-
ઈન્દુની દીકરી
વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
ખીચોખીચ ભરેલી હોવાનાં લીધે માંડ ચાલી શકતી હોય એમ ગાડી પ્લેટફોર્મ પર આગળ વધી. જીવ લેવા ગરમીથી ત્રાસેલા રામલાલે એક ઊંડો શ્વાસ લઈને બાજુમાં બેઠેલા પસીનાથી તરબતર , અર્ધ ઉઘાડા એવા ગામડિયા તરફથી નજર ફેરવીને સામેની સીટ પર બેઠેલી પત્ની તરફ કરી.
રામલાલના બે વર્ષનાં લગ્ન જીવનમાં હવે પહેલાં જેવી તાજગી રહી નહોતી. આમ પણ થોડા સમય પછી ગૃહસ્થીમાં અન્ય જવાબદારીઓનું ભારણ વધી જતું હોય છે. માતૃત્વ-પિતૃત્વની ભાવના, સમાન વિચારો, વીતેલા દિવસોની યાદો એક બીજાને જોડેલાં રાખે બાકી તો ક્યારેક મનના ક્લેશ એ જૂની તાજગીને ભૂસી નાખે એવું બને.
રામલાલના જીવનમાં આવું કશું જ નહોતું, સંતાન પણ નહોતું. જો હોય તો એ એક બીજાને સંતાપ્યા હોવાની યાદ માત્ર હતી. બસ એ પોતે કમાઈ લાવે અને પત્ની ઘર સંભાળે એમ એક બીજાની સગવડ સાચવી લેતાં. જો આને સુખ કહેવાય તો એ સુખી હતા. રામલાલ બી.એ. પાસ હતા. ક્યારેક એમને થતું કે પત્નીને એ ખબર હોવી જોઈએ કે પતિને ઘરમાં બે સમયની રોટી સિવાય બીજી અપેક્ષાઓ હોય છે.
વિચારોમાં ગરકાવ રામલાલની પત્ની માટેની ચીઢ ક્રોધમાં પલટાવા માંડી. એક તીખી નજર પત્ની પર નાખી. નથી એનો રંગ ગોરો, નથી એ જરાય સુંદર દેખાતી, આવી ગમાર એને ગમી ક્યાંથી ગઈ? જોકે પહેલી વાર જોઈ ત્યારે એટલી ખરાબ નહોતી લાગી અને એને જાણ્યાં વગર જ માની લીધું હતું કે, જીવનનો બધો ભાર એને સોંપી દઈને એ નિશ્ચિંત થઈ શકશે.
રામલાલે ઈન્દુ તરફ ફરી એક તીખી દૃષ્ટિ નાખી અને તરત ફેરવી લીધી. એમાં એવો ભાવ હતો જાણે કોઈ ગોવાળ મંડીમાંથી હટ્ટી-કટ્ટી ગાય ખરીદીને લઈ આવ્યો હોય અને પછી આવીને ખબર પડે કે એ દૂધ આપી જ નથી શકતી. સારું થયું કે એ દૃષ્ટિ પર ઈન્દુની નજર નહોતી.
એટલામાં ગાડીની ગતિ ધીમી પડી. દર એક સ્ટેશને ધીમી પડતી આ લોકલ ગાડીની સાથે રામલાલની જીભે એક બિભત્સ ગાળ આવીને અટકી જતી.
એની પત્નીએ બહાર નજર કરીને પૂછ્યું,” સ્ટેશન આવ્યું?”
રામલાલને એના પ્રશ્ન પર ખૂબ ચીઢ ચઢી. સાથે એમ પણ થયું કે નાહક પત્ની પર રોષ કરે છે. આનાથી વધારે સમજણવાળો સવાલ એ કરે એટલે એનામાં અક્કલ જ ક્યાં હતી.
વળી ગાર્ડની સીટી વાગી, લીલી ઝંડી ફરકી અને ગાડી ઊપડી.
ગાડીની સાથે રામલાલના વિચારોએ ગતિ પકડી, “મેં પણ એની સાથે કયો સારો વ્યહવાર કર્યો છે? ભણી-ગણીને જો મારામાં આટલી સમજ નથી આવી તો એની પાસે શું ખાક હોય? સમજવાનું કામ સમજદારે કરવાનું છે. મેં વળી કયા દિવસે એની સાથે પ્રેમથી વાત કરી છે, પણ મનમાં એવો ભાવ જાગતો જ ન હોય તો ઢોંગ કરવાનો મતલબ શું?
વળી સ્ટેશન આવ્યું અને ગાડી અટકી. ઈન્દુએ બહાર નજર કરતા કહ્યું,” તરસ લાગી છે.”
રામલાલને એ અવાજ સાંભળવો પણ ન ગમ્યો. આવી રીતે કહેવાય? જરા આગ્રહપૂર્વક એવું કહેવું જોઈએ કે, સ્વામી મને તરસ લાગી છે. મને પાણી પીવડાવશો? બસ, બોલી લીધું. જાણે કોઈ પણ પાણી લાવીને પીવડાવશે તોયે એ પી લેશે, નહીંતર એમ પાણી પીધા વગર ચલાવી લેશે. છે જરા જેટલી પણ ઉત્સુકતા?
મન મારીને રામલાલે પાણીનો લોટો લીધો અને બહાર પ્લેટફોર્મ પર નજર કરી. થોડે દૂર લોકો ધક્કામુક્કી કરી રહ્યા હતા. રામલાલે ઊતરીને એ તરફ ચાલવા માંડ્યું.
ગામડામાં રહીને રામલાલ માંડ થોડું કમાઈ લેતો એટલે વધુ કમાણીના આશયથી શહેરમાં સ્થાયી થવા માંગતો હતો. શહેરમાં એક આદમીને રહેવાનું ભારે ન પડે. ખર્ચોય ઓછો થાય, પણ ખર્ચાનું વિચાર્યા વગર પત્નીને સાથે લીધી હતી.
વિચારોમાં ડૂબેલો રામલાલ પાણીના નળ સુધી પહોંચ્યો. એટલામાં ગાર્ડે સીટી મારી, લીલી ઝંડી ફરકી અને ગાડી ઊપડી. વિચારોમાં મગ્ન રામલાલને થોડી વાર સુધી તો ખબર ના પડી. રામલાલ પાછો ન આવ્યો અને ગાડી ઊપડી એટલે ઈન્દુને ચિંતા થઈ. આકળવિકળ થઈને કંપાર્ટમેન્ટનાં બારણાં સુધી દોડી. દૂરથી રામલાલને પાણીનો લોટો લઈને દોડતો જોયો. એ પોતાના ડબ્બા સુધી તો ન પહોંચી શક્યો, પણ પાછળના ડબ્બાનું હેન્ડલ પકડીને ગાડીની સાથે દોડતા એને જોયો. ગાડીની ગતિના લીધે એ ડબ્બામાં ચઢી પણ નહોતો શકતો.
હવે? એ પાછળ રહી તો નહીં જાય ને? એ ડરી ગઈ. ક્ષણમાં તો કેટલાય વિચારો ગાડીની ગતિની જેમ મનમાં આવીને પસાર થઈ ગયા. પરદેશમાં એ એકલી છે. પાસે પૈસા નથી. અરે! પૈસા તો ઠીક અત્યારે હાથમાં ટિકિટ પણ નથી. ટિકિટ ચેકર ટિકિટ માંગશે એ શું કહેશે?
એ જેટલું બહાર વળી વળીને જોતી એટલી વાર એને રામલાલ ગાડીનું હેન્ડલ પકડીને દોડતો દેખાતો. એના પગની ગતિ પરથી સમજી શકતી હતી કે એને ખૂબ ઝડપથી દોડવું પડી રહ્યું છે. પોતાની જાત પર ગુસ્સો આવ્યો. એવી તે કઈ પાણી પીધા વગર મરી જતી હતી કે રામલાલને દોડાવ્યો?
એટલામાં રામલાલ પાછળના એ ડબ્બાના બારણાંની ઘણી નજીક આવીને ચઢવા મથ્યો. ઈન્દુને થયું કે હવે એ ચઢી ગયો હોય તો સારું. જોવા નજર કરી. એ જ ક્ષણે અંધકારમાં જાણે કોઈ ડૂબ્યું. એક લાલ છોળ ઊઠી અને ગાડી ભયંકર ચિચિયારી કરતી ઊભી રહી ગઈ. ગાડી ઊભી રહેતાની સાથે કારણ સમજ્યા વગર દોડીને રામલાલ પહેલાં બેઠા હતાં એ ડબ્બામાં ઘૂસ્યો. ઈન્દુ ક્યાંય નજર ન આવી.
રામલાલને જોવા ઝૂકેલી ઈન્દુનો હાથ છૂટી જતાં એ ગાડી અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગઈ હતી. એના સાથળ અને ખભા શરીરથી છૂટા પડી ગયા હતાં. ચહેરા પર બીજી કોઈ ઈજા નહોતી, પણ એક આંખ સૂજીને બંધ થઈ ગઈ હતી. લોહીથી લથપથે વાળ જટા જેવા બની ગયાં હતાં.
જરા વારે એકઠાં થયેલા ટોળામાં રામલાલ પણ ઘૂસ્યો. થોડી વારે ઈન્દુની એક આંખમાં કંપન થયું. રામલાલ તરફ નજર કરીને અનુમતિ માંગતી હોય એમ એ બોલી,” હું તો ચાલી.” અને સદાના માટે આંખ મીચી દીધી. રામલાલના હાથમાંથી પાણીનો લોટો સરી પડ્યો.
ડૉક્ટરે આવીને ઈન્દુના માથે એની સાડીનો પાલવ ખેંચીને એનો ચહેરો ઢાંકી દીધો. થોડી વાર ઊભી રહીને ગાડી ચાલી ગઈ.
રામલાલને થયું,ગાડી તો શું દુનિયા પણ ક્યાં કોઈના માટે અટકે છે?
******
એ વાતને વીસ વર્ષના વહણાં વહી ગયાં છે. આજે કલકત્તાથી રૂપિયા કમાઈને રામલાલ સેકંડ ક્લાસના ડબ્બામાં મુસાફરી કરી રહ્યો છે. આજે એને ગાડી પર કોઈ ખીજ નથી, એ વતન પાછો ફરી રહ્યો છે. થોડો થાકેલો છે.
એક નાનકડાં સ્ટેશન પર ગાડી અટકી. રામલાલ હડબડાઈને બેઠો થઈ ગયો. પ્લેટફોર્મ પર ઊતર્યો. કુલીને ના જોતા, જાતે સામાન ઉતારીને એક બાંકડા પર ગોઠવાયો. નાના સ્ટેશન પર લાઇનમેન અને કુલી બધું કામ એક જ વ્યક્તિ કરતી હતી. દૂરથી એણે રામલાલને જોયો. પાસે આવી ઊભો રહ્યો. એણે આવો સરસ સૂટ-બૂટ પહેરેલી વ્યક્તિ પહેલાં ક્યારેય જોઈ નહોતી.
“બાબુજી, કેમ આવવાનું થયું? ક્યાં જવાના? રોકાવાના છો? “
“ના, કાલે સવારની ગાડીમાં જતો રહીશ.”
“બહાર ક્યાંક રોકાવું પડશે. અહીં તો વેઇટિંગ રૂમ નથી.”
“અહીં બેંચ પર જ બેસીશ.”
લાઇનમેન ઉલઝનમાં પડ્યો. આ આખી રાત અહીં ઠંડીમાં બેસીને ઠરી જશે.
“તમે અહીં કેટલાં વર્ષથી છો?” રામલાલે વાત કરવા સવાલ કર્યો.
“અરે ભાઈ! શું કહું, આખી ઉંમર અહીં જ પસાર થઈ છે.”
“તમે હતા અને કોઈ દુર્ઘટના બની છે?”
જરા વિચારીને એ વૃદ્ધ આદમીએ કહ્યું, “હા સાહેબ, થોડે દૂર ત્યાં એક ઓરત ગાડીની નીચે કપાઈ મરી હતી.”
“હમ્મ..”
હવે એ વૃદ્ધ લાઇનમેને વર્ણન શરૂ કર્યું. રામલાલને થયું કે એણે આ નહોતું પૂછવું જોઈતું. એને વાત કરતાં અટકાવવા એણે પૈસા આપીને વિદાય કર્યો. લાઇનમેને ત્યાંનો એક માત્ર લેમ્પ હાથમાં ઊઠાવીને ચાલતી પકડી. વિચારોના ચક્રવાતમાં અટવાતા રામલાલે પ્લેટફોર્મ પર ટહેલવા માંડ્યુ. એને થયું,આદમી ક્યારેક વીસ વર્ષો વીસ મિનિટ કે વીસ સેકંડમાં જીવી લે. અને ક્યારેક એ વીસ સેકંડ કે વીસ મિનિટ વીસ વર્ષ જેવા લાગે. અંધકારમાં એકલતા વધુ સાલવા માંડી.
