વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • સાહિર એટલે જાદુગર અને કવિ સાહિર લુધિયાનવી શબ્દ, ભાવ, લય, સંવેદન અને અભિવ્યક્તિના ખરા જાદુગર હતા

    સંવાદિતા

    જંગ તો ખુદ હી એક મસલા હૈ
    જંગ ક્યા મસઅલોં કા હલ હોગી

    ભગવાન થાવરાણી

    સાહિર લુધિયાનવી મુખ્યત્વે પ્રેમ અને એમાંથી જનમતી આનુષંગિક લાગણીઓના કવિ તરીકે જાણીતા છે પણ એમનો રચના સંસાર દરેક અર્થમાં બહુઆયામી હતો. મૂલત: ઉર્દુ કવિ હોવા છતાં એમણે વિશુદ્ધ હિંદી ભાષામાં લખેલા ફિલ્મી ગીતો અને એમાં સમાયેલું અગાધ ઊંડાણ સાંભળી- અનુભવી દંગ રહી જવાય ! એમની અંગત જિંદગી અને પ્રેમ પ્રકરણો ચર્ચાઈ ચુક્યા છે. માનવતા, ધર્મનિરપેક્ષતા, સમાજવાદ અને મહેનતકશોની હિમાયતમાં એમણે વિપુલ માત્રામાં લખ્યું છે. ઉર્દુના મહાન કવિ ફૈઝ અહમદ ‘ ફૈઝ’ ની એમના લખાણો પર ઊંડી અસર હતી. ફિલ્મી ગીતકારોને ફિલ્મોની પ્રસિદ્ધિમાં માનભર્યું સ્થાન અને એમને અપાતાં મહેનતાણા માટે એમણે જે લડત ચલાવી એ કદીય વિસરી શકાય નહીં ! ૨૦૨૧ એમની જન્મ શતાબ્દીનું વર્ષ હતું.


    આજે ચોમેર ફેલાયેલ યુદ્ધ અને તબાહીની આંધીમાં એમની  યુદ્ધવિરોધી રચનાઓ અત્યંત પ્રસ્તુત છે. આવી બે કૃતિઓ ઉપર દ્રષ્ટિપાત કરીએ. એમની એક નઝ્મનો આરંભ આમ છે :

    ખૂન અપના હો યા પરાયા હો
    નસ્લ-એ-આદમ કા ખૂન હૈ આખિર
    જંગ મશરિક મેં હો યા મગરિબ મેં
    અમ્ન-એ-આલમ કા ખૂન હૈ આખિર

    લોહી પોતીકું હો કે પારકું, છેવટે તો માણસનું જ ને ! યુદ્ધ પૂર્વમાં થાય કે પશ્ચિમમાં, હત્યા તો વિશ્વશાંતિની જ ને ! આ નઝ્મની પછીની પંક્તિઓનો કેવળ સારાંશ જોઈએ.

    બોમ્બ ઘર પર પડે કે સરહદ પર, લોહીલુહાણ તો સર્જનનો આત્મા જ થાય છે. ખેતરો આપણા સળગે કે દુશ્મનના,  ભૂખમરો જિંદગી વેઠે છે. ટેન્ક આગળ વધે કે પાછળ હટે, કૂખ ધરતીની જ વાંઝણી થાય છે. વિજયોત્સવ હોય કે પરાજયનું માતમ, જિંદગી લાશો ઉપર આંસુ સારે છે.
    યુદ્ધ તો સ્વયં એક સમસ્યા છે. એ વળી સમસ્યાઓ હલ કરશે ? યુદ્ધ ટળે એ જ શ્રેયસ્કર છે. આપણા સૌના આંગણામાં સુખશાંતિની જ્યોત જલતી રહે એમાં જ ભલાઈ છે.
     કોઈક બળવાન છે એ સાબિત કરવા લોહી વહાવવું એ જ એક ઉકેલ છે ? ઘરનું અંધારું દૂર કરવા ઘરને સળગાવવાનું ?
    લડાઈ લડવી હોય તો બીજા અનેક મોરચા ક્યાં નથી ? આવો લડીએ બર્બરતા સામે,  આ હતભાગી પૃથ્વી પર સમજદારી રૂપી અજવાસ માટે, લડીએ શાંતિ માટે,  લડીએ મોતના સોદાગર એવા રાજકારણીઓ સામે ,લડીએ ગરીબી અને ગુલામી સામે, લડીએ સુશાસન માટે અને ગુમરાહ નેતૃત્વ સામે,  લાચાર પ્રજા માટે, મૂડીવાદના આધિપત્ય સામે,  લોકોની ખુશહાલી માટે અને લડાયકતાની માનસિકતા વિરુદ્ધ !
    ફિલ્મ ‘ તાજમહાલ ‘ ( ૧૯૬૩ ) માં સાહિરે લખેલા લતા મંગેશકર દ્વારા ગવાયેલ અને રોશન દ્વારા તર્જબદ્ધ ( રાગ : મિયાં કી તોડી ) એક નઝ્મમાં પણ આ જ વાત જુદા અંદાઝમાં દોહરાવાઈ છે પણ એના શબ્દોની ઉર્દુ પ્રચૂરતાના કારણે એની મહત્તા યોગ્ય રીતે ઝીલાઈ નથી. પડદા પર મુમતાઝ મહાલ ( બીના રોય )એને ઇબાદતના રૂપમાં ગાય છે. એના અસલ શબ્દો પણ જોઈએ :
    ખુદા – એ – બરતર તેરી ઝમીં પે ઝમીં કી ખાતિર યે જંગ ક્યોં હૈ
    હરેક ફતહ-ઓ-ઝફર કે દામન પે ખૂને – ઈંસાં કા રંગ ક્યોં હૈ
     
    ઝમીં ભી તેરી હૈં હમ ભી તેરે, યે મિલ્કીયત કા સવાલ ક્યા હૈ
    યે કત્લ-ઓ-ખૂં કા રિવાજ ક્યોં હૈ, યે રસ્મે જંગો જિદાલ ક્યા હૈ
    જિન્હે તલબ હૈ જહાન ભર કી, ઉન્હીં કા દિલ ઈતના તંગ ક્યોં હૈ
     
    ગરીબ માંઓં, શરીફ બહનોં કો અમ્નો ઈઝ્ઝત કી ઝિંદગી દે
    જિન્હેં અતા કી હૈ તુને તાકત, ઉન્હેં હિદાયત કી રૌશની દે
    સરોં મેં કિબ્ર-ઓ-ગુરૂર ક્યોં હૈ, દિલોં કે શીશે પે જંગ ક્યોં હૈ
     
    કઝા કે રસ્તે પે જાને વાલોં કો બચ કે આને કી રાહ દેના
    દિલોં કે ગુલશન ઉજડ ન જાએં, મુહબ્બતોં કો પનાહ દેના
    જહાં મેં જશ્ને વફા કે બદલે, યે જશ્ને તીરો તફંગ ક્યોં હૈ..
     
    ધ્રુવ પંક્તિ સહિતના ચાર બંધની આ રચનાનો સરળ અર્થ જોઈએ.
    – હે સર્વશક્તિમાન ઈશ્વર ! તારી જ જમીન પર જમીન ખાતર આ યુદ્ધ શાને ? દરેક ફતેહનો પાલવ માનવીય રક્તથી રંજિત શાને ?
    – જમીન તારી, અમે પણ તારા તો પછી વ્યક્તિગત મિલકતનો સવાલ ક્યાંથી ? આ હત્યા અને ખૂનામરકીની પ્રથા શા કારણે ?આ યુદ્ધ, આ વિખવાદો શાને ? જેમને સમગ્ર જગત કબજે કરવાની લાલસા છે એમનું દિલ આટલું સંકુચિત ?
    – ગરીબ માતાઓ અને ભલી ભોળી બહેનોને શાંતિ અને સ્વમાનનું જીવન આપજે. જેમને તેં સામર્થ્ય અને અપાર શક્તિ આપ્યા છે એમને સન્માર્ગનો રસ્તો પણ અજવાળી આપજે. એ લોકોના દિમાગમાં આ ઘમંડ, આ ઉદ્દંડતા શા કારણે ? એમના હૃદયના દર્પણ ઉપર આ ધુંધળાશ  કેમ ?
    – જે લોકો વિનાશના રસ્તે નીકળી ચૂક્યા છે એમને ત્યાંથી પાછા ફરવાની મોકળાશ આપજે. દિલમાં ખીલેલા હર્યાભર્યા ઉદ્યાન વેરાન ન થઈ જાય તે માટે ત્યાં પ્રેમની કૂંપળનો અવકાશ આપજે. દુનિયામાં પ્રેમ, વફાદારીના ઉત્સવની ઉજવણીના બદલે આ બંદૂકો અને અસ્ત્ર- શસ્ત્રોનું સામ્રાજ્ય શાને ?
    સાહિરની સૌથી લોકપ્રિય રચના ‘ અલ્લાહ તેરો નામ‘ ( ફિલ્મ : હમ દોનો – લતા ) ના શબ્દોમાં પણ અદ્દલ આ જ ભાવ છે.


    સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • કાર્ટૂનકથા (૧૭)

    બીરેન કોઠારી

    આ શ્રેણીમાં માત્ર ‘સાહિત્ય’ના વિષયને કેન્‍દ્રમાં રાખીને ચીતરેલાં કાર્ટૂન મૂકવામાં આવે છે, જે વાર્તા સામયિક ‘વારેવા’માં અગાઉ પ્રકાશિત થઈ ચૂક્યાં છે.

    ‘વારેવા’ના સત્તરમા અંકમાં આ કાર્ટૂન પ્રકાશિત થયાં હતાં.

     

    વાર્તાવ્યંગ્ય

    (વાર્તામાં, વાર્તાલેખનમાં રસ ધરાવનાર સૌ કોઈને આ વિશિષ્ટ સામયિકમાં રસ પડશે. તેના વિશે વધુ વિગતો તેની સાઈટ https://vareva.co.in/ પર જોઈ શકાશે.)


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • પ્રવાસન ક્ષેત્રની હાલત કમાઉ છતાં ઓરમાન સંતાન જેવી છે

    નિસબત

    ચંદુ મહેરિયા

    પ્રવાસ, પર્યટન અને યાત્રા માનવજીવનનું અભિન્ન અંગ છે. કદાચ એટલે જ જીવ્યા કરતાં જોયું ભલું એમ આપણે કહીએ છીએ. ભારત દેશી-વિદેશી પ્રવાસીઓને ભરપૂર આકર્ષી શકે એટલી વિવિધતા ધરાવે છે. હિમાલયનો મોટો હિસ્સો ભારતમાં છે. ઘણી વિશાળ નદીઓ છે તો વિશાળ સમુદ્ર તટ છે. વિવિધતાથી ભરેલો રણ પ્રદેશ છે. પ્રાચીન સભ્યતા ધરાવતા આપણા દેશમાં કેટકેટલા ઐતિહાસિક સ્થળો છે. યુનેસ્કોની વિશ્વ ધરોહરના ઘણાં બધાં સ્થાનો છે. રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યો છે. નહેરુ જેને આઝાદ ભારતના નવા તીર્થ સ્થળો કહેતા એવા વિશાળકાય બંધો અને ઉત્પાદન કેન્દ્રો છે. રંગબેરંગી વિવિધતાઓમાં કંઈક પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા સ્થાનો , નદીઓ, ઝરણા,પર્વતો,સંગીત, સંસ્કૃતિ, ખાનપાન, હસ્તકળા અને એવું કંઈક છે. વન્ય જીવન છે તો પહાડી અને મેદાની પ્રદેશો છે. તાજમહેલ અને કશ્મીર પછી હવે વિશ્વની સૌથી ઉંચી સરદાર પ્રતિમાનું સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી  છે. ગાંધી,નહેરુ, સુભાષ,સરદાર, ભગતસિંઘના જન્મ અને સ્મારક સ્થળો છે તો ગુરુદેવ ટાગોરનું શાંતિનિકેતન અને જૂની-નવી નાલંદા વિશ્વ વિદ્યાલય છે. અનેક બૌધ્ધ તથા જૈન સ્મારકો છે. બિનસાંપ્રદાયિક દેશમાં તમામ ધર્મોના મહત્વના અને કેટલાક વિશ્વ પ્રસિધ્ધ ધાર્મિક સ્થળો છે. ટૂંકમાં ભારત પ્રવાસન ક્ષેત્રે ખૂબ સમૃધ્ધિ ધરાવે છે.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    વલ્ડ ઈકોનોમિક ફોરમ ઘોષિત ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ડેવલપમેન્ટ ઈન્ડેક્ષમાં વિશ્વના ધનવાન દેશો મોખરાનું સ્થાન ધરાવે છે. પ્રવાસનમાં શીર્ષ સ્થાન ધરાવતા દુનિયાના દેશો જાપાન,અમેરિકા, સ્પેન, ફ્રાન્સ, જર્મની, સ્વિત્ઝરલેન્ડ, ઓસ્ટ્રેલિયા, બ્રિટન અને સિંગાપુર છે. અનોખા પ્રવાસન સ્થળો અને પ્રવાસીઓ માટે બહેતર સુવિધાઓના કારણે આ અમીર દેશો સૂચકાંકમાં મોખરે છે. ૨૦૨૪ના યાત્રા અને પર્યટન વિકાસ સૂચકાંકની ૧૧૯ દેશોની સૂચિમાં ભારત ૩૯મા ક્રમે છે. કોરોના મહામારી પૂર્વે ૨૦૧૯મા તેનું સ્થાન ૫૪મું હતું. કોરોના પછી ટુરિઝમ ક્ષેત્રે મંદી પ્રવર્તી રહી છે ત્યારે ભારતે  વિશ્વના દેશો સાથે સ્પર્ધા કરી પ્રથમ ચાળીસમા સ્થાન મેળવ્યું છે, તે નોંધનીય છે.

    પ્રવાસન પ્રત્યેનું એકંદર સરકારી વલણ કમાઉ પણ ઓરમાન દીકરાનું  છે. જોકે હવે તેમાં સુધારો થઈ રહ્યો છે. એ દ્રષ્ટિએ ભારતમાં  ટુરિઝમના વિકાસની યાત્રા જોવા જેવી છે. સ્વતંત્રતા પહેલા ૧૯૪૫માં પ્રવાસનના વિકાસ માટેનો પહેલો સંગઠિત અને સચેત પ્રયાસ કરવામાં આવ્યો હતો. પંચવર્ષીય યોજનાઓમાં પણ તેને સ્થાન મળ્યું. ૧૯૬૬માં ઈન્ડિયન ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશનની રચના કરવામાં આવી  અને તેને પ્રવાસન સ્થળોએ પાયાની સગવડો  ઉભી કરવાનું કામ સોંપાયું. રોજગારીનું સર્જન, આવકનો સ્ત્રોત, વિદેશી મુદ્રા આવકની રીતે વિચારીને ૧૯૮૦ના દસકમાં પ્રવાસનને એક ઉદ્યોગના રૂપમાં ગતિ મળી.પ્રવાસન બંધારણની સમવર્તી સૂચિનો વિષય હોઈ તે કેન્દ્ર અને રાજ્યો બંનેને સ્પર્શે છે પરંતુ કેન્દ્રીય ધોરણે પહેલી પ્રવાસન નીતિ ૧૯૮૨માં ધડવામાં આવી હતી. વિદેશોમાં ભારતને ગૌરવશાળી અને સમૃધ્ધ અતીત ધરાવતા દેશ  તરીકે સ્થાપિત કરી વિદેશી પ્રવાસીઓને આકર્ષવા પર તેમાં ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. ૧૯૯૨ થી ૯૭ની આઠમી પંચવર્ષીય યોજનામાં પ્રવાસનમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી વધારવા અંગેની યોજના ઘડાઈ હતી.૨૦૦૨ની નેશનલ ટુરિઝમ પોલિસીમાં પ્રવાસનને આર્થિક વિકાસના ચાલક બળ તરીકે જોવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું હતું. આ જ વરસે અતુલ્ય ભારત અભિયાન હેઠળ વિશ્વમાં ભારતના પ્રવાસનનો પ્રચાર કરવામાં આવ્યો.

