-
ગુજરાત પાકિસ્તાન સે ગુજરાત હિન્દુસ્તાન
વનિતાવિશેષ
રક્ષા શુક્લ
“अम्मा ने अपनी झुर्रियों–पड़ी गर्दन पीछे की। माथे पर पड़े तेवरों में इस बार क्रोध नहीं भर्त्सना थी। चेहरे पर वही पुरानी उपेक्षा लौट आई, “बहू, किससे क्या कहा जाता है, यह तुम बड़े समधियों से माथा लगा सब कुछ भूल गई हो। माँ अपने बेटे से क्या कहे, यह भी क्या अब मुझे बेटे की बहू से ही सीखना पड़ेगा? सच कहती हो बहू, सभी माएँ बच्चों को पालती हैं। मैंने कोई अनोखा बेटा नहीं पाला था, बहू! फिर तुम्हें तो मैं पराई बेटी करके ही मानती रही हूँ। तुमने बच्चे आप जने, आप ही वे दिन काटे, आप ही बीमारियाँ झेलीं!”

પ્રસ્તુત ગદ્યખંડ કૃષ્ણા સોબતીની મર્મસ્પર્શી હિન્દી વાર્તા ‘દાદી-અમ્મા’નો એક અંશ છે. જેમાં લેખિકાએ વૃદ્ધાવસ્થામાં ઉપેક્ષિત જીવન જીવતી એક વૃદ્ધ સ્ત્રીની મનોદશા અને વ્યથાને સુપેરે દર્શાવી છે. કૃષ્ણા સોબતી ૬૭ વર્ષની સાહિત્યની અવિરત સાધના પછી ૨૦૧૭માં ૯૨ વર્ષની ઉંમરે જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત થયાં, ત્યારે કૃષ્ણા સોબતીની ભાવુકતા પ્રથમ કૃતિના પ્રાગટ્ય જેટલી જ હતી. એક લાજવાબ લિજેન્ડ લેડી તરીકે એમની કલમ કાલજયી રહેશે જેમણે સામ્પ્રતના સામા પ્રવાહે તરી અને પોતાનો એક દરિયો સર્જ્યો હતો.
ગુજરાતમાં ૧૮ ફેબ્રુઆરી, ૧૯૨૫માં એમનો જન્મ થયો હતો. વિભાજન પછી ભારતનો એ હિસ્સો પાકિસ્તાનમાં ચાલ્યો ગયો. પછીથી એ દિલ્હીમાં આવી વસ્યાં. ૧૯૫૦માં પ્રથમ રચના – ‘લામા’ વાર્તા પ્રગટ થઈ. પછી તો સર્જનનો સિલસિલો ચાલુ જ રહ્યો. પછી ન કૃષ્ણા સોબતીની કલમ અટકી ન એને મળનારા સન્માન અટક્યાં. ૧૯૮૦માં ‘જિંદગીનામા’ માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો. ૧૯૯૬માં સાહિત્ય અકાદમીના ફેલો બનાવવામાં આવ્યા. જે અકાદમીનું સર્વોચ્ચ સન્માન હતું. તેઓ મુખ્યત: વાર્તા લેખિકા છે.
ભારતીય સાહિત્યમાં અગ્રણી એવા સોબતીના મંતવ્યનો અવાજ મોખરાનો ગણાતો હતો. પાછલા થોડા વર્ષોથી એ ખાસ કરીને સાંસ્કૃતિક ઘટનાઓ બાબત ખૂબ ચિંતિત હતાં. જે ‘બાદલો કે ઘેરે’માં સંકલિત છે. આ વાર્તાઓ સિવાય એમણે કાલ્પનિક વૃતાન્તની એક વિશિષ્ટ શૈલીનાં રૂપમાં વિશેષ પ્રકારની લાંબી વાર્તાઓનું સર્જન કર્યું જેણે નવલકથા જેવો જ પ્રભાવ પાથર્યો. ‘એ લડકી’માં એક મૃત્યુના આરે ઊભેલી વૃદ્ધા અને તેણીની પુત્રી વચ્ચેનો ઉગ્ર સંવાદ છે. જેમાં તેઓ પ્રેમ, જીવન અને મૃત્યુની વાત કરી રહ્યાં છે.
૯૨માં વર્ષે આત્મકથાનક ઉપન્યાસ ‘ગુજરાત પાકિસ્તાન સે ગુજરાત હિન્દુસ્તાન’ (૨૦૧૭) પ્રગટ થતાં સૌ આશ્ચર્યચકિત થઈ ગયાં. આ ઉંમરે આ સક્રિયતા ! એમાં કૃષ્ણાજી પોતાની જિંદગીના એવા એક ભાગને ઢાળે છે જ્યારે સભ્યતાના ભાગલા થયા હતા, માનવતા ઝાંખી પડી લોહોલુહાણ હતી. ખૂબ તકલીફ સાથે તેઓ લખે છે કે ‘હવે તો અમે તેજ ધારવાળા ચાકુ છીએ. અમે પલીતો છીએ. અમે દુશ્મનોને ચીરી નાખનાર ગરમ હિંસા છીએ. અમે નવવધૂનાં હાથ કાપનાર દાતરડું છીએ. અમે હવે ‘અમે’ નથી, હથિયાર છીએ.’
જીવનના નવ દાયકા બાદ પણ સક્રિય એવા હિન્દીના સૌથી ચિરયુવા અને નીડર લેખિકા હતાં. હિન્દી સાહિત્ય અને સમાજનો હરતો ફરતો ઈતિહાસ છે. એમની પાસે બેસો તો એક વાચિક ઈતિહાસ શરુ થઈ જાય છે. એમનું સાહિત્ય હિન્દુસ્તાની બોલીઓનું મ્યુઝિયમ છે. એને વાંચતાં જ તમારા વડીલો જે છોડી ગયા છે એ શબ્દો સાથે તમે ટહેલવા માંડશો. તેઓ લગભગ એક પૂરી સદી જીવી ચૂક્યાં હતાં. એ કહેતા કે ‘જેણે લાહોર નથી જોયું એ જન્મ્યું જ નથી.’ એટલે જ એક લાહોર એની જીભ પર અને જીવ પર વસતું રહ્યું. એ લાહોર પાસે કલકત્તા, મુંબઈ પણ ફિક્કા પડતાં રહ્યાં.
એ કહેતાં કે ‘લેખક ત્યારે જ હોય છે જ્યારે બીજાઓ પણ હોય છે. એમનું હોવું એ આપણા લગાતાર અબૌધિક થઈ રહેલા સમાજને થોડી સમૃદ્ધિ આપે છે. તેઓ પોતાની સંયમિત અભિવ્યક્તિ અને સાફસુથરી રચનાત્મકતા માટે પ્રખ્યાત છે. પોતાની વાર્તાઓ દ્વારા એમણે ભાષાને નવી તાજગી આપી છે. સમાજમાં વધતી જતી અસહિષ્ણુતાથી ચિંતિત લેખકો અને બુદ્ધિજીવીઓએ જ્યારે દિલ્હીમાં પ્રતિરોધના નામે સભા બોલાવી ત્યારે કૃષ્ણા સોબતી પણ સ્ટેજ પર આવ્યાં અને બાબરીથી દાદરી સુધીની બરોબરીની વાત કરી.
હિન્દી સાહિત્ય અને સમાજમાં જે આઝાદ સ્ત્રીની વાત થઇ રહી છે એને કૃષ્ણા સોબતીએ જ આકાર આપ્યો હતો. એની નવલકથા ‘મિત્રો મરજાની’, ‘ડાર સે બીછૂડી’ કે ‘એ લડકી’ની નાયિકાઓ જિન્દાદિલી અને બેધડક અંદાઝમાં જીવન જીવી. પછીથી અન્ય લેખિકાઓએ પણ પોતાના પાત્રો માટે એ જ રીત અપનાવી. ‘સમય સરગમની નાયિકા વૃદ્ધ છે પણ લાચાર નથી. પોતાની રચનાઓના માધ્યમથી કૃષ્ણા સોબતીએ સ્ત્રીઓ પર થતા વિભિન્ન પ્રકારના અત્યાચારોને ઉજાગર કર્યા. વિભિન્ન સમસ્યાઓ સાથે એને મળતી સામાજિક અશ્લીલતાનું ખૂબીથી વર્ણન કર્યું. ‘મિત્રો મરજાની’ને હિન્દી સાહિત્યમાં મહિલાના મનને આલેખતી બોલ્ડ રચના ગણવામાં આવે છે. જે સાહિત્યમાં ખૂબ ચર્ચામાં રહી. સોબતીજીએ આ રીતે સાહિત્યમાં સાત પગલાં પાડ્યા હતા. આ કૃતિમાં એક વિવાહિત મહિલાની કામુકતાના વિષયમાં વાત કરવામાં આવી છે. જેનો પતિ એની ઈચ્છા પૂરી કરવા સક્ષમ નથી. એની સમસ્ત રચનાઓમાં જે સામાજિક અને નૈતિક ચર્ચાની જે ફીઝા મળે છે એ વાચકોના દિલ પર છવાઈ જાય છે. એ હિંમતવાન, સંવેદનશીલ અને ઉગ્ર રીતે સ્વતંત્ર હતા. ભારતીય સાહિત્યમાં એક અડગ અને કૃતનિશ્ચયી સ્ત્રીનું પાત્ર સર્જ્યું છતાં પોતે ‘સ્ત્રી લેખિકા’ ગણાવાનો સખત પ્રતિકાર કર્યો. સર્જક જાતિભેદનાં સીમાડા ઓળંગી જતો હોય છે.
એમનું સાહિત્ય ઈતિહાસ દ્વારા રોકટોક વગર જીવતી રહેલી માનવતાનો પક્ષ છે. છેલ્લા થોડા વર્ષોમાં એણે કેટલાક ખૂબ નજીકના મિત્રોને જુદા પડતા જોયા. એક મૂક ખિન્નતા વારંવાર એના પર છવાયેલી રહેતી. તે કહેતા ‘હું હજુ બચી ગયેલી છું ?’ કૃષ્ણાજીના મૃત્યુ પછી આશુતોષ ભારદ્વાજે એની અંજલિમાં લખ્યું કે ‘ઓ લડકી, અલવિદા…’ એમણે લખ્યું કે ‘અમારી વાતચીતમાં એના મૃત્યુ પછી એની મિલકતનું શું થશે એ ચિંતા રૂપી પ્રશ્નની સોય સતત ચુભાતી હોય એમ લાગતું. પરંતુ તેણી આવી વાત સંબંધે પોતાના કોચલામાં એવા કેદ હતાં કે આવું કશું સ્વીકારતાં નહોતાં. પણ એની અસ્વસ્થતા અને ચિંતા એની મોટી ફ્રેઈમના ચશ્માની બહાર છલકાતી.
અનેક પેઢી માટે જે આદર્શ હતાં અને ત્રણ જ સપ્તાહમાં જેઓ ૯૪ વર્ષના થવાના હતાં, એ કૃષ્ણા સોબતીનું મૃત્યુ ૨૫ જાન્યુઆરી, ૨૦૧૯માં લાંબી બિમારી પછી હોસ્પીટલમાં એના પ્રિય શહેર શિમલામાં થયું. એમના પર બરફનો જાદુ છવાયેલો હતો. અમુક મૃત્યુ એક ગરિમા અને શાંતિ સાથે આવે છે. બરફ પરનો પગરવ લઈને આવે છે. આ એ જ શહેર છે જ્યાં બાળપણ વિતાવ્યું હતું. સોબતીનું ચાલ્યા જવું એ એક યુગના અંત થવા જેવું છે.
ઇતિ
હું જયારે જ્યારે ગુસ્સે થાઉં છું, ત્યારે ત્યારે હંમેશા લાભ જ થાય છે – પણ બીજાઓને.
ઇન્દુલાલ યાજ્ઞિક
સુશ્રી રક્ષાબેન શુક્લનો સંપર્ક shukla.rakshah@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
યુધ્ધ વિરામની આરત અને સૈન્ય શસ્ત્રોનું ધૂમ વેચાણ
નિસબત
ચંદુ મહેરિયા
આપણી આરત તો અહિંસક, યુધ્ધરહિત સમાજની કે ‘ યુધ્ધ નહીં બુધ્ધ સહી’ ના વિશ્વની છે.પરંતુ દુનિયા તો જમીનના ટુકડા કે વર્ચસ માટે યુધ્ધરત અને યુધ્ધગ્રસ્ત છે. સમ્રાટ અશોકને કલિંગના યુધ્ધમાં થયેલી હિંસા પછી કલિંગબોધ લાધ્યો હતો અને તેઓ હથિયારો હેઠા મૂકી બુધ્ધની કરુણા, અહિંસા તથા શાંતિના માર્ગે વળ્યા હતા. પરંતુ આજની લોકશાહી સરકારોના ચૂંટાયેલા પ્રતિનિધિઓને કોઈ કલિંગબોધ થતો નથી. એટલે વિશ્વમાં યુધ્ધો ખેલાતા રહે છે. જીનેવા એકેડેમીના અહેવાલ પ્રમાણે આજે દુનિયામાં છવ્વીસ મોટા યુધ્ધો અને સશસ્ત્ર સંઘર્ષો ચાલી રહ્યા છે. તેમાં સૌથી વધુ બાર મધ્ય પૂર્વમાં, છ યુરોપમાં, પાંચ એશિયામાં અને ત્રણ દક્ષિણ અમેરિકામાં ચાલે છે.
રશિયા-યુક્રેન યુધ્ધ ત્રણ વરસથી તો ઈઝરાયેલ –હમાસ યુધ્ધ એક વરસથી અવિરામ ચાલે છે. તેમાં નવા દેશો ઉમેરાતા રહે છે. ઈરાન, પેલેસ્ટાઈન, લેબેનોન, સિરીયા અને બીજા દેશો ઉપરાંત જગત જમાદાર અમેરિકા પણ આ બધામાં ખૂબ જ સક્રિય છે. યુધ્ધોને કારણે હજારો લોકોના મોત થયા છે. લાખો વિસ્થાપિત થયા છે અને અબજો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે પરંતુ યુધ્ધનો કાયમી અંત તો ઠીક , કામચલાઉ યુધ્ધ વિરામ પણ ક્ષિતિજે ક્યાંય જોવા મળતો નથી.
યુધ્ધની અનેક વિપરીત અસરો છે. દુનિયાના ઘણા દેશોનો સૈન્ય ખર્ચ વધતો જાય છે. ચીન અને પાકિસ્તાન જેવા વસમા પાડોશીથી ઘેરાયેલા ભારતનું સંરક્ષણ બજેટ સતત વધતું રહ્યું છે. એકવીસમી સદીના આરંભના વરસે, ૨૦૦૧માં, ભારતનું સંરક્ષણ બજેટ ૧૪.૬ અબજ ડોલરનું હતું. દાયકા પછી ૨૦૧૧માં તેમાં સાડા ત્રણ ગણી વૃધ્ધિ થઈ અને તે ૪૯.૬૩ અબજ ડોલર થયું હતું. તેના બીજા દસ વરસ પછી ૨૦૨૦માં ૭૨.૯૪ અબજ ડોલર હતું. ભારતનું સૈન્ય બજેટ પાકિસ્તાનથી તેર ગણું વધારે છે. શિક્ષણ , આરોગ્ય અને લોકકલ્યાણના અન્ય કામોમાં ખર્ચવા યોગ્ય નાણા સરહદો સલામત રાખવા વાપરવા પડે છે. આ કડવી વાસ્તવિકતા બંને દેશોએ સ્વીકારવી પડશે.
ડિફેન્સ થિંક ટેન્ક સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસના રિપોર્ટ મુજબ લશ્કરી ખર્ચની બાબતમાં આપણો દેશ વિશ્વમાં ત્રીજું અર્થાત અમેરિકા અને ચીન પછીનું સ્થાન ધરાવે છે. ગાંધીની અહિંસા અને નહેરુના પંચશીલ તથા વિશ્વશાંતિને વરેલા ભારત માટે આ સ્થાન લગીરે હરખાવા જેવું નથી. ૨૦૨૧માં અમેરિકાનો આર્મી પાછળનો ખર્ચ ૮૦૧ અબજ ડોલર, ચીનનો ૨૯૩ અબજ ડોલર, ભારતનો ૭૬.૬ અબજ ડોલર , યૂ.કે નો ૬૮.૪ અબજ ડોલર, રશિયાનો ૬૫.૯ અબજ ડોલર અને જર્મનીનો ૫૬ અબજ ડોલર હતો. રશિયા કરતાં ભારતનો લશ્કરી ખર્ચ વધારે છે તો આ ખર્ચમાં પ્રથમ ક્રમે રહેલા અમેરિકા અને અન્ય ક્રમના દેશો વચ્ચેનું અંતર અનેક ગણું વધારે છે.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી અમેરિકા અને અન્ય શસ્ત્ર ઉત્પાદક દેશોનું હિત વિશ્વ યુધ્ધરત રહે અને તેમના હથિયારોનું બજાર ગરમ રહે તેમાં રહેલું છે. એટલે હાલના યુધ્ધોને અટકાવવાના કોઈ ગંભીર પ્રયાસો થતા નથી. વિશ્વનું શસ્ત્ર બજાર જે ગઈકાલ સુધી ૧૮૩ લાખ કરોડનું હતું તે તાજેતરના યુધ્ધોથી વધીને હવે ૨૫૦ લાખ કરોડનું થવાની સંભાવના છે. શસ્ત્ર બજારમાં અમેરિકા પ્રથમ ક્રમે છે.તે પછીના ક્રમે ફ્રાન્સ, રશિયા, ચીન, જર્મની, ઈટલી, યુ.કે અને સ્પેન છે. હવે તેમાં સ્વીડન, તુર્કી, દક્ષિણ કોરિયા અને ભારતનો પણ પ્રવેશ થયો છે.ભારતનું લક્ષ્ય શસ્ત્રોની આયાત લગભગ ઘટાડીને યુધ્ધ હથિયારોમાં સ્વાવલંબી થવાની અને વધારાના હથિયારોની નિકાસ કરવાની છે. યુધ્ધ કોઈને પાલવે નહીં, આ યુધ્ધનો સમય નથી , યુધ્ધને બદલે સંવાદ જરૂરી છે એમ માનતું ભારત યુધ્ધ હથિયારોની નિકાસ કરશે કે શાંતિનું નોબેલ આપનાર સ્વીડન પણ યુધ્ધ હથિયારો વેચે છે તે કેટલું આઘાત અને આશ્ચર્યજનક છે નહીં?
હાલમાં જે દેશોમાં યુધ્ધો ચાલે છે તેમની યુધ્ધ હથિયારોમાં એ કે ૪૭ ( એસોલ્ટ કલાશ્વિન કોવ) રાઈફલ અને ફાઈટર ડ્રોનની સવિશેષ માંગણી હોય છે. એટલે ડ્રોનનું હાલનું બજાર, તેની માંગણીમાં વૃધ્ધિને જોતાં, રૂ. પાંચ લાખ કરોડનું છે તે વધીને રૂ.પચીસ લાખ કરોડનું થવાનું છે. આધુનિક યુધ્ધો લડાકુ વિમાનો અને મિસાઈલોથી લડાય છે તેથી તેની પણ માંગ છે. યુધ્ધો કેટલાં મોંઘા હોય છે તેનો ખ્યાલ કેટલાક યુધ્ધ હથિયારોની કિંમત પરથી આવે છે. ઈઝરાયેલે આટલી મિસાઈલો છોડી અને ઈરાનની આટલી વિફળ કરી તેવું વાંચી- સાંભળીને મિસાઈલ માનવ જીવ લેવા ઉપરાંત કિંમતમાં કેટલામાં પડે છે તેનો ખ્યાલ આવતો નથી. અમેરિકાની ટોમહોક મિસાઈલ પંદર લાખ ડોલરની તો પૈટ્રિયટ મિસાઈલ ૪૦ લાખ ડોલરની હોય છે. એફ-૧૫ અને એફ-૩૫ લડાકુ વિમાનમાં ઉડાન દરમિયાન દર કલાકે અનુક્રમે ૩૦ અને ૪૨ હજાર ડોલરનું ઈંધણ વપરાય છે. લડાકુ વિમાનોમાં રાખવામાં આવતી જીપીએસ આધારિત બોમ્બ કીટની કિંમત ૨૫ હજાર ડોલર છે.
હથિયાર ઉત્પાદક દેશો અને કંપનીઓ યુધ્ધો અટકવા દેતા તો નથી જ પણ તેનો હાઉ પણ ફેલાવે છે. તાઈવાનને ચીનનો ખતરો છે એમ ઠસાવીને અમેરિકાએ તાઈવાનને આ વરસોમાં જ ૧૭ લાખ કરોડના હથિયારો પધરાવ્યા છે. હવેના યુધ્ધો જેમ વધુ નિર્મમ છે અને અંધાધૂધ બોમ્બમારો કરવામાં આવે છે તેમ તેમાં બે સૈનિકો સામસામે લડતા હોય તેવું બહુ ઓછું બને છે. એટલે મિસાઈલો તેમાંય ડ્રોન મિસાઈલો અને મશીનોનું આ યુધ્ધ છે. જે દેશોના યુધ્ધ હથિયારો વધુ આધુનિક અને ટેકનોલોજીની દ્રષ્ટિએ આગળ હોય તે જીતે છે. હાલના નાણાકીય વરસ (૨૦૨૪-૨૫) ના આરંભ પહેલાં ફેબ્રુઆરી-૨૦૨૪માં ભારત સરકારે સશસ્ત્ર દળોની ક્ષમતામાં વૃધ્ધિ માટે ૮૫ હજાર કરોડના શસ્ત્ર સરંજામની ખરીદીને મંજૂરી આપી હતી. આ ખરીદીમાં એવા હથિયારો લેવાના છે જે અત્યાધુનિક ડિફેન્સ ટેકનોલોજીથી બનેલા હોય અને યુધ્ધ ક્ષેત્રમાં નજર સામે ના હોય તેવા લક્ષ્ય પર નિશાન સાધી શકે. આ બધી બાબતો યુધ્ધની વિભીષિકાને ઓર વળ ચડાવે છે.
યુક્રેનનો દૈનિક યુધ્ધ ખર્ચ ૧૩.૬ કરોડ ડોલરનો છે. આ એ યુક્રેન છે જે ૧૯૨૨ થી ૧૯૯૧ સુધી સોવિયેત સંઘનો ભાગ હતું. અમેરિકાએ તેને ૧૧૩ અબજ ડોલર અને યુરોપિય દેશોએ ૯૧ અબજ ડોલરની સૈન્ય અને અન્ય નાણાકીય સહાય કરી છે. અફઘાનિસ્તાન અને ઈરાક્ના યુધ્ધોમાં અમેરિકાએ ૮૦ ખરબ ડોલર વાપર્યા હતા.બીજી તરફ ગાઝામાં દર દસે સાત લોકો વિશ્વની મદદ પર જીવે છે. જેની રોજની આવક ૨.૧૫ ડોલર કરતાંય ઓછી છે તેવા વિશ્વમાં ૭૦ કરોડ લોકો (વિશ્વની વસ્તીના આશરે દસ ટકા ) બેહદ ગરીબીમાં જીવે છે. ત્યારે યુધ્ધો કોના લાભમાં હોઈ શકે?
બે વિશ્વ યુધ્ધોની અકથ્ય પીડા આજે પણ વેઠી રહેલું વિશ્વ ત્રીજા વિશ્વ યુધ્ધના ઓથાર હેઠળ જીવી રહ્યું છે. પરમાણુ હથિયારોના ઉપયોગની આશંકાએ તે હર પળ ડરેલું છે. હથિયારોની હોડ અને તકનિકીકરણની દોડે માનવજાતને એવા અંધારા ખૂણે ધકેલી દીધી છે જ્યાંથી પાછા ફરવું અશકયવત લાગે છે. ભયભીત માનવજાત યુધ્ધ અને હથિયારોની વિભીષિકાથી મુક્તિ ઝંખે છે. આ આરત કોઈને સંભળાય છે?
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
કોઈનો લાડકવાયો – (૫૮) – મીઠાનો સત્યાગ્રહ અને એની દેશવ્યાપી અસરો (૧)
દીપક ધોળકિયા
૧૯૩૦ની ૧૨મી માર્ચે ગાંધીજીએ સાબરમતી આશ્રમથી કૂચ શરૂ કરી. ગાંધીજીએ ચીવટપૂર્વક આશ્રમવાસીઓને પસંદ કર્યા હતા. સ્ત્રીઓ જવા માગતી હતી પણ ગાંધીજીએ કહ્યું કે સ્ત્રીઓને આગળ કરવાથી પોલીસ સંયમ રાખશે અને એનું ખરું રૂપ સામે નહીં આવે. એ તો પુરુષોના બચાવ માટે સ્ત્રીઓનો ઢાલ તરીકે ઉપયોગ કરવા જેવું હતું. ૨૪૧ માઇલની યાત્રામાં રોજ દસથી પંદર માઇલ પગપાળા ચાલવાનું હતું.

