વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • દરેક ઉદ્યોગ સાહસિકે જોવી જ જોઈએ એવી ૧૦ દસ્તાવેજી ફિલ્મ……

    ધંધેકા ફંડા

    ઉત્પલ વૈશ્નવ

    મોટા ભાગના નવ્ય-ઔદ્યોગિક-સ્ટાર્ટાઅપ સંસ્થાપકો નવુંનવું શીખવા માટેના બોધપાઠોની ખોજ પુસ્તકોમાં કરતાં હોય છે.
    તે પૈકી વધારે વિચક્ષણ લોકો ઉર્ધ્વ પ્રગતિ, જોખમો અને પતન (પાયમાલી) વિશેનાં પુસ્તકોને તેમના વાંચનમાં ખાસ પ્રાથમિકતા આપે છે.
    નરી વાસ્તવિકાઓની કહાણીઓ. માત્ર સુખાંત કથાઓ જ નહીં…

    સિદ્ધાંતો, સૈદ્ધાંતિક માન્યતાઓ જે છુપાવી બેઠેલ હોય છે તે દસ્તાવેજી ફિલ્મો ઉઘાડી કરી મૂકે છે.

    નિદ્રાવિહિન, પાસાં ઘસી ઘસીને વિતાવેલી, રાતો.
    નૈતિક ધર્મસંકટો.
    કરોડો રૂપિયાનાં સામ્રાજ્યોને પળવારમાં ખડા કરતા, કે ધ્વંસ કરી દેતા, નિર્ણયો

    આ યાદી અહીં એટલે મુકી છે કે દરેકમ મહત્વાકાંક્ષી ઉદ્યોગ સાહસિક એક સત્ય તો આખરે શીખે જ છે:

    બીજાના જખમોમાંથી શીખેલા બોધપાઠ તમારા વિકાસને વેગ આપે છે.

    ૨૦૨૬નાં ઘડતર વિશેનાં તમારાં આયોજનમાં આ દસ દસ્તાવેજી ચિત્રો તમારી વિવેકબુદ્ધિ અને નિર્ણયશક્તિને વધારે ધારદાર બનાવશે, તમારા દૃષ્ટિકોણને વધારે વ્યાપક બનાવશે, અને ન કરવા જેવી ભૂલો કરવામાંથી બચાવશે.

    ચકડોળમાં ઘુમતી આ ફિલ્મો પર નજર કરો.
    એક પછી એક પસંદ કરો.
    દર અઠવાડીયે એક એક કરીને જૂઓ.

    Fyre – The Greatest Party That Never Happened (2019)

    ઐતિહાસિક નિષ્ફળતા. માર્કેટીંગની પતંગોને હવામાં ઉડતી રાખવા  કામગીરીની માંજો પાયેલી દોરની મદદ જોઇએ

    https://www.netflix.com/in/title/81035279

    Pixar Story (2007)

    નાવીન્ય, રચનાત્મકતા અને લવચીક અનુકૂલનશીલતાની ત્રિગુણી રસી વડે પિક્ષરે એનિમેશનને ફરી બેઠું કર્યું અને નવું કરતાં રહેવાની ભૂખ જાળવી રાખી

     The Call of Entrepreneur (2007)

    સ્ટાર્ટ-અપનાં સમરાંગણમાં ધૈર્ય અને હિમંત જોખમોનો પડકાર ઝીલતા અને વિજય વરતા વાસ્તવ જગતના સંસ્થાપકો

    Inside Bill’s Brain: Decoding Bill Gates (2019)

    એકાગ્રતા અને વ્યૂહરચના બાબતે સમસ્યા-નિરાકરણના અને પ્રાથમિકતા આપવાના બીલ ગેટ્સના બોધપાઠ

    Dirty Money (2018)

    ભ્રષ્ટાચાર અને છળકપટને ઉઘાડાં પાડતો અને નૈતિકતા અને ઉત્તરદાયિત્વને યાદ કરાવતા કિસ્સાઓનો અમૂલ્ય સંગ્રહ

    The Inventor: Out for Blood in Silicon Valley (2019)

    પાયા વિનાના પ્રચાર ગુબ્બારાઓનાં જોખમોને છતાં કરતાં થૅરેનૉસ જણાવે છે કે પૂરતી, તલસ્પર્શી, તપાસનો કોઈ વિકલ્પ નથી

    WeWork: Or the Making and Breaking of a $47 Billion Unicorn (2021)

    બહુ ઝડપથી મોટા થવું, કરિશ્માઈ નેતૃત્વ અને બઢાવેલ ચઢાવેલ મૂલ્ય-આકારણીઓની સામે ચેતવણીના સુરની કહાણી

    Becoming Warren Buffet (2017)

    ઓમાહાના ઋષિ પાસેથી ધૈર્ય, કરકાસર અને લાંબા ગાળાની વિચારસરણીના પાઠ શીખીએ

    Enron: The Smartest Guys in the Room (2005)

    નૈતિકતાના અવળા પાઠમાં ઊંડી ડૂબકી – છેતરપિંડીઓના ખેલમાં ચમરબંધીઓ ધૂળ ચાટતા કેમ થયા તે જૂઓ

    Startup.com (2001)

    ડૉટ.કોમ પરપોટાની ફુલવાની અને ફાટવાની હકીકતની તપાસ, આંતરિક સંઘર્ષો અને ફન્ડીગનાં જોખમોની માયાજાળ

    તમારી આવતી કાલ તમારી આભારી બની રહેશે.

    → બીજાંની ચડતી પડતીનો અભ્યાસ આપણી પોતાની પ્રગતિના વેગનો ગુણાકાર કરી આપી શકે છે.


    આ શ્રેણીના લેખક શ્રી ઉત્પલ વૈશ્નવનો સંપર્ક hello@utpal.me  વીજાણુ સરનામે થઇ શકે છે.

  • સંચાલકોને પ્રશિક્ષકની ભૂમિકામાં તૈયાર કરીને સંસ્થામાં ટીમોને સશક્ત કરીએ

    સ્વ-વિકાસ : વિચાર વલોણું

    તન્મય વોરા

    આ વિષય દ્વારા એક એવાં વિચારબીજને રોપવાનો આશય છે  જે સંસ્થાના માળખાને નાટ્યાત્મક રીતે સશક્ત બનાવી શકે છે. સંચાલક અથવા ટીમ લીડના પદ પરના દરેકને દર મહિને ઓછામાં ઓછા બે કલાક અન્ય લોકોને (પહેલી પસંદગી તેમની ટીમોને આપી શકાય) તાલીમ આપવા માટે કહો. વિષય તેઓ જ નક્કી કરે. (મોટાભાગે તેમનાં પ્રાથમિક કૌશલ્ય ક્ષેત્ર, પ્રક્રિયાઓ, પદ્ધતિઓ, સોફ્ટ સ્કિલ અથવા એવા કોઈ પણ વિષય પસંદ કરી શકાય. ક્યારેક ક્યારેક માત્ર વ્યક્તવ્ય કે પ્રેઝન્ટેશન પણ આયોજી શકાય.

    થોડા ફાયદા:

    • સંચાલક અથવા ટીમ લીડ્સ આ વિષયો વિશે પોતે પણ નવી નવી બાબતો શીખી શકે છે.
    • આ પ્રયોગ દ્વારા તેઓ વિચાર પ્રક્રિયા, વિચારોની રજૂઆત અને જાહેરમાં બોલવાની બાબતે વધુ સારી કુશળતા મેળવી શકે છે.
    • પોતાના અનુભવો અને તારણો બીજાંઓ સાથે વહેચવાની સાથે સાથે સામેના લોકોને આ વિષય વિશેના આગવા દ્રષ્ટિકોણ સમજાવી શકાશે અને લોકોના દૃષ્ટિકોણ સમજી શકાશે.
    • ટીમના સભ્યો તેમના સંચાલક અથવા ટીમ લીડને પોતાના કાર્યક્ષેત્રોમાં જ્ઞાન વૃદ્ધિ દ્વારા થતાં મૂલ્યવર્ધન માટે સન્માન આપવાનું શરૂ કરી શકે છે.

    આ પ્રયોગ, શરૂઆતમાં  ત્રણ મહિના માટે કરી જૂઓ. હાજરીની સંખ્યા અને ગુણવત્તાની નોંધ રાખો અને ખર્ચવામાં આવેલા પ્રયત્નોનું માપ કાઢો – આ પ્રયાસનું ખર્ચ પરનું વળતર સારૂ  રહેવું જોઈએ કેમકે તે લોકો વચ્ચે મજબૂત કડીઓ બનાવે છે.

    બહુ જટિલ વિષયોને પસંદ ન કરીને જ્યારે તાલીમનું ભારણ ઓછું રાખવામાં આવે છે ત્યારે તે સૌથી અસરકારક હોય છે. વધુમાં – તે સતત શીખવાનાં વાતાવરણને પોષે છે.

    પ્રયોગ કરી જોવા જેવો જરૂર છે !


    આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.

  • ગયાના – નદીઓ અને જંગલોનો દેશ : ૭

    પ્રીતિ શાહ-સેનગુપ્તા

    મોટી વૅન લેવા આવે એની રાહ જોવામાં સવા-દોઢ કલાક નીકળી ગયો. અહીંથી અમે જિયો, એટલેકે જ્યૉર્જ ટાઉન, પાછાં જવાનાં હતાં. એ જ રસ્તે જતાં, હવે મેં જોયું, કે ક્યાંક ક્યાંક મોટાં સરસ ઘર હતાં, નવાં રંગેલાં, મૉડર્ન લાગતાં; અને બરાબર સામે જ, જૂનાં, સાધારણ ઘર પણ હોય. આનું પણ એક સ્પષ્ટ એવું કારણ છે.

    ગયાના તો ઘણો નાનો દેશ ગણાય. એની વસ્તી હશે  આઠેક લાખથી પણ ઓછી. એમાં પણ પૈસાદાર ને ગરીબના સ્પષ્ટ ભેદ થયેલા છે. બીજી જાતિઓના લોકોમાં, તેમજ ઇન્ડિયનોની અંદર પણ આ ભેદ છે. કારણ એ છે, કે લાખો ગયાનિઝ લોકો કૅનૅડા, અમેરિકા, ઇંગ્લંડ જેવા પરદેશોમાં જઈ વસ્યાં છે. એ બધાં પોતપોતાનાં કુટુંબોને પૈસા મોકલે છે, આર્થિક મદદ કરે છે, અને તેથી આ કુટુંબો વધારે સુખી જીવન ગાળી શકે છે.

    એક એવો પણ વર્ગ છે, કે જે આધુનિક છે, સુશિક્ષિત છે, પરદેશોમાં ફરવા જાય છે, અંગ્રેજી બોલે છે, એમની છોકરીઓ જીન્સ ને કુરતી જેવાં કપડાં પહેરે છે, એમના છોકરાઓ કાળાં ગૉગલ્સ પહેરીને ગાડીઓ ફેરવે છે. તો બીજો વર્ગ, કદાચ, ખેતીમાં કામ કરનારાંનો હશે, કે જેમની જિંદગી આનાથી સાવ જુદી હશે.

    મોટા ભાગનાં દરદીઓ આ પ્રકારનાં હતાં, તેમ કહી શકાય. શારીરિક શ્રમ અને માનસિક નિષ્ક્રીયતા – આવા પ્રકારનું જીવન જીવતાં હોય, મુખ્યત્વે તેવાં સ્ત્રી-પુરુષોને અમે બે દિવસથી તપાસતાં રહ્યાં હતાં. પછીથી મારે ગયાનાના શ્રીમંત વર્ગ સાથે પણ સંપર્ક થયા હતા. સદ્ભાગ્યે મને દેશની બંને બાજુ જોવા મળી હતી.

    એ સાંજે જિયોની હોટેલમાં પહોંચ્યાં પછી રાતનું ભોજન ક્યાં લેવું, તે વિષે થોડી વિમાસણ થયેલી. શાકાહારી ખાવાનું જલદી મળે નહીં, અહીં બહાર. આવતી વખતે, અમે બેએક જણાંએ પિત્ઝાની એક રૅસ્ટૉરાઁ રસ્તામાં જોયેલી. એ ચાલીને જવાય તેટલે જ હતી. તેથી અમે પંદર જણ ત્યાં ગયાં. રસ્તા પર બહુ બત્તીઓ નહીં, અને ફૂટપાથ પર ચાલતાં, ઠોકર ના વાગે તે સાચવવું પડે. ચાલો ભાઈ, પિત્ઝા હતા તો સારા!

    સવાર તો વહેલી જ પડવાની હતી, તે અમે જાણતાં હતાં. પાંચથી યે પહેલાં બધાંને ઊઠવું પડ્યું, અને ઉતાવળે, સાડા પાંચ વાગતાંમાં તો અમે વૅનમાં બેસી ગયાં હતાં. પરિકા પહોંચતાં એક કલાક થવાનો હતો.

    ડૅમૅરારા નદી પરનો, સવા માઇલ લાંબો, પુલ પસાર કર્યો. ડચ ઍન્જિનિયરો દ્વારા, એ પાંત્રીસ વર્ષ પહેલાં બંધાયેલો. વહાણો પસાર થવાનાં હોય ત્યારે આ બ્રિજ પણ બે ભાગે ખુલી જાય છે. ફરીથી જોઈએ, અને ફરીથી સુંદર લાગે આ નદીઓ. સૂકી નદી એટલે શું, એની કલ્પના પણ ના આવે અહીં કોઈને.

    નદીના કાંઠા સળંગ લીલા દેખાય છે. કદાચ એ બધા મૅન્ગ્રોવ જળ-વૃક્શ હશે. અમે નદી પાર કરીને આગળ વધતાં ગયાં. બધું સરખા જેવું જ લાગે – ઘર, મસ્જિદ, ચર્ચ. કમાનો, ગુંબજ ને મિનારાવળી બે-ત્રણ મસ્જિદ બહુ સરસ લાગી. મેં જોયું કે ઘર સરસ હોય, મોટાં ને મોંઘાં હોય, ત્યારે પણ સાફસૂથરાં નથી લાગતાં. ને પછી મને ખ્યાલ આવ્યો, કે કારણ એ કે આ રસ્તાઓ પર કોઈ ફૂટપાથ, કે પાકી કિનારીઓ હોતી નથી. એટલે બધાં ઘર ધૂળિયા જેવા રસ્તા પર જ હોય.

    સવા કલાક થયો, ને અમે ડાબે વળ્યાં. ઍસૅકીબો નદી તરફ. એ પરિકા નામનું બંદર હતું. હજી તો સવારે સાત વાગતા હતા, ને પ્રવૃત્તિઓનો પાર નહતો. પેલી તરફનાં ગામોમાં જવા માટે, આ નદી પરનું મુખ્ય ક્રૉસિન્ગ આ છે. હોડીઓ અને હોડીવાળાઓ હાજર હતા. મોટરબોટો પાણીમાં હાલતી હતી. ટિકિટબારી ખુલી ગઈ હતી.

    સ્થાનિક લોકો ભેગા થયેલા હતા. જાહેર નૌકાઓ સવારે પાંચ વાગ્યાથી શરૂ થઈ જાય છે. નદીના કિનારા પરનાં ગામોમાં થોભતી થોભતી જાય, એટલે ઘણી વાર થાય છે એમાં.

