વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • મસાણ અને મોક્ષની મોકાણમાં જીવતા વારાણસીના દલિત ડોમ

    નિસબત

    ચંદુ મહેરિયા

    રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વરસના આરંભ પૂર્વે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં બૌધ્ધિક વિમર્શ બેઠક યોજાઈ હતી. તેમાં સર સંઘચાલક મોહન ભાગવતે કહ્યું હતું કે મંદિર, સ્મશાન અને પાણીની બાબતમાં  હિંદુઓ વચ્ચે કોઈ ભેદ ન હોવો જોઈએ. અર્થાત હિંદુઓ મંદિર, સ્મશાન અને પીવાના પાણીમાં દલિતો સાથે કોઈ આભડછેટ પાળતા હોવા જોઈએ નહીં. સ્વતંત્રતાના પંચોતેર વરસ પછી અને હિંદુઓના સર્વોચ્ચ સાંસ્કૃતિક સંગઠન આરએસએસની સ્થાપનાના શતાબ્દી વરસે પણ હજુ દલિતો માટે અલગ સ્મશાનો છે, પીવાના પાણી અને મંદિરોમાં ભેદભાવ પળાય છે તેની આ સ્વીકૃતિ છે.

    દલિતોમાં દલિત કહો કે મહા દલિત એવા ડોમ( દલિતોની એક પેટા જ્ઞાતિ) ની  આમ તો દેશના પંદરેક રાજ્યોમાં વસ્તી છે. ભારતની જડ જ્ઞાતિ પ્રથાએ અન્ય દલિતોની જેમ તેમના માથે પણ કેટલાક કામો થોપ્યા છે. એટલે ઢોલ વગાડવા, સફાઈ કરવી, ઝાડુ- ટોપલા-ટોપલી અને વાંસની જુદી જુદી ચીજો બનાવવી અને વેચવી જેવા કામો તો એ કરે છે પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતવિસ્તાર મોક્ષ નગરી વારાણસીના ડોમ મૃતદેહના અગ્નિ સંસ્કારનું કામ કરે છે. શિવજીના શાપરૂપી વરદાનથી બંધાયેલા વારાણસીના ડોમ વિશે કહેવાય છે કે જો ડોમના લાકડાની ચેહ અને તેના હસ્તે મુખાગ્નિનો અગ્નિ મળે તો મૃતકને મોક્ષ મળે છે. આ હિંદુ માન્યતા અને પરંપરા નિભાવતા ડોમ મસાણ અને મોક્ષની મોકાણ વચ્ચે જિંદગી બસર કરે છે.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ૪.૧૩ કરોડ દલિતો છે. જે રાજ્યની કુલ વસ્તીના ૨૦.૭ ટકા છે. યુ.પી.ની દલિત વસ્તીમાં ડોમ ૦.૩ ટકા( ૧,૧૦,૩૫૩) જ છે. તેમાં વારાણસીમાં તો માત્ર ૪,૦૦૦ જ  ડોમ છે. વારાણસીમાં ગંગાના છ થી આઠ કિ.મી.ના કિનારે લગભગ ૮૮ ઘાટ છે. તેમાં એક નવો નમો ઘાટ પણ છે. પરંતુ મણિકર્ણિકા અને હરિશ્ચંદ્ર એ  બે ઘાટ પર  શબના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. ડોમ અહીં શબના અંતિમ સંસ્કારની તમામ કામગીરી બજાવે છે. ડોમ રાજા કહેવાતા ડોમ આગેવાન મૃતકના સગાને ચેહના લાકડા વેચે છે અને અગ્નિદાહની અગ્નિ આપે છે. એટલે ડોમ રાજાની અગ્નિ અને મણિકાર્ણિકા ઘાટ મૃતકને મોક્ષ પ્રદાન કરે છે તેવી માન્યતા પ્રવર્તે છે.

    ડોમનું શબ દહનનું કામ આસાન નથી. ગંગાના સ્મશાન ઘાટે બારે મહિના , ચોવીસે કલાક અને બધી જ ઋતુઓમાં શબ દહનનું કામ ચાલતું રહે છે. વારાણસીના અઢી હજાર ડોમ પુરુષો વારાફરતી આ કામ કરે છે. મૃતદેહ આવે ત્યારે તેના માટે ઘાટ પરના ચબૂતરા પર ચેહ તૈયાર કરવાથી માંડીને તે બળીને ખાખ  ન થઈ જાય ત્યાં સુધી તેમાં અગ્નિ પેટાવતા રહેવું પડે છે. કોઈ પણ મોસમમાં અગ્નિ સન્મુખ રહ્યા કરવું બહુ મુશ્કેલ છે. આ કામ માટે તેમને બહુ મોટી રકમ મળતી નથી. એક અગ્નિ સંસ્કારના અઢીસો રૂપિયા મળે છે. કહેવાય છે કે રોજની ૮૦ થી ૧૦૦ અને વરસે ૩૦,૦૦૦ લાશોના દાહસંસ્કાર અહીં થાય છે પરંતુ કોઈ એક વ્યક્તિને જ આ બધી રકમ મળતી નથી. ઘણાં ડોમ પરિવાર તેના પર નભે છે.

    પ્રાચીન નગરીનું ગૌરવ ધરાવતી કાશી, વારાણસી કે બનારસ વિશે તો ઘણું લખાયું છે પરંતુ તેના ડોમ વિશે ખાસ કશું લખાયું નથી. એ મહેણું પત્રકાર રાધિકા અયંગરના દસ્તાવેજી મૂલ્ય ધરાવતા પુસ્તક ફાયર ઓન ધ ગંગાજ: લાઈફ અમંગ ધ ડેડ ઈન બનારસે ( Fire on the Ganges : Life Among the Dead in Banaras) ભાંગ્યું છે. સતત આઠ વરસોની મહેનત પછી લખાયેલા આ પુસ્તકે ડોમના રોજિંદા જીવનની વાસ્તવિકતાને સમાજ સમક્ષ ઉજાગર કરી છે. આ પુસ્તકમાં ડોમના જીવનની દયનીય સ્થિતિ, જટિલ વાસ્તવિકતાઓ અને મહિલા તથા બાળકોની હાલતને જરાય જજમેન્ટલ બન્યા વિના લેખિકાએ આલેખી છે. કથિત ઉચ્ચ જ્ઞાતિઓના સામાજિક માપદંડોને ફગાવીને શિક્ષણ, કૌશલ્ય અને વૈકલ્પિક ધંધા-રોજગારના માધ્યમે નવો માર્ગ પસંદ કરેલ વ્યક્તિઓ (ભોલા,  કોમલ, ડોલી અને લક્ષ્ય) ના સંઘર્ષો અને આકાંક્ષાઓનું ચિત્રણ  લેખિકાએ કર્યું છે.

    સોળ હિંદુ સંસ્કારોમાંના અંતિમ સોળમા સંસ્કારમાં મહત્વની ભૂમિકા ભજવતા અને એટલે પૂજનીય હોવા જોઈતા ડોમ  કેવા ઉપેક્ષિત છે તે બનારસની આધ્યાત્મિક ભવ્યતાના આલેખન છતાં ઓઝલ રહી શકતું નથી. હિંદુ મૃતકના મુક્તિદાતા ડોમ ખુદ અનેક જંજીરોથી જકડાયેલા છે. આભડછેટ, ગરીબી, નિરક્ષરતા, વૈકલ્પિક રોજીનો અભાવ અને સતત આગની વચ્ચે રહેવું જાણે કે તેમની નિયતિ બની ગઈ છે. તેમના બાળકો પણ આ જ વાતાવરણમાં જીવે છે. મહિલાઓ ઘરનો ચૂલો ફૂંકે છે. બાળકો ઘાટ પર શબ પરથી ઉતરેલા કફન ભેગા કરી મૂળ દુકાનદારોને ઓછા દામે વેચી આવે છે. ઘણા ડોમના ઘરનો ચૂલો સવાર સાંજ ઘાટ પરના અડધા બળેલા લાકડાથી સળગે છે. ક્યારેક આ લાકડા પર લાશના માંસના લોચા પણ ચોંટેલા હોય છે.   ” મણિકર્ણિકા ઘાટ, વારાણસી: એ લેન્ડસ્કેપ ઓફ ડેથ’ માં અમિતા સિન્હાના જણાવ્યા મુજબ એક શબના અંતિમ સંસ્કારથી ૨.૭ કિલો રાખ નીકળે છે. ઘણા ડોમ આ રાખને કાણાવાળા વાસણથી ગાળે છે , ખંગાળે છે. એવી આશાએ કે  કદાચ તે રાખમાંથી મૃતદેહ પરનું કોઈ કિંમતી ઘરેણું મળી જાય!

    શિવનગરી વારાણસીના ડોમની વાસ્તવિકતા દિલને ઝકઝોરી નાંખે તેવી છે. ટાઢ, તડકો કે વરસાદ તો તે  વેઠે છે પરંતુ હંમેશા મૃત્યુની સમીપે રહેવાનું હોઈ તે જીવનના સુખને દારુ કે ગાંજાના વ્યસનથી માણે છે. ડોમ બાળકો શિક્ષણથી મુક્ત જ રહે છે. જે થોડા ભણવા જાય છે તેમને શાળામાં અલગ નહીં તો આઘા બેસાડાય છે. દલિતો , ગરીબો, આદિવાસીઓ, શ્રમિકોના સંતાનોના ભણતર સામે શોષકો સવાલ કરે છે કે જો તે ભણશે  તો અમારા વૈતરાં કોણ કરશે? મરેલાં ઢોર કોણ ખેંચશે? ખેતી કોણ કરશે?  તેમ બનારસના ડોમ બાળકોના શિક્ષણનો ખર્ચ ઉઠાવવા માંગતા વિદેશીને સંભળાવાય છે કે તો પછી અમારા શબ કોણ સળગાવશે?  બિનદલિતોનું  આ વલણ તો જાણે સમજ્યા. દલિત ચિંતક તુલસી રામ તેમની આત્મકથા “મણિકર્ણિકા” ના પહેલા જ પૃષ્ઠ પર લખે છે, ” મણિકર્ણિકા ઘાટ પર સદિયોંસે  જલતી ચિતાએં કભી નહીં બુઝીં. અત: મૃત્યુ કા કારોબાર યહાં ચૌબીસોં ઘંટે ચલતા રહતા હૈ. સહી અર્થો મેં મૃત્યુ બનારસ કા બહુત બડા ઉધ્યોગ હૈ. અનગિનત પંડો કી જીવિકા મૃત્યુ પર આધારિત હૈ. સબસે જ્યાદા કમાઈ ઉસ ડોમ પરિવાર કી હોતી હૈ, જિસસે હર મુર્દા માલિક ચિતા સજાને કે લિએ લકડી ખરીદતા હૈ” ( પ્રુષ્ઠ-૯)

    વારાણસીના ડોમને પણ આ કામ કોઠે પડી ગયું છે. શિવનું વરદાન તેમને મળેલું છે અને તેથી  તેઓ મોક્ષદાતા છે તેવા ગુમાનમાં કે ભગવાને સોંપેલી ફરજ કંઈ થોડી છોડાય તેવી માન્યતાવશ તેઓ બીજું કશું વિચારતા નથી. મણિકર્ણિકા ઘાટ પર પણ કામની વહેંચણીના નામે ઉચ્ચનીચ જેવી વ્યવસ્થા છે. સૌથી ઉપર ડોમ રાજા, પછી તેના નાયબો અને છેલ્લે લાશો સળગાવનારા છે. એટલે આ કામમાં જે સૌથી મુશ્કેલ કામ કરે છે તે સૌથી વધુ ગરીબ અને ઉપેક્ષિત ડોમ છે.

    પરંતુ પરિવર્તનના સંસારના નિયમથી ડોમ પણ અછૂતા રહી શક્યા નથી. મુખ્યત્વે પુરુષપ્રધાન આ કામમાં જમુનાદેવી જેવા વિધવા ડોમ મહિલાએ  ઝંપલાવ્યું છે. રાધિકા અયંગરે લખ્યું છે તેમ વારાણસીના એક ડોમ યુવાને આ કામને તિલાંજલી આપીને શહેરમાં સરકારી નોકરી શોધી છે. તે તેની ત્રણ ભત્રીજીઓને સાથે ભણાવવા લઈ ગયો છે તે આવતીકાલની ઉજળી આશાની એંધાણી છે. ડોમ રાજા જગદીશ ચૌધરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના લોકસભા ચૂંટણીના પ્રસ્તાવક બનાવ્યા કે તેમને  મરણોપરાંત પદમશ્રીથી નવાજ્યા તેનું પ્રતીકાત્મક તો પ્રતીકાત્મક,  ઘણું મૂલ્ય છે. આવા નાના-મોટા ફેરફારો ડોમનું દળદર ફેડે અને સઘળા હિંદુઓ માટે પાણી, મંદિર અને સ્મશાનના ભેદ ન હોવા જોઈએ તેવી સંઘ સુપ્રીમોની અરજ  આહ્વવાન બને તો કેવું સારું.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ગીતબિતાન (“Garden of songs”) গীতবিতান – ૫

    રબીન્દ્રસંગીતમાં છલકાતી મેઘધનુષી સંવેદનાઓનું આચમન

    અલ્પા શાહ

    નમસ્કાર મિત્રો,  “ગીતબિતાન” શ્રેણીમાં આપ ફરી એક વારઆપ સૌનું ભાવભર્યું સ્વાગત છે.

