-
સૂફી સંત : રાબિયા
દીઠે અડસઠ જાત્ર
દર્શના ધોળકિયા
મધ્યકાલીન ભારતીય સાહિત્યમાં એક સમયે ભકિતિમાર્ગનું જે મોજું આવ્યું, જેને ગ્રિયર્સને બૌદ્ધ ધર્મના મોજા કરતાંયે વધુ અસરકારક જણાવ્યું એ ભક્તિમાર્ગ અગાઉના ભક્તિ સિદ્ધાંત કરતાં જુદો પડતો હતો. એમાં ઈશ્વર મનુષ્યનો પિતા કે માલિક નહોતો પણ ‘સખા’ હતો, “પ્રિયતમ’ હતો. ઈશ્વર પ્રત્યેની આ સમયના ભક્તોની રતિ ઉત્તરોત્તર વિકસતી રહીને વૈરાગ્યમાં પરિણમતી હતી. આ વૈરાગ્ય શુષ્ક નહીં પણ પ્રસન્નતામૂલક હતો. પરિણામે ભક્તિવિચારનું આ સમયમાં એક પ્રકારનું આધુનિકીકરણ, નૂતન અર્થઘટન થયું.
એક અભિપ્રાય પ્રમાણે ભારતમાં પ્રગટેલો આ નૂતન ભક્તિવિચાર મુસ્લિમોના આગમનને લઈને પ્રવેશેલા સૂફી મતને કારણે ફેલાયો. એ વાત સંપૂર્ણ સાચી હોય કે ન પણ હોય, પણ સૂફી મતમાં પણ આ પ્રકારનો ભક્તિવિચાર જોવા મળે છે એ ખરું.
સૂફી સંપ્રદાય એ મુસ્લિમ ધર્મના બે મુખ્ય ફાંટા શિયા અને સુન્નીનો એક ભાગ છે. સૂફી પંથની પણ પાછી મુક્ત કલ્લમ અને સૂફી એમ બે શાખાઓ છે. આમાંની પહેલી બાહ્ય ક્રિયાકાંડ પર ભાર મૂકે છે ને બીજી આત્મનિગ્રહ અને દેહદમનનું મહત્ત્વ કરે છે. “હું” પદનો ત્યાગ એ સૂફીઓની મોટામાં મોટી અભિલાષા હોય છે. આ પ્રકારના સૂફી મતમાં હિજરીના બીજા સૈકામાં અદ્વૈતવાદનો વિચાર પ્રવેશ્યો જે રૂઢિચુસ્ત મુસ્લિમ ધર્મ માટે નવો હતો ને પરિણામે અસ્વીકૃત હતો. પ્રારંભકાલીન સૂફી મત દાર્શનિક કે ચિંતનાત્મક ન હતો પણ નીતિમૂલક હતો. એમાં ઈશ્વરનાં સ્વરૂપ વિશેની કોઈ ચર્ચા નથી પણ ઈશ્વરને મેળવવાના કેટલાક વ્યવહારુ ઉપાયોનું સૂચન માત્ર છે.
આ વાતને જુનૈ દૈએ સમજાવતાં નોંધ્યું છે. “અમને સૂફીમત ઉપવાસમાંથી અને જગતને તિલાંજલી આપવામાંથી લાધ્યો છે; પરિચિત બંધનો તોડવામાંથી અને માણસો જેને પ્રેમ માને છે એના પરિત્યાગમાંથી મળ્યો છે, નહિ કે વાદવિવાદમાંથી.”
પાપ, નરક જેવા ખ્યાલોથી સજાગ સૂફીઓએ સંન્યસ્ત અને શમને અપનાવ્યાં. પણ તેમનો સંન્યાસ શુષ્ક નહોતો. તેઓ માત્ર તપસ્વી અને ફકીર જ નહોતા પણ યોગી પણ હતા. આ પંથમાં પશ્ચાત્તાપ, ધૃતિ, કૃતજ્ઞતા, શ્રદ્ધા, ભીંરુતા, સ્વેચ્છાપૂર્વકની અકિંચનતા, તપશ્ચર્યા, ઈશ્વરની અનન્ય શરણાગતિ અને છેવટે પ્રેમ – એટલાં સોપાનો રહેલાં છે.
આ સૂફીવાદે ઘણા મહાન સંતોની ભેટ આપી છે જેમાં મહાકવિ સાદિ, હારિજ, અમીર ખુશરો, નિઝામી અનાઈ, ફરીરુદ્દીન અત્તાર, મૌલાના જલીલુદદીન રૂમી, રાબિયા જેવા સંતો મુખ્ય છે. આ સંતોએ પોતપોતાની રીતે ખુદાને ઉપાસ્યા છે.ફાફિઝના જીવનમાં મસ્તી છે, સાદિના જીવનમાં જ્ઞાનનું પ્રાધાન્ય દેખાય છે. તો ઝુલેખાના જીવનમાં પ્રભુપ્રેમ ખીલ્યો દેખાય છે.
આ સંતોમાં રાબિયાનું વ્યક્તિત્વ તદ્દન જુદું પડે છે. ગરીબ પરિવારમાં જન્મેલી રાબિયાએ જીવનની અમીરાત શોધી છે ને એ શોધમાં સંપુર્ણ સફળતા મેળવી છે. તેની શોધ સૂફી સિદ્ધાંતની મદદથી થઈ હોવા છતાં ‘વાદ’ના વાડાઓથી એનું અસ્તિત્વ સ્વતંત્ર રહ્યુ છે. તેના વિચારોમાં, આચારમાં, કથનમાં પરમાત્માએ તેને પસંદ કરી હોવાની ગંધ આવ છે. એક ચિંતકે આ પ્રકારના મનુષ્યો માટે Divine Scavanger (દૈવી હરિજન) શઃબ્દ વાપર્યો છે જેમને પરમાત્મા પોતા તરફથી મનઃશુદ્ધિ કરવા મોકલે છે. તેઓ પરમાત્માની જમાતના લોકો હોય છે. રાબિયા આ જમાતની લોક છે. સમકાલીન સૂફીઓમાં પણ એ ચૈચારિક મૌલિકતાને લઈને ઘણી જુદી પડે છે.એક આધાર પ્રમાણે અરબસ્તાનની મરુભૂમિમાં ગરીબ પિતાને ત્યાં તેમનો જન્મ થયેલો મનાયો છે. બીજી એક નોંધ પ્રમાણે એનો જન્મ તુર્કી રાજ્યના બસરા શહેરમાં દર્શાવાયો છે. પિતા આદિ કુટુંબના હોવાથી ઉત્તરાવસ્થામાં રાબિયાને લોકો ‘અલ આદાબિયા’ને નામે ઓળખતા. અરબી ભાષામાં “રાબા’ શબ્દનો અર્થ ‘ચોથી’ એવો થાય છે. રાબિયા પોતાના નિર્ધન પિતાની ચોથી પુત્રી હોવાથી તેનું નામ “રાબિયા’ પડ્યું હોવાનું અનુમાન છે. તેની જન્મ સાલ ઈ.સ.૭૧૭ ને મૃત્યુ સાલ ઈ.સ.૮૦૧ આશરે મનાય છે. એક અનુમાન પ્રમાણે એનું અવસાન હિજરી સંવતના મધ્ય અને અંતિમ વર્ષના ગાળા (ઈ.સ. ૭૮૬-૮૧૫)માં થયેલું ગણાય છે.
બાળપણમાં જ માતાની હૂંફ રાબિયાએ ગુમાવેલી. પિતાને અત્યંત ચાહતી રાબિયાના જીવનમા પ્રારંભથી જ વાવંટોળ શરૂ થયો. તેના ગામની આજુબાજુ “બધુ ‘ જાતના લૂંટારાઓનો ત્રાસ હતો. તેઓ વખતોવખત ગામમાં ધસી આવીને સ્ત્રી કે પુરુષ – જે હાથમાં આવે તેને – પકડીને લઈ જતા તેમ જ તેને ગુલામ તરીકે વેચતા અથવા પોતે રાખી લેતા. રાબિયાના પિતા ઇસમાઈલ પણ આ લૂંટારાઓના હાથમાં ફસાયા અને રાબિયા એકલી પડી. કેટલાક વખત પછી તેના વૃદ્ધ પિતા પાછા ફર્યા ને આવતાંવેત પાણીની માગણી કરી. રાબિયાને પાણી લાવતાં થોડી વાર થઈ તે દરમિયાન પિતા મૃત્યુ પામ્યા.
આ પ્રકારના વિવિધ આઘાતોથી ઘડાતી રાબિયાએ યૌવનમાં પ્રવેશ કર્યો. દેખાવે તે સુંદર નહોતી. આથી લગ્ન વિશે તેણે કોઈ વિચાર જ કર્યો નહોતો. એકલતાની વચ્ચે તે જીવન ગુજારી રહી હતી ત્યારે ફરીથી લૂંટારાઓએ આવીને તેને પકડી તેમ જ તેને ગુલામ તરીકે વેચી દીધી. ગુલામ બનેલી રાબિયાની નિયતિ તો હતી પરમ મુક્તિ પામવાની. તેના જીવનની આ વિરોધમૂલક ઘટના સાનંદાશ્ચર્ય જગવે એવી છે.
એક દિવસ તેના માલિકને ઘેર એકઠા થયેલા મહેમાનોને મનુષ્યના શરીરની રચના જાણવાની ઇચ્છા થઈ. ત્યાં કામ કરતી રાબિયાને જોતાં જ એના માલિકે ચપ્પુ વડે રાબિયાના શરીરમાંથી જ ગાંઠ કાઢી. આ સમયે ત્યાં બેઠેલા મહેમાનો તો શરીરની ગાંઠમાં રહેલું ઈશ્વરનું ઐશ્વર્ય નિહાળવામાં મશગૂલ હતા ! આ મહેમાનોને મોઢેથી ઈશ્વરનું નામ સાંભળીને રાબિયાના સૂતેલા સંસ્કાર જાગી ઊઠ્યા. કટોકટીની આ ક્ષણે તેના મુખમાંથી ‘શુક્ર ખુદા’ એવો ઉદ્ગાર નીકળ્યો. એણે કરેલી પહેલી પ્રાર્થના આ મુજબ હતી. ‘આજના દુઃખ વડે ઈશ્વરે મને સમજાવ્યું કે આટલા દિવસ તેણે મને કેવા સુખમાં રાખી હતી ! આજે શરીરના એક અંગને દુઃખી કરીને પરમાત્માએ મને જણાવ્યું કે એ સેંકડો પ્રકારે મારી રક્ષા કરતો હતો. તેની આટલી કાળજીથી હું શરમાઉં છું.’
રાબિયામાં જાગેલી પ્રારંભિક ભક્તિ શિશુવત્ થયેલા નિર્દોષ ભક્તની હતી. આથી જ તેણે બીજાનું દુઃખ પોતા ઉપરે નાખવા માટે પ્રભુની પ્રાર્થના કરી. આ ભક્તિને આઘારે સઘળાં દુઃખોનો સ્વીકારે કરતાં તે શીખી. જીવન તરફનું તેનું દૃષ્ટિબિંદુ હવે બદલાયું હતું. પ્રસન્નતાના પૂરમાં તણાયેલી રાબિયા દુઃખોની વચ્ચે કહેતી, ‘હે પ્રભુ, તેં જ્યારથી મારા સામે ઝાંખ્યું છે ત્યારથી મારો હર્ષ માતો નથી. સૂર્યે શું કમળનું મુખ કદી મલિન દીઠું છે ? આશકનું મોં નીરખ્યા પછી દુઃખ કદી ટકી શકે ?’વહેતી રફતારમાં બદલાઈ ગયેલી રાબિયાએ કરેલી પ્રાર્થના એક સમયે તેના શેઠે ચોરીચુપકીથી સાંભળી. આ પ્રાર્થનામાં તેણે ઇચ્છ્યું હતું કે જો તે સ્વતંત્ર હોય તો ચોવીસે કલાક પ્રભુની ઉપાસનામાં ગાળી શકે. તેના શેઠે આ સાંભળીને તેને મુક્ત કરી. રાબિયા હવે પોતાના અસલ માલિક પાસે જવા રવાના થઈ. આ ક્ષણથી તેનો ભક્તિવિચાર પ્રૌઢ થતો ચાલ્યો દેખાય છે.
ગુલામીમાંથી મુક્ત થયેલી રાબિયાએ તપસ્વી જીવન ગાળવા માટે રણને પોતાની સાધનાભૂનિ બનાવી. તપશ્ચર્યાના ગાળા પછી ફરી બસરા આવીને તેણે નિવાસ કર્યો. પાછી ફરેલી રાબિયા ‘સૂફી’ હતી – ફકીર અને તપસ્વીથી કંઈક વધારે એવી સૂફી. આ વધારાનું ‘કંઈક’ એને સંન્્યાસીઓથી, યોગીઓથી, ભક્તોથી જુદું પાડનારું તત્ત્વ તે એની મૌલિક વિચારધારા હતી. પોતાના વિચારો એણે ભાગ્યે જ પ્રગટ કર્યા છે પણ જ્યારે કર્યા છે ત્યારે એમાં રહેલી નિર્બધતા અને પ્રવાહિતા એની ઊંચાઈનો માનદંડ નક્કી કરવામાં ભારે મદદરૂપ બને છે.
