-
આજનો ‘ઝૂમ’તો ગરબો..
દેવિકા રાહુલ ધ્રુવ
(કેસરિયો રંગ મને લાગ્યો ‘લા, ગરબા..ના ઢાળમાં)
ઝૂમ તણા ઝાંપેથી નીકળીને લો હવે,
ચાલ્યાં આ ફેસબુકના ફળિયે રે લોલ.મંગળા, આરતી ને પૂજાના પાઠ સૌ,
વંચાવવાને (!) મળિયે રે લોલ..ઊંડું ને ઊંચું કૈં વાંચવાનું હોય શું?
કોને ગમ્યું મારું, જરા કળિયે રે લોલ.લાગણીઓ-બાગણીઓ કોરાણે મૂકી
કોઈનું સ્વ-નામે રળિયે રે લોલ.આજના તાલે ને રાસે રે ઘૂમીએ
ખુદના નગારા વગાડીએ રે લોલ.અંતરના આંગણે ઝુમતાં ના આવડે.
અંબર પર પહોંચવા ઉછળીએ રે લોલ.ઓછું વધારે તો કહેવું શું જાતને!
સાનમાં સમજીને વળીએ રે લોલ.માઠું કે મીઠું ના લગાવ મારા જીવડા,
લીટાડા ખેંચી હવે ઢળીએ રે લોલ..
Devika Dhruva.
ddhruva1948@yahoo.com -
કેલેન્ડર
ચંદ્રકાન્ત જે સોની
ઘેર આવી, કદી કોઈ દિવસ ન કરેલ હસ્તક્ષેપ જેવું કામ વિનાયકભાઈએ કર્યું. સ્ટોરરૂમના એક ખૂણામાં લટકતા કેલેન્ડરમાં આજની તારીખ આઠમી જુલાઈના મોટ્ટા ચોરસ ખાનામાં નોંધ કરી, કેલેન્ડરનું હળવેથી ગોળ બીડું વાળી, તેની બંને બાજુ રબર બેન્ડ ચઢાવી, હળવેકથી માળિયામાં મુકાયેલા બીજા જૂના કેલેન્ડર સાથે તેને મૂક્યું.
દર વર્ષે, વર્ષ બદલાય ત્યારે, સુલક્ષણાબહેન પોતાની જાતે મોટ્ટા ચોરસ ખાના હોય એવું કેલેન્ડર લઈ આવે.
વિનાયકભાઈ ઈતિહાસના પ્રોફેસર. બેઠક રૂમમાં સુલક્ષણાબહેન કેલેન્ડર લટકાવતા. સાથે વારંવાર શોધવી ના પડે માટે એક પેન પણ તેની સાથે જ લટકાવે.
કામવાળી ક્યારે બાંધી, તેને વચ્ચે ક્યારે કેટલો ઉપાડ આપ્યો, તેનો પગાર, તે કામવાળીએ ક્યારે કામ છોડ્યું.. નવી કામવાળી ક્યારે રાખી. એ..નોંઘ તો ખરી જ. સાથે દૂધનો હિસાબ, બાળકોના ટ્યુશનનો હિસાબ પણ એમાં નિયમિત નોંધી રાખે.
વિનાયક ભાઈ ઈતિહાસના પ્રોફેસર એટલે ઈતિહાસના નવાનવા સંસોધનો અંગે અને માર્ગદર્શન અંગે ઘણા તેમની મુલાકાતે આવે.વાતો કરતાં કરતાં ઘણાનું ધ્યાન આ કેલેન્ડર પર જાય છે, તે તેઓ જુએ. આ કેલેન્ડર તેમને બેઠક રૂમમાં ઠીક ન લાગતાં કહ્યું, “તું, તારૂં આ વહીવંચાના ચોપડા જેવું કેલેન્ડર સ્ટોરરૂમમાં લટકાવ. બેઠકરૂમમાં સારૂં નથી લાગતું.”
કશું પણ બોલ્યા વિના સુલક્ષણાબહેને સ્ટોર રૂમમાં જાતે એક ખીલી પર આ કેલેન્ડર લટકાવી દીધું.
સાંજે વિનાયકભાઈ સાથે વાતવાતમાં સુલક્ષણાબહેને ,પ્રોફેસરને પૂછ્યુ, “વહીવંચો…એટલે શું?”
પ્રોફેસર થોડીવાર તેમની નિર્દોષ આંખો તરફ જોઈ રહ્યા, પછી બોલ્યા, ” વહીવંચો એટલે વંશાવળીઓની નોંધ રાખે તે…”
સુલક્ષણાબહેનને વંશાવળી અને તેની નોધ વગેરેની સહજ રીતે એમણે સમજ પાડી.અને તેના ઐતિહાસિક પુરાવામાં આધારભૂત ઉપયોગ…વગેરે સમજાવ્યું..
ત્યાર પછી તો સુલક્ષણાબહેન પોતાના કેલેન્ડરમાં ન કેવળ કામવાળી કે દૂધવાળાની, પરંતું ઘરની, ગામની સમાજની નવીનવી બનતી ઘટનાઓની પણ ટૂંકમાં નોંધતા પણ ખરા…ઘણી ઉપયોગી માહિતીને ખૂબ ટૂંકમાં…નોંધતા. આવી નોંધ રાખવાની તેમની આદત કહો તો આદત અને શોખ કહો તો શોખ…કોઈને ને કોઈને ક્યારેક ક્યારેક ઉપયોગી પણ થઈ જતી.
એક દિવસ પ્રોફેસર તેમના ઘણા કાગળો ફંફોસતા હતા. મદ્રાસની એક યુનિવર્સિટીમાં એમને વ્યાખ્યાન માટે પત્રથી જાણ કરાઈ હતી. પત્ર તો વ્યાખ્યાનના દિવસ કરતાં ઘણો વહેલો તેમને પાઠવવામાં આવ્યો હતો જેથી તેઓ સારી તૈયારી કરી શકે પણ આજે એ પત્ર જડતો ન હતો ને તેની તારીખ ભૂલાઈ ગયેલી.
“કેમ, આજે? કંઈ ખોવાઈ ગયું છે?” સુલક્ષણાબહેનના પ્રશ્ર્નના જવાબમાં તેઓ ગુસ્સે થઈ ગયા. “તને ખબર પડશે? શું કરીશ જાણીને..?.તું તારૂં કામ કરને?” કહી નાખ્યું.
બધા કાગળીયા ફંફોસી રહેલા પ્રોફેસર પાસે આવીને કહે
“એ…કહું છું.. આ મહિનાની પચ્ચીસમી તારીખે તો તમે મદ્રાસ જવાના છો ને? હવે પાંચ દિવસ બાકી રહ્યા નહીં..? કપડાં તો ઈસ્રી કરાવીને બેગમાં મૂકી દીધા છે પણ..નાસ્તો ?”
પ્રોફેસર નવાઈ સાથે તેમને જોઈ રહ્યા,”તને શું ખબર કે મારે આ મહિનાની પચ્ચીસમી તારીખે મદ્રાસ જવાનું છે?
“એં…પેલો વહીવંચાનો ચોપડો……તે દિવસે તમે કોઈ કાગળ દવે સાહેબને બતાવી નો’તા કહેતા…? એ મેં નોંધી લીધું… મારા કેલેડરમાં..”
અને પછી તો દર વર્ષે આખા વર્ષનું પુરૂં થયેલું કેલેન્ડર સુલક્ષણાબહેન ગોળ વીંટો વાળી રબર બેન્ડ લગાવી માળીયામાં મૂકી દે…ક્યારેક કોઈ નોંધ જોવા કામ આવે એવી ગણત્રીથી.
આવાં બાવીસ બાવીસ કેલેન્ડર, એમના માળીયામાં… કેટલીએ ઉપયોગી નોંધો..અને સમયાંતરે કોઈને કોઈ રીતે ઉપયોગી થયેલી માહિતી સાથે સચવાઈને મૂકેલાં હતાં
આ ત્રેવીસમાં, અધૂરા વર્ષનાં કેલેડરમાં વિનાયક ભાઈએ આજની આઠમી જુલાઈના ખાનામાં પ્રથમ વખત, સુલક્ષણાબેને કેલેન્ડર સાથે બાંધી રાખેલ પેનથી સહેજ કંપતા હાથે વાંકાચૂકા અક્ષરોમાં લખ્યું…”હે ! પ્રભુ, એના આત્માને શાંતિ…”અને એમની આંખમાંથી ટપકી રહેલા આંસુઓના બુંદોથી ભીંજાએલી આઠમી તારીખ..સાથેનું કેલેન્ડર માળિયામાં સાચવીને મુક્યું..
ચંદ્રકાન્ત જે સોની | મોડાસા
-
સ્વાતંત્ર્ય સંગ્રામ સમયની ‘વંદે માતરમ્’ની વિદ્રોહ ગાથા
રાષ્ટ્રીય ગાન ‘વંદે માતરમ્’ની ૧૫૦ વર્ષની સંગીત યાત્રા
સંકલનઃ અશોક વૈષ્ણવ
બંકિમચંદ્ર ચેટર્જીની કલમમાંથી સ્ફૂરીને લઈને આકાશવાણીના વાયુતરંગો પર વહીને, પંડિત ડી વી પલુસ્કરના આહ્વાનથી લઈને એ આર રહેમાનના રીમિક્સ સુધી, વંદે માતરમ્ મધુર સૂરાવલી, ગીત, રાષ્ટ્રગીત, અને યાદગીરી જેવાં અનેક સ્વરૂપમાં સર્જાતું રહ્યું છે, ભારતના વિકાસ સાથે જ વિકસ્યું, અનુકૂલિત થતું રહ્યું અને ઘુંટાતું રહ્યું છે.

‘વંદે માતરમ્’ દેશનાં રોમરોમમાં ગુંજતું રહ્યું છે ૧૭૭૦ના બંગાળના ભિષણ દુકાળ અને ૧૭૭૩ના ઉત્તર બંગાળના સાધુઓના વિદ્રોહનું શબ્દચિત્રણ કરતી નવલકથા ‘આનંદમઠ’ બંકિમચંદ્ર ચેટર્જીએ ૧૮૮૨માં પ્રકાશિત કરી. આ નવલકથામાં વદે માતરમ બંગાળી અને સંસ્કૃતનાં સંમિશ્રણમાં એક ગીતકાવ્ય તરીકે લખાયું.
ગીતનાં બહુ જ શરૂઆતનાં મુદ્રિત સંસ્કરણ નીચે પાદ નોંધમાં લખેલું હતું કે આ ગીત રાગ મલ્હારમાં કાઓલી તાલમાં રચાયું છે. એવી નોંધ જોવા મળે છે કે ગીતનું ગેય સંસ્કરણ દેશપ્રેમી સાહિત્ય રસિકોના નાના મેળાવડાઓમાં, બંકિમચંદ્રને સંગીત શીખવાડતા એ પંડિત જદુ ભટ્ટ (જદુનાથ ભટ્ટાચાર્ય) દ્વારા રજૂ કરાયું હતું. એ આદિ સંસ્કરણ તો હવે ઉપલબ્ધ રહ્યું નથી. પરંતુ એ સમયના બંગાળી સમાજમાં આ ગીત અનેક સ્વરૂપે ફેલાઈ ગયું હતું.
બંગાળી સંસ્કરણની એક રજૂઆત –
સ્વાતંત્ર્ય સંગ્રામ સમયની ‘વંદે માતરમ્’ની વિદ્રોહ ગાથા
૧૮૯૬નાં કોંગ્રેસનાં કલકત્તા અધિવેશનમાં રવિન્દ્રનાથ ઠાકુરે, પિયાનો પર જ્યોતિન્દ્રનાથની સંગતમાં, વંદે માતરમ્ ગાયું. પછી તો આ ગીત દેશમાં દાવાનળની જેમ પ્રસરી ગયું. આ ગીતની રેકર્ડ્સ પણ બહાર પડી. ૧૯૦૭માં એચ બોઝ રેકર્ડ કંપનીના માઇક, હેમેન્દ્ર મોહન બોસે રવિન્દ્રનાથ ઠાકુરના સ્વરમાં એ સમયે વપરાતાં ફોનોગ્રાફ નળાકાર પર આ ગીત રેકોર્ડ કર્યું. તે પછી તરત પડેલા પોલિસના દરોડામાં એચ. બોઝ કંપનીની ફેક્ટરી નાશ પામી. નસીબજોગે, રેકોર્ડીગની થોડીક નકલો બચી ગઈ, જેના પરથી ૭૮ આર પી એમની લાખની રેકર્ડ પર ૧૯૧૨માં આ ગીત ફરીથી જાહેરમાં આવ્યું.