    ડક્કા પર પણ ધમાલ હતી. એક મોટું વહાણ નાંગરેલું હતું. એમાં માલસામાન લઈ જવાય છે, સામેનાં કિનારા પરનાં ગામોમાં. ચીજો ચઢાવાતી હતી. લીલા કાચ જેવા કેળાંની મોટી મોટી લૂમો વહાણમાં મૂકાવાની રાહ જોતી હતી. ચારે બાજુ હૈશો-હૈશો હતું જાણે. પણ જોવાની કેવી મઝા.

    એક મોટરબોટમાં અમે બધાં ચઢ્યાં. ઘણી નાની બોટ હતી. એકદમ ટાઇટ બેસવું પડ્યું બધાંને. અમારી સાથે, દરેક જણની રાત્રી-બૅગો હતી, અને દવાઓ ભરેલા ત્રણ મોટા બૉક્સ પણ હતા. બધું માંડ માયું. વળી, અમારે દરેકે કેસરી લાઇફ-જૅકૅટ પણ પહેરવાં પડ્યાં.

    બોટ ચાલવા માંડી કે ઘણું બધું પાણી ફીણ ફીણ થઈને ફુત્કારવા લાગ્યું, અને બોટની બંને બાજુએ પાણીની મોટી દીવાલો થતી ચાલી. અંદર સૂરજ બીલકુલ પહોંચતો નહતો, અને કૈંક પવન આવતો હતો, એટલે સંકડાશ હતી છતાં બહુ વાંધો ના આવ્યો.

    આ ઍસૅકીબો નદી શક્તિવાન અને શોભનીય છે- માઇટી અને મૅગ્નિફિસન્ટ. ગયાનાની સૌથી મોટી નદી આ છે. બ્રાઝીલની સરહદ પાસે, ગયાનામાં દક્શિણ તરફ આવેલા આકારાઇ પર્વતોમાંથી એ નીકળે છે, અને ઉત્તર તરફ ગતિ કરે છે. દેશનાં જંગલો તેમજ મેદાનોમાં થતી, અન્ય નદીઓને પોતાનામાં સમાવતી, ૧,૦૧૦ કિ.મિ.નું અંતર કાપી, છેવટે એ ઍટલાન્ટીકમાં ભળે છે.

    ખરેખર તો, ઍસૅકીબો નદીનું સ્વરૂપ જ સમુદ્ર જેવું છે. વહેણમાં લગભગ હંમેશાં, એનો પટ ઘણો વિશાળ જ રહે છે, પણ ઍટલાન્ટીકમાં સમર્પિત થાય છે ત્યારે એની પહોળાઈ એવી બને છે, કે જેને માપી ના શકાય. એટલેકે, કલ્પના કરી ના શકાય તેટલી પહોળાઈ એનો પટ ધારણ કરે છે.

    Majestic Delta of the Essequibo River Flowing into the Atlantic Ocean – Guyana, South America
    સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

    એના મુખ-ત્રિકોણમાં અસંખ્ય ટાપુઓ, અને છીછરા, કાદવિયા હિસ્સા પણ છે. ને તેથી જ એનું માપ કાઢવું અઘરું છે. છતાં, આશરે, એના મુખને બત્રીસ કિ.મિ.થી વધારે પહોળું ગણવામાં આવે છે. મહાસાગરમાં ભળતી આ મહાનદ છે, જાણે ગયાનાની પોતાની ગંગા….


    ક્રમશઃ


    સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.

  • આર્થિક હિત મહત્ત્વનું, નહીં કે પ્રકૃતિ સાથેનું જોડાણ

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    વિવિધ સંસ્થાઓ, સંશોધન કેન્‍દ્રો યા અન્ય એકમો દ્વારા દર વર્ષે અનેકવિધ ક્ષેત્રનાં સંશોધનો કે સર્વેક્ષણો થતાં રહે છે. આવાં સંશોધનોનાં પરિણામ અને તારણ પ્રકાશિત થાય એ અધિકૃત હોય, છતાં એ સાર્વત્રિક ધોરણે લાગુ પાડી ન શકાય, કેમ કે, તે નમૂનારૂપ અભ્યાસ હોય છે. એટલે કે તે અમુકતમુક બાબત, પ્રવાહ કે સ્થિતિનો અંદાજ આપી શકે છે. એ રીતે તે ઊપયોગી પણ છે. હમણાં ઈન્‍ગ્લેન્‍ડસ્થિત યુનિવર્સિટી ઑફ ડર્બીના પ્રો.માઈલ્સ રિચર્ડસનની આગેવાનીમાં બ્રિટન અને ઓસ્ટ્રિયાના સંશોધકોએ ૨૦૨૪માં હાથ ધરેલા એક અભ્યાસનાં પરિણામ ‘જર્નલ ઓફ એન્‍વાયર્ન્‍મેન્‍ટલ સાઈકોલોજી’માં પ્રકાશિત કરવામાં આવ્યાં. પ્રો.માઈલ્સ ‘નેચર કનેક્‍ટેડનેસ’ના પ્રાધ્યાપક છે. ‘નેચર કનેક્‍ટેડનેસ’ એટલે પ્રકૃતિ સાથેનું જોડાણ. આ વિચાર મનોવૈજ્ઞાનિક છે, જે અન્ય પ્રજાતિઓ સાથે જે તે વ્યક્તિ કે સમૂહની નિકટતાનું માપ છે. તેના માપન માટે વિવિધ માપદંડ છે, જેનો સાર એટલો કે તમે તમારી આસપાસના પર્યાવરણ કે પ્રજાતિઓ સાથે કેવીક સુસંગતતા જાળવીને રહી શકો છો.

    સાંદર્ભિક તસવીર – નેટ પરથી

    અભ્યાસનાં પરિણામો કેવાં મળ્યાં? જે લોકો પ્રકૃતિ સાથે વધુ સારી રીતે જોડાયેલા હોય છે તેમની સુખાકારી બહેતર હોય છે, અને તેઓ પર્યાવરણ સાથે સુસંગત રીતરસમો વહેવારમાં અપનાવતા જોવા મળે છે. પ્રકૃતિ સાથે ઓછા જોડાયેલા લોકોમાં એ માટેનાં ત્રણ મુખ્ય પરિબળો જવાબદાર હોવાનું જણાયું. તેમાં આસપાસની જૈવવિવિધતાનો અભાવ હોવાની સાથોસાથ વ્યક્તિગત અસમાનતા અને ભૌતિક પ્રાપ્તિની પ્રાથમિકતા હોવાનું જણાયું. એક વિચિત્ર બાબત એ પણ નજરે પડી કે વિજ્ઞાનની સરખામણીએ ધાર્મિકતાનો યા સાંસ્કૃતિક પરંપરાનો સ્વીકાર વધુ પ્રમાણમાં હોય એવા સમાજમાં પ્રકૃતિ સાથેનું જોડાણ વધુ જણાયું.

    કુલ ૬૧ દેશોના ૫૭,૦૦૦ લોકોના કરાયેલા અભ્યાસના પરિણામમાં જોવા મળ્યું કે પ્રકૃતિ સાથે સૌથી વધુ જોડાયેલો દેશ નેપાળ છે. પછીના ક્રમે ઈરાન, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ અને નાઈજીરિયા આવે છે. યુરોપીય સંઘમાંથી કેવળ ક્રોએશિઆ અને બલ્ગેરિઆ જ પ્રથમ દસમાં સ્થાન પામ્યા છે, જ્યારે ફ્રાન્‍સ ૧૯મા સ્થાને છે. જે દેશની યુનિવર્સિટી દ્વારા આ અભ્યાસ હાથ ધરાયો એ બ્રિટન છેક પંચાવનમા સ્થાને છે. બ્રિટનથી પણ પછીના ક્રમે નેધરલેન્‍ડ્સ, કેનેડા, જર્મની, ઈઝરાયલ, જાપાન અને સ્પેન છે. ભારતનો ક્રમાંક ત્રીસમો છે.

    પરિણામ તો બરાબર, પણ આ અભ્યાસ કેટલાંક તારણો દર્શાવે છે, જે ઘણાં મહત્ત્વનાં છે. ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ (સરળતાથી વ્યવસાય કરી શકાય એવી સરકારી નીતિ) અમલી છે, એવા દેશોનું પ્રકૃતિ સાથેનું જોડાણ ઓછું છે. અર્થાત આ બન્ને બાબતો વચ્ચે સીધો સંબંધ છે. પર્યાવરણ ક્ષેત્રે કામ કરતાં અનેક સંગઠનો બ્રિટનમાં કાર્યરત છે, છતાં પ્રકૃતિ સાથેની નિકટતામાં એ પાછલા ક્રમે છે. એટલે કે આ સંગઠનોની કાર્યવાહીની ખાસ અસર બ્રિટનમાં જણાઈ નથી. પ્રકૃતિ સાથેની નિકટતાના અભાવ માટે શહેરીકરણ, તદ્દન ઓછી આવક તેમજ ઈન્‍ટરનેટના વપરાશનો સીધો સંબંધ જણાયો.

    પ્રો.રિચર્ડસન આ બાબતે જણાવે છે: ‘પ્રકૃતિ સાથેનું જોડાણ આપણે શું કરીએ છીએ એટલા પૂરતું મર્યાદિત નથી. આપણે શું અનુભવીએ છીએ, વિચારીએ છીએ અને જગતમાં આપણા સ્થળનું શું મૂલ્ય આંકીએ છીએ એ બધા પર આનો આધાર છે.” આ બાબતે બ્રિટન પાછલા ક્રમે હોય એમાં પ્રો. માઈલ્સને નવાઈ નથી લાગતી, કેમ કે, તેમના જણાવ્યા અનુસાર: ‘આપણો સમાજ વધુ તાર્કિક, આર્થિક અને વૈજ્ઞાનિક બની ચૂક્યો છે. તેનાથી દેખીતો ઘણો બધો લાભ થયો છે, પણ તેની સામે કેટલીય અણધારી સમસ્યાઓ પેદા થઈ છે. ટેક્નોલોજી પર અતિશય આધારિત આપણા વિશ્વમાં આપણે પ્રકૃતિલક્ષી વિચારણાને શી રીતે પુન: સમાવીશું? સંસ્કૃતિને બદલવાનું મુશ્કેલ છે, પણ પ્રકૃતિના મૂલ્યને મુખ્ય ધારામાં લાવવું, તેને આપણી સુખાકારી સાથે સાંકળવું અતિ મહત્ત્વનું છે, જેથી તે એક પ્રકારે આદરપાત્ર અને પવિત્ર બાબત બને.’

    તેમણે કેટલાંક સૂચનો પણ કર્યાં છે. જેમ કે, માનસિક અને જાહેર સ્વાસ્થ્યસંબંધી ચિકિત્સામાં નૈસર્ગિક પર્યાવરણનો ઊપયોગ વધારવામાં આવે, પ્રકૃતિના હક અંગે કાનૂનની જોગવાઈઓ તૈયાર કરાવી શકાય, અને વ્યાવસયિક નિર્ણયો તેમજ નીતિઓમાં પ્રકૃતિને લગતી બાબતોનો સમાવેશ કરવામાં આવે. વ્યાવસાયિક નીતિઓ પર પુનર્વિચાર કરીને, પ્રકૃતિને કેન્‍દ્રમાં રાખીને ફેરવિચારણા કરી જ શકાય છે. કુદરતને સંસાધન નહીં, પણ સહભાગી ગણીને વિચારાય તો આ શક્ય બને.

    આ અભ્યાસ ભલે બ્રિટનમાં થયો, અને તેનાં પરિણામમાં વિવિધ દેશો અલગ અલગ સ્થાને આવ્યા, પણ મૂળ મુદ્દો અતિ મહત્ત્વનો છે, જે એકે એક દેશને લાગુ પડે છે. પોતાના દેશ કે પ્રદેશને આર્થિક તાકાત બનાવવાની લ્હાયમાં પર્યાવરણનો ખો કાઢી નીકળી ગયો હોવાની વાત જૂની થઈ. કુદરત સાથેનું આપણું જોડાણ સાવ ઘસાઈને તૂટી જાય એ કેવી વક્રતા! બ્રિટન જેવા વિકસીત દેશની આ હાલત હોય તો આપણો દેશ હજી વિકાસશીલ છે. અનેક યોજના, પરિયોજના કે પ્રકલ્પો આપણે ત્યાં નિર્માણાધીન છે. પર્યાવરણના અભ્યાસ કાગળ પર થાય છે ખરા, પણ વિપરીત અસર થઈને જ રહે છે. આ પરિયોજનામાં મૂડીવાદ અને ભ્રષ્ટાચાર ભળે પછી કુદરત શું અને પર્યાવરણ શું? કેન્દ્રમાં માત્ર ને માત્ર આર્થિક હિત જ હોય છે, અને એ પણ મુઠ્ઠીભર વર્ગનું.

    આ બાબતે એવી ફિકર પણ વ્યક્ત કરી શકાય એવી નથી કે ભાવિ પેઢી આમ ને આમ પ્રકૃતિથી વિમુખ થઈ જશે. કેમ કે, વર્તમાન પેઢીમાં આમ થઈ જ ચૂક્યું છે.


    ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૭- ૧૧– ૨૦૨૫ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી

  • ડેવિડ મેલોન અને ઈચ્છામૃત્યુ

    અતિ પીડાદાયક જીવલેણ રોગ દર્દીનું જીવવું દુષ્કર બનાવી દે છે અને પરિવારને થકવી નાખે એવી શારીરિક અને માનસિક તાણ સર્જે છે. દવા કંઈ કામ ન કરતી હોય અને અંત નિશ્ચિત હોય ત્યારે આ પીડા લંબાવવાને બદલે સામે ચાલીને તબીબી સહાયથી એનો અંત આણી દેવા માટે કાયદેસર પરવાનગી આપવાની માગણી આપણે ત્યાં ચળવળ સ્વરૂપે મીનુ મસાણીએ શરુ કરી હતી.

    ભારતમાં કેનેડાના હાઈ કમિશનર રહી ચૂકેલા ડેવિડ મેલોને ગત વર્ષે લીધેલા નિર્ણય મુજબ ૨૪મી નવેમ્બરે તબીબી સહાયથી મૃત્યુ વહોરી લીધું.

    આ ઘટનાના અનુસંધાનમાં ભારતના ટોચના પત્રકાર – લેખક પ્રતાપ ભાનુ મહેતાએ ૨૯ નવેમ્બરના ઇન્ડિયન એક્સપ્રેસમાં લખેલ લેખ, In thinking of the good death, what are the lines we ought to draw?,માં ભારત પ્રત્યે સવિશેષ પ્રેમ ધરાવતા ડેવિડ મેલોનને યાદ કરવા ઉપરાંત ઈચ્છામૃત્યુ વિશે પણ બહુ જ વિચારપ્રેરક ચર્ચા કરી છે.

    એ લખાણને થોડું ટૂંકાવીને એનો ભાવાનુવાદ અહીં રજૂ કર્યો છે.