પહેલી ટુકડીમાં પ્રદેશવાર લોકોની સંખ્યા આ પ્રમાણે હતીઃ ગુજરાતના ૩૨, મહારાષ્ટ્રના ૧૩, યુક્ત પ્રાંતના ૭. કચ્છના ૬. પંજાબના ૩, સિંધનો ૧, કેરળના ૪, રાજપુતાના (હવે રાજસ્થાન)ના ૩, આંધ્ર પ્રદેશનો ૧, કર્ણાટકનો ૧. મુંબઈના ૨, તમિલનાડુનો ૧, બિહાર, બંગાળ અને ઉત્કલ (હવે ઓડીશા), દરેકમાંથી એક, ઉપરાંત ફીજીનો એક (મૂળ યુક્ત પ્રાંતનો) અને નેપાળનો ૧. જાતિવાર ગણતરી કરતાં બે મુસલમાન, એક ખ્રિસ્તી, અને ૨ અસ્પૃશ્યો હતા.
ગુજરાતમાંથી ગાંધીજી ઉપરાંત બીજા ૩૧નાં નામ આ પ્રમાણે છેઃ છગનલાલ જોશી, જયંતી પારેખ, રસિક દેસાઈ, વિઠ્ઠલ, હરખજી, તનસુખ ભટ્ટ, કાંતિ ગાંધી, છોટુભાઈ પટેલ, વાલજીભાઈ દેસાઈ, પન્નાલાલ ઝવેરી, અબ્બાસ, પૂંજાભાઈ શાહ, સોમાભાઈ, હસમુખરામ, રામજીભાઈ વણકર, દિનકરરાવ, ભાનુશંકર, રાવજીભાઈ પટેલ, શિવાભાઈ, શંકરભાઈ, જશભાઈ, હરિદાસ વરજીવન ગાંધી, ચીમનલાલ, રમણીકલાલ મોદી, હરિદાસ મજુમદાર, અંબાલાલ પટેલ, માધવલાલ, લાલજી, રત્નજી, મણિલાલ ગાંધી (ગાંધીજીના પુત્ર); અને પુરાતન બૂચ. કચ્છમાંથી પૃથ્વીરાજ આસર, માધવજીભાઈ, નારણજીભાઈ. મગનભાઈ વોરા, ડુંગરસીભાઈ અને જેઠાલાલ જોડાયા.
(અહીં ગુજરાત-કચ્છનાં બધાં નામો આપવાનો ઉદ્દેશ એ છે કે વાચકોમાંથી કોઈ દાંડીકૂચમાં ગાંધીજીના સહયાત્રીઓના વંશવારસ પણ હોઈ શકે છે અને કદાચ એમનો અંગત ઇતિહાસ જાણવા મળે).
૧૦મી તારીખે, સરદાર પટેલની ધરપકડ થઈ તે જ દિવસે આશ્રમમાં ત્રણ હજાર માણસો પ્રાર્થના માટે આવ્યાં. ગાંધીજીએ લાંબું ભાષણ કરીને લોકોને ખાસ સંદેશ આપ્યોઃ
“…હિન્દુસ્તાનનાં સાત લાખ ગામડાંમાંથી દસ દસ માણસ પણ જો મીઠું પકવવા નીકળી પડે તો આ રાજ શું કરી શકે? હજી કોઈ પણ બાદશાહ એવો નથી જન્મ્યો કે જેને વગર કારણે કોઈને તોપને ગોળે ચડાવ્યા હોય.એમ શાંતિથી કાનૂનભંગ કરીને આપણે સહેજે સરકારને કાયર કાયર કરી મૂકી શકીએ એમ છીએ…”
૧૧મીએ દસ હજાર માણસ એકઠાં થયાં. ગાંધીજીએ પોતે પકડાઈ જાય તે પછી પણ સત્યાગ્રહીઓની અખંડ ધારા વહેતી રાખવા અપીલ કરી, એટલું જ નહીં, આંદોલન ચલાવવાના જુદા જુદા રસ્તા પણ દેખાડ્યાઃ
“…જે જે ઠેકાણે મીઠાના કાયદાનો ભંગ કરી શકાય તે તે ઠેકાણે શરૂ થઈ જવો જ જોઈએ… આ ભંગના ત્રણ રસ્તા છે. જ્યાં મીઠું સહેજે પકવી શકાય ત્યાં પકવવું એ ગુનો છે. એ જેઓ લઈ જશે અને વેચશે તે ગુનો કરશે, અને જકાત વિનાનું મીઠું વેચાતું લેનાર પણ ગુનો કરશે, મીઠાનો કાયદો તોડવાનો આ સહેલામાં સહેલો રસ્તો છે…પણ આ એક જ કામ કરીને બેસી રહેવાનું નથી…પણ જ્યાં સ્થાનિક કાર્યકર્તા હોય, કોંગ્રેસની બંધી ન હોય, કાર્યકર્તામાં આત્મ વિશ્વાસ હોય ત્યાં જેમને જે યુક્તિ સૂઝે તે ઉપયોગમાં લઈ શકે છે. મારી એક જ શરત છે. શાંતિ અને સત્યને માર્ગે સ્વરાજ મેળવવાની પ્રતિજ્ઞા કરેલી છે તેનું પાલન કરીને જેને જે કરવું હોય તે કરવાની છૂટ છે…”
ગાંધીજીને સાંભળવા માટે નડિયાદમાં પચીસ હજારની ભીડ એકઠી થઈ ગઈ. પરંતુ માત્ર નડિયાદ નહીં, બધે ઠેકાણે એ જ દશા હતી. નવસારી અને સૂરતમાં રાજગોપાલાચારી આવ્યા અને એમણે રાજદ્રોહના ગુના વિશે છણાવટ કરી કે કાયદો નિયમ વિરુદ્ધ થાય તેવી અપવાદરૂપ ઘટના માટે છે પણ બધા જ લોકો એ ગુનો કરતા હોય તો એમના માટે એ કાયદો નથી રહી શકતો. એમણે કહ્યું કે હજારો માણસો રોજ સભાઓમાં આવે છે તેનો અર્થ એ થયો કે બધાને રાજદ્રોહનો રોગ લાગુ પડ્યો છે, એમને શી સજા થઈ શકે?
શક્તિ સામે સત્યની લડાઈ

પાંચમી એપ્રિલે ગાંધીજીએ એક સંદેશ આપીને ‘શક્તિ સામે સત્યની લડાઈ’માં આખી દુનિયાનો સાથ માગ્યો અને છઠ્ઠી ઍપ્રિલની સવારે આશરે બે હજાર સાથીઓ સાથે સમુદ્રમાં સ્નાન કર્યું. અને – મુંબઈના ગવર્નરના તારમાં જણાવ્યા પ્રમાણે – સ્નાન પછી એમણે પોતાના ઉતારા પાસેથી મીઠું ઉપાડ્યું અને જાહેર કર્યું કે પોતે મીઠાનો કાયદો તોડ્યો છે. તે પછી એમણે દેશને હાકલ કરીઃ મુઠ્ઠી તૂટે, પણ મીઠું ન છૂટે !

ગાંધીજીએ લગભગ બે તોલા (૨૦ ગ્રામ) મીઠું ઉપાડીને જાતે જ સાફ કર્યું. આ મીઠું પછી લીલામમાં વેચાયું, જે અમદાવાદના એક મિલમાલિક શેઠ રણછોડદાસ શોધને ૫૨૫ રૂપિયામાં ખરીદી લીધું !
મુંબઈના ગવર્નરે લંડનમાં ગૃહ પ્રધાનને એ જ દિવસે કરેલા તારમાં આની વધારે વિગતો આપી તે પ્રમાણે ગાંધીજીના સાથીઓ પાંચ-છની ટુકડીઓ બનાવીને સમુદ્રનું પાણી મોટા અગરમાં ઉકાળવા માટે લઈ આવ્યા. ગવર્નર કહે છે કે દાંડીથી ત્રણ માઇલ દૂર આટ ગામેથી ૧૫ મણ ગેરકાનૂની મીઠું પણ જપ્ત કરવામાં આવ્યું. (એક મણ = ૪૦ શેર = લગભગ ૩૬ કિલો).

અને તે સાથે જ આખા દેશમાં ખૂણેખૂણે લોકો મીઠું બનાવતા થઈ ગયા. સમુદ્રમાંથી પાણી ભરીને લઈ જાય અને ઘરે બનાવેલી ભઠ્ઠી પર પાણી ઉકાળીને મીઠું અલગ તારવે. બીજા વેચવા લાગ્યા તો ઘણા ખરીદવા લાગ્યા. આખો દેશ ગુનો કરવા થનગનતો હતો..
૦૦૦
સંદર્ભઃ દાંડી કૂચથી શરૂ થયેલા ઘટના ચક્રના અંતિમ પ્રકરણના અંતે સંદર્ભ સૂચિ આપવાનું ધાર્યું છે.
દીપક ધોળકિયા
વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com
બ્લૉગ સરનામું: મારી બારી
-
રાજકારણને રાજકારણીઓને ભરોસે રેઢું ન મૂકાય!
તવારીખની તેજછાયા

