-
સંબંધ
વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
લગભગ ૨૨ દિવસ કૉમામાં રહ્યા પછી જ્યારે એ ભાનમાં આવ્યો ત્યારે એણે પોતાની સૌથી નજીક જેને જોઈ એ વ્યક્તિ હતી માર્થા. હોસ્પિટલમાં અન્ય માટે એ માર્થા સિસ્ટર હતી, પણ પોતાના માટે તો એ માર્થા મમ્મી હતી.
ભાનમાં આવ્યો ત્યારે થોડું ઘણું યાદ આવતું હતું. એ પુણે જતો હતો અને ખંડાલા ઘાટ ચઢતા અકસ્માત નડ્યો હતો. આશરે નવ કલાક જખ્મી હાલતમાં ત્યાં પડી રહ્યો પછી કોઈ મુસાફરે એને હોસ્પિટલ સુધી પહોંચાડ્યો હતો. હોસ્પિટલમાં ચારેક મહિના જેટલી સારવાર લીધા પછી એને રજા અપાઈ ત્યારે એ નાનાં બાળકની જેમ માર્થા મમ્મીને વળગીને પુષ્કળ રડ્યો હતો. માર્થા મમ્મીએ એના કપાળે વહાલથી ચૂમી ભરીને કહ્યું હતું કે, “ગોડ બ્લેસ યુ માય ચાઇલ્ડ.”
ડૉક્ટર કોઠારીને પણ એણે કહ્યું હતું કે, “ આજે હું હોસ્પિટલમાંથી જીવંત, સાવ સાજો થઈને જઈ રહ્યો છું એ તમારી સારવાર અને દવાઓની સાથે માર્થા મમ્મીના પ્રેમના લીધે શક્ય બન્યું છે.”
હોસ્પિટલમાંથી એ નીકળ્યો ત્યારે માર્થા મમ્મી ગેટ સુધી એની સાથે આવી હતી અને ક્યાંય સુધી એ હાથ હલાવતી ઊભી રહી હતી.
માર્થા એ હોસ્પિટલની સેવાનો ભેખ ધારણ કર્યો હોય એવી સંનિષ્ઠ છતાં સ્નેહાળ નર્સ હતી. પેશન્ટનું સાચા દિલથી ધ્યાન રાખતી. દર એક પેશન્ટને એ પોતાની મા સમાન લાગતી.
થોડા વર્ષો પછી એ જ્યારે હોસ્પિટલમાં માર્થાને મળવા વૉર્ડમાં ગયો ત્યારે એ કોઈ પેશન્ટ પાસે એની નર્વ્સ જોતી બેઠી હતી. જરા વાર રહીને માર્થાએ પેશન્ટનો હાથ હળવેથી નીચે પથારીમાં મૂક્યો. એક ક્ષણ રાહ જોવાના બદલે સીધા માર્થા પાસે જઈને એને બે હાથે ઉંચકી લીધી.
“અરે, અરે! ઇડિયટ આ શું કરે છે? આ હોસ્પિટલ છે, છોડ મને.”
ઓઝપાઈને એણે માર્થાને નીચે મુકી દીધી.
“મને ઓળખ્યો નહીં માર્થા મમ્મી? હું તમારો દીકરો…”
“ઓળખ્યો..ઓળખ્યો, પણ અત્યારે મને જરાય ટાઇમ નથી. હોસ્પિટલમાં ડ્યૂટી પર હોઉં ત્યારે આવી રીતે મળવા નહીં આવવાનું. જોતો નથી પેશન્ટ કેટલો હેરાન થઈ રહ્યો છે. અત્યારે જા અહીંથી.”
માર્થાનાં આવા અનપેક્ષિત અને કૃધ્ધ વલણથી એ સ્તબ્ધ બની ગયો. ખાસિયાણો બનીને જેવા ઉત્સાહથી આવ્યો હતો એટલો નિરાશ થઈ, પાછો ફરીને ચાલવા માંડ્યો.
આ એ જ માર્થા મમ્મી હતી જેણે કેટલા સ્નેહથી એને સાચવ્યો હતો !
એટલામાં પેશન્ટના વેદનાપૂર્ણ અવાજથી એના પગ અટકી ગયા. “મા….ઓ મા…”
“માય ચાઇલ્ડ, આઇ એમ વિથ યુ. હેવ પેશન્સ.” એની માર્થા મમ્મી અતિ અનુકંપાભર્યા અવાજથી પેશન્ટ સાથે વાત કરતી હતી, સાથે અત્યંત સ્નેહથી એનું માથું પસવારતી હતી.
એ જોઈને એણે ઝડપથી પગ ઉપાડ્યા અને ત્વરાથી વૉર્ડની બહાર નીકળી ગયો.
માર્થા ક્યાં એના એકલાની મા હતી, એ તો જગતભરના સૌ દુખિયારાંની મા હતી.
ચિત્રા મુદ્ગલ લિખિત વાર્તા- ‘રિશ્તા’ પર આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
લાગણીની રસાકસી
અંકિતા સોની
“હેલ્લો..મોટાભાઈ! તમે દીદીને કંકોતરી મોકલી?” ગીતા પોતાના મોટાભાઈ વિજયભાઈને ફોન પર પૂછી રહી હતી.
“એને કંકોતરી આપવા હું રૂબરૂ જવાનો છું..કેમ એમ પૂછે છે? એણે કંઈ કીધું તને?” વિજયભાઈ બોલ્યા.
“હંમ.. ના..ના..આ તો અમસ્તું જ.” કહીને ગીતાએ ફોન મૂકી દીધો.
વિજયભાઈની દીકરી ખુશીના લગ્નનો અવસર આંગણે ઉભો હતો અને એમની મોટી બહેન સુશીલા રિસાઈ હતી. સૌથી નાની ગીતા બંને મોટા ભાઈ-બહેન વચ્ચે રીતસરની પીસાઈ રહી હતી.
“ગીતા..ખબરદાર જો મોટાભાઈને ત્યાં લગ્નમાં ગઈ છે તો..પછી તારે ને મારે કોઈ સંબંધ નહીં રહે..” મોટીબહેનને સમજાવવા ગયેલી ગીતાને સુશીલાએ રીતસરની ધમકાવી દીધી.
“પણ..દીદી..મોટાભાઈના ત્યાં પહેલો પ્રસંગ છે ને આપણે જ ન જઈએ તો મોટાભાઈને કેટલું ખરાબ લાગે? લોકો વાતો કરે એ અલગ..” ગીતા સુશીલાને સમજાવતાં બોલી.
“તો તારે જવું હોય તો જા..મારા ઘરે આટલું ઓછું મામેરું લઈને આવ્યા ત્યારે લોકોએ વાતો નહીં કરી હોય? સાસરીમાં મારે કેવું નીચાજોણું થયું હતું તને ખબર છે?” સુશીલા ગુસ્સામાં બરાડી ઉઠી.
“જો ગીતા..એમ તો તમારા ભાઈ બહેનો વચ્ચે બોલવાનો મને કોઈ અધિકાર નથી..પણ સુશીલા સાચું કહે છે..તારે તારા ભાઈ સાથે સંબંધ રાખવો હોય તો તું જા.. પણ હું અને સુશીલા નહીં જ આવીએ..” બનેવી સુભાષભાઈએ આગમાં ઘી હોમતા કહ્યું.
સુશીલાને સમજાવવા ગયેલી ગીતા નિરાશ વદને પાછી ફરી. પોતે હવે કોના પક્ષે રહેવું એ એને મૂંઝવી રહ્યું હતું. એક તરફ વિજયભાઈ જેમણે માતા-પિતાના મૃત્યુ પછી બહેનોને ભણાવી-ગણાવીને પરણાવવા સુધીની દરેક જવાબદારી બખૂબી નિભાવી હતી. તો બીજી તરફ સુશીલા પોતાની જીદને પંપાળીને અહમ પોષી રહી હતી. મોટાભાઈએ પોતાના ઘરે ખૂબ ઓછું મામેરું કર્યું એને માત્ર એ જ વાતનું દુઃખ હતું.
અલબત્ત, વિજયભાઈએ એ વખતે ધંધામાં ગયેલી ખોટને લીધે વધુ વ્યવહાર ન કરી શકવાની લાચારી સુશીલા આગળ દર્શાવી ત્યારે બનેવી સુભાષભાઈએ પણ ‘ચાલશે’ કહીને સંમતિ આપેલી પરંતુ પાછળથી સુશીલાને ભરમાવી.
લગ્નના આડે માત્ર બે દિવસ બાકી હતા. ગીતા તો લગ્નમાં સામેલ થવા વહેલી આવી ગયેલી પણ સુશીલાને મનાવવા ગયેલા વિજયભાઈ એના કવેણથી દુઃખી થઈને પરત આવ્યા.
