સોરઠની  સોડમ

ડો. દિનેશ વૈષ્ણવ

સૌ જાણે છ એમ તાજેતરમાં ૨૦૧૯થી લઈને આશરે ત્રણેક વરસ કોવીડે દુનિયાની દસેય દિશાને અજગરી ભયડે લીધીતી. આના વિષે ઘણું લખાણું છ ને લખાશે એટલે હું જાજું ન લખતાં એટલું જ કહીસ કે આ રોગના ભોગે અગણિત પરિવાર વેરવિખેર બન્યા, મિત્રોએ મિત્રો ગુમાવ્યા, પાડોસીઓએ પાડોસીઓ ગુમાવ્યા ને જેને કોઈ કે કાંઈ ન ગુમાવ્યું ઈ બધા પણ મોઢે માસ્ક બાંધીને દી’રાત ફરતા થઇ ગ્યાતા. હા, માણસ હાંફતો નથી એટલે આ કાળમુખા રોગને હંફાવા એને જાતજાતની રસીઓ ને પેક્ષલોવીડ જેવી દવાઓ શોધી ને પરિણામે આજે કોવીડ ગરભાઈ ગ્યો છ પણ એનો ફડકો માણસમાત્રમાં પડી ગ્યો છ એની કોઈ દવા હજી નથી શોધાણી. બીજું, આ ખતરનાક રોગ માંથી હેમખેમ ને અડીખમ ઉગ્રી ગ્યા પછી મને એમ હતું કે “ઘીના ઠામમાં ઘી પડી જાસે” ને સૌ સારાંવાનાં થઇ જાસે પણ એવું સાવ તો હજી નથી થ્યું કારણ કે હું જોવું છું ને જીવું છું કે કોવીડ પૂર્વે જે ઘનિષ્ટ સબંધો હતા ઈ મને હવે લાંપડાં લાગે છ. મારી આ લાગણી સાચી છે કે નહીં એનો તાળો મેળવવા હું મારી નજરે ને મારી લેખણીએ પે’લાં “સબંધ” વિષે થોડું લખું ને ભવિષ્યમાં એના ઉપર કોવીડની અસર વિષે.

જમાનાથી જાણીયે છ કે માણસ એક સામાજિક પ્રાણી છે એટલે ઈ કોઈને કોઈ હારે જોડાયેલો હોય છે જેમ કે ગામની કે નામની ઓળખાણે, પરિવાર હારે, પાડોસ હારે, મિત્ર હારે, વ. બીજું, દરેક જોડાણમાં સબંધ હોય એવું અનિવાર્ય નથી કારણ કે મારી નજરે એકાબીજાની પરસ્પર સમજ અને એમાંથી સમયે ઉદ્દભવતી સ્નેહની ગાંઠે જે સહબંધન થાય એનો અપભ્રંશ ઈ જ “સબંધ.” ઈ ટકાવા માટે પરસ્પર સમજાવાની નહીં પણ મોકળા અને પ્રમાણિક મને સામાને સમજવાની જરૂર છે. ત્રીજું, સંબંધમાં જે એકાબીજાને જરૂરિયાતે ક્યાંક પણ કે’છ ઈ ભલા માટે જ કે’છ ઈ વિશ્વાસ હોવો જરૂરી છે. શ્રી.શાહબુદ્દીન રાઠોડ કયાંક આમ કે’છ કે “આઈ (હું) ઇઝ ઓલ્વેઝ કેપિટલ ને ઈ બે વચ્ચે દીવાલની જેમ ઉભો હોય પણ જો એને આડો પાડી દયો, અર્થાત “હું પણા”ને સુવાડી દયો, તો ઈ જ આઈ સામાના દિલ સુધી પોંચવાનો સીધો અને સરળ રસ્તો બની જાય છ.” ટુંકમાં, સંબંધના બીજને પાંગરવાનું ખાતર પરસ્પર સમજ, લાગણી અને અહમની હવનમાં આહૂતિ છે.

