલી નિમ્નલિખિત બે જાણીતી રચનાઓ ગઝલનું માળખું ધરાવે છે અને એમના મૃત્યુના વર્ષો બાદ ફિલ્મોમાં લેવાયેલી છે. પહેલી રચના તો એકથી વધુ સંગીતકારો દ્વારા અલગ અલગ ફિલ્મો માટે તર્જબદ્ધ કરવામાં આવી છે.
એમને અંજલિરૂપે બન્ને રચના – ગઝલો પ્રસ્તુત છે :
સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ
દેખના હૈ જોર કિતના બાઝુ એ કાતિલ મેં હૈખીંચ કર લાઈ હૈ હમકો કત્લ હોને કી ઉમ્મીદ
આશિકોં કા એક ઝમઘટ કૂચા એ કાતિલ મેં હૈવક્ત આને દે બતા દેંગે તુજે ઐ આસમાં
હમ અભી સે ક્યા બતાએં ક્યા હમારે દિલ મેં હૈઆજ મક્તલ મેં યે કાતિલ કહ રહા હૈ બાર બાર
ક્યા શહાદત કી તમન્ના અબ કિસી કે દિલ મેં હૈઅબ ન અગલે વલવલે હૈં ઔર ન અરમાનોં કી ભીડ
એક મિટ જાને કી હસરત અબ દિલે બિસ્મિલ મેં હૈ..– ફિલ્મ : શહીદે આઝમ ભગત સિંહ ( ૧૯૫૫ )
– મોહમ્મદ રફી
– લચ્છી રામ તોમરદિલ ફિદા કરતે હૈં કુરબાન જિગર કરતે હૈં
પાસ જો કુછ ભી હૈ માતા કી નઝર કરતે હૈંટૂટ જાએ ન કહીં વાદા યે આઝાદી કા
ખૂન સે અપને ઈસે ઈસલિયે તર કરતે હૈંહમકો ભી પાલા થા માં-બાપ ને દુખ સહ સહ કર
દરો દીવાર પે હસરત કી નઝર કરતે હૈં..– ફિલ્મ : આઝાદી કી રાહ પર ( ૧૯૪૮ )
– જી એમ દુર્રાની
– જી ડી કપૂર
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
માનવસર્જિત પર્યાવરણ પરિવર્તન અને તેની આડઅસરો
ફરી કુદરતને ખોળે
જગત કીનખાબવાલા
પર્યાવરણ પરિવર્તન સ્થિતિમાં લાંબા સમયગાળામાં થયેલ બદલાવને દર્શાવે છે, જેના કારણો કુદરતી અથવા માનવસર્જિત હોય છે. વર્તમાન સમયમાં પર્યાવરણ પરિવર્તન એ આપણા ગ્રહ પર આવેલ ગંભીર પડકાર છે.
પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે, દરેક જીવને પ્રતિદિન બદલાવનો સામનો કરવો પડે છે અને જે બદથી બદતર થતો જાય છે.
પર્યાવરણ અને કુદરતી ઇકોસિસ્ટમ એકબીજા સાથે સંકળાયેલા અને એકબીજા પર આધારિત છે, અને આ સંકલનમાં સંતુલન રહે તે ઇકોસિસ્ટમ માટે ખૂબ જ અગત્યનું છે.
પર્યાવરણ પરિવર્તન હાનિને અંકુશમાં રાખવા અને અનુકૂળતા સાધવામાં અવરોધક છે. પર્યાવરણ પરિવર્તન સ્થાનિક સ્તરે અસર કરે છે અને તેને વિવિધ શ્રેણીઓ જેવીકે વરસાદ, તાપમાન, કાર્બન ડાયોક્સાઈડની ઘનતા, અને આ બધાની સામૂહિક અસરમાં વહેંચી શકાય છે.
આઘાતજનક સમાચાર
ૐ પર્વત: ૧૪,૦૦૦ ફૂટની ઊંચાઈ પર આવેલ વ્યાસ વેલીના શિખર પરથી બરફ ગાયબ થયો, જેનું કરણ મુખ્યત્વે પ્રવાસન પ્રવૃતિ માનવામાં આવે છે.
“ૐ- આકાર (હિન્દુ માન્યતા મુજબ) પર્વત પર બરફ નથી. બરફ વગર એ સ્થાન ઓળખી પણ શકાતું નથી.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી સૌપ્રથમવાર, ગયે સપ્તાહ ઉત્તરાખંડના ૐ પર્વત પરથી બરફ સંપૂર્ણપણે ગાયબ થઈ ગયો, જે મુલાકાતીઓ અને વિશેષજ્ઞો માટે ચિંતાનો વિષય બન્યો. આ ઘટના, છેલ્લાં પાંચ વર્ષોમાં હિમાલયના ઉપરના ભાગે થયેલા ઓછા વરસાદ અને બરફવર્ષાના કારણે થઈ, વધતાં વાહનવ્યવહાર અને પ્રદૂષણ સહિત ગ્લોબલ વોર્મિંગના લીધે આ શિખર સાવ સૂનું પડી ગયું. જોકે, સોમવારે થયેલ બરફવર્ષાના કારણે શક્યતા છે કે પર્વત ફરી શોભી ઉઠે.