ખુશીના લગ્ન તો રંગેચંગે પતી ગયા પણ પ્રસંગમાં સુશીલાની ગેરહાજરી વિજયભાઈને વધુ ડંખી. એમાંય વારેતહેવારે અવનવી ગાંઠો પડતી ગઈ. બંને વચ્ચે અબોલાનાં વર્ષો વીત્યા. પાકટ વયે પહોંચેલા ભાઈ-બહેન વચ્ચે ગીતા એકમાત્ર કડી બની રહી.
સમયે ફરીથી કરવટ બદલી. ગીતાને છેલ્લા સ્ટેજના કેન્સરનું નિદાન થયું. અતિશય દર્દભરી અને ખર્ચાળ સારવાર છતાં ગીતા મૃત્યુના દ્વારે આવીને ઉભી હતી. હોસ્પિટલના બિછાને કણસતી ગીતાની સેવામાં બંને ભાઈબહેન આવી તો ગયા પણ એકબીજાનો અહમ છોડીને નજરસુધ્ધાં માંડતા નહીં. ગીતા બિચારી મૂંગી આંખે લાચારીથી બંને સામે જોતી.
“મોટાભાઈ, દીદી..તમને બંનેને એક વાત પૂછું ?” ગીતા બોલી.
“હા.. બોલ ને..” સુશીલા અને વિજયભાઈ ગીતાનો પડ્યો બોલ ઝીલવા તત્પર હોય એમ એકસાથે બોલી ઉઠ્યા.
“તમને બંનેને કઈ વાત પર નારાજગી છે?” ગીતાના પ્રશ્નનો જવાબ વિજયભાઈ પાસે નહોતો. એથી એ નીચું જોઈ રહ્યા.
“મોટાભાઈએ..મારું મામેરું..” સુશીલા બોલવા જતી હતી ત્યાં ગીતાએ અટકાવીને કહ્યું;
“દીદી! મામેરું શું તમારા માટે સંબંધ કરતા વધુ મહત્વનું હતું? મોટાભાઈએ દેવું કરીને તમને પરણાવ્યાં.. જેમતેમ કરીને તમારો દરેક પ્રસંગ સાચવ્યો એનું કાંઈ નહીં? એમનું ઋણ તમે ચૂકવ્યું? રૂપિયા કે દાગીનાથી શ્વાસ ખરીદી શકાતાં હોય તો લઈ આવો મારા માટે..” ગીતાના લાગણીભીના શબ્દોથી સુશીલા અને વિજયભાઈ બંનેની આંખમાં આંસુ આવી ગયા.
વર્ષો બાદ અહમની જામેલી અક્કડ શીલા ધરાશાયી થઈ. મનમોટાવ પસ્તાવાથી સાવ ધોવાઈ ગયો. બોખલા મોંઢે આઈસ્ક્રીમ ખાતાં ખાતાં ત્રણેયે અનોખા પ્રેમપર્વની ઉજવણી કરી.
અંકિતા સોની (ધોળકા) | ankitacsoni@gmail.com
-
ફિલ્મી ગઝલો – ૫૮. ઇન્દીવર
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
ગઝલો ન મળવાને કારણે અગાઉ રહી ગયેલા બીજા મોટા ગીતકાર એટલે ઇન્દીવર. ( ઇન્દીવર સંસ્કૃત ભાષાનો શબ્દ છે જેનો અર્થ થાય નીલકમલ ). એમનું મૂળ નામ શ્યામલાલ બાબુ રાય.
એમનું લખેલું ‘ મલ્હાર ‘ ફિલ્મનું ‘ બડે અરમાન સે રખા હે બલમ તેરી કસમ ‘ કયા સંગીત પ્રેમીએ નહીં સાંભળ્યું હોય ! પ્રચંડ લોકપ્રિયતાને વરેલ‘ કુરબાની ‘ ફિલ્મનું નાઝિયા હસને ગાયેલું ‘ આપ જૈસા કોઇ મેરી ઝિંદગી મે આયે ‘ પણ એમની જ કલમનું સર્જન. ‘ રોશન તુમ્હી સે દુનિયા ‘ ( પારસમણિ ), ‘ વક્ત કરતા જો વફા ‘ ( દિલને પુકારા ), કસમે વાદે પ્યાર વફા ( ઉપકાર ), ‘ ચંદન સા બદન ‘ ( સરસ્વતીચંદ્ર ) અને ‘ઓહ રે તાલ મિલે નદી કે જલ મેં ‘ (અનોખી રાત ) પણ એમની જ કૃતિઓ.
એમના ૧૬૦૦ આસપાસના ગીતોની ૪૦૦ ફિલ્મોમાંની હજુ વધુ કેટલીક ફિલ્મો એટલે સચ્ચા જુઠા, સફર, પારસ, અપરાધ, એક બાર મુસ્કુરા દો, સમજૌતા, ધર્માત્મા, પ્રેમગીત વગેરે.
એંસીના દશકમાં બપ્પી લહેરી જેવા સંગીતકારો માટે તેમણે કેટલાક ઘટિયા ગીતો પણ લખ્યા જે ખૂબ ચાલ્યા. એમના સર્જકત્વના સુવર્ણ કાળમાં એમણે જે લખ્યું એમાંની બે ગઝલો :
સતાયેગા કિસે તુ આસમાં જબ હમ નહીં હોંગે
દિયે હૈ તુને ઐસે ગમ કભી જો કમ નહી હોંગેસિતારે ટુટને સે આસમાં કા ક્યા બિગડતા હૈ
કમી ક્યા હોગી દુનિયા મેં અગર એક હમ નહીં હોંગેહૈં જબ તક હમ તભી તક દુશ્મની હૈ હમ સે દુનિયા કો
યહી દુનિયા હમે ઢુંઢેગી જિસ દમ હમ નહીં હોંગે..– ફિલ્મ : શીશમ ૧૯૫૨
– મુકેશ
– રોશન
રંગો કે બદલને સે તસવીર ન બદલેગી
તદબીર લાખ કર લે તકદીર ન બદલેગીએક ગમ કે ભુલાને કો એક ઔર ગમ લગા લે
સોને કે રંગ ચઢા લે ઝંજીર ન બદલેગીતન્હાઈ હો કે મહેફિલ દિલ તો વહી રહેગા
બદલેંગે ગમ – ગમોં કી તાસીર ન બદલેગી…– ફિલ્મ : શિકાર ૧૯૫૫
– લતા
– બુલો સી રાની..
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
મહેંદ્ર શાહનાં જૂન ૨૦૨૪નાં ચિત્રકળા સર્જનો
મહેન્દ્ર શાહનાં ચિત્રકળા સર્જનો
Mahendra Sha’s creations for June 2024
મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com
-
મોંઘી પડી શકતી ભુલના ઉપાયનો કિસ્સો
ધંધેકા ફંડા
ઉત્પલ વૈશ્નવ
એક વાર, સદા ધમધમતી રહેતી એક સોફ્ટવેર કંપનીનાં શિરમોર ઉત્પાદનનાં એક રીલીઝના થોડા દિવસો પહેલાં જ એક મહત્ત્વનું બગ ધ્યાન પર આવ્યું.
આખી ટીમમાં દાવાનળ પેઠે ગભરાટ ફેલાઈ ગયો. બગ ઘણો જટિલ હતો અને સમય ઝડપથી સરી રહ્યો હતો.
ધડાધડ ડીબગીંગ અને થાગડથીગડ કરવાના બધા ઉપાયો કામે લગાડી જોવામાં આવ્યા.
પણ હઠયોગીની જેમ બગ ફરી ફરીને આવતો જ રહેતો હતો. જેમ જેમ સમયમર્યાદા નજદીક આવવા લાગી તેમ તેમ ટીમમાં હતાશાનો પારો ચડવા લાગ્યો.
તાકડે એ જ સમયે વરિષ્ઠ ડેવલપરોમાંની, જયા આવી પહોંચી. વ્યવસ્થિત સમસ્યા સમાધાન અપનાવવાનો નવો અભિગમ અપનાવવાનું તેણે સુચન કર્યું. તેણે ટીમને એકઠી કરી અને પોતાની યોજના બધાંને સમજાવી.
૦૧. સમસ્યાની સ્પષ્ટ વ્યાખ્યા : ટીમે બગ સાથે સંકળાયેલા કોડ્સનો તલસ્પર્શી અભ્યાસ કર્યો. ક્યારે ક્યારે એ બગ દેખા દેતો હતો તે પણ ખોળી કાઢ્યું, આ બન્ને અભ્યાસના પરિણામોને સાંકળીને સમસ્યાને સ્પષ્ટ કરી.