    આજની રચના કવિવરની આધ્યાત્મિકતાના એક નવા પરિમાણનો પરિચય કરાવે તેવી છે. પ્રકૃતિ અને પરમેશ્વરના પરમ ઉપાસક એવા કવિવર “બ્રહ્મ”ની અનુભૂતિ પોતાની બહાર નહિ પણ પોતાની ભીતર કરતા.  અંધશ્રદ્ધા અને ક્રિયાકાંડના પ્રખર વિરોધી એવા કવિવર શ્રી રામકૃષ્ણ પરમહંસ દ્વારા પ્રભાવિત થયેલ હતા. કદાચ એટલેજ કવિવરે  ઘણી બધી રચનાઓ નિરાકાર બ્રહ્મને કેન્દ્રમાં રાખીને કરી છે. વેદ-ઉપનિષદના પ્રખર અભ્યાસી કવિવર માનતા કે આત્મામાં રહેલા પરમાત્મા સાથેનું સતત સાનિધ્ય અને સાતત્ય અનુભવતા રહેવું અને એ પરમ ચેતનાની પ્રાપ્તિ માટે સતત પ્રત્યનશીલ રહેવું તેજ મનુષ્યનો અંતિમ ધ્યેય છે. ગુરુદેવ ભીતર રહેલા “બ્રહ્મ”સાથે એકાકાર થવા માટે અસહય વિરહનો તાપ સતત અનુભવતા.

    ગુરુદેવની આદ્યત્મિક્તાના આજ પરિમાણને દર્શાવતી એક રચના કે જે પૂજાપારજોયમાં (વિભાગમાં) અને વિરહ ઉપ-પારજોયમાં (ઉપ વિભાગ) વર્ગીકૃત થયેલી છે તેને આપણે આજે જાણીશું અને માણીશું. આ રચનાનું શીર્ષક છે তোমার পূজার চলে (Tomar Pujar Chole) જેનું ભાવાત્મક અનુવાદિત શીર્ષક છે ” એક તને જ હું વિસરી ગયો… “. ૧૯૧૪માં રચાયેલી આ રચના રાગ પીલુ પર સ્વરબધ્ધ થયેલી છે અને દાદરા તાલમાં તાલબદ્ધ કરેલ છે. .

    મેં આ રચનાનો ગુજરાતીમાં પદ્ય સ્વરૂપે ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયત્ન કર્યો છે તે દ્વારા આપણે આ રચનામાં રહેલી સંવેદનાઓમાં ભીંજાવાનો પ્રયત્ન કરીશું.

    એક તને જ હું વિસરી ગયો…

    તારા પૂજનના કાજને આજ ધરી આગળ
    ક્રિયા-કર્મનો અંચળો ઓઢીને  ફરતો રહ્યો
    રીતિ-રિવાજની રફ્તાર તો રાખી મેં યાદ
    પણ, હરિ ફક્ત તને જ હું એમાં વિસરી ગયો

    ખડકી દીધા ફુલહારના ઢગ તારી આગળ
    એ ઢગલા મહી તું આખેઆખો દટાઈ ગયો
    અને હરિ, તારા ચરણ-સ્પર્શ કરવાનું હું ચૂકી ગયો
    એક તને જ હું એમાં વિસરી ગયો

    રચી દીપ-અગરબત્તીની હાર તારી આગળ
    એ ધુમાડો તારી આસપાસ વીંટળાઈ  ગયો
    અને હરિ, તારી હાજરીનો અહેસાસ હું ચૂકી ગયો 
    એક તને જ હું એમાં વિસરી ગયો 

    રટતો રહ્યો શ્લોક-આરતી સતત તારી સમક્ષ
    એ નાદ મહીં તું સાંગોપાંગ જાણે દટાઈ ગયો
    અને હરિ, તારો પોકાર સાંભળવાનું હું ચૂકી ગયો 
     એક તને જ હું એમાં વિસરી ગયો 

    કરતો રહ્યો આ બધું તને પામવાના ભ્રમ તળે
    પણ એ થકી મારા જ અહમને હું પોષતો રહ્યો
    ખોળ્યા કરું છું તને મંદિર-મજારની અટારીએ
    પણ હરિ,મારી ભીતરે જ  શોધવાનું હું ચૂકી ગયો
    એક તને જ હું એમાં વિસરી ગયો

    ©અલ્પા શાહ

    આ રચનામાં કવિવરે એક નિખાલસ કબૂલાત દ્વારા એક એવા વિષયને રજુ કર્યો છે કે જે મારા, તમારા સૌના મનમાં એક પ્રશ્નબીજ રોપી દે છે. તટસ્થ ભાવે વિચારો તો આ રચનામાં કવિવર ધાર્મિક હોવું  (“being religious”)  અને આધ્યત્મિક હોવું (“being spiritual”) એ બે વચ્ચે જે ભેદરેખા છે તે પ્રકાશમાં લાવ્યા છે.

    હું અંગત રીતે એવું માનું છું કે ધર્મ અને ધાર્મિક માન્યતાઓ એ તો સૌની પોતપોતાની અંગત બાબત છે અને પ્રત્યેક વ્યક્તિ માટે ધર્મની વ્યાખ્યા અલગ અલગ હોઈ શકે અને તેમાં કશું ખોટું પણ નથી. આપણે સૌ એ દિવ્ય શક્તિ સાથે જુદા જુદા માધ્યમ અને રસ્તાઓ થી જોડાતા હોઈ છીએ. પણ આ રચનામાં કવિવરે પરમાત્માને પામવા થતા ક્રિયા-કર્મ માં આપણે એ કર્મ પાછળનું હાર્દ વિસરી તો નથી જતાને તે પ્રશ્નને વાચા આપી છે…

    પ્રભુની પૂજાના ભાગરૂપે ધાર્મિક ક્રિયા-કર્મ અને રીતિ-રિવાજોનું પાલન કરવું-ન કરવું એ તો સૌની અંગત બાબત છે પણ એટલું તો હું ચોક્કસ કહીશ કે આ ક્રિયા-કર્મ કરતા પહેલા એક વાર જરા પોતાની અંદર રહેલા આત્મા સાથે વાત કરી લેવી… ક્યાંક આપણે આ ક્રિયા-કર્મ માત્રને માત્ર આપણો ખુદનો અહમ સંતોષવા કે લોકોને બતાવવા કે આંજી દેવા તો નથી કરતાને? આ ક્રિયા-કર્મ કરવા પાછળનું હાર્દ તો આપણે વિસરી નથી જતાંને? આ ક્રિયા-કર્મ પાછળનો આપણો ભાવ તો અણીશુદ્ધ છે ને? શબરીના એઠાં બોર આરોગનાર શ્રીરામ અને છપ્પનભોગ છોડી વિદૂરની ભાજી ખાનારો મારા શ્યામ તો આપણે જાણીએ છીએ તેમ ફક્ત ભાવના ભૂખ્યા છે અને આપણા મનમાં રહેલા ભાવ બીજું કોઈ જાણી શકે કે નહિ, પણ એ તો ચોક્કસ જાણે છે…

    કવિવર આવીજ કંઈક વાતને આ રચના દ્વારા માર્મિક રીતે રજુ કરે છે…શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે

    ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम् |
    मम वर्त्मानुवर्तन्ते मनुष्या: पार्थ सर्वश: || 11||

    અર્થાત દરેક મનુષ્ય જે ભાવ અથવા માધ્યમથી મારી સાથે જોડાય છે તે જ રીતે હું તેની સાથે પાછો જોડાઉં છું. એટલે જો પરમેશ્વર સાથે આપણે ફૂલહારના ઢગલા થકી કે દીવા-અગરબત્તીના સુગંધિત ધુમાડા થકીજ જો આપણે સ્થૂળ રીતે ઉપરછલ્લી રીતેજ જોડાવા માંગતા હોઈશું તો પ્રભુ પણ આપણી સાથે કદાચ એ રીતે જોડાશે. પણ આ ફૂલહાર અને અગરબત્તી-દીવાની વચ્ચે પણ, જો આપણે આપણી ભીતર રહેલા “બ્રહ્મ” સાથે અંતરનું જોડાણ સાધવા પ્રયત્નશીલ રહીશું તો કયારેક આપણે પણ એ દિવ્ય શક્તિનું સતત સાતત્ય અને સાનિધ્ય અનુભવવાને કાબેલ બની શકીશું…

    તો ચાલો, આપણી ભીતર રહેલા પરમાત્મા કે “બ્રહ્મ” સાથે સાતત્ય સાધવાનો પ્રયત્ન કરતાં કરતાં હું મારી કલમને વિરામ આપું છું. આશા રાખું છું કે તમે પણ આ ગીતમાં રજુ થતી સંવેદનોની સરવાણીમાં ભીંજાય હશો. તમારા માર્ગદર્શન અને પ્રતિભાવોની અપેક્ષા સહ,



    સુશ્રી અલ્પાબહેન શાહનો સંપર્ક alpadipeshshah@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?

    તવારીખની તેજછાયા

    ‘હું પંજાબ જાઉં અને ત્યાંના લોકોને મદદ કરી શકું એમ લોકો ઈચ્છતા હોય તો હું વહેલામાં વહેલી તકે ઉપવાસ છોડી શકું તેમ તેમણે કરવું જોઈશે.’

    પ્રકાશ ન. શાહ

    કોલકાતા જવાનું એકથી વધુ વખત બન્યું હશે. શાલેય દિવસોના કંઈક ઉપાસ્યવત પરમહંસદેવ અને વિવેકાનંદના સ્મરણવશ દક્ષિણેશ્વર ને બેલૂર મઠ જવાનું ચહીને બન્યું છે. પણ ૨૦૦૨માં મહેન્દ્ર મેઘાણી થકી સંકલિત ‘આંસુ લૂછવા જાઉં છું’ વાંચવા-સાંભળ‌વાનું બન્યું ત્યારથી ચિત્તમાં એક ફરિયાદ રહી છે કે હૈદરી મંઝિલે હૃદયકુસુમ ધરવાનું રહી ગયું છે.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    ‘આંસુ લૂછવા જાઉં છું’ એ મૂળે તો આપણા સમયના મહાભારતોપત્ર એવા ‘લાસ્ટ ફેઝ’ (પ્યારેલાલ)ના ગુજરાતી અનુવાદ ‘પૂર્ણાહુતિ’ (મણિભાઈ દેસાઈ)ના ૨૧૦૦ જેટલાં પાનાંમાંથી ગાંધીજીના જીવનના આખરી પંદર મહિનાનું બયાન છે જ્યારે કોમી દાવાનળ ઠારવા બંગાળ, બિહાર, પંજાબમાં ગાંધીજીએ એકલવીરની જેમ આત્મબળથી ઝૂઝી વીરમૃત્યુ વહોર્યું હતું. નોઆખલીના આતંક વચાળે અભયપૂર્વક વિચરતા ગાંધીએ ચૌમુહાની પ્રાર્થાનસભામાં કહ્યું હતું કે અહીં જે બન્યું તે ઈસ્લામના નામ પર કલંકરૂપ છે. વળી ઉમેર્યું હતું કે ‘પૂર્વ બંગાળમાં મુસલમાનો એટલી મોટી બહુમતીમાં છે કે તેમણે અહીંની હિંદુઓની નાનકડી લઘુમતીના રખેવાળ બનવું ઘટે અને તેમણે હિંદુ સ્ત્રીઓને કહેવું જોઈએ કે અમે અહીં છીએ ત્યાં સુધી તમારા પર બૂરી નજર કરવાની કોઈની પણ હામ નથી.’

    જુલાઈ ૧૯૪૬ના ‘ડાઈરેક્ટ એક્શન’ વેળાથી હિંદુઓ પરના મુસ્લિમ આતંકના વડા જવાબદાર હસન સુહરાવર્દી અને બીજા લીગ નેતાઓ આઘાપાછા હશે ત્યારે લીગના જ એક પ્રધાન શમસુદ્દીન અહમદે ‘રાજધર્મ’ની રીતે રોકડી વાત કરી હતી: ‘પાકિસ્તાન વિ. હિન્દુસ્તાન એ સવાલનું નિરાકરણ મુસલમાનો બહુમતીમાં હોય ત્યાં હિંદુઓની અને હિંદુઓ બહુમતીમાં હોય ત્યાં મુસલમાનોની કતલ કરવાથી થવાનું નથી. કોઈ પણ સરકાર નિષ્ક્રિયપણે બાજુએ ઊભી રહીને બહુમતીને લઘુમતી પર જુલમ ગુજારવા કે તેનું નિકંદન કાઢવા દઈ શકે નહીં…’

    પણ વાત તો આપણે કોલકાતાની કરતા’તા. સ્વરાજના પહેલા દસ-પંદર દિવસ તો જાણે કોઈ કોમી તનાવ હતો જ નહીં એમ દેખીતા આનંદઓચ્છવ જેવા વીત્યા ન વીત્યા, અને… આ દિવસોમાં ગાંધીજી કોલકાતાના બેલિયાઘાટા વિસ્તારમાં જે મકાનમાં રોકાયા હતા તેનું નામ હૈદરી મંઝિલ હતું. સાવ અવાવરું ઘર. ઢગલે ઢગલા ધૂળ ને કચરો. ચારે બાજુથી લગભગ ખુલ્લા જેવું. બારી-બારણાં હુલ્લડ વખતનાં તૂટેલાં. એક જ સંડાસ. વરસાદને કારણે ઘરમાં કાદવ-કીચડ. જવું’તું ફરી નોઆખલી, પણ પૂર્વમેયર મુહમ્મદ ઉસમાને ત્યાં શાંતિની જવાબદારી લીધી ત્યારે ગાંધીજીએ સુહરાવર્દીને કહ્યું કે મારી સાથે આવીને ફકીરની પેઠે શહેરમાં શાંતિ-સ્થાપન સારુ રહો એ શરતે રોકાઈ જાઉં…

    દરમ્યાન, શહેરમાં ફરી તોફાનો શરૂ થયાં. કેટલાક આ વખતે શરૂઆત માટે શીખોનો વાંક કાઢતા હતા તો હિંદુ મહાસભાવાળા ફોરવર્ડ બ્લોકનો અને ફોરવર્ડ બ્લોકવાળા હિંદુ મહાસભાનો. કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને હિંદુ મહાસભાના નેતા શ્યામાપ્રસાદ મુખર્જીને અહેસાસ હતો કે આ તોફાનોની પ્રતિક્રિયા બીજે પણ થઈ શકે એટલે પ્યારેલાલ સાથે વાતચીત કરી એમણે શાંતિની અપીલ કરી. હિંદુ મહાસભાના જ બીજા નેતા નિર્મલચંદ્ર ચેટરજી (એન. સી. ચેટરજી) ગાંધીજીને મળવા આવ્યા ત્યારે એમણે લગભગ કબૂલાતની રીતે કહ્યું કે હિંદુઓ તેમનાં મગજ ગુમાવી બેઠાં છે. પંદરમી ઓગસ્ટ આસપાસના દિવસોની શાંતિ તાત્પૂરતી બલકે ઉપરછલ્લી હતી. બીજી બાજુ પંજાબના સમાચારો ભારે માઠા હતા. જાહેર જીવનના લાંબા અનુભવને જોરે ગાંધીજીને લાગ્યું કે કોલકાતામાં શાંતિ-સ્થાપન એ પંજાબમાં શાંતિ તરફે ઉપયોગી થઈ પડશે.

