વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • આદિવાસી

    દુર્ગેશ ઓઝા

    ‘કેમ છો નીલેશભાઈ? મજામાં ને? લ્યો આ તમારી સ્કુટરની ચાવી. થેંકયુ હો. તમે મને…’

    ‘અરે એનું થેંકયુ ન હોય મયંકભાઈ, ને તમે તો અમારા પડોશી. પહેલો સગો પડોશી, શું સમજ્યા? પણ તમે આમ બહાર કાં ઊભા? અમારા ઘરમાં તો આવો! આમેય હમણાં ઘણા દિવસથી આપણે નથી મળ્યા. એ બહાને મનેય કંપની રહેશે. સાંજે હું હમણાં એકલો જ હોઉં છું. પહેલાં તો અજય આ સમયે આવી જતો, પણ..’ મયંકભાઈને થોડા દિવસથી મનમાં આ ઘોળાતું જ હતું, એમાં આજે નીલેશભાઈએ સામે ચાલીને આ વાત કાઢી એટલે.. ‘નીલેશભાઈ, હું તમને આ જ વાત પૂછવા માંગતો હતો. પહેલાં તો તમારો અજય સાંજે છના ટકોરે ઘરે અચૂક આવી જ જતો, પણ હમણાં એને ઘરે આવતાં લગભગ રોજ રાતના આઠ કે નવ વાગી જાય છે.’

    ‘મયંકભાઈ, તમારી વાત સાચી. નોકરી પૂરી કર્યાં પછી મારો દીકરો એક મિનિટ પણ ઓફિસમાં ન રોકાય. એકવાર તો એણે એના સાહેબને સાફ કહી દીધું હતું કે ‘જુઓ, હું નોકરી કરીશ નિષ્ઠાથી. કામચોરી જરાય નહીં કરું, પ્રામાણિકતા ને ચીવટ એ બધું સો ટકા. કબૂલ, પણ હું નોકરીને પરણ્યો નથી. એટલે સમય પૂરો થયે હું રોકાઈશ નહીં. મારેય ઘરબાર છે, હુંય માણસ છું.’

    ‘હા, નીલેશભાઈ, મને અજયના આ સિદ્ધાંતની ખબર છે. વળી એનો નિર્ણય અફર જ હોય. એમાં એ પાછો ન હટે. ને એટલે જ મને નવાઈ લાગે છે કે આવો અજય હવે કેમ મોડે સુધી ઓફિસમાં? હા, જો કે કામ હોય તો કયારેક રોકાવુંય પડે, પણ આ તો લાગલગાટ ૧૫ દિ’થી હું જોઉં છું કે અજય કાયમ હમણાં મોડો જ ઘરે…’

    મયંકભાઈને આગળ બોલતાં અટકાવી નીલેશભાઈએ સ્પષ્ટતા કરી. હા, અજય ઓફિસમાંથી તો પહેલાંની જેમ જ સમયસર નીકળી જ જતો હતો, પણ ત્યાંથી નીકળી હવે તે શહેરથી ૨૦ કિલોમીટર દૂર આદિવાસી વિસ્તારમાં ત્યાં રહેતા લોકોને ભણાવવા વગેરે માટે જતો હતો. અજય આમ લહેરીલાલો. કોઈની ઝાઝી પરવા ન કરે. તે અજય આમ..!  મયંકભાઈ નવાઈમાં ડૂબી ગયા, પણ પછી કહી રહ્યા, ‘આ તો બહુ સારું કહેવાય. તમારો દીકરો સુધારાના પંથે છે. આ તો પુણ્યનું કામ.  ટૂંકમાં એમ કહો ને તમારા દીકરાએ સમાજસુધારણા ને  શિક્ષણનું કામ હાથમાં લીધું, સેવાની જયોત પ્રગટાવી, ખરું ને?’

    નીલેશભાઈ પોરસાયા, ’હા, એવું જ કંઈક. એ અભણ આદિવાસીઓ ને એમનુ જીવનધોરણ, બેય સુધરી જાય, એ બહાને એ લોકો કંઈક શીખે તો મજાનું. પણ સાંભળ્યું છે કે એ લોકો બહુ જુનવાણી માનસ ધરાવતા હોય છે. જલદી કોઈ પાસેથી કશું શીખવા તૈયાર ન થાય. ત્યાં દારૂ, બીડી, ગાળાગાળી એવું પણ ચાલતું હોય. મને થોડીક બીક છે કે એ લોકોને સારું શીખવાડવાને બદલે ઊલટું મારો અજય જ ક્યાંક બગડીને…’

    ‘નીલેશભાઈ, સાંભળેલું બધું સાચું ન પણ હોય, ને અજય છે સીધોસાદો, સુસંસ્કારી છોકરો. એવું કંઈ હોય તો પણ એને તેની ખરાબ અસર ન જ થાય. મને સંસ્કૃતનો પેલો શ્લોક યાદ આવી ગયો કે ‘વિકૃતિ નૈવ ગચ્છન્તિ સંગદોષેણ સાધવ: આવેષ્ટિતં મહાસર્પેશ્ચચંદન ન વિષાયતે.’ એટલે કે ‘જેમ મહાસર્પથી વીંટળાયેલું ચંદનનું વૃક્ષ ઝેરી બની જતું નથી, તેમ ખરો સાધુ સંગદોષ કરે તો પણ વિકૃત બનતો નથી.’  અજયને કંઈ નહીં થાય. એ સૌનું કામ કરવા, લોકોનું ભલું કરવા જાય છે એથી ખુશ થઈ તમે એ વાતનું ગૌરવ લ્યો.’

    ‘હા મયંકભાઈ, ગૌરવ તો હોય જ ને! શહેરમાં આટલા લોકો છે તેમાંથી  અજયને જ આવું કામ કરવાનું સૂઝ્યું એ સારી વાત કહેવાય. હા, એની સાથે કોલેજમાં ભણતી’તી, એ સોનલ પણ આ કામમાં તેનો સાથ આપે છે. બેયને સેવાનો નાદ લાગ્યો છે. તો ભલે ને કરે. આ તો સારી વાત. કોઈ સુધરતું હોય, આદિવાસી સુસંસ્કૃત બને, આપણા સમાજના મુખ્ય પ્રવાહમાં એ લોકો આમ ભળી જાય એ તો મજાનું.’

    ‘ને મજાની વાત એ પણ છે કે તમારા અજયની પત્ની ધારા પણ આ વાતથી ખુશ છે. પતિ મોડો આવે છે ને પોતાની સાથે વીતાવવાનો સમય એ આદિવાસીઓને આપી દે છે એનો એને રંજ નથી.’ મયંકભાઈએ ખુશી વ્યક્ત કરી, બીજી થોડી વાતો કરી ને પછી નિલેશભાઈની રજા લઈ પોતાના ઘર ભણી ડગ માંડ્યા.

    બે દિવસ પછી.. સરોજે પતિ નિલેશભાઈને ચેતવ્યા: ‘તમે ઘરમાં કાંઈ ધ્યાન આપો છો કે નહીં? આ અજયને આદિવાસીઓને સુધારવાનો ફંદ વળગ્યો તો ભલે વળગ્યો, પણ એનીય કાંઈક હદ તો હોય ને? સોનલનું તો જાણે સમજયા, પણ બે દિવસથી એ ધારા અને સંગીતાને પણ પોતાની સાથે ત્યાં લઈ જાય છે, બધું બતાવવા કે અમે ત્યાં શું શું કરીએ છીએ ને આ આદિવાસી કેવા છે, કંઈ રીતે જીવે છે ને વર્તે છે? દીકરો પોતે ત્યાં જાય ને એની પત્ની ને દીકરીનેય સાથે લઈ જાય એ મને જરાય ઠીક નથી લાગતું.’

    ‘પણ એમાં ખોટું શું છે? આ તો ભલાઈની વાત, તો ભલે ને લઈ જાય! એકથી ભલા બે. ને બેથી ભલા ચાર.’

    ‘તમને તો કશી ખબર જ નથી પડતી. એ આદિવાસી કેવા હોય છે ખબર છે? ગમાર ને બીમાર! ન રહેવાનું કે ન પહેરવા-ઓઢવાનું ઠેકાણું, ન બોલવાચાલવાની સમજ! અજય જાય છે તો ત્યાં બધાને શીખવાડવા, પણ આ બેય ત્યાંથી બીજું ન શીખવાનું શીખીને આવશે, બગડીને ધૂળ થઈ જશે એનું શું? આપણી સંગીતા ગઈકાલ સુધી કહેતી હતી કે ‘’ક કલમનો ક..’’ હવે એ કાગડાનો ‘ક’, કોયલનો ‘ક’ પણ બોલે છે. કાલે ઊઠીને એ દડાનો ‘દ’ બોલવાને બદલે દારૂનો ‘દ’ બોલશે. ‘બ’ બકરીનો નહીં, બીડીનો બોલશે. તમે કંઈક વાતમાં સમજો. બંધ કરાવો આ બધા ફંદફિતૂર. ઓલી સોનલી પણ સાલી હાલી મળી છે તે આને સાથ આપે છે. હજી મોડું નથી થયું. ચેતી જાવ વેલેરા. ને એટલેય ના પાડું છું કે ધારાને આ છઠ્ઠો મહિનો જાય છે. ત્રણ મહિના પછી એ બે બાળકની મા બની જશે. હવે એણે ઝાઝી દોડાદોડી ન કરાય.

    વળી ત્યાં કોણ જાણે બધા કેવા હોય ને કેમ વર્તતા હોય? એ બધાની અસર આવનારાં બાળક ઉપર પણ પડે…’ પત્નીએ તો લાંબુ લેક્ચર ફટકાર્યું. નીલેશભાઈ પત્નીને સમજાવવા મથ્યા. ‘જો સરોજ, તું જેવું માને છે, એવા એ નથી હોતા…’

    બે દિવસ પછી.. સંગીતા બોલી, ‘દાદી, તું રોટલી તો સરસ બનાવે છે, પણ મારે તો આજે રોટલો ખાવો છે, પેલો જીવતીકાકીને ત્યાં ખાધો’તો એવો ચૂલાનો રોટલો. એવો રોટલો દાદી તને તો ન જ  આવડે.’