પ્રકાશ ન. શાહ
લડાખના લોકાયની વિકાસકર્મી સોનમ વાંગચુક લોકશાહી પ્રતિનિધિત્વથી વંચિતવત્ સમુદાયને સારુ ન્યાયની લડાઈ રહ્યા છે- જોગાનુજોગ, આ જ દિવસોમાં વીસમી ઓક્ટોબરે ગુજરાતના નાનાવિધ વિકાસકર્મીઓનું સ્નેહમિલન યોજાઈ રહ્યું છે. ‘ચરખા’ થકી પરિચિત સંજય દવે આદિની આ પહેલને ‘ગણતર’ ખ્યાત સુખદેવ પટેલ સહિતના સિનિયર સાથીઓનું સમર્થન પણ સાંપડ્યું છે. છેલ્લાં પચાસ વરસમાં આપણે ત્યાં સ્વૈચ્છિક કર્મશીલોની જે નવી પેઢી (બલકે, પેઢીઓ) ઉભરી એ સૌ ઓછેવત્તે અંશે, કંઈક પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે પણ સમતા અને ન્યાયલક્ષી વિકાસ માટેની સીધી લડાઈમાં નહીં તો પણ પ્રવૃત્તિમાં તો પડેલા જ છે. એમાં સીધી રાજકીય સંડોવણીનો છોછ હોય ત્યારે અને તો પણ નાગરિક હિલચાલ માત્રે રાજકારણ જોડે ક્યાંક તો પ્રસંગ પાડવો રહે જ છે. સૂચિત સ્નેહમિલનમાં સિત્તેર વરસથી વધુ વયના સાથીઓ સારુ આદર અને કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કરવાનોયે ખયાલ છે એમ હોંશીલા નિમંત્રણપત્રથી સમજાઈ રહે છે. મતલબ, પાંચેક દાયકા પાછળ જઈએ તે અરસામાં જે છાત્રયુવા પેઢી નવનિર્માણથી માંડી જેપી આંદોલનના વારાથી જાહેર જીવનમાં આવી, એને વિશે એક પ્રકારે આત્મીય આદર તેમ આશા-અપેક્ષા (અને એથી જ કદાચ સહૃદય ટીકાનો પણ) ભાવ રહેલો છે.
૧૯૭૪ની વિભાજક, ખરું જોતાં જળથાળ, રેખાથી શરૂ કરવા પાછળ કંઈક ઈતિહાસબોજ તો કંઈક ઈતિહાસબોધ રહેલો છે. જરી અંગત બિનંગત સાંભરણની રીતે વાત માંડું તો નવનિર્માણના ગાળામાં પૂર્વ કોંગ્રેસ પ્રમુખ ઢેબરભાઈની એક વિચાર પ્રેરક નોંધે ઠીક ધ્યાન ખેંચ્યું હતું. એમણે માત્ર કોંગ્રેસજનો પૂરતી તે મર્યાદિત નહીં રાખતાં વ્યાપક રીતે પહોંચાડી હતી. જ્ઞાનગંગોત્રી ગ્રંથશ્રેણીમાં ભોગીભાઈ ગાંધીની સંપાદકીય નિગેહબાનીમાં નગીનદાસ સંઘવી ‘સ્વરાજદર્શન’ પર લખી રહ્યા હતા. એનો પ્રવેશક ઢેબરભાઈ સરખા વિચારવંત રાજપુરુષ લખે એવી હોંશથી એમનો સંપર્ક સાધ્યો તો એમની તૈયારી લગભગ લેખનભાગી થવાની હદે સંડોવણીની હતી. ભોગીભાઈ થકી આ નિમિત્તે મારી એમની સાથેની પરિચયબારી ખૂલી એટલે પેલી નવનિર્માણ નોંધ ઢેબરભાઈએ મને પણ મોકલી હતી. પછીથી, એમની રજાથી, મેં ‘વિશ્વમાનવ’ સારુ એ ખપમાં પણ લીધી હતી.
૧૯૭૨માં ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષે નિર્ણાયક બહુમતી મેળવી હતી, પણ નવનિર્માણ આંદોલન જેવો વિસ્ફોટ વિધાનસભાને નામશેષ કરવાની હદે તે પછી વરસ બે વરસમાં આવ્યો ત્યારે આ જ કોંગ્રેસ પક્ષ કેમ ઊંઘતો ઝડપાયો, આ સવાલનો ઢેબરદીધો જવાબ એ હતો કે પક્ષ હવે પૂર્વવત રચનાત્મક કાર્યસંધાનથી છૂટો પડી જઈ કેવળ ઈલેક્શન એન્જિન બની ચૂકેલ છે. સ્વરાજની શરૂઆતના દાયકાઓમાં સક્રિય કોંગ્રેસકારણી હોવું તે લગભગ અવિનાભાવ કોઈ ને કોઈ રચનાત્મક પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોવું પણ હતું. તેથી તમે નકરાં વિધાનગૃહો અગર પક્ષકચેરીમાં પુરાયેલાં ન રહેતાં ચૂંટણી સિવાયના સમયમાંયે લોકો સાથે સીધા સંપર્કમાં રહેતા હતા.
કોંગ્રેસના ૧૯૬૯ના ભાગલા સાથે જે નવું રાજકારણ પેદા થયું એમાં પેલું રચના સંધાન છૂટી ગયું હતું. આ સંજોગોમાં છતી બહુમતીએ આવી રહેલ વિસ્ફોટની રગ ક્યાંથી હોય, એ ઢેબરભાઈએ પૂછેલો ઉત્તરગર્ભ પ્રશ્ન હતો. જેપી જનતા પર્વ એક અર્થમાં આ પ્રશ્નનો નવો ઉત્તર હતો. સહેજ દૂરાકૃષ્ટ લાગે તો પણ તમે જોશો કે ‘ઝોલા’વાળા અને એનજીઓની જેવી નસલ આપણી વચ્ચે આવી એમાં રચના ને સંઘર્ષની આવડી એવી અનૌપચારિક યુતિનું સ્વરાજ સંધાન હતું. રાષ્ટ્રીય સ્તરે આજે ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનના અધ્યક્ષ કુમાર પ્રશાન્ત કે બીએચયુ-જેએનયુ પૃષ્ઠભૂ ધરાવતા આનંદ કુમારને આ સંદર્ભ સંભારી શકો. સૂચિત સ્નેહમિલનમાં પણ તમને આ જ ધારામાં આવેલા ચહેરાઓ મળે એ અનુમાન અસ્થાને નથી.
આરંભે સુખદેવ પટેલને સંભાર્યા, એમનો પ્રવેશ ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનના સંપર્કથી થયો. એક નોંધપાત્ર નામ બનાસકાંઠામાં અમીરગઢ પંથકમાં શૈક્ષણિક ને સેવાલક્ષી થાણું જમાવનાર હસમુખ પટેલનું છે. રાજેન્દ્ર દવે દેશમાં નથી પણ નવનિર્માણ કાળે શાંતિ પ્રતિષ્ઠાન સાથે સક્રિયપણે જોડાયેલાઓ પૈકી હતા- અને મનીષી જાનીની અધ્યક્ષતામાં કાર્યરત નવનિર્માણ સમિતિ તથા જેપીએ રચેલી છાત્ર યુવા સંઘર્ષ વાહિની બંને પર હતા. જેપીની ગુજરાત મુલાકાત સાથે લોકસ્વરાજ આંદોલનનો સૂત્રપાત થયો ત્યારે આરંભિક સંકલન-કામગીરી મંદાકિની દવેની રહી અને જનતા મોરચાની રચના લગીની પ્રક્રિયામાં કંઈક અગ્ર ભૂમિકા આ લખનારને પક્ષે રહી.
આજે જેમ શતાયુ જી. જી. પરીખ, યુસુફ મહેરઅલી કેન્દ્ર મારફતે સ્વરાજ સંધાન પૂર્વક કાર્યરત છે એવું ગુજરાતસ્તરનું નામ ને કામ આગળ-પાછળનાં વર્ષોમાં ભોગીલાલ ગાંધીનું હતું. મેં કરેલા ઉલ્લેખો પોતાને ઠેકાણે ઠીક જ છે, પણ છેલ્લા પાંચ દાયકામાં જે નવા કર્મશીલો આવ્યા એમનો ધોરણસરનો પ્રોફાઈલ પકડવામાં સર્વાગ્રપણે આર્ચ વાહિની ઉપરાંત કદાચ રાજકોટના યંગ મેન્સ ગાંધીયન એસોસિએશન-વાયએમજીએ દ્વારા પુરસ્કૃત પ્રતિભાઓ સહિતની યાદી વધુ ઉપયોગી થઈ પડે. ગૂજરાત વિદ્યાપીઠના સ્નાતકો પૈકી પ્રતિવર્ષ અપાતા મહાદેવ દેસાઈ સન્માનની યાદી પણ ઉપકારક થઈ પડે. ‘સેવા’થી માંડી ‘અવાજ’ અને એવાં જ બીજાં સંગઠનો મારફતે ઉભરેલ કર્મશીલો પણ ચિત્રમાં અલબત્ત છે જ.
ટૂંકજીવી જેપી જનતા પર્વ પછી ૨૦૦૪થી કોંગ્રેસ શાસનના નવા તબક્કામાં સોનિયા ગાંધીની સલાહકાર સમિતિ (અને એના આગ્રહથી શક્ય બનેલો મનરેગાથી માંડી માહિતી અધિકાર સરખી જોગવાઈઓ) પણ આ સંદર્ભમાં લક્ષમાં લેવી રહે, જેમ રાહુલ ગાંધીની ભારતયાત્રા જોડે યોગેન્દ્ર યાદવના સંધાનથી ઉભરેલ શખ્સિયતો પણ.
નહીં કે વીસમી ઓક્ટોબરના મિલન સાથે આ કશાયનો કોઈ એજન્ડાગત સંબંધ છે, પણ રાજકારણને કેવળ રાજકારણીઓને ભરોસે રેઢું મેલી શકાય નહીં એવું નિ:શંક.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૧૬-૧૦– ૨૦૨૪ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
તુલસીનો છોડ
વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
આ વાત છે, વિભાજનના સમયની.
એ સમયે ટંટામાં અટવાયેલા, બેઘર થયેલા કેટલાય લોકો એક શહેરથી બીજા શહેર તરફ આશરો મેળવવા ભાગદોડ કરી રહ્યા હતા. કામચલાઉ આશરા માટે પણ સવારથી સાંજ ભટકતા રહેતા લોકોમાંથી કોઈકની નજર સિમેન્ટના પુલની સાવ પાસે એક બંધ બિનવારસી બે માળના મકાન પર પડી અને પછી તો બાકી શું રહે? ડૂબતો તરણું ઝાલે એમ આ ટોળાએ તાળું તોડી મકાનમાં પ્રવેશ કરી એ કબજો જમાવી દીધો.
સાંજ સુધીમાં તો આખા શહેરમાં આ બિનવારસી મકાનની વાત ફેલાઈ ગઈ. જેને રહેવાનાં ઠામ-ઠેકાણાં નહોતાં એ સૌનો ધસારો અહીં વધી ગયો. પહેલાં આવી ગયેલા લોકો તો જાણે એમનું ખુદનું મકાન હોય અને આ મકાન પર એમનો જ હક હોય એમ અકડ પર આવી ગયા.
ઘણી વિનંતી બાદ અંતે નવા આવનાર પર ઉપકાર કરતા હોય એમ માંડ થોડી જગ્યા ફાળવવા તૈયાર થયા. નવા લોકોને અહીં આશરો મળવાથી આશા તો બંધાઈ કે, હવે એમને ગંદકીભરી જગ્યામાં રહેવું નહીં પડે કે રોગચાળાથી હેરાન નહીં થવું પડે.
સૌ પ્રયાસપૂર્વક, થોડી બાંધછોડ સાથે બે માળના આ મકાનમાં ગોઠવાવા માંડ્યાં.
મકાનનાં રસોઈઘરની એક બાજુનાં આંગણામાં પત્થરના કૂંડાંમાં એક તુલસીનો છોડ હતો. લાંબા સમયથી માવજત વગરનો આ છોડ કરમાવા માંડ્યો હતો. ક્યારેક લીલાંછમ રહેતાં એનાં પાંદડા કરમાઈને કથ્થઈ બની ગયાં હતાં. સાફસૂફીના અભાવે છોડની નીચે નકામું ઘાસ ફૂટી નીકળ્યું હતું.
આ આખા ટોળાંમાં એક સૌથી માથાભારે માણસ હતો.
મોદાબ્બેર એનું નામ. આંગણાંમાં આ તુલસીનો છોડ જોઈને એ રોષે ભરાયો.
“તુલસીનો છોડ હિંદુત્વની નિશાની છે. આપણ્રે રહેતા હોઈએ ત્યાં હિંદુની કોઈ નિશાની ના જોઈએ. ઉખાડો અને ફેંકો એને અહીંથી બહાર.”
માથાભારે મોદાબ્બેરના અવાજમાં રહેલા રોષની માત્રાથી સૌ સ્તબ્ધ..
અહીં આવેલા લોકો હિંદુ રીતરિવાજથી ખાસ પરિચિત નહોતા, પણ સૌને એટલી તો ખબર હતી કે; તુલસી હિંદુ ધર્મનો પવિત્ર છોડ છે. હિંદુ ઘરની સ્ત્રીઓ માથે પાલવ ઓઢીને તુલસી ક્યારે દીવો પ્રગટાવી પ્રણામ જરૂર કરે છે. આવા પવિત્ર પ્રતીકને સન્માન ન અપાય તો પણ અપમાન કરવાનીય કોઈની હિંમત નહોતી.
હવે?
જો કે, સારા નસીબે ગાડરિયા ઘેટાં જેવા પ્રવાહમાં એક ઘેટું સમજદાર નીકળે એમ આ ટોળામાં એક સમજદાર વ્યક્તિ નીકળી.
નામ એનું મતીન. રેલ્વેમાં નોકરી કરતા આ મતીનની મતિ હજુ ઠેકાણે હતી.
સ્મૃતિનાં તળ ફાડીને એની નજર સામે માથે પાલવ ઓઢીને સાંધ્યપૂજા કરતી એક હિંદુ નારીનો ચહેરો તરવરી રહ્યો.
કોણ જાણે ક્યાં હશે એ, કદાચ કલકત્તા, આસનસોલ, હાવડા, પણ જ્યાં હશે ત્યાં રહીનેય સાંજ પડે એને આ તુલસીક્યારો યાદ આવતો હશે તો એની આંખો ભીની થતી હશે?
માથે પાલવ ઓઢેલી, બે હાથ જોડીને, મસ્તક નમાવીને સાંધ્યપૂજા કરતી એ સ્ત્રીના વિચારોથી એના હૃદયમાં ભીનાશ છવાઈ. હૃદયની ભીનાશથી અવાજ પણ ભીનો બન્યો.
“રહેવા દો એ ક્યારાને. આપણે કોઈ એની પૂજા નહીં કરીએ, પણ સાંભળ્યું છે કે મકાનનાં આંગણમાં તુલસીક્યારો હોય તો સારું વળી તુલસીનાં પાંદડાથી શરદી-સળેખમમાં ફાયદો થાય.
માથાભારે મોદાબ્બેરે અન્યના મત જાણવા સૌની સામે નજર માંડી. સૌની નજરમાં મતીનની વાતની મૂક સંમતિ હતી. આ સૌમાં મૌલવીની કક્ષાએ ગણી શકાય એવો એક ઈન્સાન પણ હતો.
નામ એનું ઈનાયત. મતીનની વાત સાંભળીને એ પણ વિચારમાં પડ્યો. પાંચ વખતની નમાજ, કુરાનનું પઠન કરનાર ઈનાયત જાણે મતીનની વાતમાં મૂક સંમતિ આપતો હોય એમ મૌન હતો.
કદાચ એની સ્મૃતિમાંય એક એવી ભીની ભીની આંખો તરવરી રહી હતી. સૌની સાથે ઈનાયતને શાંત જોઈને મોદાબ્બરે પણ નમતું જોખ્યું. તુલસીનો છોડ ત્યાં જ રહ્યો.
દિવસો પસાર થતા રહ્યા.
એક સવારે પોલીસ સબ-ઈન્સ્પેક્ટર સરકારી ઑર્ડર લઈને આવ્યા. એ ઑર્ડર મુજબ આ મકાનની જમીન પરની માલિકી સરકારની હતી.
ચોવીસ કલાકમાં ખાલી કરાયેલા એ સ્તબ્ધ મકાનની વચ્ચે પેલી ભીની ભીની બે આંખો, નત મસ્તક અને માથે પલ્લુ ઓઢેલી સ્ત્રીની રાહમાં ફરી એકવાર એ તુલસી ક્યારો એકલો રહી ગયો.
બાંગ્લા કથાને આધારિત સૈયદ વલીઉલ્લાહ દ્વારા અનુવાદિત વાર્તાનો ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
હું જતો રહું પછી
દરિયા-પારની વાર્તા
પ્રીતિ શાહ-સેનગુપ્તા
સવાર ક્યારે થઈ તેની આજે જલદી ખબર પડે તેમ હતું નહીં, કારણકે આકાશ વરસાદી વાદળોથી ઘેરાયેલું હતું. ભઈ, અહીં તો આવું જ હોય, કેશવભાઈ જાણતા હતા, ને તોયે એમણે આકાશ સામે જોઈને માથું હલાવ્યું, આમ સાવ કાળું કરી મૂકવાનું? ને તે ય રવિવારની સવારે?
થોડો ગડગડાટ થયો, જાણે કે વાદળોએ જવાબ આપ્યો. ને પછી આકાશ જે તૂટી પડ્યું છે, જાણે કેશવભાઈની વાત પર ગુસ્સે ના થયું હોય. જોકે એમને તો આ આકાશી નખરાં ગમતાં હતાં. એમણે જલદી જલદી ચ્હા બનાવી. કપ લઈને એ બાલ્કનીમાં આવ્યા ત્યારે હજી વરસાદ ચાલુ જ હતો.
મૂશળધાર વરસાદનો અવાજ સાંભળતાં સાંભળતાં ગરમ ચ્હા પીવાની બહુ મઝા આવે, હોં, એ હંમેશાં વીણાબેનને કહેતા. ના, પણ ઝરમર જેવું કાંઈ નહીં, હોં, વીણાબેન સામે કહેતાં.
હવે આમ તો કેશવભાઈએ મન વાળી લીધું હતું, ને દરરોજ ચ્હા પીતાં આંખો ભીની થવા દેતા નહીં. શરૂ શરૂમાં બહુ અઘરું પડ્યું એમને. ચ્હા ઝેર જેવી લાગતી, આંસુ ઘણી વાર એમાં ભળી પણ જતાં. ટેવ પ્રમાણે માથું હલાવીને એ કહેતા, વીણી, તેં ટાઇમસર મને ચ્હા બનાવતાં શીખવાડી દીધું હતું, હોં, જાણે તને ખબર હતી કે મને જરૂર પડશે.
વીણાબેન અને કેશવભાઈ સારી એવી મોટી ઉંમરે અમેરિકા આવી વસ્યાં હતાં. એકનો એક દીકરો હેમેન ભણવાના નામે મિશિગન આવ્યો હતો. પાછો અમદાવાદ આવીશ જ, એવી ખાતરી આપતો ગયો હતો. ત્યારે તો ખરેખર એ પોતે એમ જ માનતો હતો. પણ પછી જેમ બીજા હજારો દીકરાઓ સાથે બન્યું હશે તેમ – હેમેનને સરસ જૉબ મળી ગઈ, રૂપાળી લૅટિના સાથે પ્રેમ થયો, બંને પરણ્યાં, ને પછી અમદાવાદ પાછાં જવાની વાત જ ક્યાં રહી? આટલી પ્રક્રિયા દરમ્યાન એ તો ઘસાઇ ગઈ હતી, લગભગ ભૂલાઈ ગઈ હતી.
પણ હા, એવું નહતું કે એ મા-બાપને ભૂલી ગયો હતો. એણે એમને અમેરિકા ફરવા બોલાવ્યાં, અને પછી ગ્રીન કાર્ડ પણ અપાવીને જ રહ્યો. એ દરમ્યાન એ અને મારિસૉલ જ્યાં આખું વર્ષ સારી ઋતુ મળે તેવી જગ્યા શોધીને ફ્લૉરિડા રાજ્યના મુખ્ય શહેર જૅક્સનવિલમાં રહેવા આવી ગયાં હતાં. એમની સાથે મા-બાપ રહી શકે તેમ હતાં, પણ કેશવભાઈનાં ખાસ મિત્ર ધીમંતભાઈ અને સુશીબેન જ્યાં રહેતાં હતાં ત્યાં, ટૅમ્પા શહેરમાં રહેવાનું એમણે વધારે પસંદ કર્યું. ભઇ, હવે તો દેશમાં પણ દીકરા પર વધારે પડતો હક્ક નથી કરી શકાતો, કેશવભાઈ સમજતા હતા કે થોડા દૂર રહેવામાં જ ડહાપણ છે.
ધીમંતભાઈના બંને દીકરા- સુરેશ અને સુધીર -ની બે મોટેલો હતી. એમણે ખુશીથી કેશવકાકાને કામ પણ આપી દીધું. જરૂર હોય તે પ્રમાણે એક કે બીજી મોટેલમાં જવાનું. કેશવભાઈએ નજીકમાં ગાડી ચલાવતાં પણ શીખી લીધું, અને એમને ખાસ કશી ફરિયાદ રહી નહીં. વીણાબેનનું મન શાંત પડતાં થોડી વધારે વાર લાગી હશે. એ કહ્યા કરતાં કે મરવું તો ઇન્ડિયામાં જ છે, હોં. કેશવભાઈ પાસે એ વચન લેવડાવતા, કે જામનગરના સરસ સ્મશાનમાં જ મારે છેલ્લી ચિતા પર ચઢવું છે.
છેલ્લી ચિતા એટલે શું? તું કેટલી વાર ચિતા પર ચઢી છું?, કેશવભાઈના અવાજમાં ચીડ સંભળાતી.
અરે, જિંદગીના દરેક દિવસે સ્ત્રીઓએ ચિતા પર ચઢતાં જ રહેવાનું હોય છે. ચિતા એટલે શું દેહ બળે તે જ આગ? ને રોજે રોજ જીવ બળતો રહે તે શું જુદું છે ચિતા પર ચઢવા કરતાં?
ધીમંતભાઈ કહેતા, કેશવલાલ, તમે નહીં પહોંચો દલીલમાં. ને હવે તો આ અમેરિકન થઈ ગયાં, ઘણું શીખી ગયાં. આ સુશી જુઓને —-
પણ સુશીબેન એમને આગળ કાંઈ કહેવા દે તો ને.
બન્યું જે ભગવાનને ગમ્યું તેવું જ. વીણાબેન સાવ ટૂંકી માંદગીમાં જતાં રહ્યાં, અણધાર્યાં, ને તે પણ અમેરિકામાં. કેશવભાઈ વચન પાળી નહોતા શક્યા તેથી લાંબા વખત સુધી એમનો જીવ બળ્યા કર્યો હતો. વીણી, તારી ભસ્મ તો હું ઇન્ડિયા લઈ જ જઈશ, હોં, એ રટતા રહેતા. એ અને ધીમંતભાઈ સાથે ઇન્ડિયા જઈ આવવાના હતા, પણ હજી એ શક્ય બન્યું નહતું.
જાણે દિવસના કલાકો વધી ગયા હોય તેમ હવે કેશવભાઈ મોટેલના કામ પછી હૉસ્પિટલમાં વૉલન્ટિયર તરીકે પણ જવા માંડ્યા હતા – અઠવાડિયામાં બે વાર, બને ત્યારે ત્રણ વાર. ક્યારેક નર્સો સાથે, તો ક્યારેક ઇન્ડિયન ડૉક્ટરો સાથે વાત કરવાની તક મળતી. એકલાં પડી રહેલાં દરદીઓને પણ એ ક્યારેક કંપની આપવા બેસી જતા. કેટલું બધું જાણવાનું છે આ જીવનમાં, એમને થતું.
ં ં ં ં ં
એક સાંજે કેશવભાઈના સેલ ફોન પર સુધીરનો ફોન આવ્યો. કાકા, તમે જલદી પપ્પાના રૂમ પર આવી જાઓ છો? બહુ જ જરૂર છે. ત્યારે કેશવભાઈ હૉસ્પિટલમાં જ હતા. ત્રીજા માળ પર. તરત લિફ્ટ લઈને એ છઠ્ઠા માળે ગયા. એમનો બાળપણનો મિત્ર ધીમંત પોતે છેલ્લા થોડા દિવસથી પ્રાઇવેટ રૂમમાં દરદી થઈને સૂતો હતો. ત્રણેક વર્ષ પર ધીમંતભાઈને એક સ્ટૅન્ટ મૂકાવેલો હતો. પછી તો સારું જ હતું, પણ હમણાંથી એમને ગભરામણ થતી રહેલી, તેથી હૉસ્પિટલમાં દાખલ કરેલા. કંઇક ટૅસ્ટ કર્યા પછી, “ઑબ્સર્વ કરીએ છીએ”, એમ ડૉક્ટર કહેતા હતા.
હવે બીજે ક્યાંય નહીં પણ ધીમંતભાઈ પાસે જ કેશવભાઈ વધારે બેઠા રહેતા. બહુ વાતો નહીં, પણ ધીમે અવાજે એમને ગમતાં ઝવેરચંદનાં ગીતો ગણગણતા. ધીમંતભાઈએ એમના અવાજને બહુ વખાણેલો. કહે, અલ્યા, તને ભગવાનની દેન છે. શું સૂર આપ્યો છે. અત્યારે પણ ધીમંતભાઈના ફીક્કા મોઢા પર સહેજ સ્મિત ફરકતું. જરાક આગળીઓ ઊંચી કરીને એ કહેતા, વાહ, કેશવલાલ.
ગયા બે દિવસથી ધીમંતભાઈને સારું હતું, અને એ પણ થોડી વાતો કરવા માંડેલા. સુશીબેનને એમનું મીઠું ચિડાવવાનું પણ પાછું ચાલુ થઈ ગયેલું. કેશવભાઈને એમણે કહેલું, હું તો હવે દરદી મટી જવાનો. તમે બીજા દરદીઓને તમારો લાભ આપો, કેશવલાલ. મને વાંધો નથી.
બે દિવસથી કેશવભાઈ હૉસ્પિટલમાં બીજે પણ પાછા થોડો સમય આપવા લાગેલા. એ સાંજે એ ત્રીજે માળ હતા ત્યાં એમને સુધીરનો ફોન મળ્યો. ઉતાવળે એ ધીમંતભાઈના રૂમ પર પહોંચ્યા તો માની ના શકાય તેવું દૃશ્ય હતું. દીકરા-વહુઓ રૂમના બારણા પાસે ચૂપચાપ ઊભાં હતાં. રૂમની અંદર યમરાજ જેવી કાળી ધબ સ્તબ્ધતા હતી. ખાટલાની પાસે સુશીબેન છતે જીવે નિર્જીવ પૂતળા જેવાં ઊભાં હતાં. ને કેશવભાઈનો સદાનો સાથે રહ્યો હતો તે મિત્ર કહ્યા વગર દૂર જતો રહ્યો હતો.
અલ્યા ધીમંત, આ શું કર્યું તેં? જિંદગી આખી ધીમો રહ્યો. અમે તને ધીમલો ને ધીમેશ કહી ચિડાવતા રહ્યા, ને તેં છેતર્યા અમને બધાને? દોસ્તીમાં આવી છેતરપીંડી? આગળ જવાની આવી ઉતાવળ? કેશવભાઈ હાથ-માથું હલાવતા હતા, મોઢામાંથી કોઈ શબ્દ નીકળતા નહતા.
એ ધીમંતભાઈના હાથ ખેંચવા લાગ્યા ત્યારે, સાથે અંદર આવેલા સુરેશે એમને પકડીને જોરથી કહ્યું, કાકા, કાકા, આ શું કરો છો? ભાનમાં આવો તો.
સુધીર એમને રૂમની બહાર લઈ ગયો, ને કહ્યું, કાકા, બહુ જરૂરી વાત કરવાની છે. તમારે તો અમને ધીરજ આપવાની હોય. તમે ભાંગી પડો તે કેમ ચાલે?
બંને વહુઓ સુશીબેનને પણ બહાર બીજી બાજુ લઈ ગઈ.
કેશવભાઈના ગળામાંથી હજી અવાજ નીકળતો નહતો. વીણાબેન ગયાં ત્યારે પણ કદાચ એ આટલો આઘાત નહીં પામ્યા હોય. ધીમલો તો એમના જોડિયા જીવન જેવો હતો. એના વગર પોતાનું જીવન ક્યાંથી ટકવાનું? ને ટકે એનો કશો અર્થ પણ ક્યાં હતો?
સુરેશ કેશવભાઈ માટે પાણી લઈને આવેલો. બંને ભાઈઓ ઊંચાનીચા થઈ રહ્યા હતા. એમણે ફરીથી કહ્યું, કાકા, અમારે એક પ્રૉબ્લૅમ છે. તમારી સલાહ જોઈએ છે.
પરદેશોમાં રહેતા અનેક ઇન્ડિયનોની જેમ ધીમંતભાઈને પણ ઇન્ડિયામાં મરવું હતું. એમ ના બને તો મૃત દેહને ઇન્ડિયા લઈ જઈને બાળવામાં આવે, તેવી એમની ઇચ્છા હતી. એવું ફક્ત સુશીબેનને જ એમણે કહેલું. ને એ માનવા બંને ભાઈઓ તૈયાર નહતા. મમ્મી પણ તમારી જેમ શૉકમાં છે, કાકા. આ આઘાતમાં એને ખબર નથી અત્યારે, કે એ શું કહી રહી છે.
સુરેશે કહ્યું, અરે, એમ તે કાંઈ ડૅડ બૉડિને પ્લેનમાં ઇન્ડિયા લઈ જવાય? કલાકોના કલાકો – અરે, લગભગ બે દિવસ થઈ જાય.
કેશવભાઈને ઇલૅક્ટ્રિક આંચકો લાગ્યો હોય તેમ એ હચમચી ગયા. ગળામાંથી હવે ઘાંટો નીકળી આવ્યો. તું શું બોલે છે, સુરિયા? ડૅડ બૉડિ એટલે? એટલે એ હજી તારા પપ્પા છે, હોં.
કાકા, સૉરિ. એ પણ શૉકમાં છે, સુધીરે એમને શાંત પાડવા કહ્યું.
જો, સુધીર, એમને સરખી રીતે કૉફીનમાં મૂકીને, ત્રણ સીટો ખરીદીને પ્લેનમાં લઈ ના જવાય? તેં કશી તપાસ કરી છે ખરી? શું નિયમો છે કસ્ટમના, સરકારના, તે વિષે જાણ્યું છે?
ના, કાકા, હજી તપાસ તો નથી કરી. પણ આ બધું કરવામાં કેટલો ખર્ચો થાય, ખબર છે?
તને તારા પપ્પા કરતાં પૈસા વધારે વહાલા છે?, ફરી કેશવભાઈનો અવાજ મોટો થવા માંડ્યો.
તો તમને પૈસા વહાલા નહોતા? વીણાકાકી ગુજરી ગયાં ત્યારે બૉડિને કેમ ઇન્ડિયા ના લઈ ગયા? ખર્ચો જ નડ્યો હશે ને. સુરેશથી બોલાઈ ગયેલું.
કેશવભાઈ મૂઢ થઈ ગયા. કોઈ અજાણ્યા આઘાતથી મન થરથરી ઊઠ્યું. વીણાની છેલ્લી ઇચ્છાની સુરેશને ખબર નહીં જ હોય, ને છતાં એ આવું બોલ્યો. હા, વીણાની ઇચ્છા પોતે પણ ક્યાં પૂરી કરી હતી? પણ તે શું ખર્ચાના જ વિચારે? ના, ના, એવું નહોતું. હેમેને પૈસા આપ્યા જ હોત, પણ વીણાના જવાથી પોતે જ મરવા જેવા થઈ ગયા હતા. કઈ રીતે લઈ જાત એ વીણાના દેહને? ઉપરાંત, એના મૃત દેહમાં મૅડિકલ પ્રૉબ્લૅમ પણ થઈ ગયા હતા. જો ચેપનો ભય હોય તો એને વિમાનમાં તો શું, બહાર ક્યાંયે લઈ ના જવાય.
સુધીર કહેતો હતો, કાકા, મોટેલો છોડીને જવું પણ ક્યાં શક્ય છે, તમે જાણો છો ને?
હા, ભાઈ, બરાબર છે, કહી આશિર્વાદની જેમ બે હાથ ઊંચા કરીને કેશવભાઈ ત્યાંથી નીકળી ગયા.
પછી એમણે તપાસ કરી હતી – જાણ તો હોવી જોઇએ ને, એમ સમજીને. ઘણાં સર્ટિફિકેટ લેવાં પડે, ઘણાં ફૉર્મ ભરવાં પડે, ભારત સરકારની પરમિશન, અમેરિકી સરકારની પરમિશન, એ મળે કે ના મળે, અને ખર્ચો પણ ઘણો થાય જ. આ બધું કર્યા પછી પણ, ના, કૉફીનને કે મૃત દેહને સીટો પર રાખીને તો લઈ જ ના જવાય. એને ઍમ્બાલ્મ કર્યા પછી પણ મૂકવાનો તો કાર્ગો-હોલ્ડમાં જ, બીજા સામાનની સાથે.
આ બાબત સમજી શકાય તેવી હતી, તોયે કેશવભાઈને મૃત સ્વજનના અપમાન જેવી લાગી. ને કોણ એને ચઢાવે, ને કોણ ઉતારે. એને કદાચ પછાડે કે ફેંકે પણ ખરા. સારું જ થયું વીણીને એ રીતે નહોતી મોકલી. ને હવે ધીમલો. જીગરી મિત્રના અથડાતા-પછડાતા દેહના વિચારે કેશવભાઈનો શ્વાસ રુંધાઈ આવ્યો.
ં ં ં ં ં
ધીમંતકાકાની પાછળ ગોઠવેલી ભજન-સંધ્યા માટે હેમેન અને મારિસૉલ જૅકસિનવિલથી ખાસ આવ્યાં હતાં. ત્યારે બંનેએ કેશવભાઈને બહુ સમજાવેલા, પપ્પા, તમારી તબિયત જરાયે સારી નથી લાગતી. તમે હવે અહીં ટૅમ્પામાં એકલા પડી ગયા. હવે તમે જૅક્સનવિલ આવી જાઓ.
પણ કેશવભાઈ માન્યા નહીં. હું ઠીક થઈ જઈશ, બેટા. તમે ચિંતા ના કરતાં. મને જરૂર લાગશે ત્યારે હું જ તમને બંનેને જણાવીશ, હોં.
વીણાબેનની ગેરહાજરીને પચાવવા જેમ એમણે માનસિક મહેનત કરી હતી તેમ હવે ધીમંતભાઈની ખોટને સહ્ય બનાવવા કરવા માંડી. પણ ઝવેરચંદનાં ગીતો એમના ગળામાં આવીને અટકતાં હતાં, સતત ઉચાટ અનુભવાતો રહેતો હતો. અને મગજમાં કશુંક ગોળ ગોળ ઘુમરાતું રહેતું હતું. દિવસોના દિવસો સુધી જ્યારે કારણ જ નહોતું સમજાયું ત્યારે ઉપાય તો ક્યાંથી જ મળે?
હમણાં તો મોટેલમાં કામે જવાનું કેશવભાઈએ ચાલુ જ રાખ્યું હતું. ધીમંતભાઈના દીકરાઓને અને સુશીબેનને એ અત્યારે વધારે દુઃખ પહોંચાડવા માગતા નહોતા. ને હૉસ્પિટલમાં તો હવે એ લગભગ રોજ જવા માંડેલા. ઇન્ડિયન દરદીઓને એ બહુ મદદરૂપ થતા, તો અન્યભાષી દરદીઓને પણ એ સહૃદયી મિત્ર જેવા લાગતા. દરેકના જીવનની જુદી જુદી સ્થિતિ-પરિસ્થિતિ જોઈને એમને લાગવા માંડ્યું હતું, કે વીણીનું કહેવું સાવ સાચું જ હતું, હોં. ખરેખર, માણસમાત્રને રોજેરોજ ચિતા પર ચઢવું જ પડતું હોય છે.
એક દિવસ, જેના બચવાની આશા જ નહોતી તેવા એક દરદી અને એના કુટુંબ પાસેથી એમણે “ ડોનેટ ફૉર સાયન્સ” જેવા શબ્દો સાંભળ્યા, અને એનો અર્થ જાણ્યો કે તરત જાણે મનમાંનાં વમળ ત્યાંનાં ત્યાં જ સ્થિર થઈ ગયાં. ઉચાટ હતો ત્યાં ઉઘાડ થઈ આવ્યો. આટલા દિવસોની મુંઝવણનું કારણ સમજાયું, અને ઉપાય મળી ગયો.
કારણ તો એ હતું કે પોતાના મૃત્યુ પછી કેશવભાઈ એકના એક દીકરા હેમેનને કોઈ પણ રીતે હેરાન કરવા માગતા નહોતા. ઇન્ડિયામાં જઈને મરવાની કે બળવાની તો વાત જ નહોતી, છતાં એ દ્વિધા કોઈના પણ મનને ખૂણે ના રહે તે જ એ ઇચ્છતા હતા. તો ઉપાય આ રહ્યો, હાથવગો. પછી તો “ દેહ-દાન ” જેવો સરસ શબ્દ એમને જાણવા મળ્યો. સરસ?, એમ કહીને એ હસ્યા. ઘણા દિવસે મન પરથી ભાર ઊતરતો લાગ્યો. ઘણા દિવસે કેશવભાઈને ઝવેરચંદનાં ગીતો ગણગણવાનું મન થઈ આવ્યું.
ઉપરાંત, વીણીની ભસ્મ પણ હજી અહીં જ હતી. એને માટે પણ એમને એક એવો આઇડિયા સુઝી આવ્યો, કે એ ફરી બોલી ઊઠ્યા, અરે વાહ, આ તો બહુ જ સરસ. એમને હ્દયપૂર્વકની ખાતરી હતી, કે એ આઇડિયા વીણીને ઇન્ડિયા ભસ્મ લઈ જવા કરતાં પણ વધારે ગમશે.
મૃત દેહને દરિયા પારને દેશ મોકલવો જેટલું કઠિન હતું તેટલું જ આ દેશમાં દાન કરવાનું સહેલું હતું. જરૂરી માહિતી એમણે સહેજ વારમાં મેળવી લીધી. ને બસ, પછી આ બાબતનાં બધાં કામો પતાવવા માંડ્યાં. હૉસ્પિટલ માટેનાં ફૉર્મ ભર્યાં, ત્યાં મૃત્યુ પછીના દેહ-દાન માટેની નોંધણી પણ કરાવી દીધી.
પછી ધીરજથી એમણે એક વિલ લખ્યું, એની ચારેક કૉપી કરી, અને દરેક પર નોટરીની સહીઓ લઈ લીધી. હેમેનને હમણાં એ આપવાનું નહોતું, પણ સમય આવે ત્યારે એને તરત મળી જાય એ રીતે વિલની કૉપીઓ ઘરમાં મૂકી રાખવાની હતી.
વિલમાં મુખ્ય બે વાત હતી. બંને શક્ય હતી તેની ખાતરી એમણે કરી લીધેલી. “એક વાત એ કે, હું જતો રહું પછી મારો દેહ હૉસ્પિટલમાં વિજ્ઞાનના લાભ માટે દાન કરવામાં આવે. અને બીજી વાત એ કે, હું જતો રહું પછી, હૉસ્પિટલમાંથી અગ્નિદાહ કર્યા પછી મેળવીને, મારી રાખને વીણાની રાખ સાથે ભેળવી દેવામાં આવે. પછી જો એને ધરતી પર ઝરમરાવી દઈ શકાય (જો, વીણી, તને ગમતી હતી તેવી ઝરમર તું જ થઈ જવાની) તો તેમ કરવું, નહીં તો દરિયામાં વહેવડાવી દેવી (વરસાદનો અવાજ નહીં તો મોજાંનો ઘુઘવાટ તો હશે સાથે)”.
બસ, આટલું જ.
સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
-
ફિલ્મી ગઝલો – ૭૩. અંજૂમ જયપુરી
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
ગીતકાર અંજૂમ જયપુરી ફિલ્મોમાં છેક ૧૯૫૦થી સક્રિય હતા. એમની ઓળખ માટે કોઈ એક ગીત પસંદ કરવાનું હોય તો હું નિ:શંકપણે ૧૯૫૨ની ‘ સિંદબાદ ધ સેઈલર ‘ નું રફી – શમશાદે ગાયેલું અને ચિત્રગુપ્ત દ્વારા સંગીતબદ્ધ અદા સે ઝૂમતે હુએ દિલોં કો ચૂમતે હુએ યે કૌન મુસ્કુરા દિયા પસંદ કરીશ. ફિલ્મ ‘ સારા જહાં હમારા ‘ ( ૧૯૬૧ ) નું સુમન કલ્યાણપૂરે ગાયેલું ‘ યે ફૂલોં કા ગજરા હૈ મેરા સિંગાર ‘ અને મુકેશ – આશા ભોંસલેનું ભરે હૈં આંખ મેં આંસુ ખુશી કમ હોતી જાતી હૈ, બાદલ ઔર બિજલીનું મુબારક બેગમ – તલત મહેમૂદે ગાયેલું રાત કિતની હંસી ઝિંદગી મેહરબાં અને ફિલ્મ રાજ સિંહાસનનું લતાએ ગાયેલું ‘ રૈન ભઈ સો જા રે પંછી ‘ પણ ખાસ્સાં લોકપ્રિય છે.
ઉપરોક્ત ફિલ્મો ઉપરાંત શાહી મેહમાન, નિયાઝ ઔર નમાઝ, મિસ માલા, દીન ઔર ઈમાન, અલ્લાદીન ઔર જાદુઈ ચિરાગ, જંગલ કીંગ, વીર બબ્રુવાહન, તાજપોશી, સલામે મુહોબત, ચાલબાઝ, તીસરી ગલી, દો મસ્તાને, દુનિયા હૈ દિલ વાલોં કી, ટૂટે ખિલૌને, મુજરિમ કૌન ખૂની કૌન, નવદુર્ગા, સિંદબાદ કી બેટી, તલવાર કા ધની, સુલતાના ડાકુ, હમારી શાન, નયા રાસ્તા, રાજપૂત, નીલિમા, અન્નદાતા, ઈંસાફ, સલ્તનત, દામન, જોગી, શૌકીન, પઠાન અને ઉષા કિરન જેવી ફિલ્મોમાં સોથી વધુ ગીતો એમણે લખ્યાં. આ બધી ફિલ્મો મહદંશે પૌરાણિક અને સ્ટંટ ફિલ્મો હતી.
૧૯૯૦ માં એમનું અવસાન થયું.
એમણે લખેલી બે ગઝલ જોઈએ –
બતા ઐ ચાંદ અબ કૈસે કહેં હમ દાસ્તાં અપની
કરેં જો આહ ભી તો કાટી જાતી હૈ ઝુબાં અપનીન હમ અપને, ન તુમ અપને, ન દિલ અપના, ન જાં અપની
ન જાને ભૂલ આએ ઝિંદગી પિછલી કહાં અપનીજો મિલ જાઓ બતા દેં હમ મુહબ્બત કી વો મંઝિલ ભી
હુઈ થીં દિલ કી કુછ બાતેં નિગાહોં મેં જહાં અપનીતુમ્હારી યાદ મેં કાટે નહીં કટતી હૈ અબ રાતેં
તુમ્હેં ખુશિયાં મુબારક હોં હમેં તન્હાઈયાં અપની.._ ફિલ્મ : મેહરબાની ૧૯૫૦
– લતા / તલત
– હફીઝ ખાનતમન્ના એ પરેશાં દિલ ને ફિર તુમકો પુકારા હૈ
જરા આ કર તો દેખો હાલે દિલ, યે દિલ તુમ્હારા હૈભલા આઉં તો કૈસે જીતે જી દુનિયા ને મારા હૈ
જહાં વાલોં કે આગે ક્યા કરું દિલ બેસહારા હૈસિતારે મેરી હાલત દેખ કર ચુપચાપ રોતે હૈં
યહી રાતોં કા આલમ ઔર યહી દિન કા નઝારા હૈમુજે તુમ ભૂલ જાઓ ખ્વાબ તો ટૂટા હી કરતે હૈં
સિવા મેરે જહાં મેં આજ ભી સબકુછ તુમ્હારા હૈરહો ચાહે જહાં ભી દિલ સે તુમ જાને ન પાઓગે
ભલા હો ઈસ જહાં કા હર કોઈ દુશ્મન હમારા હૈ..– ફિલ્મ : બીવી કિરાએ કી ૧૯૭૭
– મુકેશ / આશા
– એચ પરશુરામ
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
હમરાહી (૧૯૬૩)
ટાઈટલ સોન્ગ
(આ શ્રેણીમાં હિન્દી ફિલ્મોમાં આવતાં ટાઈટલ્સ દરમિયાન વાગતાં ગીતો વિશે વાત કરવાનો ઉપક્રમ છે.)
બીરેન કોઠારી
૧૯૫૦ અને ૧૯૬૦ના દાયકામાં ફિલ્મોના ઉઘાડની એક શૈલી એવી પણ હતી કે જેમાં ફિલ્મનો નાયક ખુલ્લી જીપ કે કારમાં ફરવા નીકળ્યો હોય, પોતે પ્રકૃતિપ્રેમી, હસીનોનો કદરદાન અને મસ્તમિજાજ હોય અને પોતાનાં આ લક્ષણ તે ગાઈને સંભળાવે. વાહન ચલાવતાં ચલાવતાં તે પ્રકૃતિદર્શન કરતો જાય, જરૂરતમંદની મદદ કરતો જાય, ‘હસીનોં કી ટોલી’ હોય તો એમની સામે મલકાતો પણ જાય. આગળઉપર ફિલ્મની કથા અને નાયકનું પાત્ર ભલે જે રીતે વિકસે એ રીતે, પણ શરૂઆત આવી હોય. કેવળ નમૂના પૂરતાં ચાર-છ ગીતોની વાત કરું તો આ પહેલવહેલાં યાદ આવે. હમ હૈ રાહી પ્યાર કે, હમ સે કુછ ન બોલીયે (દેવ આનંદ/નૌ દો ગ્યારહ), કિસી ના કિસી સે, કભી ના કભી, કહીં ના કહીં દિલ લગાના પડેગા (શમ્મી કપૂર/કશ્મીર કી કલી), પુકારતા ચલા હૂં મૈં (વિશ્વજીત/મેરે સનમ), આહા આહા આ યે સુહાના સફર (શશી કપૂર/સુહાના સફર), મૈં રાહી અન્જાન, રાહોં કા (રાજેન્દ્ર કુમાર/અન્જાના) અને બીજાં અનેક ગીતો યાદ આવે. (સૌ પોતાને સ્મૃતિ અનુસાર ઉમેરી શકે)