    નરેશ પ્ર. માંકડ

    તમારો મિત્ર પોતાના આ દુનિયામાંથી વિદાય થવાની તારીખ જણાવતો પત્ર મોકલે તો તમે શું પ્રતિભાવ આપો?  કેનેડાના ભારત ખાતેના ભૂતપૂર્વ હાઈ કમિશનર ડેવિડ મેલોને બે માસમાં મૃત્યુ માટે તબીબી સહાય (Medical Assistance in Dying MAiD)[1]ના કાર્યક્રમની પોતાના ઈચ્છામૃત્યુ માટે પસંદગી કરી છે એ વાત મિત્રો વચ્ચે પ્રગટ કરી હતી.  આ નિર્ણય, જોકે, સંપૂર્ણતઃ આશ્ચર્યકારક નહોતો.  તેઓ જેને પોતાની ગુડબાય વર્લ્ડ ટૂર કહેતા હતા એ યાત્રા દરમ્યાન ઓક્ટોબર ૨૦૨૪માં દિલ્હી આવ્યા હતા, ત્યારે  અમે  મળ્યા હતા. ડેવિડે પોતાને બહુ શરૂઆતના અલ્ઝાઇમરનું નિદાન થયું હોવાનો અને પોતે MAiDનો માર્ગ લેવાનો વિચાર કરી રહ્યા છે એવો ઉલ્લેખ કર્યો હતો. એમણે ટૂંકમાં જ જણાવ્યું હતું કે “એ ખરેખર તો મૃત્યુના બે અલગ રસ્તાઓ વચ્ચેની પસંદગી છે,”

    ડેવિડની સંપૂર્ણ સાહજિકતા માટે સન્માન થવાનું હું સ્વીકારું છું. યાદશક્તિ ભૂંસાઈ જાય તેની પૂર્વકલ્પના કેવી ભયાનક લાગતી હશે એની મને જાણ નથી

    આપણે મૃત્યુને એક અમૂર્ત બાબત તરીકે લઈએ છીએ. પણ તમને જાણ હોય કે એક નિશ્ચિત સમયે તમારી વિદાયની તમે વ્યવસ્થા કરી રહ્યા છો તો કંઈ ફેર પડશે?  વૂડી એલને કહ્યું હતું, “મને મૃત્યુનો ભય નથી, હું માત્ર એ બને ત્યારે ત્યાં હોવા નથી માગતો.” ( I am not afraid of death, but I don’t want to be there when it happens.). ફિલસૂફીની રીતે પોતાના મૃત્યુ માટે “ત્યાં હોવું” (being there) એ ખ્યાલ વ્યથાકારક છે. પણ ડેવિડ તો વિચારતા હતા કે કેવળ કલ્પનામાં પણ સમય “ત્યાં હોવું” ની સહુથી નિકટનો સમય છે કે કેમ.

    મૃત્યુ માટે તબીબી સહાય (MAiD) એ ઈચ્છામૃત્યુ (euthanasia), નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ (passive euthanasia) કે આપઘાત નથી. MAiD માં તમે અતિગંભીર અને કોઈ સંજોગોમાં સુધારી ન શકાય એવી તબીબી હાલતમાં હો એ કારણે તમે જીવવાની ઇચ્છા ન ધરાવતા હો એ સ્થિતિ હોવી જોઈએ.

    ભારતમાં ૨૦૧૮માં નિષ્ક્રિય ઈચ્છામૃત્યુને કાનૂની માન્યતા અપાઈ છે અને એને જીવનના અધિકાર સાથે સાંકળવામાં આવેલ છે.

    ઘણા દેશોમાં મૃત્યુ માટે તબીબી સહાય (MAiD), ઈચ્છામૃત્યુ (euthanasia) કે નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ (passive euthanasia) માટેના  નિર્ણય માટે અલગ અલગ વિચારો પ્રવર્તે છે.  Passive euthanasia અથવા સારવાર બંધ કરવાની રીત બહુ વ્યાપક રીતે સ્વીકૃત છે.  આપણી અદાલતોએ અરુણા શાનબાગના ચુકાદામાં એ માર્ગ ખુલ્લો મૂક્યો છે. બ્રિટનમાં રોગ ઘાતક હોવો જોઈએ, જેમાં નિદાનમાં જીવન માટે છ માસથી વધુ સમય ન રહ્યો હોય . કેનેડા, સ્વિટ્ઝર્લૅન્ડ અને નેધરલેન્ડમાં વધુ ઉદાર નિયમો છે. નેધરલેન્ડમાં  આ રીતના મૃત્યુ કુલ મરણના પાંચ ટકા જેટલા છે. સન્માનભેર મૃત્યુની ચળવળ વિશ્વમાં ફેલાતી જાય છે. એશિયામાં તેના પર સહુથી વધુ અવરોધક નિયમો છે.

    આધુનિક ભારતમાં મીનુ મસાણીએ આ વિચારને ચળવળનું રૂપ આપ્યું.  એમણે શ્રોતાઓને એ વાતની યાદ અપાવી હતી કે ભારતની પ્રાચીન ફિલસૂફીમાં સારાં જીવન જેટલું જ મહત્વ સારાં મરણનું છે.  ભારતમાં તો ફિલસૂફી અને સાહિત્યમાં મૃત્યુને પસંદ કરવાની કલ્પના – રામની જળસમાધિથી માંડીને જૈનના સંથારા સુધી – સહુથી સમૃદ્ધ છે. આપણે મૃત્યુના ઘટનાક્રમના અભ્યાસના અને મરણની પૂર્વધારણાના સહુથી ઊંડા ભંડાર ધરાવીએ છીએ. મસાણીની ચિંતા એ હતી કે આપણે આ વિષયથી મોઢું ફેરવી ન લઈએ.

    સન્માનપૂર્વક મૃત્યુના અધિકારના વિસ્તરણ બાબતમાં કઠિન નીતિગત અને સંસ્થાગત મુદ્દાઓ ઊભા થાય છે.  મૃત્યુનો નિર્ણય લેવાનું કામ સામાજિક નિષ્ફળતા, આર્થિક ભીંસ, એકલતા અથવા રાહતદાયક સંભાળના અભાવનું પ્રતિબિંબ તો નથી પાડતું એની ખાતરી શી રીતે કરવી? વાસ્તવમાં તો રાહતદાયક સંભાળ (hospice) ની ચળવળ મૃત્યુના અધિકારના વિરોધમાં અણધાર્યું પરિબળ છે.

    મારા એક ફિલસૂફ મિત્ર મજાક કરતા કે મૃત્યુનો વિષય એવો છે જેમાં દલીલોનું પણ મૃત્યુ થાય છે.  મૃત્યુના હક્ક માટેની બીજી ઘણી ચળવળ માટે, તેમ જ મસાણી માટે, આ આખો મુદ્દો વ્યક્તિગત સ્વાયત્તતાનાં મૂલ્ય પર આધારિત છે: એ પોતાની પસંદગીની અભિવ્યક્તિ હોવી જોઈએ. આ સીધીસાદી દલીલ નથી. સ્વાયત્તતાના નામે સ્વાયત્ત વ્યક્તિને જ અંત લાવવાના અધિકારનો સમાવેશ કેવી રીતે થઈ શકે?

    વ્યકિત સ્વાયત્ત એજન્ટ તરીકે કામ કરી શકે તેમ ન હોય એ સંજોગો ટાળવા માટેની તરફેણની દલીલો પૈકી કેટલીક તબીબી સહાયથી મૃત્યુ (MAiD) તો કેટલીક ઈચ્છામૃત્યુ (euthanasia)ના સ્વરૂપોમાં સામે આવવા લાગી છે, કરે છે. ડેવિડ સ્વાયત્ત વ્યક્તિ તરીકે વિદાય લેવા માગતા હતા.  ડેવિડના ઇમેઇલ સ્વાયત્તતા અને યાતના વિશે સચોટ દલીલ કરતા હતા પણ એ નબળા પાયા પર ઉભી કરેલી વાત હતી.  એમની વિદાયના બે અઠવાડિયાં પહેલાં આંતર રાષ્ટ્રીય કાનૂન પરના એમના શરૂઆતના કાર્ય વિશે મેં એમને લખ્યું હતું.  એણે વળતું લખ્યું, ” તમે મારા દિવસને આનંદઉત્સાહિત  કરી દીધો. ભારતની ખામીઓ છતાં ભારત માટે મને ઊંડો પ્રેમ છે.  એની પાસે કેનેડા નીરસ અને અતિસામાન્ય લાગે.  હું મારા ભારતીય મિત્રોની ખોટ અનુભવું છું – સહુથી વિશેષ તો તમારી. પરંતુ મને આશા છે આપણે ભવિષ્યમાં એક વધુ સારી દુનિયામાં મળશું.” પછી પાદનોંધ  હતી: ” મને અફસોસ છે કે આ બહુ ટૂંકું છે. જેમ જેમ હું splg (spelling) ની ભૂલો કરતો જાઉં છું તેમ તેમ પંક્તિઓ મારા માટે પીડાદાયક બનતી જાય છે.”

    યાતના દેખીતી જ હતી. સ્પષ્ટતાવાળા ફકરા છૂટાછવાયા થતા જતા હતા. પણ સ્પેલિંગ માટે મથામણ? લાગણીની સ્પષ્ટતા?  હું નક્કી નહોતો કરી શકતો કે રેખા ક્યાં ખેંચાયેલી છે. ડેવિડનું આત્મસન્માન અને સ્વાયત્તતા ક્યાં જોખમાય છે. મને ડેવિડની નિશ્ચિતતાની ઈર્ષા થતી હતી.  કેટલી ઝડપથી અંગત ભયાનકતા જાહેર સિદ્ધાંત બની શકે છે એ વાતથી હું વ્યથિત હતો.  કેનેડા વધુ પડતું આગળ વધી ગયું છે? ભારત હજુ જોઈએ એટલું આગળ નથી વધ્યું?  જેમ વધારે ને વધારે દેશો મૃત્યુસહાય બાબતે આગળ વધતા જશે  તેમ એકલતા, અસમાનતા, અને સંસ્થાગત પરિત્યાગ અને એટલા જ પ્રમાણમાં માંદગીના કારણોથી દોરવાઈને  મૃત્યુસહાયને યોગ્ય ઠરાવવા માટે સ્વાયત્તાનો મુદ્દાઓ ઉઠાવાતા રહેશે.  ડેવિડ તો જે રેખા હજી જોઈ શકતા હતા તેની તરફ આગળ ચાલ્યા ગયા. પણ  આપણે સદ્‍મૃત્યુના વિચાર બાબતે કઈ રેખાઓ ખેંચવી જોઈએ એ એક મુક્ત ચર્ચા માગી લેતો સવાલ રહે છે.


    [1]

    પૂરક સંદર્ભ માહિતી:


    શ્રી નરેશ માંકડનો સંપર્ક nareshmankad@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • સ્મૃતિસંપદા – સ્મરણગંગા : બાબુ સુથારઃ એક કાચબાની કથા [૧]

    સરસ્વતિ દેવીના અઠંગ ઉપાસક ડો. બાબુ સુથાર એક વિરલ ભાષાવિજ્ઞાની હોવા ઉપરાંત સર્જક, સંપાદક અને ભાષાના તત્ત્વચિંતક પણ છે. એમનો જન્મ ૧૯૫૫માં ગુજરાતના મહિસાગર જિલ્લાના ભરોડી નામના એક નાનકડા ગામમાં થયો હતો. એસ.એસ.સી.(ત્યારનું અગિયારમું) કર્યા પછી એ ટેલિફોન ઓપરેટર બન્યા હતા. ગોધરાની કોલેજમાંથી ગુજરાતી અને હિન્દી સાથે બી.એ. કર્યા પછી એમણે વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાંથી ગુજરાતી સાહિત્ય અને ભાષાવિજ્ઞાન, એમ બે એમ.એ. કર્યા છે. એ જ યુનિવર્સિટીમાં સાત વરસ ભાષાવિજ્ઞાન વિભાગમાં અધ્યાપક તરીકે કામ કર્યું છે. એ પહેલાં એમણે પત્રકારત્વ પણ ખેડ્યું હતું.

    ત્યાર બાદ ૧૯૯૭માં તેઓ અમેરિકાની યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયામાં ભાષાવિજ્ઞાનમાં પીએચ.ડી. કરવા આવ્યા હતા. પીએચ.ડી પૂરું કર્યા પછી એ જ યુનિવર્સિટીમાં ગુજરાતી ભાષા અને સંસ્કૃતિના અધ્યાપક તરીકે જોડાયા હતા.

    ગુજરાતી ભાષાની પ્રથમ ‘લર્નર્સ ડિક્ષનેરી’ તૈયાર કરવાનું શ્રેય એમને ફાળે છે.

    અર્વાચીન સાહિત્યના અને ખાસ તો સુરેશ જોષીના સાહિત્ય વિષેનું એમનું ઊંડું અધ્યયન પ્રશંસાને પાત્ર છે. પાંચ નવલકથાઓ, પાંચ કાવ્યસંગ્રહો, બે વિવેચન સંગ્રહો પ્રગટ કર્યા ઉપરાંત એમણે આત્મકથા પણ લખી છે જે હજી અગ્રંથસ્થ છે. દેશવિદેશની કવિતાઓ અને વાર્તાઓના અનુવાદ પણ કર્યા છે. એમણે ભાષાવિજ્ઞાનમાં અને ફિલસૂફીમાં પણ લેખો લખ્યા છે.

    ગુજરાતી ભાષાને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સમજનાર જૂજ લોકોમાં એમની ગણના થાય છે. બાબુ સુથાર સિનેમા, ન્યૂ મીડિયા અને ડિજિટલ કલ્ચરના પણ ઊંડા અભ્યાસી છે.

    Email: basuthar@gmail.com

     


    Nostalgia નામના પુસ્તકમાં ફ્રેંચ ફિલસૂફ બાર્બરા કાસિન એક પ્રશ્ન પૂછે છે: When are we ever at home? પછી એ આ પ્રશ્નના ત્રણ જવાબ આપે છે. એમાંના પહેલા બે જવાબ પાશ્ચાત્ય પુરાકથા પર અને ત્રીજો જવાબ એક આધુનિક ફિલસૂફના જીવન પર આધાર રાખે છે. પુરાકથાઓમાં એ ઓડિસિયસ અને ઈનિઅસની વાત કરે છે. ટ્રોયનું યુદ્ધ જીત્યા પછી ઓડિસિયસ પોતાના ઘેર જવા નીકળે છે. આમ તો એનું ઘર નજીક જ છે. એમ છતાં એને ત્યાં પહોંચતાં વરસો નીકળી જાય છે. એટલે સુધી કે એક તબક્કે ઓડિસિયસ બોલી જાય છે કે “ભૂમદ્યસમુદ્ર જ હવે તો મારું ઘર.”

    જેમ ઓડિસિયસ ટ્રોય છોડીને પોતાના વતન પાછો ફરે છે એમ ઈનિઅસ પણ ટ્રોય છોડીને બીજે જાય છે. ફરક એટલો જ છે કે ટ્રોય એનું વતન છે. એનું ઘર છે. એ ટ્રોય ભડકે બળતું હોય છે ત્યારે એના પિતાને એની પીઠ પર નાખી, દીકરાને લઈને નીકળી જાય છે. ઓડિસિયસ પરદેશથી સ્વદેશ જાય છે. એની સામે ઇનિઅસ  સ્વદેશથી પરદેશ જાય છે. એ પર દેશને પોતાનું ઘર બનાવે છે અને પર દેશની ભાષા પણ અપનાવે છે.

    ત્રીજો જવાબ આપતાં કાસિન જર્મન ફિલસૂફ હન્ના આરન્ટની વાત કરે છે. બીજા વિશ્વયુદ્ધ વખતે હન્ના આરન્ટ, પોતાની ઇચ્છા વિરુદ્ધ, અમેરિકા આવે છે. એક મુલાકાતમાં એ કહે છે કે અમેરિકામાં એને જર્મનીનો ઘરઝુરાપો, એટલે કે પોતાના દેશનો ઘરઝુરાપો સતાવતો નથી. એને બદલે એને જર્મન ભાષાનો ઘરઝુરાપો સતાવતો હોય છે. આરન્ટ માટે અમેરિકા કે જર્મની પોતાનું ઘર નથી. એના માટે જર્મન ભાષા પોતાનું ઘર છે અને અમેરિકામાં એેને જર્મન ભાષામાં વાત કરવા મળતી નથી. અલબત્ત, અમેરિકામાં રહીને એ જર્મન ભાષામાં લખી શકે છે અને જર્મન ભાષાનાં પુસ્તકો વાંચી પણ શકે છે.