ગુરુવર રવિન્દ્રનાથ ઠાકુરની ધુન પરથી હરિપાદ ચટ્ટોપાધ્યાયએ આ સમુહગાનની રચના કરી. શ્રીમતી જયા દાસ, બિજોય દાસ, પ્રવ રોય અને ધીરેન ગુપ્તના સ્વરમાં આ રચનાને ૧૯૩૭માં હિન્દુસ્તાન રેકર્ડ્સ દ્વારા જાહેરમાં રજૂ કરાઈ.
એ પછી ‘વંદે માતરમ્’ કોંગ્રેસ અધિવેશનોના પ્રારંભમાં ગવાવા લાગ્યું. સ્વાતંત્ર્ય સંગ્રામ દરમ્યાન તો કોઈ પણ સભા સરઘસમાં તે જનતાનો વિદ્રોહનો સુર બની ગયું. ૧૯૦૯માં તમીળ સામયિક ‘વિજય’નાં મુખપૃષ્ઠ પર ભારતમાતાનાં ચિત્રની સાથે ‘વંદે માતરમ્’ની હાકલ આ કાવ્યની દેશવ્યાપી સ્વીકૃતિઓનું એક ઉદાહરણ છે.

૧૯૨૭માં દિલીપ કુમાર રોયે આ ગીતને ગાંધીજી સમક્ષ રજૂ કર્યું.
તે પછીથી તેમણે એમ એસ સુબ્બલક્ષ્મી સાથે યુગલ સ્વરમાં કર્ણાટકી થાટમાં પણ આ ગીતની રચના કરી.
યુ ટ્યુબ પર હજુ એક સંસ્કરણ મળે છે જેમાં એવી નોંધ જોવા મળે છે કે ૧૯૬૩માં દિલીપ કુમાર રોયે નેતાજી ભવનમાં ૧૯૬૩માં આ ગીત લાઈવ ગાયું હતું.
૧૯૩૩નાં કાકીનાડાનાં કોંગ્રેસ અધિવેશનમાં પંડિત ડી વી પલુસકરના પિતા વિષ્ણુ દિગંબર પલુસકર ‘વંદે માતરમ્’ ગાવા ઊભા થયા ત્યારે મૌલાના અહમદ અલી અને તેમના ભાઈ શૌકત અલીએ તેમને રોકવાની કોશિશ કરી. પંડિતજીએ બહુ જ કડક શબ્દોમાં આ વિરોધને ફેંકી દીધો અને હિંમતપૂર્વક આખું કાવ્ય રાગ કાફીમાં ગાયું. એ મૂળ રચના તો ઉપલ્બધ નથી પણ મહદ અંશે એ રાગ પર જ આધારિત આ વૃંદ ગાન સાંભળીએ –
નેતાજી સુભાષચંદ્ર બોઝે બહુખ્યાત બંગાળી સંગીતકાર તિમિર બરન (ભટ્ટાચાર્ય)ને આ ગીત કુચની લયમાં સ્વરબદ્ધ કરવા સુચવ્યું. આ રાગ દુર્ગામાં સ્વરબદ્ધ આ ધુન આઝાદ હિંદ સેનાની પરેડમાં નિયમિત રીતે ગવાતી. સિંગાપોર રેડિયોએ તેની રેકર્ડ પણ બહાર પાડી.
દેશને સ્વાતંત્ર્ય મળ્યું તેની સત્તાવાર જાહેરાત સ્વરૂપે સરદાર વલ્લભભાઈ પટેલે પંડિત ઓમકારનાથ ઠાકુરને ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના મધ્ય રાત્રિએ મળેલ ખાસ બેઠકમાં આખું ગીત ગાવા આમંત્રણ આપ્યું. પંડિતજીએ તેમના ગુરૂ વી ડી પલુસકરની રાગ કાફીની રચનાને રાગ બંગીયા કાફીમાં તેને વિલંબિત લયમાં રજુ કર્યું. આખા દેશને આ અલભ્ય રજૂઆતનો લાભ મળે એટલે સરદાર પટેલે પંડિતજીને આકાશવાણી પર ફરીથી ગાવાની વિનંતિથી એ દિવસે આકાશવાણીના કાર્યક્રમનો સવારે ૬.૩૦ વાગ્યે આરંભ પંડિતજીનાં ‘વંદે માતરમ્’ની રજૂઆતથી થયો. પંડિતજીએ આખું ગીત આકાશવાણીનાં માઈકની સામે ઊભીને ગાયું હતું!
સ્વાતંત્ર્ય સંગ્રામ સમયની ‘વંદે માતરમ્’ની આ વિદ્રોહ ગાથા માસ્ટર કૃષ્ણરાવ ફુલામ્બ્રીકરની સુગઠિત ધૈર્યભરી લડતની નોંધ લીધા વગર અધુરી જ રહે. ‘વંદે માતરમ્’ને રાષ્ટ્ર ગીત તરીકે સ્વીકૃતિ આપવા માટે આ ગીત કુચ લયમાં લશ્કરનાં બેન્ડ દ્વારા પણ રચી શકાય એ માટે તેમણે તત્કાલીન બ્રિટિશ પોલિસ બેન્ડના વડા સી આર ગાર્ડનર અને સ્ટેન્લી હિલ્સની મદદ લઈને કુચની લયમાં એક ધુન બનાવી. એવું માનવામાં આવે છે કે ૧૯૩૬ના બર્લિન ઑલિમ્પિક્સમાં ભારતના ખેલાડીઓનાં બિનસત્તાવાર પ્રતિનિધિત્વ રૂપે બ્રિટિશ પોલિસ બૅન્ડનું વંદે માતરમ્’નું એ સંસ્કરણ વગાડવામાં આવ્યું હતું. બીજી એક ધુન સ્વાગત ધુન તરીકે અને ત્રીજી રાષ્ટ્રગીતને ઉપયુક્ત ધુન તરીકે બનાવી. આ ત્રણેય રચનાઓ તેમણે પંડિત જવાહરલાલ નેહરૂને સંભળાવી પંડિત નેહરૂના વિરોધને પીગળાવી દીધો. તેમણે આ ગીતને લોકભોગ્ય બનાવવા માટે જુદા જુદા રાગોમાં રચનાઓ પણ રજૂ કરી. તે પૈકી રાગ ઝિંઝોટીમાં તેમની એક રચના –
સીઆરપીએફનાં સેન્ટ્રલ બેન્ડ દ્વારા કુચની લયમાં તૈયાર કરેલું એક સંસ્કરણ
એ સમયમાં આ ગીતને જાહેરમાં ગાવા પર બ્રિટિશ શાસકોએ મનાઈ હુકમ કરેલો તેમ છતાં પંડિત વિષ્ણુપંત પગણીસે રાગ વૃંદાવની સારંગમાં આ ગીતને એ સમયનાં સરઘસોમાં ગાયું હતું.
૨૪ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ ‘વંદે માતરમ્’નાં પહેલાં બે પદને રાષ્ટ્રગીત તરીકે સ્વીકૃત કરાયું.
સ્વતંત્ર ભારતમાં ‘વંદે માતરમ્’ અનેક કલાકારો વિવિધ શાસ્ત્રીય રાગોમાં રજૂ કરતા રહ્યા છે, તેની વાત હવે પછીના અંકમાં …..
તસવીર નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.
-
રહતે થે કભી જિનકે દિલ મેં…
ધિક્કારનાં ગીતો
મુજરા, ઐયાશી, ભક્તિ, ઉદાસી, આક્રોશ, નજાકત વગેરે વગેરે.
દીપક સોલિયા
મુજરો એટલે શું? મૂળભૂત રીતે તો તે મનોરંજન અને ઐયાશીનો જ એક પ્રકાર ગણી શકાય. નવાબો ‘બિચારા’ બહુ બધું કામ કરે અને બહુ બધું ટેન્શન લે એટલે તેમના ભારેખમ મનને હળવું કરવાની સગવડ તરીકે મુજરા મુગલકાળમાં શરૂ થયા હોવાનું કહેવાય છે. મુજરા શબ્દનો મૂળ અર્થ આદર આપવો, સલામી ભરવી, ઝૂકવું એવો થાય છે, પરંતુ પ્રેક્ટિકલી મુજરો શબ્દ મુખ્યત્વે કોઠા પરનો નાચ સૂચવે છે. એ નવાબીયુગ, કોઠા અને મુજરા આમ તો હવે લગભગ લુપ્ત થઈ ચૂક્યા છે, પરંતુ વાસ્તવિક જગતમાં મુજરાના વળતાં પાણી શરૂ થયાં ત્યાર પછી પણ ફિલ્મોમાં તેનું ચલણ ખાસ્સું રહ્યું.
સફેદ ગાદલાં પર, કાંડે સફેદ ફુલના ગજરો બાંધીને, દારૂ પીતાંપીતાં અને કોઠાવાળી બાઈને લોલૂપ નજરે જોતાંજોતાં અમીર ઐયાશો મુજરા માણે એવા દૃશ્યો-ગીતો હિન્દી ફિલ્મોમાં ઘણાં બધાં છે. અલબત્ત, ક્યારેક મુજરા કોઠાને બદલે અમીરના ઘરે પણ યોજાતા જોવા મળે. ઘરના કોઈ મોટા પ્રસંગે અતિ અમીર માણસ પોતે એકલા મુજરો માણવાને બદલે મહેમાનો-આમંત્રિતોને તેનો લાભ આપવા માટે કોઠેવાલીને ઘરના આંગણે નચાવે. જેમ કે ફિલ્મ પાકીઝાના ક્લાઈમેક્સમાં લગ્નપ્રસંગે કોઠાવાળી મીનાકુમારીને ઘરે બોલાવીને નચાવવામાં આવે છે અને પોતાના પ્રેમીના લગ્નપ્રસંગે નાચતી વખતે ભડકેલી કોઠાવાલી કાચ ફોડીને કાચના ટુકડા પર નાચીનાચીને પોતે ઘાયલ થાય છે અને જોનારને ઘાયલ કરે છે. એ ગીત તમને કદાચ યાદ હશેઃ
આજ હમ અપની દુઆઓં કા અસર દેખેંગે,
તીર-એ-નઝર દેખેંગે, ઝખ્મ-એ-જિગર દેખેંગે.ખેર, મુજરાઓમાં પુરુષો તો સ્ત્રીને દિલ બહેલાવનારી ‘ચીજ’ તરીકે જ જોતાં હોય તો પણ એ હકીકત નથી બદલાતી કે મુજરો કરનારી સ્ત્રી કોઈ ચીજ નથી હોતી. એ એક જીવતીજાગતી વ્યક્તિ હોય છે. પ્રેક્ષક પુરુષના મનમાં ભલે ઐયાશીનો જ ભાવ હોય, પરંતુ નાચનારી સ્ત્રીના મનમાં કળાની સાધનાનો, આવડતની અભિવ્યક્તિનો અને ઇવન ભક્તિનો ભાવ પણ હોઈ જ શકે. ફિલ્મ ‘અમરપ્રેમ’નું પેલું અમર ગીત તમે સાંભળ્યું જ હશેઃ રૈના બીતી જાયે, શ્યામ ન આયે. આ એક નિર્ભેળ ભક્તિગીત લાગી શકે, પણ ફિલ્મમાં પુષ્પાબાઈ નામની એક કોઠેવાલી કોઠા પર નાચવાને બદલે શાંતિથી બેસીને આ ગીત ગાય છે અને તેને સાંભળ્યા બાદ હીરો આનંદબાબુ કહે છે કે તમારું નામ પુષ્પાને બદલે મીરાં હોવું જોઈતું હતું.
ભક્તિ ઉપરાંત ઉદાસીની અભિવ્યક્તિ માટે પણ ફિલ્મોમાં મુજરાઓનો ઉપયોગ અસરકારક રીતે થયો છે. ફિલ્મ ઉમરાવજાનનો પેલો ઉદાસ મુજરો બહુ જાણીતો છેઃ જુસ્તજૂ જિસકી થી ઉસકો તો ના પાયા હમને, ઇસ બહાને મગર દેખ લી દુનિયા હમને.
ફિલ્મ અદાલતના આવા જ બે ઉદાસ મુજરાની વાત આપણે વિગતે કરીઃ
૧) યૂં હસરતોં કે દાગ મહોબ્બત મેં ધો લિયે, તથા
૨) ઉન કો યે શિકાયત હૈ કે હમ કુછ નહીં કહતે.આ ઉદાસ મુજરાઓ મૂળભૂત રીતે તો પુરુષ સામેની ફરિયાદ જ છે, પણ એમાં દ્વેષ ઓછો અને નજાકત વધુ છે. ઉમરાવજાનની રેખા ગાય છે કે “એ ‘અદા’ ઔર સુનાયે ભી તો ક્યા હાલ અપના, ઉમ્ર કા લંબા સફર તય કિયા તન્હા હમને” અને અદાલતની નરગિસ ગાય છે કે “ઘર સે ચલે થે હમ તો ખુશી કી તલાશ મેં, ગમ રાહ મેં ખડે થે વો હી સાથ હો લિયે”… આ બધા ગીતોમાં ઉદાસીની અભિવ્યક્તિ એટલી સઘન અને વ્યાપક છે કે એ ફક્ત કોઈ એક ચોક્કસ પુરુષ સામે એક ચોક્કસ નારીની ફરિયાદ બની રહેવાને બદલે જાણે પ્રત્યેક મનુષ્યની અંગત ઉદાસીની અભિવ્યક્તિ કરનારાં ગીતો બની રહે છે.