    જો વીસમી સદીમાં પ્રવાસન વૈશ્વિક ઉધ્યોગ તરીકે સ્થાપિત થયું હતું તો એકવીસમી સદીમાં તેમાં ગતિ આવી છે. વિદેશી પર્યટકોને આકર્ષવા માટે દુનિયાના દેશોમાં રીતસરની હરીફાઈ ચાલે છે. વન્ય જીવન માટે પ્રખ્યાત કેન્યાએ આ વરસથી આખી દુનિયાનાપ્રવાસીઓને વીસામાંથી મુક્તિ આપી છે. મલેશિયા, થાઈલેન્ડ અને શ્રીલંકાએ  ભારતીય પ્રવાસીઓને વીસા લેવામાંથી મુક્તિ આપી છે. જાપાને પણ પ્રવાસીઓ માટે વીસાની પ્રક્રિયા સરળ બનાવી છે. ભારતમાં ટુરિઝમ ક્ષેત્રે અપાર શક્યતાઓ રહેલી છે. હવે છેલ્લા એક દાયકાથી સરકારે પ્રવાસનના વિકાસને પ્રાથમિકતા આપી છે.

    દેશની અર્થવ્યવસ્થામાં પ્રવાસનનું મોટું યોગદાન છે. ભારતના જીડીપીમાં  તેનો હિસ્સો ૬.૨૩ ટકા છે. તો કુલ રોજગારમાંથી ૬.૭૮ ટકા રોજગાર પ્રવાસનથી ઉભા થાય છે. ૨૦૨૧માં ટુરિઝમથી ૩૨ મિલિયન રોજગાર પેદા થયા હતા. ભારતના પ્રવાસન ઉધ્યોગથી આઠ કરોડ લોકોને સીધી કે આડકતરી રોજી મળે છે. ભારતમાં સામાન્ય રીતે ધાર્મિક પ્રવાસો મોટા પાયે થાય છે. એટલે ધાર્મિક સ્થળોને પ્રવાસ ધામ તરીકે વિકસાવવાને પ્રાથમિકતા મળી છે. ગુજરાતમાં પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ બનાવ્યું છે. જોકે સરકારનું લક્ષ્ય શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રે પણ પ્રવાસનનો વિકાસ કરવાનો છે.

    ભારતના લોકો વિદેશ પ્રવાસ કરીને અન્ય દેશોને જે આવક રળી આપે છે તેટલી આવક ભારતને  વિદેશીઓના ભારત પ્રવાસથી થતી નથી.દુનિયાના કુલ વિદેશી પ્રવાસીઓના માંડ બે ટકા જ ભારતમાં આવે છે. ૨૦૨૨માં ૨ કરોડ ભારતીયોએ વિદેશોના પ્રવાસો કર્યા હતા તેની તુલનાએ ભારત આવનારા વિદેશી પ્રવાસીઓ પંચાસી લાખ જ હતા. ૨૦૨૨-૨૩માં ભારતીયોએ વિદેશ પ્રવાસ માટે આશરે ૧૩ અબજ ડોલર અને ૨૦૨૩-૨૪માં ૧૭ અબજ ડોલર ખર્ચ્યા હતા.  ભારતને વિદેશી પ્રવાસીઓથી થયેલી આવક કરતાં ભારતીયોએ વિદેશ પ્રવાસ માટે ખર્ચેલા નાણા અનેક ગણા વધારે છે.

    ગરીબી નાબૂદી અને વંચિતોના વિકાસની દ્રષ્ટિએ પણ પ્રવાસનના વિકાસનો વિચાર થવો જોઈએ. ઓછા ખર્ચનું રોકાણ અને વધુ નાણા રળી આપતા પ્રવાસન તરફ કેન્દ્ર અને રાજ્ય સરકારોનું ધ્યાન ખેંચાયું છે અને તેના વિકાસને પ્રાધાન્ય મળ્યું છે .પરંતુ હજુ ઘણું કરવાનું બાકી છે.એક ગીતમાં કહેવાયું છે તેમ પાવલી લઈને પાવાગઢ જનારા ધાર્મિક યાત્રીઓ આપણે ત્યાં ઓછા નથી . રણુંજા, ચોટીલા, અંબાજી, ડાકોર નિયમિત જનારા પ્રવાસીઓ આપણી હાલની ટુરિઝમ પોલીસીમાં ક્યાં છે તેવો સવાલ રહે છે.

    પ્રવાસન ક્ષેત્રે સરકાર, સમાજ, સેવાભાવી સંસ્થાઓ અને ખાનગી ક્ષેત્રે ઘણું કામ કર્યું છે.પરંતુ હજુ ઘણું કરવાનું શેષ છે. પૈસાવાળાઓની સાથે જ સાધારણ પ્રવાસીઓને પણ પોસાય તેવી સગવડો પ્રવાસન સ્થળોએ ઉભી થવી જોઈએ. પ્રવાસન સ્થળો ગંદા-ગોબરા ના હોય તેમ તે અતિ ભીડભાડથી મુક્ત હોય તે પણ જરૂરી છે. પ્રવાસન સ્થળોએ મ્યુઝિયમ્સ અને સંગ્રહાયલોને યોગ્ય રીતે અને વ્યવસાયી ધોરણે સ્થાપવાની જરૂર જરાય ઓછી નથી. નિવાસ અને ભોજનની સગવડના અભાવે પ્રવાસીઓ આવતા બંધ ના થાય એટલે પ્રવાસીઓની રસરૂચિનું ભોજન તથા આરામદાયક,સ્વચ્છ અને સુરક્ષિત નિવાસની પૂરતી વ્યવસ્થા ઉભી થવી જોઈએ. ગુણવતાપૂર્ણ ભોજન અને નિવાસને પ્રવાસીઓને આકર્ષવાની ગુરુ ચાવી ગણવી જોઈએ. ખાનગી અને જાહેર પરિવહન પ્રવાસનના વિકાસની પ્રાથમિક શરત હોઈ રસ્તા, રેલ અને હવાઈ માર્ગે પ્રવાસન સ્થળને જોડવા પડશે. એ જ રીતે ઘણા પ્રવાસન સ્થળો પર ઋતુઓની અસર થાય છે અને વિપરિત ઋતુમાં પ્રવાસીઓ ઘટે છે તે  અડચણ દૂર કરવાની જરૂર છે.

    વર્તમાન દાયકાના અંતે ભારત ટુરિઝમ ઈકોનોમીને દ્રઢ કરી વિદેશી પ્રવાસીઓ પાસેથી ૫૬ અબજ ડોલર અને આઝાદીના શતાબ્દી વરસે ૨૦૪૭માં ૧ લાખ કરોડ ડોલર મેળવવાનું લક્ષ્ય ધરાવે છે. તેને સાકાર કરવા અનેક દિશાએથી પ્રયાસો કરવા પડશે.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ઈશ્વરને ઇ મેઇલ – ૨

    સહિયારું સખ્ય..

    નીલમ  હરીશ દોશી

    મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે,
    શુભ થાઓ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે

     પ્રિય દોસ્ત,

    કેમ છો દોસ્ત ? ભકતનું સંબોધન તો હવે જૂનવાણી ગણાયને ? સમયની સાથે સંબોધન પણ બદલાય ને ?  પ્રિય ભક્ત કે પ્રિય માનવને બદલે, દોસ્ત  ?   આજના યુગને તમે મૈત્રીયુગ નામ આપ્યું છે ને ?  આજે તમે  અન્ય સૌ સંબંધો કરતા મિત્રતાના સંબંધને વધારે આવકાર્ય ગણો છો. પિતા, પુત્ર , મા દીકરી કે સાસુ વહુ જેવા સંબંધોમાં પણ તમે મિત્ર શોધો છો અને મૈત્રીના સંબંધને ઝંખો છો..એનાથી હું અજાણ નથી. અને એમાં કશું ખોટૂં પણ નથી. સમયની સાથે પરિવર્તન તો આવતું જ રહેવાનું અને એ મનથી સ્વીકારવું પણ જોઇએ. દરેક યુગની આગવી માગ, આગવી જરૂરિયાત હોય છે. સનાતન સત્યની સાથે સાથે દરેક સમયનું પોતાનું પણ એક આગવું સત્ય  હોય છે. તો પછી મારે પણ બદલાવું રહ્યું ને ?