    કાસિનનું આ પુસ્તક વાંચતી વખતે મેં મને પણ એક પ્રશ્ન પૂછેલો: હું કોણ છું? ઓડિસિયસ છું? ઈનિઅસ છું? કે હન્ના આરન્ટ છું?

    હું ઓડિસિયસ તો નથી જ. કેમ કે, હું મારા ઘેર જવા નીકળ્યો નથી. હું જ્યાં જાઉં છું ત્યાં કોઈ મારી રાહ જોનાર નથી. હા, હું ક્યારેક મારા ઘેર ગયો છું કરો. પછી પાછું ઘર છોડવા માટે. હું વડોદરાથી મારા વતન જાઉં. માબાપને મળું. એકબે દિવસ ત્યાં રોકાઉં અને પાછો ઘર છોડું. એ જ રીતે, હું અમેરિકાથી ભારતમાં આવેલા મારા વતનમાં જાઉં, બેચાર દિવસ ત્યાં રહું અને પાછો હું અમેરિકા આવું. હું ઘેર રહેવા નથી ગયો. હું ઘરની મુલાકાતે ગયો છું. ઓડિસિયસ તો રહેવા જાય છે.

    પણ, મને લાગે છે કે હું કાં તો ઈનિઅસ છું, કાં તો હન્ના આરન્ટ છું. જેમ ઈનિઅસે ટ્રોય છોડ્યું, એમ મેં પણ મારું વતન છોડ્યું. જો કે, બન્નેનાં કારણો જુદાં હતાં. ઈનિઅસ એના પિતાને અને એના પુત્રને લઈને નીકળી ગયેલો. હું મારા પુત્ર અને મારાં પત્નીને લઈને નીકળી ગયેલો. જો કે, ઇનિઅસ અને મારામાં એક ફરક હતો. ઇનિઅસ પિતા અને પુત્રને પોતાની સાથે લઈને નીકળેલો. મેં પાછળથી મારા પુત્ર અને પત્નીને બોલાવેલાં. ઇનિઅસે જે ભૂમિમાં ગયો એ ભૂમિની ભાષા સ્વીકારેલી. મેં પણ વત્તેઓછે અંશે એમ જ કર્યું છે.

    જો કે, ઇનિઅસ અને મારી વચ્ચે એક મહત્ત્વનો ફરક છે. ઇનિઅસને દેવો મદદ કરતા હતા. હું દેવો વગરનો. હું જ્યાં રોકાયો ત્યાં મેં એવું માની લીધેલું કે આ જ મારો અંતિમ પડાવ છે. આ જ મારું ઘર છે. અને ત્યાં જ મારે ત્યાંથી ખસવાનું આવે. એટલું જ નહીં, ક્યારેક તો એવું પણ બને કે હું ઘર વસાવું અને મારે ઘર છોડવાનું આવે. આજે મને પ્રશ્ન થાય છે: હું જ્યાં જાઉં ત્યાં પેલું ભડકે બળતું ટ્રોય મારી પાછળ પાછળ તો નહીં આવતું હોય ને? કોઈને આ પ્રશ્ન રંગદર્શી લાગશે. પણ, મને નથી લાગતો. જે લોકો વરસોથી પોતાના ઘરમાં રહે છે એમનો ઘરઝુરાપો મારા ઘરઝુરાપા કરતાં ચોક્કસ જુદો હશે એવું મને લાગે છે.

    મને ઘણી વાર એવું પણ લાગ્યું છે કે હું હન્ના આરન્ટ છું. અલબત્ત, ઘરઝુરાપાની બાબતમાં. મને મારા દેશ કરતાં સૌથી વધારે મારી ભાષાની ખોટ સાલી છે. હું અમેરિકામાં છું. ઘરમાં, અને ઘણી વાર સમાજમાં પણ હું ગુજરાતી ભાષામાં વાત કરું છું. એને કારણે ઘણી વાર કેટલાક લોકોમાં ગેરસમજ પણ થઈ છે. એ લોકો અંદરોઅંદર એવું કહેતા હોય છે કે બાબુને અંગ્રેજી ભાષા નથી આવડતી. કેમ કે, એ ગુજરાતી ભાષામાં જ વાત કરતો હોય છે. હું એમને કઈ રીતે સમજાવું કે મારા માટે ગુજરાતી ભાષા મારું ઘર છે. હું એ ઘરમાં રહું છું. અને હું જ્યારે પણ ગુજરાતી ભાષામાં વાત કરતો હોઉં છું ત્યારે મને એવું લાગતું હોય છે કે હું મારા ઘરમાં છું. મને એક પ્રકારની હૂંફ મળતી હોય છે. એટલું જ નહીં, મને એક પ્રકારની સલામતિની લાગણી પણ થતી હોય છે. હું ચાલ્યા વગર, અથવા તો પૃથ્વી, સમુદ્ર કે અવકાશનો ઉપયોગ કર્યા વગર મારા ઘરમાં વસવાટ કરવા જતો રહેતો હોઉં છું.

    મને લાગે છે કે હું બેવડા ઘરઝુરાપાથી પિડાઉં છું. મને ઈનિઅસની જેમ મારું ઘર જોઈએ છે. જ્યાં કોઈક રાહ જોનાર હોય. એની સાથોસાથ, મને આરન્ટની જેમ મારી ભાષાની ખોટ સાલતી હોય છે. અમેરિકામાં, મેં કહ્યું છે એમ, હું ગુજરાતી ભાષા બોલું છું. પણ મને સતત એવું લાગે છે કે આ ભાષાને પાનખર બેઠી છે. મને હું જીવતી ભાષા બોલી રહ્યો છું એવું ક્યારેક જ લાગતું હોય છે.

    અત્યારે મારું ઘર અમેરિકાના પેન્સિલવેનિયા રાજ્યના ફિલાડેલ્ફિયા શહેરમાં આવેલું છે. પણ, હું એ ઘરમાં રહેતો નથી. અને ક્યારેક એમાં રહું પણ છું તો એક મુલાકાતીની જેમ. મેં નોકરી કરવા માટે મારું વતન છોડ્યું એ દિવસથી હું સતત મારા ઘરમાં મારા મહેમાનની જેમ જીવ્યો છું. આજે પણ હું મારો મહેમાન છું. ફિલાડેલ્ફિયામાં આવેલા મારા ઘરમાં. એ પહેલાં હું ભારતમાં, વડોદરામાં રહેતો હતો. ત્યાં પણ મારું ઘર હતું. પણ, મારા માટે વડોદરા એક દિવસે ટ્રોય નગરી બન્યું. અને એ સાથે હું પેલા ઈનિઅસની જેમ વડોદરા છોડીને નીકળી ગયો. મારી પીઠ પર મારી ભાષાનો, મારી સંસ્કૃતિનો ભાર હતો. અને હું ત્યાંથી અમેરિકા આવ્યો. એ પહેલાં હું મુંબઈમાં રહેતો હતો. ત્યાં મારું પોતાનું ઘર ન હતું. ત્યાં હું કેટલોક સમય મારા મિત્ર, ભરત નાયક અને ગીતા નાયકને ત્યાં, રહ્યો છું. પણ, મુંબઈ પણ એક દિવસે મારા માટે ટ્રોય બન્યું. મારી નોકરી ગઈ અને હું પાછો વડોદરા આવ્યો. જો કે, એ વખતે વડોદરામાં મારું ઘર ન હતું. ત્યાં પણ હું એક મિત્રની સાથે રહેતો હતો. મેં એક પેટી રાખેલી. પતરાની. કદાચ બાએ આપેલી. હું હાથમાં એ પેટી અને ખભે ‘બાપાને’ લઈને નીકળી પડતો ને જ્યાં રોકાતો એ જગ્યા મારા માટે મારું ઘર બની જતું. એ દિવસોમાં હું પેલા ઇસપની બોધકથામાં આવતા કાચબા જેવો હતો. જ્યારે ગ્રીક દેવ ઝિઊસે ઉજાણીમાં ભાગ લેવા બધાં પ્રાણીઓને પોતાના ઘેર બોલાવ્યાં ત્યારે કાચબો ન હતો ગયો. પછી ઝિઊસે કાચબાને પૂછ્યું કે તું કેમ ઉજાણીમાં ભાગ લેવા ન હતો આવ્યો. તો કાચબાએ કહ્યું કે મને મારું ઘર બહુ ગમે છે. ત્યારે ઝિઊસે કહેલું કે હવે તું સદાકાળ તારું ઘર તારી પીઠ પર લઈને ફર્યા કરજે. હું પણ ત્યારે, એ કાચબાની જેમ, મારું ઘર મારી પીઠ પર લઈને ફર્યા કરતો હતો.

    એ પહેલાં હું ગોધરામાં હતો. હું ત્યાં ટેલિફોન ઓપરેટરની નોકરી કરતો હતો. ત્યાં પણ મારું પોતાનું ઘર ન હતું. આરંભમાં હું મારી ફોઈના છોકરા, શંકરભાઈ સાથે, રહેતો હતો. ત્યારે પણ મારી પાસે પેલી બાએ આપેલી પતરાની પેટી હતી. ગોધરામાં પણ મેં અનેક ઘર કરેલાં. પહેલાં હું ત્યાંની એક સોસાયટીમાં રહેવા ગયો. ભાડાની ઓરડીમાં. આજે મને એક પ્રશ્ન થાય છે કે એવી ઓરડીઓને ઘર કહેવાય કે નહીં? એક અર્થમાં કહેવાય: કેમ કે મારા કાગળ એ સરનામે આવતા હતા. બીજા અર્થમાં ન કહેવાય. કેમ કે, મારે દર મહિને એ ઓરડીને ‘મારું ઘર’ બનાવવા ભાડું આપવું પડતું હતું.

    ગોધરા આવતા પહેલાં હું અમદાવાદમાં ત્રણ મહિના રહેલો. નવરંગપુરામાં આવેલી વિશ્વકર્મા હોસ્ટેલમાં. ટેલિફોન ઓપરેટરની તાલિમ માટે. એ પહેલાં હું ભરોડીમાં રહેતો હતો. ભરોડી. અત્યારના મહિસાગર જિલ્લામાં આવેલું મારું વતન. અસંખ્ય નાની મોટી ટેકરીઓની વચ્ચે આવેલું એક નાનું ખોબા જેવડું ગામ. એક છેડે બૂમ પાડો તો બીજે છેડે સંભળાય એવડું. જો કે, હવે તો એ ગામ પણ ઘણું મોટું થઈ ગયું છે. ત્યારે મારા ગામની આસપાસ અસંખ્ય નાનાંમોટાં ઝરણાં અને કોતર વહેતાં. એક કોતર તો એક ગાઉ ચાલો તો પાંચ વાર ઓળંગવું પડતું. એ દિવસોમાં જળ અને જમીન સતત સંવાદ કર્યા કરતાં. ત્યારે ત્યાં બસો ન હતી. દસબાર માઈલ ચાલવાનું તો જાણે કંઈ જ ન હતું. એ પણ ઉઘાડા પગે. ચાલતાં તરસ લાગે તો ચોમાસામાં મેં ઘણી વાર કૂવાની ધાર પર બેસી, નીચે નમીને, પાણી પીધું છે. ઉનાળામાં ઘણી વાર બાએ મને સાડીનો છેડો કૂવાના પાણીમાં બોળીને મારું મોં ભીનું કરાવ્યું છે. એ ગામને મારે ટ્રોય કહેવું હોય તો મને ખૂબ અઘરું પડે. પણ,

    એ ય ટ્રોય બને છે. આરંભમાં મારા માટે નહીં. મારાં માબાપને માટે.

    એથી જ તો જ્યારે હું ત્રીજા ધોરણમાં હતો ત્યારે મારાં માબાપ મારું વતન છોડીને પાવાગઢ પાસે આવેલા જીતપુરા ગામે જાય છે. ત્યારે બાપા ઇનિઅસ બનેલા. એમની પીઠ પર ‘એમના બાપા’. અમે એમની આંગળી ઝાલીને એ જ્યાં લઈ જાય ત્યાં જતા. અમે પ્રશ્નો પણ પૂછી શકતા ન હતા.  ત્યારે અમે સવારે ચારેક વાગે અમારા ગામથી નીકળતા. ઉપર આકાશમાં તારા અને ક્યારેક ચંદ્રમા. બાપા અને બા એમાંના ઘણા બધા તારા અને ઘણાં બધાં નક્ષત્રોને ઓળખતા. એ જ્યારે એ તારા અને નક્ષત્રોની વાત કરતા ત્યારે એવું લાગતું કે એ એમના કોઈક સગાની વાત કરે છે. એ દિવસોમાં ગામમાં એક જ ઘડિયાળ હતી. એ પણ લોલક ઘડિયાળ. એનો માલિક લોકો વારંવાર ઘડિયાળ જોવા ન આવે એ માટે એના ઘરનું બારણું બંધ રાખતો. એ ઘર રાતના વખતે તો ક્યાંથી ઉઘાડું હોય? બા અને બાપા કૂકડાની બોલીથી સમય માપતાં, બાપા આકાશમાં જોતાને કહેતા: ચાલો નીકળીએ. સમય થઈ ગયો છે. પછી માથે નાનકડી ગાંસડી, હાથમાં પટાવાળી થેલી લઈને અમે નીકળી પડતાં. પગમાં જૂતાં નહીં, રસ્તા પણ ધૂળિયા. રસ્તાની બે બાજુ થોર. કેટલાક ફાફડિયા. ઊંચા ઊંચા. બાપા કરતાં પણ ઊંચા. અંધારામાં એ થોર બધા ભૂત જેવા લાગતા. ક્યારેક ચાંદની રાતે એ થોરના પડછાયા જોઈને મને થતું કે હમણાં જ આ પડછાયો લંબાશે અને મને એની અંદર ખેંચી લેશે. હું ચાલતી વખતે એ થોરના પડછાયા પર પગ ન પડે એની કાળજી રાખતો. એ દિવસોમાં અમારે ન્યૂટન કે આઈન્સ્ટાઈન કરતાં ભૂતો સાથે વધારે સંબંધ હતો. કેટલેક ઠેકાણે તો અમારા પગ ખાસ્સા બધા ધૂળમાં ઊતરી જતા. એમાં વળી બા કહેતાં: “પગ દાબો જરા.” બા કહેતાં કે “ઊતાવળે ચાલો એમ નહીં કહેવાનું. એમ કહીએ તો રસ્તા પર બેઠેલાં ભૂત આપણી સાથે આવે. એ એવું માને કે આપણે એમને આપણી સાથે આવવાનું કહીએ છીએ. પછી એ આપણી સાથે આવે.” આવી વાતો સાંભળીને અમને ખાતરી થતી કે રસ્તાની બેય બાજુના થોર પર ક્યાંકને ક્યાંક ભૂત હશે.