ચાલતા ચાલતા પ્લેટફોર્મ પરથી રેલ્વે ટ્રેક પર ઊતરી આવ્યો. આગળ જતા રેલ્વે ટ્રેક પર જાણે લાકડાંની સ્લીપરો પર લોહીના ધબ્બા દેખાતા હતાં.
“આવું તો ના હોય, મનમાં આવેલી શંકાને ધક્કો મારતાં બબડ્યો. આ વીસ વર્ષમાં તો કેટલીય વાર સ્લીપર બદલાઈ હશે, પણ મન કહેતું હતું કે સ્થળ તો આ જ હતું. આંખો બંધ કરીને ફરી એ વીસ વર્ષ પહેલાંનું દૃશ્ય જોઈ રહ્યો. એણે જાણે પોતાની જાતને ઈન્દુના હવાલે કરી દીધી. એટલમાં ક્યાંકથી એને સ્ત્રીના રડવાનો અવાજ સંભળાયો. એ અવાજ તરફ એણે ચાલવા માંડ્યું, જો કે ઈન્દુ તો ક્યારેય રડી નહોતી. તો આ અવાજ કોનો? આ અવાજમાં આટલી કશિશ કેમ અનુભવાય છે? કોણ છે આ?
કોઈ જવાબ ન મળ્યો. પણ રેલ્વે ટ્રેક પર ઘેરા રંગના આવરણમાં લપેટાયેલી એક સ્ત્રી જાણે દેખાઈ. રામલાલ એની પાછળ દોરવાયો. હજુ આગળ, વધુ આગળ એ ચાલતી રહી. રામલાલ એની પાછળ દોરવાતો રહ્યો, ત્યાં પગમાં જાણે કશો મુલાયમ સ્પર્શ થયો. એણે વાંકા વળીને સ્પર્શી જોયું. એક રેશમી પોટલીમાં લપેટાયેલું નાનું બાળક હતું. રામલાલે એને ઊઠાવી લીધું. ઠંડીની રક્ષણ આપવા ઓવરકોટ નીચે ઢાંકી દીધું. સવારની પાંચ વાગ્યાની ગાડીમાં એ પેલી પોટલી સમેત ગોઠવાયો.
પોતાના ગામ પહોંચીને રામલાલે પાકું મકાન બાંધી દીધું છે. એમાં પેલી નાનકડી શિશુ-કન્યા સાથે રહે છે. એનું નામ ઈન્દુકલા રાખ્યું છે. એક આયા છે છે જે ઈન્દુકલાનું ધ્યાન રાખે છે.
ગામના લોકોને રામલાલ ગાંડો લાગે છે. જ્યાં ઈન્દુ જાય છે ત્યાં આંગળી ચીંધીને કહે છે, “ પેલી જાય, પાગલ બુઢ્ઢાની દીકરી.”
કોઈ વ્યંગમાં પૂછે છે,” દીકરી કે પાપનું પોટલું?” પણ રામલાલને કોઈની પરવા નથી. એના હૃદયમાં વિશ્વાસ છે કે, એની ક્ષમાશીલ ઈન્દુએ જ પોતાના સ્નેહપૂર્ણ પ્રતીક સમી દીકરીની ભેટ આપી છે.
સચ્ચિદાનંદ હીરાનંદ વાત્સયાયન-અજ્ઞેયની વાર્તા ‘ઈન્દુ કી બેટી’ પર આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
પ્રતિકાવ્ય
વ્યંગ્ય કવન
નિર્મિશ ઠાકર
ભૂલ કહે ભ્રમણાને, ભ્રમણા ભૂલવે વાત ભજનમાં:
લાઘવ ક્યાંય નથી રે કવનમાં !કાલિન્દીનાં જલમાં ઝાંકી પૂછે કદંબડાળી
યાદ તને બેસી અહીં કોણે રચી શબ્દની જાળી ?
લહર વમળમાં પડે, વમળ ઝટ સરી પડે ચિંતનમાં:
લાઘવ ક્યાંય નથી રે કવનમાં !કરો કવિને જાણ: અરથની તાણ રહી છે વરતી !
સ્હેજ ન રાખી લજ્જા લખતાં, રાવ હવે ક્યાં કરવી ?
છંદ કહે લય-પ્રાસને, સહસા ફેર ચડે લોચનમાં:
લાઘવ ક્યાંય નથી રે કવનમાં !શિર પર ગોરસમટકી (?) ના એ છલકી કે નવ તૂટી,
કંકર અંદર-બાહર વાગ્યા કશું ન નીકળ્યું ફૂટી !
‘નિર્મિશ’ કહે ઝટ વેચને પસ્તી… તોલ બધું વજનમાં !
લાઘવ ક્યાંય નથી રે કવનમાં ! -
ફિલ્મી ગઝલો – ૯ . અસદ ભોપાલી
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
પોતાને ભોપાલી કહેવડાવનારા ત્રણ ગીતકારો ફિલ્મોમાં આવ્યા. તાજ ભોપાલી, કૈફ ભોપાલી અને અસદ ભોપાલી. તાજ સાહેબે માત્ર ત્રણ ફિલ્મોમાં એકલદોકલ ગીતો લખ્યા જેમાં એક પણ ગઝલ નહોતી, કૈફ સાહેબે ઠીક – ઠીક પ્રમાણમાં ગીતો અને ગઝલો લખી પરંતુ અસદ ભોપાલી સાહેબે આશરે સો ફિલ્મોમાં ૪૫૦ થી વધુ ગીતો લખ્યા. હા, એક શકીલાબાનો ભોપાલી પણ હતા જે બહુધા કવ્વાલી ગાવા માટે ફિલ્મોમાં મહેમાન કલાકાર તરીકે એમના હુસ્નના જલવા વિખેરવા આવતા. પોતે અચ્છા શાયરા પણ હતા .
અસદ ભોપાલીની વાત. આટલા બધા ગીતો લખ્યા હોવા છતાં એમની સફળ ફિલ્મોમાં ‘ મૈને પ્યાર કિયા ‘ જેવી ગણી-ગાંઠી ફિલ્મો જ. જો કે એમની અસફળ અથવા મર્યાદિત સફળતા પામેલી ફિલ્મોના પણ ખાસ્સા ગીતો લોકપ્રિય થયા. ( વો જબ યાદ આએ – પારસમણિ, દિલ કા સૂના સાઝ તરાના ઢૂંઢેગા – એક નારી દો રૂપ, ઐ મેરે દિલે નાદાં તૂ ગમ સે ન ગભરાના – ટાવર હાઉસ, હમ તુમ સે જુદા હો કે – એક સપેરા એક લુટેરા, સૌ બાર જનમ લેંગે – ઉસ્તાદોં કે ઉસ્તાદ વગેરે )એમણે નરી તુકબંદી હોય અથવા કાવ્ય-તત્ત્વનો છાંટોય ન હોય એવા ગીતો પણ લખ્યા પણ એની સંખ્યા જૂજ. કેટલીક સુંદર ગઝલો પણ આપી. એમાંની બે જોઈએ. આ પહેલી ગઝલ ગાલિબની જમીન પર ચણેલી છે. ( મત્લો તો સીધો જ ગાલિબનો ! ) ગાલિબનું નામ પણ એમની જેમ અસદુલ્લાહ ખાં હતું એ રૂએ કદાચ એમણે આ ગુસ્તાખી કરી હોય !! આપણે બાકીના ત્રણ મૌલિક શેર પર ધ્યાન આપીએ :
દિલ હી તો હૈ તડપ ગયા, દર્દ સે ભર ન આએ ક્યોં
રોએંગે હમ હઝાર બાર, કોઈ હમેં સતાએ ક્યોંરોતે હુએ ગુઝાર દી, જિસને તમામ ઝિંદગી
ઉસકો હંસી સે કામ ક્યા, કોઈ ઉસે હંસાએ ક્યોંઐ મેરે બદનસીબ દિલ, દેખ યે તેરી ભૂલ હે
તૂ તો ખિઝાં કા ફૂલ હૈ, તુમ પે બહાર આએ ક્યોંઆંખોં મેં આંસુ દિલ મેં ગમ, જીને કો જી રહે હૈં હમ
મૌત સે પહલે ઝિંદગી, ગમ સે નિઝાત પાએ ક્યોં ..– ફિલ્મ : આધી રાત – ૧૯૫૦
– લતા
– હુસ્નલાલ ભગતરામ / હંસરાજ બહલ
આ બીજી ગઝલ જાણીતી અને લોકપ્રિય છે પરંતુ એ ગઝલ છે એ તરફ ધ્યાનાકર્ષિત કરવા અહીં લીધી છે :
મૈં ખુશનસીબ હું મુજકો કિસીકા પ્યાર મિલા
બડા હસીન મેરે દિલ કા રાઝદાર મિલાહૈ દિલ મેં પ્યાર, ઝુબાં ચુપ, ઝુકી-ઝુકી નઝરેં
અજબ અદા સે કોઈ આજ પહેલી બાર મિલાકિસીકો પા કે મેરે દિલ કા હાલ મત પૂછો
કે જૈસે સારે ઝમાને પે ઈખ્તિયાર મિલાકિસી ને પૂરે કિયે આજ પ્યાર કે વાદે
મેરી વફા કા સિલા મુજકો શાનદાર મિલામેરે ચમન કા હરેક ફૂલ મુસ્કુરાને લગા
વો ક્યા મિલે કે મુજે મૌસમ-એ- બહાર મિલા ..– ફિલ્મ : ટાવર હાઉસ – ૧૯૬૨
– લતા – મુકેશ
– રવિ
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
કોણ ચઢે? ગુણ કે ગુણવત્તા (પરીક્ષા શુદ્ધિ અભિયાન : ૧૯૯૩-૯૪)
ચેલેન્જ.edu
રણછોડ શાહ
મૃત્યુના બગીચામાં જીવનનું અનુમાન થઈ શકે,
કારણ વિના પણ તે બસ પરેશાન થઈ શકે.
સ્વયમની સામે પડો નહીં કસોટી હશે કદાચ
કારણ વિના પણ વિરહનું અનુમાન થઈ શકે.અર્જુનસિંહ કે. રાઉલજી
શિક્ષણક્ષેત્રે ટેક્નોલોજીનો ઉપયોગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખૂબ પ્રગતિ નજરે પડે છે. પરંતુ શિક્ષણનું પાયાનું કાર્ય તો વિદ્યાર્થીને સ્વાવલંબી, પરિશ્રમી, પ્રામાણિક, સમાજસેવી અને મૂલ્યોનું આચરણ કરે તેવા બનાવવાનું છે. પરીક્ષામાં માત્ર સારા ગુણથી ઉત્તિર્ણ થવું જ અગત્યનું નથી. પરંતુ પરિશ્રમ કરી પ્રામાણિકતાપૂર્વક સિદ્ધિ હાંસલ કરવી તે તેનાથી વિશેષ અગત્યનું છે. આની સમજ આપવા માટેનું અભિયાન એટલે ભરૂચ જિલ્લા જાહેર પરીક્ષા શુદ્ધિ અને સફળતા અભિયાન (૧૯૯૩-૯૪). આ અભિયાનના પ્રણેતા હતા : અમારા સૌના વડીલ અને શુભની શકિતમાં અસીમ શ્રદ્ધા ધરાવતા ભરૂચ જિલ્લાની અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના પ્રમુખ મુ. શ્રી ડાહ્યાભાઈ આનંદપુરા.
શિક્ષણ ક્ષેત્રમાં અભિયાનનું મહત્વ :
સમાજજીવનમાં કેટલાયે ક્ષેત્રોમાં મૂલ્યનો અભાવ દેખાય છે. સામાજિક વિકાસના અભ્યાસીઓ એ વાત સ્વીકારે છે કે મૂલ્ય આધારિત સમાજરચનાનું કાર્ય શિક્ષણ દ્વારા જ થઈ શકશે. અમેરિકા અને યુરોપના આર્થિક વિકાસના તજજ્ઞો પણ એ વાત સ્વીકારે છે કે તે દેશોની સુદૃઢ શિક્ષણવ્યવસ્થાએ તેમના રાષ્ટ્રીય વિકાસમાં સિંહફાળો આપ્યો છે. તેથી જ અમેરિકાના પ્રમુખની ચૂંટણીમાં પણ શિક્ષણના ક્ષેત્રે અમેરિકા પોતાનું અગ્રસ્થાન પુનઃ પ્રાપ્ત કરે તે મુદ્દો મહત્વનો રહ્યો. ડીસેમ્બર-૧૯૯૧ના ‘ન્યૂઝ વીક’ સામાયિકમાં વિશ્વની દસ શ્રેષ્ઠ શાળાઓ વિષે એક રસપ્રદ લેખ પ્રસિદ્ધ થયો છે. તેનું તારણ છે :
‘There is a wide spread consensus that schools are not working & that a lack of a good education is the foundation of so many social and economical problems. People around the world have realized this, and are trying to look for solution.’