૦૨. માહિતી સામગ્રીનું એકત્રીકરણ અને આકલન : જે જે પ્રસંગોએ બગ દેખા દેતો હતો તેનું વર્ગીકરણ કરાયું, એ દરેક પ્રસંગે કયાં કારણોથી બગ દેખા દેતો હતો અને તે તે સમયે મૂળ ઍપ અને વપરાશકારની સમગ્ર તંત્રવ્યવસ્થાની પરિસ્થિતિ શું શું હતી એ બધી માહિંતી સામગ્રીને સાંકળીને સંભવિત કારણોની યાદી બનાવાઈ.
૦૩. પૂર્વધારણાઓનું ગઠન : એકત્ર કરાયેલી અસરો અને સભવિત કારણો પર ટીંમે વિચારમંથન કર્યું અને અમુક પૂર્વધારણાઓ તારવી
૦૪. પૂર્વધારણાઓની ચકાસણી : દરેક ચલ પરિબળોને અલગ અલગ કરીને તે મુજબ એક એક પૂર્વધારણાઓની વ્યવસ્થિતપણે ચકાસણી કરાઈ અને તેના પરથી હજુ વધારે માહિતી સામગ્રી એકઠી કરાઈ.
૦૫. તારણો માટેની નિર્ણય પ્રક્રિયા : જેટલી પણ માહિતી સામગ્રી એકઠી કરાઈ હતી અને જે અભ્યાસો કરાયા હતા તેનું હવે આકલન કરાયું અને જે પૂર્વધારણાઓ સાધાર કારણભૂત નહોતી જણાતી તેને બાજુએ કરી દેવાઈ.
૦૬. ઉપાયોનું અમલીકરણ : આ બધી ‘ગડમથલ’ને અંતે ટીમ મૂળભૂત કારણ વિશે સહમત થઈ, અને તેને લગતાં સુધારણા પગલાંઓ માટે સમયબદ્ધ આયોજન ગોઠવાયું. દરેકને ફાળે આવતું કામ કરવામાં ટીમના સભ્યો લાગી ગયા..
બગ બરાબર સાફ થઈ ગયો અને રીલીઝ પણ કોઈ જ પ્રકારની ગૂંચ વિના પાર પડી શક્યું. જે ભારે નીચાજોણું અને બહુ મોટી, મોંઘી પડે એવી, નિષ્ફળતા બની શકે તેમ હતું તે હવે એક મૂલ્યવાન પદાર્થપાઠ બની ગયું હતું.
પદ્ધતિસરની સમાસ્યા સમાધન પ્રક્રિયાએ બધું સમુંસુતરૂં પાર પાડવા માં બહુ મોટી મદદ કરી !
→ જ્યારે કોઈ નાહિમ્મત કરી દે તેવો પડકાર સામે આવી ઊભે, ત્યારે જે હાથમાં હોય તે હથિયાર ગણીને એ ઉપાય લાગુ કરવાની ઉતાવળ ન કરવી. પદ્ધતિસરની વિચારણાનો અભિગમ અપનાવવો.
ઉત્પલ વૈશ્નવની લેખમાળા #DhandheKaFunda ના મૂળ લેખ, The Case of the Costly Errorનો અનુવાદ
પાદ નોંધ : સમસ્યા સામે આવી ઊભી હોય ત્યારે તમે એ બાબતે લાગણીવશ ન બની ગયાં હો તો વ્યવસ્થિત સમસ્યા સમાધાન પ્રક્રિયાનો ઉપયોગ તમે જાતે જ કરી શકો. પણ લાગણીવશ થવાને કારણે તમને નિષ્પક્ષ તાર્કિકતા સાથે સમાધાન થવાની સંભાવના લાગે તો બીજી વ્યક્તિની મદદ લેવી સારી. બીજી વ્યક્તિની પસંદગીમાં પણ વ્યવસ્થિત સમાધાન પ્રક્રિયાનો જ દૃષ્ટિકોણ રહેવો જોઈએ એમ કહેવું હવે અપ્રસ્તુત જ લાગવું જોઈએ 😊
આ શ્રેણીના લેખક શ્રી ઉત્પલ વૈશ્નવનો સંપર્ક hello@utpal.me વીજાણુ સરનામે થઇ શકે છે.
-
સગવડદાયક નિષ્ક્રિયતા સાથે કામ લેવા માટેનો નેતૃત્વનો અને અગ્રણીનો દૃષ્ટિકોણ
સ્વ-વિકાસ : વિચાર વલોણું
તન્મય વોરા
જોહ્ન એફ. કેનેડીનાં ઘણાં કથનો મને આજની મૅનેજેમૅન્ત વિચાર્સરણીના સંદભમાં પણ બહુ પસંદ છે. જે પૈકી એકમાં તેઓ કહે છે કેઃ
“કોઈ પણ કામના અમલમાં જોખમો હોય જ છે. એ કામોની કંઈને કંઈ કિંમત પણ ચુકવવી પડતી હોય છે.. પરંતુ , સગવડદાયકક નિષ્ક્રિયતાનાનાં લાંબા ગાળાના જોખમો અને ચુકવવી પડતી કિંમત કરતાં તે ઘણાં ઓછા ઓછું નીવડતું હોય છે.”
સગવડદાયક નિષ્ક્રિયતા એવી સ્થિતિ છે જેમાં તે સમયે પગલાં ન લેવાની કોઇ તાત્કાલિક અસર દેખાતી નથી, પરંતુ લાંબા ગાળે, તે મોંધી પડે જ છે. સગવડદાયક નિષ્ક્રિયતા (ખાસ કરીને નેતૃત્વના હોદ્દા પરના લોકો દ્વારા) સંસ્થાના વિકાસ માટે વાસ્તવિક અર્થમાં પ્લેગ બની શકે છે. પોતપોતાનાં કાર્યસ્થળોએ લોકો સગવડદાયક નિષ્ક્રિયતાનો ઉપયોગ કેવી કેવી કરે છે તેના કેટલાક ઉદાહરણો અહીં પ્રસ્તુત છે:
- તેઓ તમારી દરખાસ્ત સાથે અસંમત ન હોય, પરંતુ તેના વિશે કંઈ કરતાં નથી.c
- તેઓ દરખાસ્ત સાથે સંપૂર્ણપણે સંમત છે, પરંતુ તેમ છતાં તેના વિશે કંઈ કરતાં નથી.
- તેઓ જે કંઈ કરે એ બધું નાના નાના, છ્ટાછવાયા, ટુકડાઓમાં કરે , એટલે કામ લ્યારેય પુરૂં તો થયું જ ન હોય.
- તેઓ કોઇ પણ પહેલ શરૂ થાય તે પહેલાં જ તેની નિષ્ફળતાની આગાહી કરે છે, અને પછી એ પહેલ નિષ્ફળ થવાની રાહ જોતાં બેસી રહે છે.
- તેઓ હવે જે જરૂરી છે તે ન કરવા માટેનાં એક કારણ તરીકે કોઈ બીજાં બીજાં કારણો રજૂ કર્યા કરશે. કેટલીક વાર, તેઓ કામ કરશે તો નહીં પણ તે માટે કોઈપણ કારણો આપવા માટે તસ્દી પણ લેશે નહીં.
- તેઓ યથાસ્થિતિ જાળવી રાખવા માટે ઉલટભેર કામ કરશે.
- તેઓ સમસ્યાઓ ઉકેલવા કરતાં વાતચીત કરવામાં વધુ સમય વિતાવે છે.
- તેઓ આયોજન કરવામાં, પરિણામનાં અનુમાનો લગાવવામાં અને વિશ્લેષણ કર્યા કરવામાં ઘણો સમય વિતાવી નાખતાં હોય છે.
- તેઓ વાસ્તવિક સમસ્યાનો સામનો કરતા નથી, પરંતુ સમસ્યાની આસપાસ કામ કરતાં હોય એવો દેખાડો કરે છે.
કહેવાનો ભાવાર્થ તમે સમજી જ ગયાં હશો. જ્યારે પણ બાબતો પૂર્ણ થતી નથી, જ્યારે ખરેખરનાં કામ થતાં નથી, જ્યારે સમસ્યાઓ વધતી રહે છે, ત્યારે સંસ્થાએ તો એ બધાંની મોટી કિંમત ચૂકવવી પદે છે. તે ન મેળવી શકાયેલ સોદો હોઈ શકે છે, વિલંબને કારણે ખર્ચમાં થયેલો વધારો કે ઉત્પાદકતામાં ઘટાડો હોઈ શકે છે. ઘણી વાર પ્રત્યક્ષપણે કે ટુંકે ગાળે ભલે કંઈ અસર કરતું ન દેખાય, પણ સગવડદાયક નિષ્ક્રિયતા કંઈને કંઈ કિંમત તો લઈ જ જાય છે.