    હું અને મારા બન્ને ભાઈઓ, એક મોટો અને બીજો નાનો, એકનું નામ જયન્તિભાઈ અને બીજાનું નામ ભીખો, ઘણી વાર બા જે કહેતાં એનો અભિધાના સ્તરે અર્થ કરતા અને ધૂળમાં પગ દાબતા. ત્યારે ત્રણ ગાઉનું અંતર કાપતાં અમને બે કલાક લાગતા. અમે વીરપુર પહોંચી ત્યાંથી પાંચ વાગ્યાની સેવાલિયાની બસ પકડતાં. હું બસ સ્ટેશને પહોંચ્યા પછી બધી બસોનાં બોર્ડ વાંચતો. ત્યારે મને એવું લાગતું કે હું ભણ્યો છું એ સાચે જ ખૂબ કામનું છે. હું બસોનાં બોર્ડ વાંચી શકું છું. અમે સેવાલિયા સાડા નવની આસપાસ પહોંચતાં. ત્યાં બસ સ્ટેશનની તદ્દન સામે રેલ્વે સ્ટેશન આવેલું હતું. બા અને બાપા અમને રેલ્વે સ્ટેશને લઈ જતાં. ત્યાંથી અમે ગોધરાની ટ્રેઈન લેતાં. પણ, એ ટ્રેઈન અમે ત્યાં પહોંચીએ પછી ત્રણ કે ચાર કલાકે આવતી. ત્યારે સેવાલિયાથી ગોધરા બસમાં પણ જઈ શકાતું. પણ મારાં માબાપને બસ મોંઘી પડતી. એમને લોકલ ટ્રેઈન સસ્તી પડતી. સેવાલિયાના બસ સ્ટેશને બા અમને પાણીને બદલે દૂધમાં બાંધેલા લોટનો રોટલો આપતી. બા એવું માનતાં કે પાણીથી બાંધેલા લોટના રોટલા અભડાઈ જાય. સાથે કાં તો અથાણું હોય, કાં તો કે છુંદો. ક્યારેક એ અમને કેળાં કે દરાખ લઈ આપતાં. બા ‘દ્રાક્ષ’ને ‘દરાખ’ કહેતાં. અમારે ભાગે એક એક કેળું આવતું ને દરાખ ચાર કે પાંચ. પછી, બેએક વાગે આગગાડી આવતી. અમે એનું તોતિંગ એન્જિન અને એમાંથી નીકળતો ધૂમાડો જોઈ રહેતા. ત્યાંથી અમે ત્રીજા વર્ગના ડબ્બામાં બેસીને ગોધરા જતાં. ત્યારે ગોધરામાં રેલ્વે સ્ટેશનથી બસ સ્ટેશન કાં તો ચાલતા જવાતું, કાં તો ઘોડાગાડીમાં. બાબાપુજી અમને ઘોડાગાડીમાં લઈ જતાં. પછી, ગોધરા બસ સ્ટેશનેથી અમે હાલોલની બસ લેતાં. ત્યારે પણ બા કહેતાં: લોકલ લેવાની. એક્સપ્રેસમાં ભાડું બહુ થાય. હું ત્યાં પણ મારા શિક્ષણનો ઉપયોગ કરતો. હું બસોનાં બોર્ડ વાંચતો. લાલ હોય તો એક્સપ્રેસ. કાળાં હોય તો લોકલ. પછી ત્યાંથી લોકલ બસ લઈને અમે બે કલાકે હાલોલ પહોંચતાં. પછી હાલોલ પહોંચીને પણ મારા માથે વાયા ઘોઘંબા જતી દેવગઢ બારિયાની બસ શોધવાની જવાબદારી આવી જતી. હું હાલોલ બસ સ્ટેશને પણ બસમાં બોર્ડ વાંચતો. પછી બાને કહેતો કે આ બસ જાય છે. તો પણ બા પાછાં કંટક્ટરને પૂછીને ખાતરી કરતાં કે ખરેખર આ બસ વાયા ઘોઘંબા જાય છે? પછી અમે દેવગઢ બારિયા, વાયા ઘોઘંબા, જતી બસ લેતાં અને વચ્ચે કંકોડાકોઈ નામના ગામે ઊતરતાં. ત્યાંથી દોઢેક માઈલ ચાલતાં અમે જીતપુરા જતાં. એ રસ્તો ધૂળિયો ન હતો. પણ, વેરાન ખરો. આસપાસ બાવળ ઓછા ને આવળ વધારે. વળી જ્યાં જૂઓ ત્યાં તાડ. જીતપુરા પહોંચતાં ખાસ્સી સાંજ થઈ જતી. પહેલો કૂકડો બોલ્યે એક ઘેરથી નીકળીને દહાડો આથમે ત્યારે અમે બીજા ઘેર ત્યાં પહોંચતાં. આ પ્રવાસ, જો કે, ઓડિસિયસના પ્રવાસ જેવો ન હતો. તો પણ, જેમ ઓડિસિયસને સમુદ્રદેવ નડતા એમ અમને પણ કોઈને કોઈ, શાસ્ત્રોએ હજી પ્રમાણિત ન કર્યા હોય એવા દેવ, નડતા.

    જીતપુરાના ઝાંપે જ એક તળાવ અને કોઠીનું વિશાળ વન. દૂરથી તળાવની પાળ દેખાય એટલે અમને લાગતું કે હવે જીતપુરા આવી ગયું છે. કોઠીનું વન અમારું પાયખાનું. રોજ સવારે અમે ત્યાં પાયખાને જતાં. એ પણ હાથમાં લોટો કે ડબલું લઈને. જો લોટો લઈને જતાં તો તળાવકાંઠે બેસીને લોટો ઘસી નાખતાં. ક્યારેક તળાવકાંઠાની માટીમાં રહેલી કાંકરીઓના લિસોટા લોટા પર પડતા તો બા ખિજાઈ જતાં. ત્યાંથી ઘેર જતી વખતે અમે નીચે પડેલાં બેચાર કોઠા (જો એની ઋતુ હોય તો) લઈ જતાં. બા એમાંથી ચટણી બનાવતાં અને અમને રોટલા સાથે કોઠાની ચટણી આપતાં.

    મને ખબર નથી કે બાપાને કોણે જીતપુરા બોલાવ્યા હશે. પણ કોઈકે કહ્યું હશે કે આ ગામમાં સુથાર નથી અને એને કારણે ગામલોકોને બહુ તકલીફ પડે છે. પહેલાં બાપા ત્યાં ગયેલા. ગામલોકોએ બાપાને એકબીજાને કાટખૂણે અડીને ઊભેલાં બે ઘરને કારણે બનતો એક ખૂણો ‘ઘર બાંધવા’ માટે આપેલો. બાપાએ, અલબત્ત ગામલોકોની મદદથી, એ ખૂણામાં એક ઝૂંપડું બનાવેલું. એની ભીંતો કરાંઠીની. એના પર બા અને ગામની સ્ત્રીઓએ લીંપણ લીપેલું. એ ઝુંપડા પર તાડપત્રી નાખેલી. ક્યારેક વાયરે એ તાડપત્રીઓ ખસી જતી અને રાતનો વખત હોય તો અમને ઘરમાં સૂતાં સૂતાં આકાશ દેખાઈ જતું. ચોમાસામાં ઘણી વાર એ તાડપત્રીઓમાંથી ચૂવા થતા. બા જ્યાં પાણી પડતું હોય ત્યાં ડોલ કે બીજું કોઈ વાસણ મૂકી દેતી. ઘણી વાર અમે રાતે ચૂવાના પાણીનાં ટીપાં ગણતાં.

    એ ઝૂંપડી હશે માંડ દસ કે બાર હાથ પહોળી. એના એક ખૂણામાં રસોડું. એમાં અમે પાંચ જણ – બા, કાકા, નાનો ભાઈ, મોટો ભાઈ અને હું- રહેતાં. ઝૂંપડીમાં ખાટલો રાખવા જેટલી જગ્યા ન હતી. અમે બધાં નીચે સૂઈ જતાં. ગોદડીઓ પાથરીને. બા વહેલી સવારે, અજવાળું થાય એ પહેલાં, ત્રણ બાજુ ખરસુડીની (સ્થાનિક બોલીમાં ‘ખરહૂડી’) વાડ બનાવીને બનાવવામાં આવેલા ‘બાથરૂમમાં’ નહાઈ લેતાં. એ બાથરૂમનો પથરો હજી મને યાદ છે. એ ઝૂંપડીમાં બાપાનાં સુથારી કામનાં સાધનો પણ રહેતાં અને અનાજપાણી પણ. ત્યાં બા કોદરા, બાવટો અને બંટી અને ક્યારેક એ ત્રણેયના મિશ્રણમાંથી રોટલા બનાવતાં. લોકો ત્યારે એને સાંગરું (સ્થાનિક બોલીમાં ‘હાંગરું’) કહેતા. એવા રોટલા ટાઢા પડી જાય તો તૂટતા નહીં. તોડવા બેસીએ તો એ રબરની જેમ લાંબા થતા. અમે ઘણી વાર એવા રોટલા અંગારે ઊના કરીને ખાતા. મને એ રોટલાઓનો કાળો રંગ ઝાઝો ગમતો નહીં. એટલે સુધી કે સવારે અમે કોઠીના વનમાં જાજરુ જતા ત્યારે અમારા કાળા મળને જોતા અને પેલા રોટલા યાદ કરતા. લણણી વખતે અમારી ઝૂંપડી આખી અનાજથી ભરાઈ જતી. ત્યારે એ ગામમાં એવો રિવાજ હતો કે અનાજ લેવાનું થાય ત્યારે ખળામાંથી જ સુથારને એના ભાગનું અનાજ આપવાનું. એ પણ એણે ખેતી કામનાં સાધનો રીપેર કર્યાં હોય એ બદલ. ગામલોકો એને ‘ખળું’ કહેતાં. પાક લેવાનો હોય ત્યારે ખેડૂતો એક દિવસ પહેલાં આવીને બાને કહી જતા કે કાલે ખળું લેવા આવજો. હું અને મારો નાનોભાઈ બન્ને, ઘણી વાર, બાની સાથે ખળું લેવા ગયા છીએ. ક્યારેક એટલું બધું ખળું આવી જતું કે અમે સૂતા હોઈએ ત્યારે અમારી એક પડખે અનાજ હોય અને બીજા પડખે કાં તો ભાઈ કે બા. ઘણી વાર ઊંઘમાં હાથ અનાજ પર પડતો તો અનાજ સરકતું પથારીમાં આવી પડતું. પછી એ બાજુ પડખું ફેરવાતું નહીં. જો અમે પડખું ફેરવતા તો અમને અનાજ ચબતું.

    એ ગામમાં લોકો એવું માનતા હતા કે કેરીઓને આ પૃથ્વી પર લાવવાનું કામ સુથારે કર્યુ છે. જ્યારે વિશ્વકર્મા ઇન્દ્રપુરી બનાવી રહ્યા હતા ત્યારે એમને સુથારોની જરુર પડી. એટલે એમણે પૃથ્વી પરથી કેટલાક સુથારોને ત્યાં બોલાવ્યા. એ સુથારો સવારસાંજ વિશ્વકર્માને ત્યાં જમતા. વિશ્વકર્માનાં પત્ની એ સુથારોને રોજ સાંજે એક એક કેરી આપતાં ને એ લોકો ખાઈ રહે પછી ગણીને એટલા ગોટલા પાછા લઈ લેતાં. એક વાર એક સુથારે લાકડામાંથી બનાવટી ગોટલો બનાવ્યો અને અસલ ગોટલાની જગ્યાએ એ ગોટલો મૂકી દીધો. એણે વિશ્વકર્માનાં પત્ની સાથે આ રીતે છેતરપીંડી કરી. પછી, ઇન્દ્રપુરી બની ગઈ ત્યાર બાદ એ સુથારો પૃથ્વી પર પાછા આવ્યા. પેલો સુથાર સાથે કેરીનો ગોટલો લઈ આવેલો. એણે એ ગોટલો પૃથ્વી પર રોપ્યો. એમાંથી આ પૃથ્વી પરનો પહેલો આંબો ઊગ્યો. આ લોકકથા કે લોકમાન્યતાને પગલે જીતપુરાના આદિવાસી ખેડૂતો એમનો આંબો પહેલી વાર ફળે ત્યારે સુથારને, એટલે કે અમને, છ છકડું, એટલે કે છત્રીસ કેરીઓ આપતા. એને કારણે, કેરીની ઋતુમાં, અમારા ઝૂંપડામાં સુવા માટેની જગ્યા ન હતી રહેતી. અને કેરીઓ ખસેડીને સૂતાં.

    આ ઝૂંપડી, અથવા તો એમ કહો કે આ ઘર અમારા માટે કાયમી ન હતું. એટલે અમે એમ તો ન જ કહી શકીએ કે અમે એક ઘર છોડીને બીજા ઘેર આવેલા. અમને બધાંને ખબર હતી કે અમે અહીં કાયમ માટે રહેવાનાં નથી. જો કે, ગામલોકોએ અમને ત્યાં રોકી રાખવાના બહુ પ્રયાસ કરેલા. એમણે બાપાને વીસ વીઘાં જમીન કોઈને પણ નહીં વેચવાની શરતે આપવાની વાત કરેલી. પણ, બાપા વતનમાં પાછા જવા માગતા હતા. વળી એ દરમિયાન કેટલીક કૌટુંબિક ઘટનાઓ પણ બની. મોટાભાઈ પરણ્યા અને એમણે જુદારો માગ્યો. એ આપવા અમારે પાછા વતનમાં આવવું પડ્યું. પછી અમે પાછાં ન ગયાં.

    જીતપુરામાં અત્યારે કેટલા માણસોને ખબર હશે કે હું ત્રણ ચાર વરસ ત્યાં રહ્યો હતો એની મને ખબર નથી. પણ, ત્યારે મારી સાથે ભણતા ત્રણથી ચાર છોકરાઓનાં નામ મને હજી યાદ છે. એમનાં ઘર પણ મને યાદ છે. જેમ અહીં અમેરિકામાં અમેરિકનો વાતવાતમાં F શબ્દ વાપરતા હોય છે એમ, એ ગામમાં સ્ત્રીઓ અને પુરુષો પણ ત્યારે વાતવાતમાં F, પણ ગુજરાતીમાં, શબ્દો વાપરતી. શરૂઆતમાં મને એ જોઈને ખૂબ આઘાત લાગેલો. મેં એક વાર બાને કહેલું પણ ખરું અને બાએ વળતો જવાબ આપતાં કહેલું, “એ લોકો એમની બોલી બોલે, આપણે આપણી.” હું એ લોકો અને અમારી વચ્ચે આ F શબ્દના વપરાશના આધારે ભેદ પાડતો. ત્યારે જીતપુરામાં ડાકણોની વાતો પણ ખૂબ થતી. પણ, મારા બાપા ભૂવા હતા. કહેવાય છે કે એને કારણે ગામની ડાકણો ડરતી.

    પાછાં ભરોડી આવ્યા પછી પણ અમારો જીતપુરા સાથેનો સબંધ ઘણાં વરસો સુધી સચવાઈ રહેલો. બા અને બાપા જીતપુરાના એકેએક માણસને એમનું સગુ માનતાં. જો ત્યાં કોઈનું અવસાન થતું તો એ લોકો અમને કાગળ લખીને જાણ કરતા.  એવા કાગળ પર લખેલું હોય: “લૂગડાં ઊતારીને વાંચજો.” જ્યારે પણ એવો કાગળ આવે ત્યારે બા એકલી સાડી વિંટાળીને નાહવાના પથરે બેસતાં અને પછી મને કહેતાં, “હવે કાગળ વાંચ.” હું કાગળ વાંચતો ને બા રડતાં. ક્યારેક પોકે પોકે, ક્યારેક ધ્રૂસકે ધ્રૂસકે. જો ખૂબ નજીકના ઓળખીતાનું અવસાન થયું હોય તો બા અને બાપા બન્ને લૌકીક ક્રિયા કરવા માટે જીતપુરા પણ જતાં.

