-
ઓળખવા જેવું વ્યક્તિત્વ: કવિ અને મનોવિશ્લેષક સલમાન અખ્તર – ૧
નરેશ પ્ર. માંકડ
બહુ ઓછા કવિઓ એવા હશે જે સલમાન અખ્તર જેવો ઓળખપત્ર ધરાવતા હશે. એમની એક વજનદાર ઓળખ તો સાઈકોએનાલિસ્ટ તરીકેની છે. તેઓ ફિલાડેલ્ફિયા (અમેરિકા)ની જેફરસન મેડિકલ કોલેજમાં સાઈકિયાટ્રીના પ્રોફેસર છે જેણે સાઈકીઆટ્રી અને સાઈકોએનાલિસિસના ૭૦ થી વધારે પુસ્તકો લખ્યાં છે. ૧૯૬૮માં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી એમબીબીએસ કર્યા પછી ચંડીગઢથી સાઈકિયાટ્રીની ડિગ્રી લીધી અને ૧૯૭૩માં અમેરિકા ગયાં જ્યાં સાઈકોએનાલીસિસ કર્યું. આ ઓળખ પછી વધુ આશ્ચર્યકારક લાગે એવી વાત એ છે કે તેઓ અંગ્રેજીના અને વિશેષ તો ઉર્દૂ ના સુસ્થાપિત કવિ છે.એ ક્ષેત્રમાં હજી વિશિષ્ટ પરિચય: એમના દાદા મુઝતર ખૈરાબાદી ઉર્દૂના શાયર, મામા મજાઝ લખનવી ઉર્દુ શાયરીનું માનવંતું નામ ( યાદ કરો, અય ગમ – એ – દિલ કયા કરું , તલત મહેમૂદનું યાદગાર ગીત), પિતા જાં નિસાર અખ્તર – ઉર્દૂના ખ્યાતનામ શાયર, અને આજના સમયમાં તરત સંધાન થઈ શકે એવું નામ – એમના મોટા ભાઈ જાવેદ અખ્તર. અલબત્ત, સલમાન કદાચ જાવેદ દ્વારા ઓળખાવાનું ઓછું પસંદ કરે. એમના અને જાવેદના પિતા સાથેના સંબંધો પણ તંગ હતા. સલમાનનો પરિવાર પ્રતિભાશાળી પણ બધા વિચિત્ર સ્વભાવ ધરાવનારા, સલમાનની જ કબૂલાત મુજબ. એમના માસી, એટલે મજાઝ ની બહેન, હમીદા સલીમે પણ ઘણાં પુસ્તકો લખ્યાં છે, એમાં કેઇન્સના માઇક્રોઇકોનોમિક્સ ના જર્મન પુસ્તકનો ઉર્દૂ અનુવાદ પણ છે.
સલમાને સાઈકોથેરેપી અને સાઈકોએનાલિસિસ તેમ જ કવિતાના ૧૧૫ જેટલાં પુસ્તકો લખ્યાં અને એડિટ કર્યા છે. એમની સાથે બેસીને વાતો કરો તો એ મનોવિજ્ઞાન અને ઉર્દુ શેર શાયરીનો ઉત્સવ બની જાય. વાત કરતાં કરતાં પણ વચ્ચે પોતાના અને અન્ય પ્રસિદ્ધ શાયરોના શેર આવ્યા કરે. એમ કરતાં બીજાની શાયરીની પેરોડી પણ કરે, જેમ કે નિદા ફાઝલીનો શેર છે:
अपना गम लेके कहीं और न जाया जाए
घर में बिखरी हुई चीज़ों को सजाया जाएસલમાન આ શેરની આવી હાલત કરી નાંખે છે:
अपना ग़म ले के कहीं ओर न जाया जाए
घर में जो रहते हैं उनको ही सताया जाए।આગળ મૂળ શેર:
जिन चिरागों को हवाओं का कोई खौफ नहीं
उन चिरागों को हवाओं से बचाया जाए।સલમાનની કરામત:
जिन चिरागों को हवाओं का कोई खौफ नहीं
उन चिरागों को तो पानी से बुझाया जाए।સલમાનની રમૂજ અને મસ્તી કરવાની આદત વારંવાર પ્રગટ થયા કરે છે. આવી જ વૃત્તિ એમના પિતાની વાત કરતી વખતે પણ દેખાય છે:
એક પત્રકારે જાં નિસાર અખ્તરને પૂછ્યું, મુશાયરામાં પહેલો કયો શેર કહેવો એ તમે કેવી રીતે નક્કી કરો છો?
સિગરેટ ફૂંકવાના અભિનય સાથે સલમાન જાં નિસાર વતી જવાબ રજૂ કરે છે:
એ કોઈ મુશ્કેલ કામ નથી. અહીં જોયું, ત્યાં જોયું, મહેફિલમાં સૌથી સુંદર સ્ત્રી હોય એને ધ્યાનથી જુઓ તો ખબર પડી જાય કે કયો શેર સંભળાવવાનો છે.
પત્રકાર પણ કંઈ કમ ન હતો, એ આગળ વધ્યો, “આખા સમૂહમાં કોઈ સુંદર સ્ત્રી ન હોય તો? “
ફરી સિગરેટનો કશ લેવાનો અભિનય, પછી જવાબ:
” તો પછી જે સહુથી ઓછી બદસૂરત સ્ત્રી હોય તેને જુઓ. “
આમ કહીને સલમાન મજાકિયા અંદાજમાં કાનની બૂટ પકડીને કહે છે, તૌબા, તૌબા, બહુત બુરા હૈ.
+ +
મજાઝ એક વાર અમારે ઘરે આવ્યા. પિતા જાં નિસાર અને એમને પીવાનું શરૂ કર્યું અને પીતા રહ્યા. માતા ઊઠીને જતાં રહ્યાં. બીજા દિવસે પણ એ જ ક્રમ શરુ થતો હતો પણ માએ એ લોકોને દારૂની મનાઈ કરી દીધી. તો હવે કરવું શું? માતાએ બૈતબાજી કરવાનું સૂચવ્યું જેમાં અંતાક્ષરીની જેમ એક એક વિષય લઈને શેર બોલવાનું શરુ થાય. આ તો બંને અસામાન્ય માણસો હતા. એ લોકોએ નક્કી કર્યું કે દરેક શેરમાં “આંખ” શબ્દ આવવો જોઈએ. રાતના પોણા ત્રણ વાગ્યા સુધી આ ચાલતું રહ્યું, પછી મજાઝ પાછા પાડવા લાગ્યા પણ જાં નિસાર અખ્તર અવિરત ચાલુ રહ્યા
એમના દાદા મુઝતર ખૈરાબાદી વિશે સૌથી જાણવા જેવી વાત. ન કિસી કી આંખ કા નૂર હું એ બહાદૂરશાહ ઝફરની કૃતિ છે એવી વ્યાપક માન્યતા ગલત છે. એ રચના મુઝતર ખૈરાબાદીની છે. વધુ જાણવા જેવી વાત એ છે કે ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લેવા બદલ એમને કાળા પાણીની સજા થઈ હતી.
મજાકિયા સલમાન કહે છે કે મને ઘણા લોકો ડૉકટર માનતા નથી. એમની માસી હમીદા સલીમે એમને કહ્યું હતું, બેટા, ઠીક છે, તારું નામ છે, પુસ્તકો લખ્યાં છે, પણ તું સર્જન થયો હોત તો સારું. હું બીજાને કહી શકત કે મારા ભાણેજે કોઈની કિડની કાઢી, કોઈનું લિવર કાઢ્યું! એમની માતાને પણ એવું લાગતું કે ભણવાનું બધું નકામું ગયું.

કોરોનામાં માસ્ક બાંધવા પડતા એના અંગે તેઓ કહે છે કે માસ્ક તો બેંક લૂંટતી વખતે બાંધતા, અને પછી ઉમેરે છે, It is revenge of the hijab.
ભાઈ જાવેદ સાથેના સંબંધ પણ અસામાન્ય રીતના છે, વર્ષોથી તેઓએ વાત નથી કરી. બંને ભાઈઓ વચ્ચેના ફરક વિશે સલમાન કહે છે, he is a very good poet of a different kind, I am not a bad poet of a different kind. અમારો દેખાવ એક સરખો નથી પણ બોલવાની રીતમાં ઘણી સમાનતા છે. ન્યૂ યોર્કમાં એક રેસ્ટોરાંમાં મેનેજરે એમને કહ્યું હતું કે ભારતમાં એક વ્યક્તિ છે જાવેદ અખ્તર નામની, એમની બોલચાલ બિલકુલ તમારા જેવી છે. સલમાન કહે છે, હું મૂળભૂત રીતે, આંતરિક રીતે ડોકટર છું, એ આંતરિક રીતે વકીલ છે, ડીબેટર છે, એમનો મિજાજ નેતા, વક્તા અને ચર્ચાકારનો છે. મેડિસિન માતૃત્વપ્રધાન, સ્ત્રીત્વ વાળો વ્યવસાય છે, સર્જરી પુરુષપ્રધાન છે, એ સુથાર અને હજામ માંથી આવે છે, મેડિસિન નર્સિંગ પરંપરામાંથી આવે છે. ડોક્ટર આપણને પૂછે છે, શું થાય છે, ક્યાં દુખે છે, ક્યારે થાય છે. સર્જન તો બેડ પર સુવડાવી ને શસ્ત્રક્રિયા કરી નાખે છે. એ બાપ છે, બીજા મા છે. “હું ફેમીનાઈન છું, જાવેદ મસ્ક્યુલાઈન છે.”
જાવેદ સલમાનથી અઢાર માસ મોટા છે. સલમાન એમને જાવેદ કહીને જ બોલાવે છે. તમે એમને આ રીતે બોલાવો તો ઘરમાં કોઈ ધમકાવતું નહોતું? એ પ્રશ્નના જવાબમાં સૂચક રીતે સલમાન કહે છે, ” ધમકાવવાવાળું કોઈ હોત તો અમે બન્ને આવા ન હોત.” વર્ષોથી તેઓ વચ્ચે કોઈ વાતચીત થઈ નથી પણ બંને એક બીજાની પ્રશંસા કરી લે છે. બંનેની રમૂજની સમજ અફલાતૂન છે, કદાચ સલમાનમાં વધુ છે. જાવેદનું ક્ષેત્ર જુદું છે, એ વક્તા અને વિચારકનો ભાગ ભજવે છે, એમાં ગંભીરતા વધુ જણાય છે.
સલમાન યોગ્ય રીતે જાવેદ માટે પ્રશંસાના શબ્દો કહે છે કે જાવેદ બહુ બુદ્ધિમાન, વિદ્વાન, શાર્પ, વિટ્ટિ છે. બંને વચ્ચે આ કદરની ભાવના છે તો પણ સંબંધ તંગ કેમ છે એ અંગે તેઓ કહે છે કે આ બધી બાબતો બહુ સંકુલ હોય છે, સરા જાહેર એની ચર્ચા કરી શકાય એવી નથી હોતી. પોતાનો શેર કહે છે, જાણે આ જ મુદ્દા પર હોય એમ:
देखें वो सवाल का देता है क्या जवाब
सुनते हैं आदमी बड़ा जादू बयान है*जादू बयान = મોહક, જાદુઈ વકતવ્યવાળું.
અહીં એ ઉલ્લેખ કરવો જોઈએ કે બચપણમાં ઘરના લોકો જાવેદને જાદૂ નામથી બોલાવતાં.
જાવેદની શાયરી ટાંકે છે:
तुम बैठे हो लेकिन जाते देख रहा हूँ
मैं तन्हाई के दिन आते देख रहा हूँસલમાન પોતાનો શેર જાણે કેમ જાવેદના સંબંધમાં કહેતા હોય એમ કહે છે:
गो देखते हैं मुझ से बहुत मुख्तलिफ हैं वो
अंदर से उसका हाल भी मेरे समान हैअक्सर वो कहते हैं वो मेरे हैं
अक्सर क्यों कहते हैं, हैरत होती हैપિતાની અસર, એમની બંડખોરી ની અસર કેવી અને કેટલી પડી એ પ્રશ્નના ઉત્તરમાં એમની રમૂજી રીતથી કહે છે કે એમની વધારે અસર તો અમિતાભ બચ્ચન પર પડી. જાવેદના શરૂઆતના એન્ગ્રી યંગ મેન ના ચરિત્રમાં એ દેખાય છે.
વાત કરતાં કરતાં જ તેઓ શાયરીમાં સરી પડે છે:
मुश्किल से जो लब तक आई है एक कहानी वो भी है
और जो अब तक नहीं कही है एक कहानी वो भी है।एक फसाना मुझ को सुनाया उम्र के चलते पहियेने
बचपन से जो रुकी हुई है एक कहानी वो भी है।અંગ્રેજીમાં પણ એમણે કવિતા કરી છે એનો એક નમૂનો:
I love trees that are neither young nor old
Trees seen in dreams
Trees that left cleverness and fall asleep easily
Trees which bear fruit which is liked by women
Trees that want to be near a river
I like all such trees and I love ice cream.એમનું પ્લેન એથેન્સમાં લેન્ડિંગ કરી રહ્યું હતુ ત્યારે આ કવિતા એમના દિમાગમાં ચમકી. તેઓ કહે છે, I love ice cream એ epileptic fit જેવું છે, એ નિયંત્રણ બહારનું છે અને એ જ સર્જનાત્મકતાની ક્ષણ છે, એ abandon ની ક્ષણ છે. લોકો એનાથી ડરે છે, ડરવું જોઈએ કેમ કે એ સાઈકોટિક છે. It is taking you to the psychotic and crazy part of your mind. મને પોતાને આ કવિતા સમજતાં મહિનાઓ લાગ્યા હતા.
કવિતામાં વૃક્ષ પુરુષ છે, આઇસક્રીમ સ્ત્રી છે. પુરુષ fertile અને generative છે. Neither young nor old માં પણ એવું જ છે. લોકોના મનમાં માતા પિતાની એવી જ છબી હોય છે, એ છબી adolescence ના સમયની હોય છે જ્યારે માતા પિતાની ઉંમર સામાન્યતઃ ૫૦ વર્ષની હોય છે.
તેઓ આગળ વાત કરતાં આઇરિશ નોબેલ વિજેતા કવિ સીમસ હીની ને ટાંકે છે: In poetry, the movement should be from delight to wisdom and not from wisdom to delight.
લોકો પૂછે છે, તમે ક્યારેક ઉર્દૂમાં લખો છો, ક્યારેક અંગ્રેજીમાં, એવું કેમ? સલમાન જવાબમાં કહે છેઃ પણ કવિતાનું તો એપિલેપ્સી જેવું છે, આઉટ ઓફ કંટ્રોલ.
0 0 0
મનોવિશ્લેષક સલમાન સપનાં વિશે વિગતે વાત કરે છે. સપના સંદેશા છે, માણસ જેની સાથે મથામણ કરે છે એવી કોઈક સમસ્યાના કોઈ પ્રકારના ઉકેલ છે.
પોતાની કવિતામાંથી કહે છે:
झूटी उम्मीद की उँगली को पकड़ना छोड़ो
दर्द से बात करो दर्द से लड़ना छोड़ोઅને હવે ગાલિબ:
आते हैं ग़ैब से ये *मज़ामीं ख़याल में
‘ग़ालिब’ *सरीर-ए-ख़ामा *नवा-ए-सरोश है*मज़ामीं= વિષયો, લેખો, નિબંધો
* सरीर-ए-ख़ामा = કલમથી લખતાં થતો અવાજ.
*नवा-ए-सरोश = દેવદૂતોનો અવાજ
समझ सके तो समझ ज़िंदगी की उलझनको
सवाल उतने नहीं है जवाब जितने हैं।સલમાન કહે છે કે કોવિડ પહેલાં હું દર વર્ષે હિન્દુસ્તાનમાં આવતો અને દિલ્હી તેમ જ બીજાં કોઈ એક શહેરની મુલાકાત લેતો. એ સમયે યુવાનોને મળવાનું થતું ત્યારે સમજાયું કે તેઓની બધામાં હિન્દી, ઉર્દૂ અંગ્રેજી બધાનુ મિશ્રણ થઈ જાય છે. તો આ ભાષામાં શાયરી કરવી જોઈએ. એમણે થોડી એવી ગઝલો લખી, એમાંથી થોડું અહીં જોઈએ
मैडनेस के करीब होते हैं दिल के रिश्ते अजीब होते हैं
हाल ए दिल दिल में छुपाए रखूं मूड को ज़ोवियल बनाए रखूंहाल अपनी मुश्किलों का नया एक इंवॉल्व हो
ये क्या कि रोज़ ड्रिंक्स में ही ग़म डिसॉल्व हो
डिस्टन्स उन को और हमें क्लोज़नेस पसंद
अब देखिए ये मसला किस तरह सॉल्व होસલમાન હસતા રમતા મજાક કરતા શાયર છે. તેઓ ફિલ્મી વિલન પ્રાણને યાદ કરતાં ફિલ્મ ખાનદાન નો એક ડાયલોગ બોલે છે. લલિતા પવાર પ્રાણ ને કહે છે, શંકર તુ ક્યું ચૂપ હૈ, કુછ બોલ. પ્રાણના અવાજની નકલ કરીને સલમાન તેનો ડાયલોગ બોલે છે, ” ચાચી, મૈં જો કુછ બોલૂંગા તો કડવા હિ બોલૂંગા”.
વિદેશમાં વસતા હિન્દુસ્તાની બાળકો પોતાની ભાષા નથી બોલતાં એ બાબતે એમની આગવી અદાથી કહે છે કે અમારાં બે બાળકો છે, તેઓ હિન્દુસ્તાની જબાન ત્યારે જ સમજે છે જ્યારે વાત પૈસાની હોય, કે ખાવાની હોય અથવા જ્યારે અમે ઈચ્છતાં હોઇએ કે બાળકો અમારી વાત ન સમજે !.
એમની શેરની સરવાણી વહેતી રહે છે.