    ’ચૂલામાં જાય તારો રોટલો. આદિવાસી પાસેથી આવું જ શીખીને આવી છે તું? ખાધો’તો કે ખાધો હતો? ને ‘તમે’માંથી સીધું તું.!’

    ‘દાદી, એમાં ગુસ્સે શું થા છો? ‘ર’ રોટલાનો ‘ર.’ મેં તો દીઠો, રોટલો મીઠો. ને ત્યાં મને કેવી મજા આવી? પેલી બત્રીસ પૂતળીનો ખેલ. બધા મરી ગ્યા, પણ છેલ્લે એક માણસ વધ્યો’તો એ કેમેય કરી મરે જ નહીં ને? આમ ધબ દઈને પડી જાય ને આમ પાછો ફટ દઈને ઊભોય થઈ જાય. હિંમત જ ન હારે. હું પણ હવે હિંમત નહી હારું દાદી. ને મદારીનો ખેલ. કરંડિયામાં સાપ, બાપ રે બાપ! પણ એ તો જરાય ડરે જ નહીં. ભગવાન શંકરની જેમ સાપને વહાલ કરે. ને પેલી રૂખડીની દાદી તો રુખડીને કાંઈ વહાલ કરે, વહાલ કરે..!’

    ‘ઓ હો હો તારી તો કંઈ જીભડી થઈ ગઈ છે લાંબી! બંધ કર તારો લવારો, બાકી કાઢીશ તારો બરાબરનો વારો.’ સરોજ ગુસ્સામાં બોલી. એમાંય ‘એવો રોટલો દાદી તને તો ન જ આવડે’ એ શબ્દોએ એને વધુ…!

    …..ધારાને સાચી વાતની ખબર ન પડે એમ મેડીકલ ચેક-અપનું ખોટું બહાનું કાઢી ગર્ભપરીક્ષણ માટે એને ડોકટર પાસે લઈ ગયેલી સરોજે ઘરે આવીને અજયને ખાનગીમાં આ વાત કરી પોતાનો નિર્ણય જણાવ્યો. ‘જો બેટા, શાંતિથી મારી વાત સાંભળ. બીજીય છોકરી જ જન્મવાની છે. મારું કહેવું એમ છે કે આ ગર્ભ પડાવી નાખ. કોઈને કાંઈ ખબર નહીં પડે. કોઈ પૂછે તો એમ કહી દેવાનું કે કસુવાવડ થઈ જતાં…!’

    ને અજય લાલઘૂમ! ‘મમ્મી..! આ તું શું બોલે છે? એ કોઈ કાળે નહીં બને. જે વ્યક્તિ દીકરાની અપેક્ષાએ ગર્ભપરીક્ષણ કરાવે એના મગજનું જ પહેલાં તો પરીક્ષણ કરાવવું જોઈએ. આમ તો ગર્ભપરીક્ષણ એ કાનૂની અપરાધ છે, પણ મારી દ્ષ્ટિએ પહેલાં તો એ નૈતિક અપરાધ છે. તું સ્ત્રી થઈને સ્ત્રીની હત્યા..’

    ‘તું મને સમજાવવાનું રહેવા દે. મેં તારા કરતાં ઝાઝી દિવાળી જોઈ છે. સો વાતની એક વાત. મારે બીજી દીકરી ન જોઈએ. પહેલાં તો તું જ મારી હામાં હા ભણતો હતો. આવું થાય તો ગર્ભ પડાવી નાખવા તૈયાર હતો ને હવે અચાનક તેં પાટલી બદલી! નક્કી આ બધાં પેલી સોનલીનાં કામાં. જોઈ ન હોય મોટી સુધારાવાળી..’

    ‘મમ્મી, કારણ વિના એનો વાંક ન કાઢ. એને તો આ કાંઈ વાતની જ ખબર નથી. ને તારી વાત સાચી.

    ‘હુંય પેલા આ મતનો હતો. પણ હવે..નો વે. એ મારી ભૂલ હતી. બીજી દીકરી મને મંજૂર છે ને એ પણ પ્રેમથી. ખબરદાર જો તેં આવી વાત ફરી ઉચ્ચારી છે તો!’ અજયના આવા વલણથી સરોજ હતપ્રભ. પતિ ઘરે આવતાં જ સરોજે બધી વાત કરી એની સમક્ષ પોતાનો અણગમો જાહેર કર્યો. ‘જોયું ને? હું નો’તી કે’તી? છોકરો બીજાને સુધારવા ગયો ને પોતે જ બગડી ગયો. હાથથી ગયો. બોલીને સાવ ફરી ગયો તેમાં..! ને એ એકલો નહીં, હવે તો એની સાથે આ સંગીતા ને ધારા પણ ‘બગડતાં’ જાય છે.’

    બે દિવસ પછી.. દાદા ચમક્યા. ‘અરે સંગીતા દીકરી, આ શું લઈ આવી? ’ જવાબ ધારાએ આપ્યો. ‘પિતાજી, આદિવાસી મહિલા જીવતીને ઘેર બીજી દીકરી જન્મી એના માનમાં એના વર નરસીએ લાપસી મોકલાવી છે.’

    ‘ને મારા માટે ચૂલાનો રોટલો નીલુદાદા. ને એ જીવતીકાકી છે ને તે મને બહુ વહાલ કરે છે હો!’ બટકબોલી સંગીતા ઠેકડો મારતા ખુશીથી બોલી ઊઠી. દાદાએ સંગીતાના ગાલે ચૂમી ભરી એને કહ્યું, ‘કાલે ત્યાં જા ત્યારે મારા તરફથી શુકનના એકસો ને એક રૂપિયા તારા હાથે એ જીવતીને આપજે. જીવતી, તું સો વર્ષ જીવતી રહે.’

    અજય કહી રહ્યો, ‘વાહ પપ્પા, તમારી આ વાત મને ગમી હો! ને પપ્પા, અમુક બાબતોમાં આદિવાસી ભલે પાછળ રહ્યા, પણ એના સમાજમાં એવા અનેક રિવાજો ને વ્યવહારો છે જે બેનમૂન છે, જે આપણે પાળવા જોઈએ એમ મને લાગ્યું. ત્યાં ખોટી શરમ કે ખોટા ભેદભાવ મારા જોવામાં ન આવ્યાં.’ અજય મમ્મી સામે એક વેધક નજર નાખતાં આગળ કહી રહ્યો, ‘એમના જીવનનો મેં બારીક અભ્યાસ કર્યો ને એની સાથે રહ્યો, તો મને એમ થયું કે હું શું એ લોકોને શીખવાડતો’તો? શીખવાનું તો આપણે એમની પાસેથી છે! આપણે સુધરેલા એને ‘અબૂધ’ કહીને ઉતારી પાડીએ છીએ, પણ મારી એ લોકો માટેની અબુધની વ્યાખ્યા જુદી જ છે. ‘‘જે બુદ્ધિથી નહીં, પણ હ્રદયથી વિચારે એનું નામ અબૂધ.’’  એ આવા આધુનિક ને નિષ્કપટ અબૂધ છે. આદિવાસી આમ વાસી નથી, પણ તાજા છે.‘ અજયની વાત સાંભળીને મમ્મી વિસ્ફારિત નેત્રે એની સામે જોઈ જ રહી.

    વસંતપંચમીના દિવસે જ ધારાએ બીજી દીકરીને જન્મ આપ્યો. ઘરમાં જાણે વસંત છવાઈ ગઈ. દીકરીનું નામ રાખ્યું દિશા. નવી દિશા મળી હતી અજયને. હા, એણે આદિવાસીને અમુક કુરિવાજોમાંથી છોડાવ્યા હતા ને એમને થોડું નવું સારું શીખવાડ્યું પણ હતું, એની ના નહીં, પણ..! એ ગયો હતો તો આદિવાસીઓને કશુંક શીખવાડવા, પણ એ જ કશુંક નવલું શીખીને આવ્યો હતો ત્યાંથી. અમૂલ્ય, અનેરું, ઘણું ને અનેકગણું સારું!

    (‘મુંબઈ સમાચાર’ વસંત અંક – ૨૦૨૧)

                                0 0 0 – – – 0 0 0   

    દુર્ગેશ ઓઝા: ૧, જલારામનગર, નરસંગ ટેકરી, હીરો શોરૂમ પાછળ, ડો. ગઢવીસાહેબના મકાન પાસે, પોરબંદર.૩૬૦૫૭૭. મો. ૯૮૯૮૧૬૪૯૮૮ E Mail: durgeshoza@yahoo.co.in

  • મહેન્દ્ર શાહનાં ઓક્ટોબર ૨૦૨૩નાં સર્જનો

    મહેન્દ્ર શાહનાં ચિત્રકળા સર્જનો

     

    Mahendra Shah October 2023 creattions

     

     


    મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com

  • ફિલ્મી ગઝલો – ૨૩. ગુલશન બાવરા

    ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

    ભગવાન થાવરાણી

    આમ તો એમનું ખરું નામ હતું ગુલશન કુમાર મેહતા પણ ઓળખાયા હમેશાં ગુલશન બાવરાના નામથી. એમનું નામ ઘરે – ઘરે ગૂંજ્યું એમણે લખેલા ઉપકાર ફિલ્મના ગીત ‘ મેરે દેશ કી ધરતી સોના ઉગલે, ઉગલે હીરે મોતી ‘ ના કારણે. સટ્ટા બાઝાર ફિલ્મનું સુરીલું યુગલગીત ‘ તુમ્હેં યાદ હોગા કભી હમ મિલે થે ‘ પણ એમની જ કલમની દેન. ઝંજીરનું ‘ દીવાને હૈં દીવાનોં કો ન ઘર ચાહિયે ‘ તો લખ્યું પણ એમણે અને ફિલ્માવાયું પણ એમના ઉપર જ. આ જ ફિલ્મનું એમનું ‘ યારી હૈ ઈમાન મેરા ‘ પણ ખૂબ પ્રશસ્તિ પામ્યું.

    ગુલશન બાવરાની કારકિર્દી ૧૯૬૧ માં શરુ થઈ. એ ચાલીસેક વર્ષ સક્રિય રહ્યા. થોડીક ફિલ્મોમાં નગણ્ય કોમેડી રોલ પણ કર્યા. એમની સફળ ફિલ્મોમાં સટ્ટા બાઝાર, પૂર્ણિમા, ઉપકાર, ઝંજીર, હાથ કી સફાઈ, ખેલ ખેલ મેં, કસમે વાદે, સત્તે પે સત્તા વગેરે ફિલ્મોનો સમાવેશ થાય. મહત્તમ ફિલ્મો કલ્યાણજી આણંદજી અને રાહુલ દેવ વર્મન જોડે કરી.