    જેની સામે  મોકળા મને ઠલવાઇ શકાય, જેને ખભ્ભે માથું  મૂકીને હળવાશની  અનુભૂતિ પામી શકાય એવા દોસ્ત મેળવનાર નસીબદાર કહેવાય. જે વગર કહ્યે તમારી વ્યથા સમજી શકે એવી દોસ્તીની ગરજ કોને ન હોય ? તમારામાં પણ એવી અનેક દોસ્તી પાંગરી હોવાના દાખલા મેં જાણ્યા છે.

    સખાભાવને તો મેં પણ હમેશા સ્નેહથી સ્વીકાર્યો છે. સુદામા, અર્જુન કે દ્રૌપદી જેવા મારા અનેક પરમ મિત્રોની મિત્રતા હું કેમ વિસરી શકું ? મારા પરમ સખા માટે તો હું તેનો સારથિ બનીને રથ હાંકનાર પણ બની શકું કે પછી  સખા માટે હું બધું ભૂલીને અડવાણા પગે  પણ દોડી જાઉં અને વગર માગ્યે દોસ્તની અપેક્ષાઓ પૂરી કરી શકું.

    દોસ્તી બહું મોટી ચીજ છે. એનો અનાદર તો હું પણ નથી કરી શકતો. હા, એ માટે લાયક દોસ્ત મળવો જોઇએ. હે માનવ, તારામાં એક લાયક દોસ્ત બનવાની અપાર શકયતા છે. અને મને તારી દોસ્તીની ઝંખના છે. આજે મને પણ ભકતની નહીં, એક સંનિષ્ઠ મિત્રની જરૂર વરતાઇ રહી  છે. મને આશા છે મારી દોસ્તી તું કબૂલ કરીશ.  આજે  આ ઇ મેઇલથી  તારી તરફ દોસ્તીનો હાથ લંબાવવાની પહેલ હું કરું છું.

    મહાભારતના યુધ્ધ મધ્યે  મારા પરમ સખા અર્જુનને ગીતા સંભળાવીને મેં તેનો મોહ, તેનું અજ્ઞાન દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. દોસ્ત, આજે તું પણ અનેક જાળાઓમાં, વાડાઓમાં, ગ્રન્થિઓમાં, અટવાયેલો છે એવું મને લાગે છે.એક મિત્ર તરીકે મને એ ન જ ગમે ને ? પોતાનો મિત્ર ખોટી દિશાએ ચડી ગયો હોય એ એક સાચા મિત્રથી કેમ સહન થાય ? એથી  આ ઇમેઇલ તારા કુશળ મંગલ માટે..

    લિ. તારો જ ઇશ્વર..


    ચપટીક ઉજાસ..

    એક મીણબત્તીમાથી હજારો સળગી શકે. અને એથી મીણબત્તીની લાઇફ  ઘટતી  નથી.


    નીલમ  હરીશ દોશી : E mail: nilamhdoshi@gmail.com | બ્લોગ : પરમ સમીપે

  • યુનાઈટેડ નેશન્સે હંસા મહેતાને હમણાં કેમ સંભાર્યાં હશે?

    તવારીખની તેજછાયા

    જન્મ : ૩ જુલાઈ, ૧૮૯૭, મૃત્યુ : ૪ એપ્રિલ, ૧૯૯૫

    પ્રકાશ ન. શાહ

    વડોદરાના મહિલા સાંસ્કૃતિક સંગઠનને હંસા મહેતા વિશે ચર્ચાગોષ્ઠી યોજવાનું ગયે અઠવાડિયે સૂઝી રહ્યું તે જાણી સ્વાભાવિક જ આનંદ થયો. હજુ બે’ક અઠવાડિયાં પર જ યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં પ્રમુખીય સ્તરેથી એમનો વિશેષોલ્લેખ થયાનું ક્યાંક ખૂણેખાંચરે વાંચવાનું બન્યું ત્યારથી જ અંતરમનમાં એ વાતે અમળાટ હતો કે આપણે ગુજરાતીઓ એમને ક્યારે સંભારીશું.

    યુનાઈટેડ નેશન્સે એમને કેમ સંભાર્યાં હશે એનો ખુલાસો આપું તે પહેલાં મહિલા સાંસ્કૃતિક સંગઠનને લગરીક મીઠો ઠપકો આપું? કાર્યક્રમની આગોતરી જાણ કરતા એણે હંસાબહેનને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પ્રથમ મહિલા વાઈસ ચાન્સેલર તરીકે કેમ ઓળખાવ્યાં? ભાઈ, એ પ્રથમ વાઈસ ચાન્સેલર (૧૯૪૯-૧૯૫૯) હતાં અને એમના કાર્યકાળમાં યુનિવર્સિટી આંતરરાષ્ટ્રીય સ્તરે મૂકાવા લાગી હતી જે એમની પ્રતિભા અને સંપર્કો જોતાં સહજ પણ હતું. પાછાં યુએન પહોંચી જઈશું?

    આઝાદીના અરસામાં હંસા મહેતા ભારતના પ્રતિનિધિમંડળ પર ત્યાં હતાં, અને એમાં પણ માનવ અધિકારોને લગતી સમિતિ પર એલીનોર રુઝવેલ્ટ (અમેરિકી પ્રમુખ રુઝવેલ્ટનાં પત્ની) અને હંસાબહેન બેઉ સહ-ઉપપ્રમુખ હતાં. એલીનોરના અધિકૃત ચરિત્રકારે યુએન ડેક્લેરેશન ઓફ હ્યુમન રાઈટ્સ અંગેની એમની કામગીરીની ચર્ચા કરતા ખાસ નોંધ્યું છે કે મૃદુભાષી, કંઈક તનુકાય, સાડીએ સોહતાં હંસા મહેતાએ માનવ અધિકારને લગતા યુએન જાહેરનામામાં પહેલે જ ધડાકે, પહેલી જ કલમમાં શકવર્તી સંસ્કરણ માટે આગ્રહ રાખીને ઈતિહાસ સર્જ્યો હતો. ‘ઓલ મેન આર બોર્ન ફ્રી એન્ડ ઈક્વલ’થી શરૂ થતી માંડણીમાં દરમ્યાન થઈ હંસાબહેને કહ્યું હતું કે ‘મેન’ શા સારુ, ‘હ્યુમન બીઇંગ્ઝ’ રાખો. એલીનોરનું અને બીજા કેટલાકનું કહેવું હતું કે ‘મેન’ સામાન્યપણે સ્ત્રીપુરુષ સૌને આવરી લેતા અર્થમાં સમજાતો પ્રયોગ છે. પણ હંસાબહેને આગ્રહપૂર્વક સમજાવ્યું કે ‘જેન્ડર જસ્ટિસ’નો નવ્ય અભિગમ હવે જૂના ઢાંચાની બહાર માવજત માંગે છે- માટે ‘ઓલ હ્યુમન બીઈંગ્ઝ.’

    હવે ન્યૂયોર્કથી વળી વડોદરા, અને તે પણ પાછે પગલે. હંસાબહેન વડોદરાના દીવાન મનુભાઈ મહેતાનાં પુત્રી, ને મનુભાઈ વળી નંદશંકર મહેતાના પુત્ર. એટલે પહેલી ગુજરાતી નવલકથા ‘કરણ ઘેલો’ના લેખક નંદશંકરનાં એ પૌત્રી. આમ જન્મતાં જ જાણે કે ઈતિહાસકન્યા. વડોદરાથી ફિલસૂફીમાં સ્નાતક થઈ એ લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિક્સમાં પત્રકારત્વ અને સમાજશાસ્ત્રના વિશેષ અભ્યાસ સારુ પહોંચ્યાં એય આજથી સો વરસ પહેલાંના ગુજરાતની દૃષ્ટિએ નાની શી વિશ્વઘટના સ્તો! લંડનવાસ દરમ્યાન સરોજિની નાયડુનો સંપર્ક એમને સફ્રેજેટ મુવમેન્ટ- મહિલા મતાધિકાર ચળવળ ભણી દોરી ગયો. ભણી ઊતર્યાં ને પાછાં ત્યારે રાષ્ટ્રીય ચળવળના માહોલમાં ગાંધીખેંચાણ દુર્નિવાર હતું. આપણી ઈતિહાસકન્યાએ હવે પિકેટિંગમાં જોડાઈ જેલ-લાયકાત પણ હાંસલ કરી. ૧૯૩૭ના પ્રાંતિક સ્વરાજ વખતે મુંબઈ રાજ્યના ઉપલા ગૃહમાં ચૂંટાઈ એ પાર્લમેન્ટરી સેક્રેટરી તરીકે પણ કાર્યરત રહ્યાં. અખિલ હિંદ મહિલા પરિષદ (ઓલ ઈન્ડિયા વીમેન્સ કોન્ફરન્સ)ના સ્થાપકો પૈકી એક એવાં હંસાબહેને આગળ ચાલતાં એનું અધ્યક્ષપદ પણ શોભાવ્યું અને મહિલા પરિષદને સ્વરાજની લડત સાથે સાંકળી નારીજાગૃતિનો એક નવો આયામ પ્રગટાવવામાં અગ્રભાગી રહ્યાં.