૧૯૬૩માં રજૂઆત પામેલી પ્રસાદ પ્રોડક્શન્સ નિર્મિત, ટી. પ્રકાશ રાવ દિગ્દર્શીત ‘હમરાહી’ના ટાઈટલ સોન્ગ તરીકે પણ આવું જ એક ગીત હતું. રાજેન્દ્રકુમાર, જમુના, મહેમૂદ, શુભા ખોટે, લલિતા પવાર, રાજેન્દ્ર નાથ જેવા કલાકારોને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી આ ફિલ્મમાં કુલ 8 ગીતો હતાં, જે શૈલેન્દ્ર અને હસરત જયપુરી વચ્ચે વહેંચાયેલાં હતાં. સંગીતકાર હતા શંકર-જયકિશન.

‘વો દિન યાદ કરો’ (લતા, રફી), ‘વો ચલે, ઝટક કે દામન’ (રફી), ‘મુઝકો અપને ગલે લગા લો એ મેરે હમરાહી’ (મુબારક બેગમ, રફી), ‘યે આંસૂ મેરે દિલ કી ઝુબાન હૈ’ તેમજ ‘મૈં અલબેલા, જવાં હૂં રંગીલા’ (રફી) – આ પાંચ ગીતો હસરતની કલમમાંથી નીપજ્યા હતા. ‘દિલ તૂ ભી ગા’ (રફી અને સાથીઓ), ‘મન રે તૂ હી બતા’ (લતા) અને ‘કર કે જિસકા ઈંતજાર’ (લતા, રફી)- આ ત્રણ ગીતો શૈલેન્દ્રે લખ્યાં હતાં. ગીતના શબ્દો સાંભળતાં જ બન્ને ગીતકારોની મુદ્રા પરખાઈ આવે એવી છે.

(‘હમરાહી’ની એલ.પી.રેકર્ડનું કવર) આ પૈકી ‘મૈં અલબેલા, જવાં હૂં રંગીલા’ ગીતને ફિલ્મના ટાઈટલ સોન્ગ તરીકે લેવામાં આવ્યું છે. તેના શબ્દો આ મુજબ છે.
मैं अलबेला, जवां हूं रंगीला
ए दिल, मंज़िल है प्यार की
झूम झूम गाउं
नजारों पे छाउं
सनम, महफ़िल बहार की
मैं अलबेला, जवां हूं रंगीलाए दिल, मंज़िल है प्यार की
झूम झूम गाउं
नजारों पे छाउं
सनम, महफ़िल बहार कीकलियां मेरी राह में
झूमे बिजली बांह में
कलियां मेरी राह में
झूमे बिजली बांह में
खेलूं मैं तो आग से
जाने किस की चाह में
मैं अलबेला, जवां हूं रंगीला
ए दिल, मंज़िल है प्यार की
झूम झूम गाउं
नजारों पे छाउं
सनम, महफ़िल बहार कीमैं अलबेला, जवां हूं रंगीला
ए दिल, मंज़िल है प्यार की
झूम झूम गाउं
नजारों पे छाउं
सनम, महफ़िल बहार कीहसीनों की टोलियां
फूल जिनकी डोलियां
भरती जाये हर कदम
अपने दिल की झोलियां
मैं अलबेला, जवां हूं रंगीला
ए दिल, मंज़िल है प्यार की
झूम झूम गाउं
नजारों पे छाउं
सनम, महफ़िल बहार कीઆ ગીતની ધૂન અને સંગીત પર શંકર-જયકિશનની આગવી મુદ્રા છે.
એટલી નોંધ જરૂરી કે આ ઉપરાંત ૧૯૪૫માં, ૧૯૭૪માં અને ૨૦૦૭માં પણ ‘હમરાહી’ નામે ફિલ્મ રજૂઆત પામી હતી.
આ ગીત નીચેની લીન્ક પર સાંભળી શકાશે.
(તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
ખેડૂતોના પરસ્પરના “ અનુભવોની આપ-લે” શું ખેતીમાં નવું બળ પૂરી શકે ?
કૃષિ વિષયક અનુભવો
હીરજી ભીંગરાડિયા
કોઇ એક જગ્યાએ મેળો ભરાયેલો. તમાશા બતાવી રળી લેનારા ખેલાડીઓ તેવી જગ્યાએ પહોંચી જતાં હોય છે. ત્યાં એક તંબુની બહાર એક બોર્ડ મારેલું, “ અંદર ઘોડો ગાય છે !” અંદર જોવા જવાની ટીકીટ હતી માત્ર એક રૂપિયો. “ હેં ! આપણી જેમ ઘોડો ગીત ગાય છે ?” આવું જોવા જબરી ભીડ જામી હતી.
અંદર જોઇ આવેલા લોકો મનોમન હસતાં હસતાં બહાર નીકળતા, અને અંદર જવા ઉત્સુખ લોકોને એ જોઇ લેવા ખાસ આગ્રહ કરતા હતા એટલે અંદર જવાની પડાપડી વધતી હતી. જેટલા તંબુની અંદર જઇ,જોઇ આવ્યા હતા તે બધું જાણી ગયા હતા કે “ઘોડો કંઇ ગાતો ન હતો” પણ ઘોડા પાસે ગાય બાંધેલી જોવા મળતી હતી ! એટલે તંબુવાળાની વાતને ખોટીયે કેમ કહેવી ? પણ જે લોકો આ રીતે છેતરાયા હતા તેમ બધા છેતરાય તેમાં તેઓ ખુશ હતા. પોતાના અનુભવનો લાભ સૌ કોઇને મળે એવી વૃતિ આપણી રહેતી હોય તો છેતરનારાંના ગપ્પાં હાલતાં વહેલાસર બંધ થઇ જાય.
દુ:ખ વહેંચવાથી ઘટે =
જીવનમાં પછડાટો ખાધા વિના અનુભવ નથી મળતો. પણ અનુભવીઓ પોતાના સંચિત અનુભવો સૌ ને વહેંચતા રહે તો બધાએ પછડાટો નથી ખાવી પડતી. દુ:ખો તો જીવન સાથે જડાએલા જ છે. તેમાંથી રાહત મેળવવી હોય તો અનુભવીઓના ચરણ પકડવા પડે. સયુંક્ત કુટુંબમાં વૃધ્ધોની દોરવણી રહેતી હોય છે. અરે ! વૃધ્ધો વિનાનું ઘર સુકાની વિનાની નાવ જેવું છે. ભલે ઘરડા-બુઢ્ઢા પણ જ્યારે કુટુંબના આવા મોભીછત્રનું મૃત્યું થાય છે ત્યારે કુટુંબના સભ્યોને લાગતો આઘાત નાનો નથી હોતો. ન કરે નારાયણ ને કુટુંબનો કોઇ નાનો જણ મૃત્યુ પામે તો સ્વજનોને લાગતો આઘાત બેભાન બનાવી દે છે.જીંદગીભર એનો આઘાત ઓસરી શકતો નથી. આવા વખતે સૌ સગા-સ્નેહી, ઓળખીતા અને મિત્રો, અને એમાં પણ પાછા મોટી ઉંમરવાળા વડિલો કે જેઓ આવા કૈંક કારમા ઘા સહન કરીને ઘડાયા પિટાયા હોય તેવા આ દુ:ખી કુટુંબની મુલાકાતે આવતાહોય છે. અને તેમના દુ:ખમાં ભાગ પડાવી,ધીરજ બંધાવી, બે શબ્દો દિલાસાના કહી, ધીમે ધીમે દુ:ખના આઘાતમાંથી બહાર નીકળી ફરી દૈનિક વ્યવહારમાં જોડાઇ જવાની સમજણ આપતા હોય છે.
આપણો ખેડૂતોનો જમીન,પાણી,ઝાડવા,છોડવા અને જાનવર-જીવડા સાથેનો ધંધો છે.કુદરતી પરિબળો અને એમાં સર્જાતા આકસ્મિક સંજોગોનો પાર નથી. રાતદાડો જોયા વિના પંડ્ય તૂટી જાય તેટલી મહેનત,બાર મહિના ભગવાનના ભરોસે-કહોને ઉધારે રળતા રહ્યા પછીએ કુટુંબના રોટલા નીકળશે એવુંએ નક્કી નથી.છતાં આપણો બાપ-દાદાનો વ્યવસાય છે, પૂરો પ્રામાણિક ધંધો છે અનેવળી પાયાનોગણાય તેવો મહત્વનો હોઇઆપણે ચોકિયાબળદ જેટલું બળ કરતા હોઇએ છીએ
ખેતીના અનેકવિધ કામોમાં સ્થિતિ પ્રમાણે પધ્ધતિઓ કે રીતોને બદલવી પડતી હોય છે.કારખાના જેવું ખેતીમાં એકધારું કામ નથી હોતું.કેટલીકવાર એવું કામ થઇ જાય છે કે આપણે ભુંડીરીતે નુકશાની વેઠવાનો વારો આવી પડ્યો હોય ! આપણી કોઇ નાનકડી ભૂલના પરિણામે ક્યારેક આખેઆખી સીઝન ખોવી પડે તેવી કઠણાઇ બેસી જાય છે. ત્યારેતો આપણે એવી જ ગાંઠ વાળી લીધી હોય કે “આવી ભૂલ તો ફરીવાર ન જ કરવી !” આટલું અનુભવે શિખ્યાપછી બીજીવાર આ ભૂલનો ભોગ ન બનીએ એ ખરું, પણ માર ખાવામાંથી તો ન બચી શક્યાને ? કોઇ એકે કરેલી ભૂલની જાણ જો બીજા ધંધાર્થી ભાઇઓને કરી હોય તો આપણા અનુભવમાંથી તેઓ “ધડો” લઇ શકે, અને તેઓ આવી ભૂલ કરવામાંથી સમૂળગા બચીજાય, અને કોઇ એકે ભોગવેલા માઠાં પરિણામ સહન કરવાનો વારો અન્ય કોઇને ન આવે એવું ન થઇ શકે ? એટલે એવી ભૂલો બધાને કરતા અટકાવવા માટે થઇને પણ આપણને થયેલ માઠા અનુભવની આપલે એકબીજાને કરવી અત્યંત જરૂરી છે
“નાપાસ” થયાની જાણ =
થોડા વરસો પહેલાં એક ઉફાળો ખાસ કરીને મોટાફાર્મવાળા ખેડૂતોમાં સાગની ખેતી કરવા તરફ ઉઠ્યો હતો. એની આવકના હિસાબો કેલ્ક્યુલેટર નાનાં પડે એવા મુકાતાં હતાં નાના-મોટા સૌ ખેડૂતો સાગના પ્લાંટેશનમાં પૈસા રોકતા હતા. હું પણ એની સ્વતંત્ર જોખમવાળી દોડમાં જોડાયો હતો. મેં મારી વાડીમાં મારા પોતાના જ રોકાણથી ૧૦ એકરમાં સાગનું રોપાણ કરેલું. બધી જ જાતની સગવડો- સારામાંસારી જમીન,પાણી પીવા ટપક પધ્ધતિ, ગોવાળી કરવા ખડેપગે હાજર હું અને મારી આખી ટોળકી.. પાણી માગેત્યાં દૂધ હાજર કર્યું. ખેડૂત આલમમાં આની જહેરાત પણ સારી થયેલી. એથી કૈંક ટોળાં એને જોઇ વખાણી ગયેલાં. સાત વર્ષ ભગવાનને પ્રસન્ન કરવા જેટલું આ સાગને રીઝવવા તપ કર્યું પણ એ ન રીઝ્યો. મારું ગણિત ખોટું પડ્યું. આઠમે વર્ષે વિદાય કાર્યક્રમ ગોઠવવોપડ્યો. આ વાત હું સૌરાષ્ટ્રના ખેડૂતોને ન કહું તો ફરજ ચૂક્યો ગણાંઉ. પેલી “ઘોડો ગાય છે” વાળી વાત કીધે રાખું તો બીજા કંઇ કેટાલાયે અંટાઇ જાય. વધુ જણને તંબુમાં જતાં રોકવા તે મારી ફરજ ગણાય.
સુખ વહેંચવાથી વધે =
દીકરાના લગ્ન હોય અને “હું, તું અને રતનિયો” –મા-બાપ અને મુરતિયો ત્રણે હરખમાં ચડીએ તો હરખ વધી વધીને કેટલોક વધે ? પણ એ આનંદમાં જ્યારે બહોળા સ્નેહી-સંબંધી,ઓળખીતા, મિત્રો-મુરબ્બીઓ સૌ ભળે ત્યારે પ્રસંગ કેવો દીપી ઉઠે ? હોય લગ્ન કે લેવાણું હોય મકાનનું વાસ્તુ-પૂજન, નાના ભૂલકાનો જન્મ દિવસ હોય કે હોય સરખે સરખા મિત્રો વચ્ચેની મિજબાની ! એ બધા સામુહિક આનંદના રૂડા અવસરો ગણાય. એને ક્યારેય એકલા એકલા ઉજવતા નથી. યથાશક્તિ આમંત્રણો આપી આપણા આનંદ અને સુખમાં બીજાને ભાગીદાર બનાવીએ છીએ. જેમ દુ:ખ વહેંચવાથી ઘટે છે તેમ સુખ વહેંચવાથી વધે છે.
“લાભ” થયાની વાત =
ખેતીમાંયે એની આનુસંગિક બાબતો-પાણી,પોષણ,સંરક્ષણ કે બિયારણ જેવી કોઇપણ બાબતો, નવી વાત, તરીકો, પધ્ધતિ-આંખો ઉઘાડી રાખીએ તો જરૂર પકડાઇ જતી હોય છે. એનાથી જો ઉડીને આંખે વળગે એવો લાભ દેખાવા માંડ્યો હોય તો તેનો ફેલાવો કેમ ન કરાય ભૈ ? દા.ત. દૂધીના વેલામાં બરાબરનું નિરીક્ષણ કરી, ડુંખો કાપતા રહેવાથી મળતું અઢીગણું વધારે ઉત્પાદન, કપાસમાં ત્રણ-સાડાત્રણ ફૂટની ઉંચાઇ પછી તેનું માથું મોરી લીધા બાદ 20-25 દિવસ પછી બાજુની ડાળીઓની પણ ડુંખો મોરી લેવાથી ઉત્પાદનમાં મેળવાતો લાભ, હવે અમારે ત્યાં પ્રયોગ મટી વ્યવહાર બન્યો છે તે રૂબરૂ નજરે બતાવી જાણ ન કરું તો એ કંઇ બરાબર કહેવાય ?
એક દ્રષ્ટિવાન ખેડૂત એક કૃષિ વિજ્ઞાની જેવી સંશોધન શક્તિ ધરાવે છે. નિતનવા પ્રયોગો અને નુસ્ખાઓ તેની કોઠાસૂઝમાંથી નીકળ્યા કરતા હોય છે. ઘણીવાર નિષ્ફળતા પણ મળતી હોય છે, પણ એ જ નિષ્ફળતા નવી નવી તરકીબો સુઝાડે છે. અને છેવટે મળનારી સફળતા બધી નુકશાનીનું વટક વાળી દે છે. આવી સફળ વાતોનો સીધો લાભ, લેવા ઇચ્છે તેવા અન્ય ખેડૂતો પણ લઇ શકે તેવું કરવાની માત્ર “ફરજ” નહીં, પણ “નૈતિક જવાબદારી” એવા સંશોધક ખેડૂતની ગણાય મિત્રો !
અનુભવ આપ-લે ની પધ્ધતિઓ =
[1] વાતોના માધ્યમથી = મેં જોયું છે કે જ્યારે જ્યારે ખેડૂતોએ એકબીજાને મળવાનું થાય છે,ત્યારે સહેજે ખેતીની વાતો કરતા રહેતા હોય છે. આ રીતે મળનારાં સ્થળ અને પ્રસંગો ઓછાં નથી હોતાં.
ક્યારેક કોઇ કૌટુંબિક પ્રસંગોમાં ભેગા થઇ જતાં સહેજે વાત નીકળે ત્યારે, ક્યારેક આપણી વાડીએ અન્ય ખેડૂતોને જોવા-સમજવા આવવાનું થાય ત્યારે, આપણે બીજાની વાડીએ આવાકોઇ હેતુ માટે જવાનું થાય ત્યારે, કે કોઇ ચર્ચાસભા કે સેમિનારમાં ભાગ લેવાનું બને ત્યારે “વાતો” દ્વારા અનુભવની આપલે કરી શકતા હોઇએ છીએ.બહુ બળકટ અનુભવ હોય તો રેડિયો પ્રસારણ દ્વારા,કે કોઇ તાકીદના પ્રશ્નના નિવારણાર્થે આજેતો ટેલીફોનથી પણ એકબીજાના અનુભવઆપલે શક્ય છે
[2]નજરો નજર નિદર્શન કરીને = માત્ર કાનથી સાંભળવા કરતાં આંખથી જોયેલ ઘટના કે વાત વધુ અસર પહોંચાડતી હોય છે, કોઇ વધુ વજનદાર મુદ્દાની ધારી અસર પહોંચાડવા વાડીપર જીવંત નિદર્શન, કે જ્યાં મોટી સંખ્યામાં ખેડૂતો ભેળા થવાના હોય તેવા કૃષિમેળા કે સંમેલનોમાં સફળતાનું મોડેલ ઊભુ કરી, અગરતો એ પ્રયોગ કે પ્ધ્ધતિની દ્રશ્ય-શ્રાવ્ય સીડી તૈયાર કરી મોટા સમૂહને દેખાડી સારી વાતનું વિસ્તરણ કરી શકાતું હોય છે.
[3]લેખન-વાંચનથી = અંદરો અંદરની વાતચીત કે સમાચાર માટે મોબાઇલ-ફોન દ્વારા એક અદ્યતન સુવિધા ઊભી થઈ જતાં પત્રો-ટપાલનું વજન હળવું થઈ ગયું છે. છતાં કેટલીય વિગતો ખેડૂતો પત્રો લખીને એકબીજાને પૂછતા રહેતા હોય છે. પત્રો દ્વારા હું તો ઘણાબધાં ખેડૂતો સાથે ગોષ્ટિ કરતો રહેતો હોઉં છું. પત્રો એકબીજાના અનુભવની આપલે માટેનું ઉત્તમ માધ્યમ છે. અરે ! બહોળા સમાજને ઉપયોગી કોઇ અનુભવ આપણને થયો હોય તો “અખબાર” અને “કૃષિમેગેઝીનો” સામેથી આવા –સૌને લાભના સમાચારો, વિગતો, અનુભવો હોંશે હોંશે પ્રસિધ્ધ કરવા તંત્રી અને સંપાદકશ્રીઓ આતુર હોય છે. આપણે તેમને વ્યવસ્થિતરીતે લખી મોકલવા જોઇએ. અરે ! કોઇની પાસે વધુ અનુભવનો ખજાનો ભેગો થયો હોય તો ‘પુસ્તક” રૂપે પ્રસિધ્ધ કરી, બહોળા ખેડૂતવર્ગ માટે કાયમી ભાથારૂપ સંભારણું પણ બનાવી શકાય.
સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ : krushidampati@gmail.com
-
ઉદ્યાનવિદ્યા
મ. ઝ. શાહ
બળદેવભાઈ પટેલ
વનસ્પતિઓના સંવાદી (harmonious) સમૂહન(grouping)ની કે તેમની આનંદદાયક ગોઠવણીની કલા તેમજ તેમના ઉછેર અને સંતોષજનક વૃદ્ધિ સાથે સંકળાયેલી પદ્ધતિઓનું વિજ્ઞાન. ઉદ્યાનવિદ્યા ઉદ્યાનકૃષિ (horticulture : આ લૅટિન શબ્દ hortus, garden અને colere, to cultivate પરથી ઊતરી આવ્યો છે.) સાથે ગાઢ રીતે સંબંધિત છે. ઉદ્યાનકૃષિ, શાકભાજી, ફળ અને શોભન-વનસ્પતિઓ (ornamentals) જેવા ઉદ્યાન-પાકોના ઉછેર સાથે સંકળાયેલ કૃષિવિજ્ઞાનની શાખા છે.
મનુષ્ય ઘણા હેતુઓ માટે ઉદ્યાન બનાવે છે. તેમનાં ઘર અને ઉદ્યાનને સુંદર બનાવવા પુષ્પો અને અન્ય શોભન વનસ્પતિઓનો ઉછેર કરે છે. તે શાકભાજી, ફળો અને શાકીય જાતિઓનું વાવેતર પણ કરે છે; કેમ કે, ઘેર ઉગાડેલી નીપજ બજાર કરતાં વધારે સસ્તી, તાજી અને સ્વાદિષ્ટ હોય છે. લોકોને ઉદ્યાન ગમે છે; કારણ કે વનસ્પતિઓની સાથે કામ કરવાથી વ્યાયામ, વિશ્રાંતિ (relaxation) અને આનંદ પ્રાપ્ત થાય છે. પુષ્પો માનવજીવનમાં જન્મથી માંડી મૃત્યુ પર્યંતના સારા-માઠા બધા પ્રસંગોમાં ઉપયોગી થાય છે.
ગૃહોદ્યાન (home garden) બનાવવા વિવિધ વનસ્પતિઓ સફળતાપૂર્વક ઉગાડી શકાય તે માટે હવે વિવિધ પ્રકારની માહિતી સુલભ છે. શિખાઉ માળી માટે ઉદ્યાનવિદ્યાનાં બધાં પાસાંઓને આવરતી ઓછી ખર્ચાળ પુસ્તિકાઓ પણ ઉપલબ્ધ થઈ છે. બીજ, વનસ્પતિઓ અને ઉદ્યાન માટે જરૂરી સાધનો વેચતી મંડળીઓ તેમની નીપજોના ઉપયોગ વિશે માહિતી આપતી પુસ્તિકાઓ વિના મૂલ્યે આપે છે. સ્થાનિક ઉદ્યાનકેન્દ્રો પણ માર્ગદર્શન અને સલાહ આપી શકે છે. ઘણાં સમાચારપત્રોમાં તેના વિશે ખાસ કૉલમ આપવામાં આવે છે, અને ઘણાં રેડિયો અને દૂરદર્શન-કેન્દ્રો દ્વારા ઉદ્યાનવિદ્યા સંબંધી કાર્યક્રમોનું પ્રસારણ થાય છે.
ઉદ્યાનવિદ્યા સાથે માણસોની કારકિર્દી પણ સંકળાયેલી હોય છે; જેમાં બજાર માટે નીપજોના ઉત્પાદનથી માંડી વનસ્પતિ-ઉદ્યાનો(botanical gardens)ના પ્રબંધ સુધીનો સમાવેશ થાય છે. વનસ્પતિ ઉદ્યાનોમાં કલાત્મક, શૈક્ષણિક અથવા વૈજ્ઞાનિક હેતુઓ માટે વનસ્પતિઓનો ઉછેર કરવામાં આવે છે. ઘણા લોકો [પુષ્પોત્પાદકો (florists), ઉદ્યાનીય સામગ્રીના વિક્રેતા, અથવા ધરુવાડી-શ્રમિક (nursery worker)] ઉદ્યાનમાં વનસ્પતિઓ ઉછેરી વેચે છે. ર્દશ્યભૂમિ-સ્થપતિ (landscape-architect) ઉદ્યાનો અને અન્ય ભૂમિવિસ્તારોની યોજના આપી તેનો વિકાસ કરે છે. ઉદ્યાનવિદ્યા સાથે સંબંધિત અન્ય કારકિર્દીમાં ઉદ્યાનો, જાહેર ઇમારતો અને ખાનગી સંપદાઓના ભૂમિપ્રબંધનો સમાવેશ થાય છે.

