-
વિરોધાભાસોમાંના સર્વસામાન્ય વિષયવસ્તુઓ : અન્યોન્યાશ્રયી પરિભાષાઓ
જ્ઞાન સાથે રસ પણ પડે એવા વિરોધાભાસો
સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ
સ્વ- સંદર્ભ (self-reference), અસીમ પીછેહઠ (infinite regress), અન્યોન્યાશ્રયી (ગોળગોળ) પરિભાષાઓ (circular definitions) અને અમૂર્ત વિચારણાનાં (abstraction) અલગ અલગ સ્તરો વચેની ગૂંચ કે સંદિગ્ધતા એ બધાં વિરોધાભાસોનાં સર્વસામાન્ય વિષયવસ્તુઓ છે.
જીવન એક એવું પૂર્ણ વર્તુળ છે જે વિકસતું વિકસતું અનંતની ગતિમય હિલચાલો સાથે જઈ મળે છે.
વર્તુળો સાથેના વિરોધાભાસોના સંદર્ભ આપણને અન્યોન્યાશ્રયી પરિભાષાઓ અને અન્યોન્યાશ્રયી તર્કબદ્ધ વિચારશક્તિ ભણી દોરી જાય છે.
અન્યોન્યાશ્રયી પરિભાષા એવી વ્યાખ્યા છે જે જે પરિભાષાનાં વર્ણન કરવામાં આવી રહ્યું છે તેમાં એ જ શબ્દોનો પ્રયોગ કરે છે, કે પછી એમ માની લે છે કે જે શબ્દપ્રયોગો પ્રયોજિત થઈ રહ્યા છે તે જાણીતા જ છે. અન્યોન્યાશ્રયી પરિભાષા વિવિધ પ્રકારની હોય છે, જેને મુખ્યત્વે વ્યવહારિક, શબ્દકોશીય કે ભાષાશાસ્ત્રીય એવાં વર્ગીકરણમાં વહેંચવામાં આવે છે. [1]

આ પરિભાષાને The Jenndra Identitty Comics માં જોવા મળતાં નીચેનાં કટાક્ષચિત્રો વડે સમજવી સરળ પડશે :

અન્યોન્યાશ્રયી તર્કબદ્ધ વિચારશક્તિ
Read More: Logical Fallacies માં કેટલીક સર્વસામાન્ય પ્રચલિત તર્કબદ્ધ તર્કદોશોની વિગતે ચર્ચા દ્વારા તર્કબદ્ધ વિચારશક્તિ અને નિર્ણાયક સમજશક્તિને ઊંડાણમાં સમજાવતા લેખોનો સંગ્રહ છે.
અપેક્ષા મુજબના જવાબ મળે એવા સવાલ પૂછવા / begging the question સાથે પણ તેને ગાઢ સંબંધ છે. [2]

વધારાનું વાંચન : Circular Reasoning — Cognitive Science (PDF)
પોતાની જ વ્યાખ્યામાં વાપરવા પડે એવા શબ્દો સભાનપણે ન વાપરીએ તો પણ એવી કેટલીય પરિભાષાઓ છે જેમાં એકબીજા પર આધાર રાખતા જ હોય એવા શબ્દો ટપકી જ પડે એવું બહુ બને છે. જેમકે, તેમનાં સ્વાભાવિક અસ્તિત્વના ક્રમમાં આ પરિભાષા જુઓ:
બરફ. (નામ). પાણીનું ઘન સ્વરૂપ.
વરાળ. (નામ). બરફનું વાયુ સ્વરૂપ.
પાણી. (નામ). વરાળનું પ્રવાહી સ્વરૂપ.
આમાંની એક પણ પરિભાષા આમ ભલે અન્યોન્યાશ્રયી ન ગણાય, પણ ત્રણેયને એક સાથે જોઇએ તો ગોળ ગોળ ફરીને વર્તુળ જ પુરૂં થાય છે. તેમ છતાં મુળ શબ્દોનો અર્થ તો જ ચોખ્ખો થાય જો વાંચનારને પરિભાષામાં વપારાયેલ સ્વરૂપની સમજણ હોય ! નહીં તો આ ત્રણ પદાર્થો કોઈ અન્ય પદાર્થની ઘન, કે વાયુ કે પ્રવાહી અવસ્થા છે તેનાથી વધારે તેને કંઈ ન સમજાયું હોય. [3]

“શબ્દકોશને અનુસરતા આલેખનો એક ભાગ – ‘બરફ’, ‘વરાળ’ અને ‘પાણી’ મળીને જે વર્તુળ પુરૂં થાય છે તે ખાસ જોશો.
ઘણી વ્યાખ્યાઓ અન્યોન્યાશ્રયી હોય છે પણ તેમ છતાં તેમાં એ પારિભાષિક શબ્દ સમજવા માટે પુરતી માહિતી હોઈ શકે છે. જેમકે
નિમ્બસ (વરસાદી ) વાદળ : વરાળમાંથી ટીપાં પેદા કરતું વાદળું.
અથવા
નીતિશાસ્ત્ર: વ્યક્તિનાં વાણી વિચાર વર્તન વર્તણૂક કે ચાલચલગત પર નિર્ધારક પ્રભાવ પાડતા નૈતિક સિદ્ધાંતો .
નૈતિક સિદ્ધાંતો : નૈતિકતાનાં ધોરણે, વ્યક્તિ કે સમુદાય, દ્વારા સ્વીકાર્ય એવા સિદ્ધાંતો .
સાચુ અને ખોટું ઠરાવતા સિદ્ધાંતો : વ્યક્તિનાં નીતિમય વાણી, વિચાર અને વર્તનનાં પાયા સ્વરૂપ નૈતિક સિદ્ધાતો.
કોઈ પણ જાતની આડીઅવળી સમજ ન પેદા થાય એવું લખનારે :
૧. અમાપ સંખ્યામાં શબ્દો પર પોતાનું પ્રભાવ એવી ભાષાનું શબ્દભંડોળ શીખવું અને કેળવવું જોઈએ જેથી પરિભાષાઓ માટે તે જે શબ્દોનો પ્રયોગ કરે પછીથી વ્યાખ્યાયિત થનારા શબ્દોનો પ્રયોગ ટાળી શકાય.
બહુ દેખીતાં (ભૌતિક) કારણોસર, વ્યવહારમાં આમ કરી શકવું બહુ લાબું ખેંચી ન શકાય, જો એવી કોઈ ભૌતિક મર્યાદાઓ કદાચ ન પણ હોય તો પણ આવી વ્યવસ્થાથી સહેલાઈ સમજી શકાય એવી કેટલી ગોઠવણ થઈ શકે તે સ્પષ્ટ નથી. .
૨. મર્યાદિત ભાષાભંડોળ હોવા છતાં જે શબ્દો વાપરવા પડે તેમની વ્યાખ્યાઓ કરવી ન પડે એવી ભાષા શૈલી વિકસાવવી જરૂરી છે.
વધારાનું વાંચન : Logically Fallacious: આ પુસ્તકનું ધ્યાન તર્કબદ્ધ વિચાર કરવામાં થતી ભુલો જેને કહી શકાય એવા તર્કબદ્ધ તર્કદોષો ને સમજાવવા પર છે. એકે એક પાનાંનું વાંચન કોઈની પણ તર્કબદ્ધ વિચારણા અને નિર્ણય પ્રક્રિયાઓમાં બહુ મોટા પાયે સુધારા લાવી શકે છે.
પર્યાવરણની સંપોષિત જાળવણી સાથે સંકળાયેલ વ્યાવસાયિકો માટે ખાસ, અને આજના લગભગ બધાં મૅનેજમેન્ટ ક્ષેત્રના વ્યાવસાયિકો માટે, અન્યોન્યાશ્રયી અર્થવ્યવસ્થા/ Circular Economy , ભલે આજના વિષયથી સાવ અલગ પણ, એક મહત્વનો વિષય છે.

કેટલાક વધારાના સંદર્ભો –
- Circular Economy Explained: What Is It & Why Is It Important?
- Explaining the Circular Economy and How Society Can Re-think Progress.
- How to design the circular economy – A TED talk
- The Story of Plastic
વધારાનું વાંચન :
Harnessing the Fourth Industrial Revolution for the Circular Economy – A white paper published in 2018 by the World Economic Forum
-
સુધારણા અને પરિવર્તનનાં પરિણામો પર મનની શ્રદ્ધાની પડતી અસરોની ભૂમિકા
સ્વ-વિકાસ : વિચાર વલોણું
તન્મય વોરા
આ વર્ષે આમ તો કરવું જ છે કે પેલું તો નક્કી જ કરવું છે એવા દર નવા વર્ષે કરાતા આપણા કૃતનિશ્ચયોનાં ભવિષ્ય મોટા ભાગે બાળ મરણ જ હોય છે. વ્યક્તિની જેમ જ ઘણી સંસ્થાઓમાં પણ ‘સુધારણા પગલાંઓ’ની આકર્ષક યાદીઓ બને છે જેમાંથી બહુ થોડી અમલ સુધી પહોંચે છે, અને જે કોઇ અમલ થાય પણ તે લાંબા ગાળા સુધી ટકતી ન હોય તેવું વધારે જોવા મળે છે.
આમ થવાનું એક મુખ્ય કારણ એ છે કે ગમે એટલું સરળ દેખાતું પરિવર્તન પણ વ્યવહારમાં એટલું સરળ જ હોય એવું ભાગ્યેજ બનતું હોય છે. તેમાં આપણને જે ગોઠી ગયું છે તેમાં જરા સરખાં પણ પરિવર્તનની સામેનો માનવ સહજ વિરોધ ભળે, એટલે મામલો વધારે બીચકતો હોય છે. તે ઉપરાંત, પરિવર્તનની સફરની શરૂઆત કરતી વખતે પરિણામો સ્વરૂપે વચ્ચે આવનારાં સીમાચિહ્નોથી માંડીને અંતિમ લક્ષ્ય વિશે એકદમ સ્પષ્ટ ચિત્ર આપણી સમક્ષ ન હોય તેવું પણ બહુ વાર જોવા મળે છે.
મોટા ભાગના જિમના એક તાલીમ શિક્ષક એક વાત અચુકપણે તેમના તાલીમાર્થોને સમજાવતા હોય છે. કસરત કરતી વખતે જે લોકો થનાર સંભવિત દુખાવાના જ વિચારો કરતા હોય છે એ લોકો કસરત કરવાનું જલ્દી છોડી દેતા જોવા મળે છે. એ રીતે જે લોકો બીજા જ દિવસથી કસરતના ફાયદાઓ જોવાની અપેક્ષા સાથે જોડાય છે એ લોકો નિરાશ પણ જલ્દી થાય છે એટલે લાંબું ટકતા નથી હોતા.
કોઈ પણ પરિવર્તન સમય તો અવશ્ય પણ માગી લે છે એ વાત તેમણે બહુ સરળતાથી કહી દીધી છે.
પરિવર્તનના સંકલ્પ માટેની નિષ્ઠાની તાકાતની સાથે સાથે પછીથી થનારા સુધારાથી જે કંઈ, જેટલું પણ, થશે એ વિશે સારૂં જ થશે એવી અટલ શ્રદ્ધા અને પરિવર્તનના અમલ દરમ્યાન અને પછીથી તેની અસરોનેએ ટકાવી રાખવા માટે જે જહેમત લેવી પડે તેમાં કોઈ પણ તબક્કે જરા પણ કચાશ ન આવી જાય તે માટેની માનસિક અને શારીરિક તૈયારી અને પ્રતિબદ્ધતા પણ એટલાં મહત્વનાં બની રહેતાં હોય છે.
પણ, સામાન્યપણે થતું હોય છે કે જ્યારે માથે પડતું આવે ત્યારે જ આપણે પરિવર્તન કરવા તૈયાર થતાં હોઈએ છીએ. તેમાં પણ જો જોખમ આપણાં અસ્તિત્વને ટકાવવા જેવું ગંભીર ન હોય કે આપણને બહુ મોટો લાભ થતો ન દેખાય, તો પરિવર્તન કરવામાં આપણે પહેલેથી ઢીલાંઢાલાં પડવા લાગતાં હોઇએ છીએ. પરિવર્તનને અસરકારક અને લાંબે ગાળે ટકાઉ બનાવવા માટે એ પરિવર્તન આંતરસ્ફુરિત હોય એ બહુ આદર્શ પરિસ્થિતિ છે. મનથી નક્કી કરેલ અને સ્વીકારેલ પરિવર્તનોની સફરની અડચણો સહન કરી લેવા આપણે માનસિક રીતે વધારે સજ્જ થઈ શકીએ છીએ અને તેથી શારીરિક પ્રયત્નોનો નથી થાક લાગતો કે નથી કંટાળો આવતો.
સો વાતની એક વાત :
સંસ્થાની કે વ્યક્તિગત કક્ષાએ આપણે શરૂ કરેલ પરિવર્તન કેટલા સુધારામાં પરિણમશે તેનો સીધો સંબંધ પરિવર્તનના લાભાલાભો વિશેની સ્પષ્ટ સમજણ અને તેમાં આપણી શ્રધ્ધા સાથે છે.
– – – – –
પાદ નોંધ
“હિંમત એટલે ભય ન હોવો એટલું નહી પણ ભય કરતાં પણ બીજું પણ કંઈક વધારે મહત્ત્વનું છે તેવી સમજ” – ટ્વિટર પર વાંચેલું
આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
-
પરમેશ્વરનું પ્લાનિંગ
હકારાત્મક અભિગમ
રાજુલ કૌશિક
ક્યારેક આપણા જીવનમાં એવું બની જાય જેની આપણે કલ્પના સુદ્ધા ના કરી હોય. ઘણીવાર આપણે એવું સાંભળ્યુ હશે કે અનિવાર્ય સંજોગોના લીધે કોઇ વ્યક્તિને પોતાની કન્ફર્મ ફ્લાઇટ અથવા ટ્રેન ગુમાવવી પડી હોય. સમય સાચવી લેવો અગત્યનો હોય ત્યારે આવી ઘટનાથી કોઇપણ વ્યક્તિ ચોક્કસપણે નિરાશ થઇ જાય. કદાચ શક્ય છે કે અકળાઈ પણ જાય. પરંતુ જ્યારે ખબર પડે કે એ ગુમાવેલી ફ્લાઇટ કે ટ્રેનને અકસ્માત નડ્યો છે ત્યારે ? જીવતદાન મળવાની સામે ગુમાવેલી તક સાવ જ નગણ્ય, સાવ તુચ્છ લાગવા માંડે.
આવી જ એક વાત…..એક સમયે એક ચિત્રકારે અત્યંત સુંદર અને જીવંત ચિત્રનું સર્જન કર્યું. ચિત્રમાં પુરેલા રંગોથી એ એટલું તો આબેહૂબ લાગતું હતું કે જાણે એમાં રચેલી સૃષ્ટિ હમણાં જ સજીવ થઈ ઉઠશે. પોતાના અત્યંત ખુબસુરત સર્જનને જોઇને ખુદ ચિત્રકાર પણ અભિભૂત થઇ ઉઠ્યો. ઊંચી ઇમારત પર ગોઠવાયેલા આ ચિત્રની ખૂબી માણવામાં એ ચિત્રકાર એટલો તો વ્યસ્ત અને મસ્ત થઈ ગયો કે એની આસાપાસ શું છે કે એ ક્યાં છે એની સુધ પણ ના રહી. પહેલા પાસે ઊભા રહીને એ ચિત્ર જોયું. ત્યારબાદ એ ચિત્રનું અવલોકન કરવા એ જરા આઘો જઈને ઊભો રહ્યો. હજુ થોડે દૂર રહીને એ ચિત્ર જોવાની લાલસા ન રોકાઇ અને એ પાછા પગલે ખસ્યો. ચિત્ર જોવામાં તલ્લીને એવા ચિત્રકાર જ્યાં ઊભેલો હતો એ ઊંચાઇનો ખ્યાલ એના મનમાંથી સાવ નિકળી ગયો. હવે જો એક ડગલું પણ પાછો ખસે તો એ ઊંચી ઇમારત પરથી સીધો નીચે જ પટકાય.
આ જોઇને ચિત્રકારની સાથે હાજર એક માણસ સતેજ બની ગયો. હવે જો એ બૂમ મારીને એ ચિત્રકારને ચેતવે તો શક્ય હતું કે એની બૂમથી ગભરાઇને પણ એ પાછળ ખસે તો જાનથી જાય. હવે? તત્ક્ષણ એ માણસે ચિત્ર પાસે પડેલા રંગમાં પીછી બોળીને એના પર ધબ્બા પાડી દીધા.
