વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • આપણા રોજબરોજનાં જીવનનાં સુખની ખોજનું અર્થશાસ્ત્ર : પ્રકરણ # ૪ . ૧ # અંશ ૨

    જીવનની અર્થવ્યવસ્થાનો વ્યાવહારિક અમલ

    અંશ  ૧ થી આગળ

    દિવ્યભાષ સી. અંજારીઆ

    કમાણીના વિવિધ વિકલ્પો 

    કમાણીના વિક્લ્પોને મુખ્યત્વ બે શ્રેણીઓમાં વહેંચી શકાય – પોતા માટે કામ કરવું કે બીજા માટે કામ કરવું.

    બીજા માટે કામ કરવું

    બીજા માટે કામ કરતી વખતે આપણી કમાણી એ સામેની વ્યક્તિ, કે સંસ્થા, માટે ખર્ચ છે. એટલે, એ એક એવી રસ્સાખેંચ બની રહે છે જેને એક છેડે આપણે આપણી આવક મહત્તમ કરવા પ્રયત્ન કરતાં હોઈએ છીએ, અને સામેને છેડે, આપણને કામે રાખનાર વ્યક્તિ (સંસ્થા) એ ખર્ચ ઓછામાં ઓછું કરવાના પ્રયત્નો કરે છે. માટે જ, અન્ય માટે કામ કરવાના વિકલ્પમાં કામનું વળતર બન્ને પક્ષો માટે હંમેશાં વિવાદનાં રૂપે જ જોવા મળતું હોય છે.

    કામે રાખનારની સ્વાભાવિક (આર્થિક) મનોવૃત્તિ પોતા માટે કામ કરનારને તે જે વળતર આપે તેનાથી અનેકગણું રળી લેવાની રહેતી હોય છે. નાણા સ્વરૂપે થતું ખર્ચ કોઈને પણ કણાની માફક ખૂંચે. તેથી, કામ કરનાર વ્યક્તિની ક્ષમતા કામ આપનાર માટે બહુ જ મહત્ત્વનું સંસાધન હોવા છતાં, પહેલી નજરે તો, કામ કરનારને ચૂકવાતું વળતર તેને માટે આવકને ઓછી કરતું ખર્ચ જ બની રહેતું હોય છે. આ જ કારણથી નાણા માટે બીજા માટે કામ કરવું, કે બીજા પાસે કામ કરાવવું , એ સદા કાળથી માનવ સંબંધોને લાગેલો લૂણો બની રહેલ છે.

    પોતા માટે કામ કરવું 

    બીજી વ્યક્તિ (સંસ્થા) માટે (ખાસ તો નાણામાં મળતાં વળતર માટે) કામ કરવાથી આપણી નાણાકીય તેમજ બીન નાણાકીય કમાણી મહત્તમ કરવામાં આપણે સામેની વ્યક્તિ (સંસ્થા) પર પણ આધાર રાખવો પડે.  નાણારૂપે મળતાં વળતર કરતાં બીન નાણાકીય વળતરોના વિવાદ ઓછા કડવા હોવા છતાં પણ કામ કરનાર વ્યક્તિ માટે તો તે આખરે એક સોનાનું પાંજરૂં જ છે. સોનાનાં પાંજરાનાં સુખ કરતાં, અનેક મુશ્કેલીઓ છતાં પણ પોતાનાં ખુલ્લાં આકાશમાં વિહરવામાં એક આગવી મસ્તી રહેલી હોય છે. આમ, પોતા માટે કામ કરીને કમાણી રળી લેવી એ એક બહુ સબળ વિકલ્પ તરીકે ઊભરી રહે છે.

    પોતા માટે કામ કરવામાં શોષણનો ભાવ પેદા નથી થતો.  વધારે કામ કરીને પણ વધારે કમાણી રળવાનો નિર્ણય લેવો પડે તો પણ એ આપણે જાતે લીધેલો નિર્ણય છે. સ્વરોજગારની સ્થિતિઓમાં ખર્ચ અને કમાણી સિક્કાની અલગ અલગ બાજુઓ બની રહેવાને બદલે કાર્ય-કારણનાં સ્વરૂપે વાવેલાં બીજ અને તેમાંથી નીપજતાં ફળ તરીકે અનુભવાય છે. મહેનતના પ્રમાણમાં અપેક્ષિત વળતરની સ્વાભાવિક તાણ અહીં પણ છે, પરંતુ કામે રાખનાર અને કામ કરનાર એ બન્ને આપણે ખુદ જ હોવાને કારણે તેમાં બીજાં માટે કામ કરવા જેટલી કડવાશ નથી પેદા થતી. પોતે કરેલ કામ માટે વળતર નાણા સ્વરૂપે લેવું કે બીનનાણાકીય સ્વરૂપે લેવું, એ બન્ને પ્રકારોનો કેટલો કેટલો હિસ્સો રાખવો, અને ભૌતિક જરૂરિયાતોની પૂર્તિ અને અન્ય અભૌતિક ઉચ્ચસ્તરીય અપેક્ષાઓની સંતુષ્ટિ વચ્ચે તેમાં કેમ સંતુલન જાળવવું એ જીવનનાં આપણાં આગવાં સુખનાં આપણાં મૂલ્યો મુજબના નિર્ણયો છે. પરિણામે, પોતા માટે કામ કરવાથી જો વધારે સુખ મળે તો તે અનેકગણું વધારે મીઠું લાગે. તેમ અપેક્ષા કરતાં કદાચ ઓછું વળતર મળે તો પણ તેનું દુઃખ ઓછું પીડાદાયક નીવડી શકે છે. આમ, એકંદરે, પોતા માટે કામ કરવું એ એક આદર્શ વિકલ્પ બની રહે છે.

    પોતા માટે કામ કરવાથી કામ માટે, નાણાકીય તેમજ બીનનાણાકીય વળતર સહિતના બધા જ નિયમો આપણે જાતે જ નક્કી કરવાના રહે છે.  સમય અને સંદર્ભનાં પરિવર્તન મુજબ તેમાં ફેરફાર કરીને આપણે જીવનના દરેક તબક્કે નાણાકીય તેમ બીન નાણાકીય અર્થવ્યવસ્થાઓની જરૂરિયાતો અને અપેક્ષાઓ પુરી થવાથી મળતા સંતોષનું સુખ માણી શકીએ છીએ.

    પરંતુ,  વાસ્તવિકતા એટલી સરળ ક્યારેય નથી હોતી. ઘણી વ્યક્તિઓમાં સ્વરોજગાર કરી શકવાની નૈસર્ગિક આવડત કે સંજોગો અનુસારની ઈચ્છા નથી હોતી. અને આ બન્ને પરિબળો સવળાં હોય તો પોતાની આવડતમાંથી પોતાની વર્તમાન અને ભાવિ જરૂરિયાતો અને અપેક્ષાઓ પુરી કરી શકવા જેટલી કમાણી શક્ય બને એવી આવડત ક્યાં તો કેળવાઈ ન હોય કે પછી એ મુજબ અનુકૂળ એવા સંજોગો ન હોય એવું પણ શક્ય છે. આવી પરિસ્થિતિમાં સ્વરોજગાર લાંબે ગાળે સુખદાયક ન નીવડે એવું બનતું હોય છે. એટલે પછી, હવે, કમસે કમ પોતાની આવડત ન કેળવાય. કે બાહ્ય સંજોગો સાનુકૂળ ન બને ત્યાં સુધી,  બીજા માટે કામ કરવાનો વિકલ્પ જ વધારે વ્યાવહારિક બની રહે છે.

    અમુક, મર્યાદિત, સમય માટે કામ કરવું

    સ્વરોજગાર અને બીજા માટે કામ કરવાના બે અંતિમો વચ્ચે અમુક અમુક સમય વચ્ચે, બન્નેને માટે, અમુક અમુક સમય  ફાળવીને કામ કરવાનો વચ્ચેનો પણ એક માર્ગ છે.

    બન્ને પ્રકારનાં કામોમાં નાણાકીય અને બીન નાણાકીય વળતરો કેટલાં પર્યાપ્ત રહેશે તે નક્કી કરીને, આપણે કરવાના કામના શક્ય એટલા બધા સમયમાંથી બીજાં માટે કામ કર્યા પછી અમુક સમય પોતા માટેના કામ માટે ફાળવી શકાય.  આ વિક્લ્પમાં બન્ને પ્રકારનાં કામની પસંદગી અને સમયની ફાળવણી વચ્ચે આર્થિક જેલનાં નીતિનિયમોનાં પાલન અને આપણી જીવનદૃષ્ટિ મુજબની અર્થવ્યવસ્થા માટે  જરૂરી સંતુલન ગોઠવીને આપણે આપણી વર્તમાન તેમજ ભાવિ, ભૌતિક તેમજ અભૌતિક, જરૂરિયાતો અને અપેક્ષાઓ પુરી કરતાં રહી શકીએ છીએ.

    સ્વૈચ્છિક નિવૃત્તિ

    ખંડ સમયનાં કામ સિવાય પણ એક બીજો વિકલ્પ છે – સમય પહેલાં જ સ્વૈચ્છિક નિવૃતિ લઈ લેવાનો.

    જેમણે આર્થિક જરૂરિયાતોને પ્રાથમિકતા આપીને સારૂં નાણાકીય વળતર મળતું હોય એવો વ્યવસાય સ્વીકાર્યો હોય  છે તેઓ જ્યારે ભાવિ જરૂરિયાતો માટે પણ પર્યાપ્ત નાણાની કમાણી કરી લે છે ત્યારે, વહેલામાં વહેલી તકે, નાણાની ધુંસરી ફેંકી દેવાનું વલણ ધરાવતાં હોય છે. આર્થિક ઉપાર્જનની પ્રવૃતિ હવે તેમને માટે જીવનની મુખ્ય પ્રાથમિકતા નથી રહેતી. જીવનને એ તબક્કે, પછી ઉમરે ભલે કોઈ પણ હોય, તેઓ આર્થિક જેલનાં બંધનોમાંથી મુક્તિ મેળવવા સમયથી પહેલાં નિવૃતિ લઈ લે છે અને પોતાની આગવી અર્થવ્યવસ્થાના દાયરામાં ગોઠતી, પોતાને મનગમતી, પ્રવૃતિ કરવાનું શરૂ કરે છે. એ પ્રવૃતિમાં, તાત્કાલિક કે ભવિષ્યમાં મળનાર, નાણાકીય કે બીન નાણાકીય વળતર હોય પણ કે ન પણ હોય,  એ તેમને માટે હવે મહત્ત્વનું નથી રહ્યું. તેમનો ઉદ્દેશ્ય તો હવે પોતાનાં જીવન માટે તેમણે નિર્ધારિત કરેલ સુખની પ્રાપ્તિ છે. એટલે હવે જે કંઈ પ્રવૃતિ તેઓ કરશે તે પોતાની શરતો પુરી કરતી, પોતાની મનપસંદ, પ્રવૃતિ હશે.

    જોકે અહીં એ વાત ફરી એક વાર સ્પષ્ટ કરવી જોઈશે કે ખંડ સમય  માટેની કે નિવૃત્તિ પછીની પ્રવૃત્તિની પસંદગી કરતી વખતે નાણાપ્રેરિત અર્થવ્યવસ્થા તેમ જ પોતાની આગવી અર્થવ્યવસ્થાની દરેક શક્ય સંભાવનાઓની પુરેપુરી સમજણ મેળવી લેવી ખુબ હિતાવહ છે. વર્તમાન અને ભાવિ, નિયોજિત તેમજ આકસ્મિક, દરેક પ્રકારની જરૂરિયાતો માટે પર્યાપ્ત સુરક્ષા પુરી પડે એટલી નાણાની વ્યવસ્થા થઈ શકી છે જેની પુરી ગણતરી કરી લેવી જોઈએ. તે ઉપરાંત હવે કયાં કામો ખરેખર પોતાને મનપસંદ રહેશે તેનું ભાવિ ચિત્ર પણ બહુ સ્પષ્ટ હોય તે પણ આવશ્યક બને છે.  જીવનમાં કામ અને મનપસંદ પ્રવૃત્તિઓ વચ્ચે સંતુલન જળવાય તો કામ પણ બોજ નથી લાગતું એ વાત સાચી તો જરૂર છે, પરંતુ એ સંતુલન પ્રસ્થાપિત કરવું, અને સતત જાળવી રાખવું એ અશ્ક્ય ભલે ન હોય પણ આસાન પણ નથી.

    હવે પછીના મણકામાં આપણે નાણાની કમાણી સિવાયની પ્રવૃત્તિઓની વાત કરીશું.


    શ્રી દિવ્યભાષ સી. અંજારીઆનો સંપર્ક dc@anjaria.email વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તકો રાજનીતિયુક્ત કે રાજનીતિમુક્ત ?