    એમની બે ગઝલો :

    જો આજ તક ન હુઆ તૂને આજ કર દિયા
    ક્યોં  તાજ  દેકે  માલિક  બેતાજ કર દિયા 

    જહાં વાલે તૂને યે ક્યા ઝિંદગી દી
    કે ગમ સે સજા કે હમેં હર ખુશી દી

    બહારેં અગર છીન લેની થી હમસે
    મુરાદોં કે ફૂલોં કો ક્યોં તાઝગી દી

    છલકને લગે આજ આંખો સે આંસૂ
    અરે  દેને  વાલે,  યે  કૈસી હંસી દી

    કરમ  હૈ  દિયા  તૂને  નૂરે – નઝર તો
    સિતમ હૈ નઝર કો મગર તિશ્નગી* દી..

    ( *તરસ )

    શરુઆતી બે પંક્તિઓ ગીતની સાખી છે.

    – ફિલ્મ : ગુલે બકાવલી ૧૯૬૩

    – મોહમદ રફી

    – હંસરાજ બહલ

     

    વાસ્તા  હી  ન  જબ  રહા તુમસે
    ફિર જફાઓં કા ક્યા ગિલા તુમસે

    તુમ કિસી ગૈર કી અમાનત હો
    કૈસા શિકવા ગિલા ભલા તુમસે

    દર્દ  દે  કે  પરાએ  હો  બૈઠે
    કૈસે માંગૂં મૈં અબ દવા તુમસે

    કમ સે કમ જૂઠી તસલ્લી દેતે
    હાએ યે ભી ન હો સકા તુમસે

    ચંદ રોતી હુઈ યાદોં કે સિવા
    દેખ લો કુછ નહીં લિયા તુમસે

    યારોં ! હંસતે હો મુઝ પે, ખૂબ હંસો
    ઔર  હો  ભી  સકેગા  ક્યા  તુમસે

    ઉસકી  કિસ્મત  પે રશ્ક આતા હૈ
    જિસકે દિલ કા જહાં બસા તુમસે

    કૈસે  કહ દૂં  બુરા હુઆ તુમસે
    વાસ્તા હી ન જબ રહા તુમસે..

    – ફિલ્મ : ચોરી ચોરી ૧૯૭૪

    – મુકેશ

    – શંકર જયકિશન

    ( અસલ ‘ ચોરી ચોરી ‘ ૧૯૫૬ માં પણ શંકર જયકિશનનું સંગીત હતું ! )


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે

  • દરેક વખતે શિસ્તબદ્ધ પાલન ન થાય તે માટે સજા કરવી એ સાચો ઉપાય ન પણ હોય

    સ્વ-વિકાસ : વિચાર વલોણું

    તન્મય વોરા

    ISO જેવાં ધારાધોરણો માટે પ્રમાણિત થવા માટે મોટા ભાગની સંસ્થાઓ તેમની દરેક પ્રક્રિયાઓને સ્પષ્ટપણે નક્કી કરે છે અને તેનાં પાલન માટેનાં ધોરણો પણ નક્કી કરે છે.  પ્રક્રિયાનું પાલન એટલું ચુસ્ત બનતું જાત છે કે એક તબક્કે પ્રક્રિયાઓનાં પાલનની ગુણવત્તા કર્મચારીની કાર્યસિદ્ધિનું ખુબ જ મહત્ત્વનું માપ બનવા લાગે છે.  આમ થવું એક દૃષ્ટિએ જ્યાં પણ અવરોધ હોય તેને દૂર કરી દેવાની, બહુ સામાન્યપણે જોવા મળતી, માનસિકતા છે. પ્રક્રિયા પાલનના સંદર્ભમાં તેનુ પરિણામ જે લોકો પૂર્વનિશ્ચિત પ્રક્રિયાનું પાલન ન કરે તો તેમને સજા કરવામાં પરિવર્તીત થવા લાગે છે.  પ્રક્રિયાના પાલનનું  ઝનૂન એટલું હાવ થવા લાગે છે કે લોકોને આ બાબતે જે જમીની સ્તરની સમસ્યાઓનો સામનો કરવો પડે છે તે સદંતર અવગણાવા લાગે છે.

    કોઈ પણ પ્રક્રિયાને ગુણવત્તા પેદા કરવાનું સાધન માનવા લાગવાનાં છટકાંમાં ફસાવું એટલે પ્રક્રિયા અનુપાલનની ગુલામીના કળણમાં ફસાવું

    મારા મતે આ પરિસ્થિતિ સદંતર પ્રતિ-ઉત્પાદક છે. પ્રક્રિયા સુધારણાની ખરી માંગ તો એ છે કે સુધારણાની મશાલ પ્રજ્વલિત રાખવા માટે  “વિપુલતા”ની માનસિકતાનો અભ્યાસ જરૂરી  છે.

    જ્યારે લોકો કોઈ પ્રક્રિયાને અનુસરતા નથી, ત્યારે તેનો અર્થ એ છે કે કાં તો તેઓ પ્રક્રિયાનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણતા નથી, અથવા નિર્ધારિત પ્રક્રિયા તેમના માટે કામને ક્યાંક પણ પ્રતિકૂળ પડી રહી છે. એ દૃષ્ટિએ આ સમસ્યાને જોવાથી ગેરશિસ્તને બદલે તે સુધારણા કરવાની તક તરીકે દેખાવા લાગશે.

    જ્યારે પૂર્વનિર્ધારિત પ્રક્રિયા કામ કરતી ન જણાવા લાગે ત્યારે આત્મનિરીક્ષણ કરવામાં આ પ્રશ્નો મદદરૂપ બની શકે છેઃ

    શું આ પ્રક્રિયા (અથવા પેટા-પ્રક્રિયા) ખરેખર લોકોને તેમનું કામ વધુ સારી રીતે કરવામાં મદદ કરે છે?
    શું લોકોને આ પ્રક્રિયા શા માટે જરૂરી છે અને તે તેમને વધુ અસરકારક કેવી રીતે બનાવે છે તેની જાણકારી ધરાવે છે? શું તેઓ આ પ્રક્રિયા કરવાના હેતુ અંગે સ્પષ્ટ છે?
    શું આ પ્રક્રિયા (અથવા પેટા-પ્રક્રિયા)ને એ રીતે વધુ સરળ બનાવી શકાય કે જેથી તે દરેક પરિસ્થિતિમાં વધુ અસરકારક નીવડે?
    શું એવું કોઈ કાર્ય જોવા મળે છે જે પ્રક્રિયાના વર્તમાન આલેખન દ્વારા ગણતરીમાં ન લેવાયું હોય?
    શું લોકોને પ્રક્રિયા કેવી રીતે કરવી તેનું જ્ઞાન છે? જો ના હોય, તો કોઈ વધારાની તાલીમ/માર્ગદર્શનની જરૂર છે? શું જરૂરી માર્ગદર્શન/સંદર્ભ સમજ ઉપલબ્ધ છે?
    શું મધ્યમ કક્ષા મેનેજરો પ્રક્રિયાઓ કરવા માટે સંસ્થાના દ્રષ્ટિકોણ સાથે સુસંગત દૃશઃટિકોણ ધરાવે છે?  શું તેઓ પોતાની ટીમનાં સભ્યોને અનુસરણીય ઉદાહરણો પ્રસ્થાપિત  કરી રહ્યા છે?

    અને છેલ્લે: પ્રક્રિયાઓનો અમલ કરતી વખતે વ્યવહારિક અભિગમ અપનાવો. જ્યારે પ્રક્રિયાઓ અનુસરવામાં આવતી નથી, ત્યારે “એવું કેમ?” એ સવાલ કરો. ઘણીવાર, લોકોને તરત જ સજા કરવાને બદલે. પાલન ન થવાનાં મૂળ સુધી જાઓ તો વાસ્તવિક સમસ્યા મળી રહેશે. પાલન ન કરવું એ માત્ર એક લક્ષણ છે. યોગ્ય પ્રશ્નો પૂછો,  લોકોને પણ વિશ્લેષણ પ્રક્રિયામાં સામેલ કરો અને મૂલ્યાંકન કરો કે શું પ્રક્રિયા ખરેખર હેતુને પૂર્ણ કરી શકે તેમ છે.


    આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.

  • જ્ઞાન સાથે રસ પણ પડે એવા વિરોધાભાસો : તાર્કિક વિરોધાભાસનાં કેટલાંક ઉદાહરણો : # ૧: જે લોકો ભરોસો કરી શકતા નથી, તેમના પર વિશ્વાસ કરી શકાતો નથી

    સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ

    વિરોધાભાસનાં વર્ગીકરણમાં આપણે એક પ્રકાર તાર્કિક વિરોધાભાસનો નક્કી કર્યો હતો. તો, હવે આપણે તાર્કિક વિરોધાભાસનાં કેટલાંક બહુખ્યાત ઉદાહરણોની વાત માંડીશું.

    સૌ પ્રથમ આપણે એવા તાર્કિક વિરોધાભાસો લઈશું જે સામાન્યતઃ તો વિરોધાભાસી કથનો લાગેજ,પણ તેમાં સત્યનો અંશ પણ એટલો જ હોય. જો કે એકવાર તમે સપાટી પરથી થોડાં ઊંડે ઉતરો, એટલે  વાસ્તવિક જીવનના કેટલાંક જ્ઞાન અને અનુભવનાં મોતી પણ મળી આવે છે!

    # : જે લોકો ભરોસો કરી શકતા નથી, તેમના પર વિશ્વાસ કરી શકાતો નથી.

    કોઈ વ્યક્તિ પરનો ભરોસો એ આપણી એવી માન્યતા છે કે તે પ્રામાણિક અને નિષ્ઠાવાન છે અને જાણી જોઈને તમને, કે કોઈને, નુકસાન પહોંચાડવા માટે કંઈ પણ કરશે નહીં. તેથી, કોઈ પણ સંબંધના વિકાસ માટે, અને પછી તે  સંબંધને ટકાવી રાખવા માટે ભરોસો એ પાયાનો પથ્થર બની જાય છે.