પ્રવર્તમાન પરિસ્થિતિનો કોઈ ત્વરિત અને વ્યવહારુ ઉકેલ ના આવે તો શાળાઓ અને શિક્ષણપદ્ધતિ અપ્રસ્તુત બની જશે તેવો ભય કેટલાયે શિક્ષણવિદોએ વ્યક્ત કર્યો છે. પોતાના એક લેખમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના શિક્ષણ વિભાગના વડા પ્રાધ્યાપક શશીકાંત શાહે દુઃખભર્યા હૃદયે કહ્યું છે કે શાળાઓ મરી પરવારી છે, હવે તેની નનામી કાઢો. અમદાવાદની આંતરરાષ્ટ્રીય ખ્યાતી ધરાવતી ઈન્ડીયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેનેજમેન્ટના પૂર્વ નિયામક પ્રો. નારાયણ શેઠ સાથે આ પ્રશ્નની ચર્ચા થઈ ત્યારે તેઓએ જણાવ્યું કે ‘અભ્યાસમાં રસ ન લેવાને કારણે ક્ષમતા પ્રાપ્ત કરી શક્યા ન હોય તેવા વિદ્યાર્થીઓ અને આ પ્રશ્નની ગંભીરતા ન સમજેલા’ વડીલોને કારણે સમાજમાં એવી પરિસ્થિતિ ઉભી થશે કે ‘આપણી પાસે ઉચ્ચ પ્રમાણપત્રો ધરાવતાં ઢગલાબંધ લોકો હશે પણ તેઓ પોતાના પ્રમાણપત્રને પાત્ર કામ કરવાની ક્ષમતા ધરાવતાં નહિ હોય. પરિણામે એવા અણઆવડતવાળા લોકોને કારણે સમાજનો તંદુરસ્ત વિકાસ સાધવાનું અશકય બનશે.’
શિક્ષણ એ જીવનનું ઉદ્ગમ સ્થાન છે અને માનવ ચેતનાનો સ્રોત છે તે સર્વસ્વીકૃત છે એટલે મૂલ્ય સ્થાપનનું કામ શિક્ષણથી શરૂ થાય તો તેની અસર આપોઆપ જીવનના અન્ય ક્ષેત્રોમાં વિસ્તરે તે સ્વાભાવિક છે. આજનો વિદ્યાર્થી આવતી કાલનો નાગરિક છે અને તે નવા સમાજનો ઘડવૈયો થશે. એટલે શિક્ષણના ક્ષેત્રે આ અભિયાનનું સવિશેષ મહત્વ છે.
ભરૂચ જિલ્લા માટે આ અભિયાનનું મહત્વ :
ભરૂચ જિલ્લામાં ભરૂચ, અંકલેશ્વર, પાનોલી, વાલીયા અને અન્ય વિસ્તારોમાં છેલ્લા દાયકામાં ૧૫૦૦ થી વધુ
ઉદ્યોગો સ્થપાયા છે. આ ઉદ્યોગોમાં રોજગારીની વિપુલ તકો ઉભી થઈ છે. અંકલેશ્વરના ઉદ્યોગોમાં રોજગારી અંગે જે પરિસ્થિતિ છે તેનો વિસ્તૃત અભ્યાસ પ્રાઘ્યાપક ડૉ. વાય. એસ. પુરોહિતે કર્યો છે. (Industralising economy and labor market in India) તેમના સર્વેક્ષણ મુજબ અંકલેશ્વરના ઉદ્યોગોમાં ૫૦% થી વધુ કામદારો ભરૂચ જિલ્લાના છે. આ સર્વેક્ષણ ૧૯૮૭માં થયેલું. આજે (૧૯૯૩-૯૪) આ ટકાવારી ૫૦% થી વધીને ૭૦% થઈ હશે તે નિશ્ચિત છે. ભરૂચ જિલ્લાએ ઓદ્યોગિક વિકાસના ક્ષેત્રે દેશમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. અંકલેશ્વર, ઝઘડીયા, વાગરા, પાનોલી, દહેજમાં જે નવા ઉદ્યોગો સ્થપાઈ રહ્યા છે અને દહેજ બંદરનો વિકાસ થવાનો છે તેમાં કાર્યદક્ષ અને પરિશ્રમી યુવાનો માટે રોજગારીની વ્યાપક તકો ઉભી થઈ છે.

છેલ્લા દાયકામાં જિલ્લામાં જે ઉદ્યોગો સ્થપાયા છે તે ઉદ્યોગોમાં ભરતી કરવાની જવાબદારી જેમના શીરે છે તેવા કેટલાય મેનેજરોને મળવાનું થયું છે. જિલ્લામાં યોજાતા ભરતી મેળાઓમાં અને અન્ય પ્રસંગોએ આ સહુ મિત્રોએ વારંવાર જે વાત સમજાવી છે તેનો સારાંશ નીચે પ્રમાણે વર્ણવી શકાય :
(૧) નવી નોકરીઓની/રોજગારીની તકો મહદઅંશે ખાનગી ક્ષેત્રમાં છે. અર્થતંત્રના નવા પર્યાવરણમાં સરકારી ક્ષેત્રમાં કે જાહેર સાહસોમાં નવી રોજગારીની તકો ખુબ મર્યાદિત રહેશે તે નિશ્ચિત છે.
(૨) ખાનગી ક્ષેત્રમાં / વ્યવસાયમાં રોજગારીઈચ્છુક પાસે સાચું જ્ઞાન અને સમજણ હોવાં જરૂરી છે. તે પરિશ્રમી પણ હોવા જોઈએ. ખાનગી ક્ષેત્રમાં કામ મેળવવા માટે ફક્ત પ્રમાણપત્ર પૂરતું નથી.
(૩) જેઓએ પોતાના અભ્યાસકાળમાં પરિશ્રમ કર્યો નથી, સાચું જ્ઞાન મેળવ્યું નથી તેવાં યુવાનો / યુવતીઓ રોજગારી માટે પસંદગી પામવામાં મહદ્અંશે નિષ્ફળ નીવડે છે.
આ અભિયાન વિદ્યાર્થીઓ માટે ઉપકારક નીવડશે ? :
(૧) ભરૂચ જિલ્લાના ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ના છેલ્લા પાંચ વર્ષનાં પરિણામોનું પૃથક્કરણ એવું સૂચવે છે કે પરીક્ષામાં અયોગ્ય ઉપાયોનો કોઈ દેખીતો લાભ જિલ્લાના વિદ્યાર્થીઓને થયો નથી.
(૨) ૧૯૮૭થી ૧૯૯૨ના ધોરણ-૧૦ નાં પરિણામોની સમીક્ષા કરીએ તો એ સ્પષ્ટ થાય છે કે ભરૂચ જિલ્લાનું અને બોર્ડનું પરિણામ લગભગ પ્રમાણસર રહ્યું છે.
(૩) યુનિવર્સિટીના અનુભવી પ્રાઘ્યાપકો અને ઇજનેરી/તબીબી કોલેજો/પોલીટેકનીકના આચાર્યો સાથે ચર્ચાઓ થઈ ત્યારે એ સમજણ સ્પષ્ટ થઈ કે જેણે પરિશ્રમથી ઉચ્ચ ગુણ મેળવ્યા નથી તેવા વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણમાં સફળતા મેળવવાની કોઈ આશા નથી. અયોગ્ય ઉપાયો દ્વારા વધારે ગુણ મેળવીને કદાચ આવો કોઈ વિદ્યાર્થી ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ મેળવે તો પણ પ્રથમ સત્રથી આગળ જઈ શકતો નથી. આવાં કેટલાંક ઉદાહરણો જાણવા મળ્યાં.
(૪) ગુજરાત રાજયમાં અને દેશના બીજા ભાગોમાં પણ કેટલાંયે એવા અભ્યાસક્રમો પ્રાપ્ય છે. જેમાં પ્રવેશ પરીક્ષાના પરિણામના આધારે મળે છે. જે વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસકાળ દરમિયાન પરિશ્રમ કર્યો નથી તેવાં વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પરીક્ષા આધારિત અભ્યાસક્રમોમાં સ્થાન પ્રાપ્ત કરવાનું લગભગ અસંભવ બને છે.
પ્રાપ્ય માહિતી/તારણો એ દર્શાવે છે કે અયોગ્ય ઉપાયોનો કોઈ દેખીતો ફાયદો વિદ્યાર્થીઓને મળતો નથી. બીજી બાજુએ કેટલાય તેજસ્વી વિદ્યાર્થીઓએ પોતાની વિતકકથાઓ સ્વમુખે કહી અને તેમના વડીલોએ પણ તેમાં સૂર પરાવ્યો. પરીક્ષાખંડમાં ચાલતી ગેરરીતિની પ્રવૃત્તિઓથી તેજસ્વી અને પરિશ્રમી વિદ્યાર્થીઓ ગુંગળામણ અનુભવે છે. તેમની ભાવનાઓને ઠેસ પહોંચે છે અને તેમના માનસ ઉપર તેની વિપરિત અસર પડે છે તે સ્પષ્ટ થયું.
પરિશ્રમથી પરીક્ષા પસાર કરી નથી અને સારા ગુણ મેળવ્યા નથી તેવા વિદ્યાર્થીઓને તેમની ભાવિ શૈક્ષણિક/વ્યાવસાયિક કારકિર્દીમાં સફળતા મળવાની આશા નહીંવત છે તે શિક્ષણવિદો અને ઉદ્યોગોના સંચાલકોના અભિપ્રાયમાંથી સ્પષ્ટ થાય છે. યેનકેન પ્રયત્નોથી પરીક્ષામાં સફળતા હાંસલ થઈ શકે છે તેવા ભ્રમને કારણે તેમની પરિશ્રમ કરવાની વૃત્તિ નષ્ટ થાય છે. તેવા વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બને છે અને તેવા વિદ્યાર્થીઓ તેમના વાલીઓની ચિંતાનો વિષય બને છે. પ્રવર્તમાન પરિસ્થિતિથી ચિંતિત આચાર્યો – શિક્ષકો – વાલીઓ અને જાહેર જીવનના અગ્રેસરો આ સમસ્યાઓનો વ્યવહારુ ઉકેલ શોધવા માટે તા. ૭ મે, ૧૯૯૩ના રોજ મળ્યા. જિલ્લાના લગભગ તમામ ક્ષેત્રના મહત્ત્વના આગેવાનો આ સભામાં ઉપસ્થિત રહ્યા. પ્રજાકીય આગેવાનો ઉપરાંત શાળા -કોલેજોના આચાર્યો, શિક્ષકો, મહિલાઓ, ઉદ્યોગપતિઓ, ઈજનેરો, ડૉકટરો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો, સ્વેચ્છિક અને સેવાભાવી સંસ્થાના પદાધિકારીઓ અને સંતોએ પણ આ સંમેલનમાં ઉલટભેર ભાગ લીધો.
આ અભિયાન અંતર્ગત ત્રણ મુખ્ય મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા.
(૧) નબળા વિદ્યાર્થીઓને વિશેષ માર્ગદર્શન,
(૨) સામાજિક જાગૃતિ અને
(૩) વાલીઓ અને શિક્ષકોનો સહકાર.
નબળા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે શનિવાર – રવિવારે વધારાના વર્ગો જે તે શાળામાં ગોઠવવામાં આવ્યા. નિવડેલ શિક્ષકોનું માર્ગદર્શન આપવામાં આવ્યું. વધારાની પરીક્ષાઓ લઈ તેમનામાં વિશ્વાસ ઉભો કરવાના પ્રયત્નો થયા. સામાજિક જાગૃતિ માટે (૧) શ્રી નાનુભાઈ અમીન (ચેરમેન, જયોતિ લીમીટેડ-વડોદરા); (૨) શ્રી તુષારભાઈ ભટ્ટ (તંત્રીશ્રી, ટાઈમ્સ ઓફ ઈન્ડીયા – અમદાવાદ); (૩) શ્રી શશીકાંત લાખાણી (ઉદ્યોગમંત્રીશ્રી, ગુજરાત રાજય); (૪) શ્રી નરહરી અમીન (શિક્ષણમંત્રીશ્રી, ગુજરાત રાજય); (પ) શ્રી યશવંત શુકલ (અગગ્રણ્ય કેળવણીકાર); (#) શ્રી સનત મહેતા (અઘ્યક્ષશ્રી, સરદાર સરોવર નિગમ લિમિટેડ); (9) પ્રો. આર. એસ. ત્રિવેદી (અઘ્યક્ષ, ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ બોર્ડ) અને (૮) શ્રી જયનારાયણ વ્યાસ (ધારાસભ્યશ્રી, સિધ્ધપર) જેવા મહાનુભાવોના પ્રવચનોનું આયોજન થયું. શાળાઓમાં વાલીસભા દ્વારા તેમનો સહકાર પ્રાપ્ત થાય તેવા પ્રયત્નો થયા. વિવિધ શૈક્ષણિક સંઘોને પણ વિશ્વાસમાં લઈ એક શૈક્ષણિક વાતાવરણ તેયાર કરવામાં આવ્યું. આ પ્રવૃત્તિ સમગ્ર વર્ષ દરમિયાન ચાલુ રહી. પ્રામાણિકતાને બિરદાવવાના અનેક પ્રસંગો આયોજિત કરવામાં આવ્યા.
