વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • ફિલ્મી ગઝલો – ૪૦. બૂટારામ શર્મા

    ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

    ભગવાન થાવરાણી

    કોઈકે સાચું જ કહ્યું છે, નામમાં શું દાટ્યું છે ! બૂટારામ શર્માની જ વાત કરીએ તો એમણે ફિલ્મો માટે જે માત્ર ત્રણ ગઝલો લખી એ  વાંચીને ખાતરી થશે કે માશાલ્લાહ, શું સંવેદન છે એમના શબ્દોમાં ! ૪૦ અને ૫૦ના દાયકામાં આ બૂટારામ શર્મા ( ક્યારેક એ પોતાને બી આર શર્મા પણ કહેવડાવતા ) જીએ રણજીત મુવીટાન સંસ્થાની ફિલ્મો બેટી, લુટેરા, જોગન, પાપી, બેદર્દી, ભૂલભુલૈયા ઈત્યાદિમાં નિયમિત ગીતકાર તરીકે ગીતો લખ્યા. એમની અંતિમ ફિલ્મ હતી ૧૯૬૪ ની ‘મૈં સુહાગન હું‘ . 

    એમની લખેલી ત્રણ ગઝલ :

    ઐ દિલ મચલ મચલ કે યું રોતા હૈ ઝાર ઝાર ક્યા
    અપના ચમન ઉજડ ગયા આએગી અબ બહાર ક્યા

    પહલે ઝરા હંસા દિયા, જી ભર કે ફિર રુલા દિયા
    કિસ્મત પે ઈખ્તિયાર ક્યા, કિસ્મત કા ઐતબાર ક્યા

    ટૂટા હૈ ઈસ તરહ સે દિલ, કાંપ ઊઠી હૈ ઝિંદગી
    જીતે જી હમ તો મર ગએ, મૌત કા ઈંતઝાર ક્યા ..

    – ફિલ્મ : મૈં સુહાગન હું  ૧૯૬૪

    – લતા

    – લચ્છીરામ તોમર

    તુમ ચાંદ સે હસીન હો તારોં સે પૂછ લો
    ફૂલોં સે ખૂબ-રૂ હો બહારોં સે પૂછ લો

    ક્યોં દેખતી હૈ મેરી નઝર તુમ કો બાર બાર
    અપની નઝર કે શોખ ઈશારોં સે પૂછ લો

    કિસ્મત મેં હો જુદાઈ તો કૈસે મિલાપ હો
    બહતી નદી કે દોનોં કિનારોં સે પૂછ લો

    કુછ આંસૂઓં સે પૂછ લો ઉલ્ફત કી તલ્ખિયાં
    કુછ બદનસીબ પ્યાર કે મારોં સે પૂછ લો ..

    – ફિલ્મ : ઔરત તેરી યહી કહાની  ૧૯૫૪

    – તલત મહેમૂદ

    – બુલો સી રાની

     

    દિલે નાશાદ કો જીને કી હસરત હો ગઈ તુમ સે
    મુહોબત કી કસમ હમ કો મુહોબત હો ગઈ તુમ સે

    દમે આખિર ચલે આએ બડા અહેસાં કિયા તુમને
    હમારી મૌત કિતની ખૂબસૂરત હો ગઈ તુમ સે

    કહાં તક કોઈ તડપે માન જાઓ, માન ભી જાઓ
    કે દિલ કી બાત કહતે એક મુદ્દત હો ગઈ તુમ સે ..

     

    – ફિલ્મ : ચુનરિયા  ૧૯૪૮

    – લતા

    – હંસરાજ બહલ

    ( ફિલ્મ ‘ જીવન મૃત્યુ ‘ ના લતાજીએ ગાયેલ ‘ ઝમાને મેં અજી ઐસે કઈ નાદાન હોતે હૈં ‘ સાથે આ ગીતની તુલના કરો અને જાણો, કોણે કોની પાસેથી ‘ પ્રેરણા ‘ લીધી !! )


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે

  • મહેન્દ્ર શાહનાં ફેબ્રુઆરી ૨૦૨૪નાં સર્જનો

    મહેન્દ્ર શાહનાં ચિત્રકળા સર્જનો

    Mahendra Shah – February 2024 crations


    મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com

  • સહ-નેતૃત્ત્વનું ટીમમાં સિંચન

    સ્વ-વિકાસ : વિચાર વલોણું

    તન્મય વોરા

    થોડા વર્ષો પહેલા, સંપૂર્ણપણે નવી તકનીકમાં પ્રોજેક્ટનો અમલ કરવાની જેમના પર જવાબદારી હતી એવી ટીમને હું એ કામમાં મદદ કરતો હતો. આ નવી જવાબદારીનો અર્થ એ પણ હતો કે ટીમના દરેક સભ્યએ પહેલ કરવી પડશે અને ટેકનોલોજીના નવા ક્ષેત્રોમાં શોધખોળ કરવા મંડી પડવું પડશે.

