વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • ફિલ્મી ગઝલો – ૮૨. દીવાન શરર

    ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

    ભગવાન થાવરાણી

    આત્મારામ શરર જેવું મૂળ નામ ધરાવતા શરર સાહેબનું તખલ્લુસ દીવાન હતું. એ ગીતકાર કરતાં વધુ જાણીતા હતા એક નિર્માતા, અભિનેતા, પટકથાકાર અને પત્રકાર તરીકે. વ્હી શાંતારામની ફિલ્મો ઝનક ઝનક પાયલ બાજે, પરબત પે અપના ડેરા, તીન બત્તી ચાર રાસ્તા અને શકુંતલા ઉપરાંત અપના દેશ, ભૂલ, દિલે નાદાં, દોરાહા, કાનૂન જેવી ફિલ્મોમાં એમણે બતૌર અભિનેતા કામ કરેલું.

    અંધોં કી દુનિયા, અપના દેશ, ડો કોટનીસ કી અમર કહાની, હિંદુસ્તાન હમારા, જીવનયાત્રા, ઝનક ઝનક પાયલ બાજે, માલી, પન્નાદાઈ, પરબત પે અપના ડેરા, શહનશાહ અકબર, શકુંતલા અને સુબહ કા તારા જેવી ફિલ્મોમાં એમણે પચાસથી વધુ ગીતો લખેલા.

    તેઓ ૧૯૬૯ માં અવસાન પામ્યા.

    એમની બે ગઝલો જોઈએ :

    પરેશાં હું કે ક્યું મેરી પરેશાની નહીં જાતી
    લડકપન તો ગયા પર મેરી નાદાની નહીં જાતી

    મૈં હૈરાં હું કે ક્યું આંખોં કી હૈરાની નહીં જાતી

    હલાવત હૈ મુહબ્બત કી યા લજ્જત હૈ યે હસરત કી
    કસક એક સી હૈ દોનોં મેં કે પહચાની નહીં જાતી

    યહી મેરી તમન્ના હૈ મુજે બરબાદ રહને દો
    મગર દિલ કી ભી હર એક બાત તો માની નહીં જાતી..

     

    – ફિલ્મ : પરબત પે અપના ડેરા ૧૯૪૪
    – અમીરબાઈ કર્ણાટકી
    – વસંત દેસાઈ

    ( અહીં પહેલા શેર પછી એક એકાકી સાની મિસરો આવે છે . ગવાયેલી રચનામાં છે એમ જ યથાતથ મૂક્યો છે.

    હલાવત એટલે માધુર્ય )

    હમ કૈસે હૈં કિસ હાલ મેં હૈં બેદર્દ ઝમાના ક્યા જાને
    જિસ ગુલ મેં નહીં ખુશ્બૂ કી મહક બુલબુલ કા તરાના ક્યા જાને

    જિસ દિલ મેં નહીં બિજલી કી તડપ, નૈનોં કા નિશાના ક્યા જાને

    જિસ આંખ ને શમા દેખી ન હો, દર્દે પરવાના ક્યા જાને
    જિસે લૈલા ઔર મજનુ કા ઈલ્મ નહીં ઉલ્ફત કા ફસાના ક્યા જાને..

    – ફિલ્મ : અપના દેશ ૧૯૪૯
    – પુષ્પા હંસ
    – પુરુષોત્તમ

    ( આ મતલા ગઝલમાં પણ પહેલી રચનાની જેમ એક વધારાનો ઈકલૌતો મિસરો છે. )


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

     

  • કુદરત (૧૯૮૧)

    ટાઈટલ સોન્‍ગ

    (આ શ્રેણીમાં હિન્દી ફિલ્મોમાં આવતાં ટાઈટલ્સ દરમિયાન વાગતાં ગીતો વિશે વાત કરવાનો ઉપક્રમ છે.)

    બીરેન કોઠારી

    ‘યહાં મૈં પહલે ભી આ ચૂકી/ચૂકા હૂં’ પ્રકારનો આ સંવાદ પુનર્જન્મનું કથાવસ્તુ ધરાવતી મોટા ભાગની ફિલ્મોમાં લગભગ હોય જ. કોણ જાણે કેમ, ગમે એવા ઉત્કૃષ્ટ કલાકારો હોય અને ઉત્તમ સંગીત હોય, પણ આવા કથાનકવાળી ફિલ્મ જોવામાં મને જરાય રસ પડતો નથી. મિત્ર દેવેન્‍દ્રસિંહ ગોહિલ સાથે ‘મિલન’ જોવા ગયા ત્યારે એના કથાવસ્તુની જાણ નહોતી, માત્ર ગીતો વિશે જ ખબર હતી. પણ એ ફિલ્મમાં પાંચ-સાત જન્મોની સફર જોઈને અમને ચક્કર આવી ગયેલા. ‘મધુમતિ’નાં ગીતો અત્યંત પ્રિય, એમ ‘મહેબુબા’ના પણ, છતાં એ ફિલ્મ જોવાની હિંમત થતી નથી.

    ચેતન આનંદ જેવા બૌદ્ધિક સર્જક કે જેમણે ‘નીચા નગર’ જેવી ફિલ્મથી કારકિર્દીનો આરંભ કર્યો અને આગળ જતાં ‘હકીકત’, ‘હીરરાંઝા’ જેવી વિશિષ્ટ ફિલ્મો આપી, તેમણે પણ કારકિર્દીના ઉત્તરાર્ધમાં ‘કુદરત’ જેવી પુનર્જન્મના કથાવસ્તુવાળી ફિલ્મ બનાવી એ મારે મન આશ્ચર્ય છે.

    ૧૯૮૧માં રજૂઆત પામેલી આ ફિલ્મનાં ગીતો લગભગ રોજ ઑલ ઈન્‍ડિયા રેડિયોની ઉર્દૂ સર્વિસમાં સંભળાતાં અને એ સમયગાળો એવો હતો કે ઉર્દૂ સર્વિસની તમામ સભાઓ અમે રેડિયો પર નિયમિત સાંભળતા.

    તેનાં મોટા ભાગનાં ગીતો લોકપ્રિય થયેલાં અને ‘હમેં તુમ સે પ્યાર કિતના’ તેમજ ‘તૂને ઓ રંગીલે કૈસા જાદુ કિયા’ તો આજે પણ એટલું જ લોકપ્રિય કહી શકાય. પણ મને આ ઉપરાંત બીજાં બે ગીતો વધુ ગમતાં. એમાંનું એક કિશોરકુમાર અને એનીટ પીન્ટોએ ગાયેલું ‘છોડો સનમ, કાહે કા ડર’ તેમજ સુરેશ વાડકર, આશા તેમજ સાથીઓએ ગાયેલું ‘સાવન નહીં, ભાદો નહીં’. સુરેશ વાડકરનાં સાવ ઓછાં ગમતાં ગીતોમાંનું આ એક.

    (ડાબેથી) લતા મંગેશકર, કિશોરકુમાર, કતિલ શિફાઈ, રાહુલદેવ બર્મન અને નાવીદ કતિલ)

    ત્રિશક્તિ પ્રોડક્શન્સ દ્વારા નિર્મિત, ચેતન આનંદ દ્વારા દિગ્દર્શીત ‘કુદરત’ (૧૯૮૧)માં રાજકુમાર, રાજેશ ખન્ના, હેમા માલિની, વિનોદ ખન્ના, પ્રિયા રાજવંશ, અરૂણા ઈરાની જેવા કલાકારોની મુખ્ય ભૂમિકા હતી. ફિલ્મનાં કુલ સાત ગીતો હતાં, જેમાંના છ મજરૂહ સુલતાનપુરીએ લખેલાં અને એક ગીત કતિલ શિફાઈએ લખેલું. સંગીતકાર હતા રાહુલદેવ બર્મન.

    મજરૂહસાહેબે લખેલાં છ ગીતોમાં ‘હમેં તુમસે પ્યાર કિતના’ કિશોરકુમાર અને બેગમ પરવીન સુલતાનાના સ્વરમાં અલગ અલગ ગવાયેલું હતું. એ ઉપરાંત ‘છોડો સનમ, કાહે કા ગમ‘ (કિશોરકુમાર, એનેટ પિન્‍ટો), ‘તૂને ઓ રંગીલે કૈસા જાદુ કિયા‘ (લતા), ‘સાવન નહીં, ભાદો નહીં‘ (આશા, સુરેશ વાડકર અને સાથીઓ), ‘સજતી હૈ યૂં હી મહેફિલ‘ (આશા, ખુશીભર્યું અને ઉદાસ- એમ બે આવૃત્તિ) હતાં. સાતમું ગીત ‘દુખસુખ કી હરેક માલા’ કતિલ શિફાઈએ લખેલું, જેનો ઉપયોગ ફિલ્મના ટાઈટલ સોન્‍ગ તરીકે કરવામાં આવ્યો હતો.

    અલબત્ત, આ ગીત પાછળની કથા રસપ્રદ છે.

    આ ગીત આર.ડી.બર્મન ચંદ્રશેખર ગાડગીલ નામના ત્યારના એક નવા મરાઠી ગાયક પાસે ગવડાવવા ઈચ્છતા હતા, પણ નિર્માતા-દિગ્દર્શક ચેતન આનંદ મહમ્મદ રફી પાસે એ રેકોર્ડ કરાવવા ઈચ્છતા હતા. સામસામા આગ્રહ-દુરાગ્રહ થયા હશે, પણ આખરે ચેતન આનંદે ચંદ્રશેખર ગાડગીલનો સ્વર સાંભળ્યો અને તેમના અવાજમાં ગીત રેકોર્ડ કરવા માટે આર.ડી.ને લીલી ઝંડી આપી. ચાર અંતરા ધરાવતું આ ગીત રેકોર્ડ થઈ પણ ગયું. થોડા દિવસ પછી ચેતન આનંદને લાગ્યું કે ના, રફીસાહેબ જ આના માટે વધુ યોગ્ય છે. આથી તેમણે આર.ડી.ને એ ગીત રફીસાહેબ પાસે ફરી રેકોર્ડ કરવા જણાવ્યું. આર.ડી.એ ફિલ્મનાં અન્ય ગીતોમાં કિશોરકુમારનો સ્વર લીધેલો, અને માત્ર એક જ ગીત માટે રફીસાહેબનો સંપર્ક કરવો તેમને યોગ્ય ન લાગ્યો. ઉપરાંત સંગીતકાર તરીકે તેમને લાગતું હતું કે ગાડગીલનો સ્વર આ ગીત માટે વધુ યોગ્ય છે. જો કે, આખરે નિર્માતાની જીદ આગળ તેમણે ઝૂકવું પડ્યું અને રફીસાહેબનો સંપર્ક કરીને તેમને આ ગીતના રેકોર્ડિંગ માટે બોલાવ્યા.

    રફીસાહેબને ખ્યાલ નહોતો કે આ ગીત અગાઉ રેકોર્ડ થઈ ગયું છે. ચાના વિરામ દરમિયાન તેમના કાને આ વાત પડી. આર.ડી.પર ગુસ્સે થઈને તેમણે કહ્યું, ‘ક્યું મેરે હાથોં કિસી નયે કલાકાર કી જિંદગી બરબાદ કર રહે હો?’ ચોથો અંતરો ગાયા વિના તેઓ સ્ટુડિયો છોડીને ચાલ્યા ગયા.

    આર.ડી.ની ઈચ્છા ગાડગીલવાળું ગીત ફિલ્મમાં વાપરવાની હતી, જ્યારે ચેતન આનંદ રફીસાહેબવાળું ગીત લેવાનો આગ્રહ કરતા હતા. આર.ડી.એ એચ.એમ.વી.માં ગાડગીલવાળું ગીત જ મોકલ્યું અને ‘કુદરત’ના ઑડિયો આલ્બમમાં એ જ ગીત રજૂઆત પામ્યું. રફીસાહેબવાળું ગીત એમાં નહોતું. બીજી તરફ ફિલ્મ રજૂઆત પામી અને એમાં રફીસાહેબવાળું ગીત હતું. કહેવાય છે કે એમાં ગાડગીલવાળું ગીત તો ઠીક, એમનો નામોલ્લેખ પણ નહોતો. (જો કે, હાલ યુ ટ્યૂબ પર ઉપલબ્ધ ફિલ્મના ટાઈટલ્સમાં એ જોઈ શકાય છે.)

    આને કારણે બન્યું એવું કે રફીસાહેબે ગાયેલું ગીત ફિલ્મમાં ખરું, પણ ઑડિયો આલ્બમમાં ન હોવાથી એ દુર્લભ બની ગયું.

    (ખુદ ચંદ્રશેખર ગાડગીલના મુખે આ કિસ્સો અહીં સાંભળી શકાશે.

    હવે યુ ટ્યૂબના પ્રતાપે આ બન્ને ગાયકોએ ગાયેલા ગીતની આવૃત્તિ સુલભ બની છે.

    ફિલ્મમાં ટાઈટલ્સ દરમિયાન ગીતનો આટલો હિસ્સો સાંભળી શકાય છે.