    અને હા, દરમ્યાન એમણે લગ્ન પણ કર્યાં હતાં પાછળથી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ઝળકેલા ડો. જીવરાજ મહેતા સાથે. નાગરી નાતને વણિક પુત્ર સાથેનાં આ પ્રતિલોમ લગ્ન ક્યાંથી બહાલ હોય. કહ્યું, નાત બહાર મૂકીશું. ઈતિહાસકન્યાએ આસ્તે રહીને કહ્યું, મેં તો કે’દીના તમને મુક્ત કરેલા છે!

    પ્રજાસત્તાક સ્વરાજ આગમચ જે બંધારણ સભા બની એના પંદર મહિલા સભ્યો પૈકી એક હંસાબહેન પણ હતાં. એમની બંધારણ સભા પરની કામગીરીમાં બે ધ્યાનાર્હ વાતો સામે આવે છે. એક તો એમણે સમાન કુટુંબ કાયદા-કોમન સિવિલ કોડનો આગ્રહ રાખેલો. સ્ત્રીપુરુષ સમાનતાના મુદ્દે, પછી તે વારસાની વાત હોય કે લગ્ન અગર ફારગતીની, કોઈ સામાજિક રૂઢિ કે કથિત ધરમ-મજહબ નહીં પણ સ્વતંત્ર વિચારને ધોરણે એ વાત હતી. બંધારણમાં જેને માર્ગદર્શક સિદ્ધાંતો (ડાઈરેક્ટિવ પ્રિન્સિપલ્સ) કહેવામાં આવે છે તે ઘડવામાં, ખાસ તો તે અંગે શબ્દવિન્યાસમાં એમણે ઊંડો ને સક્રિય રસ લીધો હતો. આ સિદ્ધાંતો કાયદેસર બંધનકર્તા નથી એ સાચું, પણ તે ચોક્કસ માર્ગદર્શક છે જ છે, એ સંજોગોમાં એમાં મૂકાયેલા શબ્દોમાં દૃઢતા હોય તે માટેનો એમનો આગ્રહ હતો.

    હજુ એક ઉલ્લેખ બંધારણ સભા વિશે. ૧૫મી ઓગસ્ટે બંધારણ સભાને દેશની નારીશક્તિ વતી રાષ્ટ્રધ્વજ ભેટ ધરવાની જવાબદારી એમણે નભાવી હતી. સરોજિની નાયડુ કોઈ કારણસર પહોંચી શકે એમ નહોતાં એટલે એમણે આ દાયિત્વ એમને ભળાવ્યું હતું. ધ્વજ અર્પતી વેળાની એમની દિલબુલંદ રજૂઆત અને સુચેતા કૃપાલાનીના કંઠે વંદે માતરમ્, બેઉ પ્રસારભારતી આર્કાઈવ્ઝમાં સચવાયેલાં છે.[1]

    હંસાબહેનની નાનાવિધ લેખન કામગીરી વિશે વાત કર્યા વિના એમને સંભાર્યાં અધૂરું ગણાય. બાળકિશોર દૃષ્ટિએ વાત કરું તો ‘અરુણનું અદ્્ભુત સ્વપ્ન’ વાટે વિશ્વયાત્રા કે ‘બાવલાનાં પરાક્રમો’ એ ઈટાલિયન કથા (પિનાચિયો?)નું રૂપાંતર, વળી વાલ્મીકિ રામાયણના એકાધિક કાંડોથી માંડી શેક્સપીયરના નાટક ‘મર્ન્ટ ઓફ વેનિસ’નો અનુવાદ વગેરે એમને નામે જમે બોલે છે. એમના નાટ્યસંગ્રહ પણ પ્રકાશિત થયેલા છે. એમના એક નાટકમાં વિધુર પુરુષ માટે ગંગા સ્વરૂપની તરજ પર હિમાલય સ્વરૂપ જેવો (ગગનવિહારી મહેતાને સૂઝે એવો) પ્રયોગ આ લખતાં સાંભરે છે.

    હવે એમના આ લખનારને થયેલ પરોક્ષ પરિચયની એક વાત, અમથી. જયપ્રકાશજીના આદેશ મુજબ ૧૯૭૭-૭૮માં અમે લોકસમિતિ ઝુંબેશ સારુ અમરેલી પહોંચ્યા ત્યારે મળેલો એક શુભેચ્છા સંદેશ અને પ્રતીક ફાળો મુંબઈ બેઠાં હંસાબહેન મહેતાનો પણ હતો- સદ્્ગત પતિના મતદાર મંડળ સાથે એમણે એ રીતે સંબંધ જાળવી રાખ્યો હતો. ‘ન્યૂયોર્ક ટાઈમ્સ’ એક મજાની કોલમ ચલાવે છે- ‘ઓવરલુક્ડ.’ અમે એમને પૂર્વે ઓબિટ આપવાનું ચૂકી ગયાં હતાં, માટે ‘ઓવરલુક્ડ.’ ગયે પખવાડિયે એણે પણ હંસાબહેનને યાદ કર્યા છે.


    [1] નોંધ : સાંદર્ભિક વિડીયો યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધેલ છે

     

     


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૧૦-૦૭– ૨૦૨૪ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખ


    શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • કોઈનો લાડકવાયો – (૫૨). જતીન દાસની શહીદીઃ ઍસેમ્બ્લી કાંડનો કેસ

    દીપક ધોળકિયા

    સાઇમન કમિશન સામે વિરોધનો વંટોળ, લાલા લાજપત રાય પર પોલીસનો હુમલો અને એમનું મૃત્યુ, આનો બદલો લેવામાં સૌંડર્સની હત્યા, ઍસેમ્બ્લી બોંબકાંડ, અને એમાં ભગત સિંઘ અને બટુકેશ્વર દત્તને  આજીવન કારાવાસની સજા…તે પછી વાઇસરૉય પર હુમલાના બે નિષ્ફળ પ્રયાસ. ઘટના ચક્ર બહુ ઝડપભેર ફરતું હતું.