    પ્રોજેક્ટ માટે એક નિયુક્ત પ્રોજેક્ટ મુખી તો હતો જ. તેમ છતાં, અમે ટીમના એવા ઘણા સભ્યો જોયા કે જેમણે “સહનેતૃત્ત્વ” દર્શાવ્યું. સરળ શબ્દોમાં કહીએ તો, સહનેતૃત્વ ત્યારે થાય છે જ્યારે લોકો પોતપોતાનાં પદને ભુલીને આગળ આવે છે અને પોતાનાં નેતૃત્વ કૌશલ્યને દર્શાવે છે. સહનેતૃત્વ એક એવા પ્રકારનું નેતૃત્વ છે જે સમકક્ષો વચ્ચે અસ્તિત્વ ધરાવે છે.

    અમારી ટીમમાં એક એવો સભ્ય હતો જે આગળનું વિચારતો હતો, સમસ્યાઓની આગોતરા જ અપેક્ષા કરી લેતો હતો અને એ આવી સંભવિત સમસ્યાઓ માટે ટીમને આગોતરા જાણ પણ કરી દેતો હતો.  આ ઉપરાંત, ટીમ દ્વારા ચૂકાઈ ગયેલા પ્રોજેક્ટ્સના કેટલાક સૌથી મહત્વપૂર્ણ મુદ્દાઓ પર તેણે ધ્યાન પણ દોર્યું હતું. તે સ્પષ્ટપણે સહઅગ્રણી હતો, કારણ કે ટીમના અન્ય સભ્યોએ તેને એવી વ્યક્તિ તરીકે જોવાનું શરૂ કર્યું કે જેણે પ્રોજેક્ટ (અથવા પ્રોજેક્ટના કેટલાક ક્ષેત્રો) માં આગવી દૃષ્ટિ ધરાવી હતી.

    આ અને કેટલાક અન્ય અનુભવોના આધારે, સહનેતૃત્વના મેં શીખેલા કેટલાક મહત્વપૂર્ણ પાઠ અહીં આપ્યા છે:

    • સહનેતૃત્વ વ્યક્તિ દ્વારા કામને શ્રેષ્ઠ રીતે કરવાની પસંદગીમાંથી ઉદ્ભવે છે. તે વ્યક્તિની વિષય વિશેની જાણકારીનું પરિણામ પણ છે.
    • સહનેતૃત્વ પરંપરાગત પદાનુક્રમ આધારિત માળખાંની પાર જઈ ટીમમાં દરેકને એકસાથે નેતૃત્વ લેવાની, તેમજ વધારે જાણકાર અન્ય સભ્યોને અનુસરવાની, સમાન તક આપે છે.
    • સંસ્થાઓ/અગ્રણીઓએ સહનેતૃત્વનેને પ્રોત્સાહિત કરવું જોઈએ જેથી લોકોને તેમની ઔપચારીક રીતે સોંપાયેલ જવાબદારીઓથી આગળ વિચારવા માટે, અને પ્રક્રિયામાં મૂલ્યવૃદ્ધિ કરવા માટે, પ્રોત્સાહિત કરવા જોઈએ.
    • નીચેથી ઉપર તરફ પ્રસરતું નવપરિવર્તન સામાન્ય રીતે સંસ્થામાં તમામ સ્તરે લોકોના વ્યક્તિગત નેતૃત્વનું પરિણામ છે.
    • સહનેતૃત્વને પ્રોત્સાહન આપવા માટે એવી સશક્તિકરણની સંસ્કૃતિનું નિર્માણ કરવું મહત્વપૂર્ણ છે જ્યાં લોકો પ્રોજેક્ટ/સંસ્થાના વ્યાપક દ્રષ્ટિકોણને ધ્યાનમાં લઈને વિચારે અને વર્તે અને પોતાના નિર્ણયોને અમલમાં મૂકવા માટે સક્ષમ હોય છે.

    સહનેતૃત્વ ટીમના સંદર્ભમાં થાય છે, અને વ્યક્તિગત સ્તરે વ્યક્તિગત નેતૃત્વ સાથે તેનો ખૂબ નજીકથી સંબંધ છે.

    છેલ્લે આ બે મહત્ત્વના પ્રશ્નોનો જવાબ વિશે વિચારીએ:

    • જો તમે સંચાલક/અગ્રણી છો, તો જે ટીમમાં દરેક સભ્ય પ્રોજેક્ટના એક એક ભાગનું નેતૃત્વ કરે છે એ ટીમના સભ્યોમાં સહનેતૃત્વને કેવી રીતે પ્રોત્સાહિત કરી શકાય ?
    • એક પ્રોફેશનલ તરીકે, તમારા કામને અલગ તરી આવે તે રીતે અને બીજાંને દાખલો બેસે તેવી રીતે શી રીતે સતત ઉપરની કક્ષાએ લઈ જતાં રહી શકાય?

    આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.

  • સપ્તાહના અંતમાં યાદ કરી લેવા જેવું

    ધંધેકા ફંડા

    ઉત્પલ વૈશ્નવ

     

     


    આ શ્રેણીના લેખક શ્રી ઉત્પલ વૈશ્નવનો સંપર્ક hello@utpal.me  વીજાણુ સરનામે થઇ શકે છે.