સૂફી મત સામાન્ય રીતે પશ્ચાત્તાપનું વધારે મૂલ્ય કરે છે . તેઓને મતે પસ્તાવો માણસને ગંભીર બનાવે છે અને પછી મસ્તીમાં લાવે છે. પણ રાબિયાએ પસ્તાવાનો અર્થ જુદો કર્યો છે. પોતાનાં પાપ માટે ઈશ્વર પાસે ક્ષમા માગવાનો રાબિયાને કદી વિચાર આવ્યો નથી. પાપ, તેને મતે એટલા માટે નુકસાનકારક છે કે તે મનુષ્ય અને ઈશ્વર વચ્ચે અંતરાયરૂપ બને છે. આથી જ રાબિયાએ પસ્તાવો કરવા કરતાં, પસ્તાવો કર્યા પછી લેવાનારાં પગલાં, એટલે ક જાગ્રતિ પ્રત્યેની ગતિનું મહત્ત્વ સૂચવ્યું છે. આ પ્રકારનો પસ્તાવો તેને મન વિરલ છે. આ પ્રકારનો પસ્તાવો તો પ્રભુ તરફથી મળેલી ભેટ જ હોઈ શકે. એ જાતે મેળવાતો નથી. જાતે મેળવવા જો મથવામાં આવે તો વારંવાર પસ્તાવાની પરિસ્થિતિ આવી પડે એવી હળવી મજાક પણ રાબિયાએ કરી છે. તેની આ સમજને લઈને જ એક શિષ્યને તેણે કહ્યું છે તેમ પસ્તાવો કરવાથી ઈશ્વર અભિમુખ થતો નથી. એ જો પોતે ઇચ્છે તો જ એ કોઈ પણ મનુષ્ય પ્રતિ અભિમુખ થાય છે. રાબિયાનો આ વિચાર સ્પષ્ટ રીતે સૂચવે છે કે પહેલ પરમાત્મા દ્વારા જ થાય. મનુષના વશની એ વાત નથી.
ધૈર્ય રાબિયાના ભક્તિવિચારણાનું બીજું લક્ષણ ચે, આ ધર્ય તેને કેળવ્યું નથી પણ પરમાત્મા પ્રત્યેની ઊડી શ્રદ્ધામાંથી એ જન્મ્યું છે. આથી જ તે કહે છે, ‘હુ ઈશ્વરને અસંમત એવી એક પણ વસ્તુ ઈચ્છું તો હું અશ્રદ્ધા માટે અપરાધી બનું. ‘ આ શ્રદ્ધાએ જ તેના ભક્તિવિચારને મજબૂત બનાવ્યો છે. શ્રી અબ્દુલ વાહેદ અમરે એક પ્રસંગ ટાંકતા નોંધ્યું છે તે મુજબ તેઓ અને સુફિયાન માંદી પડેલી રાબિયાની ખબર કાઢવા ગયા અને સુફિયાને તેમને પ્રભુ પાસે સાજા થવાની પ્રાર્થના કરવા જણાવ્યું ત્યારે રાબિયાનો ઉત્તર આ હતો : ‘આ મંદવાડ મને કોનો ઇંચ્છાથી લાગુ પડ્યો છે તે તમે જાણો છો. ખુદાની ઇચ્છા વિરુદ્ધ સંકલ્પ કરવો એ મારો ઘર્મ નથી.’ આ જ સંદર્ભે તેમણે કહ્યું કે ‘દસ વરસથી મને ખોર્મા(એક જાતનાં ફળ) ખાવાની ઇચ્છા છે પણ હજુ મેં એ મોંમાં મૂકચાં નથી; કારણ કે હું તેમની દાસી છું. દાસીને વળી સ્વતંત્ર ઇચ્છા કેવી ?’
રાબિયાનુ અધ્યાત્મ પરમાત્મા પ્રત્યેની કૃતજ્ઞતામાંથી જુન્્મ્યું છે. આથી જ, માત્ર સમૃદ્ધિ માટે જ નહિ, વિપત્તિ માટે પણ પરમાત્માનો આભાર માનવાનું રાબિયા સૂચવે છે.ઈશ્વર પ્રત્યેની રાબિયાની ભક્તિ નિષ્કામ છે. ઈશ્વરને એણે સમજપૂર્વક ચાહ્યો છે. એક તત્ત્વ તરીકે પ્રમાણ્યો છે. તેને ચાહ્યા પછી બીજું બધું છોડયું નથી પણ છૂટી ગયું છે. બ્રહ્મ તત્ત્વને પ્રમાણ્યા પછી તેને પણ જગત ‘મિથ્યા’ અર્થાત્ વ્યર્થ ભાસ્યું છે. આથી જ કોઈ યોગીને તેમણે કહેલું, ‘તમારો સંસાર ઉપર જ ઘણો પ્રેમ લાગે છે. જો તેવું ન હોત તો ખુદા વિશે વાર્તાલાપ કરવો મૂકીને તમે સંસારનાં દુઃખોનું પીજણ ન પીંજ્યું હોત. જેઓ સસારથી વિરક્ત છે તેઓ સંસારની ચર્ચા જ કરતા નથી. જેના ઉપર જેની પ્રીતિ હોય તેની જ વાતચીત કરવાનું મન થતું હોય છે.’
રાબિયાની ભક્તિમાં વૈરાગ્યની સહોપસ્થિતિ છે. એક અર્થમાં તે સંપૂર્ણ સંન્્યાસિની જણાય છે. તેની વિચારધારામાં ઘડાતી બુલંદી તેને અવધૂત ઠેરવે એવી છે. મૌલાની તેની વ્યાખ્યા મૌલિક છે. તેમને મતે, ‘જે ખુદાની આગળ પ્રાર્થના કરીને તેની પાસેથી હૃદયની પ્રાપ્તિ કરે છે અને તે હૃદય ખુદાને પાછું આપી દઈને તેના હાથમાં સંરક્ષિત રહેવા દે છે તે મૌલા છે.’ રાબિયાની દૃષ્ટિએ કોણ છે આ ખુદા ? ‘જેને આંખ જોઈ શકતી નથી, જેનો જીભ સ્વાદ લઈ શક્તી નથી, માત્ર હૃદય વડે જેને અનુભવી શકાય છે; જાગ્રત અંતર જ જેને જાણી શકે છે, એવું જાગ્રત અંતર જેને કોઈ સહાયક વિના જ ખુદાની પ્રાપ્તિ થાય છે.’ આવો ખુદા, રાબિયા કહે છે તેમ મળે તો છે પ્રેમ કરવાથી, પણ એ પ્રેમ સર્વગ્રાહી અને અનાસકત હોવો જરૂરી છે. અંતે એકલા ઈશ્વરનું અને ઈશ્વરનું જ ચિંતન કરવું જોઈએ, બીજી કોઈનું પણ નહિ. કારણ કે ઈશ્વર ઈર્ષાળુ પ્રિયતમ છે. એ બીજા કોઈ હરીફને સાંખી લેતો નથી.
રાબિયાએ આવો સર્વગ્રાહી અને અનાસકત પેમ કરી જાણ્યો છે. ઈશ્વરના વિકલ્પે તેને સ્વર્ગની પણે કામના નથી, તેનો પ્રેમ નિ:સીમ છે. માત્ર પ્રભૂ માટે રખાયેલી થાપણ છે, તેની સાક્ષી આ પ્રાર્થના પૂરે છે :
“મે તને દ્વિવિધ પ્રેમથી ચાહ્યો છે :
એક સ્વાર્થી પ્રેમ છે અને બીજો ઉદાત્ત પ્રેમ છે.સ્વાર્થી પ્રેમમાં તારા સિવાય બીજું બધું છોડી
તારી યાદથી મારી જાતને હું ભરી રહું છું.જ્યારે બીજો, જે તને શોભે એવો છે એમાં
હું તને જોઈ શકું એ માટે તું બુરખો ઊંચો કરે છે.છતાં આમાં કે પેલામાં મારાં વખાણ નથી,
પણ આમાં કે પેલામાં તારી જ પ્રશંસા છે.’રાબિયાના વૈરાગી વ્યક્તિત્વમાં ખુમારી છે. આત્મતત્ત્વના જાણકારમાં જ હોઈ શકે એવી ખુમારી. આથી જ પ્રારંભે પ્રભુ માટે ઝૂરતી એવી રાબિયા અંતે ઈશ્વરના ઐશ્વર્યનું પણ અતિક્રમણ કરતાં કહે છે : |
“ઓ મારા પ્રભુ, જો હું તને નરકની બીકે ભજતી હોઉં તો મને નરકમાં બાળી મૂકજે; જો હું તને સ્વર્ગની આશાએ ભજતી હોઉં તો મને એમાંથી બાકાત રાખજે; પણ જો હું તારે ખાતર જ તને ભજતી હોઉં તો તારું અનંત સૌંદર્ય મારાથી છુપાવીશ નહીં.’
આ પ્રાર્થનામાં પ્રભુ સાથે મૈત્રી માટે હાથ લંબાવતી રાબિયા દૃષ્ટિગોચર થાય છે. આ તેની પ્રાર્થના નથી, પણ કરાર છે. અધિકારથી પ્રભુ પાસે માગેલો હક્ક છે.
રાબિયાના સમર્પણમાં ગરિમા છે, ઊંચાઈ છે. મિતભાષી રાબિયા બોલે છે ત્યારે એના અવાજમાં એક નીવડેલી વ્યક્તિનું મહિમામંડિત વ્યક્તિત્વ છતું થાય છે. પોતાનું ઓજસ પ્રગટાવતાં એ કહે છે,
“જે વખતે લાલચ આવીને મને મોહમાં નાખવા ચાહે છે તે વખતે હું રડી પડું છું. દુઃખથી નહીં પણ અપમાનથી, કારણ કે લાલચને ખબર નથી કે મારો દોસ્ત તો ખુદા છે.’
પોતાના સદાય જીગ્રત એવા ચિત્તને તેણે કદી ઊંઘવા દીધું નથી. શારીરિક દૃષ્ટિએ સાવ થોડો આરામ લેતી રાબિયા જો વધારે ઊંઘી જવાય તો પણ પોતાના દેહ તેમ જ આત્માને તરત જાગ્રત કરે છે. હંમેશાં આવનારી નિદ્રા શરીર પર આક્રમણ કરે ત્યાં સુધી ચેતન રાખવા તે ઇચ્છે છે. શરીરના ધર્મોને તો તેમણે એટલા તો ઉલ્લંધ્યા છે કે લોહી નીકળતી વખતે પણ તેઓ સ્થિર રહે છે અને જણાવે છે કે મને વેદના થતી નથી કેમકે ભગવાને મને દુનિયાની ઇન્દ્રિયગમ્ય વસ્તુઓ કરતાં અન્ય વસ્તુઓમાં રોકી રાખી છે.
રાબિયાનો પ્રભાવ સમકાલીન સૂફી સંતો પર પણ ઘણો વ્યાપક રહ્યો છે. હુસેન નામના એક ફકીર પોતાનો ઉપદેશ રાબિયા સાંભળે તેમાં જ રસ ધરાવતા. તેમના શ્રોતાઓએ એક વારે રાબિયાની ગેરહાજરીમાં કથા ન કરવાનું કહેતા હુસેનને પૂછયું કે, ‘રાબિયા ન હોય તેથી શું ? અમે તો છીએ. ‘ જવાબમાં હુસેને કહેલું, ‘જે શરબત મેં હાથીના ઉદર માટે તૈયાર કર્યુ છે તેને કીડીના ઉદરમાં મૂકીને શું કરું ?’ આ હતું રાબિયાનું તેના પૂર્વકાલીનોના પણ હદયમાં રહેલું સ્થાન.
લોકો સાથે પણ રાબિયાએ જે કેટલાક સંવાદ કર્યા છે તેમાં એક મૌલાની તાકાત વરતાય છે. પાટો બાંધીને આવેલા એક માણસને ચેતવતાં રાબિયાએ જણાવેલું કે માથું ન દુખ્યું તેની કોઈ નિશાની તમે મૂકતા નથી તો પછી એક દિવસ માથું દુઃખવાની ફરિયાદરૂપે પાટે બાંધવાનો તમને શો હક્ક છે ? બહારના વાતાવરણમાં વસંત ઋત્તુની શોભા બતાવતા કોઈને રાબિયાએ જણાવેલું કે તેને તો પોતાની અંદર જ આવી શોભા દેખાઈ રહી છે. લગ્નની તેને કદી જરૂર ન જણાયેલી. તેણે તો પોતાનું શરીર પ્રભુને સોંપેલું . હવે કયું શરીર એ પતિને સોંપી શકે ?
રાબિયાની આ હેસિયત, તેને આજથી આશરે બારસો વર્ષ પૂર્વે થયેલાં હોવાનું નકારે તેવી છે. કેમકે તેમના વિચારોની તાજગી, તેમનો પ્રતાપ, તેમની સમજ તેમને આધુનિક વિચારધારાનાં વાહક ઠેરવે છે. ગુરુ વિના, વિદ્યાભ્યાસ વિન્તા, ગુલામીની ઝંઝીરો વચ્ચે રાબિયાએ પોતાનાં સ્વત્વને જે રીતે ખીલવ્યું છે તે આશ્ચર્યમાં મૂકી દે તેવી ઘટના છે.
