-
માનવ-હાથી સંઘર્ષની સમસ્યા કેમ આટલી વિકરાળ બની છે?
નિસબત
ચંદુ મહેરિયા
૨૦૨૦માં તત્કાલીન વન અને પર્યાવરણ મંત્રી બાબુલ સુપ્રિયોએ લોકસભા પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે ૨૦૧૬થી ૨૦૨૦નાં પાંચ વરસોમાં હાથીઓના હુમલાથી ૨૫૨૯ લોકો માર્યા ગયા હતા. એ જ સમયગાળામાં હિંસક પ્રાણી ગણાતા વાઘના હુમલામાં ૨૦૦ માનવનાં મોત થયાં હતાં! એકવીસમી સદીના બીજા દાયકાના ઉત્તરાર્ધનાં પાંચ વરસોમાં ઓડિશામાં ૪૪૯, પશ્ચિમ બંગાળમાં ૪૩૦, ઝારખંડમાં ૩૮૦, અસમમાં ૩૫૩, છત્તીસગઢમાં ૩૩૫, તમિલનાડુમાં ૨૪૬, કર્ણાટકમાં ૧૫૯, કેરળમાં ૯૩ અને મેઘાલયમાં ૨૫ લોકોનાં મરણ હાથીઓના હુમલામાં થયાં હતાં. ૨૦૧૯થી ૨૦૨૪માં હાથી-માનવ સંઘર્ષના સૌથી વધુ બનાવો પૂર્વી ભારતનાં પાંચ રાજ્યો ઓડિશા, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, અસમ અને છત્તીસગઢમાં બન્યા હતા. તેમાં ઓડિશામાં ૬૨૪ અને છત્તીસગઢમાં ૪૭૪ લોકોને હાથીઓએ મોતને ઘાટ ઉતાર્યા હતા. એવું નથી કે આ સંઘર્ષમાં માત્ર માણસો જ મરે છે. ૨૦૧૯થી ૨૪ના પાંચ વરસોમાં ૫૨૮ હાથીઓનાં પણ મોત થયાં હતાં. માનવજનિત કારણોથી હાથીઓનાં થયેલાં મોતમાં ૩૯૨ હાથીઓને તો માણસોએ વીજળીના કરંટથી મારી નાંખ્યા હતા. આ વિગતો પરથી માનવ-હાથી સંઘર્ષની સમસ્યા કેટલી વિકરાળ, ભયાનક અને ગંભીર છે તેનો ખ્યાલ આવે છે અને તત્કાળ ઉકેલની જરૂરિયાત ચીંધે છે.

સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી સંકટગ્રસ્ત કે લુપ્તપ્રાય: થવાની કગાર છે પર છે તેવા જંગલી હાથીની સંખ્યા ભારતમાં ૨૦૧૭માં થયેલી ગણતરી પ્રમાણે ૨૯૯૬૪ હતી, જે વિશ્વના હાથીઓની સંખ્યાના ૬૦ ટકા હતી. ૨૦૨૧-૨૫માં ભારતમાં ૨૨,૪૪૬ હાથી હતા. જે ૨૦૦૭ કરતાં ૨૦ ટકા ઓછા હતા. છેલ્લા સો વરસમાં વિશ્વમાં માણસોની વસ્તી ચાર ગણી વધી છે પણ આફ્રિકન હાથીઓની ૯૦ ટકા તથા એશિયનની ૭૦ ટકા ઘટી છે.
એશિયન હાથીની ભારતીય ઉપપ્રજાતિના જંગલી હાથી બુધ્ધિશાળી, સંવેદનશીલ અને અત્યધિક સામાજિક પ્રાણી છે. તેનું વજન સરેરાશ ૯૦૦ થી ૭૦૦૦ કિ.ગ્રામ અને લંબાઈ ૬ થી ૧૧ ફૂટની હોય છે. માત્ર નર હાથીને જ દાંત કે દંતશૂળ હોય છે. આશરે ૬૦ વરસનું આયુષ્ય ધરાવતા હાથીની ઘ્રાણશક્તિ ખૂબ જ વિકસિત હોય છે. જન્મ સમયે હાથી બાળ (મદનિયું) એક મીટર ઉંચુ અને ૯૦૦ કિલોગ્રામ વજનનું હોય છે. ચારેક વરસ તે માતાના દૂધ પર નભે છે. હાથી મુખ્યત્વે જંગલો અને ઘાસનાં મેદાનોમાં વસે છે અને ઘાસ, પાંદડાં તથા ફળ ખાય છે. એક હાથીનો રોજનો આહાર ૧૦૦ લીટર પાણી સાથે ૧૦૦ થી ૧૫૦ કિ.ગ્રા. છે. આહારની શોધમાં અને તે આરોગવામાં તે દિવસનો ૭૦ થી ૯૦ ટકા હિસ્સો ખર્ચે છે.
હાથીના કુદરતી આવાસો એવા જંગલો નષ્ટ થઈ રહ્યાં છે. હાથીના વિચરણના માર્ગો જે એલિફન્ટ કોરિડોર કહેવાય છે તે અવરોધાતા રહ્યા છે એટલે આહાર અને આવાસની તલાશમાં હાથીઓને મજબૂરીવશ માનવવસ્તીમાં અને તેમના ખેતરોમાં આવવું પડે છે. એટલે માનવી અને હાથી વચ્ચે સંઘર્ષ થઈ રહ્યા છે. પૂર્વે વનવિસ્તાર વિશાળ અને કૃષિ સીમિત હતી એટલે હાથીઓને ખોરાકની શોધમાં ખેતરોમાં આવવું પડતું નહોતું.પરંતુ ખેતી, માનવ વસ્તી અને ખાણોના વિસ્તારથી હાથીના કુદરતી આહારોના વિસ્તારો સંકોચાતા તે લોકવસવાટમાં આવે છે. ભારતના પશ્ચિમ ઘાટમાં ઝુંડમાં રહેવા ટેવાયેલા હાથીઓને જમીનના અન્ય ઉપયોગ અને વિકાસ કામોમાં ચોમેર વૃધ્ધિથી અલગ થવું પડ્યું છે. તે પણ સંઘર્ષનું એક કારણ છે.
માનવ વસ્તીમાં વૃધ્ધિ અને વન્યજીવોના પ્રાકૃતિક આવાસોમાં ઘટાડાની અસર બંને પર પડે છે. આવાસ અને આહારની હાથીઓની શોધ માનવી સાથેના ટકરાવમાં પરિણમે છે. તેનાથી માનવ મોત , ખેતી તથા સંપત્તિને નુકસાન થાય છે. એલિફન્ટ કોરિડોરમાં ઉધ્યોગો આવ્યા છે અને ખનન વધ્યું છે. કોલસા અને બીજા ખનિજોની ધમધમતી ખાણો અને વાહનોના અવાજોથી હાથીને મુશ્કેલીઓ પડે છે. સ્ટોન ક્રશિંગ અને ખાણોમાં બ્લાસ્ટિંગથી પણ હાથી માનવ પર હુમલા કરે છે.
બીજી તરફ લોકો હાથીથી તેમની ખેતી બચાવવા કે તેમના પર અને તેમનાં ઘરો પરના હુમલાથી બચવા હાથી પર હુમલા કરે છે. ખેતરો પર વીજ કરંટ , હાથીના ઝુંડને ભગાડવા મશાલો લઈને જવું કે જંગલમાં આગ લગાડવી, હાથીઓને ઝેર આપવું, હાથી દાંત માટે નર હાથીનો શિકાર કરવો, બદલાની ભાવનાથી હત્યા કરવી જેવા કારણોથી હાથીઓને મારી નાંખે છે.
ઓડિશા, અસમ અને બીજાં રાજ્યોના આદિવાસીઓને હાથીઓના હુમલાથી સવિશેષ સહન કરવું પડે છે.જ્યારે ચાના બગીચા કે ખેતરોમાં મજૂરીથી તેમનું દળદર ફીટતું નથી ત્યારે તે ગામમાં પાછા ફરી ખેતી કરે છે. પરંતુ તેમની ટૂંકી ખેતી જંગલમાં કે જંગલને અડીને આવેલી હોય તેમના પાક હાથી ખાઈ જાય છે. વન પેદાશો અને લાકડા માટે આદિવાસીઓ જંગલ પર આધારિત છે.પરંતુ મહુડાની સીઝનમાં પણ તે હાથીના ડરે જંગલમાં જઈ શકતા નથી. એકલા છત્તીસગઢમાં પાકને નુકસાન થયાની ૬૦,૦૦૦ ઘટનાઓ નોંધાઈ છે. સરકારી વળતર મળે નહીં તો ગરીબો કરે શું? એટલે માનવ-હાથી સંઘર્ષ વધતો રહે છે.
હાથી સંરક્ષણ માટે કાયદાકીય જોગવાઈઓ છે. વન્ય જીવ સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ હેઠળ હાથીના શિકાર અને વ્યાપાર પર પ્રતિબંધ છે. ભારત સરકારે હાથીને રાષ્ટ્રીય પશુ વારસો ગણ્યો છે, પરંતુ આપણી વિકાસ યોજનાઓના ઘડતરમાં હાથી સહિતના વન્ય પશુઓ પર પડનારી અસરો અને તેનાથી લોકો સાથેના ટકરાવનો કોઈ ખ્યાલ રાખવામાં આવતો નથી. દેશમાં ૩૩ જેટલા હાથી અભયારણ્યો અને ૧૫૦ એલિફન્ટ કોરિડોર હોવાનો સરકારનો દાવો છે. હાથી સંરક્ષણ પ્રોજેકટ અને ગજ સુરક્ષા , જનસુરક્ષા જેવી યોજનાઓ ઘડી છે. વન વિભાગ ડ્રોન અને રેપિડ રિસ્પોન્સ સ્કીમ દ્વારા જંગલમાં હાથીઓનાં ઝુંડ આવ્યાની જાણકારી મેળવી લાઉડસ્પીકર દ્વારા લોકોને જંગલમાં ન જવા ચેતવે છે, પરંતુ આ પૂરતું નથી.
હાથી ઉપયોગી પ્રાણી છે. તેનું ધાર્મિક મહત્વ તો છે જ, પરંતુ તે જે ઝાડના પાંદડાં , ડાળાં , ફળ ખાય છે અને નીચે ફેંકે છે તે અન્ય નાના વન્ય જીવોનો ખોરાક બને છે. તેના મળનો પણ જંગલમાં ખપ છે. તે ઝાડના પાંદડા તોડે છે કે ફળો ખાય છે ત્યારે બાકીના બીજ જમીન પર પડે છે અને તે આપમેળે અંકુરિત થાય છે. એટલે હાથીનો નાશ કે ઘટાડો પાલવે તેવો નથી.