આપણી આ શ્રેણી છે સ્ત્રી-પુરુષનાં આપસી દ્વેષ-ફરિયાદને વ્યક્ત કરતાં ગીતો વિશેની. આવાં કેટલાંક મુજરા-ગીતોની ચર્ચાના અંતે એક એવા ગીતની વાત કરીએ જેને ફરિયાદની અભિવ્યક્તિ કરવા બાબતે સૌથી સીધા, વન-ટુ-વન, ચોટદાર અને છતાં નજાકતપૂર્ણ મુજરાનો ઍવોર્ડ આપી શકાય. એ મુજરો છે ફિલ્મ ‘મમતા’નો. ગીતના શબ્દો આ પ્રમાણે છેઃ
રહતે થે કભી જિન કે દિલ મેં હમ જાન સે ભી પ્યારોં કી તરહ
બૈઠે હૈ ઉન્હી કે કૂચે મેં હમ આજ ગુનહગારોં કી તરહ.દાવા થા જિન્હેં હમદર્દી કા, ખુદ આ કે ન પૂછા હાલ કભી
મહફિલ મેં બુલાયા હૈ હમ પે હંસને કો સિતમગારોં કી તરહ.સીધા બાત, નો બકવાસઃ
અમને દિલમાં રાણીની જેમ બેસાડેલાં અને હવે એમના ઘરમાં અમે ગુનેગારની જેમ બેઠાં છીએ. સાહેબશ્રીનો દાવો તો હમદર્દીનો હતો, પણ કોઈ દિવસ ખબરઅંતર ન પૂછ્યા એ તો ઠીક, અમને ઘરે બોલાવીને એ અમારા પર કોઈ જુલમીની જેમ હસી રહ્યા છે.
બરસોં સે સુલગતે તનમન પર અશ્કોં કે તો છીંટે દે ન સકે
તપતે હુએ દિલ કે ઝખ્મોં પર બરસે ભી તો અંગારો કી તરહ.અમારી બેહાલી પર એમણે બે આંસુ વહાવ્યા હોત તો અમને થોડી તસલ્લી, થોડી ઠંડક મળી હોત, પરંતુ આ જાલીમ માણસ તો દિલના લબકારા મારતા જખમો પર અંગારાની જેમ વરસી રહ્યો છે.
આવી અતિ દાહક અભિવ્યક્તિ બાદ અચાનક કોઠાવાલી બાઇ કૂણી પડીને પોતાની લાચારી અને બેબસીનું બયાન આપે છેઃ
સૌ રૂપ ધરે જીને કે લિયે, બૈઠેં હે હઝારોં ઝહર પિયે,
ઠોકર ન લગાના હમ ખુદ હૈ ગિરતી હુઈ દિવારોં કી તરહ.ટકી રહેવા માટે ખૂબ ઝાંવા મારવા પડ્યા, સમાજે ખૂબ લાતો મારી. હવે અમારી પડુંપડું થતી દિવાલને તમે પણ ઠોકર મારશો તો પડી જશે આ દિવાલ, તૂટી જઈશું અમે…
મજરૂહ સુલતાનપુરીએ લખેલા આ ગીતના શબ્દો જેટલા ચોટદાર છે એટલું જ સંગીતકાર રોશનનું સંગીત હૃદયભેદી છે. અને આ બેય બાબતો સાથે ફિલ્મના પરદે અભિનેત્રી સુચિત્રા સેને ઉદાસી, આક્રોશ અને નજાકતની સહિયારી અભિવ્યક્તિ દ્વારા જે ત્રિવેણીસંગમ રચ્યો છે એ તો જોઈ-સાંભળીને જ માણી શકાય. ગીત તમે જાતે જ એને જુઓ, માણો, અનુભવો.
(ક્રમશઃ)
શ્રી દીપક સોલિયાનું વિજાણુ સંપર્ક સરનામુંઃ dipaksoliya@gmail.com
-
બે વાદળીઓ
પંખીઓના દેશમાં
ગિરિમા ઘારેખાન
આકાશમાં ભમતી રહેતી અનેક વાદળીઓ આપણે રોજ રોજ જોઈએ છીએ. આજે હું તમને બે વાદળીઓની વાર્તા કહીશ.
એકનું નામ હતું ભૂરી અને બીજીનું નામ હતું ધોળી. બે ય વાદળીઓ આકાશમાં આમ તેમ ફર્યા કરે. એક વાર એવું બન્યું કે સૂરજ ખૂબ જ તપવા માંડ્યો. એના કિરણો આગ વરસાવતા હોય એવું જ લાગે. ધરતી ઉપર તો બધા ત્રાહિમામ થઇ ગયા. નદી-તળાવોમાં પાણી ખલાસ થઇ ગયું. માણસો અને પશુ – પંખી પાણીની શોધમાં આમતેમ ભટકવા માંડયા. જમીન ઉપરથી ઘાસ પણ સૂકાઈ ગયું. અને આકાશ! આકાશ તો સૂરજની ગરમીથી સૂરજ જેવું જ ગરમ રહેવા માંડ્યું.
હવે પેલી બે વાદળીઓ પણ તરસથી પરેશાન થઇ ગઈ. એ લોકોએ આકાશમાંથી જમીન ઉપર જોયું – ક્યાંય પાણી છે? બધે પાણી સૂકાઈ ગયું હતું. આકાશમાં આમ તેમ રખડતા રખડતા એમની નજર નીચે દરિયા ઉપર પડી. વાદળીઓ તો દરિયો જોઇને ખુશ ખુશ! એ તો પાણીથી છલોછલ ભરેલો હતો. એમાં મોટાં મોટાં મોજાં ઉછળતા હતાં. સૂર્યના ગરમ ગરમ કિરણો એના ઉપર પણ પડતાં હતાં અને એને લીધે દરિયાનું પાણી વરાળ બનીને આકાશ તરફ આવતું હતું.
એ જોઇને વાદળીઓને થયું કે પાણી ન મળે તો કંઈ નહીં, વરાળ પી ને તરસ છિપાવીએ. એ બંને તો
દરિયાના પાણીની વરાળ પીવા માંડી. વરાળની ગરમીથી ભૂરી અને ધોળીનો રંગ અચાનક કાળો થઇ ગયો. એમના હલકા ફૂલ શરીર પણ ભારે થઇ ગયાં. એટલામાં જોરદાર પવન ફૂંકાવાનો ચાલુ થયો.પવન તો આ વાદળીઓને પોતાની સાથે ખેંચી જવા માંડ્યો. પહેલા એણે ભૂરી વાદળીને ખેંચી. વાદળીને બહુ મજા પડી. એને લાગતું હતું કે એ પોતે જ પવન થઇ ગઈ છે. કોઈ જ મહેનત વિના એને આકાશમાં ઉડવા મળતું હતું. એ નીચે નજર નાખે તો જુદા જુદા પ્રદેશો પણ જોવા મળતા હતાં. એ તો મસ્તીમાં આવીને ગાવા માંડી:
હું ભૂરી ભૂરી વાદળી
આજે થઈ ગઈ કાળી
તાજી માજી થઈને
પવન સાથે ઊડીવાદળી તો ગાતી ગાતી આગળ વધતી હતી ત્યાં અચાનક બીજું કોઈ પણ ગાતું હોય એવો અવાજ એના કાને પડ્યો. ભૂરીને તો લાગતું હતું કે આમ ઉડવાવાળી એ એકલી જ છે. આ બીજું કોણ ગાતું હતું? એણે એ અવાજ સાંભળવા કાન સરવા કર્યા. એને સંભળાયું:
હું ધોળી ધોળી વાદળી
આજે થઇ ગઈ કાળી
તાજી માજી થઈને
પવન સાથે ઊડીભૂરી વાદળીને તો ગુસ્સો આવ્યો. એને થયું કે આ ધોળી વાદળી મને ચીડવવા માટે મારી પાછળ પાછળ આવે છે અને મારા ચાળા પાડે છે. એણે પવનને થોડીક વાર ધીમા થવાનું કહ્યું અને પોતે પણ ઊભી રહી ગઈ. જેવી ધોળી વાદળી ગાતી ગાતી એની નજીક આવી કે એણે બૂમ પાડીને પૂછ્યું, “એઈ ધોળી, કેમ મારી પાછળ પાછળ આવે છે? પાછી મારા ચાળા પણ પાડે છે.’
ધોળી બોલી, “હું તો તારી પાછળ નથી આવતી. મને તો પવન જ્યાં લઇ જાય ત્યાં જાઉં છું અને મોજ કરું છું.’
પણ ભૂરીને એના જવાબથી સંતોષ ન થયો. એ વધારે મોટેથી બૂમ પાડીને બોલી, “તું મારા ચાળા તો પાડે જ છે. હું કાળી થઇ એટલે તેં પણ તારો રંગ બદલી નાખ્યો.’
ધોળી કહે, “પહેલા હું કાળી થઇ હતી, પછી તું થઇ. તું મારી નકલ કરે છે.’
બસ, પછી તો બે ય વાદળીઓ વચ્ચે જોરદાર ઝગડો ચાલુ થઇ ગયો. ભૂરી અને ધોળીએ પોતાની કટારો કાઢી અને એકબીજાની સામે ઉગામવા માંડી. આકાશમાં તો ચારેબાજુ કટારના ચમકારા ચમકારા. સાથે સાથે બંનેના મોઢામાંથી મોટા મોટા અવાજો પણ નીકળે. હવે આજુબાજુના બીજા વાદળા પણ એમનો જુસ્સો વધારવા માટે ગરજવા માંડયા. ધણણણ ધણણણ નગારા વાગતા હોય એવા અવાજો આવવા માંડ્યા. ઘરતી ઉપરથી લોકો ઉપર આકાશ તરફ જોવા માંડ્યા.
લડાઈ લડાઈમાં બંનેની કટાર એકબીજાને વાગી ગઈ. વાદળીઓમાં કાણા પડ્યા અને એમના શરીરમાં ભરાયેલી વરાળ પાણી થઈને નીચે ટપકવા માંડી. પછી તો ટપકાંમાંથી ધારાઓ બની અને જોતજોતામાં વાદળીઓ તો ખાલી થઇ ગઈ. હાંફતા હાંફતા બન્નેએ પોતાનું પાણી ક્યાં ગયું એ જોવા નીચે જોયું.
એમના આશ્ચર્યનો તો પાર ન રહ્યો.એમની લડાઇ જોઇને ધરતી ઉપરના લોકો તો આનંદમાં આવી ગયા હતા. નદી, તળાવ ભરાવા લાગ્યા હતા. ખેડૂતો વાવણી કરવા માટે ખેતરમાં પહોંચી ગયા હતા. નાના બાળકો રસ્તા ઉપર વહેતા પાણીમાં કાગળની હોડીઓ બનાવીને મૂકતા હતાં. વૃક્ષો પણ સાફ થઈ જવાથી વધારે લીલાં લાગી રહ્યાં હતાં. મોરના ટહુકા તો આકાશ સુધી પહોંચતા હતા. પશુઓ રસ્તા ઉપર ભરાયેલા ખાબોચિયામાંથી પાણી પીવા લાગ્યા હતા. બધે આનંદ આનંદ હતો.
ભૂરી અને ધોળી થોડી વાર સુધી એકબીજાની સામે જોઈ રહી. એમને માનવામાં ન હતું આવતું કે એમનું પાણી નીચે પડ્યું એને લીધે આ બધું થયું છે. થોડી વાર પછી ધોળીએ ભૂરીને કહ્યું,
“ભૂરી, તું જુએ છે?”
“હમમ, લડવા લડવામાં આપણે ખાલી થઇ ગયા.’
હા, પણ એનાથી ધરતી ઉપર બધા કેટલા આનંદમાં આવી ગયા!”
“એટલે જ હું તો વિચારું છું.’
‘શું?’
કંઈ જવાબ આપ્યા વિના ભૂરીએ તો પવનને બૂમ પાડીને બોલાવ્યો અને કહ્યું, પવન, ચલ ફરીથી લઇ જા અમને.’
“ક્યાં? પવને પૂછ્યું.