    નિસબત

    ચંદુ મહેરિયા

    શાળા-કોલેજોનું નવું શૈક્ષણિક  સત્ર શરૂ થઈ ગયું છે. વિધ્યાર્થીઓ અને શિક્ષકોમાં નવા ભણતરનો ઉમંગ – ઉત્સાહ છે તો વાલીઓને નવા વધારાના ખર્ચની ચિંતા છે. આ દિવસોમાં રાજનીતિના ક્ષેત્રે શાળા-કોલેજોના અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તકોમાં થયેલા સુધારા-વધારા કે કાપ-કૂપનો કકળાટ છે. એનસીઈઆરટી (નેશનલ કાઊન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ )નો દાવો છે કે તેણે અભ્યાસક્રમને વિદ્યાર્થીઓને અનુકૂળ બનાવવા અને તેમના પરનો શિક્ષણનો બોજ ઘટાડવા પાઠ્યપુસ્તકોમાં ઉમેરા-બાદબાકી કર્યા છે. ભાજપાશાસિત રાજ્ય સરકારો તે પ્રમાણે પોતાના રાજ્યોમાં ફેરફાર કરી રહી છે.

    વિપક્ષો પાઠયપુસ્તકોમાં બદલાવને રાજનીતિપ્રેરિત ગણાવી તેનો વિરોધ કરી રહ્યા છે. કેરળની વિપક્ષી સામ્યવાદી સરકારે ફેરફારોનો અમલ કરવા ઈન્કાર કર્યો છે. ઘણી વિપક્ષી રાજ્યસરકારો તેને અનુસરશે. કર્ણાટકમાં નવી ચૂંટાયેલી કોંગ્રેસ સરકારે તેની પુરોગામી બીજેપી સરકારે પાઠ્યપુસ્તકોમાં કરેલા ફેરફાર રદ કરીને કોંગ્રેસની રાજનીતિને અનુકૂળ ફેરફાર કર્યા છે. એ રીતે રાજકારણમુક્ત હોવું જોઈતું શિક્ષણ રાજકારણયુક્ત બની ગયું છે.

    ભણતરનો ભાર ઘટાડવા અને વિદ્યાર્થીઓને અનુરૂપ પાઠયક્રમ ઘડવા જેને પાઠ્યપુસ્તકોમાંથી હઠાવી દેવાઈ છે તેવી સામગ્રીમાં ઈતિહાસમાંથી મોગલશાસન જ નહીં વિજ્ઞાનમાંથી ડાર્વિંનનો ઉત્ક્રાંતિવાદ પણ બાદ થઈ ગયો છે. હવે વિધ્યાર્થીઓમાં બિનહિંદુ વિદેશી આક્રાંતાઓ તરીકેની જેમની ઓળખ સ્થાપિત કરવી છે તે મોગલોને તો ભૂલી જશે, માનવીની ઉત્ક્રાંતિ કઈ રીતે થઈ તે પણ તેને નહીં આવડે. સારે જહાં સે અચ્છા હિંદોસ્તાં હમારાના કવિ અલ્લામા ઈકબાલના નામ પર પણ છેકો મરાયો છે કેમકે બદલાવ કરનારાઓ ભારત વિભાજનની દ્વિરાષ્ટ્ર થિયરીના જનકના પરિચયથી ભારતના વિદ્યાર્થીઓને દૂર રાખવા માંગતા હતા.

    ઈતિહાસ અને રાજનીતિશાસ્ત્રના  પાઠ્યપુસ્તકોની સમીક્ષા કરીને પુનરાવર્તન ટાળવા કેટલાક ફેરફાર કર્યાનો એનસીઈઆરટીના નિયામકનો દાવો છે.પરંતુ પંદરેક વરસોથી ભણાવાતા કોમી રમખાણો, ગાંધીજીની હત્યા અને સામાજિક-રાજકીય આંદોલનોના પ્રકરણો હઠાવાયા છે કે તેમાંથી કેટલાક વાક્યો કે વાક્યાંશો બદલ્યા છે તે સમીક્ષા કે એડિટિંગ નથી સેન્સર કરાયેલું લાગે છે કે રાજકીય સત્તાને માફક આવે તે રીતે મૂકાયું છે અને બાદ થયું છે.

    ધોરણ-૧૧ના રાજનીતિ વિજ્ઞાનના પુસ્તકમાંથી દેશના પ્રથમ શિક્ષણ મંત્રી મૌલાના અબુલકલામ આઝાદનું નામ કાઢી નાંખવામાં આવ્યું છે અને તે પણ બંધારણસભા વિષયક પ્રકરણમાંથી. અનુચ્છેદ ૩૭૦ હઠાવ્યા પછી જમ્મુ-કશ્મીરના ભારત સાથેના જોડાણ અંગેનું વાક્ય બદલી નાંખવામાં આવ્યું છે. કટોકટીના પ્રકરણમાંથી ન્યાયતંત્ર અને મીડિયાની ભૂંડી ભૂમિકા અલોપ કરી દેવામાં આવી છે. ધોરણ ૧૦ અને ૧૨માં ભણાવાતા લોક આંદોલનો પૈકી ચિપકો, નર્મદા બચાવ અને દલિત પેન્થર આંદોલનને પણ બાકાત કરી દેવાયાં છે.

    નવથી બાર ધોરણના એનસીઈઆરટીના રાજનીતિશાસ્ત્રના પાઠ્યપુસ્તકોના પરામર્શક યોગેન્દ્ર યાદવ અને સુહાસ પલશીકરે આ સુધારાના વિરોધમાં પાઠ્યપુસ્તકોમાંથી તેમનું નામ હઠાવી દેવા પત્ર લખ્યો છે. યોગેન્દ્ર યાદવનું કહેવું છે કે આ પાઠયપુસ્તકો તૈયાર કરવા તેમણે બે વરસ સુધી વિચાર્યું હતું. આ પાઠ્યપુસ્તકોમાં પહેલીવાર ભારતીય જનસંઘ અને નકસલી આંદોલનને સ્થાન આપ્યું હતું. પાઠ્ય પુસ્તકોના ઘડતરમાં તત્કાલીન કોંગ્રેસ સરકાર માટે મુશ્કેલ એવી વિગતો (દા.ત.૧૯૮૪ના શીખ વિરોધી રમખાણો) પણ સમાવી હતી. રાજકીય નિષ્પક્ષતાનું પાલન કરીને ઘડાયેલા આ પાઠ્યપુસ્તકોમાં તેમની સંમતિ વિના જે રીતે ફેરફારો કર્યા તેનું તેમણે દુ:ખ અને વિરોધ વ્યકત કર્યા હતા.

    આવા ફેરફારો આજકાલના કે આ કે તે સરકારના જ નથી. લગભગ બધા જ પક્ષોની સરકારો તેમને પ્રતિકૂળ હોય તેવી સામગ્રી પાઠ્યપુસ્તકોમાંથી રદ કરાવે છે કે સુધારા કરાવે છે.બે વરસ પહેલાં બિહારની જયપ્રકાશ નારાયણના નામની છપરા યુનિવર્સિટીના અભ્યાસક્રમમાંથી સમાજવાદી નેતાઓ જયપ્રકાશ અને ડો.રામ મનોહર લોહિયાના સ્થાને સુભાષચંદ્ર બોઝ અને દિનદયાળ ઉપાધ્યાયને દાખલ કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીએ તે નિર્ણય બદલાવ્યો હતો. દેશની સર્વોત્તમ  જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી, દિલ્હીની ઈજનેરી વિધ્યાશાખામાં અધ્યાપકો અને વિધ્યાર્થીઓના ભારે વિરોધ છતાં આતંકવાદ વિરોધી અભ્યાસક્રમને મંજૂરી મળી હતી.

    દિલ્હી યુનિવર્સિટીના દર્શનશાસ્ત્ર વિભાગમાં  આ વરસે વિધ્યાર્થીઓ અને અધ્યાપકોમાં પ્રિય અને ૨૦૧૫થી ભણાવાતો ડો.આંબેડકરનું વિચારદર્શન  વિષય અભ્યાસક્રમમાંથી પડતો મૂકવાનો પ્રસ્તાવ આવ્યો હતો. ખુદ યુનિવર્સિટીના દર્શનશાસ્ત્ર વિભાગના વડાના વિરોધ પછી વિષય તો ચાલુ રખાયો પણ સુધારા સાથે. અને તે સુધારો પણ કેવો ? ડો.આંબેડકરના જે પુસ્તકનું નામ ધ રાઈઝ એન્ડ ફોલ ઓફ હિંદુ વિમેન છે તેમાં હિંદુ ને બદલે ઈન્ડિયન શબ્દ રાખવો ! શું કોઈ લેખકના પુસ્તકના ટાઈટલમાં આવો ફેરફાર કરી શકાય ? કે લેખકના મૌલિક વિચારો સાથે છૂટ લેવાય ?  પણ વિશ્વગુરુ ભારતમાં બધું જ શક્ય છે, નહીં? જાણીતા લેખિકા મહાશ્વેતાદેવી અને દલિત લેખિકાઓ બામા અને સુકિર્તીરાણીની કૃતિઓ અગાઉના વરસોમાં દિલ્હી યુનિવર્સિટીએ અભ્યાસક્રમમાંથી રદ કરી જ હતી ને ? વળી મહાશ્વેતાદેવીની કૃતિનું તો નામ જ દ્રોપદી હતું.

    વિશ્વ વિદ્યાલયો વિદ્યા કે જ્ઞાનના ધામો છે. યુનિવર્સિટી એટલે તો યુનિવર્સ ઓફ આઈડિયા. તેમાં સંકીર્ણતા ન હોઈ શકે.. વિધાર્થીને માટે વિચારના તમામ દ્વાર ખૂલ્લા હોવા જોઈએ. ડાબેરી, જમણેરી, ઉદારવાદી અને સંકીર્ણ એવી બધી જ વિચારધારા જો તે ભણશે જ નહીં તો પછી પોતાનો સ્વતંત્ર મત કઈ રીતે બાંધશે ?  ઈકબાલને બદલે દારા શિકોહને સિલેબસમાં દાખલ કરવાથી ભારત વિભાજનનું સત્ય તારવી શકાશે નહીં. કે ઈકબાલની દ્વિરાષ્ટ્રની થિયરી જાણવાથી વિદ્યાર્થી વંચિત રહે છે,તેનું શું ?

    શિક્ષણ સાથે વિચારધારાને અનુરૂપ છેડછાડ ભારત પૂરતી મર્યાદિત બાબત નથી. સામ્યવાદી દેશોમાં તો કદાચ રાજકીય વિચારધારાને અનુરૂપ શિક્ષણ અપાય તે સમજી શકાય છે.પરંતુ ઉદારમતવાદી ગણાતા લોક્શાહી દેશોમાં પણ શિક્ષણને રાજનીતિનો એરુ આભડ્યા વિના રહેતો નથી. પાકિસ્તાનમાં ભણાવાતા વિભાજનના ઈતિહાસમાં ભારતનું આલેખન દુશ્મન તરીકેનું હોય છે તેમ કહેવાય છે. અમેરિકામાં રંગભેદનો સવાલ એવો જટિલ છે કે આખા અમેરિકામાં સિવિલ રાઈટ મુવમેન્ટ એક સરખી રીતે ભણાવાતી નથી. કાળાઓની નાગરિક અધિકાર ચળવળ રાજ્યોની સામાજિક-રાજકીય સ્થિતિને ધ્યાનમાં રાખીને ભિન્નભિન્ન રીતે ભણાવાય છે. બ્રિટિશ શાસનના અત્યાચારો બ્રિટનના બાળકોને કઈ હદે અને કઈ રીતે ભણાવવા તે બ્રિટિશ સરકારો માટે હજુ ય વણઉકલ્યો કોયડો છે.

    દેશ વિદેશના ઈતિહાસકારો અને વૈજ્ઞાનિકોએ અભ્યાસક્રમમાં થયેલા આ અયોગ્ય બદલાવની ટીકા કરીને પૂર્વવત રાખવા માંગ કરી છે. પાઠ્યપુસ્તકોની રચના, લેખન, સંશોધન અને વિલોપન એક જટિલ બૌધ્ધિક પ્રક્રિયા છે. તેને યોગ્ય પ્રક્રિયાને અનુસર્યા વિના ગુમનામ રાજકારણી હાથમાં ન સોંપાય એટલું કટુ સત્ય સમજવા અને સ્વીકારવાની જરૂર છે.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન – ઋગ્વેદ : પૂર્વભૂમિકા

    ચિરાગ પટેલ

    ભારતીય વેદ/વેદાંત/પુરાણો પર અઢળક લેખો/વિવેચનો/પુસ્તકો અનેક ભાષામાં લખાયા છે. અનેક વિદ્વાનોએ આ શાસ્ત્રોમાં ખેડાણ કર્યું છે. હું એવો વિદ્વાન કે શાસ્ત્રોમાં પારંગત નથી. વળી, હું સંસ્કૃત ભાષા પણ અલ્પ માત્રામાં સમજી શકું છું. પરંતુ, વર્ષોથી એક જિજ્ઞાસુ તરીકે શાસ્ત્રોનો મેં અભ્યાસ કર્યો છે એટલે હું પોતાને શાસ્ત્રોના અભ્યાસુ તરીકે અવશ્ય ઓળખાવું છું.