માનવ-હાથી સંઘર્ષ નિવારણનાં કાયમી અને ઠોસ પગલાં વિચારવાની જરૂર છે. હાથી માટે જંગલોનું બચવું જરૂરી છે. કાયદેસર અને ગેરકાયદે ખનન તેના વિચરણ માર્ગોને બાધિત ન કરે તે જોવું જોઈએ. હાથીઓ માટે જંગલનો વિસ્તાર બચાવવો જેટલો જરૂરી છે એટલો જ હાથીઓનું પસંદગીનું જંગલ વિકસિત કરવાની પણ જરૂર છે કે જ્યાં તેને ખોરાક અને પાણી મળી રહે. ખેતરોમાં ઉગેલો પાક હાથી ખાઈ ન જાય એટલે લોકો ખેતરોની વાડ પર વીજળીનો કરંટ ઉતારે છે. તેનાથી હાથી પ્રવેશી શકતા નથી અને પ્રયત્ન કરે તો વીજળીના કરંટથી મરી જાય છે.તેથી ખેતરોની વાડ પર સોલાર ફેન્સિંગ કરવા વિચારી શકાય. જંગલની નજીકના ખેતરોમાં હાથીઓનો ખોરાક ન બની શકે તેવા પાક (દાત.મરચાં) ઉગાડવા જોઈએ. જો હાથીને જંગલોમાં પૂરતો આહાર અને પાણી મળી રહે તો કદાચ તે માનવ વસ્તીમાં ન આવે એટલે અનાજ જેવા પોષ્ટિક અને ઉર્જાદાયક વાંસનું રોપણ જંગલોમાં થવું જોઈએ. રેલવે અને સડકોનું નિર્માણ હાથીઓને અગવડ પડે તે પ્રકારે ન થવું જોઈએ.
હાથી અને માનવી વચ્ચેનો ભૌગોલિક અલગાવ વ્યવહારુ નથી. માનવ અને હાથીનું સહઅસ્તિત્વ સૈકાઓથી રહ્યું છે. કથિત વિકાસે તેને અવરોધ્યું છે .એટલે તે અવરોધ શક્ય એટલો ઘટાડવાની આવશ્યકતા છે.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
તેઓ મેકોલે જયંતી કેમ ઊજવે છે?
તવારીખની તેજછાયા

પ્રકાશ ન. શાહ
રામનાથ ગોયન્કા વ્યાખ્યાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેકોલ વિવાદ છેડ્યો એથી એક રીતે રાહત થઈ કે એમના રડાર પર બચાડા જવાહર જ છે એવું છેક નથી! અલબત્ત, એકંદર રાષ્ટ્રીય ચળવળમાં અંગ્રેજી કેળવણી સામે અને એના નોંધપાત્ર પ્રણેતા મેકોલે સામે ફરિયાદ જરૂર રહી છે, પણ અંગ્રેજ સરકારના ચાર્ટરની મર્યાદામાં ઉછરેલી બનારસ યુનિવર્સિટી પેઠે ગાંધીએ વિદ્યાપીઠ બાબતે પારકી સરકારની તમા ન કરી એની પૂંઠે હતું એવું સ્વસ્થ, સ્પષ્ટ દર્શન હાલના સત્તાકીય રાજકીય પ્રતિષ્ઠાન પાસે છે કે કેમ તે તપાસની બાબત છે.
એક વાત સાચી કે સાંસ્થાનિક માનસિકતામાંથી ઊંચે ઊઠ્યા વગર આપણો જયવારો તો શું કશો આરોઓવારો પણ નથી. કિશોરાવસ્થામાં સરસંઘચાલક ગોળવલકરને એકાધિક વાર સાંભળવાનું બન્યું ત્યારે એમને પ્રિય જણાતું એક શબ્દ ઝૂમખું સંઘબાહ્ય વ્યાપક અનુલક્ષીને ‘ઇંગ્લિશમેન ઈન બ્રાઉન સ્કિન’ એ હતું. જરી કમરપટા તળેની ભાષાની રીતે પ્રસંગોપાત ‘મેકોલે કી ઓલાદ’ જેવા પ્રયોગો સાંભળવા મળે છે, તે પણ એ જ ધાટીમાં છે. એવું તો શું કર્યું’તું મેકોલએ, ભાઈ? 1835ની એની મિનિટ્સ સાથે દેશમાં અંગ્રેજ ઢબછબના સંસ્થાવિધાન સાથે, માધ્યમિક સ્તરેથી અંગ્રેજીમાં જ શિક્ષણનો પાયો નખાયો.
૧૮૫૭માં જે યુનિવર્સિટીઓ આવી એને સારુયે રોડ મેળ તે રોલ મોડેલ એ ધાટીએ પાકાં હતાં. અરબી કે સંસ્કૃત, કશાની પ્રત્યક્ષ જાણકારી વિના મેકોલેએ કહેલું કે અંગ્રેજીમાં સુલભ ઉત્તમ સાહિત્યના ભંડાર સામે અરબી-સંસ્કૃતનાં ચુનંદા પુસ્તકો માંડ એક છાજલીના ઘરાક હોય તો હોય. આ વિધાન અલબત્ત મેકોલેની પ્રતિભા જોતાં છેક જ છીછરું છે. ઘણી વાર મેકોલેની ટીકામાં તે બ્રહ્માસ્ત્રની જેમ વપરાતું પણ હોય છે. પણ મેકોલેની સુખ્યાત અગર વિપરીત અર્થમાં વિખ્યાત મિનિટ્સને એના સમગ્ર સંદર્ભમાં જોવાનો વ્યાયામ, ચોક્કસ મતભેદ છતાં, આગ્રહપૂર્વક કરવા જેવો છે.
અંગ્રેજ કાળે પહોંચતા લગીમાં જ એક દુર્દૈવ વાસ્તવ આપણા હાડમાં ઝમેલું બલકે જળોની જેમ પેંધેલું હતું તે ધ્યાનમાં લઈએ તો મારો આગ્રહ સમજાશે. બે જ વાનાં લઉં, નમૂના દાખલ: એક તો મેકોલેએ ભલે અંગ્રેજી માધ્યમના રસ્તે પણ શિક્ષણનાં દ્વાર વર્ણભેદ વગર સૌને માટે ખોલ્યાં. ધરમપાલે ‘બ્યુટીફૂલ ટ્રી’માં વર્ણવેલ ભવ્યોદાત્ત પરંપરા વિશે ક્યારેક અલગથી ચર્ચા કરવી રહે છે. પણ સંસ્કૃત અગર અરબી ધારાનું શિક્ષણ જેમને માટે ખુલ્લું હશે તે સમાજનો કેટલો હિસ્સો હશે? બીજું, દેશભાષાઓમાં (ત્યારે ‘વર્નાક્યુલર’ એ સંજ્ઞા વપરાતી, એમાં) કેટલું શક્ય હશે એ પ્રશ્ન હતો.
આપણે જેને કારકૂની કેળવણી એવું નામ સાભિપ્રાય આપ્યું, એ મૂળમાં તો મેકોલેએ કલ્પેલી એક એવી વ્યવસ્થા હતી કે ભલે નાનો પણ વર્ણભેદ વગરનો એક વર્ગ અંગ્રેજી શિક્ષણ પામી સરકાર અને લોક વચ્ચે પરસ્પર સમજની રીતે ‘ઘટન’નું કામ કરશે. આ પ્રક્રિયા શરૂ થાય તે પછી આગળ ચાલતાં, બધા વિષયો દેશભાષાઓમાં ઊતરવા લાગશે અને ભણાવાશે. વડાપ્રધાનનું ભાષણ હવામાં હશે એવામાં જ ઈતિહાસમાં રમેલાં રુચિકા શર્માની ટિપ્પણીમાં સવિતાબાઈ ફુલે (૧૮૩૧-૧૮૯૭)ની એક અતિસૂચક રચના ઊતરી આવી હતી- ‘ઈંગ્રજ માઉલી આલી.’ ઈંગ્લિશ માડી આવી…
અને શું હતી એની પૂર્વ પંક્તિ? ‘પેશવાઈ ગેલી.’ જે વ્યવસ્થામાં સમાજના મોટા વર્ગને (શુદ્ર આદિને) અવકાશ નહોતો તે અંગ્રેજી રાજ ને શિક્ષણ સાથે ઊભો થયો. જ્યોતીબા ફુલે એક બાજુ જો ‘અમારા શુદ્રોના રાજા’ તરીકે શિવાજીનો મહિમા કરતા હતા તો નવી કેળવણી થકી લાધેલ પરિચયવશ ટોમ પેઈનના વિચારોને ધોરણે ન્યાય ને સમતાની નવી ભૂમિકાએ પણ વાત કરતા હતા. આ જે નવી વાત બની રહી હતી એનો પૂર્વ સંકેત બંગાળ છેડેથી રામ મોહન રાય (૧૭૭૨-૧૮૩૩) તરફથીયે મળ્યો હતો:
સંસ્કૃત પાઠશાળા અને નવી કોલેજ વચ્ચે પસંદગીનો પ્રશ્ન આવ્યો ત્યારે એમની હિમાયત કોલેજ માટે હતી. ગમે તેમ પણ, પોલિસી રિસર્ચ સેન્ટર સાથે સંકળાયેલા ડી. શ્યામ બાબુએ ભલે અંગ્રેજીમાં પણ સૌને માટે, રિપીટ, સૌને માટે શિક્ષણ ખુલ્લું થયું એ માટેની પહેલ બદલ મેકોલેને મહાત્મા મેકોલે તરીકે ઓળખાવ્યા છે. મહાત્મા ફુલે અને મહાત્મા ગાંધી ઉપરાંતના આ ત્રીજા મહાત્માની પ્રતિષ્ઠા કરવાનુંયે લોજિક નથી એમ કહી શકાશે, વારુ? છેલ્લાં વર્ષોમાં દલિત બૌદ્ધિક ચંદ્રભાણ પ્રસાદે હર પચીસમી ઓક્ટોબરે મેકોલે જયંતી મનાવવાનો ચાલ શરૂ કીધો છે તે આ સંદર્ભમાં તરત યાદ આવે છે.
બલકે, સ્મરણીય તો એમનો બાંકા ખાતેનો એ પ્રકલ્પ પણ છે જેને અન્વયે ઈંગ્લિશ નામે દલિત દેવીની પ્રતિમા ખડી કરાઈ છે. સ્વાભાવિક જ નાનાં કદ-કાઠીની પણ આ પ્રતિમા સામેનો નમૂનો ‘સ્ટેચ્યુ ઓફ લિબર્ટી’ છે. (દસ-પંદર વરસ પર ‘સ્ટેચ્યુ ઓફ લિબર્ટી’નું મોડેલ તો ક્યાંથી હોય? માથે મસમોટી હેટ- કથિત નીચલી વરણ માટેના ડ્રેસકોડની એસીતેસી- જમણા હાથમાં પેન અને ડાબા હાથમાં? અલબત્ત, બંધારણ સ્તો, જેણે વરણ માત્રને સમાન હક્ક બક્ષ્યા.