    મોટા ભાગે, માનવ સ્વભાવમાં જ ભરોસો  રાખવાની સંભાવના વધારે હોય છે. આમ તો તે આપણા જનનીય બંધારણમા હોય છે અને આપણા બાળપણના શિક્ષણમાં તેને પોષણ મળે છે. બીજી દૃષ્ટિએ જોઈએ તો તે માનવ અસ્તિત્વ ટકાવી રાખવાની એવી પદ્ધતિ છે જેણે માનવ જાતની સારી રીતે સેવા કરી છે. મૂળે જ માણસ સામાજિક પ્રાણી છે: જન્મતાંની સાથે જ  કોઈ ને કોઈ સાથે વ્યસ્ત રહેવાનું અને સંપર્કમાં આવતી લગભગ દરેક વ્યક્તિ સાથે સંબંધ જોડવાનું જ તે વલણ ધરાવે છે. તેનું સહજ કારણ તેનો સામેની વ્યક્તિ પરનો ભરોસો છે. આમ, હકીકતમાં, ઘણી રીતે, ભરોસો એ આપણી મૂળભૂત લાક્ષણિકતા જ કહી શકાય. મોટા ભાગની સામાજિક પરિસ્થિતિઓમાં આપણે નિયમિતપણે, સ્વાભાવિક પ્રતિક્રિયાથી, કંઈક અંશે અવિચારી રીતે પણ, ભરોસો રાખી બેસતાં હોઈએ છીએ.

    માણસ જેટલી સહજતાથી ભરોસો કરે છે, તેટલી જ ભૂલો પણ કરે છે. ભરોસો રાખવાની ખૂબ જ કુદરતી વૃત્તિ આપણને શોષણપાત્ર પણ એટલી જ  બનાવે છે. ખૂબ સહેલાઈથી, બહુ વધારે અને ખૂબ લાંબા સમય સુધી કોઈ પર વિશ્વાસ કરવાની આપણી વૃત્તિને વધારતી બે જ્ઞાનાત્મક ભ્રમણાઓને સંશોધકોએ ઓળખી કાઢી છે.

    પહેલી છે વ્યક્તિગત અભેદ્યતાની ભ્રમણા છે, જે આપણે જીવનની કેટલીક કમનસીબીનો અનુભવ કરીએ તેવી શક્યતા નથી એમ વિચારતાં રહીએ છીએ તેમ દર્શાવે છે. તેમ છતાં આપણે સહેતુકપણે સમજીએ પણ છીએ કે આવા જોખમ અસ્તિત્વમાં તો હોય જ છે. આ ભ્રમણા માટેનું એક કારણ, એવી દલીલ, કરવામાં આવે છે, કે બહુ સરળતાથ આપણે અમુક  પ્રકારનાં વળતર આપનાર ગણતરીઓમાં વ્યસ્ત રહીએ છીએ. જેને પરિણામે આપણે એવું માની બેસવાની વૃત્તિ ધરાવીએ છિએ કે આવાં જોખમોને ઘટાડવા માટે આપણે જે જે પગલાં લીધાં છે તે તમામ પગલાં યાદદાસ્તમાંથી યાદ કરી લઈએ છીએ (ઉદાહરણ તરીકે કોઈ ચોક્કસ શેર ખરીદવાની ટીપ પર ભરોસો આખવો.) અન્ય લોકોની પાત્રતા અથવા વિશ્વસનીયતા ચકાસવા માટે ત્રીજા પક્ષની નિર્ણય શક્તિ અને અભિપ્રાયો સ્વતંત્ર રીતે લેવાયેલ છે એવી આપણી જાતને ખાતરી આપીએ છીએ. આપણા અભિપ્રાયો અને મંતવ્યો આડે પાટે ચડવામાં આપણે જે જોવું હોય છે એ અને તેટલું જ જોવાની આપણી વૃત્તિ પણ ખાસ્સી કારણભૂત બની રહેતી હોય છે. અને આટલું ઓછું હોય એમ માની લેવાની વૃત્તિ પણ ધરાવીએ છીએ કે આપણા, કોના પર વિશ્વાસ કરવો તેના સહિતના, નિર્ણયો બીજાં સરેરાશ લોકો કરતાં વધુ સારા હોય છે).

    બીજી, અને પહેલી ભ્રમણા સાથે ઘનિષ્ઠપણે સંકળાયાએલ, છે અવાસ્તવિક આશાવાદ. કેટલાયે અભ્યાસો પરથી એમ તારણ નીકળી શકે છે કે બધું સારં સારૂ જ થશે એમ માની આપણે બહુ જલદી માની લઈએ છીએ.  તે પણ પાછું એટલી હદે કે સાચી પરિસ્થિતિનો બહુ જ વાસ્તવિક ચિતાર સમજાવ્યા પછી પણ જે કંઈ થશે તે સારૂં  તો થશે જ એમ જ માનવાનું તો ચાલુ જ રહે છે.

    ભરોસો રાખવાની સહજ વૃત્તિને સામે પક્ષે, સામાન્ય રીતે, જે લોકો તેમના સંબંધોમાં દીર્ઘકાલીન રીતે અસુરક્ષિત હોય છે તેઓ સંબંધોની તોડફોડ કરે તેવી શક્યતાઓ વધુ હોય છે.

    કોઈ પણ સંજોગોમાં, ભરોસા અંગેના દરેક નિર્ણય પર શંકાનો પડછાયો રહે છે. જોકે તેની સામે અ પણ એટલું સાચું છે કે સંબંધોમાં શંકાઓ ઘટાડવા માટે ઘણું બધું કરી શકાય છે – ખાસ કરીને, આપણી માનસિકતા અને આપણી વર્તણૂકો અને ટેવોને સમાયોજિત કરીને. ભરોસાને ઘણે અંશે મજબૂત કરવા માટે કેટલાક પ્રારંભિક નિયમો ધ્યાનમાં રાખીએ –

    નિયમ ૧ | તમારી જાતને જાણો.

    નિયમ ૨ | નાની નાની શરૂઆત કરો.

    નિયમ ૩ | છટકબારીના માર્ગની તૈયારીઓ રાખો.

    નિયમ ૪ | દૃઢ મનોબળ સાથેના સંકેતો મોકલો.

    નિયમ ૫ | અન્ય વ્યક્તિની મૂંઝવણને ઓળખો.

    નિયમ ૬ | લોકોની સાથે સાથે તેમની ભૂમીકાઓને  જુઓ.

    નિયમ ૭ | જાગ્રત રહો અને હંમેશા પ્રશ્ન કરતાં રહો. [1]

    ભરોસો રાખવો કે નહીં એ વિશેની ચર્ચા ક્યારેય પુરી તો નહીં થાય

    વધારાનું વાંચન:

    [1] Rethinking TrustRoderick M. Kramer

  • જવાબદારી વાદળની વરસાદ સુધીની

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    હિમાચલ પ્રદેશ પછી હવે સિક્કિમનો વારો આવ્યો છે. આ મહિનામાં (ઑક્ટોબર, ૨૦૨૩) અહીંની તીસ્તા નદી બેકાબૂ બની. ચૌદેક લોકોએ પોતાના જાન ગુમાવ્યા, અને સૈન્યના ૨૩ સહિત સોએક લોકો લાપતા છે. તીસ્તાનાં પૂરનાં પાણી એવાં અચાનક ધસી આવ્યાં કે સાવધ થવા જેટલો સમય રહ્યો નહીં. આવું કેમ બન્યું? રાજ્યના વાયવ્ય ખૂણે આવેલા દક્ષિણ લ્હોનક સરોવરમાં વાદળ ફાટ્યું, જેને કારણે પુષ્કળ પાણી વરસ્યું. લ્હોનક હિમનદીનો નીચાણવાળો વિસ્તાર છલકાયો અને તેણે એક કાંઠો તોડ્યો. તેને કારણે તીસ્તા નદીમાં પાણીની સપાટી બેકાબૂ બની અને કેટલાય વિસ્તારમાં પાણી ફરી વળ્યું. સિક્કિમમાં જળવિદ્યુત પેદા કરવા માટે બાંધેલો ચુંગથંગ બંધ પાણીના જોરને કારણે તૂટી ગયો, જેથી નીચાણવાળાં નગર અને ગામમાં તબાહી થઈ. સમગ્ર રાજ્યમાં તેર પુલ તણાયા. તબાહી એટલી વિશાળ પાયે છે કે હજી તેનો સાચો અંદાજ મળી શક્યો નથી.

    તીસ્તા નદી બેકાબૂ : તસવીર – નેટ પરથી

    બે વર્ષ અગાઉ હાથ ધરાયેલા એક અભ્યાસમાં આ બાબતે ચેતવણી આપવામાં આવી હતી. છેલ્લા ત્રણ દાયકાથી ઓછા સમયગાળામાં આ સરોવર ત્રણ ગણાથી વધુ વિસ્તારમાં વૃદ્ધિ પામતું રહ્યું છે, જેમાં ૬૫૦ લાખ ઘનફીટ પાણીનો જથ્થો સમાયેલો છે. અભ્યાસ અનુસાર આ સરોવર ગમે ત્યારે ફાટી શકે છે અને એમ થાય તો સરોવરના નીચાણવાળા ક્ષેત્રો અસરગ્રસ્ત થશે. સરોવરના વિસ્તારમાં થયેલો વધારો હિમનદીના પીગળવાથી છે.

    દેખીતી રીતે જ વાદળ ફાટવું આ દુર્ઘટના માટે જવાબદાર લાગે, અને એમ જણાય કે એ ઘટના કુદરતી હોવાથી તેની પર આપણો કોઈ કાબૂ નથી. આ સાચું છે, પણ અડધું. આ દુર્ઘટના માટે જવાબદાર છે વિકાસની આંધળી દોટ. ઘણા કર્મશીલો આ દુર્ઘટનાને કેવળ કુદરતી આપત્તિ ગણવા તૈયાર નથી. તીસ્તા નદી પર જળવિદ્યુત યોજના માટે બંધ બંધાતો હતો ત્યારે કર્મશીલો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો.