    दुःखसुख की हर इक माला, कुदरत ही पिरोती है
    दुःखसुख की हर इक माला, कुदरत ही पिरोती है

    हाथों की लकीरों में, ये जागती सोती है
    दुःखसुख की हर इक माला, कुदरत ही पिरोती है

    यादों की शमा ये बने, भूले नजारों में कभी
    आने वाले कल पे हँसे, खिलती बहारों में कभी
    एक हाथ मे अंधियारा, एक हाथ में ज्योति है
    दुःखसुख की हर इक माला, कुदरत ही पिरोती है

    અહીં ટાઈટલ્સ પૂરાં થાય છે. એ પછી ફિલ્મમાં વચ્ચે આ વધુ એક અંતરો આવે છે.

    आहों के जनाज़े दिल में, आँखों में चिताएँ गम की
    उड गई आस दिल से, चली वो हवाएँ गम की
    तूफान के सीने में, ये चैन से सोती है
    दुःखसुख की हर इक माला, कुदरत ही पिरोती है

    એ પછી વધુ એક વાર આ અંતરાનું ફિલ્મમાં પુનરાવર્તન થાય છે.

    यादों की शमा ये बने, भूले नजारों में कभी
    आने वाले कल पे हँसे, खिलती बहारों में कभी
    एक हाथ मे अंधियारा, एक हाथ में ज्योति है
    दुःखसुख की हर इक माला, कुदरत ही पिरोती है

    ફિલ્મના અંત ભાગમાં આ એક અંતરો સાંભળવા મળે છે.

    खुद को छुपाने वालों का, पल-पल पीछा ये करे
    सजा देती है ऐसी, तनमन छलनी करे,
    फिर दिल का हर एक घाव, अश्कों से ये धोती है
    हाथों की लकीरों में, ये जागती सोती है
    दुःखसुख की हर इक माला, कुदरत ही पिरोती है
    दुःखसुख की हर इक माला, कुदरत ही पिरोती है

    આમ, જોઈ શકાય છે કે રફીસાહેબના સ્વરે ગવાયેલા અંતરા ફિલ્મમાં ચાર વખત છે ખરા, પણ એમાંથી એકનું પુનરાવર્તન થાય છે. એટલે કે તેમણે ગાયેલા કુલ અંતરા ત્રણ જ છે.

    ચંદ્રશેખર ગાડગીલે ગાયેલા ચાર અંતરા આ મુજબ છે. એમાં પછીની પંક્તિઓમાં સહેજસાજ ફેરફાર કરવામાં આવ્યો છે.

    दुःख-सुख की हर इक माला, कुदरत ही पिरोती है
    हाथों की लकीरों में, ये जागती-सोती है
    दुःख-सुख की हर इक माला, कुदरत ही पिरोती है

    यादों का सफ़र ये करे, गुज़री बहारों में कभी
    आने वाले कल पे हँसे, उड़ते नज़ारों में कभी
    एक हाथ मे अंधियारा, एक हाथ में ज्योति है
    दुःख-सुख की हर इक माला, कुदरत ही पिरोती है

    सामना करे जो इसका, किसी में ये दम है कहाँ
    इसका खिलोना बन के, हम सब जीते है यहाँ
    जिस राह से हम गुज़रें, ये सामने होती है
    दुःख-सुख की हर इक माला, कुदरत ही पिरोती है

    आहों के जनाज़े दिल में, आँखों में चिताएँ गम की
    नींदे बन गयी तिनका, चली वो हवाएँ गम की
    इंसान के अंदर भी, आँधी कोई होती है
    दुःख-सुख की हर इक माला, कुदरत ही पिरोती है

    खुद को छुपाने वालों का, पल-पल पीछा ये करे
    जहाँ भी हो मिटते निशां, वहीं जा के पाँव ये धरे
    फिर दिल का हर एक घाव, अश्कों से ये धोती है
    दुःख-सुख की हर इक माला, कुदरत ही पिरोती है

    આ બન્ને ગાયકોએ અલગ અલગ ગાયેલું ગીત અહીં સાંભળી શકાશે.

    આ લીન્ક પર મહમ્મદ રફીએ ગાયેલું ગીત ફિલ્મમાં મૂળ સ્થાનોએ વાગે છે એ સાંભળી શકાશે.

    નીચેની લીન્‍ક પર ચંદ્રશેખર ગાડગીલે ગાયેલું ગીત સાંભળી શકાશે.

    એટલી નોંધ જરૂરી કે આ જ નામની અન્ય એક ફિલ્મ ૧૯૯૮ માં પણ રજૂઆત પામી હતી.


    (તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • “સૂર્યપ્રકાશ” નો વધુ લાભ કઈ રીતે લઇશું ?

    કૃષિ વિષયક અનુભવો

    હીરજી ભીંગરાડિયા

    આપણને દેખીતી રીતે ગરમ લાગતો ‘તડકો’  એ તડકો નથી પણ ‘શક્તિ’ છે. એ બાબત પૃથ્વી પર વસનારા જીવોએ, અને ખાસ કરીને જેનું મગજ વિકસ્યું છે અને બુધ્ધિ ચલાવી શકે છે તેવી મનુષ્ય જાતિમાંથી એનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હોય તેવી સંખ્યા કેટલી ? સૂર્યમાંથી નીકળતા એ અવિરત શક્તિધોધને કેમ માણી લેવો, તેને આપણા રોજીંદા ઉપયોગમાં કેમ વણી લેવો , તેનો વધુમાં વધુ કસ જીવન જરૂરિયાતના ઉત્પાદનમાં કેમ ગંઠી લેવો તે વિષે ગંભીરતાથી વિચાર્યું છે ક્યારેય ?

    સૂર્યશક્તિને રોજીંદા વપરાશના કામમાં મદદરૂપ થવા રૂપાંતરિત કરવાના કેટલાક સોલાર ઉપકરણો બનાવવા બદલ વાંહો થાબડવા જેવું વિજ્ઞાનીઓનું કામ રહ્યું છે. પણ ખેતીવાડીના ક્ષેત્રમાંયે એ વિષયના રસજ્ઞોએ આ બાબત ઊંડાણથી વિચારવું પડશે તેવું નથી લાગતું ?

    ખરું કહીએ તો સૂર્યપ્રકાશનો ખરો ઉપયોગ તો કરી જાણે છે વનસ્પતિ ! એની આવડત તો જૂઓ ! પોતાના પાંદડાંના લીલા રંગની ઝાળમાં સૂર્યપ્રકાશને એવો તો ફસાવી દે છે કે મૂળિયાંએ ચૂસેલો કાચો ખોરાક અને હવામાંથી ભેગા કરેલા અંગારવાયુની સાથે રાંધણું કરી, ખોરાકને પોતાને ખાવાયોગ્ય ન બનાવી દે ત્યાં સુધી છુટો નહીં કરવાનો બોલો ! સૂર્યપ્રકાશ એટલે વનસ્પતિનો “રસોયો” જ સમજોને !

    પણ એતો થઇ વનસ્પતિ જગતની તાકાતની વાત ! એમાં આપણું શું ? આપણે પણ કંઇક આપણાપણું ન દેખાડવું પડે ? વનસ્પતિની ભેરે ચડી, તે સૂર્યપ્રકાશનો વધુમાં વધુ કેમ ઉપયોગ કરી શકે તેવા કોઇ ઇલમો યોજી શકીએ તો તો સોનામાં સુગંધ ભળ્યા જેવું થાય ! વનસ્પતિની પોતાની સૂર્યશક્તિ વાપરવાની ત્રેવડ અને એમાં ભળે આપણો ખેડૂતોનો ઇલમ ! પરિણામ ? પરિણામમાં–ઉત્પાદન મળે અઢળક ! સૂર્યપ્રકાશને ખેત ઉત્પાદનમાં વણી લેવાની વાત લાગે છે જટ ગળે ન ઉતરે એવી.ખરુંને મિત્રો ! પણ આ નવી લાગતી વાતને બરાબર ઊંડાણથી સમજીએ તો જરાય અચરજ પમાડે એવી નહીં લાગે.

    સૂર્ય સમગ્ર જીવસૃષ્ટિનો પિતા ગણાયો છે. આપણા પ્રત્યેની કૃપારૂપી સૂર્યપ્રકાશના ઉમદા કિરણોનું પ્રદાન આપણા ખેતી વ્યવસાય પર અમાપ છે. પણ તે પ્રકાશનો થઇ શકે તેટલો વધુ ઉપયોગ કરવાનું ગોઠવી શકીએ તો હજુએ મબલખ ઉત્પાદન મેળવી શકવાના પૂરા ચાંસ રહેલા છે.

    સૂર્ય પ્રકાશ બાબતે આપણે સારાવાળા છીએ =

    આપણો ભારત દેશ વિષુવૃતની વચ્ચે આવેલો હોઇ સૂર્યભગવાનના કિરણોનો લાભ ભરપૂર મળે છે. તેમાંયે ગુજરાત-મહારાષ્ટ્રની લાઇનના અને દક્ષિણના રાજ્યોને કાશ્મિર અને પંજાબની અપેક્ષાએ ખૂબ વધારે- રોજના ઓછામાં ઓછા દસ કલાક સૂર્યપ્રકાશ મળવો તે સામાન્ય બાબત છે. ખેતી અંગેની એકદમ આધુનિક અને આગોતરી સૂઝ ધરાવતા મહારાષ્ટ્રના કૃષિ વિજ્ઞાની સ્વ. દાભોલકરજી કહી ગયા છે કે આટલી સૂર્યશક્તિ કેવળ એક ચોરસફૂટ પર એટલી ઉર્જા પાથરે છે કે એના દ્વારા એક જણનું એક ટંકનું ભોજન તેમાંથી બની શકે, બોલો !

    એને જરા ગણિતમાં જોઇએ તો =

    સામાન્ય કામ કરનારો માણસ રોજની ૨,૫૦૦ કિલો કેલરી શક્તિ વાપરે છે.  પૃથ્વી પર પડતા એ આખા દિવસના સૂર્યપ્રકાશને પૂરેપૂરો ઝીલવામાં આવે તો એક ચોરસફૂટની જગ્યા ઉપર રહેલું બે લીટર પાણી એ પોતાની  ગરમી દ્વારા વરાળ થઇ હવામાં ઊડાડી મેલે છે. એને  વિજ્ઞાનની ભાષામાં  ૧,૨૦૦ કીલો કેલરી ગણવામાં આવે છે. બેશક, એ ત્યારે બને  જ્યારે બે ચોરસફૂટ જગ્યા ઉપર લીલા રંગના પાન એ સૂર્યકિરણોને ઝીલવા હાજર હોય ! સૂર્યના કિરણોમાં સાત રંગ હોય છે. વનસ્પતિના પાંદનો રંગ લીલો હોય છે એટલે લીલા રંગ સિવાયના અન્ય રંગના કિરણોને પાંદડાં માહયલાં હરિતદ્રવ્યો પોતાની ઝાળમાં ફસાવી [સમાવી] લે છે અને આ રીતે વનસ્પતિ સૂર્યશક્તિના સહારે હવામાંના કાર્બન ડાયોકસાઇડ તથા મૂળ વડે શોષાએલ પાણી દ્વારા  શર્કરા-ગ્લુકોઝ તૈયાર કરે છે.

    જેટલો સૂર્યપ્રકાશ આવે છે તે તમામનો સો એ સો ટકા ઉપયોગ કરી શકીએ તો રોજની ૧,૨૫૦ કીલો કેલરી શક્તિ દર ચોરસફૂટે તૈયાર થાય. [એ ગણતરીએ એક ટંકનું એટલેકે અર્ધા દિવસનું ભોજન]  પણ તે અઘરું છે. આટલા મોટા આવતા શક્તિ ધોધનો માત્ર એક જ ટકો  જો લીલા પાંદડાં દ્વારા ઉપયોગમાં લઇ શકીએ તો પણ રોજની સાડાબાર કીલો કેલરી  એકઠી કરી શકીએ અને તેટલામાંથી મોટાભાગના ઝાડ-પાન ત્રણ ગ્રામ સુકું વજન મેળવે છે.

    પાકનું બાળપણ અને વૃધ્ધાવસ્થા બાદ કરી પુખ્તતાના માત્ર એકસો દિવસ ગણીએ તો પણ રોજના ત્રણ ગ્રામના હિસાબે 300 ગ્રામ સુકું વજન વનસ્પતિ બનાવી શકે છે. તેના ૧/૩ ભાગ એટલે કે ૧૦૦ ગ્રામ વજન પોતાના શ્વસન આદી કાર્યશક્તિમાં ખર્ચે છે. બીજો  1/3 ભાગ – મૂળ, લાકડું, જેવા પોતાના શરીરના બંધારણમાં વાપરી છેલ્લો બાકી રહેતો 1/3 ભાગ-યાને કે 100 ગ્રામ વજન ઉત્પાદનના રૂપમાં આપે છે. પછી તે અનાજ હોય, ફળ હોય કે લીલા શાકભાજી હોય. ક્યો પાક કેટલા લાંબા આયુષ્ય વાળો છે તે પ્રમાણે તેની જીંદગાના યુવાનીના દિવસો દરમ્યાન વધુમાં વધુ સૂર્યપ્રકાશ વાપરી જાણે તેટલું તે વિક્રમી ઉત્પાદન મેળવવામાં સક્ષમ બને છે.