છો ને ઊંચા હો શિખર, ચડવાની તાકાત છે,
દરિયે નાખો આગના, તરવાની તાકાત છે,
ફેલાયેલી જાળમાં છો પગ ગૂંચાતા જાતા,
આખેઆખી જાળ લઈ ઊડવાની તાકાત છે.તેડી લઉં તકલીફ ને પરચો હું દેખાડી દઉં,
કોમળ છે આ હાથ પણ, લડવાની તાકાત છે.પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ
પરીક્ષા શુદ્ધિ અભિયાને મને શું શીખવ્યું?
પરીક્ષા શુદ્ધિ અભિયાનને શિક્ષણ સાથે સીધો સંબંધ હતો. શિક્ષણમાં પરિવર્તન લાવવાના પ્રયત્નરૂપે હતું. અગાઉ ટ્યૂશન લેતા અને પરીક્ષામાં ચોરી કરતા વિદ્યાર્થીઓ શરમ અનુભવતા હતા. વાલીને આ બાબતની જાણ થાય તો વાલી પણ તે બાબતે નારાજગી વ્યક્ત કરતા. અપ્રામાણિક વિદ્યાર્થીઓનું માથું શરમથી ઝૂકી જતું. ધીમે ધીમે પરીક્ષામાં ચોરીનું પ્રમાણ કેન્સરની જેમ સમગ્ર પદ્ધતિ (system) માં પ્રસરી ગયું. કયાંક તો વાલીઓ પણ ચોરી કરાવવા માટે પરીક્ષા સ્થળો ઉપર ઉમટી પડયા. વડીલોનો સહકાર પ્રાપ્ત થતાં વિદ્યાર્થીઓનો ઉત્સાહ બેવડાયો. પરીક્ષામાં થતી કે કરવામાં આવતી ચોરી બાબતે લોકો શરમને બદલે ગૌરવ અનુભવવા લાગ્યા. કેટલાક લોકો ચોરીની અનુકૂળતા હોય તેવા કેન્દ્રોમાં પરીક્ષા આપવા માટે પોતાનાં સંતાનોને મોકલવા માંડ્યા. આ પરિસ્થિતિમાં પ્રામાણિક અને મહેનતુ વિદ્યાર્થીઓ હતાશ અને નિરાશ થવા લાગ્યા. એક જ વર્ગમાં એક વિદ્યાર્થી બિન્ધાસ્ત ચોરી કરીને પરીક્ષા આપે જયારે બીજો સહેજ પણ અયોગ્ય રીત અપનાવ્યા વિના પરીક્ષા આપે છે. આ બાબતની સામાજિક જીવન ઉપર અને વિદ્યાર્થીના માનસ ઉપર ગંભીર અસરો ઊભી થઈ.
પરીક્ષા શુદ્ધિ અભિયાનમાં એક આચાર્યના નાતે સક્રિય રીતે હું જોડાયેલ હતો. મારા મનમાં પણ આ બાબતે ખૂબ શંકા અને તાણ રહેતી. ગુજરાત માઘ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સોંપાયેલ કામગીરીમાં કેન્દ્ર સંચાલકની તથા સ્ક્વોડમાં જવાની જવાબદારી નિભાવતી વખતે પરીક્ષામાં થતી ચોરીના ઉપદ્રવથી સૌ ત્રાસી ગયા હતા. વ્યક્તિગત ધોરણે પણ ખૂબ વિહ્વળ બની જતો. ૧૯૯૦ના વર્ષમાં ઍમિટી શાળાની અત્યંત તેજસ્વી વિદ્યાર્થીની ધો.૧૦ની પરીક્ષામાં નાપાસ થઈ. જ્યારે શાળાની પરીક્ષામાં ક્યારેય પાસ નહીં થનાર વિદ્યાર્થી શાળામાં પ્રથમ ક્રમે આવ્યો. ઍમિટી શાળાના શિક્ષકખંડમાં આ સમાચારથી ધરતીકંપ જેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ હતી. સૌ આ બાબતે કંઈક કરવા આતુર હતા. મને ભરૂચ જિલ્લા પરીક્ષા શુદ્વિ અભિયાન દ્વારા તેમાં બદલાવ લાવવાની તક સાંપડી.
અભિયાનમાં કંઈક કરી છૂટવાની ભાવનાવાળા અમારા સૌના સન્માનીય નેતા અને ઉદ્યોગપતિ શ્રી ડાહ્યાભાઈ આણંદપુરા હતા. તેમની સાથે અનેક મૂલ્યનિષ્ઠ લોકો જોડાયેલા હતા. પરીક્ષામાં ચોરી કરીને પાસ થતો વિદ્યાર્થી તેના જીવનની શરૂઆતમાં અયોગ્ય રસ્તે જતો હોવાથી અનેક મિત્રો આ બદીને દૂર કરવા સક્રિય હેતા. તેઓ સૌ તેમનો સમય અને શક્તિ સમાજને આપી વિદ્યાર્થીઓને પ્રામાણિકતા આચરવા પ્રોત્સાહન આપવા માટે તૈયાર હતા. અનેક શિક્ષકો અને આચાર્યો શાળાઓમાં દૂરદૂ૨ સુધી જઈને વિવિધ વિષયો શીખવી માનદ સેવા આપતા હતા. સૌના હૈયે આ પરિસ્થિતિમાં બદલાવ લાવવાની નેમ હતી.
આ અભિયાનમાં સક્રિય રીતે જોડાયેલ હોવાથી પ્રજાકીય ચળવળમાં કેવી રીતે કાર્ય કરવાનું તે શીખવાનું મળ્યું. સામાજિક સેવાના કાર્યોમાં જોડાતા સૌ ઈચ્છાથી જ જોડાતા હોય તેવું નથી. જાહેર મંચ ઉપરથી સત્ય અને પ્રામાણિકતાની વાતો કરતા કહેવાતા આગેવાનો વ્યક્તિગત સ્વાર્થની વાત આવે ત્યારે કેવી પલાયનવાદી વૃત્તિ ધરાવે છે તે સીધું જોવા અને જાણવા મળ્યું. કેટલાક લોકો સમાજમાં પોતાની છબી સાફસૂથરી રાખવા માટે જ અભિયાનમાં જોડાયા તે પણ જાણવા મળ્યું. અધિકારી કે પદાધિકારી જયારે પોતાના ઉપર જવાબદારી આવે ત્યારે દોષનો ટોપલો અન્યોના માથે કેવી રીતે નાંખી દેતા હોય છે તે અનુભવવા મળ્યું.
એક શાળા કે મહાવિદ્યાલયમાં જે શિક્ષણ પ્રાપ્ત ન થાય તે મને આ અભિયાનથી શીખવા મળ્યું. સૌની શુભમાંની શ્રદ્ધામાં વધારો થયો. અભિયાન દરમિયાન લેખનપ્રવૃત્તિ કરવાની તક મળી. અનેક મિત્રોમાંથી કેટલાક મૂલ્યનિષ્ઠ મિત્રોનો પણ પરિચય થયો. શિક્ષણને વરેલા અને કંઈક કરી છૂટવાની તમન્નાવાળા નાગરિકોના સીધા પરિચયમાં આવવાનું થયું. અનેક સરકારી અધિકારીઓ સાથે ચર્ચા કરવાની તક સાંપડી. અનૈતિક પરીબળો કેવા કેવા વ્યક્તિગત હુમલા કરી શકે છે તેનો સ્વાનુભવ થયો. પોતાનું ધાર્યુ ન થાય ત્યારે અસામાજિક તત્વો કેવા કેવા રસ્તે પોતાનું ધાર્યું પાર પાડવા પ્રયત્ન કરે છે તેનો અનુભવ થયો. સત્યના રસ્તે ચાલતાં કેવા કેવા અને કેટલા કેટલા વિઘ્નો આવી શકે તે અનુભવવા મળ્યું. તો કટોકટીની ક્ષણે પ્રભુકૃપાથી કોઈને કોઈનો સહારો મળી જ રહે છે તે પણ અનુભવાયું. આત્મવિશ્વાસમાં અનહદ વૃદ્ધિ થઈ. સમગ્ર રીતે આ અભિયાને મને ઍમિટી શાળાનું સફળ સંચાલન કરવા માટે શું શું કરવું પડશે તે પ્રત્યક્ષ રીતે શીખવ્યું. અનેક સારી વ્યક્તિઓના અને પુસ્તકોના માઘ્યમથી જે શીખવા મળ્યું નહોતું તે આ અભિયાને શીખવ્યું. જે રીતે કોઈ સારી વ્યકિતના સંપર્કથી ઘડતર થાય છે તેમ જ જાહેર જીવનની પ્રવૃત્તિઓ પણ ઘડતરમાં ઉપયોગી બને છે. પરીક્ષા શુદ્ધિ અભિયાને ઘણું બધું શીખવ્યું તેમ હું નિઃસંકોચપણે સ્વીકારું છું.
આચમન:
કરવો જ હો ઉજાસ, સ્વયંને જવાબ દોસ્ત,
તું આગિયાને એની ફરજ ના બતાવ દોસ્ત.ડૂબકી લગાવી ભીતરે, તું શોધી કાઢજે,
જ્યારે તને સતાવે સ્વયંનો અભાવ દોસ્ત.જિત ચુડાસમા
(શ્રી રણછોડ શાહનું વીજાણુ સરનામું: shah_ranchhod@yahoo.com )
(પ્રતીકાત્મક તસવીર નેટ પરથી)
-
બાળ ગગન વિહાર – મણકો – ૨૬ : વાત અમારી એમીલીની
શૈલા મુન્શા
ઝરણું ક્યે બહુ લાગે થાક,
ટીચર તો લેસનમાં રોજ રોજ આપે છે દૂર દૂર વહેવાના આંક,
ઝરણું ક્યે બહુ લાગે થાક-કૃષ્ણ દવે
ખળખળ વહેતા ઝરણાં જેવી અમારી એમીલી. જેમ વહેતું ઝરણું જાણે નહિ કે એનું નસીબ એને નદી બની સાગરને મળવા દેશે કે ક્યાંક ધીખતી ધરામાં વિલીન થઈ જાશે તેમ એમીલીનુ ભાવિ પણ એને કોણ જાણે ક્યાં દોરી જાશે?
પાંચ વર્ષની એમીલી દેખાવે ખુબ સુંદર. ચહેરાનો ઘાટ એવો સરસ કે ભલભલી મોડેલોને ઝાંખી પાડે. ભગવાને બધું આપ્યું પણ મગજની પાટી સાવ કોરી રાખી. એકે અક્ષર એના પર મંડાયો નહિ. કોઈ વસ્તુની સમજ નહિ, કશાની અસર નહિ, પડે તો પણ ચહેરા પર વેદનાની નિશાની નહિ. માનસિક રીતે જેને સાવ મંદ કહી શકાય એવી બાળકી.
અમારા ક્લાસમાં આવી પણ કોઈ ઓળખ કોઈ સંબંધનો તાંતણો જોડાય નહિ. એક જોડાણ ખૂબ મજબૂત, ક્યાંક પણ ખાવાનું દેખાય તો ઝૂંટવતા વાર લાગે નહિ. બધા સાથે એને જમવા લઈ ના જવાય. ઝડપ એટલી કે તરાપ મારીને કોઈની પણ થાળી ઝૂંટવી લે. બીજી કોઈ વસ્તુની ગતાગમ ભલે ન પડે પણ આંખ એટલી ચકોર કે ક્લાસમાં ક્યાંક જો નાસ્તો કે પોપકોર્નનુ પકેટ પડ્યું હોય તો ઘડીના છઠ્ઠા ભાગમાં ત્યાં પહોંચી જાય. કુદરત પણ કમાલ છે દિમાગી હાલત બરાબર ન હોય તોય અને બાલ્ય અવસ્થા હોય તો પણ ભૂખ ની સુઝ બધાને પડે છે.
તે દિવસે તો ખરી ધમાલ થઈ. બપોરના અમે બાળકો ને નાસ્તો અને જ્યુસ આપતા હોઈએ છીએ. હું મારી કોફી બનાવવા માટે પાંચ મિનિટ બહાર ગઈ અને મીસ. મેરીએ બાળકોને પોપકોર્ન અને જ્યુસ આપ્યાં. એમીલીને ખવડાવવા માટે મારી રાહ જોતી હતી, ત્યાં ન જાણે કેવી રીતે એમીલી એના હાથમાંથી છૂટી ગઈ, અને પળવારમાં તો પોપકોર્નનુ આવી બન્યુ. ચારેકોર પોપકોર્ન વેરણછેરણને બાળકોનાં મોં જોવા જેવા.
ઘણીવાર વિચાર આવે કે આ નાનકડી બાળકીના હૈયામાં શું ચાલતું હશે? ન બોલે, ન હસે, ન રડે ન એક જગ્યાએ બે મિનિટ રહે. શાળાનો સમય પૂરો થતાં સુધીમાં તો અમે થાકી જઈએ છીએ તો એના માતા પિતાના શું થતું હશે?