આકૃતિ 1 : વૈધિક પુષ્પોદ્યાન ઉદ્યાનવિદ્યા હવે વધારે ને વધારે જાણીતી થતી જાય છે. દુનિયાભરનાં લાખો લોકો ગૃહોદ્યાન બનાવવામાં રસ દાખવે છે. 20મી સદીના ઉત્તરાર્ધમાં મજૂરીની કિંમત વધતાં અને તેની અછત થતાં જાહેર ઉદ્યાનોની વિરુદ્ધ ખાનગી ઉદ્યાનોનાં કદ અને તેમાં ઉગાડાતી શોભન-જાતિઓની સંખ્યામાં મર્યાદા આવી છે; આમ છતાં ઉદ્યાનકૃષિ માટેની અભિરુચિમાં ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણ પ્રદેશોમાં એકંદરે વધારો થયો છે. ઉદ્યાનોની સંખ્યામાં પણ વધારો થયો છે. શ્રમ ઘટાડતાં સાધનોનો વિકાસ, ઉછેરની ઔપચારિક (formal) પદ્ધતિઓને બદલે વધારે કુદરતી પદ્ધતિઓ વિશેની માહિતીની પ્રાપ્યતા, વનસ્પતિદેહધર્મવિદ્યા અને જંતુ-નિયંત્રણમાં થયેલાં આધુનિક સંશોધનોએ ઉદ્યાનકૃષિના વ્યવસાય અને શોખ તરીકેના પ્રસારને સંભવિત બનાવ્યો છે.

આકૃતિ 2 : શાકભાજી અને પુષ્પોદ્યાન ગૃહોદ્યાન :
ઘરની આસપાસ રહેલી ખૂલ્લી જમીન ઉપર ઉદ્યાન બનાવી તેનું આકર્ષણ પુષ્કળ પ્રમાણમાં વધારી શકાય છે. આવા ગૃહોદ્યાનોની કેટલીક ખાસ મૂળભૂત લાક્ષણિકતાઓ આ પ્રમાણે છે : (1) જે સીમામાં ઉદ્યાન બનાવવાનો હોય તેની પૃષ્ઠભૂમિ (background) તરીકે વનસ્પતિની કે તારની વાડ, ક્ષુપીય સરહદ (shrub border) કે દીવાલ તૈયાર કરવામાં આવે છે. (2) ઉદ્યાનમાં આનંદપ્રમોદ માટે અને તેનો ઉપભોગ કરવા માટે માર્ગો, વૃક્ષ-વીથિકા (avenue) અને બેઠકો તૈયાર કરવામાં આવે છે. આવા વિસ્તારો અલગ વિકસાવવામાં આવે છે. (3) અસામાન્ય કે અત્યંત સુંદર વનસ્પતિઓ, શિલ્પ, કુંડ (pool) અને જળધોધ જેવાં કેટલાંક ધ્યાનાકર્ષક સ્થાનો તૈયાર કરવામાં આવે છે. (4) ઔપચારિક (formal), અનૌપચારિક (informal), પરંપરાગત (traditional) અથવા સમકાલીન (contemporary), નૈસર્ગિક (natural) કે વિદેશી (exotic), સંવર્ધિત (subdued) જેવી વિવિધ ભાતોમાં ઉદ્યાન-વિકાસ કરી શકાય છે.
આ મૂળભૂત લાક્ષણિકતાઓ એકરૂપ (unified) અને સર્વાંગી (overall) ઉદ્યાનની યોજના તૈયાર કરવામાં મદદરૂપ થાય છે. આ યોજના રોપણ(planting)ના મોસમી (seasonal) વિકાસની અને મોટાં વૃક્ષો અને સ્થળાકૃતિક (topographic) લક્ષણો જેવા વધતે ઓછે અંશે સ્થાયી પ્રકૃતિવાળા ગુણધર્મોની માહિતી આપે છે.
ઉદ્યાનની પદ્ધતિઓ :
ઉદ્યાનની પદ્ધતિ ઔપચારિક અને ક્રમિત (ordered) [જેમાં સમમિત (symmetrical) સંતુલન અને વનસ્પતિઓનું નિયમિત સમૂહન સ્પષ્ટપણે જોવા મળે છે.]થી માંડી અનૌપચારિક અને નૈસર્ગિક [જેમાં મૂળભૂત રીતે કુદરતમાં હોય તેવી માત્ર કુશળતાપૂર્વક રૂપાંતરિત ભાત જોવા મળે છે.] પ્રકારની જોવા મળે છે; પરંતુ હવે કોઈ એક પદ્ધતિ ચુસ્ત રહી નથી. ઉદ્યાનમાં પ્રત્યેક પદ્ધતિની લાક્ષણિકતાઓ મિશ્ર થયેલી હોય છે. પરંપરાગત ઉદ્યાનો સીમાઓ અને ક્યારીઓની ગોઠવણીમાં ઉત્કૃષ્ટ હોય છે અને સમકાલીન ઉદ્યાનો (જેમાં ભાતનાં તત્વો સામાન્ય રીતે સહેલાઈથી નજરે ચડે તેવાં હોય છે અને સ્પષ્ટપણે મનુષ્યની અસર દર્શાવે છે.) સાથે ઘણી વાર વિરોધાભાસ દર્શાવે છે. જાપાની ઉદ્યાનોના આયોજન પર બૌદ્ધ વિચારસરણીની અસર દેખાય છે. એક નાનકડી ટેકરી, ફરતે પાણી, નાનકડો પુલ, થોડા પથ્થરો, ઝૂકતાં વૃક્ષો, પથ્થરનો બનાવેલો દીવો, પથરાળ માર્ગ અને ફરતે દીવાલ કે તારની વાડ તેની વિશિષ્ટતાઓ છે. એકાદા પથ્થર ઉપર બેસી નિરાંતે ચિંતન થઈ શકે અને રંગોની બહુ ઝાકઝમાળ ન હોય તેવા સ્થાનનું નિર્માણ જાપાની ઉદ્યાનની ખૂબી છે. ભારતમાં દિલ્હી, હૈદરાબાદ, મૈસૂર વગેરે સ્થળોએ આ પ્રકારના પરંપરાગત ઉદ્યાનો જોવા મળે છે.
ભારતીય ઉદ્યાન-પદ્ધતિની વિશિષ્ટતાઓ મુખ્યત્વે વૃક્ષો, લતામંડપો અને વિહાર માટેની વિશાળ જગાઓ છે. પહેલાં ઉપયોગની ર્દષ્ટિએ જુદાં જુદાં નામ આપવામાં આવતાં; જેમ કે, પ્રમોદઉદ્યાન રાજા અને રાણી માટેનો આનંદ-પ્રમોદ કરવાનો ઉદ્યાન ગણાતો હતો. રાજા, મંત્રીઓ અને નગરજનો વગેરેને મળવાનો અને તેમની સાથે નૃત્ય જોવા માટે અલગ ઉદ્યાન તૈયાર કરવામાં આવતો હતો. વૃક્ષવાટિકા રાજ્યના અમલદારો માટેનું આનંદ-પ્રમોદનું સ્થાન ગણાતું હતું અને દેવતાઓની પૂજા-અર્ચના અને યજ્ઞ કરવા માટેના ઉદ્યાનને ‘નંદનવન’ તરીકે ઓળખવામાં આવતો હતો.