આ જોઇને ક્રોધે ભરાયેલો ચિત્રકાર એને મારવા દોડી આવ્યો પણ ત્યાં ઊભેલા અન્ય લોકોએ એને રોકી લીધો. પોતાના શ્રેષ્ઠ સર્જનને આમ રોળી નાખનાર પર અત્યંત ક્રોધે ભરાયેલા ચિત્રકારને વાસ્તવિકતાનું ભાન કરાવતા લોકોએ બતાવ્યું કે એ જે જગ્યાએ ઊભો હતો ત્યાંથી એક ડગલું પણ પાછળ ખસે તો શું અનર્થ થાત.
આપણી સાથે પણ આવું જ બનતું હોય છે. મનથી નિશ્ચિત કરેલા પ્લાન કોઇ અગમ્ય કારણોસર રોળાઇ જાય ત્યારે આપણે સૌ નાસીપાસ થઈ જઈએ છીએ ને? એ ક્ષણે તો આપણને આપણી જાત પર , સંજોગો પર કે લાગે વળગતા સૌ કોઇ પર અપાર ક્રોધ આવે. કશું જ ન કરી શકવાની લાચારીથી હતાશા પણ ઊપજે.
જરૂર છે સ્વસ્થ મનથી વિચારવાની. થોડી ધીરજ રાખીશું તો ચોક્કસ સમજાશે કે ઇશ્વરે આપણા માટે કશુંક વધારે યોગ્ય નિશ્ચિત કર્યું હતું, વધુ શ્રેષ્ઠ ભાવિનું નિર્માણ કર્યું હતું. આપણે જે કંઇ ઇચ્છતા હોઇએ એનાથી વિપરીત પરિસ્થિતિ ઊભી થાય તો એનો અર્થ એ કે ભાવિના ગર્ભમાં કશુંક વધુ સારું બીજુ આપણા માટે ઈશ્વરે રોપ્યું છે. પરમેશ્વરથી વધીને વધુ સારો પ્લાનર કોઇ નથી.
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
અન્નનો વેડફાટ એટલે બ્રહ્મનું અપમાન
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
અન્ન એટલે કે અનાજ એટલે કે આહાર આપણા જીવન માટેની અનિવાર્ય જરૂરિયાત છે. તેનું જીવન માટેનું મહત્ત્વ જોતાં તેને વાજબી રીતે જ ‘અન્નદેવતા’ તરીકે ઓળખવામાં આવે છે. અન્નસંબંધી અનેક કહેવતો કે રૂઢિપ્રયોગો આપણે ત્યાં પ્રચલિત છે. જેમ કે, ‘અન્ન એવો ઓડકાર’, ‘અન્ન ત્યાં સુધી તન’, ‘અન્ન એવું મન’, ‘અન્ન જીવાડે અને અન્ન મારે’ સહિત બીજા અનેક.
આપણા આહાર અંગે વિવિધ શોધખોળ સતત થતી આવી છે. આપણી પરિવર્તનશીલ જીવનશૈલી અને તેને લઈને થતા રોગોનો ઈલાજ આવી શોધખોળો થકી થતો રહે છે. આમ થાય ત્યારે એમ માનીને ચાલવામાં આવે છે કે સૌ નાગરિકોને પેટ ભરવા પૂરતો આહાર મળી રહે છે. પણ થોડા સમય પહેલાં સમાચાર આવ્યા કે ૨૦૨૨માં પ્રકાશિત વૈશ્વિક ક્ષુધાંક (ગ્લોબલ હન્ગર ઈન્ડેક્સ)માં આપણો ભારત દેશ કુલ ૧૨૧ દેશોમાં ૧૦૭મા ક્રમે આવ્યો છે. આ અંકના માપન માટે ચાર મહત્ત્વનાં પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે છે. કુપોષણ, કુપોષણને લઈને રુંધાતો વિકાસ, કુપોષણને કારણે દુર્બળતા અને બાળમૃત્યુદર. સો પૉઈન્ટના માપદંડના આધારે આ અંકની ગણતરી કરાય છે, જે ભૂખની તીવ્રતા દર્શાવે છે. એ મુજબ શૂન્ય ઉત્તમ સ્કોર ગણાય, જે સૂચવે છે કે કોઈ ભૂખ્યું નથી, અને સો સૌથી ખરાબ સ્કોર ગણાય.

સાદર્ભિક તસવીર – નેટ પરથી અલબત્ત, કેન્દ્ર સરકારે સંસદમાં જણાવેલું કે આ આંકડા ભારતનું સાચું ચિત્ર દર્શાવતા નથી. દેશમાં પ્રવર્તતી સ્થિતિને તે યોગ્ય રીતે સૂચવતા નથી કે નથી તેનું યોગ્ય પ્રતિનિધિત્વ કરતા. દેશના મહિલા અને બાળવિકાસ મંત્રાલય દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આ અંક માપવાના ચાર પરિબળો પૈકી કેવળ કુપોષણનું એક જ પરિબળ ભૂખ સાથે સીધેસીધું સંબંધિત છે. કુપોષણને કારણે રુંધાતો વિકાસ અને દુર્બળતા માટે આનુવંશિકતા, પર્યાવરણ, સ્વચ્છતા જેવાં અન્ય પરિબળો જવાબદાર હોય છે. મહિલા અને બાળવિકાસ મંત્રાલયે એમ પણ કહ્યું કે ભારતની છબિને દાગ લગાવવાનો આ સાતત્યપૂર્વકનો અને દેખીતો પ્રયત્ન છે. ગેરમાહિતી આ વાર્ષિક ઈન્ડેક્સનો મુદ્રાલેખ હોય એમ જણાય છે.
આ અંક અનુસાર ભારતનું સ્થાન શ્રીલંકા (૬૪મું), નેપાળ (૮૧ મું), બાંગ્લાદેશ (૮૪મું) અને પાકિસ્તાન (૯૯મું) કરતાંય પાછળ છે. આ દેશોના વિસ્તાર અને વસતિની રીતે વિચારીએ તો તેમની સરખામણી ભારત સાથે કરવી અયોગ્ય ગણાય. આથી માનીએ કે આપણા દેશનો ક્રમ કદાચ યોગ્ય ન હોય, છતાં તેનાથી વાસ્તવિકતા ખાસ બદલાતી નથી. મૂળ મુદ્દો અપૂરતા ખોરાકનો અને કુપોષણનો છે. દેશ ગમે એટલો વિકાસ કરે, પોતાના નાગરિકને પેટ ભરવા પૂરતું ભોજન પૂરું ન પાડી શકે તો એનો શો અર્થ? એક તરફ આધુનિક સંશોધનોને લઈને અસાધ્ય મનાતા વિવિધ રોગોના ઉપચારની વાત ચાલી રહી હોય અને બીજી તરફ મહારોગ જેવો ભૂખમરો વ્યાપ્ત હોય એ કેવી વક્રતા! માની લઈએ કે કોઈક વિદેશી સંસ્થાએ કરેલો આ અભ્યાસ ચોકસાઈપૂર્વકનો ન હોય કે આપણા દેશને નીચો દેખાડવાનું કાવતરું હોય, પણ ભૂખમરાનું પ્રમાણ વ્યાપક હોવાની હકીકત શી રીતે નકારી શકાય?
ભૂખમરાની વાતને ઘડીક બાજુએ મૂકીએ તો આપણા દ્વારા થતા અન્નના બેફામ વેડફાટનું શું? આપણા લગ્નસમારંભોમાં ભોજનનો અક્ષમ્ય વેડફાટ કરવામાં આવે છે એ ઉઘાડી હકીકત છે. સામાન્યપણે પ્રચલિત સ્વરુચિ ભોજનની પદ્ધતિમાં લોકો ફરી વાર વાનગી લેવા જવું ન પડે એ માટે પોતાની ડિશને ભરચક કરી મૂકે છે- ચાહે જરૂર હોય કે ન હોય! આથી સ્વરુચિભોજનનો મૂળભૂત હેતુ જ મારો જાય છે અને ભોજનનો જથ્થાબંધ વેડફાટ થતો રહે છે. હવે તો યજમાન ભોજનનો સીધેસીધો કંત્રાટ આપી દે છે, આથી ભોજનના વેડફાટ બાબતે તેની કશી નૈતિક જવાબદારી પણ રહેતી નથી, જે પહેલાં પણ નહોતી.
આમ પણ ભોજનનો વેડફાટ અટકાવવો એ વ્યક્તિગત નૈતિક જવાબદારી છે એવું ભાગ્યે જ કોઈ સમજે છે. પ્રસંગે થતા વેડફાટ પછી વાત આવે વ્યક્તિગત સ્તરે કરવામાં આવતા બગાડની. આપણે ભોજન માટે બહાર રેસ્તોરાંમાં જઈએ ત્યારે એવી અનેક વાનગીઓ હોય છે, જેને આપણે ડિશમાં છાંડીએ છીએ. સમાજનો એક આખો વર્ગ એવો છે કે જે માને છે કે પીરસાયેલું ભાણું સાવ પૂરું ન કરાય. આથી તેઓ થાળીમાં ભોજન છાંડે છે. ભોજન એટલે કે અન્ન પણ નૈસર્ગિક સ્રોત છે, અને તેનો ઉપયોગ વિવેકપૂર્વક થવો ઘટે. કેવળ નાણાં કે પોષાણ હોવાથી અન્નના વેડફાટનો પરવાનો મળી નથી જતો.
આપણું મંત્રાલય કહે છે એમ ગ્લોબલ હન્ગર ઈન્ડેક્સ કદાચ એકતરફી હોય કે ભૂલભરેલો હોઈ શકે, પણ સંસ્કૃતિ બની રહેલી વેડફાટની આપણી આદતનું શું કરીશું? ભૌતિક રીતે આપણે પ્રગતિ કરતા જઈએ છીએ એમ કુપોષણ, ભૂખમરો કે અન્નથી વંચિત હોવાનો વિરોધાભાસ વધતો જતો હોય એમ લાગે છે. એના માટે બીજે ક્યાંય જવાની જરૂર નથી, પણ આપણી આસપાસ અને પોતાની થાળીમાં નજર કરવાથી જ તેનાં પ્રત્યક્ષ દર્શન થઈ શકશે. નવધનિક બની રહેલો મધ્યમ વર્ગ કેવળ અન્નને નહીં, કોઈ પણ નૈસર્ગિક સ્રોતનો વેડફાટ કરવામાં પોતાનો મોભો સમજે છે. અન્ન બાબતે હવે નવેસરથી વિવેક કેળવવાની જરૂર જણાય છે.
એક તરફ સરકારી યોજનાના ‘અન્નબ્રહ્મ’ જેવા નામકરણ થકી અન્નને બ્રહ્મનો દરજ્જો અપાતો હોય અને બીજી તરફ માનવની મૂળભૂત જીવનજરૂરિયાત પણ પૂર્ણ થતી ન હોય તો એ સંસ્કૃતિગૌરવનો દાવો શા કામનો?
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૯ – ૦૬ – ૨૦૨૩ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
પગદંડીનો પંથી – ભાગ ૨ – ૧ ચાલો ડૉક્ટરને બતાવીએ…
તબીબી સારવાર અને નિદાન અંગેની આવશ્યક માહિતી

ડૉ.પુરુષોત્તમ મેવાડા,
એમ. એસ.આજના જમાનામાં સ્વાસ્થ્ય વિષેની માહિતીનો તોટો નથી. વર્તમાન પત્રો, ટીવી, પુસ્તકો, પત્રિકાઓ, અને હવે ઇન્ટરનેટ ઉપર માહિતીનો ખજાનો મળી રહે છે. આમાંની ઘણી માહિતી સાચી અને ઉપયોગી હોવા છતાં તકલીફવાળા દર્દીઓ, સગા-સંબંધી કે મિત્ર ન હોય તેવી વ્યક્તિની સલાહ માનીને કોઈ પણ ડૉક્ટર પાસે દોડી જાય છે. જે બીમાર છે તેને માટે કયા ડૉક્ટર કે કયા ડિગ્રીધારી ડૉક્ટરને બતાવવાની જરૂર છે, તે સમજવું જરૂરી છે. આ વિષે મારા અનુભવો અને સમજણને આધારે આ લખું છું.
(૧) પહેલી વાર જ્યારે ડૉક્ટરને બતાવવાની જરૂર લાગે ત્યારે ફેમિલી ડૉક્ટર (જનરલ પ્રેક્ટિશનર), જે તમને અને તમારા કુટુંબને ઓળખતો હોય અને વિશ્વાસ હોય, તેની જ સલાહ લેવી. એ કહે ત્યારે જ બીજા ડૉક્ટર કે સ્પેશ્યાલિસ્ટને બતાવવા જવું.
(૨) કોઈ કારણથી દર્દી કે સગાંને અમુક-તમુક રોગનો વહેમ હોય તો ડૉક્ટર અભિપ્રાય આપે પછી જ પૂછવું, કે મને આ રોગનો વહેમ હતો. આમ કરવાથી ડૉક્ટર ફરીથી વિચારી જવાબ આપી શકે. પહેલેથી જ આપણે કહીએ કે “મેલેરિયા થયો છે,” તો ડૉક્ટરે શું કરવાનું? મેલેરિયાની દવા લખી દેવી? વળી પહેલેથી જ કોઈ ગંભીર રોગ છે તેમ માની લેવું નહીં, સામાન્ય રોગો જ વધારે પ્રમાણમાં થાય છે.
(૩) ડૉક્ટરનો અભિપ્રાય જુદો-જુદો હોઈ શકે. આનું કારણ એમનું જ્ઞાન (ડિગ્રી), અનુભવ અને રિપૉર્ટ વિષેનું તેમનું તારણ જુદું હોઈ શકે. એ જ કારણોથી તેમની દવા કરવાની પદ્ધતિ પણ જુદી હોઈ શકે. માટે, આ કે તે ડૉક્ટર ખોટો કે સાચો છે, એમ માની લેવાની ઉતાવળ ન કરવી. ઘણી વાર આગલા ડૉક્ટરે જે દવા કરી હોય તેનાથી જ બીજા ડૉક્ટર પાસે જતાં સારું થવાનું થયું હોય, કારણ કે દવાની અસર થતાં બે-ત્રણ દિવસ લાગતા હોય છે. મોટા ભાગની દવાઓ જાદુઈ લાકડી નથી હોતી! (આમાં ઇમર્જન્સી દવાની વાત નથી.)
(૪ ) જરૂર લાગે તો બીજા કે ત્રીજા ડૉક્ટરનો અભિપ્રાય લેવામાં કશું ખોટું નથી. બને તો જે ડૉક્ટર સારવાર કરતા હોય તેમને સાથે રાખીને બીજો અભિપ્રાય લેવો જોઈએ. ગંભીર અને ઑપરેશનને લગતા કેસમાં આ જરૂરી હોઈ શકે.
યાદ રાખો, ડૉક્ટર બદલવાથી આપણો રોગ બદલાતો નથી, એટલે વારંવાર ડૉક્ટર બદલવાનું હું યોગ્ય માનતો નથી. જ્ઞાની, અનુભવી ડૉક્ટર કહે તે માનીને પૂરો સહકાર આપવો. ઘણી વાર શરૂઆતના દર્દમાં ન દેખાઈ હોય એવી નવી નિશાનીઓ કે નવા રિપૉર્ટ કે નવું સંશોધન રોગનો પ્રકાર બદલી શકે છે.
(૫) ફક્ત એકલા રિપૉર્ટ લઈને ડૉક્ટરને કદીએ બતાવવા ન જવું, દર્દીને જોયા વગર સાચો અભિપ્રાય લગભગ અશક્ય છે. એમ સમજો, કે રિપૉર્ટ તો માણસનો પડછાયો છે, એનાથી માણસને ન ઓળખી શકાય.
એ જ રીતે દર્દી એકલાને બતાવો અને પહેલાં કરેલા ટેસ્ટના રિપૉર્ટ ન બતાવો તો પણ ન ચાલે.
ડૉક્ટર દર્દીની કે સગાંની પૂછતાછ કરી તપાસે અને છેલ્લે રિપૉર્ટ જોઈને નિદાન પર આવે એ સાચી રીત છે. રિપૉર્ટ બતાવવાની ઉતાવળ ન કરવી, ડૉક્ટર પૂછે તેના સાચા જવાબ આપવા એ ખૂબ જ અગત્યનું છે. જેમ તમને ડૉક્ટર ઉપર વિશ્વાસ હોવો જોઈએ એમ ડૉક્ટરને પણ તમારા પર વિશ્વાસ હોય એ જરૂરી છે.