    આ દરમિયાન, મેરઠમાં કમ્યુનિસ્ટો અને ટ્રેડ યુનિયન કાર્યકર્તાઓ વિરુદ્ધ કેસ ચાલતો હતો.  બરાબર એ જ સાથે ત્યારે લાહોરમાં પણ સરકારને ઉથલાવી પાડવાની કોશિશના આરોપસર એક કેસ ચાલતો હતો. આ બીજા ‘લાહોર કાવતરા કેસ’  તરીકે ઓળખાય છે. એમાં ભગત સિંઘ અને એમના ૨૭ સાથીઓ આરોપી હતા. પહેલો કેસ ગદર પાર્ટીના વિદ્રોહીઓ વિરુદ્ધ ચાલ્યો એમાં ૧૯ વર્ષના કરતાર સિંઘ સરાભા, જગત સિંઘ સુરસિંઘ, વિષ્ણુ ગણેશ પિંગલે, હરનામ સિંઘ સ્યાલકોટિયા અને ત્રણ ભાઈઓ બખ્શીશ સિંઘ, સુરૈણ સિંઘ અને સુરૈણ સિંઘ (બીજા)ને લાહોરની જેલમાં ફાંસીની સજા થઈ હતી

    ૧૯૨૯ની છઠ્ઠી જૂને દિલ્હીમાં સેશન્સ કોર્ટ સમક્ષ ભગત સિંઘ અને બટુકેશ્વર દત્ત સામે ઍસેમ્બ્લી બોંબકાંડમાં કેસ શરૂ થયો. એમણે ‘અપરાધ’નો સ્વીકાર કર્યો પરંતુ પ્રોસીક્યુશને ઘડી કાઢેલા નકલી આરોપોનો ઇનકાર કર્યો. મેરઠમાં સામ્યવાદીઓ અને ટ્રેડ યુનિયન નેતાઓ સામે પણ આ જ કાયદા હેઠળ કેસ ચાલતો હતો. ભગત સિંઘ અને બટુકેશ્વર દત્તના નિવેદનમાં મેરઠના બિરાદરોનો બચાવ કરેલો છે. એમણે ઇંડસ્ટ્રિયલ ડિસ્પ્યૂટ ઍક્ટને જંગલી અને અમાનવીય ગણાવતાં કહ્યું કે એ કાનૂને કરોડો સંઘર્ષરત ભૂખ્યા મજૂરોને પ્રાથમિક અધિકારોથી પણ વંચિત કરી દીધા અને એમના હાથમાંથી એમની આર્થિક મુક્તિનું એકમાત્ર હથિયાર પણ ઝુંટવી લીધું

    માત્ર ભગત સિંઘ કે બટુકેશ્વર દત્ત જ નહીં હિન્દુસ્તાન સોશ્યલિસ્ટ રીપબ્લિકન ઍસોસિએશનના બધા સભ્યોનો નિર્ણય હતો કે એમણે પોતાના કૃત્યનો કોર્ટમાં સ્વીકાર કરવો પરંતુ કોર્ટ દ્વારા બોલવાની તક મળે તેનો ઉપયોગ પોતાના વિચારો રજૂ કરવા માટે કરવો જેથી એને બહોળી પ્રસિદ્ધિ મળે. રામ પ્રસાદ બિસ્મિલ, અશ્ફાકુલ્લાહ વગેરે કાકોરી કાંડના શહીદોએ પણ એ જ રસ્તો લીધો હતો.

    ભગત સિંઘ અને બટુકેશ્વર દત્તને કોર્ટે આજીવન કારાવાસની સજા કરી. કેસ હાઇકોર્ટમાં ગયો ત્યારે પણ ભગત સિંઘે ફરી એમના દર્શનની છણાવટ કરતું નિવેદન કર્યું પણ એમની સજા મંજૂર રહી. જો કે, હાઈકોર્ટના જજ એસ. ફૉર્ડે ચુકાદો આપતાં જે લખ્યું તે ધ્યાન માગી લે તેવું છે –

    કહેવાનું જરાયે ખોટું નથી કે આ બયાન દેખાડે છે તેમ આ લોકો ખરા હૃદયથી વર્તમાન સમાજના માળખાને બદલવા માગે છે. ભગત સિંઘ એક સાચા અને નિષ્ઠાવાન ક્રાન્તિકારી છે અને મને એ કહેતાં સંકોચ નથી કે સપનું લઈને એ નિષ્ઠાથી ઊભા છે કે વર્તમાન સમાજને તોડ્યા વિના નવો સમાજ રચી ન શકાય. તેઓ કાયદાની જગ્યા વ્યક્તિની સ્વતંત્ર ઇચ્છાને આપવા માગે છે. અરાજકતાવાદીઓની હંમેશાં એ માન્યતા રહી છે. આમ છતાં ભગત સિંઘ અને એમના સાથી પર જે આરોપ છે તેનો આ બચાવ નથી.”

    ૧૨મી જૂને આ ભગત સિંઘને પંજાબમાં મિયાંવાલીની જેલમાં લઈ ગયા અને બટુકેશ્વર દત્તને લાહોર સેંટ્રલ જેલમાં રાખવામાં આવ્યા. બન્નેને એક સાથે એ જ ટ્રેનમાં લઈ જવાયા પણ ડબ્બા જુદા રખાયા. પરંતુ ભગત સિંઘની વિનંતિથી એમને સાથે બેસવા દેવાયા. એ જ વખતે બન્નેએ નક્કી કર્યું કે જેલમાં રાજકીય કેદીઓની સ્થિતિ ખરાબ હોય છે એટલા માટે ઉપવાસ શરૂ કરવા. ઉપવાસ દ્વારા સતત લોકોની ચર્ચાઓમાં રહેવું, એવો ભગત સિંઘનો વ્યૂહ હતો. બન્ને જણે જેલમાં પહોંચતાંવેંત ઉપવાસ શરૂ કરી દીધા, અને એમની સાથે બીજા બધા રાજકીય કેદીઓ પણ જોડાયા.

    જતીન દાસ (યતીન્દ્રનાથ દાસ) પણ ઉપવાસ કરનારામાં હતા, એમણે સરકારને પત્ર લખ્યો તેમાં એમની ઓળખ પરેડનું નાટક થયું તેનો ભંડો ફોડી નાખ્યો છે. એમને એક જગ્યાએ લઈ જવાયા ત્યાં ગલીમાંથી પાંચ-છ સફાઈ કર્મચારીઓ આવ્યા. જતીન દાસ લખે છે કે ગલીમાં મૅજિસ્ટ્રેટની કાર ઊભી હતી તેમાં એક માણસ બેઠો હતો તે એ લોકોને સમજાવતો હતો. જતીન દાસ એમને ઓળખવાનો દાવો કરનારાને ચકાસવા માટે સવાલો પૂછવા માગતા હતા પણ એમને મોકો ન અપાયો. એમણે કહ્યું કે પંજાબીઓની વચ્ચે બંગાળી જોતાંવેંત ઓળખાઈ જાય, એટલે એમની સાથે એમના જેવા જ બંગાળીઓને ઊભા રાખવા જોઈતા હતા.

    ઉપવાસ લાંબા ચાલ્યા અને સરકાર એમને રાજકીય કેદીઓનો દરજ્જો આપવા તૈયાર નહોતી. ઉપવાસી કેદીઓએ હોમ સેક્રેટરીને એક સંયુક્ત પત્ર લખીને જતીન દાસની સ્થિતિની જાણ કરી પણ સરકારે કંઈ ન કર્યું. ૬૩ દિવસના ઉપવાસને અંતે ૧૯૨૯ના સપ્ટેમ્બરની ૧૩મીએ જતીન દાસે પ્રાણ ત્યાગ કર્યો. મૃત્યુ સમયે એમની ઉંમર ૨૪ વર્ષની હતી.

    લાહોરથી એમના પાર્થિવ દેહને કલકત્તા લઈ જવાયો. ભગવતી ચરણ વોહરાનાં પત્ની દુર્ગાભાભીએ લાહોરમાં શ્મશાન યાત્રાની આગેવાની લીધી. કલકત્તામાં હાવડા સ્ટેશને સુભાષ ચંદ્ર બોઝ ઉપસ્થિત રહ્યા. કોંગ્રેસના બધા નેતાઓએ જતીન દાસને અંજલિ આપી. પંજાબમાં મહંમદ આલમ અને ડૉ. ગોપીચંદ ભાર્ગવે ઍસેમ્બ્લીમાંથી રાજીનામાં આપી દીધાં. મોતીલાલ નહેરુએ સેંટ્રલ ઍસેમ્બ્લીનું કામકાજ સ્થગિત રાખવાનો ઠરાવ રજૂ કર્યો, જે ૫૫ વિ.૪૭ મતે પસાર થયો. સુભાષ ચંદ્ર બોઝે જતીન દાસને દધીચિ મુનિ સાથે સરખાવ્યા. દધીચિએ ઇન્દ્રનું વજ્ર બનાવવા માટે પોતાનાં હાડકાં આપી દીધાં હતાં. જવાહરલાલ નહેરુએ પ્રાર્થના કરી કે આઝાદી માટે જતીન દાસે અધૂરી મૂકેલી લડાઈને આગળ વધારવાની અને વિજય સુધી લડતા રહેવાની શક્તિ દેશવાસીઓને મળો.