जो बात छुपाई है सब से वो उन से छुपानी मुश्किल है
बाहर की कहानी आसाँ है अन्दर की कहानी मुश्किल हैउनसे मिलने जाते हैं मिलते ही बहुत पछताते हैं
हर बात पे ऐसा लगता है ये बात छुपानी मुश्किल हैआया न वतन क्यों हम को रास किस जुर्म पे पाया ये बनवास
किस मोड पे सीता छूट गई ये रामकहानी मुश्किल हैउम्र की बूढ़ी पड़ोसन चाल कैसी चल गई
वक्त के थैले में भर कर दे गई मजबूरियांजीना अज़ाब क्यूँ है ये क्या हो गया मुझे
किस शख़्स की लगी है भला बद-दुआ मुझे*अज़ाब= પાપને કારણે મળતું દુઃખ
मुझे ख़बर न थी इस घर में कितने कमरे हैं
मैं कैसे ले के वहाँ सारी दास्ताँ जाताइक वही शख़्स मुझ को याद रहा
जिस को समझा था भूल जाऊँगाकैसे हो क्या है हाल मत पूछो
मुझ से मुश्किल सवाल मत पूछोझाँकते रात के गरेबाँ से
हम ने सौ आफ़्ताब देखे हैंजिस से सारे चराग़ जलते थे
वो चराग़ आज कुछ बुझा सा था* * *
એમની એક ગઝલ:
जागते में भी ख़्वाब देखे हैं
दिल ने क्या क्या अज़ाब देखे हैंआज का दिन भी वो नहीं जिस के
हर घड़ी हम ने ख़्वाब देखे हैंदूसरे की किताब को न पढ़ें
ऐसे अहल-ए-किताब देखे हैंक्या बताएँ तुम्हें कि दुनिया में
लोग कितने ख़राब देखे हैंझाँकते रात के गरेबाँ से
हम ने सौ आफ़्ताब देखे हैंहम समुंदर पे दौड़ सकते हैं
हम ने इतने सराब देखे हैं* * *
દુનિયામાં કાયમ કંઈ નથી, બધું આવે ને જાય છે. નિદા ફાઝલિનો શેર છે:
ग़म हो कि ख़ुशी दोनों कुछ दूर के साथी हैं
फिर रस्ता ही रस्ता है हँसना है न रोना हैઅલબત્ત જાં નિસાર અખ્તર એથી ઊલટું કહે છે:
बहार आए चली जाए फिर चली आए
मगर ये दर्द का मौसम नहीं बदलनेका
સલમાન અખ્તરનાં વ્યક્તિત્વ અને શાયરીની વિવિધ વાતો ખૂટે એવી નથી. હજુ થોડું વિશેષ હવે ૩૦-૧૧-૨૦૨૪ના રોજ
શ્રી નરેશ માંકડનો સંપર્ક nareshmankad@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
ફિલ્મી ગઝલો – ૭૭. રઝીઉદ્દીન
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
શાયર રઝીઉદ્દીન વિષે માત્ર એટલી માહિતી મળે છે કે એમણે ૧૯૪૬ની બે ફિલ્મો સર્કસ કિંગ અને દિલ તેમજ ૧૯૪૭ની એક ફિલ્મ ‘રાસ્તા’માં કેટલાક ગીતો લખ્યાં હતાં. સર્કસ કિંગમાં ત્રણ સંગીતકારો હતા – જે અભ્યંકર, એન નાગેશરાવ અને હરિભાઈ. આ ફિલ્મમાં ૧૩ ગીતો હતા જે બધા રઝીઉદ્દીન દ્વારા લખાયેલાં. ફિલ્મ ‘ દિલ ‘ માં સંગીત ઝફર ખુરશીદનું હતું પણ એમાં ગીતકાર ત્રણ હતાં – શમ્સ લખનવી ( એમની ગઝલો આપણે જોઈ ગયા ), અર્શ હૈદરી ( એમની ગઝલો પણ જોઈ ) અને રઝીઉદ્દીન. આ ફિલ્મની અહીં લીધેલી ગઝલ ‘ લિખીં નસીબ મેં હૈં ઠોકરેં ઝમાને કી ‘ એ પછી ૧૯૪૭ માં આવેલી ફિલ્મ ‘ રાસ્તા ‘ માં ફરી એક વાર લેવાઈ.
એમણે સ્વયં અથવા અન્ય ગીતકાર સાથે સંયુક્તપણે કુલ ૨૩ ગીતો લખ્યા. એમની બે ગઝલ –
લિખીં નસીબ મેં હૈં ઠોકરેં ઝમાને કી
બહાર હી મેં જલી શાખ આશિયાને કીહંસી કે સાથ હી આંખોં સે ગિર પડે આંસુ
ખુશી-ઓ-રંજ હૈં દો કરવટેં ઝમાને કીજિગર મેં દર્દ, ખલિશ દિલ મેં, આંખ મેં આંસુ
સઝા યે ખૂબ મિલી હૈ નઝર મિલાને કી..– ફિલ્મ : દિલ ૧૯૪૬
– મોતી
– ઝફર ખુરશીદદે કે મુજે વો દર્દે જિગર ભૂલ ગએ ક્યા ભૂલ ગએ
ઝિક્ર યહી હૈ શામો સહર ભૂલ ગએ ક્યા ભૂલ ગએલહરાતી હુઈ ઐ ઠંડી હવા પૈગામ ઉન્હેં તુ મેરા સુના
કહના મિલા કે મુજ સે નઝર, ભૂલ ગએ ક્યા ભૂલ ગએકલિયોં મેં તબસ્સુમ આને લગા, અરમાન ભરા દિલ ગાને લગા
બુલબુલ સે કહા ગુલ ને હંસ કર, ભૂલ ગએ ક્યા ભૂલ ગએ..– ફિલ્મ : દિલ ૧૯૪૬
– નૂરજહાં
– ઝફર ખુરશીદ
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
ખેડૂતના મનની “એકાગ્રતા”……. ખેતીકાર્યોમાં લાવે નિપૂણતા
કૃષિ વિષયક અનુભવો
હીરજી ભીંગરાડિયા
હરકોઇ કાર્યની સિદ્ધિ માટે પુરુષાર્થીનાં તન, મન અને ધન તેમાં જોડાઇ જવાં જરૂરી છે. સામાન્ય ધંધાર્થીઓ માટે સામાન્ય, તો વિશ્વના મહાન વૈજ્ઞાનિક સંશોધનો પાછળ એના વૈજ્ઞાનિકોની અસાધારણ એકાગ્રતા જોડાયેલી હોય છે. વિશ્વ વિખ્યાત મહાન વૈજ્ઞાનિક આઇન્સ્ટાઇન પોતાની લેબોરેટરીમાં વહેલી સવારથી સંશોધનના કામે લાગેલા. તે સાંજ પડવા આવી છતાં બહાર જ ના આવ્યા ! અરે, બપોરનું જમવાટાણું પણ ચૂકી ગયેલા ! ત્યારે તેના મદદનીશથી ન રહેવાયું. એણે લેબોરેટરીમાં જઈ તપાસ કરી તો મહાશયને તેમના કામમાં મશગૂલ ભાળ્યા. જમવાનું પૂછ્યું તો સરખો જવાબ ન મળ્યો.
મદદનીશને સાહેબના સ્વભાવની ખબર હતી. તેણે કોફી તૈયાર કરી અને એક કપ કોફી ટેબલ પર મૂકી અને સાહેબનું ધ્યાન દોર્યું કે “સર ! તમે આજ સવારથી કંઇ જમ્યા નથી તો આટલી કોફી પી લેજો.”
થોડા સમય પછી મદદનીશ કોફીનો ખાલી કપ લેવા લેબમાં આવીને જુએ છે તો કોફીનો કપ એમનામ ભર્યો પડેલો જોયો. એટલે તેણે ઠપકાભર્યા સ્વરે કહ્યુ, “સર ! કોફીનો એક કપ હું તમારા ટેબલ પર મૂકી ગયો હતો, જે હજુ પડ્યો છે. કોફી તો કામ કરતા કરતા પણ આપ પી શક્યા હોત ! છતાં એક ઘુંટડો પણ તમે કોફીનો ભર્યો નથી ?”
આઈન્સ્ટાઇને ટેબલ પર જોયું તો સાચ્ચેજ કોફીનો કપ એમજ ભરેલો ભાળી આઇન્સ્ટાઇનને માથા પર હાથ ફેરવતા અને વિચારમાં પડી ગયેલા જોઇ પેલા મદદનીશે પૂછ્યું, “શું થયું સર ?” ત્યારે આઇન્સ્ટાઇને કહ્યું,, “ અરે ! મેં કોફી તો પી લીધી છે. તો પછી તેં શું કોફી બે કપ મૂકી હતી ?” આઇન્સ્ટાઇનના મોઢા સામે મદદનીશની નજર જતાં તેમના હોઠને કાળા થયેલા જોઇ તે ગભરાઇને રાડ પાડી ગયો- “ સર ! તમે ટેબલ પર કોફીના કપની બાજુમાં પડેલ પેનમાં પૂરવાની શાહીનો ખડિયો [કપ] ઉપાડીને પી ગયા છો !” ખરું કર્યું કહેવાય ને ? આઇન્સ્ટાઇન કામમાં એટલા મશગૂલ હતા કે પોતે શું પીવે છે એની યે ખબર નહોતી ! કામ પ્રત્યેનું કેવું સમર્પણ ! કેટલી એકાગ્રતા ! હરકોઇ અસાધારણ સંશોધનો પાછળ આવી અસાધારણ ધ્યેયનિષ્ઠા છુપાઇ છે.
આમ ગણીએ તો “ખેતી” પણ સંશોધન અને શોધનું જ ક્ષેત્ર કહેવાય ને ! ખેતીમાં એવી કેટલીય બાબતો છે કે જેમાં સંશોધનને કાયમ અવકાશ રહેલો હોય. દાત. માત્ર એક બીજની જ વાત કરીએ તો ધરતી એનીએ, ખાતર-પાણી એનાએ, ગોવાળી કરનાર ખેડૂત પણ એનોએ જ, છતાં એ નાનકડું એવું “બીજ” બદલાઇ ગયું ? પરિણામમાં ધરખમ ફેરફાર ! એમાંથી ઉગતા છોડ-ઝાડામાંથી ઉત્પન્ન કેવું મળશે એ આપણે ખેડૂતે નહીં, વનસ્પતિના એ નાનકડા બીજે જ નક્કી કરવાનું. એ છોડ કે ઝાડના રૂપ, રંગ અને દેખાવ- એમાંથી મળતી પેદાશનો સ્વાદ કેવો-ખારો, ખાટો, તીખો કે ગળ્યો-કડવો ? અરે, એ અન્નરૂપી, કઠોળ રૂપી, તૈલી પદાર્થ કે પછી રૂ-રેસાનું યોગદાન બક્ષનાર હશે કે હશે શાકભાજી કે ફળો,-અરે-સુગંધ-છાંયડો કે ઇમારતી બરનો લાકડકૂકડ રૂપી ખજાનાની વહેંચણી કરનાર ? એ બાબતે કેવી કળા કરવી તે બધાનો આધાર વનસ્પતિના બીજની મરજી ઉપર રહેલો હોય છે મિત્રો ! અને એટલે જ હવેનું કૃષિ વિજ્ઞાન પણ બસ “બીજ” ને જ કેંદ્રમાં રાખીને એની પાસેથી કેવા કેવા લાભો લઈ શકાય તેવી જ દિશામાં આગળ વધી રહ્યું છે ત્યારે જો સંશોધકોમાં એકાગ્રતાનો અભાવ હોય તો આ હેતુ થોડો પાર પડી શકવાનો છે ?
અને :
એવું જ ખેતીમાં કોઇ પણ કાર્ય થઈ રહ્યું હોય –પછી ભલે તે બીજને ભોંયમાં ભંડારવાનું હોય કે નડતા નિંદામણના છોડવાઓને ઉપાડવાનું હોય ! અરે, તાજી ઉગેલી મોલાતમાં ખાલાપૂરવણીનું હોય કે ઘાટા ઉગેલા છોડવાઓને પાંખા કરવાનું-પારવવાનું કામ હોય ! બધામાં કામ કરનારની એકાગ્રતાની એટલી જ જરૂર હોય છે.
દા.ત. માનો કે વાડીમાં તલ પારવણીનું કામ કરવાનું છે: તો “પારવણી” એ એક જાતની “કળા” છે. ચાલુ કામે આગળ ઊભા ચાસમાં નજર કરતા જઈ. ક્યો છોડ કઈ જગ્યાએ આપણે નક્કી કર્યાના અંતર પ્રમાણે આવે છે તેવી મગજમાં નોંધ કરી, એટલાને જ ઊભા રાખી, વચગાળામાં ઉભેલા વધારાના છોડ ખેંચી લેવા માટે ખાસ આયોજન પૂર્વકના ગણિતથી જ કામ કરવાનું રહે છે. ગમે ત્યાંથી ગમે તે છોડ ખેંચી કાઢી પાકને પાંખો કરવો તે તો મગજને ઘેર મૂકીને ખેતરે કામ કરવા બરાબર છે. વળી બે છોડના નિશ્ચિત અંતર કરતા સહેજ મોટું ખાલું આવી જાય ત્યારે ખાલાની બન્ને બાજુના છોડ બચાવી લઈ-અંદરના છોડને જ ખેંચવા જોઇએ. નબળા, પાતળા, ભાંગલા, માંદલા અને ચાસમાં આડા-અવળા ઉગેલા છોડ પહેલાં ખેંચી લઈ, સારા-લોંઠકા થડવાળા અને છતાં યોગ્ય અંતરે છોડ ઊભા રાખી એકધારા અંતરે છોડની ગોઠવણી કરી શકાય તેવી પારવણી કરવામાં હાથ અને મગજ બન્નેની સાથે જરૂર પડે છે, અને આવું તો જ થઈ શકે જો આ કામમાં આપણે પૂરા એકાગ્ર હોઇએ.
પણ જો ચિત્ત ઠેકાણે ન હોય તો ક્યારેક નબળા-દૂબળાને માંદલા છોડવા ઊભા રહી જવા પામે અને ન રહે બે છોડ વચ્ચેના યોગ્ય અંતરનો મેળ કે ધ્યાન બીજે ફરતું હોય તો વધારામાં બચાવેલ છોડવા પાછા આપણા જ પગ તળે દબાઈને પાછળ કચ્ચરઘાણ વળતો હોય એવું કરૂણ દ્રશ્ય પણ ખડું થઈ જતાં વાર લાગતી નથી.
બનેલો પ્રસંગ :
અમે અમારા જૂના ગામ ચોસલામાં રહેતા હતા અને જ્યારે ઓટોમેટિક વાવણિયાની હજુ શોધ થઈ નહોતી તે વખતની વાત છે. પંચવટીબાગમાં ઓરવાણ કરેલ પડામાં બળદના વાવણિયે ચાર વીઘા ઘઉંની વાવણીનું કામ પરવારી બાર-સાડાબારે હું બપોરા કરવા બેઠો તો દીકરી વનિતાએ ભાત છોડી, મને મગના શાક સાથે લાપસી પીરસેલી ભાળી હું તો રાજીના રેડ થઈ ગયો ! સવારથી તે બપોર લગણ બળદિયા અને વાવણિયા સાથે કરેલી ધમાલથી લાગેલો થાક અને ભૂખ પણ કકડીને લાગી હતી. પીરસાયાભેળી જ મેં બોલાવેલી ખાવાની ઝપટ જોઇ, દીકરી વનિતા કહે, ‘બાપા ! કેવી લાગી લાપસી ?’ મેં હસતાં હસતાં જવાબ આપ્યો “બેટા ! તેં બનાવી હોય પછી મીઠી જ લાગે ને?” “એટલું જ નહીં બાપા ! આપણા ઘરડા માજીએ કહ્યું હતું કે તારો બાપો આજ ઘઉં વાવવા ગયો છે. એને ખબર ન રહે તેમ બિયારણના ઢગલામાંથી થોડાક ઘઉં ચોરી લાવે તો ખરી માનું ! મેં માજીને પૂછ્યું કે એવું શું કામ ? તો કહે એની લાપસી બનાવીએ ને તો એ ઘઉંનો ઘેરો બહુ સારો થાય ! એટલે બાપા, હું વાડીએ આવી અને છાનીમાની-તમને ખબર ન પડે એમ તમારા બિયારણના ઢગલામાંથી થોડાક ઘઉં ચોરી ગઈ’તી, અને એ દળીને આ લાપસી બનાવી છે, એટલે લાપસી તો મીઠી હોય જ, પણ તમે વાવેલ ઘઉંનો આ ઘેરો પણ ખરેખરો થવાનો છે, એવું આપણા માજી કહેતા હતા.”
આમ ગણીએ તો માજીનું અનુમાન સાચું જ ગણાય ને? કારણ કે ઘઉંની વાવણી કરનાર ખેડૂતનું ધ્યાન આસપાસ કોણ આવે-જાય છે કે શું થઈ રહ્યું છે તે જોવામાં ડાફોળિયા મારવાને બદલે બિયારણ પૂરી ઉંડાઇએ અને સપ્રમાણરીતે જ વવાઇ રહ્યું છે ને ? વાવેલા બીજ ખુલ્લા તો નથી રહેતાને ? તેની ઉપર માપસરની માટી ઢંકાતી આવે છે ને ? બળદિયા આડાઅવળા હાલવાને બદલે પૂરેપૂરી સીધાણમાં જ હાલે છે ને ? વગેરે જેવી બીજવાવણીને લગતી ઘણી બાબતોની એકધારી ચીવટ લેવામાં જ એ ખેડૂત એટલો એકાગ્ર હોય છે કે બીજના ઢગલે કોણ આવે છે કે જાય છે એની ખબર એને ક્યાંથી હોય ? બસ એનું તો સમગ્ર ધ્યાન ઉત્તમ રીતની વાવણી કરવામાં જ રોકાએલ હોય ! અને જ્યાં આવી ચીવટભરી વાવણી થઈ હોય તે ઘઊંનો ઘેરો થોડો નબળો રહે ? આ શુભ પરિણામ ખેડૂતની એ કામ પ્રત્યેની એકાગ્રતાનું જ ગણાય કે બીજું કાંઇ, તમે જ કહો !
