વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • શિપ ઓફ થિસિયસ – ‘હું કોણ’નું દાર્શનિક વિવેચન

    દીપક ધોળકિયા

    સ્નેહી શ્રી ભગવાનભાઈ,

    વેબગુર્જરી પર તમારો ‘શિપ ઑફ થિસિયસ’ વિશેનો લેખ, શિપ ઓફ થિસિયસ – આપણી અસલિયતની ઓળખ, વાંચ્યો તે જ ઘડીથી આ વિષય પર લખવા મગતો હતો પણ એક યા બીજા કારણસર મુલતવી થતું ગયું.  આ વિષય ગહન છે અને ફિલ્મમાં કેટલાય પ્રશ્નો છે. તમે સંક્ષેપમાં  – પણ બરાબર – ન્યાય આપ્યો છે.  એક સ્પષ્ટતા કરી દઉં. આ ‘શિપ ઑફ થિસિયસ’ પાછળના દર્શન વિશે સ્વતંત્ર લેખ છે. તમારો લેખ નિમિત્ત બન્યો છે એટલે આભારની લાગણી વ્યક્ત કરવા આ લેખ તમને અર્પણ કરું છું.

    મૂળ સવાલ એ છે કે આપણી અંદર બધું બદલાઈ જાય તો આપણે ‘આપણે’ રહીએ?  અથવા બધાં અંગોના સમુચ્ચય સિવાય આપણામાં એવું શું છે જે આ સમુચ્ચયની ઉપર છે અને પોતાને ‘હું’ તરીકે ઓળખે છે અને બધાં અંગોને પોતાનાં અંગો તરીકે ઓળખાવે છે – મારો હાથ, મારું શરીર, મારું મન. આમ બોલનાર કોણ? કંઈક આવી જ એક પાકિસ્તાની વાર્તાનો મારો અનુવાદ વેબગુર્જરી અને ‘મારી બારી’ પર હતો, ૨૦૧૪માં આ અનુવાદ, નર-નારી[1], પ્રકાશિત થયો હતો.

    આ જટિલ સવાલના જવાબ ઘણા છે. શિપ ઑફ થિસિયસ વિશેની ચર્ચા આ દૃષ્ટિએ દાર્શનિક છે અને એમાંથી “‘હું’ કોણ?” જેવા સવાલોના જવાબ શોધવાના પ્રયાસ થાય છે.  તરત મનમાં આવે તેવો જવાબ એ છે કે ‘હું’ એટલે આત્મા. અને આપણે મૂળ આત્મા છીએ એટલે શરીરના સ્વામી તરીકે બોલીએ છીએ. મોટા ભાગે તો એના  આવા જવાબ તરત મળે છે, પણ મારી સમજ થોડી જુદી છે.

    “આપણે બદલાઈ જઈએ છીએ અને બીજી વ્યક્તિ છીએ” અથવા આપણે આત્મા છીએ – એવા જવાબોમાં હું નથી પડતો. શિપમાં બધું બદલાઈ ગયું તો પણ લોકોની નજરે એ થિસિયસનું જ શિપ રહ્યું.  મને તો એ જ મોટી ઘટના લાગે છે કે લોકો આમ શા માટે માનતા રહ્યા? એનાં કોઈ કારણ છે? આવું કેમ બને છે એમાં મને વધારે રસ છે.

    એ શિપ તદ્દન બદલાઈ ગયું હોવા છતાં કોણ એને થિસિયસનું શિપ જ માનતા હતા? જવાબ સહેલો છે. શહેરવાસીઓની સ્મૃતિમાં એ થિસિયસનું શિપ રહ્યું. એટલે જ, મારો ખ્યાલ છે કે મૂળ સવાલ એ નથી કે એને થિસિયસનું શિપ કહેવાય કે નહીં; મૂળ સવાલ એ છે કે એને થિસિયસનું શિપ માનતા રહેવા માટે લોકોને કયું પરિબળ પ્રેરિત કરતું હતું? જવાબ છે – એમની સ્મૃતિ. સ્મૃતિ દૈનિક અનુભવો, પરંપરાઓ અને માન્યતાઓ જેવી સૂક્ષ્મ ઘટનાઓના સંગ્રહમાંથી આકાર લે છે. સ્મૃતિ વારસામાં પણ મળે છે, જેને આપણે ‘ઇતિહાસ’ કહીએ છીએ.

    હવે આપણે આ વાતને ફિલોસોફીમાં લઈ જઈએ, જે શિપ ઑફ થિસિયસની મૂળ કથા (માત્ર ફિલ્મ નહીં)નો  ઉદ્દેશ એ જ છે. હું તદ્દન બદલાઈ ગયો તેમ છતાં હું મારા ભૂતકાળ અને વર્તમાનને કેમ એક નિરંતર ‘હું’ તરીકે ઓળખી શકું છું? અહીં પણ હું કહીશ કે હું બદલાઈ ગયો હોવા છતાં સ્મૃતિને જ કારણે મારી જાતને ‘હું’ તરીકે જ જોઉં છું, જેવું શિપ ઑફ થિસિયસ વિશે છે. હું ભૂત કે વર્તમાનનો ભેદ કરતો નથી. હું મારા ગઈકાલના ‘હું’ને ઓળખું છું. એ ‘હું’ તરીકેની મારી સ્મૃતિ આજે પણ ટકી રહી છે. બદલાવા માટે ધડ અને માથાને અલગ કરવાની જરૂર નથી. હું જીવતો જાગતો ‘શિપ ઑફ થિસિયસ’ છું. શૈશવ, કૈશોર્ય, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા મેં અનુભવી છે અને દરેક અવસ્થામાં હું એવો બદલાયો છું કે એનાથી પહેલાંની અવસ્થા કે અવસ્થાઓમાં હું જે હતો તેની સાથે કશી જ લેવાદેવા નથી રહી. તેમ છતાં મારી સ્મૃતિ મને પાછલી બધી અવસ્થાઓ સાથે જોડી રાખે છે. “હું કરું છું” હવે “મેં કર્યું” માં પરિવર્તિત થઈ જાય છે પણ ‘હું’ વ્યાકરણના નવા રૂપે હાજર રહે છે.

    બીજું ઉદાહરણ લઈએ. આજે હું મારો બાળપણનો ફોટો જોઉં છું તો પણ હું એને ઓળખી લઉં છું કે આ હું છું. આમ જુઓ તો એ ફોટાનો ‘હું’ મારા આજના ‘હું’ કરતાં એટલો જુદો છે કે ઓળખી લેવાને માટે કોઈ કારણ નથી. આમ તો આપણે અરીસાની મદદ વિના કોઈ પણ અવસ્થામાં આપણો પોતાનો ચહેરો જોઈ શકતા નથી, તો આપણા ચહેરાને ઓળખી કેમ જઈએ છીએ?  ખાસ કરીને સાત વર્ષના બાળકનો ચહેરો સિત્તેર વર્ષના જઈફ્ના ચહેરા કરતાં જુદો જ છે. વાત એમ છે કે આપણે ચાર-પાંચ વર્ષની ઉંમરે અરીસામાં જોઈને પોતાના ચહેરાને ઓળખતા થઈ જઈએ છીએ. એ આપણી સ્મૃતિમાં જડાઈ જાય છે એટલે ફોટો જોતાં એ સ્મૃતિ ઓળખાણમાં મદદ કરે છે. મારી સ્મૃતિ ‘હું’ રૂપે સતત મારી સાથે રહી છે. આવી સામુદાયિક સ્મૃતિએ જ શિપ ઑફ થિસિયસને ‘શિપ ઑફ થિસિયસ’ રહેવા દીધું. આપણી સાથે પણ એવું જ થાય છે.

    આમ છતાં આપણી ભૂતકાળની અવસ્થાથી કપાઈ ગયા હોઈએ છીએ. શિક્ષકે તમને ફુટપટ્ટીથી માર માર્યો હોય ત્યારે તમારા  એ ‘હું’ એ બહુ દુઃખ અનુભવ્યું હોય પણ એ ઘટનાની આજે વાત કરતી વખતે તમારો આજનો ‘હું’ એના પ્રત્યે તટસ્થ થઈને બોલી શકે છે, અથવા હસવાની વાત હોય તેમ બોલશે. એ વખતના દુઃખથી તમે કપાઈ ગયા છો. ફુટપટ્ટી મારનાર શિક્ષકનો ચહેરો યાદ આવી જશે તો પણ એ વખતની લાગણીઓ પેદા નહીં થાય. એનો અર્થ એ કે એ વખતનો ‘હું’ હવે નથી રહ્યો, આપણો આજનો ‘હું’ જુદો છે. આત્મા બદલાય ખરો? આ જ કારણે ‘હું’ આત્મા નથી, સ્મૃતિ છે.  એ આ જ શરીરમાં ગોઠવાયેલા મગજની કલા છે.

    મારો દાવો સાચો હોય તો એ સવાલ તો ઊભો જ રહે છે કે, આ સ્મૃતિને ‘હું’ તરીકે શા માટે ઓળખીએ છીએ? કોઈને એમ થાય કે સ્મૃતિને ‘હું’ તરીકે ઓળખાવવાનો મારો પ્રયાસ કાચો છે કારણ કે સ્મૃતિ સિવાયનાં કાર્યોમાં પણ ‘હું’ નું અસ્તિત્વ હોય છે. સવાલ વાજબી છે અને મારે એનો જવાબ આપવો જોઈએ.

    આપણે દરેક જણ પોતાને ‘હું’ તરીકે ઓળખીએ છીએ. એ જ રીતે ‘અમે’ અને ‘આપણે’ તરીકે પણ ઓળખીએ છીએ. ‘હું’ સર્વનામ છે એટલે એ એક જગ્યાએ ચોટીને ન રહે. જેને ઠીક લાગે તે એનો ઉપયોગ કરી શકે. પણ ‘હું’  પ્રકૃતિમાં માત્ર માનવસમાજના એક જ એકમ દ્વારા પોતાની અસ્મિતાની જાહેરાત તરીકે વપરાય છે અને એ એકમ પોતાની આગવી સામુદાયિક પરંપરાઓ અને સ્મૃતિઓ દ્વારા બન્યું હોય છે. એનો અર્થ એ થયો કે જન્મ પછી બાળક આસપાસ ફરતાં લોકોને જોઈને કદાચ કંઈક અંશે ‘અમે’ અને ‘આપણે’ જેવી અનુભૂતિ સૌ પહેલાં કરે છે, ‘હું’ની નહીં. આપણે આવાં અલગ અલગ એકમો છીએ એટલે આપણે સૌ પોતાના શરીર માટે ‘હું’નો પ્રયોગ કરીએ છીએ. ‘હું’ દરેકનો અલગ છે કારણ કે એ  દરેકની પરંપરાઓમાંથી બન્યો એટલે એ એક સામુદાયિક ઘટનાનું એક પરિમાણ છે.  પહેલાં ‘અમે/આપણે’ની સજીવ અનુભૂતિ થાય છે તે પછી બધા સમાનોમાં અલગ હોવાની એટલે કે ‘હું’ની અનુભૂતિ થાય છે. જ્યાં સુધી બાળકને બીજાનો પરિચય નથી થતો ત્યાં સુધી એનો હું પણ પેદા નથી થતો. બાળક પોતાને ‘હું’ તરીકે ઓળખાવે તે પહેલાં એ તમે આપેલા નામથી જ પોતાને ઓળખે છે. “કીકુ ખાશે”, “કીકુને પાણી પીવું છે”, વગેરે. જેમ જેમ એની સામાજિકતા વધતી જાય છે તેમ તેમ ‘હું’ તરફ એની ગતિ પણ વધે છે અને એક દિવસ એ પોતાના માટે ‘હું’ નો પ્રયોગ પણ શરૂ કરી દે છે.