    કોણ કેટલું વજન આપે ? = જો અનાજ હોય તો તેમાં ૯૦  ટકા ધાન્ય અને ૧૦ ટકા પાણી હોય, એટલે કે ચોખા, જુવાર, ઘઉં, બાજરી, મકાઇ વગેરે ધાન્યપાકોમાં ૧૦૦ દિવસ બાદ દર ચો.ફૂટે ૧૦૦ ગ્રામ વજન મુજબ ૧૦ ચો. ફૂટમાંથી ૧ કીલો વજન આપવાની ત્રેવડ સૂર્યશક્તિ ધરાવે છે.

    મગફળી જેવા તેલીબિયાના પાકમાં ૫૦ ગ્રામ તેલમાં ૧૦૦ ગ્રામ અનાજ જેટલી કાર્યશક્તિ મળે છે. તેથી તેવા બીજા પાકના મળતાં વજનની સરખામણીએ તૈલીપાકમાં અર્ધું જ વજન મળે.એટલે ૧૦ ચો ફૂટના બદલે ૨૦ ચો.ફૂટમાં ૧ કીલો શીંગદાણા મળે. અને દ્રાક્ષ જેવામાં ૧૦૦ ગ્રામ સુકા વજનમાં ત્રણગણું પાણી ઉમેરીએ તેવો લચીલો પદાર્થ હોય છે. એટલે ૧ ચો ફૂટમાં ૪૦૦ ગ્રામ લીલી દ્રાક્ષ તૈયાર થઇ શકે. ટામેટા, કાકડી, તરબૂચ વગેરેમાં ૯૦ ટકા પાણી હોય છે. વળી તે બધાના છોડવા-વેલા પોતાના શરીર માટે બહુ ઓછું વજન વાપરવાવાળા હોવાથી બાકીનું વધારાનું વજન ઉત્પાદનના ફાળે જ ખર્ચતા હોવાથી એ બધા પાકો વર્ષભરમાં ૫-૬ કીલો વજન આપી જાણે છે. તે જ રીતે શેરડી જેવા પાકો 1 ચો ફૂટે અઢી કીલો મુજબ વર્ષેદહાડે એકરે 100 ટન શેરડી ઉત્પન્ન કરી શકે.

    આપણે કૃષિક્રાંતિ લાવનારાઓએ, કંઇક આગવું વિચારનારા પ્રયોગશીલ ખેડૂતોએ આપણા વિસ્તારને અનુકુળ લેવાતા પાકોમાં વધુને વધુ સૂર્ય પ્રકાશ પાકના પાંદડાંઓ કેમ શોષી શકે એવા નુસ્ખા અને  પધ્ધતિઓ શોધી કાઢીને વ્યાપકપણે વપરાતા થાય તેમ ન કરવું જોઇએ ? ચાલો વિચારીએ ! વિચારશું તો ઉપાયો જરૂર મળી રહેવાના મિત્રો !

    સૂર્યપ્રકાશનું માપ કેમ કાઢવું  ? = પ્રકાશની તીવ્રતા માપવા માટેનું પરિમાણ છે –“ફૂટ કેંડલ’’. એક હજાર સળગતી મીણબત્તીઓ એક ફૂટની ફેરીપર જેટલો પ્રકાશ આપે તેને એક હજાર ફૂટકેંડલ પ્રકાશ કહેવાય. કેલીફોર્નિયામાં દ્રાક્ષપર થયેલ સંશોધનની વિગતમાં એવું જણાવાયું છે કે દ્રાક્ષના પાન ૭,૦૦૦  ફૂટકેંડલથી વધારે પ્રકાશ વાપરી શકતા નથી.આપણે ત્યાં મહારાષ્ટ્ર-ગુજરાત જેવા પ્રદેશોમાં પડતો સૂર્યપ્રકાશ આશરે ૧૧,૦૦૦  ફૂટકેંડલ જેટલો છે. એટલે મહારાષ્ટ્રના ખેડૂતોએ, ખાસ કરીને ત્યાંના પ્રયોગ પરિવારે દ્રાક્ષ પાસે વધુ પ્રકાશ વપરાવવાના કાર્યક્રમો આરંભ્યા અને અગાઉ જ્યાં દ્રાક્ષની વેલીના પાન મંડપ ઉપર માત્ર આડા, ઊભા અને ત્રાંસા- એમ ત્રણ થરે ગોઠવી દીધા પછી, હજુ પણ કેટલોક સૂર્યપ્રકાશ જમીનપર પરાવર્તિત થઇ પાનની નીચેની સપાટીને મળે તેવી વ્યવસ્થા ગોઠવી, અને એક એકરે જ્યાં 16 ટન દ્રાક્ષ મળતી હતી તેની જગ્યાએ 30 ટન લેવાના પ્રયોગો સફળ બનાવ્યા.

    શું આપણે આવું ન કરી શકીએ ?  કેમ નહીં ? આપણે આવું જરૂર કરી શકીએ. કેવી રીતે તે જોઇએ…………………………….

    [1] ચાલુ ખેતીપાકોના વાવેતર વખતે ચાસની યોગ્ય દિશા પસંદ કરીને  = .

    મોસમી પાકોમાં કેટલાક થોડા ઉંચા-ઊભા વધતા અને બે ચાસ વચ્ચે વધુ અંતર રાખી વવાતા પાકો જેવા કે –તલ, કપાસ, એરંડા જેવા પાકોમાં વાવેતર વખતે આપણે પૂર્વ-પશ્ચિમ ચાસની દિશા રાખી હોય તો આખા ચાસને સૂર્યપ્રકાશ વધારે વખત મળી શકે કે ચાસની દિશા ઉત્તર-દક્ષિણ રાખી હોય તો ? કઇ રીતે રાખવાથી વધુમાં વધુ વખત સૂર્યપ્રકાશ ચાસના છોડના દરેક ભાગો પર પડશે તેનું નીરીક્ષણ કરી વાવેતેર કરવું જોઇએ. નહીં કે ખેતરનો પનો જે દિશાએ લાંબો હોય તે દિશાને ઉત્તમ ગણીને ! કેટલાક ચોમાસે વવાતા, શિયાળે વવાતા, અને ઉનાળે વવાતા ટુંકાગાળાના છતાં ચાસથી વાવેતર થતું હોય તેવા પાકોમાં આ મુદ્દાનું ધ્યાન રખાયું હોય તો દસ-બાર ટકા ઉત્પાદન આપમેળે માત્ર યુક્તિથી જ વધુ મળવાની શક્યતા છે.

    [2] નાના પાકોને મોટા પાકોની બગલમાં ઉછેરીને =

    વનસ્પતિ જગતમાં જોવા મળતી અનેક વિવિધતાઓ માંહ્યલી એક એ પણ છે કે કોઇ ઝાડ-છોડને વધુ સૂર્યપ્રકાશ ફાવે છે તો કોઇને ઓછો ! કેળ અને અનાનસ થોડા આછા પ્રકાશમાં પણ સારું ઉત્પાદન આપી શકે છે. લીંડીપીપરને પણ ઓછો પ્રકાશ ફાવે છે. આવા નાના પાકોને બીજા વૃક્ષપાકોની બગલમાં નીચે વાવીને-ઊંચા વધતાં અને નીચા રહેતાનું મિશ્ર વાવેતર કરીને સૂર્યપ્રકાશનો વધુ લાભ લેવાનું ન ગોઠવી શકીએ ?

    આદુ, હળદર. અને આંબા હળદર પણ તલક છાંયડો વધુ પસંદ કરે છે. બગીચાના ઝાડના ખામણાંમાં આવા છોડના વાવેતરથી આપણે બમણો પાક ન લઇ શકીએ ? જમીન ઉપર ઉગતા ઘાસને પણ પ્રમાણમાં ઓછા સોર્યપ્રકાશની જરૂર પડતી હોય છે. બે વૃક્ષોની લાઇનો વચ્ચે, જ્યાં જમીન નબળી હોય અને બીજો આંતરપાક લેવો ન પોસાય તેમ હોય ત્યાં ઘાસને છૂટથી થવા દેવું જોઇએ. તેનો ઉપયોગ જરૂર હોય તો ચારા તરીકે, અને નહીંતો વાઢીને ત્યાંને ત્યાં પાથરીદેવાય તો પણ જમીનની ફળદ્રુપતામાં વધારો કરી શકાય છે. આવી જગ્યાઓમાંથી નિંદામણ માની ઘાસને મૂળસમેત ઉખાડી નલેવું

    3] વાવેતરના ઊંચા-નીચા માળ ગોઠવીને =

    પ્રાયોગિક ધોરણે કેટલાક નવા પ્લાંટેશન એવા ના કરી શકાય કે જેમાં ઊંચા વધતાં સાગ જેવા, મધ્યમ ઉંચાઇએ વધતાં શૃપ ટાઇપના સીતાફળ અને દાડમ જેવા અને બન્નેના ખાલામાં [વચ્ચેની જગ્યામાં] નીચા રહેતા અને જમીન પર પથરાતા કઠોળ, શાકભાજી કે ઘાસચારાના પાકો ઉગાડીએ ! આવી ઊંચી, મધ્યમ અને નીચી વિવિધ ત્રણથરી ઉંચાઇએ રહેતા પાકોની મિશ્રખેતી કરી હોય તો આવું જ કંઇક થાય ને ? ઉપરથી આવતો સીધો પ્રકાશ ઉપલા માળવાળા સાગ જેવા ઝાડ વાપરે, તેથી નીચે આવેલો પ્રકાશ શૃપટાઇપના ફળવાળા દાડમ જેવા પાક વાપરે, અને બધામાં થી ગળાઇ ગળાઇને આવેલો સૂર્યપ્રકાશ નીચલા માળના શાકભાજી, કઠોળ કે ઘાસચારાના પાકો વાપરે. સૂર્યપ્રકાશની ખેતી માટે આ ત્રણ માળનો પ્રયોગ કરવા જેવો છે. પ્રયોગ રૂપે કંઇક જરૂર કરી જોઇએ અને અનુભવની આપ-લે  કરીએ..

    [4] વૃક્ષ-વેલાના પાંદડાંને વધુ સપાટી મળે એવું કરીએ =

    વૃક્ષોનું વાવેતર ક્યારેય એટલું બધું ઘાટું –નજીક નજીક અંતરથી ન કરીએ કે જેથી તે ગીચ બની જાય. થોડું વધુ અંતર રાખી રોપાણ કર્યું હોય તો દરેક વૃક્ષની ઘટા ગોળ-પૃથ્વીના અર્ધગોળાકાર જેવી થઇ શકે. જમીનની સાવ સીધી સપાટ સપાટી કરતાં ઝાડની ગોળાઇ વાળી સપાટી બનવાથી તેનું ક્ષેત્રફળ વધારે ચોરસફૂટ થાય. એટલે એકંદર રીતે ઉત્પાદનમાં એટલો વધારે સૂર્યપ્રકાશનો લાભ મળી શકે.

    વેલાવાળા પાકો-તુરિયાં, કારેલાં, ટીંડોરાં, કંકોડાં, ગલકાં, દૂધી વગેરેના વેલાને સીધા જમીનની સપાટી ઉપર પથરાવા દેવા ઉપરાંત વચ્ચે વચ્ચે સૂકા ઠરડાંના ટેકા ખોડી, વેલાને તેના પર ચડાવીએ તો સૂર્યપ્રકાશ મેળવતાં પાંદડાંનું ક્ષેત્રફળ વધી જાય, એટલે ઉત્પાદન આપણને સવાયું-દોઢું સહેજે મળે ! તમે નિરખજો ! કૂવાના ગાળના ઢગલા ઉપર પથરાઇ ગયેલા કે શેઢાની વાડ્યના ઝાળાં માથે ચડી ગયેલા શાકભાજીના વેલાને વધુ ફળો લાગવા એ આ રીતે વધુ ઝીલી લેવાતા સૂર્યપ્રકાશનું જ કારણ હોય એવું તમે પણ ચોક્કસ અનુભવી શકશો . ટામેટા અને મરચી જેવા ઢુંગલું થઇ નમી પડતાં છોડને આડો પડી જતાં અટકાવી, ઊભો ને ઊભો રહે તે માટે ચાસ પર લોખંડનો તાર બાંધી કપડાના લીરા કે સુતળીથી બાંધી લટકાવી દેવાથી સૂર્યપ્રકાશ મેળવતી સપાટી વધારી શાય છે અને એનો બહુમોટો લાભ ઉત્પાદનમાં મેળવી શકાય છે.

    [5] પાંદડાંનો રંગ વધુ વખત લીલો રહે તેવી અનુકુળતા કરીને =

    છોડ કે ઝાડને ખાતર, પાણી અને સંરક્ષણ એવી રીતેપૂરા પાડવા કે છોડ કાયમ માટે પૂરેપૂરો નિરોગી અને ખડતલ રહે. સંપૂર્ણ સ્વસ્થ છોડના પાનનો રંગ હંમેશા વધુમાં વધુ વખત લીલો રહી શકતો હોય છે. અને લીલો રંગ સૂર્યપ્રકાશને ફસાવવાનું અને ખોરાક બનાવવામાં વાપરી જાણવાનું બહુમૂલું કામ કરી જાણે છે. એટલે આપણા ખેતીપાકો વધુ વખત હરિયાળા-લીલા રહે એવું કરવાની મહેનત લઇએ.