“દરિયે પાણી ભરવા. ચાલ ધોળી આવવું છે ને? ભરાઈને ખાલી થવામાં કેવી મજા આવે છે?’
“હા હા. આવું જ છું.’ ધોળીએ કહ્યું.“અમે પણ આવીશું.’ આજુબાજુ ઊભેલી બીજી વાદળીઓ પણ બોલી. અમે પાણી આપતી વખતે નગારા પણ વગાડીશું.’
હસતી હસતી બધી વાદળીઓ ચાલી પાછી દરિયે પાણી ભરવા.
ગિરિમા ઘારેખાન | મો- +૯૧ ૮૯૮૦૨૦૫૯૦૯
-
કબ્બુ અને કક્કુ
લતા જગદીશ હિરાણી
એક હતું કબ્બુ કબૂતર ને એક હતી કક્કુ કોયલ.
કબ્બુ ને કક્કુ બેય પાડોશી. મોટા લીમડાના ઝાડ પર કબ્બુ રહે ને સામેના બીજા મોટા વડના ઝાડ પર કક્કુ રહે.
રોજ સવાર પડે ને કબ્બુ ‘ઘુ ઘુ…. ઘુ ઘુ’ કરે. સામેના ઝાડ પરથી કક્કુ ‘કુહુ કુહુ’ કરે. બેય ગીતો ગાય. વાતોના વડા કરે. કબ્બુની મમ્મી આવે એટલે કબ્બુ જમવા બેસે. કક્કુને કહે -તારી મમ્મી આવી ગઇ ? જો કક્કુની મમ્મી ન આવી હોય તો કબ્બુ એને લંચ માટે બોલાવે.

ધીમે ધીમે કરતાં કબ્બુ અને કક્કુ મોટાં થયાં. બાજુના વડના ઝાડ પર એક વલ્લુ વાંદરો આવ્યો. એય હજી નાનકડું બચ્ચું હતું. એણે જોયું કે કબ્બુ અને કક્કુ મજાના દોસ્ત હતાં.
એક દિવસ એ વલ્લુ વાંદરો કબ્બુ પાસે ગયો. – કબ્બુ, જો તારું ગળું કેવું ઘોઘરું છે ને કક્કુ કેવું સરસ ગાય છે ? એમ કેમ ? જંગલમાં બધાં કહે છે કે કક્કુનું ગીત સાંભળવાની મજા આવે છે.
વલ્લુ વાંદરાએ સળી કરી લીધી ને હુપ હુપ કરતાં ક્યાંય જતો રહ્યો, પણ કબ્બુભાઇ શિયાંવિયાં થઇ ગયા. રડમસ ચહેરે પપ્પાને ફરિયાદ કરવા માંડ્યા,

‘મારે ટ્યુશન રાખવું છે. વલ્લુભાઇએ મને તાનસેનસરનું એડ્રેસ આપ્યું છે. એ બાજુના જંગલમાં રહે છે. હું તો એની પાસે શીખીશ. મારેય કક્કુ જેવું ગાવું છે.’
‘અરે, તું શું કામ ફિકર કરે છે. આખી આ ગ્રીન યુનિવર્સિટીમાં બધાં મારું માને. હું તને સરસ મજાનું સર્ટિફિકેટ અપાવી દઉં કે કબ્બુ મસ્ત ગાય છે.’
પણ કબ્બુ માન્યું નહિ.
કબ્બુની મમ્મી યે સમજાવીને થાકી પણ કબ્બુ એકનું બે ન થયું.
આખરે બંન્ને પહોંચ્યા મોર તાનસેન પાસે. મોરભાઈ આંખ બંધ કરીને રાગ આલાપવામાં પડ્યા હતા. ક્યાંય સુધી કબ્બુ અને એની મમ્મી રાહ જોઇને બેસી રહ્યાં. અંતે એણે આંખ ખોલી.
‘બોલો, શું કામ હતું ?’
‘આ જુઓને, મારો કબ્બુ કજિયો કરે છે કે એણે કક્કુ જેવું ગીત ગાવું છે. એ મારે કેમ શીખવવું ?
મને તો ઘુ ઘુ કરતાં આવડે ને કબ્બુનેય હું એ જ શીખવું ને ?’
‘સાવ સાચી વાત. તારે ઘુ ઘુ જ કરાય કબ્બુ બેટા.’
આટલું સાંભળતાં જ કબ્બુભાઇની આંખ ફરી છલકાઇ ગઇ.
‘ના, પણ મને વલ્લુભાઇ સાચી વાત કહે છે કે મારે કક્કુ જેવું જ ગાવું જોઇએ.’
‘અરે, એ વલ્લુ વાંદરો ? આખા ગામનો પંચાતિયો ? એની વાત ભૂલથીયે ન સાંભળીશ.’
‘પણ સર, હું મહેનત કરીશ. મને શીખવાડો ને !’
‘સારું, એમ કર, તું કક્કુને અહીં લઇને કાલે આવજે, ઓકે !’
કબ્બુ અને એની મમ્મી પોતાના ઝાડ પર ગયા અને રાત પડી એટલે સુઇ ગયા. સવાર પડતાં જ કબ્બુ જઇને કક્કુને બોલાવી આવ્યું.
‘ચાલ આપણે તાનસેનસર પાસે જવાનું છે.’
કક્કુ તો તૈયાર. એને ફરવા જવું બહુ ગમતું. કબ્બુ ને કક્કુ બંને ઉડતાં ઉડતાં પહોંચ્યા મોર તાનસેન પાસે. મોરભાઈએ રાગ પૂરો કરી આંખ ખોલી.

‘બોલો બચ્ચાંઓ, તમને શું શીખવું છે ?’
કક્કુ કહે – હું તો આ કબ્બુને કંપની આપવા આવ્યો છું. મારી મમ્મી કહે છે, તું ગાય છે એ બરાબર છે.
‘વેરી ગુડ, બેટા. પણ આ કબ્બુને તારા જેવું ગાવું છે એમ વાત છે ને ?’
હા, સર. – કબ્બુએ બીતાં બીતાં કહ્યું.
‘એમ કરો, પહેલાં તમે બંને કળા કરીને એક નૃત્ય કરો. પછી હું તને શીખવીશ.’
‘મને એ નહિ આવડે સર.’
‘અને મનેય એ ન આવડે. – કક્કુએ સૂર પુરાવ્યો.
‘એવું કેમ ચાલે ભાઇ ?’
ત્યાં એક નાનકડી ખિસકોલી ફરતી હતી. આ વાતો સાંભળી એ ફૂસફૂસ કરતી હસી પડી.
‘કેમ તારેય ગાતાં શીખવું છે કક્કુ જેવું કે કબ્બુ જેવું ?’ મોરભાઈએ ખિસકોલીને પૂછ્યું
‘ના રે ના, કંઇ બીજા જેવું થોડું ગવાય ? હું તો મારા જેવું જ ગાઉં.’
એક પોપટ ઉડતાં ઉડતાં ગાતો ગયો,
બીજા જેવું ન ગવાય, ન ગવાય
ગાંડા જેવું ન થવાય, ન થવાય.અને ખિસકોલીએ સૂર પુરાવ્યો – આપણે આપણા જેવા થવાય. !
મોરભાઈ મરક મરક હસવા માંડ્યા. – ચાલો જોઇએ બધા પોતાનું ગીત ગાઓ જોઇએ, અને એક સાથે ખિસકોલી, પોપટ અને કક્કુ ગાવા માંડ્યા.
બધાંએ પોતાના જ અવાજમાં પોતાનું જ ગીત ગાયું.
કબ્બુ બિચારું શરમાઇ ગયું. એ સમજી ગયું. એને થયું – મારી મમ્મી બહુ સમજાવતી હતી પણ મેં મુર્ખાઇ કરી. ભગવાને જે આપ્યું હોય એ જ મજાનું હોય ને !
ત્યાં સામેથી કબ્બુની મમ્મી યે ઘુ ઘુ કરતી આવી. કબ્બુ લાગી પડ્યું મમ્મીની સાથે ઘુ ઘુ કરવા.

સૌએ સાથે મળીને ડાન્સ કર્યો. ખાધું, પીધું ને રાજ કર્યુ, વન આખું આબાદ કર્યું.
-
સામાજિક ક્રાંતિના અગ્રદૂત: મહાત્મા ફુલે
નિસબત
ચંદુ મહેરિયા
૨૭મી નવેમ્બર ૧૮૯૦. આશરે ૧૩૫ વરસો પૂર્વેનો આ દિવસ.
૬૩ વરસના જોતીરાવ ફુલે બે વરસથી બેવારના પક્ષાઘાતથી પથારીવશ છે. શરીરનું જમણું અંગ કામ કરતું નથી. આજે તેમને જીવનનો અંત નજીક લાગે છે, એટલે સાંજે સૌને ભેગા કરે છે. પોતાના જીવનભરનાં કામ અંગે ભારે સંતોષ વ્યક્ત કરે છે. પત્ની સાવિત્રીબાઈ અને દત્તક દીકરા યશવંતની ભાળવણી કરી આંખ મીંચે છે. ૨૮મી નવેમ્બર ૧૮૯૦ની રાતે બે વાગે તેમના શ્વાસ કાયમને માટે થંભી જાય છે. સામાજિક ક્રાંતિના અગ્રદૂત અને બહુજન નવજાગરણના પ્રણેતા મહાત્મા જોતીબા ફુલેના અવસાન સાથે ઓગણીસમી સદીના ભારતના સામાજિક પરિવર્તનના એક મહત્ત્વના અધ્યાયનો અંત આવે છે.
મહારાષ્ટ્રમાં દુરાચારી પેશવાઈથી વકરેલા બ્રાહ્મણવાદ અને શૂદ્રોની પાયમાલીના માહોલમાં મહાત્મા ફુલેએ પોતાના પ્રગતિશીલ અને સમાનતાવાદી વિચારોથી નવી હવાની લહેર પેદા કરી હતી. જ્યારે એ જમાનાના સમાજસુધારકો ઉચ્ચ વર્ગમાં સુધારા માટે પ્રયત્નો કરતા હતા ત્યારે ફુલે અસ્પૃશ્ય દલિતો અને સ્ત્રીઓના હામી બન્યા હતા. તેમણે સમાજના આ કહેવાતા નીચલા વર્ગમાં સમાજ સુધારણાના પ્રયત્નો કર્યા હતા. અન્ય સમાજ સુધારકો અસ્પૃશ્યોને ઉચ્ચ વર્ણનાં મૂલ્યો સુધી લઈ જવા મથતા હતા ત્યારે ફુલેએ બ્રાહ્મણવાદી પરંપરાઓનો છેદ ઉડાડી નવા સુધારાવાદી વિચારો વહેતા કર્યા હતા.
પરંપરાગત માળીના વ્યવસાય સાથે સંકળાયેલા મહારાષ્ટ્રના શૂદ્ર કુંટુંબમાં ૧૮૨૭માં તેમનો જન્મ. પિતા ગોવિંદરાવ અને માતા ચિમણાબાઈ. આર્થિક વિટંબણાઓ છતાં પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો. તેર વરસની વયે, ૧૮૪૦માં, આઠ વરસના સાવિત્રી સાથે બાળલગ્ન કરનાર જોતીરાવને સમાજમાં પ્રવર્તતા ઉચ્ચનીચના ભેદનો યુવાવસ્થામાં જ અનુભવ થયો હતો. કથિત ઉચ્ચવર્ણના મિત્રના લગ્નમાં થયેલા આ અનુભવે તેમને ઝકઝોરી મૂક્યા હતા. આ અપમાનને કારણે જ મોટપણે જાતિપ્રથાની નાબૂદી અને અસ્પૃશ્યતા નિવારણની અગત્ય સમજાઈ હતી. આ સમસ્યાનું કારણ તેમને કહેવાતા નીચલા વર્ણના લોકોમાં રહેલો શિક્ષણનો અભાવ લાગ્યું. ભણતરનું મહત્ત્વ ઊંચું આંકતા એકવીસ વરસના યુવાન જોતીરાવે, ૧૮૪૮માં, પૂણેમાં શૂદ્રાતિશૂદ્ર સમાજની કન્યાઓ માટેની શાળા શરૂ કરીને જીવનકાર્યનો આરંભ કર્યો હતો. પોતાનાં અભણ પત્ની સાવિત્રીબાઈને તેમણે ભણાવ્યા અને તેમણે કન્યાઓને ભણાવી. દેશમાં દલિતોની પહેલી પાઠશાળા ૧૮૫૧માં તેમણે જ શરૂ કરી હતી. એ રીતે જોતીબા ફુલે અને સાવિત્રી ફુલે દેશના દલિતોના આદ્ય શિક્ષકો છે.સ્ત્રીઓ અને દલિતોને ભણાવવાનું આ કામ જરાય આસાન નહોતું. પૂણેના ઉચ્ચવર્ણના વિરોધ આગળ ઝૂકીને તેમના પિતા ગોવિંદરાવે ફુલે દંપતીને કામ છોડવા કે ઘર છોડવા જણાવવું પડ્યું હતું. એટલે એમણે પોતાનું ઘર છોડવું પડ્યું. જોતીરાવને મારવા ભાડૂતી મારાઓને મોકલવામાં આવ્યા. તેમના ઘર પર રોજ પથ્થરો પડતા. સાવિત્રીબાઈ શાળાએ જતાં તો તેમનાં પર પથરા અને છાણ ફેંકવામાં આવતાં. આટલા પ્રબળ વિરોધ છતાં તેઓ અડગ રહ્યાં. મહાત્મા ફુલેએ શિક્ષણનું મહત્ત્વ સ્પષ્ટ કરતાં ‘શેતકર્યાચા અસૂડ’ (કિસાનનો ચાબૂક) પુસ્તકમાં લખ્યું છે: “વિદ્યા વિના મતિ ગઈ, મતિ વિના નીતિ ગઈ, નીતિ વિના ગતિ ગઈ! ગતિ વિના સંપત્તિ ગઈ, સંપત્તિ વિના શૂદ્ર નાસીપાસ થયો, આટલો બધો અનર્થ એકલી વિદ્યા વિના થયો.”