(૬) પહેલીવાર જ્યારે ડૉક્ટર નિદાન (Diagnosis) કરે, ત્યારે સૌથી વધારે જે રોગની શક્યતા (Most probable) હોય તેના ઉપર આધાર રાખે છે. સામાન્ય લાગતી ઊલટી ડૉક્ટરની નજરે ઘણાં બધાં કારણોથી હોઈ શકે, તેમાંથી તેણે નિદાન કરવાનું હોય છે. (એટલે જ જાતે દવા લેવી ન જોઈએ.) આ નિદાન સમય, સંજોગો અને દર્દીની જે તે વખતની (હા, જે તે વખતની) હાલત પર આધારિત છે. સમય જતાં નવી નિશાનીઓ, નવા રિપૉર્ટ પછી નિદાન અને સારવાર બદલાઈ શકે.
(૭) કોઈ પણ દર્દમાં એક્સ-રે કે બીજા લૅબોરેટરી ટેસ્ટની જરૂર હોય તો ડૉક્ટર કહે તે પ્રમાણે કરવું અત્યંત જરૂરી બની જાય છે, પણ જાતે આ ટેસ્ટ અને પેલો ટેસ્ટ કરાવો એવી વાત કરવી યોગ્ય નથી.
રિપૉર્ટ ઉપર ઘણી વાર આધાર રાખી શકાતો નથી, કારણ કે લગભગ બધી જ તપાસમાં ખોટાં કે ખરાં( False positive and False Negative) પરિણામ આવી શકે છે. અમુક ચેપી રોગોમાં દિવસો કે મહિના સુધી રિપૉર્ટ પૉઝિટિવ ન આવે.(Window Period).
(૮) લેટેસ્ટ ટ્રીટમેન્ટની જાહેરાતોથી ભરમાઈ ન જવું, પણ તેની સમજીને યોગ્ય જાણકારી મેળવવી. ઘણી વાર માર્કેટમાં આવ્યા પછી ગંભીર આડઅસરોને લીધે દવાઓ પાછી ખેંચી લેવી પડી છે.
(૯) હાઈ ડોઝનો અર્થ થાય છે માત્રામાં વધારો. જો ૫૦૦ મિ.ગ્રા.ની જગ્યાએ ૧૦૦૦ મિ.ગ્રા. આપવી પડે તો એ હાઈ ડોઝ કહેવાય. તેને ઊંચી કિંમત સાથે કોઈ સંબંધ નથી. એ જ રીતે કિંમતી દવા લેટેસ્ટ હોય કે હાઈ ડોઝ હોય તે પણ જરૂરી નથી.
(૧૦) કોઈ પણ દવા ગરમ કે ઠંડી હોવી એવું આધુનિક (Allopathy) વિજ્ઞાનમાં નથી. વળી દરેક જણ એનો જુદો-જુદો અર્થ કાઢે છે. (આમાં ખાસ કરીને જે જરૂરી હોય તે જ ન ખવાય એવી ઘણી માન્યતાઓ છે.) આવું જ દવાના રિએક્શન/આડ-અસરની બાબતમાં થાય છે. જોકે ખાસ તકલીફ થાય એવી વાત ડૉક્ટરે કરવી જોઈએ અને આપણે પણ પૂછવું જોઈએ. બની શકે કે દર્દીને જે થતું હોય એ રોગના લીધે કે અન્ય કોઈ કારણે પણ હોય.
(૧૧) દવા એ બેધારી તલવાર છે, સમજીને વાપરીએ તો ફાયદો જ છે, પણ એટલું યાદ રાખવું કે ડૉક્ટરને પૂછ્યા વગર દવાનો ડોઝ બદલવો, ઓછો-વત્તો કે બંધ ના કરવો, એ ઘણું જ નુકસાન કરી શકે છે. ખાસ કરીને,ડાયાબિટીસ, ઊંચું બીપી, રસી (પાક), કેન્સર, વગેરે રોગોમાં ખાસ ધ્યાન રાખવું.
(૧૨) જો ઇમર્જન્સી, તાત્કાલિક સારવારની જરૂર ન હોય, તો દવાખાનાનો અને ડૉક્ટરનો સમય સાચવવો, જેથી યોગ્ય તપાસ અને સારવારની વ્યવસ્થા થઈ શકે, અને ફરીથી ના જવું પડે.
(૧૩) અને છેલ્લે, ખાસ… ડૉક્ટરને ભગવાન માનવાની ભૂલ ન કરવી. ભગવાન સમયાંતરે મટાડે છે અને દુઃખ સહન કરવાની શક્તિ આપે છે. જો કે ડૉક્ટર પર વિશ્વાસ રાખવો ખૂબ જ જરૂરી છે, અને તેણે આપેલાં સલાહ-સૂચનનું પાલન કરવું.
છેલ્લું ઇન્જેક્શન –
સારામાં સારો ડૉક્ટર તો એ છે કે જે ઘણી ખરી દવાઓની નિરુપયોગિતા સમજે છે.– ડૉ. સર વિલિયમ ઓસ્લર (એમ.ડી.)
आ नो भद्राः क्रतवो यन्तु विश्वतः
सर्वे सन्तु निरामया
No Opinion Is Final In Medical Science!
ક્રમશ:
ડૉ.પુરુષોત્તમ મેવાડાનો સંપર્ક mevadapa@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
પ્રિય સૂરજ : તારું નામ સૂરજ નથી અને જમાઈને તુંકારે સંબોધવાનો રિવાજ નથી
પારુલ ખખ્ખર
(સાસુએ જમાઈને લખેલ પત્ર)
પ્રિય સૂરજ,
તારું નામ સૂરજ નથી અને જમાઈને તુંકારે સંબોધવાનો રિવાજ નથી એ બન્ને વાત જાણું છું.પરંતુ આજે તમામ રૂઢીઓને અળગી કરી થોડી વાતો કરવી છે.આજનો દિવસ તારા માટે ખાસ છે અને મારા માટે પણ. કારણકે આજે તારો જન્મદિવસ છે.વિચારું છું કે આજે તને શું આપું? મારી દીકરી જેવી અમુલ્ય ભેટ મળ્યા પછી હવે તને તમામ ભેટ ફિક્કી જ લાગવાની છે એ હું જાણું છું.છતાં આ પત્ર દ્વારા હું કંઈક આપી શકું તો મારુ લખ્યું સાર્થક થશે.
દીકરા…તું આજસુધી તારા મમ્મી-પાપાનો લડકવાયો દીકરો જ હતો પરંતુ હવેથી તું અમારો જમાઈ પણ છે. તને ખબર છે? જેને દીકરી બહુ વ્હાલી હોય એને માટે જમાઈ એ સવાયો દીકરો હોય છે.મારી દીકરી એટલે ચંદ્રનું સૌમ્ય અજવાળું. એ તારા ઘરને પોતાની લાગણી અને સંસ્કારોથી જાહોજલાલ કરશે.અમારા માટે તું સૂરજ છે. અમે ચાંદો આપીને સૂરજ લીધો છે. તું સૂરજ બનીને અમારા જીવન ઝળહળાવીશ ને? બેટા…લગ્ન એ બે શરીર કે બે પરિવારોનું મિલન જ માત્ર નથી. લગ્ન એ બે વિચારધારાનું પણ મિલન છે.આપણા બન્ને પરિવાર આ ચાંદ-સૂરજના અજવાળે ચમકે એથી રૂડું અમારા માટે શું હોઈ શકે?
આજે મારી દીકરી વિશે થોડી વાતો કરવી છે.મારી લાડલીને તારા હાથમાં સોંપતા પહેલા એની ખામીઓ અને ખૂબીઓ વિશે તને માહિતગાર કરી દઉં તો તમારો પ્રવાસ સરળ થઈ જશે.મારી ઢીંગલી એ મારા ઘરનો પ્રાણ છે અમે એને અલગ રીતે જ ઉછેરી છે.એ પાંચીકા પણ રમી છે અને ક્રિકેટ પણ રમી છે. એને બાર્બી ડોલ એટલી જ ગમે જેટલી મશીનગન. એને પોનીટેઈલ પણ ગમે અને બોયકટ હેર પણ ગમે.એણે મિંયાફૂસકી પણ વાંચ્યા છે અને સ્પાઈડરમેનનાં પરાક્રમો પણ વાંચ્યા છે.એને ક્યારેય સામાન્ય છોકરીઓની જેમ ગુલાબી રંગનું વળગણ નથી રહ્યું.એ જાણે છે કે જીવન માત્ર ગુલાબી-ગુલાબી જ નથી હોતું એમાં કાળા-પીળા-વાદળી રંગોનો સમુહ છે.આનો અર્થ તું સમજે છે ને? અમે એને ક્યારેય પુરુષ સમોવડી બનાવવાના પાઠ નથી ભણાવ્યા કારણકે સ્ત્રી તો સ્ત્રી જ છે એ પોતાનામાં જ સંપુર્ણ છે. એને કોઈના જેવા બનવાની ક્યાં જરુર છે!મારી દીકરીમાં જેટલા લજ્જા-ક્ષમા-પરોપકારનાં ગુણો છે એટલા જ સાહસ-નિડરતા-સામર્થ્યનાં ગુણો છે.એ પોતાના નિર્ણયો લેવામાં આઝાદ છે પરંતુ સ્વછંદી નથી.એ નાનામોટાની આમાન્યા રાખી, એમને માન આપે પરંતુ જોહુકમી સહન ન કરી શકે.
કહેવાય છે કે ‘દીકરી ને ગાય દોરે ત્યાં જાય’ અને એવું પણ કહેવાય છે કે’દીકરી ને ગાય શીંગડા મારી ખાય’ આ બન્ને અંતિમો વચ્ચેનો મધ્યમ માર્ગ અમે તેને શીખવ્યો છે.તું જાણે છે? કોઈપણ વાદ્યનાં તાર જો ખેંચીને બાંધીએ તો સંગીત ન નિપજે અને જો ઢીલા બાંધીએ તો પણ સંગીત ન નિપજે.જીવન એક સુરીલુ વાદ્ય જ છે એમાં નિયમોની જડતા કે સ્વચ્છંદીપણાની ઢીલાશ ચાલતી નથી.આ વાદ્યના તારને સમ્યક રીતે બાંધીને તમે બન્ને અનોખી હાર્મનીથી રણઝણી ઉઠશો અને સમગ્ર માહોલને સંગીતમય બનાવી શકશો.મારી દીકરીએ આ વાદ્યના તારને સમ્યક રીતે બાંધવાની કળા હસ્તગત કરી છે તું એને સાથ આપીશ ને?
લોકો લગ્નજીવનને વાહનના બે પૈડાની ઉપમા આપતા હોય છે.કહેવાય છે કે એક પૈડુ રથનું અને એક સાયકલનું હોય તો જીવન ખરાબે ચડી જાય છે. જો કે આ જમાનામાં હવે વાહન પોતાના પૈડા જાતે જ પસંદ કરતા હોય છે ત્યારે એ બન્ને સરખા તો હોવાના જ પરંતુ જો કોઈ એક પૈડામાં ઓઈલ બરાબર ઉઝાંયુ નહી હોય તો ચરચરાટ સંભળાશે. તું જાણે છે દીકરા…કે લગ્નજીવનમાં ઉદભવતો ચચરાટ યોગ્ય સમયે દુરસ્ત ન થાય તો એનાં પડઘા બન્ને કુટુંબમઆં અને સમાજમાં સંભળાતા હોય છે!બન્ને પૈડામાં સ્નેહ-સમજણ અને શ્રદ્ધાનું ઓઈલ પૂરતા રહેજો તમારી ગાડી પૂરપાટ દોડશે.
હું જાણું છું કે તારી મમ્માએ તને કેવી સરસ રીતે મોટો કર્યો છે. જેમ એક ઝવેરી કોઈ હીરાને અતિશય નાજુકાઈથી પહેલ પાડીને ચમકદાર બનાવે છે એમ સમજણ અને સંસ્કારના પાસા પાડીને તને ઉછેરવામાં આવ્યો છે.તમારા ઘરમાં પણ દીકરો-દીકરી એક સમાન છે.તારા મમ્માએ તને નાના-મોટા તમામ કામ શીખવ્યા છે.તું બટન પણ ટાંકી શકે છે અને રોટલી પણ શેકી શકે છે. તું છાશ પણ વલોવી શકે છે અને વોશીંગ મશીન પણ ચલાવી શકે છે.તને ઝાપટ ઝુપટ પણ આવડે છે અને કપડાને ગડી વાળતા પણ આવડે છે.આ બધું જ તને શીખવવામાં આવ્યું છે પણ બેટા હું એવી આશા રાખી શકું કે જે સફાઈથી તું ઘર ઝાપટે છે એ જ સફાઈપૂર્વક લગ્નજીવનના અણબનાવોને ઝાપટી કાઢીશ! જે સલૂકાઈથી કપડાની ગડી વાળે છે એજ સફાઈથી જીવનની કરચલીઓને સુલઝાવી શકીશ!તારા ઘરના લોકો દીકરો-દીકરી-વહુ એકસમાન એવું વલણ અપનાવી શકશે ને!
મારી એક બહેનપણી મજાકમાં કહેતી હોય છે કે ‘લગ્ન તો ગાજરની પીપૂડી કહેવાય વાગે ત્યાં સુધી વગાડી લેવાની પછી ચાવી જવાની. દીકરી માટે ઘરનાં દરવાજા ૨૪ કલાક ખુલ્લા જ રાખવાના.’ મારી દીકરી આ બધું સાંભળીને ખૂબ હસે. પણ હું એને સમજાવું કે બેટા…લગ્નને ગાજરની પીપૂડીની જેમ નહીં પણ ફ્રુટસલાડની જેમ માણી શકે એજ સુખી થાય. આપણું જીવન મીઠું મધુર દુધ સમાન છે એમાં ચીકૂ-કેળા જેવા મધુર ફળો પણ હોય, દ્રાક્ષ-દાડમ જેવા ખાટા ફળો પણ હોય,એમાં કેસર-ઈલાયચી પણ હોય અને ખાંડ પણ હોય.પ્રેમની હાંડીમાં જેમ જેમ જીવનનું દુધ ઉકળીને ઘટ્ટ થશે એમ વાનગીમાં સ્વાદ વધશે.અમારા આશીર્વાદ અને શુભેચ્છા એમાં ડ્રાયફ્રુટની જેમ ભળી જશે.તમે બસ..સમજણની કડછી વડે એને હલાવતા રહેજો.
ડીયર, આમ તો જમાઈને શીખામણ આપવાનો સાસુને કોઈ અધિકાર નથી પણ તું મને મમ્મી જ કહે છે તો હું થોડીવાર માટે તારી મમ્મી બની જાઉં? બેટા…ધ્યાનથી સંભળજે.જેમ એક વહુ પાસે એવી અપેક્ષા રખાય છે કે તે દુધમાં સાકરની જેમ કુટુંબમાં ભળી જાય એવી અપેક્ષા હું તારા માટે રાખી શકું? મારી દીકરીની નૈયાનો તું કુવાથંભ છે એ તારા આધારે આ ભગસાગરમાં ઝંપલાવી રહી છે તું એને હાથ ઝાલી રાખીશને?તારા ઘરમાં એ અનેક આશાઓ અને સપનાઓની પોટલી બાંધીને આવશે તું એના યોગ્ય સપનાઓને પૂરા કરવામાં સહાય કરીશને? એ એક સાવ અજાણ્યા ઘરમા, એક નવા જ માહોલમાં, અજાણી વ્યક્તિઓ સાથે જીવન વિતાવવા આવી રહી છે તું તારા કુટુંબ અને મારી દીકરી વચ્ચે મજબૂત કડી બની રહીશ ને? પછી તું જોજે મારી દીકરી પોતાના સ્નેહની સાંકળથી તમને બધાને જોડી રાખશે.મેં એને ક્યારેય પરિવારથી અળગા રહેવાનું નથી શીખવ્યું એટલે હવે તારી ફરજ બને છે કે તું અને તારો પરિવાર એને હળીભળી જવામાં મદદરુપ થાઓ. બેટા..જેમ એક સાસુ પોતાની આવનારી વહુ પર અનેક મદાર રાખીને બેઠી હોય છે એમ અમે પણ એક જમાઈ પાસેથી ઘડપણની ટેકણલાકડી બનવાની અપેક્ષા રાખી શકીએ?
બેટા…તમે બન્ને સંપીને રહો, સંપીને કામ કરો, જોબ કરો, હરો-ફરો, જલ્સા કરો એનાથી વધુ મોટુ અમારું શું સપનું હોઈ શકે? તમે બન્ને અમારા આકાશનું અજવાળુ છો. અમને આશા છે કે તમે એકબીજાના અજવાળાની ઈર્ષ્યા કે હરિફાઈ કર્યા વગર અમને રળિયાત કરશો. સૂરજ અને ચાંદો બન્ને પોતપોતાના સ્થાન પર એકમેવ છે. અમને ઝળહળતો સૂર્ય એટલો જ વ્હાલો છે જેટલો સૌમ્ય ચંદ્રમા.