તેમનાં ચરિત્રને અંજલિ આપતાં તેમના ચરિત્રકાર પ્રસિદ્ધ વિદ્વાન ફકીરૂદીન અત્તાર નોંધે છે તે યથાર્થ જ છે : “પવિત્રતાની એકલતામાં રહેવા માટે પસંદ થયેલી એ; મજહબી નેકીના બુરખામાં લપેટાયેલી એ; પ્રેમ અને ઝંખનાની આગમાં જળતી એ; પોતાના ઈશ્વરને જઈને ભેટંવાની અને એની ભવ્યતામાં કુરબાન થઈ જવાની તમન્નાને વરેલી, દિવ્ય પ્રભુના એક્યમાં ખોવાઈ ગયેલી એ સ્ત્રી – માનવોએ સ્વીકારેલી બીજી નિષ્કલંક મેરી છે.’સુફી મતને રાબિયાએ પોતાના નૂતન વિચારોથી પુરસ્કૃત કરીને ઇસ્લામની જે સેવા બજાવી છે તે સાચે જ, અનન્ય છે.
ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
સ્મૃતિસંપદા : દેવિકા રાહુલ ધ્રુવ [૪]
આ પહેલાં આપણે સુશ્રી દેવિકાબહેનનાં ન્યુ જર્સીથી હ્યુસ્ટનનાં સંસ્મરણોની સફર તેમની કલમને સથવારે કરી.હવે તેમની સ્મૃતિસંપદાનું સમાપન કરીશું …..
ઉપસંહારઃ
સ્મરણકથાની શરૂઆત સૂર્યોદયથી કરી હતી અને આજે જ્યારે સમાપન તરફ વળી છું ત્યારે આકાશમાં સંધ્યા ખીલી છે. જાણે પૂર્વમાં જન્મેલી હું અત્યારે આથમણી કોરે, પશ્ચિમને આરે ઊભી છું!
નવેમ્બર મહિનો ચાલે છે. ટેક્સાસમાં તો હજી પાનખરની માંડ શરૂઆત થઈ ગણાય. તેથી હજી સોળે કળાએ રંગો નીખરવાને વાર. ભૂરા, વિશાળ આકાશમાં વાદળોના ઢગલામાં જાણે કોઈ એક અદીઠ ચિતારો, હાથમાં પીંછી લઈ તૈયાર ઉભો છે. વસંતને હું પાંદડાના દરબારમાં કળીઓનો રાજ્યાભિષેક કહું છું તો પાનખરને અનુભવની હીરા-જડિત ગાદીએ હીંચતો ભવ્ય ગરિમાનો હિંડોળો કહું છું. પાનખર મને ગમે છે, સૂર્યાસ્ત પણ ગમે છે. કારણ કે એ બંને અદબભેર ઊગી શકે છે અને આથમી પણ શકે છે; ખીલી શકે છે અને ખરી પણ શકે છે. આ ખીલીને ખરવાની અને ખરીને ખીલવાની કુદરતી લીલા કેટલું બધું ભણાવી જાય છે!
કોણ જાણે મને હંમેશા આકાશ તરફ જોવું પણ ગમે. કદાચ મનમાં સતત સૂર્ય અંગે દેવત્વનો ભાવ જાગતો રહે છે. પૂરવનો જાદૂગર આવે, છાબ કિરણની વેરે, હળવે હાથે ધીમુ સ્પર્શે, પડદા પાંપણના ખોલે.. વૃક્ષનું પણ એમ જ છે. એ બંને કેવળ આપે છે, લેવાની અપેક્ષા વગર. અને એમાંથી એક પ્રચંડ શક્તિનો સંચાર મળતો અનુભવાય છે. મનની ખૂબ શાંતિમાં આવું કંઈક જોવા મળી જાય છે ત્યારે વૃક્ષ પર ટહૂકો ફૂટે તેમ અંતરમાંથી ભાવ-શબ્દો ફૂટે છે. સવારની મહેક છેક ક્યાં સુધી ખેંચી ગઈ!
તો આ રીતે આ સાત સાત દાયકાની યાત્રા થઈ. સદ્ભાગ્યે સંઘર્ષો બહુ નથી નડ્યા અથવા તો રસ્તાઓ આપમેળી ખુલતા જ ગયા છે. આ લખ્યું ત્યારે સમજાયું કે કેટલું ચાલ્યાં અને કેવી રીતે ચાલ્યાં! એક એક વ્યક્તિ અલગ છે. સરવાળા અને બાદબાકી તો બધામાં જ છે અને તાકાત અને નબળાઈ પણ દરેકમાં છે જ. ઈશ્વર પણ ક્યાં પર્ફેક્ટ લાગે છે? નહિ તો માત્ર સુખ અને સુખ જ ન સર્જ્યું હોત? પરંતુ હવે એમ સમજાય છે કે વિચારો સારા તો આચાર આપમેળે સારા અને આચાર સારા તો જીવન સારું. હકારાત્મક અભિગમ અને સારો સંગ એ જ તો પ્રવાસનો રંગ લાવે છે. આમ જોઈએ તો જાણેઅજાણે આ બધી સ્વયંની જ શોધ નથી શું? આ ક્ષણે તો મને એમ લાગે છે કેઃ
અહો, ક્યાં અચાનક, મને હું મળી ગઈ.
હતી જે ખરી, તે જગે હું જડી ગઈ.
નીરવ શાંત સ્થાને, સમી એક સાંજે,
અનાયાસે ખુદમાં, હવે હું ભળી ગઈ.સમાપનમાં એ જ કે, આ સ્મરણકથા ખરેખર તો જીવનની અનુભૂતિઓની ઝલક છે. સ્મરણની શેરીમાં રખડતાં રખડતાં જડેલી જડીબુટ્ટી છે. કહો કે, દરિયાની રેતીમાં વેરાયેલાં છીપલાં છે, જેનું આમ તો મૂલ્ય કશું જ નહિ, છતાંય ખૂબ અમૂલ્ય! શ્વાસની સાથે સંકળાયેલી આ સ્મરણની શેરીની સાંકળ વાસવી હોય તો પણ ક્યાં વસાય એવી છે? જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી એ પણ સતત ઊઘડતી અને ધબકતી જ રહેશે.
નવા યુગના GPS-Global Positioning System જેવો સરળ રાહ સૌને મળે, આ સફરને સુંદર અને સફળ બનાવે અને અંતિમ મુકામ સુધી સરળતાથી પહોંચાડે તેવી શુભેચ્છા અને આશિષ. એમ થશે તો ‘વિશ્વશાંતિ’નું સ્વપ્ન સાકાર બનશે. છેલ્લે આ જીવનકથાના અનુભવોને, પ્રસંગોને અને સ્મરણોને પંપાળીને સજાવતી, સમજાવતી અને સ્નેહપૂર્વક સ્વીકારતી કલમની શક્તિ થકી સૌને વંદન…એને જ હાથમાં રાખી લખું છું કે, “લો અમે તો ચાલ્યાં પાછાં કલમને કરતાલે…”
દેવિકા રાહુલ ધ્રુવ, હ્યુસ્ટન જાન્યુઆરી ૨૦૨૨
હવે પછી……..બાબુ સુથારઃ એક કાચબાની કથા
-
એસ ધમ્મો સનંતનો – તાંત્રિક પરંપરા (૩) – પંચમકાર વિધિઓ, યંત્ર અને શાક્ત તંત્ર
પ્રવાસી યુ. ધોળકિયા
તાંત્રિક પરંપરા વિષય પરના અગાઉના બે લેખમાં આપણે અનુક્રમે તંત્ર વિજ્ઞાનનાં કેટલાંક પાસાંઓ અને રહસ્યવાદની ગતિશીલ પરંપરા વિશે ટુંકમાં ચર્ચા કરી હતી. તંત્ર પરંપરાની ચર્ચાના અંતિમ તબક્કામાં આપણે હવે પ્રવેશ કરીશું. અહીં થોડું પુનરાવર્તન થઈ શકે છે. તેનું કારણ એ છે કે તાંત્રિક પરંપરા પર લખનારા શ્રી વ્રજ માધવ ભટ્ટાચાર્ય પોતાના દૃષ્ટિબિંદુ પર ભાર મુકવા માટે આ પ્રકારનું વિવેચન કરે છે.
પંચમકાર વિધિઓ
તંત્રની વિધિઓને વિશ્વના વિદ્વાનો જ નહીં પણ ભારતના અનેક વર્ગો નીચી દૃષ્ટિથી જૂએ છે. આ વિજ્ઞાનમાં વામાચારીઓ પંચમકારની વિધિઓને અતિ મહત્વની ગણે છે તેના અમલમાં જે અમુક બાબતો જોવા મળે છે તેને કારણે આ વિધિઓ વિશે ઉતરતો મત પ્રવર્તે છે. આ પંચમકાર વિધિઓમાં માછલી ખાવી, માંસનું ભક્ષણ કરવું, મદીરા પીવી, સ્ત્રી – પુરુષનો સમાગમ (મૈથુન) કરવો અને અનેક પ્રકારના અર્થવિહિન મંત્રોનો આગ્રહ રાખવો એવી અમલવારીની તંત્ર વિજ્ઞાનની વિધિઓને ઉતારી પાડવા માટે કારણભૂત બને છે.
આપણે જોકે એ વાતની અહીં નોંધ લેવી જોઈએ કે સર્વાનંદ, શ્રી વામ, રામકૃષ્ણ પરમહંસ, ક્રિશ્નાનંદ, અભિનવગુપ્ત, શંકરાચાર્ય, સાહિબ કોલ, લાલકીક, ભૈરવી, બ્રહ્માણી અને કિનારામ જેવી મહાન હસ્તીઓ તાંત્રિકો હતી. તેઓ આ પંચમકારની વિધિઓને આ મુજબ સમજાવે છે-
૧) મસ્ત્ય – યોગના પ્રાણયામનો એક પ્રકાર
૨) માંસ – ચોક્કસ લક્ષ્ય માટે જડ પદાર્થોનો આધાર લેવો
૩) મૈથુન – જીવનું શિવ સાથે મિલન
૪) મદિરા અને ૫) મંત્રો – આ મહાયોગીઓએ મદિરા અને મંત્રો વિશે પોતાનાં મંતવ્યો ભલે અન્ય સંદર્ભોમાં કર્યાં હોય, પણ આપણે અગાઉ જોયું તેમ કોઈ મંત્ર સાધક માટે અર્થવિહિન નથી. વળી સાધનાથી જ્યારે સાધક શિવત્વ પામે છે ત્યારે તેનામાં અદ્ભૂત નશાનો સાક્ષાત્કાર થાય છે. ગુરુ વિના તંત્રમાં સિદ્ધિ શક્ય નથી. ગુરુ વિના આ માર્ગની સફર એ તંત્રના આ અફાટ સાગરને બે હાથથી એકલે તરી જવા બરાબર છે. તે ઉપરાંત, તાંત્રિક માર્ગ બેધારી તલવાર જેવો છે. ગુરુનાં માર્ગદર્શન વગર એ માર્ગ પર મૃત્યુ પણ નિશ્ચિત છે.
બુદ્ધનો દર્શાવેલ તાંત્રિક માર્ગ જ્યારે તિબેટમાં રાષ્ટ્ર ધર્મ બન્યો ત્યારે ત્યાંના સાધકો પંચમકારનો વધારે ઉપયોગ કરવા લાગ્યા. તેથી, તિબેટમાં બૌદ્ધ ધર્મની સ્થાપના કરનારા પદ્મસંભવે સાધકોને પહેલાં પ્રાયશ્ચિત કરીને પંચમકારોનો ઉપયોગ કરતાં શીખવ્યું. પરિણામે તિબેટનો તાંત્રિક માર્ગ વામાચારી હોવા છતાં બહુ સૌમ્ય બની રહ્યો. ઇ.સ. ૧૯૫૦માં જ્યારે ચીને તિબેટ પર ગેરકાયદેસરનો કબજો જમાવ્યો ત્યારે આ તિબેટી તાંત્રિકો અમેરિકા ને યુરોપમાં સ્થાયી થયા. ત્યાં તેઓએ વજ્રયાન માર્ગ સ્થાપિત કર્યો. ભારતમાં પણ આપણે ગમે તે માર્ગે સિદ્ધિ મેળવેલા તાંત્રિકોના કર્મોને ચમત્કાર તરીકે જોઈએ છીએ. પરંતુ આપણે એ નથી જોતા કે આ સિદ્ધોએ પતંજલિના વિભૂતિયોગ કરતાં પણ શ્રેષ્ઠ સિદ્ધિઓ મેળવીને શાંત પ્રકૃતિમાં સ્થિત થયા છે.
યંત્રો
શ્રી ભટ્ટાચાર્ય તંત્ર વિજ્ઞાનમાં યંત્ર વિશે સમજાવતાં કહે છે કે તંત્ર વિજ્ઞાનમાં યંત્ર મંત્ર જેટલું જ મહત્વનું છે. યંત્રમાં ભૂમિતિ પર આધારિત આકૃતિ (Design) અને ભાત (Pattern) હોય છે. યંત્રમાં રેખાઓ અને વળાંકોનો બહોળો ઉપયોગ થયેલો છે. સંસ્કૃતમાં યંત્રનો અર્થ નિયંત્રણ કે બંધન થાય છે. તે એક સાધન છે, જેના પર સાધક ધ્યાન કેન્દ્રિત કરીને સારી રીતે ધારણા કરી શકે છે. એ સમયે તેણે પોતાના વિચારો અને મનોવિકારો પર નિયંત્રણ રાખવું આવશ્યક છે. જ્ઞાનીઓએ આવાં યંત્રોની બનાવટ જાગતીક ચેતના (Cosmic Power)માંથી મેળવી છે. આ રીતે સાધક જો યંત્રની આકૃતિ અને ભાત પર ધ્યાનનું પ્રભુત્વ મેળવે તો તેની તંત્રમાર્ગ પરની પ્રગતિ ચોક્કસ થાય છે.