અગાઉ કીધા પ્રમાણે માણસને વિવિધ પ્રકારનાં જોડાણો હોય સકે ને એમાંથી પારિવારિક જોડાણ સિવાય દરેક વ્યક્તિ પોતાની પસંદે સામા હારે જોડાય છે. બીજું, આવા જોડાણની ચણોઠીએ જોખ પછી જ સમયે હું જેને સબંધ ગણું છું એનાથી વ્યક્તિ બંધાય છે બાકી ઈ જોડાણે જ અટકી જાય છે. એક જમાને ગામની કે નામની ઓળખાણ આમાંથી મહત્વની હતી; દા.ત., મારા મોટા મામા ૧૯૫૦ના અરસેથી અમદાવાદમાં સફળ ને સુખી દાક્તર હતા. ઈ જમાને અમારા વતન જૂનાગઢથી મેડિકલના અભ્યાસ માટે કેટલાક વિદ્યાર્થી અમદાવાદ જાતા ને ઈ દર રવિવારે ને વારતે’વારે “મેસ” બંધ હોય એટલે જૂનાગઢની ઓળખાણે મારા મામાને ઘેર જમવા જાતા. મામામામીને એનું ગૌરવ હતું કે “આ સૌ પ્રેમ છે તો જમવા આવે છ.” મારા મોસાળમાં હજી પણ આ શિરસ્તો નાનામોટા અંશે જીવિત છે.

અમે પણ ગામડાંઓમાં હતા યાં અમારે ઘેર જૂનાગઢની ઓળખાણે લોકો ગામડાનો આનંદ માણવા કે સિંહ દર્શને અમારે ઘેર ઉતારતા ને મોજથી રે’તા. ઈ જ રીતે જૂનાગઢથી નોકરી અર્થે આવેલા લોકો પોતાનો રૂમ રાખીને રે’તા પણ જમવા અમારે ઘેર આવતા. આ ઉપરાંત અધિકારીઓ ઇન્સ્પેકશન માટે આવે ઈ પણ લાંબા અરસા સુધી અમારા મે’માન થાતા. આ બધાનો મારાં માંપપ્પાને પણ આનંદ હતો કે “માણસને ઘેર માણસ આવે બાકી લોભિયાને ઘેર ઘૂતારોયે ન જાય.”

નામની ઓળખાણનો તો મારો જ દાખલો છે: નવસારીના મિસ્ત્રી પરિવારનો એક દીકરો – કે જેને હું ફક્ત નામથી જ ઓળખતો – ઈ ૧૯૫૦ના દસકે મારા મોટાભાઇનો વિદ્યાનગર હોસ્ટેલમાં રૂમ પાર્ટનર હતો. ત્યાર બાદ ફક્ત ઈ નામના જ આધારે હું જયારે ૧૯૬૭માં નવસારી ભણવા ગ્યો ત્યારે “દિગી સ્ટ્રીટ”માં ઈ મિસ્ત્રી પરિવાર હારે બેએક અઠવાડિયાં રયોતો ને પછી હોસ્ટેલમાં રે’વા ગ્યોતો. મારી નવસારીની રોકત દરમ્યાન પણ આ પરિવાર હારે મારે સારો નાતો હતો. અલબત્ત, આવાં ગામ ને નામના જોડાણોમાંથી ભાગ્યે જ સબંધ ઉગે છે પણ અમુક જોડાણો લાંબા વખત લગી જીવિત જરૂર રે’છે. મને ખાત્રી છે કે આવાં ઉદાહરણો સૌના ઘરમાં હશે કારણ કે ઈ જમાને નાયલોની નહીં પણ પાણકોરી જોડાણો હતાં.