આંબેડકરે ક્યારેક કહેલું ને કે અંગ્રેજી તો સિંહણનું દૂધ છે! એવું તો નથી ને કે મેકોલેના અભિગમથી નાતજાતગત ઊંચનીચને વટવાની જે શક્યતા ઊભી થઈ તે સત્તા-પ્રતિષ્ઠાન માત્રને લાગુ પડતા ઉજળિયાતને સોરવાતી નથી? અલબત્ત, ગાંધી જેવો ખરી દૂંટીનો અવાજ મેકોલે-માહોલ સામે ઊઠે છે એ કાળજે ધરવા જોગ છે, એની વાત યથાવકાશ.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૧૦ – ૧૨– ૨૦૨૫ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
એક સાહિત્યિક તીર્થ અને તેમાં રહેલી પુસ્તકપ્રતિમાઓ
આદિમુદ્રિત ગ્રંથવૈભવ
બીરેન કોઠારી
ગુજરાતમાં કોઈ સાહિત્યકારના નિવાસસ્થાનને સંગ્રહાલય તેમજ જીવંત સ્મારકનું સ્વરૂપ અપાયું હોય, સાંપ્રત પ્રવાહોની સાથે કળા અને જ્ઞાનવિજ્ઞાનના ક્ષેત્રે ધમધમતું હોય, એવું આજે કદાચ એક માત્ર સ્થળ હોય તો તે છે નડીઆદમાં આવેલું વિખ્યાત સાહિત્યકાર ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીનું નિવાસસ્થાન-સ્મારક, જે ‘શ્રી ગોવર્ધનરામસ્મૃતિ મંદિર’ તરીકે ઓળખાય છે.
આ મકાનમાં ગોવર્ધનરામે જીવનનો મહત્ત્વનો સમયગાળો વીતાવ્યો હતો. પોતાની યશોદાયી કૃતિ ‘સરસ્વતીચંદ્ર’નો ચોથો ભાગ તેમણે પોતાના આ નિવાસ દરમિયાન લખ્યો હતો.
ઈ.સ.૧૯૦૭માં ગોવર્ધનરામના અવસાન વખતે તેમનું નિવાસસ્થાન ગીરવે મૂકાયેલી સ્થિતિમાં હતું. એ પછી ૧૯૫૬ની ૧૦મી જાન્યુઆરીએ દીવાન બહાદુર કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીના પ્રમુખપદે મુંબઇમાં ગોવર્ધનરામ-શતાબ્દીની ઉજવણી અંતર્ગત ‘ગોવર્ધનરામ સ્મારક સમિતિ’ રચાઈ. એ જમાનામાં રૂપિયા પચીસ હજાર જેટલી માતબર રકમનું ભંડોળ એકઠું કરીને ગીરવે મૂકાયેલા ગોવર્ધનરામના મકાનને સમિતિ દ્વારા પાછું મેળવવામાં આવ્યું અને તેની વ્યવસ્થાનું કામ નડીયાદના અ.સૌ. ડાહીલક્ષ્મી પુસ્તકાલયનું સંચાલન કરતા ‘ઉમેદકુમારી મંદિર ટ્રસ્ટ’ને સોંપાયું.
૧૯૫૬થી આજ દિન સુધીમાં ત્રણ ત્રણ વખત આ સ્મૃતિમંદિરમાં મોટાં સમારકામ કરાવીને તેને પડુંપડું થતાં અટકાવાયું છે. વચ્ચેના સમયગાળામાં સાવ ઉપેક્ષિત દશામાં રહેલા આ સ્મારકને ઈ.સ. ૧૯૯૦માં નવું રંગરોગાન કરાવીને ફરીથી ખુલ્લું મુકવામાં આવ્યું.

(નડિયાદમાં આવેલું ગોવર્ધનરામ સ્મૃતિમંદીર) ૨૦૦૫માં ‘સાર્ધ શતાબ્દી મહોત્સવ’ નિમિત્તે સ્મૃતિમંદિરનું સમારકામ ભારે ખર્ચે કરવામાં આવ્યું. ત્યાર બાદ ૨૦૨૨માં આ મકાનના વધુ એક હિસ્સાનો કબજો મળતાં સ્મૃતિમંદિર વધુ અવકાશયુક્ત અને સુવિધાયુક્ત બની શક્યું. આ સ્થળ વર્તમાન સમયના સંદર્ભે વિસરાયેલા એ કાળખંડને જીવંત કરે છે અને તેનો ‘સ્મૃતિમંદીર’નો દરજ્જો સાર્થક કરે છે. પ્રો.હસિત મહેતાની સક્રિયતા, સમર્પણ અને સાતત્યપૂર્વકના પ્રયત્નોને કારણે આ સ્થળ આ દરજ્જો હાંસલ કરી શક્યું છે. હસિતભાઈએ અનેક વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને સ્વયંસેવક તરીકે આ સ્થળ સાથે સાંકળ્યા છે અને સમર્પિત કાર્યકર્તાઓની મજબૂત ટીમ ઊભી કરી છે. નડિઆદની યુ.ટી.એસ. મહિલા આર્ટ્સ કોલેજના પ્રાચાર્ય પ્રો.ડૉ. હસિત મહેતા પડકારજનક કામ માટે જાણીતા છે. આ કૉલેજમાં પણ તેઓ ઉદાહરણરૂપ કામ કરી રહ્યા છે, જેનું આલેખન અલાયદું કરવું પડે. પોતાની વિદ્યાર્થીઅવસ્થાથી ડાહીલક્ષ્મી પુસ્તકાલય સાથે સંકળાયેલા હસિતભાઈએ વરસોની આકરી સાધના પછી આ સ્થળોને ધબકતાં રાખ્યાં છે, અને પોતાના જેવા બીજા અનેક સમરસિયાઓને આમાં સાંકળ્યા છે, જેને કારણે આ સ્થળ તેની પ્રવર્તમાન સ્થિતિમાં જોઈ શકાય છે અને હજી તેમાં અવનવાં આકર્ષણો ઊમેરાતાં જાય છે.
(હવે દિવંગત), વયોવૃદ્ધ, નિવૃત્ત સનદી અધિકારી કુલીનચંદ્ર યાજ્ઞિકની સૂઝબૂઝને કારણે નડિયાદના મોટા ભાગનાં (બત્રીસેક) સાક્ષરોના નિવાસસ્થાનની ઓળખ થઈ શકી છે.
આ સ્મૃતિમંદિરમાં ગોવર્ધનરામ વાપરતા હતા તે તમામ રાચરચીલું તેમજ તેમના અંગત વપરાશની અનેક ચીજવસ્તુઓ સચવાયેલી છે. તેની એક ઝલકથી તેનું મૂલ્ય સમજી શકાશે.
- ગોવર્ધનરામ પહેરતા હતા એ અસલ લાલ રંગની પાઘડી
- લેખન માટે તેઓ ઉપયોગમાં લેતા હતા એ કિત્તા અને શાહીદાન
- તેમનાં કુટુંબીજનો અને પરિચિતોની ફ્રેમ કરેલી અસલ તસવીરો
- તેમનો હીંચકો અને ઈઝી ચેર, દીવાલ ઘડીયાળ, પુસ્તકો મૂકવાની ફરકડી
- ‘સરસ્વતીચંદ્ર’નો ચોથો ભાગ લખવા તેમણે ઉપયોગમાં લીધેલું ટેબલ અને ખુરશી
- તેમના અભ્યાસખંડનું પાણિયારું અને પિત્તળની ગોળી (માટલી)
- ‘ગો.મા.ત્રિ.’ કોતરેલા બે કાષ્ઠ પાટલા, જેનો ઉપયોગ તેઓ જ્ઞાતિભોજન વખતે કરતા
- પોતાના વકીલાતના કાર્યકાળ દરમિયાન તેમણે લખેલા કેટલાંક પત્રો
- તેમની સ્ક્રેપબુક/ટાંચણપોથીની એક હ્સતપ્રત.
- ‘સરસ્વતીચંદ્ર’ના ચારેચાર ભાગની લેમિનેટ કરાયેલી હસ્તપ્રતો,
- તેમની કૃતિઓ ‘સ્નેહમુદ્રા’, ‘લીલાવતી જીવનકલા’, ‘દયારામનો અક્ષરદેહ’, તથા સો વર્ષ સુધી અપ્રકાશિત રહેલા નાટક ‘ક્ષેમરાજ અને સાધ્વી’ની હસ્તપ્રત
- ગોવર્ધનરામનો જ્ઞાનવિસ્તાર દર્શાવતો તેમનો ગ્રંથભંડાર, જેમાં અંગ્રેજી, ગુજરાતી અને સંસ્કૃતનાં મળીને કુલ ૧૦૦૬ પુસ્તકો છે. આ પુસ્તકોમાં ગોવર્ધનરામે પોતાના હસ્તાક્ષરમાં લખેલું પોતાનું નામ, પોતે કરેલી નોંધો તેમજ અન્ડરલાઈન મહત્ત્વની વિગતોનો સંદર્ભ આપી રહે છે.
- ગોવર્ધનરામ વિશેનું મોટા ભાગનું સંદર્ભસાહિત્ય એટલે કે તેમના વિશેનાં વિવિધ લખાણોનો વિપુલ જથ્થો અહીં ઉપલબ્ધ છે, જે પ્રકાશ વેગડ સંપાદિત ‘ગોવર્ધનવિવેચન સંદર્ભ’ના આધારે એકત્ર કરાયો છે.
સ્મૃતિમંદિરમાં સચવાયેલી આ તમામ ચીજવસ્તુઓમાં આજે પણ ગોવર્ધનરામની ચેતના અનુભવી શકાય છે. વળી આ સ્મૃતિમંદિર ગોવર્ધન-અભ્યાસ માટેની એક સ્વાધ્યાયપીઠ પણ બની રહે છે.

(ગોવર્ધનરામ દ્વારા વપરાશમાં લેવાયેલી વિવિધ ચીજો વચ્ચે મૂકાયેલી તેમની આદમ કદની પ્રતિમા) આ રીતે સાહિત્ય અને કળાના વિવિધ આયામોથી સજ્જ આ સ્મારકમાં કેવળ એક સાહિત્યકારના સાહિત્યની જ નહીં, તેના પારિવારિક અને સામાજિક જીવનની અને એ કાળખંડની જીવંત ઝાંખી મળે છે. અસલના વખતના તેમના ઓરિજીન હીંચકા ઉપર મૂકાયેલું ગોવર્ધનરામનું આદમકદનું પૂતળું સ્મારકના આ માહોલને જીવંત બનાવે છે. અહીં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના અઢળક વિદ્યાર્થીઓ અને અનેક સાહિત્યપ્રેમીઓના પ્રવાહને બીજી બાબતો ઉપરાંત હીંચકે ઝૂલતા ગોવર્ધનરામ સાથેના સેલ્ફીનું પણ આકર્ષણ હોય છે. મુલાકાતીઓના રસસંવર્ધન માટે અહીં ઊભી કરાયેલી ઑડિયો ગાઈડની અને ડૉક્યુમેન્ટરી ફિલ્મની આધુનિક સુવિધા સ્મારકનું મહત્વ અને પ્રસ્તુતતા સમજવામાં મદદરુપ બને છે.
હવે એક સાહિત્યિક તીર્થધામ તરીકે વૃદ્ધિ અને વિકાસ પામેલું સ્મૃતિમંદિર ગુજરાતના સાહિત્યરસિકો અને અભ્યાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. આ સ્થળ વિશેની વિગતવાર માહિતી તેમજ તેની વર્ચ્યુઅલ ટૂર તેની વેબસાઈટ www.govardhanramsmrutimandir.com પર ઉપલબ્ધ છે. આ સ્થળની રૂબરૂ મુલાકાત લેવા માટે ઈમેલ gsmrutimandir@gmail.com દ્વારા સંપર્ક કરવા વિનંતી. દર બુધવારે અહીં સાપ્તાહિક રજા હોય છે. બાકીના દિવસોએ તે સવારના ૯.૦૦ થી સાંજના ૬.૦૦ સુધી ખુલ્લું હોય છે.