    સૌને અલગ અસ્મિતાનો બોધ પણ એટલો જલદી થતો હોય છે કે એ સ્મૃતિનો વિષય બને તે પહેલાં જ સ્થાયી થવા લાગે છે.  એના માટે સ્મૃતિની જરૂર પણ નથી.  સ્મૃતિ સિવાય અને સ્મૃતિથી અલગ આ અસ્મિતાબોધ વિકસ્યો હોય છે. બાળક ઘરમાં રહીને શુદ્ધ વ્યાકરણવાળી ભાષા શીખી લે છે તેમાં પણ સ્મૃતિની કોઈ ભૂમિકા નથી. એ અસ્મિતાના ભાગ તરીકે વિકસે છે. આ અસ્મિતાબોધ વ્યક્તિના જીવનનો આધાર છે એટલે ‘હું’માં કર્તાભાવ અને સાક્ષીભાવ પણ પ્રવેશે છે. એ જે કરે છે અથવા જૂએ છે તે એની પ્રતિક્રિયા છે, જે આપણે કદાચ સરિસૃપો (Raptiles) પાસેથી લીધી છે. પ્રતિક્રિયા સરિસૃપોનો ગુણધર્મ છે. અંગ્રેજીમાં એને fight or flight કહે છે. દુશ્મનને જુઓ, તે પછી બે જ વિકલ્પ છે – કાં તો લડો, કાં તો ભાગો. આપણી બધી પ્રતિક્રિયાઓ આનું જ વિકસિત રૂપ છે.

    પરંતુ પ્રતિક્રિયા  સ્મૃતિના માર્ગે નહીં, જિજીવિષામાંથી એટલે કે અલગ હોવા છતાં સમૂહનો ભાગ બની રહેવાની – સર્વાઇવલની – જરૂરિયાતમાંથી જન્મે છે. આપણી આ સમજણ એટલી અનાદિ છે કે બે વ્યક્તિઓ એક જ ક્ષણમાં પોતાના માટે ‘હું’નો પ્રયોગ કરે તો પણ એ સ્વાભાવિક લાગે છે. એક જણ કહે કે “હવે હું જઈશ” અને તે જ સમયે એનો મિત્ર કહે કે “હવે હું સુઈશ”. બન્ને ‘હું’ કહે છે પણ બેમાંથી કોઈ એવો દાવો નથી કરતો કે ‘હું’ બોલવાનો અધિકાર માત્ર મારો છે. આપણે અંતર્નિહિત જ્ઞાનથી જાણીએ છીએ કે બન્ને ‘હું’ બે અલગ એકમો માટે છે.  એટલું જ નહીં, ‘હું’નો પ્રયોગ માત્ર હું જ કરીશ, બીજું માનવએકમ મને ‘હું’ તરીકે નહીં સંબોધે; એના માટે હું “તું” અથવા “તમે” કે “એ” અથવા “તે” છું. આમ દરેક એકમ  એક બાજુથી બીજા એકમના ‘હું’ માટે લક્ષ્મણરેખા  દોરી આપે છે અને, બીજી બાજુથી પોતે પણ બીજાની લક્ષ્મણરેખા ન ઓળંગવાનું વચન પણ આપે છે. આવી લક્ષ્મણરેખા વિના કોઈ એકમની અલગ અસ્મિતા કેમ ટકી શકે?

    આ રીતે જોતાં ‘હું’ની કોઈ વિશિષ્ટતા નથી. એ સર્વસામાન્ય છે અને દરેક એકમમાં એ એકસરખું કામ કરે છે. એનું કામ માત્ર સમુદાયના એક એકમને અભિવ્યક્તિ આપવાનું છે, તે સિવાય કંઈ નહીં.  એ સતત હાજર રહે છે પણ દર વખતે નવા રૂપે. એ સ્મૃતિની મદદથી આપણી જુદી જુદી અવસ્થાઓના ‘હું’ઓને સાંકળીને નિરંતરતાનો ભાવ આપે છે. પણ વાસ્તવમાં પોતે નિરંતર નથી. ‘હું’નું સમાજની બહાર અસ્તિત્વ પણ નથી.  સમાજમાં ‘હું’ આપણને બીજાથી અલગ એકમ તરીકે ઓળખાણ આપે છે, પણ એક નિર્જન ટાપુ પર તમે એકલા હો તો ‘હું’નું કામ શું પડે? જ્યાં સુધી ‘અમે’ કે ‘આપણે’ બોલવાના સંયોગો પેદા ન થાય ત્યાં સુધી ‘હું’ બોલવાના સંયોગ પણ પેદા નથી થતા.

    ફિલ્મમાં અને મેં ઉપર આપેલી વાર્તામાં પણ સવાલ એ છે કે “આપણે કોણ છીએ?” અથવા “આપણે શું છીએ?” શરીરનું કોઈ અંગ બદલાઈ જાય તે પછી આપણે પહેલાં હતા તે જ રહી શકીએ? કે એવું કંઈક છે જે હજી પોતાને ‘હું’ કહી શકે છે?  એવું ‘કંઈક’ હોય તો બધાં અંગોના સમુચ્ચય કરતાં આપણે અલગ, ઉપર અથવા બહાર છીએ. એને બધાની સાથે જોડીને બોલીએ તો અંગ્રેજીમાં કહે છે તેમ, The Whole is greater than the sum total of its parts. (સમગ્ર એના ઘટકોના કુલ સરવાળા કરતાં મોટું છે).

    પરંતુ આ આપણી માત્ર ભ્રાંતિમૂલક પ્રતીતિ છે, જે આપણી ‘હું’ વિશેની અવાસ્તવિક ધારણામાંથી પેદા થાય છે. આપણે કંઈક અંશે ‘શરીર+” ના ખ્યાલથી બંધાયેલા છીએ. એટલે કદાચ એમ પણ કહીએ કે “મારું હૃદય બદલાવ્યું છે. આજે મારું  હૃદય ખરેખર બીજાનું છે. એટલે એટલા પૂરતો હું નથી”. આમાં ભાષા પણ આપણને થાપ ખવડાવે છે. જો ‘હું’ એટલે જન્મદત્ત શરીર હોય તો આજે  તમારી અંદર ધબકતું હૃદય તમારું નથી, એ સત્ય છે. પણ આપણે એવા નિષ્કર્ષ પર સહેલાઈથી પહોંચીએ છીએ કે આ ‘હું’ આત્મા છે જે આ બધાં અંગોનો સ્વામી છે. અને એ જ કારણે આપણે ‘મારું હૃદય’ ‘મારો હાથ’ વગેરે પ્રયોગો કરીએ છીએ. અહીં પણ ભાષા ભુલાવે છે. કારણ કે આપણે ‘મારો આત્મા’ પણ બોલીએ છીએ! તો ‘હું’ આત્માથી પણ ઉપર છે? “મારો આત્મા” કહેનાર કોણ છે?  શરીરને ‘હું’ માનવાથી કેટલીક સમસ્યાઓ ઉકેલી શકાય છે. મારો આત્મા કે મારો હાથ, મારું શરીર વગેરેમાં જે અકળ મનાય છે તેના ભેદ નથી રહેતા.

    ફરી એક સમસ્યા ઊભી થાય છે. આપણે ‘મારો આત્મા બોલીએ છીએ તેમ ‘મારું શરીર” પણ બોલીએ છીએ! તો “મારો આત્મા” કે “મારું શરીર” કહેનાર ‘હું’ કોણ?  ધ્યાનથી વિચારીએ તો સમજાઈ જશે કે આ સમસ્યા જ નથી. એ માત્ર ભાષાપ્રયોગો છે. જેમ એકસો રુપિયાની નોટ તમારી છે, તેમ એના ભાગ જેવી દસ રુપિયાની નોટ પણ તમારી જ છે. તમે “મારી દસ રુપિયાની નોટ” કહી શકો તે જ રીતે “મારી સો રુપિયાની નોટ” પણ બોલી શકો છો. આમાં કોઈ અંતર્વિરોધ નથી.  એ જ રીતે મારો હાથ, મારો પગ એમ કહેવાથી પણ  કોઈ અંતર્વિરોધ ઉત્પન્ન નથી થતો અથવા એનો કોઈ અલગ માલિક હોવાનો વિચાર પણ જરૂરી નથી. એ માત્ર ભાષા પ્રયોગ છે.

    પરંતુ એક વધારે મોટા અર્થમાં એ સાચું પણ છે કે ‘સમગ્ર’ એના ઘટકોના સમુચ્ચયની ઉપર છે.  આપણી ભૂલ એ છે કે આપણે શરીરને ‘સમગ્ર’ માનીએ છીએ. એટલે જ અટવાઈએ છીએ કે “મારું શરીર” કહેનાર કોણ છે, અને એને આત્માની સાબિતી માનીએ છીએ. ખરેખર પ્રકૃતિ ‘સમગ્ર’ છે, માનવશરીર પણ એનું એક અંગ છે. પ્રકૃતિના અર્થમાં ‘સમગ્ર’ હંમેશાં એના ઘટકો કરતાં મોટું જ રહેવાનું છે. એટલે જ એકના હૃદયને બીજામાં બેસાડવાનું શક્ય બન્યું છે. વિજ્ઞાને માત્ર એમ કરવાની ટેકનિક શોધી છે, પ્રકૃતિને એ ઠીક ન લાગતું હોત તો આવી ટેકનિક પણ ન મળી હોત. પ્રકૃતિને કોનું હૃદય કોનામાં ધડકે છે એનાથી કશો જ ફેર નથી પડતો. એટલે જ્યારે શિપ ઑફ થિસિયસ બન્યું તે પહેલાં એ શિપ ઑફ થિસિયસ નહોતું, એ માત્ર ઝાડ હતું. એ જ રીતે એના ભાગો બદલાઈ ગયા તે પછી લોકો એને શિપ ઑફ થિસિયસ કહેતા રહે અથવા કહેવાનું બંધ કરે, પ્રકૃતિને એની સાથે કંઈ લેવાદેવા નથી. આપણે ‘હું નથી પણ પ્રકૃતિનું નાનું, તુચ્છ અંગ છીએ એમ માનતા થશું ત્યારે ઘણા સવાલોના જવાબ મળી જશે.  તે પછી’હું’ની ખોજ પણ બંધ કરી દેશું. મુસીબત એ છે કે આપણા મગજમાં એવું ભરી દેવાયું છે કે આપણે પ્રકૃતિના સ્વામી છીએ અને માનવજાત ઉત્ક્રાંતિની શ્રેષ્ઠ અને અંતિમ રચના છે.