પારિવારિક જોડાણમાં માણસને પસંદગી નથી કારણ કે ઈ તો એના જનમ હારે જન્મે છે ને મરણ પછી પણ વ્યક્તિના નામથી તો ઈ જીવે જ છે; જેમ કે મેંદરડામાં મેં નંદાભાઈને કે’તા સાંભળ્યાતા કે “બ્રાહ્મણ શેરી” વાળા હકાબાપા દસેક વરસ પે’લાં જે બીમારીમાં ઉકલી ગ્યા ઈ જ બીમારી એના સાળાનાં સાળાવેલી હિંગળાજબેનને પણ છે એમ હસમુખભાઈ વૈદ કે”તાતા.” મારો જાત અનુભવ છે કે મરણોત્તર યાદ કરાતું કૌટુંબિક જોડાણ માણસની હૈયાતીમાં નિભાવું જાજું કપરું છે કારણ કે આ જોડાણમાં પરસ્પર અપેક્ષા જાજી, ને ઘણી વાર ખોટી, હોય છે ને એટલે બાંધછોડ પણ ઓછી હોય છે. કૌટુંબિક સાંધા નબળા પડવાનાં પણ ઘણા કારણો છે જેમાંના થોડાંક નીચે મુજબ છે;

સંયુક્ત કુટુંબમાં વધુ દેખાતું એક કારણ ઈ કે ઘણા વડીલો પોતાને હમેશાં અનુભવી ને સાચા જ સમજે છે તો ઉંમરે નાના એમ માનતા હોય છે કે વડીલ આજની દુનિયા ને વખતથી પાછળ છે, એને વાત નહીં સમજાય ને સમજાસે તો પણ સ્વીકારશે નહીં. પે’લાના જમાને વડીલો અને એની બીજીત્રીજી પેઢીએ આવો વિચારભેદ હતો ને એનું કારણ કદાચ ઈ હોય શકે કે ત્યારે વડીલોને સાચીખોટી પણ ઈ બીક હતી કે ઉંમરે નાનાં એવી ભયંકર ભૂલ કરશે કે જેની સંપતિએ કે સમાજમાં કિંમત ચૂકવવી મોંઘી પડશે. હવે “અમે બે ને અમારાં બે”નો પરિવાર થઇ ગ્યો છ ને આજના વડીલો એનાં બાળકો કરતાં આ ભેદ દૂર કરવા વધુ પયત્નશીલ છે એટલે મહદંશે આ ઘૂંચ ઉકલી ગઈ છે.

આપણા સૌનો અનુભવ ઈ પણ છે કે પરિવારમાં ગંભીર વીચારભેદ ન હોય ને જોડાણ પણ સારું હોય તો પણ કુટુંબનો એકાદ બાધોડકો સભ્ય “મને કેમ ન પૂછ્યું,” “મને કેમ ન જણાવ્યું” કે “મારા વગર ઈ કેમ કર્યું” એવો એકાદ સામાની પરિસ્થિતિ સમજ્યા વિના બેવજૂદ પૂર્વગ્રહ બાંધીને બેઠો હોય. પછી ઈ માણસ વખતોવખત પરિવારના સારાનરસા કામમાં આડો આવે એટલું જ નહીં પણ મેં જોયું છે એમ એના અહમના અંધાપે પરિવાર હારે જોડાણ પણ તોડી નાખે. તો બીજી કોર કુટુંબમાં કોક વળી એવા પણ અકોણા હોય કે જે કૌટુંબકી જોડાણ તોડે નહીં પણ એને તાગે. એક લગ્નપ્રસંગે હું સાક્ષી હતો કે સિત્તેરેક વરસની વરની ફઈ જાનની બસમાં ન બેઠી કારણ કે એને એનો વર – કે જે એની પાડોસણ હારે ભાગ્યોતો ઈ – પેલીવાર બાર વરસે જાન ઉપાડવા ટાણે યાદ આવ્યોતો. પછી ઘરના ડાહ્યા વડીલે ઈ ફઈની સામે પાઘડી પાથરીને કાગલૂદી કરીને સમજાવી એટલે ઈ દોડીને સૌથી મોર બસમાં બેસી ગઈ ને એની સીટે મુકેલ નાસ્તાનું પડીકું અરધોઅરધ ખાય ને ડોબું ધરાય એટલું માથે પાણી પી ગઈ. મારાં માંના મોસાળપક્ષે જયારે ક્યાંક સારો અવસર હોય ત્યારે એક વિઘ્નસંતોષી વડીલ બેન વાય ખાઈને જમીને પડતાં ને પછી એને સુકા મેવા યુક્ત કઢેલ દૂધનો કળશો પાવ એટલે સાજાંનરવાં થઇ જાતાં.