****
ગોવર્ધનરામની ચીજવસ્તુઓ, તેમના અંગત ગ્રંથભંડાર ઊપરાંત સાહિત્યપ્રેમીઓ, ઇતિહાસપ્રેમીઓ, પ્રવાસપ્રેમીઓ, જિજ્ઞાસુઓ, અભ્યાસુઓ, તેમજ સંશોધકોને રસ પડે એવું આ સ્થળનું વધારાનું એક આકર્ષણ એટલે અહીંનું વિશિષ્ટ પુસ્તકાલય. ઓગણીસમી-વીસમી સદીનાં આશરે સવાસો વર્ષ જૂનાં અઢી હજાર જેટલાં પુસ્તકો અહીં સૂચિબદ્ધ રીતે ગોઠવાયેલાં છે, જેમાં હિન્દી, ગુજરાતી, અંગ્રેજી તેમજ સંસ્કૃત પુસ્તકોનો સમાવેશ થાય છે.
ગુજરાતનાં જૂજ સામયિક-પુસ્તકાલયોમાં ગોવર્ધનરામ સ્મૃતિમંદિરનો ગૌરવપૂર્ણ ઉમેરો થયો છે. અહીં વિવિધ વિષયનાં સાડા ત્રણસો જેટલાં ગુજરાતી, અંગ્રેજી સામયિકોનાં કુલ મળીને છવ્વીસ હજારથી વધુ અંકો બાઈન્ડિંગ કરીને સુવ્યવસ્થિત રીતે સચવાયેલાં છે. આ સામયિકોમાં ‘બુદ્ધિપ્રકાશ’નો શૂન્ય નંબરના, ૧૮૫૪માં પ્રકાશિત થયેલા શિરોરેખા ધરાવતા ગુજરાતી લિપિવાળા પ્રથમ અંકથી માંડીને ૭૦ વર્ષ સુધીના અંકો, ફાર્બસ ગુજરાતી સભાના ત્રૈમાસિકના પ્રારંભના અંકો, રમણલાલ નીલકંઠ સંપાદિત ‘જ્ઞાનસુધા’, જેમાં ‘ભદ્રંભદ્ર’ ધારાવાહિકરૂપે પ્રકાશિત થયેલી, ગોર્વધનરામ ત્રિપાઠીનું ‘સમાલોચક’, મુંબઈના જન્મભૂમિ દૈનિકના ૧૯૩૦ થી ૧૯૬૦ના દૈનિક અંકો, ‘યમદંડ’ જેવાં અનોખા વિષયનું સો વર્ષ જૂનું સામયિક, જયંતિલાલ મોરારજી મહેતાનું ‘દેશી રાજ્ય’, અને ‘ભાવનગર સમાચાર’, ઝવેરચંદ મેઘાણીના સંપાદન હેઠળનું ‘ફૂલછાબ’, ’ભિષગ્ભારતી’,‘સ્વદેશવત્સલ’,‘બ્રાહ્મણ’,‘હિન્દુ મિલનમંદીર’ જેવાં વિશિષ્ટ સામયિકો સહિત અનેક સામયિકોનો સમાવેશ થાય છે.
ઝવેરચંદ મેઘાણીના પરિવારે ભારે જતનપૂર્વક જાળવી રાખેલી તેમની અસલ હસ્તપ્રતો હવે તેમણે સ્મૃતિમંદિરને સુપરત કરી છે. મેઘાણીના હસ્તાક્ષરમાં લખાયેલાં કાવ્યો, લેખો, ટીપ્પણીઓ અને બીજાં અનેક લખાણોએ સ્મૃતિમંદિરના ખજાનામાં અનોખી મૂલ્યવૃદ્ધિ કરી છે.
આજે અહીં આ તમામ પુસ્તકો અને સામયિકોનું ડિજિટાઈઝેશન દિલ્હીના ‘રેખ્તા ફાઉન્ડેશન’ના સહયોગમાં થઈ રહ્યું છે. આ પુસ્તકો વેબસાઈટ પર તબક્કાવાર સુલભ બનાવાઈ રહ્યાં છે. આ આદિમુદ્રિત ગ્રંથો પૈકીનાં ગુજરાતી પુસ્તકોનો સંક્ષિપ્ત પરિચય લખાયેલો છે, જેમાં જે તે પુસ્તકની સ્થૂળ વિગતો અને સામગ્રીનો અંદાજ આવી શકે છે. આ પરિચય ‘ગોવર્ધનરામ સ્મૃતિમંદીર’માં બેસીને, એ પુસ્તકોનાં પાનાં ફેરવીને લખાયેલો છે.
હવે પછી દર મહિનાના ત્રીજા સોમવારે ‘આદિમુદ્રિત ગ્રંથવૈભવ’ શ્રેણી અંતર્ગત આવા એક એક પુસ્તકનો સંક્ષિપ્ત પરિચય અને એ પુસ્તકની લીન્ક અહીં આપવામાં આવશે.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી -
એશિયાનું કલંક યાને કોરીયાની કથા – પ્રકરણ ૧ લું. – અમર રહો માતા કોરીયા !
ઝવેરચંદ મેઘાણી
કોરીઆની રાજધાની શીઉલ શહેરની એક નિશાળમાં એક દિવસ મેલાવડો મળ્યો હતો. જાપાની બડેખાંઓએ બાળકોને રાજ–ભક્તિનાં ભાષણો દીધાં. શિક્ષકોએ પોતાના મહેમાનોને ગળે ફુલહાર પહેરાવ્યા. બધાં બાળકો સભા ખતમ થવાની આતુર હૃદયે રાહ જોતાં હતાં. એ શેની વાટ જોતાં હતાં ? મીઠાઈની ?
છેવટે એક તેર વરસનો કિશોર બાળક મોખરે આવ્યો, ને બહુજ વિનયભર્યું એક ભાષણ કર્યું. જાપાની અમલદારો ખુશ ખુશ થઈ જાય એવું રાજભક્તિથી તરબોળ એ ભાષણ. હતું. ભાષણનો અંત આવતો હતો. બોલનાર બાળકે શરીર ટટ્ટાર કર્યું, એની છાતી ધસીને બહાર આવી, ને એની આખોમાં કોઈ ઉંડા નિશ્ચયની કાંતિ ઝળકી રહી.
એ નિશ્ચય શાનો હતો ? મોતને ભેટવાનો. બાળક એવા શબ્દો ઉચ્ચારવા જતો હતો કે જે શબ્દોએ હજારોનાં માથા લીધાં હતાં. બાળકને આ વાતની ખબર હતી. એણે એ શબ્દો ઉચ્ચાર્યા. “હવે થોડુંકજ બોલવા દેજો. તમારી પાસે અમે એકજ વસ્તુ માગી લઇએ.”
આટલું કહેતાં, એનો હાથ છાતી ઉપર પડ્યો. એ સાથે તો ત્યાં બેઠેલા સેંકડો બાળકોના હાથ પોતપોતાની છાતીમાં પેઠા. જાપાનીઓ ઝબક્યા ! બાળકોએ પોતાના ડગલાની અંદર, છાતી ઉપર શું સંતાડ્યું હશે ? પિસ્તોલો, બોમ્બો કે ન્હાની ન્હાની કાતિલ છુરીઓ ?
બોલનાર બાળકનો હાથ બહાર આવ્યો; એ હાથમાં માતૃભૂમિનો એક નાજૂક વાવટો ! એણે હાકલ કરી, “અમારી મા અમને પાછી સોંપો ! અમર રહો માતા કોરીઆ.”
ચારસો હાથ આકાશ તરફ ઉંચા થયા; ચારસો ન્હાના વાવટા હવામાં ઉડવા લાગ્યા. ચારસો કંઠની અંદરથી ધ્વનિ ઉઠ્યો, “અમર રહો મા, અમર રહો મા, અમર રહો, માતા કોરીયા.”
ટપોટપ ગજવામાંથી સરકારી નિશાળોનાં સર્ટીફીકેટો ટુકડે ટુકડા થઈને જમીન ઉપર પડ્યાં. અને મીઠાઈ વહેંચવા આવેલા મહેમાનોને દિગ્મૂઢ હાલતમાં મૂકીને ચારસો રોષયુક્ત, ગર્વયુક્ત, ભયમુક્ત ચહેરાઓ મંડપમાંથી એકતાલે કદમ મૂકતા બહાર નીકળ્યા. પ્રવાહમાં જેમ પ્રવાહ મળે તેમ બાળક બાળિકાઓનાં ટોળાં એકઠાં થયાં, ને માતા કોરીયાનો જયઘોષ કરવા લાગ્યાં.
આ કાંઇ તમાશો નહોતો. કોરીયાનું પ્રત્યેક બાળક પણ જાણતું હતું કે જાપાની રાજ્ય, કોરીઆનો વાવટો ઉડાવનારનું માથું ઉડાવે છે; પછી તે માથું બાળકનું હો કે બાલિકાનું.
નાગી તલવારો લઈને સરકારી સીપાઈઓ એ બાળકોની સુંદર મેદિની ઉપર તૂટી પડ્યા. ચારસો બાલક બાલિકા પકડાયાં. ઘણાં યે ઘવાયાં. પાદરીઓની ઈસ્પીતાલોમાંથી પંદર રમણીઓ પિતા જીસસનાં પ્યારાં શિશુઓની સહાયે દોડી. એ પણ પકડાણી. કુમારીકાઓએ કસી કસીને પોતાનાં અંગ ઉપર ચોળીઓ ને ચડ્ડીઓ શીવી લીધેલી, તે ચીરીને સીપાઈઓએ બધીને નગ્ન કરી ભર બજારે ઉભી રાખી. માતા કોરીઆનાં સંતાનોની આંખમાથી આ દેખાવે લોહી ટપકાવ્યાં, છેડાયેલી જનતા તોફાન પર આવી. લોકો રાવ લઈને પોલીસના વડા પાસે દોડ્યા. જાપાની અધિકારીએ જવાબ વાળ્યો કે “રમણીઓને નગ્ન કરવાનું જાપાની કાયદામાં મંજુર છે.”
આ જાપાન કોણ ? આપણી માતાની એશિયાઈ બહેન ! જેણે સૈકાઓ સુધી જુલ્મની સાંકળો ઉચકીને આખરે એક દિવસ એ સાંકળોને તોડી નાખી; જેણે પોતાના શૌર્યથી, ને કળાકૌશલ્યથી આખા યુરોપને તેમજ અમેરીકાને ચકિત કર્યું; જેણે જગતમાં એશિયાની ઇજ્જત જાળવી.
આવું પ્રતાપી, ને સમૃદ્ધિશાળી, જાપાન કોરીયાને શા માટે સંતાપે છે ? બે કરોડ નિર્દોષ ને શૂરવીર મનુષ્યોએ એનો શો અપરાધ કર્યો છે ? દુનિયાના એક ખુણામાં પડ્યો પડ્યો એ પ્રાચીન દ્વીપકલ્પ ચાર હજાર વરસો થયાં સ્વતંત્રતા ભોગવતો હતો, પોતાનો કીર્તિવંત ને નિષ્કલંક ઇતિહાસ પોતાનાં બાલકોને ભણાવી રહ્યો હતો. એનાં સંતાનોને ગાવાની કવિતા હતી, પોતાના સુંદર મનોભાવો પ્રગટ કરવા એને શિલ્પકળા હતી. પોતાને આંગણે બેઠી બેઠી એ પ્રજા પેગોડા બાંધીને બુદ્ધ દેવની બંદગી કરતી હતી. આવી નિરપરાધી શાંતિપ્રિય પ્રજાએ જાપાનનું શું બગાડ્યું ?