એવું જ ચોમાસા પહેલાં કપાસ-મગફળી જેવા પાકના વાવેતર માટે અગાઉથી સેંદ્રીય ખાતર ચાસે ચડાવવા ખુલ્લા ખેતરમાં ખેડૂતો ચાસ પાડતા હોય છે. ચાસ પાડતી વખતે ભલે બળદના સાંતી દ્વારા પડાતા હોય કે ટ્રેકટરના સાંતી દ્વારા- બળદ કે ટ્રેક્ટર હાંકનારે શરૂઆતમાં સામેના શેઢે એક નિશાન ધારી લઈ, બરાબર તેની જ સીધાણમાં પોતાનું સાંતી સહેજે ડાબે-જમણે ન ખેંચાઇ જાય એ રીતે ચલાવવાની ચીવટ રખાય તો જ ચાસ એકદમ સીધો પડતો હોય છે. પણ ચાલુ સાંતીએ ક્યાંક આડું અવળું જોવાઇ ગયું તો ખલાસ ! ચાસમાં તે જગ્યાએ આંટી-ઘરલ-વાંક પડ્યા વિના રહે જ નહીં, એવો આપણો અનુભવ છે. જાતે ખેતી કરતા ખેડૂતની ખેતીનું જાડું માપ કાઢવું હોય તો એની મોલાતના ચાસ સામે દ્રષ્ટિ માંડવા માત્રથી મળી જતું હોય છે. “ચાસની સીધાણ” વાડીની તો શોભા છે જ, ઉપરાંત તે ખેડૂતની માનસિકતાના પણ દર્શન કરાવે છે. એકદમ સીધા અને ભેળિયા-પહોળિયા ગાળા વિનાના સમાન ગાળે પડાએલા ચાસ એ એ ખેડૂતની કામ પ્રત્યેની એકાગ્રતાની નિશાની છે.
ઇતિહાસની શાખ :
મહાભારતમાં એક પ્રસંગ આવે છે. ગુરુ દ્રોણે વૃક્ષ પર બેઠેલ પંખીની આંખ વીંધવા બાબતે કૌરવો અને પાંડવોને એકપછી એક-દુર્યોધન, યુધિષ્ઠિર, ભીમ વગેરે બધાને વૃક્ષ ઉપર નજર કરાવી પૂછે છે કે “ બરાબર ધ્યાનથી જુઓ, તમને સામે શું દેખાય છે ?’” ત્યારે “ગુરુજી ! અમને તો બધું દેખાય છે, ઝાડ દેખાય છે, આકાશ દેખાય છે, આકાશમાં પંખીઓ ઉડતાં દેખાય છે, અમે કંઇ બેધ્યાન નથી !” એ રીતના જ સૌના જવાબો હતા. પણ જ્યારે અર્જૂનનો વારો આવ્યો ત્યારે ગુરુ એને પૂછે છે, “અર્જૂન ! તને સામે શું દેખાય છે ?” “ગુરુજી ! ઝાડ પર બેઠેલું પંખી.” “ શાબાશ, બરાબર જો ! તારે જે કરવાનું છે તેને સંભાળ.” “ગુરુજી ! તો હવે મને પક્ષી યે દેખાતું નથી, મને કેવળ એની આંખ જ દેખાઇ રહી છે.” ત્યારે ગુરુજીએ કહ્યું “હા, હવે ચલાવ બાણ” અને અર્જૂને એ પંખીની આંખ વીંધી નાખી.
અરે ! આપણા રોજબરોજ બનતા રહેતા પ્રસંગોની વાત કરીએ તો આપણા સગાવહાલાઓમાં ઉજવાતી રામાયણ કે ભાગવત સપ્તાહમાં એમના આમંત્રણને માન આપી મહેમાન બની સાંભળી રહ્યા હોઈએ, પુરાણી રામાયણમાંથી “ભાઇ હો તો ભરત જેવો ! અરે, રામ-લક્ષ્મણ બાંધવોની કેવી જોડી !” જેવી ઉપમાઓ આપી રામ-લક્ષ્મણ-ભરત-શત્રુઘ્ન જેવા ભાઇ ભાઇ વચ્ચેના પ્રેમની, એકબીજા વચ્ચે રખાતી આમન્યાની, એમની વચ્ચેની બંધુત્વ ભાવનાની એમાંથી આપણે સૌ શ્રોતાજનો ધડો-શીખ લઈ શકીએ એવી સરસ વાતો કરી રહ્યા હોય, ત્યારે આપણે બેઠા હોઇએ ભલે મોંઘેરા મહેમાન બની મંડપ વચાળે, આપણું મોઢું હોય પૂરાણી સામે જ અને આપણા કાન પણ વાત તો પૂરાણીના મોઢેથી જ બોલાતી સાંભળતા હોઈએ છતાં આપણું મન જો એવા જ વિચારે ચડ્યું હોય કે “નાનો ભાઇ આજ હળખેડ કરી રહ્યો છે ને વખતે સરહદનો ખુંટો હલાવી ન નાખે તો સારું, દીકરાને મરચીના રોપનો ક્યારો પાવાનું કહ્યું તો છે પણ ભૂલી તો નહીં જાય ને ? આજ મારે ત્યાં રહેવાની જરૂર હતી” શરીર ભલે સપ્તાહમાં બેઠું હોય પણ મનની એકાગ્રતા પૂરાણીના વેણને બદલે અન્ય ઠેકાણે ભટકતી હોય તો પછી કથા સાંભળી તોયે શું અને ન સાંભળી તોયે શું ?
ખેતીમાં મોટાભાગનાં કામો એવાં છે કે એમાં જરીકે ચૂક થઈ ? તો મર્યા સમજો ! આપણે કડબ, મગફળી, સાંઠી, તલહરાં કે પરાળ ગમે તે ચીજનું ભરોટું ભરતા હોઇએ અને ધ્યાન બરાબર ન રહ્યું ને પૂળા કે પાથરા આઘાપાછા કરતા જો વધુ પડતુ એકે બાજુ વજન દેવાઇ ગયું તો તરત જ ભરોટા ઉપરથી દડી જવાય, અને ક્યારેક ભરોટું પણ નમી જાય અને ઠેકાણે પહોંચતાં પહેલાં રસ્તામાં જ ક્યાંક ઠલવાઇ પણ જાય. અરે ! વરામનું વાગી નહીં જાય એનું યે કંઇ નક્કી થોડું છે?
ભર્યા ટ્રેલરે ટ્રેક્ટરને કારમૂક ઊંચો ચડાહ ચડાવતા ધ્યાન ક્યાંક ગયું હોય તો એક્ઝીલેટરને ભીંહ દેવાને બદલે બ્રેકને ભીંહ દેવાઈ ગઈ હોય તો કઈ દશા થાય બોલો ! ટ્રેક્ટર ચડાહ તો ન જ ચડે, ધુમાડો કાઢી બંધ પડી જાય અને ફરી ચાલુ કરવા માટે ગિયરમાંથી ફ્રી કરતાવેંત ઢાળમાં પાછુ દડવા માંડી ભૂંડાઇનો અકસ્માત સર્જી દે તે વધારામાં.
ફળો ઉતારતા હોઇએ કે શાકભાજી ચૂંટતા હોઇએ, ઊભા પાક પર દવા છાંટતા હોઇએ કે પોષકતત્વોની પૂરવણી કરતા હોઇએ, કે ભલેને પાકને પિયત આપવાનું કામ કરતા હોઇએ કે પછી તૈયાર ઉત્પન્નનું ગ્રેડીંગ કરતા હોઇએ, જેમાં પુરું મન આપીને કામગિરી કરાઇ હોય એ કામ ઓર દીપી ઉઠતું હોય છે, એ કામમાં હાથની સાથે હૈયું ભળેલું હોય એટલે એની ભાત્ય જુદી પડ્યા વિના રહેતી નથી મિત્રો !
સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ : krushidampati@gmail.com
-
કૃત્રિમ બુદ્ધિ પાછળ ઊભેલો બેવકૂફ
કૃત્રિમ બુદ્ધિ (આર્ટીફિસિયલ ઈન્ટેલિજન્સ-AI)
સોપાન જોષી

સંસ્કૃતમાં એક શબ્દ છે ‘ઉપકરણ’. એનો અર્થ થાય છે – ‘કર’ એટલે કે હાથનો વિસ્તાર. એ ઓજાર જે હાથ પાસે હોય, જે કોઈ કામ કરવામાં સહાયક બને. ઘણા જીવો પોતાના શરીરના કોઈક અંગ વડે કોઈક ને કોઈક પ્રકારનાં ઉપકરણ ચલાવે છે. હાથી પોતાની સૂંઢથી, જળબિલાડી હાથથી, ડોલફિન પોતાના મોઢામાં પથ્થર રાખીને ! સુગરી અને કાગડો પોતાની ચાંચથી.
આ બાબતમાં મનુષ્ય સાથે કોઈ જીવની સરખામણી થઈ શકે તેમ નથી. આજથી ૩૦ લાખ વર્ષ પહેલાં આપણા આદિમાનવ પૂર્વજોએ ઓજારો બનાવ્યાના પુરાવા મળી આવ્યા છે. સમયની સાથે સાથે પથ્થર, લાકડી અને હાડકાંથી બનાવેલાં ઉપકરણોના મનુષ્ય દ્વારા ઉપયોગના પુરાવા વધતા જ જાય છે. આગનો ઓજારના સ્વરૂપમાં ઉપયોગ કરવો એ તેનાથી પણ જૂની બાબત છે. આ જ ગુણ આપણને વિશેષ બનાવે છે.
જટિલ સામાજિક રચનાઓ ઘણા પ્રકારના જીવોમાં અને વનસ્પતિમાં પણ મળી આવે છે, અને જાણવા-સમજવાની શક્તિ પણ તેમનામાં જોવા મળે છે. પરંતુ જે જાતજાતનાં ઉપકરણોનું સર્જન આપણે કરી શકીએ છીએ, તેની કોઈ સરખામણી થઈ શકે તેમ નથી. આ સર્જનશક્તિના મૂળમાં બીજા લોકોનો સાથ તેમજ સહકાર છે, સહજીવન તેમજ સામાજિકતા પણ છે. આપણે આપણા સમાજના લોકો પાસેથી શીખીએ છીએ અને તેમના જ બનાવેલાં બીબાઓ ઉપર પોતાના નવા લેખ લખીએ છીએ. આ રચનાશીલતા સામાજિક જીવનમાંથી આવે છે.
સહકાર તેમજ કલ્પનાશીલતાનું મૂલ્ય આજકાલ ઓછું આંકવામાં આવે છે. આજે સર્જનનું બજાર બની ગયું છે, જેમાં તેને વ્યક્તિગત ઉપલબ્ધિ માનવામાં આવે છે. કાયદો તેના પર વ્યક્તિગત અધિકાર પણ માન્ય કરે છે. છેલ્લાં ત્રણ-ચાર હજાર વર્ષોથી ઉપકરણ બનાવવાની આપણી ક્ષમતામાં વિસ્ફોટક વધારો થયો છે. તેનાં અનેક કારણોમાંનાં બેની વાત અહીં કરવા જેવી છે. એક છે, પ્રકૃતિમાં રહેલા ભૌતિક તેમજ રાસાયણિક સિદ્ધાંતોને સમજવા અને બીજું છે, ગણિતના આધારે બધી જ વસ્તુઓને માપીને તેનો નમૂનો બનાવી શકવાની ક્ષમતા.
વન-ટૂ કા ફોર, ફોર-ટૂ કા વન
મનુષ્યના જ્ઞાન પર ગણિતનો પ્રભાવ વીસમી શતાબ્દીમાં ખૂબ વેગથી વધતો ગયો. તેની પાછળનું કારણ હતું ખૂબ ઝડપમાં મોટી મોટી ગણતરી કરનારું એક નવું સાધન (ઉપકરણ) – કમ્પ્યૂટર. જે કોડ પ્રમાણે ગણતરી કરવાનું નિર્દેશન (સૂચના) કમ્પ્યૂટરને આપવામાં આવે, તે એ જ પ્રમાણે ગણતરી કરીને આપી શકે છે. જેમ મનુષ્યનું જ્ઞાન સાપેક્ષ છે, તેવી જ રીતે ઘણાં મૂલ્યો પણ સાપેક્ષ હોય છે. કોઈ વસ્તુની કિંમત રૂપિયામાં આંકી શકાય છે, અને તેને એ મૂલ્યના આધારે ખરીદી કે વેચી શકાય છે. રૂપિયા-પૈસાથી લઈને શરીરની મેડિકલ તપાસને પણ આપણે ગણતરીથી સમજીએ છીએ. તેથી જ આપણો યુગ કમ્પ્યુટર યુગ બની ચૂક્યો છે.
આ શક્તિ વધતાં-વધતાં આજે ત્યાં સુધી પહોંચી ગઈ છે કે કેટલાક વિખ્યાત વિજ્ઞાનીઓને તેનાથી ડર લાગવા માંડ્યો છે. ક્યાંક આ કૃત્રિમ-બુદ્ધિ અથવા આર્ટિફીસિયલ ઇન્ટેલિજન્સ માણસના નિયંત્રણની બહાર તો નહીં ચાલી જાય ને ? તે મનુષ્ય પ્રજાતિનું નુકસાન તો નહીં કરી બેસે ને ? શું આપણો સર્વનાશ થઈ જશે ? આ ડરનો પ્રભાવ વ્યાપક બની રહ્યો છે, જ્યારે કે બહુ ઓછા લોકો સરખી રીતે જાણે છે કે આ કૃત્રિમ-બુદ્ધિ આખરે છે શું ?
એક આધુનિક ભસ્માસુર
વિનાશના આ ભયમાં કેટલીક વ્યાવહારિક વાતો ધ્યાનમાં નથી લેવાઈ રહી. આ કૃત્રિમ-બુદ્ધિનું ખરું જોખમ કંઈક બીજું જ છે -અને આ જોખમ એકદમ નવું છે. આ કૃત્રિમ-બુદ્ધિ અગાઉનાં બધાં ઉપકરણો કરતાં એકદમ જુદી છે. આજ સુધી આપણે જે સાધનો બનાવ્યાં તેનાથી આપણને કંઈક ને કંઈક સગવડ મળી છે. તેમના દ્વારા આપણે એવાં કામો કરી શકીએ છીએ જે પહેલાં થઈ જ નહોતાં શકતાં. અથવા તે કરવામાં કઠોર પરિશ્રમ કરવો પડતો હતો. આ બધાની પાછળ મંછા એ જ હતી કે મહેનત ઓછી થાય. માનવ પાસે સર્જન માટે વધારાનો સમય હોય, જેમાં તે વિચારવા-સમજવાનું કામ કરી શકે તેમજ પોતાનું મનોરંજન પણ કરી શકે.
કૃત્રિમ-બુદ્ધિની વાત જુદી છે. તે મહેનત ઓછી નથી કરતી પરંતુ રચનાત્મકતા ઓછી કરે છે. તેને કારણે કેટલીક સગવડો જરૂર મળે છે જે ઘણા લોકો માટે ખૂબ કિંમતી છે. પરંતુ આ એવાં સાધન નથી જે આપણને સામાજિકતા અને કલ્પનાશીલતા તરફ લઈ જાય. ટી.વી. અને કમ્પ્યુટર પર ચાલતા કાર્યક્રમો પૂરા થતાં પહેલાં જ આપણને બીજા કાર્યક્રમોની જાહેરાતો આવવા માંડે છે. આ એવા કાર્યક્રમો હોય છે જે જોવામાં આપણને રસ પડે. આ કેવી રીતે બને છે ? આ કૃત્રિમ-બુદ્ધિ આપણા દરેક કામ, દરેક નિર્ણયનો એક રેકોર્ડ બનાવે છે, પછી તેનું ગણિત કરીને આપણા સ્વભાવનું અલગોરિધમ બનાવે છે. તેને હંમેશ માટે યાદ રહે છે કે આપણે કયા-કયા વીડીયો ક્યારે જોયા હતા, કયા ટી.વી.ના કાર્યક્રમમાં આપણે રસ ધરાવીએ છીએ.
આના આધારે તે આપણને બીજા કાર્યક્રમોની યાદી સતત પીરસતી રહે છે. આપણને તે સતત એ જ વાતોમાં ફસાયેલા રહેવા માટે ઉત્તેજિત કરે છે જેમાં આપણને રસ હોય. બિલકુલ એવી જ રીતે જેમ “નો વન કેન ઈટ જસ્ટ વન” (કોઈને એકથી ધરવ ન થાય)ના સિદ્ધાંત પર ખાદ્ય પદાર્થોની જાહેરાતો આપણને સતત એવી વસ્તુઓ ખાવા માટે ઉત્તેજિત કરતી રહે છે જે ખાવાથી આપણું આરોગ્ય બગડે છે. કોઈ કહી શકે કે, “તેને ખાવા-જોવાનો નિર્ણય તો આપણા હાથમાં જ છે ને” – પરંતુ આ બુદ્ધિનો પ્રમાદ માત્ર છે.
આ બાબતમાં થયેલાં ઘણાંબધાં વૈજ્ઞાનિક સંશોધનો એ દર્શાવી ચૂક્યાં છે કે સમજી-વિચારીને નિર્ણય લેવાની આપણી ક્ષમતા આ જાહેરાતોની ચાલબાજીની સામે પડી ભાંગે છે. આપણે એમ નથી વિચારતા કે સ્વાદિષ્ટ ભોજન બનાવીને પ્રિયજનોની સાથે તેની લિજ્જત કેવી રીતે માણીએ. પરંતુ, આપણે તો તાત્કાલિક આપણી તીવ્ર ઉત્તેજનાને તૃપ્ત કરવાની જાળમાં ફસાઈ જઈએ છીએ.
નેટફ્લિક્સ કે યુ-ટ્યૂબ પર એક વીડીયો જોયા પછી આપણે બીજો વીડીયો જોવા વિવશ થઈ જઈએ છીએ. આ કૃત્રિમ-બુદ્ધિ આપણને સતત તાત્કાલિક-તૃપ્તિના કૂવામાં ધકેલતી રહે છે. તેને યાદ રહે છે કે આઠ વર્ષ પહેલાં કયું ગીત સાંભળ્યા બાદ આપણે કઈ વાનગી ઓનલાઈન ઓર્ડર કરી હતી. ફટાક દઈને તે એની જ જાહેરાત આપણી સામે લાવીને મૂકી દે છે. આને કારણે એ નવી સંવેદનાઓ, નવા અણસારોની ગુંજાશ પણ નથી રહેતી જેને કારણે સામાજિકતા, કલ્પનાશીલતા, સહકાર તેમજ સર્જનના રસ્તાઓ ખૂલી શકે. એટલું જ નહીં, તે જે પ્રકારનું ભોજન તેમજ મનોરંજન આપણને સતત પીરસતી રહે છે તેને કારણે આપણાં શરીર તેમજ મનને અસ્વસ્થ બનાવે છે.