અનેક બાબતોમાં આદ્ય એવા મહાત્મા ફુલેના જીવનીકારોએ એમનાં સામાજિક ક્રાંતિનાં જે કામો ગણાવ્યાં છે તેની ઝલક જોઈએ: વિધવા સ્ત્રીઓ પરનાં દુ:ખો, ખાસ કરીને તેમની વિધવા અવસ્થામાં થતાં બળાત્કારોથી કે મોહવશ બંધાતા શરીરસંબંધોથી આવતી મુશ્કેલીઓ માટે તેઓ બાળહત્યા પ્રતિબંધ ગૃહ ખોલી વિધવા સ્ત્રીઓની પ્રસૂતિ કરાવતા, તેમનાં અવૈધ સંતાનોનો ઉછેર કરતા, તેમણે વિધવા-વિવાહને ઉત્તેજન આપ્યું, વિધવાઓનાં પુન:લગ્ન કરાવ્યાં અને બાળલગ્નોનો વિરોધ કરી તેને અટકાવ્યાં, વિધવાઓના કેશ મુંડનને રોકવા વાળંદોને જાગ્રત કરી સંગઠન બનાવ્યું, ધાર્મિક વિષમતાની નાબૂદી માટે ‘સત્યશોધક સમાજ’ નામક સંસ્થાની સ્થાપના કરી, લગ્ન અને અન્ય ધાર્મિક વિધિવિધાનો સંસ્કૃતને બદલે સરળ મરાઠીમાં થાય તેનો આગ્રહ રાખ્યો, જમીનદારોના જુલમોથી પીડિત કિસાનોની મદદ કરી, ખેડૂતોની સમસ્યાઓ અંગે કૉંગ્રેસ અને અંગ્રેજ સરકારને રજૂઆતો કરી, ખેતીની પદ્ધતિમાં સુધારા માટે પ્રયત્નો કર્યા, મુંબઈમાં મિલકામદારોને શોષણ સામે સંગઠન બનાવવા પ્રેરિત કર્યા, પોતાના ઘરનો કૂવો દલિતોના ઉપયોગ માટે ખૂલ્લો મૂક્યો, હંટર કમિશન સમક્ષ શિક્ષણમાં પાયાના ફેરફારો સૂચવ્યા, પૂણે નગરપાલિકા સભ્ય તરીકે નગરપાલિકાનાં સાર્વજનિક પાણીનાં સ્થાન અસ્પૃશ્યો સહિત સૌ માટે સુલભ કરવાનો પ્રસ્તાવ મૂક્યો, સ્ત્રી સમાનતા, સ્વાતંત્ર્ય અને સ્ત્રી મુક્તિ માટે આધુનિક ગણાય તેવા દૃષ્ટિકોણથી કામ કર્યું, “માનવી અધિકાર”, “સર્વ એકંદર સ્ત્રી અને પુરુષ” તથા “શૂદ્રાતિશૂદ્ર” જેવા શબ્દપ્રયોગ પ્રથમવાર કર્યા, સમાજ સુધારણા માટે ‘દીનબંધુ’ સાપ્તાહિક ચલાવ્યું, ઘણાં લેખો અને પુસ્તકો લખ્યાં.
મહાત્મા ફુલેને તેમનાં કાર્યો અંગે જેમ વિરોધ વેઠવો પડ્યો તેમ આદરસન્માન પણ મળ્યાં હતાં. તેમના ચાલીસ વરસના જાહેરજીવનને વધાવવા તેમનું ભવ્ય ષષ્ઠિપૂર્તિ સન્માન ૧૧મી મે, ૧૮૮૮ના રોજ મુંબઈમાં થયું હતું. આ સમારંભમાં ગાંધીજીથી પૂર્વે તેમને ‘મહાત્મા’ના બિરુદથી નવાજવામાં આવ્યા હતા. જાણે તેના પર મંજૂરીની મહોર મારતા હોય તેમ ગાંધીજીએ ૧૯૩૨માં જોતીબાને ‘સાચા મહાત્મા’ ગણાવ્યા હતા. પોતાના જમાનાથી ખૂબ જ આગળનું વિચારતા જોતીબા ફુલે પરંપરાભંજક હતા. જાતિપ્રથા, સતીપ્રથા, બહુપત્નીત્વ પ્રથા, વિધવાવિવાહ નિષેધ જેવા જડ વિચારો અને રૂઢિઓનો તેઓ વિરોધ કરતા હતા. એ સમયમાં વ્યાપ્ત અંધશ્રદ્ધા, વહેમ અને રૂઢિજડતા દૂર કરવા તેમણે ‘સત્યશોધક સમાજ’ની રચના કરી હતી. ‘ગુલામગીરી’ નામક અદ્ભુત પુસ્તક લખનાર મહાત્મા ફુલેએ જીવનનાં અંતિમ વરસોમાં લકવાથી જમણું અંગ નકામું થઈ ગયું ત્યારે ડાબા હાથે ‘સાર્વજનિક સત્ય ધર્મ’ પુસ્તક લખીને પોતાની માનવધર્મની વિભાવના સ્પષ્ટ કરી હતી. મહાત્મા ફુલે લિખિત અન્ય જાણીતાં પુસ્તકોમાં ‘બ્રાહ્મણાંચે કસબ’, ‘છત્રપતિ શિવાજીરાજે ભોસલે યાંચા પોવાડા’, ‘સત્સાર’ અને ‘ઇશારા’ છે.
આજે મહારાષ્ટ્રમાં સમાજસુધારણા માટે ફુલે-આંબેડકર યુગ એવો શબ્દ પ્રચલિત છે. તેના મૂળમાં ડૉ. આંબેડકર અને મહાત્મા ફુલેનાં કાર્યો વચ્ચે લગભગ પોણી સદીના અંતર છતાં તેમાં રહેલી અનેક સમાનતા છે. એટલે જ ડૉ. આંબેડકરે બુદ્ધ અને કબીરની સાથે પોતાના ત્રીજા ગુરુ મહાત્મા ફુલેને ગણાવ્યા હતા. પોતાનો ગ્રંથ ‘હૂ વ્હેર શૂદ્રાઝ?’ તેમણે જોતીબા ફુલેને અર્પણ કર્યો હતો. મહારાષ્ટ્રમાં અને દેશમાં આજે જોવા મળતી દલિત જાગ્રતિના મૂળમાં મહાત્મા ફુલેના યુગકાર્યનો અલ્પ હિસ્સો છે તે સ્વીકારવું રહ્યું. સ્ત્રીઓ અને દલિતોની હાલત આજે પણ ચિંતાજનક છે અને તેમના પ્રત્યેનાં ભેદ અને શોષણ નવા સ્વરૂપે ચાલુ છે ત્યારે મહાત્મા ફુલેના જીવનકાર્ય અને વિચારોની પ્રસ્તુતતા વધી જાય છે.
(૨૦૨૨માં પ્રગટ લેખકના પુસ્તક ‘ચોતરફ” , પૃષ્ઠ- ૧૭૨ થી ૧૭૪માંથી)
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
આ વાલીયાના પાપમાં સૌ કોઈ ભાગીદાર!
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
અમેરિકન પત્રકાર ગાર્ડીનર હેરિસે ખ્યાતનામ કમ્પની ‘જહોન્સન એન્ડ જહોન્સન’ દ્વારા જાણી જોઈને ગ્રાહકોના જીવને શી રીતે જોખમમાં મૂક્યા અને હકીકત છુપાવી એની વિગતો પોતાના પુસ્તક ‘ધ ડાર્ક સિક્રેટ્સ ઑફ જહોન્સન એન્ડ જહોન્સન’માં સીલસીલાવાર આપી છે. આ પુસ્તક વર્તમાન વર્ષ (૨૦૨૫)માં પ્રકાશિત થયું. તો બીજી તરફ ‘ઈન્ડિયન એક્સપ્રેસ’ના પત્રકાર કોનેન શેરીફ દ્વારા લખાયેલા, તાજેતરમાં જ પ્રકાશિત પુસ્તક ‘ધ જહોન્સન એન્ડ જહોન્સન ફાઈલ્સ: ધ ઈન્ડિયન સિક્રેટ્સ ઑફ અ ગ્લોબલ જાયન્ટ’માં આ જ કંપનીએ આપણા દેશમાં આચરેલી વિવિધ ગેરરીતિઓને ઊઘાડી પાડી છે. અલબત્ત, અહીં મુખ્ય વિષય છે આ કંપની દ્વારા ઉત્પાદિત ક્ષતિપૂર્ણ ‘હીપ ઈમ્પ્લાન્ટ’ ઉપકરણોનો.

સાંદર્ભિક તસવીર – નેટ પરથી ‘હીપ ઈમ્પ્લાન્ટ’ને સરળ રીતે સમજવું હોય તો કહી શકાય કે થાપાના સાંધાનું પુન:આરોપણ. વિવિધ કારણોસર હલનચલનમાં મુશ્કેલી પડે ત્યારે તેના ઈલાજ તરીકે આ કૃત્રિમ ઊપકરણ બેસાડવામાં આવે છે. ‘જહોન્સન એન્ડ જહોન્સન’ કંપની દ્વારા ઉત્પાદિત ભારતમાં ઉપલબ્ધ આ ઊપકરણ બેસાડ્યા પછી અનેક દર્દીઓને વિવિધ તકલીફ પડવા લાગી હતી. પહેલી વાર આવા કિસ્સાની જાણ થયા પછી શેરીફે રીતસર તપાસ આરંભી ત્યારે તેમને આવા અઢળક કિસ્સા જાણવા મળ્યા. તેનાથી એ તારણ નીકળ્યું કે આવા કિસ્સા અપવાદરૂપ નથી, બલ્કે તે લગભગ નિયમ જેવા છે. કારણ એટલું કે આ ઉપકરણની ડિઝાઈનમાં રહેલી મૂળભૂત ક્ષતિને સુધારવાની દરકાર કમ્પનીએ લીધી નથી.
‘આર્ટિક્યુલર સરફેસ રિપ્લેસમેન્ટ’ (એ.એસ.આર.) તરીકે ઓળખાતા હીપ ઈમ્પ્લાન્ટના આ ઊપકરણને બેસાડ્યા પછી ભારતના દર્દીઓએ કેવી શારિરીક, માનસિક અને આર્થિક બેહાલી વેઠવાની આવી છે તેનો વિગતવાર અહેવાલ શેરીફે પુસ્તકમાં આલેખ્યો છે. આવી શસ્ત્રક્રિયા કરાવી હોય એવા અનેકાનેક દર્દીઓને મળીને તેમણે વિગતો એકઠી કરી છે. એવું નથી કે કમ્પનીનું આ ક્ષતિગ્રસ્ત સાધન કેવળ ભારતમાં જ ક્ષતિગ્રસ્ત હતું. અમેરિકામાં પણ તે ક્ષતિગ્રસ્ત હોવાનું જાણમાં આવેલું, અને કમ્પનીએ અમેરિકન બજારમાંથી તેને વેળાસર પાછું ખેંચી લીધેલું. છતાં ભારતના બજારમાં તે સુલભ બનીને ઊપયોગમાં લેવાતું રહ્યું.