સવાલનો જવાબ સવાલથી જ દઈએ. ઈજીપ્ત અને આયર્લાંડે ઈંગ્લાંડનું શું બગાડ્યું ? હંગેરીએ આસ્ટ્રીઆનું શું બગાડ્યું ? કોંગોવાસીઓએ બેલજીઅમનું શું બગાડ્યું ? અને ભારતવર્ષે બ્રીટાનીઆનો શો અપરાધ કર્યોં ?
કોરીયાનો અપરાધ એટલો કે એણે પોતાની ભૂમિ ઉપર જાપાનને પગ મેલવા દીધો; એણે જાપાનને નીતિ ને સાહિત્ય શીખવ્યાં; શિલ્પ અને ફિલ્સુફી શીખવ્યાં. વધુ અપરાધ એ કે કોરીયા ચીનને આશરે આનંદ કરી રહ્યું હતું. એથીયે વધુ અપરાધ એ કે એના કેટલાએક અણસમજુ સંતાનોએ જાપાની લોકોને પોતાની ભૂમિમાં દાખલ થતા અટકાવ્યા, ને થોડાકને ઠાર કર્યા. સહુથી મોટો અપરાધ તો એ કે કોરીયામાં વેપાર વાણિજ્ય બહુ કસદાર હતાં, એને બહુજ મોટાં મોટાં કિમતી બંદરો હતાં, પણ વેપાર ખીલવનારા વેપારીઓની કોરીયામાં ખેંચ હતી ! કોરીયાનો રાજવહીવટ ચાર હજાર વરસો થયાં ચાલતો પણ, એમાં જાપાનની નજરે ઘણા દોષો હતા ! કોરીઆમાં રેલ્વે હતી, પણ એની સુવ્યવસ્થા કરનારા જાપાની અમલદારો નહોતા ! રે ! કોરીઆમાં સોનાની ખાણો હતી !
પરદુઃખભંજન જાપાને આ નાનકડી તોફાની પ્રજાને શી રીતે, ને કેટલી કેટલી મુશીબતે ઠેકાણે આણી તેનો ટુંકો ઇતિહાસ તપાસીએ. સીતેર વરસનો ટુંકો આ ઇતિહાસ છે.


આવતા અંકેઃ પ્રકરણ ૨ જું. – પ્રભાતનું શાંતિસ્થાન.
સ્રોત સૌજન્યઃ વિકિસ્રોત
-
એક કલાકાર: ગાયકો એકથી વધુ [૨]
નિરંજન મહેતા
આ શ્રેણીનો પ્રથમ લેખ ૮ નવેમ્બર ૨૦૨૫ના પ્રકશિત થયો હતો જે દેવઆનંદ પર હતો. આજના લેખમાં શમ્મીકપૂરને લગતી માહિતી અપાઈ છે.
સૌ પ્રથમ યાદ આવે છે ૧૯૫૬ની ફિલ્મ ‘બોય ફ્રેન્ડ’
देखो न जाओ ऐ जान-ए-मन
दिल ना दुखाओ ऐ जान-ए-मन
हमसे नज़र तो मिलाओ, एक दफ़ा मुस्कुराओ
देखो न जाओ ऐ जान-ए-मनઆ ગીત શમ્મીકપૂર અને મધુબાલા પર રચાયું છે જેના ગીતકાર છે શૈલેન્દ્ર અને સંગીત આપ્યું છે શંકર જયકિસને. સ્વર છે સુબીર સેન અને લતાજીના.
આ જ ફિલ્મના અન્ય ગીતો જે શમ્મીકપૂર પર રચાયા છે તે ગીતોને સ્વર મળ્યો છે રફીસાહેબનો. જેમાનું એક ગીત છે
मुझे अपना यार बना लो फिर देखो मज़ा प्यार का
अरे आज़माँ के देखो दिल कैसा है दिलदार काઆ ગીતમાં ગીતકારના બે નામ છે – હસરત જયપુરી અને શૈલેન્દ્ર. સંગીતકાર છે શંકર જયકિસન અને સ્વર છે રફીસાહેબનો.
આ ઉપરાંત અન્ય ગીતો પણ છે જે રફીસાહેબના સ્વરમાં છે.
શમ્મીકપૂરની ૧૯૫૯ની ફિલ્મ ‘ઉજાલા’નું મસ્તીભર્યું ગીત છે
झूमता मौसम मस्त महीना
चाँद सी गोरी एक हसीना
आँख में काजल मुँह पे पसीना
ऐसे में मुश्किल कर के जीना
या अल्लाह दिल ले गईમન્નાડેના સ્વરમાં આ ગીત છે જેના રચયિતા છે હસરત જયપુરી અને સંગીત આપ્યું છે શંકર જયાકિસને
અન્ય ગીત છે
दुनिया वालों से दूर, जलने वालों से दूर
आजा आजा चलें, कहीं दूर, कहीं दूर, कहीं दूरये प्यार का जहाँ है, हर दिल पे महरबाँ है
कुछ और ये ज़मीं है, कुछ और आसमाँ है
न ज़ुल्म का निशाँ है, न ग़म की दास्ताँ है
हर कोई जिसको समझे, वो प्यार की ज़ुबाँ हैમુકેશના સ્વરમાં આ ગીત છે. ગીતના શબ્દો છે મજરૂહ સુલ્તાનપુરીના અને સંગીત આપ્યું છે શંકર જયકિસને
તો ત્રીજું ગીત છે
यारों सूरत हमारी पे मत जाओ
यहाँ भी दिल है यूँ हमसे न कतराओ
यारों सूरत हमारी
हम भी हैं दिल के शाहजहानઆ ત્રીજું ગીત રફીસાહેબના કંઠે મુકાયું છે જેના શબ્દો છે શૈલેન્દ્રના અને સંગીત છે શંકર જયકિસનનું.
આમ ન કેવળ ગાયકો પણ આ ગીતોના ગીતકાર પણ ત્રણ જુદા જુદા છે.
૧૯૬૨ની ફિલ્મ ‘પ્રોફેસર’માં પણ આ પ્રકારના ગીતો છે
मैं चली मैं चली देखो प्यार की गली
कोई रोके न मुझे मैं चली मैं चली
न न ना मेरी जां देखो जाना न वहाँ
कोई प्यार का लुटेरा लूटे न मेरी जांકલ્પના અને શમ્મીકપૂર પર રચાયેલ આ ગીતના ગાયકો છે રફીસાહેબ અને લતાજી. ગીતના શબ્દો છે શૈલેન્દ્રના અને સંગીત છે શંકર જયકિસનનું.
બીજું ગીત છે
ये उमर है क्या रंगीली
ये नज़र है क्या नशीली
प्यार मे खोए खोए नैन
हमारा रोम रोम बेचैन
हमारा ही जमाना हैમુજરા પ્રકારના આ ગીતમાં ત્રણ સ્વર છે. મન્નાડે, આશા ભોસલે અને ઉષા મંગેશકરના. ગીતકાર છે હસરત જયપુરી અને સંગીત છે શંકર જયકિસનનું..
૧૯૬૩ની ફિલ્મ ‘બ્લફ માસ્ટર’નું આ ગીત તો આજે પણ જન્માષ્ટમીના ઉત્સવમાં ધૂમ મચાવે છે.
गोविंदा आला रे आला ज़रा मटकी .संभाल बृजबाला
गोविंदा आला रे
अरे एक दो तीन चार संग पाँच छः सात हैं ग्वाला
अरे एक दो तीनઆ ગીતના ગાયક છે રફીસાહેબ
તો આ જ ફિલ્મનું અન્ય ગીત છે
सोचा था प्यार हम ना करेंगे
सूरत पे यार हम ना मरेंगेफिर भी किसी पे दिल आ गयासोचा था प्यार
આ ગીતના ગાયક છે મુકેશ.
હજી એક વધુ ગીત છે જેને અન્યએ કંઠ આપ્યો છે.
ऐ दिल अब कहीं न जा
न किसी का मैं, न कोई मेराजब चले हम, राह उलझी प्यार दुनिया ने कियाराह सीधी जब मिली तो सब ने ठुकरा दियान किसी को चाह मेरी न किसी को इंतज़ारकिस लिये फिर मुड़ के पीछे देखना बार-बार
આ ગીતમાં સ્વર છે હેમંતકુમારનો.
ત્રણેય ગીતના શબ્દો છે રાજેન્દ્ર કૃષ્ણના અને સંગીત આપ્યું છે કલ્યાણજી આણંદજીએ.
‘શમ્મી કપૂર ‘બ્લફ માસ્ટર’ છે એટલે સાયરાબાનુ સાથે કવ્વાલીમાં ગાવાની તક મળે એટલે સ્ત્રીવેશ ધારણ કરી લે છે. હવે એ ગીતમાં શમ્મી કપૂર માટે શમશાદ બેગમનો સ્વર લેવાયો છે. સાયરા બાનુ માટે ઉષા મંગેશકરનો સ્વર લેવાયો છે.૧૯૬૫ની ફિલ્મ ‘જાનવર’માં શમ્મીકપૂર પર રચાયેલા ગીતો આમ તો રફીસાહેબે ગાયા છે જેમાનું એક છે
हो तुम से अच्छा कौन है
दिल लो जिगर लो जान लो
हम तुम्हारे हैं सनम
तुम हमे पहचान लोઆ ગીતના રચયિતા છે હસરત જયપુરી અને સંગીતકાર છે શંકર જયકિસન.
પણ આ જ ફિલ્મના અન્ય એક ગીતમાં મન્નાડેનો સ્વર છે. આ ગીતના રચયિતા છે શૈલેન્દ્ર અને સંગીતકાર છે શંકર જયકિસન. મન્નાડેને સાથ આપ્યો છે લતાજી અને આશા ભોસલેએ.
आँखों आँखों में
किसी से बात हुई
किसी से बात हुई
ये दिल भी जाने
जो दिल के साथ हुईઆશા છે આ લેખ મિત્રોને માટે રસપ્રદ બન્યો હશે. કોઈ ફિલ્મનો ઉલ્લેખ બાકી હોય તો ધ્યાન ખેંચવા વિનંતી.
Niranjan Mehta
A/602, Ashoknagar(old),Vaziranaka, L.T. Road,Borivali(West),Mumbai 400091Tel. +91 22 28339258/ 91 9819018295વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com -
મૌસમ (૧૯૭૫)
ટાઈટલ સોન્ગ
(આ શ્રેણીમાં હિન્દી ફિલ્મોમાં આવતાં ટાઈટલ્સ દરમિયાન વાગતાં ગીતો વિશે વાત કરવાનો ઉપક્રમ છે.)