એમીલી જેવા બાળકોને લીધે અમારા ક્લાસમાં હંમેશાં બે શિક્ષકો જોઈએ જ. હું જમવા જાઉં ત્યારે મી.રોન મીસ મેરી ને મદદ કરવા આવે. એમની એવી ટેવ કે પોતાનુ જમવાનુ અને કોકનો મોટો કપ પોતાની સાથે લેતા આવે અને ક્લાસમાં મૂકે. અમે કેટલીય વાર એમને કહ્યું હતું કે તમે કાં તો જમીને આવો અથવા તમારૂ ખાવાનુ જમવાના રૂમમાં મૂકીને આવો પણ સાંભળે એ બીજા.
તે દિવસે જ્યારે જમીને હું ક્લાસમાં આવી તો જમીન પર ચારેતરફ બરફને એમીલીનાં કપડાં કોકથી તરબતર. થયું એવું કે મી.રોન એક ક્ષણ માટે ઉઠી ને બીજા બાળકને મદદ કરવા ગયા, અને કેબિનેટ ઉપર મૂકેલો એમનો કોકનો કપ એમીલીએ ઝડપી લીધો અને આખો કપ પોતાના મોઢા પર ઊંધો વાળ્યો. એણે તો કોકથી સ્નાન કર્યું પણ કામ અમારૂં વધ્યું. એમીલીને સાફ કરીને બીજા કપડાં પહેરાવ્યા, કારપેટ સાફ કરી અને ચારેતરફ વેરાયેલા બરફના ટુકડા ઉપાડ્યા.
મી. રોને કાનની બુટ પકડી કે હવે ક્યારેય ખાવાનું લઈને ક્લાસમાં નહિ આવું.
આ દિવ્યાંગ બાળકો સાથે કામ કરતાં ઘણી બાબતોનો ખ્યાલ રાખવો પડતો હોય છે. નાનકડી બેદરકારી એમને કોઈ નુકશાન ના પહોંચાડે એ માટે સતત ચપળ અને ચકોર રહેવું પડે. ક્યારેક વિચાર આવે કે ઈશ્વર કેમ આવો ક્રુર થઈ શકતો હશે? કે પછી ખરે પૂર્વજન્મની કોઈ લેણાદેણી હશે. વિજ્ઞાનની ભાષામાં કહીએ તો કોઈ દવાની આડઅસર કે પછી વારસાગત જીન્સમાં કોઈ પ્રમાણ ઓછુવત્તું થયું હશે. દરેક માનસિક રીતે મંદ બુધ્ધિના બાળકોની ખાસિયત પણ કેટલી અનોખી હોય છે.
આ દિવ્યાંગ બાળકોને સરખી માવજત મળે તો એમનામાં ઘણો સુધારો જોવા મળી શકે છે અને મારા હાથ નીચે કેટલાય બાળકો પસાર થઈ ચુક્યાં છે જેમને અમે પહેલા ધોરણના રેગુલર ક્લાસમાં મોકલ્યાં છે અને એમની પ્રગતિના અમે સાક્ષી છીએ. આ બાળકોને જરા સરખો પ્રેમ આપો તો સામે અઢળક પ્રેમ મળે છે અને એપ્રેમ મને જીવવાની શક્તિ આપે છે.
અસ્તુ,
સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::
ઈ-મેલ: smunshaw22@yahoo.co.in
બ્લૉગ: www.smunshaw.wordpress.com -
કોઈનો લાડકવાયો (૨૮) : બહાદુર શાહ ઝફર (૨)
દીપક ધોળકિયા
બહાદુર શાહ ઝફર (૧) થી આગળ
બહાદુર શાહનો અંત
દરરોજ કોઈને કોઈ સ્થળેથી અંગ્રેજો સામે લશ્કરમાં વિદ્રોહ થવાના સમાચાર પણ મળતા હતા. નીમચમાં આવા બળવામાં બસ્સોના જાન ગયા. નસીરાબાદમાં સિપાઈઓએ એમના અંગ્રેજ અફસરોને મારી નાખ્યા. જજ્જરનો નવાબ ખાનગી રીતે અંગ્રેજોની તરફદારી કરતો હતો, તેની સામે એની ફોજે આઠમી જૂને બળવો કર્યો અને મોગલ બાદશાહ પ્રત્યે વફાદારી જાહેર કરી, એ જ રીતે, લાહોરમાં પણ અંગ્રેજી ફોજના હિન્દી સિપાઈઓ અને અંગ્રેજ સોલ્જરો વચ્ચે ધીંગાણું થયું. જયપુર અંગ્રેજો સાથે રહ્યું અને કાશ્મીરનો રાજા ગુલાબ સિંહ પણ અંગ્રેજોની મદદે આવ્યો, તો જલંધર મોગલ બાદશાહ તરફ ઢળ્યું; એટલું જ નહીં, ત્યાંથી ત્રણ બટાલિયનો પણ દિલ્હી આવી. દરમિયાન સમાચાર મળ્યા કે બળવાને દબાવી દેવા રાણી વિક્ટોરિયાએ ચોવીસ હજાર સૈનિકો મોકલવાનો આદેશ આપી દીધો હતો. તે પછી નવમી જૂને અંગ્રેજો સતત હુમલો કરતા રહ્યા અને બળવાખોરો મહાત થતા રહ્યા.
બાદશાહનાં દળોનો જુસ્સો તૂટવા લાગ્યો હતો, એટલે નવેસરથી કંઈક કરવાની જરૂર હતી. બાદશાહે સમદ ખાનને નવો સિપહસાલાર બનાવી દેતાં વળી અંગ્રેજોનો મુકાબલો કરવાનું જોશ આવ્યું. સમદ ખાન ૧૮૦ સિપાઈઓ અને તોપદળ સાથે અંગ્રેજો સામે કાશ્મીરી દરવાજે ગોઠવાઈ ગયો. પહેલાં તો એણે અંગ્રેજોને કહ્યું કે જજ્જરથી દળકટક સાથે અંગ્રેજોની મદદ માટે આવ્યો છે, પણ અંગ્રેજી ફોજે એને મળવાની ના પાડતાં બપોરે બે વાગ્યે લડાઈ શરૂ થઈ ગઈ. સમદ ખાને એવો જબ્બર હુમલો કર્યો કે અંગ્રેજોના હોશ ઊડી ગયા. એ દિવસ અંગ્રેજી ફોજ માટે નામોશીનો દિવસ હતો.
પરંતુ ૧૫મી જૂને અંગ્રેજોનો હુમલો જોરદાર હતો; સાત તોપગોળા તો મહેલ પાસે જ પડ્યા. બાદશાહે ગુસ્સામાં બધાં વિદ્રોહી દળોને શહેરની બહાર હાંકી કાઢવા હુકમ કર્યો. તે પછી દસ હજાર સિપાઈઓ અને બાદશાહના સૈનિકો શહેરની બહાર અંગ્રેજો સામે ગોઠવાયા. અંગ્રેજોનો હુમલો એટલો બધો હતો કે મોટા ભાગના માર્યા ગયા અને બચી ગયા તે શહેરમાં પાછા આવી ગયા.
તે પછીના દિવસોમાં કાનપુરમાં સિપાઈઓએ બળવો કરીને પોતાના અંગ્રેજ અફસરોને મારી નાખ્યા. કાનપુર પાછું નાનાસાહેબના હાથમાં આવી ગયું હતું. નસીરાબાદના લશ્કરી અધિકારીઓ પણ બહાદુરશાહને મળ્યા અને અંગ્રેજો સામે બાદશાહને સાથ આપવા સંમત થયા. તે દિવસે દિલ્હીના પહાડી ધીરજ ઇલાકામાં અંગ્રેજોના તોપમારામાં ઘણા લોકો માર્યા ગયા.
હવે બાદશાહે શાહજહાંના જમાનામાં બનાવેલી તોપ બહાર કાઢવાનો હુકમ આપ્યો. પહેલાં તો તોપનું ‘મૂરત’ કરવા માટે નાળચે બકરો બાંધ્યો અને ૨૫ શેર મીઠાઈ મંગાવી. બાદશાહે બ્રાહ્મણોને એમનાં પંચાંગો જોઈને ભવિષ્ય ભાખવા કહ્યું. બ્રાહ્મણોએ બળવાખોરો જીતશે કે કેમ તે ન કહ્યું પણ એટલી જ ભવિષ્યવાણી કરી કે આખું વરસ આવું જ અજંપાનું રહેશે, અસંખ્ય લોકો મરાશે પણ પછીના વરસમાં શાંતિ સ્થપાશે.
દરમિયાન બન્ને પક્ષે નવી કુમકો પહોંચવા લાગી. બીજી બાજુ, અંગ્રેજોની ફોજ આગરામાં સંગઠિત થતી હતી પણ બહાદુરશાહે મહંમદ બખ્ત ખાનની આગેવાની નીચે મોકલેલા લશ્કરે એમને ત્યાંથી તગેડી મેલ્યા. જુલાઈની અધવચ સુધીમાં અંગ્રેજોને દિલ્હીનાં દળો સતત હરાવતાં રહ્યાં અને અંગ્રેજો ફરી દિલ્હી પર આવે તેવાં લક્ષણો નહોતાં અને બહાદુર શાહ પણ સક્રિય બનીને વિદ્રોહનું સંચાલન કરતો હતો. મેરઠમાં અંગ્રેજો જોરમાં હતા. એ જ દિવસે એમણે ચોંસઠ વિદ્રોહીઓને પકડીને ફાંસીએ ચડાવી દીધા હતા.
ઑગસ્ટ શરૂ થતાં બાદશાહની મદદે ઘણી ફોજો આવવા તૈયાર હતી પરંતુ હવે તિજોરીનાં તળિયાં ખાલી થવા લાગ્યાં હતાં. બાદશાહ અંગ્રેજ ફોજને ઉત્તરની ગિરિમાળાની પાર ભગાડી દેવા માગતો હતો. પરંતુ એ શક્ય બનતું નહોતું. આ બાજુ નસીરાબાદ પર અંગ્રેજોએ ફરી કબજો જમાવી લીધો હતો. ત્યાંથી છ હજાર જેહાદીઓ દિલ્હી આવવા તૈયાર હતા પણ બાદશાહે એમને સંદેશ મોકલાવ્યો કે દિલ્હીમાં સાઠ હજારની ફોજ છે પણ હજી એ રિજ પર કબજો નથી કરી શકી તો તમે વધારાના છ હજાર આવશો તેથી કંઈ ફેર નથી પડવાનો.

સાતમી ઑગસ્ટે અંગ્રેજી ફોજે દિલ્હીની પશ્ચિમે નજફગઢ પર કબજો કરી લીધો અને હવે એ આગળ વધવા લાગી હતી. એ જ દિવસે બીજો પણ એક ખરાબ બનાવ બન્યો. ચાંદની ચોકમાં બેગમ સમરુની હવેલીમાં વિદ્રોહીઓ માટે દારુગોળો બનાવાતો. આ કારખાનામાં જ દારુગોળો ફાટ્યો અને મોટા ધડાકામાં સાતસોથી વધારે માણસોના જાન ગયા..
વિદ્રોહીઓનું નાણાકીય સંકટ ઘેરાતું જતું હતું અને એમનામાં શિસ્તનો પણ અભાવ હતો. બાદશાહનાં દળો અને વિદ્રોહી સિપાઈઓ વચ્ચે પણ અવિશ્વાસ હતો. બાદશાહની મદદે જે આવતા હતા તે બધા પૈસા માગતા હતા, બાદશાહ એના ખંડિયા રાજાઓ પાસેથી પૈસા કઢાવતો હતો પણ એ માગે તેટલા પૈસા નહોતા મળતા.
૨૦મી ઑગસ્ટે અંગ્રેજી ફોજે દિલ્હી પર મેટકાફ હાઉસમાંથી તોપમારો કર્યો. જો કે બાદશાહે એનો સખત સામનો કરવાના હુકમ આપ્યા તે પછી એક બાજુથી તોપમારો બંધ થઈ ગયો પણ કાશ્મીરી દરવાજા પર હુમલો ચાલુ રહ્યો. સૈનિકો બહાદુર શાહને કહેતા રહ્યા કે કંઈ ખતરો નથી પણ બહાદુર શાહનો જવાબ એ હતો કે એ વાત તો હું પહેલા દિવસથી સાંભળું છું, પણ અંગ્રેજો પાછા હટવાને બદલે દિવસોદિવસ દિલ્હીની નજીક આવતા જાય છે.
બીજી બાજુ, બાદશાહનો સિપહસાલાર બખ્તખાન અંગ્રેજો સાથે ખાનગી રીતે વાતચીત કરતો હતો એવી બાતમી મળી.. નીમચથી આવેલા સૈનિકોએ પણ એ જ ફરિયાદ કરી ત્યારે બાદશાહે બખ્તખાનને મહેલમાં ન આવવા દેવાનો હુકમ આપ્યો. આના પછી એણે જુદાં જુદાં રાજ્યોની ફોજની મનમરજી પર કાબુ મૂક્યો અને અંગ્રેજો સામે લડવા બાર સભ્યોની કાઉંસિલ નીમી.