વિશેષજ્ઞો બરફના ગાયબ થવાની ઘટનાને અનેક પરિબળો સાથે સાંકળે છે, જેમાં વરસાદ અને બરફવર્ષામાં ઘટાડો, વાહનોનું પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગનો સમાવેશ છે. સુનિલ નોટિયાલ, હિમાલયન એન્વાર્ન્મેન્ટની જીબી પંત નેશનલ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર, હિમાલય વિસ્તારના ઇકો સેન્સિટિવ ઝોનના વધતાં તાપમાનને મુખ્ય કારણ તરીકે જણાવી રહ્યાં છે. તેઓએ દરેક સેન્સિટિવ સ્થાનની સહન ક્ષમતા પર વિશેષ ભાર મૂક્યો છે.
એક વાત તો નિશ્ચિત છે કે ૨૨ વર્ષોની સર્વિસમાં પહેલીવાર ઉત્તરાખંડનો ૐ પર્વત બરફ વિહીન થયો છે.
હિમાલય પૃથ્વીની સૌથી નવી પર્વત શ્રેણી છે. પર્યાવરણમાં અસ્થિરતા વધુ છે અને તેથી અહીં વિવિધ બાયોડાયવર્સિટી વિકસી છે, જે ત્યાંના રહેવાસી મનુષ્યોને સહાયક છે.
પર્વતો પર વધતાં તાપમાન અને પર્યાવરણ પરિવર્તનના કારણે અહીં ખેતી વાડી પર નોંધપાત્ર અસર જોવા મળી છે. જેઓ ઊંચાઈ પર જઈ શકે છે, તેઓ સ્થળાંતર કરી ગયા છે. આ પરિવર્તન બાયોડાયવર્સિટી પર એક ગંભીર ખતરો છે, જેમકે તણાવ, માનવીય હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રકચરને નુકસાન, પૂર જેવી કુદરતી આફતો.
પર્યાવરણ પરિવર્તનની આડકતરી અસરોમાં રોગચાળો ફેલાવતા જંતુઓ અને તેને કારણે થતા રોગ (મેલેરિયા, ડેંગુ તાવ અને અન્ય બીમારીઓ), સ્થાનિક ઇકોલોજીમાં બદલાવના કારણે પાણી જન્ય અને ખોરાક જન્ય જંતુઓના કારણે થતા ઝાડા-ઉલ્ટીના રોગનો ફેલાવો પણ જોવા મળે છે. આવા અનેક ગંભીર મૃત્યુ ના સમાચાર પૃથ્વીના અન્ય ભાગમાં પણ જોવા મળી રહ્યાં છે.
પર્યાવરણ પરિવર્તનના કારણે વધતાં બાષ્પીભવનથી પાણીની ઉપલબ્ધિ પણ ઓછી થઈ રહી છે, જેથી શુદ્ધ પાણી મળતું નથી, જેનાથી સ્વચ્છતા જળવાતી નથી અને પાણી જન્ય રોગ ફેલાય છે.
જમીનના તાપમાનમાં વધારો અને વરસાદમાં બદલાવ આવતા, મચ્છરની પ્રજાતિમાં બદલાવ આવે છે અને હાલમાં ઊંચાઈ પર પણ મેલેરિયાના મચ્છરો જોવા મળ્યા છે. મેલેરિયા, ટીક આધારિત રોગ અને અન્ય બીમારીઓમાં પર્યાવરણમાં આવેલ બદલાવના કારણે વધારો થયો છે અને તેનાથી હિમાલયના રહેવાસીઓનું સ્વાસ્થ્ય જોખમમાં મુકાયું છે.
પક્ષીઓમાં મચ્છરના કારણે થતા મેલેરિયાને એવિયન મેલેરિયા કહે છે. નાજુક પક્ષીઓ, જેમનામાં પ્રતિકારતા નથી હોતી, તેઓની સંખ્યામાં ઘટાડો થયો છે.
તેઓ પોતાને અનુકૂળ વાતાવરણમાં રહેતા હોય છે. તેઓ એક નિશ્ચિત ઊંચાઈ પર રહેતા હોય છે, પરંતુ ૐ પર્વત પર હાલમાં આવશ્યક ઓછું તાપમાન નથી મળતું જેથી મચ્છરોને ટાળવું અને વિવિધ બાયોડાયવર્સિટીનું ત્યાં વસવું મુશ્કેલ બન્યું છે.
પાણીના સ્રોતો અને પર્યાવરણ પરિવર્તન
પર્વતીય વિસ્તારોમાં પર્યાવરણ પરિવર્તનની આડઅસર જોવા મળે છે. IPCC (ઇન્ટરગવર્મેન્ટલ પેનલ ઑન ક્લાઇમેટ ચેન્જ) મુજબ, પ્રજાતિઓની જેનેટિક ડાયવર્સીટીની શ્રેણીમાં ઘટાડો થવાની શક્યતા અને હિમાલયમાં ગ્લેશિયર ઓગળવાથી પૂરમાં વધારો, જેનાથી આવનારા દાયકાઓમાં પાણીના સ્રોતોની ઉપલબ્ધિમાં ઘટાડો જોવા મળે તેવી શક્યતા છે. 15 થી વધુ મહત્વપૂર્ણ ગ્લેશિયર આધારિત નદીઓ અને ડઝન થી વધુ ગ્લેશિયર હોવાના કારણે ઉત્તરાખંડમાં શુદ્ધ પાણીના અનેક સ્રોતો આવેલા છે.