વક્રતા એ છે કે ભારત ‘મેડીકલ ટુરિઝમ’ના હબ તરીકે વિકસવાને કારણે અનેક વિદેશી નાગરિકો ભારત આવીને આની શસ્ત્રક્રિયા કરાવતા હતા, જેમાં અન્ય દેશો ઊપરાંત અમેરિકન નાગરિકોનો પણ સમાવેશ થતો હતો. આ સાધનમાંથી નીકળતા કોબાલ્ટ અને ક્રોમિયમને કારણે શસ્ત્રક્રિયા કરાવેલા દર્દીના લોહીમાં આ બન્ને તત્ત્વોનું પ્રમાણ અત્યંત જોખમકારક રીતે ઊંચું હોવાનું જણાતું. બીજી એક બાબત એ પણ ધ્યાનમાં આવી કે આ કમ્પનીના આ સાધનનો ઊપયોગ મુખ્યત્વે ખાનગી ક્ષેત્રની હોસ્પિટલમાં કરવામાં આવતો. તેના ડૉક્ટરો અને ખુદ હોસ્પિટલના સત્તાવાળાઓ દર્દીને આ ક્ષતિયુક્ત સાધન બાબતે અંધારામાં રાખતા. પોતાના નાણાંકીય લાભ ખાતર દર્દીઓના જીવન સાથે આવો ખેલ ખેલાતો રહ્યો. નૈતિકતા, ઉત્તરદાયિત્ત્વ, પ્રામાણિકતા જેવા શબ્દો કેવળ કાગળ પર રહી ગયા.
ગાર્ડીનર હેરિસે કરેલી તપાસમાં આ કમ્પનીના ટેલ્કમ પાઉડરને કારણે અમેરિકામાં કેટલાં મૃત્યુ થયાં એની વિગતો હતી, તો શેરીફની તપાસમાં આ કમ્પનીના આ સાધને કેટલા લોકોની જિંદગીને જીવતેજીવ દોજખ બનાવી તેની વિગતો છે.
આ કામ બહુવિધ સ્તરે થતું રહ્યું. એક તો સંબંધિત તંત્રના નિયામકો અંધારામાં રહ્યા, યા તેમણે આંખ આડા કાન કર્યા કે તેઓ આ બધું ચકાસી શકે એટલા સાધનસજ્જ ન હતા. બીજું કે અન્ય સલામત વિકલ્પો હોવા છતાં હોસ્પિટલોએ આ કમ્પનીનાં ઉત્પાદનોનો ઊપયોગ ચાલુ રાખ્યો. ઊપરાંત કેટલાક ડૉક્ટરોએ અમુક મહત્ત્વની અને ગંભીર હકીકતો દર્દીઓથી છુપાવી. કમ્પની દ્વારા અપાયેલી ખોટી કે ગેરમાર્ગે દોરતી વિગતોએ બાકીનું કામ પૂરું કર્યું. જેમ કે, આ સાધનનો ઊપયોગ કરનાર ઘણા ડૉક્ટરો એવા ભ્રમમાં હતા કે તેની ગુણવત્તા ઉત્તમ કક્ષાની છે. દર્દીઓ તરફથી ગંભીર ફરિયાદ આવ્યા પછી કેટલાક ડૉક્ટરોએ રજૂઆત કરી તો તેમને હતોત્સાહ કરીને કમ્પનીના પ્રતિનિધિઓએ એવું ઠસાવવાનો પ્રયત્ન કર્યો કે મૂળ તકલીફ ખુદ ડૉક્ટરના કૌશલ્યમાં છે, નહીં કે સાધનમાં. પણ દર્દીઓના દર્દમાં થતો વધારો અને આવા દર્દીઓની સંખ્યામાં સતત થતી રહેતી વૃદ્ધિને કારણે છેવટે હકીકત સામે આવી ખરી.
કેવળ ‘હીપ ઈમ્પ્લાન્ટ’ જ નહીં, હૃદય સાથે સંકળાયેલાં સ્ટેન્ટ અને પેસમેકર બાબતે પણ આપણા દેશમાં યોગ્ય નિયમનનો કેવો અભાવ છે એ શેરીફે જણાવ્યું છે. આને કારણે આ સાધનોની ઉત્પાદક કમ્પનીઓ. ખાસ કશી ચકાસણી વિના, જોશપૂર્વક પોતાનાં ઉત્પાદનો હોસ્પિટલો કે ડૉક્ટરોને વેચે છે. આ આખા મામલે સૌથી જોખમગ્રસ્ત હોય તો એ છે દર્દી. તેની પાસે નાણાં ઊભા કરવાની સમસ્યા એવી હોય છે કે સાધનની ગુણવત્તા વિશે જાણકારી મેળવવાની પસંદગી રહેતી જ નથી. આથી ડૉક્ટર કે હોસ્પિટલ દ્વારા થતી સાધનની પસંદગીનો મુખ્ય આધાર તેની સલામતિ કે કાર્યક્ષમતા નહીં, પણ તેની ખરીદી પર મળતું આકર્ષક વળતર બની રહે છે. દર્દીમાં એક વાર આ સાધન બેસાડી દેવાયા પછી તે ઉત્પાદકના દાવા અનુસાર કામ આપે છે કે કેમ એની ચકાસણીની કશી જોગવાઈ નથી. આને કારણે ક્ષતિયુક્ત સાધનો વરસોવરસ, કશી ચકાસણી કે ઉત્તરદાયિત્વ વિના ઊપયોગમાં લેવાતાં રહે છે.
આવી સારવારનો ખર્ચ કોઈ પણ કક્ષાના દર્દી માટે એવો અણધાર્યો, અને અઢળક બની રહે છે કે નથી તે એમાંથી બચી શકતો, કે નથી એ બાબતે કશો સવાલ પૂછી શકતો.
ગાર્ડીનર હેરિસ તેમજ શેરીફનાં પુસ્તક ‘જહોન્સન એન્ડ જહોન્સન’નાં કરતૂતોને ખુલ્લાં પાડે છે. પણ આવું કરનાર આ એક જ કમ્પની ઓછી છે? અનેક કમ્પનીઓ આવાં કાળાં કામ કરી રહી છે. અમેરિકા જેવા દેશમાં તેઓ કાયદાને ચકમો ખવડાવે છે, તો આપણા જેવા દેશમાં નિયમનતંત્ર જ એટલું સબળ નથી કે તેની પર ખાસ કશાં પગલાં લઈ શકાય.
આવાં પુસ્તક પ્રકાશિત થાય ત્યારે ચોરને પકડ્યાનો આનંદ અવશ્ય થાય, પણ એનાથી આપણી ગયેલી મત્તા પાછી આવવાની નથી કે રહેલી મત્તાને નુકસાન નહીં થાય એની કોઈ ખાતરી નથી મળવાની. નાગરિકે બધી બાજુથી લૂંટાવાનું, રહેંસાવાનું છે.
(માહિતી સહયોગ: જગદીશ પટેલ)
ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૦- ૧૧– ૨૦૨૫ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી -
વિરોધનો વંટોળ: ગણિતના એક નવા અભ્યાસક્રમ સામે
સમાજદર્શનનો વિવેક
કિશોરચંદ્ર ઠાકર
દેશમાં ગરીબી, મોંઘવારી, બેરોજગારી, પ્રદુષણ જેવી અનેક સમસ્યાઓની ચર્ચા અને ચિંતા જુદા જુદા વર્ગોમાં થતી હોય છે. પરંતુ જેની અસર પેઢીઓ સુધી થઈ શકે તેમ છે તે દેશનાં શિક્ષણની સમસ્યા વિશે ચિંતા અને ચર્ચા બહુ જ ઓછી થાય છે. સામાન્ય માણસને તો પોતાનાં બળકનાં પ્રાથમિક શાળાના અભ્યાસક્રમનો પણ ખ્યાલ નથી હોતો. તો પછી ઉચ્ચશિક્ષણ વિશે તો પૂછવું જ શું? અલબત સરકારની નવી શિક્ષણનીતિ બબતે એક નાનકડા વર્ગમાં સવાલો ઊભા કરવામાં આવ્યા છે. કદાચ કોઇને લાગે કે આ સવાલો તો જે તે સરકાર વિરોધી બુદ્ધિજીવીઓના રાજકીય પૂર્વગ્રહોને કારણે હોઈ શકે. પરંતુ જેમને સરકારની શિક્ષણનીતિ અંતર્ગત યુનિવર્સિટિના ગણિતના અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમ સાથે કામ પાડવાનું છે તેવા ગણિતના વિદ્વાન પ્રાધ્યાપકોનો તે અભ્યાસક્રમ સામે તીવ્ર વિરોધ છે.
શિક્ષણમાં ગણિતનું મહત્વ આપણે સારી રીતે જાણીએ છીએ ઇજનેરી જેવા અભ્યાસક્રમમાં તો ગણિત એ પાયાની જરૂરિયાત છે. વૈજ્ઞાનિકો બ્રહ્માંડના રહસ્યો શોધવા ડ્રોઈંગરૂમમાં બેસીને ગણિતનાં સમીકરણોનો આશરો લેતા હોય છે. ભૌતિકશાસ્ત્ર અને ગણિતને અલગ પાડી શકાય તેમ નથી. એ જ રીતે અવકાશ વિજ્ઞાન પણ ગણિત આધારિત છે. ચાર્ટડએકાઉન્ટ (C A)જેવા વ્યવસાયી અભ્યાસક્રમ માટે પણ ગણિતનાં જ્ઞાનની જરૂર છે. સામાન્ય અંકગણિત તો આપણી રોજબરોજની જરૂરિયાત છે. આથી જ ગણિતનો અભ્યાસક્રમ નક્કી કરતી વખતે જો કાચું કપાય તો દેશના વિકસમાં પ્રતિકૂળ અને દુરોગામી અસરો પડે. આટલી પૂર્વભૂમિકા પછી મૂળ વાત પર આવીએ.
સામાજિક અને રાજકીય ફેરફારો તેમજ નવી નવી શોધોને કારણે સરકારની શિક્ષણનીતિ અને અભ્યાસક્રમોમાં ફેરફારો થતા રહ્યા છે. સામાજિક પર્યાવરણ અને ભાષાના પોતાના જ બદલાવાને કારણે ભાષાશિક્ષણના અભાસક્રમોમાં પણ ફેરફાર કરવા જરૂરી બને છે. આજનાં બાળકને ‘તકલી’ એ કઈ બલાનું નામ છે તેની જાણ ન હોવી સ્વભાવિક છે આથી જ આઝાદીના પહેલા દસકામાં ભણાવવામાં આવતી કવિતા ‘તકલી ભલી તકલી ભલી, વાહ સૂતરવાળી રે’ એ કવિતા આજે એકદમ અપ્રસ્તુત લાગે છે. ૫ કોથળા ૩ મણ અને ૧૧ શેરના કેટલા શેર થાય એવા દાખલાની કોઇ ઉપયોગિતા રહી નથી. આર્કિમિડિઝે શોધેલા ઉચ્ચાલનો યાદ રાખવા માટેના સાણસી, સૂડી અને ચિપિયો હવે માત્ર ઘર વપરાશ માટે જ ઉપયોગી છે. આથી વિજ્ઞાન અને ગણિતમાં સતત અને ઝડપી નવી શોધોને કારણે અભ્યાસક્રમોની વારેવારે સમીક્ષા કરવી પડે છે. આવું વત્તેઓછે અંશે શિક્ષણના દરેક વિષય બાબતે છે. આથી સરકારે બદલાતા સમય સાથે કદમ મિલાવવા માટે અભ્યાસક્રમો અને શિક્ષણનીતિમાં પણ ફેરફારો કરવા પડે છે. આ માટે તજજ્ઞોની સમિતિ નિમાતી હોય છે.
સિત્તેરના દાયકામાં ગણિતનો ‘ગણપરિચય’ (‘Set theory’)નો મુદ્દો જે સ્નાતક કક્ષાએ ભણાવવામાં આવતો તે હાલ પ્રાથમિક શાળાનાં સાતમા ધોરણમાં ભણાવવું જરૂરી થઈ પડ્યું છે. તેથી ડોલર ગમે તેટલો ઊંચોનીચો થાય તો પણ વિનિમયના દાખલાનો અભ્યાસ રદ કરવો પડ્યો છે.
નવી શિક્ષણનીતિ(NEP2020) અંતર્ગત ગણિતના અભ્યાસક્રમમાં ફેરફાર કરવો જરૂરી થઈ પડતા યુનિવર્સિટિ ગ્રાન્ટ કમિશને(UGC)ઓગસ્ટ ૨૦૨૫માં કોલેજ કક્ષાએ પણ ગણિતના અભ્યાસક્રમનો નવો મુસદ્દો ઘડ્યો છે. આ મુસદ્દા માટે લોકોના પ્રતિભાવો પણ માગવામાં આવ્યા છે. સામાન્ય લોકોએ શા પ્રતિભાવો આપ્યા તેની જાણ નથી પરંતુ જેમને શિરે ગણિત ભણાવવાની જવાબદારી છે તેવા શિક્ષકોનાં સંગઠ્ઠન -Mathematics Teachers’ Association- દ્વારા ખૂબ જ પ્રતિકૂળ પ્રતિભાવો આપવામાં આવ્યા છે. સંગઠ્ઠન તરફથી UGCને જણાવવામાં આવેલ પત્રની તમામ વિગતો આપવામાં લંબાણ થવા ઉપરાંત ગણિતના વિષયની કેટલીક ટેકનિકલ બાબતો સામાન્ય વાચકને સમજવી મુશ્કેલ હોઈ મુખ્ય મુદ્દાઓ જ જણાવવાનો ઉપક્રમ રાખ્યો છે. પરંતુ એ પહેલા Mathematics Teachers’ Association બાબતે જાણવું જરૂરી છે.