    ‘હું પંજાબ શું મોં લઈને જઈ શકું?’ ઉપવાસ પર ઊતરતાં એમણે નિવેદનમાં કહ્યું: ‘હું પંજાબ જાઉં અને ત્યાંના લોકોને મદદ કરી શકું એમ લોકો ઈચ્છતા હોય તો હું વહેલામાં વહેલી તકે ઉપવાસ છોડી શકું તેમ તેમણે કરવું જોઈશે.’

    રહેઠાણ આગળ મૂકવામાં આવેલી પોલીસને એમણે પરત મોકલી હતી, પણ એને પાછી બોલાવવી પડી, કેમ કે બંગાળના અશાંતિની એક જવાબદાર સુહરાવર્દીને રક્ષણ સારુ એની જરૂર હતી. ડાઈરેક્ટ એક્શનથી નોઆખલીના સુહરાવર્દી કરતાં જોકે ઓગસ્ટ-સપ્ટેમ્બર ૧૯૪૭ના કોલકાતા દિવસોના સુહરાવર્દી જુદા હતા, અને જૂની ભૂલોથી પશ્ચાતાપ સાથે બહાર આ‌વી રહ્યા હતા.

    ત્રીજે દિવસે માહોલ જાણે કે કંઈક બદલાવા લાગ્યો હતો. એક હિંદુ-મુસ્લિમ સંયુક્ત સરઘસ બેલિયાઘાટા પહોંચ્યું ને ઉપવાસ છોડવા વિનંતી કરી. ચોથે દિવસે તો જાણે ચમત્કાર થયો. એક પછી એક નામીચા ગુંડા આ‌વતા ગયા. હથિયારો જમા કરાવતા ગયા.

    બીજી પાસ, અઠ્ઠોતેરના બુઝુર્ગની તબિયત ઉત્તરોત્તર કથળી રહી હતી. સૂતા, વળી બેઠા થતા, માળા ફેરવતા હતા. બંગાળના ગવર્નર રાજાજી કોંગ્રેસ પ્રમુખ કૃપાલાની, મુખ્યમંત્રી પ્રફુલ્લ ઘોષ, એન. સી. ચેટરજી, સુહરાવર્દી, શરદચંદ્ર બોઝ (નેતાજીના ભાઈ) સરદાર નિરંજનસિંહે કલાકેકના પરામર્શપૂર્વક પ્રતિજ્ઞાપત્ર પર હસ્તાક્ષર કર્યા.

    એક સ્વયંસેવક ટુકડીએ એ પ્રાર્થના ગાઈ જે રવીન્દ્રનાથે પંદરેક વરસ પર યરવડા જેલમાં ગાંધીજીને પારણા કરાવતા ગાઈ હતી:

    જીવન જવ સુકાઈ જાય, કરુણા વર્ષંતા આવો,
    માધુરી માત્ર છુપાઈ જાય, ગીતસુધા ઝરતં આવો.

    સાતમી સપ્ટેમ્બરે રાતે એ પંજાબ માટે રવાના થયા અને એક પછી એક સાથીએ વિદાય આપી ત્યારે છેલ્લા હતા સુહરાવર્દી… એમના અશ્રુએ અભિષિક્ત એ વિદાય!

    ગમે તેમ પણ, આ લખનારને લમણે તો હૈદરી મંઝિલનાં દર્શન બાકી તે બાકી.


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૧૦ -૯– ૨૦૨૫ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ


    શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

     

  • કવિ વજેસિંહ પારગીનું કાવ્ય વિશ્વ

    આજથી બરાબર બે વર્ષ પહેલાં એટલે કે, સપ્ટે. ૨૦૨૩માં  ગુજરાતે એક આદિવાસી કવિ વજેસિંહ પારગીને ગુમાવ્યા હતા. વજેસિંહ પારગી અભ્યાસુ હતા. એમને પ્રૂફરીડિંગનો પાયાગત બહોળો અનુભવ હતો. ભલભલા સંપાદકો, તંત્રીઓ અને લેખકોને કાન પકડાવે તેવી ભાષાકીય સૂઝ અને ગુજરાતી ભાષા પરની પકડ ધરાવતા હતા. તેઓ ગુજરાતી ભાષાપ્રેમી જ નહિ પણ એક ભાષાનિષ્ઠ  અને ભાષાનિપુણ પણ હતા. ‘સાર્થ જોડણીકોશ’ ની ભૂલો અંગે પણ તેમણે લેખ લખ્યો હતો.

    તેમનું જીવન, વાંચતાં વાંચતાં હૈયું ચીરાઈ જાય તેવું કરુણ હતું. પરિણામે તેમના અક્ષરો વિખરાઈ ગયા, અવાજ ન ગવાયેલો રહ્યો અને મળવા જેવી વ્યક્તિ મળ્યા વગરની રહી ગઈ.

    આજે બે વર્ષ પછી તેમની વિદાયને તેમની કવિતાઓ થકી અને તેમના પોતાના શબ્દોમાં લખાયેલ સંસ્મરણ થકી શબ્દાંજલિઃ

    (—https://opinionmagazine.co.uk/માંથી સંકલિત—આભાર સહ…)


     

    (વજેસિંહે લખેલું સંસ્મરણ)

    વજેસિંહ પારગી

    વાત છે ફાટેલી ચડ્ડીના ખિસ્સામાં મકાઈનો ચોથિયો રોટલો ઘાલીને ઉધાડા પગે ઘરથી (ઈટાવા, તાલુકો – દહોદ) નિશાળ ને નિશાળથી ઘર ચાર દૂની આઠ કિ.મી.ની પદયાત્રા કરવાના દિવસોની. અમારે મન ઢોરાં ચારવા જવું ને નિશાળે જવું બંને સરખું. અમારાં માબાપ ને માસ્તરોની પણ એક જ મંછા – છોરાને લખતાં-વાંચતાં આવડે એટલે પત્યું. આપણે ક્યાં ભણીને રાજ લેવાનું છે! આવી વૃત્તિ ને માહોલમાં અમારે નિશાળે જવાનું. ત્યારે હું છઠ્ઠામાં. ગામમાંથી નિશાળે જનારી અમારી પાંચની ટણકટોળી. આઠથી બારની વય. આજુબાજુનાં ગોમોને પાંચ-સાત કિ.મી.ના અંતરે પડે એવી એકથી સાત ધોરણની એકમાત્ર પ્રાથમિક શાળા કઠલા ગામે. કઠલા મારું મોસાળ. ઘણા મને ઓળખે, ઘણાને હું મામા કહું. બાર-પંદર ગામના છોકરા આ શાળમાં ભણે! એ કાળે થોડાં ઝાડી-જંગલ. શિયાળાના ટૂંકા દિવસોમાં સાંજે નિશાળેથી પાછા ફરતાં અંધારું ઊતરી પડે ને સાપ શિયાળવાંની બીક પણ લાગે!

    ચોમાસામાં છત્રી વગર હેરાન થઈએ. વરસતી ઝડીમાં પલળતાં-પલળતાં ઘરે આવવું પડે. ચોમાસું પણ કેવું! ભાદરવાના દિવસોમાં હેલી થાય ત્યારે ત્રણ-ચાર દિવસ ઘરમાં ગોંધાઈ રહેવું પડે, એવો વરસાદ એ જમાનાનો. આવા ભાદરવા મહિનામાં એક દિવસે નિશાળમાં હતા ને ઘનઘોર મેઘાંડબર છવાયો. ગાજવીજ ને કડાકાભડાકા સાથે બારે મેઘ ખાંગા થયા. નજર પૂગે ત્યાં લગી પાણી જ પાણી. અમારો ડુંગરાળ વિસ્તાર પણ જળબંબોળ લાગે! માસ્તરોએ નિશાળ છોડી મૂકી. દફતરો નિશાળમાં છોડીને અમે ઘર તરફ દોટ મૂકી! અમારા દફતરમાં હોઈ હોઈ ને હોય પણ શું? ફાટેલી થેલીમાં ફૂટેલી સ્લેટ, સ્લેટપેન-પેન્સિલના ટુકડા ને ફાટેલી એકબે ચોપડી ને નોટ. નિશાળ ને આમારા ગામ વચ્ચે કાળી નદી. નદી બે વડે અકાંછકાં (બે કિનારે છલકાય), ભલભલા તરવૈયાના હાંજા ગગડી જાય એવો નદીનો ઘુધવાટ. કાંઠે ઊભા ઊભા વિમાસીએ. શું કરવું, ક્યાં જવું? ઉઘાડા માથે મુશળધાર વરસાદ ને ઉપરથી પવનના સુસવાટા. હિક્કળ લાગવાથી માતા આવી હોય એમ ધ્રૂજીએ. હિક્કળથી દાંતની કટકટી વાગે, ધરે કોઈ લેવા આવશેની થોડી વાર રાહ જોઈ. પણ એ આશા ય પૂરમાં તરણું તણાય એમ તણાઈ ગઈ! કોઈ આરોઓવારો ન દેખાયો. પાછા વળ્યા. શેરીના પાસે પડતા એક ઘરમાં માથું મારીને ઘૂસી ગયા. ઘરધણીએ હેતથી આવકારો આપ્યો. અંગેટી (તાપણું) કરીને બેસાડ્યા. લથબથ ખમીસો નિચોવીને વાંસની વળગણીએ નાખ્યા. થેલા ઓઢવા આપ્યા. થોડાં હૂંફ ને ગરમાવો મળ્યાં. માંડ-માંડ જીવમાં જીવ આવ્યો. અમને મીઠો આવકારો આપનારા ઘરધણીનું નામ, જોખો ડામોર. ભાદરવો એટલે અમારા લોકો માટે ભૂખમરાનો મહિનો. દાણોપાણી ખૂટી ગયાં હોય, ખેતરોમાં ધાન પાક્યું હોય પણ હજુ લીલું હોય, એટલે છતે ધાને ભૂખે મરવાનું કરમમાં લખાયેલું. તે વખતના લોકો ભૂખથી ચીમળાય પણ આજની પેઢીની જેમ ઘર-ગામ છોડીને મજૂરી કરવા ગુજરાતમાં ન આવે. (હા, અમે ગુજરાતમાં જ આવીએ, પણ અમારે મન ગુજરાત એટલે ખેડા, વડોદરા ને અમદાવાદ જિલ્લો) ભાદરવામાં કોઈક જ ઘરમાં સવારસાંજ ચૂલા સળગે. પાછલું વરસ કાળદુકાળનું હોય તો, કેટલાં ય ઘરોમાં મહુડાં શેકીને કે બાફીને ખાઈ લેવાનું ને કપરા દિવસો કાપવાના એવી દારુણ ગરીબીનો અભિશાપ લઈને જન્મેલી અમારી કોમ.