    હું જનમ્યો ત્યારે મારું ભરોડીમાં આવેલું ઘર ત્રણ ભાગમાં વહેચાયેલું હતું. એક ભાગ બેસવા સૂવાનો, બીજા ભાગમાં રસોડું અને ત્રીજામાં કોઢ. એક જમાનામાં બાપા પોતે ખેતી કરતા. ત્યારે અમારે બે બળદ અને બે (કે કદાચ ત્રણ) ભેંસો પણ હતી. બાપા એમને કોઢમાં બાંધતા. હું ઘણી વાર બળદના ઘૂઘરા ગળે પહેરીને ગામમાં રમવા જતો. પછી તો બાપાએ બળદો વેચી નાખેલા અને ખેતી ભાગે આપવાનું શરૂ કરેલું. અમારા બેસવા સૂવાના ભાગ પાસે જ કોઢ. ક્યારેક મારો ખાટલો કોઢ પાસે નંખાતો. ઘણી વાર ભેંસ કોઢમાંથી માથું કાઢીને મારા હાથ કે પગ ચાટતી. ક્યારેક ભેંસો શીંગડાં ખીલા સાથે અથડાવતી. એને કારણે બધાંની ઊંઘ બગડતી. જો કે, બા અને બાપા તો ઘસઘસાટ ઊંઘી જતાં. રાવજી પટેલ એની એક કવિતામાં કહે છે એમ: “પંજેઠી જેવાં.” જ્યારે ભેંસ વેતરે આવે ત્યારે ઘરમાં જ નહીં, આખા ફળિયામાં જોવા જેવી થતી. ભેંસ એની sexual desireના એક ભાગ રૂપે ભાંભરતી અને બા જાણે કે ભેંસ ભાષા સમજતી ન હોય એમ એને કહેતાં, “મૂઈ ચૂપ રહે. સવારે પાડા પાસે લઈ જઈશું.”

    ભરોડીના ઘરને મેડો હતો. મેડા પર બા એમનાં પેટીપટારાં વગેરે મૂકી રાખતાં. એમાંની એક પેટી મેં બા ન જાણે એમ અનેક વાર ખોલી છે. એ પેટીમાં કેટલાક ચોપડા હતા. રાતા રંગના. એમાં મારા દાદાએ, એટલે કે બાપાના બાપાએ, ગામમાં જેમને પૈસા ધીરેલા એમનાં નામ હતાં. એમાં એકબે નામ વીરપુરના વાણિયાઓનાં પણ હતાં. મને એ વાંચીને થતું કે ઓહ, મારા દાદા આટલા પૈસાદાર હતા!

    ગામમાં એક પણ કુટુંબ પૈસાદાર ન હતું. એને કારણે અમને એવું ન’તું લાગતું કે અમે ગરીબ છીએ. ત્યારે નાવા ધોવાના સાબુ બા ઘેર બનાવતાં. એટલું જ નહીં, ધૂપેલ પણ ઘેર પાડતાં. ક્યારેક બા નજીકમાં આવેલા બાવળના જંગલમાંથી ઉશેરાં (જમીનમાંતી નીકળતો એક પ્રકારનો પાવડર) લઈ આવતાં. એ ઘણી વાર એના વડે અમારાં માથાં ધોતાં. ઉશેરાંનું પાણી અમારી આંખમાં જતું તો અમને પુષ્કળ લાય બળતી. ક્યારેક એ પાણી મોંઢામાં જતું તો ખારું લાગતું. પણ, બાની આગળ અમારું કોઈનું ચાલતું નહીં.

    એ ઘરને એક વિશાળ વાડો હતો. એ વાડામાં બે ખાટી આંબલીનાં ઝાડ હતાં. હું અહીં અમેરિકા આવ્યો પછી અમારા પાડોશીએ એ અમારી જમીન છે એમ કહીને એ વાડો લગભગ અડધોઅડધ પચાવી પાડ્યો છે. એમ કરવામાં કેટલાક સ્થાનિક માણસોએ પણ ટેકો આપ્યો. એમાં વળી કેટલાક તો ભણેલાગણેલા છે. એ લોકોને મારા માટે ઝાઝું માન નથી. કદાચ ઇર્ષાના કારણે. બાકી અમારે કંઈ વહેંચવાનું નથી.

    મોટાભાઈને જુદારો આપ્યો એ સાથે અમારા એ ઘરના બે ભાગ પડ્યા. મેં જીંદગીમાં પહેલી વાર ઘરના ભાગ પડતા જોયા. બાબાપુજીએ કૃપા કરીને ભાઈને ભાગે આવતું હતું એના કરતાં વધારે જગ્યા આપી. એ સાથે કોઢવાળો ભાગ મોટાભાઈના ભાગે ગયો. પછી બાએ રસોડાની જગ્યાએ કોઢ બનાવી અને આગળ, અમે જ્યાં સૂતાં હતાં ત્યાં, રસોડું બનાવ્યું. એટલે કે ત્યાં ચૂલો નાખ્યો. હવે ઘર બે ભાગમાં. પહેલા ભાગમાં સૂવાનું, બેસવાનું, રાંધવાનું. બીજા ભાગમાં ભેંસો બાંધવાની.

    કેટલાંક વરસો પછી વીરપુરના એક વાણિયાએ/વેપારીએ એક ઘર વેચવા કાઢ્યું. એ ઘર અમારા ફળિયામાં જ હતું. એક સુથારે એ ઘર એ વેપારીને ત્યાં ગિરો મૂકેલું. બા-બાપાએ એ ઘર ખરીદી લીધું. પછી, કોણ જાણે કેમ બા-બાપાને હું જ્યાં જન્મેલો એ ઘર અપશુનિયાળ લાગ્યું. એટલે એ અમને, બન્ને ભાઈઓને લઈને, નવા ઘરમાં રહેવા ગયાં. એ ઘર પણ ત્રણ ભાગમાં વહેંચાયેલું હતું. આગળ ઓસરી, પછી સુવા-બેસવાનો ભાગ અને પછી રસોડું. એ ઘરને પણ લાંબો વાડો હતો. એ વાડાની એક વાડ પાસે અમારા એક પાડોશીનો પીપળો હતો. અમે ત્યારે એવું માનતા હતા કે એ પીપળાના થડમાં કાળભૈરવનું સ્થાનક છે. મારી ઘણી બધી કવિતાઓમાં એ પીપળાની અને એ કાળભૈરવની વાત આવે છે.

    થોડાંક વરસો એ ઘરમાં રહ્યા પછી બાબાપુજી પાછાં મૂળ ઘરમાં પાછાં ગયાં. એમની સાથે હું પણ. એ ઘરમાં હું એસ.એસ.સી. સુધી રહ્યો. એ સમયગાળામાં મેં અનેક ચડતીપડતી જોઈ. એમાંની એક પડતીમાંથી બહાર આવવા બાપાએ ટાયરવાળા ગાડાં બનાવવાનું શરૂ કરેલું. એમણે ખેડૂતોને સમજાવેલા કે પરંપરાગત પૈડાવાળાં ગાડાં ખેંચવામાં બળદનો બહુ આપદા પડે છે. હું પણ એ ગાડાં બનાવવામાં બાપાને મદદ કરતો. ત્યારે ભણવું મારા માટે અને મારા કુટુંબ માટે પણ ગૌણ હતું. બાપા કહેતા કે સમય મળે ત્યારે ભણજે. એ વારંવાર એક વાક્ય બોલતા: “આપણે ભણીને કાંઈ બેરીસ્ટર નથી થવાના.” ત્યારે મને ‘બેરીસ્ટર’ કોને કહેવાય એની ખબર ન હતી. જો કે, ચોપડીઓમાં ક્યાંક વાંચેલું કે ગાંધીજી બેરિસ્ટર હતા. મેં પણ ત્યારે નક્કી કરેલું કે આપણે ‘બેરિસ્ટર’ નથી થવું. એ ગાડાંના ધંધામાં બાપાને ખૂબ આર્થિક નુકસાન થયેલું. એ નુકસાન ભરપાઈ કરવા એમણે ખેતરમાં કૂવો ખોદવા લોન લીધેલી. એ કૂવામાં પથરા વધારે ને પાણી ઓછું આવ્યું. પથરા તોડવા બાપાએ ઘણી વાર એક સાથે વીસ વીસ સુરંગો મૂકવી પડતી. એને કારણે દેવું થઈ ગયેલું. એક દેવામાંથી બહાર આવવા બીજો ધંધો કરે ને એ ધંધો દેવું વધારે. આખરે અમારે એક ખેતર ગિરો મૂકવું પડેલું. જો કે, તો ય કૂવામાં પૂરતું પાણી ન હતું આવ્યું. આખરે બાપાએ બીજું ખેતર પર ગિરો મૂકેલું.


    ક્રમશઃ

  • વોટ્સેપ ! ! !

    ફેસબુક” પર કવિતા લખનાર કવિ શ્રી કૃષ્ણ દવેની “વોટ્સેપ” પર લખાયેલ કવિતા પણ ખૂબ મઝાની છે. એકદમ હળવી શૈલીમાં આધુનિક સમયની સુંદર પરિસ્થિતિ ચિત્રિત કરી છે.


    વોટ્સેપ ! ! !

    હવે લખવાનું હોય કંઇ ટપાલમાં ?
    થોડા વોટ્સેપને મોકલી દ્યો વ્હાલમાં
    આપ જીવી રહ્યાં છો કઈ સાલમાં ?
    થોડા વોટ્સેપને મોકલી દ્યો વ્હાલમાં.

    રેડીમેડ લાગણીને ડાઉનલોડ કરવાનીલખવાનું મનગમતુ નામ
    પહેલાના વખતના લોકો શરમાતા તે લખતાતા રાધા ને શ્યામ
    દાદા દાદીને કૈ ઓછું પૂછવાનું ? શું મોકલતા રેશમી રૂમાલમાં ?
    થોડા વોટ્સેપને મોકલી દ્યો વ્હાલમાં

    સામા છેડા પરનું પંખી આ સ્ક્રીન ઉપર અમથું કાંઇ ફરવા નહીં આવે
    ટહુકો ને ટ્યુન બધુ મેચિંગમાં હોયને તો એને પણ ઊડવાનું ફાવે
    એકવાર ટાવર જો પકડી શકો તો બધુ રંગી પણ શકશો ગુલાલમાં
    થોડા વોટ્સેપને મોકલી દ્યો વ્હાલમાં

    પરબીડીયુ લાવવાનુંસરનામું લખવાનુંટીકીટ પણ ચોડવાની માથે
    અમથું આ ગામ આખુ મોબાઈલ વાપરે છે ? જીવો જમાનાની સાથે
    કાગળ લઈ આમ તમે લખવા શું બેઠા છો ? ખોટા પડો છો બબાલમાં
    થોડા વોટ્સેપને મોકલી દ્યો વ્હાલમાં…..                   

    કૃષ્ણ દવે.

    રસદર્શનઃ

    દેવિકા ધ્રુવ

    આ કવિતામાં ધ્રુવ પંક્તિ તરીકે બીજી પંક્તિ થોડા વોટ્સેપને મોકલી દો વ્હાલમાંને બનાવી સરસ હળવો કટાક્ષ કર્યો છે.જૂના સમયની ટપાલોને ભૂલ્યા વગર  શરુઆત તો કરી પણ તરત જ આજના વોટ્સેપ’ પર વહાલ મોકલવાના  આદેશ જેવા ઉલ્લેખમાં એક ઝીણી વેદનાનો સૂર સંભળાય છે પણ એ વધુ ઘેરો રંગ પકડે તે પહેલાં તો આપ જીવી રહ્યા છો કઈ સાલમાં?’એવો પ્રશ્નાર્થ મૂકી મનને વાળી લેવાની વાત કેવી અનોખી ઢબે મૂકી દીધી છે?

    ગીતના પ્રથમ અંતરામાં  ‘ રેડીમેડ લાગણીઅને ડાઉનલોડ’ શબ્દ દ્વારા  ફરીથી પેલી વેદના ડોકિયા કરે છે ને એની સાથે જ અનાયાસે જપહેલાંના વખતમાં લોકો નામ લખતા પણ શરમાતા ને શું  લખતાં અને શું મોકલતાંકેવી રીતે મોકલતાં એની સરખામણી સામે લાવી બતાવે છે. અહીં  મનગમતા નામ’ સાથે શ્યામ’ નો પ્રાસ અને રુમાલ અને વહાલનો સુસંગત પ્રાસ પણ મન મોહક જ નહિ અર્થથી ભર્યો ભર્યો પણ લાગે છે.

     બીજો અંતરો ઓર આનંદ આપે છેકવિ કહે છે કેટહુકો,ટ્યુનટાવર બધું મેચિંગ થાય તો જ પંખી સ્ક્રીન પર ફરવા આવે ! આ કંઈ  Unconditional  Love  થોડો છે?!  એવું  વાક્ય જાણે કે પાછળ તરત જ મનમાં જોડાઈ  ગર્ભિત અર્થને  મુલાયમ  રીતે સ્પષ્ટ કરે છે..એ જ અર્થ ધ્રુવ પંક્તિમાં ફરી ફરીને સમજાવે છે. પંખીના ને સ્ક્રીનના પ્રતિકમાં તો પંખીની જેમ કેટલા બધા અર્થો ઊડતા ઊડતા નજર સામે ઉમટે છે!

    આજની ટેક્નોલોજીની સાથેજૂના વખતને  હળવા કટાક્ષમાં વાળતા  ત્રીજા અંતરામાં  તો ઘણી ઘણી લાગણીઓ ઠાલવી દીધી છે. એ કહે છે કે,  કાગળ લઈને લખવુંપરબીડીયુ લાવવાનુંસરનામું લખવાનુંટીકીટ પણ ચોડવાની માથે.. આ બધી બબાલ ખોટી શું કામ કરવાનીઅરે ભાઈજમાનાની સાથે જીવોગામ આખું કંઈ અમથું મોબાઇલ વાપરે છેકેટલી સરળ રીતે  એવું કહી દીધુ કે જે ખરેખર તો કહેવાનું જુદું છે ! જેને બબાલ કહે છે તે હકીકતમાં તો મધમીઠું ગમતું કામ હતું એ કહેવું છે. એટલે જ તો ભૂલાતું નથી.એ વળી વળીને કોઈને કોઈ રૂપે કવિતામાં સ્પર્શાયા કરે છે. એ સંવેદનાઓએની અસરકારકતા,ઊંડાણ ક્યાં વોટ્સેપમાં છેભીતર તો એ વાત છે. એટલે આ વ્યંગ પણ હ્રદયંગમ બની રહે છે. છતાં જમાનાની સાથે જીવવાની તૈયારી  તો જુઓ!  એ એક સમજણની ઊંચાઈ દર્શાવે છે એટલું જ નહિ સુખ-શાંતિ પામવાનો સંદેશ પણ આપી જાય છે.

    આખી કવિતામાં બોલચાલની સીધી સરળ ભાષા છે તો સાથે સાથે લયમાધુર્ય પણ ભરપૂર છે. વ્યંગ છે પણ વહાલથી નીતરતો છેછૂપો કટાક્ષ છે પણ  ડંખ વગરનો છે. જૂની રીતભાતોની યાદો છે તો નવાને સ્વીકારવાની તૈયારી પણ છે જ. પ્રેમની વાતો છે પણ મનના મેચિંંગથી જ સફળતાનું ટાવર મળે એનો ઈશારો પણ છે. પંખી અને પડદાનું પ્રતિકભાવકની ભાવના મુજબ જે અર્થ લેવો હોય અને જે રીતે લેવા હોય તેવા અનેક અર્થો પ્રતિબિંબિત કરે છે.