અંદાજ કરવાની જરૂરિયાત
આ અઈંને અંદાજ લગાવવા માટે જ બનાવવામાં આવી છે. આગળ શું થવાનું છે એ જાણવાની ઇચ્છા મનુષ્યમાં મૂળભૂત રીતે રહેલી હોય છે. ચેતાતંત્રના વિજ્ઞાનમાં આજે એવું માનવામાં આવે છે કે આપણું મગજ એક પ્રકારનું પ્રેડીક્શન મશીન છે, એટલે કે અંદાજ અથવા તુક્કા લગાવનારું યંત્ર. આપણે સૃષ્ટિને તેટલી જ જાણી શકીએ-સમજી શકીએ જેટલું આપણું મગજ અનુમાન લગાવી શકે, ભલે પછી તેને આપણે જોઈ શકતા હોઈએ તો પણ.
સમાજ અને પરિવાર જેવી કુદરતી સંસ્થાઓ માટે તેમાં કોઈ મુશ્કેલી નથી. કારણ કે આ સંસ્થાઓ કુદરતી છે, તેને વિશ્ર્વની અનિશ્ર્ચિતતાઓ સાથે જીવતાં આવડે છે. તેને અસ્થિરતામાં પણ જીવતાં આવડે છે, તેમાં જ તે ફૂલે-ફાલે છે. પરંતુ માણસે બનાવેલી બે એવી સંસ્થાઓ છે જેને માટે અનિશ્ર્ચય અને અજ્ઞાન બે બહુ જોખમકારક હોય છે – રાજ્ય તેમજ વ્યાપાર. આ બંને સંસ્થાઓએ મોટાં-મોટાં જોખમો ઉપાડવાં પડતાં હોય છે. બંને પોતાની આજુબાજુ નિયંત્રણ ઇચ્છે છે, જેથી તેમની સત્તા જળવાઈ રહે. બંને માટે પૂર્વાનુમાન (અંદાજ) ખૂબ જરૂરી રહ્યું છે.
પહેલાંના જમાનામાં આ જરૂરિયાત જ્યોતિષી દ્વારા પૂરી થતી હતી. રાજાઓ યુદ્ધ તેમજ સુલેહ કરવાના નિર્ણયો જ્યોતિષીની સલાહથી કરતા હતા. અન્ય રાજ્યો તેમજ પોતાના હરીફોની માહિતી રાખવા માટે ગુપ્તચર રાખવામાં આવતા, જેથી અગાઉથી ખબર પડે કે પાડોશી રાજ્યો શું કરી રહ્યાં છે. તેવી જ રીતે વ્યાપારીઓએ જ્યારે મોટા-મોટા સોદા કરવાના થતા, એવા લોકો સાથે, એવી જગ્યાઓએ જેને અંગે વિશેષ માહિતી ન હોય; એ લોકો પણ જ્યોતિષ પાસેથી ભવિષ્ય જાણી લેતા હતા. તેઓ પણ બહુરૂપિયાને મોકલીને જાણકારી મંગાવતા હતા. ક્યાંક વળી આ અનુમાન ગ્રહો-નક્ષત્રોને જોઈને કરાતા હતા, તો ક્યાંક બલિ ચઢાવેલ પશુઓના આંતરડાને ખોલીને અથવા પક્ષીઓની ઉડાન જોઈને.
આજે મોટાભાગના દેશો પર કોઈ રાજવંશનો કબજો નથી રહ્યો. વ્યાપાર પણ પારિવારિક કારોબારનો નથી રહ્યો, તે તો હવે કોર્પોરેટ જગતના ઝાકઝમાળવાળી અને અદૃશ્ય એવી ઓફિસોમાં ખોવાઈ ગયો છે, શેર બજારમાં વેચાઈ તેમજ ખરીદાઈ રહ્યો છે. તેમ છતાં અંદાજ લગાવવાની જરૂરિયાત ઓછી નથી થઈ, બલ્કે વધી જ છે. રાજનેતા ચૂંટણી જીતવા તેમજ સત્તા મેળવવા માટે પૂર્વાનુમાન ઇચ્છે છે. કોર્પોરેટ જગતમાં તો શેરના ભાવથી લઈને બજારની નાનામાં નાની વિગતને કારણે અરબો રૂપિયાની મૂડી અહીંથી ત્યાં થઈ શકે છે. બીજા વિશ્ર્વયુદ્ધ પછી આ બંને સંસ્થાઓએ અંદાજ લગાવવાનું કામ અર્થશાસ્ત્રને સોંપી દીધું હતું. રાજ્ય તેમજ કંપનીઓની નીતિ તેમજ રીત-ભાત, એ બધાં પર આજે અર્થશાસ્ત્રનો પ્રભાવ છે. દરેક મૂલ્યાંકન પણ અર્થશાસ્ત્રીઓ પાસે કરાવવામાં આવે છે.
પૂર્વાનુમાન કરવાનું ગણિત આજે ‘આર્ટિફીશીયલ ઇન્ટેલીજન્સ’ને સોંપી દેવામાં આવ્યું છે. કારણ કે તેની શોધ જ આ કામ માટે કરવામાં આવી છે. તેથી તે દરેક વ્યક્તિની દરેક ઓનલાઈન ક્રિયાઓ રેકોર્ડ કરવાનો પ્રયત્ન કરે છે. પરંતુ આ કૃત્રિમ-બુદ્ધિ તમને માત્ર એ જ નથી પીરસતી જેને તમે અગાઉ પસંદ કરી ચૂક્યા છો. ના, તે ધીરે ધીરે તમારો સ્વાભવ બદલે છે જેની તમને ખબર સુધ્ધાં નથી પડતી. જેમ જેમ તેનું ગણિત તથા તેની શક્તિ વધતી જાય છે, તેમ તેમ તેનો આપણા પરનો કબજો વધતો જાય છે. તે આવું કેમ કરે છે ?
મશીનની સગવડોથી આકાર પામેલો નવો માણસ
કૃત્રિમ-બુદ્ધિ પૂર્વાનુમાન કરવા માટે બની છે. તેથી તે એવું ઘણું જાણે છે કે જે અગાઉ થઈ ચૂક્યું છે. તેને માટે એ બાબત અનુકૂળ નથી કે તમારો વ્યવહાર, તમારા નિર્ણય તેની સમજમાં ન હોય. તેને માટે તે એવું ઇચ્છે છે કે તમે જે પણ કરો, તે કોઈ જાણીતી પ્રણાલી કે ઘરેડમાં બેસે તેવું હોય. જો તમને તમારી જ્ઞાતિના લોકો ગમતા હોય તો તે તમને દરરોજ એવી સામગ્રી પીરસશે જેમાં તમારી જ્ઞાતિને સારી દેખાડવામાં આવે અને અન્ય જ્ઞાતિઓને ખરાબ. તેવું જ તે ધર્મની બાબતમાં કરશે. તમારા ધર્મના ગુણગાન ગાશે અને અન્ય ધર્મોની બૂરાઈ કરાતી સામગ્રી તમને બતાવશે. જો તમને કોઈ વિશેષ રાજકીય નેતા પસંદ છે તો કૃત્રિમ-બુદ્ધિની સગવડ એમાં જ સચવાયેલી છે કે તે તમને તમારા પ્રિય નેતાની વાહવાહ કરનારી બાબતો બતાવે. જો તે નેતાએ કંઈ ખોટું કામ કર્યું, તો તેની વાત કરનારી સામગ્રીને તે તમારાથી દૂર રાખશે. જ્યારે દરરોજ તમને આવી જ સામગ્રી જોવા મળે, ત્યારે આપણને પાકો વિશ્ર્વાસ બેસી જાય છે કે સત્ય એ જ છે જે આપણે માનીએ છીએ. જે લોકોની માન્યતા આપણાથી જુદી છે તે આપણી નજરમાં ઘૃણાપાત્ર બની જાય છે.
આ કૃત્રિમ-બુદ્ધિની પાછળ ખૂબ મોટાં કોર્પોરેશન્સ છે, જેમની શક્તિ દેશોની સરકારોનો મુકાબલો કરી શકે તેમ છે. આ કંપનીઓનો સ્વભાવ પણ બદલાઈ ગયો છે. એક સમય હતો જ્યારે કોર્પોરેશન્સ કોઈ પરિવાર કે ગ્રુપને હસ્તક હતાં, તેથી જ વ્યાપારી ઘરાનાઓનાં નામ આટલાં લોકપ્રિય છે. અમેરિકામાં રોકફેલર અને કાર્નેગી જેવાં નામ છે, આપણે ત્યાં ટાટા-બિરલા, અંબાણી-અદાણી જેવાં. મૂડીવાદનું આ કડવું સત્ય જગજાહેર છે કે આ મૂડીવાદીઓ પોતાના નફા માટે કંઈ પણ કરી શકે છે.
ગુલામીનું ગણિત, સગવડોની લાલચ
આજનાં કોર્પોરેશન્સ પારિવારિક માલિકીથી પણ મુક્ત છે. તેમની પાછળ છે માત્ર પોતાની સગવડો માટે કામ કરનાર તેમજ કરાવનાર અલગોરિધમ. જે મનુષ્યને પોતાના હિસાબે ઢાળી શકે છે. ફેસબુક અથવા ટ્વીટર જેવી સોશિયલ મીડિયાની કંપનીઓ આજે કોઈ ચૂંટણીનાં પરિણામોને આમથી તેમ કરી દઈ શકે છે. એક જમાનામાં આખી દુનિયા પર વર્ચસ્વ જમાવવાની ઇચ્છા રાખનારા રાજાઓને મોટી સેના ભેગી કરવી પડતી હતી. આજે આ કામ ‘વર્ક ફ્રોમ હોમ’ કરનારા નવી કંપનીઓના અદૃશ્ય માલિકો કરી શકે છે, જેમની બુદ્ધિ કૃત્રિમ-બુદ્ધિને બનાવી રહી છે, અને તેને વશ પણ થઈ રહી છે.
વિશ્ર્વભરમાં સરમુખત્યારશાહ નેતાઓની લોકપ્રિયતા વધવાનું મુખ્ય કારણ એ છે કે લોકો પોતાના જેવા લોકોને જ બરાબર માને છે, પોતાનાથી જુદા લોકોને તિરસ્કારની દૃષ્ટિથી જુએ છે. દરેક પ્રકારના ઉગ્રવાદી રાજકીય મતની લોકપ્રિયતા વધતી જાય છે. કેટલીક જગ્યાએ તે પરંપરાના બહાના હેઠળ થઈ રહ્યું છે, તો કેટલીક જગ્યાએ આધુનિકતાના નામે. ક્યાંક વળી તે દેશના નામે થાય છે, તો ક્યાંક ધર્મને નામે. ક્યાંક ભાષા, તો ક્યાંક વંશને નામે.
આપણા સહુના ઓળખપત્ર ((I Card) કૃત્રિમ-બુદ્ધિની સુવિધાથી બની રહ્યાં છે. આ ગણિત જે આપણને સુવિધા પ્રદાન કરી રહ્યું છે તેની કિંમત છે – આપણો વિવેક, આપણી સામાજિકતા અને સર્જનશીલતા, સહજીવનની આપણી ઇચ્છા સુધ્ધાં ! આ એક એવું ઉપકરણ છે જેની સામે માનવસમાજ એક કઠપૂતળી બનીને રહી જાય છે. ખૂબ ઝડપથી બેવકૂફ બની રહેલા મનુષ્યનો હાથ આજે કૃત્રિમ-બુદ્ધિનું ઓજાર બની ચૂક્યો છે. આપણે તેના પૂર્વાનુમાન પ્રમાણે આકાર લેવા માટે તૈયાર જ નહીં, આતુર છીએ ! વિજ્ઞાન તેમજ ટેકનોલોજીએ ખૂબ પ્રગતિ કરી છે. માણસ જ્યાં હતો ત્યાંથી નીચે ખસવા માટે તૈયાર છે. લાવો, કઈ જાહેરાત છે તમારી પાસે ?
સાભાર સૌજન્યઃ ભૂમિપુત્ર, ૯ ઓગસ્ટ ૨૦૨૩
-
દીવાનખાનામાં રહેલો હાથી ન દેખાય તો શું કરવું?
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
વિવિધ વન્ય તેમજ ઘરેલુ પશુપક્ષીઓનું માહાત્મ્ય આપણાં ધર્મગ્રંથો અને પુરાણોમાં કરેલું છે, પણ આટલા અનુભવે એ હકીકત પુરવાર થઈ ગઈ છે કે એ બધું છેવટે ‘પોથીમાંનાં રીંગણાં’ જેવું પુરવાર થયું છે. એનો અર્થ એટલો કે વાસ્તવમાં એ જીવોની આપણને કશી પરવા નથી, અને આપણે એના માહાત્મ્યને ગ્રંથનાં પાનાં પૂરતું મર્યાદિત કરી મૂક્યું છે.
જેમ કે, હાથી વિશે વાત નીકળે એટલે આપણી સંસ્કૃતિમાં હાથીના માહાત્મ્ય વિશે પોપટપાઠ કરનારા અનેક મળી આવશે, પણ એ પુસ્તકિયું જ્ઞાન થયું. જ્ઞાન નહીં, માહિતી. વાસ્તવિકતા શી છે? આંકડા પર નજર કરવાથી ખ્યાલ આવશે.
વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન ભારતમાં હાથીની શી સ્થિતિ છે? દર પાંચ વર્ષે ‘વાઈલ્ડલાઈફ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયા’ (ડબલ્યૂ.આઈ.આઈ.) દ્વારા હાથીની વસતિગણતરી કરવામાં આવે છે. આ સંસ્થા પર્યાવરણ મંત્રાલય હેઠળ કાર્યરત છે. વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન હાથ ધરાયેલી હાથીઓની વસતિગણતરીનો અહેવાલ ફેબ્રુઆરી, ૨૦૨૪થી તૈયાર થયેલો પડ્યો છે, પણ હજી તે સરકાર દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો નથી. સાત વિજ્ઞાનીઓ અને દહેરાદૂનસ્થિત ‘ડબલ્યૂ.આઈ.આઈ.’ના અધિકારીઓ દ્વારા સંયુક્ત રીતે એ તૈયાર કરાયેલો છે. ઈશાન ભારતમાં હાથીઓની ગણતરીમાં વિલંબ થઈ રહ્યો હોવાનું જણાવીને સરકારે આ અહેવાલ હજી સુધી પ્રકાશિત કર્યો નથી.
અગ્રણી અંગ્રેજી દૈનિક ‘ઈન્ડિયન એક્સપ્રેસ’ દ્વારા આ અપ્રકાશિત અહેવાલની કેટલીક વિગતો પ્રકાશમાં લાવવામાં આવી છે. એ મુજબ, પાંચ વર્ષ પહેલાંની સરખામણીએ આ વખતે હાથીઓની સંખ્યામાં ૨૦ ટકાનો ઘટાડો છે. એમાંય મધ્ય ભારત અને પૂર્વ ઘાટના વિસ્તારમાં આ ઘટાડો અગાઉની સરખામણીએ ૪૧ ટકા જેટલો ખતરાસૂચક છે. સંખ્યામાં ઘટાડાની સાથોસાથ આ અહેવાલમાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા વિકાસ પ્રકલ્પોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેનાથી આ પ્રજાતિને સીધો ખતરો છે.
મંત્રાલયના જણાવ્યા અનુસાર આ અહેવાલ ‘વચગાળાનો’ છે. ઈશાન ભારતના હાથીઓની સંખ્યાને સમાવતો આખરી અહેવાલ જૂન, ૨૦૨૫ સુધીમાં પ્રકાશિત થશે.
મધ્ય ભારત અને પૂર્વ ઘાટ વિસ્તારોમાં નોંધાયેલા સૌથી મોટા ઘટાડામાં પશ્ચિમ બંગાળના દક્ષિણ વિસ્તારમાં ૮૪ ટકા, ઝારખંડમાં ૬૮ ટકા અને ઓરિસ્સામાં ૫૪ ટકા જેટલો મહત્તમ કહી શકાય એવો ઘટાડો છે. આ ત્રણે વિસ્તારોમાં લગભગ ૧,૭૦૦ હાથીઓની સંખ્યા ઓછી થઈ છે, જેમાંના ૪૦૦ જેટલા હાથીઓ છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને આંધ્ર પ્રદેશ જેવાં અન્ય રાજ્યોમાં સ્થળાંતરિત થયા હોવાનો અંદાજ છે.
તેની સરખામણીએ પશ્ચિમ ઘાટ વિસ્તારમાં થયેલો ઘટાડો ૧૮ ટકા જેટલો છે. એના મૂળમાં કેરળમાં ૨,૯૦૦ હાથીઓ (૫૧ ટકા) ઓછા થયા હોવાનું કારણ છે. શિવાલિક ગિરિમાળાના ઉત્તર ભાગે અને ગંગાનાં મેદાનોમાં ૨ ટકા જેટલા મામૂલી ઘટાડા સાથે હાથીઓની સંખ્યા લગભગ સ્થિર કહી શકાય એવી રહી છે.
જે વિસ્તારના હાથીઓના આંકડા માટે આ અહેવાલનું પ્રકાશન વિલંબીત કરાયું છે એવા ઈશાન ભારતના આંકડાને અગાઉ, ૨૦૧૭ના આંકડા પરથી અંદાજિત કરી લેવામાં આવ્યા છે. એ અનુસાર આ વિસ્તારમાં કુલ ૧૦,૧૩૯ હાથીઓ છે. એટલે કે દેશના કુલ ૨૯,૯૬૪ હાથીઓની સંખ્યામાં આ વિસ્તારના હાથીઓ ત્રીજા ભાગનો હિસ્સો ધરાવે છે.