પરંતુ, યંત્રના ઉપયોગમાંપણ ગુરુનું માર્ગદર્શન આવશ્યક બને છે. ગુરુઓનો અનુભવ એવો છે કે કોઈ પણ સાધક એક જન્મમાં આ પ્રકારની સિદ્ધિ મેળવી શકતો નથી. તેણે એ માટે ઘણા જન્મો લેવા પડે છે. આપણે, સનાતનીઓ, પુનર્જન્મમાં માનીએ છીએ એટલે તંત્રસાધનાની વિભાવના આપણને સમજાય છે, અને તેથી તંત્રસાધના પ્રમાણમાં સરળ બને છે. પરંતુ એક જ જન્મમાં માનતા ખ્રિસ્તી, યહુદી કે ઇસ્લામ જેવા અબ્રાહમી ધર્મો માટે તંત્રમાર્ગ બહુ કઠણ બની રહે છે.
તંત્રમાં સંગીત, ભાષ્ય, અક્ષરો, સ્પંદનો મહત્વનાં છે. યંત્રમાં આકૃતિ અને ભાતનાં માધ્યમો આ માધ્યમો કરતાં પણ વધારે અસરકારક છે. આ માધ્યમો સાધકને આધ્યાત્મિક અનુભવ કરાવે છે. યંત્ર એક પ્રકારના દેવતાનું સ્થાન લે છે, જે સાધકને જ્ઞાન સુધી પહોંચાડવાનું સીધું સાધન બને છે. અહીં માયા પણ તેની ભુમિકા ભજવે છે. સાધના સમયે સાધક જો નિર્બળ બનશે તો સંસારનાં માયારૂપી બંધનોમાં તે જક્ડાઈ જશે. લાલચ અને આસક્તિથી તે ભ્રમિત થઈ જશે અને પતન પામશે. આ સમયે પોતાના અનુભવોને આધારે ગુરુ ખાસ પ્રકારના મંત્રો અને યંત્રોને આવરી લેતી વિધિઓ વડે માર્ગદર્શન પુરૂં પાડે છે. આ વિધિઓનું યોગ્ય જ્ઞાન આપીને સાધકનો બચાવ કરીને ગુરુ સાધકનો તંત્રમાર્ગ સુલભ બનાવે છે.
વેબ ગુર્જરીના સુજ્ઞ વાચકો એ સત્યથી પરિચિત હશે કે મોટાં અંબાજી, કામખ્યા દેવી અને વૈષ્ણો દેવીનાં સ્થાનકોમાં કોઈ મૂર્તિ નહીં પણ શ્રી યંત્રો છે.
ઉપસંહારમાં એમ કહી શકાય કે તંત્ર સાધનામાં પણ સાધકને અંતમાં સિદ્ધિ પછી સત્ ચિત્ આનંદનો પ્રચંડ અનુભવ થાય છે. તંત્ર એ શક્તિ ઉપાસના તો છે જે, પરંતુ તેનું અંતિમ સોપાન શિવ છે.
શિવ શું છે તે સમાજવતાં અભિનવગુપ્ત એમના ગ્રંથ ‘તંત્રસાર’માં અતિ આનંદિત થઈને જણાવે છે કે –
The Supreme Lord Shiva is essence of his own light and our own (માનવ) self. By what means then he is to be achieved? Due to his own light, he cannot be known. Due to his eternity, his essence cannot be attained …… He is undivided by time, unlimited by space, He is all in all.
પરમેશ્વર શિવ પોતાના પ્રકાશ અને આપણા પોતાના (માનવ) સ્વનો સાર છે. તો પછી તેમને કયા માધ્યમથી પ્રાપ્ત કરી શકાય? તેમના પોતાના પ્રકાશને કારણે, તેમને જાણી શકાતા નથી. તેમની શાશ્વતતાને કારણે, તેમનો સાર પામી શકાતો નથી …… તેઓ સમય દ્વારા વિભાજિત નથી, અવકાશ દ્વારા અમર્યાદિત છે, તેઓ સર્વસ્વમાં સર્વસ્વ છે.
શાક્ત તંત્ર
અત્યાર સુધી આપણે તંત્ર જે વિચારણા કરી છે તેમાં મા શક્તિને શિવનાં અર્ધાંગિની તરીકે સ્થાન આપ્યું છે. આ રીતે શિવતંત્રમાં દેવીને પ્રમાણમાં ગૌણ સ્થાન અપાયું છે. પરંતુ, શાક્ત તંત્રમાં માતાજીને સ્વતંત્ર રૂપે સાધવાની વિધિઓના વિજ્ઞાનમાં સ્થાન છે. તેમાં સૌથી પ્રમુખ નીચે મુજબની દસ વિદ્યાઓ છે –
૧) કાલી
૨) તારા
૩) ત્રિપુરા સુંદરી
૪) ભુવનેશ્વરી
૫) ભૈરવી
૬) છિન્ન મસ્તા
૭) ધુમ્રાવની
૮) બગલામુખી
૯) માતંગી
૧૦) કમલા
દસ મહાવિદ્યાઓ પર યુ ટ્યુબ પર જ્ઞાનસભર માહિતી રજૂ થતી રહે છે, જેમાં કેટલીક સ્ત્રી સાધિકાઓ પણ છે. વાચકોને એ સત્યની જાણ હશે કે ૧૯૬૨માં જ્યારે ચીને આપણા દેશ પર આક્રમણ કર્યું ત્યારે આપણી અપુરતી તૈયારીને કારણે આપણે ચીનનએ રોકી શક્યા ન હતા. એ સમયે આપણા તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નેહરૂને એવી સલાહ આપવામાં આવેલી કે મધ્ય પ્રદેશના સતનામાં આવેલાં બગલામુખી દેવીની જો તમે સાધના કરશો તો ચીનનો પ્રતિકાર કરી શકાશે. નેહરૂ નાછૂટકે એમ કરવા તૈયાર થયા. તેઓએ સતના જઈ બગલામુખી દેવી પાસે સંકલ્પ કર્યો.પછી આ દેવી પાસે વિદ્વાનોએ નવ દિવસ સુધી બગલામુખી દેવીની તાંત્રિક સાધના કરી. બરાબર નવ દિવસે સાધના પૂર્ણ થતાં જ ચમત્કાર થયો. ચીને એકપક્ષી યુદ્ધવિરામ જાહેર કરી ભારતની જીતેલી જમીન છોડી દઈ તેનું લશ્કર પાછું બોલાવી લીધું !
શાક્ત તંત્ર અને આગમોમાં કોઈ ભેદ નથી. આપણે આગમો પરના લેખમાં શાક્ત તંત્રના મુખ્ય ગ્રંથો તેમજ ઉપતંત્રોનો ઉલ્લેખ કરેલ છે.
શાક્ત તંત્રમાં ચોસઠ યોગિનીઓ (જોગણીઓ)નું મહત્વનું સ્થાન છે. હિંદુ મંદિરો તોડવાના વિદેશીઓના મુર્ખ પ્રયાસો છતાં નવમીથી અગિયારમી સદીમાં બંધાયેલાં ચોસઠ જોગણીનાં આપણાં તેર જેટલાં મંદિરો આજે પણ અસ્તિત્વ ધરાવે છે[1]. આજે પણ આ મંદિરોમાં તાંત્રિક વિધિઓ થતી જોવા મળે છે.
વૈષ્ણવ તંત્ર પર આપણે ચર્ચા નથી કરી કેમકે શિવશક્તિ તંત્રવિજ્ઞાન પરિપૂર્ણ છે, અને તેમાં બધું તાંત્રિક જ્ઞાન સમાઈ જાય છે.
હવે પછીના મણકામાં લેખમાળાના સમાપન ભણી આગળ વધતાં કઈક વિશેષ વિચારણીય મુદ્દાઓ વિશે વાત કરીશું.
[1] Serial nomination of Chausath Yogini Temples
શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
ધારાગૃહોના બાહ્ય રૂપરંગ તો બદલાય છે પણ આંતરસત્વનું શું?
નિસબત
ચંદુ મહેરિયા
અંગ્રેજોના જમાનાના સો વરસ જૂના સંસદભવનને સ્થાને રાજધાની દિલ્હીમાં ૨૦૨૩થી નવું સંસદભવન કાર્યરત છે. ભારતીય વાસ્તુકલા પર આધારિત ત્રિકોણીય આકારનું સંસદભવન ૬૪,૫૦૦ વર્ગમીટરમાં બનેલું છે. લોકસભા ભવન રાષ્ટ્રીય પક્ષી મોર અને રાજ્યસભા ભવન રાષ્ટ્રીય ફૂલ કમળની થીમ પર ડિઝાઈન કર્યું છે. જૂના સંસદભવનની તુલનાએ નવામાં ભવિષ્યમાં સાંસદોની સંખ્યા વધશે તેને ધ્યાનમાં રાખીને વધુ બેઠકોની વ્યવસ્થા કરવામાં આવી છે. તે વધુ મોકળાશ ધરાવતું, આધુનિક સગવડોથી સજ્જ તો છે જ લોકસભા ગૃહમાં અધ્યક્ષના આસન નજીક રાજદંડ (સેંગોલ) સ્થાપિત કરવામાં આવેલ છે. ૧૯૨૭માં જૂના સંસદભવનના નિર્માણનો ખર્ચ રૂ.૮૭ લાખ થયો હતો. ૨૦૨૩માં નવા સંસદભવનના નિર્માણનો ખર્ચ રૂ.૮૬૨ કરોડ થયો છે.

નવું સંસદ ભવન
સાંદર્ભિક તસવીરઃ નેટ પરથીઆંધ્રપ્રદેશના વિભાજનથી રચાયેલા બે રાજ્યો પૈકી તેલંગણાના ફાળે હૈદરાબાદ આવ્યું એટલે આંધ્રને નવા પાટનગરની જરૂર પડી. નવું પાટનગર અમરાવતી ભારતનું સૌથી આધુનિક પાટનગર હોવાના દાવા થાય છે. અમરાવતીમાં આકાર લઈ રહેલું વિધાનસભા ભવન દેશમાં સૌથી ઉંચું હશે. કોહિનૂર આકારની વિધાનસભાની ઈમારત ૨૫૦ મીટર ઉંચા શિખરનુમા ભવન તરીકે નિર્માણ પામી રહી છે. નવા વિધાનસભાના બિલ્ડીંગનો નિર્માણ ખર્ચ અંદાજિત રૂ. ૧૮૧૬ કરોડ છે.
૧૯૮૨થી ગાંધીનગરના વિઠ્ઠલભાઈ પટેલ ભવનમાં ગુજરાતની વિધાનસભા કામ કરે છે. સાડા ત્રણ દાયકે ૨૦૧૮માં તેનું રૂ. ૧૩૫ કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું હતું. દર બે દાયકે ગુજરાત વિધાનસભાના સભ્યો માટેના નિવાસસ્થાનો નવા બાંધવામાં આવે છે. આરંભે ધારાસભ્યોના આવાસો 1BHK હતા. નવા 5BHK છે. સદસ્ય નિવાસ જેવા સાદા નામે ઓળખાતા નવા નિવાસો લક્ઝુરિયસ ફુલ્લી ફર્નીશ્ડ ફ્લેટ છે. જેમાં ત્રણ બેડરૂમ, લિવિંગ રૂમ, કિચન, ઓફિસ રૂમ અને સર્વન્ટ -ડ્રાઈવર રૂમની સગવડ છે.સદસ્ય નિવાસ ૨૮,૫૭૬ ચોરસમીટરમાં વિસ્તરેલું સંકુલ છે. ૨૧૬ સભ્યો માટે તે બાંધ્યા છે. કપડાં સુકવવાની દોરીથી માંડીને નહાવાધોવાની ડોલ, ટમ્બલર,ફ્લોર ક્લીનર અને ફિનાઈલ પણ માનનીયોને સરકાર પુરી પાડવાની છે. લગભગ રૂ. દોઢસો કરોડના ખર્ચે બંધાયેલા નવા ધારાસભ્ય આવાસો માનનીયોને નિ:શુલ્ક આપવાના નથી. માસિક રૂ. ૩૭ ભાડુ લેવાશે.