    ફરી એકવાર ફેસબૂકના કવિકર્મની જેમ  વોટ્સેપ’ ની આ કવિતા માટે પણ કવિને  સલામ અને ખૂબ ખૂબ અભિનંદન.


    Devika Dhruva.
    ddhruva1948@yahoo.com

  • મહિલાઓ માટે કૃતજ્ઞતા નિધિ

    યોગેન્દ્ર યાદવ

    “હું ? હું તો કંઈ નથી કરતી, ઘરે જ હોઉં છું અને હાઉસ વાઈફ છું.” મારે ઘણી વાર આવા જવાબનો સામનો કરવો પડે છે. જ્યારે કોઈ દંપતીની મુલાકાત થાય તો ઘણે ભાગે પુરુષ જ પોતાનો પરિચય પહેલાં આપે છે. તેમનાં પત્ની પાછળ-બાજુમાં ઊભાં હોય છે. ચૂપચાપ ‘નમસ્તે’ કરે છે. હું જેમ પુરુષને પૂછું તેમ બહેનને પણ પૂછું છું ‘અને આપ શું કરો છો ?’ આની પાછળ મારો હેતુ તેમની હાજરીની નોંધ લેવાનો અને વાતચીતમાં તેમને ભેળવવાનો હોય છે, તેમની કમાણીના સ્રોત અંગે પૂછવાનો નહીં. પરંતુ જો એ બહેન ગૃહિણી હોય તો એવું બને છે કે તે સંકોચ પામે છે, તેમાં પણ જો તે ભણેલી ગણેલી આધુનિક બહેન હોય તો ખાસ આવું બને છે. સંકોચથી તે કહે છે તે ‘કંઈ નથી’ કરતી.

    આ જવાબથી હું વ્યાકુળ બની જાઉં છું. હું તેમને કહું છું, ઘરમાં કામ કરવું એ ‘કંઈ નહીં’ની કક્ષામાં નથી આવતું. પોતાનો દાખલો આપું છું. એક વાર મારે ત્રણ અઠવાડિયાં સુધી એકલે હાથે મારાં બંને નાનાં બાળકોને સાચવવાનો વારો આવ્યો હતો. અમે વિદેશમાં હતાં એટલે બીજી કોઈ પારિવારિક મદદ પણ મળે તેમ ન હતું. ત્યાં કોઈ પણ કામનું વેતન એટલું છે કે પૈસા આપીને ઘરનાં કામો કરાવવાની શક્તિ બહુ ઓછા લોકોની હોય છે. તેથી બાળકોને તૈયાર કરવાં, શાળામાં મૂકવા જવાથી માંડીને રસોઈ, વાસણ, ઘરની સફાઈ – બધું કામ જાતે જ કરવું પડતું હતું. ત્રણ અઠવાડિયાં સુધી “કંઈ નહીં” કરતાં-કરતાં મારી કમર તૂટી ગઈ હતી. તેથી જ્યારે કોઈ “કંઈ નહીં” કહે છે ત્યારે મને ખ્યાલ આવે છે કે એ કેટલી મહેનતનું કામ છે !

    આ કિસ્સો સાંભળીને ગૃહિણીના ચહેરા પા સ્મિત આવી જાય છે. પરંતુ હૃદય અને મગજ પર પડેલી આ વાતને તમે એક દાખલાથી તો ભૂંસી નથી શકતા. સમાજને કેવી રીતે સમજાવીએ કે એક સ્ત્રી કેટલું કામ કરે છે – જ્યારે તે માત્ર ‘ઘરમાં’ હોય છે.

    આમ તો આ બાબત સાબિત કરવાની કંઈ જરૂર ન હોવી જોઈએ, પરંતુ તાજેતરમાં જ એક સરકારી અહેવાલે મારી આ ધારણાને પુષ્ટિ આપી  કે ખરેખર એક સરેરાશ સ્ત્રી એક સરેરાશ પુરુષ કરતાં વધારે કામ કરે છે. આ કોઈ નાનોસૂનો અભ્યાસ કે આમ જ કોઈના ખિસ્સામાંથી કાઢેલો આંકડો નથી. ભારત સરકારે છેલ્લાં પાંચ વર્ષથી સરકારી રાહે અખિલ ભારતીય સ્તર પર ‘ટાઈમ યુઝ સર્વે’ કરવાનું શરૂ કર્યું છે. દર પાંચ વર્ષે નેશનલ સેંપલ સર્વે દ્વારા કરવામાં આવતા આ સર્વેમાં દેશનાં લગભગ દોઢ લાખ કુટુંબોના છ વર્ષથી મોટા બધા સભ્યોનો સર્વે કરવામાં આવે છે.

    આ સર્વેમાં તેમના ઘરે જઈને તેમને પૂછવામાં આવે છે કે છેલ્લા ચોવીસ કલાકમાં તમે શું શું કર્યું. દર અડધા કલાક કે તેથી પણ ઓછા સમયમાં કરેલ દરેકેદરેક કામની વિગતો તેમાં નોંધીને તેનું વિશ્ર્લેષણ કરવામાં આવે છે – આ અહેવાલમાં. આ અભ્યાસનો પ્રથમ અહેવાલ વર્ષ ૨૦૧૯માં બહાર પડ્યો હતો. બીજો રિપોર્ટ તાજેતરમાં જ કેન્દ્ર સરકારે સાર્વજનિક કર્યો છે.

    ૨૦૨૪ના આંકડા પર આધારિત આ નવો અહેવાલ જણાવે છે કે આપણા દેશમાં એક સરેરાશ સ્ત્રી દરરોજ એક સરેરાશ પુરુષની સરખામણીમાં એક કલાક વધુ કામ કરે છે. ચોક્કસ આંકડા જોઈએ તો સરેરાશ દરેક પુરુષ દરરોજ ૩૦૭ મિનિટ (એટલે કે ૫ કલાક ૭ મિનિટ) કામ કરે છે તો એક સરેરાશ દરેક મહિલા દરરોજ ૩૬૭ મિનિટ (છ કલાક ૭ મિનિટ) કામ કરે છે. ફેર એટલો છે કે પુરુષને મહદ્અંશે તેના આ કામ માટે વેતન મળે છે, પરંતુ સ્ત્રીના મોટાભાગના કામનું કોઈ વેતન તેને મળતું નથી. એક સરેરાશ પુરુષના ૩૦૭ મિનિટના કામમાંથી ૨૫૧ મિનિટના કામના તેને પૈસા મળે છે. તેની માત્ર ૫૬ મિનિટ એવાં કામોમાં જાય છે જેમાંથી કમાણી નથી થતી. પરંતુ સ્ત્રીની પરિસ્થિતિ તદ્દન ઊંધી છે. તેના ૩૬૭ મિનિટના કામમાંથી તેને માત્ર ૬૨ મિનિટના કામમાંથી વેતન મળે છે અને તેનું ૩૦૫ મિનિટનું કામ ‘કંઈ નહીં’ની શ્રેણીમાં આવે છે. અને તેથી જ માત્ર એટલું કહેવું યોગ્ય નથી કે પુરુષ બહારનું કામ કરે છે અને સ્ત્રી ઘરનું. અંદર તેમજ બહાર બંને કામ ભેગાં કરીએ ત્યારે ખ્યાલ આવે છે કે સ્ત્રીનું કામ ભારે (વધુ મેહનત-સમય લેનારું) હોય છે.

    ૨૦૨૪ના રિપોર્ટના બધા આંકડા હજુ જાહેર નથી કરાયા પરંતુ ૨૦૧૯ના આંકડાઓને આધારે આપણે થોડી ઊંડાણથી આ વાત સમજીએ. આ ‘કંઈ નહીં’ વાળાં કામ મુખ્યત: બે શ્રેણીમાં વહેંચી શકાય તેમ છે – એક તો ઘરમાં રસોઈ, સફાઈ, કપડાં ધોવાં, પાણી ભરવું જેવાં ઘર ચલાવવા માટે કરવાનાં કામો અને બીજું બાળકો અને વયસ્કોને સંભાળવાનું કામ.

    આ બંને પ્રકારનાં કામોમાં સ્ત્રીઓ પર આવતો ભાર દરેક વર્ગનાં કુટુંબોમાં આપણે જોઈ શકીએ છીએ. એક સામાન્ય ભ્રમ એવો પ્રવર્તે છે કે સ્ત્રી જ્યારે કમાવા લાગે છે ત્યારે તેના પરથી આ બોજો ઓછો થઈ જાય છે. પ્રસ્તુત રિપોર્ટ કહે છે કે હકીકતમાં કામ કરનારી એટલે કે પૈસા કમાનારી બહેનો બંને તરફથી પિસાય છે. ગ્રામીણ કુટુંબોમાં રોજી માટે કામ કર્યા બાદ પણ આ બંને પ્રકારનાં ઘરનાં કામોમાં સ્ત્રીની સરેરાશ ૩૪૮ મિનિટ ખર્ચાય છે તો શહેરી કુટુંબોમાં પણ ૩૧૬ મિનિટ. જો પુરુષ બેરોજગાર હોય તો પણ મોટાભાગના કિસ્સાઓમાં તે ઘરના કામમાં મદદરૂપ નથી બનતો.

    ૨૦૧૯નો રિપોર્ટ એ ભ્રમનું પણ ખંડન કરે છે કે સ્ત્રીઓ સજવા-ધજવા પાછળ વધુ સમય ખર્ચે છે. એક સરેરાશ દિવસમાં નહાવા-ધોવા તૈયાર થવામાં પુરુષને ૭૪ મિનિટ લાગે છે. જ્યારે બહેનોને તેનાથી ઓછી ૬૮ મિનટ થાય છે. ખાવા-પીવામાં પુરુષોને મહિલાઓ કરતાં દસ મિનિટ વધુ સમય લાગે છે. ગૃહિણીને આરામ કરવા, વાતચીત કરવા તેમજ મનોરંજન માટે દિવસમાં ૧૧૩ મિનિટ મળે છે જ્યારે પુરુષને ૧૨૭ મિનિટ.

    હવે સવાલ એ છે કે એ કોણ નક્કી કરે છે કે કયા કામ માટે પૈસા (વેતન) મળે અને કયા કામ માટે નહીં ? સ્પષ્ટ જ છે કે આ બાબત કામના મહત્ત્વના આધાર પર નક્કી નથી થતી. ઓફિસ અને ફેક્ટરીના કામ વગર તો દુનિયા ચાલીયે જાય પરંતુ રસોઈ અને બાળકોની સાર-સંભાળ વિના તે ચાલી શકે ખરી ? પુરુષપ્રધાન સમાજે પોતાના ફાયદા માટે આ વ્યવસ્થા બનાવી છે. તો શું આ અન્યાય ને દૂર કરવા માટેની કોઈ વ્યવસ્થા ન હોવી જોઈએ ?

    છેલ્લાં થોડાં વર્ષોથી ઘણાં રાજ્યોમાં મહિલાઓને અમુક રકમ નિયમિત રૂપે આપવાનું ચલણ શરૂ થયું છે. જુદા જુદા નામથી ચાલી રહેલી આ યોજનાઓને પૈસા વહેંચવાની જોખમકારક પ્રવૃત્તિના રૂપમાં જોવામાં તેમજ બતાવવામાં આવે છે. પરંતુ જો આ દેશ પુરુષો કરતાં સ્ત્રીઓની મહેનત પર ચાલી રહ્યો હોય તો રાષ્ટ્રનિર્માણમાં તેમના આ યોગદાનના બદલામાં તેમને કંઈક ચૂકવણું કરવામાં આવે તો તેમાં ખોટું શું છે ?

    તેને ચૂંટણીઓ આવતાં (ચૂંટણીની અગાઉ) લાંચ કે ભીખની જેમ આપવાને બદલે મહિલાઓ માટે ‘કૃતજ્ઞતા નિધિ’ જેવી કોઈ રાષ્ટ્રવ્યાપી યોજના કેમ બનાવાતી નથી ? માત્ર ૮મી માર્ચના મહિલા દિવસ પર જ નહીં, વર્ષના પ્રત્યેક દિવસે આ અંગે વિચાર કરવો જરૂરી છે.


    (નવોદય ટાઇમ્સમાંથી અનુવાદિત)


    ભૂમિપુત્ર : ૧ મે, ૨૦૨૫

  • સ્મૃતિની ખામોશીનો રણકાર

    મંજૂષા

     વીનેશ અંતાણી

    યાદોની વણજારનો અંત હોતો નથી. ક્યારે શું યાદ આવી જાય એની ખબર પડતી નથી. ઘણી વાર તો સવારે જાગતાની સાથે જ આપણું મન કોઈ જૂનું ગીત ગણગણવા લાગે છે. અચાનક કોઈ ચહેરો મનમાં જાગી ઊઠે અને આપણો વર્તમાન ખળભળાવી મૂકે. વર્ષો પહેલાંની કોઈ સુગંધ સ્મૃતિમાં સળવળી ઊઠે અને એક સમયે એ સુગંધ સાથે જોડાયેલું બધું યાદ આવી જાય.

    ફ્રાન્સના ખૂબ જાણીતા લેખક માર્સેલ પ્રૂસ્તની સાત ભાગ લખાયેલી એક નવલકથા છે – ‘ઇન સર્ચ ઓફ લોસ્ટ ટાઇમ’ – ખોવાયેલા સમયની શોધમાં. આખી નવલકથા સ્મૃતિઓની આસપાસ ગૂંથી છે. એમાં એમણે બે પ્રકારની સ્મૃતિ પર ભાર મૂક્યો છે. એક પ્રકારની સ્મૃતિ, જેમાં આપણે કશુંક યાદ કરવાનો પ્રયત્ન કરીએ ત્યારે જ એ યાદ આવે. બીજા પ્રકારની સ્મૃતિ, જેમાં અનાયાસ કશુંક યાદ આવી જાય. બીજા પ્રકારની સ્મૃતિઓ બિન બુલાયે મેહમાન જેવી હોય છે. જેમકે પહેલા વરસાદની સુગંધ આપણને બાળપણમાં લઈ જાય છે. એ ઉંમરે વરસતા વરસાદમાં પલળતા-પલળતા દોસ્તો સાથે કરેલી ધીંગામસ્તી યાદ આવી જાય છે. એ સ્મૃતિ જાગે ત્યારે વ્યક્તિની ઉંમર વીસ વર્ષની છે કે પચાસની કે એંસીની એની સભાનતા રહેતી નથી, એ સંપૂર્ણપણે બાળક બની જાય છે. કેરીની મોસમમાં એક સમયે બહુ ભાવતી દેશી કેરીનો સ્વાદ જીભ પર ફરી વળે છે. કોઈ અજાણ્યા ગામનું તળાવ જોતાં જ આપણે વતનના કાચા તળાવની પાળે પહોંચી જઈએ છીએ.