૨૫મી ઑગસ્ટે બાદશાહને સમાચાર મળ્યા કે બાગપત પાસે એક રસાલો અંગ્રેજી ફોજ માટે દોઢ લાખ રૂપિયા લઈને જાય છે. બાદશાહે એના પર હુમલો કરવા શાહજાદા મિર્ઝા મોગલને હુકમ કર્યો પણ એ માન્યો નહીં. એટલે સૈનિકોએ પગાર માગ્યો. બાદશાહ પોતે જ ઊઠીને પોતાના અંગત નિવાસમાં ગયો અને ઝરઝવેરાત લઈ આવ્યો અને આપ્યાં. સૈનિકો પર આની સારી અસર થઈ અને એમણે એ લેવાની ના પાડી અને કહ્યું કે બાદશાહે આટલું કર્યું તે જ દેખાડે છે કે એ સૈનિકોની કેટલી સંભાળ લેવા તૈયાર છે.
સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં અંગ્રેજોએ કાશ્મીરી દરવાજા અને કુદ્સિયા બાગ પાસે મોરચાબંધી કરી લીધી હતી અને દિલ્હી પર આખરી નિર્ણાયક હુમલાની તૈયારી કરતા હતા. ૧૧મીએ અંગ્રેજોના હુમલામાં કાશ્મીરી દરવાજાના વિસ્તારમાં ભારે નુકસાન થયું. એ જ દિવસે બાદશાહે જાતે જ મોરચો સંભાળી લેવાની જાહેરાત કરી. આથી લોકોમાં નવું જોશ આવ્યું. બે દિવસ પછી એમને કાશ્મીરી દરવાજાની દીવાલમાં છીંડું પાડવામાં સફળતા મળી.

૧૪મી સપ્ટેમ્બરે અંગ્રેજોએ કાશ્મીરી દરવાજા અને અલી બુર્જ પર કબજો કરી લીધો. અંગ્રેજ, શીખ અને બીજા ભાડૂતી સૈનિકો જુમ્મા મસ્જિદ (જામા મસ્જિદ) સુધી પહોંચી ગયા. જામા મસ્જિદમાં એકઠા થયેલા હજારો મુસલમાનોએ એમનો સખત મુકાબલો કરીને પીછેહઠ કરવા ફરજ પાડી, બેગમ બાગની ઝપાઝપીમાં ચારસોનાં મોત થયાં પણ બપોર સુધીમાં લોકોનો વિરોધ ઠંડો પડવા લાગ્યો. અંગ્રેજી ફોજ અંદર ઘૂસી આવી. લાલ કિલ્લો પરાજિત થયો.

બહાદુર શાહ પોતાના કુટુંબ સાથે હુમાયુંના મકબરામાં છુપાઈ ગયો હતો.. અંગ્રેજ ફોજે એને પકડી લીધો અને એના શાહજાદાઓને ખૂની દરવાજા પાસે ગોળીએ દઈ દીધા. બાદશાહને કેદી બનાવીને લાલ કિલ્લામાં લઈ ગયા. બહાદુર શાહ વિરુદ્ધ ચાર આરોપ મુકાયાઃ સિપાઈઓને બળવામાં મદદ, બીજાઓની બ્રિટિશ સરકાર વિરુદ્ધ ઉશ્કેરણી, પોતાને સર્વોપરિ સત્તાધીશ જાહેર કરવો ખ્રિસ્તીઓની હત્યાઓ.. બધા આરોપ સાબીત થવાના જ હતા. તે પછી એને રંગૂન લઈ ગયા.

બહાદુરશાહ જાણતો હતો કે એના દિવસો પૂરા થઈ ગયા છે અને ઇતિહાસ એની ભૂમિકાની નોંધ લેશે. રંગૂનની જેલમાં એ માદરે વતન માટે તડપતો રહ્યો – “કિતના હૈ બદનસીબ ઝફર દફ્ન કે લિયે; દો ગજ઼ જ઼્મીં ભી ના મિલી કુઅ-એ-યાર મેં.”
૦૦૦૦
સંદર્ભઃ
(1) Two Native Narratives of Mutiny in Delhi. Charles theopolis Metcalfe, 1898 (ઇંટરનેટ પર ઉપલબ્ધ)
(2) Dastan-e- Ghadar, Zahir Dehlavi (English translation by Rana Safvi) Penguin Books, 2017 ISBN 978067008891.
૩. Dictionary of Martyrs Volume I, Part 1
દીપક ધોળકિયા
વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com
બ્લૉગ સરનામું: મારી બારી -
રમકડાંથી રમાય નહીં, એ આપણને રમાડે છે
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
સાહિત્યકૃતિઓનું માધ્યમાંતર થાય એ બાબતની નવાઈ નથી. મુદ્રિત માધ્યમમાંથી ભજવણી સુધી અનેક સાહિત્યકૃતિઓ યા તો મંચ પર ભજવાતી આવી છે, કે પછી રૂપેરી પડદે ઉતરતી આવી છે. એમાં પણ સિનેમાના લગભગ આરંભકાળથી અનેક સાહિત્યકૃતિઓ રૂપેરી પડદે અવતરી છે. એમાંની કેટલી સફળ રહી અને કેટલી નિષ્ફળ, તેમજ એ રૂપાંતરણ કેટલું અધિકૃત હતું એ અલગ ચર્ચાનો વિષય છે. ફિલ્મના માધ્યમ માટે મૂળભૂત જરૂરિયાત વાર્તાની હોય છે. ફિલ્મની જરૂરિયાત અનુસાર તેની પર અમુક સંસ્કાર કરવા પડે છે, પણ આ માધ્યમ એટલું પ્રચંડ છે, અને દિન બ દિન એ હદે વિસ્તરતું રહ્યું છે કે સતત નવિન પાત્રો અને કથાઓ મળતાં રહે એ શક્ય નથી.
કૉમિક બુક્સના અમેરિકન પ્રકાશક ‘માર્વેલ કૉમિક્સ’ દ્વારા અનેક પાત્રોની ચિત્રકથાઓ પ્રકાશિત કરાતી રહી છે, જે બાળકોમાં અને મોટેરાંઓમાં પણ ખૂબ લોકપ્રિય બની રહી છે. ૧૯૩૯માં માર્ટિન ગૂડમેન દ્વારા ‘ટાઈમલી કૉમિક્સ’ તરીકે આરંભાયેલી આ કંપનીનું નામ અને માલિકી બદલાતાં રહ્યાં છે, પણ તેના પ્રકાશનની લોકપ્રિયતા બરકરાર રહી છે. સમાંતરે આ કંપનીએ ફિલ્મક્ષેત્રે પ્રવેશ કર્યો અને ૧૯૮૨માં તેણે નિર્માણ કરેલી પહેલવહેલી ફિલ્મ ‘હોવર્ડ, ધ ડક’ રજૂઆત પામી. ત્યારથી લઈને આજ દિન સુધી ફિલ્મક્ષેત્રે કંપનીએ પાછું વાળીને જોયું નથી. સ્પાઈડરમેન, એક્સ-મેન, હલ્ક, આયર્ન મેન, ધ એવેન્જર્સ, ઘોસ્ટ રાઈડર્સ, ઍન્ટ મેન, કેપ્ટન અમેરિકા, થો સહિત અનેક પાત્રોને ચમકાવતી ફિલ્મોએ ટિકીટબારી છલકાવી દીધી છે. કૉમિક બુકમાં વાર્તાનું મૂળભૂત તત્ત્વ હોય છે જ, પણ લોકપ્રિય બનેલા કોઈ રમકડાનાં પાત્ર પર ફિલ્મ બની શકે?

રુથ હેન્ડલર નામનાં મહિલાએ ૧૯૫૯માં ‘મટેલ’ નામની રમકડાં બનાવતી કંપનીનો આરંભ કરીને બાર્બી નામની ફેશનેબલ ઢીંગલીને બજારમાં મૂકી. અત્યંત નાજુકનમણી આ ઢીંગલીની લોકપ્રિયતા એટલી છે કે આજ દિન સુધી તેનાં અવનવાં રૂપ આવતાં રહ્યાં છે. આ ઢીંગલીને સિનેમાના રૂપેરી પડદે ‘બાર્બી ઈન ધ નટક્રેકર’ ફિલ્મ દ્વારા ૨૦૦૧માં ઉતારવામાં આવી. આ ફિલ્મને મળેલી અપાર સફળતાનો સીધો લાભ બાર્બીના રમકડાના વેચાણને થયો. એ પછી અત્યાર સુધીમાં ચાલીસેક ફિલ્મો બાર્બીને કેન્દ્રમાં રાખીને નિર્માણ પામી છે. પણ આ વર્ષે રજૂઆત પામવા માટે તૈયારી કરી રહેલી વધુ એક ફિલ્મના સમાચાર પ્રસારમાધ્યમોમાં ચમકી રહ્યા છે.
બાર્બીની અત્યાર સુધીની સફળતાથી પ્રેરાઈને ‘મટેલ’ કંપની હવે બીજાં પિસ્તાલીસ રમકડાનાં પાત્રો પર આધારિત ફિલ્મ બનાવવાનું આયોજન કરી રહી છે. ‘મટેલ’ જેવી કંપની આમ કરી શકતી હોય તો જેનાં રમકડાં બજારમાં ખૂબ ચાલે છે એવી અન્ય કંપનીઓ એમ કરવા કેમ ન લોભાય? રમકડાંની કાર બનાવતી ‘હોટ વ્હીલ્સ’ કંપની પણ મેદાનમાં ઊતરી છે, અને તેના પર આધારિત ફિલ્મનું નિર્માણ ખ્યાતનામ નિર્માતા-નિર્દેશક જે.જે.એબ્રમ્સ કરવાના છે. સ્ટારટ્રેક, આર્માગેડન, સ્ટાર વૉર્સ, મિશન ઈમ્પોસિબલ જેવી વૈવિધ્યપૂર્ણ કથાવસ્તુ ધરાવતી ફિલ્મોનું તેઓ નિર્માણ કે દિગ્દર્શન કરી ચૂક્યા છે.
બાર્બી, બાર્ની-ધ ડાયનોસોર જેવાં પાત્રો કશીક લાક્ષણિકતા ધરાવે છે, પણ કારમાં એવા કોઈ ગુણો શી રીતે હોઈ શકે? એબ્રમ્સના જણાવ્યા અનુસાર આ ફિલ્મ સંવેદનાસભર, વાસ્તવદર્શી અને હિંસક હશે. આનો અર્થ એ કે બાળકોને રમવાના રમકડાંના મુખ્ય પાત્ર પર આધારિત આ ફિલ્મ બાળકો માટે યોગ્ય નહીં હોય.
અગાઉ ૨૦૧૪માં ‘નીડ ફોર સ્પીડ’ ફિલ્મ રજૂઆત પામી હતી, જે કાર રેસિંગની આ જ નામની વિડીયો ગેમ પર આધારિત હતી. આ ફિલ્મે આરંભિક નફો કર્યો હતો, પણ લોકોને તે ખાસ પસંદ પડી નહોતી.
વ્યાપારીકરણ અને વ્યવસાયીકરણ અમેરિકાની તાસીર રહી છે. એક વ્યક્તિ કે વસ્તુ લોકપ્રિય બને એ સાથે જ તેનું બજાર ઊભું કરી દેવામાં આવે છે, અને તેની લોકપ્રિયતાની રોકડી કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે સ્પાઈડરમેનની કૉમિક બુક પરથી ફિલ્મ બની એની સાથોસાથ બીજી અનેક ચીજો બજારમાં મૂકાઈ જાય. રમકડાં, ટી-શર્ટ, સ્ટીકર, મગ, કી-ચેઈન તેમજ બીજી ઘણી ચીજો.
હૉટ વ્હીલ્સની જાહેરખબર જેમણે જોઈ હશે તેમને ખ્યાલ હશે કે એમાં વાસ્તવિક કારના પ્રમાણમાપ અનુસાર નાનકડી કાર બનાવવામાં આવે છે. અતિશય ઘોંઘાટિયું સંગીત અને ઝડપભેર દોડતી, અથડાતી, ઉછળતી કાર એમાં જોવા મળે છે. આ કારની પશ્ચાદ્ભૂ તેના મોડેલ અનુસાર અલગ અલગ હોય છે, એમ એના ‘ચાલક’ પણ જુદા જુદા હોય છે. ટૂંકમાં, એનું કાર હોવા સિવાયનું એકે લક્ષણ મનમાં નોંધાતું નથી. આવા રમકડામાં એબ્રમ્સ જેવા નિર્માતા-નિર્દેશક ફિલ્મ માટે જરૂરી ‘રંગો પૂરે’ એ વ્યાપારીકરણ કઈ હદે પહોંચી ગયું છે એ દર્શાવે છે. કિશોરો માટેનું આ રમકડું માત્ર નિર્દોષ રમત રહેવાને બદલે ફિલ્મમાં આવતાં વિવિધ પાત્રો જેવું અતરંગી દર્શાવાય તો તેની સીધી અસર કિશોરોના માનસ પર થઈ શકે એમાં કોઈ શંકા નથી. પણ નાણાં આવતા હોય ત્યારે એવી બધી ફિકર કોઈ શું કામ કરે?