પંજાબ અને દિલ્હી વિધાનસભાએ નવી પહેલ કરી છે. દિલ્હી વિધાનસભા ભવન હવે પૂર્ણપણે સૌર ઉર્જા સંચાલિત દેશનું પહેલું વિધાનસભા ભવન છે. પંજાબ ભારતનું એવું પહેલું રાજ્ય છે જેની વિધાનસભાની કાર્યવાહીનું પ્રસારણ સાંકેતિક ભાષામાં પણ થાય છે. પંજાબે મૂક બધિર વ્યક્તિઓ માટે વિધાનસભાની કાર્યવાહીનું પ્રસારણ સાંકેતિક ભાષામાં શરૂ કરીને તેમના માટે પણ તે સુલભ બનાવી છે. બજેટ સત્રનું રાજ્યપાલનું અભિભાષણ અને અન્ય મહત્વની ચર્ચાઓ સાંકેતિક ભાષામાં પ્રસારિત થઈ હતી. દિલ્હી વિધાનસભાની વાર્ષિક વીજળી જરૂરિયાત ૭,૦૦,૦૦૦ યુનિટ છે પરંતુ સૌર ઉર્જાથી ૮, ૨૦,૦૦૦ યુનિટ વીજળી ઉત્પન થશે. એટલે સરપ્લસ વીજળી વેચી શકાશે અને વીજળીનો ખર્ચ બચશે. વળી સૌર ઉર્જા સંયંત્રો લગાવવાનો ખર્ચ બે કરોડ જ થયો છે.વૈકલ્પિક ઉર્જાના ઉપયોગની દિશામાં આ મહત્વની પહેલ છે.
સંસદ અને રાજ્યોની વિધાનસભાઓના બાહ્ય રૂપરંગ બદલાય છે તેને કલાત્મક વાઘાઓથી સજાવાય છે પરંતુ શું તેનાથી તેની કાર્યવાહીમાં કોઈ બદલાવ આવે છે ખરો? દેશની અર્ધી આબાદી એવી મહિલાઓના પ્રતિનિધિત્વના મુદ્દે હજુ પણ કશો ફેર પડ્યો નથી. અઢાર અઢાર લોકસભા ચૂંટણીઓ પછી સંસદમાં હાલમાં ૭૪ મહિલા સાંસદો છે. દેશના કુલ મતદારોમાં મહિલા મતદારો ૪૮ ટકા છે પરંતુ લોકસભામાં માત્ર ૧૩ ટકા જ મહિલા સાંસદો છે. હરિયાણા વિધાનસભાના ૯૦ ધારાસભ્યોમાં ૧૩ મહિલા(૧૪ ટકા) ધારાસભ્યો છે જે દેશમાં સૌથી વધુ છે. પરંતુ નાગાલેન્ડ ની ધારાસભામાં એકપણ મહિલા ધારાસભ્ય નથી. સામંતી અને લિંગાનુપાતમાં તળિયે રહેલા હરિયાણામાં સૌથી વધુ મહિલા પ્રતિનિધિત્વ અને માતૃપ્રધાન, શિક્ષણ અને સ્ત્રી-પુરુષ સમાનતામાં આગળ નાગાલેન્ડમાં કોઈ મહિલા ધારાસભ્ય ન હોય તે ભારતીય લોકતંત્રની સામાજિક બલિહારી છે.
ધારાગૃહોની કામગીરીમાં પ્રશ્નકાળ સૌથી મહત્વનો છે.તેમાં પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રધાનોને જાહેર હિતના પ્રશ્નો પૂછે છે. તેના લેખિત જવાબો તો અપાય છે તેના પર પૂરક પ્રશ્નો મારફતે ચર્ચા પણ થાય છે. પરંતુ સંસદ અને વિધાનસભાઓનો પ્રશ્નકાળ હોબાળામાં વેડફાઈ જાય છે. પરંતુ પ્રશ્નકાળની ઉપયોગિતા સમજીને તેને સાર્થક બનાવવાનું કોઈને સૂઝ્યું નથી. સંસદના બંને ગૃહોની શરૂઆત અગિયાર વાગ્યે પ્રશ્નકાળથી થાય છે. એક અંદાજ મુજબ પ્રશ્નકાળની એક મિનિટનો ખર્ચ અઢી લાખ રૂપિયા છે. છતાં તેનો યોગ્ય ઉપયોગ થતો નથી.
૨૦૧૪માં તત્કાલીન રાજ્યસભા અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ હામીદ અન્સારીએ ગૃહનો આરંભ શૂન્યકાળથી અને તેના એક કલાક પછી બાર વાગે પ્રશ્નકાળનો આરંભ કરવાનો નિર્ણય કર્યો હતો. આટલો નાનો ફેરફાર કરતાં દેશને સાઠ વરસો લાગ્યા છે.પરંતુ આ બદલાવથી ઘણો ફેર પડ્યો છે. ધારાગૃહોની કામગીરીમાં આવા બદલાવ તેના બાહ્ય રૂપરંગમાં બદલાવ જેટલા જ મહત્વના છે.
સંસદીય કામગીરીમાં ગંભીરતાનો અભાવ અને સભ્યોની ગેરહાજરી એવો જ બીજો સવાલ છે. ૧૯૫૨થી ૧૯૭૦ના સમયગાળામાં લોકસભાની કામગીરી સરેરાશ ૧૨૦ દિવસની હતી.પરંતુ હવે તેમાં સતત ઘટાડો થતો રહ્યો છે. ૨૦૨૨માં ૫૬ દિવસો માટે જ લોકસભાની બેઠકો યોજાઈ હતી. બ્રિટનની સંસદ ૧૫૦ અને અમેરિકાની સંસદ ૧૦૦ દિવસો કામ કરે છે. પરંતુ વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશમાં લોકસભાની કામગીરીના દિવસો જ બહુ ઓછા છે. છેલ્લા બે દાયકામાં લોકસભાની કામગીરીની ઉત્પાદકતા સરેરાશ ૧૪ ટકા અને રાજ્યસભાની ૨૨ ટકા જેટલી નીચી છે.
સંસદ અને રાજ્યોની વિધાનસભાઓમાં જ્યારે બેઠક ચાલુ હોય ત્યારે લોબીમાં મુકવામાં આવેલ રજિસ્ટરમાં સભ્યોએ સહી કરી હાજરી પૂરવાની હોય છે. લોબીમાં મૂકેલ રજિસ્ટરમાં સહી કર્યા પછી માનનીયો ગૃહમાં જાય છે કે કેમ તે નહીં પૂછવાનું. પેપરલેસ સંસદને અનુલક્ષીને હવે સાંસદો તેમની બેઠક પર બેસીને મલ્ટી મીડિયા ડિવાઈસથી હાજરી નોંધાવી શકે છે. જોકે હાજરી નોંધાવવામાંથી સમગ્ર પ્રધાનમંડળને મુક્તિ મળી છે. એટલે વડાપ્રધાન આને મંત્રીઓ કેટલા દિવસ સંસદમાં હાજર હતા તે જાણી શકાતું નથી.
બંધારણ સમીક્ષા પંચ (૨૦૦૨)ની ભલામણ હતી કે ૭૦ થી ઓછા સભ્યો ધરાવતી વિધાનસભાની બેઠકો ઓછામાં ઓછા ૫૦ દિવસો અને તેનાથી વધુ બેઠકો ધરાવતી વિધાનસભાની બેઠકો ૯૦ દિવસો માટે મળવી આવશ્યક છે. પરંતુ બે વરસ પૂર્વેના આંકડા જણાવે છે કે ૨૦૨૩માં રાજય વિધાનસભાઓ સરેરાશ ૨૩ દિવસો માટે જ મળી હતી. ૧૨ રાજ્યોની વિધાનસભાઓએ તો ૧૦૦ કલાક થી ઓછું કામ કર્યું હતું. ૪૪ ટકા વિધેયકો ગૃહમાં રજૂ થયા તે જ દિવસે કે બીજા દિવસે ખાસ કશી ચર્ચા વિના પસાર થયા હતા. કૃષિ બિલ અને શ્રમ સુધારા બિલ જ નહીં બજેટ પણ લોકસભામાં વિના ચર્ચાએ પસાર થયું હતું. સંસદની બેઠકોની ગેરહાજરીમાં સંસદીય સમિતિઓ વિધેયકો પર ગહન ચર્ચા કરે છે. પરંતુ તેમાં પણ ઘટાડો થયો છે. ૧૫મી લોકસભામાં ૭૧ ટકા બિલો સંસદીય સમિતિઓને ચર્ચા માટે આપવામાં આવ્યા હતા. સત્તરમી લોકસભામાં માત્ર ૧૩ ટકા બિલો જ સંસદીય સમિતિના હવાલે થયા હતા..
સંસદ અને ધારાગૃહો ઈંટ પથ્થરથી ચમકતી શાનદાર ઈમારતો નથી. તેણે આ દેશના ભાવિનું ઘડતર કરવાનું છે. એટલે બાહ્ય રંગરોગાન સાથે ભીતરી લોકતંત્ર પર પણ ધ્યાન આપવાની તાતી જરૂર છે.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
સંભારણું – ૧૦ – અનોખો થરથરાતો અનુભવ!!
શૈલા મુન્શા
શુક્રવાર ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૧, એ દિવસ મારા જીવનનો એવો અનુભવ જે ક્યારેય નહિ ભૂલાય. એક અઠવાડિયું પસાર થઈ ગયું; મારી જિંદગીનો એ ડરાવનાર, રોમાંચકારી અનુભવ રહ્યો.
સામાન્ય રીતે અમેરિકાનું ટેક્ષ્સાસ સ્ટેટ હરિકેન અને ટોર્નાડો માટે પ્રખ્યાત છે. જૂન મહિનો આવે ત્યારથી વેધશાળા આવનારા હરિકેનની સૂચના અને જાણકારી આપવા માંડે, સાવચેતીનાં પગલાં લેવાનું લાંબુ લીસ્ટ આવી જાય.
૨૦૧૭માં હ્યુસ્ટને એવું વિનાશકારી હરિકેન હાર્વી અનુભવ્યું જેમાં પાંચ દિવસ સુધી વરસાદની અનરાધાર હેલી, અને ડેમના દરવાજા અણધાર્યાં ખોલવાથી હજારો લોકોના ઘર પાણીમાં ડુબી ગયા. જ્યાં ક્યારેય પાણીના ભરાય એવા શ્રીમંતોના ઘર જળબંબાકાર થઈ ગયા. એમાંથી બહાર આવતા લોકોને વરસ થઈ ગયું.

એ પછી જે આફત આવી એ અમારા માટે કદી ન અનુભવેલી આફત હતી.
વેધશાળાએ આવનારા Winter storm ની ચેતવણી આપી જ હતી. સ્કૂલમાં બધા Winter storm આવવાની વાતો કરતાં હતા. અગમચેતી વાપરી સ્કૂલમાં સોમ, મંગળ બે દિવસની રજા જાહેર કરી દીધી હતી. સ્કૂલમાંથી નીકળતા સહુ એકબીજાને ધ્યાન રાખવાનું, જરૂરી ગ્રોસરી વગેરે ભરી લેવાની સલાહ આપતાં છૂટા પડ્યાં.
શનિવારથી થોડી થોડીવારે નજર ટીવીના સમાચાર પર જતી. રવિવારે માનસિક તૈયારી સાથે સુતા પહેલાં બાથરુમ, રસોડાનાં બધા નળમાં ધીમુ પાણી ચાલું રાખ્યું, બહારની પાઈપ લાઈન પર જાડો ટુવાલ લપેટી દીધો. અડધી રાતથી સ્નો ચાલુ થશે એ વેધશાળાની ખબર હતી.
ભગવાનને સહુની રક્ષા કરવાની પ્રાર્થના સાથે પથારીમાં લંબાવ્યું.
મધરાતે લાઈટ ગઈ અને ઉષ્ણતામાનનો પારો ૦ ડીગ્રીથી નીચે સરકવા માંડ્યો. સવારે આંખ ખોલી બારી બહાર નજર કરી, સફેદીની ચાદર સર્વત્ર પથરાઈ ચુકી હતી. મન આનંદવિભોર થઈ ગયું. અમારા માટે તો આ નજારો અપ્રાપ્ય હતો. કુદરતનું આ અનુપમ રૂપ થોડીવાર તો મનભરીને માણ્યું, પણ તરત વાસ્તવિકતાની ધરતી પર આવી ગયા.
ઊઠીને ચા, દેવતાની આરાધના કર્યા વગર પ્રાતઃક્રિયા શરુ ના થાય અને ઘરમાં ઈલેક્ટ્રીક સ્ટવ એટલે કશું જ રાંધી ના શકાય. હમણા લાઈટ આવશે, હમણા લાઈટ આવશે કરતાં બપોર થઈ. ફ્રીઝરમાંથી ગળી ચટણી, તીખી ચટણી બધું કાઢી રાખ્યું હતું એટલે ભેળપુરીનું જમણ કરી “પરિક્રમા” નરેંદ્રભાઈ ફણસેનું અદ્ભૂત પુસ્તક ફરી વાંચવા હાથમાં લીધું. ફોનની બેટરી ખતમ થવા આવી એટલે માંડ સંદેશાની આપ લે કરવા થોડીવાર ચાલુ કરી પાછા બંધ કરતા દિવસ વિતાવ્યો. ગાડીમાં જઈ ફોન થોડો ચાર્જ કરી લીધો.
મારી બહેન અને મિત્રો જેનો સંપર્ક કર્યો, મોટા ભાગના મિત્રોની હાલત અમારા જેવી હતી. કોઈ ભાગ્યશાળીને ત્યાં લાઈટ હતી તો પાણી બંધ થઈ ગયું હતું.