    એક વાર બસમાં મારી બાજુમાં બેઠેલા માણસના પરસેવાની ગંધથી મને મારી પ્રાથમિક શાળાનો પટાવાળો યાદ આવી ગયો હતો. માર્સેલ પ્રૂસ્ત એમની નવલકથામાં અચાનક જાગી ઊઠેલા એક સ્મરણનો ઉલ્લેખ કરે છે. મોટા થયા પછી એ કોઈ રેસ્ટોરન્ટમાં ચા પીતા હતા, એમણે ચામાં કેક બોળીને મોઢામાં મૂકી તે સાથે જ એમના ચિત્તમાં દૂરના શહેરમાં રહેતી વહાલસોયી વડીલ મહિલાનું ઘર ઊપસી આવ્યું હતું. નાનપણમાં એ ઘરમાં વિતાવેલા દિવસો, રવિવારની સવાર અને એ મહિલાનો સ્નેહ વગેરે બધું યાદ આવી ગયું હતું. પ્રૂસ્ત કહે છે કે ભૂતકાળ ક્યારેય મરતો નથી. એ આપણી રોજબરોજની જિંદગીની સપાટી નીચે છુપાયેલો રહે છે અને તક મળતાં જ બહાર નીકળવાની પ્રતીક્ષા કરતો રહે છે.

    વયના પાછલા પડાવ પર પહોંચ્યા પછી યાદદાસ્ત ધૂંધળી પડવા લાગે ત્યારે કેટલાક લોકોને ડર લાગે છે કે તેઓ સ્મૃતિશેષ બની જશે તો એમના જીવનમાં શું બાકી રહેશે? વૃદ્ધાવસ્થામાં સ્મૃતિ બહુ મોટો આધાર હોય છે. કુટુંબના લોકો મૃત્યુ પામનાર વડીલની થોડી ચીજો થોડો સમય સાચવી રાખે છે, પછી સમય જતાં એ ચીજોને સાચવી રાખવાની જરૂર રહેતી નથી. ઘરમાં આવતી નવી ચીજો માટે જગ્યા કરવા માટે પણ જૂની ચીજોનો નિકાલ કરવો પડે છે.

    સંગીતનાં જૂનાં વાદ્યોની લે-વેચ કરતા આધેડ વયના સંગીતના શોખીન દુકાનદારે સરસ વાત કરી છે. એક દિવસ એક યુવાન જૂની સિતાર વેચવા આવ્યો. દુકાનદારે સિતારના તાર સૂરમાં લઈ એના પર આંગળી ફેરવી. એનો રણકાર સાંભળતાં જ વર્ષો જૂનું એક દૃશ્ય એની આંખમાં તરી આવ્યું. એ એના જ શહેરના મશહૂર સિતારવાદકની કોન્સર્ટમાં ગયો છે અને એના સિતારવાદનના જાદુમાં ખોવાઈ ગયો છે. ત્યાર પછી સિતારવાદક સાથે એનો ઘનિષ્ઠ સંબંધ બંધાયો. ઘણી વાર સિતારવાદક વહેલી સવારે રિયાજ કરતા હોય ત્યારે એ એમને ઘેર પહોંચી જતો. દુકાનદારે પેલા યુવાનને પૂછ્યું: ‘તમે જાણો છો, આ સિતાર કોની છે?’ યુવાને કહ્યું: ‘મારા દાદાની.’ એમનું નામ પણ જણાવ્યું. દુકાનદારે પૂછ્યું; ‘છતાં તમે આ સિતાર વેચી નાખવા માગો છો?’ યુવાને જવાબ આપ્યો: ‘હા, અમારા નવા ઘરમાં જગ્યા રોકે છે.’ દુકાનદારે યુવાને માગેલી કિંમતે સિતાર ખરીદી લીધી અને કહ્યું: ‘ભાઈ, તને ખબર નથી, તેં શું ગુમાવ્યું છે. આ સિતારના દરેક તારમાં સંગીતના એક યુગનો રણકાર છુપાયેલો છે.’

    માનસિક તકલીફોથી પિડાતા લોકોની સારવાર કરતા નિષ્ણાતો ઘણી વાર દરદીને એમના ભૂતકાળમાં લઈ જાય છે. એ દ્વારા દરદીના અર્ધજાગ્રત મનમાં ધરબાયેલી બાબતોનો ખ્યાલ આવે છે. એના આધારે એની સારવાર શક્ય બને છે. પચીસ વર્ષની લીના કોઈની સાથે ભળી શકતી નહોતી. એના મનમાં ડર પેસી ગયો હતો એ કોઈ વ્યક્તિ સાથે સંબંધ બાંધશે તો પોતે દુખી થશે અને એ વ્યક્તિને પણ દુખી કરશે. આ ડરનાં મૂળ એના બાળપણમાં હતાં. એનાં માતાપિતા એમના બિઝનેસમાં સતત વ્યસ્ત રહેતાં હતાં. એ કારણે તેઓ એકની એક દીકરી લીનાને પ્રેમ અને હૂંફ આપી શક્યાં નહોતાં. લીના મનમાં ઠસી ગયું હતું કે કોઈને એની જરૂર નથી અને એ વધારાની વ્યક્તિ છે. એના ચિત્તમાં ઘર કરી ગયેલી ઉપેક્ષાની સ્મૃતિને લીધે એને એકલવાયું જીવન જીવવાની ફરજ પડી હતી.

    સ્મૃતિમાં માણસના જીવનનું સાતત્ય સમાયેલું છે. જ્યાં સુધી આપણે વીતેલો સમય સાચવી શકીએ છીએ ત્યાં સુધી ‘અખંડ’ છીએ. માનવમન એક મજૂસ છે. ઘણા લોકો એમની મજૂસને ઘરના અંધારા ઓરડાના ખૂણામાં મૂકીને ભૂલી જાય છે કે એમાં શું ભર્યું છે. એમાં એમણે એમના ભૂતકાળના અવાજો, સ્પર્શો, સુગંધોની સાથે ચણિયા બોરના ઠળિયા, કોઈના પરફ્યૂમની સુગંધ અને અનેક રેશમી અને ખરબચડા સળવળાટો – એમ એક આખો વીતેલો સમય ઠાંસીઠાંસીને ભર્યો હોય છે. એ મજૂસમાં આપણે પોતે પણ હોઈએ છીએ.

    પોતાને નવેસરથી પામવા માટે કોઈ પણ ઉંમરે મજૂસ ખોલી જૂનાં પોટલાંની ગાંઠ છોડવી જોઈએ. ‘ખુલ જા સિમ-સિમ’ બોલવા જેટલી જ વાર લાગશે અને આપણે આપણામાંથી બહાર નીકળી સ્મૃતિના અઢળક ખજાનામાં પહોંચી જશું. ‘તને સાંભરે રે – મને કેમ વીસરે રે…’ની રમત ભૂલવા જેવી નથી.


    શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.


    ‘દિવ્ય ભાસ્કર’ની ‘રસરંગ’ પૂર્તિમાં લેખકની કૉલમ ‘ડૂબકી’માં આ લેખ પ્રકાશિત થયો હતો.

  • સંવિધાન દિવસ: ઇતિહાસ, વિરાસત અને વર્તમાન પડકારો

    તવારીખની તેજછાયા

    પ્રકાશ ન. શાહ

    બરાબર દસ વરસ થયાં નમો સરકારે હર ૨૬મી નવેમ્બરે સંવિધાન દિવસ મનાવવાનો ચાલ શરૂ કર્યાને. ૨૦૧૫નું વરસ આંબેડકરનું એકસો પચીસમું વરસ હતું એ નિમિત્ત પકડીને ત્યારે સરકારે આ ગેઝેટબદ્ધ જાહેરાત કરી હતી. સંવિધાન કહેતાં બંધારણ વિશે, એની આણ-આમન્યા-અવકાશ વિશે શાસનકર્તાઓમાં તેમ નાગરિકોમાં પરસ્પર સમજ ને સમાદર રહે તેમજ યથાપ્રસંગ ભિન્નમત અને વિરોધ સારુ મોકળાશ રહે એ વાસ્તે આ પ્રકારનાં આયોજનોની અવશ્ય એક ભૂમિકા છે. સ્વરાજ લડત સાથે સીધા સંબંધ વગરનાં બળો આજે સત્તારૂઢ છે ત્યારે પશ્ચાદવર્તી ધોરણે તેઓ સુડતાલીસ પૂર્વ સંધાનની કોશિશમાં હોય પણ સ્વાભાવિક જ છે

    જેના ઘડતરમાં આંબોડકરનો અગ્રફાળો હતો તે સંવિધાન અમલમાં આવ્યું ૧૯૫૦ના જાન્યુઆરીની છવ્વીસ મેએ. પ્રજાસત્તાક તરીકે વિધિવત અમલમાં આવવાનું થયું તે ૧૯૫૦ના જાન્યુઆરીની 26મીએ, કેમ કે ૧૯૨૯માં જવાહરલાલ નેહરુના પ્રમુખપદે, ત્યારે તો રાષ્ટ્રીય ચળવળવત કોંગ્રેસે મુકમ્મલ આઝાદીનો ઠરાવ કર્યો એને પગલે ૧૯૩૦થી હર ૨૬મી જાન્યુઆરીએ પૂર્ણ સ્વરાજ દિવસ મનાવવાનું શરૂ થયું હતું. હાલ શાસનમાં બેસેલ વિચાર પરિવાર, આ બધા છૂટી ગયેલા તાંતણા સાથે જોડાય એથી રૂડું શું.

    આંબેડકર ૧૨૫નું ઓઠું લેવાઈ જ રહ્યું છે ત્યારે એ સંભારવું રસપ્રદ એટલું જ દિશાપ્રદ પણ બની રહેશે કે ૨૬મી નવેમ્બરના પૂર્વ દિવસે, ૨૫મી નવેમ્બરે, એમણે ગૃહમાં શું કહ્યું હતું. એમણે કહ્યું હતું કે રાજકીય સમાનતા, એક માથું- એક મત, અમલમાં આવે છે, પણ આર્થિક સામાજિકતા વિષમતા બરકરાર હોય એનું શું. દેખીતી રીતે જ, બંધારણે બક્ષેલ મૂળભૂત અધિકારો તેમજ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના ઉજાસમાં સમતા ને ન્યાયની બાકી અગર ચાલુ લડાઈનો ઊહાપોહભેર એક સંકેત એમાં પડેલો હતો.

    હાલનો સત્તા પરિવાર એટલે કે એના તત્કાલીન પુરોગામીઓ સંવિધાન નિર્માણની પ્રક્રિયા પરત્વે શું વિચારતા હશે? સંઘના મુખપત્ર ઓર્ગેનાઈઝરની ફાઈલો જોઈએ તો હાય રામ, આ બંધારણમાં મનુસ્મૃતિનો ન તો મહિમા છે, ન તો તેને કોઈ સ્થાનમાન સુદ્ધાં છે. સાવરકર સમગ્રમાં તેમ બીજા સરસંઘચાલક ગોળવલકરના ‘બન્ચ ઓફ થોટ્સ’માં આ વાત ઊના નિસાસા કરતાં વધુ તો આક્રોશી ઢબે ઈતિહાસદર્જ છે.

    ૧૯૪૬-૪૯ના ગાળામાં બંધારણ સભાની જે કામગીરી ચાલી એને અંગે દિશાસૂચક સામગ્રી પણ સ્વરાજ લડતમાં પડેલી હતી. કોંગ્રેસે સોંપેલ કામગીરી સર મોતીલાલ નેહરુએ ઘડેલ બંધારણ મુસદ્દો 1928માં બહાર આવ્યો એમાં સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર, સ્વતંત્રતા ને સમાનતા તેમ લઘુમતીઓના અધિકારી વગેરે વાનાં કાનૂની પરિપાટીમાં અક્ષર રૂપ પામ્યાં હતાં.

    1930માં મીઠાની લડત સાથે નાત-જાત-કોમ-લિંગ એકે ભેદ વગરનો મુદ્દો કેન્દ્રમાં આવ્યો. ૧૯૩૧માં ભગતસિંહની શહાદત સાથે ક્રાંતિની વ્યાખ્યા નકરા બોમ્બવાદમાં નહીં અટવાતા આર્થિક-સામાજિક ન્યાયમાં ઠરી. એ જ વરસે વલ્લભભાઈના પ્રમુખપદે કરાચી કોંગ્રેસે મૂળભૂત અધિકારોનો ઠરાવ પસાર કર્યો. ૧૯૩૧માં પુના કરાર સાથે સર્વસમાવેશી રાજકીય પ્રથાપૂર્વક સામાજિક બદલાવની દિશામાં કદમ ભરાયું. 1946-1949ની ચર્ચાઓની પૂંઠે પડેલી આ ઈતિહાસ સામગ્રી વિશે, મોડે મોડે એની સાથે સંધાન શોધનારને કશીક તો ખબર હોવી જોઈશે.

    આંબેડકરનું સ્પષ્ટ માનવું હતું કે હિંદુ સમાજમાં વર્ણ અને લિંગ ગત ઊંચનીચ તેમજ ભેદભાવ લગભગ પ્રાણરૂપ મહત્ત્વ ધરાવે છે. એની નાબૂદી વગર અમથા અમથા કાયદા ઘડ્યે કશો શક્કરવાર વળવાનો નથી. નેહરુ અલબત્ત પ્રગતિશીલો સાથે હતા અને એમણે કટકે કટકે કોડ બિલ પસાર કરાવી જાણ્યું. વર્તમાન શાસન એના પૂર્વસૂરિઓની પેઠે સત્તાવારપણે મનુસ્મૃતિની હિમાયતમાં જણાતું નથી એ સાચું, પણ બંધારણ દિવસના ગર્જનતર્જન સાથે પોતે ક્યારેક ક્યાં હતા ને કેવી ખોટી લાઈન પકડી હતી એવી કોઈ આત્મનિરીક્ષણની ઈન્દ્રિય એની કને છે કે કેમ તે તો આપણે જાણતાં જાણીશું.

    હમણે હમણે સંઘ વર્તુળોએ ફેરઉછાળેલો મુદ્દો બંધારણના આમુખમાંથી સેક્યુલર ને સોશ્યલિસ્ટ એ સંજ્ઞાઓ પડતી મૂકવાનો છે. એક વાત સાચી કે આમુખમાં આ બે શબ્દો કટોકટીકાળે ઉમેરાયા હતા તે વાતે કંઈક અસુખને અવકાશ હોઈ શકે છે. પણ આ પક્ષ પરિવારના વિચારબંધુઓએ સર્વોચ્ચ અદાલતનાં દ્વાર ખટખટાવ્યાં ત્યારે તત્કાલીન વડા ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાના વડપણ હેઠળની ખંડપીઠે સ્પષ્ટ કર્યું જ હતું કે બંધારણીય સુધારાની જોગવાઈ હેઠળ આમુખમાં ઉમેરો વૈધ છે. ઉપરાંત, આપણને અભિમત અર્થ સેક્યુલર કહેતાં સર્વ ધર્મ માટે સમાદરનો અને સોશ્યલિસ્ટ કહેતાં આર્થિક-સામાજિક શોષણમાંથી મુક્તિનો છે. એ રીતે આ બંને સંજ્ઞાઓ સંવિધાનના બુનિયાદી માળખાનું અભિન્ન અંગ છે.

    આ બધું સમજીને આત્મનિરીક્ષણપૂર્વક આગળ ચાલવું તે ખરો પડકાર છે. સંવિધાન હત્યા દિવસ જેવાં ઉજવણાં દાખલ કરીને કટોકટીવિરોધ જેવા સાચા મુદ્દાને પક્ષીય ઓજાર તરીકે વાપરવાનું રાજકારણ આ સંદર્ભમાં પુનર્વિચાર માગે છે.


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૨૬– ૧૧– ૨૦૨૫ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ


    શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.