બાર્બી પર બનેલી ફિલ્મોએ એ મુખ્ય પાત્રની લાક્ષણિકતાઓની આસપાસ કથા ગૂંથીને ફિલ્મો બનાવીને અઢળક કમાણી કરી. તેને પગલે બીજાં અનેક રમકડાં પડદે આવી રહ્યાં છે. ગ્રાહકોનાં ખિસ્સાં બન્ને સંજોગોમાં ખાલી થવાના છે, પણ હૉટ વ્હીલ્સ વિશેની ફિલ્મમાં નાણાં ઉપરાંત તેની મનોવૈજ્ઞાનિક અસરનું મહત્ત્વનું પરિબળ સંકળાયેલું છે. ફિલ્મનું બજાર એટલું વિસ્તરી ચૂક્યું છે કે હવે તેમાં નાણાં સિવાયની તમામ બાબતો કદાચ ગૌણ બની રહી છે.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૦ – ૦૭ – ૨૦૨૩ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
શૈક્ષણિક પ્રવૃત્તિઓની દીવાદાંડી
પુસ્તક પરિચય
પરેશ પ્રજાપતિ

(કેળવણીનો કર્મયોગ :: લેખન- સંપાદન : બીરેન કોઠારી) શિક્ષણના મૌલિક પ્રયોગો થકી ગુજરાતભરની તમામ શાળાઓમાં નોખી ભાત ઉપસાવતી શાળા તરીકે ભરૂચની એમિટી સ્કૂલ જાણીતી છે. આ શાળાના ૩૬ વર્ષ પૂરાં થયાના અવસરે તેની આ સફરનું પુસ્તક સ્વરૂપે દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું. એ પુસ્તક એટલે બીરેન કોઠારી લિખિત અને સંપાદિત ‘કેળવણીનો કર્મયોગ’.
શાળાના પાંચ સ્થાપકો એટલે રણછોડભાઈ અને સંગીતાબહેન શાહ, પ્રમેશબહેન મહેતા, શૈલાબહેન વૈદ્ય અને પ્રવિણસિંહ રાજ. પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે શિક્ષણ સાથે સંકળાયેલાં આ પાંચે જણે જોયેલા સહિયારા સ્વપ્નનું મૂર્તિમંત સ્વરૂપ એટલે એમિટી સ્કૂલ.
આ પુસ્તકનો હેતુ પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓની ટકાવારી કે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની વ્યાવસાયિક સફળતાની વાતો દ્વારા એમિટીના મહિમાગાનનો હરગીઝ નથી. પરંતુ, આશરે અઢીસો પાનાંમાં પથરાયેલા અને ચાર ખંડમાં વિભાજિત આ પુસ્તકનો મુખ્ય હેતુ છે શિક્ષણને મૌલિક, રસપ્રદ અને અસરકારક બનાવતી સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓનો. અભ્યાસની સમાંતરે વિદ્યાર્થીઓમાં સંસ્કારસિંચનની મથામણના આલેખનનો.
પુસ્તકના પહેલા ખંડ- ‘અંકુરણથી અમલીકરણ’માં વિચારબીજથી માંડી શાળાની પોતીકી ઇમારત તૈયાર કરવા સુધીની કથા વર્ણવવામાં આવી છે. તેમાં સાવ આરંભિક સમયમાં એમિટીમાં શિક્ષકોએ પાડેલી હડતાળનું પ્રકરણ પણ સામેલ છે.
જે રીતે સાત નોખા રંગોના સંયોજનથી મેઘધનુષ રચાય છે તેવી જ રીતે શૈક્ષણિક સંસ્થા સાથે પણ સાત મહત્વનાં પરિબળો સંકળાયેલાં છે: આ સાત પરિબળો એટલે શાળા(ઇમારત), વિદ્યાર્થીઓ, શિક્ષકો, સંચાલક, શાળાના વહીવટી કર્મચારીઓ ઉપરાંત વાલી તથા શુભચિંતકો. આ સાતેય એકમેકથી નોખા છે, છતાં તેમના પૃથક આલેખનથી સંસ્થાનું સંપૂર્ણ ચિત્ર ઉપસે છે. લેખકે બીજા ખંડ- ‘મેઘધનુષી પરિબળો’માં તેમનો સમાવેશ કર્યો છે. આ પરિબળો કેમ મહત્વનાં છે તેની છણાવટ વિભાગના આરંભે આપી સંસ્થામાં દરેકનું સ્થાન, કાર્ય, મહત્વ વગેરેને વિગતવાર સમજાવતા અનેક ઉદાહરણોને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મૂકી વિસ્તારથી સમજૂતિ આપી છે. સવાસો પાનાંમાં પથરાયેલા આ વિભાગમાં સમગ્ર પુસ્તકનું હાર્દ સમાયેલું છે.
પુસ્તકના ત્રીજા ખંડ- ‘વર્ગખંડની બહાર મળતું જીવનલક્ષી શિક્ષણ’માં વિવિધ પ્રવાસો, શિક્ષણકેન્દ્રી કાર્યક્રમો, વિવિધ પ્રદર્શનોમાં તેમજ નિદર્શનો, સાંસ્કૃતિક કાર્યક્રમો, વેકેશન પ્રવૃત્તિઓ વગેરેની વિગતવાર ચર્ચા છે. આ ખંડમાં એ હકીકત પુરવાર કરવામાં આવી છે કે વર્ગખંડમાં શિક્ષણ પીરસી શકાય છે, પરંતુ વિદ્યાર્થીઓને શાળાની ચાર દિવાલોથી બહાર લાવી યોગ્ય દ્રષ્ટિપ્રેરિત કાર્યક્રમોમાં સામેલ કરીને વ્યવહારુ શિક્ષણ પણ આપવું જોઇએ. એમિટીએ શાળાના આરંભથી જ ‘મૈત્રિસેતુ’ નામે સામયિક શરૂ કર્યું હતું. છેક આરંભકાળથી વર્તમાન સુધીની શાળાની વિવિધ મહત્વની પ્રવૃત્તિઓ તથા ઘટનાઓ તેમાં સચવાઇ છે..
પુસ્તકના છેલ્લા અને ચોથા ખંડ –‘વિસ્તરણ અને દર્શન’માં ભૂતકાળની ગતિવિધીઓ પર દ્રષ્ટિપાત કરીને શાળાના ભાવિ આયોજન અને તેની દિશા વિશે દર્શન રજૂ કરાયું છે.
પુસ્તકના અંતે પરિશિષ્ટમાં એમિટીની પ્રગતિના મહત્વના મુકામની તવારીખોનો ઉલ્લેખ છે. આ ઉપરાંત કોવિડની કટોકટી દરમિયાન શાળાએ હાથ ધરેલી વિવિધ પ્રવૃત્તિઓ પણ તેમાં આલેખાયેલી છે. એક સહજ પ્રશ્ન થાય કે આ પુસ્તક કેમ અને કોણે વાંચવું જોઇએ? સારા વાંચનમાં રસ ધરાવતા સહુ કોઈ માટે આ પુસ્તક છે જ, પણ કોઇને શિક્ષણના ક્ષેત્રે કશું નક્કર પ્રદાન આપવાની ખેવના હોય તો તેને આ પુસ્તકમાંથી અવશ્ય પ્રેરણા તેમજ માર્ગદર્શન મળી રહે એમ છે. ભલે ને એની પાસે સાધન કે સંસાધન ટાંચાં હોય! પુસ્તકમાં અનેક કિસ્સાઓ દ્વારા સંસ્થાની ખાસિયતોને ઉજાગર કરવામાં આવી છે.
પુસ્તકની સજાવટ ધ્યાનાકર્ષક અને કળાત્મક બની રહી છે.
સમગ્રપણે જોઈએ તો આ પુસ્તક ‘કેળવણીના કર્મયોગ’માં ભરૂચની એમિટી સ્કૂલના બહેતર શિક્ષણ આપવાના નિષ્ઠાપૂર્વકના પ્રયત્નોનું તથા પરિણામોનું આલેખન છે. તેથી શિક્ષણ સાથે સંકળાયેલા તમામ શિક્ષકો, આચાર્યો. વિદ્યાર્થીઓ, સંચાલક મંડળો માટે આ પુસ્તક દીવાદાંડી સમાન બની રહે એમ છે. તો શાળાની ઇમારતને જ શિક્ષણનો પર્યાય માનવાની ભૂલ કરી બેસતા સામાન્ય વાચક માટે આ પુસ્તક શાળાના બહોળા કાર્યફલકનું દર્શન કરાવનારું અને તેના પ્રતિ પોતાની જવાબદારીઓની ભાન કરાવનારું પણ બની રહે છે.
*** * ***
પુસ્તક અંગેની માહિતી ::
કેળવણીનો કર્મયોગ : બીરેન કોઠારી
પૃષ્ઠસંખ્યા : 248 + 32
કિંમત :₹ 650
આવૃત્તિ પ્રથમ આવૃત્તિ (2023)પ્રકાશક અને પ્રાપ્તિસ્થાન :
ઍમિટી શૈક્ષણિક સંકુલ, દહેજ બાયપાસ રોડ, ભરૂચ – 392 001
સંપર્ક :ફોન નંબર- 99798 61633
ઇ મેલ :amityschool1986@gmail.com
પુસ્તક પરિચય શ્રેણીના સંપાદક શ્રી પરેશ પ્રજાપતિનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : pkprajapati42@gmail.com
-
કલમના કસબી : કનૈયાલાલ મુનશી – સીધા ચઢાણ – ૨
પુસ્તક પરિચય
રીટા જાની
જીવનના સીધા ચઢાણ ભલભલાને હંફાવી દેવા શક્તિમાન છે. તેથી વચ્ચે વચ્ચે વિરામ લઈને જ આગળ વધી શકાય. ગત અંકમાં આપણે મુનશીની આત્મકથા ‘સીધા ચઢાણ’ ને અડધે રસ્તે વિરામ આપેલો. એડવોકેટની પરીક્ષામાં તે વખતે બહુ થોડા પાસ થતાં. એમાં પણ પ્રથમ પ્રયત્ને પાસ થતાં માતા, સગાં વહાલાં, મિત્રો, ન્યાત, ભાર્ગવ સમાજ – સૌએ અભિનંદન અને માનપત્રની વર્ષા વરસાવી. ને મુનશીએ એક ચેમ્બર ભાડે રાખી પોતાના કામની શરૂઆત કરી. સાથે અંગ્રેજી બોલવાનો મહાવરો કેળવવા માંડ્યો. એનો સીધો લાભ એ થયો કે મુનશીને જગતના સાહિત્યસ્વામીઓનો પરિચય થયો. એટલું જ નહિ પણ પરભાષા શીખતાં શૈલી ને સાહિત્યરચના, વાકપટુતા ને વાર્તાલાપનાં કેટલાંક સનાતન રહસ્યોની સમજ પડી.કોઈ પણ નવી વસ્તુની શરૂઆત ક્યારેય આસન નથી હોતી. એનો અનુભવ મુનશીને પોતાની નવી નવી વકીલાત શરૂ કરતાં થયો. જમિયતરામકાકાએ તેમને નાની નાની બ્રીફ મોકલવા માંડી ને ભુલાભાઈ દેસાઈની ઓળખાણ કરાવી સાંજે એમની ચેમ્બરમાં કામ શીખવું એવું નક્કી થયું. ભુલાભાઈ વકીલાતની ટોચે પહોંચેલા, હજારો રૂપિયા કમાતા, નવા ઊગેલા સૂર્યની ભભકથી ચમકતા ને ન્યાયાધીશો પણ એમની મીઠી વકાલતથી પાણી પાણી થઇ જતાં. આ ધ્રુજતા શિખાઉના બે વર્ષ તો ખાસ નોંધપાત્ર પ્રગતિ વગર જ ગયા. નાની નાની અપીલો, દાવા અરજીઓ ને ખરડાઓથી શરૂઆત કરી. પણ ધીરે ધીરે બધા નવા ધંધાદારી મિત્રો ભેગા મળતાં, કાયદાનાં કોકડાં ઉકેલતા, ભૂલો કરતાં ને ગોટાળા પણ ઉકેલતા અને એમ કરતાં થતાં કડવા મીઠા અનુભવો પર હસતાં. ક્યારેક અસીલો પણ છેતરી જતા, ફી ન આપતાં પણ ધીરે ધીરે પ્રતિષ્ઠિત સોલિસિટરો સાથે પરિચય થયો. ભુલાભાઈ સાથે રહી એમની અથાગ મહેનત, પૃથક્કરણ શક્તિ અને ન્યાયાધીશના મન જીતવાની ચતુરાઈ મુનશી પણ શીખ્યા. ભુલાભાઈ અને તેમના પત્નીએ મુનશી અને તેમના પત્ની લક્ષ્મીને અપનાવ્યા. ભુલાભાઈના દાવા અરજીઓ, જવાબો ને અભિપ્રાયના થોકબંધ ખરડાઓ મુનશી તૈયાર કરતા ને એમની બ્રીફોની તારવણી પણ કાઢતાં. ભુલાભાઈના નિકટના સહવાસથી યુરોપીય સંસ્કૃતિના ઘણા પાઠ એમની પાસેથી શીખ્યા. છાંટોપાણી ન લે તો મુંજી, અસંસ્કારી ને વેદિયા ઢોરમાં ખપે એટલે સુરાપાનને શિષ્ટતાનું લક્ષણ માની અપનાવ્યું પણ માંસ અને બ્રિજ રમવાનું ન સ્વીકાર્યું.