સોમવાર રાતે લગભગ ૨.૦૦ વાગે લાઈટ આવી. થોડી હાશ થઈ અને લાગ્યું કે હવે વાંધો નહિ આવે. સવારે ઊઠી હજી તો માંડ ચા કોફી કર્યાં ત્યાં તો વીજળી પાછી વેરણ થઈ. એ દિવસે ભોજનમાં પાણીપુરીની જ્યાફત!!
વાદળછાયા દિવસમાં અંધારું વહેલું થાય અને લાઈટ વગર મીણબત્તીના આશરે કપડાં પર કપડાં પહેરી, માથે ગરમ ટોપી, હાથે પગે મોજા અને ઉપરથી શાલ વીંટી ઠંડીને મ્હાત આપવાની કોશિશ કરતાં રહ્યાં. પેટીપેક ઘરમાં પણ ઠંડીના સૂસવાટા છેક શરીરના હાડમાં પેસી થથરાવી દેતા હતાં
પહેલીવાર ખ્યાલ આવ્યો જ્યાં વરસના ચાર પાંચ મહિના આવી જ મોસમ રહે છે ત્યાં લોકો કેમ જીવતાં હશે???
ખૂબીની વાત એ છે કે મારી સખી મીના જે શિકાગો રહે છે એ ત્યારે જ અમને એના ઘર બહારના બરફના ઢગલાના ફોટા મોકલી રહી હતી અને કેટલા આનંદથી આ મોસમ માણી રહ્યાની વાત કરતી હતી.
મંગળવાર દિવસ અને રાત વીજળી વેરણ જ રહી. સ્કૂલમાંથી સમાચાર આવી ગયા કે શુક્રવાર સુધી રજા લંબાવામાં આવી છે. લાઈટ વગર ઈન્ટરનેટ વગર બાળકોને ઘરેથી પણ ક્યાં ભણાવી શકાય એમ હતું.
બુધવાર સવારે થોડો તડકો નીકળ્યો, રસ્તાનો બરફ સાફ થઈ ગયો એટલે વિચાર્યું ચાલો પાસે જ શિપ્લે ડોનટની દુકાન છે તો ત્યાં જઈ ગરમ કોફીને ડોનટ લઈ આવીએ. ત્યાં પહોંચ્યા તો મસમોટી લાઈન!!! દરવાજા બહાર પણ વીસ પચીસ જણ ઠુંઠવાતા ઊભા હતા, શું કરવું!! જો લાઈનમાં ઊભા રહીએ તો અમારી જ freezing rain માં કુલ્ફી થઈ જાય એવું હતું.
સંકટ સમયની સાંકળ જેવા અમારા મિત્ર ચારુબહેન અને નીતિનભાઈ યાદ આવ્યા. એમને ત્યાં લાઈટ હતી અને એમના ફોન બે ત્રણ વાર આવી ગયા હતાં કે અમારે ત્યાં આવી જાવ. જ્યાં સુધી રસ્તાનો બરફ પીગળ્યો નહોતો ત્યાં સુધી ગાડી ચલાવવી બહુ જોખમી હતી, પણ એ દિવસે વાંધો આવે એમ નહોતું. તેઓ અમારા ઘરથી ચાર પાંચ માઈલ દુર હતા. હિંમત કરી એમના ઘરે પહોંચી ગયા.
ગરમ ગરમ ચા સાથે ગરમ નાસ્તો, જાણે ભગવાન મળ્યા એવો આનંદ થયો. અકરાંતિયાની જેમ ચા નાસ્તા પર તૂટી પડ્યા. એમણે તો રોકાઈ જવાનો, જમીને જવાનો ખૂબ આગ્રહ કર્યો, પણ આ ભયંકર ઠંડીમાં ઘણા અમારા મિત્રોના ઘરમાં પાણીની પાઈપ ફાટવાથી ભારે નુકસાન થયું હતું એટલે ઘર છોડીને ક્યાંય જવાની હિંમત નહોતી. અમારી બાજુમાં જ વૃધ્ધ ભાઈ એકલા રહે છે, એ એમના મિત્રના ઘરે રહેવા ગયા હતાં અને ગુરૂવારે જ્યારે પાછા અવ્યાં ત્યારે એમના એટિકમાં પાઈપ ફાટી હતી અને બાથરુમની શીલીંગ તુટી ઘરમાં બરફના ચોસલાં પડ્યાં હતાં.
બુધવારે મિત્રના ઘરે ચાનાસ્તો કરી અને જમવાનું ટીફીન લઈ ઘરે આવ્યાં. રાતે બાર વાગે વીજળીદેવી પ્રસન્ન થયાં, જીવમાં જીવ આવ્યો. ગુરુવારે ચાર દિવસે અને લગભગ ૩૬ કલાક લાઈટ વગર રહ્યાં પછી ઘરે ગરમ ગરમ ખિચડી, કઢી, પાપડ, શાક ખાઈ સંતોષનો ઓડકાર લીધો.
હજી એક રાત કાઢવાની બાકી હતી, ગુરુવારની રાતે પાછું તાપમાન ઝીરો ડીગ્રીથી પણ નીચે જવાનુ હતું. અમારા સબડીવીઝનમાં બે ત્રણ ઘરમાં પાઈપ ફાટવાથી થયેલ ભયંકર નુકસાનની વાતો સાંભળી રાતે ઊંઘ ક્યાંથી આવે???
ભારતમાં જ્યારે હતાં ત્યારે વીજળીનો કાપ, પાણીનો કાપ એ બધું સહજ હતું, પણ અમેરિકા જેવા આધુનિક દેશમાં લાખો લોકો વીજળી અને પાણી વગર ત્રણ ત્રણ દિવસ કાઢે એ માનવામાં આવે એવું નહોતું.
કુદરત જ્યારે એનો પરચો બતાડે ત્યારે શું ભારત કે શું અમેરિકા??
શુક્રવાર આવી ગયો. એક અઠવાડિયું એક નવા કદી ના થયેલા રોમાંચકારી, થરથરતાં અનુભવે પસાર થઈ ગયું.
ઈશ્વરને પ્રાર્થના આવી ઘડી ફરીના આવે. સહુની પ્રાર્થના, દુઆએ અમને હેમખેમ રાખ્યાં.
સર્વ આપ્તજનોનો આભાર માનીએ એટલો ઓછો!!
જીવનનો આ અનુભવ આ સંભારણું કદી ભુલાય એમ નથી.
સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::
ઈ-મેલ: smunshaw22@yahoo.co.in
બ્લૉગ: www.smunshaw.wordpress.com -
સાર્ધ શતાબ્દીનો કળશ: ‘વંદે માતરમ્’ની સ્વીકૃતિ
તવારીખની તેજછાયા

પ્રકાશ ન. શાહ
રાષ્ટ્રીય ગાન તરીકે સત્તાવાર અલંકૃત અને રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ની બરોબરીનું વિધિવત સન્માનપ્રાપ્ત ‘વંદે માતરમ્’ હવે સાર્ધ શતાબ્દીએ પહોંચ્યું છે ત્યારે ભારત સરકાર વરસ આખું એના ઓચ્છવની રીતે મનાવે, એથી કોણ રાજી ન થાય?
છતાં આ રાજીપો, કંઈક કુંડાળામાં પડી ગયેલો કે પડું પડું વરતાય છે એવું કેમ. વડાપ્રધાને ‘મન કી બાત’માં અને પછી સાતમી નવેમ્બરે સાર્ધ શતાબ્દીના શ્રીગણેશ માંડતા જે વાતો કરી એમાંથી કેમ જાણે એક રાષ્ટ્રીય નેતૃત્વ કરતાં વચ્ચે વચ્ચે પક્ષપરિવારી વિચારધારા સોડાતી હતી.
રહો, જરા વિગતે વાત કરીએ. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય ‘આનંદમઠ’ નવલકથામાં લઈ આવ્યા અને એ જાણીતું થયું તે જરૂર સાચું છે. ‘આનંદમઠ’માં એનો ઉપયોગ સંઘર્ષગાન રૂપ માતૃવંદના રૂપે થયો છે.
એક એવું આકલન પણ કાલજયી ‘વંદે માતરમ્’ અને યુગપ્રવર્તક ‘આનંદમઠ’ને અનુલક્ષીને થયું છે કે સર્જકે સ્વરાજ સંદેશ સારુ લીધેલું ઓઠું ચોક્કસ સમજથી અંગ્રેજ શાસકોને ટાળીને હિંદુ-મુસ્લિમ તરેહનું લીધું છે. તેમ છતાં, સંતાનધર્મની અપીલ અને ‘વંદે માતરમ્’ની મોહનીનો એક સાક્ષાત્કારક અનુભવ ૧૯૦૫ના બંગબંગ દિવસોમાં એની અસલ અપીલ (‘આનંદમઠ’ પૂર્વે હોઈ શકતી અપીલ)નો હતો એ પણ ઈતિહાસવસ્તુ છે. એની તરજ બાંધી રાખીબંધનના ભાવપૂર્વક કોલકાતાની સડકો પર ફરી વળતા યુવા રવીન્દ્રનાથનું સ્મરણ એટલું જ રોમાંચક છે જેટલું આકર્ષક બંકિમબાબુનું સ્મરણ પણ છે.
પણ, ઈતિહાસ જેનું નામ એને તમે ને હું બધો વખત બન્યો ન બન્યો તો નયે કરી શકીએ. ‘વંદે માતરમ્’ના ઉત્તર ભાગમાં આવતો દુર્ગાનો ઉલ્લેખ, આમ તો કવિની દૃષ્ટિએ માતૃમૂર્તિનો ઉલ્લેખ, કાળક્રમે કોઈ મુસ્લિમ ફિરકાને ભારતસમસ્તને બદલે પક્ષિલ લાગ્યો એ પણ ઈતિહાસવસ્તુ છે. કોલકાતામાં એક તબક્કે હિંદુ-મુસ્લિમ તનાવ વખતે એક પક્ષે ‘વંદે માતરમ્’નો ઉપયોગ ‘વૉર ક્રાય’ તરીકે થયો તે કમનસીબ બીના પણ ઈતિહાસદર્જ છે.
સંઘ તો સ્વરાજ લડતમાં સીધો નહોતો પણ લડતમાં પડેલાઓ વચ્ચે લાંબી ચર્ચા આ સંદર્ભે થઈ છે અને રાષ્ટ્રીય લડતને હિંદુ મહાસભા તેમ મુસ્લિમ લીગ વચ્ચેના તનાવમાંથી બહાર કાઢવાનો હેતુ એની પાછળ રહ્યો છે. 1937માં મૌલાના આઝાદ, સુભાષબાબુ, જવાહરલાલ, રવીન્દ્રનાથ અને નરેન્દ્રદેવે એને વિશે સઘન વિચારણા કરી એમાંથી એનું વર્તમાન સ્વીકૃત સ્વરૂપ બહાર આવ્યું છે. સ્વરાજની પહેલી કેબિનેટે તે મે 1948માં બહાલ રાખ્યું ત્યારે શ્યામાપ્રસાદ મુખર્જી પણ એમાં સંમત અને સહભાગી હતા.
એક તબક્કે સુભાષબાબુએ પૂર્ણ ‘વંદે માતરમ્’ કોઈ હિંદુ રચના નથી તેમ કહ્યું પણ હતું. પણ રવીન્દ્રનાથ સાથેની ચર્ચા પછી એમણે એના અનર્થઘટનની શક્યતા સ્વીકારી. રવીન્દ્ર-રચના જન ગણ મન (જેનો પણ આરંભનો અંશ જ રાષ્ટ્રગીત તરીકે સ્વીકારાયો છે) પહેલી વાર મોટે પાયે પ્રયોજાઈ તે દેશ બહાર સુભાષબાબુએ રચેલ આઝાદ હિંદ સરકારના વારામાં- એમાં પણ સંસ્કૃતનો વિનિયોગ સુભાષબાબુએ સ્વીકૃત સ્વરૂપમાં ઘટાડ્યો હતો અને સામાન્યપણે જેને હિંદુસ્તાની કહી શકીએ એવી બાનીમાં એ મૂક્યું હતું.
જે મુદ્દો આપણા ખયાલમાં નથી આવતો તે એ છે કે જેમ જેમ સામસામી ઓળખોનું રાજકારણ વિકસે તેમ વ્યાપકપણે વસવા જોઈતા મુદ્દા સામસામા સાંકડા અર્થોમાં મુકાઈ જાય છે. પોંડિચેરીવાસમાંથી, મુંજે અને હેડગેવારના આગ્રહ છતાં, અરવિંદે કોંગ્રેસ નેતૃત્વ માટે (તિલકની ખોટ પૂરવા) બહાર આવવાની ના પાડી ત્યારે જેમ એમણે શરૂ કરેલ સાધનાનું કારણ હતું તેમ પોતે ‘વંદે માતરમ્’થી માંડી ‘ધર્મ’ સુદ્ધાંની સાંકડી ઓળખની બહાર ચાલી ગયા છે એ સ્પષ્ટતા પણ કામ કરી ગઈ જણાય છે. છૂટપૂટ ઉલ્લેખો નહીં પણ ‘સમગ્ર અરવિંદ’માંથી પસાર થતાં એ સમજાય છે.
જરા જુદી રીતે, ‘વંદે માતરમ્’ સંદર્ભે નહીં પણ એમાં ઉપયોગી એક વિગત હું જનસંઘના આદ્ય સ્થાપકો પૈકી બલરાજ મધોકને સંભારીને કરવા ઈચ્છું છું. મધોક સંઘમાં જોડાયા ત્યારે પ્રાર્થનામાં અલબત્ત જોડાતા. પણ આરંભકાળની એ પ્રાર્થના ‘રામદૂત હનુમાન’ને અનુલક્ષીને રચાઈ હતી.