    [1] નર-નારી – ઇન્તઝાર હુસૈન – સંક્ષિપ્ત ભાવાનુવાદ – દીપક ધોળકિયા

    ૦૦૦

    દીપક ધોળકિયા

    વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com

    બ્લૉગ સરનામું: મારી બારી

  • મહેન્દ્ર શાહનાં ‘પેન્ટિંગ ઉપર પેન્ટિંગ ‘

    મહેન્દ્ર શાહનાં કળાસર્જનોનો સંપુટ

     

    Mahendra Shah’s Painting on Painting

     


    મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com

     

  • ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર ? / એક છોકરીએ..

    ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર ?
    — કવિ શ્રી રાજેન્દ્ર શાહ
     
    ભાઈ રેઆપણા દુ:ખનું કેટલું જોર ?

    નાની એવી જાતક વાતનો મચવીએ નહિ શોર !

    ભારનુ વાહન કોણ બની રહેનહી અલૂણનું કામ,
    આપણ તો બડભાગીખમીરનું આજ ગવાય રે ગાન;
    સજલ મેઘની શાલપે સોહે રંગધનુષની કોર.

    જલભરી દગ સાગર પેખેહસતી કમળફૂલ,
    કોકડું છે પણ રેશમનુંએનું ઝીણું વણાય દુકૂલ;
    નિબિડ રાતના કાજળ પાછળ પ્રગટે અરુણ ભોર.

    આપણે ના કંઈ રંકભર્યોભર્યો માંહ્યલો કોશ અપાર;
    આવવા દો જેને આવવુંઆપણે મૂલવશું નિરધાર;
    આભ ઝરે ભલે આગહસી હસી ફૂલ ઝરે ગુલમ્હોર.


    એક છોકરીએ..

                     -રક્ષા શુક્લ

    ચોમાસા ચાર ચાર ભેગા કરીને એક છોકરીએ મુઠ્ઠીભર સપનાં વાવ્યાં.
    છોકરીની આંખોને સોળમું સદી ગ્યું ‘ને ટેરવેથી તરસ્યુંનાં ટોળાં આવ્યાં.

    વાવડ તો ક્યાંય નથી વાવાઝોડાના તો ય છાતીએ કપોત કંઈ હાંફે,
    અળવંડા ખાતી એ છોકરીને જોઇને છોકરો યે બોલવામાં બાફે.
    છૂઈમૂઈ એ છોકરી સંતાડે આંખ પછી દર્પણને બહાનાઓ બાવન ફાવ્યાં.
    ચોમાસા ચાર ચાર ભેગા કરીને એક છોકરીએ મુઠ્ઠીભર સપનાં વાવ્યાં.

     ભીંતને અઢેલીને ઊભેલી છોકરીએ ધરતી પર નામ એક ચીતર્યું,
    ટપ્ દઈ ટીપું, ‘ને ટીપામાં રેલાતું રૂપ આંખ મીંચીને નીતર્યું.
    અણિયાળી આંખ્યુંને ઉતારા માનીને છોકરાએ ઉંબર પર સાથિયા મૂકાવ્યા.
    ચોમાસા ચાર ચાર ભેગા કરીને એક છોકરીએ મુઠ્ઠીભર સપનાં વાવ્યાં.

     મોભારે કાગડો બોલે ‘ને છોકરી તો સોળે શણગાર સજી દોડે,
    માળિયેથી ઉતારી કાચની અડાળી ‘ને ઝટ્ટ દઈ ફળિયામાં ફોડે.
    અમથું તો એને ના ખાવું ગમતું ‘ને આજ રોટલો સુકો ‘ને ડુંગળીયે ભાવ્યાં.
    ચોમાસા ચાર ચાર ભેગા કરીને એક છોકરીએ મુઠ્ઠીભર સપનાં વાવ્યાં.

     

     

    —- વે.ગુ. પદ્યસમિતિ.
  • ‘બાઈ’ – જીવનકથાઃ પુસ્તક પરિચય નહીં, વ્યક્તિ પરિચય

    આ મહિનેથી દર બીજા અને ચોથા રવિવારે કેપ્ટન નરેન્દ્ર ફણસે દ્વારા સંપાદિત જીવનકથા ‘બાઈ’ ધારાવાહિક સ્વરૂપે આપની સમક્ષ રજૂ કરીએ છીએ.
    તેમનાં આ પુસ્તકને વેબ ગુર્જરી પર પ્રકાશિત કરવા માટે કેપ્ટન નરેન્દ્ર ફણસે એ આપેલી સહમતિ બદલ આપણે તેમનાં આભારી છીએ.
    માત્ર એક જ અઠવાડીયાંથી  પણ ઓછા સમયમાં સુશ્રી રાજુલબેન કૌશિકે ખુબ જ અર્થસભર અને રસસભર તે બદલ આપણે તેમનાં પણ આભારી છીએ.
    સંપાદન મડળ, વેબ ગુર્જરી 


    વેબ ગુર્જરીના પાનાં પર ‘બાઈ’ -જીવનકથા મુકાઈ રહી છે તે પૂર્વે કેપ્ટ્ન શ્રી નરેન્દ્રભાઈ ફણસેએ પુસ્તક પરિચય લખાય એવી ઈચ્છા પ્રગટ કરી. કેપ્ટ્નસાહેબની ‘ઈચ્છા સર આંખો પર’ કહીને પુસ્તક પરિચય લખવા માટે હામી ભરી.

    સૌ પ્રથમ તો ‘બાઈ’ની જીવનકથા વાંચી જવી જરૂરી હતી. ‘બાઈ’ વાંચવાની શરૂઆત કરી ને થોડાં પાનાં પછી સમજાયું કે એ માત્ર હામી ભરવાની વાત નહોતી. ‘હામી ભરવા’ની સાથે હિંમત એકઠી કરવાનીયે વાત હતી.

    કારણ ?

    કારણ કે, ‘બાઈ’ પુસ્તકમાં આલેખાયેલ બાઈની જીવનકથા પુસ્તક પરિચયથી વિશેષ ‘વ્યક્તિ પરિચય’ છે.

    ક્યારેક ‘વ્યક્તિનું હોવું’ કરતાં એનું ‘ન હોવું’, ‘સદેહી હાજરી’ કરતાં ‘અદેહી હાજરી’ થી એ વધુ નજીક લાગે. ‘બાઈ’ આત્મકથા વાંચતાં વાંચતાં પ્રત્યેક શબ્દે બાઈની અદેહી હાજરીનો અનુભવ થયો.

    હવે જો માત્ર આત્મકથા વાંચતા આવી લાગણી થાય તો જે વ્યક્તિઓ બાઈના જીવનનું અવિભાજ્ય અંગ બનીને જીવી હશે એમના મન-હૃદયમાં બાઈના સ્વજન હોવાનો અને બાઈની સાથે જીવ્યાનો સંતોષભાવ જીવનભર ચિરંજીવ જ રહેવાનો જ ને !

    બાઈનું મૂળ વતન મહારાષ્ટ્રના મહાડ નજીકનું દેવળે ગામ, પણ જન્મ થયો વડોદરામાં. માતાપિતાએ નામ આપ્યું લીલા.

    ૧૯૧૫માં જન્મેલી લીલાએ દીકરી હોવાનો દંડ જીવનભર વેઠ્યો. બાપુજીની સારી નોકરી છતાં વ્યસનના લીધે ઉત્તરોત્તર પડતી થતી ગઈ અને નાનપણથી જ અપાર અસુવિધા અને અસુખમાં ઉછરેલ લીલા નામની છોકરીનું જીવન અસાધારણ રીતે સંઘર્ષમાં જ પસાર થયું.

    કિશોરાવસ્થા, તે પછી પરાણે પ્રીત જેવો પરિણય, જોકે એ લગ્ન નહીં એને છેતરપિંડી જ કહેવાય એવી અવસ્થાય જીરવી લીધી. આજીવન લગભગ વણજારાની જેમ સતત સ્થળાંતર કરતા રહેવું પડ્યું, સગાં એવાં જે વહાલા ન થયાં, જેમને સ્વજન માન્યા એમનું પરાયું વર્તન સહી લેવા મહદ અંશે સંત જેવી સમતા કેળવી લીધી હશે ત્યારે જ આટઆટલી ઉપેક્ષા સામે એ ટકી શક્યાં હશે ને ?

    નાનપણથી જ જેની ઈચ્છા-અનિચ્છા, મત કે મંતવ્યનો સ્વીકાર થયો જ નહીં એ લીલાએ ઘરમાં જાણે ચુપકીદી જ સેવી લીધી. પણ, એ પછી એમનું મૌન શબ્દોમાં મુખરિત થવા માંડ્યું અને વાચકોને મળી એક એવી આત્મકથા જેમાં બળબળતા રણમાં ખુલ્લા પગે ચાલ્યાની વેદના ઠલવાઈ છે.

    માત્ર ચાર ચોપડી સુધીનું ભણતર હોવા છતાં જીવનનો મર્મ જેમણે પામી લીધો હશે એવાં ‘બાઈ’ એ સરળ ભાષામાં એમના જીવન વિશે જે કંઈ આલેખ્યું એમાં ક્યાંય એમનાં નસીબને કોસ્યું નથી કે નથી કોઈનું ખરાબ ઈચ્છ્યું.

    ‘બાઈ’ ની આત્મકથા વાંચતાં વાંચતાં વિચાર આવ્યો કે, સતત સામા પ્રવાહે જીવેલાં, સંજોગોનો શિકાર બનેલાં ‘બાઈ’ એક સ્ત્રી થઈને આ લખવાનું સાહસ ક્યાંથી લાવ્યાં હશે.

    કોઈ એક સ્ત્રી લેખકે આત્મકથા લખી હોય તો એમાં અમૃતા પ્રિતમનું નામ યાદ આવે છે.

    અમૃતા પ્રિતમની આત્મકથા ‘રેવન્યુ સ્ટેમ્પ’ માં માનવમનનાં તળમાં ઉદ્ભભવતા મનોવ્યાપારોનું આલેખન છે. જોકે અમૃતા પ્રિતમને જીવનમાં સુખ, સ્નેહ, સંપત્તિ, સિદ્ધિ, પ્રસિદ્ધિ પ્રાપ્ત થયાં જ્યારે બાઈને શું પ્રાપ્ત થયું? માત્ર ને માત્ર આપાર વિડંબણા.

    ‘બાઈ’ના બાપુજીનું બેવડું વ્યકતિત્વ, એ બેવડા વ્યક્તિત્વ (Double-personality)ને લીધે એમની બા તથા પરિવારને વેઠવી પડેલી તકલીફો, અસુવિધાભર્યું જીવન અને એવી જ રીતે લગ્ન પછી વેઠવી પડેલી એ જ બધી આપદાઓની અત્યંત અસુખભરી વાતો વાંચીએ તો મનમાં આક્રોશ ઊઠે કે, કેમ…કેમ..એક વ્યક્તિને, એના પરિવારને ઈશ્વરે આટઆટલી પીડાઓ કેમ આપી ?