    અમુક તથ્યો વિષે વાંચતા અને વિચારતા અનેકવાર નવાઈ પામી ગયો છું કે, હજારો વર્ષો પહેલાં એવો વિચાર કે આચાર કેવી રીતે શક્ય બન્યા હશે? હું પોતે વિજ્ઞાન/એન્જીનીયરીંગનો વિદ્યાર્થી છું એટલે તથ્યોને એ દ્રષ્ટિએ વિચારું છું. ઘણીવાર મેં મારા પુસ્તકોમાં નોંધ કરી રાખી છે. લગભગ સોળ વર્ષના ભારતીય શાસ્ત્રોના અભ્યાસે મને નવી દ્રષ્ટિ આપી છે. ઘણીવાર પ્રચલિત માન્યતાઓથી વિરુદ્ધ હોય એવા સત્ય મારા ધ્યાનમાં આવ્યાં છે. કોઈવાર મારો અભ્યાસ અલગ માર્ગે દોડ્યો છે. ઘણી વાતોમાં મને શાસ્ત્રોમાં આલેખેલ માહિતી કવિની કલ્પના લાગી છે, તો ઘણી બાબતો અચંબો પમાડી ગઈ છે.

    મારી મતિમાં જેટલું સમાયું છે એ આ લેખમાળા રૂપે સહુની સાથે ઋષિ પ્રસાદની કૃપા વહેંચવા જઈ રહ્યો છું.

    મારી રૂપરેખા આ પ્રમાણે રહેશે:

    ૧) હું જે શાસ્ત્રનો અભ્યાસ કરું છું, એમાં મારી દ્રષ્ટિએ ચર્ચવાયોગ્ય માહિતીની નોંધ કરતો હોઉ છું. મૂળ ગ્રંથમાંથી એવાં જ શ્લોક/મંત્ર/ઋચા હું આ લેખમાળામાં લઇશ.

    ૨) આરંભમાં જે-તે પૌરાણિક/વૈદિક સાહિત્યના ઋચા/મંત્ર/સામ/શ્લોકના ગુજરાતી અનુવાદ હશે. એમાં મને ઉચિત લાગતાં અનુવાદ લઈશ. સાથે મૂળ ગ્રંથમાંથી એનો સંદર્ભ ક્રમ મુકીશ, જેથી ઈન્ટરનેટ પર સંસ્કૃત/ઈંગ્લીશ/હિન્દી/ગુજરાતી વગેરે ભાષામાં ઉપલબ્ધ માહિતી સાથે સરખાવી શકાય. મેં ગાયત્રી પરિવાર દ્વારા પ્રકાશિત અનુવાદ, આર્યસમાજ દ્વારા પ્રકાશિત અનુવાદ અને ઇન્ટરનેટ પર ઉપલબ્ધ અનેક અનુવાદ – એમ ત્રણ સંદર્ભનો ઉપયોગ કર્યો છે.

    ૩) પછી, મારી દૃષ્ટિએ એ શ્લોક/મંત્ર/ઋચાનું વિવેચન કરીશ.

    સંસ્કૃતમાં એક જ શબ્દના અનેક અર્થ જોવા મળે છે અને હું સ્વાભાવિક રીતે આધુનિક સંદર્ભ ધરાવતા અર્થનો ઉપયોગ કરીશ. વળી, વેદોના શબ્દો આધિ ભૌતિક, આધિ દૈવિક અને આધ્યાત્મિક ત્રણેય પ્રકારના અર્થ ધરાવે છે. એવું કહેવાય છે કે, વેદોના શબ્દોનો અર્થ ના જાણતો વ્યક્તિ પણ જો માત્ર મંત્રોનું પઠન કરતો જાય તો પણ આપોઆપ એ શબ્દોમાં રહેલ ત્રણેય પ્રકારના ભાવને સમજતો થઈ જાય છે. વેદોના શબ્દોને ઋષિઓના આ આશિર્વાદ છે. મને તેનો સ્વાનુભવ છે.

    પ્રત્યેક વેદમંત્રના ઋષિ, દેવતા અને છંદ હોય છે. જે મંત્રની અભિવ્યક્તિ કરે છે તે ઋષિ. કોઈ વ્યક્તિ કહે કે એને શ્રી નરેન્દ્ર મોદી ઓળખે છે. પરંતુ જ્યારે શ્રી નરેન્દ્ર મોદી સ્વયં કહે કે તેઓ પેલી વ્યક્તિને ઓળખે છે; ત્યારે એ અભિવ્યક્તિની અસર ઊંડી હોય છે. એટલે, કયા ઋષિ કયો મંત્ર/શ્લોક/ઋચા જણાવે છે એ ઘણું જ મહત્વ ધરાવે છે. પ્રત્યેક કાર્ય માટે શક્તિનો કોઈ પ્રવાહ રહેલો હોય છે. મંત્રમાં કહેવામાં આવે કે, “હે સૂર્ય! મારી બુદ્ધિને શુદ્ધ કરો”. તો આ મંત્રમાં સૂર્યના શક્તિ કે પ્રકાશ પ્રવાહને સંબોધીને ઋષિ પોતાની બુદ્ધિ શુદ્ધ કરવાની કામના કરે છે. એટલે, વેદમંત્રોના દેવતા જાણવા ઘણું જ મહત્વ ધરાવે છે. છંદ શબ્દોના ભાવને જગવનાર એવી અક્ષરોની ગૂંથણી છે.

    આ ભગીરથ કાર્યમાં મારી આરાધ્યા મા જગદંબા, માતા-પિતા, પત્ની, બાળકો, સંબંધીઓ, મિત્રો અને અનેક ગુરુજનોના સાથ અને આશિષનો ઋણ સ્વીકાર કરું છું!

    પ્રણામ!


    શ્રી ચિરાગ પટેલનું  ઈ-મેલ સંપર્ક સરનામું :-  chipmap@gmail.com

  • પ્રણવથી પરમેશ્વર

    ઉપનિષદોમાં શિક્ષણ વિભાવના

    દિનેશ.લ. માંકડ

               માણસ માત્રની જીવનની બધી જ ક્રિયાઓમાં મનની ભૂમિકા સૌથી વધારે મહત્ત્વની હોય છે.મન જેટલું સ્વસ્થ એટલી સિદ્ધિ સફળતા વધારે. મન-ચિત્તને કોઈપણ પ્રક્રિયામાં સ્વસ્થ રીતે જોડવું એ પ્રાથમિક બાબત છે. પછી તે અભ્યાસ-શિક્ષણ હોય કે અન્ય કાર્ય. જગત આખું મન-ચિત્તને એકાગ્ર, સ્થિર કરવા માટેના ઉપાય શોધવામાં દોડ્યા કરે છે.પણ ભારતીય સંસ્કૃતિ પાસે તો તેઓ ઉકેલ આદિકાળથી છે. ૐ કાર જ એ માટે તો ઉત્તમ મંત્ર છે.

    સૌથી પ્રાચીન ગ્રંથ ઋગ્વેદનો પ્રથમ મંત્ર જ ૐ છે. બ્રહ્માંડની ઉત્પત્તિ થઇ ત્યારથી ૐ કાર ઉદભવ્યો છે ,એમ કહીએ તો કદાચ અતિશયોક્તિ નહિ કહેવાય. થોડાં વર્ષ અગાઉ અમેરિકાની વિશ્વમાન્ય અવકાશ સંશોધન સંસ્થા નાસા એ પ્રયોગોના આધારે સાબિત કર્યું અને જાહેર કર્યું કે સૂર્યના ગોળામાંથી જે ધ્વનિ પ્રાપ્ત થાય છે તે ૐ કાર જ છે.સામાન્ય વ્યક્તિ પણ એક ઊંડો શ્વાસ ભરીને ૐ કાર બોલે તો તેની સીધી અસર તેની મનની સકારાત્મક સ્થિતિ પર પડે. ૐ કાર ,મોટાભાગના ભારતીય ધર્મ,સંપ્રદાયને સ્વીકાર્ય છે  અનેક મંત્ર,શ્લોકનો પ્રારંભ ૐ થી શરૂ થાય છે

    ઉપનિષદોમાં પણ ૐ કાર ને વિશેષ પ્રાધાન્ય હોય તે સ્વાભાવિક જ છે કારણકે  વિદ્યા-શિક્ષણ પ્રાપ્તિનો  પ્રારંભ જ ચિત્ત એકાગ્રતાથી થાય.પ્રત્યેક ઉપનિષદનો શાંતિપાઠ ૐ કારથી શરૂ થાય છે. વિશેષ કરીને ‘પ્રણવોપનિષદ,’ મુણ્ડકોપનિષદે’  ૐ કારના વિશેષ ગુણ કહ્યા છે. અન્યમાં પણ ૐ કાર ની અનેક ફલશ્રુતિઓ તો છે જ.

    પ્રણવોપનિષદના ભાષ્યનો પ્રારંભ કરતી વેળા પૂજ્ય રામશર્માજી કહે છે કે,’ આ ઉપનિષદમાં પરબ્રહ્મની અક્ષર અભિવ્યક્તિ એટલે જ ૐ ‘. પ્રારંભે જ ઉપનિષદ કહે છે ओमित्येकाक्षरं ब्रह्म यदुक्तं ब्रह्मवादिभिः ।

    शरीरं तस्य वक्ष्यामि स्थानकालत्रयं तथा ॥ ‘ બ્રહ્મવેત્તાઓએ ૐ કાર ને જ એક અદ્વિતીય ,અવિનાશી,બ્રહ્મ કહેલ છે એના શરીર,સ્થાન અને કાળત્રયનું વિવેચન હવે કરવામાં આવે છે.’ મજાની વાત તો એ છે કે સમગ્ર સુષ્ટિમાં ત્રિવિધ સ્વરૂપો દેખાય છે .પ્રકૃતિના ત્રણ છે-સત્વ, રજ અને તમ, ત્રણ લોક-ઉત્તમ, મધ્યમ તથા કનિષ્ઠ અથવા સ્વર્ગ, મૃત્યુ ને પાતાળ.,ત્રણ અવસ્થાઓ-જાગૃતિ, સ્વપ્ન ને સુષુપ્તિ. ઈશ્વરનાં ત્રણ રૂપ-બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ., ત્રણ જાતનાં શરીર-સ્થૂલ, સૂક્ષ્મ ને કારણ. ત્રણ પ્રકારના જીવો-વિષયી, જિજ્ઞાસુ તથા મુક્ત.

    એવી રીતે સૃષ્ટિમાં બધું ત્રિવિધ છે, તે ત્રિવિધ પ્રકારની સૃષ્ટિનો નિર્દેશ ૐકારના અ, ઉ અને મ – ત્રણ અક્ષરોમાં કરવામાં આવ્યો છે,અને એ વાતને પ્રણવોપનિષદ મંત્રોથી સમર્થન આપે છે. तत्र देवास्त्रयः प्रोक्ता लोका वेदास्त्रयोऽग्नयः ।  तिस्रो मात्रार्धमात्रा च प्रत्यक्षस्य शिवस्य तत् ॥ ‘ એ ૐ કાર રૂપમાં ત્રણ દેવતાઓ,ત્રણ લોક ત્રણ વેદ, ત્રણ અગ્નિ ,ત્રણ પૂર્ણ માત્રા અને એક અર્ધ માત્રા સમાયેલ છે.એ જ એનું સાક્ષાત કલ્યાણકારી .શિવ  સ્વરૂપ છે ‘  અ કાર’ માં ઋગ્વેદ ,પૃથ્વી,ગાર્ધ્ય પત્ય અગ્નિ ,દેવ બ્રહ્મા ,સમાયેલા છે ‘ ऋग्वेदो गार्हपत्यं च पृथिवी ब्रह्म एव च । તો ‘ ઉકાર ‘ માં યજુર્વેદ ,અંતરિક્ષ ,દક્ષિણાગ્નિ અને ભગવાન વિષ્ણુ નિરૂપિત છે. यजुर्वेदोऽन्तरिक्षं च दक्षिणाग्निस्तथैव च । विष्णुश्च भगवान् देव उकारः परिकीर्तितः ॥  અને ‘મ કાર’ માં સામવેદ, દ્યુલોક ,આહવનીય અગ્નિ અને મહાદેવ નિરૂપિત છે.’ सामवेदस्तथा द्यौश्चाहवनीयस्तथैव च । ईश्वरः परमो देवो मकारः परिकीर्तितः ॥

     

    ૐ કારની સર્વવ્યાપકતા અહીં પુરી નથી થતી.પ્રકાશના પુંજ એવા સૂર્ય,ચંદ્ર અને અગ્નિમાં પણ તે નિરૂપિત છે.’ અ કાર ‘ માં સમગ્ર સૂર્ય મંડળ, सूर्यमण्डलमाभाति ह्यकारश्चन्द्रमध्यगः । ‘ઉકાર ‘માં ચંદ્રમંડળ છે..उकारश्चन्द्रसङ्काशस्तस्य मध्ये व्यवस्थितः ॥ ‘ મ કાર ‘ માં ધુમાડારહિત વિદ્યુત સમાન અગ્નિ સમાયેલા છે. मकारश्चाग्निसङ्काशो विधूमो विद्युतोपमः । મંત્રમાં ત્રણેય માત્રામાં પ્રભાવિત ૐ કારના તેજસ સ્વરૂપની વિભાવનાએ ફરી યાદ અપાવે છે. तिस्रो मात्रास्तथा ज्ञेयाः सोमसूर्याग्नितेजसः ॥ તેજ અગ્નિમાં દીપશિખાનું વિશેષ મહત્ત્વ હોય કારણકે તે તેની પ્રજ્જવલિતપણાની સાક્ષી છે.ૐ કારમાં ઉપર આવેલી અર્ધ ચંદ્ર માત્રા એ દીપશાખા છે .જે ઉર્ધ્વગામી થવાનો શુભસંકેત આપે છે.शिखा च दीपसङ्काशा यस्मिन्नु परिवर्तते । अर्धमात्रा तथा ज्ञेया प्रणवस्योपरि स्थिता ॥