ગણિત શીખવામાં મદદ થાય તેમજ તેનો સઘન અભ્યાસ થઈ શકે તે માટે ૧૯૫૨માં Mathematics Teachers’ Association ની સ્થાપના કરવામાં આવી હતી. ગણિતના શિક્ષકો, ગણિત માટેની સંસ્થાઓ, શાળાઓ ઉપરાંત ગણિતમાં રસ ધરાવતા જિજ્ઞાસુઓ આ સંસ્થામાં આવકાર્ય છે. હાલ સંસ્થાના સભ્યોની સંખ્યા લગભગ ૩,૦૦૦ જેટલી છે. સંસ્થાએ વર્ષોથી એક શક્તિશાળી અધિકૃત સંગઠ્ઠન તરીકે પોતાની ઓળખ જાળવી રાખવા ઉપરાંત પોતે ગણિત શીખવવા સંબંધિત બાબતો પર સત્તા સામે પ્રતિક્રિયા આપે છે. જરૂર પડ્યે વાચાળ પણ બને છે. ગણિત શીખતા તમામ લોકોના લાભ માટે નિર્ણયોને સંગઠ્ઠન પ્રભાવિત કરે છે. આ કાર્ય તે સરકારના પ્રભાવ અને દખલગીરીથી મુક્ત રહીને કરે છે. સંસ્થાની કામગીરી માટે જરૂરી નાણાં સભ્યપદ માટેની ફી દ્વારા ઉભા કરવામાં આવે છે. સંસ્થાની આટલી ઓળખ બાદ તેના UGC ની દરખાસ્ત પર પ્રતિભાવ આપતા મૂળ મુદ્દાઓ પર આવીએ
UGCની દરખાસ્તની અસર હજારો કોલેજો-યુનિવર્સિટિઓ ઉપર અને તે દ્વારા લાખો વિદ્યાર્થીઓ પર પડવાની હોઇ તે દરખાસ્તને શિરે જવાબદારીનો મોટો બોજો હોવો જોઇએ. આ વાતને ધ્યાનમાં રાખીને સંગઠ્ઠને UGCને સૂચિત અભ્યાસક્રમમાં નીચે આપેલા કેટલાક મૂદ્દાઓનો ફોડ પાડવા માટે લખ્યું છે.
*સૂચિત નવા મૂસદ્દામાં ગણિતના અભ્યાસાક્રમમાં ફેરફાર કરવા માટેના કારણોની તર્કસંગત સમજૂતિ આપવી જોઈએ. આ અભ્યાસક્રમને અંતે વિદ્યાર્થીઓને શું પ્રાપ્ત થશે તેનો સ્પષ્ટ ખ્યાલ મુસદ્દો ઘડનારાઓને હોવો જોઇએ.
*દેશમાં હાલનાં ગણિતના અભ્યાસક્રમનું વિવેચનાત્મક મૂલ્યાંકન, અભ્યાસક્રમના પાયાની મજબૂતીમાં કોઇ ખામી જણાય તો તેને દૂર કરવી તેમજ કોઈ નવી પ્રાથમિક્તા શોધીને તેની સ્પષ્ટતા પણ કરવી જોઇએ.
*ગણિતના શિક્ષકો અને યુનિવર્સિટિ સિસ્ટમ પર આ મુસદ્દાને કારણે થતી અસરો વિશે સ્પષ્ટ ખ્યાલ હોવો જરૂરી છે.
*મુસદ્દામાં વિદ્યાર્થીઓને અભ્યાસક્રમમાં જે વિવિધ વિકલ્પો આપવામાં આવ્યા છે તે દાખલાદલીલો દ્વારા સમજાવીને પસંદ કરવા માટેનું સુનિયોજિત માળખું હોવું જોઇએ.
*આપણે ત્યાંના વિદ્યાર્થીઓની વિવિધ જરૂરિયાતો જાણી, ચર્ચા કરીને તેને સંતોષવાના વિવિધ રસ્તાઓમાંથી ચોક્કસ પસંદગી કરવી જોઇએ.
પરંતુ શિક્ષકોના આ સંગઠ્ઠનનું માનવું છે કે મુસદ્દામાં આવું કશું કરવાનો પ્રયાસ સુદ્ધા કરવામાં આવ્યો નથી તેના બદલે કેટલાક અભ્યાસક્રમોને “મૂલ્યવર્ધિત” તો કેટલાકને “કૌશલ્યવર્ધી” એવા રૂપાળાં નામો તો આપવામાં આવ્યા પરંતુ આ અભ્યાસક્રમો સૂચવવા માટેના તર્કબદ્ધ કારણો સૂચિત મુસદ્દામાં સમજવા ખૂબ જ મુશ્કેલ છે.
સૌથી મોટો વાંધો જે રીતે આપણા દેશના પ્રાચીન ગણિતના અભ્યાસક્રમો શીખવવાનું સૂચવવામાં આવ્યું છે તેની સામે છે. અલબત્ત સંગઠ્ઠન માને છે કે આપણને આપણા ગણિતના પ્રાચીન અને સમૃદ્ધ વારસાનું ગૌરવ તો હોવું જ જોઇએ. વળી ગણિત શીખનાર દરેક વિદ્યાર્થીએ આપણા આ વારસાનાં ઐતિહાસિક મહત્વને પણ જાણવું જોઇએ. વાત ખરી છે કે આપણી શિક્ષણ પ્રણાલીમાં જેનાં મૂળ યુરોપ બહારના દેશોમાં છે તે પ્રકારના ગણિતને મોટેભાગે અવગણવામાં આવ્યું છે. ભારત ઉપરાંત વિભિન્ન પ્રાચીન સંસ્કૃતિઓના ગણિતમાં પ્રદાન વિશે પણ જાણવું જરૂરી છે. પરંતુ આ કામ તો એકાદ સત્રમાં અને અલગ અભ્યાસક્રમ તરીકે શીખવી શકાય તેમ છે. પરંતુ આ સંદર્ભમાં UGCનો આ મુસદ્દો બધી જ રીતે અતિશય (ઓવરબોર્ડ) જણાય છે. ગણિતમાં ભારતે આપેલા ઝળહળતા પ્રદાનને ઉપસાવવાની સાથે ગણિતમાં થઈ રહેલા વૈશ્વિક વિકાસ પર પણ ભાર મૂકવો જોઈએ. પરંતુ મુસદ્દામાં -આપણા પ્રાચીન ગણિતના- અભ્યાસક્રમોની લાંબીલચ યાદી મૂકવામાં આવી છે. વળી યાદીની દરેક સામગ્રી અલગથી ભણવા માટે એકાદ બે તાસ તો પૂરતા છે. પરંતુ મુસદ્દામાં તો આ બધી સામગ્રીનો ખીચડો કરવામાં આવ્યો છે.
આપણા દેશની જેમ ચીન, ઇરાન અને ગ્રીસ જેવા દેશોમાં પણ ગણિતનો પ્રાચીન વારસો છે અને વાજબી રીતે તેમને તેનું ગૌરવ પણ છે. પરંતુ આ દેશોએ તો એક વિષય તરીકે તો આજના ગણિતને જ શીખવવાનું મુનાસીબ માન્યું છે.
ગણિતના કલનશાસ્ત્ર કે કમ્પ્યુટર માટેનાં કૌશલ્ય જેવા મુખ્યધારાના અભ્યાસક્રમોમાંથી પસંદ કરવા માટે આપેલા અભ્યાસક્રમોમાંથી એક વિકલ્પ તરીકે આવા ઐતિહાસિક અભ્યાસક્રમોને વિદ્યાર્થીઓ દ્વારા પસંદ કરવા માટે મૂકવા એ તો હાસ્યાસ્પદ જ છે. આ પ્રકારની પસંદગીનો કોઇ અર્થ ખરો? પછીથી તો વિદ્યાર્થિઓ જેને ઊંડાણથી શીખવા માટે ખૂબ જ મહેનત કરવી પડે તેવા મુખ્યધારાના ગણિતને બદલે જેમાં માત્ર ગોખવાનું જ છે તેવા ‘ભારતીય’ ગણિતની જ પસંદગી શા માટે ન કરે? કારણ કે તેમ કરવાથી જ પરીક્ષામાં વધારે ગુણ પ્રાપ્ત થાય તેમ છે.
વધુમાં એકવીસમી સદી યુવાનો માટે જીવનમાં અનિશ્ચિતતા, આબોહવા પરિવર્તન, પર્યાવરણીય અધોગતિ, ભૌતિક જગતમાં ડિજિટલ આક્રમણ જેવા અનેક પડકારો લઇને આવી છે. આથી ઉચ્ચ શિક્ષણની જરૂરિયાત છે કે સમસ્યાઓનું નિરાકરણ લાવી શકે તેવા તજજ્ઞો પેદા કરે. આ બધી શક્યતાને ધ્યાનમાં રાખીને નવા રસ્તાઓ શોધવા જરૂરી છે. આ માટે જરૂરી લચિલાપણાની મુસદ્દામાં ખામી છે.
આપણા દેશની વાસ્તવિકતામાં યાદ રાખવું રહ્યું કે ઉચ્ચ ગણિતમાં સમાજના સામાજિક અને આર્થિક રીતે વંચિત વર્ગના વિદ્યાર્થીઓની ભાગીદારી ખૂબ નબળી છે. નવી નીતિ, નવો અભ્યાસક્રમ અને તેના અમલીકરણમાં આ મુદ્દાને ગંભીરતાથી ઉકેલી શકે તેવી આશા દેખાતી નથી.
આ પરિપ્રેક્ષ્યમાં, સૂચિત મુસદ્દો ખૂબ જ નિરાશાજનક છે કારણ કે 21મી સદીમાં વિદ્યાર્થીઓને સામાજિક-આર્થિક અથવા બૌદ્ધિક જીવન માટે તૈયાર કરે તેવી દૂરંદેશી દેખાતી નથી. બીજી બાજુ, જો નવો અભ્યાસક્રમ અમલમાં આવે તો વર્તમાન અભ્યાસક્રમની જે પણ તાકાત છે તેને ધૂળધાણી કરી શકે તેમ છે.
આપણને ગણિતના એવા અભ્યાસક્રમની જરૂર છે જે વિદ્યાર્થીને ભવિષ્યના પડકારોનો સામનો કરવા માટે તૈયાર કરે તથા સમસ્યાનું નિરાકરણ, અનુકુલનક્ષમતા અને વાસ્તવિક જગતના સંદર્ભોમાં નવા ખ્યાલો લાગુ કરવાની ક્ષમતાને પ્રોત્સાહન આપે. એ માટે આ માટે એવા અભ્યાસક્રમમાં શિક્ષણશાસ્ત્રના માધ્યમો જેવા કે પૂછપરછ આધારિત શિક્ષણ, સહયોગી સમસ્યાનું નિરાકરણ અને શોધ ઉપરાંત તેને દૃષ્ટિ સમક્ષ ખડા કરવા(visulaization) માટે ટેક્નોલોજીનો ઉપયોગ સામેલ કરવા પડે. અંડરગ્રજ્યુએટ અભ્યાસક્રમ માટે શિક્ષણશાસ્ત્ર પર વધુ ગંભીર વિચારણાની જરૂર છે અને તેને તેને પડશે એવા દેવાશે એવી વિચારણા તરીકે ગણી શકાય નહિ. સંગઠ્ઠને તો યુજીસીના પ્રસ્તાવિત મૂસદ્દાને સમૂળગો પડતો મૂકવા આગ્રહ કર્યો છે. ઉપરાંત ગણિતના અંડરર્ગ્રેજ્યુએટ અભ્યાસક્રમ માટે નવી જ સમિતિની રચના કરવા UGCને વિનંતી કરી છે,
આ ઉપરાંત લગભગ 950 ગણિતશાસ્ત્રીઓ અને શિક્ષણકારોએ પોતાના હસ્તાક્ષરમાં અરજી કરીને UGCને અભ્યાસક્રમ ફરીથી તૈયાર કરવા માટે નિષ્ણાતોની એક નવી સમિતિ નીમવા વિનંતી કરી છે.