    આવા ભૂખમરાના દિવસોમાં વેરી વરસાદે અમને એક અજાણ્યાના ઘરે પામળા (અતિથિ) બનાવી દીધા. ઘરધણીનું આઠ જણનું વસ્તારી કુટુંબ. અમારાં પેટમાં બિલાડાં બોલે, મોઢાં નિમાણાં થઈ ગયાં. અભણ પણ વખો વેઠેલો જોખો અમારા દીદાર જોઇ બધું કળી ગયો. ‘છોરા ભૂખ્યા છે!’ ઘરવાળી સાથે ખૂણામાં જઈને ગુપસુપ કરી. જોખો માથે થેલાની ઘૂમટી ઓઢી ધોધમાર વરસાદમાં ઘરની બહાર નીકળી ગયો. કલાકેકમાં પાછો આવ્યો. સંતાડેલી કપડાની પોટલી ઘરવાળીને આપી. ઘરવાળીએ ચૂલો સળગાવ્યો. કોઈકને ત્યાંથી ઉછીઉધારો લાવેલા લોટના પાંચ રોટલા થયા. મરચાની મીઠું નાખી ચટણી વાટી. રાતી જુવારનો એકએક રોટલો અમને પાંચેયને ભાવથી ધર્યો. ‘ખાઓ બેટા! આખા દાડાના ભૂખ્યા ઓહે (હશો). ડુંગર બળે તો તો હૌ કોઈ દેખે, પેટ બળે તો કોણ દેખે!’ અમને તો પકવાન પીરસાયા જેટલો રાજીપો થયો. બે-ત્રણ કોળિયા ઊતર્યા હશે ને જોખાના સૌથી નાના અમારી હામીદામી(સમવયસ્ક)ના છોકરાના મોંમાંથી રૂંગું નીકળ્યું. એની માએ મોઢે હાથ દાબ્યો છાં દબાયેલો અવાજ મારા કાનમાં શીશાની જેમ ઊતરી ગયો. ‘આઈ, મને પણ રોટો આલને હું ય હવારનો ભૂખ્યો છું.’ અમે બે મોટા છોકરા મામલો સમજી ગયા. અડધો-અડધો રોટલો ભાગીને એ છોકરાને આપવા લાગ્યા ત્યારે જોખો કહે, ‘ખાઓ બેટા, એ તો દુત્તુ (જુઠ્ઠું) બોલે છે. હમણાં જ એણે ખાધું છે.’ પાછળથી ખબર પડી કે આખું ઘર સવારથી જ ભૂખ્યું હતું! આજે સાત પેઢી ખાતાં ન ખૂટે એટલું ધાન હોવા છતાં કોઈ ભિખારીને એક રોટલી નથી આપતું; ત્યારે એક ગરીબ આદિવાસી પોતાની ને પોતાના વસ્તારના પેટની આગ ઠારવાને બદલે ડુંગર ઠારવા (અમારી ભૂખ ભાંગવા) મુશળધાર વરસાદમાં નીકળી પડે એ ઘટના કલ્પનાતીત જ લાગે! પણ આ ઘટના આજે ત્રીસ વરસે ય મારી આંખના ખૂણા ભીંજવી જાય છે.

    (—https://opinionmagazine.co.uk/માંથી સંકલિત—આભાર સહ…

    ‘નિર્ધાર’ નામનું એક સામયિક પ્રકાશિત થતું. એના એકવીસેક અંક પ્રકાશિત થયા હશે. વજેસિંહ પારગીએ લખેલું આ સંસ્મરણ ‘નિર્ધાર’માંથી મળ્યું)


    સૌજન્ય : ઉમેશભાઈ સોલંકીની ફેઇસબૂક દીવાલેથી સાદર)


    ૧. ક્યાં લગ

    મજૂરી કરતાં-કરતાં
    પેઢીઓની પેઢીઓ
    માટીમાં મળી ગઈ

    હુંય જોઉં છું
    વરસોવરસ વિસ્તરતી
    અમીરોની સત્તા

    બે હજાર વરસથી
    ખોટી પડતી આવી છે
    ઈસુની ભવિષ્યવાણી

    ગરીબગુરબાં
    જીવીજીવીને ક્યાં લગનું જીવશે
    કોઈના વચનના વિશ્વાસ પર ?

    ૨.ઊભો છે મજૂર

    બેઠી છે ઘરમાં
    જડબાં ફાડીને ભૂખ
    ને ઊભો છે બારણે
    દાતં કાકરતો કૉરોના
    ઘરમાં ય મોત
    ને બહારે ય મોત
    વચમાં બચેલી તસુ જગામાં
    માડં માડં પગ ટેકવતો
    ઊભો છે મજૂર

    (સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; ૦૭ મે ૨૦૨૦)

    ૩. એક બે અને ત્રીજી

    રામ નથી કે અલ્લાહ નથી,
    કોઈ અમારો તારણહાર નથી.
    અમને તો આકાશે નાખ્યા
    અને ધરતીએ ઝીલ્યા,
    કોઈ અમારો સર્જનહાર નથી.
    અમારે છે એક પેટ અને બે હાથ
    ને ત્રીજી પેટમાં ભભૂકતી આગ,
    અમે તો વ્યસ્ત અને ત્રસ્ત
    ઠારવામાં પેટની આગ.

    ભૂખ લાગે, ત્યારે રોટલો આપવા
    આવતો નથી મંદિરમાંથી રામ
    કે મસ્જિદમાંથી અલ્લાહ
    ભલા અમારે શું કામનાં
    મંદિર અને મસ્જિદ?
    નથી જોઈતું અમારે મંદિર
    નથી જોઈતી અમારે મસ્જિદ.

    (‘નિર્ધાર’ના ‘અયોધ્યા વિશેષાંક’માંથી સાભાર)

    સૌજન્ય : “નિરીક્ષક”, ૦૧ જાન્યુઆરી ૨૦૧૯

  • ‘બાઈ’ : ‘મારી જીવનકથા’ – નૂતન પર્વ!

    વિમલાતાઈ

    સુખદુઃખ મનમાં ન આણીએ ! પણ… થી આગળ

    અમે અમદાવાદ આવ્યાં અને અમારા માટે એક નવું પર્વ શરૂ થયું.

    મારી મીના, સુધા અને જયુને અમે હાઈસ્કૂલમાં દાખલ કરી. અમારું ગાડું હવે ધીમે ધીમે સરળતાથી ચાલવા લાગ્યું હતું. અમદાવાદમાં તો છોકરીઓ માટે પણ ફી ભરવી પડતી હતી. સુધાને સારા માર્ક મળતા હોવાથી તેને અર્ધી જ ફી ભરવી પડતી હતી. સુધા અને મીના બન્નેએ એસ.એસ.સી.ની પરીક્ષા આપી. સુધા તો પહેલા પ્રયત્ને પાસ થઈ ગઈ, પણ મીના એક કે બે માર્કથી નાપાસ થઈ. છ મહિના બાદ લેવાતી પરીક્ષામાં મીના પાસ થઈ ગઈ અને ટાઇપિંગના ક્લાસમાં જોડાઈ, અને એક વર્ષમાં તેને નોકરી મળી ગઈ. સુધા કૉલેજમાં દાખલ થઈ, પણ ઇન્ટરના વર્ગમાં આવી ત્યારે તેને કોણ જાણે એવી અડચણ આવી ગઈ કે તેણે કૉલેજનું શિક્ષણ ત્યાં જ મૂડી દીધું. જયુ મેટ્રિક પાસ થઈ ગઈ.

    મીનાને નોકરી તો મળી, પણ થોડા સમયમાં તેની બદલી વડોદરા થઈ. તેને એકલી મોકલતાં જીવ ન ચાલ્યો એટલે હું તેની સાથે વડોદરા ગઈ. શરૂઆતમાં અમે બન્ને જણા મારાં મામીને ઘેર ઊતર્યા. આ મારાં એ જ મામી હતાં જેમને ત્યાં હું નાનપણમાં રહી હતી. મામીનો સ્વભાવ ઘણો જ સારો હતો અને તેમનાં દીકરા-દીકરીએ અમને ઘણો જ સ્નેહ આપ્યો. અમારું ઘણું ધ્યાન રાખ્યું તેથી અમને કોઈ જાતની તકલીફ ન થઈ. એક મહિનો તેમને ઘેર રહ્યા બાદ મીનાને સુંદર સરકારી ફ્લેટ મળ્યો, તેથી અમે ત્યાં રહેવા ગયાં.

    સુધાએ અમદાવાદ રહી નરેનની ખૂબ સંભાળ લીધી. આગળ જતાં તેને પણ સારી નોકરી મળી ગઈ. સુધાએ જવુને કૉલેજમાં જવા કહ્યું, અને નરેન-સુધાએ મળી જુનું કોલેજનું શિક્ષણ પૂરૂં કર્યું.

    મીનાને તેના ફ્લેટમાં સરખી વ્યવસ્થા કરી આપ્યા બાદ હું અમદાવાદ પાછી આવી, પણ અવારનવાર તેને મળવા વડોદરા જતી. મીના એક વર્ષ વડોદરા રહી તે દરમિયાન તેનો પરિચય તેની જ ઓફિસમાં કામ કરનાર યુવાન સાથે થયો અને તેમણે લગ્ન કરવાનું નક્કી કર્યું.

    થોડા દિવસ બાદ મીનાની બદલી અમદાવાદ થઈ. અમે લગ્નની તારીખ નક્કી કરી. નરેને મીનાનાં  ગ્ન ઘણી ઉત્તમ રીતે ઊજવ્યાં. આ મારું પ્રથમ શુભકાર્ય હોવાથી મારાં પિયરનાં બધાં સગાં-વહાલાં આવ્યાં હતાં. મારા બનેવીની તબિયત સારી નહોતી તેમ છતાં તેઓ પણ ખાસ હાજરી આપવા આવ્યા હતા. નરેને બધા મહેમાનોની સારી ખાતરબરદાસ કરી, બધાંની મરજી સંભાળી અને પ્રસંગ સારી રીતે સંપન્‍ન કર્યો. લગ્ન પછી મીનાએ પોતાની બદલી વડોદરા કરાવી લીધી.

    આમ દિવસ ચાલતા હતા ત્યાં અચાનક મારા બનેવીનું વેરાવળ ખાતે અવસાન થયું. તેઓ પચાસ વર્ષના હતા. મારી બહેન ફક્ત ત્રીસ વર્ષની હતી અને આ નાની વચે તેને વૈધવ્ય આવ્યું. મારા બનેવીએ તેમની કારકિર્દી દરમિયાન ઘણા પૈસા કમાયા હતા, પણ બધી આવક તેમનાં પોતાનાં સગાંવહાલાંઓને પોષવામાં ઉડાવી દીધી હતી. તેઓ પોતે ગંભીર રીતે માંદા પડયા ત્યારે તેમનાં આ જ સગાંસંબંધીઓએ તેમની દરકાર ન કરી. આવડા મોટા પોલીસ ઇન્સ્પેક્ટરનો હોદ્દો ધરાવતા હોવા છતાં મારી બહેન માટે તેમણે કશી જ જોગવાઈ કરી નહિ. તેમણે મારું તો સર્વસ્વ ઉડાવી દીધું હતું પણ મારી બહેન માટે તેમણે કશો જ આશરો રહેવા દીધો નહિ. દમુનો બધો ભાર હવે તેના મોટા દીકરા પર આવી પડયો. તેનો નાનો દીકરો હજી નિશાળમાં ભણતો હતો. આવા હતા અમારા લોકો!

    એક દિવસ મારો નરેન બીમાર પડી ગયો. પહેલાં તેને ટાઇફોઈડ થઈ ગયો અને ત્યાર પછી તેનો તાવ ઊતરતો જ નહોતો. અમારા ભાણા ડૉક્ટર હતા. તેમણે નરેનનું ખૂબ ધ્યાન રાખ્યું, અને ઘણી સારી સાર-સંભાળ લીધી. પોતાના ખર્ચે તેમણે  નરેનને ઇંજેકશન અને દવા આપ્યાં. હું તો રાતદિવસ એક કરીને તેની સેવા કરતી હતી. મારો તો એકનો એક પુત્ર, આમ ગંભીર રીતે બીમાર પડે તેથી મને શું થતું હશે તે કોઈ કેવી રીતે જાણે ? મારી તો રાતની નીંદર હણાઈ ગઈ હતી. હું તો મારાથી થઈ શકે એટલી નરેનની સેવા કરતી હતી, પણ ખરી મહેનત તો અમારા ભાણાની હતી. નરેનનો તાવ ઊતરતો નહોતો તેથી તેઓ નરેનને પોતાની મોટરમાં બેસાડી એક પછી એક સ્પેરિયાલિસ્ટને ત્યાં લઈ જતા હતા. નરેનનો ભાવનગરનો મિત્ર અમને પૈસાની મદદ કરતો હતો. સખત બીમારીની હાલતમાં શાની જરૂર નથી પડતી? મારા પૈસા લોકો પાસે પડયા હતા, જેનો મને કશો ઉપયોગ થતો નહોતો, કારણ કે તેઓ તો એક પાઈ પણ આપવાનું નામ લેતા નહોતા. અંતે મેં સામે ચાલીને માગણી કરી ત્યારે મને થોડા પૈસા મળ્યા. આવી રીતે મારે ખરાબ હાલતમાં દિવસ કાઢવા પડયા.

    ડૉક્ટર જે કહે તે હું નરેન માટે કરી આપતી હતી. જે કહે તેવો ખોરાક તેના માટે હાજર કરતી હતી. ધીરે ધીરે નરેનની તબિયત સુધરવા લાગી. ત્રણ મહિના બાદ મારો કુંવર સાજો થયો અને કામે જવા લાગ્યો ત્યારે મારા જીવમાં જીવ આવ્યો. નરેન પણ મારા માટે અડધોઅડધો થતો હતો અને કુટુંબનો ભાર ચલાવવા માટે સખત મહેનત કરતો હતો. મારી પાસે બેસીને એવી એવી સારી વાતો કરતો અને ઘણો સ્નેહ આપતો હતો.

    નરેન હોશિયાર છોકરો હતો. પોતાની મહેનતથી તે ઘણો આગળ આવવા લાગ્યો. ભાવનગરમાં કૉલેજના છેલ્લા વર્ષમાં જ્યારે તે માંદો પડ્યો હતો ત્યારે તે બી.કૉમની પરીક્ષા આપી શક્યો નહોતો. આ વખતે તેણે બી. કૉમ.ની પરીક્ષા આપી અને ગ્રેજ્યુએટ થઈ ગયો. મેં તેને લગ્ન કરવા માટે ઘણો આગ્રહ કર્યો પણ તે તૈયાર થતો નહોતો. તેના માટે એટલા પ્રસ્તાવ આવવા લાગ્યા કે લોકોને જવાબ આપવાનું મારા માટે ભારે થઈ જતું હતું. મને તો ધાસ્તી પડી ગઈ કે હું તો નરેનનાં લગ્ન જોયા વગર જ મરી જઈશ. મારી બા તો મારાં લગ્નની રાહ જોઈ જોઈને મૃત્યુ પામી હતી. હું લગ્નની વાત કાઢું તો નરેન મને સમજાવીપટાવીને વાત ટાળી દેતો.