    જો યોગ્ય ઉચ્ચારણથી ૐ કાર થાય તો તે કેટલો પ્રભાવી છે તે હવે પ્રણવોપનિષદના આગળના મંત્રમાં કહ્યું છે.  આ શિખાનું મહત્ત્વ દર્શાવતાં કહે છે કે,’ કમળસૂત્ર સમાન સૂક્ષ્મ શિખાની કાંતિ મસ્તકમાં દૃષ્ટિગોચર થાય છે ને નાસિકા દ્વારા સૂર્યવંત તેજ ધારણ કરીને સૂર્યમંડકનું ભેદન કરીને ત્યાં રહે છે. सूर्यं हित्वा तथापरम् ॥ અને એથી પણ આગળ द्विसप्ततिसहस्राणि नाडिभिस्त्वा तु मूर्धनि । वरदं सर्वभूतानां सर्वं व्याप्यैव तिष्ठति ॥ અગ્નિ સ્વરૂપમાં એ  શિખા 72000 નાડીઓ દ્વારા સંપૂર્ણ પ્રાણીઓને વર ( જીવન-પ્રાણ) આપનારી અને બધાને વ્યાપ્તને  રહેલી છે.ૐ કાર મંત્રની સાધનાના પ્રભાવને વર્ણવતાં કહે છેs,’ જયારે મુમુક્ષ, મોક્ષ પ્રાપ્તિની નજીક શાંત સ્થિતિને મેળવી લે છે. તેને કાંસાના ઘંટ સમાન ધ્વનિ સંભળાય છે. આ ૐ કાર નું સ્વરૂપ છે.આ સ્વરૂપને દરેક સાધક સાંભળવાની ઈચ્છા રાખે છે. कांस्यधण्टानिनादः स्याद्यदा लिप्यति शान्तये । ओङ्कारस्तु तथा योज्यः श्रुतये सर्वमिच्छति ॥

    પ્રણવોપનિષદના અંતિમ મંત્રમાં શ્રેષ્ઠ ફળનું વર્ણન કરે છે.यस्मिन् स लीयते शब्दस्तत्परं ब्रह्म गीयते ।सोऽमृतत्वाय कल्पते सोऽमृतत्वाय कल्पते ॥ ‘ જે સાધક ૐ કાર સ્વરૂપમાં લીન બની જાય છે એ બ્રહ્મ સ્વરૂપ જ કહેવામાં આવે છે.એ જ અમૃતત્વને મેળવી લે છે, એ નિશ્ચિત્ત છે.

    मुण्डकोपनिषद् અનુસાર,બ્રહ્મ પ્રાપ્તિ માટેની વિવિધ સાધનાઓમાં પ્રણવોપાસના મુખ્ય છે, प्रणवो धनु:शरोह्यात्मा ब्रह्मतल्लक्ष्यमुच्यते। अप्रमत्तेन वेद्धव्यं शरवत्तन्मयो भवेत् ॥ આગળ એક ઉપમાથી આ ઉપનિષદ ૐ કારનું પણ સચોટ મહત્ત્વ દર્શાવે છે. ‘પ્રણવ ૐ કાર ધનુષ્ય છે અને અંતરાત્મા બાણ છે. બ્રહ્મ તેનું લક્ષ્યવેધ માનવામાં આવે છે.આળસ પ્રમાદરહિત મનુષ્ય જ તે વેધી શકે છે.બાણથી લક્ષ્ય વેધીને એકાગ્રતાપૂર્વક તેમાં તન્મય બની જવું જોઈએ.’ प्रणवो धनुः शारो ह्यात्मा ब्रह्म तल्लक्ष्यमुच्यते । अप्रमत्तेन वेद्धव्यं शरवत् तन्मयो भवेत् ॥

    અમૃતનાદ ઉપનિષદ તો ૐ કારથી બ્રહ્મનિર્વાણ સ્થિતિ સુધી પહોંચવાની દિશા બતાવે છે -ओङ्कारं रथमारुह्य विष्णुं कृत्वाथ सारथिम् । ब्रह्मलोकपदान्वेषी रुद्राराधनतत्परः ॥ ( યોગ સાધનાનો પ્રારંભ )  ૐ કાર રૂપી રથ આરૂઢ થઈને તથા ભગવાન વિષ્ણુને સારથી બનાવી પરમપદનું ચિંતન કરતાં જ્ઞાની પુરુષ ભગવન્ન રૂદ્રની ઉપાસનામાં લીન  થાય છે.. ओमित्येकाक्षरं ब्रह्म ओमित्येकेन रेचयेत् । दिव्यमन्त्रेण बहुशः कुर्यादात्ममलच्युतिम् ॥ ‘આ શબ્દ રૂપ એકાક્ષર પ્રણવ જ બ્રહ્મ છે.તેનું ધ્યાન કરતાં રેચક કરો.’ અમૃતોપનિષદ અનુસાર જે સ્વર કે વ્યંજન નથી ,જે કંઠ્ય, તાલવ્ય,દંત્ય વગેરેથી નહિ પણ જે પ્રાણમાંથી ઉદભવે છે  તેની સાધક યોગ્ય રીતે સાધના કરે તો યથાનુક્રમ બ્રહ્મનિર્વાણ સુધી પણ પહોંચી શકે.  

    છાંદોગ્ય ઉપનિષદ વર્ણવે છે –‘ ઉદ્દગાતા દ્વારા ૐ અક્ષરનું સર્વપ્રથમ ઉચ્ચારણ કરવામાં આવે છે.ૐ નું ઉચ્ચારણ કરી સામવેદનું ગાન કરે છે.’ ओमित्येतदक्षरमुद्गीथमुपासीत । ओमिति ह्युद्गायति तस्योपव्याख्यानम्  ॥ ‘ સંપૂર્ણ પદાર્થોનો સાર-રસ પૃથ્વી છે. પૃથ્વીનો સાર જળ છે.જળનો રસ ઔષધ,ઔષધીનો સાર પુરુષ ,પુરુષનો સાર વાંક ,વાણીનો સાર સામ અને સામનો રસ ઉદગીથ છે… एषां भूतानां पृथिवी रसः पृथिव्या अपो रसः ।

    अपामोषधयो रस ओषधीनां पुरुषो रसः  पुरुषस्य वाग्रसो वाच ऋग्रस ऋचः साम रसः साम्न उद्गीथो रसः ॥ આ ૐ કાર બધા રસોમાં સર્વોત્તમ છે.એ પરમાત્માનું પ્રતીક હોવાથી ઉપાસ્ય છે स एष रसानाꣳरसतमः परमः परार्ध्योऽष्टमो यदुद्गीथः ॥

    તૈત્તિરીય ઉપનિષદના આઠમા અનુવાકમાં ૐ નું મહત્ત્વ દર્શાવાયું છે. ‘ૐ જ બ્રહ્મ છે ૐ જ આ પ્રત્યક્ષ જગત છે .તેની અનુકૃતિ છે.ૐ થી પ્રારંભ કરીને સામ ગાયક સામગાન કરે છે.ૐ-ૐ કહેતાં શાસ્ત્ર મંત્ર વાંચવામાં આવે છે.ૐ થી જ અધ્વર્યુ પ્રતિગર મંત્રોનું વાંચન કરે છે. ૐ કહીને જ અગ્નિહોત્ર પ્રારંભ કરવામાં આવે છે.અધ્યયન વખતે ૐ કહીને બ્રહ્મને મેળવવાની વાત કહે છે.ૐ દ્વારા જ એ બ્રહ્મને મેળવે છે ओमिति ब्रह्म । ओमितीदꣳसर्वम् । ओमित्येतदनुकृतिर्हस्म वा अप्योश्रावयेत्याश्रावयन्ति । ओमिति सामानि गायन्ति । ॐꣳशोमिति शस्त्राणि शꣳसन्ति ।ओमित्यध्वर्युः प्रतिगरं प्रतिगृणाति । ओमिति ब्रह्मा प्रसौति । ओमित्यग्निहोत्रमनुजानाति । ओमिति ब्राह्मणः प्रवक्ष्यन्नाह ब्रह्मोपाप्नवानीति । ब्रह्मैवोपाप्नोति ॥

    નાદબિંદુ ઉપનિષદમાં ૐ ને હંસનું પ્રતીકાત્મક રૂપ બતાવીને તેની બાર માત્રાઓ તથા તેની સાથે પ્રાણના વિનિયોગનું ફળ કહેવામાં આવેલ છે.. ॐ अकारो दक्षिणः पक्ष उकारस्तूत्तरः स्मृतः । मकारं पुच्छमित्याहुरर्धमात्रा तु मस्तकम् ॥ ‘ ૐ કાર રૂપી હંસનો ‘ અ કાર ‘ જમણી પાંખ ( દક્ષિણ પક્ષ ) તથા ‘ઉ કાર’ ડાબી પાંખ ( ઉત્તર પક્ષ ) કહેવામાં આવે છે.એની પૂંછડી ‘ મ કાર’ અને અર્ધ માત્રા એનો શીર્ષ ભાગ છે.’ पादादिकं गुणास्तस्य शरीरं तत्त्वमुच्यते । धर्मोऽस्य दक्षिणश्चक्षुरधर्मो योऽपरः स्मृतः ॥ ‘ તેના પગો રજો ગુણ અને તમો ગુણ છે અને શરીર સતોગુણ છે.જમણી આંખ ધર્મને ડાબી આંખ અધર્મ છે.’  भूर्लोकः पादयोस्तस्य भुवर्लोकस्तु जानुनि । सुवर्लोकः कटीदेशे नाभिदेशे महर्जगत् ॥ ‘બંને પગોમાં ભૂ લોક,,જંઘાઓમાં અંતરિક્ષ,સ્વર્ગલોક તેની કેડમાં અને મહઃ લોક તેની નાભિ પ્રદેશમાં છે.’ जनोलोकस्तु हृद्देशे कण्ठे लोकस्तपस्ततः । भ्रुवोर्ललाटमध्ये तु सत्यलोको व्यवस्थितः ॥  એના હૃદય સ્થળમાં જન લોક ,કણ્ઠપ્રદેશમાં તપોલોક વિદ્યમાં છે અને લલાટ અને ભ્રમરોની વચ્ચે સત્યલોક રહેલ છે. सहस्रार्णमतीवात्र मन्त्र एष प्रदर्शितः ।  एवमेतां समारूढो हंसयोगविचक्षणः ॥  હજારો અવયવ યુક્ત પ્રણવરૂપ હંસ ઉપર બેસી હંસયોગી વિચક્ષણ પુરુષ ૐ કારની શ્રેષ્ઠ વિધિ દ્વારા ચિંતનમનન કરતાં હજારો પાપથી નિવૃત થઇ મોક્ષ પ્રાપ્ત કરે છે.न भिद्यते कर्मचारैः पापकोटिशतैरपि । आग्नेयी प्रथमा मात्रा वायव्येषा तथापरा ॥

    ૐ કાર  દેવતા અગ્નિ છે.એનું સ્વરૂપ અગ્નિમંડળ જેવું છે.’અ કાર’ નામની માત્રા ‘અગ્નેયી’ ‘ઉકાર’ ની વાયવ્યા ‘ भानुमण्डलसंकाशा भवेन्मात्रा तथोत्तरा । परमा चार्धमात्रा या वारुणीं तां विदुर्बुधाः ॥ અને ત્યારબાદ ‘ મ કાર ‘ સૂર્યમંડળ સમાન છે.ચોથી અર્ધ માત્રા ‘વારુણી ‘ કહેવાય છે. ભિન્ન નામોથી ઓળખાતી માત્રાઓને પૂર્ણ તઃ ધ્યાન ધારણા અને સમાધિ દ્વારા જાણવાનો પ્રયાસ કરે તો માત્રા અનુસાર તેને છેક બ્રહ્મલોક સુધી પ્રાપ્ત થાય છે.      ब्रह्मप्रणवसन्धानं नादो ज्योतिर्मयः शिवः । स्वयमाविर्भवेदात्मा मेघापायेंऽशुमानिव ॥

    ‘પ્રારબ્ધ કર્મ સમાપ્ત થયા પછી ૐ કાર સ્વરૂપ આત્માની એકતાના ચિંતનથી નાદરૂપમાં સ્વયં પ્રકાશવાન શિવના કલ્યાણકારી સ્વરૂપનો પ્રાદુર્ભાવ એવી રીતે થાય છે જેવી રીતે વાદળાં દૂર થઇ જવાથી ભગવાન ભાસ્કર પ્રકાશિત થઇ જાય’. अभ्यस्यमानो नादोऽयं बाह्यमावृणुते ध्वनिम् । पक्षाद्विपक्षमखिलं जित्वा तुर्यपदं व्रजेत् ॥ આવી રીતે કરવામાં આવેલો નાદનો અભ્યાસ બાહ્ય ધ્વનિઓને આવૃત કરી લે છે.એવી જ રીતે સાધક બંનેય પક્ષો  અ કાર અને મ કાર ને જીતીને ક્રમશઃ સંપૂર્ણ ૐ કાર ને ધીરે ધીરે આત્મસાત કરી તુર્યાવસ્થા પ્રાપ્ત કરી લે છે.. नादकोटिसहस्राणि बिन्दुकोटिशतानि च ॥  निरञ्जने विलीयेते मनोवायू न संशयः । नादकोटिसहस्राणि बिन्दुकोटिशतानि च ॥ એ ઉપરાંત મન અને પ્રાણ બંનેય સંશય રહિત થઈને નિરાકાર પરંબ્રહ્મમાં લિન થઇ જાય છે.કરોડો કરોડો નાદ અને બિંદુ એ બ્રહ્મરૂપ પ્રણવનાદમા  વિલીન થઇ જાય છે.