કૌટુંબિક જોડાણમાં હું ઈ પણ જોવું છું ને ખુદ જીવ્યો પણ છું કે પરિવારમાં કેટલાક લોકો જ્યાં લગી એનો સ્વાર્થ ન સરે યાં લગી વ્યક્તિને પૂજે ને કામ પતી જાય પછી આ સ્વાર્થનાં સગાં ઈ જ વ્યક્તિની અવગણના કરે. હું ઓળખું છ ઈ બે ભણેલગણેલ ભાઈઓ – કે જે જનમથી એક છાપરા હેઠે રે’તા ને એક રસોડે જમતા – બાકસની સળી ગણીને એક જ ઘરના આંગણામાં નોખા થ્યાતા. એના બાપ ગુજરી ગ્યા પછી આ બે ભાઈઓએ એકબીજાને વાંસા અઢેલીને લૌકિક ક્રિયા પણ કરેલ. સાંભળવા મુજબ આ અણબનાવના કારણમાં નાના ભાઈએ મોટા ભાઈની ભલમનસાઈનો લાંબા સમય સુધી લાભ લીધો ને મોટાભાઈની જરૂરિયાતે નાનો ભાઈ “તું કોણ ને હું કોણ” એમ કહીને ખસી ગ્યોતો.

પૈસાની લાલચ પણ પરિવારની એકતા વીંખી નાખે છે. આનું એક જ ઉદાહરણ ઈ કે હું એક પરિવારને ઓળખું છ કે જેમાં સંસ્કારી પણ સામાન્ય આર્થિક સ્થિતિનાં માબાપે છ દીકરી ને સાત દીકરાનો બોહળો સંસાર ઉજ઼ેર્યો. ભાઈઓએ વારાફરતી નાનીમોટી લોનો લઈને ને પી.એફ.ની રકમ ઉપાડીને બધી બેનોને પરણાવી ને પરણ્યા પછીનો વરસો સુધી માંબાપ વતી બેનોનો વ્યવહાર સાચવ્યો. માંબાપના દેહાંત બાદ નાના ઘરમાં પાંચ ફુટ જમીનના કટકા સારુ પૈસેટકે સૌથી સુખી ને તવંગર બેને કોર્ટકચેરી કરી ને બધા ભાઈઓ ને બાકીની બેનો હારે સંધાણ તોડી નાખ્યું. હાલમાં તો એમાંથી કેટલાક ભાઈઓ હૈયાત પણ નથી ને ઈ બેન પણ વિધવા થઇ ગઈ છ પણ ઈ કેસનો નિવેડો હજી લગી નથી આવ્યો.