બસ..હવે બહુ વાતો કરી ચાલ…રજા લઉં. જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આશીર્વાદ આપી ,મારા સૂરજના માથેથી ઓવારણા લઈ એટલું કહીશ કે આમ જ ચમકતો રહેજે.
—તારી સાસુમમ્મી પારુલ ખખ્ખર
-
ગોવિંદ દીયો બતાય !
હરેશ ધોળકિયા
ઉત્સવોના મહિના શરુ થાય છે. તાજેતરમાં ” ગુરુ પૂર્ણિમા’નો ઉત્સવ પસાર થઈ ગયો. ઉત્સાહથી ઉજવાયો.
કોઈ પણ તહેવાર ઉત્સાહથી ઉજવાય તે તો યોગ્ય જ છે, પણ ઘણી વાર, આમ તો મોટે ભાગે, તેનું સાચું મહત્વ સમજયા વિના જ ઉત્સાહ પ્રગટ થતો હોય છે. અન્ય તહેવારો જેમ આ ઉત્સવમાં પણ કંઈક એવું જ બને છે.
ગુરુ પૂર્ણિમામાં ‘ ગુરુ’ શબ્દ મહત્વનો છે. ઉજવવા સમયે આ શબ્દ તરફ જ ધ્યાન નથી અપાતું. મોટે ભાગે ‘ ગુરુ’ અને ‘ શિક્ષક’ શબ્દને ભેળસેળ કરી નખાય છે. એટલે આ દિવસે શિક્ષકોને સન્માનાય છે. સન્માન કરવું અયોગ્ય નથી. કરવું જ જોઈએ, પણ ગુરુપૂર્ણિમાના દિવસને શિક્ષક સાથે કશો જ સંબંધ નથી. ગુરુ જુદા છે અને શિક્ષક જુદા છે. આ તફાવત બરાબર સમજી લેવાની જરુર છે. ગુરુ માટે ‘ આ’ દિવસ છે અને શિક્ષક માટે ‘ શિક્ષક દિન’ છે.
કેમ બે દિવસો અલગ છે ? અહીં ગુરુને જ સમજીએ.
ગુરુ એટલે કોણ ? ગુરુ શિક્ષક છે, પણ શિક્ષક ગુરુ નથી-આ યાદ રાખવાનું છે.
કેમ?
બન્નેનાં કાર્યો જ અલગ છે.
આ સમજવા માટે બીજા બે શબ્દ પણ સમજવા પડશે. તે છે ” વિદ્યા” અને ” અવિદ્યા.” અવિદ્યા એટલે નકામી વિધા નહીં, પણ ભૌતિક વિધા. આ જગત સંબંધી વિદ્યા. આપણા પાસે જે બધાં જ શાસ્ત્રો છે, વિજ્ઞાનનાં અને સામાજિક વગેરે, તે બધાં અવિદ્યા છે. શાળા કોલેજોમાં જે વિષયો ભણાવવામાં આવે છે, તે સંસારમાં કામ આવે તેવા વિષયો છે, તે અવિદ્યા છે. શિક્ષક આ અવિદ્યા શીખવનાર લોકો છે.
‘વિદ્યા’ એટલે આત્મિક જ્ઞાન. પોતા વિશેનું જ્ઞાન. જેને ‘અધ્યાત્મ’ કહે છે તે જ્ઞાન. તે વ્યકિતને જગત વિશે નહીં, પોતા વિશેનું જ્ઞાન આપે છે. અવિદ્યાથી નોકરી મળે, પૈસા મળે, જગતનો વ્યવહાર સચવાય, પણ વિદ્યાના પરિણામે તો વ્યકિત જગતનાં અને પોતાના મૂળને સમજે અને અનેક બંધનોમાંથી મુકત થાય. સ્વતંત્રતા પ્રાપ્ત કરે. એટલે જ કહ્યું છે કે ‘ સા વિદ્યા યા વિમુકતયે.” એટલે કે જે મુકત કરે તે વિદ્યા. અવિદ્યા વિશે આવું કોઈ વાક્ય નથી. વિદ્યા વ્યકિતને અસ્તિત્વ સાથે એકતા સધાવે છે. કહેવાતાં બધાં જ બંધનોથી સ્વતંત્ર કરે છે. અવિદ્યા આવું કશું કરી શકતી નથી. તે ચેતનાનો અભ્યાસ કરે છે, પણ ચેતનાની અનુભૂતિ કરાવતું નથી. ચેતનાની અનુભૂતિ કરાવે, ચેતના સાથે અહ્દેત સધાવે, ચેતનામય બનાવે-તે વિદ્યા. અને ” આ” વિદ્યા આપે તે જ ” ગુરુ” છે. ગુરુ પણ શીખવે જ છે, પણ ચેતનાનું જ શિક્ષણ આપે છે. તેને ભૌતિક વિદ્યાઓ સાથે કશો સંબંધ હોતો નથી. જો તે ભૌતિક વિદ્યા આપે તો તે ગુરુ મટી શિક્ષક બની જાય છે.
ભારતીય દર્શનમાં તપાસ કરશું તો દેખાશે કે વશિષ્ઠ રામને જે શિક્ષણ આપે છે, વેદાંતની, તે વિદ્યા છે. (‘ વશિષ્ઠ રામાયણ’ વાંચવું) માટે તે રામના ગુરુ છે. તે આ વાત સિવાય કશી જ બીજી વાત કરતા નથી. અને મહાભારતમાં દ્રોણાચાર્ય શસ્ત્ર વિદ્યા શીખવે છે. આ વિદ્યા નથી, અવિદ્યા છે. દ્રોણાચાર્ય ભલે ગુરુ મનાતા હોય, પણ તે હકીકતે માત્ર શિક્ષક જ છે. અને એમાં જ કૃષ્ણ અર્જુનને ગીતા કહે છે, જે વિદ્યા છે. એટલે કૃષ્ણ ગુરુ છે.
આમ એક વખત વિદ્યા અને અવિદ્યા શબ્દ સમજાઈ જાય, પછી ગુરુ અને શિક્ષક વચ્ચેનો ભેદ સમજાઈ જશે.
હા, બન્નેમાંથી કોઈ ઉંચું કે નીચું નથી. બન્ને પોતપોતાનાં કામ કરે છે. બન્ને કામ જરુરી છે. એટલે બન્ને પોતપોતાની જગ્યાએ ઉપયોગી છે. પણ પરિણામ બન્નેનાં અલગ છે. આ સંદર્ભમાં ગુરુ મહત્વના બને છે.
અવિદ્યામાં વ્યકિત વધારેમાં વધારે મોટી સતા મેળવે છે યા ઉદ્યોગપતિ બને છે અથવા કરોડો પતિ બને છે અથવા સમાજમાં મહત્વની વ્યકિત બને છે. પણ આ બધું મેળવ્યા પછી તેનામાં કોઈ પાયાનો ફેરફાર થતો નથી. તેની માન્યતાઓ જૂનવાણી ચાલુ રહી શકે છે. તેમનું મગજ સંકુચિત હોઈ શકે છે. હિંસા વગેરે અવગુણો ચાલુ રહી શકે છે. તેનામાં બાહ્ય પરિવર્તનો આવી શકે છે, પણ આંતરિક રીતે તો તે સામાન્ય વ્યકિત જ રહે છે. ભૌતિક વિદ્યા તેને ભૌતિક રીતે જ પ્રગતિશીલ બનાવી શકે છે. તેને સત્યનું જ્ઞાન નથી મળતું.
જયારે વિદ્યામાં તો આત્મિક જ્ઞાન મળે છે. આ જ્ઞાનના પરિણામે એક ઊંડી અનુભૂતિ મળે છે. અસ્તિત્વ સાથે એકતાનો અનુભવ થાય છે. આવી વ્યકિત કેવળને કેવળ વિશાળતાની જ અનુભૂતિ કરે છે. પરિણામે તેનામાં ક્ષણિક પણ સંકુચિતતા નથી. નાના, સાંકડા વિચાર કરી શકતી નથી. સમગ્ર જગતને કારણ વિના ચાહે છે. તેનામાં પ્રેમ સિવાય કશું જ નથી હોતું. તે કોઈ જાતિ, જ્ઞાતિ, રંગ, ધર્મ, રાષ્ટ્રમાં માનતી જ નથી. સમગ્ર વિશ્વ તેનું ઘર છે. બધા જ મનુષ્યો, ના, સમગ્ર બ્રહ્માંડ તેના મિત્રો છે. તે વિશ્વમિત્ર છે. તેને જગતમાં કેવળ ઈશ્વરનાં જ દર્શન થાય છે. જગતનાં બધાં જ સ્વરુપો તેના માટે ઈશ્વરનાં જ પ્રતિબિંબ છે.
ગુરુ આ વિદ્યા આપે છે. કેવળ ગુરુ જ આ વિદ્યા આપી શકે છે. ગુરુ પાસે વિદ્યા લીધા પછી અંતિમ પરિણામ શું આવે ?
કબીર તેનો જવાબ આપે છે કે ‘ ગોવિંદ દિયો બતાય.” ગુરુ ગોવિંદનાં-ઈશ્વરનાં, ચેતનાનાં દર્શન કરાવે છે. ગુરુપૂર્ણિમા આવા, ચેતનાનાં દર્શન કરાવનાર, ઈશ્વરનું સાંનિધ્ય અપાવનાર ગુરુ માટે છે. ” આવા” ગુરુનું તે દિવસે સન્માન કરવાનું છે. આ દિવસે તેના પાસે બેસવાનું છે અથવા તેમનું સ્મરણ કરવાનું છે.
ફરીથી, એમ નથી માનવાનું કે શિક્ષક ગુરુ કરતાં નીચા છે. ના, શિક્ષકનું કામ જ અલગ છે. તેણે બાળકને જગતમાં “ફીટ” કરતા -અનુકૂલન કરતા-શીખવવાનું છે. ગુરુએ તો અસ્તિત્વ સાથે એક થતાં શીખવવાનું છે. શિક્ષક પાસે રહેલ બાળક બાહ્ય રીતે ખૂબ પ્રગતિ કરી શકશે. ગુરુ પાસે રહેલ વ્યકિત આંતરિક રીતે ચેતનામય થઈ જશે. તેની આંખો, તેનું અસ્તિત્વ ચેતનાના પ્રકાશમાં નહાઈ ઉઠશે. આવી વ્યકિત પણ, સંભવ છે, બહારથી સફળ હશે, પણ તેના માટે સફળતા મહત્વની નહીં હોય. તેના માટે તો આ અનુભૂતિ જ મહત્વની હશે. આ અનુભૂતિ માટે તે બાહ્ય સમગ્ર જગતનો ત્યાગ કરવા તૈયાર થઈ જશે.
બીજું, અવિધા મેળવનાર વ્યકિત પુષ્કળ જ્ઞાની થવા છતાં અધૂરાશ જ અનુભવશે. તે સમત્વનો અનુભવ નહીં કરી શકે. સમૃધ્ધિ વચ્ચે પણ અસંતોષનો અનુભવ કરશે. તેને કયારેય પૂર્ણતાનો અનુભવ નહીં થાય. પૂર્ણતાનો અનુભવ કરવા માટે તો તેણે ગુરુ પાસે જવું પડશે. કેવળ ગુરુ જ પૂર્ણતાની અનુભૂતિ કરાવી શકે. ખુદ શિક્ષકને પણ આ અનુભૂતિ કરવી હશે તો કોઈ ગુરુ પાસે જવું પડશે. શિક્ષકે જગતનાં બધાં જ શાસ્ત્રો વાંચ્યાં હશે તો પણ તેને અધૂરાશનો અનુભવ થયા કરશે. ગુરુએ કદાચ કોઈ જ શાસ્ત્ર વાંચ્યું નહીં હોય, છતાં તે પળેપળ પૂર્ણતામાં સ્નાન કરતા હશે.
પણ, ફરીથી, ગુરુની કસોટી એક જ. ગોવિંદનાં દર્શન કરાવે તે ગુરુ. તેનાથી ઓછી વાત કરે તો એક પળ પણ તેને ગુરુ ન માનવા. ઠીક છે, મન હોય તો આદર આપવો, પણ ગુરુ ન માનવા. ગુરુની તો આ એક જ લાયકાત : ઈશ્વર દર્શન, આત્મદર્શન. અસ્તિત્વ સાથે એકતાનો અનુભવ કરાવવો.
ગુરુઓ લાખોમાં એક હોય છે. સદભાગીને તે મળતા હોય છે. અને વ્યકિત સદભાગી ન હોય અને તેને જીવંત ગુરુ ન મળે તો ચિંતા ન કરવી. આજ સુધી હજારો આત્મસાક્ષાત્કારી ગુરુઓ થઈ ગયા છે. તેમનું સ્મરણ કરવું. તો પણ સંભવ છે વિશ્વામિત્ર થવા તરફ આગળ વધાશે. અને યાદ રાખવું, સામાન્ય વ્યકિતને ગુરુ માનવા કરતાં ગુરુ વિનાના રહેવું યોગ્ય છે. તો ભગવાન બુધ્ધનું આ વાકય યાદ રાખવું : ” આત્મદીપોભવ..” પોતે જ પોતાના ગુરુ બનવું.
વર્તમાનમાં કોઈ ઉતમ ગુરુ છે ?
તેનો જવાબ આપવો અશકય છે. ન હોય એમ તો ન બને. જરુર શોધવા. પણ કસોટી એક જ રાખવી. જે વ્યકિત કેવળને કેવળ ઈશ્વરની જ વાતો કરે, તેના સિવાય બીજી કશી જ વાતો ન કરે, આપણે કરવા જઈએ તો પણ અટકાવે અને ન જ કરવા દે, તેનું મુખ્ય લક્ષણ “ત્યાગ” જ હોય, તે વૈરાગી જ હોય, તો જ તેમને ગુરુ માનવા. ભલે તેના પાસે ડિગ્રી ન હોય, કદાચ સામાન્ય જ્ઞાન પણ ન હોય, ઓફિશીયલી કદાચ અભણ પણ હોય, પણ આ એક લાયકાત હોય- કેવળ ઈશ્વરની જ વાત કરવાની-તો જરા પણ ચિંતા કર્યા વિના તેમને ગુરુ માનવા. અન્ય વિવિધ વિષયોના નિષ્ણાતોને કે શિક્ષકોને માર્ગદર્શક માનવા અને તેમનું પણ ચોકકસ સન્માન કરવું. માત્ર ગુરુ ન માનવા. ગુરુ તો માત્ર એ જ જે બધી સંકુચિતતાઓથી મુકત કરી કેવળ વિશાળતાનો જ અનુભવ કરાવે. તે ધર્મ કે રાષ્ટ્રીયતા વગેરેની વાતો કરે, તો ચૂપચાપ ખસી જવું.
આવા ગુરુ મળે તે દિવસે ગુરુપૂર્ણિમા ! ગુરુ પણ પૂર્ણિમા જેવા પૂર્ણ હશે અને આપણે પણ તેમના સત્સંગથી પૂર્ણિમા જેવા તેજસ્વી અને પૂર્ણ બનશું.
શ્રી હરેશ ધોળકિયાનાં સંપર્ક સૂત્રો
નિવાસસ્થાન – ન્યુ મિન્ટ રોડ , ભુજ (ક્ચ્છ) , ગુજરાત, ૩૭૦૦૦૧
ફોન +૯૧૨૮૨૨૨૭૯૪૬ | ઈ-મેલ : dholakiahc@gmail.com
-
સોળ ઝંઝાવાતી દિવસો
પુસ્તક પરિચય
નરેશ પ્ર. માંકડ

Sixteen Stormy Days: The Story of The First Amendment to The Constitution of India
Author: Tripurdaman Singh
Publisher: Penguinસ્વાતંત્ર્યના ઉગમ સાથે સુદીર્ઘ કાળ પૂર્વે હિંદવાસીઓએ ભારતભાગ્યવિધાતા સાથે નિયત કરેલ કરારને નિભાવવાની ઘડી આવી પહોંચી અને પ્રથમ વડાપ્રધાને પુરાતનમાંથી નવી દિશાઓમાં પગલાં માંડવાનું એલાન કર્યું. વ્યક્તિ સ્વાતંત્ર્ય અને મૂળભૂત અધિકારોના તરેહ તરેહના ખ્યાલોમાં દેશવાસીઓ રાચતા હતા અને નૂતન ભારતની રાજ્યવ્યવસ્થાને વ્યાખ્યાયિત કરતાં બંધારણની રચનાનું ભગીરથ કાર્ય સંપન્ન થયું ત્યારે એ પ્રસંગ શાનદાર રીતે ઉજવાયો. બંધારણને સુશોભિત કરવા દેશના નામી ચિત્રકાર નંદલાલ બોઝને જવાબદારી સોંપાઈ. નાગરિક સ્વાતંત્ર્યના ઉચ્ચ આદર્શો આઝાદ હિંદની નવી સરકારને સંસ્થાનવાદી પુરોગામીથી અલગ પાડતી મહત્ત્વની બાબત હતી. દમનકારી વિદેશી શાસનની જેમ સ્વતંત્રતાઓ પર નિયંત્રણો મૂકવાની બદલે નવી સ્વતંત્ર દેશની સરકાર એના રક્ષણ માટે પ્રવૃત્ત રહે એવી અપેક્ષા બંધારણ પાસે રાખવામાં આવતી હતી. મૂળભૂત અધિકારો અને વ્યક્તિસ્વાતંત્ર્ય અંગેના વિચારો સદીઓથી એક આદર્શ સમાજ અને રાજ્યવ્યવસ્થાની કલ્પનામાં સર્વોચ્ચ સ્થાન પર હતા. હવે દેશ સ્વતંત્ર બની જતાં આ ઉચ્ચ આદર્શોએ નેતાઓ અને ખાસ કરીને જનતાના માનસમાં અતિ મહત્ત્વનું સ્થાન મેળવ્યું.