    બાઈના માતાના અવસાન પછી સતત પરાધિનતા વચ્ચે એમનું જીવન પસાર થયું. ભાઈ-બહેનોના શીતળાના લીધે કે પિશાચીનીના વળગાડથી થયેલાં અકાળ અવસાન,  માસી તો મા સમાન હોય એનાં બદલે બાઈજીમાસીનોય એમની સાથે અનુચિત વ્યવહાર…ક્યાં જઈને કોની પાસે ઠલવે એ પોતાની પીડા ?

    ‘બાઈ’ની આત્મકથા એટલે એમ લાગે કે સતત એક શહેરથી બીજા શહેર વચ્ચે ફંગોળાતી જિંદગી અને પરિવારના સદસ્યોની સિલસિલાબંધ અવસાન નોંધ.

    પુસ્તકનું એક નવું પાનું શરૂ  થાય ને મન ફફડી ઊઠે, ‘ હે પ્રભુ, અહીં કોઈની જીવનલીલા સંકેલાઈ ન હોય એવું આ પાનું  હોય..’

    પણ ના.. એવું કશું બને એ પહેલાં બાઈની સામે કોઈ નવી આપત્તિ સામે ઊભી જ હોય.

    અને એ નવી આપત્તિ એટલે ‘બાઈ’ના એમનાથી ૨૫ વર્ષ મોટા, આઠ સંતાનોના પિતા સાથે લગ્ન. લગ્ન પછી પતિ, પતિના પૂર્વસંસારના આઠ સંતાનો, સંતાનોના પરિવારે આપેલો ત્રાસ.

    છતાં પણ ‘બાઈ’ એ સૌની અપરમા હોવાનો ભાવ મનમાં ક્યારેય ન કેળવ્યો. અન્યનાં સંતાનોના દુઃખ પણ એમના પાલવમાં સમેટવાનો જ સતત પ્રયાસ કર્યો. ‘બાઈ’નાં પોતાનાં સંતાનોનેય કેટલીય વિપદા ભોગવવી પડી, પણ લોખંડી મનોબળવાળા બાઈએ એનો પણ ઈશ્વર સામે કોઈ ફરિયાદ કર્યા વગર સામનો કર્યો.

    જીવનમાં વેઠવી પડેલી આપદા, બાળકોની માંદગીને લીધે ભલભલી વ્યક્તિ મનથી ભાંગી પડે. પતિ, પતિના પૂર્વ પરિવારના સંતાનોની સતત અવહેલનાને લઈને સીતાની જેમ ધરતી માર્ગ આપે તો સમાઈ જવાનું મન થાય એવી પરિસ્થિતિમાં પણ ‘બાઈ’એ મક્કમ મનથી ટકી રહેવા, પોતાની જાતને અડીખમ રાખવા કેવા કેવા પ્રયાસો કર્યા હશે ? એમની એ કથા વાચકને પણ વ્યથિત કરશે.

    પતિ તરફથી પ્રેમ ન મળ્યો. છતાં બાઈએ એમની આત્મકથામાં પતિની ખામીઓ વિશે જરૂરી વાત કરીને તટસ્થતાપૂર્વક પતિની ખૂબીઓનોય ઉલ્લેખ કર્યો છે. પતિની છત્રછાયા નીચે દરેક સારા-નરસા પ્રસંગને મધુર પ્રસાદ તરીકે સ્વીકારી લેવાની ભક્તિ કે શક્તિ બાઈમાં ક્યાંથી આવી હશે !

    આ પુસ્તકને આત્મવ્યથાની દૃષ્ટિએ મૂલવવા જેવી છે. વાંચવા માત્રથી જો મનને ધક્કો પહોંચે તો એ  સમય અને સંજોગો સહન કરવાનું ‘બાઈ’ માટે કેટલું કપરું રહ્યું હશે !

    કાળા ડીબાંગ જેવાં વાદળોથી ઘેરાયેલ આકાશમાં માંડ એક રૂપેરી કોર જોવા મળે, એ કોરનો એક છેડો માંડ હાથમાં આવે, વાચકને પણ ‘બાઈ’ની જેમ આશા બંધાય કે હવે એ પેલાં કાળા વાદળો ખસશે અને  રૂપેરી અજવાસ રેલાશે ત્યાં તો ફરી વધુ ઘેરા વાદળોથી આશાની રહી સહી  એ કોર પણ ઢંકાઈ જાય એમ માંડ કંઈક શુભ બનવાની આશા બંધાય તે પહેલાં સતત કોઈને કોઈ અણધારી, અણગમતી પરિસ્થિતિ બાઈના જીવનમાં સર્જાઈ છે છતાં ‘બાઈ’ જીવની સઘળી આકરી કસોટી પાર કરીને ‘સો ટચનું સોનું’ કહી શકાય એવી રીતે જીવ્યાં.

    શ્રેષ્ઠ સંસ્કાર આપીને સંતાનોને ઉછેર્યાં. દીકરીઓને સામાજિક સંસ્થામાં જોડાઈને પ્રવૃત્તિ અને પ્રગતિ કરવા સંમતિ આપી. ત્રણ દીકરીઓ પર એક જ દીકરો હોવા છતાં દીકરાને દેશની સેવા માટે સમર્પિત થવા સંમતિ આપી. જે વાતાવરણમાં બાઈ જન્મ્યાં, ઉછર્યાં એમાં મનની આટલી મોકળાશ એમને મુઠ્ઠી ઉંચેરા સાબિત કરે છે.

    ‘બાઈ’ પુસ્તક માટે કશું કહેવું હોય તો એટલું ચોક્કસ કહી શકાય કે આ પુસ્તક અંધકારમાં ઘેરાયેલ,  આપમેળે બહાર આવવા મથતી કોઈ પણ વ્યક્તિ માટે દીવાદાંડી છે.

    રાજુલ કૌશિક


    હવે પછી ૨૪ – ૧૧ -૨૦૨૪ના રોજ પુસ્તકની પૂર્વભૂમિકા વાંચીશું

  • ખોટે સિક્કે (૧૯૭૪‌)

    ટાઈટલ સોન્‍ગ

    (આ શ્રેણીમાં હિન્દી ફિલ્મોમાં આવતાં ટાઈટલ્સ દરમિયાન વાગતાં ગીતો વિશે વાત કરવાનો ઉપક્રમ છે.)

    બીરેન કોઠારી

    ‘લોહા લોહે કો કાટતા હૈ’. આ જાણીતી કહેવત ‘શોલે’ના એક સંવાદ તરીકે વધુ પ્રચલિત બની રહી. એક અનિષ્ટને જેર કરવા બીજા અનિષ્ટનો સહારો લેવો પડે છે એમ એ સૂચવે છે. ‘શોલે’ના કથાનકમાં મુખ્ય બીજ આ જ હતું. અલબત્ત, આ અને આવા કથાનકવાળી બીજી અનેક અંગ્રેજી, હિન્‍દી કે અન્ય ભાષાની ફિલ્મોની ગંગોત્રી એટલે જાપાનના દિગ્દર્શક અકીરા કુરોસાવાની ફિલ્મ ‘સેવન સમુરાઈ’. ૧૯૫૪માં રજૂઆત પામેલી આ ફિલ્મનું કથાનક શાશ્વત કહી શકાય એવું છે, અને પોતપોતાના અર્થઘટન વડે વિવિધ ફિલ્મકાર એની પરથી ફિલ્મ બનાવતા રહ્યા છે.

    ૧૯૭૪માં રજૂઆત પામેલી, મેવાડ ફિલ્મ્સ નિર્મિત, નરીન્દર બેદી દિગ્દર્શીત ‘ખોટે સિક્કે’ પણ મૂળભૂત રીતે ‘સેવન સમુરાઈ’ના કથાનકથી પ્રેરિત હતી. એક ગામને રંજાડતા ડાકુ જંગા(અજિત) અને તેની સામે ઝીંક ઝીલવા માટે એકઠા કરાતા ચુનંદા લોકો. કોઈ એક કાર્યને અંજામ આપવા માટે વિવિધ પ્રતિભા ધરાવતા લોકોની ટીમ બનાવવાનું તેમજ મનથી હારી ચૂકેલા લોકોમાં હિંમતનો સંચાર કરવાનું કથાનક પણ ‘સેવન સમુરાઈ’ ફિલ્મની દેન છે, જે અનેક ફિલ્મોમાં વિવિધ સ્વરૂપે જોવા મળે છે.

    આ ફિલ્મમાં ફિરોઝ ખાન, નરેન્દ્ર નાથ, ડેની, રણજિત, સુધીર, પેન્ટલ, રેહાના સુલતાન, મધુછંદા, અજિત જેવા કલાકારોની મુખ્ય ભૂમિકા હતી. આ ફિલ્મનાં કુલ ત્રણ ગીતો હતાં, જે મજરૂહ સુલતાનપુરીએ લખ્યાં હતાં, જ્યારે સંગીત હતું રાહુલદેવ બર્મનનું. ‘પ્યારી પ્યારી સૂરતવાલે‘ (આશા ભોસલે, ઉષા મંગેશકર), ‘માર સૂટિયા‘ (આશા ભોસલે) ગીત પ્રમાણમાં ઓછાં જાણીતાં અને ઠીક કહી શકાય એવાં હતાં, પણ તેનું ટાઈટલ સોન્ગ યાદગાર કહી શકાય એવું હતું. હિન્દી ફિલ્મોનાં આવાં ઘણાં ગીતો લખાયાં હોય છે ફિલ્મના કથાનક કે ચોક્કસ પરિસ્થિતિ માટે, પણ તેમાં રહેલા ભાવને કારણે તે સર્વકાલીન પ્રસ્તુત બની રહે છે. આ ગીત આવી જ શ્રેણીમાં મૂકી શકાય.

    ‘ખોટે સિક્કે’ના ટાઈટલ સોન્ગના શબ્દો આ મુજબ છે:

    जीवन में तू डरना नहीं
    सर नीचा कभी करना नहीं
    हिम्मतवाले को मरना नहीं
    मरना नहीं
    मरना नहीं
    मरना नहीं
    जीवन में तू डरना नहीं
    सर नीचा कभी करना नहीं
    हिम्मतवाले को मरना नहीं
    मरना नहीं
    मरना नहीं
    मरना नहीं
    तू है साथी अपना
    कोई दूजा नहीं तेरा
    अपनी हर मुश्किल में
    तू अकेला ही मुस्कुरा
    जग में तू सबसे बड़ा है
    दिल छोटा करना नहीं
    करना नहीं
    करना नहीं
    करना नहीं
    जीना है तो प्यारे
    तू लड़ना ज़िन्दगी से
    आंधी हो या तूफाँ
    ना दबना तू किसी से
    जग में तू आगे ही बढ़ना
    पीछे कदम धरना नहीं
    धरना नहीं
    धरना नहीं
    धरना नहीं
    जीवन में तू डरना नहीं
    सर नीचा कभी करना नहीं
    हिम्मतवाले को मरना नहीं
    मरना नहीं
    मरना नहीं
    मरना नहीं

    ત્રણે અંતરા ધરાવતું આખું ગીત નીચેની લીન્‍ક પર સાંભળી શકાશે.

    (નોંધ: આ જ નામની પાર્થો ઘોષ દિગ્દર્શીત ફિલ્મ ૧૯૯૮માં રજૂઆત પામી હતી.)