તેવી જ રીતે ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ, બેંગલુરુના ૨૦૦૯થી ૨૦૧૩ સુધી આસિસ્ટન્ટ પ્રોફેસર અને ૨૦૦૬થી ૨૦૦૮ સુધી યુનિવર્સિટી ઓફ ટોરોન્ટો (કેનેડા)માં રીસર્ચર (postdoc)તરીકે કામ કરનાર મંજુનાથ કૃષ્ણપુર તથા ‘અઝીમ પ્રેમજી યુનિવર્સિટિ’ , બેંગલુરુના પ્રોફેસર અને ઈન્સિટ્યુટ ઓફ સાયન્સના ચેન્નાઇના નિવૃત ફેકલ્ટી આર રામાનુજમે પણ વર્તમાનપત્રોમાં લેખ લખીને UGCને આ મુસદ્દો પડતો મૂકવા ભારપૂર્વક જણાવ્યું છે.
(સંદર્ભ: Mathematics Teachers’ Associationનો પત્ર, ઈન્ડિયન એક્સ્પ્રેસમાં તારીખ ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૫નો આર રામાનુજમનો લેખ અને ગુગલ પરથી લીધેલી માહિતી)
શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
બંધારણનું અદ્વિતીય આમુખ અને ‘અમે ભારતના લોકો’
નિસબત
ચંદુ મહેરિયા
‘ અમે ભારતના લોકો’ શબ્દોથી શરૂ થતું ભારતના બંધારણનું કાવ્યાત્મક આમુખ અદ્વિતીય છે. બંધારણનું આમુખ, પ્રસ્તાવના, ઉદ્દેશિકા કે Preamble બંધારણનું અભિન્ન અંગ છે. તેમાં બંધારણના મૂલ્યો, ઉદ્દેશ, આદર્શ , ધ્યેય અને દર્શન સામેલ છે. નાનકડા આમુખમાં સમગ્ર બંધારણનો સાર સંગૃહિત છે. તે અદાલતોને કાયદા અને બંધારણની જોગવાઈઓની વ્યાખ્યા કરવામાં મદદ કરે છે.

Illumination/ornamentation by Beohar Rammanohar Sinha , calligraphy by Prem Behari Narain Raizada., Public domain, via Wikimedia Commons ભારતના લોકોએ ઘડેલું અને પોતાને સમર્પિત આમુખ ૨૬મી નવેમ્બર ૧૯૪૯ના રોજ બંધારણસભાએ સ્વીકાર્યું હતું તથા ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦ના પ્રજાસત્તાક દિવસથી બંધારણ અમલી બન્યું છે.
આમુખનું સંવિધાનના નિર્માણમાં મહત્વપૂર્ણ સ્થાન છે. બંધારણસભાની પ્રથમ બેઠકમાં જવાહરલાલ નહેરુએ બંધારણના ઉદ્દેશોનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તે જ પછીથી આમુખમાં સમાવવામાં આવ્યા છે. ભારતના લોકતંત્રના આધારસમા આઝાદી આંદોલનના જે મૂલ્યોથી તે પ્રેરિત થયું છે અને માર્ગદર્શક નીવડ્યા છે તેને જ આમુખમાં સામેલ કર્યા છે. બંધારણના વિવિધ અનુચ્છેદ અને જોગવાઈઓ આમુખને અનુરૂપ છે. આમુખમાં એ તમામ અધિકારો અને સ્વતંત્રતાની ઘોષણા કરી છે જે ભારતના લોકોએ બંધારણસભા મારફત તેના તમામ નાગરિકો માટે સુનિશ્ચિત કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
ભારતનું બંધારણ લેખિત અને દીર્ઘ છે. જોકે લેખિત બંધારણનો આરંભ સત્તરમી સદીમાં થયો હતો. યુરોપિયન દેશ સ્વીડને ઈ.સ. ૧૬૩૪માં સૌ પ્રથમ લેખિત બંધારણ તૈયાર કર્યું હતું. દુનિયાના અનેક દેશોના બંધારણોની પ્રસ્તાવના કે આમુખ અમેરિકી બંધારણની પ્રસ્તાવનાથી પ્રેરિત છે. ભારતીય બંધારણનું આમુખ પણ તેમાંથી બાકાત નથી. ઈ..સ. ૧૭૭૬ના ‘ અમેરિકન ડેકલેરેશન ઓફ ઈન્ડીપેન્ડન્સ ‘ સાથે ભારતના બંધારણનું આમુખ ઘણું સામ્ય ધરાવે છે.
આમુખનો આરંભ ભવિષ્યનું ભારત કેવું હશે તેનાથી થાય છે. ભારતના લોકો ભારતને સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહીપ્રજાસત્તાક તરીકે સ્થાપિત કરવાની આમુખમાં ઘોષણા કરે છે. અહીં જે સમાજવાદી અને બિનસાંપ્રદાયિક ભારતનો ઉલ્લેખ છે તે મૂળ આમુખમાં નહોતો. ઈન્દિરા ગાંધીએ લાદેલી આંતરિક કટોકટી દરમિયાન અનેક બંધારણ સુધારા થયા હતા. ૧૯૭૬ના બેતાળીસમા બંધારણ સુધારાથી આમુખમાં આ શબ્દો(સમાજ્વાદી અને બિનસાંપ્રદાયિક) ઉમેરાયા હતા. ભારતને સાર્વભૌમ રાષ્ટ્ર ઘોષિત કરીને આપણે સ્પષ્ટ કર્યું છે કે તે એક સ્વતંત્ર દેશ છે અને કોઈપણ બાહ્યશક્તિને અધીન નથી. સમાજવાદીનો અર્થ સમાજવાદી અર્થવ્યવસ્થાને બદલે કલ્યાણ રાજ્ય હોવાનું જણાવાયું છે. ૧૯૪૭માં અંગ્રેજોની ગુલામી ફગાવી તે સાથે જ ભારત લોકશાહી દેશ બન્યો હતો અને ૧૯૫૦માં બંધારણના અમલ સાથે તે પ્રજાસત્તાક છે. એટલે અહીં કોઈ રાજાનું રાજ્ય નથી પણ લોકશાહી ઢબે ચૂંટણીઓ દ્બારા ચૂંટાયેલી સરકાર છે.
ભારતના સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, દરજ્જા અને તકની સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનો પણ આમુખમાં સંકલ્પ વ્યક્ત થયો છે. આમુખની આ ભાવના કોઈ કોરી કલ્પના નથી.પરંતુ બંધારણના મૂળભૂત અધિકારોમાં આ અધિકારો સામેલ કરવામાં આવ્યા છે. ભારતના લોકોએ વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડતા સુદ્રઢ કરે તેવી બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વકનો સંકલ્પ પણ આમુખમાં અંતે વ્યક્ત કર્યો છે.
બાબાસાહેબ ડો.આંબેડકરે બંધારણસભા સમક્ષના તેમના અંતિમ ભાષણમાં ચેતવણી ઉચ્ચારતાં કહ્યું હતું કે, ” માત્ર રાજકીય લોકતંત્ર પર આપણે મન મનાવી લેવાનું નથી. આપણા રાજકીય લોકતંત્રનું આપણે સામાજિક લોકતંત્રમાં પરિવર્તન કરવું જોઈએ. સામાજિક લોકતંત્ર એક જીવન માર્ગ છે. જે સ્વાતંત્ર્ય, સમાનતા અને બંધુતાને જીવન તત્વના રૂપમાં માન્યતા આપે છે. સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા, આ ત્રણેયનો અલગ અલગ વિચાર કરી શકાય નહીં. સમાનતાથી સ્વતંત્રતા અલગ નથી. સમાનતા વિના સ્વતંત્રતા સંભવ નથી. બંધુતા વગર સ્વતંત્રતા અને સમાનતા સ્વાભાવિક રીતે જ અસ્તિત્વમાં હોતી નથી” આમુખમાં ઉલ્લેખાયેલા સમાનતા, સ્વતંત્રતા અને બંધુતાને ડો. આંબેકરના આ શબ્દો સાથે મૂલવીને તેનો અમલ કરવાનો છે.
આંતરિક કટોકટી પછી સત્તામાં આવેલી જનતા પક્ષની સરકારે ઈન્દિરા ગાંધીના અનેક બંધારણ સુધારા ફગાવ્યા હતા. પરંતુ આમુખમાં ઉમેરાયેલા સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને અખંડિતતા શબ્દોમાં સુધારા કર્યા નહોતા. સર્વોચ્ચ અદાલતે પણ આમુખને બંધારણનો હિસ્સો માન્યો છે, તેમાં ઉમેરાયેલા શબ્દોને બંધારણીય ઠેરવ્યા છે અને આમુખ પણ બંધારણનું બેઝિક સ્ટ્રકચર છે તેમ સ્પષ્ટ કર્યું છે.
આમુખમાં થયેલા ઉમેરાને રાજકીય ગણવામાં આવે છે અને અવારનવાર તેને દૂર કરવા કે સુધારવાની માંગણી સંસદમાં અને સડકો પર થાય છે. ૨૦૨૧-૨૨માં ભારતીય જનતા પક્ષના રાજ્યસભા સાંસદ કે.જે અલ્ફાંસે સમાજવાદી સહિતના કેટલાક શબ્દોના સ્થાને બીજા શબ્દો મૂકવાનો બંધારણ સુધારો બિનસરકારી વિધેયક મારફતે રાજ્યસભામાં મૂક્યો હતો. ઓડિશાના બીજુ જનતાદળના એક સાંસદે આમુખમાં અહિંસા શબ્દ ઉમેરવા બિનસરકારી બિલ રજૂ કર્યું હતું.
જુલાઈ ૨૦૨૫માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મહાસચિવ દત્તાત્રેય હોસબલે એ સમાજવાદી અને બિનસાંપ્રદાયિક શબ્દોને આમુખમાંથી દૂર કરવા રાષ્ટ્રીય ચર્ચાની માંગ કરી હતી. તત્કાલીન રાજ્યસભા અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પણ આ માંગણીનું સંસદ બહાર સમર્થન કર્યું હતું. આ સંદર્ભમાં સમાજવાદી પક્ષના સાંસદ રામજીલાલ સુમને લોકસભામાં પ્રશ્ન પૂછ્યો હતો. તેના લેખિત જવાબમાં કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે જણાવ્યું હતું કે સમાજવાદી અને બિનસાંપ્રદાયિક શબ્દો અંગે પુનર્વિચારનો સરકારનો ન તો કોઈ ઈરાદો છે કે ન તો કોઈ યોજના છે. તેમ છતાં આમુખમાં સુધારા-વધારા અંગેની ચર્ચા અવારનવાર ઉઠતી રહેવાની છે.
જસ્ટિસ એચ.આર. ખન્નાના મતે આમુખ બંધારણની વ્યાખ્યા માટે એક માર્ગદર્શકનું કામ કરે છે. પંડિત નહેરુ આમુખને બંધારણનો આત્મા ગણાવે છે. બંધારણસભાના સભ્ય અલ્લાદી કૃષ્ણ સ્વામી આયંગર આમુખને આપણા દીર્ઘકાલીન સપનાંઓનો વિચાર કહે છે. અન્ય સભ્ય પુનિત ઠાકુર દાસ આમુખને બંધારણનો સૌથી કિંમતી હિસ્સો, આત્મા અને ચાવી કહે છે. આમુખ ભારતીય લોકશાહીમાં નાગરિકોના અધિકારો, કર્તવ્યો અને સંકલ્પોની મૌલિક રૂપરેખા છે. નવેમ્બર ૨૦૨૪માં સુપ્રીમ કોર્ટે બંધારણ સુધારાથી ઉમેરાયેલા શબ્દો સહિતના આમુખને બંધારણનો હિસ્સો ગણ્યું છે. એટલે તે અંગેનો વિવાદ પૂર્ણ થવો જોઈએ.
બંધારણનું આમુખ માત્ર ભારતના લોકતંત્રના મૂલ્યોનું પ્રતિબિંબ જ નથી તે ભારતીય સમાજનો સમાનતા અને ન્યાય પ્રત્યેનો સંકલ્પ પણ છે. બંધારણ શું હાંસલ કરવા માંગે છે અને તેનું લક્ષ્ય શું છે તે આમુખમાં દર્શાવ્યું છે. બંધારણના અંતે ઘડાયેલું અને જબલપુરના બ્યોહર રામમનોહર સિન્હાએ ડિઝાઈન કરેલ બંધારણના આમુખનો ઉદ્દેશ એક એવા દેશના નિર્માણનો છે જ્યાં દરેક નાગરિકને લાગે કે અહીં બધાં સમાન છે અને શાંતિ, એકતા તથા ભાઈચારાથી રહે છે.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