વિદેશી ધૂંસરી ફગાવી દઈને આંતરરાષ્ટ્રીય તખ્તા પર સીધો જ મહારથીની અદાથી ખડો થઈ ગયેલો જંગી જનસંખ્યા ધરાવતો દેશ અનેક વિડંબનાઓ અને વિરોધાભાસોનું મૂર્તિમંત સ્વરૂપ હતો. નબળા સ્વાસ્થ્યના ધોરણો ધરાવતી ગરીબ, નિરક્ષર વસ્તીને અચાનક જ એમની માગણી મુજબ એની જાત પર છોડી જવામાં આવી હતી. વિશ્વના અન્ય દેશો માટે આ કરુણ અચંબા જેવું દૃશ્ય હતું. લોકોના માનસમાં હક્કોને આંચ ન આવે એ અંગે વધુ રક્ષણાત્મક લાગણી પ્રવર્તતી હતી. એક કાનૂની દસ્તાવેજને કોઈ ધર્મના સર્વોચ્ચ ગ્રંથ જેવું સ્થાન અપાયું હતું. ડો. આંબેડકરે તો વ્યક્તિના અધિકારો અને તેના અમલ અને સલામતી માટેના બંધારણીય ઉપાયોને બંધારણના હૃદય અને આત્મા સમાન ગણાવીને કહ્યું હતું કે નવા બંધારણમાં જો કોઈ બાબત મુશ્કેલી ઊભી થાય તો બંધારણ ખરાબ હતું એવું કારણ નહીં હોય; આપણે એમ કહેવું પડશે કે માણસ નિકૃષ્ટ હતો. સરદાર પટેલે કહ્યું, ‘ આપણી આઝાદી માટે આપણે સખત મહેનત કરી છે. એને યોગ્ય ઠરાવવા માટે આપણે વધારે મથવું પડશે.”
આવી પરિસ્થિતિમાં ઇંગ્લેન્ડના હવામાનની જેમ અચાનક પલટો આવ્યો, જે દૂરગામી તોફાનના વરતારા જેવો હતો.
“અમને ખબર પડી કે અમે સર્જેલાં આ ભવ્ય બંધારણનું અપહરણ કરીને વકીલો દ્વારા તેની ઉઠાંતરી કરી જવામાં આવી છે.” આ શબ્દો જવાહરલાલ નહેરુએ ૧૬મી મે ૧૯૫૧ ના રોજ બંધારણ (પ્રથમ સુધારો) ખરડો Constitution (First Amendment) Bill સંસદની સ્ટેન્ડિંગ કમિટીને રિફર કરવા માટે મૂક્યો ત્યારે કહ્યા હતા. તેમણે બંધારણીય સમિતિમાં ઉચ્ચારેલી ભાવનાઓથી વિપરીત, આશ્ચર્ય અને આઘાતજનક ઉલટો વળાંક લઈને કહ્યું કે મૂળભૂત અધિકારો, વ્યક્તિ સ્વાતંત્ર્ય અને સ્વતંત્રતા ઓગણીસમી સદીના પ્રભુત્વ ધરાવતા, બિનગતિશીલ રૂઢિચુસ્ત યુગના અવશેષ હતા, જે પ્રવર્તમાન સામાજિક સંબંધો અને અસમાનતાઓને ટકાવી રાખતા હતા. હવે આ ખયાલો જૂનવાણી થઈ ગયા છે; એનું સ્થાન સામાજિક સુધારા અને સોશિયલ એન્જિનિયરિંગના ગતિશીલ વિચારોને લઈ લીધું છે. નવા સ્વતંત્ર દેશ માટે આ વિચારોને રાજ્યની નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં અને કોંગ્રેસ પક્ષના ભવ્ય કાર્યક્રમોમાં અપનાવવામાં આવ્યા છે.
નેહરુના આ બદલાયેલા તેવર પાછળ છેલ્લા ચૌદ માસ દરમિયાન એમને વિક્ષુબ્ધ કરી નાખતા બનાવોની ચાલેલી હારમાળા કારણભૂત હતી. એમની સમાજવાદી સમાજ રચનાની કલ્પના કોંગ્રેસની નીતિઓમાં અમલમાં મૂકવા માગતા નહેરુને માટે નવનિર્મિત બંધારણ જ અવરોધ બનીને ઉભું થયું. જમીનદારી નાબૂદી અને જમીન સુધારા, ઉદ્યોગોનું રાષ્ટ્રીયકરણ, નોકરી અને કેળવણીમાં પછાત વર્ગો માટે અનામત, કહ્યાગરા અખબારો – ‘સોશિયલ એન્જિનિયરિંગ’ની એમની યોજનાઓ ઝડપભેર અમલમાં મૂકવાની એમને ઉતાવળ હતી પણ બંધારણમાં મૂળભૂત અધિકારોનું વચન આપેલું એનો સહારો લઈને પત્રકારો, નાગરિકો, ઉદ્યોગ અને વ્યાપારના અગ્રણીઓ સરકારને અદાલતમાં ઘસડી જવા લાગ્યા.
દિલ્હીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખબાર ઓર્ગેનાઈઝરને સેન્સર કરવાના હુકમને ઉથલાવી દેવામાં આવ્યો. ‘ઓર્ગેનાઈઝર’ના સમર્પિત તંત્રી કે. આર. મલકાનીને સરકારની પૂર્વમંજૂરી પછી જ કોમી બાબતો અને પાકિસ્તાન અંગે લખાણો અને કાર્ટૂનો છાપવાનું ફરમાન કરવામાં આવ્યું. મલકાની, જેઓ પછીથી ઈન્દિરાની કટોકટી દરમિયાન સહુથી પહેલાં ધરપકડ થવાનો રેકોર્ડ ધરાવતા હતા એમણે આ હુકમથી છંછેડાઇને વધારે ઉગ્રતાથી વિરોધનું રણશિંગું ફૂંક્યું.
એવો જ કિસ્સો ડાબેરી વિચારધારા ધરાવતાં સાપ્તાહિક મેગેઝિન Cross Roads ના યુવાન તંત્રી રમેશ થાપરનો હતો.
મદ્રાસ પ્રાંતમાં ૨૦૦ સામ્યવાદીઓને જેલમાં નાખ્યા હતા, તેઓએ રાજકીય કેદી ગણવાની માગણી સાથે જેલમાં વિરોધ આંદોલન શરૂ કર્યું. પોલીસદળે એમના પર દબાણનો ઉપયોગ કરતાં મારામારી શરૂ થઈ, શક્તિશાળી રાજ્યની સામે નાફરમાનીથી ઉશ્કેરાઇને પોલીસે ૨૦૦ જેટલા ગુનેગારોને એક હૉલમાં પૂરી દઈને એમના પર ગોળીબાર કર્યો, જેમાં બાવીસ લોકોનું ઠંડા કલેજે મોત નિપજાવ્યું, ૧૦૭ ઘાયલ થયા. સામ્યવાદી પક્ષ વારંવાર કહેતો હતો કે અંગ્રેજોના હાથમાંથી કોંગ્રેસના હાથમાં સત્તાંતરણ થાય એનો અર્થ લોકોની સ્વતંત્રતા નથી થતો. મદ્રાસ સરકારનું નિષ્ઠુર વલણ આ વાતની પુષ્ટિ કરતું હતું. અન્ય કેદીઓ ભૂખહડતાળ પર ઊતરી ગયા. સરદાર પટેલે મદ્રાસ સરકારને ચિંતા વ્યક્ત કરતો પત્ર લખ્યો. નહેરુએ સરદારને લખેલ પત્રમાં સરકાર વિરુદ્ધ વધતી જતી લાગણી માટે ચિંતા વ્યક્ત કરી.
આ બનાવોથી ક્રોસ રોડ્સના તંત્રી રમેશ થાપર વ્યથિત અને ક્રોધિત થઈ ગયા અને એમના અખબારમાં મદ્રાસ સરકારની આવી સખ્તાઈનો ઉધડો લેતા લેખો છપાયા. વધતા જતા સરકારવિરોધી જુવાળથી ચિંતિત સરકારે એ અખબારના સર્ક્યુલેશન અને વિતરણ પર પ્રતિબંધ મૂક્યા. અખબારે ઉગ્ર વિરોધ કર્યો. આ રમેશ થાપર નહેરુના દૂરના સંબંધી જનરલ પી. એન. થાપરના ભત્રીજા થાય. પત્રકાર વર્તુળમાં એમના સારા સંપર્કો હતાં. ૧૯૬૦ અને ૧૯૭૦નાં દશકોમાં થાપર કૂણા પડી ગયા હતા અને કોંગ્રેસી સત્તાની નજીક આવ્યા હતા તેમ જ સત્તાના ઘણા લાભકારી સ્થાન પણ મળ્યાં હતાં. ૧૯૫૦માં એ ઉગ્ર વિચારધારા ધરાવતા સામ્યવાદી હતા.
સામ્યવાદી પક્ષના મજબૂત ટેકા સાથે સરકારના સામર્થ્યનો મુકાબલો કરવા માટે એમણે બંધારણનો સહારો લીધો. પ્રતિબંધને પડકારવા માટે ભંડોળ ઉભું કરવા અપીલ કરી અને સુપ્રીમ કોર્ટમાં પિટિશન ફાઇલ કરી. રસપ્રદ વાત એ છે કે મજદૂર યુનિયન સામે પોલીસની કાર્યવાહીની નિંદા કરવા માટે મુંબઈમાં પણ ક્રોસ રોડ્સ પર પ્રતિબંધ મુકાયો. એ વાંધાજનક લેખની હેડલાઇન રજાઓમાં મુંબઈની મુલાકાતે આવેલી કોલેજીયન યુવતી- રમેશની બહેન રોમિલા થાપર – એ લખેલી. આગળ જતાં હિન્દુસ્તાનના સહુથી પ્રતિષ્ઠિત ઇતિહાસકારોમાં રોમિલા થાપરની ગણના થઈ. રોમિલા થાપરે અદાલતમાં પિટિશન દાખલ કરી. થોડા દિવસોમાં ઓર્ગેનાઈઝરના તંત્રી મલકાની અને મુદ્રક પણ સુપ્રીમ કોર્ટમાં ગયા. બે વિરોધી ધ્રુવ સમાન લડાઈમાં જોડાયા. આ બધી રસપ્રદ ઘટનાઓ એક સાથે બની રહી હતી. ભવિષ્યના અગ્રણી સામ્યવાદી નેતા સોમનાથ ચેટરજીના પિતા, હિન્દુ મહાસભાનાં ભૂતપૂર્વ પ્રમુખ એન. સી. ચેટર્જી ઓર્ગેનાઈઝરના પક્ષે લડતા હતા. હિન્દુ રાષ્ટ્રવાદી ચળવળની અંદર પણ રહેલી ઉદારમતવાદી વિચારધારાનું આ ઉદાહરણ હતું. એનું બીજું જ્વલંત ઉદાહરણ સંસદની ઉગ્ર ચર્ચાઓમાં સંસદ ના શ્રેષ્ઠ વક્તા શ્યામાપ્રસાદ મુખરજી પૂરું પાડવાના હતા.
ઓર્ગેનાઈઝર અને ક્રોસ રોડ્સના કેસમાં સરકારની હાર થઈ.
જમીનદારી નાબૂદ કરવાનું વચન કોંગ્રેસની કાર્યસૂચિમાં અગ્રતા ધરાવતી બાબત હતી. ઉત્તર પ્રદેશ અને બિહારના કોંગ્રેસી નેતાઓ એમના કાર્યક્રમને સત્વર અમલમાં મૂકવા માગતા હતા અને એ માટેના એમના પ્રયત્નોમાં વિરોધને કારણે થતી રુકાવટથી અધીરા બની રહ્યા હતા. ચરણસિંહ જનમતનો ટેકો મેળવવા મથી રહ્યા હતા. પરંતુ, ઉત્તર પ્રદેશમાં જમીનદારી નાબૂદી કાનૂન પર કાર્યવાહી કરવા સરકાર પર અલ્લાહાબાદ હાઈકોર્ટે રોક લગાવી દીધી. બિહાર કોંગ્રેસ તો ભોંઠપ અને પ્રતિશોધની ભાવનાથી કોઈ પણ પ્રકારના સમાધાનના મૂડમાં ન હતી. સ્ટેટ મેનેજમેંટ ઓફ એસ્ટેટ્સ એન્ડ ટેન્યોર્સ એક્ટને અદાલત દ્વારા ગેરકાનૂની ઠરાવવામાં આવ્યો એ કારણે તેઓમાં રોષની લાગણી ફેલાઈ હતી.
મધ્યપ્રદેશમાં બીડી ઉત્પાદન પર નિયમો લાદવાના કાયદાને અદાલતે રદ કરી દીધો.
ભવિષ્યના ડી. એમ. કે.ના પુરોગામી પક્ષ જસ્ટિસ પાર્ટીની દૃષ્ટિએ નોકરી અને શિક્ષણમાં બ્રાહ્મણ જ્ઞાતિનું વધારે પડતું પ્રતિનિધિત્વ હતું, એ ટાળવા માટે અનામતનો કાયદો બનાવવામાં આવ્યો. એ મુજબ દર ત્રીસ બેઠકોમાંથી છ કેટેગરીમાં આ મુજબ બેઠક ફાળવવામાં આવી:
બિન – બ્રાહ્મણ હિન્દુ – ૫, મુસ્લિમ – ૨, ઍન્ગ્લો ઇન્ડિયન – ૨, ભારતીય ખ્રિસ્તી – ૨, બ્રાહ્મણ – ૧, અન્ય દલિત વર્ગો – ૧.
આમ વિદ્યાલયોમાં અને સરકારી ખાતાંઓમાં બેઠકની વ્યવસ્થા ચુસ્ત રીતે અમલી બનાવાઇ. આ હુકમ કોમી આદેશ તરીકે જાણીતો બન્યો. કોમી આદેશ ન હોય તો પરિસ્થિતિ કેવી હોય એ જાણવું રસપ્રદ છે. સામાન્ય સંજોગોમાં, આ આદેશ વગર બેઠકો આ મુજબ ફાળવવામાં આવી હોત:
૨૪૯ બ્રાહ્મણ, ૧૧૨ બિન બ્રાહ્મણ, ૨૨ ખ્રિસ્તી, ૩ મુસ્લિમ અને ૦ હરિજન.
આ સ્થિતિ ટાળવા માટે કોમ અને વર્ગનો આધાર લેવો જરૂરી હતો એવી દલીલ રાજ્ય તરફથી કરવામાં આવી.
“દક્ષિણ ભારતના અગ્રણી કોંગ્રેસી નેતાઓએ જસ્ટિસ પાર્ટીની સંપૂર્ણ રીતે કોમવાદી નીતિનો ઉગ્ર વિરોધ કર્યો હતો પણ જ્યારે કોંગ્રેસ પક્ષ સત્તા પર આવ્યો ત્યારે આ પગલાંઓને કાનૂની રૂપ આપવામાં આવ્યું, એટલું જ નહીં, એની સામેના વિરોધને કચડી નાંખવામાં આવ્યો,” એવો આક્રોશ સામાન્યજન તરફથી વ્યક્ત કરવામાં આવ્યો.
મદ્રાસ હાઈકોર્ટની ત્રણ જજની બેન્ચે ચુકાદો આપતાં જણાવ્યું કે ધર્મ, વંશ અને જ્ઞાતિના આધારને પ્રવેશના ધોરણ તરીકે અપનાવવું એ ભેદભાવ બંધારણની કલમ ૧૫(૧) અને ૨૯(૨)નું ઉલ્લંઘન છે. કોઈ ચોક્કસ જ્ઞાતિના હોવાને કારણે નાગરિકના સ્વાતંત્ર્યને કચડી નાંખવું એ સામાજિક ન્યાય છે? આવા lynch spirit ને રાજ્યની નીતિ દ્વારા પ્રોત્સાહન અને માન્યતા આપવાની છે?