    સમગ્ર હિમાલય પર્વતની જૈવપ્રણાલિ અતિશય નાજુક છે. આટલી ઊંચાઈએ જળવિદ્યુત માટે આવા વિશાળ બંધ બાંધવા એ તબાહીને ખુલ્લું નોંતરું છે. તીસ્તા નદી અને તેની શાખાઓ પર બધું મળીને બાર જળવિદ્યુત પ્રકલ્પો બંધાયેલા છે. સિક્કિમ રાજ્ય આપણા દેશના સૌથી વધુ વરસાદી પ્રદેશો પૈકીનું એક છે. તેમ જ તે સિસ્મિક ઝોન ચાર અને પાંચની શ્રેણીમાં આવે છે, એટલે કે અહીં ભૂકંપની સંભાવના સૌથી વધુ છે. આમ, સમગ્રપણે જોઈએ તો સિક્કિમનું ભૂપૃષ્ઠ અતિ નાજુક કહી શકાય એવું છે.

    ‘અફેક્ટેડ સીટીઝન્‍સ ઑફ તીસ્તા’ (એક્ટ) નામના, સિક્કિમના રક્ષણાર્થે રચાયેલા સંગઠનના જનરલ સેક્રેટરી ગ્યાત્સો લેપ્ચાના જણાવ્યા અનુસાર, ‘જળવિદ્યુત યોજના ન હોત તો આ દુર્ઘટના બની ન હોત.’ હજી તીસ્તા પર અનુક્રમે ૫૧૦ મેગાવૉટ અને 520 મેગાવૉટનાં બે પાવર સ્ટેશન નં. ૪ અને ૫ દરખાસ્તના તબક્કે છે. આ સંગઠને બન્ને પાવર સ્ટેશનના બાંધકામ પર પાબંદી મૂકવાની માગ કરી છે, કેમ કે, એમ થાય તો તબાહીની ખાતરી છે.

    હિમાલય પથરાયેલો છે એ તમામ રાજ્યોમાં આ સમસ્યા તીવ્ર બની છે, અને હજી આગામી વરસોમાં તીવ્રતર બની રહેશે.

    આની સરખામણીએ સપ્ટેમ્બર, ૨૦૨૩માં નર્મદાના પૂરનું ઉદાહરણ મૂકવા જેવું છે. સરદાર બંધના ઉપરવાસમાં વરસાદને કારણે સરોવરમાં પાણીની આવક બરાબર થઈ રહી હતી. આમ છતાં બબ્બે દિવસ સુધી ડેમના દરવાજા ખોલવામાં ન આવ્યા. કેમ? કેમ કે, માનનીય વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીનો ૧૭સપ્ટેમ્બરે જન્મદિવસ હતો. અને એ દિવસે ડેમના દરવાજા ખોલીને ‘જળનાં વધામણાં’નું આયોજન કરવામાં આવ્યું હતું. નિર્ધારીત દિવસે જળનાં વધામણાં કરવામાં આવ્યાં અને અઢારેક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. એનું પરિણામ શું આવે? જોતજોતાંમાં નર્મદાનાં પાણી ભરૂચ-અંકલેશ્વર સહિત અનેક વિસ્તારોમાં ફરી વળ્યાં. તેની ઝડપ એટલી બધી હતી કે કોઈને કશું બચાવવાનો સમય ન મળ્યો. આ દુર્ઘટના ભૂલનું નહીં, હળાહળ બેદરકારીને પરિણામે હતી. આ બંધનાં મુખ્ય હેતુ પૈકીનો એક પૂર નિયંત્રણનો છે, પણ એ જ બંધ પૂરનું, વ્યાપક તારાજીનું કારણ બન્યો.

    વિકાસનાં કામ અને તેને કારણે લેવાતો પર્યાવરણને થતું નુકસાન અલગ ચર્ચાનો વિષય છે, પણ આ રીતે ચાપલૂસી કરવા માટે કુદરત સાથે ચેડાં કરવાં એ ગુનાહિત બેદરકારી છે. આમ તો, બંધ સાથે વિવિધ એજન્સીઓ સંકળાયેલી હોય છે, અને એ દરેકની જવાબદારી નિર્ધારીત કરવામાં આવેલી છે. આમ છતાં, આવા કામ માટે આ તમામ એજન્સીઓ એકબીજા સાથે ‘મળી’ જાય એ દર્શાવે છે કે કોઈકને વહાલા થવાની વાત આવે ત્યારે નિશ્ચિત અને નિર્ધારીત કરાયેલી પ્રણાલિ, પ્રક્રિયા કે પદ્ધતિનું કશું મૂલ્ય નથી.

    નર્મદાના પૂરના મામલે વડાપ્રધાનને કદાચ પૂરેપૂરા દોષિત ગણાવી શકાય એમ નથી, પણ રાજ્યમાં કેવી કાર્યસંસ્કૃતિ વકરી છે એનો અંદાજ વધુ એક વાર આ ઉદાહરણથી આવી શકે છે. આ પીડિતો સમક્ષ વળતરનો ટુકડો ફેંકવાથી તેમને જે નુકસાન થયું છે એ ભરપાઈ થઈ શકવાનું નથી. પણ લોકશાહી શાસનપદ્ધતિમાં સમગ્ર પ્રણાલિ વ્યક્તિકેન્‍દ્રી બની રહી છે એનો ઈન્‍કાર થઈ શકે એમ નથી.

    કમનસીબે લોકશાહીમાં કોઈ નાગરિક હોતું નથી. સહુ કોઈ મતદાર હોય છે. રાજકારણીઓ તો આ બાબત સારી પેઠે જાણતા જ હોય, મતદારો પણ એ રીતે જ વર્તે છે. મતદારોની ટૂંકા ગાળાની સ્મૃતિનો પૂરેપૂરો ગેરલાભ રાજકારણીઓ ઉઠાવતા આવ્યા છે અને હજી એ ચાલુ રહેશે.

    આફત ચાહે કુદરતી હોય કે કુદરતીના સ્વાંગમાં માનવસર્જિત, તેમાં આખરી નુકસાન નાગરિકનું જ છે એ બાબત ગાંઠે બાંધી રાખવા જેવી છે.


    (શિર્ષકપંક્તિ: એન.ગોપી, અનુવાદ: રમણિક સોમેશ્વર)


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૬ – ૧૦ – ૨૦૨૩ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • સંતૃપ્તિ

    હકારાત્મક અભિગમ

    રાજુલ કૌશિક

    આપણી નજર સામે પાણી ભરેલો એક પડ્યો છે જો કે એ ગ્લાસમાં છલોછલ પાણીના બદલે અડધે સુધી પહોંચે એટલું પાણી છે. હવે આ વાતને બે રીતે જોઇ શકાશે. કોઇની નજરે એ ગ્લાસ અડધો ભરેલો હશે તો એ જ ગ્લાસ અન્યને અડધો ખાલી દેખાશે.

    આ વાતને રજનીશજી સુખ દુઃખ માપવાના દ્રષ્ટિકોણ સાથે સરખાવે છે. એક સરખી પરિસ્થિતિને જોવાની બે અલગ વ્યક્તિઓની દ્રષ્ટિ પણ સિક્કાની બે બાજુની જેમ અલગ જ હોવાની આના માટે એક સરસ ઉદાહરણ આપતા કહે છે….

    એક ગામના પાદરે એક સાધુ આવીને રહે છે. સાધુ છે એટલે સત્સંગ તો કરવાના જ. ગામના લોકો નવરાશે એમની પાસે આવીને બેસે. એવી રીતે એ ગામના બે ખેડૂતો સાધુ પાસે આવ્યા. સાધુએ એમની સાથે વાત માંડી. હવે વાત જાણે એમ હતી કે બંને પાસે ફળદ્રુપ જમીન હતી. ખુબ સરસ મઝાનો પાક પણ ઉતરે અને બંને મહેનત ખુબ કરે એ પ્રમાણે કમાણી પણ થાય.  સાધુ એમના રાજીખુશીના સમાચાર પૂછ્યા.

    એક ખેડૂતે જવાબ આપ્યો… “ બાપજી. શું વાત કરું ? સવારથી સાંજ મારા નસીબમાં બસ બળદ, હળ અને ખેતરાં જ લખેલા છે. આખો દિ વૈતરું કરવામાં જાય છે. આખો દિ કામ કરીને આ તન એવું તો થાકી જાય છે કે રાત પડે લોથ થઈને ઊંઘી જઉં છું

    સાધુએ એ જ સવાલ બીજા ખેડૂતને પૂછ્યો.

    તો એકદમ લહેરથી એણે જવાબ આપ્યો……” બાપજી એયને લીલાલહેર છે. મારા ખેતરો જ મારા અન્નદાતા છે. ખેતર ખેડું છું અને બિયારણ નાખું છું . જ્યારે આ બિયારણમાંથી પાક ઉગે છે ત્યારે મારી મહેનત ફળ્યાનો આનંદ થાય છે. મારી સાથે સાથે બીજા કેટલાય લોકોની આંતરડી ઠરશે એ વિચારે હરખાઉં છું. મારા ખેતરાંની જેમ જ મારા બળદ, હળ પણ મારા છોકરાઓ જેટલા જ વહાલા છે . પ્રભુકૃપાથી મારા ખેતરની જમીન પણ ફળદ્રુપ છે પણ એ પ્રભુકૃપાને મારી મહેનતથી વધુ રસકસવાળી બનાવવા એનેય નિયમિત ખાતર પાણી આપું છું. મને મારા કામથી અને ફળથી પુરેપુરો સંતોષ છે. રાત પડે ઈશ્વરની આ કૃપા માટે હું આભાર માનીને ચેનથી પોઢી જાઉં છું.

    હવે અલગ દ્રષ્ટિકોણથી વિચારવાની માનસિકતાના લીધે એક  સરખી પરિસ્થિતિ પણ કેટલી બદલાઇ જાય છે !

    સીધી વાત- મનથી જે અધૂરા છે એને પાણીનો ગ્લાસ અડધો ભરેલો દેખાશે અને મનથી સંતૃપ્ત છે એને પાણીનો ગ્લાસ અડધો ભરેલો દેખાશે. સીધી નજરે દેખાતી સ્થિતિ તો સરખી જ છે ફરક છે આપણી સોચનો, આપણા મનને કેળવવાનો. જે મળ્યું છે એને માણવાની વાતનો….રાજી રહેવું કે નહીં એ આપણા દિલ-દિમાગથી વિચારી લેવાનું છે.