    અને છેલ્લે =

    પૃથ્વી પર આવનારી સૂર્યશક્તિને દિવસ દરમ્યાન વાપરી લેવામાં [એકઠી કરી લેવામાં] ન આવે તો  રાત્રી પડતાં તે અનંત વિશ્વમાં ઉત્સર્જિત થઇ વિલીન થઇ જાય છે. એથી જ્યાં જેટલો સૂર્યપ્રકાશ પડે છે ત્યાં તેટલાને કેમ વધારે ને વધારે વાપરી જાણવો  તે વિખરાઇ જતા ધનને સાચવી લેવા જેવી તાકીદની બાબત છે. તેની તાકાત તો રોજના ૩ ગ્રામ સુકા વજનની ગણતરીએ વરસભરમાં ૧,૯૮૦ ગ્રામ સુકું વજન આપી શકવાની છે. આપણે ક્યા ક્યા પાકો દ્વારા અને કઇ કઇ પધ્ધતિઓથી સૂર્યપ્રકાશને પકડી રાખવો તે આપણે વિચારી નક્કી કરવાનું રહ્યું.


    સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ : krushidampati@gmail.com

  • ક્રિસ્ટ્મસ ટ્રી

    મ. ઝ. શાહ

    ગુજરાતીમાં જાણીતું નાતાલનું વૃક્ષ. ફુવારા-વૃક્ષ; અં. Norfolk Island pine; fountain tree. રમણીય, સદાહરિત વૃક્ષ. તે ૪૦થી ૫૦ મીટર ઊંચું સપુષ્પ વનસ્પતિમાં અનાવૃત બીજધારી વર્ગ Coniferales-નું છે; તે ખૂબ જ ધીમે વધે છે; પરંતુ ઠંડી આબોહવામાં તેની વધ સારી થાય છે. શરૂઆતનાં કેટલાંક વર્ષ સુધી તે કૂંડામાં ઉછેરી શકાય છે.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    ખૂબ જ ઘાટીલું સીધું થડ અને તેમાંથી ચોક્કસ અંતરે જમીનને સમાંતર ચારે બાજુ નીકળતી ડાળીઓ, ઉપર જતાં શંકુ આકાર ધારણ કરતાં ડાળીઓ નાની નાની થતી જાય અને કાયમ બારેમાસ લીલુંછમ રહે તે એની વિશિષ્ટતા છે. જાડા લીલા તાંતણા જેવાં સાદાં પર્ણો ૪થી ૭ સેમી. લાંબાં હોય છે.

    ખ્રિસ્તી લોકો નાતાલના પર્વમાં તેના ઉપર નાના ઇલેક્ટ્રિક રંગીન બલ્બ મૂકી તેને શોભાયમાન કરે છે. તેથી તેને ‘ક્રિસ્ટ્મસ ટ્રી’ નામ મળ્યું છે.

    તેની એક જાત A. excelsa R. Br. બગીચામાં ઉછેરવામાં આવે છે. તેની અન્ય જાતોમાં A. cunninghamii A. Juss અને A. Cookii (L) Br મુખ્ય છે.


    સંપાદકીય નોંધ:  

    ૧. અહીં મૂકેલ તસવીર માત્ર સાંદર્ભિક પરિપ્રેક્ષ્ય માટે ઉમેરી છે.

    ૨. ગુજરાતી વિશ્વકોશમાં આવરી લેવાયેલ ૧૬૯ વિષયોમાં વિસ્તરેલાં અધિકરણૉમાંથી ચૂંટેલાં અધિકરણો વેબ ગુર્જરી પર રજૂ કરવાના ઉપક્રમના ભાગ રૂપે આ લેખ ‘બાગ-બગીચા – Gardening’ વિષયમાંથી પસંદ કરેલ છે.

    ૩. આ માહિતી અહીં માત્ર વાચકોની જાણ  માટે જ છે. તેનો આગળ ઉપયોગ કરતાં પહેલાં એ બાબતની ખાસ નોંધ લેવી ઘટે કે વિશ્વકોશનાં તમામ અધિકરણોના કોપીરાઈટ/માલિકીહક્ક ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના છે. એટલે એ લખાણો કે અધિકરણોનો  ઉપયોગ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની પરવાનગી સહિત જ કરવો આવશ્યક છે. તે ઉપરાંત ‘આ લખાણ કે અધિકરણના કોપીરાઈટ/માલિકીહક્ક ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના છે’ તે મતલબનું લખાણ હોવું આવશ્યક છે.

  • નવી પ્રવાસનીતિથી પર્યાવરણને નવેસરથી બગાડીએ

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    પ્રવાસ માનવજીવનનું મહત્ત્વનું અંગ છે, જે તેને રોજિંદી, એકધારી દિનચર્યાથી કામચલાઉ મુક્તિ આપે છે. આવું વરસોથી આપણે સાંભળતા, વાંચતા અને સમજતા આવ્યા છીએ. અલબત્ત, હવે પ્રવાસ એક વિશાળ ઉદ્યોગ બની ગયો છે. એ કંઈ આજકાલનું નથી, પણ પહેલાં એ મર્યાદિત સ્થળ કે પ્રદેશ પૂરતું મર્યાદિત હતું. હવે બદલાતા સમયમાં પ્રવાસીઓ સતત નવાં નવાં સ્થળોની શોધમાં રહે છે, બીજી તરફ શાસકોને પણ પ્રવાસ ઉદ્યોગમાં મોટો લાડવો દેખાઈ રહ્યો છે. જરા વિચારી જુઓ કે કોઈ સ્થળે ઢગલામોઢે પ્રવાસીઓ જતાઆવતા રહેતા હોય એ સ્થળની શી હાલત થાય? ગણતરીના દિવસ પૂરતા રહેવા-ફરવાનું હોય એટલે સ્વચ્છતાનો ગંભીર પ્રશ્ન કાયમી બને. જે તે સ્થળના પર્યાવરણ પર પણ વિપરીત અસર થતી રહે. સ્થાનિકોને રોજગારી મળે એ એકમાત્ર લાભની સામે નુકસાન અનેકગણું થતું રહે. એકવીસમી સદીના ત્રીજા દાયકામાં પર્યાવરણ અંગે અલગથી સમજાવવું પડે એવું નથી, કેમ કે, એક યા બીજા કારણોસર તેની વિપરીત અસરોનો પરચો આપણને મળતો રહે છે. આમ છતાં, પ્રવાસને વધુ ને વધુ ઉત્તેજન આપવાની, અને તેના થકી આવક વધારવાની નીતિઓ ઘડાતી રહે છે.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    ઑક્ટોબર, ૨૦૨૪માં કર્ણાટક સરકારે નવી પ્રવાસન નીતિની ઘોષણા કરી, જેના વિવિધ આંકડા જોવા જેવા છે. ૨૦૨૪થી ૨૦૨૯ એમ પાંચ વર્ષ માટે અમલી બની રહેનારી આ નવી નીતિમાં દેશના પ્રવાસીઓની સંખ્યા વધારીને વાર્ષિક ૪૮ કરોડે અને વિદેશી પ્રવાસીઓની સંખ્યા વીસ લાખે પહોંચાડવાનું લક્ષ્ય છે. વર્તમાન આંકડો અનુક્રમે ૨૮ લાખ અને ચાર લાખ છે. આને કારણે પ્રત્યક્ષપણે ૪૭,૦૦૦ રોજગાર ઊભા થશે, જે ૭,૮૦૦ કરોડનું રોકાણ ખેંચી લાવશે. આંતરાષ્ટ્રીય સ્તરના પ્રવાસીઓને આકર્ષવા માટે જરૂરી માળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે કર્ણાટક સરકારે ૧,૩૪૯ કરોડ ફાળવ્યા છે.

    આ રાજ્યમાં ૩૨૦ કિ.મી.નો સમુદ્રતટ, સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ છે, જે પ્રવાસીઓ માટે આકર્ષણ સમાન છે. નવી નીતિમાં સાહસ, સંસ્કૃતિ, વાનગી અને સ્વાસ્થ્ય જેવા વૈવિધ્યપૂર્ણ વિષય આધારિત સ્થળોને વિકસાવવામાં આવશે. ‘એક જિલ્લો એક સ્થાન’ અંતર્ગત રાજ્યના તમામ ૩૧ જિલ્લામાં ઓછામાં ઓછા 31 મુખ્ય સ્થળો વિકસાવવામાં આવશે, જેથી પ્રત્યેક જિલ્લાને આ નીતિનો લાભ મળી શકે.

    આ ઉપરાંત જળ, સ્થળ અને હવા આધારિત કુલ પચાસ સાહસને લગતાં સ્થળો વિકસાવવાનું આયોજન છે. કૉફી બોર્ડ ઑફ ઈન્‍ડિયા ‘કૉફી ટુરિઝમ’ના મહત્ત્વના સ્થળ તરીકે કર્ણાટકને વિકસાવવા સજ્જ થઈ રહ્યું છે. ઓછામાં ઓછા પચાસેક આંતરરાષ્ટ્રીય પ્રવાસન મેળાઓમાં ભાગ લઈને રાજ્ય પોતાની ઉપસ્થિતિ થકી પોતાની ક્ષમતા અને આકર્ષણને વિશ્વ સમક્ષ રજૂ કરવા ધારે છે.

    આ બધું કાગળ પર રૂડુંરૂપાળું જણાય છે, પણ વાસ્તવિકતા વિશે વિચાર કરવા જેવો છે. આ રાજ્યમાંથી પસાર થતો પશ્ચિમ ઘાટ અત્યંત સંવેદનશીલ પર્યાવરણ ધરાવે છે. અત્યારે પ્રવાસ સિવાયના અન્ય વિકાસપ્રકલ્પો થકી તેની પરનો ખતરો વધી રહ્યો છે.

    એક સમયે પ્રવાસન સ્થળ તરીકેનો વિકાસ મહત્ત્વનું પરિબળ બની રહ્યું હતું, પણ પ્રવાસીઓનો બેકાબૂ ધસારો કેવળ પર્યાવરણને જ નહીં, બીજી અનેક બાબતોને નુકસાન કરે છે. સ્થાનિક સંસ્કૃતિ તેમાં અગ્ર ક્રમે મૂકી શકાય. કોઈ પણ નૈસર્ગિક સ્થળનું સૌંદર્ય પ્રવાસન સ્થળ તરીકેના તેના વિકાસ પછી સતત નષ્ટ થતું રહે છે એ અનેક સ્થળે પુરવાર થયેલી હકીકત છે. કર્ણાટકના કોડગૂ અને ચિક્કમગલૂરુ જેવા વિસ્તારો અત્યારે પ્રવાસીઓના જબ્બર ધસારાનો ભોગ બની રહ્યા છે.

    પ્રવાસ નીતિમાં મોટે ભાગે આવક અને રોજગારને લગતા આંકડા જાહેર કરવામાં આવે છે, પણ જે તે સ્થળની જાળવણી માટે શું કરવામાં આવશે એ જણાવાતું નથી, કેમ કે, એનું ખાસ મહત્ત્વ કદાચ કોઈને મન હોતું નથી. મોટા ભાગના પ્રવાસીઓ ફરવા નીકળે ત્યારે પોતાની આદતો સાથે લઈને નીકળે છે. તેમને વિવિધ સુવિધાઓ જોઈએ છે, નાણાં ખર્ચવા તેઓ તૈયાર હોય તો ગમે એવી અસંબદ્ધ માગણીઓ પણ કરે છે, અને સ્થાનિકો આવક ગુમાવવાની બીકે કે આવક મેળવવાની લાલચે એ પૂરી કરે છે, જેની સીધી અસર એ સ્થળના પર્યાવરણ અને જૈવપ્રણાલિ પર પડે છે.

    કર્ણાટકે આજ સુધી પ્રવાસના ઉત્તેજન માટે ઘણો પ્રચાર કર્યો છે, અને વિવિધ પ્રવાસી આકર્ષણો થકી પ્રવાસીઓને આકર્ષવાનો પ્રયત્ન કર્યો છે. પણ એ હકીકત છે કે વિવિધ યોજનાઓના અમલીકરણ, ઉત્તરદાયિત્ત્વ, અને વિવિધ સમુદાયોની સામેલગીરી બાબતે તેની ક્ષતિઓ વિશે વ્યાપક અસંતોષ છે. પ્રવાસ ઉદ્યોગ સાથે સંકળાયેલા સહુના હિતનો વિચાર કરીને આયોજન થવું જરૂરી છે.

    એમ થાય કે ન થાય, નવી નીતિ ઘોષિત થઈ ગઈ છે, અને એનો અમલ પણ કદાચ શરૂ થઈ જશે. શું કર્ણાટક કે શું ગુજરાત! પર્યાવરણની સ્થિતિ અને પ્રવાસ ઉદ્યોગનું ચિત્ર ખાસ જુદું નથી. આંકડાની માયાજાળ પુષ્કળ છે, પ્રસારમાધ્યમોમાં બધું રૂડુંરૂપાળું દેખાય છે, અને વાસ્તવિકતા કંઈક અલગ.