IPCC વધુમાં જણાવે છે કે ગ્લેશિયર પિગળવાના કારણે ભવિષ્યમાં અનેક નદીઓ મોસમી નદીઓ બનશે, જે ત્યાંના વિસ્તારોની આર્થિક પરિસ્થિતિ પર અસર કરશે. જેમ ગંગોત્રી માંથી ગંગા નદી નીકળે છે, પર્યાવરણ પરિવર્તન થી ગ્લેશિયર પિગળવાના કારણે ત્યાંના લોકોના જીવનનિર્વાહ અને ઇકલોજીકલ સંતુલન પર પણ અસર પડશે. ગઈ સદીથી પર્વતીય વિસ્તારોમાં જોવા મળતા ગ્લેશિયરના ઘટાડા અને ઓછા બરફની સ્થિતિ પર્યાવરણ પરિવર્તનને આભારી છે. હિમાલયના ઊંચાઈવાળા વિસ્તારોમાં તાપમાન વધવાને કારણે ગ્લેશિયરમાં ઘટાડો અને સરોવરોમાં વધારો જોવા મળ્યો છે. માનવીય પ્રવૃતિઓ જેમકે વસાહતો, હાઈડ્રોજન ઉત્પાદન, માઇનિંગ અને પર્વતોમાં જંગલ પ્રવાસનના કારણે ગ્લેશિયલના જોખમો વધ્યા છે જેમાં મોરેન ડેમ ફેલિયર અને ગ્લાસિયલ લેક આઉટબરસ્ટ ફ્લડ(GLOF) નો સમાવેશ છે અને જેના ગંભીર પરિણામો આવે છે. પર્યાવરણ પરિવર્તન હિમાલયન ગ્લેશિયર માટે ખતરો બની ગયું છે અને પૂરમાં વધારો તેના કારણે થઈ રહ્યો છે. વૈશ્વિક તાપમાનમાં વધારો થવાના કારણે ગ્લેસિયલ લેક ફટવાના અને પૂર આવવાના બનાવો વધ્યા છે અને ગ્લેસિયલ લેકના વિસ્તરણમાં પણ અસર થઈ છે.
આ સરોવરોના ફાટવાથી વસાહતોને ભારે નુકસાન થાય છે દાત જૂન 2013 માં ઉત્તરાખંડમાં કેદારનાથની આફત. ઉત્તરાખંડમાં સામાન્ય કરતાં 2 અઠવાડિયા વહેલો વરસાદ જોવા મળ્યો, જેથી વાદળ ફાટ્યું અને (૧૨૪.૫ ± ૨૪૪.૪ મીમી) ભારે વરસાદ હિમાલયના અનેક વિસ્તારોમાં જોવા મળ્યો. વધુમાં, ઉપરના વિસ્તારમાં ભારે વર્ષના કારણે ચોરાબારી સરોવરની સીમા તૂટી જતાં પાણીનો પ્રવાહ જોરથી આવ્યો. આના પરિણામે મોટા પથ્થરો સાથે પાણીનો પ્રવાહ કેદારનાથ, રામબરા, ગૌરીકુંડ અને અન્ય નગરોમાં ફરી વળ્યો.
હિમાલયની મહત્વપૂર્ણ ગ્લેશિયર ગંગોત્રી ગ્લેશિયર ૧૯૩૦ માં૨૫ કિમી જેટલી માપવામાં આવી હતી, જે આજે ૨૦ કિમી જેટલી રહી ગઈ છે.
વિશ્વભરમાં પર્યાવરણ પરિવર્તન એક મોટું જોખમ બની ગયું છે અને ત્રણેય ઋતુ વર્ષા, શિયાળો અને ગરમીમાં ભારે બદલાવ આવ્યા છે.
પરીક્ષણો અને અભ્યાસ બહુ થયા હવે સમય છે વર્તનમાં પરિવર્તન લાવવાનો. આ એક નિશાની છે કે વિશ્વ છઠ્ઠી વાર માનવ વિનાશ તરફ જઈ રહ્યું છે, જેનું કારણ માનવસર્જિત છે.
*સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો*
* Love – Learn – Conserve*
લેખક:
જગત કીનખાબવાલા (સ્પેરો મેન)
https://www.facebook.com/jagat.kinkhabwala
ઇમેઇલ: jagat.kinkhabwala @gmail.com
Mob. No. +91 98250 51214 -
વનવૃક્ષો : ચંદનવૃક્ષ

નાનપણમાં ઓરશિયા ઉપર સુખડ ઘસતાં ઘણી વારે આવડેલું. ઉતારેલું ચંદન કળશિયા ઉપર લગાડી બાળકેશ્વરની પૂજા કરવા જતા, અને મહાદેવને ઠંડા પાણીથી નવરાવી તેના ઉપર ચંદન લગાડતા. મહાદેવના ઠંડે કપાળે ઠંડા ચંદનનાં ત્રિપુંડ કરતાં આંગળાંને આનંદ આવતો.
ચંદનમાં પિત્તળનું ટીલું બોળીને કપાળે ટીલું એટલા માટે બનાવતા કે મોટાભાઈ જેમ આંગળી વડે ટીલું કરતાં આવડતું નહોતું.