આ પ્રકલ્પ સાથે સંકળાયેલા એક વિજ્ઞાનીએ જણાવ્યું કે ઈશાન ભારતની ગણતરી માટે કોઈ સમયમર્યાદા નહોતી, અને પાંચ વર્ષના અંતરાલ અનુસાર અમે મોડા હતા. આથી ભારતના બાકીના ભાગના હાથીઓનો અહેવાલ પ્રકાશિત કરવાનું નક્કી કરાયેલું, પણ છેલ્લી ઘડીએ નિર્ણય બદલાયો. અમને ઈશાન ભારતના આંકડા માટે રાહ જોવા જણાવાયું.
પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવના જણાવ્યા અનુસાર હાથીઓની સંખ્યામાં થતા ઘટાડા પર મંત્રાલય વિવિધ સ્તરે દેખરેખ રાખી રહ્યું છે. અહેવાલમાં દર્શાવાયેલી વિગતો કશી કાપકૂપ વિના પ્રકાશિત કરવામાં આવશે તો તે ઘણાં તથ્યો ઉજાગર કરશે. જેમ કે, હાથીઓના ભ્રમણવિસ્તારમાં આકાર લઈ રહેલા વિવિધ વિકાસપ્રકલ્પોની અસર. એ શક્ય છે કે આવા પ્રકલ્પો અને તેની વિપરીત અસર અંગે પૂરેપૂરો અભ્યાસ રજૂ કરાયો હશે. પણ શું કેવળ અભ્યાસ પૂરતો છે? કોઈ પણ ભોગે પ્રકલ્પો આગળ વધવાના જ હોય તો એનો ભોગ હાથીઓએ બનવાનું આવશે. હાથીઓ કંઈ ઓછા પોતાને થતા નુકસાન વિશે બોલવા આવવાના છે?
આવા વિકાસપ્રકલ્પોને લઈને રેલ અથડામણ, માનવ-પશુની અથડામણ, શિકાર, વીજપ્રવાહથી મૃત્યુ પામવું જેવા બનાવોમાં સતત વૃદ્ધિ થતી રહેવાની એ નિશ્ચિત છે. વ્યાપારી ધોરણે થતા વાવેતરને લઈને પણ જમીનમાં ઘટાડો થતો રહે છે.
કેવળ હાથીઓ નહીં, વાઘ, દીપડા સહિત અન્ય વન્ય પશુઓને પણ આ બાબત લાગુ પડે છે. તેમના નામના દિવસોની ઉજવણી કરવાની, તેમની છબિઓ મૂકવાની, પણ તેમના રક્ષણ માટે ભાગ્યે જ કશું કરવાનું, બલકે તેમના ભોગે વિવિધ વિકાસકાર્યો કરવાનાં, જેનો લાભ કોને થતો હશે એ સંશોધન કરવું પડે.
ભલે જૂન,૨૦૨૫માં હાથીઓની સંખ્યા દર્શાવતો આ અહેવાલ પ્રકાશિત થાય, પણ તેમાં દર્શાવાયેલી અને સૂચવાયેલી વિગતો અંગે કશું નક્કર થશે ખરું કે કેમ એ મુખ્ય સવાલ છે. બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા વિકાસપ્રકલ્પો કંઈ પોતાની મરજીથી અને ગેરકાયદે નથી ફૂટી નીકળતા. એને માટે જરૂરી સરકારી વિધિમાંથી પસાર થવું પડતું હોય છે. આવા પ્રકલ્પોને મંજૂરી મળે એ જ સૂચવે છે કે કશું અણઆયોજિત નથી, બલકે સુઆયોજિત રીતે થાય છે.
અહેવાલ તૈયાર કરાય એ ભલે ઔપચારિકતા હોય, પણ એ ઔપચારિકતાય જરૂરી છે. ભલે એમાં સૂચવાયેલા નિર્દેશો અમલી બને કે ન બને, એ એટલું તો દર્શાવે છે કે અગાઉની સરખામણીએ વિવિધ પ્રાણીઓના રક્ષણમાં આપણે કેટલા પાછા હઠ્યા છીએ અને તેમના ભોગે કરાતાં વિકાસકાર્યોમાં કેટલા આગળ વધ્યા છીએ.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૭-૧૧– ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
નિ:સ્તબ્ધતા અને ચમચીનું ઠકઠક
મંજૂષા
વીનેશ અંતાણી
‘જ્યૂસ’ અને ‘ટી સ્પૂન’ નામની બે શોર્ટ ફિલ્મમાં પુરુષપ્રધાન સમાજવ્યવસ્થામાં સ્ત્રીએ કેવી રીતે જીવવું પડે છે તે વિષય પર કલાત્મક રીતે અર્થપૂર્ણ પ્રકાશ પાડવામાં આવ્યો છે
શોર્ટ ફિલ્મ અને સાહિત્યિક ટૂંકી વાર્તા કે લઘુ કથા વચ્ચે ઘણી સમાનતા રહેલી છે. જે રીતે ટૂંકી વાર્તા બિનજરૂરી પ્રસ્તાર વિના એના લક્ષ્યને સીધી તાકે છે તે રીતે ટૂંકી ફિલ્મ પણ આંરભ સાથે જ લક્ષ્યબિંદુ તરફ ગતિ કરે છે. તેમ છતાં તેમાં ફિલ્મનિર્માણ સાથે જોડાયેલી બધી ક્ષમતાનો ખ્યાલ રાખવો પડે છે, બલ્કે તેની અસરકારકતાને ધારદાર કરવા માટે અલગ પ્રકારની સભાનતા અને કૌશલની આવશ્યકતા રહે છે. ડિજીટલ ટેક્નોલોજીના આજના યુગમાં શોર્ટ ફિલ્મ્સનું ચલણ ધ્યાન ખેંચે તેટલી હદે વધી રહ્યું છે.
એક શોર્ટ ફિલ્મ છે: ‘જ્યૂસ.’1 ચૌદ મિનિટની આ ફિલ્મમાં સુપ્રસિદ્ધ અભિનેત્રી શેફાલી શાહે મંજુના પાત્રમાં ઉત્તમ અભિનય આપ્યો છે. પુરુષપ્રધાન સમાજવ્યવસ્થામાં સ્ત્રીએ કેવી રીતે જીવવું પડે છે તે વિષય આજે પણ એટલો જ પ્રસ્તુત છે. મંજુ સિંહના ઘરમાં પાર્ટી છે. પતિના મિત્રો ડ્રોઇંગ રૂમમાં એરકૂલરની ઠંડી હવામાં ડ્રિન્ક્સ લઈ રહ્યા છે અને જગતભરની ફાલતુ વાતો કરી રહ્યા છે. મંજુ રસોડાની અસહ્ય ગરમીમાં તેમની બધી જ જરૂરિયાતોને પૂરી પાડવા મથી રહી છે. પતિ બહારથી એને કોઈ પણ નજીવા કામ માટે આદેશ આપતો રહે છે. રસોડામાં અસહ્ય ગરમી થતી હોવાથી મંજુ ટેબલ ફેન ચાલુ કરી આપવા માટે પતિને બોલાવે છે, પરંતુ ‘હમણાં આવું’ કહ્યા પછી પણ એ આવતો નથી. મંજુ અકળાયેલી છે, કામના દબાણ હેઠળ કચડાઈ ગઈ છે, પરંતુ પતિનું કે કોઈનું એ તરફ ધ્યાન જતું નથી. પતિ ડિનર જલદી સર્વ કરવાનો હુકમ કરે છે ત્યારે મંજુની માનસિક સ્થિતિ જવાબ દઈ દે છે. એનો તનાવ પરાકાષ્ઠાએ પહોંચે છે. ત્યાર પછી મંજુ જે કરે છે તેમાં ફિલ્મની ‘પ્રેગનેન્ટ મોમેન્ટ’ આવે છે. એ કશું જ બોલ્યા વિના જ્યૂસનો ગ્લાસ ભરે છે, ડ્રોઈંગરૂમમાં આવે છે, એરકૂલર સામે બેસી જાય છે અને નિરાંતે જ્યૂસ પીતી રહે છે. બધા પુરુષો ડઘાઈ જાય છે, નિ:સ્તબ્ધતા છવાઈ જાય છે. એક પણ સંવાદ વિના શેફાલી શાહની આંખો, ચહેરાના ભાવો અને બોડી લેન્ગ્વેજ બધું વ્યક્ત કરી દે છે. આ ફિલ્મ મધ્યમ વર્ગની એક સ્ત્રીના મૌન, પરંતુ વેધક અને અત્યંત સ્પષ્ટ, બળવાનું પ્રતીક છે.
એવી જ બીજી શોર્ટ ફિલ્મ છે ‘ટીસ્પૂન.’2 વીસ મિનિટની આ ફિલ્મમાં ત્રણ પાત્રો છે – પતિ રાજીવ, પત્ની કવિતા અને પક્ષાઘાતથી પથારીવશ વૃદ્ધ સસરો. રાજીવ તો આખો દિવસ ઘરની બહાર રહે છે, કવિતા ઘરમાંથી સેલ્સગર્લનું કામ કરે છે. સસરાની બધી જ જવાબદારી કવિતા પર આવી પડી છે. એમને કશાયની જરૂર પડે તો એ પલંગની સાઈડ પર ચમચી ઠોકી કવિતાને બોલાવે. કવિતા પહોંચે નહીં ત્યાં સુધી એમનું ઠકઠક ચાલુ જ રહે. કવિતાએ એનું કામ પડતું મૂકી દોડી આવવું પડે. ચમચીનો ઠકઠક અવાજ કવિતાના માથા પર સતત ઠોકાતો રહે છે. આવી સ્થિતિને કારણે એ ઘરની બહાર નીકળી શકતી નથી, ટીવી સિરિયલ જોવા બેસી શકતી નથી, પોતાનું કોઈ પણ કામ નિરાંતજીવે કરી શકતી નથી. ચમચી ઠોકાવાનો અવાજ એના મગજ અને જ્ઞાનતંતુઓ પર હુમલો કરતો રહે છે. કરુણતા એ છે કે એનો પતિ કવિતાની પરિસ્થિતિ સમજવા તૈયાર જ નથી. એને પત્ની માટે સહાનુભૂતિ તો નથી જ, એ આક્ષેપ કરતો રહે છે કે કવિતા સસરાની હાજરી સહન કરવા તૈયાર નથી.
એક દિવસ અત્યંત તંગ મનોદશામાં જીવતી કવિતાને એણે કરેલા વેચાણના હિસાબ વિશે એની સેલ્સ ઑફિસના એકાઉન્ટ સેક્શન સાથે ફોન પર ઉગ્ર ઝઘડો થાય છે. તે દરમિયાન બાજુના રૂમમાંથી ઠકઠક અવાજ સતત ચાલુ રહે છે. કવિતા ફોન પર બરાબર વાત કરી શકતી નથી. ઉશ્કેરાયેલી કવિતા મગજનો કાબૂ ગુમાવી બેસે છે અને સસરા પાસે જઈ એમના મોઢા પર ઝનૂનપૂર્વક ઓશીકું દાબી દે છે, શ્ર્વાસ રૂંધાવાથી સસરાનું મૃત્યુ થાય છે. વેદના અને અપરાધભાવને કારણે કવિતા સસરાના અવસાન પછી ઘણા દિવસ પછી પણ રુદન ખાળી શકતી નથી. અસંવેદનશીલ પતિ ટકોર કરે છે કે સસરા જીવતા હતા ત્યારે એ એમને ઘર બહાર મૂકી આવવા માગતી હતી અને હવે દુ;ખનું નાટક કરે છે. એક સવારે કવિતા પતિનું ટિફિન બનાવતી હોય છે ત્યાં એને ફરી ઠક..ઠક અવાજ સંભળાય છે. એ ચોંકી ઊઠે છે. પહેલાં તો લાગે છે કે એને ભ્રમ થયો છે, પરંતુ જુએ છે તો એનો પતિ છાપું વાંચી રહ્યો છે અને બેધ્યાનપણે ટિપાઈ પર ચમચી ઠોકી રહ્યો છે.
સ્ત્રી માટે છુટકારો છે જ નહીં, એક પુરુષ પછી બીજો એના માથે ઠકઠકનું આક્રમણ કરવા તૈયાર જ હોય છે. કોઈ ધારદાર ટૂંકી વાર્તાની જેમ ‘ટીસ્પૂન’ ફિલ્મનો અંત ઘણું સૂચવી જાય છે. શોર્ટ ફિલ્મોની આ જ મજા છે.
1
2
-
નાસિર કાઝમી – અતીતવન અને ઉદાસી એમનો કાયમી નિવાસ હતો
સંવાદિતા
નાસિર કાઝમીને સ્વતંત્ર પાકિસ્તાનના સૌથી મહત્વના શાયર માનવામાં આવે છે
ભગવાન થાવરાણી
વિભાજન વખતે સરહદની બન્ને બાજુએથી વતન છોડી પરાયા મુલકમાં જઈ વસેલા શાયરોની કૃતિઓમાં એક અલગ જ અવસાદ અને છટપટાહટ જોવા મળે છે. આવા એક શાયર એટલે પંજાબના અંબાલાથી પંજાબના જ લાહૌર જઈ વસેલા નાસિર કાઝમી. આમ તો આ બન્ને શહેરો એક જ ભાષા, સંસ્કૃતિ અને રહેણીકરણી ધરાવતા પણ વતનની માટી, મિત્રો, ગલી-મહોલ્લાઓ અને ત્યાંની ફોરમનું શું ? એમની કવિતાઓમાં એ જીવ્યા ત્યાં લગી ( અવસાન ૧૯૭૨ ) એ ટીસ, ઉદાસી અને અતીતવનની મહેક જળવાઈ રહી. એમનો શેર :મુજે તો મેરા વતન છોડ કે અમાં ન મિલીવતન ભી મુજ સે ગરીબ-ઉલ-વતન કો તરસેગા( અમાં = શાંતિ, ગરીબ ઉલ વતન = પરદેસ જઈ વસેલો )નાસિર રઝા કાઝમીએ માત્ર ૨૨ વર્ષની વયે અંબાલા છોડવું પડ્યું. લાહૌર જઈ એમણે કવિતાઓ લખી, પત્રકારત્વ કર્યું, સ્ટાફ એડિટર તરીકે રેડિયો પાકિસ્તાનમાં નોકરી કરી, લાહૌરના સાહિત્યિક સામયિકો ઔરાક-એ-નૌ, ખયાલ અને હુમાયુંના તંત્રી રહ્યા પણ જીવ્યા ત્યાં લગી અંબાલાને ભૂલી શક્યા નહીં.એમની કવિતાઓમાં ચાંદ, રાત, બારિશ, મૌસમ, યાદ, તન્હાઈ, દરિયા જેવા શબ્દો વારંવાર સ્મૃતિરૂપે આવતા રહેતા. એ ‘ છોટી બહર ‘ ના બડા કવિ હતા. એમની કવિતાના પુસ્તકો બર્ગ-એ-નૈ, દીવાન, પહલી બારિશ, નિશાત-એ-ખ્વાબ ( નઝ્મો ), વો તેરા શાઈર વો તેરા નાસિર, હિજ્ર કી રાત કા સિતારા ( એમની કવિતાઓ વિષે અન્યો ) નામે પ્રકાશિત થયા. કવિતા ઉપરાંત સન સત્તાવન મેરી નઝર મેં ( ૧૮૫૭ ના બળવા વિષે ), સુર કી છાયા ( નાટક ), ખુશ્ક ચશ્મે કે કિનારે ( લેખ સંગ્રહ ) અને નાસિર કાઝમી કી ડાયરી – ચંદ પરેશાન કાગઝ સામેલ છે.
ઉદાસી એમના શેરોમાં ઠાંસોઠાંસ મળતી. જૂઓ :
હમારે ઘર કી દીવારોં પે નાસિર
ઉદાસી બાલ ખોલે સો રહી હૈઆજ તો બેસબબ ઉદાસ હૈ જીઇશ્ક હોતા તો કોઈ બાત ભી થીદિલ તો મેરા ઉદાસ હૈ નાસિરશહર ક્યોં સાંય સાંય કરતા હૈપોતાની પ્રેયસીને પણ એ પોતાના જેવા ઉદાસ લોકો સાથે ન હળવા-મળવાની સલાહ આપતા !ન મિલા કર ઉદાસ લોગોં સેહુસ્ન તેરા બિખર ન જાએ કહીંક્યારેક અપવાદરૂપે એ ખુશનુમા મૂડમાં હોય તો જાણે સામે ચાલી ઉદાસીને નિમંત્રણ આપતા !મુજે યે ડર હૈ તેરી આરઝુ ન મિટ જાએબહુત દિનોં સે તબિયત મેરી ઉદાસ નહીંએ અખ્તર શીરાનીની રચનાઓથી પ્રભાવિત હતા. હફીઝ હોશિયારપુરી પાસેથી એ ગઝલની બારીકીઓ શીખ્યા પણ એમના આરાધ્ય તો ‘ખુદા એ સુખન ‘ ( કવિતાના ઈશ્વર ) કહેવાતા મીર તકી મીર જ. મીરની કવિતાઓમાંથી એ ત્રણ ચીજ શીખ્યા. પહેલી એ કે શાયરે આકાશને બદલે ધરતી પર ધ્યાન કેંદ્રિત કરવું જોઈએ. જે વાતાવરણમાં એ શ્વાસ લે છે એ એની કવિતામાં જીવંત થવું જોઈએ. બીજું, રોજિંદા સંવેદનોને કવિતામાં સરળ ભાષામાં મૂકવા જોઈએ. આપણા વ્યક્તિગત અનુભવો ભલે ભિન્ન હોય, મૂળભુત માનવીય ભાવનાઓ એક જ રહે છે. ત્રીજું, યોગ્ય શબ્દોનો ઉપયોગ. શબ્દો જ એ રંગ છે જેના વડે કવિ ચિત્ર સર્જે છે.
નાસિર દીવાનખંડના નહીં, ગલી-મોહલ્લાના શાયર હતા. એ ગઝલની ખરબચડી જમીનને સમથળ કરી એવી ઊંચાઈએ લઈ ગયા જેને હજી લગી બહુ ઓછા શાયરો સ્પર્શી શક્યા છે. એમના પછી ગઝલમાં જે પ્રયોગો થયા એ ન થઈ શક્યા હોત જો એમણે આવું મજબૂત ધરાતલ બાંધી આપ્યું ન હોત. એમણે જે બિસાત બિછાવી એના પર અનેક મહોરાં આવ્યાં પણ નાસિર હજી બાદશાહની જેમ અવિચળ છે.