    કોવિડ પછીના સમયગાળામાં જાણે કે લોકો પણ પુષ્કળ સ્થળો ખૂંદવા લાગ્યા છે. સેલ્ફીઓ અને રીલથી સામાજિક નેટવર્કિંગ માધ્યમો ધમધમે છે. સૌને એ જ દર્શાવવું છે કે પોતે અમુકતમુક સ્થળે જઈ આવ્યા. લોકોની આ માનસિકતાનો બરાબર લાભ લેવાય છે. આખી વાતમાં ક્યાંય પર્યાવરણ કે જૈવપ્રણાલિ પ્રત્યેની નિસ્બતનું નામોનિશાન નથી. છે તો બસ, મોટા મોટા આંકડા-પ્રવાસીઓના, આવકના, અને ન જાણે શેના શેના!

    આ પ્રવાહ ઓસરે એવાં કોઈ લક્ષણ કળાતાં નથી. આથી તેનું જે પરિણામ આવે એ ભોગવવાની તૈયારી રાખીને, વિકાસ નામના જનાવરની દોટ જોઈને હરખાવા સિવાય બીજો કોઈ ઊપાય બચ્યો નથી.


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૨-૧૨– ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • સપનું : સોનખતથી સમૃદ્ધિ લાવવાનું

    નલિની નાવરેકર

    ‘ગાય-બળદના છાણની જેમ માનવ મળ-મૂત્રનો ઉપયોગ જો આપણે ખાતર માટે કરી શકીએ તો તે ગામડાંની સૌથી મોટી સેવા થશે.’

    – ગાંધીજી

    ‘મનુષ્યનાં મળ-મૂત્રનો સારો ઉપયોગ કરવાથી ખેતીનું ઉત્પાદન પ્રતિ-વ્યક્તિ વીસ રૂપિયા વધશે. જો એક હજારની વસ્તીનું ગામ હોય તો ગામનું ઉત્પાદન વીસ હજાર રૂપિયા વધી જશે.’ (આ આંકડા સ્વતંત્રતા મળી તે અગાઉના છે.)

    – વિનોબા ભાવે

    અંત્યોદયની દૃષ્ટિથી ભંગીકામ કરવાનો સંકલ્પ વિનોબાજીએ લીધો હતો. ૧૯૪૫ની સાલમાં વિનોબાજી જેલમાંથી છૂટીને આવ્યા ત્યારે તેમણે જે દૃશ્ય જોયું તેને તેઓ ભૂલી શકતા ન હતા. એક રેલવે સ્ટેશનની પાસેના મેદાનમાં મોટી સંખ્યામાં લોકો ખુલ્લામાં કોઈ શરમ-સંકોચ વિના શૌચક્રિયા કરી રહ્યા હતા. વિનોબાજીના મન પર આની ઊંડી અસર થઈ.

    ૧૯૪૯ની સાલથી તેઓ પવનાર રહેવા આવી ગયા હતા. ત્યારે પવનારથી ૩ કિ.મી. દૂર આવેલા સૂરગાંવમાં તેમણે ભંગીકામ કરવાનું શરૂ કર્યું. ગામમાં ખુલ્લામાં પડેલું મેલું ઉઠાવવાનું, તેને ખાડામાં નાખીને તેના પર માટી નાંખવી; પછી સ્નાન કરી, મંદિરમાં દર્શન કરીને પાછા ફરતા. સૂર્ય ઊગે નહીં એવું કદી બનતું નથી. એ જ રીતે નિયમિતતાથી વિનોબાજી આ કામ કરતા હતા. વીસ વર્ષ માટે તેમણે આ સંકલ્પ કર્યો હતો; જેમાં એક પેઢી બદલાઈ જાય. તેની સાથે માનસિકતા પણ બદલાય. બાળકોને યોગ્ય સંસ્કાર-વિચાર મળે. આ કામ વિનોબાજી ‘ઉપાસના’ માનીને કરતા હતા. આની સાથે સાથે તેલઘાણી, ગૌશાળા જેવાં કામો પણ શરૂ કર્યાં હતાં.

    આ વિષય પર સૌથી પહેલીવાર જ્યારે ધ્યાન ગયું તેની એક વાર્તા છે. ૧૯૧૮ની વાત છે. ત્યારે ગાંધીજીના સાબરમતી આશ્રમમાં પણ ‘ભંગી પાયખાનાં’ હતાં. પાયખાનામાં એકત્ર થયેલ મેલું ઉપાડવાનું કામ ‘ભંગી’ લોકો જ કરતા હતા. એક દિવસ વહેલી સવારમાં બાળકોબાજી (વિનોબાજીના ભાઈ) પાયખાના તરફ ગયા. ત્યાં તેમણે જોયું કે ભંગીનો છોકરો રડતો રડતો એક બાજુ ઊભો છે. પૂછ્યું તો વધુ રડવા લાગ્યો. તેને થયું હવે વઢ ખાવી પડશે. તેને સાંત્વન આપીને ફરીથી પૂછ્યું તો તેણે જણાવ્યું કે પોતાના બિમાર પિતાને બદલે તે મેલું ઉપાડવાના કામે આવ્યો છે. પરંતુ તેનાથી આ મેલું ભરેલ ડબ્બો ઉંચકાતો નથી. બાળકોબાજીનું દિલ પીગળી ગયું. વિચારોનું ચક્ર ચાલુ થયું. તેમણે કહ્યું ‘રડ નહીં, તું જા, આજથી આ કામ અમે જ કરી લઈશું.’ આશ્રમમાં તો ખળભળાટ મચી ગયો. પરંતુ વિનોબાજીએ બાળકોબાજીને સાથ આપ્યો. ગાંધીજી બહારગામ ગયા હતા. જ્યારે તેઓ પાછા આવ્યા ત્યારે બધી હકીકત જાણીને કહ્યું, ‘આ બહુ સારું કામ કર્યું, આ તો આપણે કરવું જ જોઈએ. ત્યારથી ગાંધીજીના આશ્રમમાં પોતાનાં પાયખાનાં પોતે જ સાફ કરવાનું શરૂ થયું અને ભંગી આવવાના બંધ થયા.

    પદયાત્રા દરમિયાન ૧૯૬૦માં વિનોબાજી જ્યારે ઇંદોર ગયા, ત્યારે ઇંદોરને સર્વોદય નગર બનાવવાનો વિચાર તેમના મનમાં આવ્યો. તેને માટે પહેલાં તો ઇંદોરને સ્વચ્છ કરવું પડે, તે દૃષ્ટિથી ત્યાં સ્વચ્છતા સપ્તાહ ઊજવવામાં આવ્યો. સાત દિવસ આખી ઇંદોર નગરીમાં ખુદ વિનોબાજીએ કાર્યકર્તાઓ સહિત ગટરો, સાર્વજનિક પાયખાનાઓની સફાઈ કરી. સાત દિવસ પતંજલી યોગસૂત્ર વિષય સાથે શુચિતા પર પ્રવચન પણ આપ્યાં. અપેક્ષા કરેલી તેનાથી વધુ લોકોએ આમાં ભાગ લીધો. બહેનો અને બાળકો પણ ઉત્સાહથી ભળ્યાં. આ કામ અંગે વિનોબાજીએ કહ્યું, ‘આજે અમે મોટું પરાક્રમ કર્યું. પગ ગંદા થયા હતા તો ઘરે આવીને વિચાર આવ્યો કે શું તેમને આગ પર તપાવું ? અમે પોતાના હાથથી પાયખાનાની સફાઈ કરી. મહેતર બહેનો તો ચૂપચાપ કંઈ બોલ્યા ચાલ્યા વિના આવી સફાઈ કરે છે. આ બધું જોઈને મને ખૂબ જ તીવ્ર વેદના થઈ. સાર એ જ છે કે અમે જે અનુભવ કર્યો છે તેમાંથી જ્ઞાન નીકળવું જોઈએ. મહેતરો (ભંગી)એ આટલું ગંદું કામ કેમ કરવું પડે ? આ કામ માણસને કરવું જ ન પડવું જોઈએ.

    આ પ્રકારના કામ પાછળ ગાંધી-વિનોબાની દૃષ્ટિ એ હતી કે જે અપરિહાર્ય છે, તેનો તિરસ્કાર કરવા કરતાં એવી વ્યવસ્થા ઊભી કરવી કે કોઈને પણ આવી ઘૃણાસ્પદ પદ્ધતિથી કામ ન કરવું પડે. મળનું વ્યવસ્થાપન વૈજ્ઞાનિક પદ્ધતિથી થાય અને મળમૂત્રમાંથી ઊંચી કોટીનું ખાતર નિર્માણ થાય.

    ઇંદોરના સ્વચ્છતા સપ્તાહમાં માર્ગદર્શન માટે વિનોબાજીએ અપ્પાસાહેબને બોલાવ્યા હતા. અપ્પા પટવર્ધન ગાંધીવિચારના આગલી હરોળના સમાજસેવક હતા. તેઓ સફાઈના ક્ષેત્રમાં નિષ્ણાત ગણાતા હતા. દેશ આખામાં જે ભંગીમુક્તિ આંદોલન વ્યાપક બન્યું તેમાં અપ્પાસાહેબના કામનો મોટો ફાળો હતો. એમ.એ.માં સુવર્ણપદક પ્રાપ્ત થયેલ એવા અપ્પાસાહેબે વર્ષો સુધી પોતે ભંગીકામ કર્યું હતું. તેમની પ્રેરણાથી અનેક લોકો/કાર્યકર્તાઓએ મેલું સાફ કરવાનું કામ વર્ષો સુધી વ્રતપૂર્વક કર્યું. પરંતુ આવી રીતે માત્ર ભંગીકામ કરતા રહેવાથી સમસ્યાનો હલ નહીં આવે, આ બાબત ધ્યાન પર આવતા અપ્પાસાહેબે સફાઈના વિષયમાં નવાં સંશોધનો પણ કર્યાં : કિસાન સંડાસ, ગોપુરી સંડાસ, સોપા સંડાસ જેવા એક કરતાં એક ચઢિયાતા પ્રયોગ તેમજ સંશોધનો તેમણે કર્યાં. ગાંધી સ્મારક નિધિ તથા સરકાર દ્વારા તેનો સારો પ્રચાર-પ્રસાર પણ થયો.

    નાસિકના ભાઉ નાવરેકરજી સ્વાતંત્ર્ય સૈનિક હતા. તેઓ એક સારા કલાકાર, મૂર્તિકાર, ગાયક તેમજ આદર્શ શિક્ષક હતા. પરંતુ કલાના કામ કરતાં પણ દેશની ગંદકી દૂર કરવાનું કામ – દેશને સ્વચ્છ કરવાનું કામ વધુ મહત્ત્વનું છે એમ વિચારીને એ કામમાં તેમણે પોતાનું જીવન અર્પણ કરી દીધું. તેમણે સેવાગ્રામમાં નઈતાલીમ દ્વારા ચાલતું પ્રશિક્ષણ લીધું જેમાં ગ્રામસફાઈનું ઊંડાણથી અધ્યયન કરવા મળ્યું. ગાંધી-વિનોબાના વિચારોનો સ્પર્શ તેમને થયો. આમ સમગ્ર સ્વચ્છતા એ જ ભાઉ નાવરેકરજીના જીવનનું લક્ષ્ય બની ગયું.

    ‘મનુષ્યના મળમૂત્રથી એટલું ઉત્પાદન થઈ શકે કે જેના થકી ગામના કાર્યકર્તા રાજા જેવું સમૃદ્ધ જીવન જીવી શકે તેમ છે. આ મારે સિદ્ધ કરી બતાવવાનું હતું, પરંતુ આ એક સપનું જ રહી ગયું.’ – (ગાંધીજીની હત્યા પછી અન્ય જવાબદારીઓ આવી પડતાં વિનોબાજીને સુરગાંવનું કામ બંધ કરવું પડ્યું, તે વખતે તેમણે આ કહ્યું હતું.) વિનોબાજીનું આ વાક્ય ભાઊના મનમાં પાકું થઈ ગયું. અને તેમનું કામ આ દિશામાં આગળ વધતું રહ્યું.

    ચિંતન, પ્રયોગ, કામ કરતા કરતા શૌચાલયનો એક નવો નમૂનો એમણે વિકસિત કર્યો – ‘નાયગાંવ ખાદઘર’ ! ‘ખાદઘર’ શબ્દ જ સ્વયં-અર્થપૂર્ણ છે. અને તે વખતે ભાઊ જ્યાં રહેતા હતા તે ગામનું નામ હતું ‘નાયગાંવ’ !

    નાસિક શહેરમાં ભાઊએ ‘ખાદઘર’ બનાવવામાં માર્ગદર્શન પૂરું પાડ્યું. કેટલીક જગ્યાએ ભંગી પાયખાનાં હતાં તેનું રૂપાંતર નાયગાંવ ખાદઘરમાં કરવામાં આવ્યું. ઘણાં ઘરોમાં નવાં શૌચાલયો બનાવવામાં આવ્યાં. નગરપાલિકાના સાર્વજનિક શૌચાલય પણ આ પદ્ધતિથી બનાવવામાં આવ્યાં. બીજા જિલ્લાઓમાં પણ આનો પ્રચાર-પ્રસાર થયો. ગાંધી સ્મારકનિધિએ ‘ખાદઘર’ અંગેની પુસ્તિકા છાપી. ભારતભરમાં હજારો નાયગાંવ ખાદઘર બન્યાં. સરકાર તરફથી તેને માન્યતા પણ મળી અને અનુદાન પણ મળ્યું. આમ આ કાર્યક્રમનો ખાસ્સો ફેલાવો થયો. અને ભંગીમુક્તિ, સ્વચ્છતા તેમજ ખાતરનું ઉત્પાદન એ ત્રણેય બાબતો આ ખાદઘર દ્વારા લાદી શકાઈ.