બીરેન કોઠારી
जी ढूँडता है फिर वही फ़ुर्सत कि रात दिन
बैठे रहें तसव्वुर-ए-जानाँ किए हुए(तसव्वुर-ए-जानाँ = પ્રિયજનની સ્મૃતિ)
આટલું વાંચીને ઉતાવળે કોઈ કહી શકે કે ‘જી ઢૂંઢતા હૈ’ નહીં, હકીકતમાં ‘દિલ ઢૂંઢતા હૈ’ આવે. વાત ખરી, કેમ કે, ગુલઝારે ‘મૌસમ’ માટે લખેલા ગીતનું મુખડું ‘દિલ ઢૂંઢતા હૈ’થી શરૂ થાય છે. પણ ગુલઝારે મૂળ ગાલિબનો આ શેર મુખડા તરીકે લઈને આગળનું ગીત પોતાની રીતે લખ્યું છે. ‘દિલ ઢૂંઢતા હૈ’ નામના આલ્બમના આરંભે ગુલઝારે કહ્યું છે, ‘મિસરા ગાલિબ કા હૈ, કૈફિયત હરેક કી અપની અપની.’ શાયરની પંક્તિઓમાં દરેકને પોતાની કથાવ્યથા પડઘાય ત્યારે એ કૃતિ અજરામર બની જતી હોય છે. એ હદે કે ઘણી વાર સર્જકનું નામ પણ વિસરાઈ જાય, પણ શબ્દો યાદ રહી જાય.
ઉપરના શેરવાળી ગાલિબની ગઝલનો મત્લઅ આ મુજબ છે.
मुद्दत हुई है यार को मेहमाँ किए हुए
जोश-ए-क़दह से बज़्म चराग़ाँ किए हुएઅને મક્તઅ આ મુજબ છે.
‘ग़ालिब’ हमें न छेड़ कि फिर जोश-ए-अश्क से
बैठे हैं हम तहय्या-ए-तूफ़ाँ किए हुए(जोश-ए-क़दह = શરાબના પ્યાલાની ખનક, बज़्म= મહેફિલ, चराग़ाँ= દીપ પ્રગટાવવાનું કાર્ય, जोश-ए-अश्क = રુદનનો વેગ, तहय्या-ए-तूफ़ाँ = તોફાનનો સામનો કરવાનો દૃઢ સંકલ્પ)
(આખી ગઝલ રેખ્તાની આ લીન્ક પર વાંચી શકાશે.https://www.rekhta.org/…/muddat-huii-hai-yaar-ko…)
૧૯૭૫માં રજૂઆત પામેલી સુનંદિની પિક્ચર્સ નિર્મિત, ગુલઝાર દિગ્દર્શીત ‘મૌસમ’માં શર્મિલા ટાગોર (બેવડી ભૂમિકા), સંજીવકુમાર, ઓમ શિવપુરી, સત્યેન કપ્પૂ,દીના પાઠક વગેરેની મુખ્ય ભૂમિકા હતી.

આ ફિલ્મની કથા સ્કૉટિશ લેખક એ.જે.ક્રોનિનની નવલકથા ‘ધ જ્યુડાસ ટ્રી’થી પ્રેરિત હતી. ફિલ્મમાં પાર્શ્વસંગીત સલીલ ચૌધરીનું હતું, જ્યારે ગીતો મદનમોહને સંગીતબદ્ધ કર્યાં હતાં. ગીતકાર હતા ગુલઝાર. ફિલ્મનાં કુલ પાંચ ગીતો હતાં. ‘છડી રે છડી કૈસી ગલે મેં પડી’ (લતા, રફી), ‘મેરે ઈશ્ક મેં લાખોં ઝટકે’ (આશા) અને ‘રુકે રુકે સે કદમ, રુક કે બાર બાર ચલે’ (લતા) ઉપરાંત ‘દિલ ઢૂંઢતા હૈ’ બે આવૃત્તિમાં હતું. એક લતા અને ભૂપીન્દરે ગાયેલું યુગલ ગીત, જે ખુશમિજાજી હતું, જ્યારે બીજું ભૂપીન્દરે ગાયેલું એકલગીત, જે ઉદાસીયુક્ત હતું.

(ડાબેથી) ભૂપીન્દર અને ગુલઝાર ભૂપીન્દરે ગાયેલા એકલગીતને ફિલ્મમાં ટાઈટલ સોન્ગ તરીકે લેવામાં આવ્યું હતું. ફિલ્મનો આરંભ જ ઉદાસીભર્યા સંગીતથી થાય છે, અને ભૂપીન્દરનો ઘેરો સ્વર એ માહોલને વધુ ઘૂંટે છે. ગીતમાં ફ્લુટ અને તંતુવાદ્યસમૂહના સુંદર અંશો છે, પણ જાણે કે ભૂપીન્દરનો દર્દીલો, ઘેરો સ્વર જ વધુ યાદ રહી જાય છે.
ગીતના શબ્દો આ મુજબ હતા.
दिल ढूँढता है फिर वही फ़ुरसत के रात दिन
दिल ढूँढता है फिर वही फ़ुरसत के रात दिन
बैठे रहे तसव्वुर-ए-जानाँ किये हुए
दिल ढूँढता है फिर वही फ़ुरसत के रात दिन…जाड़ों की नर्म धूप और आँगन में लेट कर
आँखों पे खींचकर तेरे आँचल के साए को
औंधे पड़े रहे कभी करवट लिये हुए
दिल ढूँढता है फिर वही फ़ुरसत के रात दिन…या गरमियों की रात जो पुरवाईयाँ चलें
ठंडी सफ़ेद चादरों पे जागें देर तक
तारों को देखते रहें छत पर पड़े हुए
दिल ढूँढता है फिर वही फ़ुरसत के रात दिन…ફિલ્મનાં ટાઈટલ્સ અહીં પૂરાં થાય છે.
એકલગીતમાં છેલ્લો એક અંતરો પણ છે, જે ટાઈટલ વખતે નથી.
बर्फ़ीली सर्दियों में किसी भी पहाड़ पर
वादी में गूँजती हुई खामोशियाँ सुनें
आँखों में भीगे भीगे से लम्हे लिये हुए
दिल ढूँढता है फिर वही फ़ुरसत के रात दिन…આ ગીતની ખુશનુમા આવૃત્તિ લતા અને ભૂપીન્દરના સ્વરમાં છે. એમાં ભૂપીન્દરે એક મુખડું જ ગાયું છે, જ્યારે અંતરા લતાના સ્વરમાં છે.
એકલગીતના પુરુષસ્વરમાં પહેલા અંતરાની બીજી લીટી आँखों पे खींचकर तेरे आँचल के साए को છે, જ્યારે યુગલ ગીતમાં એ જ અંતરો મહિલા સ્વરમાં ગવાયેલો હોવાથી તેમાં आंचल ને બદલે दामन શબ્દ વપરાયો છે.
યુગલગીતના સમાપન પછી પણ ભૂપીન્દરના એકલ સ્વરમાં મુખડાનું આવર્તન છે.
આ આખું ગીત નીચેની લીન્ક પર સાંભળી શકાશે.
(તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
રંગીન અમૂર્ત પશ્ચાદભૂ સાથેનાં રેખાંકનો
મહેન્દ્ર શાહનાં કળાસર્જનોનો સંપુટ
Mahendra Shah’s Kalasampoot – Sketches using clourful abstract background
મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com
-
ત્યારે અને અત્યારે : સ્લેટ-પેન થી સ્માર્ટ ફોન સુધી
આ વાત એ નાગરિકોની છે જેમની ઉંમર ૬૫થી ૮૦ વર્ષની વચ્ચે છે, અથવા કહો કે જેઓ ૧૯૫૫થી પહેલાં જન્મ્યાં હોય.
આ જ વયગટના હોઈ બીજા દેશના નાગરિકોએ જોયાં હોય તેથી વધું વ્યાપનાં પરિવર્તન ભારતની એ પેઢીએ જોયાં,. ૧૯૫૩ થી ૨૦૧૩ની વચ્ચે શબ્દશઃ જમીન-આસમાનનો ફરક છે. જીવન અમુક ક્ષેત્રોમાં તો પરિસ્થિતિ જાણે સામસામા છેડાની જ છે. કદાચ એમ કહી શકાય કે ૭૫ વર્ષમાં આટલો પરિવર્તનનો અનુભવ બીજી કોઈ પેઢીને નહીં થાય. પરંતુ એ તો સમય જ કહી શકે.
આ પેઢીને પાછળ નજર કરતાં મુસાફરી એકદમ રોમાંચકારી લાગે છે. આરોગ્ય, સંદેશવ્યવહાર, વાહન વ્યવહાર, મનોરંજન, વગેરે બધાં ક્ષેત્રે ત્યારની પરિસ્થિતિ અત્યારે દંતકથા જેટલી જુદી લાગે છે, પરંતુ એ જ રોમાંચ છે. તેની વાત કરવામાં આવે તો નવી પેઢીના વાચકને જરૂર આશ્ચર્યનો અનુભવ થાય.

એ હેતુથી “ત્યાર”ની “અત્યાર’ જોડે સામાજિક અને વ્યક્તિગત સંદર્ભમાં તુલના કરવાની આ લેખમાળામાં નેમ છે.
પરેશ ર. વૈદ્ય

એ દિવસોમાં શિક્ષણનું દ્રશ્ય બહુ સરળ હતું. અમારા શહેરમાં બે જ હાઈસ્કૂલ હતી; એક છોકરાઓ માટે અને એક છોકરીઓ માટે. કો-એજ્યુકેશન હજુ મોટા શહેરોમાં પણ આવ્યું નહોતું. આજે મા-બાપને વિવિધ માપદંડોથી (જેવા કે ઘરથી અંતર, ફીની માત્રા, શિક્ષણની ગુણવત્તા વિ.) ઘણા વિકલ્પોમાંથી એક ની પસંદગી કરવાની હોય છે, તેવી તકલીફ અમારા મા બાપને નહોતી પડી. તે રીતે ધોરણ પાંચ થી સાત માટે એક જ મિડલ સ્કૂલ હતી. અને એ બધી જ સ્કૂલ સરકારી. ઘણા વખત સુધી તો માસિક ફી જ નહોતી. સત્ર ફી ના નામે છ મહિને એક રુપિયો અને છ આના. ફી દાખલ થઈ ત્યારે માસિક પાંચ કે છ રુપિયા. શિક્ષણ એ ઉદ્દાત વ્યવસાય મનાતો એટલે શિક્ષકોની ગુણવત્તા ઘણી જ સારી હતી. એક માત્ર શાળા હોવાને કારણે ગામના બધા જ છોકરાઓએ અહીં જ આવવાનું હતું. જાતિ, ધર્મ કે અમીર-ગરીબ એવાં કોઈ ‘ફિલ્ટર’ નહોતાં. કદાચ એ જ કારણે અમારા મગજનું વાયરીંગ જ એવું થયું છે કે અમને કાનજી દોશી અને જુમા ભચુ ઘાંચી એક સરખી ઉત્કટતાથી યાદ આવે છે. સ્વતંત્રતા પછી શિક્ષણની જરૂરત ઉપર સરકારે જોર દેતાં અચાનક મોટી ઉંમરના છોકરાઓ, જેણે યોગ્ય ઉંમરે પ્રવેશ લીધો ન હતો, તે ત્યારે શાળામાં આવવા લાગ્યા. છઠ્ઠા ધોરણમાં જ્યારે મારી ઊંચાઈ ચાર સવા ચાર ફૂટ હશે ત્યારે સવા પાંચ ફૂટના યાકુબ જોડે વાત કરતા મારે ઊંચું જોવું પડતું. એમાંના ઘણા ખરા પછી કોલેજમાં દેખાયા નહીં.