    માંડુક્ય ઉપનિષદએ ૐ કાર ના આ રીતે ગુણગાન  ગાયાં છે.–ॐ इत्येतदक्षरमिदꣳ सर्वं तस्योपव्याख्यानं भूतं भवद् भविष्यदिति सर्वमोङ्कार एव यच्चान्यत् त्रिकालातीतं तदप्योङ्कार एव ॥ ૐ આ અક્ષર અવિનાશી બ્રહ્મનું પ્રતીક છે.એનો મહિમા દર્શાવનાર વિશ્વ બ્રહ્માંડ છે .બહુ, ભવિષ્ય અને વર્તમાનકાળ વાળો આ સંસાર પણ ૐ કાર છે. ત્રણકાળથી અન્ય જે કઈ છે તે પણ ૐ કાર છે.  जागरितस्थानो वैश्वानरोऽकारः प्रथमा मात्राऽऽप्तेरादिमत्त्वाद्  वाऽऽप्नोति ह वै सर्वान् कामानादिश्च भवति य एवं वेद ॥  स्वप्नस्थानस्तैजस उकारो द्वितीया मात्रोत्कर्षात् उभयत्वाद्वोत्कर्षति ह वै ज्ञानसन्ततिं समानश्च भवति नास्याब्रह्मवित्कुले भवति य एवं वेद ॥  सुषुप्तस्थानः प्राज्ञो मकारस्तृतीया मात्रा मितेरपीतेर्वा मिनोति ह वा इदं सर्वमपीतिश्च भवति य एवं वेद ॥ ‘જાગૃત અવસ્થા વાળો વૈશ્વાનર આદિત્યએ ૐ નું પ્રથમ ચરણ છે..સ્વપ્નાવસ્થાવાળો તેજસ રૂપ તેનું બીજું ચરણ અને ત્રીજું ચરણ પ્રાણ વિશ્વના માપક છે.’

    मैत्रायण्युपनिषत् પણ ૐ કાર ના મૂર્ત અને અમૂર્ત સ્વરૂપને વર્ણવી મનુષ્ય ઈચ્છા અનુસાર પ્રાપ્ત કરી શકે તેવો નિર્દેશ કરે છે. द्वे वाव ब्रह्मणो रूपे मूर्तं चामूर्तं चाथ यन्मूर्तं तदसत्यं यदमूर्तं तत्सत्यं तद्ब्रह्म यद्ब्रह्म

    तज्ज्योतिर्यज्ज्योतिः स आदित्यः स वा एष ओमित्येतदात्मा स  त्रेधात्मानं व्यकुरुत ओमिति तिस्रो मात्रा एताभिः सर्वमिदमोतं प्रोतं चैवास्मिन्नित्येवं ह्याहैतद्वा आदित्य ओमित्येवं  ध्यायंस्तथात्मानं युञ्जीतेति ॥ ‘બ્રહ્મના બે રૂપ છે .મૂર્ત અને અમૂર્ત.જે અમૂર્તરૂપ છે તે જ સત્ય છે.( અન્ય રૂપોની જેમ ) એ જ ૐ કાર છે. ૐ કારમાં બધાં તત્ત્વ વિદ્યમાન છે.આદિત્ય જ ૐ કારનું બ્રહ્મ સ્વરૂપ છે. જે ૐ કાર છે તે જ ઉદગીથ છે.તે નિદ્રા રહિત, વ્રધ્ધાવસ્થા રહિત ,મૃત્યુ રહિત છે.આ સમસ્ત વિશ્વ ૐ કાર નું સ્વરૂપ છે.આ ૐ કાર રૂપ અક્ષરનો બોધ કરીને મનુષ્ય જે કઈ ઈચ્છે તે ઇચ્છાનુસાર મેળવી શકે છે’

    ૐ કાર એ આધ્યાત્મ ,આરોગ્ય અને આત્મચિંતનના સમન્વયથી શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવાનો ખુબ સરળ ઉપાય છે અને એટલે જ તમામ ઉપનિષદો તેનું અદભુત મૂલ્ય બતાવ્યું છે .માનવજીવનના ઉત્કર્ષનો આ હાથવગો  અમૂલ્ય ખજાનો સાધન બનાવીને સાધ્યની દિશામાં આગળ પ્રયાણ કરીએ.


    શ્રી દિનેશ  માંકડનું  ઈ-મેલ સંપર્ક સરનામું :-   mankaddinesh1952@gmail.com

  • રાઈનો પર્વત (૧૯૧૩) – અંક પહેલો: પ્રવેશ ૧

    સર્જક : રમણભાઈ મહિપતરામ નીલકંઠ

    નાટકનાં પાત્રો

    પુરુષવર્ગ

    પર્વતરાય : ⁠ કનકપુરનો રાજા
    લીલાવતી : ⁠ પર્વતરાયની રાણી
    કલ્યાણકામ : ⁠ પર્વતરાયનો પ્રધાન
    પુષ્પસેન : ⁠ પર્વતરાયનો સેનાપતિ
    શીતલસિંહ : ⁠ પર્વતરાયનો એક સામંત
    દુર્ગેશ : ⁠ પર્વતરાયનો એક મંડળેશ
    (=મંડળ-પ્રાંતનો અધિકારી, સૂબો)
    વંજૂલ : ⁠ કલ્યાણકામનો આશ્રિત
    રાઈ : ⁠ કિસલવાડીમાંનો માળી
    જગદીપદેવ : ⁠ રત્નદીપદેવનો પુત્ર

    ● ● ●

    સ્ત્રીવર્ગ

    લીલાવતી : ⁠ પર્વતરાયની રાણી
    વીણાવતી : ⁠ પર્વતરાયની અને રાણી રૂપવતીની પુત્રી
    સાવિત્રી : ⁠ કલ્યાણકામની પત્ની
    કમલા : ⁠ પુષ્પસેનની પુત્રી
    મંજરી : ⁠ લીલવતીની દાસી
    લેખા : ⁠ વીણાવતીની દાસી
    જાલકા : ⁠ કિસલવાડીમાંની માલણ
    અમૃતાદેવી : ⁠ રત્નદીપદેવની રાણી

    ● ● ●

    સિપાઈઓ, નોકરો, દ્વારપાલ, કોટવાળ, બાવો, પુરવાસીઓ, પુરસ્ત્રીઓ, પ્રતિહાર, રાજભટ, રબારી, દૂત, પુરોહિત, દાસીઓ વગેરે.

    સૂચિત પાત્રો

    રૂપવતી : ⁠ પર્વતરાયની વિદેહ રાણી
    રત્નદીપદેવ : ⁠ કનકપુરનો પ્રથમનો વિદેહ રાજા

    ● ● ●

    સ્થળ

    કનકપુર : ⁠ ગુજરાતની રાજધાની
    (વલ્લભીપુરના નાશ પછીના સમયમાં)
    પ્રભાપુંજ : ⁠ કનકપુરમાં રાજાનો મહેલ
    કિસલવાડી : ⁠ કનકપુરથી થોડે દૂર આવેલો બાગ
    રંગિણી : ⁠ કિસલવાડી પાસે થઈ વહેતી નદી
    રુદ્રનાથ : ⁠ રંગિણી નદીને કિનારે આવેલું મહદેવનુંમંદિર

    અંક પહેલો: પ્રવેશ ૧

    સ્થળ: કિસલવાડી

    [જાદુની તૈયારી કરતી જાલકા રાત્રે અંધારામાં પ્રવેશ કરે છે.]

    જાલકા: (સ્વગત) મંત્રની સાધના કરવી એમાં મુશ્કેલી નથી, પણ, રાઈને તે વખતે આઘે કેમ રાખવો એ મુશ્કેલ છે. એ પાસે હોય તો બધો ખેલ બગડી જાય. એને કાંઈ સમજાવીને દૂર રાખવો પડશે. (બૂમ પડે છે) રાઈ ! રાઈ !

    [રાઈ હાથમાં પુસ્તક લઈ પ્રવેશ કરે છે.]

    રાઈ: જાલકા ! તેં મને બૂમ પાડી ? હું એ ઓરડીમાં દીવે વાંચતો હતો, ત્યાં મને ભણકારા પડ્યા.
    જાલકા: વાંચવાનો તને વખત મળે છે, અને, બાગ સંભાળવાનો વખત મળતો નથી. આ વાડી સંભાળ વગર ખરાબ થઈ જશે. જો !

    કળિયો મુખ અર્ધું ખોલિને
    અટકી આ જલ વીણ શોષથી;
    ગુંચવે ઉગતી સુ-વેલિને,
    તૃણ કાંટા વધિ આસપાસથી. ૧

    રાઈ: ત્યારે તું મને પુસ્તકો શા માટે આણી આપે છે ? માળીઓએ પુસ્તકો કરતાં ઝાડ ઉપર વધારે લક્ષ આપવું જોઈએ એ કબૂલ કરું છું પણ, મેં તને ઘણી વાર કહ્યું છે કે મારાથી માળી થઈ શકાય એમ નથી. માત્ર તારી મરજી પાળવા ખારા હું ઝારી અને ખરપડી હાથમાં લઉં છું.

     

    જાલકા: બીજું પણ એક કારણ છે.
    રાઈ: હા. તેં આણી આપેલ એક પુસ્તકમાં એવું વચન હતું કે

    ‘પ્રજાપાલકની વૃત્તિ માળીના સરખી ખરે;
    ઉછેરે, ફળ લે બંને. ઉખેડે, પ્રીતિ એ કરે.’ ૨

    તે ઉપરથી મને લાગેલું કે માળીના કાર્યમાં પણ ઉન્નતિ છે. પણ, સરખામણીની એવી કલ્પિત મોટાઈથી કોઈ મોટું થતું નથી. ઈશ્વર શી રીતે સૃષ્ટિ બનાવે છે તે એક પ્રકારના દૃષ્ટિબિન્દુથી સમજાવવા કેટલીવાર કરોળિયાનું ઉદાહરણ લેવામાં આવે છે, પણ, તે માટે કરોળિયા પૂજાતા નથી.

    જાલકા : હશે, અત્યારે એ બધા વાદવિવાદની જરૂર નથી. જા, દીવો લઈ આવ.

    [રાઈ જાય છે.]

    જાલકા: (સ્વગત) કાંઈક હકીકત તો એને કહેવી પડશે. લાવ, વસ્ત્ર ધરી સજ્જ થાઉં. એ વસ્ત્ર એ છો જોતો. (વસ્ત્ર પહેરે છે.)

    [ફાનસ લઈ રાઈ પ્રવેશ કરે છે]

    રાઈ: લે, આ દીવો લાવ્યો.

    (જાલકાને જોઇ આશ્ચર્ય પામીને)

    જાલકા ! આ શું ?

    આ વેશ કેવો અવનવો પ્હેર્યો સિરેથી પગ સુધી!
    કાળાં બધાં આ વસ્ત્ર શાં ! ને પટ્ટિઓ શી જુદીજુદી !

     

    કમરે પટો શો બાંધિયો ! લટકંત પડદા ટોપિના !
    કરમાં લીધો આ દંડ શો ! શા કેશ છૂટા વેણિના! ૩

    તને કાંઈ ગેબી ભેદમાં જ આનંદ થાય છે.
    જાલકા: લે ભેદ નહિ રાખું. તારા પોષણની ખામીથી મરી ગયેલાં ઝાડને ફરી સજીવન કરવાનો પ્રયત્ન મેં શરૂ કર્યો છે. આજ આરંભમાં આ સૂકાઈ ગયેલા ઝાડને લીલા છોડ જેવું બનવવા ધારું છું. એની સામે ઊભા કરેલા ચોકઠામાં મને કાળો પડદો બાંધવા લાગ. (બંને મળીને પડદો બાંધે છે.) સવારે તને અહીં હું એ ચમત્કાર થયેલો બતાવીશ. અત્યારે તો તું જા. મનુષ્યોની આંખોના દેખતાં કોઈ પ્રાણીમાં પ્રાણ પ્રવેશ કરતો નથી. જાદુના જોરથી મારી આંખોને તો હું અદૃશ્ય કરી શકીશ. પણ, તું તો જા. હવે વધારે ન પૂછીશ. બાકીનું બધું સવારે.
    રાઈ: હું જાઉં છું. પણ આ અનુષ્ઠાનના સમાચાર સાંભળ્યા પછી મને તરત ઉંઘ કેમ આવશે? અને, જાગતો ઓરડીમાં બેસી રહું?
    જાલકા: (વિચાર કરીને) – બાગમાં દક્ષિણની બાજુએ છેક છેડે કોઈ પશુ પેસી જઈ ઝાડપાનને નુકશાન કરે છે, અને, પેલા ચંપાના રોપનો ફૂટતો ગંધ ન ખમાતો હોય તેમ દર રાત્રે તેને છૂંદી જાય છે. માટે, ત્યાં તપાસ રાખતો બેસ.
    રાઈ: તીરકામઠું લઈને જાઉં? દૂર ઓથે બેઠો રહીશ. એટલે તે નિશાચર આવશે પણ ખરું અને સપડાશે પણ ખરું.
    જાલકા: હા, એ યુક્તિ ઠીક છે જા.

