બીરેન કોઠારી
ભારતીય લઘુચિત્રોની શૈલીથી આપણામાંના મોટા ભાગના પરિચીત હશે, કેમ કે, દરેકને ઘેર કોઈક ને કોઈક રીતે એવું એકાદું ચિત્ર હશે જ. લઘુચિત્રોમાં મોગલ, મેવાડ, કાંગડા જેવી વિવિધ શૈલીઓ પ્રચલિત હતી. યુરોપિયન ચિત્રકળાથી વિપરીત એ સપાટ (Flat), પરિપ્રેક્ષ્ય (perspective)ના અભાવવાળી, છાયાપ્રકાશની રમત વિનાની રહેતી. તેમાં ઝીણવટનું મહત્ત્વ ઘણું હતું. માનો કે ચંપાનું કે નાળિયેરીનું ઝાડ હોય તો એનાં એકે એક પાનની નસોનું ચિત્રણ કરાયું હોય. મકાનનું ચિત્ર હોય તો એ આર્કિટેક્ચરની રીતે ખોટું ચિતરાયેલું હોઈ શકે, પણ એની જાળીઓ-દરવાજા વગેરેની ભાત એકદમ બારીકીથી ચીતરાયેલી હોય. તેમાં પ્રાકૃતિક તત્ત્વો- પશુ, પક્ષી, વનરાજી-નો ઉપયોગ છૂટથી કરાતો. વાસ્તવદર્શી ચિત્રકળાના સામાન્ય નિયમ અનુસાર નજીકની વસ્તુ મોટી અને ઘેરી જણાય, અને દૂરની વસ્તુ નાની અને આછી, પણ લઘુચિત્રોમાં આ નિયમ સામાન્યપણે જોવા મળતો નહીં. લઘુચિત્રોની બીજી વિશેષતા એ હતી કે એમાં માનવાકૃતિઓનું કદ બહુ મોટું નહોતું. કેમ કે, એમાં મહત્ત્વ વ્યક્તિની સાથેસાથે આસપાસના વાતાવરણનું પણ રહેતું. તદુપરાંત તેમાં દર્શાવાતા ચહેરા મોટે ભાગે પ્રોફાઈલ (પડખે દોરાયેલા)માં રહેતા, જ્યારે શરીરનો અગ્ર ભાગ દોરવામાં આવતો. અહીં મેવાડ શૈલીનું એક લઘુચિત્ર લાક્ષણિક લઘુચિત્ર કેવું હોય એનો ખ્યાલ આપવા માટે મૂક્યું છે.

ભગવાન શ્રીકૃષ્ણના જીવનના વિવિધ પ્રસંગો લગભગ દરેક લઘુચિત્રશૈલીમાં જોવા મળે છે. એ ઉપરાંત મોગલ શાસકોનાં ચિત્રો પણ આ શૈલીમાં જોઈ શકાય છે.
ભૂપેન ખખ્ખરે સાઠના દાયકાના મધ્યમાં ગુલામ મોહમ્મદ શેખ સાથે રાજસ્થાનમાં-કોટા-બુંદી-ઉદેપુર-નાથદ્વારાનો પ્રવાસ કર્યો. એ પછી તેઓ ચંડીગઢના મ્યુઝિયમમાં પણ ગયા. અનેક અનેક લઘુચિત્રો તેમની નજર તળેથી પસાર થયા. એ પછી સહજપણે તેમનાં ચિત્રોમાં લઘુચિત્રશૈલીનો પ્રવેશ થયો.
પોતાની કળાયાત્રાનો આરંભ ભૂપેને કોલાજથી કરેલો. (જેના વિશે અગાઉની પોસ્ટમાં લખાયું છે) એ યાત્રાના આગળના તબક્કામાં તેમણે લઘુચિત્રોની શૈલી અપનાવી.
એટલે એમાં વિષયો આધુનિક હોય, વાતાવરણ પણ પ્રવર્તમાન હોય, પણ શૈલી લઘુચિત્રોની. ભૂપેને બનાવેલાં ચિત્રો જોવાથી ખ્યાલ આવશે કે તેમણે આ શૈલીનો ઉપયોગ શી રીતે કર્યો.
આગળ જતાં ભૂપેનની શૈલીમાં પરિવર્તન આવતું ગયું, છતાં લઘુચિત્રશૈલીની કેટલીક બાબતો તેમનાં ચિત્રોમાં દેખાતી રહી.






[ભૂપેન ખખ્ખરની સળંગસૂત્રી જીવનકથા ‘ભૂપેન ખખ્ખર (આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત, પદ્મશ્રી સન્માનથી વિભૂષિત ચિત્રકારના જીવનરંગોની ઝલક)’ લેખન-સંપાદન: બીરેન કોઠારી, પુસ્તકની કિંમત 450/, પૃષ્ઠસંખ્યા: 296, પુસ્તક મંગાવવા માટે સંપર્ક: કાર્તિક શાહ 98252 90796]
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

GOD”S GIFT>
LikeLike