    મારી મોટી દીકરી મીના ગર્ભવતી થઈ હતી અને શિરસ્તા પ્રમાણે તેની પ્રથમ ડિલિવરી માટે તે મારે ત્યાં અમદાવાદ આવી. સમય પૂરો થતાં તેને પુત્ર અવતર્યો, અને મને મારો પહેલો પૌત્ર મળ્યો. અમે બધાં એટલાં રાજી થઈ ગયાં કે અમારા હર્ષનો પાર ન રહ્યો. કોણ જાણે કેમ, જન્મ પછી થોડા જ દિવસમાં બાબો બીમાર પડી ગયો. તેને તાવ આવતો હતો તેથી અમે તેને ગ્લુકોઝનું પાણી પિવડાવવા લાગ્યાં અને તેને સખત ડાયેરિયા થઈ ગયો. અમે તો તેને તરત વાડીલાલ સારાભાઈ હૉસ્પિટલમાં લઈ જઈને દાખલ કર્યો.

    રાતે જ્યારે નરેન તેને જોવા આવ્યો ત્યારે બાબો સાવ નિશ્ચેષ્ટ અવસ્થામાં પડ્યો હતો. નરેન તરત મોટા ડૉક્ટર પાસે ગયો અને તેમને બાબાની ગંભીર હાલત વિશે વાત કરી. તેમણે તરત આવી બાબાને તપાસ્યો અને તત્કાળ દવાઓ લાવવાનું કહ્યું. નરેન દવાઓ લઈ આવ્યો અને સારવાર શરૂ થયા બાદ બાળકને સારું લાગ્યું. નવ દિવસ હૉસ્પિટલમાં રહ્યા બાદ તેને ડૉકટરે રજા આપી. ત્યાર બાદ અમે તેનો નામકરણવિધિ ઘણા ઠાઠમાઠથી કર્યો. બાબાનું નામ મોહનીશ રાખ્યું.

    મોહનીશ જરા પણ રડે તો તેના નરેનમામાં અને માસીઓ રાતે ઊઠીન તેને લેતાં અને તે શાંતિથી સૂઈ જાય ત્યાં સુધી તેને ફેરવતાં. મીનાની રજા ત્રણ મહિનાની હતી તે તેણે લંબાવી, અને ચાર મહિને તે વડોદરા ગઈ ત્યારે હું પણ તેની સાથે ગઈ. મોહનીશને અમે લાડથી મૉન્ટી કહેતા. તે પાંચ મહિનાનો થયો ત્યાં સુધીમાં અમે તેને બાટલીથી દૂધ પીવાની ટેવ પાડી હતી. હું હવે વધારે સમય વડોદરા રહી શકું તેમ ન હતું, કારણ કે નરેન અને સુધાની નોકરી ચાલુ હતી.

    બન્ને જણા મારા વગર હેરાન થતાં હતાં. આખરે મોન્ટીને લઈ હું અમદાવાદ પાછી આવી. મૉન્ટી હવે મારી પાસે જ રહેતો હતો. કોણ જાણે કેમ પણ તે વારંવાર એવો માંદો પડી જતો હતો કે નરેન અને સુધા—જયુને તેનું સતત ધ્યાન રાખવું પડતું હતું. સુધા અને જયુ તેને એક સ્પેશિયાલિસ્ટ પાસે લઈ ગયાં અને તેમણે જે સારવાર લખી આપી તે શરૂ કર્યા પછી જ તેની તબિયત સારી રહેવા લાગી. આખો દિવસ મારી પાસે રહેવાથી તેનું મારા પર એવું હેત બંધાયું હતું કે તેની મા વડોદરાથી આવે તો પણ તેની પાસે તે જતો નહિ. હું તેની નજરથી જરા પણ દૂર જઉં તો તે રડવા લાગી જતો.

    આમ મારા દિવસ આનંદથી વ્યતીત થતા હતા.


    ક્રમશઃ


    કેપ્ટન નરેંદ્ર ફણસેનાં સંપર્ક સૂત્રો –
    વીજાણુ ટપાલ સરનામુંઃ captnarendra@gmail.com
    બ્લૉગઃ  www.captnarendra.blogspot.com
  • કોમેડી ગીતો – ज़रूरत है ज़रूरत है …..! एक श्रीमती की, कलावती की, सेवा करे जो पति की

    નિરંજન મહેતા

    કોમેડી ગીતોનો પહેલો ભાગ ૦૯.૦૮.૨૦૨૫માં મુકાયો હતો જેમાં ૧૯૫૯ સુધીના ગીતો આવરી લેવાયા હતાં. આ લેખમાં થોડા વધુ ગીતો રજુ કરૂં છું.

    સૌ પ્રથમ છે ૧૯૬૨ની ફિલ્મ ‘મનમૌજી’નું ગીત.

    ज़रूरत है ज़रूरत है, सख़्त ज़रूरत है!
    एक श्रीमती की, कलावती की, सेवा करे जो पति की

    પત્નીની જરૂરિયાત માટે સાધનાને પટાવવા કિશોરકુમાર પોતાની અદાકારીથી રજુઆત કરે છે. ગીતના શબ્દો છે રાજેન્દ્ર કૃષ્ણના અને સંગીત છે મદન મોહનનું. ગાયક પણ કિશોરકુમાર.

    ૧૯૬૨ની ફિલ્મ ‘હાફ ટીકીટ’નું આ ગીત કિશોરકુમારના અભિનયને કારણે રમુજ પહોંચાડે છે.

     

    आ रहे थे इस्कूल से रास्ते में हमने देखा
    एक खेल सस्ते में
    क्या बेटा क्या आन मान
    चील चिल चिल्लाके कजरी सुनाए
    झूम-झूम कौवा भी ढोलक बजाए

    નાસી છૂટીને ટ્રેનમાં સવારી કરતા કિશોરકુમાર આ ગીત ગાય છે. ગીતકાર શૈલેન્દ્ર અને સંગીતકાર સલીલ ચૌધરી. સ્વર પણ કિશોરકુમારનો.

    આ જ ફિલ્મનું બીજું રમુજી ગીત છે

     

    आके सीधी लगी दिल पे जैसे कटारिया
    ओ सांवरिया ओये
    आके सीधी लगी दिल पे जैसे कटारिया
    ओ सांवरिया ओये होये

    ओ तेरी तिरछी नजरिया
    ले गई मेरा दिल तेरी जुल्मी नज़रिया
    ओ गुजरिया ओये

    પ્રાણથી બચવા કિશોરકુમાર સ્ત્રી વેષ ધારણ કરે છે અને સ્વના ભાગના ગીતને મહિલા કંઠે અને પ્રાણના ભાગના ગીતને પુરુષ સ્વરમાં ખુદ કિશોરકુમાર ગાય છે જેના શબ્દો છે શૈલેન્દ્રના અને સંગીત છે સલીલ ચૌધરીનું.

     

    ૧૯૬૨ની ફિલ્મ ‘દિલ તેરા દીવાના’નું ગીત છે

     

    धड़कने लगता है
    मेरा दिल तेरे नाम से
    धड़कने लगता है
    मेरा दिल तेरे नाम से

    ऐसा लगता है अब
    हम गए काम से
    धड़कने लगता है
    मेरा दिल तेरे नाम से
    ऐसा लगता है अब
    हम गए काम से

    ગીતની શરૂઆત જ રમુજી છે જે શમ્મીકપૂર દ્વારા રજુ થઇ છે. એક મહિલાને જોઇને તે આ ગીત ગાય છે જે મહિલા હકીકતમાં મેહમુદ હોય છે. બંનેના હાવભાવ ગીતને અનુરૂપ છે. હસરત જયપુરીનાં શબ્દોને સંગીત આપ્યું છે શંકર જયકિસને અને સ્વર છે રફીસાહેબનો.

    ૧૯૬૪ની ફિલ્મ ‘સંગમ’નું ગીત એક મોટી ઉમરના પતિને ઉદ્દેશીને ગવાયું છે.

     

    मैं क्या करूँ राम मुझे बुड्ढा मिल गया
    हाय, हाय बुड्ढा मिल गया
    मैं गुड़िया हसीन मेरी मोरनी सी चाल है
    सर में सफ़ेद उसके दादा जी सा बाल है
    बिगड़ेगा हर काम मुझे बुड्ढा मिल गया
    मैं क्या करूँ राम मुझे बुड्ढा मिल गया

     

    વૈજયંતિમાલા આ ગીત રાજકપૂરને સંબોધીને ગાય છે. ગીતકાર છે હસરત જયપુરી અને સંગીતકાર છે શંકર જયકિસન. ગાયિકા લતાજી.

    ૧૯૬૪ની ફિલ્મ ‘જીદ્દી’નું આ ગીત એક પ્રેમમાં તડપતા પ્રેમીની વ્યથાને રમુજી શબ્દોમાં વર્ણવે છે.

     

    दुनिया बनाने वाले सुनले मेरी कहानी
    रोये मेरी मोहब्बत
    तड़पे तड़पे मेरी जवानी ई ई ई

    प्यार की आग में तन बदन जल गया
    प्यार की आग में तन बदन जल गया
    जाने फिर क्यों जलाती है दुनिआ मुझे
    जाने फिर क्यों जलाती है दुनिआ मुझे
    प्यार की आग में तन बदन जल गया

    મેહમુદ આ ગીતના કલાકાર જેના શબ્દો છે હસરત જયપુરીના અને સંગીત આપ્યું છે સચિન દેવ બર્મને. યોગ્ય સ્વરમાં રજૂઆત કરે છે મન્નાડે.

    ૧૯૬૫ની ફિલ્મ ‘ગુમનામ’નું ગીત એક સ્વપ્નમાં રાચતા મેહમુદ પર છે

    हमें काले हैइं तो क्या हुआ दिलवाले हैइं
    हमें तेरे तेरे तेरे चाहने वाले हैइं
    हम काले हैं तो

    ये गोरे गालाँ तन्दाना
    ये रेशमी बालाँ तन्दाना
    ये सोला सालाँ तन्दाना
    हाय तेरे ख़यालाँ तन्दाना
    हमें तेरे तेरे तेरे चाहने

    પોતાના કાળા રૂપને લઈને કોઈ મહિલા તેને પસંદ નથી કરતી એટલે તે આ પ્રકારનું સ્વપ્ન જુએ છે. ગીતકાર શૈલેન્દ્ર અને સંગીતકાર છે શંકર જયકિસન. ગીતમાં મેહમુદ અને રફીસાહેબના સ્વર.

    https://youtu.be/pgeyRvKTFdc?list=RDpgeyRvKTFdc

    ૧૯૬૬ની ફિલ્મ ‘દસ લાખ’નું આ કટાક્ષભર્યું ગીત એક વયસ્ક યુગલ પર છે.

    तेरी पतली कमर तेरी बाली उमर
    तेरी बांकी अदा पे हम कुर्बान
    अरे तुम भी जवा हम भी जवा
    अरे तुम भी जवाँ हम भी जवाँ
    यहाँ हेल्थ भी है वेल्थ भी
    लव का सीज़न दिल में अरमान
    अरे तुम भी जवाँ हम भी जवाँ

    ઓમ પ્રકાશ મનોરમાણે મનાવવા આ ગીત ગાય છે. પ્રેમ ધવનનાં શબ્દોને સંગીત આપ્યું છે રવિએ. ગાયકો છે રફીસાહેબ અને આશા ભોસલે.

    https://youtu.be/dDfOYrX9YUQ?list=RDdDfOYrX9YUQ

    ૧૯૬૭ની ફિલ્મ ‘શાગિર્દ’નું ગીત કોઈ મહિલાને કેમ પટાવવી તે દર્શાવે છે.

    बड़े मियाँ दीवाने ऐसे ना बनो
    हसीना क्या चाहे हमसे सुनो
    ओ बड़े मियाँ दीवाने ऐसे ना बनो
    हसीना क्या चाहे (यही तो मालूम नहीं है) हमसे सुनो

    જોય મુકરજી આઈ.એસ.જોહરણે આ માટે શિખામણ આપે છે કે કેમ કોઈ કન્યાને પટાવવી. ગીતના શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના અને સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું. સ્વર છે રફીસાહેબનો.

    https://youtu.be/aeDqBR4K0EA?list=RDaeDqBR4K0EA

    એક રમુજી ફિલ્મ તરીકે જાણીતી ૧૯૬૮ની ફિલ્મ ’પડોસન’માં એક કરતાં વધુ રમુજી ગીત તો હોવાના. પહેલું ગીત તો આજે પણ એટલું જ પ્રખ્યાત છે અને ગવાય છે.

    एक चतुर नार कर के सिंगार
    मेरे मन के द्वार ये घुसत जात
    हम मरत जात, अरे हे हे हे
    यक चतुर नार कर के सिंगार…

    સુનીલ દત્ત સાયરાબાનુ ઉપર પોતાની ગાયકીની સાબિતી માટે આ ગીત ગાય છે. તેને સાથ આપે છે કિશોરકુમાર. રાજેન્દ્ર કૃષ્ણના શબ્દો અને આર.ડી. બર્મનનું અવિસ્મરણીય સંગીત. ગાયકો છે કિશોરકુમાર, મન્નાડે અને મેહમુદ.