મુનશી એ સમયના નવા એડવોકેટના સંઘર્ષની અને ત્યારના પ્રખ્યાત એડવોકેટ , સોલિસિટર અને ન્યાયાધીશ એવા નરીમાન, છોટુભાઈ, ચીમનભાઈ, મોતીલાલ સેતલવાડ, જ્હૉન ડંકન ઇન્વેરારિટી, મેકલાઉડ, સ્ટ્રેંગમેન, દીનશા મુલ્લાં, સર લલ્લુભાઈ, ઝીણા વગેરેની ખાસીયતો, તેમની કામ કરવાની પદ્ધત્તિ, રાજકીય અને ધંધાકીય આંટીઘૂંટી તથા મુનશીના તેમની સાથેના સંબંધો વગેરેની ખૂબ રસપ્રદ વાતો કરે છે. કેટલાક કેસની ચર્ચા પરથી એ સમયના સામાજિક, ધાર્મિક અને ધંધાકીય વાદ વિખવાદનો ખ્યાલ પણ વાચકને આવે છે. તો ખૂબ મહેનત કરીને મુનશી એક કેસમાં પોતાના મંતવ્યનું સુંદર પ્રતિપાદન કરે છે ત્યારે તેમની સખત કસોટી કરનાર ભુલાભાઈએ જે હેતભર્યા શબ્દો કહ્યા તેથી મુનશીને પ્રતીતિ થાય છે કે ધંધાના સીધાં ચઢાણની ઉપલી ધાર તેમણે વટાવી છે.
મુનશીના મિત્રો તેમને ગુજરાતીમાં લખવા માટે પ્રેરતાં, પણ તેમની હિંમત ચાલતી ન હતી. જ્યારે મુનશીને કોઈ ઉદ્વેગ થાય ત્યારે તેને અવલંબીને કોઈ કલપાનિક પ્રસંગ ઊભો કરી તેની નોંધ કરવાની ટેવ તેમને નાનપણથી જ હતી. આ પ્રયોગ કરવા તેમણે ‘મારી કમલા’ નામક ટુંકી વાર્તા ‘ઘનશ્યામ વ્યાસ’ના નામથી લખી. આ વાર્તાને સત્કાર મળ્યો. એટલું જ નહિ પણ ત્યારના પ્રખર સાહિત્યકાર નરસિંહરાવ ભોળાનાથ દિવેટીયા તેમને શોધી તેમની ઓરડીએ પહોંચ્યા ને મુક્ત કંઠે ગુજરાતી સાહિત્યક્ષેત્રે મુનશીને આવકાર આપ્યો. આ અણધારી મુલાકાતે મુનશીની હિંમત વધારી અને એક સાહિત્ય સફરની શરૂઆત થઈ. મુનશીની સર્જનકલા ત્રણ પ્રકારે થતી. પહેલા પ્રકારમાં તેઓ આત્મકથા કરતાં ને પોતે અનુભવેલું સુખ કે દુઃખ કહેતા. ‘મારી કમલા’, ‘કોકિલા’, ‘વેરની વસૂલાત’ અને ‘પૃથીવીવલ્લભ’માં પહેલો પ્રકાર પ્રધાન છે. બીજા પ્રકારમાં તેઓ એક સ્વાનુભવને પહેલાં કલ્પનામાં સંઘરી રાખી, પછી તેને મૂર્તિમાન કરતી કાલ્પનિક વ્યક્તિ કે પ્રસંગને અવલંબીને વાર્તા લખતાં. ‘પાટણની પ્રભુતા’ બીજા પ્રકારમાં આવે. જ્યારે ત્રીજા પ્રકારમાં વણઅનુભવેલી મનોદશા ઘટાવી, તેનો કાલ્પનિક સ્વાનુભવ કરી તેના પર મુખ્ય પાત્રો ને પ્રસંગોની રચના કરતાં. ‘ભગવાન કૌટિલ્ય’ અને ‘જય સોમનાથ’માં ત્રીજા પ્રકારનું પ્રાબલ્ય નજરે પડે છે. લેખક તરીકે મુનશી પોતાનું નામ છુપુ રાખવા માગતા હતા. કારણ કે તેમને ડર હતો કે કે જો બીજા સોલિસિટરો જાણે તો એમ માને કે તેઓ ધંધામાં બરાબર ધ્યાન નથી આપતા. તેથી તેમને બ્રીફ મળતી બંધ થઈ જાય. પણ હકીકત એનાથી અલગ હતી. તેમની નવલકથાની પ્રશંસા તેઓ મૂંગા મોઢે સાંભળતાં.
ધીરે ધીરે મુનશી પોતાના ધંધા, સાહિત્ય અને રાજકીય ક્ષેત્રે આગળ વધતા રહ્યાં. ‘ગુર્જર સભા’, ‘ષડરિપુમંડળ’માં તો સક્રિય હતા જ પણ ‘ભાર્ગવ – ત્રિમાસિક’, ‘આર્ય પ્રકાશ’, ‘સત્ય’માં લેખો લખવાના શરૂ કર્યા. ‘સમાલોચક’, ‘સાહિત્ય પ્રકાશક કંપની’ અને ‘સાહિત્ય સંસદની સ્થાપના કરી. રાજકીય ક્ષેત્રે ‘યંગ ઇન્ડિયા’ શરૂ કર્યું ને હોમરૂલ સાથે પણ જોડાયા. કોંગ્રેસ, ગાંધીજી, ઝીણા, અરવિંદ, લોકમાન્ય તિલક, ગોખલે, સર ફિરોઝશાનો પણ તેમના જીવન પર પ્રભાવ હતો. ધર્મ અને રાજકારણ વિશે તેમની એક આગવી વિચારધારા હતી. સાથે ‘વેરની વસૂલાત’,’ કોનો વાંક’, ‘પાટણની પ્રભુતા’, ‘ગુજરાતનો નાથ’ જેવી સાહિત્યની અવિરત લેખન યાત્રા પણ ચાલુ જ હતી. તો અંગત જીવનમાં લક્ષ્મીના આત્મસમર્પણની કોઈ સીમા ન હતી. પણ હૃદયના ભાવો શબ્દોમાં કે આચારમાં વ્યક્ત કરવાની તેની પરિમિત શક્તિના કારણે વિદ્યા ભૂખ્યા, આવિર્ભાવના રસિયા અને અંકુશ વિનાના તાદાત્મ્ય પર રચેલી પ્રણય ભાવના સેવતા યુવકના જીવનના ભાવજગતના સંઘર્ષની વાત ઉપસી આવે છે.
લેખક મુનશીની વાત કરીએ તો તેમને ગુજરાતના ઈતિહાસનો પહેલેથી જ શોખ હતો. જ્યારે તેઓ ગુજરાતી વાંચવા અને લખવા લાગ્યા ત્યારે ગુજરાતની ભક્તિના અંકુર તેમના હૃદયમાં ફૂટવા લાગ્યા. ‘પાટણની પ્રભુતા’ લખતાં પ્રણયોર્મિઓ કાબૂમાં આવી હતી. ‘પૃથીવવલ્લભ’ એ મુનશીના હૃદયની જ્વાળામાંથી સર્જાય છે, માટે જ એમાં કલાત્મકતા વધુ છે. સાહિત્યના પ્રભાવમાંથી વ્યવસ્થાવૃત્તિ ડોકિયાં કરતી અને તે કલ્પનામાં ગુજરાતની મહત્તા સર્જી રહી. તેમના પાત્રો તેમની કલ્પનાના ગર્ભમાંથી બહાર પડતાં, જે તેમના પ્રાણ અને અસ્થિ હતાં. મુનશી પોતાને કલાકાર તરીકે અનુભવતા. મુનશીની સૃષ્ટિ વાચકને જીવંત લાગે, કારણ તેમની કલ્પનાના સંતાનો માનવતાથી તરવરતાં હોય. તેથી જ સર્જક સફળ બને. જો લેખકની સર્જેલી સૃષ્ટિનાં સ્ત્રી પુરુષો વાચકની કલ્પનામાં ઘર કરવા શક્તિમાન હોય તો એ પાત્રોને અસ્તિત્વમાં આવવાનો એમનો અધિકાર સિદ્ધ થઈ જાય છે. મુનશી કહે છે કે જ્યારે તેમણે મુંજાલ કલ્પ્યો ત્યારે તેમનામાં ગુજરાતની અસ્મિતા પ્રગટી. આમ મુંજાલ મુનશીની ગુજરાતની અસ્મિતાનો પિતા અને સંતાન બંને છે. ગુજરાતની અસ્મિતા મુનશીના જીવનમાં એક પ્રચંડ બળ બની રહ્યું તે માટે મુનશી રણજિતરામનો ઋણ સ્વીકાર કરે છે. તેમનાં હૃદયમાં એક જ વિચાર હતો કે આપણી સંસ્કૃતિ ક્યારે વિજય પામે ને પરિણામે એક નવીન ગુજરાત અવતરે. નવીન ગુજરાત એ માત્ર એક સ્વપ્ન ન હતું પણ એક જીવંત વ્યક્તિ હતી. એ બધાને એ જ લક્ષ્ય તરફ પ્રેરતા – ગુજરાતના ગૌરવ, એકતાનતા, અસ્મિતા તરફ. મુનશીએ ફક્ત વાર્તા લખીને સંતોષ માનવના બદલે સાહિત્ય અને કલાના તથા માનવતાના પોતાના આદર્શો ગુજરાત સમક્ષ મૂકી તથા શ્રી, વિજય અને ભૂતિ મેળવવા પોતાના સ્વભાવજન્ય ધર્મને જ સ્વધર્મ બનાવ્યો. એ માટે ખૂબ વાંચન અને લેખન કર્યું.
મુનશીએ ગુજરાતની અસ્મિતાનું મુખપત્ર ‘ગુજરાત’ શરૂ કર્યું. એ અરસામાં તેમના મિત્રોએ લીલાબહેનની ઓળખાણ કરાવી. સ્ત્રીઓના હક્ક વિશેનો એમનો ઉત્સાહ અપરિમિત હતો. એવામાં લીલાએ એના લખેલાં રેખાચિત્રો ‘ગુજરાત’માં છપાવવા મુનશીને મોકલ્યા. એ વાંચીને મુનશીને એવું લાગ્યું કે બાવીસ વર્ષની આ યુવતીએ સામાન્ય પરિચય પછી આ બાણ માર્યું હતું ને ત્રીસ વર્ષની મુનશીની સ્વસ્થતાને આરપાર વીંધી મર્મ સ્થળને એણે ભેદ્યું હતું. લીલાને તેઓ બરાબર ઓળખતા ન હતા કે ન હતી એની સંસાર ઘટનાની કોઈ માહિતી. પણ ભવેભવની સખી મળી હોય એમ મુનશીનું હૃદય પોકારી રહ્યું હતું એ વાત ચોક્કસ હતી. તેર વર્ષની સમાધિને પરિણામે સાક્ષાત્કાર પામેલી ‘દેવી’ પટને પેલે પાર – છતાં નિકટ – જીવતી ઊભી હતી …
‘સીધાં ચઢાણ ‘ એક આત્મકથા પણ છે અને કદાચ એ મુનશીની જીવનયાત્રાનું વર્ણન પણ છે. સૂર્યપ્રકાશને ત્રિપાર્શ્વ કાચમાંથી પસાર કરીએ તો પ્રકાશનો સપ્તરંગી વર્ણપટ પ્રાપ્ત થાય છે. જીવનયાત્રામાં પણ કંઇક આવું જ છે. રંગબેરંગી નયનરમ્ય પતંગિયું બનતાં પહેલાંની કશ્મકશ એ પતંગિયાની જીવનકથની છે તો સાથે જ જીવનનો પરિવર્તન મંત્ર પણ છે. એવરેસ્ટ પરનું પહેલું કદમ એ સ્વપ્નસિદ્ધિ, સંકલ્પસિધ્ધિ અને લક્ષ્યસિદ્ધીની ગાથા છે. સંકલ્પ અને સિદ્ધિનું આ અંતર મુનશીની સ્વપ્નાસિદ્ધી અને સીધાં ચઢાણની યાત્રા છે. આપણા લક્ષ્યની સિદ્ધિ ….
એક નવા સોપાન પર …
આવતા અંકે.
સુશ્રી રીટાબેન જાનીનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું: janirita@gmail.com

મુબારક બેગમનું અવસાન ૧૮ જુલાઈ