આકૃતિ 3 : બ્રિટિશ ઉદ્યાનનું મુખ્ય લક્ષણ લૉન છે. લૉનની સીમા ઉપર આઇરિસ અને ગુલાબ જેવી સપુષ્પ વનસ્પતિઓ અને ક્ષુપ ઉગાડવામાં આવે છે. સામાન્ય રીતે પાણીના લાંબા હોજ, બે બાજુએ રસ્તા, તેની બાજુમાં વિશાળ લૉન, હોજ અને રસ્તાને કાટખૂણે બીજા રસ્તાઓ અને બંને બાજુએ એકસરખાં લાગે તેવાં સુંદર આકારવાળાં વૃક્ષ મુઘલ પદ્ધતિની વિશિષ્ટતાઓ છે. આમાં પણ એક પછી એક કક્ષા નીચે જવાથી જુદી જુદી અગાસીઓ જેવું ર્દશ્ય દૂરથી દેખાય છે. પાણીના હોજમાં ફુવારાઓ અને લૉનમાં પુષ્પની ક્યારીઓ પણ હોઈ શકે. મૂળ ઈરાનમાંથી લાવીને આ કળા મુઘલોએ ભારતમાં દાખલ કરી અને ભારતની આબોહવા પ્રમાણે તેમણે ઉદ્યાનની રચનામાં કેટલાક ફેરફાર કર્યો. આગ્રાના તાજમહાલનો ઉદ્યાન, પીંજોરનો ફદૈખાન ઉદ્યાન અને કાશ્મીરનો શાલીમાર ઉદ્યાન આ પદ્ધતિના જાણીતા ઉદ્યાનો છે.
બ્રિટિશ પદ્ધતિમાં સીધા રસ્તા, વિશાળ લૉન અને લૉનની સીમાઓ ઉપર પુષ્પની ક્યારીઓ, છોડ કાપીને આપેલા જુદા જુદા આકર્ષક આકારો, ફુવારાઓ, પૂતળાં વગેરે ખાસિયતોનો સમાવેશ થાય છે. ઇંગ્લૅંડનો પ્રખ્યાત રૉયલ બૉટેનિકલ ગાર્ડન ક્યુ વિશ્વનો સૌથી મોટો વનસ્પતિ-ઉદ્યાન છે. નાઇમેન્સ હૅન્ડ ક્રૉસ ગાર્ડન નૉર્થ સસેક્સમાં આવેલો બ્રિટિશ ઉદ્યાન છે.
ઔપચારિક અને અનૌપચારિક ઉદ્યાનોના સંદર્ભમાં એક રસપ્રદ નિરીક્ષણ એ જોવા મળ્યું છે કે સૈનિક, પોલીસ કે સરકારી નોકરીમાં નિયમોની ચુસ્તતામાં રહેલી વ્યક્તિઓ મોટેભાગે અનૌપચારિક ઉદ્યાન પસંદ કરે છે, જ્યારે વેપારી વર્ગની વ્યક્તિઓને ઔપચારિક ઉદ્યાન ગમે છે. મૈસૂરનો વૃંદાવન ગાર્ડન કે દિલ્હીમાં રાષ્ટ્રપતિનો ઉદ્યાન ઔપચારિક ઉદ્યાન છે; જ્યારે દિલ્હીનો બુદ્ધજયંતી પાર્ક કે ગુજરાતમાં ગાંધીનગરનો બાલોદ્યાન કે સરિતા-ઉદ્યાન અનૌપચારિક ઉદ્યાનો છે.
ઉદ્યાનનાં સ્થાયી તત્વો :
ઉદ્યાનના આયોજનમાં લૉન, ટર્ફ (turf), ભૂમ્યાવરણ (ground cover), ક્ષુપ, લતાઓ અને વૃક્ષો ઘણુંખરું સ્થાયી વનસ્પતિઓ ગણાય છે. અલ્પ આયુષ્ય ધરાવતી એકવર્ષાયુ, દ્વિવર્ષાયુ કે બહુવર્ષાયુ શાકીય કે કંદિલ વનસ્પતિઓ સતત કાળજી માગતી અસ્થાયી (transitory) વનસ્પતિઓ છે.
લૉન અને ભૂમ્યાવરણ :
કોઈ પણ ઉદ્યાન લૉન વગર અધૂરો જ ગણાય. તે લીલા રંગનો મખમલી ગાલીચો પાથર્યો હોય તેવું મનોરમ ર્દશ્ય આપે છે. લૉનમાં બેસવું-ચાલવું અત્યંત આહલાદક હોય છે. ઉદ્યાનમાં વિશાળતા લાવવા માટે લૉન અનિવાર્ય છે, લૉન ઘાસની બનતી હોય છે. આવાં ઘાસભૂમિના સમતલથી થોડાંક ઊંચાં (લગભગ 7.5 સેમી.થી. 10 સેમી.) રાખવામાં આવે છે. આવા આવરણ માટે ઘાસ જ માત્ર યોગ્ય હોય છે, તેવું નથી. કોઈ પણ નીચી ઊગતી અને ઝડપથી જમીન ઉપર ફેલાતી – ભૂપ્રસારી વનસ્પતિઓનો લૉન તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આવાં ઘાસ સિવાયનાં ભૂમિ ઉપરનાં આવરણોને ભૂમ્યાવરણો કહે છે.
ઠંડા પ્રદેશોમાં સૂક્ષ્મ-ગઠિત (fine-textured) લૉન માટે ઉપયોગમાં લેવાતાં મુખ્ય ઘાસમાં ફૅસ્કુ (Festuca species), બ્લૂ ઘાસ (Poa species) અને બૅંટ(Agrostis species)નો સમાવેશ થાય છે. ઘણી વાર આ જાતિઓ મિશ્રપણે ઉગાડાય છે. વધારે રુક્ષ લૉન માટે રાયઘાસ (Lolium species) મિશ્ર કરવામાં આવે છે. શુષ્ક ઉષ્ણકટિબંધીય અને ઉપોષ્ણકટિબંધીય પ્રદેશોમાં ઘણી વાર બર્મુડા (ધરો) ઘાસ(Cyanodon dactylon)નો ઉપયોગ થાય છે. લૉન માટેનાં ઘાસ વ્યવસ્થિત રોપી, ખાતર અને પાણી પ્રમાણસર આપી, ઉગાડી એ સમયસર કાપવામાં આવે છે. હવે તો ટેકરા જેવો આકાર આપીને કે લાંબા ઢોળાવ બનાવીને ‘રોલિંગ લૉન’ તૈયાર કરવામાં આવે છે. તે અત્યંત ચિત્તાકર્ષક હોય છે. નાના ઉદ્યાનમાં રોલિંગ લૉનનું સ્થાન હોતું નથી.
જ્યાં ઘાસ ઓછા પ્રમાણમાં થઈ શકતું હોય ત્યાં ભૂમ્યાવરણ તૈયાર કરવા ઘાસની અવેજીમાં બહુવર્ષાયુ વનસ્પતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. કેટલીકવાર ઘાસવાળી લૉનમાં ઇચ્છિત ભાત ઉત્પન્ન કરવા આવી વનસ્પતિઓને મિશ્ર રીતે ઉગાડાય છે. ભૂમ્યાવરણ-વનસ્પતિઓ ઘેરો લીલો, તાંબા જેવો રંગ કે અન્ય રંગો ઉત્પન્ન કરી ટર્ફના લીલા રંગમાં મનોરંજક વિપર્યાસ (contrast) ઊભો કરે છે. જોકે ભૂમ્યાવરણ લૉન જેટલું ટકાઉ હોતું નથી અને અવરજવર અને અન્ય પ્રવૃત્તિઓ સામે ટકી શકતું નથી. ભૂમ્યાવરણ તરીકે ઉપયોગમાં લેવાતી વનસ્પતિઓમાં જાપાની ર્સ્પજ (Pachysandra terminalis), સામાન્ય પેરીવિંકલ (Vinca minor), લિલી ઑવ્ વેલી (Covallaria majalis), બ્યૂગલ વીડ (Ajugo reptans), બિશપનું અપતૃણ (Aegopodium podagraria), સ્ટોનક્રૉપ (Sedum species), ડાઇકૉન્ડ્રા (Dichondra repens) અને આઇવી(Hedera species)નો સમાવેશ થાય છે.
ક્ષુપ અને લતાઓ :
ક્ષુપ નાની કાષ્ઠીય વનસ્પતિઓ છે અને જમીનની નજીકથી કેટલીક શાખાઓ આપે છે. તેઓ વધારેમાં વધારે 6 મી. સુધી.ની ઊંચાઈ પ્રાપ્ત કરે છે. આધુનિક ઉદ્યાનોમાં ઘણીવાર તેઓ સૌથી મોટો ભાગ રોકે છે, કારણ કે તેમનો ઉછેર શાકીય જાતિઓ કરતાં ઓછી મજૂરીએ થાય છે અને કેટલાક પુષ્પીય ક્ષુપો લાંબા સમય સુધી પુષ્પનિર્માણ કરે છે. જાણીતાં ક્ષુપોમાં ચાંદની (Ervatamia divaricata), જાસૂદ (Hibiscus rosa-sinensis), કરેણ (Nerium indicum), ટૅકોમા (Tecoma species), કેલિયાન્ડ્રા (Calliandra species), ગુલાબ (Rosa species), મોગરો (Jasminum species), પારિજાતક (Nyctanthus arborstristis), રાતરાણી (Cestrun nocturnum), દિવસનો રાજા (C. diurnum), લીલો ચંપો (Artabotrys hexapetalus), ઇન્દ્રધનુ (Lantana camara, L. indica), ગલતોરો (Caesalpinia pulcherrima), ઇક્ઝોરા (Ixora coccinea) અને ચિનાઈ મેંદી (Lagerstromia indica) વગેરે વિવિધરંગી સુંદર પુષ્પો આપતી ક્ષુપની જાતિઓ છે. આ ઉપરાંત, લિલિયેક (Syringa vulgaus), પ્રિવેટ (Ligustrum species), સ્પાઇરેરિયા (Spirarea species), હની સકલ (Lonicera species), ફોરસીથિયા (Forsythia species), મૉક ઑરેન્જ (Philadelphus species), હાઇડ્રેન્જિયા (Hydrangia species), રહોડોડેન્ડ્રૉન (Rhododendron species) પણ સુંદર ક્ષુપો છે.
જ્યાં કમાન અથવા એવો બીજો કોઈ આધાર હોય ત્યાં લતાનું પોતાનું આગવું આકર્ષણ હોય છે. લતાનો મંડપ બનાવવા કે પડદા તરીકે પણ ઉપયોગ થાય છે. સીધા ઢોળાવો ઉપર ભૂમ્યાવરણ તરીકે અને ધાબા ઉપર છાયા અને ઠંડક માટે તે ઉગાડવામાં આવે છે. ઉદ્યાનમાં વાવવામાં આવતી કેટલીક જાણીતી શોભન લતાઓમાં તિલોત્તમા [ટ્રમ્પેટ વાઇન (Tecoma અથવા Campsis radicans)], મોરવેલ (Clematis species), પડદાવેલ (Vernonia scandens), વિસ્ટેરિયા (Wisteria sinensis), વેલ મોગરો, જુઈ, ચમેલી (Jasminum species), કૃષ્ણકમળ (Passiflora species), મધુમાલતી (Quisqualis indica), મધવેલ (Combretum coccinum), માધવી લતા (Hiptage senghalensis), જક્ષિણી (Jaquemontia violacea), ચાઇનીઝ ટ્રમ્પેટ ક્રીપર (Tecoma grandiflora), ક્લેરોડેન્ડ્રૉન (Clerodendron splendens, C. thomsone), નીલપ્રભા (Petrea volubilis), નખવેલ (Bignonia unguis-cati), મૉર્નિંગ ગ્લોરી (Ipomoea palmata), આઇસક્રીમ વેલ (Antigonon leptopus) વગેરેનો સમાવેશ થાય છે. આ લતાઓ સુંદર સુગંધિત પુષ્પો આપે છે. બોગનવેલ(Bougainvillea spectabilis)ની જુદી જુદી જાતો કાષ્ઠીય લતાઓ છે. તેને કાપીને ક્ષુપ-સ્વરૂપે વિકસાવી શકાય છે. તેને પુષ્પો પુષ્કળ પ્રમાણમાં આવે છે અને દૂરથી ધ્યાન ખેંચે છે.
વૃક્ષો ઉદ્યાનનું સૌથી અનિવાર્ય અંગ છે. તેઓ ઉદ્યાનને એક જાતનું ગૌરવ અને ઠરેલપણું આપે છે અને તેને મર્યાદિત કરવામાં તેમજ તેની વિશાળતા વધારવામાં બંને રીતે ઉપયોગી છે. કેટલાંક વૃક્ષો સુગંધિત પુષ્પો આપે છે, તો અન્ય કેટલાંક સુંદર આકાર સર્જી આંખને આકર્ષે છે. કેટલાંક વૃક્ષો કોયલ, પોપટ અને મોર જેવાં આકર્ષક પક્ષીઓને આશ્રયસ્થાન આપે છે, તો કેટલાંક શીતળતા બક્ષતો છાંયો આપે છે. વૃક્ષોના કદ, આકાર અને રંગનું વૈવિધ્ય ઉદ્યાનના સૌંદર્યમાં વૃદ્ધિ કરે છે. પાઇન, સ્પ્રુસ જેવાં સદાહરિત વૃક્ષો અને ઑક, મૅપલ અને બીચ જેવાં પર્ણપાતી વૃક્ષો વચ્ચેનું સંતુલન ઉદ્યાનને સુરક્ષા આપે છે અને સમગ્ર વર્ષ દરમિયાન ચક્ષુર્ગમ્ય મનોરંજન પૂરું પાડે છે.
અશોક (Saraca indica), કદંબ (Anthocephalus cadamba), બકુલ કે બોરસલ્લી (Mimusops elengi), બકાન લીમડો (Melia azadirach), ચંપો (Michelia champaka), બૂચ (Millingtonia hortensis) જેવાં વૃક્ષો સુગંધિત પુષ્પો આપે છે.
પીળાં પુષ્પોથી લચી પડતા ગરમાળા (Cassia fistula), પેલ્ટોફોરમ (Peltoforum pterocarpum), પારસપીપળો (Thespesia populnea); ગુલાબી પુષ્પથી આકર્ષક બનતા ગુલાબી કેસિયા(Cassia species)ની જાતો અને કચનાર (Bauhinia tomentosa); લાલ-કેસરી રંગનાં પુષ્પોથી છવાઈ જતો ગુલમહોર (Delonix regia); સફેદ-પીળા રંગનાં પુષ્પોથી લદાતો ખડચંપો (Plumeria acuminata); લાલ રંગનાં પુષ્પોથી સુંદર દેખાતા શીમળા (Salmalia malbarica), કૉર્ડિયા (Cordia sebestena), સ્પૅથોડિયા (Spathodea campanulata) અને કેસૂડા (Butea monosperma); ભૂરા રંગથી જુદાં તરી આવતાં જેકેરેન્ડા (Jacaranda acutifolia) – આ બધાં વૃક્ષોનો ઉદ્યાન-નિર્માણમાં અનોખો ફાળો હોય છે.
લીમડા (Azadirachta indica), આસોપાલવ (Polyalthia longifolia), શિરીષ (Albidzia lebbek), વડ (Ficus benghalensis), પીપળો (F. religiosa) વગેરે વૃક્ષોની છાયામાં શીતળતા અનુભવાય છે. રૉયલ પામ (Roystonea regia), ટ્રાવેલર્સ ટ્રી (Ravenala madagascariensis), ક્રિસ્ટમસ ટ્રી (Araucaria excelsa), ઊભા આસોપાલવ (પેન્ડ્યુલા) વગેરે વૃક્ષોનો દેખાવ જ મનોહર હોય છે. આ બધામાં આંબા (Mangifera indica), ચીકુ (Manilkara zapota), લીંબુ (Citrus limon), કરમદાં (Carissa carandas), આમલી (Tamarindus indicus), કમરખ (Averrhoa carambola), કાજુ (Anacardium occidantle), દેશી બદામ (Terminalia catappa) જેવાં ફળ આપતાં વૃક્ષો ઉમેરીએ તો ઉદ્યાનની પૂર્ણતા સધાય છે.
અસ્થાયી તત્વો :
આ પ્રકારની વનસ્પતિઓમાં એકવર્ષાયુ, દ્વિવર્ષાયુ અને બહુવર્ષાયુ શાકીય જાતિઓનો અને કંદિલ વનસ્પતિઓનો સમાવેશ થાય છે. ક્રોટોન (Croton species), ઍકેલિફા (Acalypha species), ગરમર (Coleus species), મોરપંખી (Thuja orientalis), ડ્રેસિના (Dracaena species), ઍરેલિયા (Aralia species), ડફનબીકિયા (Dieffenbachia species), ટ્રેડસ્કેન્શિયા (Tradescantia species) વગેરેનાં પર્ણો બહુવર્ણી અને સુંદર હોય છે.
બહુવર્ષાયુ છોડ ઉપરાંત જુદી જુદી ઋતુના મોસમી છોડનાં રંગબેરંગી પુષ્પોનું આકર્ષણ કંઈક ઓર જ હોય છે. આ જાતિઓમાં ફ્લૉક્ષ (Phlox species), પ્રિયદર્શિની (Petunia violacea), ઍસ્ટર (Aster amellus), કેલેન્ડ્યુલા (Calendula officinalis), શ્વાનમુખી (Antirrhinum majus), ગુલખેરૂ (Althea rosea, હૉલીહૉફ), સૂરજમુખી (Helianthus annuus), હજારીગોટા (Tagetes erecta અને T. patula), ઝિનિયા (Zinnia angustifolia, Z. elegans), તનમનિયાં (ગુલમેંદી, Impatiens balsmina), કૉસ્મૉસ (Cosmos bipinnatus અને C. sulphureus), ગૅલાર્ડિયા (Gallardia species) બારમાસી (Catharanthus roseus) વગેરેનો સમાવેશ થાય છે. આ વનસ્પતિઓને એકાકી અથવા ઉદ્યાનની સીમાઓ તરીકે કે ક્યારીઓમાં ઉછેરવામાં આવે છે.

આકૃતિ 4 : ઉપોષ્ણકટિબંધીય ઉદ્યાન કંદિલ વનસ્પતિઓમાં કંદ (bulb), વજ્રકંદ (corm), ગાંઠામૂળી (rhizome) અને ગ્રંથિલ (tuber) ધરાવતી વનસ્પતિઓનો સમાવેશ થાય છે. ડુંગળી (Allium cepa) અને લસણ (A. sativum) કંદનાં ઉદાહરણો છે. સૂરણ (Amorphophalous campanulatus), વજ્રકંદ, બટાટા (Solanum tuberosum) ગ્રંથિલ, આદું (Zingiber officinale), હળદર (Curcuma domestica) અને કેના (Canna indica) વગેરે ગાંઠામૂળી છે. કેના, ગુલચબુ (Zephyranthus species), નાગદમણી (Crinum species), પૅન્ક્રેશિયમ (Pancratium species), નરગિસ (Narcissus tazetta) વગેરે ઉદ્યાનમાં શોભન જાતિઓ તરીકે ઉગાડવામાં આવે છે.
અન્ય તત્વો :
શૈલોદ્યાન (rockery, વિવિધ આકારે પથ્થરો ગોઠવી તેમની વચ્ચે શોભન-વનસ્પતિઓ ઉગાડવી) પાણીના હોજ, ઝરા, ફુવારા, કમાનો, રસ્તાની બાજુમાં કે સીમા પાસે કરેલી પથ્થરની હાર (curbing), પૂતળાં વગેરે અનેક તત્વોના ઉમેરાથી ઉદ્યાનની સુંદરતા વધારી શકાય છે.
ઉદ્યાન માટેના માર્ગદર્શક મુદ્દાઓ :
(1) વિશાળતા : કેટલીક વખત બગીચામાં આડાઅવળા રસ્તા કરીને તેની વિશાળતા તોડી નાખવામાં આવે છે, જેથી ઉદ્યાનની સુંદરતા અને ઉપયોગિતા ઘટી જાય છે. આમ ઉદ્યાનના આયોજન દરમિયાન આ બાબત ધ્યાનમાં રાખવી આવશ્યક છે. જરૂર પડે તો માટી-પૂરણ કરીને ભૂમિને એક સમતલ કરવામાં આવે તો વિશાળતા ઘણી વધારી શકાય છે.
(2) ક્ષિતિજ રેખા (skyline) – જુદા જુદા છોડ કે વૃક્ષ અત્યંત નજીક રોપવાથી તેની ટોચની રેખા અતિશય ઊંચી કે અતિશય નીચી જાય છે. જેમ કુદરતી પર્વતોનો ઢોળાવ ક્રમશ: નીચો આવતો જાય છે, તેમ વૃક્ષોની ટોચ પણ ધીરે ધીરે નીચી આવે કે ઉપર જાય તે રીતે વૃક્ષો રોપવાં જરૂરી છે.
(3) વૈવિધ્ય : ઉદ્યાનમાં જુદી જુદી જગાએ જતાં કંઈક નવા છોડ, નવી રચના કે કોઈ નવો ખ્યાલ છતો થાય તો તે સુંદર લાગે છે. તેથી જુદી જુદી ઋતુમાં જુદાં જુદાં પુષ્પો જોવા મળે, ઉદ્યાનના જુદા જુદા ખૂણે લજામણી (Mimosa pudica), કપ-રકાબી (Holmskioldia sangainea), નાગફણી (મધર ઇન લૉઝ ટંગ, Sansevieria roxburghiana), કૃષ્ણકમળ (Passiflora species), સીતાફળ (Annona squamosa), રામફળ (A. reticulata), હનુમાનફળ (A. cherimola) વગેરે વિભિન્નતાદર્શી વનસ્પતિઓ હોય તો ઉદ્યાન આકર્ષક બને છે.
ઉદ્યાનના પ્રકારો
પુષ્પોદ્યાન :
જોકે જુદા જુદા દેશોમાં પુષ્પોદ્યાનમાં ઉછેરવામાં આવતા છોડ જુદા જુદા હોવા છતાં તેનું મૂળભૂત આયોજન અને સિદ્ધાંતો લગભગ સરખાં હોય છે. ઉદ્યાન ઔપચારિક કે અનૌપચારિક હોઈ શકે. સુ-અભિકલ્પિત (well-designed) પુષ્પોદ્યાનમાં વૃક્ષો અને ક્ષુપો મુખ્ય સ્થાયી તત્વો છે. તેમની ફરતે રહેલી જગામાં શાકીય વનસ્પતિઓ, એકવર્ષાયુઓ અને કંદિલોની ગોઠવણી કરવામાં આવે છે. સપુષ્પ વૃક્ષો અને ક્ષુપોની વિવિધતાઓ વિપુલ પ્રમાણમાં હોય છે. આવાં વૃક્ષો પરિપક્વ બને ત્યારે તેઓ કેટલો વિસ્તાર રોકે છે, તે મહત્વનું છે. 30 મી.ની ઊંચાઈ અને 15 મી. આરપાર વિસ્તાર રોકતું જંગલનું વૃક્ષ નાના ઉપનગરીય (suburban) ઉદ્યાન માટે મહત્વનું નથી, પરંતુ ચેરી (Prunus species) અને ઑસ્ટ્રેલિયન બૉટલબ્રશ (Callistemon lanceolatus) જેવાં સાંકડાં વૃક્ષો તદ્દન યોગ્ય ગણાય છે. ઉદ્યાનમાં પ્રસુપ્ત (dormant) અવસ્થામાં રહેલાં ખુલ્લાં મૂળવાળાં વૃક્ષો અને ક્ષુપો સૌથી શ્રેષ્ઠ સમુચ્ચય ગણાય છે. કૂંડામાં કે માટીમાં ઉગાડેલા છોડનો કોઈ પણ સમયે ઉછેર થાય છે.
ઉદ્યાનના આયોજનમાં વનસ્પતિઓ અને રંગોનું મિશ્રણ અને વિપર્યાસ અત્યંત મહત્વનાં પાસાં ગણાય છે. શાકીય સીમા(herbaceous border)ના જૂના પ્રકારમાં ગ્રીષ્મ ઋતુ દરમિયાન રંગોનું મહત્તમ પ્રદર્શન કરવામાં આવતું હતું; પરંતુ હવે વસંતઋતુની શરૂઆતમાં આવી સીમાઓની વનસ્પતિઓ પુષ્પનિર્માણ કરે તેવી ગોઠવણી કરવામાં આવે છે. તે માટે વહેલાં પુષ્પ આપતી કંદિલ જાતિઓનું સમૂહમાં રોપણ કરાય છે. સપુષ્પ ક્ષુપ જાતિઓને શાકીય શોભન-જાતિઓ સાથે ઉછેરીને તૈયાર કરવામાં આવતી મિશ્ર સીમાઓ પણ ખૂબ જાણીતી બની છે અને પૂર્ણ શાકીય સીમાઓ કરતાં મિશ્ર સીમામાં ઘણી ઓછી કાળજી રાખવી પડે છે. ગ્રીષ્મ ઋતુ દરમિયાન એકવર્ષાયુઓ દ્વારા બનતી સીમાઓ અત્યુત્તમ હોય છે; પરંતુ જો સીમા મોટી હોય તો અર્ધ-સહિષ્ણુ (half-hardy) વનસ્પતિઓની વાવણી, છાંટણી (thinning), નિભાવ (supporting) અને રોપણી પુષ્કળ મજૂરી માગે છે. વસંતઋતુમાં પુષ્પ આપતી કંદિલ જાતિઓની ખાલી પડેલી જગાઓ ભરવા વસંતઋતુના અંતમાં અર્ધ-સહિષ્ણુ એકવર્ષાયુઓના સમૂહની રોપણી કરી શકાય. આવી સીમાઓના પાછળના ભાગમાં ગુલાબની નાની મોટી જાતો ઉગાડવામાં આવે છે. હાઇબ્રીડ ટી રોઝ, ફ્લૉરીબંડા અને પૉલિયૅન્થા રોઝ ગુલાબની અલગ ક્યારીઓમાં કે ગુલાબના ઉદ્યાનમાં ઉછેરાય છે.
વનભૂમિ (woodland) ઉદ્યાનો :
અનૌપચારિક વનભૂમિ-ઉદ્યાન પહેલાના સમયમાં ક્ષુપીય અરણ્યનો નૈસર્ગિક વંશજ છે. અનૌપચારિકતા અને નૈસર્ગિકતા વનભૂમિ-ઉદ્યાનનું સારતત્વ છે. તેના માર્ગો સીધા હોવાને બદલે વળાંકવાળા અને પગદંડીને બદલે ઘાસ કે બિછાતના બનેલા હોય છે. પૂરતો પ્રકાશ પ્રાપ્ત થાય તે માટે વૃક્ષોને છાંટવામાં આવે છે, છતાં તેમનાં જૂથો અનિયમિત હોય છે અને કોઈ પણ મોટું વૃક્ષ જલદી નજરે ચઢે છે. જે તે દેશની વનભૂમિની મૂલનિવાસી વનસ્પતિઓ જેવી કે રહોડોડેન્ડ્રૉન, મૅગ્નોલિયા, પાઇરિસ (pieris) અને મૅપલ જેવાં વૃક્ષો અને ક્ષુપો; લીલી, ડૅફોડિલ, અને સ્નોડ્રૉપ જેવી કંદિલ જાતિઓ; પ્રાઇમરોઝ, હૅલેબોર, સૅંટ-જ્હૉન વર્ટ, એપીમિડિયમ અને અન્ય શાકીય વનસ્પતિઓની પસંદગી કરવામાં આવે છે.