અને છેલ્લેઃ
અગ્રણીઓ (અને વ્યાવસાયિકો) નું મહત્ત્વ અને મૂલ્ય તેઓ જે પરિણામો મેળવી આપી શકે છે તેના પરથી નક્કી થતું હોય છે – અને તેથી જ, તેઓએ તેમનામાં કે તેમની આસપાસ સગવડદાયક નિષ્ક્રિયતાની હાજરીની નિશાનીઓ વિશે સતત સભાન રહેવાની જરૂર રહે છે. એ પરિસ્થિતિ સાથે કેવો વ્યવહાર કરાશે એ પણ એટલું જ નિર્ણાયક રહે છે. માત્ર એટલું જ નહીં પણ સગવડદાયક નિષ્ક્રિયતા સાથે કેવી રીતે કેવો વ્યવહાર કરવામાં આવે છે તે સંસ્થાના નેતૃત્વ અને સંસ્કૃતિ વિશે ઘણું બધું કહી જાય છે.
આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
-
મૃત્યુ પામનાર કોણ? આયાતી? શ્રમિક? કૌશલ્યવિહીન? કે નાગરિક?
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
મૃત્યુ અણધાર્યું આવતું હોય છે, પણ તે અકસ્માતરૂપે આવે, અને એ અકસ્માત આગનો હોય ત્યારે એવા મૃત્યુની પીડા પારાવાર હોય છે. રાજકોટના ગેમઝોનમાં લાગેલી આગ પછી વહીવટી તંત્ર દોડતું થયું, અને રાબેતા મુજબ તમામ ગેમઝોનને બંધ કરવાનો આદેશ ફરમાવ્યો.
૧૨ જૂન, ૨૦૨૪ના રોજ કુવૈતની એક ઈમારતમાં લાગેલી પ્રચંડ આગમાં ૪૯ લોકો ભૂંજાઈ ગયા, જેમાંના ૪૫ ભારતીયો હતા. મૃતક ભારતીય હતા એટલે આપણાં અખબારોમાં સમાચાર ચમક્યા. સાત મજલી ઈમારતમાં આગ પરોઢે ચારેક વાગ્યે લાગેલી. તેમાં રહેતા તમામ ૧૯૬ લોકો ઊંઘમાં હતા. ગાઢ, કાળા ધુમાડાને કારણે લોકો ગૂંગળાવા લાગ્યા. ૧
આટલી વિશાળ સંખ્યામાં થયેલા મૃત્યુના સમાચાર પ્રસર્યા એટલે રાબેતા મુજબ મૃતકોનાં સ્વજનોને શોકસંદેશા અને મૃતકોને શ્રદ્ધાંજલિની રસમ શરૂ થઈ. કુવૈતના શેખે તત્કાળ તપાસનો અને જવાબદારો સામે પગલાં લેવાનો આદેશ આપ્યો.
પ્રાથમિક તપાસમાં એ શક્યતા જણાઈ કે રૂમ તેમજ અપાર્ટમેન્ટ વચ્ચે પાર્ટિશન તરીકે વપરાયેલી સામગ્રી જ્વલનશીલ પદાર્થની હતી, જેને કારણે ગાઢ કાળા ધુમાડા થયા. તેને કારણે લોકો ગૂંગળાયા અને નીચે તરફ દોટ મૂકી. તેઓ ઉપર ધાબે ન જઈ શક્યા, કેમ કે, ધાબાના બારણે તાળું મારેલું હતું. મકાનના ભોંયતળિયે કદાચ વાયુ લીક થયો હોવાથી આગ શરૂ થઈ હોવાનું મનાય છે.
અહેવાલ અનુસાર અગ્નિશમન દળે પહોંચતાંની દસેક મિનીટમાં જ અગ્નિને કાબૂમાં લઈને મોટી સંખ્યામાં શ્રમિકોનો બચાવ કર્યો હતો. આગ લાગવાનાં કારણ અંગે પછી તપાસ કરતાં જણાયું હતું કે ઈમારતના ભોંયતળિયે રાંધણગેસના બે ડઝન જેટલાં સિલીન્ડર હતાં.
દવાખાને દાખલ કરાયેલા શ્રમિક પૈકીના એક ઈજિપ્શિયન કામદારે જણાવ્યું કે અગ્નિશમન દળની મદદ લઈને ઈમારતમાંથી બહાર નીકળતાં તેને બે કલાક જેટલો સમય લાગ્યો હતો. તેણે એમ પણ જણાવ્યું કે નીચે ઊતરતી વખતે બળી ગયેલાં અનેક શબ તેની નજરે પડ્યાં હતાં. આ ઈમારતમાં ભારતીય શ્રમિકો મોટી સંખ્યામાં હતા. એ ઉપરાંત થોડા પાકિસ્તાની અને ફીલીપીન પણ ખરા.
આ દુર્ઘટનાને પગલે બનાવ સાથે સંકળાયેલા તમામ ઉચ્ચ અધિકારીઓને ફરજમોકૂફ કરવાનો આદેશ અપાયો છે. ઉપરાંત આ તેમજ અન્ય ઈમારતોમાં સલામતિનાં ધોરણોનો ક્યાં ભંગ થઈ રહ્યો છે એની તપાસ કરવામાં આવી રહી છે. મૃતાંકની દૃષ્ટિએ આગની આ દુર્ઘટના કુવૈતમાં દ્વિતીય સ્થાને આવે છે. આ અગાઉ ૨૦૦૯માં જાણીબૂઝીને લગાવાયેલી એક આગમાં ૫૬ લોકો બળી મર્યા હતા.
હવે સામાજિક નેટવર્કિંગનાં માધ્યમોનો જમાનો છે. આને લઈને અનેક લોકો સત્તાવાળાઓના વલણ પર પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. સલામતિના પગલાંનો ભંગ કરનાર સામે પગલાં લેવાની માગણી થઈ જ રહી છે, સાથોસાથ બિનકુશળ શ્રમિકોને કામે રાખવા તેમજ તેમનું શોષણ કરનાર સામે કાર્યવાહી કરવાની માગણી છે. એક ભૂતપૂર્વ મંત્રીએ જણાવ્યું છે કે આ દુર્ઘટના નિમિત્તે આવી તમામ ગેરરીતિઓ સામે તપાસ થવી જોઈએ.
કાનૂન ઘડવાની પ્રક્રિયા સાથે સંકળાઈ ચૂકેલા એક ભૂતપૂર્વ અધિકારીએ આક્ષેપ મૂકતાં કહ્યું કે શ્રમિકોને ગેરકાયદે દેશમાં ઠાલવવાની પ્રક્રિયાએ સરકારની બેપરવાઈને કારણે વેગ પકડ્યો છે. આવી બાબતો પર સરકાર પૂરતી દેખરેખ રાખી શકતી નથી તેને કારણે આવાં ભયાવહ પરિણામ મળે છે. સરકાર આવા લોકોને જવાબદાર નહીં ઠેરવે અને કાનૂનનો કડક અમલ શરૂ નહીં કરે, માનવબળની સમસ્યાનો કોઈ વ્યવહારુ ઊકેલ નહીં શોધે તો આવી દુર્ઘટનાઓનું પુનરાવર્તન થતું રહેશે. તેનો ભોગ કેવળ ગરીબો જ બનતા રહેશે અને સમાજે તેની કિંમત ચૂકવવી પડશે.
અન્ય એક કાનૂની સલાહકારે કહ્યું કે ‘ઈશ્વરનો જેને ડર નથી એવા’ વ્યાવસાયિકના લોભ-લાલચ અને સત્તાવાળાઓની બેદરકારીને કારણે આટલા બધા લોકોએ જાન ગુમાવવા પડ્યા. વિદેશથી આવેલા શ્રમિકોનું તેમના સ્પોન્સર દ્વારા કરવામાં આવતા દમન સામે રક્ષણ કોણ કરશે?
એક સહાયક પ્રાધ્યાપકે જણાવ્યું કે આ કમનસીબ બનાવ કુવૈતના રીઅલ એસ્ટેટના ખેરખાંઓના લોભ-લાલચ તેમજ કાનૂનની ઐસીતૈસી કરવાના વલણને ઊજાગર કરે છે. સાથે જ તે કાનૂનપાલન બાબતે સરકારી તંત્રની નિષ્ફળતા પણ સૂચવે છે.