ટૂંકમાં, કૌટુંબિક જોડાણો કાચી માટીના ચૂલા છે. ઈ વિવિધ કારણોસર તૂટી જાય છે કે ડચકાં ભરતાં જીવતાં હોય છ ને છત્તાં એને મનેકમને નિભાવાં પણ પડતાં હોય છે. મારો જાત અનુભવ છે કે આવાં મરવાના વાંકે ઢસડાતાં જોડાણોમાં જો સમજુ માણસ મોટું મન ને દિલ રાખી ભૂતકાળ ભુલીને ઊંચી પગથારે હાલે, અર્થાત “હાઈ રોડ લે,” તો ઈ જોડાણને થોડોક પ્રાણવાયુ મળે છ, એને થીગડું મારી સકાય પણ એમાંથી સમયે સબંધ બંધાવાની શક્યતા ઓછી છે કારણ કે “મન, મોતી ને કાચ ઈ ત્રણ ભાંગ્યા સંધાય નહીં. અલબત્ત, સાચાંખોટાં કારણોસર વિકલાંગ પારિવારિક જોડાણો સામે પેઢીદરપેઢી સ્વાસ્થ્યમય, સ્વ્સ્થ, સરળ, સધ્ધર ને સમૃદ્ધ કૌટુંબિક જોડાણ પણ હું જોવું છું, જીવું છું ને એમાંથી હું જેને સબંધ ગણું છ એમાં પણ હું અતૂટ તાણેવાણે થોડા હારે બંધાયેલ છું. આવા જોડાણમાંથી જનમતા સબંધના પણ વિવિધ કારણો છે પણ અમારા સંબંધનું એક કારણ ઈ કે અમારા પરદાદા ને માંબાપે અમને સૌને બાળપણથી જ મોકેમોકે હારે મોટા કર્યાં ને સારીનરસી પળોમાં પરસ્પર સમજવાની તક આપી કે જે હજી પણ અમારામાં જીવિત છે, ધબકે છે.

હું પસંદગીથી થાતા પતિપત્ની વચ્ચેના જોડાણ ને એમાંથી ઉદ્દભવતા સબંધ વિષે આજ કાંઈ નથી લખતો કારણ કે ઈ એક ગહન વિષય છે ને એને અલગ ન્યાય આપવો ઉચિત્ત છે. હાલમાં હું એટલું જ કહીશ કે આ સબંધ એક દસકાનો હોય કે અમારી જેમ પાંચ દસકાનો પણ એને અતૂટ તાંતણે બાંઘીને મઘમઘતી ફોરમે નિભાવો ઈ કેસરના ગોટલા માંથી આંબો ઉગાડી ને એની શાખની કે લોટણ કેસર ખાવા જેટલું ધીરજ, સમજ, સંયમ, કાળજી ને ખંતનું કામ છે. જે દંપતી આમાં અફળ જાય છે, છૂટું પડે છે કે છોકરાંઓ, માબાપ કે સમાજ ખાતર જોડાણે જીવે જાય છે ઈ દામ્પત્ય જીવનને હું એળે ગ્યું ગણું છું.

છેલ્લે, હું જેને સબંધ ગણું છું એના તારવણા રૂપે — સંબંધ ક્યારેય સીધી લીટીમાં નથી હાલતો ને ચડાવઉતાર એની ફિતરત છે. સંબંધને બાંધવાનાં કારણો નથી હોતાં પણ એને તૂટવાનાં ઘણાં હોય છે. સંબંધ ટકાવવા માટે દરેક માણસે યથાશક્તિ પ્રમાણિક પ્રયાસ કરવો જોયેં પણ એમાં સંજોગે કોકની શારીરિક, માનસિક કે આર્થિક જવાબદારી વધુ હોય તો એની ગણત્રી ન કરવી. સંબંધ જાળવવા ક્યારેક એકે જાતું કરવું પડે તો અહંમ છાંડીને જાતું કરી દેવું. સંબંધને ધબકતો ને સદાબા’ર ખીલતો રાખવા સામાને સમજાવા કરતાં એને સમજવા પ્રયત્ન કરવો કારણ કે પાંગરતા સબંધમાં જ “સ્નેહ વધે ને સ્નેહ વધે તો સુખ, શાંતિ, સંતોષ વધે ને બધું વધતવધત થઇ જાય.”


ડૉ. દિનેશ વૈશ્નવનો સંપર્ક sribaba48@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.