પ્રાથમિક શાળામાં વધારે બાળકો હોય એટલે એક ને બદલે ચાર પાંચ શાળા હતી. તેમાં પણ છોકરાની અને છોકરીઓની જુદી. એક બે ખાનગી શાળા પણ ખરી. જોકે ત્યાં છોકરા છોકરી સાથે ભણતાં. આઝાદી હજી તાજી હતી તેથી રાષ્ટ્રિય શિક્ષણની છાંટ પણ જોવા મળતી. મેડમ મોન્ટેસરી અને ગુજરાતમાં ગીજુભાઈ બધેકા તથા તેમની શિક્ષણ શૈલી જાણીતાં હતાં. અમારી ખાનગી શાળાના એકમાત્ર શિક્ષક શ્રી મૂળવંતરાય માસ્તર એવી જ શૈલીમાં અને પરંપરા કરતા જુદી રીતે શીખવતા. દાખલા તરીકે જેને આજે ‘ફ્લેશ કાર્ડ’ કહે છે તેવાં પૂઠાંનાં ગતકડાથી અક્ષર જ્ઞાન આપતા. આ કામ તો જમીન પર બેસીને જ સારું થાય તેથી અમે જમીન ઉપર બેસીને ભણતાં. દફ્તરના નામે કપડાની એક થેલી. તેમાં એક પાટી, એટલે સ્લેટ, અને તેની માટીની પેન. સાથે પાટી લૂંછવાનું કપડું જે મોટે ભાગે જૂની સાડી કે ધોતિયામાંથી નીકળ્યું હશે તેવું. સ્લેટમાં ઘણું લખાઇ-ભુંસાઇ જાય તો એક સફેદ બેક-ગ્રાઉન્ડ બની જાય, તો પાણીથી ધોઈ લઈએ. અધીરા છોકરાઓ વળી ત્રણ આંગળી ચાટી, મોઢાંનાં થૂંકથી એને ધોઈ કાઢે. બેએક વર્ષ પછી દફતરમાં એક બે પાઠ્યપુસ્તક ઉમેરાય. આજે જેની બોલબાલા છે તે મધ્યાહ્ન ભોજનની વ્યવસ્થાનું પ્રાથમિક સ્વરૂપ એ વખતે પણ હતું. દરેક શનિવારે શાળામાં ખજૂર અને શિંગનો નાસ્તો બાળકોને અપાતો અને તેમાં ભ્રષ્ટાચાર થવાનું ક્યારે ય સાંભળ્યું નથી.
અમને પેન્સિલ વાપરવા મળી પાંચમા ધોરણમાં અને ફાઉન્ટન પેન આઠમા ધોરણમાં. યુવા વાંચકો માટે એ શબ્દ નવો હશે. પેનને ફાઉન્ટન પેન એટલે કહી છે કે તેમાં શાહી કેશાકર્ષણ ( capillary action) ના સિદ્ધાંતથી ઉપર આવીને ટાંકને ભીંજવતી. બોલપેન હજુ આવી જ નહોતી. એ તો કદાચ ભણવાનું પૂરું થયું ત્યારે જ આવી. એટલે માત્ર અમે જ નહીં, જિલ્લા કલેકટર પણ જ ફાઉન્ટન પેન જ વાપરતા. અમારી સસ્તી પેનના આંટામાંથી થોડી શાહી ચૂએ એટલે આંગળીની ટોચે અને બાજુમાં શાહીના ડાઘ થતા જે કલેક્ટરની પેનમાં નહીં થતા હોય. પણ એ તો પત્થર જેવી ખરબચડી સપાટીએ ઘસીને કાઢી શકાતા.

માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ:
પરિસ્થિતિમાં ૧૯૭૦ ના દાયકામાં ફેરફાર જોવા મળ્યો. માધ્યમિક શિક્ષણમાં ખાનગી ટ્રસ્ટો અને સંસ્થાઓ દાખલ થવા માંડી. મોટા શહેરોમાં તો અગાઉ પણ ટ્રસ્ટની આવી શાળાઓ હતી. હવે નાના ગામોમાં પણ આવી. આ લખનાર શિક્ષણશાસ્ત્રી નથી પરંતુ એટલું જરૂર કહી શકાય કે આ પ્રકારનો વિસ્તાર થવા છતાં શિક્ષણની ગુણવત્તામાં ઘટાડો થયો નહોતો. જો કે ક્રમશઃ સેવાભાવી ટ્રસ્ટોને બદલે વ્યવસાયિક એકમો હાઇસ્કુલ ચલાવવા લાગ્યા. ફી વધતી ગઈ અને શિક્ષકોનું શોષણ પણ થતું રહ્યું. સરકારે પોતે તો શાળાઓ ખોલવી બંધ કરી પરંતુ ખાનગી શાળા ઉપર શકંજો કસવા માંડ્યો. સાદા શબ્દોમાં કહો તો દખલ દેવી શરુ કરી. તેમાં નાણાકીય ભ્રષ્ટાચાર પણ ખરો. પંચાયતી રાજ્ય મજબૂત થતાં ગામડાઓમાં જો કે શાસનની શાળાઓ ઉઘડતી હતી. માધ્યમિક શાળા ચલાવનારી ઘણી સંસ્થાઓએ પ્રાથમિક શાળામાં પણ પગ માંડ્યા. તેના પરિણામે માબાપ માટે પ્રાથમિક શિક્ષણનો ખર્ચ માધ્યમિક કરતાં પણ વધુ થઈ ગયો.

માધ્યમિક શિક્ષણ નો વ્યાપ વધતાં ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓની પણ જરૂર પડતી ગઈ. એક જમાનામાં આર્ટસ અને સાયન્સ એમ બે જ ધારાઓ હતી, તેમાં કોમર્સ શાખાએ પણ વાલીઓને આકર્ષ્યા. બીજી પણ ઘણી વિદ્યાશાખાઓમાં અભ્યાસક્રમો દાખલ થતા ગયા. ઉચ્ચ શિક્ષણ બાબત એક ગૂંચવણ હંમેશા રહી છે શિક્ષણના હેતુ બાબત. શિક્ષણ એ વિચારની ક્ષિતિજો ઉઘાડવા માટે છે, મગજની બારીઓ ખોલવા માટે છે, કે આજીવિકા મેળવવા માટે? આ પ્રશ્નનો ઉત્તર સમાજને, સરકારને કે શિક્ષણશાસ્ત્રીઓને હજુ મળ્યો હોય તેવું નથી લાગતું. આને કારણે ઘણા વર્ષો સુધી એવો ક્રમ રહ્યો કે હોશિયાર વિદ્યાર્થીઓ મેડિકલ કે ઇજનેરી કોલેજમાં દાખલ થવા પ્રયત્ન કરે. તેથી બારમા ધોરણના વિદ્યાર્થીઓ અને મા બાપ માટે બે ત્રણ વર્ષ ખૂબ તણાવ નાં જાય છે. સ્પર્ધા તીવ્ર લાગે છે કારણ કે માર્કસનો ફુગાવો થયો છે. જુના દિવસોમાં ૫૫ ટકાથી ઉપર માર્ક આવે તો તેને ‘હાયર સેકન્ડ ક્લાસ’નું રૂપાળું નામ અપાતું હતું, કારણકે ફર્સ્ટ ક્લાસ બહુ વિરલ હતો. હવે પરીક્ષાની ઢબ જ એવી છે કે માર્કસનો વરસાદ થાય છે. એક એક માર્કને કારણે જીવનની દિશા બદલે તેવી સ્થિતિ બને છે. મા-બાપાની ચિંતા વિદ્યાર્થીઓ પર ટ્રાંસફર થાય છે. એવા પણ કિસ્સા છે કે છોકરા એન્જિનિયરિંગના પહેલા વર્ષમાં માનસિક તાંણ થી ભાંગી પડ્યા હોય. આ પરિસ્થિતિનો ગઈ પેઢીમાં કોઇ જોટો નથી. અમારાં એડમિશન વિશે માબાપ ને (ખાસ કરીને મા ને) કોઈ ચિંતા ન હતી. બીજી ચિંતા તે નાણા ને લગતી. એ દિવસોમાં ઉચ્ચ શિક્ષણ સરકારી કોલેજોમાં જ થતું એટલે તેની ફી મધ્યમવર્ગને પરવડે તેવી હતી. માર્ક સારા હોય તો એડ્મિશન પાકું. અત્યારે સરકારી કોલેજ માટે સારા માર્ક પૂરતા નથી, બહુ જ સારા માર્ક જોઇએ. તે પછી પણ ફી ઠીક ઠીક મોંઘી હોય છે.
કમ્પ્યુટરની નવી બારી:
વર્ષ ૨૦૦૦માં અમેરિકામાં ‘વાય ટુ કે’ ( Y2K) નામનું એ ભૂત ઉભું થયું અને તેથી આપણા કમ્પ્યુટર અને આઇ.ટી. ઇજનેરો માટે અમર્યાદ નોકરીઓનો માર્ગ ખુલ્યો. આને કારણે પેલી દ્વિધા દૂર થઈ. આર્ટ્સ ભણો, કોમર્સ ભણો, રસાયણ ભણો કે ગણિત, છેવટે માસ્ટર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન (MCA) ની ડીગ્રી લઈ લો તો અમેરિકાના દ્વાર ખુલ્લા છે. સમાજને સારા શિક્ષકો, વકીલો કે હિસાબનીશો નહોતા જોઈતા, માત્ર ડોલર જોઇતા હતા. આ સફળતા જોઈને કેટલીય કોલેજો કમ્પ્યુટર સાયન્સ અને આઈ.ટી. માટે ખુલવા લાગી. મોટાભાગની રાજકારણીઓ દ્વારા ખોલવામાં આવતી હતી. રુઢિગત એંજિનિયરિંગ શાખાઓ કરતા કમ્પ્યુટરની કોલેજ ખોલવી સરળ હતી કારણ કે તેમાં વર્કશોપની સગવડ કરવાની જરૂર નથી. ઢગલાબંધ કમ્પ્યુટર એક રૂમમાં ગોઠવી દેવાથી કામ થઈ જાય.
તેના પછીની પેઢીને સદભાગ્યે જુદા જુદા વ્યવસાયિક કોર્સમાં રસ પડ્યો. ફેશન ડિઝાઇન, હોટલ મેનેજમેન્ટ, એન્જિનિયરિંગના કેટલાક સર્ટિફિકેટ કોર્સ વગેરે પ્રચલિત થયા; ભલે તેમાંથી અમુકમાં ડિગ્રી નહોતી મળતી તે છતાં. તે રીતે ડિસ્ટન્સ એજ્યુકેશન, ઓપન યુનિવર્સિટી વગેરેના પ્રયોગ પણ સફળ રીતે થયા. જે લોકો મોડેથી ભણવાનું શરૂ કરતા હતા કે કૌટુમ્બિક જવાબદારી ને કારણે પહેલાં કોલેજ ન જઈ શક્યા તેને માટે આ આશા જગાડનારું હતું.