    ૦૦૦

    સંદર્ભઃ

    ભગત સિંઘ ઔર ઉનકે સાથિયોં કે સંપૂર્ણ ઉપલબ્ધ દસ્તાવેઝ. પ્રકાશક રાહુલ ફાઉંડેશન, લખનઉ. (બધા ફોટા પણ આ જ પુસ્તકમાંથી જ લીધા છે).

    https://www.indialawjournal.org/archives/volume1/issue_3/bhagat_singh.html

    ૦૦૦

    દીપક ધોળકિયા

    વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com

    બ્લૉગ સરનામું: મારી બારી

  • રાઈનો પર્વત (૧૯૧૩) – અંક છઠ્ઠો: પ્રવેશ ૫

    સર્જક : રમણભાઈ મહિપતરામ નીલકંઠ

    અંક છઠ્ઠો: પ્રવેશ થી આગળ

    પ્રવેશ ૫ મો

    સ્થળ : વીણાવતીના મહેલની અંદરનો ખંડ.

     

    [વીણાવતી અને જગદીપ સંભાષાણ કરતા પ્રવેશ કરે છે.]

    વીણાવતી :      લેખાની એ બધી દલીલ નિષ્ફળ ગઇ, ત્યારે એણે મને કહ્યું કે તમે દુઃખી થવાને સરજાયેલાં છો એમ માની લો.

    જગદીપ :        વિધાતા પર કેવો દુષ્ટ આરોપ ! પછી તેં શું કહ્યું?

    વીણાવતી :      મેં લેખાને પૂછ્યું કે આ વાડી બહારનું જગત્ આ વાડી જેવું જ છે કે કાંઇ જુદી જાતનું છે? એ બોલી કે જગત તો બધે એકસરખું જ છે. ત્યારે મેં કહ્યું કે આ વાડીમાં તો હું એકેએક ખૂણે ફરી છું અને કોઈ પુષ્પ, પલ્લવ, પશુ કે પક્ષીને દુઃખી થવા સરાજાયેલાં દીઠાં નથી.

    (હરિગીત)

    કળિઓ ફૂટીને ખીલતી, જન્મી પતંગો ઊડતાં,
    ગતિ આવતાં મૃગશાવકો ક્રીડા કરન્તા કૂદતાં;
    આ વાડીમાં ઉલ્લાસ અર્થે સૃષ્ટિ સઘળી ઉદ્ભવે.
    હું એકલી સરજાઈ શું દુર્ગતિવિધાને કો નવે? ૮૬

    જગદીપ :        કુદરત તારી આગળ ખરે સ્વરૂપે પ્રગટ થઈ છે અને

    આવી સુન્દર વાડીમાં વર્ષો કાઢ્યાં છતાં લેખા કુદરતનો મર્મ સમજી નથી તો પ્રેમ કેવો આદરનીય છે તે એ ક્યાંથી જાણે?

    વીણાવતી :      પ્રેમને લેખા તાપ લાગતાં વરાળ પેઠે ઊડી જનારી વસ્તુ સમજે છે. કશાથી હું ડગી નહિ, ત્યારે એણે મને કહ્યું કે તમારા વૈધવ્યની વાત સાંભળતાં એમના પ્રેમનું એક બિન્દુ પણ રહે છે કે કેમ તે જોજો.

    જગદીપ :        એ વચન સાંભળી તને કાંઈ બીક લાગેલી ?

    વીણાવતી :      શાની બીક ?

    જગદીપ :        મારો પ્રેમ ઊડી જતાં ત્યાગ થવાની.

    વીણાવતી :      (આંગળીથી નિર્દેશ કરીને)

    (શાર્દૂલવિક્રીડિત)

    પેલું સારસ જોડું જે વિચરતું દીસે નદીને તટે,
    એમાંની કંઈ વેળ સૂધિ સ્થળ આ માદા હતી એકલી;
    કાંઈ કાળ વિતે પછીથિ નર ત્યાં આવી મળ્યો એહને,
    એને ત્યાગની બીક લાગિ નથિ તો લાગે મને શી રિતે? ૮૭.

    જગદીપ :        હું એવા વિશ્વાસને પાત્ર છું તેથી પોતાને ધન્ય માનુ છું, પરંતુ સંસારનો માર્ગ સરળ નથી. આપણામાં હાલ વિધવાવિવાહનો પ્રતિબંધ છે. તેથી આપણે લજ્ઞ કરીશું તો કદાચ રાજગાદીનો માર્ગ બંધ થઈ જશે, અને જનસમૂહ આપણી સાથે સંબંધ નહિ રાખે.

    વીણાવતી :      એથી મારા જગદીપના જગદીપપણામાં ફેર પડશે?

    જગદીપ :

    (ઉપજાતિ)

    વીણાતણા પ્રેમથી જે વિંટાયો,
    વીણાતણા સંગથિ જે ઘડાયો;
    જેને ન વીણા વિણ યોગ ક્ષેમ.
    જુદો બને તે જગદીપ કેમ? ૮૮

    વીણાવતી :      તે વીણાને રાજગાદીની કે જનસમૂહના સંબંધની શી દરકાર હોય ?

    જગદીપ :        આપણા સુખની અપરિપૂર્ણતા કરવા લગ્નનો દિવસ ઠરાવવાનો તે મારા કનક્પુર ગયા પછી ઠરી શકશે. એટલો વિલંબ થશે.

    વીણાવતી :      વિલંબ એટલે વિયોગ !

    જગદીપ :        પ્રેમપન્થના પ્રવાસીઓના ભાથામાં થોડો ઘણો વિયોગ આવ્યા વિના રહેતો નથી, અને તેનો આરંભમાં જ આસ્વાદ કરી લેવો સારું છે, કે પછી મિષ્ટ આસ્વાદ જ બાકી રહે.

    વીણાવતી :      આ વાડી બહારનું જગત્ બહુ વિશાળ છે એમ મેં સાંભળ્યું છે, તો એ જગત્ આવડું મોટું છતાં તે પ્રેમમાંથી વિયોગ નાબૂદ કરવાનો કોઈ ઉપાય દર્શાવી શકતું નથી ?

    જગદીપ :        જગત્ તો કોઈ ઉપાય દર્શાવી શકે તેમ નથી, પરંતુ જગત્ ના જે નિયન્તાએ પ્રેમનું વરદાન આપ્યું છે તેણે આશાનું પણ વરદાન આપ્યું છે, અને તે વડે વિયોગકાળમાં પ્રેમીઓનાં હ્રદય ટકી રહે છે. આપણે ફરી મળીએ ત્યાં સુધી આશાને જ આશ્રયે જીવીશું.

    [બન્ને જાય છે.]


    ક્રમશઃ

    ● ●

    સ્રોત : વિકિસ્રોત

  • ચકલીના આંસુ

    રક્ષા શુક્લ

    ચકલીની આંખોમાં ઉગતો’તો સૂરજ, પણ આજકાલ ઉગે છે આંસુ.
    ફળિયાને, ફળિયાની રૈયતને ચકલીના ચીંચીંથી દૂર પડ્યું ખાસુ.

    સુરજના કાળઝાળ ટેરવાં જો અડકે તો દરિયો પણ પળમાં સૂકાતો,
    ચકલીની આંખોનો ભેજ ભીંત ઓળંગી સૂરજની આંખે ડોકાતો.
    પાંખ જરી પંખીની ફફડે તો થાતું કે અણધાર્યું મોંમાં પતાસું.
    ચકલીની આંખોમાં ઉગતો’તો સૂરજ, પણ આજકાલ ઉગે છે આંસુ.

    સાવજ તો સમજ્યા કે જંગલનો રાજા, તે મોલ અને માભો ભઈ ઓહો !
    નાનકડી ચકલીને સાઇડલાઇન કરવાની કેવી આ રીત, વળી હોહો !
    વાદળને ઠેલીને ચકલીની પાસે ક્યાં દરિયાએ માગ્યું ચોમાસું ?
    ચકલીની આંખોમાં ઉગતો’તો સૂરજ, પણ આજકાલ ઉગે છે આંસુ.