    (તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • ફિલ્મી ગઝલો – ૭૬. અલી સરદાર જાફરી

    ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

    ભગવાન થાવરાણી

    અલી સરદાર જાફરી ( ૧૯૧૩ – ૨૦૦૦ ) ઉર્દુ ભાષાના બહુ મોટા ગજાના લેખક, કવિ અને આલોચક હતા. એમને ૧૯૯૭માં જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત થયેલો. પોતાની યુદ્ધવિરોધી વિચારસરણીને કારણે એમને ૧૯૪૧માં જેલવાસ પણ ભોગવવો પડેલો.

    એમનો વાર્તાસંગ્રહ ‘ મંઝિલ ‘ નામે અને કવિતાઓનું દીવાન ‘ પરવાઝ ‘ નામે પ્રકાશિત થયેલાં. ૧૯૪૮થી ૧૯૭૮ દરમિયાન એમના આઠ કવિતાસંગ્રહો પ્રકાશિત થયાં. આપણા ત્યારના વડા પ્રધાન બાજપેયીજીએ એમનું પુસ્તક ‘ સરહદ ‘ રાષ્ટ્રીય ઉપહાર તરીકે પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફને લાહોર ટોચ મંત્રણા વખતે ૧૯૯૯માં ભેટ આપેલું.

    ગાલિબના શેરોની મીમાંસા અને અર્થધટનનું એમનું પુસ્તક ગાલિબ પ્રેમીઓ માટે એક અણમોલ માર્ગદર્શિકા સમાન છે. આવા જ ગ્રંથો એમણે પોતે લખેલી પ્રસ્તાવનાઓ સાથે કબીર, મીર અને મીરાંબાઈ વિષે પણ પ્રકાશિત થયેલાં. વીસમી સદીના ઉર્દુ કવિઓ વિષેની એમણે લખેલી ૧૮ હપ્તાની સિરિયલ  ‘ કહકશાં ‘ દૂરદર્શન પર ખાસ્સી લોકપ્રિય થયેલી.

    ફિલ્મોમાં એમણે મર્યાદિત કામ કર્યું. ફુટપાથ, પરદેસી, આસમાન મહલ, ધરતી કે લાલ, શહર ઔર સપના, ઝલઝલા, હમારા ઘર, ધોબી ડોક્ટર, અન્નદાતા, નયા તરાના, ધ નક્સલાઈટ્સ જેવી ગણી ગાંઠી ફિલ્મોમાં માત્ર પચાસ આસપાસ ગીતો. ફિલ્મ ફુટપાથ માટે એમણે મજરૂહ સુલતાનપુરી સાથે સંયુક્ત રીતે લખેલું ‘ શામે ગમ કી કસમ આજ ગમગીં હૈં હમ ‘ ( તલત ) કોણ ભૂલી શકે ! જગજીત સિંગ જેવા દિગ્ગજ ગાયકોના ગઝલ આલ્બમમાં એમની કેટલીક ગઝલો સમાવિષ્ટ કરાયેલી.

    એમની બે ફિલ્મી ગઝલો જોઈએ :

    મુજે વો દેખ કર જબ મુસ્કુરાંએંગે તો ક્યા હોગા
    મેરી દુનિયા પે બિજલી ફિર ગિરાએંગે તો ક્યા હોગા

    મૈં ઉનકે સામને આઈ તો હું જી કો કડા કર કે
    ઈશારોં સે જો પાસ અપને બુલાએંગે તો ક્યા હોગા

    મેરી નઝરોં સે ગભરા કર વો નઝરેં ખુદ ઝુકા લેંગે
    ઝુકા કર અપની નઝરેં ફિર ઉઠાએંગે તો ક્યા હોગા

    યે માના ઉનકે આગે અપના હાલે દિલ છુપા લૂંગી
    જો વો અલ્હડ જવાની કો જગાએંગે તો ક્યા હોગા

    ઉજાલા હૈ અંધેરી શબ મેં આંસુ કે ચરાગોં સે
    અગર પલકોં સે આંસુ ટૂટ જાએંગે તો ક્યા હોગા..

    – ફિલ્મ : ઝલઝલા ૧૯૫૨
    – ગીતા દત્ત
    – પંકજ મલિક

    પ્યાર કો આજ નઈ તરહ નિભાના હોગા
    હંસ કે હર દર્દ કો હર ગમ કો ભુલાના હોગા

    આંસૂઓં સે જો બુઝે જાતે હૈં આંખોં કે ચિરાગ
    ખૂને દિલ દે કે ઉન્હેં ફિર સે જલાના હોગા

    અભી ખિલ જાએંગે મસલે હુએ કુચલે હુએ ફૂલ
    શર્ત બસ યે હૈ કિ સીને સે લગાના હોગા

    વો જો ખો જાએં તો ખો જાએગી દુનિયા સારી
    વો જો મિલ જાએં તો સાથ અપને ઝમાના હોગા…

    – ફિલ્મ : શહર ઔર સપના ૧૯૬૩
    – મનમોહન કૃષ્ણ
    – જે પી કૌશિક

    ( આ ગઝલને પરદા ઉપર અને વાસ્તવમાં પણ વિખ્યાત ચરિત્ર અભિનેતા મનમોહન કૃષ્ણએ કોઈ વાદ્યવૃંદ વિના ગાયેલ છે . એ અભિનેતા ઉપરાંત અચ્છા ગાયક પણ હતા. )


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • ફિલસુફીભર્યાં ગીતો – ૨૮ – ये जीवन है इस जीवन का यही है, यही है, यही है रंग रूप

    નિરંજન મહેતા

    ये जीवन है इस जीवन का
    यही है, यही है, यही है रंग रूप
    थोड़े ग़म हैं, थोड़ी खुशियाँ
    यही है यही है यही है छाँव धूप
    ये जीवन है

    ये ना सोचो इसमें अपनी
    हार है कि जीत है
    उसे अपना लो जो भी
    जीवन की रीत है
    ये ज़िद छोड़ो यूँ ना तोड़ो
    हर पल एक दर्पण है
    ये जीवन है

    धन से ना दुनिया से
    घर से न द्वार से
    साँसों की डोर बंधी है
    प्रीतम के प्यार से
    दुनिया छूटे पर ना टूटे
    ये कैसा बंधन है
    ये जीवन है

    મધ્યમ વર્ગની પરિસ્થિતિ વર્ણવતી ૧૯૭૨ની ફિલ્મ ‘પિયા કા ઘર’નું આ ગીત નવપરણિત યુગલની મન:સ્થિતિનું નિરૂપણ કરે છે. એક રૂમમાં સાંકડે મોકળે રહેતા એક બહોળા કુટુંબમાં યુગલને જે એકાંત જોઈતું હોય પણ ન મળે ત્યારે બંનેના મનોભાવ કેવા હોય તે આ પાર્શ્વગીત દ્વારા વર્ણવાયું છે, બંનેને જુદા સુવું પડે ત્યારે તેમનું વર્તન કેવું થાય છે તે આ ગીતમાં દર્શાવાયું છે. પણ સાથે સાથે જીવનની એક પ્રકારની ફિલસુફી પણ તે દ્વારા દર્શાવાઈ છે

    કહે છે કે જીવનનું આ જ રંગ અને રૂપ છે. જેમ તડકો અને છાયડો જોવા મળે છે એટલે કે ક્યારેક ખુશી તો ક્યારે દુઃખ. આ જીવનનો ક્રમ છે. આ જો સમજી શકો તો તમે ક્યારેક હાર કે જીતનો વિચાર નહિ કરો અને સુખનો હર્ષ અને દુઃખનો સંતાપ આ બધું સમજી વિચારીને અપનાવી શકશો.

    તમારો શ્વાસ કોઈ દુન્યવી માયા એટલે કે ઘર, ધનથી બંધાયેલ નથી પણ તે પ્રીતમ એટલે કે ઈશ્વર સાથે સંધાયેલો છે. એટલે જ જ્યારે તમે દુનિયા છોડશો ત્યારે પણ ઈશ્વરનું બંધન બંધાયેલું રહેશે. આ બંધન જ સત્ય છે અને તેને અપનાવો.

    આનંદ બક્ષીના શબ્દોને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. ગાયક છે કિશોરકુમાર.


    Niranjan Mehta

    A/602, Ashoknagar(old),
    Vaziranaka, L.T. Road,
    Borivali(West),
    Mumbai 400091
    Tel. 28339258/9819018295
    વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com
  • ત્યારે અને અત્યારે : લૅન્ડલાઇનનું અગનપંખી

    આ વાત એ નાગરિકોની છે જેમની ઉંમર ૬૫થી ૮૦ વર્ષની વચ્ચે છે, અથવા કહો કે જેઓ ૧૯૫૫થી પહેલાં જન્મ્યાં હોય.

    આ જ વયગટના હોઈ બીજા દેશના નાગરિકોએ જોયાં હોય તેથી વધું વ્યાપનાં પરિવર્તન ભારતની એ પેઢીએ જોયાં,. ૧૯૫૩ થી ૨૦૧૩ની વચ્ચે શબ્દશઃ જમીન-આસમાનનો ફરક છે. જીવન અમુક ક્ષેત્રોમાં તો પરિસ્થિતિ જાણે સામસામા છેડાની જ છે. કદાચ એમ કહી શકાય કે ૭૫ વર્ષમાં આટલો પરિવર્તનનો અનુભવ બીજી કોઈ પેઢીને નહીં થાય. પરંતુ એ તો સમય જ કહી શકે.

    આ પેઢીને પાછળ નજર કરતાં મુસાફરી એકદમ રોમાંચકારી લાગે છે. આરોગ્ય, સંદેશવ્યવહાર, વાહન વ્યવહાર, મનોરંજન, વગેરે બધાં ક્ષેત્રે ત્યારની પરિસ્થિતિ અત્યારે દંતકથા જેટલી જુદી લાગે છે, પરંતુ એ જ રોમાંચ છે. તેની વાત કરવામાં આવે તો નવી પેઢીના વાચકને જરૂર આશ્ચર્યનો અનુભવ થાય.

    એ હેતુથી “ત્યાર”ની “અત્યાર’ જોડે સામાજિક અને વ્યક્તિગત સંદર્ભમાં તુલના કરવાની આ લેખમાળામાં નેમ છે.

    પરેશ ૨. વૈદ્ય

    રસોડાંથી માંડીને ઓફિસ સુધી જીવનમાં આધુનિક ઉપકરણો તો ઘણાં ઝડપથી દાખલ થયાં, પણ જેનો પ્રસાર અભૂતપૂર્વ  થયો હોય તો તે મોબાઇલ ફોન.