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • પગદંડીનો પંથી – ભાગ ૨ – ૫: દાઝવા કે બળવાના અકસ્માતો: પ્રાથમિક સારવાર

    તબીબી સારવાર અને નિદાન અંગેની આવશ્યક માહિતી

    ડૉ. પુરુષોત્તમ મેવાડા,
    એમ. એસ.

    ઘરમાં સાધારણ દાઝવા કે બળવાના અકસ્માતો બનતા હોય છે.

    દાઝવાના અકસ્માતો નીચે આપેલાં કારણોથી થાય છે, અને તેના પ્રકાર પ્રમાણે સારવાર થોડી જુદી પડે છે અને નુકસાન પણ જુદા પ્રકારનું થાય છે, તેથી સામાન્ય જ્ઞાન હોવું જરૂરી છે.

    (૧) સ્કાલ્ડ બર્ન્સ (Scalds) – રસોડામાં દૂધ, ચા, તેલ, દાળ, નહાવાનું ગરમ પાણી, વગેરે ગરમ પ્રવાહીથી થાય છે.

    (૨) ફ્લેમ (Flame) બર્ન્સ – દીવા વગેરેની જ્યોતથી, સળગતી વસ્તુઓથી થાય છે. ગેસ કે કેરોસીનથી, ચૂલો/સગડી સળગાવતાં થાય છે.

    (૩) ઇલેક્ટ્રિક (Electrical) બર્ન્સ – વિદ્યુતનો કરંટ લાગે ત્યારે ખૂબ જ જટિલ પ્રકારના દાઝવાના પ્રકારો થાય. તણખો થાય અને આગ લાગે ત્યારે ફ્લેમ બર્ન્સ થાય.

    કરંટ શરીરમાં થઈને વહે તો પ્રવેશ (Entry) અને બહાર (Exit) નીકળતા ભાગ પર ખાસ બળવાની નિશાની દેખાય છે. પણ યાદ રાખવું કે કરંટ આ દરમ્યાન વચ્ચેના શરીરના આંતરિક અવયવોને ઘણું નુકસાન કરી શકે છે, અને એ જ તાત્કાલિક મૃત્યુનું કારણ બની શકે છે. આ વખતે હાજર બચાવ કરનારે પહેલાં મેઇન સ્વિચ બંધ કરવી, પછી જ વ્યક્તિને અડકવું. જો તેમ ના થઈ શકે તો સૂકા લાકડા/પ્લાસ્ટિકની ખુરશી જેવા વિદ્યુત-અવાહકથી વ્યક્તિ કે વાયરને ધક્કો મારી છૂટો કરવો. નહીં તો બચાવનારને પણ જાનનું જોખમ ઊભું થાય છે.

    વિદ્યુત કરંટથી આગ લાગે ત્યારે પાણીનો ઉપયોગ કદીયે ના કરાય, કારણ કે પાણી વિદ્યુત-વાહક હોવાથી પાણી નાખનારને ઝડપી લે છે, અને કરંટ લાગે છે.

    મોટા બિલ્ડિંગમાં આગ લાગે ત્યારે અથવા આતંકીય/લડાઈને લીધે બોંબ વિસ્ફોટથી થનારી દાઝવાની પ્રક્રિયા સાથે બીજું ઘણું શારીરિક નુકસાન થાય છે, તેની માહિતી અત્રે અસ્થાને છે.

    (૪) રાસાયણિક (Chemicals) બર્ન્સ – એસિડ કે આલ્કલીઝથી થાય છે. આવા કેસમાં પણ તાત્કાલિક પાણીથી ધોવું જરૂરી છે.

    સારવારના (Treatment) પ્રાથમિક નિયમોઃ

    દાઝી ન જવાય તેની કાળજી લેવી તે પહેલું પગથિયું. (Prevention)

    જ્યારે અકસ્માતે દાઝી જવાય તો ગભરાયા વગર, મદદ માટે બૂમ પાડવી. ગરમ પાણી કે પ્રવાહીથી દાઝ્યા હોય તો તરત જ ભાગને ઠંડા પાણીના નળ નીચે રાખી મૂકવો, કે બરફનું પાણી ભરેલી ડોલમાં ડુબાડી રાખવો. ઘી, મલમ કે કોઈ પણ રંગવાળી દવા લગાડવી નહીં, જેથી ડૉક્ટરને તપાસવાની સુગમતા રહે.

    ભાનમાં હોય તો જ ખૂબ પાણી/પીણાં પી શકાય, કારણ કે બળવાથી શરીરમાં ખૂબ જ પ્રવાહીનો નાશ થાય છે.

    શરીરનો કેટલો ભાગ દાઝ્યો છે, તે પ્રમાણે બળવાના ટકા નક્કી થાય છે, જો આખું શરીર દાઝ્યું હોય તો ૧૦૦% દાઝેલા છે એમ કહેવાય. અને કેટલા ઊંડાણ સુધી દાઝ્યા છે, તે ડિગ્રી તરીકે મપાય છે. સાધારણ લાલાશ અને ફોલ્લા ના થયા હોય તો ફર્સ્ટ ડિગ્રી, ફોલ્લા હોય તો સેકંડ ડિગ્રી. આ બંને પ્રકાર ૧ થી ૩ અઠવાડિયાંમાં મટી જાય અને ખાસ નિશાની પણ રહેતી નથી. જો કે તેની દવા કરાવવી જરૂરી છે.

    થર્ડ ડિગ્રી (Full Thickness) બર્ન્સમાં ચામડી તેમજ તેની નીચેની માંસપેશીઓ/અવયવો ઉપરાંત ઘણીવાર હાડકાં સુધી નુકસાન થયું હોય છે. ખૂબ જ ગંભીર પ્રકારના આવા બળવાના કેસમાં સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટરની સારવારની જરૂર પડે છે અને દર્દીને દવાખાનામાં દાખલ થવું જરૂરી છે. આ મટતાં ઘણીવાર મહિનાઓ થાય છે, બેડોળપણું, પગ, હાથ, ગળું જેવાં અવયવોના હલનચલનમાં નુકસાની આવે છે. વારંવાર પ્લાસ્ટિક સર્જરી કરવી પડે. ઘણીવાર જંતુઓ લાગવાથી (Infection, Septicaemia), ૩ થી ૪ અઠવાડિયાંમાં રસી થઈને તેનું ઝેર પ્રસરી જતાં મૃત્યુ થાય છે.

    ડ્રેસિંગ કરવું કે નહીં, ભાગ ખુલ્લો રાખવો કે કેમ, એ ડૉક્ટરને નક્કી કરવા દેવું, પાટાથી કે અન્ય રીતે ઘાનું ધૂળ, જંતુઓ અને માખીઓથી રક્ષણ કરવું જોઈએ.

    વિદ્યુત કરંટથી, અથવા શરીરના અગત્યના અવયવો જેવા કે ચહેરો, આંખ, હાથ-આંગળીઓ, જનનેન્દ્રિયો પર દાઝ્યા હોય, તો ડૉક્ટરની સલાહ અનુસાર ઇસ્પિતાલમાં દાખલ થવું જરૂરી છે. ઘણાં રસાયણોથી શરીરમાં ઝેર પ્રસરી શકે છે. કોઈ પણ રસાયણ શરીર ઉપર પડે તો વારંવાર પાણીથી તાત્કાલિક ધોવું. આંખમાં પડે તો પાણીની છાલક મારી આંખ ચોળ્યા વગર ધોવી જોઈએ.

    ખાસ નોંધઃ

    આ માહિતી, અકસ્માતે તાત્કાલિક ઘરગથ્થુ સારવાર શી કરી શકાય તેની જાણકારી માટે જ છે. આ બધા જ દર્દીઓએ ડૉક્ટરને અવશ્ય બતાવવું અને તેમની સલાહ પ્રમાણે કરવું. ડિગ્રીધારી (Qualified) ડૉક્ટરને બતાવી એમના અભિપ્રાય પ્રમાણેની સારવાર લેવી જરૂરી છે.


    ક્રમશ: 


    ડૉ.પુરુષોત્તમ મેવાડાનો સંપર્ક mevadapa@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • સુખ નામે કસ્તુરી

    પારુલ ખખ્ખર

    દિવાળી એટલે મહાલક્ષ્મીની ઉપાસનાનો તહેવાર.આમ તો ૩૬૫ દિવસ લક્ષ્મીની ઉપાસના કરતા હોઇએ અલગ વાત છે. દિવાળીને દિવસે આપણેશ્રી સૂક્તમ્સ્તોત્ર બોલીને કેટલું બધું માંગીએ છીએ! પુત્ર, પૌત્ર, ધન, ધાન્ય, પશુ, આરોગ્ય, આયુષ્ય,પદ, પ્રતિષ્ઠા, વિદ્યા વગેરે વગેરે. અને માંગવા પાછળનો હેતું શું? સુખી થવાનો ને? તો ચાલો આજે સમજીએ સુખ શું છે?

    થોડા સમય પહેલા લંચબોક્સનામની એક સંવેદનશીલ ફિલ્મ આવી હતી, ફિલ્મની નાયિકા સીધી, સાદી, સરળ, મધ્યમવર્ગીય ગૃહિણી હતી. એક દિવસ દીકરીને હોમવર્ક કરાવતી વખતે એની બૂકમાંથી જાણ્યું કે પૃથ્વી પર ભૂતાન એક એવો દેશ છે કે જ્યાં વિકાસનો માપદંડહેપીનેસછે ! એને થયું વાહ તો સરસ કહેવાય ! આમ તો પોતાની નાનકડી દુનિયામાં સુખી હતી પરંતુ સંજોગોવશાત એનો પતિ કોઇ બીજી સ્ત્રી સાથે સંબંધ બાંધી બેઠો,અને બાજુ મુંબઇની ડબ્બાસર્વીસની એક હસીન ભૂલને કારણે નાયિકા પણ એક અનદેખા, અન્જાના આધેડ પુરુષના પ્રેમમાં પડી ગઇ.અંતે સમયની ચોપાટ પર કિસ્મતનાં એવા દાવ મંડાયા કે નાયિકા ના તો પતિ સાથે રહી શકી કે ના તો પ્રેમી સાથે જઇ શકી! અને ત્યારે તેણે પોતાના ઘરેણા વેચીને દીકરીને સાથે લઇને સુખ નામનાં પદાર્થની શોધમાં ભૂતાન જવાનો નિર્ણય કરી લીધો. ફિલ્મ અહીંયા પૂરી થાય છે.