અદાલતે આ આદેશને તોડી પાડ્યો અને જણાવ્યું કે બંધારણના માર્ગદર્શક સિદ્ધાંતો સ્પષ્ટ રીતે જ મૂળભૂત અધિકારોથી ગૌણ સ્થાન ધરાવે છે અને એ હક્કો માટેના બંધારણના ભાગ ૩ નાં પ્રાવધાનોએ પ્રતિબંધિત કરેલ બાબતને ભાગ ૪ ના માર્ગદર્શક સિદ્ધાંતોના પાછલા બારણેથી પ્રવેશ ન આપી શકાય.
મદ્રાસ કોંગ્રેસના નેતાઓએ ભારત સરકારને દરમ્યાનગીરી કરવાની અને ચુકાદાને ઉલ્ટાવવાની માગણી કરી. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ ચેતવણી ઉચ્ચારતા જણાવ્યું કે મદ્રાસ કોંગ્રેસ ઈચ્છે છે, એવો ઉકેલ તો કેવળ બંધારણીય સુધારાથી જ લાવી શકાય જે બંધારણના વર્તમાન લોકશાહી અને સેક્યુલર ચરિત્રનો નાશ કરશે; એ સંદર્ભમાં સુપ્રીમ કોર્ટ દ્વારા હાઈ કોર્ટનો ચુકાદો કાયમ રાખવામાં આવે તો પણ કોઈ હેતુ સરશે નહીં.
દરમ્યાનમાં, ઉત્તર પ્રદેશમાં જમીનદારી નાબૂદીનું બિલ ધામધૂમથી તાળીઓના ગડગડાટ સાથે પાસ થઈ ગયું. આ આનંદ અલ્પજીવી હતો. બન્ને પક્ષ બિહાર અને મદ્રાસના કાનૂની લડાઈના બનાવોનો ઓછાયો ઝળૂંબી રહ્યો હતો, એનાથી વાકેફ હતા. સરકાર અને જમીનદારો પોતાની તલવારોની ધાર કાઢી રહ્યા હતા.
આ કેસ ચાલી રહ્યા હતા ત્યારે અદાલતની બહાર મૂળભૂત અધિકારો પ્રત્યેનો સરકારનો અણગમો અને સાંસ્થાનિક યુગના પ્રતિબંધક કાયદાના ઉપયોગ સામે ચિંતા વધતી જતી હતી. ખુદ વડાપ્રધાનની માન્યતાઓ પર પણ વિરોધ ઉઠવા લાગ્યા. જયપ્રકાશ નારાયણે વડા પ્રધાન સરમુખત્યારની ભાષા બોલતા હોવાનો આક્ષેપ મૂક્યો. મુંબઈ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ એમ. સી. ચાગલાએ કહ્યું કે બંધારણ સર્વોચ્ચ છે, મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરતો કોઈ પણ ધારો ગેરકાયદેસર છે અને ન્યાયાધીશો જ બંધારણનું આખરી અર્થઘટન કરી શકે છે.
નહેરુની ટીકા કરનાર અનેક લેખકો અને કવિઓ હતા, જેમને જેલમાં નાખવામાં આવ્યા. આવા આપખુદી વલણના ભોગ બનનારાઓમાં એક હતા મજરૂહ સુલતાનપુરી. નહેરુને હિટલર અને મુસોલિની સાથે સરખાવીને એમણે લખ્યું :
ये भी कोई हिटलर का है चेला
मार ले साथी जाने न पाए!
कॉमनवेल्थ का दास है नेहरु
मार ले साथी जाने न पाए।અન્ય કેટલાક સામ્યવાદીઓની જેમ મજરુહને પણ ૧૯૫૧માં હવાલાતની હવા ખાવી પડી.
૧૨ મે ૧૯૫૧ ની સવારે બરાબર ૯:૩૧ કલાકે લાંબા સમયથી ચાલતી ચર્ચાને અધવચ્ચે અટકાવીને નહેરુએ કોંસ્ટીટ્યુશન (ફર્સ્ટ એમેન્ડમેન્ટ) બિલ સંસદમાં પ્રસ્તુત કર્યું. સરકારે શું કરવા માગે છે એની અધિકૃત માહિતી આપી જ નહોતી. બિહાર મુસ્લિમ લીગના સભ્યો મૂંઝવણની સ્થિતિમાં જ ઉભા થઈને બોલ્યા, ” શું સુધારવાનું છે? શું સુધારવાનું છે?” બીજા ઉકળી ઉઠેલા કેટલાક સભ્યો એમને ટેકો આપતા ઊભા થઈ ગયા. આશ્ચર્યચકિત થઈ ગયેલા સ્પીકર ગણેશ વાસુદેવ માવળંકરે તરત કહ્યું, ” આપણે અત્યારના તબક્કે એ વાત ન ઉઠાવીએ, બિલ અભ્યાસ માટે ઉપલબ્ધ કરવામાં આવશે.”
સંસદમાં નાના અને વિખરાયેલા પરંતુ મુખરિત અને જુસ્સાદાર વિરોધ પક્ષે નાગરિક સ્વાતંત્ર્યની રક્ષાનો પડકાર ઉઠાવી લીધો. આઝાદીની ચળવળના તેમ જ મૂળ બંધારણીય સભાના દિગ્ગજો શ્યામાપ્રસાદ મુખરજી, આચાર્ય જીવતરામ ભગવતરામ કૃપલાણી, એચ. વી. કામથ, નઝીરુદ્દીન અહમદ અને હૃદયનાથ કુંઝરુએ ખરડો રજૂ થયો ત્યારે ચર્ચામાં તેનાં ચિથરા ઉડાડી દીધાં અને સરકાર પર ઉગ્ર પ્રહારો કર્યા. છંછેડાયેલા નહેરુએ તેઓને ” અહીં, ભરબજારમાં, દેશમાં, દરેક જગ્યાએ અને કોઈ પણ સ્તરે લડાઈ” માટે પડકાર ફેંકયો. તીખા વાદવિવાદમાં નહેરુએ મુખરજી પર જૂઠાબોલા હોવાનો આક્ષેપ કર્યો, મુખરજીએ નહેરુને સરમુખત્યાર કહ્યા. ચર્ચાની ઉગ્રતામાં આકરાં ભાષણો કરવામાં આવ્યાં જેને એક અખબારે સંસદની ગરિમાના સહુથી નિમ્ન સ્તરના ગણાવ્યાં.
પ્રેસ અને પ્રજાને તો સંસદમાં રજૂઆત થઈ ત્યારે બિલની પ્રથમ ઝાંખી મળી હતી. તેની વીજળીક અસરથી વિરોધ એકદમ ઉત્તેજિત બની ગયો. ભગતસિંહનો લાહોર કાવતરાં કેસમાં બચાવ કરનારા, ભારતના સહુથી સન્માનનીય ધારાશાસ્ત્રીઓમાંના એક, પી. એન. મહેતાએ સ્વતંત્રતા પરના આ આક્રમણને મારી હઠાવવા હાકલ કરી. પરિણામે કાનૂની વર્તુળોમાં હલચલ મચી ગઇ. દિલ્હીમાં એન. સી. ચેટરજી (ભાવિ સામ્યવાદી નેતા સોમનાથ ચેટરજીના પિતા) અને ગોપીનાથ કુંઝરુ (હૃદયનાથ કુંઝરુના ભાઈ) ની નેતાગીરી હેઠળ પચાસથી વધુ વકીલોએ તેમના સાથી વકીલો અને દેશભરના બાર એસોસિયેશનોને મૂળભૂત અધિકારોને મર્યાદિત કરવાની દરખાસ્તનો વિરોધ કરવાની અપીલ કરી.
૧૬મી મે ૧૯૫૧ના રોજ વડા પ્રધાન નહેરુએ પોતાની નેતાગીરી નીચે મુખરજી, કુંઝરુ, પ્રો. કે. ટી. શાહ ( તેજ બુદ્ધિ ધરાવતા, રાજેન્દ્રપ્રસાદ સામે રાષ્ટ્રપતિની ચૂંટણી લડનારા એકલવીર કચ્છીમાડુ), રાજગોપાલાચારી અને બી. આર. આંબેડકર સહિત એકવીસ સભ્યોની સિલેક્ટ કમિટીને ચર્ચાવિચારણા કરવા માટે બિલ મોકલવાનો ઠરાવ પ્રસ્તુત કર્યો અને બિલની તરફેણમાં દલીલો કરી.
નેહરુના દીર્ઘ, કંઇક અંશે અસંબદ્ધ ભાષણના ઉત્તરમાં અપાયેલું મુકરજીનું વક્તવ્ય ધારદાર અને જોરદાર હતું.
૧૯૬૦ના દશકના ઉત્તરાર્ધમાં કોંગ્રેસના સંસદ સભ્ય જોઆકીમ આલ્વાએ ઇન્ડિયન એક્સપ્રેસના સેન્ટર પેજ પર છપાયેલા લેખ Life in The Day of Parliament માં સંસદના અતિ પ્રવૃત્ત અને પ્રસિદ્ધ સભ્યો વિષે લખતાં જણાવ્યું હતું કે ” સંસદમાં વકતૃત્વકલા શ્યામાપ્રસાદ મુખરજીના અવસાન સાથે જ મૃત્યુ પામી.” આવા સમર્થ વક્તાની વકતૃત્વશક્તિ નહેરુને પ્રત્યુત્તર આપતી વખતે સોળે કળાએ ખીલી ઉઠી. નહેરુએ ભારતના લોકો સામે પડકાર ફેંકયો છે. નહેરુના દાવાઓનું તેઓ સ્વસ્થતાથી ખંડન કરતા ગયા.
બિલની અસાધારણ અને અત્યંત વાંધાજનક જોગવાઈ હેઠળ ગેરબંધારણીય કાયદાઓને અદાલતી પડકારોથી સુરક્ષિત રાખવા માટે નવમું શેડ્યુલ બનાવવામાં આવ્યું. આ શેડયુલમાં ઉલ્લેખિત કાયદાઓ બંધારણની કોઈ જોગવાઇઓનો ભંગ કરતા હોય તો પણ તે અધિકૃત અને અસરકારક રહેશે, એટલે કે ગમે તેવો ખરડો પસાર કરવામાં આવે તે કાયદો જ ગણાશે. શ્યામાપ્રસાદ મુખરજીએ પૂછ્યું ” તો પછી તમારે બંધારણ શા માટે જોઈએ છે? મૂળભૂત અધિકારો શા માટે જોઈએ છે? તમારી સમક્ષ અત્યારે પડેલા કાયદાઓની જ વિચારણા હોય તે હું સમજી શકું છું. પણ તમે કહો છો કે ભવિષ્યમાં આ વિષયો પર કાયદો પસાર થશે, એને પણ માન્ય ગણવામાં આવશે. આનાથી વધારે વિચિત્ર અને હાસ્યાસ્પદ કંઈ હોય શકે?” તમે બંધારણને કાગળના ટુકડાની જેમ ગણો છો. તમે અનંતકાળ સુધી કદાચ ચાલુ રહેશો, આવતી પેઢી અને હજી ન જન્મેલી પેઢી સુધી રહેશો, પરંતુ બીજો કોઈ પક્ષ સત્તા પર આવશે તો? તમે કઈ પ્રથા-પરંપરા સ્થાપિત કરી રહ્યા છો? લોકોના સ્વાતંત્ર્ય પર થતા દબાણ સામે અડગ ઊભા રહેવા અને પ્રતિકાર કરવા માટે અનુરોધ કરતાં એમનાં અદભુત વક્તવ્યના અંતે હૃદયને સ્પર્શી જાય એવા શબ્દોમાં કહ્યું,” લુપ્ત થયેલી સ્વતંત્રતા માટે સહુથી દુઃખદ એપીટાફ (સ્મૃતિલેખ) એમ લખી શકાશે કે એ સ્વતંત્રતાના માલિકો સમયસર તેને બચાવવા માટે હાથ લંબાવવામાં નિષ્ફળ જવાના કારણે તેને ગુમાવી.”
શ્યામા પ્રસાદના અસ્ખલિત, જુસ્સાદાર વકતૃત્વને સાર્વત્રિક -કોંગ્રેસી સભ્યો સહિત- આવકાર મળ્યો. એમના પછીના વક્તા (ભવિષ્યના સ્વતંત્ર પક્ષના નેતા) એન. જી. રંગાએ શ્યામાપ્રસાદના વક્તવ્યની પ્રશંસા કરતાં એમને બ્રિટિશ સંસદના ધુરંધર વક્તા એડમન્ડ બર્ક સાથે સરખાવ્યા. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ મુખરજીના ભાવપૂર્ણ તર્કને નહેરુની લાગણીઓ કરતાં ચડિયાતો ગણાવ્યો.
કેટલાક કોંગ્રેસી સભ્યોના બિલને ટેકો આપતાં ભાષણો વચ્ચે વિરોધીઓના અને વિદ્રોહી કોંગ્રેસીઓ એચ.વી. કામથ, દેશબંધુ ગુપ્તા અને શ્યામનંદન સહાયના આક્રમણે નહેરુની દલીલોને નબળી પડી દીધી. કુંઝરુએ જાહેર કર્યું કે કલમ ૧૯ અને ૩૧ માં સુધારો નહોતો થઈ રહ્યો, એને અસરકારક રીતે રદ કરવામાં આવી રહી હતી. એચ. વી. કામઠે કહ્યું, ” સુધારાની જરૂર બંધારણને નહીં પણ સરકારની નીતિઓને હતી.”.
૧૯૪૭થી અપ્રમાણસર અને નિરંકુશ સત્તા ભોગવનારા – બંધારણીય ઇતિહાસકાર હર્ષન કુમારસિંઘમ જેને “મહાજનોનું જૂથ” (cluster of notables) કહે છે, એવા- પોતાનું સ્થાન સહેલાઈથી જતું કરવાના ન હતા.
(નોંધ: notables નો એક અર્થ વિશિષ્ટ છે, એ પણ અહીં લાગુ પડી શકે. રાજા અમુક પદની નિમણૂંકની પદ્ધતિ નક્કી કરવા માટે ઉચ્ચસ્થાને બેઠેલા ઉમરાવ અને રાજ્યના અધિકારીઓની સભા બોલાવે તેઓને notables અથવા Assembly of Notables કહેવામાં આવતા.)
કૃપલાણીના શબ્દો યાદગાર હતા: આ તબક્કે બોલવું નિરર્થક છે. સરકાર પાસે મજબૂત બહુમતી છે, જે પ્રસ્તાવ આવશે તે પસાર થઈ જશે. વ્યક્તિપૂજાના આરોપ અંગે એમણે કહ્યું, મને ખાતરી છે કે આ idol worship નો સહુથી વધુ ફાયદો મેળવનાર આપણા વડાપ્રધાન અને કોંગ્રેસ છે.
એ સમયે વિરોધપક્ષે કોંગ્રેસ માટે વાપરેલા શબ્દો અત્યારે કોંગ્રેસ સત્તાધારી પક્ષ સામે વાપરે છે એ વિધિની વક્રતા છે. વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાને છીનવી લેવાની વ્યવસ્થા બંધારણમાં સુધારા વડે જેઓએ કરી હતી, તેઓ આજે ફરિયાદી બની ગયા છે. આવાં તો ઘણાં ઉદાહરણો આ ઘટનામાં જોવા મળશે. સરકારના સમર્થનમાં સી. રાજગોપાલાચારી, જેઓ પછીથી સ્વતંત્ર પક્ષના નેજા હેઠળ સ્વતંત્રતા માટે અને સરકારી અધિકારક્ષેત્રના વધતા જતા વિસ્તારની વિરુદ્ધ લડવાના હતા – અને આંબેડકર જેવા નેતાઓએ સરકારના સમર્થનમાં સામાન્ય બુદ્ધિ ન સ્વીકારે એવી દલીલો કરી. આવા નેતાઓમાં ઘણા પ્રખ્યાત નામ છે. ત્રિપુરદમને એવા લોકો માટે યોગ્ય રીતે કરણ થાપર સાથેના ટીવી ઇન્ટરવ્યૂમાં “માટીપગા” શબ્દ વાપર્યો છે.
વિરોધના વંટોળને ખાળવા અસમર્થ નહેરુએ કાયદાપ્રધાન બી. આર. આંબેડકરને આગળ ધર્યા. અઢી કલાક સુધી આંબેડકરે બચાવમાં રજૂઆત કરી. નવમું શેડ્યુલ જેના માધ્યમથી ઉમેરવામાં આવ્યું હતું, એ કલમ ૩૧ B જેવી વાંધાજનક વ્યવસ્થા વડે ખરાબ અને સંભવતઃ બિનબંધારણીય કાયદાઓને રક્ષણ આપવા સામે સવાલ ઉઠાવ્યા.