અસગર વસાહતના વિભાજન આધારિત વિખ્યાત નાટક ‘ જેણે લાહૌર જોયું નથી ‘ ( ઉર્દૂમાંથી ગુજરાતી અનુવાદ : શરીફા વીજળીવાલા ) માં નાસિર કાઝમી વિભાજનનો ભોગ બનેલા એક ધર્મનિરપેક્ષ પાત્ર તરીકે આવે છે એટલું જ નહીં, એ નાટકના સર્વે દ્રશ્યોનાં અંતે નાસિરની એક ગઝલનું પઠન આવે છે.
નાસિરના સ્થાયી ભાવ – ઉદાસીને અનુમોદન આપતી એક ઘટના. એમના સમગ્ર કાવ્યોનો સંચય ‘ ધ્યાનયાત્રા ‘ નામે હિંદીમાં પ્રકાશિત થયેલો. આમેય એમની મોટા ભાગની રચનાઓ વિશુદ્ધ ઉર્દુ નહીં પણ હિંદુસ્તાનીમાં છે. આશ્ચર્ય અને આનંદની વાત એ કે એ સંગ્રહ એમણે આપણા મહાન કવિ શૈલેંદ્રને અર્પણ કરેલો, આ શબ્દો સાથે “ શૈલેંદ્ર કો – તુમ્હીને તો કહા થા – દિન કા હૈ દૂજા નામ ઉદાસી ! “ ( શૈલેંદ્ર લિખિત ફિલ્મ ‘ મેરી સૂરત તેરી આંખેં ‘ ના ગીત ‘ તેરે બિન સૂને નયન હમારે ‘ માં આ શબ્દો આવે છે )
મૃત્યુના થોડાક દિવસ પહેલાં એક મુલાકાતમાં એમણે કહેલું ‘ ઘોડેસ્વારી, શિકાર, ગામમાં રઝળપાટ, નદી કાંઠે ભ્રમણ અને પર્વતો મને ગમતા. એ મારા મનનું પોષણ હતું. મારા બધા શોખ લલિત કળાઓ સંબંધિત છે. મેં કવિતા લખવાનું એટલે પસંદ કર્યું કે મને લાગતું કે હું કુદરતમાં જોઉં છું એ બધી સુંદર ચીજો મારા અંકુશમાં નથી. એ હાથમાંથી સરકી જાય છે. ગયેલો સમય પાછો આવતો નથી પણ એ બધું કવિતામાં જીવંત રાખી શકાય છે. ‘

નાસિરનું વ્યક્તિત્વ એમના કવિતા કર્મનું જ વિસ્તરણ હતું. એ જે લખતા એ જ જીવતા. શિસ્તબદ્ધ જીવન સાથે એમને બાર ગાઉનું છેટું હતું. એમનું કવિતા વિશ્વ એક મ્યુઝિયમ છે. એમાં પ્રવેશનાર લાંબા સમય લગી એના સંમોહનમાં ખોવાયેલો રહે છે.
એમની પ્રકૃતિનો વધુ એક ગુણ હતો નિરંતર વંચિતતાનો અહેસાસ. એને વતન ઝુરાપો પણ કહી શકાય. આ અહેસાસને મૂર્તિમંત કરતી એમની એક ગઝલ છે ‘ વો સાહિલોં પે ગાને વાલે ક્યા હુએ ‘ એ ગઝલનો એ જ લયમાં ગુજરાતી ભાવાનુવાદ :
એ તટ સમાંતરે ગાનારાં ક્યાં ગયાં ?એ હોડલાં ચલાવનારાં ક્યાં ગયાં ?સવાર પડતાં-પડતાં ક્યાં થંભી ગઈ ?હતાં જે ટોળાં આવનારાં ક્યાં ગયાં ?હું રાહ જોયા કરું છું તમામ રાતદીવાથી રસ્તો ચીંધનારાં ક્યાં ગયાં ?આ મારી આસપાસ કોણ છે બધાં ?એ દોસ્તી નિભાવનારાં ક્યાં ગયાં ?એ દિલમાં ખૂંપનાર નજરો ક્યાં ગઈ ?એ હોઠ મરક-મરક થનારાં ક્યાં ગયાં ?ઇમારતો તો સળગી રાખ થઈ ગઈહતાં જે એને બાંધનારાં ક્યાં ગયાં ?અટૂલા આંગણે પૂછે છે વિવશતાદીવો અહીં પેટાવનારાં ક્યાં ગયા ?તમે ને હું તો છીએ બોજ ધરતીનોધરાનો બોજ ઉઠાવનારાં ક્યાં ગયાં ?
સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
ત્યાગીને ભોગવવાનો દીક્ષામંત્ર શીખવતી કૃતિ : ‘અન્ટુ ધિસ લાસ્ટ’
અમૃતાનુભવની ઉજાણી
દર્શના ધોળકિયા
મહાત્મા ગાંધી ‘અન્ટુ ધિસ લાસ્ટ’ વિશે આત્મકથામાં લખે છે :
પોલાક મને મૂકવા સ્ટેશન ઉપર આવેલા ને ‘આ પુસ્તક રસ્તામાં વાંચી શકાય તેમ છે. તે વાંચી જજો. તમને ગમશે.’ એમ કહી તેમણે રસ્કિનનું ‘અન્ટુ ધિસ લાસ્ટ’ મારા હાથમાં મૂક્યું. આ પુસ્તકને લીધા પછી હું છોડી જ ન શક્યો. તેણે મને પકડી લીધો. પુસ્તકમાં સૂચવેલા વિચારો અમલમાં મૂકવાનો મેં ઈરાદો કર્યો. જે થોડાં પુસ્તકો મેં વાંચ્યાં છે તેને હું ઠીક પચાવી શક્યો છું એમ કહી શકાય એવાં પુસ્તકોમાં જેણે મારા જીવનમાં તત્કાળ મહત્વનો રચનાત્મક ફેરફાર કરાવ્યો, એવું તો આ એક જ પુસ્તક કહેવાય.’ (પૃ.૨૭૨)
પ્રસ્તુત કૃતિમાંથી પસાર થતાં કોઈ પણ જીવનનિષ્ઠ સહૃદય ગાંધીજીના આ અભિપ્રાય સાથે તંતોતંત સહમત થાય એવી જીવનોપાસના અર્થશાસ્ત્રનાં સિદ્ધાંતોનું મૌલિક મૂલ્યાંકન કરતાં આ પુસ્તકમાં પડેલી છે.૮ ફેબ્રુઆરી,૧૮૧૯ના રોજ લંડનમાં જન્મેલા જોન રસ્કિન એમનાં માતા પિતાનું એક માત્ર સંતાન હતા. ઊંડી વિદ્યાપ્રીતિ ધરાવતા રસ્કિને બાળપણથી બાઈબલથી માંડીને એમના યુગની ઉત્તમ કૃતિઓનો અભ્યાસ કરેલો. નાનપણથી જ રસ્કિને સમાજજીવનને પ્રેમ કર્યો. વિવિધ કલાઓ ને રમતોમાં રસ ધરાવવા છતાં તેમનું ચિત્ત સત્યની શોધ ભણી ઢળ્યું ને સામાજિક વ્યવસ્થામાં જીવનનો આદર થાય એવા આશયથી પ્રેરાઈને તેમણે ૧૮૬૨માં આ કૃતિ દ્વારા અર્થશાસ્ત્ર ઉપર આલોચનાત્મક નિબંધો લખ્યા. આ કૃતિનાં મૂળમાં ‘વેતનમાં ન્યાય પામવાનો હક્ક જેટલો પહેલોને ચી, તેટલો જ છેલ્લાને પણ છે,’ એ બાઈબલનું દ્રષ્ટાંત પડેલું છે.’
આ કૃતિ વિશે રસ્કિન પોતે નોંધે છે તેમ.. આના વિશે વાચકોનો તીવ્ર પ્રત્યાઘાત રહ્યો છે તેમ છતાં રજમાત્ર શંકા વગર હું કહીશ કે આ ચાર નિબંધો મારાં આજ સુધીનાં તમામ લખાણમાં સૌથી વધુ ઉત્તમ છે. તેનો શબ્દેશબ્દ સાચો છે અને સર્વોત્કૃષ્ટ સત્યને જ આ નિબંધો રજૂ કરે છે. આના જેટલું પ્રસ્તુત અને સુસંગત મારે હાથે હજુ સુધી બીજું લખાયું નથી કે આની પાછળની મહેનત જોતાં તો હવે પછી ભાગ્યે જ ફરી કદી આવું મારાથી લખાશે, એમ કહું તો ખોટું નથી.
આ લખાણનો પ્રથમ ઉદ્દેશ સંપત્તિની એક સ્પષ્ટ ને સ્થિર વ્યાખ્યા આપવાનો છે. બીજો હેતુ તે નીતિમત્તાનાં કેટલાંક ધોરણોનું પાલન કરીને જ સંપત્તિ પ્રાપ્ત કરી શકાય, એ બતાવવાનો છે. તે માટે પ્રમાણિકતા અનિવાર્ય છે. ચારિત્ર્યમાં પ્રમાણિકતા કેળવવી દરેક વ્યક્તિ માટે શક્ય છે તથા રોજના વ્યવહારમાં તેને અમલમાં અવશ્ય મૂકી શકાય, એવી દ્રઢ ખાતરી રાખીને તેનું સતત પાલન કરવું એ તેની સર્વપ્રથમ મહત્વની બાબત છે.
પ્રસ્તુત કૃતિ અર્થશાસ્ત્રને પ્રગટ કરતા ચાર નિબંધોમાં વહેચાયેલી છે. જેનો પહેલો વિચાર છે સમાજનો આધાર પ્રેમમય જીવન છે. આ માર્ગ સ્વીકારીને ચાલતી વ્યક્તિઓ કે વ્યવસાયો અન્યની સંપત્તિ છીનવી લેવાની પાશવી વૃત્તિને ત્યજે છે અને એવી જ વ્યક્તિઓ સમાજમાં સન્માન પામે છે.
રસ્કિન અવલોકે છે તેમ અર્થશાસ્ત્રમાં ગણાવેલ તમામ પ્રેરક – ચાલક પરિબળોની પૂર્વધારણાઓને અર્થશાસ્ત્રી ફગાવી દે નહીં ત્યાં સુધી પ્રેમભાવમાં રહેલી પ્રેરક-ચાલક શક્તિને તે પૂરેપૂરી સમજી પણ શકે તેમ નથી. કહ્યું છે ને, જે પોતાની જાતને બચાવવા જશે તે ખોશે અને જે ખોવા માટે તૈયાર હશે તે જ મેળવશે, એ જેમ બીજે સાચું છે તેમ અહીં પણ સાચું છે.
બીજા નિબંધનો વિચાર છે સુખી જીવન સંપત્તિના કેન્દ્રમાં છે . આ વાત જે સમજતો નથી તેને માટે વ્યંગાત્મકભાષામાં રસ્કિન નોંધે છે. આજના અર્થશાસ્ત્રીની રીતે તમારી જાતને ધનવાન બનાવવાની જે કલા છે તે તમારા પડોશીને ગરીબ રાખવાની કલા પણ છે.
ત્રીજા નિબંધનો વિચાર છે ન્યાયનો નૈતિક અમલ થવો જોઈએ તેમજ સંપત્તિની સમાનતા દર્શાવવી એમાંજ સમાજનું હિત રહેલું છે. અર્થાત આપણે જો કાયદેસર પૈસાદાર થઇ શકીએ તો તેની રીત પણ ન્યાયી હોવી જોઈએ. આ ન્યાય એટલે માણસે મારી –મચડીને બનાવેલો કાયદો નહીં પણ નિર્ભેળ ન્યાયનો, દિવ્યતાનો કાયદો. આ પ્રકારના ન્યાયના અમલ માટે કોઈ ન્યાયાધીશની જરૂર નથી પણ એ માટે સમાજની વ્યક્તિઓ એવી દ્રષ્ટિવાળી થાય એ જ જરૂરી છે. આ સિદ્ધાંતને વિગતે સમજાવતા રસ્કિન કોઈ અવતારી વ્યક્તિને છાજતી વાણી ઉચ્ચારતાં નોંધે છે. સુશાસન અને સહકારિતા એ સર્વ વાતે જીવનશાસ્ત્રના સોનેરી કાયદા છે, ત્યારે અરાજકતા અને હરીફાઈ એ મોતને નિયત કરનારા અફર નિયમ છે.
આપણા ધર્મગ્રંથોના જે શબ્દેશબ્દને આપણે દિવ્યવાણી કહીએ છીએ, તેમાં તો પૈસા માટેના પ્રેમનો સરાસર ઇન્કાર કરવામાં આવેલો છે.તેમાં પૈસાને જ સઘળાં દુ:ખ – પાપનું મૂળ ગણાવેલ છે. પૈસો દેવો વડે તિરસ્કાર પામેલો જીવતો જાગતો અસુર છે એમ આ ધર્મગ્રંથોમાં પોકારી પોકારીને કહેવામાં આવેલું છે, તેમ છતાં આપણે તો ઈશ્વરને વિસારી દઈએ છીએ અને લાલસાના એ દૈત્યની ઉપાસનામાં ડૂબેલા રહીએ છીએ. પૈસાની વાત આવતાં આપણાં શાસ્ત્રોને પગલે આપણે પણ છે તેને પાપાસુર કહી ભાંડીશું તો ખરા અને વળી ગરીબાઈની પવિત્રતાનાં ગુણગાન પણ કરીશું, પણ પછી એ જ આપણે ટૂંકામાં ટૂંકા રસ્તે રાષ્ટ્રને ધનિક બનાવવાને સંપત્તિના વિજ્ઞાનની ખોજ પણ આદરી દઈશું. આમ કહેતા રસ્કિનને આવા સમાજજીવનની ભારે ચિંતા છે.
ચોથા નિબંધનો મૂળ વિચાર છે વ્યાજ નહીં પણ જીવનલક્ષી સિદ્ધાંતના પાયાવાળું અર્થશાસ્ત્ર જ આવશ્યક છે. આ વિચારને દ્રઢાવતો રસ્કિન સમજાવે છે તેમ, આ રીતે સાચા અર્થશાસ્ત્રને હીન વર્ણસંકર જેવા આજના અર્થશાસ્ત્રથી જુદું તારવવાનું છે, જેમ વૈદકીય વિદ્યાને દોરાધાગાની કરામતથી, જેમ ખગોળવિજ્ઞાનને જયોતિષથી. સાચું શાસ્ત્ર તો રાષ્ટ્રને શીખ આપે કે જીવન જેથી બલવત્તર બને તેની ઝંખના કરો, તે માટે શ્રમ કરો, જાવનને જે વિનાશ તરફ ઢસરડી જાય છે અને જે નુકસાનકારી છે તેનો સદંતર નાશ કરો, તેને ધુત્કારી જ કાઢો.
શ્રીમંતો પ્રત્યે કંઈક નારાજગીના સૂરમાં અભિવ્યકત થતા રસ્કિનનું મંતવ્ય છે તેમ કેટલાક લોકોને આપણે શ્રીમંત કહીએ છીએ પણ ખરેખર એ પોતાની તિજોરીને મારેલાં તેમનાં તાળાં કરતાં વધુ શ્રીમંત નથી.આવા લોકો શ્રીમંત હોઈ શકે જ નહીં અને તેમનાથી શ્રીમંતાઈ જીરવી શકાય પણ નહીં રાષ્ટ્રના હિતની દૃષ્ટિએ જોઈએ તો આ લોકો એક ખાબોચિયાના ગંધાતા સ્થગિત બંધિયાર પાણી જેવા છે.નદીનો પ્રવાહ જ્યાં સુધી ચાલુ છે ત્યાં સુધી આહલાદક છે, તેનો ઉપયોગ થઈ શકે છે.નદીનો પ્રવાહ રૂંધાઈ જતાં તેના વમળની ઘુમરીમાં ફસાઈને ડૂબી જવાય.
રસ્કિનનો ભોગવાદી સમાજ પ્રત્યે પ્રશ્ન છે તેમ..ભૌતિક મૂલ્યોનો મોહ ઉમદા ચારિત્ર્યને નીચે ઉતારે છે, એ વળી તેની બીજી બાજુ છે, એટલે આપણો ઉદ્દેશ હવે એ તપાસવાનો રહ્યો કે સંપત્તિના ભોગવનારના ચિત્ત પર તેની શી અસર થાય છે? કેવા પ્રકારની વ્યક્તિ એ આકાંક્ષા સેવે છે? અને તેની સફળતા કોને મળે છે? આ દુનિયામાં થતી પ્રગતિ માટે, તેમાં થતી નવી શોધખોળ માટે, તેમાં ઉત્પન્ન થતા માલસામાન માટે, આ બધાં માટે આ જગત કોનું ઋણી છે? એક, જે ગરીબ છે તેનું કે એક, જે શ્રીમંત છે તેનું?