ઘણાં વર્ષો વહી ગયાં મહુવાના બાગમાં ૨૭ વર્ષની ઉંમરે હું ફરતો હતો. કોઈએ મને કહ્યું : “ચંદનનું ઝાડ જોયું છે ? ચાલો બતાવું.” મને થયું કે તે કોણ જાણે કેવું યે હશે ! વાર્તામાં વાંચેલું કે ચંદનને ઝાડે સાપો વીંટળાયેલા રહે છે એટલે હું તો ચંદનનું ઝાડ, વીંટળાયેલા સાપ અને તેની ખુશબો માટે ઉત્સુક બનીને ઉતાવળો ચાલ્યો.
કોઈએ કહ્યું : “આ જ ચંદનનું ઝાડ.”
હું પાછો પડી ગયો અને આશ્ચર્ય સાથે તેના સામે જોઈ રહ્યો. મેં પૂછ્યું : “આ જ ચંદનનું ઝાડ ?”

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી સાધારણ બોરડી જેવડું, ગૂંદી કે લીમડાની થડડાળ જેવું અને પાંદડે લીમડા જેવું ભૂખડું ઝાડ હતું. મને થયું : “શાસ્ત્રમાં કહ્યું છે કે आकृतिर्गुणान् कथयति એટલે આકૃતિ ઉપરથી ગુણની ખબર પડે છે, તે અહીં તો સાચું નથી લાગતું.” અમે ચંદનનું છોડિયું કાપ્યું અને સૂંઘ્યું; ચંદનની સુવાસ આવતી હતી. પણ તે કઈ જાતનું હતું તેની પૂછપરછ કરવાનું સાંભર્યું નહિ. ચંદનનાં ઝાડો બે ત્રણ જાતનાં થાય છે. એક જાતને મલયગિરિ ચંદન કહે છે, બીજાને બર્બર ચંદન કહે છે, ત્રીજાને શબર ચંદન કહે છે, અને ચોથાને હરિચંદન કહે છે. વાત બરાબર છે.
સંસ્કૃતમાં કહેલું છે કે —
घृष्टं घृष्टं पुनरपि पुनश्चंदन चारुगन्धम् ।
એટલે જેમ જેમ ચંદનને ઘસીએ તેમ તેમ તેમાંથી વધારે ને વધારે સુગંધ નીકળે. હરિચંદન વિષે ભવભૂતિએ લખેલા ઉત્તરરામચરિત નામના નાટકમાં લખેલું છે —
पश्चोतनं नु हरिचन्दनपल्लवानाम् ।
મુદ્દે વાત એમ છે કે હરિચંદન બહુ શીતળ છે; બધાં ચંદનનો ગુણ શીતળ તો છે જ. પણ નવાઈ જેવું છે કે તે બધાંનો સ્વાદ કડવો છે.
સુખડનાં ઝાડ કાઠિયાવાડમાં થાય છે એમ રખે માનતા. પણ મહુવા એ અમારા કાઠિયાવાડનો નાનકડો બાગ છે; ત્યાં એકાદ ઝાડ કોઈએ શોખથી આણેલું છે. બાકી સુખડનાં મોટાં ઝાડ મલબાર પ્રાંતમાં થાય છે. અને મલબાર પ્રાંત હિંદુસ્તાનને પશ્ચિમ કિનારે પગે લાંબો થઈ પડેલો છે.
સુખડનું ઝાડ પવિત્ર ગણાય છે. પારસી લોકો આતશબહેરામમાં હંમેશાં ચંદન જ વાપરે છે. પારસી લોકોને રંગ છે. તેઓ ઈરાનમાંથી આવ્યા ત્યારે ત્યાંથી પોતાના ઘરનો અગ્નિ સાથે લાવ્યા છે, અને સુખડનાં લાકડાંથી આજ સુધી બળતો રાખ્યો છે. એ વાતને આજે ૧૩૦૦-૧૪૦૦ વર્ષ થયાં છે. જે જગ્યાએ આ અગ્નિ રાખવામાં આવે છે તે જગ્યાએ પારસી સિવાય બીજાને જવા દેવામાં આવતાં નથી.
આપણા અગ્નિહોત્રીઓ પણ અગ્નિનું એટલું જ માન રાખે છે. અને અગ્નિ છે પણ માનનીય. એ આપણું જીવન છે.
હિંદુ લોકો પોતાના સાધુસંતોને, રાજાઓને અને મહાન પુરુષોને સુખડથી જ બાળે છે. લોકમાન્ય ટિળકને સુખડથી બાળેલા.
મહાત્મા ગાંધીજીને પણ એકલાં ચંદનનાં લાકડાં વડે જ બાળેલા.
બજારમાં સુગંધી તેલવાળાઓ સુખડનું તેલ વેચે છે. એનો ઉપયોગ જાણો છો ? કેટલાએક શોખીન લોકો સુખડનાં તેલનાં પૂમડાં કાનમાં ખોસીને ફરે છે. પણ તે કાંઈ ખરો ઉપયોગ નથી. જેને ખસ થઈ હોય તેઓ જો ચામડી ઉપર સુખડનું તેલ લગાડે તો ફાયદો થાય છે. ઉનાળામાં નાનાં બાળકોને સુખડનું તેલ લગાડવું સારું છે. તમે સમજશો કે સુખડ સુગંધી છે તેમ તેલી પણ છે.