    આગળ જતાં ભાઊ નાવરેકરજીએ હૉસ્પિટલ, નિશાળો, ગ્રામ-પંચાયત માટે પાયખાના સાથે જોડેલા બાયોગેસ પ્લાંટ પણ બનાવ્યા.

    હરિભાઊ તળેલે એક સાચા તેમજ સારા સેવક થઈ ગયા. બધું છોડીને સેવાનો માર્ગ તેમણે અપનાવેલો. વચ્ચે એક વર્ષ માતા-પિતાની સેવા માટે પોતાને ગામ ગયા. ત્યાં એક પ્રયોગ કર્યો. રોજ હાથગાડી લઈને ગામમાં ફરતા. મેલું ભેગું કરીને પોતાના ખેતરમાં નાખતા ગયા. ખેતર એવું ફાલ્યું-ફૂલ્યું કે લોકો જોતા જ રહી ગયા. ગામના એક ભંગીએ આ જોયું. તેણે આ જ પ્રકારે મેલું ભેગું કરીને લોકોનાં ખેતરોમાં નાંખવાનું તેમજ તેમાંથી પૈસા કમાવાનું શરૂ કર્યું.

    ડૉ. સુહાસ માપુસકર પૂના પાસે આવેલા દેહુગાવમાં સરકારી દવાખાનામાં મેડિકલ ઓફિસર તરીકે સેવા બજાવતા હતા. આ કામ સાથે તેમણે ગામમાં લોકશિક્ષણનું કામ પણ શરૂ કર્યું. ‘બહાર બેસવાને બદલે પાયખાનાનો ઉપયોગ કરો’ – આ કામ માટે દવાખાનાને નોટિસ મળી. તો નોકરી છોડીને પૂરો સમય ગામમાં કામ કરવાનું શરૂ કરી દીધું. પછી તો ઘેરઘેર શૌચાલય બનાવ્યાં. ‘મલપ્રભા’ બાયોગેસ પ્લાંટનો નમૂનો બનાવ્યો. મળ, મૂત્ર, ગંદુંપાણી અને કચરો બધાનું એકસાથે વ્યવસ્થાપન થઈ શકે તેવી ‘ડોસિવૅમ’ પદ્ધતિ વિકસિત કરી.

    સ્વતંત્રતા મળ્યા પહેલાંના સમયમાં ડૉ. બાપટ સરકારી નોકરી છોડીને આંધળગાંવ નામના ભંડારા જિલ્લાના ગામમાં આવીને વસ્યા. ત્યાં સર્વોદય સમિતિ દ્વારા સંચાલિત ધર્માદા દવાખાનામાં તેમણે કામ શરૂ કર્યું. ત્યારબાદ ગામની સ્વચ્છતાની દૃષ્ટિએ આખા ગામમાં પાયખાનાં બનાવડાવ્યાં. ધીમે ધીમે બીજા તાલુકાઓમાં પણ શૌચાલયો બનતાં ગયાં. તેમણે સફાઈ માટે લોકશિક્ષણના વર્ગો પણ ચલાવ્યા.

    ગુજરાતમાં ઈશ્ર્વરભાઈ પટેલ હરિજન સેવક સંઘના સફાઈ વિદ્યાલયના પ્રાચાર્ય હતા. તેમણે બહુ મોટાં કામો કર્યાં. શહેરો તેમજ ગામડાઓમાં વ્યાપક સ્તરે જુદા જુદા પ્રકારનાં પાયખાનાઓ બનાવ્યાં. જેથી નદીઓ પ્રદૂષિત ન થાય અને ભંગીઓની જરૂર પણ ન પડે. તેમજ ખાતર પણ મળે એવાં શૌચાલયો બનાવ્યાં. આગળ જતાં સરકારની યોજનાઓને લીધે તેમનું કામ વધુ વ્યાપક બન્યું. હજારો લોકોને આ કામની તાલીમ પણ આપી.

    બિહારના બિંદેશ્ર્વર પાઠકજીનું કામ જરા જુદા પ્રકારનું છે. બજાર, રેલવેસ્ટેશન, બસસ્ટેંડ જેવાં સાર્વજનિક સ્થળો માટે ‘પે એન્ડ યુઝ’ પ્રમાણે ‘સુલભ શૌચાલય સંકુલ’ યોજના તેમણે ચલાવી. માત્ર બિહાર જ નહીં, આખા દેશમાં તે કાર્યાન્વિત થઈ.

    આખા દેશમાં બીજા અનેક મહત્ત્વના કાર્યકર્તાઓ થઈ ગયા જેમણે સફાઈ તથા મળ-મૂત્ર વ્યવસ્થાપનના કામને પ્રાધાન્ય આપીને તે અંગે નિષ્ઠાપૂર્વક કામ કર્યું. મુ.ઠક્કરબાપા, મામાસાહેબ ફડકે, જુગતરામ દવે, મનસુખલાલ જોબનપુત્રજી, શિવાભાઈ પટેલ, રામેશ્ર્વરી નહેરુજી, શ્રી કૃષ્ણદાસ શાહ, વલ્લભસ્વામીજી, જીવનલાલ જયરામદાસજી, મલકાનીજી, વિયોગીહરિજી, જી.રામચંદ્રન, એવાં ઘણાં નામો છે જેમણે સફાઈના કામમાં પોતાનો ફાળો આપ્યો.

    સાથે સાથે જુદી જુદી સરકારી યોજનાઓ દ્વારા પણ કેટલાંક કામો થયાં. આમ કુલ મળીને ઘણું મોટું કામ થયું છે. છતાં ઘણું બાકી છે, હજી પણ સપનું અધૂરું છે.

    આજકાલ ઘણી વાર પૂછવામાં આવે છે કે ‘શું ગાંધીવિચાર આજે પણ ઉપયોગી છે ?’ શું આપણે પણ એવું કહીશું ? – આ રીતે મળમૂત્રનું વ્યવસ્થાપન કરીને ખાતર બનાવવાનું કામ આજે કોને ગમે છે ? ન તો આશ્રમોમાં આ કામ કરવાની ધગશ દેખાય છે ન તો ગામમાં કામ કરનારા કાર્યકર્તાઓ આ વિષયને મહત્ત્વ આપે છે.

    પરંતુ જ્યાં સુધી માણસ છે, ત્યાં સુધી તેના મળ-મૂત્રના વ્યવસ્થાપનનો પ્રશ્ન તો રહેવાનો. અને મળમૂત્રનું ખાતર બનાવવા સિવાય તેના વ્યવસ્થાપનનો આનાથી વધુ સારો વિકલ્પ શો હોઈ શકે ?


    – નલિની નાવરેકર (મો.: ૭૫૮૮૩૧૬૧૩૭)


    સ્રોત સૌજન્ય: ભૂમિપુત્ર : ૧ જુલાઈ, ૨૦૨૪

  • બશીર બદ્ર – કુછ તો મજબૂરિયાં રહીં હોંગી, યું કોઈ બેવફા નહીં હોતા

    સંવાદિતા

    પ્રેમ અને સૌંદર્ય બશીર બદ્રની શાયરીમાં એ હદે ઓતપ્રોત છે કે એમને ‘ મહેબૂબ શાયર ‘ ના હુલામણા નામે સંબોધવામાં આવે છે.

    ભગવાન થાવરાણી

    જીવનની સંધ્યાના પણ સાંધ્યકાળમાંથી પસાર થઈ રહેલા ઉર્દુ શાયર બશીર બદ્ર નેવું વર્ષના થવા આવ્યા. એક જમાનામાં મુશાયરાઓની જાન અને શાન લેખાતા અને બુલંદ અવાજે તરન્નુમમાં પોતાની ગઝલોની રજુઆત કરતા બશીર સાહેબ હવે સાવ અસ્પષ્ટ શબ્દોમાં બેચાર શબ્દો મહામહેનતે માંડ ગણગણી શકે છે. એમની સ્મરણશક્તિ સાવ ધુંધળી બની ચુકી છે. એમની પોતાની ગઝલોનું પઠન કરીએ તો પણ એ રચનાઓનાં આછેરા પરિચયની ઝાંય એમના ચહેરા પર ફરકે અને તુરંત વિલીન થઈ જાય છે. માંડ સંભળાય અને સમજાય એવા શબ્દોમાં એ એમના આ જગપ્રસિદ્ધ શેરને દોહરાવતા રહે છે :

    ઉજાલે અપની યાદોં કે હમારે સાથ રહને દો
    ન જાને કિસ ગલી મેં ઝિંદગી કી શામ હો જાએ

    આ શેરની લોકપ્રિયતા એ હકીકતથી અંદાજી શકાય કે વિવિધ ભારતીના એક કાર્યક્રમનું નામ જ ‘ ઉજાલે ઉનકી યાદોં કે ‘ રાખવામાં આવ્યું છે !

    આપણી સંસદમાં અનેક સાંસદોએ કોઈક વાતના સંદર્ભમાં જો કોઈ શાયરના મહત્તમ શેર અવારનવાર ટાંક્યા હોય તો એ બશીર બદ્ર સાહેબના ! ૧૯૭૨માં ભારત – પાકના વડા પ્રધાનો વચ્ચે થયેલા સિમલા કરાર વખતે એમણે લખેલું :

    દુશ્મની જમ કર કરો લેકિન યે ગુંજાઈશ રહે
    જબ કભી હમ દોસ્ત હો જાએં તો શરમિંદા ન હોં..

    કિંવદંતી કે કહેવતનું સ્વરૂપ અખત્યાર કરી ચુકેલા જો કોઈ શાયરના સૌથી વધુ શેર હોય તો એ પણ ચચા ગાલિબ પછી બશીર સાહેબના. થોડાક નમૂના :

    બડે લોગોં સે મિલને મેં હમેશા ફાસલા રખના
    જહાં દરિયા સમંદર સે મિલા – દરિયા નહીં રહતા

    યહાં લિબાસ કી કીમત હૈ આદમી કી નહીં
    મુજે ગિલાસ બડે દે – શરાબ કમ કર દે..

    કોઈ હાથ ભી ન મિલાએગા જો ગલે મિલોગે તપાક સે
    યે નયે મિઝાજ કા શહર હૈ યહાં ફાસલે સે મિલા કરો

    તુમ્હેં જરૂર કોઈ ચાહતોં સે દેખેગા
    મગર વો આંખેં હમારી કહાં સે લાએગા

    ઘરોં પે નામ થે નામોં સે સાથ ઓહદે થે
    બહુત તલાશ કિયા કોઈ આદમી ન મિલા

    ૧૯૮૭ના મેરઠ રમખાણોમાં એમણે ઘર, પુસ્તકો અને એમની રચનાઓ સહિત સર્વસ્વ ગુમાવી દીધેલું, માનવતામાં વિશ્વાસ સિવાય ! પછી એ ભોપાલ આવી વસ્યા. એ વખતે એમણે લખેલું :

    લોગ ટૂટ જાતે હૈં એક ઘર બનાને મેં
    તુમ તરસ નહીં ખાતે બસ્તિયાં જલાને મેં

    એમના મતે ‘ જે દીપકની જેમ બળ્યો નથી એ કોઈ રીતે જીવનમાં ગુલાબની જેમ ખીલી શકે નહીં. ‘

    ૧૯૩૫માં ફૈઝાબાદમાં જન્મેલા બશીર સાહેબનું જન્મનું નામ હતું સૈયદ મોહમ્મદ બશીર. એમણે એમ એ પી એચ ડી અલીગઢ મુસ્લિમ યુનિવર્સીટીમાં કર્યું અને પછીથી ત્યાં જ અધ્યાપન કાર્ય પણ. એમણે મેરઠ યુનિવર્સીટીમાં પણ ભણાવ્યું. મધ્ય પ્રદેશ અને બિહાર ઉર્દુ અકાદમીના અધ્યક્ષપદે પણ રહ્યા. પદ્મશ્રી ઉપરાંત ઉર્દુ સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ એમને મળ્યો. એમની રચનાઓ ૨૦૧૫ની ‘ મસાન ‘ ફિલ્મમાં લેવામાં આવેલી. વિશાલ ભારદ્વાજની ફિલ્મ ‘ દેઢ ઈશ્કિયા ‘ ના પાત્રો એમના શેર ટાંકતા નજરે પડે છે. એમના કેટલાંક સંગ્રહોના નામ છે ઈકાઈ, ઈમેજ, આમદ, આહટ, કુલ્યાત-એ-બશીર બદ્ર વગેરે. સાહિત્યિક વિવેચનના બે ગ્રંથ ‘ આઝાદી કે બાદ ઉર્દુ ગઝલ કા તનકીદી મુતલા ‘ અને ‘ બીસવીં સદી મેં ગઝલ ‘ પણ એમણે સંપાદિત કર્યા છે.