સાચું અર્થશાસ્ત્ર ઘડતા સિદ્ધાંતો રસ્કિનને મતે આ છે.. કોઈ પણ ખરું અર્થશાસ્ત્ર ગૃહજીવનના કાયદાઓમાંથી નીપજતું શાસ્ત્ર છે. એના કાયદાઓના અનુશાસનને કડક બનાવો એના નિરૂપણને સરળ બનાવો, અને તેના કાર્યક્ષેત્રને ઉદાર બનાવો બગાડ અને દુર્વ્યય અટકાવી તથા અર્થહીન આગ્રહ કે ગ્રંથિ સેવો નહીં. પૈસો વધુ પેદા કરવાની ખેવના રાખો નહીં પણ તેનો પૂરેપૂરો સાર્થક ઉપયોગ કેમ થાય તે માટે જાગ્રત રહો.એક પાસે હોય તે બીજા પાસે હોવું જોઈએ એમ બનવાનું શક્ય નથી. જે કંઈ વાપરીએ છીએ તેનો કણેકણ અમોલા માનવજીવનની ક્ષણ ક્ષણ વડે નિર્માણ પામ્યો છે.તેનો વપરાશ એટલે તેટલા ભાગ પૂરતા માનવજીવનનો જ વપરાશ, તેનો જ ઉપભોગ અને તેનો જ વ્યય તે જો આપણી સામે રહેલા આ માનવજીવનને બચાવવા, સાચવવા કે સમૃદ્ધ કરવાના હેતુમાં કામ લાગે તેમ હોય તો તે વપરાશઉપભોગ ચગ્ય છે પણ તેવા કોઈ તંતુમાં તે વપરાશ-ઉપભોગ જો કામ લાગતાં ન હોય તો તેવા વપરાશ ઉપભોગને પરિણામે એમાં સમાયેલ માનવજીવન માટે સર્જાય છે યા તો ગૂંગળામણ યા તો વિનાશ
સમાજને સર્વોદયનો સિદ્ધાંત શીખવતા ઋષિ રસ્કિનનો અંતિમ સંદેશ એમના ભાષાપ્રભુત્વનું ઉત્તમ દૃષ્ટાંત બની રહ્યું છે: “આંખ આડે આવી ગયેલાં આવાં પડળ હિંમતપૂર્વક દૂર કરો,ખુલ્લી આંખ રાખી પ્રકાશની સન્મુખ જુઓ. શરીર પરની મરણ-પછેડીના કફનનો કટકો દૂર કરી દો.આંખને આંસુથી ધોઈને આંખનું તેજ સતેજ કરો. પ્રભુ ઈશુએ કહ્યું છે તેમ સૌને સૌના ભાગનો રોટલાનો ટુકડો મળી ન રહે અને સૌથી નબળામાં નબળાને તેનો ભાગ મળે નહીં ત્યાં સુધી તને કે તેને શાંતિ મળે નહીં..”
આજીવન મૂલ્યોની અખંડ ઉપાસના કરનાર રસ્કિને પોતાના સિદ્ધાંતોને સમજનાર ને ઝીલનાર વ્યકિતની અપેક્ષા કરતાં ૧૮૬૧માં ઉચ્ચારેલું શાંતિના નીરવ આહલાદને સમર્પિતટોચવાળા, આત્મગૌરવની કાંતિ વડે ઓપતા, આત્મસંયમની સર્વોપરી સંપત્તિમાં પરમ સમૃદ્ધિ માનનારા, ભારે મોટી ધનસંપત્તિઓના ખજાનાઓ પાછળ નહીં ભટકનારા પણ ચિત્તની નિર્મળ શાંતિના અખંડ આનંદની ખોજમાં રાચનારા, આલીશાન સંપત્તિઓની ભવ્યતાની ઝંખના નહીં સેવનારા પણ સરળ સાદગીભરેલી જીવનની તરેહવાર રોજિંદી વિવિધતાઓના આનંદમાં પ્રસન્ન રહેનારા, જગતને જીતીને મળતી મહાનતા મળે કે નહીં તે ઈશ્વરને આધીન છોડીને પોતે તો કેવળ તેના આ જગતમાં જીવન જીવવા મળેલ જિંદગીને પ્રભુનું વરદાન સમજીને તેના આનંદમાં મગ્ન રહેનારા, એવા, સ્વયં પોતાના જીવન વડે જગતને ઉદાહરણરૂપ બની રહેનારા લોકોની આજે આપણને ખાસ જરૂર છે.” જેની સાર્થકતા મહાત્મા ગાંધી દ્વારા સિદ્ધ થઈ ને આ પુસ્તકની ઉત્તમ ફલશ્રુતિ રસ્કિનને સાંપડી.
આ પુસ્તકને ગુજરાતીના મૂર્ધન્ય સર્જક મનુભાઇએ એક જ વાકયમાં ઉત્તમ અર્ધ્ય આપતાં નોંધ્યું, “જે લાખ દેતાં ન મળે તેવાં પુસ્તકોમાં અન્ટુ ધિસ લાસ્ટ અક્ષયપાત્ર છે.
(‘કોડિયું’ માટે તૈયાર કરેલ લેખ, થોડા ફેરફાર સાથે)
સૌજન્ય: ‘કચ્છમિત્ર’માં દર બુધવારે પ્રકાશિત થતી કોલમ ‘વાચનથાળ’
ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
ચિંદીમાંથી ચંદેરી શેલામાં રૂપાંતર
વનિતાવિશેષ
રક્ષા શુક્લ
અધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે,
તું ચમચી લઈને ઊભો છે દરિયા માગવા માટે ?
કયો છે સ્વાદ કોના ભાગ્યમાં ના જાણતું કોઈ,
બધાને ઈશ્વરે જીવન દીધું છે ચાખવા માટે.-અનિલ ચાવડા
દસ વર્ષની એક નાનકડી, માસુમ છોકરી ૩૦ વર્ષના પતિને પોતાનું નસીબ સમજીને સ્વીકારી લે છે. જન્મથી જ પોતાના જ ઘરમાં અણગમતી એન્ટ્રીનો બોજ ઊંચકીને જીવતી એક સ્ત્રી વિચારતી હશે કે કદાચ આ લગ્નરૂપી વળાંકથી એના જીવનમાં કોઈ બદલાવ આવે. પરંતુ અહીં પણ ‘હાય અબળા, તેરી યહી કહાની, આંચલ મેં દૂધ ઔર આંખો મેં પાની’. ફરી એક દબાયેલ, કચડાયેલ..તરછોડાયેલ સ્ત્રીની એ જ પીડાનું પુનરાવર્તન. વાત છે મહારાષ્ટ્રમાં જન્મેલા સિંધુતાઈ સપકાલની. જેને એક અનિચ્છનીય બાળક તરીકે ઘરમાં ‘ચિંદી’ કહીને બોલાવવામાં આવતા હતા. જેનો અર્થ થાય ફાટેલું કપડું-ચીંથરું. સગી જનેતા તરફથી બાળ ચિંદીની સતત અવહેલના થતી રહી. દુઃખની વાત તો એ છે કે સમાજના કુરિવાજો અને જડ માન્યતાઓને કારણે સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન બને છે. આત્મનિર્ભર ન હોવાના કારણે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે તેને સતત કોઈને કોઈ પુરુષના ઓશિયાળા રહેવું પડે છે. એ પિતા, ભાઈ, પતિ કે પુત્ર જેવા ગમે તે રૂપમાં હોય. આજે ૨૧મી સદીમાં પણ નારીવિકાસની દંભી ગુલબાંગો વચ્ચે સ્ત્રીનું શોષણ થતું જ રહે છે.‘કૌન બનેગા કરોડપતિ’ સીઝન ૧૧માં ‘કર્મવીર સ્પેશિયલ’ એપિસોડમાં સમાજ સેવિકા સિંધુતાઈ સપકાલે ભાગ લીધો હતો. શોમાં ખુદ અમિતાભ બચ્ચને ઊભા થઈને તેમનું સ્વાગત કર્યું હતું અને તેમના ચરણસ્પર્શ કરી હોટસીટ પર બેસાડ્યા હતા. તાઈ એ સમયે અમિતાભ કરતા પણ ઊંચા દીસતા હતા. સિંધુતાઈએ જયારે કેબીસીનાં એપિસોડમાં પોતાના સંઘર્ષ વિષે વાત કરી ત્યારે બધાના જ રૂંવાડા ઊભા થઈ ગયા હતા. તેઓએ જણાવ્યું કે, ‘હું જ્યારે ૨૦ વર્ષની હતી અને મારી બાળકી મમતા ૧૦ દિવસની હતી. ત્યારે મારા સાસરાંવાળાઓએ મને ઘરમાંથી કાઢી મૂકી. મારી માએ પણ મને કાઢી મૂકી. ખાવાપીવાનું મારી પાસે કઈ બચ્યું ન હતું. હું રેલ્વે સ્ટેશન પર ટ્રેનમાં ફરતી. પેટ ભરવા માટે મેં ટ્રેનમાં ગીત ગાવાનું શરુ કરી દીધું. હું ભિખારીઓ સાથે બેસી ખાતી. મારી પાસે રહેવા માટે ઘર પણ ન હતું. દિવસ તો નીકળી જતો પણ સવાલ રાતનો હતો. હું માત્ર ૨૦ વર્ષની. મને પુરુષોથી ખૂબ ડર લાગતો. મને સમજ ન આવ્યું કે આટલી નાની બાળકીને લઈને હું ક્યાં જાઉં. આથી હું સ્મશાનમાં જઈને ઊંઘતી. કારણ કે રાતે ત્યાં કોઈ ન જતું. ક્યારેક કોઈ ત્યાં આવતું તો મને જોઈને ‘ભૂત-ભૂત’ કહી, ડરીને ભાગી જતું.’ એક રાત્રે કકડીને ભૂખ લાગી ત્યારે ભોંય પર પડેલો ચપટી લોટ એની નજરે ચડે છે. સ્મશાનમાં પડેલી તૂટેલી માટલી લે છે. કોઈની સળગતી ચિતા પર ચડાવી એમાં એ લોટ રાંધે છે. આત્મહત્યાના વિચારો વચ્ચે પહેલો કોળિયો મોંમાં ઓરે છે ત્યાં જ એક વિચાર આવે છે – જીવી જવાનો. ભૂખ્યા અનાથો માટે જીવી જવાનો અને અન્યોને જીવાડી દેવાનો વિચાર અને ત્યાંથી શરૂ થાય છે ચિંદી સાઠેથી સિંધુતાઈ સપકાલ બનવાની કહાની. જીવનમાં કોઈ એક ક્ષણ જ દ્રઢ નિર્ણયથી જીતી લેવાની હોય છે જે સમગ્ર જીવનને જબરદસ્ત વળાંક આપે છે. ગાંધીજીને આફ્રિકામાં ટ્રેનના ડબ્બામાંથી અપમાનિત કરી બહાર ફેંકવામાં આવ્યાં અને ગાંધીજીનો પૂનર્જન્મ થયો.
આગળ તેણે કહ્યું કે, ‘હું ભૂખી હતી એટલે મને બીજાની ભૂખનો પણ અંદાજ હતો. આથી મારા હિસ્સાનું ખાવાનું વહેંચીને ખાધું અને અનાથોની મા બની ગઈ, જેનું કોઈ ન હોય એમની હું મા’. પછીથી સિંધુતાઈએ અનાથોને દત્તક લઈને એની દેખરેખનું કામ શરુ કરી દીધું. તેમણે જ્યારે અનાથોનો સહારો બનવાનું નક્કી કર્યુ ત્યારે સૌથી પહેલુ કામ પોતાની સગી પુત્રીને અનાથાશ્રમમાં મૂકવાનું કર્યુ. તેમનું માનવું હતું કે જો પુત્રી તેમની પાસે રહેત તો તેમનું ધ્યાન અને પ્રેમ તેના પ્રત્યે વધુ રહેત અને પોતાનું વાત્સલ્ય અનેક અનાથોમાં સરખું વહેંચી ન શકેત. પહેલો અનાથ દીપક નામનો છોકરો મળ્યો. જેના મા-બાપ શોધી આપવાનું તેમણે વચન આપેલુ. પણ પછી તો એના પર એમનું વાત્સલ્ય એવું વરસ્યું કે દીપકના મા-બાપ મળ્યા તો પણ તે કદી તેમની પાસે રહેવા ન ગયો. દીપક પણ આજે સિંધુતાઈની અનાથાશ્રમની એક શાખા ચલાવે છે. ગાંધીજી કહેતા કે ‘Man can never be a woman’s equal in the spirit of selfless service with which nature has endowed her’. હેલન કેલર ત્રેવડી અપંગાવસ્થા ભોગવતાં હોવા છતાં કદી નાસીપાસ થયા ન હતા. આવા શારીરિક પડકારો વચ્ચે જિંદગીનો જંગ સફળતાથી જીવી બતાવી તેઓએ લાખો વિકલાંગોને હિમતથી પોતાના જીવનનો રાહ સુપેરે કંડારવાની પ્રેરણા આપી હતી. જીવનનું મધુર સંગીત તો દુઃખ અને પીડામાંથી જ નીપજે છે.
સિંધુતાઈ સપકાલ આજે ૧૪૦૦ અનાથોના પાલક માતા છે. તેને કોઈ બાળક એકલું રખડતું દેખાય તો તે તેને પોતાનું બનાવી લે છે. સિંધુતાઈની કર્મભૂમિ છે પુણે, મહારાષ્ટ્ર. એમના કેટલાય દીકરા-દીકરીઓ આજે ડોકટર, એન્જીનિયર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે સરકારી અમલદારો બની ગયા છે. એક બાળક તો સિંધુતાઈના જીવન પર પી.એચ.ડી કરી રહ્યો છે. સિંધુતાઈ માત્ર બાળકોને દત્તક લેવાનું જ કામ નથી કરતા પરંતુ તેના અભ્યાસની બધી જ વ્યવસ્થા કરે છે. ઉંમર લાયક થાય ત્યારે દીકરા-દીકરીને પરણાવે છે. આજે સિંધુતાઈને ૨૦૭ જમાઇ છે, ૩૬ પુત્રવધુઓ છે અને ૪૫૦થી પણ વધુ પૌત્ર- પૌત્રીઓ છે. તમામ અનાથ બાળકોને સાચવવા માટે હવે સિંધુતાઈ પ્રવચનો આપે છે અને એમાંથી જે કંઇ આવક થાય એ આવકમાંથી એમના દિકરા-દિકરીઓ માટે રહેવા-જમવા-ભણવાની બધી વ્યવસ્થા કરે છે. પહેલીવાર વર્ષ 2009માં વિશ્વ મરાઠી સાહિત્ય સંમેલનમાં અમેરિકામાં ભાષણ આપવા માટે સિંધુતાઈને આમંત્રણ આપવામા આવ્યું ‘માતા’ અને ‘જય મહારાષ્ટ્ર’ના જયજયકાર વચ્ચે સિંધુતાઈએ પોતાના ભાષણ દ્વારા ત્યાં હાજર દરેક વ્યક્તિનું મન જીતી લીધું.
સિંધુતાઈ સપકાલને દેશના રાષ્ટ્રપતિના વરદ્દ હસ્તે દેશનો નારી માટેનો સર્વોચ્ચ એવોર્ડ “નારી શક્તિ એવોર્ડ” ૨૦૧૭માં મળી ચુક્યો છે. એટલું જ નહીં પરંતુ બસવા ભુષણ પુરષ્કાર, મધર ટેરેસા એવોર્ડ, નેશનલ એવોર્ડ ફોર આઇકોનિક મધર, રીઅલ હીરો એવોર્ડ, અહલ્યાબાઈ હોલકર એવોર્ડ, વુમન ઓફ ધ યર એવોર્ડ, દત્તક માતા પુરષ્કાર, રાજાઈ પુરષ્કાર, શિવલીલા મહિલા પુરષ્કાર, હોંગકોંગમાં રોટરી ક્લબ દ્વારા અપાયેલા ‘ધ વન’ એવોર્ડ સહિત દેશવિદેશના બીજા ૭૫૦ જેટલા સન્માનો અને પુરસ્કારો મળી ચુક્યા છે. લોકો તેમને ‘અનાથોના માતા’ અને ‘માઈ’ ના હુલામણા નામથી બોલાવે છે. ડી.વાય.પાટીલ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી એન્ડ રીસર્ચ દ્વારા તેમને ડોકટરેટ ઇન લીટરેચરનું સન્માન પણ આપવામાં આવેલું છે. અનાથો માટે સગી પુત્રીને અનાથઆશ્રમમાં મુકનારા સિંધુતાઈને અમદાવાદમાં પદ્મશ્રી રીમા નાણાવટીના હસ્તે નિરજા ભનોત એવોર્ડ એનાયત થયો ત્યારે ખુદ અમિતાભ બચ્ચને એક વીડિયો મેસેજથી તેમને શુભેચ્છા પાઠવી હતી. સિંધુતાઈએ ત્યારે એવોર્ડ પેટે મળેલા ૧ લાખ ૫૦ હજારથી મહારાષ્ટ્રના ચિખલધરામાં કુપોષણથી મોતના મોંમાં ધકેલાતા બાળકો માટે અન્નક્ષેત્ર શરૂ કરવાની જાહેરાત કરી હતી. તેઓ પુણેથી કાર્ય કરી રહ્યા છે. પરંતુ પુણે ઉપરાંત સાસવડ, અમરાવતી અને વર્ધા સહીત તેમની ૬ જેટલી વિવિધ સંસ્થાઓ છે, જ્યાંથી અવિરતપણે કાર્ય ચાલી રહ્યું છે. સિંધુતાઈ કહે છે, ‘હું ત્રણ વર્ષ પહેલા મારા પતિને પણ અમારી સંસ્થામાં લઈને આવી હતી. તેઓ રડતાં હતા પણ હું હસતી હતી. આજે હું જે કંઈ પણ છું તે મારા પતિના જાકારાના કારણે જ છું.’