આ દુર્ઘટના અતિ કરુણ છે અને મૃતકોના જીવનનું વળતર ગમે એટલું અંકાય પણ ઓછું જ છે. આમ છતાં, તેનાથી વધુ કરુણ પરિસ્થિતિ છાપરે ચડીને પોકારે છે એ છે વિદેશી શ્રમિકોનું શોષણ અને તેમની સલામતિ પ્રત્યેની બેપરવાઈ. પોતાને દેશથી કમાણીની આશાએ આવેલા શ્રમિકોનું એક જ ધ્યેય હોય છે- સખત મહેનત કરીને નાણાં રળવા અને સરખી રકમ થાય એટલે પાછા સ્વદેશ ચાલ્યા જવું. આયાતી શ્રમિકોની આ માનસિકતાનો પૂરેપૂરો લાભ સ્થાનિક કંત્રાટીઓ ઉઠાવતા હોય છે. ઓછું મહેનતાણું ચૂકવીને તેમનું શોષણ કરવું સામાન્ય બાબત છે. આમ તો, આ પરિસ્થિતિ જાહેર છે, પણ મોટે ભાગે એની સામે આંખ આડા કાન કરાતા હોય છે. ધારે તો કાનૂન દ્વારા આ પરિસ્થિતિને કાબૂમાં લાવી શકાય, પણ એ માટે ઈચ્છાશક્તિ જોઈએ. કુવૈત જેવો વિકસીત અને કાનૂનનો પાબંદ દેશ સુદ્ધાં આમાંથી બાકાત નથી એ જાણીને નવાઈ લાગે છે તેમજ ઉદાસી પણ અનુભવાય છે.
સમગ્રપણે જોતાં એક બાબત ઊડીને આંખે વળગે છે અને તે એ કે સત્તાધીશોને મન નાગરિકોના જાનની કશી કિંમત નથી. કાયદા બનાવાયા હોય તો એનું પાલન કરવા માટે સુયોગ્ય તંત્ર ગોઠવાયેલું હોય છે. આ તંત્ર શિથિલ બને એનો સીધો અર્થ એ કે તે ભ્રષ્ટાચારી છે. બનેલા કાયદાનું પાલન ન થાય એનો સીધો અર્થ એ જ થાય.
તંત્ર સૌને એક સમાન નાગરિક બનવાનું શરૂ ત્યારે જ કરે જો આપણે સૌ નાગરિકો પણ એમ કરીએ. લખવામાં સરળ જણાતી આ વાત અમલમાં કેટલી અઘરી અને અશક્યવત્ છે એ પણ આપણે સૌ જાણીએ જ છીએ.
ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૭ – ૦૬ – ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)
૧
નોંધ : સાંદર્ભિક વિડીયો યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધેલ છે
-
દર્દેદિલી
હકારાત્મક અભિગમ
રાજુલ કૌશિક
રીડર્સ ડાયજેસ્ટમાં જેની નોંધ લેવાઇ છે એવા એક ડૉક્ટરની અહીં વાત કરવી છે.
જેનું બાળપણ જર્મનીમાં વિત્યું, પિતાના મૃત્યુ બાદ માતા સાથે યુનાઇટેડ સ્ટેટ્સમાં સ્થાયી થયેલા આ કિશોરને સ્કૂલમાં કેટલાક અન્યાયનો સામનો કરવો પડ્યો અને જેના લીધે એ છોકરાને ખુબ આઘાત લાગ્યો અને પરિણામે એ આત્મઘાતી બનીને પોતાની જાતને ખતમ કરવા સુધી પહોંચી ગયો. પરંતુ એના નસીબ પાધરા કે ફરી એ સાવ સાજો-સારો થઈને માનસિક સમતુલન પાછું મેળવી શક્યો. હન્ટર પેચ ઍડમ્સ એનું નામ.
દરેકના જીવનમાં એક એવો વળાંક આવે છે કે જે એનું જીવન અને જીવન પ્રત્યેના અભિગમ બદલી નાખે. એણે મેડિકલ ભણવાનું શરૂ કર્યું. ડૉક્ટર બન્યો.
પેચ ઍડમ્સની ઓળખ હવે ડૉક્ટર હન્ટર પેચ ઍડમ્સ બની. એમની પાસે સૌથી પહેલો કેસ આવ્યો એક ચૌદ વર્ષની છોકરીનો. કેન્સરના ટર્મિનલ સ્ટેજે પહોંચેલી, કારમી વેદનાથી પીડાતી આ છોકરી કોઇ દવા કે ઇન્જેકશન લેવા તૈયાર જ નહોતી. છોકરીને બચાવી શકાય એવી કોઇ શક્યતા તો હતી જ નહીં પણ એને વેદનામાંથી મુક્તિ મળે એવું તો કંઇક કરવું જોઇએ ને? અમેરિકામાં પેઇન મૅનનેજમૅન્ટનું મોટું મહત્વ છે. દર્દીનું દર્દ ન મટાડી શકાય તો એને પીડાની અનુભૂતિથી તો મુક્ત કરી શકાય એ વાત સ્વીકારીને એને શાતા મળે એમ કરવામાં આવે છે.
પેલી છોકરીને વેદનાનો અતિરેક ઝંપવા નહોતો દેતો. આ વેદના શમાવવા પણ એને દવા કે ઇન્જેકશન આપવું જ પડે. એ એના રૂમમાં જ કોઇને દાખલ થવા નહોતી દેતી. અંદર આવવા જાય એને જે હાથમાં આવે એનો છૂટો ઘા કરે. હવે?
ડૉક્ટર પેચ ઍડમ્સ ગયા કૅન્ટીનમાં અને ત્યાંથી લાલ ટામેટું લઈ વચ્ચેથી બે ભાગ કરી એને નાક પર સર્જિકલ ટેપથી ચોંટાડ્યું અને બની ગયા ડૉક્ટરમાંથી જોકર. પછી સીધા ગયા પેલી છોકરીના રૂમમાં. છોકરી તો જે આવે એને ઓશીકાના છૂટા ઘા વડે વધાવવા તૈયાર બેઠી હતી. પણ આ શું? બારણા પાસે તો કોઇ ડૉક્ટર કે નર્સના બદલે લાલ નાકવાળો જોકર..
આવી તો એણે કલ્પના પણ નહોતી કરી. આભી બનેલી એ છોકરી સાથે ડૉક્ટર પેચ ઍડમ્સે વાર્તા માંડી. રસથી વાર્તા સાંભળતી છોકરીને ખબર ન પડે એમ ઇન્જેકશન આપી દીધું. સતત ત્રણ દિવસથી પળવાર પણ ન સૂઈ શકેલી એ એકદમ તોફાને ચઢેલી છોકરી તદ્દન શાંત થઈને સૂઇ ગઈ.
રૂમમાંથી બહાર આવેલા ડૉક્ટર પેચ ઍડમ્સને પૂછવામાં આવ્યું કે આવો મુશ્કેલ કેસ એમણે કેવી રીતે સૉલ્વ કર્યો.
એના જવાબમાં હવે સાંભળીએ ડોક્ટર પેચ ઍડમ્સની વાત.
એમણે કહ્યું કે આનાથી વધુ કારમી વાસ્ત્વિકતા મેં અનુભવી છે. જ્યારે તમારી આસપાસનું વાતાવરણ તમને ડહોળી નાખે એમાંથી બહાર નિકળવાના તમે ફાંફા મારતા હો ત્યારે તમને સાંત્વન આપતા એકપણ ભાષણ કે ઉપદેશ કામ આવતા નથી. એવા સમયે આપણી વાસ્તવિકતાને ભૂલી જવા જેવું એકપણ બીજું શસ્ત્ર કામ નથી આપતું. હું જાણું છું કે છોકરીનું કેન્સર હું મટાડી શકું એમ નથી પણ એના દર્દની- વેદનાની થોડી ક્ષણોથી તો હું એને અળગી રાખી શકું ને? અમેરિકન ફિઝિશિયન , કૉમેડીયન અને સોશિઅલ એક્ટિવિસ્ટ , એમ ત્રેવડી ભૂમિકા નિભાવતા ડૉક્ટર પેચ એડમ્સે દર્દીઓને શક્ય એટલી રાહત આપવા વિશ્વભરના સ્વયંસેવકોની એક એવી ટીમ તૈયાર કરી છે જે વિવિધ દેશોમાં જઈને અનાથ, અસાધ્ય રોગથી પીડાતા દર્દીઓ પાસે જઈને એમનું મનોરંજન કરે.
જ્યારે સમસ્યાનો કોઈ ઉકેલ ન જ હોય એવા સમયે વાસ્તવને ભૂલવું એ જ સૌથી મોટું સુખ છે. એને જ કદાચ સમાધિવસ્થા કહેતા હશે પરંતુ જ્યારે વ્યક્તિ પોતે એમ કરવાની માનસિકતા ન ધરાવતી હોય ત્યારે?
ત્યારે પેચ ઍડમ્સે કર્યું એ આપણે કરવાનું.. દરેક વખતે ડૉકટર બનીને જ ઈલાજ થાય એવું નથી પણ જ્યારે આપણે કોઇના દર્દ-વેદના મટાડી શકીએ એમ ન હોય ત્યારે એનું દર્દ- વેદનાને ભૂલી જાય એવું તો કશુંક કરી શકીએ ને? દરેક વખતે વાસ્તવિકતા વચ્ચે જ જીવવું સહેલું નથી હોતું ત્યારે કોઇની એ વસમી વાસ્તવિકતાને વિસારે પાડી શકે એવું કશુંક તો આપણે કરી શકીએ ને?