    બીજું ગીત છે

     

    मेरे भोले बलम, मेरे प्यारे बलम
    मेरा जीवन तेरे बिना, ओ मेरे पिया, है वो दिया
    जिसमें तेल न हो, के जिसमे तेल न हो …
    मेरा जीवन तेरे बिना, वो एक बाग है बहार
    जिससे हटकर गुज़रे, दूर दूर से गुज़रे …

    ओ, मुझे अपना बना ले,
    ओ, भोले अपना बना ले,
    हाय रे भोले, अपना बना ले, हाय
    तेरे कदमों में मेरा प्यार, मेरा संसार, मेरी किस्मत है
    मुझे अपना बना ले

    સાયરાબાનુને કેમ મનાવવી તે માટે સુનીલ દત્તને કિશોરકુમાર આ ગીત દ્વારા સમજાવે છે.. અહીં પણ કિશોરકુમાર પોતાની અદાકારીને ચમકાવે છે. રાજેન્દ્ર કૃષ્ણનાં શબ્દો અને આર.ડી. બર્મનનું અવિસ્મરણીય સંગીત. ગાયક છે

    કિશોરકુમાર.

    ત્રીજું ગીત મેહમુદ પર રચાયું છે જે સાયરાબાનુના પ્રેમમાં છે એટલે તેને સંબોધીને ગાય છે.

    आओ आओ सुनी रे सजरिया
    सांवरिया सांवरिया हाय
    आओ आओ आओ सांवरिया, ओ सांवरिया
    आओ आओ आओ सांवरिया
    तू क्या जाने पिया, जले मोरा जिया

    ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ અને સંગીતકાર આર.ડી. બર્મન. સ્વર છે મન્નાડેનો.

    ૧૯૭૦ની ફિલ્મ ‘પગલા કહી કા’નું ગીત એક પાગલખાનાની પાર્શ્વભૂમિપર રચાયું છે.

     

    क्यों मारा क्यों मारा
    क्यों क्यों क्यों क्यों क्यों
    क्यों क्यों क्यों क्यों क्यों क्यों
    मेरी भैंस को डंडा
    मेरी भैंस को डंडा क्यों मारा
    वो खेत में चारा चरति थी
    तेरे बाप का वो क्या करती थी आए आए

    શમ્મી કપૂર પર રચિત આ ગીતના શબ્દકાર છે હસરત જયપુરી અને સંગીતકાર શંકર જયકિસન. યોગ્ય સ્વર છે  મન્નાડેનો.

    ૧૯૭૨ની ફિલ્મ ‘વિક્ટોરિયા નં ૨૦૩’નું આ ગીત જેલમાંથી છૂટેલા બે કેદીઓ પર રચાયું છે.

    दो बेचारे बिना सहारे
    देखो पूछ-पूछ कर हारे
    बिन ताले की ओ चाभी लेकर
    फिरते मारे-मारे
    मैं हूँ राजा ये है राना
    ओ मैं दीवाना ये मस्ताना
    दोनों मिलके गाये गाना
    ओ हसीना आ
    ओ ज़रा रुक जाना

    બે કેદીઓ અશોકકુમાર અને પ્રાણને એક ચાવી મળે છે પણ તે કઈ તિજોરીની છે તેની જાણ નથી હોતી. જરૂર કોઈ મોટો દલ્લો હાથ લાગશે માની તેઓ તે જાણવા ઠેર ઠેર ભટકે છે. ગીતના શબ્દો છે વર્મા મલિકના અને સંગીત આપ્યું છે કલ્યાણજી આણંદજીએ. યુગલ ગીતના ગાયકો છે કિશોરકુમાર અને મહેન્દ્ર કપૂર.

     

    ૧૯૭૩ની ફિલ્મ ‘કહાની કિસ્મત કી’નું આ ગીત જાહેરમાં પોતાના પ્રેમને વ્યક્ત કરતુ રમુજી ગીત છે.

    अरे सुनो सुनो, ओ भाइयों, बहनों
    अरे मगन भाई, ओ छगन भाई, ओ सामालो रे दामालो
    ओ राघोबा, ओ धोंडीबा
    ओ कर्नल सिंह ओ जर्नैल सिंह
    ओ तुस्सी भी सुनो पाप्पे

    अरे रफ़्ता रफ़्ता देखो आँख मेरी लड़ी है
    आँख जिससे लड़ी है वो पास मेरे खड़ी है
    मुझे जानती है जबसे ये मरती है तबसे
    मैं भी इससे चोरी छुपे चाहता हूँ तबसे
    दिल में ये मेरे बस गई !
    ऐ कुड़ी फ़ँस गई !!

    ધર્મેન્દ્ર રેખા માટે પોતાના ભાવ આ ગીત દ્વારા રજુ કરે છે જેના શબ્દો છે રાજેન્દ્ર કૃષ્ણના અને સંગીત છે કલ્યાણજી આણંદજીનું. સ્વર છે કિશોરકુમારનો.

    https://youtu.be/MD7s6NRUwKM?list=TLGGBAhRzr-2acEwNTA5MjAyNQ

     

    ૧૯૭૩ની ફિલ્મ ‘છૂપા રુસ્તમ’નું આ રમુજી ગીત છે

    धीरे से जाना खटियन में ओ खटमल
    धीरे से जाना खटियन में
    सोई है राजकुमारी देख रही मीठे सपने
    जा जा छुप जा तकियन में ओ खटमल
    धीरे से जाना खटियन में
    वीरान थी अपनी ज़िन्दगी और सूना था अपना मकान
    हाइ हाइ रे किस्मत

     

    પલંગમાં જતા માંકડને જોઇને આ ગીત મુકાયું છે. હેમા માલિની અને દેવઆનંદ પર રચાયેલ આ ગીતના ગીતકાર છે નીરજ અને સંગીતકાર છે સચિન દેવ બર્મન. કિશોરકુમારનો સ્વર. આ ગીત ‘ધીરે સે જાના બગીયન મેં’ નું પેરડી ગીત છે જે અગાઉ ખુદ સચિન દેવ બર્મને ગાયેલું છે.

    https://youtu.be/EVkFqk7kA4k?list=TLGG5VIvWn5nwO4wNTA5MjAyNQ

     

    ૧૯૭૪ની ફિલ્મ ‘કસૌટી’નું ગીત પ્રાણ પર રચાયું છે જે જાસુસી કરતો હોય છે અને તેના સંદર્ભમાં આ ગીત રચાયું છે.

    हम बोलेगा तो बोलोगे के बोलता है
    एक मेमसाब है, साथ में साब भी है
    मेमसाब सुन्दर-सुन्दर है, साब भी खूबसूरत है
    दोनों पास-पास है, बातें खास-खास है
    दुनिया चाहे कुछ भी बोले, बोले
    हम कुछ नहीं बोलेगा
    हम बोलेगा तो…

    ગીતકાર વર્મા માલિક અને સંગીતકાર કલ્યાણજી આણંદજી. ગાયક કિશોરકુમાર.

    ૧૯૭૪ની ફિલ્મ ‘આજ કી તાજા ખબર’નું આ ગીત સિચ્યુએશન કોમેડી ગીત છે.

    मुझे मेरी बीवी से बचाओ
    मुझे मेरी बीवी से बचाओ
    अकड़ती है बिगड़ती है
    हमेशा मुझसे लड़ती है
    मुझे मेरी बीवी से बचाओ

    રાધા સલુજાની જોહુકમીને કારણે કિરણકુમાર આ ગીત ગાય છે. ગીતના શબ્દો છે હસરત જયપુરીનાં અને સંગીત આપ્યું છે શંકર જયકિશને. ગાયક છે કિશોરકુમાર.

    આ પછીના ગીતો ભાગ ત્રણમાં.


    Niranjan Mehta

    A/602, Ashoknagar(old),
    Vaziranaka, L.T. Road,
    Borivali(West),
    Mumbai 400091
    Tel. +91 22 28339258/ 91 9819018295
    વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com
  • ફિલ્મી ગઝલો – ૧૨૦. સુદર્શન ફાકિર

    ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

    ભગવાન થાવરાણી

    આ શ્રૃંખલાનો આ ઉપાંત્ય મણકો.

    આવતા શનિવારે મહાન અસદુલ્લાહ ખાં ગાલિબની ફિલ્મોમાં લેવાયેલી ગઝલોના વિવરણ સાથે લગભગ સવા બે વર્ષથી ચાલતી આ દીર્ઘ લેખમાળાનું સમાપન કરીશું.

    સુદર્શન ફાકિર બહુ ઓછા એવા શાયરોમાંથી એક જેમનું નામ હિંદી અને તખલ્લુસ ઉર્દૂ. ફિક્ર કરે તે ફાકિર. ફિલ્મોમાં બહુ ઓછુ લખનાર સુદર્શન ગૈર ફિલ્મી ક્ષેત્રે મોટું નામ. એમનું સાચું નામ સુદર્શન કામરા. બેગમ  અખ્તર અને જગજીત સિંગ સહિત અનેક ગઝલ ગાયકોએ એમની ઘણી રચનાઓ ગાઈ છે. એમની ઓળખાણ માટે એમની રચેલી અને જગજીત – ચિત્રાએ ગાયેલી એક જ નઝ્મ ‘ યે દૌલત ભી લે લો, યે શોહરત ભી લે લો ‘ કાફી છે. ‘ દૂરિયાં ‘ ( ૧૯૭૯ ) ફિલ્મનું ભૂપિંદર – અનુરાધાનું ગાયેલું વિખ્યાત ગીત ‘ ઝિંદગી ઝિંદગી મેરે ઘર આના ‘ પણ એમની ઓળખ. એમનું લખેલું અને જગજીતનું ગાયેલું ભજન ‘ હે રામ હે રામ, જગ મેં સાંચો તેરો નામ ‘ જાણીતું તો છે જ, સૌરાષ્ટ્રમાં ક્યારે વગાડાય છે એ પણ ભાવકો જાણે છે.

    એમની યુવાનીમાં જલંધર ખાતે એમણે મોહન રાકેશના વિખ્યાત નાટક ‘ આષાઢ કા એક દિન ‘ નું દિગ્દર્શન કરી વાહવાહી મેળવેલી. થોડોક સમય ઓલ ઈંડીઆ રેડિયો, જલંધરમાં પણ કામ કર્યું. ફિલ્મોમાં શરુઆત ‘ દૂરિયાં ‘ થી કરી. ‘ યલગાર ‘ જેવી સફળ ફિલ્મના ગીત – સંવાદ પણ એમણે લખ્યા. એન સી સીના કેમ્પમાં ગવાતું ‘ હમ સબ ભારતીય હૈં ‘ પણ એમની જ કલમની નીપજ.પ્રેમ અગન, ફિર આઈ બરસાત, પથ્થરદિલ, રાવણ, તુમ લૌટ આઓ, ખુદાઈ, આજ, જ્વાલા અને એક ચાદર મૈલી સી જેવી ૮૦ અને ૯૦ ના દાયકાની દસેક ફિલ્મોમાં ૪૦ જેટલાં ગીતો લખ્યાં.

    એમની એક જાણીતી અને ખૂબસુરત ગઝલ:

    ઝિંદગી મેં જબ તુમ્હારે ગમ નહીં થે
    ઇતને તન્હા થે કે હમ ભી હમ નહીં થે

    વક્ત પર જો લોગ કામ આએ હૈં અક્સર
    અજનબી થે વો મેરે હમદમ નહીં થે

    બેસબબ થા તેરા મિલના રહગુઝર મેં
    હાદસે હર મોડ પર કુછ કમ નહીં થે

    હમને ખ્વાબોં મેં ખુદા બન કર ભી દેખા
    આપ થે બાહોં મેં – દો આલમ નહીં થે

    સામને દીવાર થી ખુદ્દારિયોં કી
    વરના રસ્તે પ્યાર કે પુરખમ નહીં થે..

     

    – ફિલ્મ : દૂરિયાં ૧૯૭૯
    – ભૂપિંદર | અનુરાધા પૌડવાલ
    – જયદેવ


    ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com  વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • અન્ય કળાકારોની કૃતિઓને બંધબેસતાં ભારતીય સંસ્કરણનાં ચિત્રો – ૧

    મહેન્દ્ર શાહનાં કળાસર્જનોનો સંપુટ

     

    Mahendra Shah’ Kalasampoot – Appropriation Art Part 1

     


    મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com

  • ત્યારે અને અત્યારે : સિનેમા અને ટેલિવિઝન

    આ વાત એ નાગરિકોની છે જેમની ઉંમર ૬૫થી ૮૦ વર્ષની વચ્ચે છે, અથવા કહો કે જેઓ ૧૯૫૫થી પહેલાં જન્મ્યાં હોય.

    આ જ વયગટના હોઈ બીજા દેશના નાગરિકોએ જોયાં હોય તેથી વધું વ્યાપનાં પરિવર્તન ભારતની એ પેઢીએ જોયાં,. ૧૯૫૩ થી ૨૦૧૩ની વચ્ચે શબ્દશઃ જમીન-આસમાનનો ફરક છે. જીવન અમુક ક્ષેત્રોમાં તો પરિસ્થિતિ જાણે સામસામા છેડાની જ છે. કદાચ એમ કહી શકાય કે ૭૫ વર્ષમાં આટલો પરિવર્તનનો અનુભવ બીજી કોઈ પેઢીને નહીં થાય. પરંતુ એ તો સમય જ કહી શકે.

    આ પેઢીને પાછળ નજર કરતાં મુસાફરી એકદમ રોમાંચકારી લાગે છે. આરોગ્ય, સંદેશવ્યવહાર, વાહન વ્યવહાર, મનોરંજન, વગેરે બધાં ક્ષેત્રે ત્યારની પરિસ્થિતિ અત્યારે દંતકથા જેટલી જુદી લાગે છે, પરંતુ એ જ રોમાંચ છે. તેની વાત કરવામાં આવે તો નવી પેઢીના વાચકને જરૂર આશ્ચર્યનો અનુભવ થાય.

    એ હેતુથી “ત્યાર”ની “અત્યાર’ જોડે સામાજિક અને વ્યક્તિગત સંદર્ભમાં તુલના કરવાની આ લેખમાળામાં નેમ છે.