તેમના જીવન પર મરાઠી ભાષામાં ૨૦૧૦માં એક ફિલ્મ પણ બની ચુકી છે, જેનું નામ છે, ‘મી સિંધુતાઈ સપકાલ’. આ ફિલ્મને ૫૪મા લંડન ફિલ્મ ફેસ્ટિવલના વર્લ્ડ પ્રિમિયર માટે સિલેક્ટ કરવામાં આવી હતી. મરાઠી નિર્દેશક અનંત મહાદેવને જ્યારે સમાચારપત્રમાં સિંધુતાઈના વિશાળ પરિવાર અને તેમના જીવન વિષે વાંચ્યું તો તેમને તેમની વાર્તા એટલી લાગણીસભર લાગી કે તેમણે તેના પર ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. અનંત મહાદેવને પોતાની ફિલ્મમાં ખાસ કરીને દર્શાવ્યું છે કે જ્યારે તેમના પતિ ચિંદીમાંથી સિંધુતાઈ બનેલી પોતાની પત્ની પાસે આવીને તેને પોતાની શરણમાં લેવાની પ્રાર્થના કરે છે ત્યારે સિંધુતાઈ તેને પોતાના પતિ તરીકે નહીં પણ પોતાના સૌથી મોટા પુત્ર તરીકે સ્વીકાર કરી માતાની ઉદારતાની પરાકાષ્ટાને સ્થાપિત કરે છે. અવિનાશ વ્યાસનું ઉત્તમ ગીત યાદ આવી જાય…’
‘દયાના સાગર થઇને, કૃપા રે નિધાન થઈને,, છો ને ભગવાન કેવરાવો,
પણ રામ, તમે સીતાજીની તોલે ન આવો’.સિંધુતાઈનું જીવન દર્શાવે છે કે અણીનો ચુક્યો સો વર્ષ જીવે એમ નહીં પણ અણીનો ચુક્યો ક્યારેક સેંકડોને જીવાડી પણ જાય. ‘ચિંદી’પાસેથી તેના પોતાના જ લોકોએ તેનું બધું જ છીનવી લીધું હતું પરંતુ વિષમ પરિસ્થિતિઓમાં પણ એક અજાણ્યા સાહસે એને પ્રકાશની કેડી ચીંધી. પોતાની સાથે થયેલા અન્યાયના કારણે જ ચિંદીને જીવવાનું નોખું સાધ્ય મળી ગયું. પોતાના જેવા અનેક નિસહાય બાળકો માટે ચિંદીએ પોતાનું જુનું નામ છોડી ‘સિંધુ’ તરીકે જાણે બીજો જન્મ લીધો અને સિંધુતાઈએ નિસહાય, અનાથ અને નસીબના માર્યા બાળકો માટે પોતાનો સ્નેહ પાથરી દીધો. શર્લી સીઝમ સરસ કહે છે કે ‘Service is the rent that you pay for room on this earth. આપણે સૌએ તેમના જીવનમાંથી શીખવું જોઈએ કે સંઘર્ષ સામે લડીને, તેમાંથી નવી ઉર્જા પ્રાપ્ત કરીને કંઈક ઉત્તમ કેવી રીતે જીવવું. તેમણે મહારાષ્ટ્રના જંગલોમાં આવેલા ૮૪ ગામડાઓના પુનર્વસન માટે લડત આપેલી. એ કતલખાને જતી ગાયોને પણ બચાવે છે. મિડીયાની નજરમાં કરોડોના કૌભાંડ કરનારા બહુ આવે છે. છાપાઓમાં એના નામની હેડલાઇન હોય છે અને ટીવી ન્યુઝ ચેનલમાં બ્રેકીંગ ન્યુઝમાં વારંવાર એની વાતો થાય છે. આપણને કોઇને સિંધુતાઈ જેવી સંઘર્ષ કરનારી અને અદભૂત સેવા કરનારી સ્ત્રી વિશે આપણે જાણતા જ નથી. સો સો સલામ આ સાક્ષાત સેવામૂર્તિને…
ઇતિ
લોકો એવું કહે છે કે ટોચ પર હંમેશા એકાંત હોય છે. ખોટી વાત, ખરેખર તો ટોચ પર ભારે ધક્કામુક્કી હોય છે !
-શાહરૂખ ખાન
સુશ્રી રક્ષાબેન શુક્લનો સંપર્ક shukla.rakshah@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
ઔર ઈશ્ક કી કિતાબ કા કોઈ નયા પૃષ્ઠ ખોલો !
તુલા-સંજય
ઔર ઇશ્ક કી કિતાબ કા કોઈ નયા પૃષ્ઠ ખોલો !
આજ વારિસ શાહ સે કહતી હૂં – અપની કબ્ર મેં સે બોલો
ઔર ઇશ્ક કી કિતાબ કા કોઈ નયા પૃષ્ઠ ખોલો !પંજાબ કી એક બેટી રોઈ થી, તૂને એક લમ્બી દાસ્તાન લિખી,
આજ લાખોં બેટિયાં રો રહી હૈ વારિસ શાહ ! તુમસે કહ રહી હૈ:
ઐ દર્દમંદોં કે દોસ્ત, પંજાબ કી હાલત દેખો
ચૌપાલ લાશોં સે અટા પડા હૈ, ચનાબ લહૂ સે ભર ગયા હૈ….આ વખતે આપણે જમ્મુ-કશ્મીરની ૨૫ દિવસની ‘સ્નેહ શિક્ષણ’ યાત્રામાં ૫૦ કલ્યાણ મિત્રો સાથે ચનાબ(ચિનાબ) વેલીનો પ્રદેશ એવા ડોડા જિલ્લામાં ગયા. ભર્યું ભર્યું કામ થયું એનો આછેરો ઉલ્લેખ માત્ર…
૧) ૧૧૦થી વધુ શાળાઓમાં બાળકો-શિક્ષકો સાથે સર્જનાત્મક અને રચનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા સંવાદ (જેમાં પપેટ, સંગીત, નૃત્ય, વાર્તા, પેપરબેગ બનાવવી, કોર્ડ મેકિંગ, રમકડાં બનાવવાં, પેટી રેંટિયો, પેઇન્ટિંગ, રમત-ગમત, વિજ્ઞાનના પ્રયોગો વિ. જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ).

૨) “સમગ્રતાનું શિક્ષણ ગાંધી માર્ગે” વિષયની આસપાસ ૧ દિવસીય એવી ૧૦ કાર્યશાળાઓ થઈ. પ્રત્યેક કાર્યશાળામાં સરેરાશ ૪૦ જેટલા શિક્ષકો રહેતા. આમ ૪૦૦ જેટલા શિક્ષકો સાથે સંવાદ થયો. મુ. ડંકેશભાઈ ઓઝા મુખ્ય સંવાદકર્તા હતા.
૪) જાણીતાં લોકગાયિકા, હિંદી ફિલ્મોના પાર્શ્ર્વગાયિકા મેઘા ડાલ્ટન દ્વારા (૧૦૦ વર્ષ પહેલાં ઝારખંડના આદિવાસીઓ ગાંધીને ગાતા તે) ગાંધી ગીતોને રજૂ કરતો ‘ગાંધીગાન’ કાર્યક્રમ ડોડા જિલ્લામાં ૭ સ્થળે થયો.
૫) ત્રણ કૉલેજ અને ચાર હાયર સેક્ધડરી શાળાઓમાં બે-બે દિવસીય કુલ ૭ ફિલ્મ-મેકિંગ વર્કશોપ આપણે યોજ્યા. જેમાં મોબાઈલ ફોન થકી એક મિનિટની સિંગલ શોટ ફિલ્મનું સર્જન, સિનેમાનો ઇતિહાસ – ફિલ્મ સર્જકોનો પરિચય, નાનીમોટી ફિલ્મકૃતિઓનું સ્ક્રિનિંગ વગેરે જય ખોલિયા થકી થયું.
આ સઘળાં કામો દરમિયાન ત્યાંના લોકો સાથે પુષ્કળ સંવાદ થયો. ઘણા બધા વિચારો-સંવેદનોનું આદાનપ્રદાન થયું. એકબીજા સાથે બેસવાનું-એકબીજાને સમજવાનું-અનુભવવાનું, સાથે હસવાનું અને ક્યાંક-ક્યારેક ભાવવિભોર બની સાથે રડવાનું પણ થયું. આ એ પ્રદેશ છે કે જ્યાં ૧૯૯૦થી લઈને ૨૦૦૩ સુધી આતંકવાદે માઝા મૂકી હતી અને આ એ પ્રદેશ પણ છે કે જ્યાં આતંકવાદ સૌથી પહેલાં સમાપ્ત થયો.
ત્યાંની એક શાળાના નાનાશા ચિનાર વૃક્ષની નીચે હું ત્યાંના ત્રણેક શિક્ષકો સાથે વાતો કરતો હતો ત્યારે ત્યાંના એક હિંદુ શિક્ષકે કહ્યું કે: “ઉસ દૌર મેં મેરે મામા ઔર ઉનકે બેટે કો માર દિયા થા.” બીજા મુસ્લિમ શિક્ષક તરફ આંગળી ધરી કહે છે કે “ઉસકા છોટા ભાઈ એન્કાઉન્ટર કે વક્ત બીચમેં આ ગયા થા ઔર મારા ગયા થા. જો સિર્ફ સાત સાલ કા થા.” ત્રીજા શિક્ષક તરફ જોઈને કહે છે કે “ઉસકે દોનોં ચચરે ભાઈ કો ભી માર ડાલા થા !!!” હું વાત સાંભળી સ્તબ્ધ થઈ જાઉં છું. આ ત્રણેયના ઘરમાંથી… અને મને ડૉ. કરણસિંહે એમના ઘરે કહેલી : ‘બેટા કશ્મીર કા હર ગાંવ કબ્રસ્તાન બના હુઆ હૈ. હિલીંગ ટચ કી જરૂરત હૈ’ (વાળી) વાતનું સ્મરણ થાય છે અને થાય છે કે યહાં તો હર ઘર કબ્રસ્તાન બના હુઆ હૈ !!!
એક વાર ‘ગાંધીગાન’ના કાર્યક્રમમાં અમને લઈ જતા ડ્રાઈવરની તેજસ્વીતાની આભા એની કારમાં પણ અનુભવાતી હતી, તેવા રફિક નામના ડ્રાઈવરને મેં પૂછ્યું કે આપ હોંશિયાર હો તો પઢે ક્યું નહીં ?! એનો જવાબ હતો : સર, વો મીલીટન્સ કે દૌર મેં મૈં તો આઠવી કક્ષા મેં થા ઔર મેરા બાપ મુજે જમ્મુ લે ગયા થા ઔર એક હોટલવાલે સે કહા થા કિ, “ઇસસે જો ભી કામ કરવાના હો કરવાના, મુજે પૈસે નહીં ચાહીએ. બસ ઉસે જિંદા રખના.” આઠ સાલ વહીં બીત ગયે. મૈં બડા તો હો ગયા લેકિન દેખો સર, જિંદગી કિતની છોટી હો ગઈ ! સિર્ફ ડ્રાઈવર બનકર રહ ગયા… લેકિન હાઁ મેઘાજી, આપ ગાંધી કે લીયે તો ગાતી હો પર હમ ડ્રાઈવરોં કે લીયે ભી કુછ જરૂર ગાના !
ડોડા શહેરથી ૮૦ કિ.મી. દૂર ત્રણ કલાકના અંતરે આવેલા એક છેવાડાના ગામના શિક્ષકે કહેલું કે : ઉન દિનોં જૈસે હી શામ ઢલતી થી કિ હમેં ઘર મેં બિઠાકર ઘરકી ખીડકીયોં મેં પડદે ડાલ દિયે જાતે થે ઔર અંધેરા જલાયા જાતા થા તાકી દોનોં તરફ કે લોગોં મેં સે કોઈ હમેં ઉઠા લે ન જાયે ! વો ભી ક્યા દિન થે ?! હમને યાદ હી રખા નહીં હૈ વો સબ….
સાડા છ હજાર ફૂટની ઊંચાઈ પર આવેલ એક સુંદર ગામની અંદર-બહારથી સુંદર એવી શિક્ષિકાબહેને એક વાત કહી : તબ મૈં સાત સાલ કી થી ઔર મેરે પાપા સરકારી મુલાજીમ થે – છોટી સી તનખા થી, ઔર ઉન લોગોં ને પાપા સે દો લાખ રૂપયે વસુલે થે. વો જબ પાપા કો ઉઠાને આયે તબ એક ઔરત કે કપડે પહનકર વેશ બદલકર પાપા જમ્મુ ભાગે થે !! પર હાં હમ છોટે બચ્ચે ઉનકો બહુત દેખતે રહેતે થે…. કંધે તક બડે બડે ઉડતે બાલ-લંબી સી દાઢી-કપડોં મેં છુપાઈ બંદુકે લેકર જબ વો ગાંવ સે ગુજરતે થે તબ હમ ઉસે દેખા કરતે થે- કભી કભી વો હમારે સાથ વૉલીબોલ ભી ખેલતે થે ઔર સુકામેવા ભી હમેં દેતે થે, એક રફભશક્ષફશિંજ્ઞક્ષ થા !!
સૌમ્યતાની મૂર્તિ સમા એક આચાર્યાબહેને બહુ જ ભાવવિભોર બનીને મને કહેલું કે : ઉસ દૌર મેં મૈં મેરી ડિલિવરી પર જમ્મુ થી ઔર મેરે પતિ કો ઉન લોગોં ને ઉઠા લીયા, પર ઈશ્ર્વર કૃપા સે વો ભાગ નિકલનેમેં સફલ હુએ. ઉન દિનોં મેરા બડા બેટા તીન સાલ કા થા ઔર ઘર મેં અકેલા થા પર ઉસકી પુરી પરવરીશ ઉન દિનોં હમારે મુસ્લિમ પડોશીયોંને હી કી થી !
ધર્મને આધારે ડોડા જિલ્લામાં ૬૦% મુસ્લિમ અને ૪૦% હિંદુ છે. પરંતુ એમના સાંસ્કૃતિક-સામાજિક અને પ્રાકૃતિક તાણાવાણાનું પારસ્પરિક પોત એટલું સઘન-પ્રબળ છે કે અહીંના Composite Cultureના સૌંદર્યની સુવાસ અમે આ દિવસોમાં રોજેરોજ અને ઠેરઠેર ચાખી અને એથી જ કદાચ સમગ્ર જમ્મુ કશ્મીરમાં સૌથી પહેલો આતંકવાદનો અંત અહીંયાં આવેલો !!

એક હિંદુ શિક્ષિકાએ કહ્યું કે : મારા ગામમાં મોટેભાગે મુસ્લિમ પરિવારો વસે છે. પરંતુ હું નાની હતી ત્યારે મને શુકનવંતી માનવામાં આવતી ને એથી વાવણીના સમયે પહેલું બીજ રોપવા માટે મને બધા જ ખેડૂત પરિવારો વારાફરથી લઈ જતા. મેરી માં ભી ઉન દિનોં મુજે નયે કપડે પહનાતી થી ઔર મૈં પરી જૈસી લગતી થી…. ઇસ ખેત સે ઉસ ખેત મેં ઉડાઉડ કરતી થી ઔર જબ શામકો ઘર આતી થી તો મિટ્ટી કે રંગ મેં (પુરી કી પુરી) રંગી હુઈ આતી થી !!
‘ગાંધીગાન’ કાર્યક્રમ માટે અમારે ઘણું દૂર પોણા ત્રણ કલાકના અંતરે ખીલત્રાણ જવાનું હતું. કાર્યક્રમ પછી ત્યાંના શિક્ષણ અગ્રણીઓ, જઉખ વગેરે સાથે ભોજન લેવાનું હતું. અમને ગાડી લઈને લેવા આવેલ ડ્રાઈવરનું ઘર ખીલત્રાણથી છ-સાત કિલોમીટર જેટલું જ દૂર હતું. જમવાનું તમારે મારે ઘેર જ હોય ને, એવો એનો આગ્રહ એટલો હૃદયથી હતો કે અડધું ભોજન જઉખ સાથે લઈ અડધું પેટ ખાલી રાખી કાર્યક્રમ પછી અમે એના ઘરે જઈએ છીએ. અદ્ભુત સ્થળે એ ઘર હતું ! પણ એથી પણ વિશેષ તો એ પરિવારનો પ્રેમ હતો !! મીઠી મકાઈના મીઠા રોટલા. બે પ્રકારના સ્થાનિક શાકભાજી-અખરોટની ચટણી-ઘરની ગાયનું ઘી (સૌના માટે અલગ-અલગ કાચના બાઉલમાં) અને બીજું ઘણું બધું જાણે પ્રબળ પ્રેમ કે પાલે પડકર…
એના પિતા હમણાં જ નિવૃત્ત થયેલા, ઉં। પોલીસમાં નાના અફસર હતા. વાત કરતા કહેલું કે ૧૦ પૈસે ભી ઈસ ચાલીસ સાલમેં હરામ કે નહીં લીયે હૈ. ઇસ લીયે હી દેખો હમ સબ આબાદ હૈં !
ઉસ દૌર મેં ભી મૈં તો જમ્મુ યા શ્રીનગર થા, કભી કભી ૧૫-૧૫ દહેશતગર્ઝ આ જાતે થે, લેકિન ગાંવ કે સભી લોગ મિલકર-ડટકર ઉનકા સામના કરતે થે. દેખો મેરે ઘર કે ઇસ ઓર દો હિંદુઓંકે ઘર હૈ, મેરે ખેત કી દાંઈ ઔર બાંઈ ઓર હિંદુ હૈ !
“માફ કરના લેકિન હમારા ભલેશા (ભલે લોગોં કા દેશ) આપકા ગુજરાત નહીં હૈ, હમ એક દૂસરે સે ઘીરે નહીં હૈ… હમ એક દૂસરે સે બને હૈં….”
એક બુજુર્ગે પણ કહ્યાનું યાદ છે કે બહાર કી ઝહરીલી હવાએં હમને યહાઁ આને નહીં દી હૈ ! ક્યું કી યે ભલેશા-(ભલે લોગોં કા દેશ) હૈ.
લેખના અંતમાં હું પાંચ વર્ષ પાછળ જાઉં છું.
એ દિવસોમાં ત્યાં એક વ્યક્તિનું ખૂન થયેલું ને એ ઘટનાને હિંદુ-મુસ્લિમનો રંગ આપવાનો પ્રયત્ન થયેલો. એ જોતાં ત્યાંની મસ્જિદના ઈમામ અને ગઈ ના મોટા ગજાના નેતાએ રમજાન મહિનાની જુમાની નમાજની તકરીરમાં કહેલું કે : કલ જો હમારે યહાં હુઆ હૈ ઉસમેં ન મુસ્લિમ મરા હૈ – ન હિંદુ મરા હૈ. મગર વો એક ઇન્સાન મરા હૈ. ઔર સબ યાદ રખો કિ હમ હમારી ચિનાબ કો જલને ન દેંગે…..
મારા દાદાનાં ફોઈ વહેલી સવારે એક ડોલ પાણીથી ખુલ્લી ચોકડીમાં નાહતાં ત્યારે ન્હાતાં-ન્હાતાં બોલતાં : ગંગામાં નાહ્યા – ગોદાવરીમાં નાહ્યા – નર્મદામાં નાહ્યા…
આપણે ગંગા-જમના-ચિનાબ-બ્રહ્મપુત્રા-નર્મદા ને કાવેરીના જળથી નહાવાનું છે-જીવવાનું છે એમને માણસના લોહીથી નવડાવવાની નથી.
બુદ્ધમ્ શરણમ્ ગચ્છામી…
– તુલા-સંજય
વિશ્વગ્રામ, મો.: ૯૫૯૬૧૮૭૨૩૩
સ્રોત સંદર્ભઃ ભૂમિપુત્ર : ૧૬ જુલાઈ, ૨૦૨૪