    [રાઈ જાય છે]

    જાલકા: (સ્વગત)- એ લોકો ઉત્તરને ઝાંપેથી છે. અને રાઈ છો એની ધનુર્વિદ્યા દક્ષિણે અજમાવે. હું પણ હવે બધી ગોઠવણ પૂરી કરું. સૂકા ઝાડનો લીલો છોડ થઈ ગયેલો હું બતાવું એટલે મારા મનોરથની સિદ્ધિ શરૂ થઈ.

     

    [કાળા પડદા પાછળ જાય છે.]

    ● ●

    સ્રોત : વિકિસ્રોત

  • વિશ્વમાનવી + માડી! તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો

    પ્રાસંગિક  કવિતા

    જુલાઈ મહિનો એટલે બે મહાન કવિઓ –  શ્રી ઉમાશંકર જોશી અને  શ્રી અવિનાશ વ્યાસ. -ના જન્મદિવસ. બંને કવિઓની જન્મતારીખ ૨૧ જુલાઈ.
    બંનેની જૂની, જાણીતી અને માનીતી કવિતાઃ

    વિશ્વમાનવી

    કીકી કરું બે નભતારલીની
    ને મીટમાં માપું દિગંતરાલને,
    માયા વીંધીને જળવાદળીની
    અખંડ દેખું પળમાં ત્રિકાલને.

    સન્ધ્યા-ઉષાની સજી પાંખજોડલી
    યાત્રી બનું ઊર્ધ્વમુખી અનંતનો;
    સ્વર્ગંગમાં ઝુકવું ચંદ્રહોડલી,
    સંગી બનું વા ધૂમકેતુ-પંથનો.

    વ્યક્તિત્વમાં બંધન તોડીફોડી,
    વિશ્વાન્તરે પ્રાણપરાગ પાથરું;
    પાંખો પ્રકાશે તિમિરે ઝબોળી
    સ્થળે સ્થળે અંતરપ્રેમ છાવરું.

    વ્યક્તિ મટી બનું વિશ્વમાનવી;
    માથે ધરું ધૂળ વસુન્ધરાની.

    ઉમાશંકર જોશી

    ************************************************
     
    માડી! તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.
     
    માડી! તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો

    જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો;
    કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.

    મંદિર સરજાયું ને ઘંટારવ ગાજ્યો,
    નભનો ચંદરવો માએ આંખ્યુંમાં આંજ્યો,
    દીવો થાવા મંદિરનો ચાંદો આવી પૂગ્યો;
    કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.

    માવડીની કોટમાં તારાનાં મોતી,
    જનનીની આંખ્યુમાં પૂનમની જ્યોતિ,
    છડી રે પૂકારી માની મોરલો ટહુક્યો;
    કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.

    માવડીના રથના ઘૂઘરા બોલ્યા,
    અજવાળી રાતે માથે અમૃત ઢોળ્યાં;
    ગગનનો ગરબો માના ચરણોમાં ઝૂક્યો,
    કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.

    – અવિનાશ વ્યાસ

  • કાશ, નવી દિલ્હી ‘દિલ્હીપણા’ને દિલી અલ્વિદા કહી શકે!

    તવારીખની તેજછાયા

    પ્રકાશ ન. શાહ

    સ્વતંત્રતા, સામાજિક ન્યાય, માનવીય ગૌરવ જેવાં મૂલ્યોની સ્થાપનામાં કંઈ ને કંઈ સંઘર્ષમાં ઓછેવત્તે અંશે ગૂંથાયેલા હોવું એ ઉમાશંકરના કિસ્સામાં પૂર્વશરત નહીં તો પણ ભૂમિકા જેવું રહ્યું છે.

    બસ, ગઈ કાલની  તરત ઉમાશંકર જયંતી (21 ૨૧ જુલાઇ  ) : ચારેક દાયકા પાછળ ચાલ્યો જાઉં છું અને શામળાજીમાં ઉમાશંકર જોશીને બોલતા ભાળું છું. નકરું ભાળું જ શીદને, સાંભળું પણ છું. અવસર જેપી પ્રણિત લોકસમિતિના રાષ્ટ્રીય અધિવેશનનો હતો. બિહારથી આચાર્ય રામમૂર્તિ તો દિલ્હીથી રજની કોઠારી સામેલ થયા હતા. તો, ગુજરાતના જેપી આંદોલનના જોગંદર ભોગીલાલ ગાંધી અને કટોકટી કાળે ‘ભૂમિપુત્ર’-ખ્યાત ચુનીભાઈ વૈદ્ય તો હોય જ. ઉદ્ઘાટનનું  ટાણું હતું અને, કેમ કે કવિ મંગલ વચનો ઉચ્ચારવાના હતા, આસપાસની શાળાઓનાં બાળકો બેલાશક હકડેઠઠ હતા.કવિ વતનની ભોમકામાં હતા અને વળી સમમનસ્કો વચ્ચે હતા…

    ઉઘાડમાં જે ખીલ્યા છે! એમણે કહ્યું, સાચું કહું, મને કેવું લાગે છે… જાણે પિયરમાં ન આવ્યો હોઉં! બાળુડાં તો ઘેલાં ઘેલાં, ને એકદમ એમના હેવાયાં થઈ ગયાં. બાળ કિલ્લો સર કરી કવિએ બુરજબંધી હાથ ધરી, પિયર ને સાસરાને જોડવાની રીતે. પળવાર તો મને થયું, પેટલીકર પંડમાં પધાર્યા. પણ ઉમાશંકર આગળ ચાલ્યા, આપણી નાનકડી દુનિયા અને વિશાળ દુનિયા, એમાં સમાવું તે શું- એની રાજ્યશાસ્ત્રીય ને સમાજશાસ્ત્રીય ચર્ચા ભણી વળ્યા…

    અને શો ચમત્કાર! સહસા સ્વાયત્તતાના મુદ્દા પર નાંગર્યા. એ દિવસોમાં ગુજરાતમાં યુનિવર્સિટીઓની સ્વાયત્તતાનો મુદ્દો સુરખીઓમાં હતો અને કવિ એનો મહિમા કરવા ઈચ્છતા હતા તે તરત પકડાયું. આજે નોકરિયાત મંડળી ઈચ્છતાં તંત્રોને શિક્ષણ સંસ્થાઓ અને એમની સ્વાયત્તતાનો મુદ્દો કેટલો પકડાશે, નહીં પકડાશે, દઈ જાણે.

    ૧૯૮૧માં, સિત્તેરમે, ઉમાશંકર ‘સમગ્ર કવિતા’ લઈને આવ્યા. એનાં પ્રાસ્તવિક વચનોમાં એમના, આપણને તો વિક્રમ વરતાય એવા જીવનક્રમનો એમણે સોજ્જો ખ્યાલ આપ્યો છે:‘ગામથી શબ્દ લઈને નીકળ્યો હતો. શબ્દ ક્યાં ક્યાં લઈ ગયો? સત્યાગ્રહ છાવણીઓમાં, જેલોમાં, વિશ્વવિદ્યાલયમાં, સંસદમાં, દેશના મૂર્ધન્ય સાહિત્યમંડળમાં, રવીન્દ્રનાથની વિશ્વભારતીમાં, વિદેશના સાંસ્કૃતિક સમાજોમાં,- એટલે કે વિશાળ કાવ્યલોકમાં, માનવ હોવાના અપરંપાર આશ્ચર્યલોકમાં, તો ક્યારેક માનવમૂલ્યોના સમકાલીન સંઘર્ષોની ધાર પર, કોઈક પળે બે ડગલાં એ સંઘર્ષોના કેન્દ્ર તરફ પણ…

    ’૨૦૧૧ –  ૧૨ માં નિરંજન ભગતની નિગેહબાનીમાં અમે ગેરસરકારી રાહે ઉમાશંકર શતાબ્દીનું આયોજન કરી રહ્યા હતા ત્યારે સ્વાતિ જોશીએ પરિપ્રેક્ષ્યની ગરજ સારતો એક સરસ લેખ કર્યો હતો, જેમાં ઉમાશંકર જોશીને જાહેર જીવનના કવિ તરીકે ઓળખાવ્યા હતા. શબ્દ ક્યાંથી ક્યાં લઈ ગયો, એ કેફિયતનુમા ઉદ્્ગારોમાંથી તે તરત પમાય છે.

    ૧૯૮૧નાં હજુ હમણાં ટાંક્યાં પ્રાસ્તાવિક વચનોમાંથી જ આગળની થોડીક પંક્તિઓ ટાંકું એટલે એમનું જાહેર જીવનના કવિ હોવું તે શી વસ છે એ વિશે વધુ કંઈ કહેવાનું રહેશે નહીં:

    ‘સ્વતંત્રતા, સામાજિક ન્યાય, માનવીય ગૌરવ જેવાં મૂલ્યોની સ્થાપનામાં કંઈ ને કંઈ સંઘર્ષમાં ઓછેવત્તે અંશે ગૂંથાયેલા હોવું એ જાણે કે કાવ્યરચનાની પૂર્વશરત નહીં તો પણ ભૂમિકા જેવું રહ્યું છે. આ બંને વસ્તુઓ સર્જનકાર્યની વિરોધી જેવી લેખાતી હોય છે, મને એવી લાગી નથી- કહો કે મારે માટે એ બાબતમાં પસંદગીને અવકાશ જ નથી.’

    વિશાળ ગુજરાતી વાચક સમાજે ઉમાશંકરને કવિ તરીકે વાંચ્યા-વધાવ્યા હશે, પણ એમનું જાહેર જીવનના કવિ હોવું વર્ગખંડોના પાઠ્યક્રમમાં કેવું ને કેટલું પહોંચ્યું હશે તે આપણે જાણતા નથી- ભલે ભોમિયા વિના ભણ્યાભમ્યા હોય ઉમાશંકર, આપણે સારુ તો એ ભોમિયાઓ પૈકી ખરા જ ને!રાજ્યસભાના સભ્ય તરીકે અને પછીથી કેન્દ્રની સાહિત્ય અકાદમીના એ પોતે સાભિપ્રાય સંભારતા તેમ ‘ચૂંટાયેલા’ પ્રમુખ તરીકે, એમને દિલ્હીનો બાહ્યાભ્યંતર પરિચય છે, એવો જ પરિચય જેમકે દાંડીકૂચના સૈનિક ને ખ્યાત પત્રકાર કવિ શ્રીધરાણીને પણ લાંબા દિલ્હીવાસને કારણે સહજ હતો.

    એક તબક્કે બલ્લુકાકાને (દુરારાધ્ય બ.ક.ઠા.ને) સુંદરમ્-ઉમાશંકર બેઉ કરતાં શ્રીધરાણીમાં કશુંક વિશેષ વરતાયેલું. શ્રીધરાણીનું દિલ્હી અને ઉમાશંકરનું દિલ્હી સાથે મળીને સત્તા-પ્રતિષ્ઠાન સામેનો સ્વતંત્ર સર્જક મિજાજ તે શું એ આબાદ ઉપસાવી આપે છે; અને આગળ ચાલતાં એમાંથી સ્તો નવયુગી નાગરિક એજન્ડા પણ નિ:સ્ત્રવે છે. શ્રીધરાણીની લાંબી રચનામાંથી બે પંક્તિઓ: સર્વવ્યાપ્ત સરકાર બિરાજે, કવિને કરતી ભાટ/જંગલ છોડી દિલ્હી-કાંઠે યોગી માંડે હાટ… શ્રીધરાણીએ સ્વરાજની પહેલી પચીસીમાં ઝીલેલી આ છબિ છે.

    સ્વરાજની બીજી પચીસી બેઠે ત્રીજું વરસ ચાલે છે અને ૧૯૭૬ ના એપ્રિલમાં (રાજ્યસભાની મુદત પૂરી થતાં) ઉમાશંકર ‘અલ્વિદા દિલ્હી’ લઈને આવે છે. એની છેલ્લી થોડી પંક્તિઓ:

    નવી, સાતમી દિલ્હી, ખબર છે તને તો-ઈતિહાસ રાજધાનીઓની છેડતી કરે છે.ખેડુની-શ્રમિકની વાંકી વળેલી પીઠ પર ઊભી છેએને વધુ વાંકી વાળતી દુનિયાની રાજધાનીઓરૂડી રૂડી વાતોને નામે.સાતમી દિલ્હી, નીચે ઊતરી શકીશ, જીવી જઈશ.દિલ્હીપણાને કરી તારી- અને મારી પણ-દિલી અલ્વિદા?