કુદરતની પણ ખૂબી છે કે કોઈ ઝાડનાં લાકડામાંથી તો કોઈ ઝાડનાં ફૂલમાંથી તો કોઈ ઝાડનાં ફળમાંથી તો કોઈની વળી છાલમાંથી તેલ નીકળે છે. કોઈનાં મૂળિયાંમાંથી પણ તેલ નીકળે છે. વિચાર કરો જોઈએ. કયાં કયાં ઝાડો તેલ આપનારાં છે ?
માહિતી સ્રોત : વિકિસ્રોત
વધારે માહીતી માટે: ચંદન (સુખડ) – ગુજરાતી વિશ્વકોશ
-
કાનની આ સમસ્યા બાબતે આપણે કાન પકડીશું ખરા?
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
ભગવાન બુદ્ધ અને કિસા ગોતમીની વાત અતિ જાણીતી અને જીવનના અર્કરૂપ છે. કિસાના નાનકડા પુત્રનું મૃત્યુ થાય છે. એનાથી બેબાકળી બનેલી કિસા બાળકને સજીવન કરે એવા કોઈક ઔષધની શોધમાં ઠેરઠેર ભટકે છે. આખરે એક બૌદ્ધ ભિક્ષુ એને ગૌતમ બુદ્ધ પાસે મોકલે છે. કિસાની વિગત જાણીને ગૌતમ બુદ્ધ કહે છે કે પોતે એ બાળકને સજીવન કરશે. એ માટે જરૂર પડશે થોડી રાઈની. પણ રાઈ એવા ઘેરથી લાવવાની કે જે ઘરમાં કોઈનું મૃત્યુ ન થયું હોય. પુત્રવિરહમાં પાગલ બનેલી કિસા ઘેરઘેર ભટકે છે, પણ એક ઘર એને એવું મળતું નથી કે જ્યાં કોઈનું મૃત્યુ ન થયું હોય. આવા શોકના સમયે મૃત્યુનું અફરપણું કિસાને સમજાવવા માટે ગૌતમ બુદ્ધે આગવી રીતે ઊપાય વિચાર્યો.
સદીઓ પુરાણી આ વાતને વર્તમાનમાં યાદ આવવાનું કારણ? એના માટે ઑગષ્ટ, ૨૦૨૪ના પ્રથમ સપ્તાહમાં બનેલી એક દુર્ઘટના વિશે જાણવું જરૂરી છે. મધ્ય પ્રદેશના સાગર જિલ્લામાં આવેલા શાહપુર ગામના હરદૌલ મંદિરમાં પાર્થિવ શિવલિંગ નિર્માણનું કાર્ય ચાલી રહ્યું હતું. ભાગવત કથાનું પણ આયોજન હતું. રવિવાર હોવાથી અનેક બાળકો અહીં ઉપસ્થિત હતાં. અચાનક મંદિરના સંકુલને અડકીને આવેલા એક જર્જરિત મકાનની દીવાલ ધસી પડી. અનેક બાળકો કાટમાળ નીચે દબાયાં,ફસાયાં. એમાંથી નવ બાળકો ત્યાં ને ત્યાં જ મૃત્યુ પામ્યાં. બીજા ચારેકની હાલત અતિ ગંભીર છે.
આ દીવાલ તૂટી શાથી? એના માટે મંદિરના પરિસરમાં જોરશોરથી વાગી રહેલા ડી.જે.સાઉન્ડ સિસ્ટમને કારણભૂત માનવામાં આવે છે. આમ પણ સતત વરસાદને કારણે દીવાલ પાયામાંથી નબળી પડી ગઈ હશે, અને અતિશય મોટા સૂરે વાગી રહેલા ધ્વનિથી પેદા થતી ધ્રુજારી સામે આ જર્જરિત દિવાલ ઝીંક ઝીલી શકી નહીં. મૃત બાળકો આઠથી પંદર વર્ષની વયનાં હતાં.
તંત્ર દોડતું થયું. મુખ્ય પ્રધાને પ્રત્યેક મૃતકના પરિવારને ચાર લાખનું વળતર આપવાની જાહેરાત કરી. જિલ્લા કલેક્ટર અમે પોલિસ વડા સહિત અન્ય અધિકારીઓની બદલી કરી દેવામાં આવી છે. મકાનમાલિક અને ધાર્મિક કાર્યક્રમના આયોજકો સામે ફરિયાદ નોંધાવાઈ છે. આ ફરિયાદમાં કઈ કલમ લગાડવામાં આવે છે એ જોવું રહ્યું, કેમ કે, કેવળ ધ્વનિ પ્રદૂષણના કાનૂનભંગની કલમ લગાવવામાં આવે તો એમાં દંડ ભરવાનો આવે.
કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બૉર્ડ દ્વારા વિવિધ વિસ્તારો માટે તેમજ સમયાનુસાર ઘોંઘાટની તીવ્રતાની માત્રા નિર્ધારીત કરાયેલી છે. અત્યાર સુધી વાયુ (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) અધિનિયમ, ૧૯૮૪માં ધ્વનિ પ્રદૂષણને લગતી બાબતોનો સમાવેશ કરાયેલો હતો. હવે તેના માટે અલાયદો ધ્વનિ પ્રદૂષણ (નિયમન અને નિયંત્રણ) નિયમ, ૨૦૦૦ અમલી કરવામાં આવ્યો છે.