મધોકે આત્મકથામાં સંભાર્યું છે કે એમના આર્યસમાજી ઉછેરની કારણે એમને એમાંથી મૂર્તિપૂજાની બૂ આવતી ને તે કઠતી. પછી ‘નમસ્તે સદાવત્સલે’ એ પ્રાર્થના આવી ત્યારે એમના દિલને કરાર વળ્યોય ‘વંદે માતરમ્’ પર જ્યારે ચર્ચા ચાલી ત્યારે રવીન્દ્રનાથે પણ સંભાર્યું છે એમાં આવતો પ્રતિમાપૂજા જેવો અંશ એમના બ્રાહ્મો ઉછેરને કઠતો હતો.
અરવિંદનું એક બીજું અવલોકન સંભારું? એમણે કહ્યું છે કે ૧૯૧૬માં જે લખનૌ પેક્ટ થયો, તિલકે જેમાં આગળ પડતો ભાગ લીધો અને હિંદુ-મુસ્લિમ બેઠક વહેંચણીથી સમાધાન સાધ્યું, એને પરિણામે ભલે અણધાર્યું પણ એવું થયું કે બે જુદી ઓળખોને ધાર અને આધાર સાંપડ્યો, સ્વીકૃતિ મળવામાં સગવડ થઈ. આ પ્રક્રિયામાં પોતપોતાનો અલગાવવાદી એજન્ડા ઉછાળતા મુસ્લિમ લીગ અને હિંદુ મહાસભાને સ્વાભાવિક જ મોકા પર મોકા મળી રહ્યા.
સ્વરાજ સંગ્રામ અને સ્વરાજ નિર્માણની સમગ્રતા ‘વંદે માતરમ્’ની ઘટનાને જોવા-સમજવા તેમ તપાસવા અને બિરદાવવાના ઉપક્રમને કોંગ્રેસે (જ્યારે તે પક્ષ કમ અને રાષ્ટ્રીય ચળવળ વધુ હતી ત્યારે) ‘વંદે માતરમ્’ના ટુકડા કર્યા ને દેશના ભાગલા પાડ્યા એવા સપાટબયાનીનો મામલો આ નથી.
સરકારી કચેરીઓમાં સંપૂર્ણ ‘વંદે માતરમ્’ ગવાયાના હેવાલોમાંથી ઊઠતી છાપ કોઈ રાષ્ટ્રીય ઉજવણી કરતાં વધુ તો કોંગ્રેસ વિરોધી રાજકારણની ઊઠે છે, અને બંધારણ સભામાં સ્વીકૃત સમજનો એમાં અનાદર છે તે વધારામાં. ‘વંદે માતરમ્’ વિવાદને અંતે સર્જાયેલ એકંદરમતી સમજવામાં મદદ મળશે એ આશાઅપેક્ષાએ સાર્ધ શતાબ્દી ઉજવણાંનું સ્વાગત.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૧૯– ૧૧– ૨૦૨૫ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
માછલી સાથે જ દરિયો | કોઈને કે’તા નહીં
માછલી સાથે જ દરિયો
– ધૂની માંડલિયા
માછલી સાથે જ દરિયો નીકળ્યો,
લ્યો ઋણાનુબંધ પાછો નીકળ્યો.ચાંદની સમજી અમે મુઠ્ઠી ભરી,
મૂઠ ખોલી ત્યાં જ તડકો નીકળ્યો.સાંજ પડતાંયે ફર્યુ ના એટલે,
શોધવા પંખીને માળો નીકળ્યો.હુંજ મારા ભાર થી થાકી ગયો,
હું હતો એ ‘હું’ જ ખોટો નીકળ્યો.આશરો કેવળ નદીને જે હતો,
એક દરિયો એય ખારો નીકળ્યો.થોભવાનો થાક વસમો હોય છે,
માર્ગ સમજ્યો એ ઉતારો નીકળ્યોઆગિયાઓ ઉજળા છે કે પછી-,
વેશ બદલી સૂર્જ ઊડતો નીકળ્યો.
કોઈને કે’તા નહીં
– હરદ્વાર ગોસ્વામી
વાત છે આ સાવ અંગત, કોઈને કે’તા નહીં.
લ્યો, પડી છે આપની લત કોઈને કે’તા નહીં.આયના હારી ગયાં છે, એકસો ને આઠ વાર,
સાદગીનું એટલું સત, કોઈને કે’તા નહીં.આપની બસ યાદમાં, ટીપુંયે લોહી ક્યાં બચ્યું?
આજ શાહીથી લખ્યો ખત, કોઈને કે’તા નહીં.શ્વાસથી નખશિખ નવડાવી, પ્રથમ ને એ પછી,
આંખથી એંઠી કરે, ધત્ત, કોઈને કે’તા નહીં.આપની આંખે રહેવાનું, થયું છે આજકાલ,
જોઈ લીધી મેં ય જન્નત, કોઈને કે’તા નહીં. -
એશિયાનું કલંક યાને કોરીયાની કથા

પ્રકાશક તરફથી.



“વીસ વીસ હજારને જેલ મોકલ્યા; કરોડની પૂર્તિ કરી; બબ્બે વર્ષથી જાડાં ખડબચડાં ખાદીનાં કપડાંથી ચલાવીએ છીએ; એ બધું છતાં સ્વરાજ્ય ક્યાં છે ? આમ ક્યાં સુધી તપાવવા – સતાવવા ધાર્યા છે ?” સ્વાધીનતા – સ્વતંત્રતાની ધગશ વિનાના, માત્ર પ્રવાહને વશ થઈ થોડાક પૈસા ફેંકી દેનારા કે ખાદી ધારનારા, આવેશના સમયમાં થોડું ઘણું સહન કર્યાં પછી તુરત થાકી જનારા, આ બે વર્ષમાં હિંદુસ્થાને ઘણું કરી નાખ્યું છે–છતાં કાંઈ નથી મળ્યું એમ માની હતાશ થઈ જનારા, વર્ષો અને રૂપિયાના સરવાળા બાદબાકી કરી તે ઉપરથી ‘સ્વરાજ્ય’ના દાખલા મેળવવા બેસનારા અમારા ગુજરાતી બંધુઓને ચરણે આજે અમે અમારી પુસ્તકમાળાનું આ દ્વિતીય પુસ્તક — કોરીયાની કથા ધરીએ છીએ. જેને આંખ હોય તે વાંચે, જેને બુદ્ધિ હાય તે સમજે, જેને દિલ હોય તે ઉતારે એના શિક્ષાપાઠ સ્વાધીનતા દેવીનું ખપ્પર કેટલું અગાધ છે, કેટકેટલા ભોગો એક દેશને પોતાની સ્વતંત્રતા સાચવવા, પોતાનું સ્વમાન ટકાવવા, પોતાની ગુલામી ફેડવા, આપવા પડે છે તેનું એક સુંદર દ્રષ્ટાંત કોરીયા પુરૂં પાડશે. વિલાસનું ઝેર, અને દેખાતી એ સગવડોની માયા આજે જે હિંદી જનતાને વિવશ બનાવી રહેલ છે તે જનતા જૂઓ કે, માત્ર સ્વમાનની ખાતર કેટલા કોરીઅનોએ પોતાના બંગલા વાડી વજીફા અને વૈભવનાં સાધનો છોડી, મંચુરીઆની જીવલેણ ઠંડીની બરદાસ કરી, પોતાના ગુલાબની કળી સમાં પુત્ર પુત્રીઓને સોના રૂપાના હીંડોળામાંથી ઉંચકી માત્ર સ્નેહભરી છાતીના એક આશ્રય નીચે, કેટલી હોંશપૂર્વક, મંચૂરીઆ તરફ સાથે લીધાં ! કોરીઆની કથા તે મદોન્મત્ત સત્તાધીશોના જૂલ્મની, અને સ્વાભિમાની પ્રજાના ઉન્નત ગૌરવની કથા છે. તે જાલીમોના અત્યાચારની અને નિર્દોષોની અહિંસાવૃત્તિની કથા છે. હિંદુસ્થાનના ઢીલા પોચા, ડગલે ડગલે ઢચુપચુ થતા, અમારા દેશબંધુઓને મન, આ કથા એ ગીતા બનો–પ્રતિ પ્રભાતનું સંભારણું બનો; તેમના જીવનનો, તેમના આત્મભોગોનો આદર્શ બનો.
સુધારાના ઝેરથી કોરીઅનો ન મોહાયા. હંગેરીઅનો પણ ન્હોતા મોહાયા. આયર્લેંડે પણ એનો ત્યાગજ કરેલો. આયર્લેંડે પોતાની સ્વતંત્ર સરકાર નિરાળી સ્થાપેલી. કોરીયાએ પણ સ્થાપી દીધી છે. હંગરીએ વીયેના તરફ પીઠજ ફેરવેલી. આપણા ભારતવર્ષે પોતાનો માર્ગ નક્કી કરવા અર્થે આ બધી વાતો વિચારવાની રહી.
ભારતની સ્વાધીનતા અર્થે ચાલતા સાંપ્રત અહિંસાત્મક યુદ્ધમાં સહાયરૂપ થવા, દેશદેશોની સ્વતંત્રતાના ઇતિહાસો ભારતી પ્રજા સમક્ષ રજુ કરવાના અમારા મનોરથનું આ પ્રથમ પુષ્પ છે. આવતી નહીં અને ત્યાર પછેની અઢારમીએ આયર્લેંડની કથા ધરવા ઈચ્છા રાખીએ છીએ. અમને આશા છે કે અમારા આ પ્રયત્નને ગુજરાતી પ્રજા પસંદ કરશે.
કોરીયાને લગતું સાહિત્ય વાંચી જઈ તેમાંથી આ કથા તારવી કાઢવાનું માન સૌરાષ્ટ્રના તંત્રીમંડળમાંના એક મારા પ્રિય ભાઈશ્રી ઝવેરચંદ મેઘાણીને છે.
સૌરાષ્ટ્ર સાહિત્ય મંદિર અમૃતલાલ દલપતભાઈ શેઠ.
રાણપુર.
તા. ૧૮–૧–૧૯૨૩.
લેખકનું નિવેદન.



એશિયાના સંતાનો યુરોપની પાસે પોતાના ભૂતકાળનું ભારે ગુમાન કરતાં આવ્યાં છે. એશિયાએ જગત આખાને પેગમ્બરો દીધા, ફિલ્સુફી સમર્પી, વિશ્વપ્રેમી સંસ્કૃતિની ભેટ ધરી. એ બધો ગર્વ મિથ્યા તો નહોતો. પશુબળના પગ તળે ચગદાતાં પડ્યાં પડ્યાં પણ આપણે આત્માનાં અબોલ શૌર્ય અનુભવતાં.
એ ગર્વ ઉપર આજ જાપાને ઉંડો ઘા કર્યો છે. એશિયા આજે કલંકિત બન્યું છે. શું મ્હોં લઈને આપણે યુરાપવાસીઓને ઠપકો દઇએ ?
જાપાનની તારીફ કરવામાં આપણે જરાયે સંયમ નથી દાખવ્યો. કવિવર ટાગોર સરખા પણ પ્રથમ તો જાપાન પર મુગ્ધ બનેલા. ઠેર ઠેર, હરેક વાતમાં, જાપાનને આદર્શ ગણીને આપણે એની પાછળ પાગલ બનેલા.
આજ પડદો ચીરાયો છે. જાપાને પ્રભુની સૃષ્ટિ ઉપર નર્કની જ્વાળાઓ છોડી દીધી છે. એના સરખી સ્વદેશ–ભાવના આપણને હરામ હોવી જોઇએ. જાપાનની રાક્ષસી પ્રગતિ આપણે માટે લાલ બત્તી બનવી ઘટે.
આ પુસ્તકની હકીકતો પૂરી પાડનારાં ત્રણ પુસ્તકો છે. (૧) Non-co-operatiou in other lands, by A. Fenner Brockway (૨) Story of Korea by joseph H. Longford, (૩) Case of Korea by Henry chaug.
છેલ્લા પુસ્તકનો હું સહુથી વધુ આભારી છું. ગ્રંથકાર પોતે એક કોરીયાવાસી છે, છતાં એની વાતો ઉપર અવિશ્વાસ નજ આવી શકે; કારણ, પોતાની વાર્તાના સમર્થન અર્થે, આખું પુસ્તક, નિષ્પક્ષપાતી પરદેશીઓનાં, અને ખુદ જાપાની સરકારનાં લખાણોના ઉતારાથી જ એણે ભર્યું છે. એ બધા પુરાવા સજ્જડ છે. અતિશયોક્તિ અગર કડવાશના દોષ કર્યા વિના જ એ વિદ્વાન લેખક, મધુર ને સરલ ભાષામાં લખી ગયો છે. અંગ્રેજી જાણનારા પ્રત્યેકને આ અંગ્રેજી ગ્રંથ વાંચી જવાની મ્હારી ભલામણ છે. વાંચન વ્યર્થ નહિ જાય.