કોઇના દુઃખની ક્ષણો દૂર ન કરી શકીએ પણ જો એને હળવી બનાવી શકીએ તો ય ઘણું.
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
નવું બહેતર ઇંધણ : ઉદકજન
ડૉ. અશોક મો. દવે
વાહનો અને અન્ય યંત્રોના સંચાલન માટે પેટ્રોલિયમ આધારિત ઇંધણોના વ્યાપક વપરાશે પૃથ્વીના અસ્તિત્વ સામે જ વૈશ્ર્વિક ઉષ્માવૃદ્ધિના રૂપમાં પડકાર ઊભો કર્યો છે, ત્યારે જ પૃથ્વીને તારી શકે એવા એક ઊર્જા-સ્રોતની વાત.
આપણા બ્રહ્માંડમાં બે બાબતો વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે : મૂર્ખામી અને હાઈડ્રોજન ! અહીં પહેલી બાબતથી આપણે સુપરિચિત છીએ એટલે બીજી બાબત વિષે ચર્ચા કરીશું.
હાઈડ્રોજન (Hydrogen)ને હિંદીમાં ‘ઉદજન’ અને ગુજરાતીમાં ‘ઉદકજન’ કહેવામાં આવે છે. ‘પાણીમાંથી ઉત્પન્ન થયેલું’ એવો અર્થ અહીં અભિપ્રેત છે.
રસાયણશાસ્ત્રના આવર્તકોષ્ટકમાં ઉદકજનનું સ્થાન પ્રથમ છે. તત્ત્વ તરીકે તેની રાસાયણિક સંજ્ઞા ’ઇં’ છે અને વાયુ તરીકે તેનું રાસાયણિક સૂત્ર ’ઇં૨’ છે. ઉદકજનના મુખ્ય ગુણધર્મો કોષ્ટક : ૧માં દર્શાવેલા છે. અહીં આપણે જે ચર્ચા કરીએ છીએ તે મહદ્અંશે વાયુ તરીકેની છે. ઉદકજનના મુખ્ય ઉપયોગો કોષ્ટક : ૨માં દર્શાવેલ છે.
હરિત ઉદકજન
પ્રયોગશાળા અને કારખાનામાં ઉદકજનનું ઉત્પાદન પાણીની ઈલેક્ટ્રોલીસીસની પ્રક્રિયા દ્વારા કરવામાં આવે છે. આ ઉત્પાદન માટે વપરાતી વિદ્યુત ઊર્જા જો પુન:પ્રાપ્ય ઊર્જા પ્રકારની હોય તો તેને હરિત ઉદકજન (Green Hydrogen) કહે છે. સૂર્યપ્રકાશ અને પવનચક્કીની મદદથી ઉત્પન્ન થતી વિદ્યુત પર્યાવરણને કાર્બનના ઓક્સાઈડોથી પ્રદૂષિત કરતી નથી એટલે તેને હરિત ઊર્જા (Green Energy) કહે છે.
કોષ્ટક : ૧ ઉદકજનના મુખ્ય ગુણધર્મો
- સામાન્ય પરિસ્થિતિમાં રંગવિહીન, વાસવિહીન, સ્વાદવિહીન વાયુ.
- ડાયએટોમિક મોલેક્યુલ
- બ્રહ્માંડના ૯૦ ટકા સુધી અસ્તિત્વ
- સૌથી હલકું તત્ત્વ
- ખૂબ જ જ્વલનશીલ વાયુ. હવામાં ૪ થી ૭૪ ટકાની હાજરીથી સળગી ઊઠે છે.
- ગલનબિંદુ : -૨૫૯.૧૬૦ સે., ઉત્કલનબિંદુ : – ૨૫૨.૮૮૦સે. ઘનતા : ૦.૦૦૦૦૮૨ ગ્રામ પ્રતિ ઘન સે.મી.
કોષ્ટક : ૨ ઉદકજનના મુખ્ય ઉપયોગો
- એમોનિયા અને નત્રલ ફર્ટિલાઈઝર્સના ઉત્પાદનમાં.
- વનસ્પતિ ઘીના ઉત્પાદનમાં.
- મિથેનોલ અને હાઈડ્રોક્લોરિક એસિડના ઉત્પાદનમાં.
- ધાતુના ઓક્સાઈડોના રિડક્શન દ્વારા ધાતુના ઉત્પાદનમાં.
- રોકેટના ઈંધણમાં.
- આધુનિક વાહનોના ઇંધણ તરીકે.
ઇતિહાસ
ઔદ્યોગિક ઉત્પાદનની વાત કરીએ તો સન ૧૯૪૦ પહેલાં ઉદકજનનું ઉત્પાદન કોલસા અથવા કોકમાંથી થતું હતું. ત્યારબાદ એકવીસમી સદીમાં તેનું ઉત્પાદન કુદરતી વાયુ અને નેચરલ ગેસમાંથી સ્ટીમ રીફોર્મિંગની પ્રક્રિયા દ્વારા કરવામાં આવે છે. સન ૨૦૨૧માં ઉદકજનનું ઉત્પાદન બજાર ૧૩૫.૯ અબજ અમેકિરન ડૉલર જેટલું હતું. જે સન ૨૦૨૩માં ૨૧૯.૨ અબજ અમેરિકન ડૉલર થવાની સંભાવના છે.
ઊર્જા
જીવાશ્મ આધારિત સ્રોતમાં કરવામાં આવતું ઉદકજનનું ઉત્પાદન પર્યાવરણને હાનિકારક છે. વૈકલ્પિક રીતે પાણીમાંથી થતું ઉત્પાદન અનુકૂળ છે. પાણીમાંથી વિદ્યુત-વિભાજન દ્વારા ઉદકજન નીચે મુજબ મેળવી શકાય છે.
પાણી + વિદ્યુત ઊર્જા —-> ઉદકજન + પ્રાણવાયુ
૯ કિલો ૫૦ KWH <—- ૧ કિલો ૮ કિલો
આ પ્રક્રિયામાં વધુ પ્રમાણમાં ઊર્જાની જરૂર પડે છે. આ પ્રક્રિયા ઊલટા ક્રમમાં પણ થઈ શકે છે.
ઉદકજનમાં વજનની દૃષ્ટિએ પેટ્રોલ કરતાં લગભગ ત્રણ ગણી વધુ ઊર્જા સંગ્રહિત થયેલી હોય છે. એટલે તે આદર્શ ઈંધણ બની શકે છે. પરંતુ કદની દૃષ્ટિએ તેની ઊર્જા-ઘનતા ઓછી હોય છે. આ ઘનતા વધારવા માટે તેને ઊંચા દબાણે અથવા અત્યંત નીચા તાપમાને સંગ્રહિત કરવો જરૂરી છે.
નવો અભિગમ
ઉદકજનના વ્યાવસાયિક, સસ્તા અને બિનપ્રદૂષિત ઉત્પાદન માટે નવો અભિગમ અત્રે રજૂ કરીએ છીએ.
(૧) સસ્તો કાચો માલ
ઉદકજનના ઉત્પાદન માટે કાચો માલ પાણી છે. શુદ્ધ કરેલું પાણી મોંઘું હોય છે. પરંતુ અહીં સસ્તા પાણીનો વિકલ્પ રજૂ કર્યો છે. બાથરૂમ અને રસોડામાંથી નીકળતા પાણીને ગ્રે વૉટર અને લેટ્રીનમાંથી નીકળતા પાણીને બ્લેક વૉટર કહે છે. હવે પછીના બંધાનારા ફ્લેટ, ઔદ્યોગિક સંકુલ, મોલ વગેરેની પાઈપલાઈનમાં થોડો ફેરફાર કરીને ગ્રે અને બ્લેક વોટરની લાઈનો અલગ કરવી જોઈએ. ગ્રે વોટર એક જગ્યાએ ભેગું કરીને તેને જરૂર મુજબ પ્રાયમરી, સેક્ધડરી વગેરે ટ્રીટમેન્ટ આપવી જોઈએ.
(૨) સસ્તી બાયોટેક્નોલોજી
ઉપર મુજબ સાદી ટ્રીટમેન્ટથી શુદ્ધ કરેલું પાણી એક પ્રતિક્રિયા-કારક યાને રિએક્ટરમાં એકઠું કરીને તેમાં ખાસ પ્રકારના જીવાણુ યાને બેક્ટેરિયાનો નિશ્ર્ચિત ડોઝ ઉમેરીને હલાવવામાં આવે તો જીવાણુની જૈવિક પ્રક્રિયાને કારણે પાણીમાંથી ઉદકજન અને પ્રાણવાયુ છૂટા પડે છે. ત્યારબાદ આ વાયુઓના મિશ્રણને ગેસ સેપરેશન ટૅક્નોલોજીની મદદ વડે છૂટા પાડીને સંગ્રહિત કરી શકાય છે. અહીંથી બંને પ્રકારના વાયુઓના વેચાણ અને ઉપયોગનું નેટવર્ક ગોઠવી શકાય.