સમાપન-વક્તવ્યમાં નહેરુએ માર્ગદર્શક સિદ્ધાંતોનો હવાલો આપ્યો.
રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ સંસદની અંદર અને બહાર ફૂંકાતા વિરોધના વંટોળ પર નજર રાખી રહ્યા હતા. નહેરુને સમજાવવાના એક આખરી પ્રયાસ રૂપે એમણે એક નોંધ મોકલી. એમાં તેઓએ સારી પ્રણાલિકાઓ (conventions) સ્થાપીને ઉદાહરણ દ્વારા દોરવણી આપવાની ડહાપણભરી સલાહ આપી. બંધારણીય સુધારા દ્વારા ન્યાયતંત્રના ચુકાદાઓને ઉલ્ટાવવાના પ્રયાસ સામે ચેતવણીનો સૂર ઉચ્ચારતાં તેમણે જણાવ્યું કે એનાથી ધારાસભા અને ન્યાયતંત્રના અલગ કાર્યક્ષેત્રને લગતા પાયાના પ્રશ્નો ખડા થશે.
જંગી બહુમતીથી ખરડો સિલેક્ટ કમિટીને મોકલવામાં આવ્યો. ઘર્ષણમાં વધુ તનાવ ઊભી કરતી ઘટના હતી, કોંગ્રેસમાંથી આચાર્ય કૃપલાણીનું રાજીનામું. સરકાર સામે યુદ્ધની ઘોષણા કરતાં તેમણે બધાં વિરોધી બળોને એકજૂટ કરવાનો ઉદ્દેશ પણ જણાવ્યો. નહેરુના પ્રધાનમંડળમાંથી ત્રણ પ્રધાનોએ રાજીનામું આપ્યું: શ્યામાપ્રસાદ મુખરજી, કે. સી. નિયોગી અને નાણા પ્રધાન જ્હૉન મથાઈ. આમ નહેરું બધી બાજુએ વિરોધથી ઘેરાઈ ગયા હતા.
સિલેક્ટ કમિટીને મોકલાયેલો ખરડો ૧૮ પાનાના રિપોર્ટ સાથે આવી ગયો. કમિટીના પાંચ વિરોધી સભ્યોએ રિપોર્ટમાં પોતાની અસંમતિ નોંધાવી હતી. શ્યામાપ્રસાદ મુખરજીએ ધારદાર દલીલ રજૂ કરતાં કહ્યું કે બંધારણમાં ફેરફાર કરવાની આવશ્યકતા સાબિત કરવાની જવાબદારી સંપૂર્ણ રીતે નિભાવવામાં આવી નથી; પ્રવર્તમાન અંકુશો જ પૂરતા કરતાં વધારે પ્રતિબંધક છે એટલે કોઈ નવાં નિયંત્રણો ન મૂકવાં જોઈએ.
હૃદયનાથ કુંઝરુએ પ્રશ્ન કર્યો કે વિશ્વયુદ્ધ સમયે સમાચારની પ્રિ-સેન્સરશિપ જેવાં નિયંત્રણો મુકાયાં હતાં, તેનો શાંતિના સમય દરમ્યાન અંગ્રેજી શાસનમાં પણ ઉપયોગ નહોતો થયો, તો સ્વતંત્ર ભારતમાં કોંગ્રેસી સરકારને શા માટે એની છૂટ આપવી જોઈએ?
અનામતના મુદ્દામાં “સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત” સિવાયના આર્થિક પછાતના ઉલ્લેખો દૂર કરી નાખવામાં આવ્યા, અતિશય વિવાદાસ્પદ નવમા શેડ્યુલ જેવા મુદ્દા પર દુર્લક્ષ કરવામાં આવ્યું અને સરકારી ખરડાને કમિટીની બહુમતીએ મંજૂરી આપી દીધી.
કડવાશભરી અને ઉગ્ર ચર્ચા તરફેણમાં ૨૨૮ મત, ૨૦ વિરુદ્ધમાં અને મતદાનથી દૂર રહેલ ૫૦થી વધારેની સંખ્યા સાથે આખરે બિલ પાસ થયું. એ આંકડા વિવાદની ઉગ્રતાને અસ્પષ્ટ બનાવે છે. તોફાન ઊભું થયું એટલી જ ઝડપે શમી ગયું. આ કારણે એની ગંભીરતા ઢંકાઈ ગઈ, પણ કોઈ એનાથી છેતરાયા નહીં.
આ એક રીતે બંધારણના ભાગ ૩ નું પુનઃઘડતર હતું. મૂળભૂત અધિકારોની મૂળ જોગવાઈઓને અસરકારક રીતે નષ્ટ કરવામાં આવી. બંધારણને તદ્દન સામાન્ય રીતે, સરળતાથી સુધારવાની મિસાલ બેસાડવામાં આવી. ન્યાયતંત્રના પુનરવલોકન (judicial review)ને બાજુએ મૂકી દેવાની તંત્રવ્યવસ્થા ઊભી કરવામાં આવી. ઇન્ડિયન પિનલ કોડના સેક્શન ૧૨૪A ના sedition (રાજદ્રોહ) જેવા કાયદા પુનર્જિવિત કરવામાં આવ્યા. પૂરા માહિતગાર ન હોય એવા લોકો ઘણી વાર આ કાયદાને સંસ્થાનવાદી ભૂતકાળના અવશેષ તરીકે ગણાવે છે, પણ હકીકત એથી વિરુદ્ધ છે. આવા બધા પ્રતિગામી કાયદાઓના મૂળ બંધારણના પ્રથમ સુધારામાં રહેલાં છે. એ ત્રિપુરદમનના મતે સિડિશનનો કાયદો “સંસ્થાનવાદી અવશેષ તો નથી જ, બલ્કે, નહેરુવાદી રાજ્યસત્તાના રાજકીય વિકલ્પોને દબાવી દેવાના નિર્ધારનું પરિણામ છે, નહેરુવાદનો એક મહત્વનો ભાગ છે”. એમનાં નિરીક્ષણ પ્રમાણે “નવા ભારતના વિઝનમાં નહેરુની રાજકીય કારકિર્દીનાં મૂળ હતાં. નહેરુનું સંકુલ અને એટલું જ વિરોધાભાસી વ્યક્તિત્વ એમના રાજકારણ પર ભારે પ્રભાવ પાડતું હતું.”
આ બધું ચૂંટાયેલી નહીં, એવી કામચલાઉ સંસદ દ્વારા પાર પાડવામાં આવ્યું એ પણ એને સંમતિ આપનારાઓ માટે અસાધારણ શરમની વાત છે.
આ સુધારા સામેની લડત એ ભારતીય ઉદારમતવાદી પ્રથમ લડત હતી. જેમાં પરસ્પર વિરુદ્ધ દિશાના મત ધરાવતા મહાનુભાવો સંગઠિત થયા હતા. એ પણ અદભુત ઘટના હતી. એ આગેવાનોમાં શ્યામાપ્રસાદ મુખરજી અને એમ. આર. જયકર જેવા હિન્દુ રાષ્ટ્રવાદીઓ, આચાર્ય કૃપલાણી જેવા ગાંધીવાદીઓ, શિબ્બનલાલ સક્સેના અને જયપ્રકાશ નારાયણ જેવા સમાજવાદીઓ, એચ. વી. કામઠ, શ્યામનંદન સહાય અને કે. કે. ભટ્ટાચાર્ય જેવા સંનિષ્ઠ કોંગ્રેસી બળવાખોરો, પ્રાણનાથ મહેતા અને એમ. સી. ચાગલા જેવા ધારાશાસ્ત્રીઓ, પ્રેસનાં સંગઠનો, તંત્રીઓ, વકીલો અને ઉદ્યોગપતિઓનો સમાવેશ થતો હતો.
જે કોંગ્રેસી સભ્યો સુધારાનો વિરોધ કરતા હતા, એમાંથી બહુ થોડા ડીવીઝનનો બેલ વાગ્યા પછી વિરોધમાં ઊભા રહ્યા. આવું થવાનું મુખ્ય કારણ સંસદસભ્યો પર તોળાઈ રહેલી ચૂંટણીની ડેમોકલિસની તલવારનું હતું. બીજું કારણ એ પણ હતું કે સ્વાતંત્ર્યને દેશના સ્વાતંત્ર્ય તરીકે જોવાતું હતું, વ્યક્તિસ્વાતંત્ર્ય અને ઉદારમતવાદી લોકશાહીની પૂરતી સમજ ન હતી.
દુર્ભાગ્યે પોતાનું ધાર્યું કરવાના અને આપખુદશાહીના નહેરુના વલણનો સામનો કરી શકે અથવા એને નિયંત્રિત કરી શકે એવા એક માત્ર શક્તિશાળી નેતા સરદાર પટેલ ૧૫ મી ડિસેમ્બરે અવસાન પામ્યા. સરદારે જ નહેરુને શ્યામાપ્રસાદ પર ઉશ્કેરણી સાથે બગાવત ઉશ્કેરણીનો (sedition) આરોપ મૂકવાના પગલાં લેતાં અટકાવ્યા હતા.
સરદારે બંધારણ સુધારવાના વિચારનો વિરોધ કર્યો હોત, કે નહેરુ જે હદે એ પગલાં લેવા વિચારતા હતા, એને હળવાં બનાવ્યાં હોત? એ વિષય હવે કેવળ ધારણાનો જ રહ્યો છે. ત્રિપુરદમનના અભિપ્રાય પ્રમાણે નહેરુના આવેગોને ઘણી વાર સરદારે નિયંત્રિત કર્યા હતા. તો એટલા જ પ્રસંગોએ એમને અનુસરવાનું પસંદ કર્યું હતું. એમ છતાં તેઓ ફર્ક જરૂર પાડી શક્યા હોત. એમની ગેરહાજરીથી નહેરુનો માર્ગ પ્રમાણમાં સરળ બની ગયો.
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના રાજનીતિશાસ્ત્રના અધ્યાપિકા નિવેદિતા મેનનના મંતવ્ય પ્રમાણે પ્રથમ સુધારાની બીજી અસર એ હતી કે તેણે ભારતીય બંધારણમાં વ્યક્તિનું મહત્ત્વ ઘટાડ્યું.
બંધારણવિદ ઉપેન્દ્ર બક્ષી પ્રથમ સુધારા પછીના બંધારણને બીજું બંધારણ અથવા નહેરુવીયન બંધારણ કહે છે.
આ બનાવોની સ્મૃતિ ઝાંખી થતી જાય છે, તો પણ વર્તમાન રાજકારણ, કાયદા અને જાહેર ચર્ચામાં એની પ્રસ્તુતતા વધતી જાય છે. બધી સરકારો દબાણ અને દમનકારી કાયદાઓ બનાવવા માટે તૈયાર જ હોય છે, એથી પ્રથમ સુધારા દ્વારા એવા કાયદાઓ માટે કેવી રીતે બંધારણીય આધાર ઊભો કરવામાં આવ્યો હતો એ સમજવું વધુ જરૂરી બનતું જાય છે. આ બાબતની પુષ્ટિ ૨૦૧૮માં નાણામંત્રી અને ધારાશાસ્ત્રી અરુણ જેટલીએ એવો ઇશારો કર્યો હતો કે તેઓનું માનવું છે કે પ્રથમ સુધારો આપણા કાયદાશાસ્ત્રના ઉદ્વિકાસમાં વિરોધાભાસ છે અને પડકારી શકાય તેમ છે.
નહેરુએ બંધારણમાં જે ધરખમ ફેરફાર કર્યા, એને વર્તમાન સંદર્ભ સાથે જુઓ. કાશ્મીરને લગતી કલમ ૩૭૦ વર્તમાન સરકારે નાબૂદ કરી ત્યારે કોંગ્રેસપક્ષે એ પગલાને વખોડી કાઢ્યું હતું, પણ નહેરુએ બંધારણના હૃદય અને આત્મા સમાન મૂળભૂત અધિકારોની વ્યવસ્થાને તોડીફોડીને પોતાની જરૂરત પ્રમાણેનું સ્વરૂપ આપ્યું હતું. બન્ને વડાપ્રધાનોએ ‘હાથચાલાકી’ કરી હતી, એવું કરણ થાપર સાથે વાત કરતાં ત્રિપુરદમને સ્વીકાર્યું. તેમણે એમ પણ કહ્યું કે નહેરુવીયનવાદ બીજું જે હોય તે પણ ઉદારમતવાદ તો નથી જ. રાષ્ટ્રપતિનું પદ સત્તા વગરનું જણાતું હોવા છતાં વડાપ્રધાને એમની સાથે સલાહ-સૂચન માટે અને અણધારી કટોકટી સમયે બંધારણ મુજબ એ મહત્વનું હતું પરંતુ નહેરુને રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ કોઈ મુદ્દા પર પ્રશ્ન ઉઠાવે એ બિલકુલ પસંદ ન હતું. એમનાથી ભિન્ન વિચારને તેઓ સહન નહોતા કરી શકતા.
આ સમગ્ર ઇતિહાસના પ્રકરણનું મુખ્ય પાત્ર નહેરુ હતા. એમનો વારસો મિશ્ર વસ્તુઓનો છે. સંસદમાં નિયમિત હાજરી, સલાહસૂચન, એ બધા ગુણોની સામે એમનું ગુમાન, પોતાનું ધાર્યું કરવા માટે આપખુદ પણ બને, એ તેમની નબળાઈઓ હતી. તેમનું વ્યક્તિત્વ આત્યંતિક વિરોધાભાસોનાં મિશ્રણ જેવું હતું.
સ્વતંત્રતા પ્રાપ્ત કરવાની નજીકના વર્ષોમાં નહેરુ કેટલીક બાબતોમાં પોતાનો મત હઠપૂર્વક પકડી રાખતા. મહમદઅલી જીન્ના નહેરુના ગુણો વગર કેવળ હઠાગ્રહી હતા. નહેરુની અને જિન્નાની ખાસિયતોએ ઉપખંડના ઇતિહાસ પર કાયમી અસરો છોડી. લોર્ડ વેવેલ પણ ઉપખંડના ઘણા લોકોની જેમ વિચારે છે અને એમની ડાયરીમાં લખે છે, “નહેરુ અને જિન્ના સિવાયના કોઇએ આખો મામલો (ભાગલાનો અને સંલગ્ન બાબતોનો) સંભાળ્યો હોત તો બધી વસ્તુઓ કેટલી જુદી જ હોત!”
પુસ્તકનાં ચોથા કવર પર આપેલાં ત્રણ ઉદ્ધરણો પુસ્તકને મૂલવવા કે સમજવા માટે વાંચવા જેવાં છે. ભા.જ.પ.ના ભૂતપૂર્વ સાંસદ અને અંગ્રેજીમાં સુંદર પ્રવાહી શૈલીમાં નિયમિત લેખો લખનારા સ્વપન દાસગુપ્તા સરસ વિધાન કરે છે: “સ્વતંત્રતાના પ્રારંભિક વર્ષોનું સુષ્ઠુ ચિત્રણ અને રાજકારણની ભદ્દી વાસ્તવિકતા વચ્ચેની ખાઈની વિગતોનો આ પુસ્તકમાં ત્રિપુરદમન સિંહે રસાળ દસ્તાવેજ રજૂ કર્યો છે. આ પુનર્લેખન કે સુધારણાવાદી ઇતિહાસ નથી. પરંતુ, બંધારણીયમૂલ્યો અને રાજકીય અગ્રતાઓ વચ્ચેના પ્રથમ તનાવોની સ્પષ્ટ તસવીર છે. નહેરુ વિલન તરીકે નહીં, પણ દૃઢ વાસ્તવવાદી તરીકે બહાર આવે છે.”
**************
અનુસંધાન
ભારતીય બંધારણના ઇતિહાસના આ સહુથી મહત્ત્વના પ્રકરણ સાથે સંકળાયેલા અને તેની યાદને સંકોરનારા બે ચકચારી કેસ ભવિષ્યમાં ઊભા થવાના હતા. એમાંનો એક હતો ગોલકનાથ કેસ (૧૯૬૭) અને બીજો હતો કેશવાનંદ ભારતી કેસ (૧૯૭૩). આપણે તેની વધારે વિગતથી ચાતરીને મુખ્ય અને સંબંધિત મુદ્દાઓની કેવળ પરિચય પૂરતી માહિતી જોઈએ.
ગોલકનાથ કેસમાં ચીફ જસ્ટિસ સુબ્બારાવે તેનું મહત્ત્વ સમજીને અગિયાર ન્યાયાધીશોની બેન્ચ બનાવી.