    પરેશ ૨. વૈદ્ય

    એક વાતની નવાઈ છે, આપણી આઝાદી આસપાસનાં વર્ષોમાં આપણે ત્યાં સારા રસ્તા નહોતા,  એસ.ટી.ની વ્યવસ્થા પૂરતી સ્થપાઈ નહોતી, વીજળી હજુ આવી જ હતી, દવાખાનાં બહુ જૂજ હતાં. “ત્યારે” પણ ઘણાં નાનાં શહેરોમાંય સિનેમા-થિયેટર આવી ગયેલાં! જિલ્લા મથકોએ તો ભલે, કેટલાંય તાલુકા શહેરોમાં પણ એક થિયેટર તો હતું જ. એ ધ્યાન રહે કે થિયેટર ચલાવવું એ કોઈ દુકાન ચલાવવા જેવું સહેલું તો નહોતું. થોડાં ટેક્નિકલ જ્ઞાનની પણ જરૂર પડતી. આઝાદીથી ઘણાં વરસો પહેલાં જ ભારતમાં ફિલ્મો બનતી હતી અને બતાવાતી પણ હતી. એ વખતના ફિલ્મનિર્માતાઓની સાહસવૃત્તિને એ આભારી હતું.

    જોડતી કડી

    અગાઉ જોઈ ગયા તેમ વીસમી સદીના પૂર્વાર્ધમાં જ અહીં ફોટોગ્રાફી હતી અને તેના પગલે-પગલે સિનેમા પણ હતા. એ બંનેને જોડતી કડી હતી દષ્ટિ સાતત્યનો સિદ્ધાંત. ફોટો એક ક્ષણનું ચિત્ર આપે. તેને બદલે કોઈ ચાલતું દશ્ય હોય (જેમ કે દોડતો ઘોડો કે બોલિંગ કરતો ક્રિકેટર) અને એની એક સેકંડમાં ૧૬ ફોટા લેવામાં આવે અને એ જ ગતિએ દેખાડવામાં આવે તો આપણું મગજ અને ૧૬ જુદાં ચિત્ર તરીકે નહીં પરતુ એક સતત ચાલતી ઘટના તરીકે જુએ છે, સમજે છે. સાદા કેમેરા અને મૂવી કેમેરાની ફિલ્મ તો સરખી જ હોય છે, પરંતુ મૂવી કેમેરામાં એને યાંત્રિક ગોઠવણથી સતત ચાલતી રખાય છે.

    વ્યાવસાયિક સિનેમામાં એક સેકંડમાં ૧૬ નહીં, પણ ર૫ ફ્રેમની ગતિએ ફિલ્મ આગળ વધે છે. સાડા ત્રણ કે ચાર મિનિટના ગીતનું ફિલ્મીકરણ કરવામાં આ ઝડપે ચારસો કે પાંચસો ફૂટ ફિલ્મ વપરાઈ જાય. એટલે ફિલ્મના રોલ નહીં, રીલ વપરાતી ! ૧૦” કે ૧૨”ના ડબ્બાઓમાં રીલ રાખવામાં આવતી, એટલે સિનેમાની લંબાઈ સમયમાં નહીં, ડબ્બાઓની સંખ્યામાં મપાતી! સામાન્‍ય ફિલ્મો ૧૨-૧૪ રીલની રહેતી.

    જ્યારે “ડબિંગ’ની ટેક્નિક નહોતી આવી ત્યારે સંવાદો અને ગીતનું, રેકૉર્ડિગ ફિલ્મની બહારની પારદર્શક પટ્ટી ઉપર થતું રહેતું. લાખની રેકર્ડ કે CDમાં જેમ ખાડા-ટેકરામાં અવાજ રેકૉર્ડ થતો તે રીતે આ આડીઅવળી રેખામાં પણ થતો. તેને સાઉન્ડ ટ્રૅક કહેવાતો. જે દશ્યો બરાબર ન આવ્યાં હોય તે એડિટિંગમાં કાઢી નાખવામાં આવે. આવા કાઢી નખાયેલ ફિલ્મોના ટુકડા અમને બાળપણમાં હાથ લાગી જતા અને તેમાં કોઈ જાણીતા કલાકારને શોધવાનો પ્રયત્ન કરતા (ચિત્રમાં આવી જ ફિલ્મ છે).

    ફોટોગ્રાફી માટે ૩૫ મિ.મી.ની ફિલ્મ પછી આવી. ફિલ્મ ઉદ્યોગ ટેક્નિકની દષ્ટિએ આગળ હતો અને ઘણું જ્ઞાન વિદેશથી આવતું હતું. એનું એક ઉદાહરણ તે રંગીન ફિલ્મનું.

    ફોટોગ્રાફીના શોખીનો માટે કેમેરામાં નાખવાના રોલ તરીકે ૩૫ મિ.મી.ની રંગીન ફિલ્મ છેક ૧૯૭૦ના દાયકામાં આવી. પરંતુ સિનેમામાં અમુક ભાગ રંગીન દશ્યોનો ઘણા નિર્માતાઓએ ૧૯૩૦ના દાયકામાં જ આપેલો. દક્ષિણની અમુક ફિલ્મો ઉપરાંત વી. શાંતારામની ‘સૈરન્ધ્રી’માં ૧૯૩૩માં રંગીન દશ્યો જોવાયાં. એ શક્ય બન્યું કારણ કે ફિલ્મની એટલી રીલ વિદેશમાં પ્રોસેસ થવા મોકલી આપતા.

    આમ છતાં ફોટોગ્રાફીમાં ડિજિટલીકરણ પહેલું આવ્યું. ફોટોગ્રાફને આંકડામાં ફેરવવામાં ગતિની જરૂર નહોતી, પરંતુ સિનેમાની ફિલ્મમાં એ ત્યારે જ આવ્યું જ્યારે ડિજિટલીકરણની ઝડપ વધી. ટેક્નોલૉજીનો આગલો તબક્કો એ હતો જ્યારે મૂવી કેમેરાને બદલે ડિજિટલ કેમેરા વપરાશમાં આવ્યા. આ બધાનો ઉપયોગ મુખ્યત્વે સિનેઉદ્યોગને માટે એ હતો કે મોંઘી ફિલ્મ વપરાશમાંથી નીકળી ગઈ.

    ડિસ્ટ્રિબ્યુશનની દષ્ટિએ મોટી વાત એ બની કે લોખંડની ટ્રંકોમાં ભરીને રીલના ડબ્બા ગામેગામ મોકલવામાં આવતા તે ફિલ્મો હવે સીડીના રૂપમાં આવી ગઈ! ઇન્ટરનેટ આવ્યા પછી તો સ્થિતિ અકલ્પ્ય રીતે બદલાઈ ગઈ. હવે થિયેટરને ફિલ્મ રિલીઝ થાય ત્યારે એક લિંક માત્ર મળે છે, પાસવર્ડ વાપરીને તુરત ફિલ્મ પડદા ઉપર ચાલવા લાગે છે ! નાનાં શહેરોમાં મોટાં બેનરની ફિલ્મો ૬-૮ મહિના સુધી પહોંચતી નહીં, તેવવહવે મહાનગરોની જોડાજોડ રિલીઝ થઈવશકે છે!

    પ્રેક્ષકો માટે પડદાની પાછળ થઈ રહેલો ટેક્નોલૉજીનો ઉપયોગ પ્રેક્ષકોની સામે આવતો નહોતો. એની સામેના ફેરફાર હતા પહોળા સિનેમાસ્કોપ પડદા કે ચારેકોરથી આવતો “સરાઉન્ડ સાઉન્ડ’ જે અમુક ફિલ્મોમાં બહુ અસરકારક હતો. સરેરાશ પ્રેક્ષકને આ ચીજોથી ફરક નહોતો પડતો. મોટા ભાગના પ્રેક્ષકો સિનેમાને એક સામાજિક પરિપ્રેક્ષ્યમાં જોતા હતા, કોઈ ટેક્નિકના સંદર્ભમાં નહીં. કેટલાક માટે એ મિત્રમંડળીએ સાથે માણવાનું સ્થાન હતું, કોઈ વળી સારો સંદેશો હોય તેવી ફિલ્મો પસંદ કરતા. કેટલાક પરિવાર ‘દેશ’માંથી આવેલા મહેમાનોને આધુનિક થિયેટર બતાવવા માટે લઈ જતા. કોઈ પોતાના માનીતાં નાયક-નાવિકાની ફિલ્મ છોડે નહીં. કેટલાકને ફર્સ્ટ ડે-ફર્સ્ટ શો’માં જ ફિલ્મ જોવાનો ચટકો. એવા લોકો એડવાન્સ બુકિંગની બારીએથી આગોતરી ટિકિટ લઈને જાય. આવા શોખીનોને કારણે ટિકિટોના કાળાબજાર પણ થતા. અન્ડરવર્લ્ડના કેટલાય ડૉન થિયેટરની બહાર “બ્લૅક’ની ટિકિટો વેચીને એ પાયરીએ. પહોંચ્યા હતા!

    આ વચ્ચે એક દૌર આવ્યો વીડિયો કેસેટનો. તમારી મરજીની ફિલ્મની કૅસેટ અને વીસીઆર ભાડેથી ઘરે લાવીને કુટુંબ અથવા મહેમાનો સાથે ફિલ્મ જોવાતી. પરંતુ જેમજેમ મનોરંજનનાં બીજાં સાધનો (મુખ્યત્વે ટેલિવિઝન) આવ્યાં તેમ સિનેમાનો ખરો રોમાંચ ઘસાતો ગયો. રાતદિવસ ચાલતા ટી.વી.એ રોમાંચને વાસ્તવવાદી ધરતી પર ઉતારી દીધો. એક ડઝન ચેનલ, પ્રત્યેક રોજની ચાર-પાંચ ફિલ્મ સતત બતાવ્યા કરે છે. કાં તો ચૅનલ બદલી-બદલીને કઈ જોવી તે તમે નક્કી નથી કરી શકતા, નહીંતર ‘શોલે’ જેવી ક્લાસિક ફિલ્મ વારંવાર ટુકડે-ટ્કડે જોયા કરો છો. તમારી ડિશ કંપનીને કે OTT:ને પૈસા ભરો તો તમારી પસંદગીની ફિલ્મ ટેલીવિઝન સ્ક્રીન પર હાજર કરી આપે છે. એમાં પેલી “ફર્સ્ટ ડે – ફર્સ્ટ શો’ જેવી થ્રિલ નથી રહી!

    સિનેમાનો દબદબો કેવો ઘટ્યો તે સમજવા સાદું ગણિત કરો. ૭૦ વર્ષમાં વસતિ ત્રણથી ચાર ગણી થઈ ગઈ છે, પરંતુ થિયેટરોની સંખ્યા ઊલટી ઘટી છે! કેટલાંય પ્રખ્યાત થિયેટરો બંધ પડી ગયાં તો કેટલાંકમાં વળી શૉપિંગ સેન્ટર ખુલ્લી ગયાં! એને સમયચક્રની બલિહારી કહો કે પછી ટેક્નોલૉજીની ત્રાજવાં ઉપર-નીચે કરી દેવાની ક્ષમતા.

    તાકાતવાન ટેલિવિઝન

    રાજકારણની ભાષામાં ટેલિવિઝનને “જાયન્ટ કીલર’ કહેવો જોઈએ. મનોરંજનના મંચ ઉપર એ છેલ્લો દાખલ થયો, પરંતુ ટોર્નેડોની જેમ આડેઅવળે સોથ વાળતો ફરી વળ્યો છે. મોબાઇલ ફોને જેમ ઘડિયાળ, રેડિયો, કેમેરા કે કમ્પ્યૂટર જેવી અનેક ચીજોનું, કામ હાથમાં લઈ લીધું તેમ ટેલિવિઝન આપણને સમાચાર ઉપરાંત કલા, સંગીત, પ્રશ્નમંચ, સિનેમા – એમ બધું પૂરે પાડે છે. આને કારણે મનોરંજનનાં આ ક્ષેત્રોને મળતું પ્રત્યક્ષ ઓડિયન્સ ઘટતું જાય છે.

    દિલ્હીમાં ધોરણસર રીતે ‘દૂરદર્શન’ ૧૯૬૫માં આવ્યું અને મુંબઈમાં ૧૯૭૨માં. (ત્યારે ટેલિવિઝન માત્ર દૂરદર્શન હતું) આમ આઝાદી પછી છેક ૧૮થી રપ વર્ષ બાદ એ આવ્યું, ત્યારે એ બહુ નબળું હતું. પ્રસારણ સાંજે સાડા છએ શરૂ થતું અને રાત્રે ૧૧ વાગ્યે બંધ થઈ જતું. આ લખનારે પહેલી વાર ટેલિવિઝન જોયું દિલ્હી યુનિવર્સિટીની હૉસ્ટેલના કૉમન રૂમમાં. ત્યારે ‘પ્યાસા’ પિક્ચર ચાલતું હતું. બ્લૅક એન્ડ વ્હાઇટ’ સ્ક્રીન ઉપર કંઈક ચાલી રહ્યું હતું તેટલું સમજાયું. તે વખતે એલ્યુમિનિયમના સળિયાનાં બનેલાં એન્ટેના હતાં, એ જો બરાબર ન ગોઠવાય તો ચિત્ર અસ્પષ્ટ આવે. તે ઉપર વળી ગુરુદત્તની ફિલ્મ, જેમાં માત્ર કુદરતી પ્રકાશનો જ ઉપયોગ કરે! ટેલિવિઝન પહેલી વાર જોયું તેટલી ખુશી, બાકી કંઈ સમજાયું નહોતું!