    ઉમાશંકર, પ્રસંગે, ચોક્કસ રચનાઓનું પ્રકાશન મુદ્રિત સ્વરૂપે કરતાં પૂર્વે પઠનથી કરતા. એમની આ રચના પણ ૧૯૭૬ના માર્ચમાં લખાઈ અવાજ થકી પ્રકાશન પામી છે જાન્યુઆરી ૧૯૭૭માં, અને તે પણ ગુજરાતી સાહિત્ય પરિષદે યોજેલ કવિસંમેલનમાં. (બાય ધ વે, ’૭૭નો જાન્યુઆરી સાંભરે છે ને? કટોકટીની કાલરાત્રિ પછી પોહનાં ઉંબર અઠવાડિયાં છે અને કવિ દિલ્હીને એના દિલ્હીપણાની અલ્વિદાનો અવાજ લઈને આવે છે, આર્ત અને આર્ષ.)


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૧૯ – ૦૭ -૨૦૨૩ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખ


    શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

     

  • ‘આજા’, ‘આઓ’ વાળાં ગીતો -आजा रे

    નિરંજન મહેતા

    ફિલ્મી ગીતોનો એક પ્રકાર છે આવકારતા કે આમંત્રણ આપતા ગીત. તો ક્યારેક વિરહમાં રહેનાર દ્વારા આવા ગીતો ગવાયા છે. ક્યારેક નફરત દર્શાવતા આવા ગીતો પણ જોવા મળે છે. આવા ગીતોમાંથી થોડા આ લેખમાં.

     

    સૌ પ્રથમ આજથી ૮૦ વર્ષ પહેલાનું ૧૯૪૩ની ફિલ્મ ‘તકદીર’નુ ગીત જોઈએ.

    ओ जानेवाले आजा
    तरसानेवाले आजा
    तड़पानेवाले आजा
    तड़पानेवाले आजा
    आजा आजा

    પ્રેમીના વિરહમાં આ ગીત ગવાયું છે અને અડધે ગીતે પ્રેમી આવે પણ છે. કલાકારો છે નરગીસ અને મોતીલાલ જેના શબ્દો છે માહિર ઉલ કાદરીના અને સંગીત આપ્યું છે રફીક ગઝનવીએ. સ્વર છે શમશાદ બેગમ અને ખુદ મોતીલાલના.

    ૧૯૪૪ની ફિલ્મ ‘રતન’

    रुमज़ुम बरसे बादरवा मस्त हवाए आई
    पीया घर आजा आजा पिया घर आजा

    આ ગીત પણ પિયાના વિરહમાં ગવાયું છે અને વરસાદની ઋતુને કારણે તેની યાદ આવતા તેને જલ્દી આવવાનુ કહેવાયું છે. કલાકાર છે સ્વર્ણલતા. ગીતકાર ડી.એન.મધોક અને સંગીત છે નૌશાદનું. ગાયિકા ઝોહરાબાઈ અંબાલાવાલી .

    ૧૯૪૬ની ફિલ્મ ‘અનમોલ ઘડી’નુ આ ગીત આજે પણ સાંભળવાનું મન થાય તેવું છે.

    आजा मेरी बर्बाद मोहब्बत के सहारे
    है कौन जो बिगड़ी हुई तकदीर संवारे

    પોતાના બગડેલા નસીબને યાદ કરી નુરજહાં પ્રેમીને કહે છે કે તું જ મારો સહારો છે એટલે આવી જા. ગીતના શબ્દો છે તનવીર નકવીના અને સંગીત આપ્યું છે નૌશાદે. સ્વર છે નુરજહાંનો.

    ૧૯૪૯ની ફિલ્મ ‘બરસાત’નુ ગીત પણ એક વિરહગીત છે

    बिछड़े हुए परदेसी
    एक बार तो आना तू
    जब आँख मिलाइ है
    नज़रे न चुराना तू

    રાજકપૂરને જતાં જોઈ તેને ઉદ્દેશીને ગવાતું આ ગીત નરગીસ પર રચાયું છે. શબ્દો છે હસરત જયપુરીના અને સંગીત છે શંકર જયકિસનનુ. ગાયિકા લતાજી.

    ૧૯૫૩ની ફિલ્મ ‘આહ’નુ આ ગીત બે જુદા થયેલા પ્રેમીઓની ભાવનાને વ્યક્ત કરે છે.

    आजा रे अब मेरा दिल पुकारे
    रो रो के गम भी हारा
    बदनाम न हो प्यार मेरा

    કલાકારો નરગીસ અને રાજકપૂર. ગીતના શબ્દો છે હસરત જયપુરીના અને સંગીત છે શંકર જયકિસનનુ. ગાયકો છે લતાજી.અને મુકેશ

    ૧૯૫૩ની ફિલ્મ ‘અનારકલી’નુ ગીત જુદા પ્રકારનું છે. અનારકલી (બીના રોય)ને જ્યારે જાહેરમાં કોરડા ફટકારાય છે ત્યારે આ ગીત મુકાયું છે.

    आजा अब तो आजा
    मेरे किस्मत के खरीदार
    अब तो आजा

    પ્રદીપકુમારને સંબોધીને ગવાતા આ ગીતના ગીતકાર છે શૈલેન્દ્ર અને સંગીતકાર સી. રામચંદ્ર. દર્દભર્યો સ્વર છે લતાજીનો.

    ફરી એકવાર જુદા પડેલા પ્રેમીઓ પર રચાયેલ ગીત છે ૧૯૫૪ની ફિલ્મ ‘નાગિન’નુ.

    मेरा दिल ये पुकारे आजा
    मेरे गम के सहारे आजा
    भीगा भीगा है समा
    ऐसे में है तू कहां
    मेरा दिल ये पुकारे आजा

    સજા રૂપે હાથ બંધાયેલ વૈજયંતિમાલા અને બંધક પ્રદીપકુમાર પર રચાયેલ આ ગીતના ગીતકાર છે રાજીન્દર કૃષ્ણ અને સંગીતકાર છે હેમંતકુમાર. દર્દભર્યો સ્વર છે લતાજીનો.

    ૧૯૫૬ની ફિલ્મ ‘હલાકુ’નુ આ ગીત રાહ જોતા પ્રેમી તરફથી ગવાય છે જેને પછીથી પ્રેમિકા પણ પ્રતિસાદ આપે છે.

    आजा का इन्तेजार में
    जाने को है बहार भी
    तेरे बगैर जिन्दगी
    दर्द बनके रहे गई

    હજી પણ સુમધુર કર્ણપ્રિય ગીતના કલાકારો છે અજીત અને મીનાકુમારી જેના શબ્દો છે શૈલેન્દ્રના અને સંગીત આપ્યું છે શંકર જયકિસને. હલકભર્યા સ્વર છે લતાજી અને રફીસાહેબના.

    ૧૯૫૬ની ફિલ્મ ‘ચોરી ચોરી’ના ગીતમાં પ્રેમીને જોઇને પ્રેમિકા ખુશ થઇ આમંત્રણ આપે છે.

    आजा सनम मधुर चाँदनी में
    हम तुम मिले तो वीराने में भी
    आ जायेगी बहार

    નરગીસ અને રાજકપૂર પર રચાયેલ ગીતના શબ્દો છે હસરત જયપુરીના અને સંગીત છે શંકર જયકિસનનુ. લતાજી અને મન્ના ડે ગાયક કલાકારો.

    ૧૯૫૬ની ફિલ્મ ‘શીરીન ફરહાદ’નુ આ ગીત એક જુદા પ્રકારનું ગીત છે.

    आजा ओ जाने वफ़ा
    सुन ले मेरी सदा
    रो रो को मेरी मोहब्बत
    तुज को पुकारे आजा आजा

    ફરહાદની કબરમાંથી શીરીનને તેને પુકારતો અવાજ આવે છે અને તે ત્યાં દોડી જાય છે અને અંતે તે પણ કબરમાં સમાઈ જાય છે. મધુબાલા આ ગીતના કલાકાર અને પુરુષ પાત્ર પ્રદીપકુમાર. ગીતકાર તનવીર નકવી અને સંગીત આપ્યું છે એસ. મોહિન્દરે. સ્વર છે લતાજી અને હેમંતકુમારના.

    ૧૯૫૭ની ફિલ્મ ‘રાની રૂપમતી’માં આ પ્રકારના બે ગીતો જોવા મળે છે. પહેલું ગીત છે

    आ लौट के आजा मेरे मित
    तुजे मेरे गीत बुलाते है

    નિરૂપારોયના વિરહમાં તેને યાદ કરતાં ભારતભૂષણ પર આ ગીત રચાયું છે. ગીતના શબ્દો છે ભરત વ્યાસના અને સંગીત છે એસ.એન.ત્રિપાઠીનું. સ્વર છે મુકેશનો.

    બીજું ગીત છે

    आजा आजा भंवर सुनी डगर सुना है घर
    आजा न सता रे आ रे आ रे

    ગીતની શરૂઆત નફરતભર્યા શબ્દોથી થાય છે. ભર્યા દરબારમાં ગવાતું આ ગીત નિરૂપારોય પર રચાયું છે. આક્રોશભર્યો સ્વર છે લતાજીનો. ગીતકાર અને સંગીતકાર ઉપર મુજબ.

    ૧૯૫૭ની ફિલ્મ ‘મધર ઇન્ડિયા’નુ ગીત એક માનાં દર્દને વાચા આપે છે.

    ओ मेरे लाल आजा
    तुज को गले लगालू
    दिल में तुजे छुपा लू

    છોડીને જતા સુનીલ દત્તને ઉદ્દેશીને નરગીસ આ પોકાર કરે છે. દર્દભર્યા શબ્દો છે શકીલ બદાયુનીના અને સુમધુર સંગીત આપ્યું છે નૌશાદે જેને સ્વર મળ્યો છે લતાજીનો.

    ૧૯૫૭ની ફિલ્મ ‘જનમ જનમ  કે ફેરે’નુ આ ગીત પ્રભુને ઉદ્દેશીને ગવાયું છે જેમાં તેને છલિયા કહી સામે આવવાનું આમંત્રણ અપાયું છે.

    ज़रा सामने तो आओ छलिये
    छुप छुप छलने में क्या राज़ है

    આમંત્રણ આપનાર છે મનહર દેસાઈ. તેને સાંભળીને નિરૂપારોય પણ આવી જાય છે અને સાથ પુરાવે છે. ગીતના શબ્દો છે ભરત વ્યાસના અને સંગીત છે એસ.એન.ત્રિપાઠીનું. ગાયકો છે રફીસાહેબ અને લતાજી.

    ૧૯૫૭ની ફિલ્મ ‘નયા દૌર’માં પણ આને લગતા બે ગીતો છે

    उड़े जब जब जुल्फे तेरी
    कवारियो का दिल मचले
    ……………………..
    तू छत पर आजा गोरिये

    આમ તો આ ગીત જુદા પ્રકારનું છે પણ ગીતની મધ્યમાં નાયક નાયિકાને છત પર આવવાનું આમંત્રણ આપે છે. કલાકારો છે વૈજયંતીમાલા અને દિલીપકુમાર. સાહિર લુધિયાનવીના શબ્દોને સંગીત આપ્યું છે ઓ.પી.નય્યરે. સ્વર છે રફીસાહેબ અને આશા ભોસલેના.

    બીજું ગીત છે

    आना है तो आ राह मे कुच्छ देर नहीं है
    भगवान के घर देर है अंधेर नहीं है

    મંદિરમાં પૂજા માટે ગામલોકોને આવવા માટે આ ગીતમાં દર્શાવાયું છે. કલાકારનું નામ નથી પણ ફિલ્મના મુખ્ય કલાકાર છે વૈજયંતીમાલા, દિલીપકુમાર અને અજીત. સાહિર લુધિયાનવીના શબ્દોને સંગીત આપ્યું છે ઓ.પી.નય્યરે. સ્વર છે રફીસાહેબનો.

    ૧૯૫૮ની ફિલ્મ ‘મધુમતી’નુ આ ગીત કોઈ પરદેસીની વાટ જોનારને લગતું ગીત છે.

    आजा रे परदेसी
    मै तो कब से खड़ी इस पार
    ये अखियाँ थक गई पंथ निहार

    વૈજયંતીમાલા કલાકાર છે જેના શબ્દો છે શૈલેન્દ્રના. દિલીપકુમાર પણ આ ગીતમાં જોવા મળે છે. સલીલ ચૌધરીના સંગીતમાં ગાયિકા છે લતાજી.

    ૧૯૫૮ની ફિલ્મ ‘હાવરા બ્રીજ’નુ આ ગીત આમંત્રણ આપતું ગીત છે.

    आई ऐ महेरबां
    बैठिये जाने जा

    હોટેલમાં નૃત્યના કાર્યક્રમ થતાં હોય છે તેવા જ એક કાર્યક્રમમાં આવનારને આવકાર આપતું આ ગીત છે જે મધુબાલા પર રચાયું છે. શબ્દો છે કમર જલાલાબાદીના અને સંગીત આપ્યું છે ઓ.પી.નય્યરે. હલકભર્યો સ્વર છે આશા ભોસલેનો.