    અન્ય કેટલાય શાયરોની જેમ ઉદાસી એમની પ્રિય જણસ છે પણ એમાં હતાશા નથી. કેટલાંક શેર :

    હમ તો કુછ દેર હંસ ભી લેતે હૈં
    દિલ હંમેશા ઉદાસ રહતા હૈ

    કભી કભી તો છલક પડતીં હૈં યૂં હી આંખેં
    ઉદાસ હોને કા કોઈ સબબ નહીં હોતા

    દુઆ કરો કે યે પૌધા હરા – હરા હી લગે
    ઉદાસિયોં મેં ભી ચેહરા ખિલા – ખિલા હી લગે

    આજ હમ સબ કે સાથ ખૂબ હંસે
    ઔર ફિર દેર તક ઉદાસ રહે

    ખુશ રહે યા બહુત ઉદાસ રહે
    ઝિંદગી તેરે આસપાસ રહે

    ઉદાસ આંખોં સે આંસૂ નહીં નિકલતે હૈં
    યે મોતિયોં કી તરહ સીપિયોં મેં પલતે હૈં

    બહુત દિનોં સે હૈ દિલ અપના ખાલી – ખાલી સા
    ખુશી નહીં તો ઉદાસી સે ભર ગએ હોતે

    ન ઉદાસ હો ન મલાલ કર, કિસી બાત કા ન ખયાલ કર
    કઈ સાલ બાદ મિલે હૈં હમ, તેરે નામ આજ કી શામ હૈ

    ઉપર જે અંતિમ શેર છે એ કામિલ છંદ કે બહરમાં છે. કામિલ બશીર સાહેબની પ્રિય બહર છે. એમની અનેક ગઝલો આ પ્રમાણમાં અઘરા કહેવાય એવા છંદમાં છે. પારિભાષિક લિપિમાં કામિલ એટલે
    ‘ લ લ ગા લ ગા, લ લ ગા લ ગા ‘. ગુજરાતી કવિતામાં એના ઉદાહરણ :

    દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી
    મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી

    – ગની દહીંવાલા

    આ ક્ષણો પછીથી નહીં રહે, ન સુવાસ ફોરશે શ્વાસમાં
    ચલો સંગ થોડુંક ચાલીએ, આ સમયના દીર્ઘ પ્રવાસમાં

    – ભગવતી કુમાર શર્મા

    મને ભાવની હો તલાશ તો, પછી ભવ્યતાનું હું શું કરું ?
    ઊભું સત્ય આવીને બારણે, હવે માન્યતાનું હું શું કરું ?

    – રઈશ મનિયાર

    ભલે જાય સૂર્ય કિરણ લઈ, તમે બાગથી ન જશો પ્રિયે
    હું તો રાતરાણીનું ફૂલ છું, તમે બસ સવાર સુધી રહો

    – ગૌરાંગ ઠાકર

    ફિલ્મી ગીતો ‘ મુજે તુમ સે કુછ ભી ન ચાહિયે ‘, ‘ યે હવા યે રાત યે ચાંદની ‘, તુજે ક્યા સુનાઉં મૈં દિલરુબા ‘, હૈ ઈસી મેં પ્યાર કી આબરુ ‘ વગેરે પણ આ બહરમાં છે.

    બશીર સાહેબે અનેક આખેઆખી ગઝલો આ ડોલાવી દેતી બહરમાં કહી છે. સમગ્ર ગઝલને બાકી રાખી આ બહરમાં એમણે રચેલી કેટલીક ગઝલના મતલા જોઈએ :

    યું હી બેસબબ ન ફિરા કરો, કોઈ શામ ઘર મેં રહા કરો
    વો ગઝલ કી સચ્ચી કિતાબ હૈ, ઉસે ચુપકે-ચુપકે પઢા કરો

    અભી ઈસ તરફ ન નિગાહ કર, મૈં ગઝલ કી પલકેં સંવાર લું
    મિરા લફ્ઝ-લફ્ઝ હો આઈના, તુજે આઈને મેં ઉતાર લું

    કહીં ચાંદ રાહોં મેં ખો ગયા, કહીં ચાંદની ભી ભટક ગઈ
    મૈં ચિરાગ વો ભી બુઝા હુઆ, મેરી રાત કૈસે ચમક ગઈ

    કભી યું ભી આ મેરી આંખ મેં, કે મેરી નઝર કો ખબર ન હો
    મુજે એક રાત નવાઝ દે, મગર ઈસ કે બાદ સહર ન હો

    હૈ અજીબ શહર કી ઝિંદગી, ન સફર રહા ન કયામ હૈ
    કહીં કારોબાર- સી દોપહર, કહીં બદમિજાઝ-સી શામ હૈ

    વહી તાજ હૈ વહી તખ્ત હૈ, વહી ઝહર હૈ વહી જામ હૈ
    યે વહી ખુદા કી ઝમીન હૈ, યે વહી બુતોં કા નિઝામ હૈ

    મેરે દિલ કી રાખ કુરેદ મત, ઈસે મુસ્કુરા કે હવા ન દે
    યે ચિરાગ ફિર ભી ચિરાગ હૈ, કહીં તેરા હાથ જલા ન દે

    સરે – રાહ કુછ ભી કહા નહીં, કભી ઉસ કે ઘર મૈં ગયા નહીં
    મૈં જનમ – જનમ સે ઉસી કા હું, ઉસે આજ તક યે પતા નહીં

    કોઈ ફૂલ ધૂપ કી પત્તિયોં મેં હરે રિબન સે બંધા હુઆ
    વો ગઝલ કા લહજા નયા – નયા, ન કહા હુઆ ન સુના હુઆ

    મેરી ઝિંદગી ભી મેરી નહીં, યે હઝાર ખાનોં મેં બંટ ગઈ
    મુજે એક મુઠ્ઠી ઝમીન દે, યે ઝમીન કિતની સિમટ ગઈ

    મેરે સાથ તુમ ભી દુઆ કરો, યું કિસી કે હક મેં બુરા ન હો
    કહીં ઔર હો ન યે હાદિસા, કોઈ રાસ્તે મેં જુદા ન હો

    કભી યું મિલે કોઈ મસ્લહત, કોઈ ખૌફ દિલ મેં જરા ન હો
    મુજે અપની કોઈ ખબર ન હો, તુજે અપના કોઈ પતા ન હો

    છેલ્લે કામિલ બહરમાં એમની એક સંપૂર્ણ ગઝલ –

    વો નહીં મિલા તો મલાલ ક્યા, જો ગુઝર ગયા સો ગુઝર ગયા
    ઉસે યાદ કર કે ન દિલ દુખા, જો ગુઝર ગયા સો ગુઝર ગયા

    ના ગિલા કિયા ના ખફા હુએ, યું હી રાસ્તે મેં જુદા હુએ
    ના તુ બેવફા ન મૈં બેવફા, જો ગુઝર ગયા સો ગુઝર ગયા

    તુજે ઐતબારો યકીં નહીં, નહીં દુનિયા ઈતની બુરી નહીં
    ના મલાલ કર મેરે સાથ આ, જો ગુઝર ગયા સો ગુઝર ગયા

    વો વફાએં થીં કે જફાએં થીં, યે ન સોચ કિસ કી ખતાએં થીં
    વો તેરા હૈ ઉસકો ગલે લગા, જો ગુઝર ગયા સો ગુઝર ગયા

    વો ગઝલ કી કોઈ કિતાબ થા, વો ગુલોં મેં એક ગુલાબ થા
    જરા દેર કા કોઈ ખ્વાબ થા, જો ગુઝર ગયા સો ગુઝર ગયા

    મુજે પતઝડોં કી કહાનિયાં, ન સુના સુના કે ઉદાસ કર
    તૂ ખિઝાં કા ફૂલ હૈ મુસ્કુરા, જો ગુઝર ગયા સો ગુઝર ગયા

    વો ઉદાસ ધૂપ સમેટ કર, કહીં વાદિયોં મેં ઉતર ચુકા
    ઉસે અબ ન દે મેરે દિલ સદા, જો ગુઝર ગયા સો ગુઝર ગયા

    યે સફર ભી કિતના તવીલ હૈ, યહાં વક્ત કિતના કલીલ હૈ
    કહાં લૌટ કર કોઈ આએગા, જો ગુઝર ગયા સો ગુઝર ગયા

    કોઈ ફર્ક શાહો ગદા નહીં, કિ યહાં કિસી કો બકા નહીં
    યે ઉજાડ મહલોં કી સુન સદા, જો ગુઝર ગયા સો ગુઝર ગયા..

    ( મલાલ = દુખ, તવીલ = દીર્ઘ, કલીલ = ઓછું, શાહો ગદા = ભિખારી અને રાજા, બકા = અમરત્વ )

    બશીર સાહેબના દીર્ઘાયુષ્યની પ્રાર્થના સાથે વિરમીએ.


    સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.


    સંપાદકીય નોંધ : આ સાથે ‘સંવાદિતા’ શ્રેણી અહીં સમાપ્ત થાય છે.

  • કાર્ટૂનકથા (૨૨)

    બીરેન કોઠારી

    આ શ્રેણીમાં માત્ર ‘સાહિત્ય’ના વિષયને કેન્‍દ્રમાં રાખીને ચીતરેલાં કાર્ટૂન મૂકવામાં આવે છે, જે વાર્તા સામયિક ‘વારેવા’માં અગાઉ પ્રકાશિત થઈ ચૂક્યાં છે.

    ‘વારેવા’ના   બાવીસમા અંકમાં આ કાર્ટૂન પ્રકાશિત થયાં હતાં.

    વાર્તાવ્યંગ્ય

    (વાર્તામાં, વાર્તાલેખનમાં રસ ધરાવનાર સૌ કોઈને આ વિશિષ્ટ સામયિકમાં રસ પડશે. તેના વિશે વધુ વિગતો તેની સાઈટ https://vareva.co.in/ પર જોઈ શકાશે).


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • ન્યાયની દેવીની પ્રતિમાનું ભારતીયકરણ અને ભારતમાં ન્યાય

    નિસબત

    ચંદુ મહેરિયા

    શું કહીશું એને? ન્યાયની દેવીની પ્રતિમાનું ભારતીયકરણ? નિવૃત વડા ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચૂડે સીજેઆઈ તરીકેના તેમના કાર્યકાળના અંતિમ દિવસોમાં ન્યાયની દેવીની મૂર્તિમાં ધરમૂળથી ફેરફાર કરી દીધા. તેથી ભારતના ન્યાયતંત્રમાં તેમણે કરેલા સુધારામાં એક નોંધપાત્ર ઉમેરણ થયું. સુપ્રીમ કોર્ટ પરિસરમાં અને દેશ-વિદેશમાં ન્યાયની દેવીની પ્રતિમા  સામાન્યત: પાશ્ચાત્ય પરિધાનમાં,  એક હાથમાં ત્રાજવું , બીજા હાથમાં તલવાર અને આંખે કાળી પટ્ટી ધારણ કરેલી જોવા મળે છે. પરંતુ સુપ્રીમ કોર્ટની જજીઝ લાઈબ્રેરીમાં મુકવામાં આવેલી શિલ્પી વિનોદ ગોસ્વામીએ તૈયાર કરેલી,  સાડા છ ફૂટની, સવા સો કિલો ગ્રામ વજનની અને ફાઈબર ગ્લાસની બનેલી ન્યાયની દેવીની મૂર્તિ ઘણી અલગ છે. આ લેડી જસ્ટિસની આંખે કાળી પટ્ટી નથી, હાથમાં ત્રાજવું છે પરંતુ બંને પલ્લાં સમાન છે. એક હાથમાં તલવારને બદલે ભારતનું બંધારણ  છે. વળી આ દેવીએ રોમન દેવીઓ જેવું ટ્યુનિક કે ગાઉન નહીં પણ ભારતીય મહિલાઓનો સર્વસામાન્ય પોશાક સાડી પરિધાન કરેલી છે. જાણે કે વિદેશી લેડી જસ્ટિસનું પૂર્ણ સ્વદેશીકરણ થયું છે.

    ભારતને ન્યાયવ્યવસ્થા અને  ન્યાયની દેવીની પ્રતિમા અંગ્રેજોની દેન છે. ભારતીય પરંપરામાં ન્યાયની દેવી જેવો કોઈ ખ્યાલ જ કદાચ નથી. ઝઘડાઓની પતાવટ માટે પંચ પરમેશ્વરનો વિચાર, આ જન્મના કર્મો આગલા જન્મમાં ભોગવવાની માન્યતા કે પછી રાજાઓ દ્વારા તોળાતો ન્યાય જ ભારતની ન્યાય પરંપરા હતી. તેમાં જહાંગીરના ઘંટ અને મીનળ દેવીના ન્યાયને સંભારાય છે. ન્યાયની દેવી સૌ પ્રથમ રોમન સભ્યતામાં જોવા મળે છે. તેને જસ્ટિટિયા કે જસ્ટિસિયા કહેવામાં આવે છે. દુનિયાના મોટાભાગના દેશોમા આજે જોવા મળતાં ન્યાયની દેવીના પૂતળાંઓનું મૂળ રોમમાં રહેલું છે.