    રૈયતના રૂંવાડે રૂંવાડે રોણું ને ભીતર સૂનકાર અને સોપો,
    માળો તો ચકલીનું રૂડું રજવાડું, લ્યા, તરણાંઓ માણસમાં રોપો.
    ચકલીના ચીંચીંથી છેટું, તે છેવાડે ઊભી હું. છટકી ક્યાં નાસુ ?
    ચકલીની આંખોમાં ઊગતો’તો સૂરજ, પણ આજકાલ ઉગે છે આંસુ.


    સુશ્રી રક્ષા શુક્લ – shukla.rakshah@gmail.com

  • ફિલ્મી ગઝલો – ૫૯. મનમોહન સાબિર

    ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

    ભગવાન થાવરાણી

    ગીતકાર મનમોહન સાબિર નું નામ પણ સાવ અજાણ્યું. એમની ગઝલોની જાણકારીનો તો સવાલ જ નથી ! (  સાબિર એટલે સબ્ર કરનાર, ધૈર્યવાન )

    મનમોહન સાબિર મૂળભૂત રીતે ફિલ્મકાર હતા. અમિતાભ બચ્ચનની પહેલી ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની ‘ (૧૯૬૯) નું નિર્માણ એમણે કરેલું. આકાશ, પહેલી મોહબ્બત, ભગવાન ઔર શૈતાન, રિટર્ન ઓફ સુપરમેન,  જિંદા લાશ,  બ્યુટી ક્વિન, વક્ત કા બાદશાહ, જેવી નિષ્ફળ ફિલ્મોનું નિર્દેશન પણ એમણે કર્યું.

    લકી નંબર, શીશે કી દિવાર, હોટેલ, ભગવાન ઔર શૈતાન,  ઝિંદા લાશ,  રિટર્ન ઓફ સુપરમેન જેવી કુલ 8 ફિલ્મોમાં માત્ર 36 ગીતો લખ્યા.  2012માં અવસાન પામ્યા.  ફિલ્મ અભિનેતા આકાશદીપના તેઓ પિતા અને અભિનેત્રી શીબાના શ્વસુર થાય.

    એમણે લખેલી બે ગઝલો :

     

    સારા ચમન થા અપના વો ભી થા એક ઝમાના
    અબ સામને નઝર કે જલતા હૈં આશિયાના

    અબ ઇસ મર મર કે જીને સે મિટા દેતે તો અચ્છા થા
    મોહબ્બત કી ન ઇતની તુમ સઝા દેતે તો અચ્છા થા

    ઘડીભર મુસ્કુરા કર ઉમ્ર ભર કા અબ તો રોના હૈ
    નજર મિલતે હી ગર મુજકો રુલા દેતે તો અચ્છા થા

    મોહબ્બત કે ચરાગોં કો બુઝાના થા બુઝા દેતે
    મગર દિલ કી લગી કો ભી બુઝા દેતે તો અચ્છા થા..

    ( શરૂઆતની બે પંક્તિઓ ગીતની સાખી છે. )

    આ ગઝલ વાંચતાં તલત – લતાનું ‘ યાસ્મીન ‘ ફિલ્મનું યુગલ ગીત ‘ તુમ અપની યાદ ભી દિલ સે ભૂલા જાતે તો અચ્છા થા ‘  યાદ આવી જાય !

    – ફિલ્મ : આકાશ ૧૯૫૨
    – લતા
    – અનિલ બિશ્વાસ

     

    દિલ હમ કો ઢુંઢતા હૈ હમ દિલ કો ઢૂંઢતે હૈં
    મંઝિલ કે પાસ આકર મંઝિલ કો ઢુંઢતે હૈં

    ઉલ્ફત કરો તો જાનેં દિલ દો તો હમ ભી માને
    દિલ કો લીયે હુએ હમ કાતિલ કો ઢુંઢતે હૈં

    આસાં હૈ પ્યાર કરના કર કે નિભાના મુશ્કિલ
    મુશ્કિલ સે લડને વાલે મુશ્કિલ કો ઢુંઢતે હૈં

    ઉલ્ફત હૈ મૌજે દરિયા જિસકા નહીં કિનારા
    મૌજોં મેં ઘિર ગયે હમ સાહિલ કો ઢુંઢતે હૈં

    ઇસ ઇશ્ક ને ખબર હૈ ક્યા ક્યા હૈં ગુલ ખિલાએ
    લૈલા કો ચાહને વાલે મેહમિલ કો ઢુંઢતે હૈં..

    ( મેહમિલ = ઊંટ, વજન ઉપાડનાર )

    આ જ બહર,  કાફિયા અને રદીફથી એક ગઝલ જાંનિસ્સાર અખ્તર સાહેબે ફિલ્મ ‘ યાસ્મીન ‘ માટે ૧૯૫૫5 માં લખેલી જેને આપણે આ શૃંખલાના જાંનિસ્સાર સાહેબ વાળા પ્રકરણમાં સામેલ કરી ચૂક્યા છીએ.  આ ગઝલ કોઈ વાદ્ય વૃંદ વિના ખૂબ જ અદભુત રીતે ગવાઈ છે. જરૂર સાંભળશો.

    – ફિલ્મ :  રિટર્ન ઓફ સુપરમેન ૧૯૬૦
    – મીના કપુર / શંકર દાસગુપ્તા
    – અનિલ બિશ્વાસ


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

     

  • ફિલસુફીભર્યાં ગીતો –૨૪. तुझको चलना होगा, तुझको चलना होगा

    નિરંજન મહેતા

    ૧૯૭૦ની ફિલ્મ ‘સફર’નુ ગીત છે

     

    ओ नदिया चले चले रे धारा
    चंदा चले चले रे तारा
    तुझको चलना होगा, तुझको चलना होगा

    जीवन कहीं भी ठहरता नहीं है (२)
    आँधी से तूफां से डरता नहीं है
    तू ना चलेगा तो चल देंगी राहें
    मंज़िल को तरसेंगी तेरी निगाहें
    तुझको चलना होगा, तुझको चलना होगा

    पार हुआ वो रहा वो सफ़र में
    ओ पार हुआ वो रहा वो सफ़र में
    जो भी रुका फिर गया वो भंवर में
    नाव तो क्या बह जाये किनारा
    नाव तो क्या बह जाये किनारा
    बड़ी ही तेज़ समय की है धारा

     

    https://youtu.be/GgYu9K9_aS4

     

    રાજેશ ખન્ના અને શર્મિલા ટાગોર દરિયા કિનારે બેઠા હોય છે ત્યારે એક હોડીચાલકના અવાજમાં આ ગીત ગવાતું દેખાય છે.

    કહે છે કે સંસારમાં કુદરતનાં નિયમ પ્રમાણે જગતમાં નદી, ચંદ્ર જેવા કુદરતી પદાર્થો ચાલતા રહે છે ક્યાય અટકતા નથી. તે જ પ્રમાણે માનવીએ પણ પોતાના જીવનમાં આગળ વધતા રહેવું જોઈએ, અટકવાનું નામ ન લેવું જોઈએ. જો અટકયો તો તેનું જીવન અટક્યું.

    મનુષ્યનું જીવન તો અટકતું જ નથી. આંધી અને તોફાનમાં પણ તે આગળ વધતું રહે છે. પણ જો તે મનુષ્ય અટકી જશે તો પણ જીવન તો ચાલતું રહેશે. જો તે અટક્યો તો તે પોતાની મંઝીલ શોધ્યા કરશે. માટે મનુષ્યે અટક્યા વગર આગળ વધતાં રહેવું જોઈએ.

    જે સફર ચાલુ રાખે છે તે તે મંઝીલ સુધી પહોંચે છે. પણ જો તે અટક્યો તો તે જિંદગીના વમળમાં ફસાઈ જશે. કારણ સમયની ધારા બહુ તેજ ગતિએ વધતી હોય છે. પણ જે આગળ વધતો રહે છે તેને તો કિનારો મળી જ આવે છે

    ગીતકાર ઇન્દીવર, સંગીતકાર કલ્યાણજી આણંદજી અને ગાયક છે મન્નાડે.


    Niranjan Mehta

    A/602, Ashoknagar(old),
    Vaziranaka, L.T. Road,
    Borivali(West),
    Mumbai 400091
    Tel. 28339258/9819018295
    વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com