ઉદકજન યાને હાઈડ્રોજનનો મુખ્ય ઉપયોગ પરિવહનના ઈંધણ અને ખાસ કરીને કાર માટે થવા જઈ રહ્યો છે. ત્યારે પર્યાવરણને અનુકૂળ હોવા ઉપરાંત તેના અન્ય ફાયદા પણ છે, જે નીચે મુજબ છે :
(૧) કારની ટાંકીમાં પેટ્રોલ જેટલી ઝડપે જ ઉદકજન પણ ભરી શકાય છે. જ્યારે ફક્ત બેટરી આધારિત કારને રિચાર્જ કરવામાં વધુ સમય લાગે છે.
(૨) ઉદકજનવાળી કારની ડ્રાઈવિંગ રેન્જ પ્રમાણમાં લાંબી હોય છે એટલે વારે વારે કાર થોભાવીને રિચાર્જ કરવાની જરૂર પડતી નથી.
(૩) ઉદકજનવાળી કાર વધારે કાર્યક્ષમ, હળવી અને તેજ રફતાર હોય છે. તેનો ટોર્ક પણ બેટરી સંચાલિત કાર જેટલો જ ત્વરિત હોય છે. પરિણામે પિક-અપ જળવાઈ રહે છે.
(૪) સામાન્ય કારમાં વપરાતા ઇન્ટર્નલ કમ્બચ્ચન એન્જિનની રચનામાં જ અમુક ફેરફાર કરીને પેટ્રોલની જગ્યાએ ઉદકજનને ઈંધણ તરીકે વાપરી શકાય તેવું પેટન્ટ ફોર્ડ મોટર કંપનીએ લીધેલું છે.
(૬) ઉદકજન ધરાવતી કાર માટે રેટ્રોફીટ પાર્કીંગ સ્પેસ ઊભી કરવાની જરૂર નથી.
કેટલાક મુદ્દા
(૨.૧) વાયુમિશ્રણને અલગ કરવા માટે પ્રેસર સ્વીંગ ટૅક્નોલોજી તથા ગેસ મેમ્બ્રન ટૅક્નોલોજી અખત્યાર કરી શકાય છે. આ બંને ટૅક્નોલોજીમાં પ્રમાણમાં ઓછી ઊર્જાની જરૂર પડે છે અને તેની ઊર્જા હરિત વિદ્યુતના સોર્સમાંથી પૂરી પાડવી જોઈએ.
(૨.૨) પાણીનું વિઘટન કરનારા જીવાણુઓનું વ્યવસ્થિત સંશોધન કરવું જોઈએ. ભારત સરકારના વિજ્ઞાન અને ટૅક્નોલોજી મંત્રાલય અંતર્ગત અનેક રાષ્ટ્રીય સંશોધન પ્રયોગશાળાઓ સરકારી અને ખાનગી ક્ષેત્રોમાં આવેલી છે. જીવાણુઓના યોગ્ય સ્ટ્રેઈનની શોધ કરવામાં આપણા વિજ્ઞાનીઓ સક્ષમ છે અથવા ખૂબ ઝડપથી શોધી શકવા માટે સમર્થ છે.
(૨.૩) એક વખત જીવાણુનું યોગ્ય સ્ટ્રેઈન નક્કી થયા પછી તેનું પારંપરિત ઉત્પાદન આપણા રસોડાની દહીં બનાવવાની મેળવણ પદ્ધતિની જેમ કરવાની સંભાવના હોય છે, જે સરળ અને સસ્તી પદ્ધતિ બને છે.
(૨.૪) સદરહુ પ્રોજેક્ટને વ્યાવહારિક સ્વરૂપ આપવા માટે ક્ષેત્ર મુજબ મનપા (મહાનગરપાલિકા) અને આઈઓસી (ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન) વચ્ચે સંકલન અને સમજૂતી સાથે કરાર થવા જોઈએ. મનપા પ્રાયમરી અથવા સેક્ધડરી ટ્રીટમેન્ટવાળું પાણી પૂરું પાડે, જેના તેને પૈસા મળે અને આઈઓસી એ પાણીમાંથી હરિત ઉદકજનનું નિર્માણ કરે અને જાહેર હિતો માટે વેચાણ કરે. આઈઓસી પાસે પોતાના પેટ્રોલપંપોનું વિશાળ અને વ્યવસ્થિત નેટવર્ક છે, એટલે આ ટૅક્નોલોજી સરળતાથી સુચારુ થઈ શકે. બંને સંસ્થાને આવક મળી શકે છે.
(૨.૫) ઉદકજન એક જ્વલનશીલ વાયુ છે અને તેની સુરક્ષા, સ્વાસ્થ્ય અને પર્યાવરણની કાળજીપૂર્વકની માવજત જરૂરી બને છે. મહદ્અંશે આ વાયુની સારંસભાળ અત્યારે વાહનોમાં ઈંધણ તરીકે વપરાતા સીએનજી વાયુ જેવી હોવાથી તેનું વ્યવસ્થાપન સરળ બનશે.
(૨.૬) ઉદકજનના ઉત્પાદનમાં પ્રાણવાયુ એક આડપેદાશ તરીકે ઉત્પન્ન થાય છે. સન ૨૦૨૦-૨૨ દરમિયાન થયેલા કોરોના નામક ઘાતક રોગની સારવારમાં પ્રાણવાયુનો ઉપયોગ વધ્યો છે. એ સિવાય શ્ર્વાસના અન્ય રોગોમાં પણ તેની જરૂર પડે છે. આમ, પ્રાણવાયુ મેડિકલ અને બિન-મેડિકલ ક્ષેત્રોમાં ઉપયોગી હોવાને કારણે તેનું પણ જાહેર વેચાણ શક્ય છે, જેનાથી પણ ઉત્પાદકને આવક ઊભી થઈ શકે છે.
પાયલોટ પ્રોજેક્ટ
આ નવા અભિગમને સુચારુ રીતે અમલમાં મૂકવા માટે એક પાયલોટ પ્રોજેક્ટનું આયોજન પણ કરી શકાય છે. આ ક્ષેત્રના તજ્જ્ઞનોની સલાહ અનુસાર યોગ્ય માપનો એક પ્રોજેક્ટ ઊભો કરી શકાય. અજમાયશી ધોરણે આ પ્રોજેક્ટ દ્વારા ઉદકજનના ઉત્પાદનની ચકાસણી કરી શકાય. નાનામોટા ફેરફારો આ તબક્કામાં પણ થઈ શકે. સુધારા-વધારા સાથેની અંતિમ આવૃત્તિ વ્યાવસાયિક ધોરણે અમલમાં મૂકી શકાય.
ગઠન
આ પ્રોજક્ટના શક્ય તેટલા વિભાગો ભૂમિગત હોય તેવી ડિઝાઈનનું ગઠન કરી શકાય. ઉદાહરણ તરીકે ઉદકજન અને પ્રાણવાયુને સંગ્રહવામાં ટાંકા ભૂમિગત રાખ્યા હોય તો ભૂમિ ઉપર ભવિષ્યમાં થનારી કુદરતી કે બિનકુદરતી આપદાઓ સામે તેનું રક્ષણ થઈ શકે. વળી ભૂમિ ઉપરની ફાજલ જગ્યામાં સોલર પેનલો કે પવનચક્કી ગોઠવીને પ્લાન્ટ માટે હરિત ઊર્જાનું ઉત્પાદન પણ કરી શકાય છે.
ભારતના આંગણે સ્વચ્છ ઊર્જા, સ્વાવલંબિત ઊર્જા અને સરળ ઊર્જાનું ઉત્પાદન કરવા માટેની આ યોજના કેન્દ્ર અને રાજ્ય સરકારે અમલમાં મૂકવા માટે અગ્રેસરતા દાખવવી ઘટે.