ટેકનોલોજી:
શિક્ષણમાં ટેકનોલોજીનો અભૂતપૂર્વ ઉપયોગ આપણે કોવિડ-19 ના સમયમાં જોયો. આઠ વર્ષનાં પ્રાથમિક શાળાનાં બાળકથી માંડીને અનુસ્નાતક કક્ષાના યુવાન વિદ્યાર્થીઓ સુધી બધા જ મોબાઈલ ફોન અથવા કમ્પ્યુટર ઉપર શિક્ષણ લેવા તૈયાર હતા. જે સ્વેચ્છાએ ન બન્યું હોત તે એક નાના વાયરસએ કરાવ્યું. જો એવું ન બન્યું હોત તો શિક્ષણના એક કે બે વર્ષ બધાના બગડ્યા હોત. આ શક્ય બન્યું કારણકે આપણે ભૂતકાળમાં અમુક ટેકનોલોજી સાથે ઘરોબો કેળવ્યો હતો. કમ્પ્યુટર, ટેલીફોન વ્યવસ્થા અને સૌથી મહત્વનું અવકાશ ક્ષેત્રે આપણે જે ફાળ ભરેલી તે મોકાને ટાણે કામ આવી.
અવકાશ વિજ્ઞાનનો શિક્ષણમાં ઉપયોગ કરવાનો ખ્યાલ ડો. વિક્રમ સારાભાઈને બહુ વહેલો આવેલો. તેમના અવસાન પછી તેમના શિષ્યોએ તેને મૂર્ત સ્વરૂપ કેમ આપ્યું તે વાત જાણવા જેવી છે. ૧૯૭૫ માં ભારતે ‘નાસા’ પાસેથી એક ઉપગ્રહની સેવા શિક્ષણ ક્ષેત્રે પ્રયોગ કરવા માટે માગી. ATS -6 નામના ઉપગ્રહને ખાસ ભારત ઉપરના આકાશમાં સ્થિર કરાવ્યો. તેની મદદથી ગ્રામજનોને ઉપયોગી તેવા ટેલિવિઝન કાર્યક્રમ દેશના છ રાજ્યના ૨૦ જિલ્લાનાં ૨૪૦૦ ગામડામાં પહોંચાડવાના કાર્યક્રમ ને Satellite Instructional Television Experiment (SITE સાઈટ) એવું નામ અપાયું. ઈસરોના અમદાવાદ ખાતેના સ્પેસ એપ્લિકેશન સેન્ટર એ આ આખી યોજના નું સંકલન કર્યું. પ્રો. યશપાલના નેતૃત્વ હેઠળ એ થયું. આજે આપણે આપણા ઘરમાં જે ડીશ ટેલિવિઝન કાર્યક્રમ જોઈએ છીએ તે સીધા ઉપગ્રહથી આપણા ઘરમાં આવે છે આ DTH ટેકનોલોજી બહુ મોડી આવી. તેથી પહેલાં કેબલ ટેલિવિઝન હતા. પરંતુ ‘સાઇટ’ કાર્યક્રમમાં છેક ૧૯૭૫ માં દરેક ગામડાને આવી ડીશ આપવામાં આવી હતી ! એ વખતે ડિશ એન્ટેનાનો વ્યાસ જો કે મોટો હતો. દરેક ગામમાં પંચાયત ઘર કે દૂધ મંડળી ની છત ઉપર આવી ડિસ્ક બેસાડવામાં આવી અને અંદરના ઓરડામાં સાંજે લોકો આવીને ગામના એક માત્ર ટેલિવિઝન ઉપર કાર્યક્રમ બહુ રસથી જોતા હતા.
દેશ આખો ક્લાસરૂમ :

આ યોજના એક વર્ષ ચાલી. તે પછી પણ નડિયાદ પાસે પીજ ગામથી શૈક્ષણિક કાર્યક્રમ ચાલુ રહ્યા, જે અમદાવાદ અને વડોદરા ની આસપાસના વિસ્તારો માં જોવાતા રહ્યા. આ કાર્યક્રમમાં શિક્ષણ તરફ ઝોક હતો. જેને શાળાએ ન જવું હોય કે ગયા ન હોય તેમને પણ જ્ઞાન મળતું રહે તેવી આ યોજના હતી. એટલે તેનો વિસ્તાર કરવાનું ઠર્યું. ૧૫ ઓગસ્ટ ૧૯૮૫ ના તેનું ઉદ્ઘાટન થયું અને તેને ‘કન્ટ્રી વાઈડ ક્લાસરૂમ’નું નામ અપાયું. સ્પેસ એપ્લિકેશન સેન્ટરના નિવૃત્ત નિર્દેશક પ્રો. એકનાથ ચીટનીશ તેના મુખ્ય કર્ણધાર રહ્યા. (તેઓએ આ જુલાઈ ની ૨૫ મી તારીખે જીવનનો વ્યસ્ત શતક પૂરો કર્યો. તેના ત્રણ જ મહિના જ બાદ ૨૨ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ તેઓ ગુજરી ગયા.). યુનિવર્સિટી ગ્રાંટ્સ કમિશનના નેજા હેઠળ ઘણી યુનિવર્સિટીઓએ પોતાનાં એવાં કેન્દ્ર સ્થાપ્યાં, જે ટેલિવિઝનની મારફત પ્રસારિત કરવા માટેના કાર્યક્રમ તૈયાર કરે. તેને ઈ.એમ.આર.સી Electronic Multimedia Research Centre કહેવાયાં. દેશમાં એવાં 20 EMRC કેન્દ્રો હતાં. દુરદર્શન પર બપોરે ૧.૦૦ વાગે તેના કાર્યક્રમ વર્ષો સુધી ચાલ્યા અને લોકપ્રિય રહ્યા. કાર્યક્રમની ગુણવત્તા માટે એ એક પ્રમાણ બનીને રહ્યા.

આ કાર્યક્રમની પ્રેરણાથી આગળ ઘણી સંસ્થાઓએ વિડિયો તથા દુરદર્શન પર શૈક્ષણિક કાર્યક્રમો રજૂ કરવાનું શરૂ કર્યુ. ૨૦૦૦માં જ્ઞાનદર્શન નામ ની એક શૈક્ષણિક ચેનલ જ શરુકરવામાં આવી. જેને મોડેલ માનીને દરેક ભાષામાં એ રીતના કાર્યક્રમ દૂરદર્શન પ્રસારિત કરવા લાગ્યું. શિક્ષકોએ વિડિઓ તથા કોમ્પ્યુટર નો ઉપયોગ પણ કર્યો. ત્યાર પછી થયેલા ટેલીફોન ના વિકાસ ની વાત આપણે કરી ગયા છીએ. કમ્પ્યુટર ટેકનોલોજી, ઉપગ્રહો અને ટેલીફોન સેવાની ત્રિપુટીએ ઓનલાઈન શિક્ષણનો પાયો તો નાખ્યો જ હતો જે કોરોના કાળમાં હાથવગો થયો. ઇંટરનેટની ખ્યાતિ પછી તો શૈક્ષણિક ઉપરાંત સામાન્ય જ્ઞાનના બીજા કાર્યક્રમમાં પણ ખૂબ જોવા મળે છે. આમ દેશ ખરેખર જ એક ક્લાસરૂમ બન્યો છે.
અંતમાં ૭૫ વર્ષની આ યાત્રાની એક ફળશ્રુતિ સ્પષ્ટ છે કે શિક્ષણનું મહત્વ હવે લોકોને સમજાવવાની જરૂર રહી નથી. અમારા જીવનના શરૂનાં વર્ષોમાં સમાજના મોટા હિસ્સાને એ અગત્ય અભિપ્રેત નહોતી એ હકીકત છે.
સૌજન્યઃ નવનીત સમર્પણ સપ્ટેમ્બર ૨૦૨૫
ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક pr_vaidya@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
સાંદર્ભિક તસવીરોઃ નેટ પરથી
-
સંસ્કૃત – શ્લોક/સુભાષિતો : ॐ भूर्भुवः स्वः
દેવિકા ધ્રુવ
શ્લોકઃॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं ।
भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॥સમાસ વિભાજન અને શબ્દશ: ગુજરાતી અર્થ
ॐ= અ+ઉ+મ=ઓમ એ અંતરનાં ઊંડાણમાંથી આવતો ધ્વનિ છે, શાશ્વત સ્પંદન જે પરમ શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે.
भूर्भुवः= भूर् (भूः)+भुव स्वः.=ભૌતિક, માનસિક અને આધ્યાત્મિક
भूर्=પૃથ્વી, ભૌતિક. भुवः=આકાશ,માનસિક.स्वः= અલૌકિક, આધ્યાત્મિક, દૈવીतत्सवितुर्वरेण्यं= तत् +सवितुर् (सवितुः)+वरेण्यम्
तत्=તે. सवितुर्=सवितुः=સૂર્ય, वरेण्यम्=પૂજા કરવા યોગ્ય,
भर्गो=શક્તિશાળી, તેજસ્વી,देवस्य=દેવની,ઈશ્વરની શક્તિની
धीमहि=ધ્યાન ધરીએ. धियो=બુદ્ધિ. यो=યઃ=જે
नः=અમારી.प्रचोदयात्=પ્રેરણા આપે, યોગ્ય માર્ગે પ્રેરે.
શ્લોકનું ગુજરાતી ભાષાંતરઃ
અમે પૃથ્વી, આકાશ અને સ્વર્ગમાં સર્વત્ર ફેલાયેલી પરમ શક્તિ,સૂર્યના પ્રકાશ પર ધ્યાન ધરીએ છીએ કે જેથી તે અમારી બુદ્ધિને એ યોગ્ય માર્ગે, સાચા રસ્તે પ્રેરે.
વિચારવિસ્તારઃ
ગાયત્રી મંત્રની રચના હિંદુ ધર્મના સૌથી પ્રાચીન અને પવિત્ર ગ્રંથ, ઋગ્વેદમાં મળી આવે છે. આ મંત્ર “ગાયત્રી મંત્ર” તરીકે ઓળખાય છે, કારણ કે તે ગાયત્રી છંદમાં લખાયો છે. તેનો અર્થ સૂર્ય સાથે જોડાયેલ છે; જેમાં બુદ્ધિ પ્રદાન કરવાની વાત કરવામાં આવી છે. મોટે ભાગે ધાર્મિક અને આધ્યાત્મિક અનુષ્ઠાનોમાં એનો ઉચ્ચાર કરવામાં આવે છે.
Sanskrit Shlok in English script
Om bhur bhuvah swah, Tatsvitur varenyam
Bhargo Devasya Dhimahi, Dhiyo yo nah prachodayaatWord to word meaning in English
Om= Aum is the deep sound, the eternal vibration that represents the supreme.
bhu(r) = bhu= the earth= materialistic field
bhuva(h) =bhuv= the air (sky)+life force energy
sva(h) = sva=heavenly, tat = that, savitu(r) = savitu = Sun, God, vareṇya(m) = adopt(able), follow, “worthy of being revered.”bhargo = energy, brightness, devasya = devine presence=of the deity, dhimahi = meditate,
dhiyo = mind/s, intellect/s, yo = Who (God), nah = our,
prachodayat = inspire, awakenTranslation in English:
We focus/meditate on the light of Supreme Power, which is everywhere on the earth, sky & heaven. Let our minds be inspired by that supreme power..
Devika Dhruva.
ddhruva1948@yahoo.com