નિવાસી વિસ્તારોમાં દિવસ દરમિયાન આ માત્રા ૫૫ ડેસિબલની અને રાત માટે ૪૫ ડેસિબલની છે. આની સામે વાસ્તવિકતા એ છે કે સામાન્ય સંજોગોમાં પણ ડી.જે.સાઉન્ડ દ્વારા વગાડવામાં આવતા સંગીતના ધ્વનિની તીવ્રતા ૧૪૫ ડેસિબલથી વધુ હોય છે. સામાન્ય સંજોગોમાં કોઈ વ્યક્તિના કાને ૫૫ ડેસિબલથી વધુ ધ્વનિ પાંચ મિનીટ સુધી કાને પડે તો એ નુકસાનકર્તા સાબિત થઈ શકે છે.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી આમ, બની ગયેલી દુર્ઘટના અને કાનૂની જોગવાઈ વિશે જાણ્યા પછી મૂળ મુદ્દા પર આવીએ. મધ્ય પ્રદેશમાં બનેલી આ દુર્ઘટના અને તેનો ભોગ બનેલાં બાળકો પ્રત્યે શોક પ્રદર્શિત કરી લીધા પછી આપણે આપણી જાત વિશે વિચારવાનું છે. ડી.જે.સાઉન્ડનું દૂષણ અનેકગણું વધી ગયું છે, અને તે કાનૂન દ્વારા નિયંત્રીત કરી શકાતું નથી એ હકીકત છે. કેમ? કેમ કે, એ દૂષણ ફેલાવનારા કોઈ અન્ય ગ્રહ પરથી નથી આવતા, બલ્કે આપણે સૌ જ છીએ. એ દૂષણ ત્યાં સુધી જ લાગે છે કે જ્યાં સુધી આપણે એ કાર્યક્રમનો હિસ્સો ન હોઈએ. પોતાને આંગણે પ્રસંગ આવે ત્યારે આપણે પણ પૂરા જોશથી એ દૂષણ ફેલાવવા માટે પૂરતો પ્રયત્ન કરીએ છીએ. ધારો કે, એની વિરુદ્ધ કોઈ ફરિયાદ કરે તો પોલિસ મોટે ભાગે સમજાવટથી કામ પાર પાડવાનું પસંદ કરે છે. કેમ કે, ડી.જે.સાઉન્ડનો મામલો પ્રદૂષણનો નહીં, સામાજિકતાનો છે. આ પ્રદૂષણ હોંશે હોંશે, ઉત્સાહપૂર્વક નહીં, પણ ઝનૂનપૂર્વક ફેલાવનારને એમ જ લાગે છે કે પોતાને ઘેર પ્રસંગ હોવાથી આટલા સમય પૂરતો ધ્વનિ પ્રદૂષણ ફેલાવવાનો પોતાનો હક છે, અને બીજાઓને તેમાં કશો વાંધો ન હોવો જોઈએ. આવી માન્યતા ઘણાખરા કિસ્સામાં સાચી હોય છે, કેમ કે, આસપાસના લોકોને ત્યાં પણ પ્રસંગ આવે ત્યારે ડી.જે.ના ‘સ્થાપન’ વિના પ્રસંગની ઉજવણી પૂરી થયેલી ગણાતી નથી.
ગુજરાતમાં ભારે વરસાદે સર્જેલી તબાહીની અસર અને આઘાત હજી ઓસર્યાં નથી કે ગણેશ ચતુર્થીના આગમન પહેલાં ડી.જે.સાઉન્ડ સિસ્ટમ બેશરમીપૂર્વક વગાડાઈને કાનના પડઘા ધ્રુજાવી રહી છે. આ સંવેદનજડતા માટે કયા શબ્દો વાપરવા?
આ સંજોગોમાં મધ્ય પ્રદેશની ઘટના અંગે ટીકા કરી શકવાની લાયકાત આપણી પાસે રહેતી નથી. આથી કિસા ગોતમીનો કિસ્સો યાદ આવે છે. એવું કોઈ ઘર હશે ખરું કે જેણે પોતાના કોઈ પ્રસંગની ઉજવણી ડી.જે.સાઉન્ડના ઉપયોગ વિના કરી હોય!
આમ પણ, ઉજવણી દરમિયાન ઘોંઘાટ આપણા લોકોનું પ્રમુખ લક્ષણ છે. ઘરઆંગણે ઉજવાતા તહેવારોમાં હવે સરકારનો પગપેસારો થઈ ગયો છે. એને કારણે ઘોંઘાટને નિયંત્રીત કરવો મુશ્કેલ બની રહે છે. કેમ કે, સરકારને પોતાની હાજરી પુરાવવી હોય તો તીવ્ર સ્તરનો ઘોંઘાટ પેદા કર્યા વિના ચાલે નહીં.
હજી આ બાબતની એટલી સમજણ પણ આપણા એકે સ્તરના નાગરિકમાં કેળવાયેલી જોઈ શકાતી નથી કે ડી.જે.સાઉન્ડ બીજાને તો ઠીક, સૌથી પહેલું નુકસાન ખુદ આપણને કરે છે. જનતામાં લોકશાહીની સમજણનો આ પણ એક માપદંડ ગણી શકાય. એવું કોણ હશે જેણે પોતાને ઘેર પ્રસંગની ઉજવણી કરી હોય અને ડી.જે.સિસ્ટમનો કાનફાડ ઘોંઘાટ પેદા ન કર્યો હોય! વર્તમાન સમયમાં ભગવાન બુદ્ધ કિસા ગોતમીને કદાચ આમ કહીને આપણા દેશમાં ઘોંઘાટનું અફરપણું સમજાવત.
ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૦૫ – ૦૯ – ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
આપીને વધારે મેળવવાનો સંતોષ
મંજૂષા
વીનેશ અંતાણી
અન્ય લોકોને સમૃદ્ધ કર્યા વિના કોઈ પણ વ્યક્તિ શ્રીમંત બની શકતી નથી. પોતાની સંપત્તિનો હિસ્સો સમાજસેવા માટે ખરચવા તૈયાર ન હોય તે વ્યક્તિ ગમે તેટલી ધનાઢ્ય હોય, પરંતુ ગરીબ જ રહે છે
અંગ્રેજી શબ્દ ‘ફિલાનથ્રોપી’નો અર્થ છે ‘સારાં કામો માટે મોટી રકમનું દાન આપી સમાજસેવાનાં કાર્ય કરવાની ઉદાત્ત ભાવના.’ દેશ અને દુનિયાના ઘણા ધનાઢ્ય લોકોએ એમની સંપત્તિનો મોટો હિસ્સો પરોપકાર માટે દાનમાં આપ્યો હોવાનાં અનેક દૃષ્ટાંત છે. વર્ષો પહેલાં કેરળમાં એક પરંપરા હતી કે ગામના શ્રીમંતો રાતે ઘરનો મુખ્ય દરવાજો બંધ કરતાં પહેલાં બૂમ પાડીને પૂછતા કે ગામમાં કોઈ વ્યક્તિ ભૂખી સૂતી છે? કોઈ ભૂખ્યું રહી ગયું હોય તો એને ખાવાનું આપ્યા પછી જ ઘરનો બંધ કરવામાં આવતો. પશ્ર્ચિમ બંગાળનાં સુહાસિની મિસ્ત્રી ત્રેવીસ વર્ષની નાની વયે વિધવા થયાં. ચાર સંતાનો અને પોતાનું ગુજરાન ચલાવવા માટે એમણે બીજાના ઘરનાં કામ કર્યાં, શાકભાજી વેચી. ટૂંકી આવકમાંથી પણ પૈસા બચાવીને એમણે કલકત્તા નજીક હંસપુકુર ગામમાં ગરીબ લોકો માટે હૉસ્પિટલ બનાવી. કચ્છના ભદ્રેશ્ર્વર બંદરના શાહસોદાગર જગડુશાએ સંવત ૧૩૧૫માં ભયાનક દુષ્કાળ પડ્યો ત્યારે પોતાના ભંડાર લોકો માટે ખુલ્લા મૂકી દીધા હતા. ભારતનો ઇતિહાસ પ્રાચીન સમયથી દાનવીરતાનાં એવા અસંખ્ય ઉદાહરણોથી ઉજ્જવળ છે.
૧૮૩૫માં જન્મેલા અમેરિકાના મહાન ઉદ્યોગપતિ એન્ડ્રયૂ કારનેજી અમેરિકન ફિલાન્થ્રોપીના ક્ષેત્રમાં મહત્ત્વનું કદમ ભરનાર વ્યક્તિ તરીકે ઓળખાય છે. એમણે જીવનનાં છેલ્લાં અઢાર વર્ષોમાં ૩૫૦ મિલિયન ડોલર લોકકલ્યાણ, સમાજસેવા, શિક્ષણ, પુસ્તકાલય, વૈજ્ઞાનિક સંશોધન વગેરે માટે દાનમાં આપ્યા હતા. આ રકમ એમની કુલ્લ સંપત્તિનો નેવું ટકા હિસ્સો હતી. એમણે કહ્યું હતું: ‘અન્ય લોકોને સમૃદ્ધ કર્યા વિના કોઈ પણ વ્યક્તિ શ્રીમંત બની શકતી નથી. પોતાની સંપત્તિનો હિસ્સો સમાજસેવા માટે ખરચવા તૈયાર ન હોય તે વ્યક્તિ ગમે તેટલી ધનાઢ્ય હોય, પરંતુ ગરીબ જ રહે છે.’ તેઓ માનતા હતા કે ધનાઢ્ય લોકોએ એમનું જીવન બે હિસ્સામાં વહેંચવું જોઈએ, પહેલા તબક્કામાં અઢળક કમાણી કરે અને બીજા તબક્કામાં કમાણીનો મોટા ભાગનો હિસ્સો સમાજસેવા માટે દાનમાં આપે.
બિલ ગેટ્સ અને વૉરેન બફે જેવા શ્રીમંત લોકોએ આ દિશામાં કરેલા પ્રયત્નો જાણીતા છે. એમણે વિશ્ર્વના ટોચના ધનાઢ્ય લોકોને એમની સંપત્તિ પરોપકાર માટે દાનમાં આપવાની પ્રેરણા આપી. એમણે કહ્યું છે કે શ્રીમંત લોકોએ એમને અને એમના વારસદારોને કેટલી સંપત્તિની આવશ્યકતા છે તે નક્કી કરવું જોઈએ. ત્યાર પછી એમણે તેઓ બાકીની સંપત્તિનું શું કરવા માગે છે તેનો નિર્ણય લેવો જોઈએ. ટોચના ધનાઢ્ય લોકોની સંપત્તિની આકરણી કરતી કંપની ‘વર્લ્ડ એક્સ’ના રિપોર્ટમાં વર્ષ ૨૦૧૫માં વિશ્ર્વમાં સૌથી વધારે દાન આપનાર વીસ વ્યક્તિઓમાં ભારતના અઝીમ પ્રેમજીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ફેસ બુકના સ્થાપક અને સી.ઇ.ઓ. માર્ક ઝુકેરબર્ગ એમની કમાણીનો મહત્તમ હિસ્સો સમાજસેવા માટે આપે છે.