ડૉ. અશોક મો. દવે : ૨૬, સુવાસ પાર્ક, એમજીએમ સ્કૂલ પાસે, ન્યૂ સમા રોડ, વડોદરા-૩૯૦ ૦૨૪. મો.: + ૯૧ ૯૪૨૭૩૧૫૪૫૭
સાભાર – નવચેતન
-
પવન લઈ જશે આપણને : મૃત્યુ એ પવનની પાંખે બેસી અજ્ઞાત સફરે ઊડી જવાનું નામ છે
સંવાદિતા
ન સંકલ્પો, ન સંચરવું, ન એકે શબ્દ સાંભરશેસહજ સાથે સળંગાઈ, સમય ખળખળ વહ્યા કરશે– રાજેંદ્ર શુકલભગવાન થાવરાણી
ઘણી ફિલ્મો એવી છે જેના કેંદ્રમાં કોઇ યાદગાર કે લોકપ્રિય કવિતા અથવા એની થોડીક પંક્તિઓ હોય છે અને સમગ્ર ફિલ્મની કથા એ કવિતાની આસપાસ આકાર લેતી હોય છે. આવી હિંદી ફિલ્મોના ઉદાહરણો જોઈએ તો આનંદ – ૧૯૭૧ ( મૌત તુ એક કવિતા હૈ – ગુલઝાર ), કભી કભી – ૧૯૭૫ ( કભી કભી મેરે દિલ મેં ખયાલ આતા હૈ – સાહિર ), અર્ધ સત્ય – ૧૯૮૩ ( ચક્ર વ્યુહ મેં ઘુસને સે પહલે – દિલીપ ચિત્રે ), અગ્નિપથ – ૧૯૯૦ ( વૃક્ષ હોં ભલે ખડે, હોં ઘને હોં બડે – હરિવંશરાય બચ્ચન ), ક્યા દિલ્લી ક્યા લાહૌર – ૨૦૧૪ ( લકીરેં હોં તો રહને દો – ગુલઝાર ), મસાન – ૨૦૧૫ ( તુ કિસી રેલ સી ગુઝરતી હૈ – દુષ્યંત કુમાર ) જેવી ફિલ્મોના નામ ગણાવી શકાય.વિશ્વ સિનેમામાં પણ આવી અનેક ફિલ્મો છે. અહીં જ આપણે થોડાક સમય પહેલાં ફિલ્મ ડેડ પોએટ્સ સોસાયટી – ૧૯૮૯ અને એ ફિલ્મના કેંદ્રમાં રહેલી વોલ્ટ વ્હીટમેનની કવિતા ‘ ઓ કેપ્ટન માય કેપ્ટન ‘ વિષે સવિસ્તાર વાત કરી ગયા.
આજે વાત કરીએ એક મહાન ઈરાનિયન ફિલ્મ ‘ ધ વિંડ વિલ કેરી અસ ‘ ( ૧૯૯૯ ) એટલે કે ‘ પવન લઈ જશે આપણને ‘ અને એ ફિલ્મના કેંદ્રમાં રહેલી હોનહાર ઈરાની કવયિત્રી ફરો ફરોખઝાદની એક કવિતાની.ઈરાની ફિલ્મોનું એક આગવું વિશ્વ છે. ત્યાં કડક સેંસરશીપ અને સમાજમાં રુઢિચુસ્તતા હોવા છતાં ત્યાંના મજીદ માજીદી, જાફર પનાહી, ડેરિયસ મેહરજુઈ, મસૂદ કિમીયાઈ, શિરીન નિશાત, અસગર ફરહાદી અને સૌથી વિશેષ અબ્બાસ કિયારોસ્તામી જેવા ફિલ્મ સર્જકો જે કૌશલ્ય અને સંવેદનશીલતાથી પોતાની વાત દર્શકો લગી પહોંચાડે છે અને સર્જક તરીકેની પ્રતિબદ્ધતા જાળવી રાખે છે એની નોંધ ઈરાન અને વિશ્વના પ્રબુદ્ધ દર્શકોએ હંમેશા લીધી છે.ફિલ્મકાર અબ્બાસ કિયારોસ્તામીની ‘ ધ વિંડ વિલ કેરી અસ ‘ વાત કરે છે એક એવા પત્રકારની જેને એના માલિકોએ તહેરાનથી સુદૂર કુર્દ પહાડીઓના એક દુર્ગમ ગામમાં એક વિશિષ્ટ મિશન માટે મોકલ્યો છે. એ વિસ્તારના લોકો કોઈના મૃત્યુ વખતે ચોકક્સ પ્રકારની વિધિઓ કરે છે. એક વૃદ્ધ સ્ત્રી મરવા પડી છે. આ પત્રકારે, એનું મૃત્યુ થાય કે તુરત એ વિધિઓની નોંધ લઈ એનો અહેવાલ તૈયાર કરવાનો છે.નાયક એ ગામમાં એક ખોરડું ભાડે રાખી એ વૃદ્ધાના મૃત્યુની પ્રતીક્ષા કરે છે. વૃદ્ધા તો મરતી નથી પરંતુ એ નિવાસ દરમિયાન નાયક આ ગામના ગરીબ,મહેનતકશ અને ભલા-ભોળા લોકોના જીવનને નજીકથી જૂએ છે. અહીં જે નિષ્પાપ અને નિસ્વાર્થી જીવન જીવાય છે એની સરખામણી મનોમન એ પોતાના શહેરી જીવન સાથે કરીને ચકિત થાય છે. બધા જ માટીના ઘરોમાં રહે છે અને સમજે છે કે જીવન માટી છે પણ ‘ માટી મહીં જ મબલખ મજા ‘ પામવાની છે. એ અનુભવે છે કે જેની એ રાહ જોઈ રહ્યો છે એ મૃત્યુ આ જીવાતા જીવનની જ અંતિમ પરિણતિ છે. જેણે જીવનને જોયું, સમજ્યું છે એના માટે મૃત્યુ જીવનથી અલગ નથી. છેવટે તો વિંડ વિલ કેરી અસ, પવન જ આપણા સૌની રાખ – માટીને ઉસેડી જશે !અંતે જે દિવસે એ પોતાની મુલાકાતથી સંતુષ્ટ થઈ ગામ છોડે છે એ જ દિવસે, લાંબી રાહ જોવડાવ્યા બાદ પેલી વૃદ્ધ સ્ત્રી મૃત્યુ પામે છે પણ હવે જીવનને જોઈ લીધા બાદ મૃત્યુના વિધિ-વિધાન જોવામાં એને કોઈ રસ નથી. એ નીકળી જાય છે અને ગામના પાદરે વહેતી નદીમાં એક વૃક્ષની તૂટેલી ડાળખી દૂર લગી વહેતી રહે છે !
ફરો ફરોખઝાદ ફિલ્મના મધ્ય ભાગમાં ગામના એક મકાનની ગમાણમાં નાયકને એક પર્દાનશીન યુવતીનો ભેટો થાય છે. એને આશ્ચર્ય થાય છે કે આ ગામડિયણ કવિતા સમજે છે અને એણે યુવાન વયે મૃત્યુ પામેલ ઈરાની કવયિત્રી ફરો ફરોખઝાદનુ નામ અને કવિતાઓ સાંભળી છે. ( માત્ર ૩૨ વર્ષની વયે અકસ્માતે મૃત્યુ પામનાર ફરો કવયિત્રી અને ફિલ્મ સર્જક હતા. એમનું જીવન અત્યંત વિવાદાસ્પદ અને પરંપરાઓના વિરોધ માટે ચર્ચામાં રહ્યું તો મૃત્યુ પણ એવું જ શંકાઓના દાયરામાં રહ્યું. )નાયક ફરોની જે કવિતા આ ભરવાડ સ્ત્રીને સંભળાવે છે એના ગુજરાતી ભાવાનુવાદ સાથે વિરમીએ :॥ પવન લઈ જશે આપણને ॥અફસોસ !મારી ટચુકડી રાત્રિમાંપવન – પાંદડાઓનું મિલન હવે હાથવેંતમાં છેમારી સંક્ષિપ્ત રાત્રિ છેવિનાશકારી પીડાથી તપ્તસાંભળો !સંભળાય છે તમને પડછાયાઓનો ગણગણાટ ?આ સુખ મારા માટે અજાણ્યું છેહું છું હતાશાથી ટેવાયેલીસાંભળો !સંભળાય છે તમને છાયાઓની ગુસપુસ ?પણે રાત્રિ મધ્યે કશુંક બની રહ્યું છેચંદ્ર લાલચોળ અને ચિંતાતુર છેગમે ત્યારે તૂટી પડવાની સંભાવનાઓ ધરાવતાઆ છાપરાંને વળગેલોવાદળો વિલાપ કરતી સ્ત્રીઓના ટોળાંની જેમવર્ષાના જન્મને ઝંખે છેએક ક્ષણ અને પછી પરમ મૌન !બારીની પાછળ રાત્રિ થરથરે છેઅને પૃથ્વી ધુમરાતી અટકે છેબારીની પાછળકોઈક આગંતુક તારી અને મારી ચિંતા કરે છે.તું તારી લીલપમાંપેલી સળગતી સ્મૃતિઓ જેવા તારા હાથમારા પ્રેમ – તપ્ત હાથ ઉપર મૂકે છેઅને જીવનથી ધબકતાં તારા ઉષ્ણ અધરનેમૂકે છે મારા સ્નિગ્ધ હોઠ પરપવન લઈ જશે આપણનેઆપણને પવન જ લઈ જશે ..( ફારસીમાંથી કોઈ અજ્ઞાત અનુવાદકે કરેલા અંગ્રેજી અનુવાદ ઉપરથી ભાવાનુવાદ )સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