    પરંતુ મગજમાં વિચારોના વમળ શરું થાય ..કે શું આવો કોઇ પ્રદેશ હોઇ શકે ખરો? સુખનાં ભૌગોલિક સરનામા હોય ખરાં! અને જો હોય તો તો એને સ્વર્ગ કહેવાય ને? અને પછી તોગૂગલ સર્ચકર્યુ , તો રીઝલ્ટ મળ્યું કે ભૂતાનમાં સગવડો અને સુવિધાનાં ૩૨ માપદંડો નક્કી કરવામાં આવ્યા છે, એનાં પરથી માથાદીઠ આવકની જેમ માથાદીઠહેપીનેસનક્કી થાય છે. પણ તમે કહો મિત્રો.ભૌતિક સુવિધા અને સગવડો ને સુખ કહેવાય ? અને જો કહેવાતું હોયતો..તો.. આલિશાન બંગ્લોઝ , લેટેસ્ટ ઇન્ટીરીયર ,ડીઝાઇનર વોર્ડરોબ, છલોછલ ભરેલી તિજોરી, લક્ઝરી કાર, પ્લેટીનમનાં દાગીના, મોંઘ ગેજેટ્સ સુખની ગેરંટી આપતા સાધનો ગણાયને ! તો પછી બધું ધરાવતા લોકો શા માટે ડીપ્રેશનથી પીડાય છે? શા માટે ભૂખનીઊંઘની ગોળી લે છે? શા માટે વ્યસનને રવાડે ચડી જાય છે? શા માટે બાપૂઓ , ભૂવાઓ, પંડિતોના પગથિયાઘસી નાંખે છે? શા માટે આત્મહત્યા કરે છે? છે કોઇ જવાબ ? મારા મતે ભૌતિક સગવડો સુખ નથી. તો પછી સુખ કઇ ચિડિયાનું નામ છે કોઇ કહેશો?

    સુખ એટલે શું ?’ એવો એક સાદ પાડ્યો અને જવાબ રુપે અનેક પડઘા આવ્યા.જુઓ.. રહ્યા..

    *સુખ એટલે તમારી પાસે રહેલા ફુલોમાંથી ગજરો બનાવવાની કળા.
    *
    સુખ એટલે જે ગમતું હોય મળી જાય અને જે મળ્યું હોય ગમી જાય એવી ઘટના.
    *
    સુખ એટલે મૃત્યુનું સનાતનપણુ ભૂલાવી દેતી ક્ષણ.
    *
    સુખ એટલે વસ્તુ કે જે માનવને જીવતેજીવ નથી મળતી છતા તેની પાછળ દોડ્યા કરવાની ટેવ.
    *
    સુખ એટલે દાંતમાં ભરાયેલ વરીયાળીનું ફોતરું ૧૫૨૦ મીનીટની જહેમત પછી કાઢી શકવાની ક્ષણ.
    *
    સુખને સમજવાની જીજ્ઞાસા થવી સુખ.
    *
    સુખ નામની કોઇ ચીજ જગતમાં નથી અને એની તમને ખબર નથી સુખ.
    *
    સુખ એટલે ખાવું, પીવું, નાચવું અને પ્રત્યેક પળને ઉજવી લેવી.
    *
    સુખ એટલે મનગમતો એક સંબંધ.
    *’
    સુએટલે સારું અનેએટલે આકાશ.અર્થાતજે મળ્યો છે , જેટલો મળ્યો છે આકાશનો ટુકડો સારો લાગવો એટલે સુખ !

    કેટલી બધી વ્યાખ્યાઓ થઇ ગઇ નહી?

    એક નાનકડો મિત્ર કહે, ‘આન્ટીસુખ એટલે મમ્મીએ બનાવેલ દુધીનો હલવો, સુખ એટલે સમયસર મળી જતી ટ્રેઇન, સુખ એટલે મિત્રો સાથેની હસીમજાકો, સુખ એટલે સુંદર છોકરીએ આપેલું સ્મિત, સુખ એટલે પહેલો પગાર. ઇનશોર્ટસુખ એટલે જમી પરવારી, નિરાંતે બેસી સુખ અને દુઃખ વચ્ચે ભેદ કરવાની, બૌદ્ધિક ચર્ચાઓ કરવાની અને શાંતિથી સુઇ શકવાની જાહોજલાલી.’
    અરે વાહકેટલી મોટી વાત કહી નાંખી?

    અને આમ જુઓ તો આવી કેટલી બધી સુખની ક્ષણો મળતી હોય છે બધાને. જેમ કે ઉનાળાને બળતી બપોરે મળતું ઠંડું પાણી, ખોવાયેલા મોંઘા મોબાઇલનું પરત મળી આવવું, શિયાળાની બોઝિલ ઉદાસ રાતે વિખુટા પડેલા મિત્રનો ફોન આવવો સુખ કહેવાય ને? અને એવી રીતેભુખ લાગે ત્યારે ભોજન મળે, વરસાદ આવે ત્યારે છાપરું મળે,ઠંડી લાગે ત્યારે તાપણું મળે, ચપ્પલ તુટે ત્યારે મોચી મળે, ઊંઘ આવે ત્યારે પથારી મળે પણ સુખ ને!

     

    ચાલોહવે જરા અલગ અર્થમાં વિચારીએ કે સુખ એટલે આનંદની એક એવી સરવાણી કે જે ક્યારેક કોઇ બાહ્ય ધક્કાથી તો ક્યારેક અકારણ ફૂટી નિકળતી હોય છે. સ્પંદન એટલું બધું ચંચળ હોય છે કે મહેસૂસ કરો કરો ત્યાં છટકી જાય !સુખ આમ તો શરીર દ્વારા મનને થતી સંવેદના છે જે પાંચ જ્ઞાનેન્દ્રિયો ( આંખ, કાન, નાક, જીભ, ત્વચા)ને મળતો વિષયોનો ખોરાક છે.ક્યારેક નાનકડી વાતમાંથી મળી જાય તો ક્યારેક અનેક મથામણો પછી પણ છટકી જાય.પણ મારે તો એથી પણ આગળ કહેવું છે કે માત્ર જ્ઞાનેન્દ્રિયોના વિષયો સાથેનાં સંપર્કને સુખ કહી શકાય નહી. સાચું સુખ તો ભીતરનું સુખ કે જે કાળને પણ હંફાવી દે તેવું પાવરફુલ અને પોલાદી હોય છે. ક્યારેક સાવ કોરા કાગળ પર કમળનું ચિત્ર દોરતા હોઇએ અને મનમાં સુગંધની એકાદ લ્હેરખી વહેવા લાગે ત્યારે સમજવું કે આપણે સુખની લગોલગ છીએ.અંદરનું સુખ સાચું સુખ બાકી તો સુખ એવું પંખી કે જે સંતોષની પાંખો લઇને ઉડે , ઘડીભર મનનાં આંગણામાં મજાથી ટહુકે અને પછી એની મસ્તીમં ખલેલ પડતા ઉડી જાય દૂર..દૂર..

    મને રમેશ પરેખની એક સુખ વિશેની કવિતા યાદ આવી ગઇ જુઓતેનો અંશ

    મૂળે ખુશાલિયાને ગોતવું હતું સુખ !
    અડબાઉંને એમ કે ચોપડીયુંમાં લખ્યું હોય સાચું હોય.
    સુખનાં ઝાડવા ફિલમમાં ઉગે, સુખનાં ફુવારા કવિતાયુંમાં ઉડે
    એને તો એમ
    કે સોમવાર અને રવિવારની જેમ સુખ હોય !
    ટપુભાઇ અને તરવેણીબેનની જેમ સુખ આપણી ઘરે આવે!
    અક્કલનાં ઇસ્કોતરાને કહેવુંય શું ?
    પણ,,આપણે તો જાણીયે ચંદુભાઇ…..
    કે સસલાને શિંગડા હોય , તો માણસને સુખ હોય. ”


    કેવી અદભૂત વાત કરી કવિશ્રીએ!

    મિત્રો, સુખ કંઇ આંગળી ચીંધીને બતાવી શકાય તેવી વસ્તુ નથી, જો નાની નાની બાબતોમાંથી શોધી શકો તો હાથવેંતમાં છે નહી તો કસ્તુરીમૃગ જેમ પોતાની નાભિમાં રહેલી સુગંધને પારખી નથી શકતું અને સુગંધની શોધમાં ઉમ્રભર દોડ્યા કરે છતાં મળે એમ માણસ પણ દોડ્યા કરે ! ટૂંકમાં સુખ એક એવું તાળું કે જેની હજારો ચાવીઓ છે, દરેક પોતાની સમજણ મુજબ ચાવી અજમાવીને સુખનો ખજાનો પામી શકે છે.


    સુશ્રી પારુલ ખખ્ખરનો સંપર્ક parul.khakhar@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • હા, કેન્સર એટલે કેન્સલ નહીં પણ મહિલાઓ માટે તે સાચું નથી

    નિસબત

    ચંદુ મહેરિયા

    મુખપોથી મિત્ર ડો.ઈરફાન સાથિયાએ થોડા સમય પહેલાં તેમની એક પોસ્ટમાં લખ્યું હતું કે, “  દુનિયા આખીમાં કેન્સર સામાન્ય બીમારી બની રહ્યું છે, ત્યારે મુસ્લિમ કમ્યુનિટીમાં તે દિવસે ને દિવસે જીવલેણ બનતું જઈ રહ્યું છે. મુસ્લિમોમાં કેન્સરથી થતા મોતનો આંક ચોંકાવે તે રીતે વધી રહ્યો છે ”  આ વાંચીને કોઈ રોગને પણ ધર્મ, જાતિ, જ્ઞાતિ,રંગ, દેશ, પ્રદેશ સાથે સંબંધ હોઈ શકે એ વાતનું આશ્ચર્ય થયું હતું. જોકે ડોકટરરસાહેબે તેમના નિરીક્ષણના સમર્થનમાં કમ્યુનિટી મેડિસિનના અભ્યાસનો હવાલો આપ્યો હતો.