આકૃતિ 5 : શૈલોદ્યાન વનભૂમિ-ઉદ્યાન સામાન્ય ઉદ્યાન કરતાં ઓછો ખર્ચાળ હોય છે અને મજૂરી પણ બચાવે છે.
શૈલોદ્યાન :
શૈલોદ્યાન ખડકાળ પહાડ કે તેના ઢોળાવના એક કુદરતી ભાગ જેવું ર્દશ્ય આપે છે. પહોળા ખડક કે પથ્થર ઉપર નાના-મોટા પથ્થરો કુદરતી સ્તરો સ્વરૂપે ગોઠવવામાં આવે છે. ઘણા નાના ખડકોને બદલે થોડાક મોટા ખડકો વધારે સારા લાગે છે. સારા અભિકલ્પિત શૈલોદ્યાનમાં ખડકો એવી રીતે ગોઠવવામાં આવે છે, જેથી રૉક રોઝ જેવી પ્રકાશ-સહિષ્ણુ (sun-tolerant) અને પ્રિમ્યુલા જેવી છાયા-સહિષ્ણુ (shade-tolerant) વનસ્પતિઓને વિવિધ રીતે ખુલ્લો પ્રકાશ મળે. ખડકો વચ્ચે રહેલી ઊભી ખાંચોમાં નાના બહુવર્ષાયુ છોડ ઉગાડી શકાય છે.
શૈલોદ્યાનમાં ઉપયોગમાં લેવાતા ખડકો વાલુકાશ્મ (sandstone) અને ચૂના-પથ્થર (limestone) પ્રકારના હોય છે. વાલુકાશ્મ ઓછા અનિયમિત અને ખાડાવાળા હોય છે અને વધારે કુદરતી લાગે છે. ડાયન્થસ જેવી કેટલીક જાતિઓ ચૂના-પથ્થરમાં સારી રીતે ઊગે છે. કણાશ્મ (granite) અત્યંત સખત ખડક હોવાથી અને તેનું ખવાણ અત્યંત ધીમું થતું હોવાથી શૈલોદ્યાન માટે અયોગ્ય ગણાય છે.
જલોદ્યાન :
ઉદ્યાનોના પ્રકારોમાં જલોદ્યાન સૌથી જૂના પ્રકારો પૈકીનો એક છે. ઈ. પૂ. 2000 વર્ષ જેટલા જૂના સમયનાં ચિત્રો અને પુરાવાઓમાં કમળ(Nymphaea)નો ઉલ્લેખ છે. જાપાનીઓએ પણ ઘણી સદીઓથી તેમની પોતાની વિશિષ્ટ ભાતવાળા જલોદ્યાન બનાવ્યા છે. તેની મધ્યમાં જાપાની ફાનસ ધરાવતો ખડક હોય છે. પાણીમાં બધી દિશામાં પ્રસરતી વિસ્ટેરિયાની જાલ (trellis) જોવા મળે છે. યુરોપ અને ઉત્તર અમેરિકામાં ચોરસ કે ગોળાકાર ઔપચારિક કુંડ સ્વરૂપથી માંડી અનૌપચારિક પ્રકારના જલોદ્યાન વિકસાવવામાં આવે છે. ઔપચારિક પ્રકારના જલોદ્યાનની મધ્યમાં કેટલીક વાર ફુવારો મૂકવામાં આવે છે અને તે વનસ્પતિરહિત હોય છે અથવા ફક્ત એક કે બે કમળ ઉગાડવામાં આવે છે. અનૌપચારિક પ્રકારના જલોદ્યાનના કુંડ અનિયમિત આકારના હોય છે અને તેમાં કમળ તેમજ અન્ય જલીય વનસ્પતિઓ ઉછેરવામાં આવે છે. તેમની ફરતે પંકિલ વિસ્તારોમાં ભેજ-સહિષ્ણુ વનસ્પતિઓ વાવવામાં આવે છે. કુંડમાં ઑક્સીકરણ કરતી વનસ્પતિઓ ઉગાડવામાં આવતાં પાણી સ્વચ્છ રહે છે અને કોઈ પણ પ્રકારની આગંતુક (introduced) માછલીઓ જીવી શકે છે. મોટા કમળ સહિતની મોટાભાગની જલજ વનસ્પતિઓ શાંત પાણીમાં 0.75 મી.થી 1.5 મી.ની ઊંડાઈએ સારી રીતે થાય છે. કમળને ટોપલીઓમાં કે તળિયે કાદવમાં ઉગાડાય છે. નવા રોપણના કિસ્સામાં જ્યાં સુધી વનસ્પતિઓ પરિપક્વ ન બને અને સમગ્ર ઊંડાઈએ વૃદ્ધિ પામે ત્યાં સુધી ક્રમશ: પાણી ઉમેરવામાં આવે છે. સમશીતોષ્ણ કમળ સમગ્ર દિવસ દરમિયાન ખીલેલાં રહે છે, જ્યારે ઉષ્ણ અને ઉપોષ્ણ કમળની જાતિઓ માત્ર સાંજે જ ખીલે છે.
સમશીતોષ્ણ દેશોમાં કાચ હેઠળ જલોદ્યાન બનાવવામાં આવે છે અને કુંડને ગરમ રાખવામાં આવે છે. આવા કિસ્સાઓમાં ઉષ્ણકટિબંધીય જાતિઓ જેવી કે Victoria amazonica (V. regia) કે કમળ (Nelumbo nucifera) અને કિનારીએ બરુ ઉછેરવામાં આવે છે. કુંડની કિનારીએ કાદવયુક્ત વિસ્તારમાં કૅન્ડેલેબ્રા, પ્રિમ્યુલા, કાલ્થા, આઇરિસ અને ઑસ્મુન્ડા (હંસરાજ) જેવી અત્યંત સુંદર જાતિઓ ઉગાડાય છે.
શાકીય (herbaceous) અને શાકભાજી–ઉદ્યાન :
મોટાભાગના મધ્યકાલીન ઉદ્યાનો અને પ્રારંભિક વનસ્પતિ-ઉદ્યાનોમાં ખોરાકને સ્વાદિષ્ટ અને સોડમવાળો બનાવવા માટે અજમો, વરિયાળી, માર્જેરેના (Origanum અને Marjorana) અને સવા જેવી વનસ્પતિઓ અને ઔષધીય હેતુઓ માટે શાકીય જાતિઓ ઉછેરવામાં આવતી હતી. રસોડાનાં બારણાં પાસે તૈયાર કરેલો નાનો શાકીય ઉદ્યાન સુંદરતા આપવાની સાથે સાથે ઉપયોગી પણ બને છે. શાકીય ઉદ્યાન એટલે રાંધવામાં જરૂરી શાકીય વનસ્પતિઓ ધરાવતો ઉદ્યાન. આ ઉદ્યાનમાં ઔષધીય પાસું ભાગ્યે જ વિચારવામાં આવે છે. શાકીય અને શાકભાજી-ઉદ્યાન માટે સામાન્ય રીતે ખુલ્લા પ્રકાશવાળી જગા જરૂરી છે; કેમ કે, મોટાભાગની વનસ્પતિઓ ઉષ્ણ અને શુષ્ક પ્રદેશોની મૂલનિવાસી હોય છે.
શાકભાજી-ઉછેર ઘણા ઉદ્યાનનું એક અંગ હોય છે. શાકભાજીઓની સારી વૃદ્ધિ માટે વાવણી અને મૃદાની તૈયારી મહત્વની છે અને કૃષિની જેમ આ ઉદ્યાનમાં પણ પાકની ફેરબદલી ઇચ્છનીય હોય છે. શાકભાજીની ફેરબદલીનો સામાન્ય સમયગાળો ત્રણ વર્ષનો હોય છે; જેથી કેટલાક જંતુઓ અને રોગો સામે રક્ષણ મેળવી શકાય.
જૂનો ફ્રેંચ પૉટેજર મૂલ્યવાન શાકભાજી-ઉદ્યાન ગણાય છે, જેમાં નાની વાડવાળી ટૂંકી હરોળો અને ઉછેરની ઊંચી કક્ષા શાકભાજી-ઉછેરની કલાનું મૉડેલ દર્શાવે છે. શેટો દ વિલેન્ડ્રીનો વિસ્તીર્ણ પાર્ટેર (parterre) યુરોપનો સુંદર શાકભાજી-ઉદ્યાન ગણાય છે.
પ્રદર્શન માટે શાકભાજી-ઉછેર એક અલગ કૌશલ ગણાય છે. તે સામાન્ય શાકભાજી-ઉદ્યાનના પ્રબંધ કરતાં વધારે કાળજી માગે છે.
અગાશી–ઉદ્યાનો :
સ્થાપત્યના આધુનિક વલણને કારણે ખાનગી ઘરો અને ડિપાર્ટમેન્ટલ સ્ટોર જેવી વ્યાપારિક ઇમારતો ઉપર આકર્ષક અગાશી-ઉદ્યાનનો વિકાસ સંભવ બન્યો છે. આ ઉદ્યાન માત્ર જમીનની ઊંડાઈ સિવાય અન્ય ઉદ્યાનોના સિદ્ધાંતોને અનુસરે છે. અગાશી-ઉદ્યાનની મૃદાની ઊંડાઈ ઓછી હોય છે. તેથી ઉછેરવામાં આવતી વનસ્પતિઓના કદમાં મર્યાદા આવે છે. વનસ્પતિઓને સામાન્યત: કૂંડાંઓમાં કે અન્ય પાત્રોમાં ઉગાડવામાં આવે છે. કેટલીક વાર નાના કુંડવાળા અને ક્યારીઓ ધરાવતા અગાશી-ઉદ્યાન પણ વિકસાવવામાં આવે છે. ક્યારીઓમાં ઉછેરવામાં આવેલી સપુષ્પ જાતિઓ પૈકીની કેટલીકને કૂંડાંમાં ઉગાડી વિશિષ્ટ અસર ઉત્પન્ન કરવામાં આવે છે.
અંત:કક્ષ (indoor) ઉદ્યાન :
મોટાભાગના અંત:કક્ષ ઉદ્યાનોમાં અંત:કક્ષ-જીવનને યોગ્ય હોય તેવી શોભન-જાતિઓ ઉગાડવામાં આવે છે. અંત:કક્ષ ઉદ્યાનોના બે પ્રકારો છે : (1) ગૃહ-વનસ્પતિઓનો સંગ્રહ (collection of house plants) અને (2) સ્થળજીવશાલા (terranium).
ગૃહ–વનસ્પતિઓનો સંગ્રહ :
આ સંગ્રહ માટે એક કે તેથી વધારે વનસ્પતિઓને કૂંડાંઓમાં કે અન્ય ખુલ્લાં પાત્રોમાં ઉગાડવામાં આવે છે. ઘરમાં ઉછેરી શકાય તેવી અનેક શોભન-વનસ્પતિઓ હોય છે. તેઓ વિવિધ રંગો, આકારો અને કદ ધરાવતી જાતિઓ હોય છે. આવી જાતિઓને હૂંફાળું વાતાવરણ અનુકૂળ હોય છે, છતાં તેમની વૃદ્ધિ માટે તીવ્ર પ્રકાશ જરૂરી હોતો નથી. ઘરના કદ ઉપર આધાર રાખી તેમનું યોગ્ય કૃંતન (pruning) કરી છોડોનું કદ જાળવવામાં આવે છે. ઘર અને આબોહવાને અનુકૂળ શાકીય જાતિઓની પસંદગી મહત્ત્વની છે.
સ્થળજીવશાલા :
આછા રંગના કાચ કે પ્લાસ્ટિક વડે ઢાંકેલા પાત્રમાં નાની શોભન-જાતિઓ સાથે ઉછેરવામાં આવે છે. તે ગૃહ-વનસ્પતિઓના સંગ્રહનો એક ભાગ હોઈ શકે. જો સ્થળજીવશાલા યોગ્ય રીતે બનાવેલી હોય તો તેને વધારે કાળજીની જરૂરિયાત રહેતી નથી.
સુગંધિત (scented) ઉદ્યાનો :
ઘણા લોકો પુષ્પોમાં રહેલી સુગંધીને ખૂબ પસંદ કરે છે. કેટલાક ઉદ્યાનોમાં અંધજનોના લાભાર્થે ઉદ્યાનમાં આવી સુગંધી આપતી વનસ્પતિઓ ઉગાડવામાં આવે છે, જેથી તેઓ આનંદ પ્રાપ્ત કરી શકે. ખાસ કરીને વનસ્પતિનાં પર્ણો કે પુષ્પો સુવાસ આપે છે. તેઓ કેટલીકવાર દેખાવે સુંદર પર્ણો કે પુષ્પો ધરાવતી હોતી નથી. જોકે અંધજન માટે પુષ્પની સુંદરતા ઉપયોગી તત્વ નથી. આવા ઉદ્યાનોમાં વનસ્પતિઓને સરળતાથી સ્પર્શી શકાય તે માટે ઊંચી ક્યારીઓ બનાવાય છે. કેટલીક વનસ્પતિઓ તીવ્ર સૂર્યપ્રકાશમાં સુગંધી આપે છે.
ગૃહ–વનસ્પતિઓના પ્રકારો
અંદર પર્ણસમૂહ ધરાવતી વનસ્પતિઓ : ઍરોઇડ કુળની જાતિઓ જેવી કે Monstera deliciosa, Philodendron pertusum (સ્વિસ ચીઝ પ્લાન્ટ), Dieffenbachia (ડમ્બ કેન), Aglaonema (ચાઇનિઝ એવરગ્રીન), Scindapsus (પૉથોસ), Spathiophyllum (પીસ લીલી), Anthuriam (ફ્લેમિંગો ફ્લાવર), Caladium વગેરે રંગીન પર્ણસમૂહ ધરાવે છે અને તેઓ દીર્ઘાયુષી હોય છે.
બિગોનિયાની વિવિધ જાતિઓ (Begonia metallica, B. masoniana અને B. serratipetala) Maranta (પ્રેઅર પ્લાન્ટ), Calathea makoyana (પીકૉક પ્લાન્ટ), Codiaeum (ક્રોટોન), અને Coleus (કૉલિયસ) વગેરે બહુવર્ણી પર્ણસમૂહ ધરાવે છે. Pilea cadierci(ઍલ્યુમિનિયમ પ્લાન્ટ)નાં પર્ણો રસાળ અને રૂપેરી છાંટવાળાં હોય છે.
બ્રોમેલિયેસી કુળની જાતિઓ વૃક્ષ કે ખડક ઉપર પરરોહી તરીકે અથવા જંગલની ફરસ ઉપર થાય છે અને ચર્મિલ, અંતર્ગોળ, અનોખા અભિકલ્પવાળાં કે બહુવર્ણી પર્ણોનો ગુચ્છ ધરાવે છે. Neoregelia અને Nidulariumનાં અંદરનાં પર્ણો ચળકતા કિરમજી રંગવાળાં હોય છે. Acchmea અને Guzmaniaની જાતિઓ રંગીન શુકી (spike) કે મુંડક (head) પ્રકારનો પુષ્પવિન્યાસ અને દીર્ઘસ્થાયી ચર્મિલ નિપત્રો (bracts) કે ચમકીલાં અનષ્ઠિલ ફળો ધરાવે છે. Billbergiaની જાતિમાં વાદળી રંગનાં પુષ્પવાળો સુંદર પુષ્પવિન્યાસદંડ હોય છે; જે ઘણી વાર લટકતો હોય છે. Tillandsia અને Vrieseaમાં ભાલાકાર, રંગીન, ચપટી પુષ્પીય શુકી હોય છે. Cryptanthus (અર્થસ્ટાર) વધતે ઓછે અંશે ચપટો, ગુચ્છિત (rosette) આકર્ષક પર્ણીય અભિકલ્પ ધરાવે છે. તે કર્બુરિત (mottled), પટ્ટિત (striped) અથવા લીલા અને તામ્ર વર્ણ ઉપર રૂપેરી રંગના વાઘ જેવા ચટાપટાવાળો હોય છે.

આકૃતિ 6 : કૅલિફૉર્નિયન કૅક્ટસ-ઉદ્યાન રસાળ વનસ્પતિઓ :
રસાળ શોભન-વનસ્પતિઓમાં કૅક્ટસની વિવિધ જાતિઓ જેવી કે Epithelantha (નાનો બટર્ન કૅક્ટસ), Mammillaria (પિનકુશન કૅક્ટસ), Parodia (ટૉમ થમ્બ કૅક્ટસ), Rebutia (પિગ્મી કૅક્ટસ), Gymnocalycium (ચિન કૅક્ટસ), Notocactus (બૉલ કૅક્ટસ), Echinocactus (બેરલ કૅક્ટસ), Opuntia (ફાફડાથોરની જાતિઓ) અને Cephalocereus-(ઑલ્ડમૅન કૅક્ટસ)નો સમાવેશ થાય છે. રાત્રે ખીલતી રણની Cereus અને તેની સંબંધિત કેટલીક પ્રજાતિઓ રણમાં થતા મહાકાય કૅક્ટસ છે; જેમ કે, Carnegiea (સેગ્વારો) 15 મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે.
કૅક્ટસ સિવાયની રસાળ વનસ્પતિઓમાં Euphorbiaની વિવિધ જાતિઓ (વાડથોર, ખરસાણી થોર, ચોધારો કે ત્રિધારો થોર) કૅક્ટસ જેવું જ સ્વરૂપ ધરાવે છે. કુંવારપાઠા(Aloe vera)માં પર્ણો રસાળ હોય છે અને તે ઔષધ તરીકે પણ વપરાય છે. Kalanchoe tomentosa(પેન્ડા પ્લાન્ટ, જખ્મે હયાત)ની જાતિ, Bryophyllum pinnatum (પાનફૂટી) અને Crassula(જેડ પ્લાન્ટ)માં ટપકાંવાળાં પર્ણો હોય છે. Sanseviera કૂંડામાં ઉગાડી શકાય તેવી ટકાઉ વનસ્પતિ છે. જ્યાં અત્યંત ઓછી વનસ્પતિઓ સફળતાપૂર્વક થઈ શકે તેવાં સ્થાનોએ તે સારી રીતે ઊગી શકે છે.
વૃક્ષો :
ડ્રેસીનાની જુદી જુદી જાતિઓ (Dracaena marginata, D. deremensis (વૉર્નકી), D. sanderiana), Pandanus veitchii વગેરે ઘરમાં શોભન-વૃક્ષ તરીકે ઉગાડાતી જાતિઓ છે. કેટલીક ઉપોષ્ણ સદાહરિત જાતિઓ અંત:કક્ષ વનસ્પતિઓ તરીકે ઠંડી આબોહવામાં ઉછેરી શકાય છે; જેમાં Araucaria heterophylla કે A. excelsa (નૉરફોક આઇસલૅંડ પાઇન) સુંદર શંકુદ્રુમ વૃક્ષ છે. તે સ્તરિત શાખાઓ ધરાવે છે અને દીવાનખાનામાં ખૂણાઓમાં આકર્ષક લાગે છે. Podocarpus (સોમ્બર બુદ્ધનો પાઇન) ઘેરા લીલા રંગનાં સોયાકાર પર્ણોના ઘટ્ટ પિરામિડ બનાવે છે.
Brassia actinophylla (ક્વિન્સલૅંડ અમ્બ્રેલા ટ્રી) પહોળાં પર્ણોવાળું કાષ્ઠીય સદાહરિત વૃક્ષ છે. તે પંજાકારે છેદન પામેલાં ચળકતાં લીલાં પર્ણોના વિસ્તૃત મુકુટ ધરાવે છે. Polyscias fruticosa(મિંગ એરાલિયા)માં અમળાયેલાં મખમલી પ્રકાંડ અને હંસરાજ જેવો સુંદર પર્ણસમૂહ હોય છે.
ઘરોમાં અને કાર્યાલયોમાં રબરવૃક્ષ(Ficus elastica)નો ઉપયોગ થાય છે. તેનાં પર્ણોની વૃદ્ધિ માટે સારા પ્રમાણમાં પ્રકાશ જરૂરી છે. આ જાતિનાં પર્ણો પહોળાં હોય છે. તેના સ્વરૂપને કારણે તે વધુ આકર્ષક લાગે છે. F. benjamina, F. retusa અને F. nitida નાનાં પર્ણો ધરાવતી જાતિઓ છે. F. lyrata(F. pandurata)નાં પર્ણો ખૂબ મોટાં અને વીણાકાર હોય છે. Coccoloba (દરિયાઈ દ્રાક્ષ) Ficus સાથે સામ્ય ધરાવે છે. તેનાં ચર્મિલ અને ગોળાકાર પર્ણો કિરમજી રંગની શિરાઓ ધરાવે છે.
ભવ્યતા અને મનોહર સુંદરતાને કારણે કેટલીક તાડની જાતિઓનો અંત:કક્ષ ઉદ્યાનોમાં ઉછેર કરવામાં આવે છે. સ્વર્ગનું તાડ (Howeia, કે Kentia) ઉમદા વનસ્પતિ છે. તેનાં પર્ણો જાડાં અને ચર્મિલ હોય છે. તેનો દેખાવ અત્યંત મનમોહક હોય છે. Chamaedoreaની જાતિઓ પણ ખૂબ મશહૂર છે. તેઓ અંધકારવાળી જગામાં પણ થઈ શકે છે. સોપારી-તાડ (Chrysalidocarpus) પીળું પ્રકાંડ અને ખીચોખીચ ગોઠવાયેલાં પીંછાકાર પર્ણોનો સમૂહ ધરાવે છે. પિગ્મી-ખજૂર(Phoenix roebelenii)નાં પર્ણો સુંદર વળાંકવાળાં અને ઘેરા લીલા રંગનાં હોય છે
હંસરાજ :
હંસરાજ તેનાં સુંદર પીંછાકાર પર્ણોને લઈને વિશિષ્ટ સ્વરૂપ ધરાવે છે. ઘર અને કાર્યાલયમાં ઉગાડાતી તેની વિવિધ જાતિઓમાં સ્વૉર્ડ ફર્ન (Nephrolepis), હોલી ફર્ન (Cyrtomium), લેધર ફર્ન (Rumohra), પક્ષીનો માળો (Asplenium nidus), ઘોડીનો પગ (Polypodium), મેઇડન્સ હેર (Adiantum), Pteris, Pellaea, સ્ટૅગોર્ન ફર્ન (Platycerium) અને તાડનાં જેવાં પર્ણો ધરાવતા Cibotiumનો સમાવેશ થાય છે. શતાવરી(Asparagus)ની વિવિધ જાતિઓ દેખાવે હંસરાજ જેવી હોય છે. Selaginella સ્થળજીવશાલામાં ઉગાડવામાં આવે છે.
લતાઓ અને તલસર્પીઓ (trailers) :
આઇવી (Hedera), Cissus rhombifolia (ગ્રેપ આઇવી), C. antarctica (કાંગારુ લતા) જેવી લતાઓ પણ ઘરને સુશોભિત બનાવે છે. Tradescantia (ઇંચ પ્લાન્ટ), Zebrina (વૉન્ડરિંગ જ્યૂ) સ્પાઇડર પ્લાન્ટ (Chlorophytum કે Anthericum) કૂંડામાં કે ટોપલીઓમાં વાવવામાં આવે છે. તેનાં રિબન જેવાં પર્ણો ગુચ્છ સ્વરૂપે ગોઠવાયેલાં અને અત્યંત આકર્ષક રંગ ધરાવે છે.
સપુષ્પ વનસ્પતિઓ :
મોટાભાગની કૂંડામાં ઉગાડવામાં આવતી સપુષ્પ વનસ્પતિઓ એક ઋતુ પૂરતું જ જીવિત રહે છે. તેઓને વધારે તીવ્રતાવાળો પ્રકાશ, પાણી અને દિવસ-રાતના તાપમાનમાં તફાવત જરૂરી હોય છે. ઘરમાં આ શક્ય નથી. જોકે કેટલીક અપવાદરૂપ સપુષ્પ વનસ્પતિઓ છે; જેમ કે, આફ્રિકન વાયોલેટ (Santpaulia), પાર્લર મૅપલ (Abutilon) બીઝી-લીઝી (Impetians), રોઝ-મેલો (Hibiscus), જિરાનિયમ (Pelargonium) વગેરે સુંદર પુષ્પ આપતી જાતિઓ છે.
પ્રકાશિત બારીઓ પાસે Hippeastrum (Amaryllis), Clivia (કાફિર લીલી), Haemanthus (બ્લડ ફ્લાવર), Neomarica (ઍપોસ્ટલ પ્લાન્ટ), Veltheimia (ફૉરેસ્ટ લીલી) જેવી કંદિલ જાતિઓ ઉગાડવામાં આવે છે.
ઑર્કિડની જાતિઓના ગૃહ-સુશોભન માટે સફળતાપૂર્વકનો ઉછેર કરવો વધારે મુશ્કેલ છે, કારણ કે પ્રકાશ, નિયંત્રિત તાપમાન, પૂરતો ભેજ અને હવાની અવરજવર વગેરે તેની વિશિષ્ટ જરૂરિયાતો છે. જોકે સામાન્ય સંભાળ રાખતાં થઈ શકે તેવી ઑર્કિડની પરરોહી (epiphytic) Epidendrumની જાતિઓ અને Oncidiumની જાતિઓ (બટરફ્લાય ઑર્કિડ) ઘરમાં તૈયાર કરી શકાય છે.
ખાદ્યફળો આપતી દ્વિદલ (double) જાત Begonia semperflorens (રોઝ બીગોનીઆ) બારી પાસે ઉગાડી શકાય છે. કૅલેમોન્ડીન ઑરેન્જ (Citrus mitis), ડ્વાર્ફ ચાઇનિઝ લેમન (C. limon, મેયરી), અમેરિકન-વંડર લૅમન (C. limon ‘Ponderosa’), પૂરતો પ્રકાશ અને હવાની અવરજવર થઈ શકે તેમ હોય તો તેઓને ઘરમાં સફળતાપૂર્વક ઉગાડી શકાય છે. જો પૂરતી જગા હોય તો અંજીર (Ficus carica), ચાઇનિઝ ડ્વાર્ફ બનાના (Musa nana), ડ્વાર્ફ પૉમેગ્રેનેટ (Punica granata nana) અને પાઇનેપલ (Ananas comosus) અને કૉફી(Coffea arabica)નો ઉછેર કરવામાં આવે છે.
ઉદ્યાનના વિકાસ માટેની જરૂરિયાતો :
મૃદા (soil) :
બધી જ વનસ્પતિઓના ઉછેરમાં મૃદા એક પાયાનું પરિબળ છે; છતાં કેટલાક વિશિષ્ટ કિસ્સાઓમાં યોગ્ય રસાયણોવાળાં પાણી, કાંકરાઓ, કે રેતીમાં છોડને સફળતાપૂર્વક ઉગાડી શકાય છે.
માટી અને રેતીના મિશ્રણવાળી મધ્યમ ગોરાડુ મૃદા ઉદ્યાન માટે આદર્શ ગણાય છે. તે પૂરતા પ્રમાણમાં પાંસુક (humus) ધરાવતી હોવી જરૂરી છે. તે સરળતાથી ખોદી શકાય તેવી હોવી જોઈએ અને જ્યારે શુષ્ક બને ત્યારે તે ઢેફા વિનાની રહેવી જોઈએ. મૃદાની ઘટ્ટતા (consistency) મહત્વની છે, કારણ કે છિદ્રાળુ અને યોગ્ય રીતે ખેડેલી મૃદાને લીધે મૂળ સરળતાથી અને ઝડપથી ઊંડે પ્રવેશી શકે છે. બીજું મૃદાનું મહત્ત્વનું પરિબળ અમ્લીયતા કે ઍલ્કલીયતા છે; જે સામાન્યત: pH આંક દ્વારા દર્શાવાય છે. 7થી ઓછો pH આંક હોય તો મૃદા અમ્લીય અને 7થી વધારે pH આંક હોય તો ઍલ્કલી ગણાય છે. મૃદાની ઍલ્કલીયતા મુક્ત કૅલ્શિયમ કાર્બોનેટ કે તેના જેવા ઍલ્કલી ક્ષારને કારણે ઉત્પન્ન થાય છે.
પોષણ : ફળદ્રૂપન : જલસિંચન :
વનસ્પતિની વૃદ્ધિ માટે જરૂરી તત્ત્વોનો પૂરતો પુરવઠો અને મૂળ રોમો દ્વારા આ તત્વોને દ્રવણીય સ્થિતિમાં સહેલાઈથી શોષી શકાય તેટલા પાણીનો જથ્થો પ્રાપ્ય બને તો મહત્તમ લાભ મેળવી શકાય. નાઇટ્રોજન, સલ્ફર પોટૅશિયમ અને ફૉસ્ફરસ વનસ્પતિ દ્વારા ક્ષારોના સ્વરૂપમાં શોષવામાં આવે છે. મૅગ્નેશિયમ, લોહ, મૅંગેનીઝ, તાંબું, જસત, બોરોન, મોલિબ્ડેનમ, સોડિયમ, ક્લોરિન વગેરે અત્યંત અલ્પ જથ્થામાં જરૂરી તત્વો છે.
ફાર્મયાર્ડ ખાતર કે મિશ્ર ખાતર દ્વારા મોટાભાગની ઉપર્યુક્ત જરૂરિયાતો પૂરી પડે છે. આ ખાતરોની જોકે ઘણી વાર અછત હોય છે અને ઘણા વિસ્તારોમાં ખર્ચાળ પણ હોય છે, તેથી ખનિજ-ખાતરો અને કાર્બનિક ખાતરોનો ઉપયોગ જરૂરી બને છે. મૃદાની ફળદ્રૂપતા ઉપર ઘણાં આંતરસંબંધિત પરિબળો કાર્ય કરતાં હોવાથી ચોક્કસ પ્રકારના પાકની જરૂરિયાતો અને મૃદાની ન્યૂનતાઓને આધારે જુદાં જુદાં ખાતરો યોગ્ય પ્રમાણમાં અને સંતુલનમાં આપવાં જોઈએ. જુદા જુદા પાકોની ખાતરોની જરૂરિયાત જુદી જુદી હોય છે. મિશ્ર ખાતરો અને શાકભાજીના કચરામાંથી કોહવાટ પામતું કાર્બનિક દ્રવ્ય મૃદાને પોષક તત્વો અને પાંસુક પૂરાં પાડે છે.
મોટાભાગના સમશીતોષ્ણ દેશોમાં ખાતરો પાનખર ઋતુમાં આપવામાં આવે છે, છતાં અપતૃણ-નિયંત્રણ (weed control) માટે વસંતઋતુમાં તેનો ઘાસપાત-છાદન (multch) તરીકે પણ ઉપયોગ થાય છે. પાનખર ઋતુમાં આ ઘાસપાત-છાદન ખોદીને મૃદા સાથે મિશ્ર કરવામાં આવે છે.
નવી ઉગાડેલી વનસ્પતિઓનું અને શુષ્કતા દરમિયાન બધી જ વનસ્પતિઓનું જલસિંચન ઉદ્યાનવિદ્યાનું અનિવાર્ય કાર્ય ગણાય છે. મૃદાની સપાટી ઉપરના જલ-છંટકાવ કરતાં ઊંડા અને પૂર્ણ જલસિંચન દ્વારા વનસ્પતિની વૃદ્ધિના દરમાં ઘણો સુધારો થઈ શકે છે. પાણી દ્વારા ખનિજો દ્રાવ્યસ્થિતિમાં વનસ્પતિને પ્રાપ્ય બને છે. અઠવાડિયામાં એક વાર 2.5 સેમી. જેટલા આપવામાં આવેલા પાણીનું મૃદામાં લગભગ 15 સેમી. જેટલું સ્રવણ (percolation) થાય છે. ઉદ્યાનની ઘણી શાકીય વનસ્પતિઓ માટે આ લઘુતમ નિર્વાહ(subsistence)-જથ્થો છે. નાનાં વૃક્ષો અને ક્ષુપને આનાથી વધારે પાણીના જથ્થાની જરૂરિયાત હોય છે. અઠવાડિયામાં એક વાર પૂર્ણ અને ઊંડા જલસિંચનથી વનસ્પતિઓનાં મૂળ મૃદામાં ઊંડે સુધી જાય છે. તેથી શુષ્ક સપાટીવાળી પરિસ્થિતિમાં તેઓ તેમનું અસ્તિત્વ ટકાવી શકે છે.
રક્ષણ :
ઘણીખરી વનસ્પતિઓમાં નીચું તાપમાન સહન કરવાની ચોક્કસ ક્ષમતા હોય છે. આ નિશ્ચિત સહિષ્ણુતા (tolerance) આંકથી નીચા તાપમાને તેઓ મૃત્યુ પામે છે. ઘણી ઉષ્ણ અને ઉપોષ્ણકટિબંધીય વનસ્પતિઓ હિમ-સંવેદી (frost-sensitive) હોય છે અને 0o સે. તાપમાને મૃત્યુ પામે છે. અન્ય કેટલીક જાતિઓ અર્ધ-સહિષ્ણુ (half-hardy) હોય છે અને હિમનું નિશ્ચિત આંકનું ઠંડું તાપમાન સહન કરી શકે છે. જોકે ઉદ્યાનની ઘણીખરી શ્રેષ્ઠ વનસ્પતિઓ પૂર્ણ સહિષ્ણુ હોય છે અને ગમે તેટલું નીચું તાપમાન તેઓ સહી શકે છે. વનસ્પતિની ઠંડી માટેની સહનશક્તિનો આધાર નિરાચ્છાદન (exposure) સમયની તેની વૃદ્ધિની અવસ્થા ઉપર રહેલો છે. પ્રસુપ્ત (dormant) વનસ્પતિ સક્રિય વૃદ્ધિના તબક્કામાં રહેલી વનસ્પતિ કરતાં ઘણું નીચું તાપમાન સહન કરી શકે છે. શુષ્ક મૃદામાં થતી વનસ્પતિ ભેજયુક્ત મૃદામાં થતી વનસ્પતિ કરતાં વધારે નીચા તાપમાને પણ ટકી શકે છે. ઘણી વનસ્પતિઓ શિયાળાની પરિસ્થિતિ માટે અનુકૂલન સાધે છે. એકવર્ષાયુઓ શિયાળા પહેલાં બીજ ઉત્પન્ન કરે છે. કંદિલ વનસ્પતિઓ તેમના ભૂમિગત અંગમાં ખોરાક સંગ્રહ કરે છે.
રક્ષણ માટેનો સૌથી સરળ ઉપાય આવરણ રચવાનો છે, જેથી તેની આસપાસની હવા હૂંફાળી રહે. શિયાળામાં ઘાસપાત છાદન કરવામાં આવે છે અથવા છોડની આસપાસ ગુણપાટ મૂકવામાં આવે છે. છેલ્લી પદ્ધતિ પર્ણપાતી અને પ્રસુપ્ત અવસ્થા ગાળતી વનસ્પતિઓ માટે ઉપયોગી છે. સદાહરિત વનસ્પતિઓ માટે આ પદ્ધતિ અનુકૂળ નથી.