આ પહેલાના બે કેસ – શંકરી પ્રસાદ અને સજ્જન સિંહમાં એવું ઠરાવવામાં આવ્યું હતું કે સંસદને બંધારણ સુધારવાની અમર્યાદ સત્તા છે. આવા ચુકાદાથી કેટલીક હાસ્યાસ્પદતાની હદને સ્પર્શતી વિચિત્ર અને અસ્વીકાર્ય પરિસ્થિતિઓ ઊભી થવાની સંભાવનાઓ નરી આંખે દેખાઈ આવતી હતી. એક સ્થિતિ એવી પણ શક્ય હતી કે કોઈ સામાન્ય કાયદો કેવળ એક મૂળભૂત અધિકારની વિરુદ્ધ જતો હોય તો એ બિનબંધારણીય ઠરે પણ કોઈ સુધારો તમામ મૂળભૂત હક્કોને રદ કરી નાખે તો એ સ્વીકાર્ય બનતું હતું!
બહુમતીએ ઠરાવ્યું કે સુધારો કરવાની સત્તા તેના પરના પ્રગટ કે ગર્ભિત મર્યાદાઓની ઉપરવટ જવાની શક્તિ નહીં આપે અને સંસદ ભાગ ૩ (મૂળભૂત અધિકારો)માં સુધારો નહીં કરી શકે. શંકરીપ્રસાદના તથા સજ્જનસિંહના કેસની વિરુદ્ધના છેડે લોલક ફરી ગયું. એક જ વખતના ઉપયોગ માટે અને કૃષિવિષયક સુધારાઓ માટે જ ઉભું કરેલું નવમું શેડયુલ ખોટી રીતે અને વારંવાર વપરાયું હતું. કદાચ જસ્ટિસ સુબ્બારાવ વધુ પડતા આગળ વધી ગયા હતા પણ એમના માટે કોઈ રસ્તો પણ રહ્યો નહોતો. જૂના કેસમાં આ ચુકાદાને લાગુ પાડવાથી ભારે ઊથલપાથલ અને અંધાધૂંધી થઈ જતો, ઘડિયાળને પાછું ફેરવવાનું શક્ય નહોતું, એ બાબતને ધ્યાનમાં લઈને અદાલતે અમેરિકન બંધારણના ‘prospective overruling ‘ નો બંધારણીય સિદ્ધાંત અપનાવ્યો.
દુર્ભાગ્યે આ બહુમતી નિર્ણય સંસદને સાવ જ સત્તાહીન બનાઈ દેતો હતો. પરિણામે આ ચુકાદાની વ્યાપક રીતે ટીકા કરવામાં આવી. છ વર્ષ પછી કેશવાનંદ ભારતીના ઐતિહાસિક કેસના ચુકાદામાં તમામ તેર જજોની સર્વાનુમતિથી ગોલકનાથ કેસને ઓવરરૂલ કરવામાં આવ્યો.
૧૯૭૩માં અત્યંત મહત્વનો, નાટ્યાત્મક, સુદીર્ઘ દલીલો અને વિશાળ ક્ષેત્રને આવરી લેતો કેસ કેશવાનંદ ભારતી વિ. કેરાલા રાજ્યનો કેસ આવ્યો જે સર્વોચ્ચ અદાલતની તવારીખમાં સહુથી મોટી – ચીફ જસ્ટિસ સિક્રી સહિત ૧૩ જજોની બેન્ચ સમક્ષ રજૂ થયો. આ કેસના ચુકાદાએ, ત્રિપુરદમનના શબ્દોમાં, ભારતીય ગણતંત્રનું ભવિષ્ય બદલાવી નાખ્યું.
નોંધપાત્ર વાત તો એ છે કે કાલ્પનિક વાર્તા કરતાં પણ વધુ વિચિત્ર વિધિના વળાંકની એક ઘટના બની. જસ્ટિસ ખન્ના સંસદના દાવાને અત્યાર સુધી સમર્થન આપતા હતા એમણે છેલ્લી ઘડીએ એવું ઠરાવ્યું કે સંસદની બંધારણ સુધારવાની સત્તામાં બંધારણનું મૂળભૂત માળખું ( basic structure) કે આવશ્યક લાક્ષણિકતાઓ (essential features) માં ફેરફાર કરવાની સત્તાનો સમાવેશ નહીં થાય. ભવિષ્યના બનાવો બતાવી આપવાના હતા કે જસ્ટિસ ખન્ના ના નિર્ણયે ભારતની લોકશાહીને ઉગારી લીધી.
મૂળભૂત અધિકારોના કેસ તરીકે વધુ જાણીતા આ કેસમાં પાલખીવાલાની ભૂમિકા યાદગાર બની ગઈ. એકદમ સાંકડી બહુમતી ૭:૬ થી સર્વોચ્ચ અદાલતે ઠરાવ્યું કે સંસદની સુધારા કરવાની સત્તા અમર્યાદ નથી અને એ સત્તા બંધારણના માળખાને કે અનિવાર્ય રીતે આવશ્યક લાક્ષણિકતાઓને સુધારવા માટે નહિ ઉપયોગમાં લઈ શકાય. આ ચુકાદાથી સુપ્રીમ કોર્ટે નહેરુ દ્વારા ન્યાયતંત્રની છીનવી લેવાયેલી સત્તાઓમાંથી ઘણી પાછી મેળવી લીધી.
આ કેસની સુનાવણી સહુથી મોટી બેન્ચ સમક્ષ અને સહુથી લાંબા સમય, ૬૮ દિવસ સુધી ચાલી. આ કેસ સાથે સંકળાયેલ વ્યક્તિવિશેષ – જજો, સમર્થ ધારાશાસ્ત્રીઓ વિશેની અને બીજી ઘટનાઓની વાત બહુ રસપ્રદ હોઈ ભવિષ્યમાં ક્યારેક વાત કરશું.
શ્રી નરેશ માંકડનો સંપર્ક nareshmankad@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે
-
સ્મરણ શહાદતના સંગમતીર્થનું અમન, એખલાસ, ઇન્સાફનું
તવારીખની તેજછાયા
પ્રકાશ ન. શાહ
પહેલી જુલાઈએ ગુજરાતના જાહેર જીવનની અનન્ય ને અનેરી કર્મબાંધવી, વસંત-રજબની બલિદાની સ્મૃતિ દિલને દરવાજે દસ્તક દેતી ગઈ. ૧૯૪૬6ની કોમી હુતાશનમાં એમણે પવિત્ર શ્રીફળની પેઠે હોમાવું પસંદ કર્યું હતું. એમના પંચોતેરમા સ્મૃતિપર્વે જમાલપુર ખાંડની શેરીના સ્મારક પર યાત્રાભાવે હાજરી ભરનારાઓમાં જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી પણ હતા; કેમ કે ૧૯૪૬ની પહેલી જુલાઈએ રથયાત્રાનું પર્વ પણ હતું.

વસંતરાવ હેગિષ્ટે અને રજબઅલી લાખાણી ઓળખવા જેવાં છે આ બે પાત્રો. વસંતરાવ હેગિષ્ટે. મૂળ મહારાષ્ટ્રનો પરિવાર, પેઢીઓથી અમદાવાદ-ગુજરાતમાં સ્થાયી થયેલો. એમની જાગુષ્ટેની પુસ્તકદુકાન જૂની ને જાણીતી. વસંતરાવ સેવાદળના કાર્યકર. એ તો ૧૯૪૬માં ગયા પણ હેગિષ્ટે પરિવારની હાજરી આપણા જાહેર જીવનમાં અન્યથા પણ ચાલુ રહી, એમનાં બહેન હેમલતા જ્યોતિસંઘમાં આગળ પડતાં હતાં. રજબઅલી વયમાં નાના. લીંબડીમાં રહેતો પરિવાર ને કરાચીમાં ભણતર. વળી સૌરાષ્ટ્રમાં આવવાનું થયું અને અવનવા સંપર્કો થયા.
‘સમય’ખ્યાત ભાનુભાઈ શુક્લે સંભાર્યું છે કે ભાવનગર કોલેજની એમની હોસ્ટેલ રૂમમાં એક વાર ટકોરા મારીને કોઈ છાત્રે પ્રવેશ કર્યો. એ રજબભાઈ હતા, બારણા પર રૂસી ક્રાંન્તિની (સામ્યવાદની) યાદી રૂપ હથોડી ને દાતરડું ચિતરાયેલાં જોઈને! નવા વિચારોનો પરિચય કેળવવો એ રજબઅલીનું સહજ વલણ હતું. જોકે એ ઠર્યા હતા ગાંધીવિચારમાં. ભાવનગરમાં નાનાભાઈ ભટ્ટના ઘરે જે જુવાનિયા પૂર્ણ સ્વાતંત્ર્યની પ્રતિજ્ઞા લેવા એકત્ર થયા તેમાંના એ એક હતા.
વસંતરાવ રાષ્ટ્રીય ચળવળ ને કંઈક સાવરકરી ખેંચાણ છતાં ગાંધીવિચારમાં ઠર્યા હતા. સેવાદળની કામગીરી, વ્યાયામ પ્રવૃત્તિ, જયન્તિ દલાલ જેવા બૌદ્ધિક સ્વાતંત્ર્યસૈનિકો સાથે ગતિ-રેખા પ્રકારની પ્રવૃત્તિમાં પણ સક્રિય સહભાગિતા. પછાત વિસ્તારમાં નીરુ દેસાઈ સાથે મળીને રાત્રિવર્ગો ચલાવતા. બંને મિત્રો, દેશમાં બગડતા માહોલ વચ્ચે ફૈઝપુર કોંગ્રેસે મુસ્લિમ વ્યાપક સંપર્કનો જે કાર્યક્રમ લીધો એના ઉત્કટ સમર્થક હતા.
વસંતરાવના જેલસાથી મગનભાઈ પ્ર. દેસાઈએ નોંધ્યું છે કે જેલના પઠાણ સાથી સાથે વસંતરાવનો ખાસો ઘરોબો હતો. હેમલતાબહેને લખ્યું છે કે અમે ભાઈને મળવા જેલ પર ગયા તો હતાં કુટુંબના સભ્ય તરીકે, પણ એક મુસ્લિમ ભાઈ પણ જોડાઈ ગયા ને જેલરે રોક્યા તો કહ્યું કે હું એમનો મુલાજિમ (નોકર) છું, ને દાખલ થઈ ગયા! વસંતરાવ બૌદ્ધિક ક્ષમતાપૂર્વક પણ કર્મઠ કાર્યરુઝાનનો જીવ. રજબઅલી કામમાં પડે, ઉપાડે; પણ બૌદ્ધિક પ્રતિભા અનન્ય. સૌરાષ્ટ્રના એમના મિત્રોને હતું કે જવાહરલાલ નેહરુએ જેમ લોહિયા, જયપ્રકાશ જેવાને કોંગ્રેસની વડી કચેરીમાં નોંતર્યા ને તેઓ ઝળકી ઊઠ્યા તેમ રજબભાઈએ પણ રાષ્ટ્રીય સ્તરે જવું જોઈએ. ગમે તેમ પણ, બબલભાઈ અને બીજાઓએ સૂચવ્યું ને રજબઅલી અમદાવાદ આવીને રહ્યા- ને એમના ને વસંતરાવનાં દિનરાત એક બની રહ્યાં.
પણ મને લાગે છે કે રજબભાઈએ જે પુસ્તકો જેલવાસમાં અનુવાદ સારુ પસંદ કર્યાં હતાં એની થોડીક વાત એમના પ્રતિભાદર્શન સારુ જરૂર કરવી જોઈએ. આ ત્રણ પુસ્તકો તે ‘એલોન’, ‘કોમ્યુનલ ટ્રાયેન્ગલ’ અને ‘પાવર ઓફ નોન-વાયોલન્સ.’ ‘એલોન’ (‘એકાંતનું સામ્રાજ્ય’) એ દક્ષિણ ધ્રુવના એકલવીર પ્રવાસીની અદ્્ભુત સાહસકથા છે. અનુવાદની પ્રસ્તાવનામાં એમણે ગુજરાતના જુવાનો આવાં સાહસ-સંસ્કાર દ્વારા બળવાન, વીર્યવાન ને શૂરવીર બને એવી ઝંખના પ્રગટ કરી છે. દેખીતી રીતે જ ઘટમાં ઘોડા થનગને અને આતમ વીંઝે પાંખ ત્યારે જડી રહે એવું આ પુસ્તક હતું. તો, અશોક મહેતા અને અચ્યુત પટવર્ધન કૃત ‘કોમ્યુનલ ટ્રાયેન્ગલ’ (‘હિંદનો કોમી ત્રિકોણ’) એ સ્વરાજ સારુ થનગનતી ને પાંખ વીંઝતી તરુણાઈ સામેનું વાસ્તવચિત્ર હતું. ‘પાવર ઓફ નોન-વાયોલેન્સ’નો અનુવાદ એમણે સ્વયંસેવી હૈયાઉલટથી હાથ ધર્યો. એમાંથી એમની વૈચારિક પ્રતિબદ્ધતાનો એક સંકેત અવશ્ય મળે છે. માત્ર, ‘નવજીવન’ તરફથી તે સ્વતંત્રપણે બહાર પડવામાં હતો એવું જાણતાં અડધેથી પડતો મૂકેલો.
૧૯૪૬ની પહેલી જુલાઈનું તંતોતંત ચિત્ર અહીં નહીં આપતાં એટલું જ કહીશું કે હિંદુઓ વચ્ચેથી મુસ્લિમને અને મુસ્લિમો વચ્ચેથી હિંદુને બચાવતાં, શાંતિ માટે સમજાવતાં ને હુમલો કરવો હોય તો પહેલો અમારા પર કરો એમ આડશ ધરતા બેઉએ એક તબક્કે જીવ ખોયો, કહો કે જીવી જાણ્યું. બેઉનાં લોહી જ્યાં એકમેકમાં ભળી ગયાં તે સંગમતીર્થે આજે સ્મારક ઊભું છે. ગોમતીપુરના ચારવાટ કબ્રસ્તાનમાં રજબઅલીની મજાર હવે સોજ્જી સાફસફાઈ ને રાખરખાવટ સાથે જીવતી થઈ છે અને શહાદત દિને સૌ યાત્રાભાવે જેમ સ્મારક પર તેમ ત્યાં પણ જતા થયા છે.
સેવાદળનું પ્રતિવર્ષ સ્મારકે જવું અલબત્ત જારી હતું. પણ વરસોનાં વા’ણાં વાયાં તેમ એમાં સ્વાભાવિક જ મંદતા આવી. એવામાં ૧૯૯૨-૯૩થી કાર્યરત સેક્યુલર લોકશાહી આંદોલને એ પ્રણાલિકા જીવંત ને બલવતી કરી. યાત્રાભાવ સાથે વ્યાપક નાગરિક અર્થમાં રાજકીય સંકલ્પ જોડ્યો અને આ શહાદતને વ્યાખ્યાયિત કરી, અમન-એખલાસ-ઈન્સાફ રૂપે. શાંતિ ખરી પણ ન્યાયમંડિત. અહીંથી જ ૨૦૦૨માં રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના હેવાલને પગલે ન્યાયિક પ્રક્રિયા વાસ્તે સહીઝુંબેશ પણ શરૂ થઈ.
સ્વરાજના એક વરસ અને એક મહિના આગમચ ઘટેલ આ ઘટના કોઈ ક્ષણાવેશી વીરમૃત્યુની નથી. જેમને આર્થિક-સામાજિક રસકસે ભરી સમાનતા ને સ્વતંત્રતાની આઝાદ જુગલબંદી ખપતી હતી એમણે નવી ને ન્યાયી દુનિયા માટે નિમંત્રેલ કુરબાનીની આ કથા છે. જયન્તિ દલાલ અને ઈન્દ્રવદન ઠાકોરે એકત્ર કરેલી આરંભિક સામગ્રીમાં ઝવેરચંદ મેઘાણીએ સ્વીકારેલી સંપાદકીય જવાબદારી સાથે મૂલ્યવાન ઉમેરાપૂર્વક એક સમૃદ્ધ સ્મૃતિગ્રંથ સુલભ થયો છે તે આપણી સમજ ને સંવેદનાને સંકોરતો રહે છે.
વસંત-રજબને
વીરા તેં તો રંગ રાખ્યો :
પ્રથમ વખત તેં મુક્તિનો સ્વાદ ચાખ્યો;
‘બી ના! બી ના!’ પુકારી
નિજ બંધુજનને ભવ્ય પેગામ ભાખ્યો.‘તેં સાધ્યું કાંઈયે ના!’
કહી કદી અધીરો આપશે ક્રૂર મેણું;
કે’જે પ્રત્યુત્તરે કે
‘અભય બની પ્રજા:’ લૈશ હું સર્વ લેણું.– ઝવેરચંદ મેઘાણી
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૨૮-૬-૨૦૨૩ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