    ૧૩૦ કરોડની વસતિમાં ૧૧૨ કરોડ ફોન ખિસ્સામાં ફરે છે! કોઈ પાસે તો વળીબે ફોન પણ હોય. ગયા લેખમાં વાંચ્યું તેમ ટપાલ ખાતાના મહત્ત્વને તેણે નહીંવત્‌ બનાવી દીધું. એ તો ઠીક, પણ એણે
    પોતાની જ પૂર્વજ એવી લેન્ડલાઇનને  અસંબદ્ધ (irrelevant) બનાવી દીધી છે. ૬૦ વર્ષથી ઉપરનાંની જે પેઢીના સંદર્ભમાં આપણે વાત કરીએ છીએ તેમને માટે તો આ બમણું આશ્ચર્ય છે. તેઓએ. જીવન શરૂ કર્યું ત્યારે એ ફોન પણ ન હતા, આખું ચક્ર પૂરું કરી પાછાં એ જ સ્થાને આવી ગયાં છીએ જ્યાં મોટા ભાગનાં ઘરોમાં મુશ્કેલીથી મેળવેલી લેન્ડલાઇન હવે નથી! એ “ડબલાં’ને મહામુશ્કેલીથી ઘરે લાવ્યાં હતાં પણ ચાલીસેક વર્ષમાં એને પાછું મૂકી આવ્યાં.

    ટ્રીન, ટ્રીનની ઘંટડી વગાડતી લેન્ડલાઇન આઝાદ ભારતની મધ્યભાગના પેઢી માટે સંસ્કૃતિનો એક ભાગ હતી. સારી અને નરસી યાદોને એનો સંદર્ભ છે. પિતાજીની ગંભીર બીમારીના સમાચાર કોના ફોન ઉપર આવ્યા કે મા ગુજરી જવાનો ફોન આવ્યો ત્યારે ક્યાં હતા તેની ઝીણી ઝીણી વિગતો દરેકને યાદ હશે. ચોવીસ કલાક વાગતા મોબાઇલમાં ક્ષણો સંઘરાતી નથી…

    દુર્લભ સગવડ :

    આઝાદીના ઉષાકાળમાં ટેલિફોન માત્ર ફિલ્મમાં જોયા હતા. “અનાડી” ફિલ્મમાં મોતીલાલે રિસીવર પકડ્યું હતું એ માન્યતા દઢ કરવા માટે કે એ અમીરોનું સાધન છે. ૩૩ કરોડની વસતિમાં ત્યારે માત્ર ૮૫,૦૦૦ ફોન હતા. થોડા સમય પછી એ સરકારી ઓફિસો અને દુકાનોમાં દેખાયા. મુંબઈ જેવાં મહાનગરોમાં એ ઉચ્ચ મધ્યમવર્ગ સુધી પહોંચી આવ્યો પણ નાનાં શહેરોમાં “લક્ઝરી’નાં સ્વપ્ન કરતાંય ઉપર હતો. મોટાં શહેરોમાં સુધ્ધાં તમને એ જોઈએ એટલે મળી ન જતો. એક્સ્ચેન્જની ક્ષમતા એની માંગ કરતાં ઓછી હતી એટલે નોંધાવ્યા પછી ભૂલી ગયા હો ત્યારે એનો “વર્ક ઓર્ડર’ આવતો.

    આંગળી નાંખીને ફેરવીએ એવાં ડાયલ આજે જૂનાં લાગે છે, પરંતુ અમે જે સાધન પહેલી વાર જોયું તેમાં એ સગવડ પણ નહોતી. રિસીવર ઉપાડો, એટલે ઓપરેટર પૂછે, “નંબર પ્લી…ઝ’. જોઈતો નંબર કહો એટલે પોતે એ નંબર જોડી આપે. શક્ય છે કે જો નવરો હોય તો. તમારી બંનેની વાત પણ સાંભળે! (મહિલા ઓપરેટરો નાનાં શહેરોમાં હજુ નહોતી આવી). અમારા એક મિત્ર ઓપરેટરની નોકરીની સાથે કૉલેજ કરતા એટલે ગામની ટેલિફોન એક્સચેન્જ ઘણી વાર જોયેલી. બે માળના મોટા મકાનમાં નંબર જોડવાનું બોર્ડ માંડ ત્રણ ફૂટ બાય ત્રણ ફૂટનું! માંડ ચારસો સાધનો હશે. ખુરશી પર બેઠે ઓપરેટર આખું બોર્ડ જોઈ શકે. તમે રિસીવર ઊંચકો એટલે તમારા નંબર સામે લાઇટ થાય, તમારો કૅબલ ખેંચીને તમને જોઈતા નંબરના “સોકેટ’માં જોડી દે.

    ગામ બહાર ટ્રંકકૉલ કરવો હોય તો જુદી વ્યવસ્થા. ઓપરેટરને નંબર આપી રાખવાનો. એ ગામની લાઇન એને જ્યારે (બે, ચાર કે છ કલાકે!) મળે ત્યારે તમને ફોન કરે અને જોડી આપે. ક્રૉસ બાર પ્રકારની એક્સચેન્જ પછી ઓટોમેટિક એક્સ્ચેન્જો આવી ત્યારે ઘરેથી નંબર ડાયલ કરવાનું શક્ય બન્યું, તેમ બહારગામ ફોન પણ સીધા કરી શકાયા. તેને Subscriber Trunk Dialling કહેવાય, તેથી ટ્રંકકૉલનું નવું નામ STD. પ્રચલિત થયું.

    ફોન લાઇનોની અછત હોવાથી મોટા ભાગના લોકોનો ફોન સંપર્ક “કેર ઓફ’ પાડોશી જ રહેતો. ઉદારદિલ પાડોશી બારીમાંથી કે બાલ્કનીમાંથી બૂમ મારી જેનો ફોન હોય તેને બોલાવે. “અરે અલકાબેન, પંકજને કહો ને એનો ફોન છે.” પહોંચો ત્યાં લગી ફોન કપાઈ ગયો હોય તો તમે પૂછો, “કોનો ફોન હતો?” ફોનધારક જો કંટાળ્યા હોય તો ચિડાઈને કહે કે એ પૂછ્યું નથી. એટલે તમને ખ્યાલ આવે કે કટાણે ફોન ન કરવાનું મિત્રોને કહી દેવું પડશે! પાડોશીઓ વચ્ચેના સંબંધો ફોનના કારણે બગડતા તો. સુધારી લેવા પડતા–ફોનના કારણે!

    તારનાં જોડાણો

    ફોન લાઇનો મર્યાદિત હોવાનું કારણ ટેક્નિકલ હતું. એ મોબાઇલ ફોનની જેમ “વાયરલેસ’ ન હતા. આપણે બોલીએ તો ભૂંગળાંથી શરૂ કરીને સામા છેડાની વ્યક્તિના રિસીવરના કાન તરફના ભૂંગળા સુધી શબ્દશઃ તાર જોડેલા હોય છે. અમુક શેરીમાં કેટલાં કનેકશન આપી શકાય તેનો આધાર શેરી સુધી આવતા કૅબલમાં તારની કેટલી જોડીઓ છે, તેના ઉપર રહે છે. શહેરો વચ્ચે પણ તાર નાંખેલા છે, જેના થાંભલા રેલવે લાઇનને સમાંતરે ચાલતા આપણે ટ્રેનની બારીમાંથી જોઈએ છીએ. આમ, જોડાણ વધારવા માટે સરકારને ખર્ચ થતો. અનેક જગ્યાએ તારનાં જોડાણ હોવાથી અવાજની ગુણવત્તા ઉપર પણ અસર પડતી. આ બધાં છતાં વર્ષ ૧૯૮૦ સુધી જેમ તેમ રપ લાખ ફોન કનેકશન અપાયાં. આવડા મોટા દેશમાં આ સંખ્યા ઘણી ઓછી છે. ગામડાંમાં તો બહુ જ  ઓછા ફોન હતા.

    મહાનગરોમાં ફોનની અગત્યના કારણે કેમ સામાજિક ઢાંચાએ મારગ કાઢી લીધો હતો તે આપણે જોયું. ફોન કરનાર અને મેળવનાર એ બંને મુશ્કેલી વેઠી લેતા. એક અંગત ઉદાહરણ લઈએ. આ લેખક મુંબઈ આવ્યો ત્યારે નજીકના સંબંધીઓમાંથી એક-બેને ઘરે જ ફોન હતા. બાકીનાને જરૂર પડે તો પાડોશીને ત્યાંથી કે દુકાનમાંથી ફોન કરે. આ તરફ ઓફિસમાં એક એક્સ્ટેન્શન નંબર ઉપર ૫-૬ જણા એટલે ક્યારેક ફોન કરનારને “એન્ગેજ’ મળે. એટલે પાડોશીના ઘરમાં નીચા મોઢે દશેક મિનિટ બેસી રહેવું પડે-વારંવાર પ્રયત્ન કરવા! ને પછી ખબર પડે કે આપણે જગ્યા ઉપર નથી તો શું કરવું? ક્યારેક સંદેશો મૂકી દે તો ક્યારેક બીજી વાર બીજા પાડોશીને ત્યાંથી પ્રયત્ન કરે. આવી જ પરિસ્થિતિ આપણે એમનો સંપર્ક કરવામાં. પાડોશીને ત્યાં સમય જોઈને જ ફોન થાય.

    શહેરોમાં ક્યાંક વળી પબ્લિક ફોનના ડબ્બા મુકાયા ત્યારે આ સામાજિક દ્વિધામાંથી મુક્તિ મળી. પરંતુ જાહેર મિલકતને લોકો દુરુપયોગથી બગાડી નાંખે. ડાયલ ટોન ન આવે તો ડબ્બા ઉપર મુઠ્ઠીઓ પછાડે. અવાજ સ્પષ્ટ ન હોય તો રિસીવરના વાયરને ખેંચ ખેંચ કરે. કેટલાક તો એમાં એક રૂપિયાનો સિક્કો નાંખવાને બદલે પતરાનાં એ સાઇઝનાં ચકતાં નાંખી ફોન કરી જાય.

    કૉમેડી અને ટ્રેજેડીના આ ઝાટકાઓ વચ્ચે ૧૯૮૧માં ભારતના ભાગ્યમાં શ્રી સામ પિત્રોડા નામના સજ્જન અવતર્યા. પોતાના ઘરે અમેરિકા ફોન કરવામાં તેમને મુશ્કેલી થતી, તેમાંથી ભારતની સંદેશવ્યવહાર ક્રાન્તિનો જન્મ થયો. ભારત સરકારને તેમણે નવા વિચારો આપ્યા અને સરકારે તે ગંભીરતાથી લીધા (શ્રી પ્રભાકર દેવધર, પાછળથી જે ઇલેક્ટ્રોનિક કમિશનના ચેરમેન બન્યા તે અને તેના મિત્ર રાજીવ ગાંધીની મદદ લઈ પિત્રોડા શ્રીમતી ઇન્દિરા ગાંધી સુધી કેમ પહોંચ્યા તે બીજી રસભરી કહાણી છે). આ પ્રયત્નોથી ર૫ લાખ ટેલિફોનમાંથી ૧૯૯૯ સુધી અઢી કરોડ થયા. વધુ મહત્ત્વનું કે અવાજ સ્પષ્ટ આવવા લાગ્યો. વિદેશી ટ્રંકકૉલ પણ એવા સ્પષ્ટ બન્યા કે ત્યારે અમને વિશ્વાસ ન પડતો. ગામડાંઓને પંચાયત ઘરમાં કનેક્શન મળ્યાં.