આકૃતિ 7 : વનસ્પતિ-ઉછેર માટે મૃદા તૈયાર કરવાની પદ્ધતિ : (અ) ઘાસ અને અન્ય વનસ્પતિઓ કોદાળી કે પાવડા દ્વારા દૂર કરવી; (આ) કોદાળી કે પાવડાની મદદથી ઉદ્યાનની મૃદા લગભગ 20 સેમી.થી 30 સેમી.ની ઊંડાઈ સુધી ખોદવી; (ઇ) મૃદાનાં મોટાં ઢેફાં તોડી ઉપર-તળે કરીને તેમાં મૃદાની સુધારણા માટે જરૂરી દ્રવ્યો સમાંગ રીતે મિશ્ર કરવાં; (ઈ) વનસ્પતિ ઉગાડતાં પહેલાં મૃદાને ખંપાળી (rake) વડે, તે બારીક અને લીસી ન બને ત્યાં સુધી સરખી કરવી. નાજુક વનસ્પતિઓ માટે હરિતગૃહો (greenhouses) કે બહિષ્કક્ષ ચોકઠાં (frames) વધારાનું રક્ષણ આપે છે. હરિતગૃહોને તાપસ્થાયી(thermostat)ની મદદ વડે ઉષ્મા આપી તેમના તાપમાનનું નિયંત્રણ કરી શકાય છે. આમ, સમશીતોષ્ણ પ્રદેશોમાં ઑર્કિડ અને અન્ય ઉષ્ણકટિબંધીય વનસ્પતિઓને ઉગાડી શકાય છે, અને તેઓ સમગ્ર શિયાળા દરમિયાન પુષ્પનિર્માણ કરે છે. કેટલીક જાતિઓને વધારે તાપમાન આપી તેમનું સામાન્ય ઋતુ પૂર્વે પુષ્પનિર્માણ ઉત્તેજી શકાય છે.
હરિતગૃહોના ચાર પ્રકારો છે. તે પૈકી બે પ્રકાર શીતગૃહોના છે. પ્રથમ પ્રકારના શીતગૃહને પૂરક ઉષ્મા આપવામાં આવતી નથી. આવું શીતગૃહ ઉચ્ચ પર્વતીય (alpine) અને કૂંડામાં ઉગાડવામાં આવતી કંદિલ વનસ્પતિઓ માટે અનુકૂળ છે, જે હિમની ઠંડીથી મૃત્યુ પામતી નથી. તે તેની પવનરહિત સ્થિતિને લીધે અને સૂર્ય દ્વારા પ્રાપ્ત થતી ગરમીથી બહારના વાતાવરણ કરતાં વધારે ગરમ રહે છે. બીજા પ્રકારના શીતગૃહમાં લઘુતમ તાપમાન 7o સે. રાખવામાં આવે છે. મોટાભાગનાં હરિતગૃહો આ પ્રકારનાં હોય છે અને મોટાભાગની વનસ્પતિઓ તેમાં ઉગાડી શકાય છે. ત્રીજા પ્રકારનાં હરિતગૃહો મધ્યવર્તી (intermediate) હોય છે અને તેનું લઘુતમ તાપમાન 16o સે. રાખવામાં આવે છે, જે વિવિધ પ્રકારના ઑર્કિડ ઉગાડવા માટે યોગ્ય ગણાય છે. ચોથા પ્રકારના હરિતગૃહને ઉષ્ણગૃહ (hot house) કહે છે. તેનું તાપમાન 16o સે.થી વધારે રાખવામાં આવે છે. એન્થુરિયમ અને કૅટ્લેયા જેવી ઉષ્ણકટિબંધીય વનસ્પતિઓ તેમાં ઉછેરવામાં આવે છે.
કૃંતન (pruning) :
કૃંતન દ્વારા વનસ્પતિને ઇચ્છિત આકાર આપી તેનું કદ જાળવી શકાય છે. તે ઉદ્યાનકૃષિની સૌથી મહત્વની કલાઓ પૈકીમાંની એક ગણાય છે. ક્ષુપો અને વૃક્ષોની કુદરતી રીતે વૃદ્ધિ થવા દેવામાં આવે તો ઉદ્યાનમાં તેઓ વધારે પડતી જગા રોકે છે. ઉપરાંત વધારે વૃદ્ધિથી તેમનાં કદ અને આકાર અનિયમિત બને છે. જ્યારે શાખા કે પ્રરોહને કાપવામાં આવે છે ત્યારે કાપની નીચેથી ઘણા તરુણ પ્રરોહો ઉત્પન્ન થાય છે અને જૂની શાખાઓ કરતાં વધારે પ્રમાણમાં પુષ્પનિર્માણ થાય છે. ફળ-વૃક્ષોનું પ્રતિ વર્ષ કૃંતન કરતાં ફળોની ગુણવત્તા અને કદમાં વધારો થાય છે. તેઓ રોગમુક્ત હોય છે અને વધારે આકર્ષક રંગ ધરાવે છે. ઘણા ક્ષુપોની બધી જ નબળી કે મૃત શાખાઓનું કૃંતન કરતાં અને પ્રત્યેક શિયાળામાં તેની મજબૂત શાખાઓ ટૂંકી કરતાં તેમને લાભ થાય છે. કઠોર કૃંતન (hard pruning) દ્વારા પ્રરોહના તલપ્રદેશનો માત્ર કેટલાક સેમી.નો ભાગ રાખી ઉપરનો ભાગ કાપી નાખવામાં આવતાં ઓછાં પુષ્પો ઉત્પન્ન કરતા ક્ષુપનો કાયાકલ્પ (rejuvenation) થાય છે. વનસ્પતિ તરુણ હોય ત્યારથી તેનું કૃંતન કરવાથી મોટા, જૂના કે વિકૃત વૃક્ષ કે ઝાડવાનું ઉગ્ર અને જોખમી કૃંતન કરવું પડતું નથી.
કૃંતનનાં સાધનો અણીદાર રાખવાં જોઈએ, જેથી સારી રીતે કાપ મૂકી શકાય અને રોગજન(pathogen)નો ચેપ ઘટાડી શકાય. કાપેલી મોટી શાખાઓને પરિરક્ષક (preservate) મિશ્ર કરી રંગવામાં આવે છે.
પ્રસર્જન (propagation) :
નવી વનસ્પતિઓનું પ્રસર્જન બીજ દ્વારા થાય છે. આ કિસ્સામાં સંતતિઓમાં કેટલીક વિભિન્નતાઓ ઉદભવવાની શક્યતા રહેલી હોય છે. વનસ્પતિઓમાં વિભાજન, કટકારોપણ, કલમરોપણ (grafting), કલિકારોપણ (budding) કે દાબ (layering) દ્વારા કૃત્રિમ પ્રસર્જન પણ થઈ શકે છે. આ કિસ્સાઓમાં સંતતિઓમાં વિભિન્નતાઓ સર્જાતી નથી. આવા વનસ્પતિઓના સમૂહને સમજાતક (clone) કહે છે. ઘણી વાર ધાન્ય અને એકવર્ષાયુઓના બીજના સતત પ્રજનન અને નીંદણ (weeding) દ્વારા નિર્ભેળ અંશુઓનો પ્રવેશ શક્ય બને છે, જેઓ વાસ્તવિક રીતે પરસ્પર પ્રજનન કરી શકે છે અને અવગમ્ય (perceptible) વિભિન્નતારહિત હોય છે. છતાં તેઓ કેટલીક જનીનિક વિભિન્નતાઓ ધરાવે છે.
મોટાભાગની શાકભાજીઓ અને સહિષ્ણુ એકવર્ષાયુઓનાં બીજ સામાન્ય રીતે ખુલ્લી જમીનમાં વસંતઋતુમાં વાવવામાં આવે છે. અર્ધસહિષ્ણુ એકવર્ષાયુ વનસ્પતિઓનાં બીજ અંત:કક્ષમાં પાત્રમાં કે કૂંડામાં ઉગાડવામાં આવે છે. ઉચ્ચ પર્વતીય અને અન્ય શીત-અનુકૂલિત (cold-adapted) વનસ્પતિઓનાં બીજને અંકુરણ પૂર્વે શીત-ચિકિત્સા આપવામાં આવે છે.

આકૃતિ 8 : પ્રસર્જનની કૃત્રિમ પદ્ધતિઓ : (અ) દાબ, (આ) ગૂટી, (ઇ) યોજી કલમ-બંધન (inarching), (ઈ) કલિકારોપણ, (ઉ) જીભી કલમ (tongue grafting), (ઊ) ફાચર (wedge) કલમ, (ઋ) શિખર (crown) કલમ ઘણા ક્ષુપ માટે કટકારોપણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. મોટાભાગના કિસ્સાઓમાં મધ્ય-ગ્રીષ્મ દરમિયાન કટકારોપણ થાય છે; છતાં કાષ્ઠના પરિપક્વનની અવસ્થાને આધારે ઋતુ નક્કી કરી શકાય છે. ચાલુ ઋતુના તરુણ પ્રરોહો ઝડપથી મૂળ ઉત્પન્ન કરે છે. ગુલાબનું પ્રસર્જન કલિકા-રોપણ દ્વારા કરવામાં આવે છે. ફળ-વૃક્ષોનું પ્રસર્જન રોપણ દ્વારા થાય છે. મોગરો (Jasminum) અને અન્ય શોભન-જાતિઓમાં દાબ દ્વારા પ્રસર્જન કરવામાં આવે છે.
અપતૃણોનું નિયંત્રણ :
કૃષિનું આ એક ખૂબ મહેનતવાળું પરિબળ છે અને રખડુ આદિમાનવ જ્યારે સ્થાયી બન્યો અને કૃષિજીવન શરૂ કર્યું તે સમયથી માનવ આ પરિબળનો જાણકાર છે. પસંદગીના પાકોને અન્ય વનસ્પતિઓ સાથેની સ્પર્ધાથી મુક્ત રાખવા આવશ્યક છે. નાનાં અપતૃણોને ગોડવા(hoeing)માં આવે છે. તેમને કોદાળી વડે ખોદીને જમીન પર સૂકવવામાં આવે છે. શૈલોદ્યાનમાં શાકીય સીમામાં કે એકવર્ષાયુઓમાં આવેલાં અપતૃણોને વ્યક્તિગત રીતે ખેંચી કાઢવામાં આવે છે. તેને હસ્ત-અપતૃણન (hand weeding) કહે છે. બીજા વિશ્વયુદ્ધ પછી અપતૃણોના રાસાયણિક અને જૈવિક નિયંત્રણનો વિકાસ થયો છે.
જંતુઓ અને રોગોનું નિયંત્રણ :
વનસ્પતિઓને કીટકો, ઇતરડી, સૂત્રકૃમિ (eelworm) અને અન્ય નાનાં પ્રાણીઓ દ્વારા તેમજ હરણ, સસલાં અને ઉંદરો દ્વારા નુકસાન થાય છે. ફૂગ, બૅક્ટેરિયા અને વાઇરસ દ્વારા વનસ્પતિઓને અનેક પ્રકારના રોગો થાય છે.
રોગની ચિકિત્સા કરતાં રોગ-નિરોધ વધારે સારો છે. જંતુઓની વૃદ્ધિ અને રોગના પ્રસારને અટકાવવા સતત તકેદારી રાખવી જરૂરી છે. રોગનું નિયંત્રણ રસાયણોના છંટકાવ, પ્રકીર્ણન (dusting) અને ધૂમન (fumigation) દ્વારા થઈ શકે છે; પરંતુ કેટલાંક રસાયણો એટલાં શક્તિશાળી હોય છે કે જંતુઓ, ફૂગ, બૅક્ટેરિયા અને વાઇરસની સાથે સાથે પાકને પણ નુકસાન કરતાં હોય છે. તેથી તેનો ઉપયોગ યોગ્ય સમજપૂર્વક થવો આવશ્યક છે. ખાસ કરીને હાઇડ્રૉકાર્બન જેવાં ઝેરી રસાયણોનો અતિશય ઉપયોગ થતાં આહાર શૃંખલા ઉપર લાંબા સમયની હાનિકારક અસરો થાય છે. રોગનું કેટલેક અંશે સ્વચ્છતા દ્વારા પણ નિયંત્રણ થાય છે. બધા જ મૃત અને રોગિષ્ઠ અવશેષોને બાળી નાખવામાં આવે છે. કૃંતન અને વિરલન (thinning) દ્વારા હવાનું પૂરતું અભિસરણ થાય છે. પાકની ફેરબદલી દ્વારા પણ રોગનું નિયંત્રણ થાય છે. કેટલુંક નિયંત્રણ જૈવિક-ભક્ષકો (biological predators) વડે પણ થાય છે. કેટલીક જંતુ અને રોગ-અવરોધક જાતિઓનો સંકરણ દ્વારા વિકાસ કરવામાં આવ્યો છે, જે રોગનિયંત્રણનો સર્વશ્રેષ્ઠ ઉપાય ગણાય છે.
સંપાદકીય નોંધ:
૧. અહીં મૂકેલ તસવીર માત્ર સાંદર્ભિક પરિપ્રેક્ષ્ય માટે ઉમેરી છે.
૨. ગુજરાતી વિશ્વકોશમાં આવરી લેવાયેલ ૧૬૯ વિષયોમાં વિસ્તરેલાં અધિકરણૉમાંથી ચૂંટેલાં અધિકરણો વેબ ગુર્જરી પર રજૂ કરવાના ઉપક્રમના ભાગ રૂપે આ લેખ ‘બાગ-બગીચા – Gardening’ વિષયમાંથી પસંદ કરેલ છે.
૩. આ માહિતી અહીં માત્ર વાચકોની જાણ માટે જ છે. તેનો આગળ ઉપયોગ કરતાં પહેલાં એ બાબતની ખાસ નોંધ લેવી ઘટે કે વિશ્વકોશનાં તમામ અધિકરણોના કોપીરાઈટ/માલિકીહક્ક ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના છે. એટલે એ લખાણો કે અધિકરણોનો ઉપયોગ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની પરવાનગી સહિત જ કરવો આવશ્યક છે. તે ઉપરાંત ‘આ લખાણ કે અધિકરણના કોપીરાઈટ/માલિકીહક્ક ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના છે’ તે મતલબનું લખાણ હોવું આવશ્યક છે.