    ન્યાયની દેવીની પ્રતિમા પ્રતીકાત્મક છે. યુરોપિય શૈલીના લેડી જસ્ટિસના સ્ટેચ્યુમાં ભલે દેવી અડવાણા પગે છે પરંતુ તે દેખાવમાં રુઆબદાર અને આક્રમક છે. તેના હાથમાં રહેલું ત્રાજવું સમાન ન્યાયનું પ્રતીક છે. ત્રાજવાના એક તરફ નમેલાં પલ્લાનો મતલબ જેની પાસે વધુ આધાર, પુરાવા, સાક્ષી તેની તરફ ન્યાય નમશે તેવો છે. બીજા હાથમાં તલવાર અર્થાત કોઈ પક્ષપાત વગર  નિષ્પક્ષ ન્યાય છે. દેવીની આંખે પટ્ટી eTaleએટલા માટે કે તે ન્યાય પ્રતિ આંધળા નથી પણ તે ગરીબ કે તવંગર , ફરિયાદી કે આરોપી, સૌને તેના જ્ઞાતિ, વર્ણ, ધર્મ કે લિંગના  ભેદ સિવાય સમાન અને યોગ્ય ન્યાય આપશે તેવો કરવાનો છે.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    સર્વોચ્ચ અદાલતના પુસ્તકાલયમાં ખુલ્લી મુકવામાં આવેલી લેડી જસ્ટિસની પ્રતિમામાં કેટલાક આમુલ પરિવર્તનો જોવા મળે છે. આ પ્રતિમાની દેવીનો ચહેરો આક્રમક કે રુઆબદારને બદલે સૌમ્ય છે. તેણે ગાઉન ને બદલે સાડી પહેરી છે. પ્રતિમાનો રંગ સફેદ છે. માથે મુગટ છે. આંખો ખુલ્લી છે. બંને પલ્લાં સમાન હોય તેવું ત્રાજવું હાથમાં છે. બીજા હાથમાં તલવારને બદલે સંવિધાન છે. આ ફેરફાર વિચારપૂર્વક કરવામાં આવ્યા છે. આંખો ખુલ્લી એટલે છે કે ન્યાય અને કાયદો આંધળા નથી. તે જે ન્યાય કરશે તે ભારતના બંધારણ અને તેની રુએ ઘડાયેલા કાયદાઓના આધારે કરશે. એટલે હાથમા બંધારણ રાખ્યું છે. અંગ્રેજોની ગુલામીના પ્રતીકો આઝાદ મુલ્કને ન શોભે તેથી અંગ્રેજ વારસાની પ્રતિમાના પ્રતીકો ફગાવીને તેનું ભારતીયકરણ કર્યું છે. એટલે દેવી પ્રતિમાએ સાડી પહેરી છે. ન્યાયની દેવીના પૂતળાનું નવસંસ્કરણ નવા પ્રતીકો અને નવા સંકેતો દર્શાવે છે. તેમાં ભારતીયતા અને ભારતીય ન્યાય વ્યવસ્થાના વિચારો દર્શાવવાનો પ્રયત્ન થયો છે.

    જસ્ટિસ ચંદ્રચૂડના આ પગલાંને સકારાત્મક પરિવર્તન ગણી તેને ભારે આવકાર મળ્યો છે. સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશને એ કારણે વાંધો લીધો છે કે વિરોધ કર્યો છે કે તેઓ ન્યાય વ્યવસ્થામાં સમાનરૂપે હિસ્સેદાર હોવા છતાં પ્રતિમા પરિવર્તન બાબતે તેમની સાથે કોઈ પરામર્શ કરવામાં આવ્યો નથી અને ચીફ જસ્ટિસે એકતરફી નિર્ણય કર્યો છે.

    ચોતરફના સ્વાગત અને અલ્પ વિરોધ વચ્ચે આ પ્રકારે પ્રતિમામાં અને પ્રતીકોમાં કે તેના અર્થઘટનોમાં ફેરફારથી ભારતની ન્યાય વ્યવસ્થાની વાસ્તવિકતામાં કોઈ પરિવર્તન આવ્યું છે કે આવશે ખરું તેવો સવાલ લાજમી છે. ન્યાયની દેવીને નારી રૂપે દર્શાવાતી હોય તો ભારતની ન્યાય વ્યવસ્થામાં મહિલાઓનું સ્થાન શું છે અને આટલા વરસોથી ન્યાયની દેવી નારીઓ તરફ કેમ વધુ ઝૂકતાં નથી તે પ્રશ્ન છે. ૧૯૮૯માં ફાતિમા બીબી દેશની સુપ્રીમ કોર્ટના પહેલાં  મહિલા જજ બન્યાં હતા. પરંતુ હજુ અર્ધી આબાદી તેના વસ્તીના ધોરણે પ્રતિનિધિત્વથી વંચિત જ છે. ૨૦૨૭માં જસ્ટિસ બી.વી. નાગરત્ના કદાચ પહેલા સીજેઆઈ બનશે ખરાં પણ અત્યાર સુધીમાં માડ ચાર ટકા જ મહિલાઓ સુપ્રીમ કોર્ટના  જજ બની શક્યાં છે. હાઈકોર્ટોના ૭૮૮ જજિસમાં ૧૦૭ કહેતાં ૧૩ ટકા જ મહિલા જજ છે. તો ન્યાયની દેવી નારીઓને ક્યારે ફળશે? આખા દેશમાં ૨૦ ટકા જ મહિલા વકીલો છે.  ગુજરાતમાં ૭૯,૭૯૨ પુરુષોની સામે ૨૭,૫૯૬ જ મહિલા વકીલો હોય અને ન્યાય ક્ષેત્રે પુરુષોનું આધિપત્ય હોય તો મહિલા પ્રતિનિધિત્વ ક્યારે એક સમાન થશે? તેનો કોઈ જવાબ નવીન ન્યાય પ્રતિમાથી મળતો નથી.

    આંધળા કે દેખતાં ન્યાયની દેવી સર્વજનને સરળ, સુલભ, સસ્તો અને સમયસર ન્યાય મળે તેવું ક્યારે કરશે? સંસદના વર્તમાન શીતકાલીન સત્રમાં રાજ્યસભા પ્રશ્નના જવાબમાં જાણવા મળ્યું કે ઓકટોબર ૨૦૨૪ની સ્થિતિએ સુપ્રીમ કોર્ટમાં ૨, હાઈકોર્ટસમાં ૩૬૦ અને ટ્રાયલ કોર્ટસમાં ૫,૦૦૦ કરતાં વધુ ન્યાયાધીશોની જગ્યાઓ ખાલી છે. વિલંબિત ન્યાય તો એ હદનો છે કે ૧૫ નવેમ્બર ૨૦૨૪ની સ્થિતિએ દેશમાં ૪.૫૩ કરોડ પડતર કેસો ન્યાયની ગુહાર લગાવીને અદાલતના આંગણે રાહ જોતાં બેઠાં છે.  પડતર કેસોમાં ૩.૪૫ કરોડ કેસો ક્રિમિનલ  છે. જો ન્યાયની આ સ્થિતિ હોય તો ન્યાયની દેવીમાં બદલાવનો કશો અર્થ ખરો?

    ન્યાય દેવીનું પ્રતિમા પરિવર્તન ત્યારે જ સાર્થક કહેવાય જ્યારે ન્યાય ત્વરિત અને સુલભ હોય.માત્ર પ્રતીકો બદલવાથી વાસ્તવિકતા બદલાતી નથી. ન્યાયની દેવીની મૂર્તિ કે તસ્વીરમાં પરિવર્તન ન્યાયમાં પર્યાપ્ત અને વાસ્તવિક પરિવર્તન લાવનારું હોવું જોઈએ. સરકારો ન્યાયતંત્રને જરૂરી વ્યવસ્થા સંપડાવે, ન્યાયાધીશોની જગ્યાઓ વેળાસર ભરાતી રહે, વકીલો તારીખ પે તારીખથી બચવા તેમના કેસનો પૂરો અભ્યાસ કરીને આવે અને તેનો સમયસર નિકાલ થાય તેની કાળજી રાખે તો પણ જૂના કે નવા ન્યાયની દેવીનું અદાલતમાં હોવું પ્રમાણ ગણાશે. આપણી અદાલતો ન્યાયની અદાલતો નથી પરંતુ પુરાવાની અદાલતો છે. જ્યારે તે પુરાવાની અદાલતો મટી ન્યાયની અદાલતો બનશે ત્યારે જ ન્યાયની દેવીનું અને બદલાયેલા પ્રતીકોનું હોવું સાર્થક ગણાશે.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ઇશ્વરના ઇ મેઇલ….૭

    તારું  સામર્થ્ય

    નીલમ  હરીશ દોશી

    ગાલિબને યહ કહ કર તોડ દી માલા,
    ગિન કર ક્યોં નામ લૂં ઉસકા, જો બેહિસાબ દેતા હૈ

    પ્રિય દોસ્ત,

    મારી પાસે આ વાત કરાય કે ને આ વાત ન કરાય એવો કોઇ સંકોચ રાખવાની જરૂર નથી.તું મોકળા મને મારી પાસે ઠલવાઇ શકે છે. તારા દિલની વાત સાંભળવા હું હમેશા તત્પર છું જ. જો તું મિત્રદાવે મારી પાસે ઠલવાઇને હળવો થવા ઇચ્છતો હો તો દોસ્ત, તારું સ્વાગત છે. અલબત્ત મિત્ર કંઇ  તારા દરેક પ્રશ્નને હલ કરી આપે એ જરૂરી નથી. એની પાસે કોઇ આશા રાખ્યા સિવાય બસ ઠલવાવાનું હોય.આમ મુકત મને  ઠલવાઇને હળવા થવાના ઠેકાણૂં મળે એ પણ કયાં ઓછું હોય છે ?

    દોસ્ત, તું આમ ઉદાસ રહે એ મને જરાયે ગમતું નથી. મને તો જોવો ગમે છે તારો પ્રસન્નતાથી છલક છલક થતો ચહેરો.

    દોસ્ત, તને માનવ જેવો અવતાર મળ્યો છે એનું મૂલ્ય રખે ઓછું આંકતો. પશુ પંખીને સુખ કે દુખ જે આવે તે ભોગવી લેવાના હોય છે, માનવીમાં એ તાકાત છે કે એ દુખને પણ સુખ બનાવી શકે. પ્રેમ એવો ચૈતન્ય સ્પર્શ છે જે શલ્યાને અહલ્યા બનાવી શકે. જરૂરી છે તારા ભીતરી સ્વરૂપને ઓળખવાનું. તું પોતે કદાચ તારા સાચા સ્વરૂપથી, તારી અંદરની શક્તિઓથી અજાણ છે. તારામાં છૂપાયેલા સામર્થ્યની તને પોતાની જ જાણ નથી. એને ઓછું આંકવાની ભૂલ ન કરીશ.

     દોસ્ત, અપાર શક્તિનો તું માલિક છે. એ વાત વિસર્યા સિવાય મહેનત કરતો રહીશ તો આનંદ, ખુશી તારાથી દૂર કદી રહી શકે નહી. આમ પણ આનંદ એ મારા  તરફથી માણસમાત્રને  પ્રાપ્ત થયેલો વિશેષાધિકાર..પ્રીવીલેજ છે. એ વિશેષાધિકારનો કેવી રીતે ઉપયોગ કરવો, કેમ પ્રાપ્ત કરવો એ જો આજ સુધી હજુ તું શીખ્યો ન હોય તો દોસ્ત, હજુ મોડું નથી થયું. કોઇ પણ નવી વાત શીખવા માટે કયારેય મોડું નથી હોતું.

    દોસ્ત, તારી પાસે અઢળક પૈસો હોય પણ  ઘરમાં આવેલો એ પૈસો  જો  આનંદમાં રૂપાંતરિત ન થવાનો હોય તો એની કીંમત કેટલી ?  આયખુ ઓછુ કરે કે ઉંઘ હરામ કરે તેવી કમાણીનો શો અર્થ હોઇ શકે એ મને તો સમજાતું નથી. દોસ્ત, પૈસો જરૂરી નથી એવું તો આજે હું પણ કહેતો નથી. આજે તો તેં મને પણ છપ્પનભોગની, નિતનવા સાજ શણગારની આદત પાડી દીધી છે ને ? આ તો જસ્ટ મજાક કરું છું. બાકી દોસ્ત, હું તો ઇચ્છું કે તું એ પૈસા મારા શણગારને બદલે કોઇ વધારે સારા કાર્યમાં વાપરે.

    લિ. તારો જ અલ્લાહ


    પ્રાર્થના એટલે  કોઇ ધર્મ, કોઇ નાત જાત, કોઇ સંપ્રદાય કે કોઇ અર્થના  વળગણ વિનાની મૌન ભાષા.

    જીવનનો હકાર..

    આજનો  દિવસ  સારો છે કે ખરાબ એનો આધાર આપણા પોતાના એટીટયુડ પર  છે.


    નીલમ  હરીશ દોશી : E mail: nilamhdoshi@gmail.com | બ્લોગ : પરમ સમીપે