સામાન્ય રીતે લોકોમાં એવી માન્યતા હોય છે કે સમાજસેવા માટે દાન આપવાની વૃત્તિ અને પ્રવૃત્તિ માત્ર ધનાઢ્ય લોકોને જ લાગુ પડે છે. આપણી પાસે આપવા જેવું ખાસ કંઈ હોય નહીં તો આપણે શું આપી શકીએ. પ્રશ્ર્ન વ્યક્તિ પાસે કેટલી સંપત્તિ છે તેનો નથી, પ્રશ્ર્ન આપણે જેટલું કમાઈએ છીએ તેમાંથી થોડોક પણ હિસ્સો અન્ય લોકોના કલ્યાણ માટે ખર્ચવા તૈયાર છીએ કે કેમ તેનો છે. ૨૦૦૧માં કચ્છ અને ગુજરાતમાં ધરતીકંપ થયો ત્યારે મારા બંને પુત્રો યુ.કે.માં આઈ.ટી. કંપનીમાં કામ કરતા હતા. એમણે ધરતીકંપના રાહતકાર્ય માટે એમની કંપનીના સહકર્મચારીઓ પાસેથી યથાશક્તિ ફાળો એકઠો કરવાનું કામ હાથ પર લીધું. તેમાં મહારાષ્ટ્રના એક યુવાન કર્મચારીએ બહુ મોટી રકમ આપી હતી. એણે કહ્યું હતું: ‘હું માનું છું કે આપણી કમાણી પર સમાજનો અધિકાર છે. હું તે માટે દર મહિને મારા પગારનો અમુક હિસ્સો અલગ રાખી મૂકું છું.’ એક મહિલા ઓછા પગારવાળી નોકરીમાં જોડાઈ ત્યારથી એણે જરૂતમંદ લોકોને સહાય કરવા માટે પોતાની આવકનો દસ ટકા હિસ્સો અલગ રાખવાનો આરંભ કર્યો હતો. તે આદત સંતાનોમાં પણ ઊતરી. આવા લોકો શ્રીમંત હોય તેવી જરૂર નથી.
ઘણી વાર પરોપકારની સહજ વૃત્તિનું પગેરું વ્યક્તિના પરિવારના ભૂતકાળમાં પડેલું હોય છે. ફિલાનથ્રોપી અને પારિવારિક પરંપરાનો અભ્યાસ કરતી એક સંસ્થાને એવા કેટલાક રસપ્રદ કિસ્સા જાણવા મળ્યા છે. ઘણા લોકોમાં એમની આગલી પેઢી વિશે માહિતી જાણ્યા પછી પરોપકાર કરવાની ભાવના જાગે છે. એક ધનાઢ્ય વ્યક્તિને ખબર પડી કે એને થયેલો અસાધ્ય રોગ વારસાગત હતો. એની આગલી પેઢીના ઘણા વડીલો આ રોગથી મૃત્યુ પામ્યા હતા. ત્યાર પછી એણે તે રોગની સારવાર માટે સંશોધન કરતી સંસ્થાઓને બહુ મોટી રકમની સહાય આપવાનું શરૂ કર્યું. કેટલાક કિસ્સામાં દાનપ્રવૃત્તિમાં રસ ધરાવતી વ્યક્તિને એની સેવાવૃત્તિનું પગેરું આગલી પેઢીમાંથી જોવા મળે છે. એક મહિલાને આદિવાસી લોકોના કલ્યાણ માટે અઢળક સહાયતા કરવાનું લગભગ વળગણ થઈ ગયું હતું. તે વિશે એને પોતાને પણ નવાઈ લાગતી. ઘણાં વર્ષો પછી એને માતૃપક્ષમાં થઈ ગયેલી એક વ્યક્તિએ એની આખી જિંદગી આદિવાસીના ઉત્કર્ષ માટે વિતાવી હતી તે વાતની જાણ થઈ હતી. એ મહિલાને પોતાના વળગણનું મૂળ તેમાંથી દેખાયું હતું.
નાનપણનું એક દૃશ્ય મારા ચિત્ત પર અંકિત થઈ ગયું છે. અનાથાશ્રમનાં બાળકો ગામની બજારમાં બેન્ડ વગાડતાં એમની સંસ્થા માટે ફાળો ઉઘરાવતાં હતાં. બજારમાં ભીખ માગવા બેઠેલી મહિલાના પાંચેક વર્ષના દીકરાએ માને તે બાળકો વિશે પૂછ્યું. પછી એ એની માતાએ ભીખ માગેલા પૈસાના ડબામાંથી એક આનો લઈ પેલાં બાળકોના ડબામાં નાખી આવ્યો. એના મોઢા પર દેખાયેલો સંતોષ ક્યારેય ભુલાશે નહીં. એણે આપ્યું તેનાથી વધારે મેળવ્યું હતું. એ દુનિયાનો શ્રેષ્ઠ દાનવીર હતો.
શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