    આમ તો આ વિષય ઉપર અનેક ગીતો છે એટલે તે ત્રણ ભાગમાં રજુ કરવું પડશે. તેમાંના થોડા ૧૯૫૮ સુધીના આ લેખમાં સમાવાયા છે. ત્યાર પછીના ગીતો હવે પછીનાં લેખોમાં.


    Niranjan Mehta

    A/602, Ashoknagar(old),
    Vaziranaka, L.T. Road,
    Borivali(West),
    Mumbai 400091
    Tel. 28339258/9819018295
    વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com
  • ફિલ્મ સંગીત વાદ્યવિશેષ : (૭) – તંતુવાદ્યો (૨) – ગિટાર (૨)

    ફિલ્મી ગીતોમાં વિવિધ વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી

    પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી

    અગાઉની કડીમાં આપણે ગિટારનો પ્રાથમિક પરિચય મેળવ્યો અને ગિટારના અંશો ધરાવતાં કેટલાંક હિન્દી ફિલ્મી ગીતો માણ્યાં. આજની કડીમાં આ જ વાદ્યને લઈને થોડું વધારે..

    એક સમયે રેડીઓનું ચલણ હતું ત્યારે વિવિધ ભારતી તેમ જ રેડીઓ સિલોન (હાલનું શ્રીલંકા બ્રોડકાસ્ટીંગ કોર્પોરેશન) ઉપર વિવિધ વાદ્યો પર છેડેલાં હિન્દી ફિલ્મી ગીતોના ચાહકોને ન્યાલ કરી દે તેવા કાર્યક્રમો રજૂ થતા રહેતા હતા. તેમાં અલગઅલગ વાદ્યો ઉપર કાબેલ વાદકોએ છેડેલાં ગીતો સાંભળવા મળતાં. એવા કાર્યક્રમોનો એક મોટો ચાહક વર્ગ હતો અને તેમાં રજૂ થતા વાદકો ખુબ જ લોકપ્રિય બની ગયા હતા. સુનિલ ગાંગુલી આવું જ નામ છે. તેમણે હવાઈયન ગિટાર ઉપર વગાડેલાં અસંખ્ય હિન્દી/ બંગાળી ફિલ્મી ગીતો રેડીઓ ઉપર નિયમિત ધોરણે ગૂંજતાં રહેતાં હતાં. આજની કડીની શરૂઆતમાં તેમનું વગાડેલું ફિલ્મ ‘જાગતે રહો'(૧૯૫૬)નું ગીત ‘જાગો મોહન પ્યારે’ સાંભળીએ.

    હવે ગિટારવાદનનું પ્રાધાન્ય ધરાવતાં કેટલાંક ફિલ્મી ગીતો, જેમાં ગિટારનો સૂર ભાવકે જાતે ઓળખી લેવાનો છે.

    ૧૯૫૬ની ફિલ્મ ‘ચોરી ચોરી’ના શંકર-જયકિશનના સંગીતમઢ્યા આ ગીત ‘યેહ રાત ભીગી ભીગી’ના પૂર્વાલાપમાં યાદગાર ગિટારવાદન સાંભળવા મળે છે.

    ફિલ્મ ‘પ્યાસા'(૧૯૫૭)માં સચીનદેવ બર્મનનું સંગીત હતું. તેના મહંમદ રફીએ ગાયેલા ગીત ‘જીન્હેં નાઝ હૈ હિન્દ પર વો કહાં હૈ’માં ગિટાર અને માત્ર ગિટાર આધારિત વાદ્યસંગીત છે. ઘેરી વેદનાની અભિવ્યક્તિ કરતા આ ગીતમાં સમાવિષ્ટ ગિટારના અંશ સાંભળીએ ત્યારે લાગે કે આ વાદન થકી આ અસર વધુ ઉપસી આવે છે.

    https://www.youtube.com/watch?v=3ta4BmumQKc

    ૧૯૫૯માં પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘શરારત’માં શંકર-જયકિશનનું સંગીત હતું. તેના ગીત ‘જાને કિસ કી જીત હૈ યેહ જાને કિસ કી હાર હૈ’માં સતત ગિટારના ખુબ જ કર્ણપ્રિય ટૂકડા કાને પડતા રહે છે.

    ફરી એક વાર શંકર-જયકિશનના સ્વરનિયોજનની ખુબી માણીએ. ફિલ્મ ‘દિલ અપના ઔર પ્રીત પરાઈ’ (૧૯૬૦)ના  ગીત ‘અજીબ દાસતાં હૈ યે’ના પૂર્વાલાપમાં, મધ્યાલાપમાં તેમ જ ઓબ્લીગેટોઝ્માં ગિટારની હાજરી સતત અનુભવાતી રહે છે.

    ફિલ્મ ‘જબ પ્યાર કિસી સે હોતા હૈ’ (૧૯૬૧)ની સફળતામાં શંકર-જયકિશનના સંગીતનો મોટો ફાળો હતો. તેના ટાઈટલ ગીતમાં કમાલનું ગિટારવાદન સાંભળવા મળે છે.

    ગુરૂશરણ સિંહ (જી.એસ.) કોહલી નામના ખુબ જ કાબેલ સંગીતકારની કારકીર્દિ મોટા ભાગે અન્ય સંગીત નિર્દેશકોના સહાયક તરીકે કામ કરતાં વિતી. પણ સ્વતંત્ર સંગીત આપવાની તક મળી ત્યાં તેમણે પોતાની પ્રતિભા સુપેરે ઝળકાવી છે. તેમનું સંગીતનિર્દેશન ધરાવતી ૧૯૬૩ની ફિલ્મ ‘શિકારી’ના ગીત ‘તુમ કો પિયા દિલ દિયા’માં પહેલા અને બીજા અંતરા વચ્ચેના મધ્યાલાપમાં ગિટાર ધ્યાનાકર્ષક હાજરી પૂરાવે છે.

    ૧૯૬૪માં રજૂ થયેલી ફિલ્મ ‘કાશ્મીર કી કલી’નાં ગીતોએ ધૂમ મચાવી દીધી હતી. એ પૈકીના ગીત ‘તારીફ કરું ક્યા ઉસ કી’માં સંગીતકાર ઓ.પી.નૈયરે એક અનોખો પ્રયોગ કર્યો હતો. પહેલા અને બીજા અંતરાની વચ્ચેના મધ્યાલાપમાં પહેલાં સિતારવાદન અને પછી સંતૂરવાદન વડે શાંત માહોલ ઉભો થાય છે અને ત્યાર બાદ તરત જ ગિટારના તોફાની અંશો વાગવા લાગે છે. સાંભળીએ તે ગીત.

    https://www.youtube.com/watch?v=VueN49P7JyU

    ઓ.પી.નૈયરના નિર્દેશનમાં બનેલું એક વધુ ગીત માણીએ. ફિલ્મ ‘મેરે સનમ’ (૧૯૬૫)ના ગીત ‘પુકારતા ચલા હૂં મૈં’માં ગિટારના અંશો મહંમદ રફીની ગાયકી સાથે પગલેપગલું દબાવીને ચાલે છે.

    ૧૯૬૬ની ફિલ્મ ‘બહારેં ફીર ભી આયેગી’નું ટાઈટલ ગીત ગિટારના ખુબ જ પ્રભાવશાળી ટૂકડાથી સજાવાયું છે. સંગીત સ્ઓ.પી.નૈયરનું છે.

    https://youtu.be/cbEJuFD4be4

    ફિલ્મ ‘શાગિર્દ'(૧૯૬૭)માં લક્ષ્મીકાંત-પ્યારેલાલનું સંગીતનિર્દેશન હતું. તેના એક ગીત ‘બડે મિયાં દીવાને’માં ગિટારના યાદગાર અંશો છે.

    ૧૯૬૭ની જ ફિલ્મ ‘C I D 909’નું ગીત ‘નદી કા કિનારા હો’ સાંભળીએ. આ ગીત ઓ પી નૈયરના સંગીતનિર્દેશનમાં બન્યું છે.

    ફિલ્મ ‘જ્વેલ થીફ'(૧૯૬૭)માં સચીનદેવ બર્મનના સંગીતનિર્દેશનમાં લતા મંગેશકરે ગાયેલા ગીત ‘રુલા કે ગયા સપના મેરા’માં લતા મંગેશકરના ગાયેલા પ્રલંબ આલાપ પછી શરૂ થતા પ્રિલ્યુડમાં ગિટારનું સ્ટ્રમીંગ/વેમ્પીંગ સાંભળવા મળે છે.

    આવતી કડીમાં ગિટારને સાંકળતાં કેટલાંક વધુ ગીતો સાથે મળીશું.

    નોંધ :

    ૧) તસવીરો નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.

    ૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય છે.

    ૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.


    સંપર્ક સૂત્રો :

    શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
    શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com

  • ફિલ્મી ગઝલો – ૮. ક઼મર જલાલાબાદી

    ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

    ભગવાન થાવરાણી

    ગીતકાર ક઼મર જલાલાબાદીનું અસલ નામ હતું ઓમપ્રકાશ ભંડારી. પંજાબના જલાલાબાદના હતા અને ક઼મર ( ચંદ્ર ) તખલ્લુસ રાખેલું એટલે ક઼મર જલાલાબાદી કહેવાયા.

    ફિલ્મોમાં છેક ૧૯૪૨થી હતા. પરિસ્થિતિની માંગ પ્રમાણે દરેક પ્રકારના ગીતો લખ્યા. ચાલુ જેવા પણ અનેક ( ગુની જનોં ભક્ત જનો જય ગોવિંદમ જય ગોપાલમ – આંસુ ઔર મુસ્કાન ૧૯૭૦ ) . રેડિયો સિલોન ( હવે શ્રીલંકા ) પર છ દાયકાથી યે વધુ સમયથી દરેક મહિનાની પહેલી તારીખે કિશોર કુમારે ગાયેલું ફિલ્મ પહેલી તારીખ – ૧૯૫૪ નું ગીત ‘ ખુશ હૈ ઝમાના આજ પહલી તારીખ હૈ ‘ આજે પણ વાગે છે એ એમની દેન છે. એમણે લખેલા ફિલ્મ ‘ હાવડા બ્રીજ ‘ ના બે ગીતો ‘ મેરા નામ ચિન ચિન ચિન ‘ અને ‘ આઈયે મેહરબાં બૈઠિયે જાને જાં ‘ એ તો ધૂમ મચાવેલી.

    એમણે અનેક ફિલ્મોના કથા – પટકથા – સંવાદ પણ લખેલા. મુશાયરાઓમાં પણ લોકપ્રિય હતા. ફિલ્મી લેખક સંઘના પણ એ સ્થાપક સદસ્ય.

    ફિલ્મોમાં ગઝલો લખી પણ બહુ ઓછી. અહીં લીધેલી બે ગઝલોમાંથી પહેલી તો જાણીતી રચના છે. ગઝલની શરુઆતમાં જે સાખી છે એની બહર મૂળ ગઝલ કરતાં જૂદી છે ( એ સાખીના સ્વરૂપને ઉર્દૂમાં કત્આ અને ગુજરાતીમાં મુક્તક કહે છે )

    ખોલ આંખેં અપને ખ્વાબ-એ-નાઝ સે
    જાગ  મેરે  પ્યાર  કી  આવાઝ  સે
    ઝિંદગી  બેતાબ  હૈ  તેરે  લિયે
    આ ગલે લગ જા ઉસી અંદાઝ સે

    મુહબ્બત ઝિંદા રહતી હૈ મુહબ્બત મર નહીં સકતી
    અજી  ઈંસાન  ક્યા  યે તો ખુદા સે ડર નહીં સકતી

    યે  કહ  દો  મૌત  સે જા કર કે એક દીવાના કહતા હૈ

    મેરી રૂહ-એ-મુહબ્બત મુજ સે પહલે મર નહીં સકતી

    ચલી આ ઐ મેરી જાન-એ-તમન્ના દિલ કી મેહફિલ મેં
    તૂ  મુજ  સે  દૂર  હૈ ઉલ્ફત ગંવારા કર નહીં સકતી ..

    – ફિલ્મ : ચંગેઝ ખાન ૧૯૫૭

    – રફી

    – હંસરાજ બહલ

    ૨.

    ફિર આને લગા યાદ  વહી પ્યાર કા આલમ
    ઈનકાર કા આલમ કભી ઈકરાર કા આલમ

    વો   પહલી   મુલાકાત   મેં   રંગીન   ઈશારે
    ફિર બાતોં હી બાતોં મેં વો તકરાર કા આલમ

    વો ઝૂમતા બલખાતા હુઆ સર્વ-એ-ખરામા*
    મૈં  કૈસે  ભુલા  દૂં  તેરી  રફતાર  કા આલમ

    કબ આએ થે વો કબ ગયે કુછ યાદ નહીં હૈ
    આંખોં  મેં બસા હૈ વહી દીદાર કા આલમ..

    ( *હરતું ફરતું સુંદર વૃક્ષ – સૌંદર્યની ઉપમા )

     

    – ફિલ્મ : યે દિલ કિસકો દૂં ૧૯૬૩

    – રફી, ઉષા ખન્ના

    – ઈકબાલ કુરેશી


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.