    પરિવર્તનનું પહેલું મોજું આવ્યું ૧૯૮૨માં, દિલ્હીમાં યોજાનારી એશિયન ગેમ્સનું પ્રસારણ વિદેશી પ્રેક્ષકોને દેખાડવાનું હતું, તેથી શ્રીમતી ઈંદિરા ગાંધીએ ટી.વી.નું રૅગીન પ્રસારણ મંજૂર કર્યું. તે સાથે ખૂબ સંખ્યામાં ઓછા પાવરનાં સ્થાનિક ટ્રાન્સમીટરો ઠેકઠેકાણે નાખ્યાં. આથી પરવડે તેણે રૅગીન ટી.વી. લીધાં, બાકીનાએ સાદાં. પરિવર્તનનું બીજું મોજીં હતું ૧૯૯૧ની નવી આર્થિક નીતિ અને તે સાથે જ કેબલ ટેલિવિઝનનું આગમન. એટલે ત્યાર પછી ટેલિવિઝન માટે “દૂરદર્શન” મટીને સેટેલાઇટ ટી.વી. બન્યું. આંતરરાષ્ટ્રીય મૂડી અને વિદેશી ટેક્નોલૉજીના કારણે એનું સ્વરૂપ એટલું ઝડપથી બદલવા લાગ્યું કે તેના ઉપર ઉપભોક્તાનો કોઈ કાબૂ ન હતો. કદાચ સરકારનો પણ નહીં.

    ટેલિવિઝન સેટનું ભૌતિકરૂપ તેમ જ કાર્યક્રમનાં સિગ્નલ મેળવવાની પદ્ધતિ ઝડપથી બદલાતાં ગયાં. ૧૯૭૫ સુધી ટી.વી. માત્ર બે સાઇઝ (૧૪ તથા ૨૧’”)માં આવતાં. કાચની કેથોડ રે ટ્યૂબ (CRT)વાળા મોટાં પેટવાળા આ સેટ હતા. આગળ જતાં ૩૧”’ના સેટ આવ્યા. કાચની બનતી પિક્ચર ટ્યૂબમાં સાઇઝની એક મર્યાદા છે. તેને ઓળંગવા જાપાનીઓએ LCD (લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે)  શોધ્યા. તેથી આગળ જતાં LED સ્ક્રીન આવ્યા, હવે OLED આવે છે. આ બંને પ્રકારોમાં સાઇઝની મર્યાદા નથી. આજે ૫૬” સુધીના ટી.વી. જોઈએ છીએ. બહુ મોટા હૉલમાં કાર્યક્રમ હોય તો ૧૨-૧૪ ફૂટ પહોળા સ્ક્રીન પર ચિત્ર આવે છે, જેને “વીડિયો વૉલ’ કહે છે. વાસ્તવમાં એ એક સળંગ સ્ક્રીન નથી, પરંતુ નાના-નાના સ્ક્રીનોને જોડીને બનાવેલ દીવાલ હોય છે.

    તે હિ નાં દિવસાઃ

    આ બધી ઝાકઝમાળમાં એટલા મગ્ન છીએ કે ક્યારેક આપણે ઘરે ‘બ્લૅક એન્ડ વ્હાઇટ’ ટીવી હતું તેય યાદ કરવું પડે છે. નવી પેઢીએ તો એ જોયું જ નહીં હોય. પ્રસારણ સમય ઓછો હોવાને કારણે કાર્યક્રમ ઉપર લોકોનું ફોક્સ રહેતું. રવિવાર સાંજના સિનેમા કરતાં ગુરુવારના ‘ચિત્રહાર’નું આકર્ષણ અભૂતપૂર્વ હતું. તેમાં ફિલ્મી ગીતોના વીડિયો રજૂ થતા, જે આજે “વોટસએપ’માં રોજ કોઈ મોકલે છે! ચિત્રહાર વેળા ગામની શેરીઓમાં સૂનકાર થઈ જતો, કારણ લોકો ટીવી સામે ગોઠવાઈ જતા. રસભરી વાત એ છે કે બધા કોઈ પોતાના ઘરે ટી.વી. સામે નહોતા ગોઠવાતા. ઘરે-ઘરે ટીવી તો હતાં જ નહીં. જેને ઘરે ટેલિવિઝન હોય તેને ઘરે આસપાસનાં ૪-૫ ઘરના સભ્યો કાર્યક્રમ જોવા આવી જતા. જે પાડોશીને ઘરે કે મિત્રને ઘરે જવામાં સામાન્યપણે સંકોચ થતો તે ઘરે ચિત્રહાર વેળા અધિકારથી ઘૂસી જતા! અને યજમાનને તેનો વાંધો ન હતો. આ સામાજિક પાસું અદ્ભુત અને અભૂતપૂર્વ હતું.

    આવું કદાચ એટલે હશે કે ત્યારના કાર્યક્રમો પણ સાદા-સરળ હતા. આજે પ્રત્યેક સિરિયલમાં એક કુટિલ પાત્ર જરૂર હોય છે, જેને કારણે વાર્તા-તત્વ આગળ વધે છે. આવું ત્યારની “બુનિયાદ’ કે “હમ લોગ’ જેવી સરકારી સિરિયલોમાં ન હતું. “અચ્છાઈ’ના જમાનામાં પાડોશીઓ પણ વિશાળ હદયના હતા, પછી ભલે ને એના મહેમાનો જમવાને વખતે આવી પડ્યા હોય! અને એ. મહેમાનો પણ કેવા – જ્યાં જગ્યા મળે ત્યાં જમીન ઉપર પણ બેસી જવામાં જરાય સંકોચ નહીં. વીસ જણને બેસવા માટે ખુરશી વળી કોને ઘરે હોય?

    ગ્રાહકની પરાધીનતા

    આપણે રેડિયો લાવીએ ત્યારે ઘેર આવીને તેને ઇલેક્ટ્રિસિટી આપો (કે બેટરી નાખો) તો તરત બોલવા લાગે  છે. રેફ્રિજરેટરને જોડો તો ઠંડક આપવા લાગે છે. નવાં આવ્યાં ત્યારે ટેલિવિઝન
    પણ સરળ જ હતાં. અગાસીમાં એન્ટેના બેસાડો અને શરૂ કરો તો શરૂ થઈ જતો. એનાં સિગ્નલ વાતાવરણમાંથી મળી જતાં. હવે તેવું નથી થઈ શકતું. તમારે કોઈની પાસે તો જવું જ પડે છે.

    ડાબેથીઃ એલ્યુમિનિયમના સળિયાનાં બનેલાં એન્ટેના,
                                                                 ડીશ ટીવી એન્ટેના, ડિજિટલ ટીવી ઈનડોર એન્ટેના

    સિગ્નલ મેળવવા. જ્યારે બે ચૅનલમાંથી ઘણી ચેનલો થઈ ત્યારે આપણને કેબલવાળાનો પરિચય થયો. જ્યારે એની દાદાગીરી ચૅનલવાળાઓને ખૂંચી ત્યારે ડિશ એન્ટેના આવ્યાં. ડિશ સામૂહિક હોઈ શકે કે તમારી એકલાની. પરંતુ તેમાંથી સિગ્નલ લેવા પૈસા આપવા પડે છે. ટેક્નોલૉજી ગ્રાહકની જોડે ઊભા રહેવાને બદલે ઉદ્યોગપતિઓ અને વેપારીઓની જોડે ઊભી રહી છે.

    પરંતુ છેલ્લો વળાંક થોડી રાહત દેનારો છે. તે છે સ્માર્ટ ટેલિવિઝન, એ ઇન્ટરનેટ પ૨ ચાલે છે. એનાં સિગ્નલ્સ માટે કેબલવાળા કે ડિશવાળા પાસે નથી જવાનું. અલબત્ત, ઇન્ટરનેટ સેવા આપનારની જરૂર તો પડે છે, પરંતુ ઇન્ટરનેટ ટેલિવિઝન ઉપરાંત બીજી પણ ઘણી સેવાઓ આપે છે, તેથી સરવાળે સસ્તું પડે છે અને સેવા આપનારના વિકલ્પ વધારે છે. એ જુદી વાત છે કે ઇન્ટરનેટ આપવાના વ્યવસાયમાં પણ મોટાં ઉદ્યોગગૃહો પડ્યાં છે. એ અધૂરું હોય તેમ ટેલિવિઝનના કાર્યક્રમ આપનારી ચૅનલો પણ ક્રમશઃ આવાં ઉદ્યોગગૃહો ખરીદતાં જાય છે. ઇજારાશાહી કોને કહેવાય તેનાં આ પ્રત્યક્ષ ઉદાહરણો છે. તમારી વિચાર કરવાની શક્તિ અને ઢબ ઉપર કોઈ આ રીતે કબજો જમાવી રહ્યું છે અને તમને જ તેની જાણ નથી!


     સૌજન્યઃ નવનીત સમર્પણ *  જૂન ૨૦૨૫


    ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક pr_vaidya@yahoo.com   વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ઇશ્વરના ઇ મેઇલ..૧૬

    કોડિયામાં પ્રગટેલું અજવાળું..

    નીલમ  હરીશ દોશી

    એક કોડિયામાં પ્રગટેલું નાનકડું અજવાળું,                          
    ફટાક ખોલી નાખે અધમણ અંધારાનું તાળું,

    રમેશ પારેખ

    પ્રિય દોસ્ત,

    દોસ્ત, આજે તારા સાત વરસના દીકરાનો જન્મદિવસ તેં બહું સરસ રીતે ઉજવ્યો. મને બહું ગમ્યું. તારી જેમ મારું મન પણ પ્રસન્ન થઇ ગયું. દોસ્ત, જયાં સુધી તારી જેમ કંઇક અલગ ઇચારનાર લોકો છે ત્યાં સુધી મને તારી ચિંતા નથી. કદાચ આવા લોકોને લીધે જ આટ આટલી નિરાશા પછી પણ મારી આસ્થા તારામાંથી ખૂટી નથી. એથી જ આશાનું કિરણ મેં ગુમાવ્યું નથી. દોસ્ત, મારી આસ્થાનો દીપ પ્રજવલિત રહે અને તારી જેમ જ સમજણના આવા વધારે કોડિયા પ્રગટતા રહે એ માટે તું પ્રયત્નશીલ રહીશ ને ?

    તારા દીકરાનો જન્મદિવસ તું ધારે તો મોટી પાર્ટી કરીને મનાવી શકયો હોત. પણ એને બદલે તેં તારા ફેમીલીની સાથે વાત કરી, દીકરાને સરસ રીતે સમજાવ્યો અને પછી એ પાર્ટી અનાથાશ્રમમાં બાળકો સાથે રાખી. ત્યાં પણ કોઇ બાળકને ઓછું ન આવે માટે જન્મદિવસ છે એવું ન કહ્યું કેમકે તેં વિચાર્યું કે મારા દીકરાનો જન્મદિવસ છે એમ કહીશ તો બની શકે ત્યાં કોઇ છોકરાના મનમાં અભાવ જાગે , એનો જન્મદિવસ પણ આ રીતે ઉજવાય એવી ઇચ્છા જાગે અને એ ઇચ્છા પૂરી ન થાય ત્યારે દુખ પણ થાય. એવું ન બને એની પણ તેં કાળજી લીધી એ વાત મને બહું ગમી. અને પાછું આ બધું તેં તારા નાનકડા દીકરાને પણ સમજાવ્યું. કેવા મજાના સંસ્કાર રેડાયા તારા પુત્રમાં પણ.. પછી અનાથાશ્રમમાં બધા બાળકો સાથે તમે સૌ બાળકો બનીને રમ્યા. ફુગ્ગા ઉડાડયા.. સાથે ખાધું , પીધું અને મજા કરી.જુદી જુદી ગેઇમ રમાડી અને એમાં તારે જે આપવું હતું એ દાન તરીકે આપવાને બદલે એ બાળકો જીત્યા હોય એ રીતે આપ્યું અને એમના સ્વમાનને જાળવી એને જીત્યાનો આનંદ કરાવ્યો.

    વાહ દોસ્ત.. હું તો  ગૌરવ , સંતોષ અને પ્રસન્નતાથી ઝળાહળાં.. હજારો દીવડાં પ્રગટાવ્યા હોત તો પણ આટલો ને આવો અજવાસ મને ન મળત. દોસ્ત, સાચ્ચે જ મને તો કહેવાનું મન થ ઇ ગયું કે માગ, માગ દોસ્ત, માગે એ આપું. પ્રગટ થઇને મેં એવું કશું ભલે નથી કહ્યું. પણ મારા ચોપડે એ કર્મ જમા ચોક્કસ થયું છે અને તથાસ્તુનું વરદાન કઇ પળે, કેવી રીતે તારી સમક્ષ આવી ચડે એવું પણ બની શકે, કેમકે કોઇ સત્કાર્ય વ્યર્થ નથી જતું એનો વિશ્વાસ રાખજે.

    એ દિવસે સાંજે તમે સૌ ઘેર પાછા ફર્યા ત્યારે કેવા ખુશ હતા તમે બધા પણ..એ ખુશીનો અનુભવ વારંવાર કરતા રહો અને કરાવતા રહો એવી આજે મારી પ્રાર્થના છે.

    લિ. સદાનો તારો જ ઇશ્વર


    પ્રાર્થના એટલે જે કોઇ પણ ના અજંપાને હરે, શાતા અને શાંતિ આપે,

    જીવનનો હકાર..

    જે માણસ આપણા માટે સાવ નકામો હોય તેની સરભરા આપણે કેવી રીતે કરીએ છીએ તેમાં આપણી સારપની કસોટી છે.


    નીલમ  હરીશ દોશી : E mail: nilamhdoshi@gmail.com | બ્લોગ : પરમ સમીપે