    અમેરિકામાં ગોરી મહિલાઓ કરતાં કાળી મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરમાં સૌથી ઘાતક ટ્રિપલ નેગેટિવ બ્રેસ્ટ કેન્સર(ટીએનબીસી) નું પ્રમાણ વધારે હોય છે અને શ્વેત કરતાં શ્યામવર્ણની આફ્રો-અમેરિકન મહિલાઓમાં આ કેન્સરને કારણે ત્રીસેક ટકા વધુ મોત થતા હોવાનો અભ્યાસ પણ વાંચવામાં આવ્યો હતો.

    તાજેતરમાં વિજ્ઞાન સંશોધનસામયિક લાન્સેટમાં પ્રગટ અધ્યયન જણાવે છે કે કેન્સર થવાનો ખતરો પુરુષોમાં વધુ હોય છે પરંતુ કેન્સરને કારણે મહિલાઓ વધુ મરે છે. ભારત માટે તો આ અધ્યયન એવી ચિંતાજનક બાબત નોંધે  છે કે ભારતીય મહિલાઓના  કેન્સરને કારણે થતાં મોતમાં ૩૭ ટકા મોત સમયસર નિદાન અને સારવારના અભાવે થાય છે. ૬૭ ટકા મહિલાઓને જો સમયસર કેન્સરની તપાસ અને ઈલાજ મળ્યાં હોત તો તેમનો રોગ આગળ વધતો અટકાવી શકાયો હોત.

    માનવ શરીરના કોષોમાં અનિયંત્રિત વૃધ્ધિ એટલે કેન્સર. આજે પણ અસમય મોતના ત્રણ કારણો પૈકીનું એક કારણ કેન્સર છે. એટલે કેન્સર એટલે કેન્સલ એમ કહેવાય છે.પરંતુ હવે સાવ એવું નથી. કેન્સરની સારવાર મોંઘી અને લાંબી છે એ ખરું પણ ઈલાજ શક્ય છે.

    તસવીર – નેટ પરથી

    ‘ વિમેન, પાવર એન્ડ  કેન્સર ’ શીર્ષક હેઠળનું લાન્સેટનું અધ્યયન વિશ્વના ૧૮૫ દેશોના ૩૦ થી ૬૯ વર્ષના લોકોના અસમય મોતના કારણો પર આધારિત છે. અભ્યાસમાં જણાવાયા પ્રમાણે સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક કારણોથી મહિલાઓમાં કેન્સરથી થતા મોતનું પ્રમાણ પુરુષોના મુકાબલે ઘણું વધારે છે. જો લાન્સેટ રિપોર્ટમાં દર્શાવાયેલા આ કારણો દૂર કરી શકાય તો ભારતમાં  ૬૯ લાખ મહિલાઓના કેન્સરથી થતાં મોત રોકી શકાયાં હોત અને ૪૦.૩ લાખનો ઈલાજ થઈ શક્યો હોત.

    મહિલાઓમાં સ્તન કેન્સર, ગર્ભાશયનું કેન્સર, અંડાશયનું કેન્સર અને ગર્ભાશયના મુખનું કેન્સર સવિશેષ જોવા મળે છે. કેન્સરના દર સોએ વીસ કેસ સ્તન કે બ્રેસ્ટ કેન્સરના હોય છે. તેમાંથી અડધોઅડધના મોત થાય છે. ભારતમાં દર ત્રીજી મિનિટે બ્રેસ્ટ કેન્સરનો એક કેસ નોંધાય છે અને દર છઠ્ઠી મિનિટે એક મોત થાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ પ્રમાણે ૨૦૨૦માં ૨૩ લાખ બ્રેસ્ટ કેન્સરના કેસો બન્યા હતા અને તેમાંથી ૬.૮૫ લાખના મોત થયા હતા. કેટલાક કેન્સર સાઈલન્ટ  હોય છે અને છેલ્લા તબક્કામાં જ તેની જાણ થાય છે. જ્યારે બીજા કેટલાકને મટાડી શકાય છે.

    ના માત્ર ભારતમાં લગભગ આખા વિશ્વમાં સ્ત્રી-પુરુષ ભેદભાવ અને તેમની વચ્ચેની સત્તા કે શક્તિની અસમાનતા જોવા મળે છે. રોગના ઈલાજમાં પણ તે દેખાય છે.આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક કારણો મહિલાઓના કેન્સરના ઈલાજની આડે આવે છે. સમાજના સત્તા સમીકરણો અને કેન્સરની તપાસ, નિદાન અને ઈલાજ સુધી મહિલાઓની પહોંચ વચ્ચે સીધો સંબંધ છે. નિર્ણય પ્રક્રિયા અને આર્થિક સત્તામાં  મહિલાઓની ભાગીદારીનો અભાવ તેમને કેન્સરની સમયસર તપાસથી દૂર રાખે છે. તેને કારણે તે કેન્સરની આશંકા વર્તાય કે તુરત જ તપાસ કરાવી શકતી નથી. ઘરના કામનો બોજ અને સામાજિક જવાબદારી પણ કારણભૂત છે.

    કેન્સર જેવા રોગની ગંભીરતા અને ઘાતકતાની જાણકારીનો અભાવ અને ઘરના પુરુષ સભ્યોનું કે પિતૃસત્તાક સમાજનું મહિલાઓના આરોગ્ય પ્રત્યેનું  ઉદાસીન વલણ પણ મહિલાઓના મોતમાં વધારા માટે જવાબદાર છે. મહિલા પોતાના રોગની સારવારનો નિર્ણય જાતે લઈ શકતી નથી અને ઘરના પુરુષ સભ્યો તેની બીમારીની ઉપેક્ષા કરે છે.નાણાકીય સગવડનો અભાવ કે મહિલા માટે વધુ નાણા નહીં ખર્ચવાનું વલણ પણ મહિલાઓને મોતના મુખમાં ધકેલે છે.

    જેમ સ્ત્રી-પુરુષ તેમ શહેર અને ગ્રામ, અમીર ને ગરીબ, શિક્ષિત અને અશિક્ષિત જેવા ભેદ પણ કેન્સરના ઈલાજમાં જોવા મળે છે. ઘરની દીકરી માટે સરકારી શાળામાં ભણતર તેમ ઘરની મહિલાની સારવાર માટે સરકારી દવાખાનાની પસંદગી કે સારવાર બાબતે જ કુટુંબનું નિમ્ન પ્રાથમિકતાનું વલણ સાવ સહજ મનાય છે.  કેન્સરની બીમારીના ઈલાજ માટે પણ મહિલાઓને સરકારી દવાખાના પર નિર્ભર રહેવું પડે છે. વળી આ સેવાઓની સ્થિતિ બદતર છે તેથી પણ મહિલાની યોગ્ય સારવાર થતી નથી. ગ્રામીણ અને ગરીબ સ્ત્રીઓમાં આરોગ્ય સંભાળની ઓછી જાણકારી હોય છે. મહિલાઓ પુરુષ ડોકટરો પાસે શરીરની તપાસ કરાવતાં સંકોચાય છે કે ગભરાય છે અને મહિલા ડોકટરોની સંખ્યા ખૂબ ઓછી છે તે પણ જવાબદાર પરિબળ છે. ઘરકામ આટોપીને કે તેને પડતું મુકીને મહિલાઓ નજીકના નગરો કે મહાનગરોમાં સારવાર માટે જઈ શકતી નથી તેથી પણ તેમનો ઈલાજ યોગ્ય રીતે થતો નથી.

    મહિલાઓમાં થતા કેન્સર અંગે વધુ સંશોધનોની પણ આવશ્યકતા છે. પુરુષોની તુલનામાં મહિલાઓમાં કેન્સરની આરંભિક અટકાવની શક્યતા ઓછી છે. તે દિશામાં સંશોધન થવું જરૂરી છે. બ્રેસ્ટ કેન્સર થવાના કારણો (જેનેટિક અને રિપ્રોડક્ટિવ ફેકટર)  વિશે વધુ ઉંડાણપૂર્વકના અભ્યાસ-સંશોધનની જરૂરિયાત વર્તાય છે. સરકારી આરોગ્ય યોજનાઓ ગર્ભવતી અને ધાત્રી માતાઓ માટે સવિશેષ છે તેની સાથે મહિલા આરોગ્યના અન્ય પાસાં વિષે પણ યોજનાઓ ઘડાવી જોઈએ. કેન્સર જાગ્રતિના કાર્યક્રમો તથા બ્રેસ્ટ કેન્સર માટે મેમોગ્રાફી-સોનોગ્રાફીની તપાસ ગ્રામીણ વિસ્તારોમાં સુલભ બનવી જોઈએ. લિંગ ભેદ જો કેન્સરની સારવારનું મહત્વનું પરિબળ હોય તો જેન્ડર એન્ડ સેક્સ ઈન્કલુઝિવ પોલિસીસ એન્ડ ગાઈડલાઈન્સ સત્વરે  ઘડાવી જોઈએ.

    યુનાઈટેડ કિંગડમનો ૨૦૧૯નો એક અભ્યાસ દર્શાવે છે કે દારુ બ્રેસ્ટ કેન્સરનું મુખ્ય જોખમી કારક છે, તેવી જાણ કેન્સરની તપાસ કરાવનારી ૭૯ ટકા મહિલાઓને નહોતી ! શહેરીકરણ પણ કેન્સરના કેસો વધવાનું અગત્યનું કારણ છે. પરંતુ શું આ કારણ દૂર કરવું શક્ય છે ? મેદસ્વીતા, બેઠાડુ જીવન, મોડા લગ્ન, બાળકોને સ્તનપાન ના કરાવવું, ધૂમ્રપાન, દારુનું વ્યસન જેવા કારણો પણ મહિલાઓના કેન્સરમાં મહત્વના છે તે કઈ રીતે દૂર કરી શકાય તે માટો પ્રશ્ન છે.

    અમેરિકામાં મહિલાઓના ઘણા કેન્સર પહેલા કે બીજા તબક્કામાં જ ઓળખી શકાય છે જ્યારે ભારતમાં એમ થઈ શકતું નથી. સરકારી કાર્યક્રમો હેઠળ માંડ ત્રીસ ટકા મહિલાઓની કેન્સરની તપાસ થઈ શકતી હોય તો તેનું પ્રમાણ વધારવાથી અને મહિલા તબીબોની કમી દૂર કરવાથી કદાચ કેન્સરની સરવારમાં રહેલો લિંગભેદ ઘટાડી શકાશે.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.