    નવી નીતિનું અગત્યનું અંગ હતું STD – PCO બૂથની સંસ્કૃતિ. મહાનગરની ફ્લેટ સિસ્ટમમાં પ્રચલિત પાડોશીનો ફોન વાપરવાની રીત નાનાં ગામ અને શહેરોનાં ડેલીબંધ ઘરો અને બંગલાઓમાં ન ચાલતી. એ લોકોએ જીવનમાં ફોન નથી એમ જ માની લીધેલું. ફોન લાઇનો વધી તેમાં ઘણાં ઘરમાં ફોન આવ્યા. તેથીય વધારે સગવડ STD બૂથની થઈ. રાત્રે ૧૦ વાગ્યા પછી તેનો ભાવ અરધો લાગતો એટલે રાતના સમયે બૂથ સામે લાઇન લાગતી. જાણે એ આધુનિક ચોરો (ચોપાલ) હોય. ઓફિસના કામે બહારગામ જવાનું થાય અને ઘરે સલામતીના સમાચાર આપવા હોય તો આ બૂથો થવાથી સરળ બન્યું. આ તબક્કો જોકે બહુ લાંબો ન ચાલ્યો. મોબાઇલ ફોન આવી જતાં આ બધી મુશ્કેલીઓને એવી ભૂતકાળમાં ધકેલી દીધી છે કે યાદ કરવા માટે આવા લેખો વાંચવા પડે છે!

    અગનપંખી

    લેન્ડલાઇન કરતાં મોબાઇલનો, પ્રચાર જલદી થવાનું મુખ્ય કારણ કે એનું કનેક્શન લેવું સરળ હતું. એક નાનો-શો SIM કાર્ડ હાથમાં આવ્યો કે દુનિયાના દરવાજા ખૂલી જાય છે. વાયરિંગ કરવાની
    જરૂર નથી. આ હરીફાઈના કારણે ટેલિફોન તંત્રે પોતાની કાર્યક્ષમતા સુધારી પરંતુ ટેક્નૉલૉજીના પ્રવાહ સામે એ પૂરતું ન હતું. લેન્ડલાઇન ફોનની સંખ્યા વધતી અટકી અને ઊલ્ટું ઘટવા લાગી. દંતકથાનું પેલું અગનપંખી પોતે સળગી જઈ નવા પંખીને જન્મ આપે તેમ લેન્ડલાઇન ફોને મોબાઇલને જન્મ આપ્યો. આ “હાથફોન” જ્યારે સ્માર્ટ બન્યો ત્યાર પછી તો તેણે બીજી પણ અનેક ચીજોને હટાવવાનું શરૂ કર્યું છે. એ જ કૅલ્ક્યુલેટર છે, ઘડિયાળ છે, એલાર્મ છે, રેડિયો છે, ટેપરેકૉર્ડર અને DVD પ્લેયર પણ છે. એમાંનું કમ્પ્યૂટર એક આખી લાઇબ્રેરી પણ છે અને “સેલ્ફી’ના મોડમાં ચલાવો તો અરીસો પણ એ જ છે!


     સૌજન્યઃ નવનીત સમર્પણ * જુલાઈ ૨૦૨૪


    ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક prvaidya@gmail.com   વિજાણુ સરનામે થઈ શકે છે.

     

     

  • લૅન્ડ સ્કેઇપ (દૃશ્યભૂમિ)

    મ. ઝ. શાહ

    બળદેવભાઈ પટેલ

    ભૂમિદૃશ્ય. તે કુદરતી દૃશ્યની સુંદરતા સાથે સંકળાયેલ છે. ઉદ્યાનમાં સપાટ ભૂમિ પર લૉન હોય તેના પ્રમાણમાં થોડો ઊંચો, આછા ઢાળવાળો અને મોટી જગા ખુલ્લી રહે તે રીતે લૉનનો ટેકરો કર્યો હોય તો તે સુંદર લાગે છે અને માનવ- ઉપયોગમાં પણ આવી શકે છે. સપાટ લૉનથી ઉદભવતી એકલતા આ દૃશ્યભૂમિ-આયોજનથી દૂર થઈ શકે છે.

    દૃશ્યભૂમિ-ઉદ્યાન : તે આસપાસના કુદરતી પ્રદેશ સાથે વિરોધાભાસ દર્શાવે છે અને તેથી કુદરતી સૌંદર્યમાં ઓર વધારો થાય છે.

    દૃશ્યભૂમિ-ઉદ્યાનિકી(gardening)માં સમગ્ર સૌંદર્યાત્મક (aesthetic) અસર નિપજાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે; જેથી રહેઠાણો, જાહેર ઇમારતો અને સ્મારકોના સૌંદર્યમાં વધારો થાય છે; ઉદ્યાનો, રમતનાં મેદાનો અને મેળાવડાનાં સ્થળોમાં પૂર્ણતા આવે છે અને સુંદર બને છે. ઔપચારિક (formal) દૃશ્યભૂમીકરણ- (landscaping)માં ભૂમિમાં કૃત્રિમ ફેરફારો કરી સંતુલિત વનસ્પતિરોપણ દ્વારા ભૌમિતિક (geometrical) ભાત (design) રચવામાં આવે છે. વનસ્પતિરોપણની આ પ્રાકૃતિક શૈલી કુદરતી સૌંદર્યમાં ઉમેરો કરે છે. દૃશ્યભૂમિ ઉદ્યાનિકી એક પુરાતન કલા ગણાય છે. રોમન લોકો (ઈ. પૂ. 400 વર્ષથી ઈ. સ. 400 વર્ષ) ઘરની આસપાસ વિશાળ ઉદ્યાન ધરાવતા હતા. પ્રાચીન ઈરાન (ઈ. સ. 200થી 600 વર્ષ) અને જાપાન(ઈ. સ. 500 વર્ષ)નાં ઉદ્યાનો પણ ઉપર્યુક્ત પ્રકારના છે. ઈ. સ. 1400થી 1500ના ગાળામાં ઇટાલિયનોએ પહાડોની બાજુઓમાં સુંદર સંપદાઓ (estates) અને નગર-ચોકઠાં (civic squares) બનાવ્યાં હતાં. ફ્રાન્સમાં પણ ઈ. સ. 1600 અને 1700માં વિશાળ મહેલો અને નગરઉદ્યાનોનું નિર્માણ થયું હતું.

    દૃશ્યભૂમિના વિકાસથી માનવ આનંદ પ્રાપ્ત કરી શકે છે, તે ઉપરાંત તેનો ઉપયોગ થઈ શકે છે. આ ક્ષેત્રમાં વ્યાવસાયિક રીતે તાલીમ પામેલી વ્યક્તિઓને દૃશ્યભૂમિ-સ્થપતિ (landscape architect) કહે છે. દૃશ્યભૂમિની ભાત અને તેનું આયોજન એક વ્યવસાયમાં પરિણમેલ છે અને ઘણા કિસ્સાઓમાં તે ઉદ્યાનકૃષીય (horticultural) હોય છે. દૃશ્યભૂમિ-સ્થાપત્ય (landscape architecture) વ્યાપક સંદર્ભમાં માનવ માટે ભૂમિના ઉપયોગનાં બધાં પાસાં સાથે સંકળાયેલ છે. દૃશ્યભૂમિ-સ્થપતિ જીવંત વનસ્પતિઓ ઉપરાંત દૃશ્યભૂમિની ભાતનાં તત્ત્વો તરીકે પથ્થર, ચૂનાનો કોલ, કાષ્ઠ જેવાં દૃશ્યભૂમિ-દ્રવ્યોનો પણ ઉપયોગ કરે છે. ચિત્રકાર કે શિલ્પીની વિરુદ્ધ દૃશ્યભૂમિના વિકાસમાં વનસ્પતિઓ સ્થાયી નથી, પરંતુ સમય અને ઋતુ પ્રમાણે તે બદલાતી રહે છે. વનસ્પતિઓનાં રંગ, સ્વરૂપ, ગઠન અને તેમની હરોળનો દૃશ્યભૂમિમાં ભાતનાં તત્ત્વો તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. ભૂક્ષરણ(erosion)ના નિયંત્રણ માટે, પૃષ્ઠીય દ્રવ્ય (surface material) તરીકે અને સૂર્ય અને પવનથી રક્ષણ મેળવવા આવરણ તરીકેના કાર્યાત્મક (functional) તત્ત્વ રૂપે પણ વનસ્પતિઓનો ઉપયોગ થાય છે.

    સંપદાઓ અને ગૃહ-દૃશ્યભૂમિ(home landscape)ની ભાતના વિકાસથી દૃશ્યભૂમિ-સ્થાપત્યનો ઉદભવ થયો છે. દૃશ્યભૂમિ- સ્થાપત્યમાં શહેર અને કસબાનું આયોજન, ઔપચારિક અને વન્ય (wild) ઉદ્યાનો, જાહેર ઇમારતો, ઔદ્યોગિક દૃશ્યભૂમીકરણ તથા રાજમાર્ગો અને તેમની બાજુઓના વિકાસનો પણ સમાવેશ કરવામાં આવે છે.

    અલંકૃત ઉદ્યાનકૃષિ (ornamental horticulture) પુષ્પોદ્યાન કૃષિ (floriculture) અને દૃશ્યભૂમિ-ઉદ્યાનકૃષિ  એમ બે મુખ્ય ઘટકો તરીકે વર્ગીકૃત થાય છે. દૃશ્યભૂમિ-ઉદ્યાનકૃષિને ઉછેર, જાળવણી અને ભાત(design)માં વિભાજિત કરવામાં આવે છે. દૃશ્યભૂમિ માટે વનસ્પતિઓનો ઉછેર રોપણી (nursery) દ્વારા કરવામાં આવે છે. જોકે રોપણીમાં સ્થાયી રોપણ પહેલાં કોઈ પણ વનસ્પતિને ઉગાડી તેના તરુણ રોપને સ્થાપિત કરવામાં આવે છે. રોપણી-ઉદ્યોગમાં કાષ્ઠીય અને શાકીય વનસ્પતિઓ તથા અલંકૃત કંદ-પાકોનાં ઉત્પાદન અને વિતરણનો સમાવેશ થાય છે. મોટાભાગના રોપણી-પાકો શોભન-વનસ્પતિઓ છે. રોપણીના વ્યાપારમાં ફળ આપતી વનસ્પતિઓ, શતાવરી અને રેવંચી (રૂબાર્બ) જેવી ગૃહોદ્યાન(home garden)માં ઉપયોગી બહુવર્ષાયુ શાકભાજીઓ અને ક્રિસ્મસ ટ્રી વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. જોકે વૃક્ષારોપણને વનવિદ્યાનો ભાગ ગણવામાં આવે છે.

    કંદ-પાકોમાં ટ્યૂલિપ, હયસિન્થ (hyacinth), નરગિસ (narsissus), આઇરિશ, ડે લીલી અને ડહાલીઆનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કૂંડામાં ઉગાડાતા અસહિષ્ણુ (non-hardy) કંદો, અંત:કક્ષ વનસ્પતિઓ તેમજ ઍમેરેલિસ, એનિમોન, બિગોનીઆ, કૅલેડિયમ, કેના, ડહાલીઆ, ફ્રીસીઆ, ગ્લેડીઓલસ અને ટાઇગર ફ્લાવર જેવા બાહ્યકક્ષ (outdoor) કંદોને કંદ-પાક ગણવામાં આવે છે. શિયાળા દરમિયાન મૃદામાં ટકી જતી ક્રોક્સ, સ્નો ડ્રોપ, લીલી, ટ્યૂલિપ જેવી સહિષ્ણુ જાતિઓ ઉગાડવામાં આવે છે.