ચિત્રોને માટે પણ એજ ગ્રંથકારનો અત્રે ઉંડો આભાર માની લઉં છું. કોરીયાનાં કેટલાંએક વીર વીરાંગનાઓનાં દર્શન ગુજરાતને કરાવ્યા વિના તો પુસ્તકની સફળતા શી રીતે પૂરી થાય ?
તા. ૧૮–૧–૨૩ ઝવેરચંદ મેઘાણી
આવતા અંકેઃ પ્રકરણ ૧. અમર રહો માતા કોરીયા !
સ્રોત સૌજન્યઃ વિકિસ્રોત
-
વાદ્યવિશેષ (૩૬)- તાલવાદ્યો (૧)
ફિલ્મી ગીતોમાં વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી
પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી
સંગીતના કોઈ પણ પ્રકાર- આપણા દેશનું શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ, ફિલ્મી હોય કે પછી દેશના સિમાડા પારનું હોય, તેના બે મુખ્ય ઘટકો છે સૂર અને તાલ. આપણે જાણીએ છીએ કે સૂર અને તાલ મૂળભૂત રીતે તો ધ્વનિ-અવાજ-ના જ પ્રકારો છે,
વાદ્યોને બે મુખ્ય પ્રકારમાં વહેંચી શકાય- સૂર રેલાવતાં વાદ્યો અને તાલ વહાવતાં વાદ્યો. આ પૈકીનાં સૂરવાદ્યોમાંનાં પસંદગીનાં વાદ્યો અને તેમના હિન્દી ફિલ્મી સંગીતમાં થયેલા ઉપયોગ વિશે આ લેખમાળામાં પ્રાથમિક પરિચય કેળવી ગયા છીએ. હવે તાલવાદ્યો તરફ આગળ વધીએ.
સંગીતમાં બિલકુલ ઉપરછલ્લો રસ ધરાવનારાઓ પણ તબલાં, ઢોલક અને નગારાં જેવાં વાદ્યોને તો જાણતા જ હોય છે. પણ આ ઉપરાંત અન્ય ઘણાં તાલવાદ્યો અને ઉપતાલવાદ્યો છે. દરેક દેશને, રાજ્યને અને નાનકડા પ્રદેશને પણ પોતાનાં આગવાં તાલવાદ્યો હોય છે, તેમાંનાં કેટલાંક તાલવાદ્યોના ધ્વનિમાં એટલું સામ્ય હોય છે કે પાકા અભ્યાસુ હોય તે જ તેમાંનો ભેદ પારખી શકે. આમ છતાં, પ્રકાર અને શૈલીની રીતે તાલવાદ્યોને બે મુખ્ય વિભાગમાં વહેંચવામાં આવે છે. હિન્દુસ્તાની એટલે કે ઊત્તર ભારતીય અને કર્ણાટકી એટલે કે દક્ષિણ ભારતીય.
હિન્દી ફિલ્મી સંગીતમાં મુખ્યત્વે તબલાં, ઢોલક, નાળ, ડફ અને પખવાજ જેવાં હિન્દુસ્તાની તેમ જ બોંગો, કોંગો અને ડ્રમ જેવાં પાશ્ચાત્ય તાલવાદ્યોનો ઉપયોગ થતો આવ્યો છે. તેમ વખતોવખત કર્ણાટકી શૈલી તેમજ વાદ્યોનો પણ ઊપયોગ થતો આવ્યો છે. તે ઉપરાંત આપણે નામ પણ ન જાણતા હોઈએ તેવાં અનેક પ્રકારનાં ઉપતાલવાદ્યો થકી પ્રયોગશીલ સંગીતકારોએ ગીતોના તાલનું મૂલ્યવર્ધન કર્યું છે.
એક જ ગીતમાં અનેક પ્રકારનાં તાલ અને ઉપતાલવાદ્યો વાગ્યાં હોય એવાં ગીતોમાં ફિલ્મ જ્વેલ થીફના ગીત ‘હોઠોં મેં ઐસી બાત’નો સમાવેશ કરી શકાય. મૂળ ગીતની જગ્યાએ એક સ્ટેજ પ્રોગ્રામમાં થયેલી આ ગીતની રજૂઆતને માણીએ તો અલગઅલગ તાલવાદ્યો વાગી રહ્યાં હોવાનો ખ્યાલ આવશે. અલબત્ત, આ રજૂઆતમાં ઓક્ટોપેડ તરીકે ઓળખાતા એક જ સાધન વડે કેટલાંક તાલવાદ્યોના અવાજ વગાડવામાં આવ્યા છે, પણ મોટા ભાગે મૂળ વાદ્યો જોઈ-સાંભળી શકાય છે.
આવું જ વધુ એક ગીત સાંભળીએ, જેમાં પણ વિવિધ પ્રકારનાં તાલવાદ્યો સાંભળવાની સાથોસાથ જોઈ પણ શકાશે. ‘બહારોં કે સપને’ના આ ગીત ‘ચુનરી સંભાલ ગોરી’ના સંગીતકાર રાહુલદેવ બર્મન હતા.
સૌ જાણે છે એમ તાલવાદ્યોનો મુખ્ય ઊપયોગ ગાયન કે વાદનની સંગત માટે કરવામાં આવે છે. તાલ એક પ્રકારે ચોક્કસ ગણિતને અનુસરે છે, અને જરૂર મુજબ બે, ત્રણ, ચાર, આઠ જેવાં વિવિધ આવર્તનમાં વગાડવામાં આવે છે, જેને કારણે સમગ્ર રજૂઆત વધુ સબળ બને છે.
વિવિધ સંગીતકારો ગીતની જરૂરિયાત અનુસાર તાલવાદ્યો પ્રયોજે છે, છતાં અમુક તાલવાદ્યનો ઊપયોગ અમુક સંગીતકાર દ્વારા વધુ પ્રમાણમાં કરાતો હોય એમ જણાય છે. જેમ કે, હુસ્નલાલ-ભગતરામના સંગીતમાં તાલવાદ્ય તરીકે ઘણાં ગીતોમાં ‘મટકા’નો ઊપયોગ થયો છે, તો રાહુલ દેવ બર્મનનાં અનેક ગીતોમાં ‘માદલ’ મૂલ્યવર્ધનનું કામ કરે છે. લક્ષ્મીકાન્ત- પ્યારેલાલ મુખ્યત્વે તબલાં, ઢોલક જેવાં પરંપરાગત તાલવાદ્યોનો ઊપયોગ કરતા આવ્યા છે. તો ઓ.પી.નય્યરની ઓળખ તબલાં, ઢોલકની સાથે પશ્ચિમી ડ્રમ થકી સર્જેલા તાલના વિરોધાભાસની છે. સી.રામચંદ્રે વિવિધ તાલવાદ્યોનો ઊપયોગ કર્યો છે, પણ ગરબાનો તાલ તેમની મુદ્રા સમાન કહી શકાય. અલબત્ત, તાલ અને ઊપતાલ વાદ્યોમાં રાહુલ દેવ બર્મન જેટલા અખતરા ઓછા સંગીતકારોએ કર્યા હશે.
ફિલ્મી ગીતોમાં તાલ વગાડવાની પદ્ધતિમાં ત્રણ મુખ્ય શૈલીનો ઊપયોગ કરવામાં આવે છે. પીક અપ/Pick up, લૂપ/ Loop અને બ્રેક/Break. સાવ સરળ ભાષામાં સમજીએ તો તાલના ઠેકાનો આરંભ કરવામાં આવે એ પીક અપ. પીક અપ પછી તાલનું આવર્તન થવા લાગે એ લૂપ અને આ લૂપને ક્યાંક જરૂર મુજબ સહેજ અટકાવવામાં આવે એ બ્રેક. ગીતમાં વચ્ચે બ્રેક આવે એ પછી પીક અપ પણ આવી શકે યા લૂપ પણ શરૂ થઈ શકે આની વિશેષ જાણકારી જે તે વાદ્ય અંગેની કડીમાં મૂકાતી રહેશે.
અમદાવાદની ‘રીધમ પલ્સ’સંસ્થાના અકુલ રાવલની આ ક્લિપમાં રાહુલ દેવ બર્મને પ્રયોજેલાં કેટલાંક તાલવાદ્યોનો કંઈક અંદાજ આવી શકશે. યાદ રહે કે તાલના આવર્તનમાં અખતરા અલગ જ બાબત છે. આ ક્લીપ કેવળ તાલવાદ્યોના ઊપયોગને ધ્યાનમાં રાખીને જોવા અનુરોધ છે.
‘મલ્ટી પર્કશનિસ્ટ’તરીકે જાણીતાં બનેલાં નિશા મોકલની મુલાકાતની આ ક્લિપમાં પણ વિવિધ તાલવાદ્યોના ધ્વનિનો પરિચય મળી રહે છે.
દક્ષિણ ભારતીય શૈલીનાં મુખ્ય વાદ્યો વિશે તાંજવુર મુરુગાબૂપતિ નામના સંગીતકારે પરિચય કરાવ્યો છે એ સાંભળીએ.
દક્ષિણ ભારતના દંતકથારૂપ સંગીતકાર ઈલયારાજા આ ક્લિપમાં વિવિધ તાલવાદ્યોનો પરિચય કરાવે છે, જેમાં ઊત્તરના અને દક્ષિણનાં તાલવાદ્યોનો સમાવેશ થાય છે.
એ બાબત ખાસ નોંધવી જરૂરી છે કે તાલવાદ્યોને પર્કશન/percussion જેવા બૃહદ વિભાગમાં મૂકવામાં આવે છે અને તાલવાદકોને ‘પર્કશનિસ્ટ’ પણ કહેવામાં આવે છે. શિવમણી જેવા નિપુણ પર્કશનિસ્ટ કોઈ પણ ચીજમાંથી તાલ નીપજાવી શકે છે. તેમની આ કાબેલિયત દર્શાવતી એક ક્લિપ સાંભળીએ.
આવતી કડીથી જે તે તાલવાદ્યનો અલ્પ પરિચય કેળવી, ફિલ્મી ગીતોમાં તેના ઉપયોગ વિશે જાણીશું.
નોંધ :
૧) તસવીર નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.
૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય જ છે.
૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.
સંપર્ક સૂત્રો :
શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com -
ફિલસુફીભર્યાં ગીતો – ૪૧ – कल हो न हो
નિરંજન મહેતા
૨૦૦૩ની ફિલ્મ ‘કલ હો ના હો’ નું આ ગીત આમેય તે બહુ પ્રખ્યાત છે ત્યારે તેમાં રહેલી ફિલસુફી પણ માણવા જેવી છે.
हर घड़ी बदल रही है रूप ज़िंदगी
छाँव है कभी, कभी है धूप ज़िंदगी
हर पल यहाँ जी भर जियो
जो है समाँ कल हो न हो
हर घड़ी बदल रही है रूप ज़िंदगी
छाँव है कभी, कभी है धूप ज़िंदगी
हर पल यहाँ जी भर जियो
जो है समाँ कल हो न होचाहे जो तुम्हें पूरे दिल से
मिलता है वो मुश्किल से
ऐसा जो कोई कहीं है
बस वो ही सबसे हसीं है
उस हाथ को तुम थाम लो
वो मेहरबाँ कल हो न होपलकों के ले के साये
पास कोई जो आये
लाख सम्भालो पागल दिल को
दिल धड़के ही जाये
पर सोच लो इस पल है जो
वो दास्ताँ कल हो न होનરસિંહ મહેતાનું ભજન છે કે આજનો લહાવો લીજીયે કાલ કોણે દીઠી છે. બસ આજ ભાવાર્થનું આ ગીત છે.
પળ પળ બદલાતી આ જિંદગીમાં ક્યારેક સુખ તો ક્યારેક દુ:ખ આવે છે. એટલે વર્તમાન પળમાં આનંદથી જીવો કારણ આજે જે સારો સમય છે તે કાલે ન પણ હોય.
કહે છે કે તમને પૂરા દિલથી ચાહનાર બહુ મુશ્કેલી પછી મળે છે. તમને લાગે કે તેવું કોઈક છે તો તેનો હાથ પકડી લો કારણ તે જ તમારા જીવન માટે એકદમ યોગ્ય બની રહેશે. કારણ તે પણ આજે છે અને કાલે ન પણ હોય.
કોઈ તમારી પાસે આવે ત્યારે તમારૂ હ્રદય ધડકતું જ જાય, ભલે તમે તે સંભાળવા લાખ પ્રયત્ન કરશો તો પણ. પણ વિચારી લો કે આજે જેનાથી તમારૂ દિલ ધડકે છે તે કાલે ન પણ બને. માટે આજની પળને જીવો લો.
શાહ્રરુખ ખાન પર ફીલ્માયેલ આ ગીતના અન્ય કલાકાર છે સૈફ અલી ખાન અને પ્રીતિ ઝીંટા. જાવેદ અખ્તરનાં શબ્દોને સંગીત આપ્યું છે શંકર એહસાન લોયએ અને સ્વર છે સોનું નિગમનો.
આ સાથે આ શ્રેણી અહીં સમાપ્ત કરૂ છું. કોઈ સુજ્ઞ મિત્રના ધ્યાનમાં આવું કોઈ ગીત આવે તો જણાવે.
Niranjan Mehta
A/602, Ashoknagar(old),Vaziranaka, L.T. Road,Borivali(West),Mumbai 400091Tel. +91 22 28339258/ 91 9819018295વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com