    જૂની દુનિયાના ઉદભવવાળા ઘણા કંદ-પાકોનો ઉદ્યાનકૃષિમાં ઘણા સમય પહેલાં પ્રવેશ કરાવાયો છે અને ઘણાં વર્ષોની પસંદગી અને સંકરણો દ્વારા નવી અર્વાચીન જાતો અસ્તિત્વમાં આવી છે. ટ્યૂલિપ સૌથી જાણીતી જાતિઓમાંની એક ગણાય છે. ઉદ્યાનોમાં આ ટ્યૂલિપની અર્લી ટ્યૂલિપ, બ્રીડર્સ ટ્યૂલિપ, કૉટેજ ટ્યૂલિપ, લીલી-ફ્લાવર્ડ ટ્યૂલિપ, ડાર્વિન ટ્યૂલિપ, ટ્રાયમ્ફ ટ્યૂલિપ, મેંડેલ ટ્યૂલિપ, પેરટ ટ્યૂલિપ વગેરે જાતો અસ્તિત્વમાં છે. નેધરલડ્ઝ ટ્યૂલિપ કંદોનો યુરોપ અને ઉત્તર અમેરિકા માટે મુખ્ય સ્રોત છે. તે ઉપરાંત, નેધરલૅંડ્ઝ, હયસિન્થ, નરગિસ, ક્રૉક્સ અને અન્ય કંદની જાતોનું ઉત્પાદન કરે છે.

    બહુવર્ષાયુ શાકીય જાતિઓ પુષ્પો માટે અને કેટલીક વાર ભૂમિની સપાટી પર વનસ્પતિ-આવરણ રચવા માટે ઉછેરવામાં આવે છે. વિશિષ્ટ બહુવર્ષાયુઓમાં હોલીહોક, કોલમ્બીન, બેલફ્લાવર્સ, ગુલદાઉદી (ક્રિસેન્થીમમ), ડેલ્ફિનિયમ, પિંક, કોરલબેલ, ફ્લોક્ષ પોપી, પ્રિમ રોઝ પીલીઆ, કોલીઅસ, ક્રોટોન વગેરેનો સમાવેશ થાય છે.

    દૃશ્યભૂમીકરણમાં ઉપયોગમાં લેવાતી ક્ષુપ-જાતિઓમાં (1) શંકુદ્રુમની સદાહરિત જાતિઓ જેવી કે યૂ (yew), જ્યુનિપર, સ્પ્રૂસ અને પાઇન; (2) પહોળાં પર્ણોવાળી સદાહરિત જાતિઓ જેવી કે રહોડોન્ડ્રોન, કૅમેલીઆ, હોલી અને બૉક્સવૂડ; (3) પર્ણપાતી જાતિઓ જેવી કે ફોર્સીથીઆ, વાઇબર્નમ લિલિયેક અને દારૂહળદરની જાતિઓ; તેમજ બોગનવેલ જેવી પુષ્પનિર્માણ કરતી લતાઓ અને (4) ગુલાબનો સમાવેશ થાય છે. બધી અલંકૃત ક્ષુપ-જાતિઓમાં ગુલાબનું સ્થાન વિશિષ્ટ છે. કેટલીક વાર તો પ્રજનક (breeder) માત્ર ગુલાબ પર પોતાનો વ્યવસાય કેન્દ્રિત કરે છે. મોટેભાગે કલિકારોપણ દ્વારા ગુલાબમાં વાનસ્પતિક પ્રજનન કરાવવામાં આવે છે. વ્યાપારી જરૂરિયાતોને પહોંચી વળવા અને નવી પસંદગીમાં ઝડપી અને આર્થિક વધારો કરવા માટે માત્ર આ એક જ વિકલ્પ છે.

    અલંકૃત છાયાવૃક્ષો પણ દૃશ્યભૂમિને સુંદર ઓપ આપે છે. આવાં વૃક્ષોમાં ફાઇક્સની જાતિઓ આસોપાલવ (Polyalthia), અશોક (Saraca), દેવકંચન (Bauhimia), શરુ (Casuarina), નીલગિરિ (Eucalyptus), રૉયલ બૉટલ પામ (Roystonea), ઑસ્ટ્રેલિયન બાવળ (Acacia auriculiformis) વગેરે વૃક્ષોને ચોક્કસ ભાતમાં વિકસાવવાથી દૃશ્યભૂમિ-ઉદ્યાનનું સૌંદર્ય નીખરી ઊઠે છે. દરિયાકિનારે ઊગતાં તાડ, નાળિયેરી કે તાડના કુળની અન્ય જાતિઓનાં વૃક્ષોનું કુદરતી દૃશ્ય પણ અનોખું હોય છે. દરિયાના પાણીને સ્પર્શતી ઢાળવાળી રેતીમાં આછી આછી ઓકળીઓ પડતી હોય છે; જે દૃશ્યભૂમિને ચોક્કસ સ્વરૂપ આપે છે.

    મકાનને કે ઇમારતનું ચોક્કસ દૃશ્ય ખડું કરવા વૃક્ષોની પસંદગી એવી રીતે કરવામાં આવે છે, જેથી દૃશ્યભૂમિની દૃષ્ટિએ ક્ષિતિજ (skyline) લગભગ સરખા સમતલમાં રહે.  ઉદ્યાનના આયોજનમાં પુષ્પ આપતી વિવિધ જાતિઓને ઋતુ પ્રમાણે ઉગાડવામાં આવે છે, જેથી બધી ઋતુઓમાં ઉદ્યાન રંગબેરંગી પુષ્પોથી છવાયેલો રહે. તેની ક્યારીઓ કે હરોળો કે ઉદ્યાનની સીમાઓને નિશ્ચિત ભૌમિતિક આકાર આપવામાં આવે છે. આમ, વિભિન્ન પાસાંઓને ધ્યાનમાં લઈ રચવામાં આવેલ દૃશ્યભૂમિના કુદરતી દૃશ્યને વધારે સુંદર બનાવી શકાય છે.


    સંપાદકીય નોંધ:  

    ૧. અહીં મૂકેલ તસવીર માત્ર સાંદર્ભિક પરિપ્રેક્ષ્ય માટે ઉમેરી છે.

    ૨. ગુજરાતી વિશ્વકોશમાં આવરી લેવાયેલ ૧૬૯ વિષયોમાં વિસ્તરેલાં અધિકરણૉમાંથી ચૂંટેલાં અધિકરણો વેબ ગુર્જરી પર રજૂ કરવાના ઉપક્રમના ભાગ રૂપે આ લેખ ‘બાગ-બગીચા – Gardening’ વિષયમાંથી પસંદ કરેલ છે.

    ૩. આ માહિતી અહીં માત્ર વાચકોની જાણ  માટે જ છે. તેનો આગળ ઉપયોગ કરતાં પહેલાં એ બાબતની ખાસ નોંધ લેવી ઘટે કે વિશ્વકોશનાં તમામ અધિકરણોના કોપીરાઈટ/માલિકીહક્ક ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના છે. એટલે એ લખાણો કે અધિકરણોનો  ઉપયોગ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની પરવાનગી સહિત જ કરવો આવશ્યક છે. તે ઉપરાંત ‘આ લખાણ કે અધિકરણના કોપીરાઈટ/માલિકીહક્ક ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના છે’ તે મતલબનું લખાણ હોવું આવશ્યક છે.

  • કિ ફલં કિ ફલં

    હકારાત્મક અભિગમ

    રાજુલ કૌશિક

    સ્વામી ચિદાનંદજીથી કોણ અજાણ હશે?  આજે સ્વામી ચિદાનંદજીના જીવનનો એક પ્રસંગ  વાંચવા મળ્યો.

    એક સમય તેમની સાથે ઋષિકેશમાં જતીન રામકૃષ્ણ આવીને રહ્યા. પુષ્પો અને શૃંગાર તેમના પ્રિય વિષય હતા એટલે દર બે-ચાર દિવસે આડોશ- પાડોશના આશ્રમો કે અન્ય સંસ્થાના ઉદ્યાનમાંથી ફુલો લાવીને સ્વામી ચિદાનંદજીના નિવાસસ્થાને સજાવીને મુકતા.

    બે-ચાર અઠવાડીયા પછી સ્વામી ચિદાનંદજીએ એમને પછ્યું,  “આટલા સુંદર ફુલો તમે ક્યાંથી લાવો છો?

    જવાબ મળ્યો, “ કૈલાશ આશ્રમ, પરમાર્થનિકેતન, યોગનિકેતન, ટૂરીસ્ટ બંગલેથી.”

    સ્વામી ચિદાનંદજીને આશ્ચર્ય થયું. “તમને ઋષિકેશ આવીને માત્ર મહિનો જ થયો છે, તો આ બધા લોકોને તમે કેવી રીતે ઓળખતા થયા?”

    “હું કોઇને પણ ઓળખતો નથી, કથામાં સાંભળ્યુ હતું કે શ્રી કૃષ્ણ માખણ ચોરી કરતા ત્યારે ‘કિ ફલં-કિ ફલં’ બોલતા જેથી પકડાય નહીં. હું પણ એમ જ બોલું છું અને ફુલો તોડી લાવું છું.” (જો કે સ્વામી ચિદાનંદને જાણતા દરેક માટે આ શબ્દ ‘ કિ ફલં કિ ફલં’ જરાય જાણીતો નથી જ. એનો સંદર્ભ પણ ક્યાંય મળ્યો નથી પરંતુ આપણે અહીં શબ્દાર્થ શોધવાના બદલે વાતનો મર્મ જોઇશું.)

    હવે સ્વામીજીને આઘાત લાગ્યો. “અરે! સાધુજીવનના આરંભમાં જ ફુલોની ચોરી! આજે બધા આશ્રમોના મહંત-મંડળેશ્વરને પગે લાગી આવજો-માફી માંગજો. પ્રાયશ્ચિત રૂપે દરેક બગીચામાં થોડા દિવસો સુધી પાણી પીવડાવજો અને જો અહીં ફુલો લાવવાનું ગમતું હોય તો જ્યાં રહ્યા છો ત્યાં બગીચો કરો, આમ તફડંચી મારેલ તો કદીયે લાવતા નહીં.”

    સીધી વાત….. કદાચ આપણા સૌમાં પણ આવો એક દલા તરવાડી બેઠો જ હશે. “રીંગણા લેને દસ-બાર” વાળી સ્વ-ઉક્તિથી મન મેળે બારો-બાર મંજૂરી મેળવીને પછી જે મળે તે મેળવી લેવાની વૃત્તિ પણ ક્યાંક ઊંડે ધરબાયેલી હશે કે પછી મનોમન કિ ફલં કિ ફલં’ બોલીને પકડાઇ ના જવાય એની તકેદારી રાખીને જે મળ્યુ એ હાથમાં અને બાથમાં કરી લેતા હોવાની શક્યતા ઊંડે ઊંડે ખરી ?

    ના હોય તો જ ઉત્તમ……………


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.