  • એસ ધમ્મો સનંતનો – વૈદિક માર્ગનાં અન્ય પાસાંઓ

    પ્રવાસી યુ. ધોળકિયા

    સનાતન ધર્મની પરંપરાના વટવૃક્ષ સમાન વૈદિક જ્ઞાનમાર્ગનો આપણે ‘આ ધર્મ સનાતન છે’ ને સમજવાની યાત્રાના અગાઉના લેખોમાં ઉલ્લેખ કરી ચુક્યાં છીએ. હવે તેનાં બાકી રહેલાં અંતિમ પાસાંઓ પર સંક્ષિપ્ત વિવેચન જોઈશું.

    બ્રહ્માણ્ડની ઉત્પતિ સાથે સંબંધિત એવાં ઋગ્વેદનાં ૧૦મા મડલના ૧૨૯માં સૂક્તથી આજના મણકાની શરૂઆત કરીશું.[1]

    नास॑दासी॒न्नो सदा॑सीत्त॒दानी॒म् नासी॒द्रजो॒ नो व्यो॑मा प॒रो यत्।
    किमाव॑रीव॒: कुह॒ कस्य॒ शर्म॒न्नंभ॒: किमा॑सी॒द्गह॑नं गभी॒रम्॥१॥

     न मृ॒त्युरा॑सीद॒मृतं॒ न तर्हि॒ न रात्र्या॒ अह्न॑ आसीत्प्रके॒तः।
    आनी॑दवा॒तं स्व॒धया॒ तदेकं॒ तस्मा॑द्धा॒न्यन्न प॒रः किञ्च॒नास॑॥२॥

     तम॑ आसी॒त्तम॑सा गू॒ळ्हमग्रे॑ऽप्रके॒तं स॑लि॒लं सर्व॑मा इ॒दं।
    तु॒च्छ्येना॒भ्वपि॑हितं॒ यदासी॒त्तप॑स॒स्तन्म॑हि॒ना जा॑य॒तैकं॑॥ ३॥

     काम॒स्तदग्रे॒ सम॑वर्त॒ताधि॒ मन॑सो॒ रेत॑: प्रथ॒मं यदासी॑त्।
    स॒तो बन्धु॒मस॑ति॒ निर॑विन्दन् हृ॒दि प्र॒तीष्या॑ क॒वयो॑ मनी॒षा॥४॥

     ति॒र॒श्चीनो॒ वित॑तो र॒श्मिरे॑षाम॒धः स्वि॑दा॒सी दु॒परि॑ स्विदासी त्।
    रे॒तो॒धा आ॑सन्महि॒मान॑ आसन्त्स्व॒धा आ॒वस्ता॒त्प्रय॑तिः प॒रस्ता॑त्॥५॥

     को अ॒द्धा वे॑द॒ क इ॒ह प्र वो॑च॒त्कुत॒ आजा॑ता॒ कुत॑ इ॒यं विसृ॑ष्टिः।
    अ॒र्वाग्दे॒वा अ॒स्य वि॒सर्ज॑ने॒नाथा॒ को वे॑द॒ यत॑ आब॒भूव॑॥६॥

     इ॒यं विसृ॑ष्टि॒र्यत॑ आब॒भूव॒ यदि॑ वा द॒धे यदि॑ वा॒ न।
    यो अ॒स्याध्य॑क्षः पर॒मे व्यो॑म॒न्त्सो अ॒ङ्ग वे॑द॒ यदि॑ वा॒ न वेद॑॥ ७॥

    હિંદીમાં અનુવાદ

    सृष्टि से पहले सत् नहीं था, असत् भी नहीं
    अन्तरिक्ष भी नहीं आकाश भी नहीं था
    छिपा था क्या? कहाँ? किसने ढका था?
    उस पल तो अगम अतल जल भी कहाँ था? ।।१।।

    नहीं थी मृत्यु थी अमरता भी नहीं
    नहीं था दिन रात भी नहीं
    हवा भी नहीं साँस थी स्वयमेव फिर भी
    नही था कोई कुछ भी परमतत्त्व से अलग या परे भी ।।२।।

    अंधेरे में अंधेरा-मुँदा अँधेरा था,जल भी केवल निराकार जल था
    परमतत्त्व था सृजन-कामना से भरा , ओछे जल से घिरा
    वही अपनी तपस्या की महिमा से उभरा ।।३।।

    परम मन में बीज पहला जो उगा ,काम बनकर वह जगा
    कवियों ग्यानियों ने जाना, असत् और सत् का निकट संबंध पहचाना ।।४।।

    फैले संबंध के किरण धागे तिरछे, परमतत्त्व उस पल ऊपर या नीचे?
    वह था बँटा हुआ पुरुष और स्त्री बना हुआ
    ऊपर दाता वही भोक्ता नीचे वसुधा स्वधा हो गया ।।५।।

    सृष्टि यह बनी कैसे?  किससे? आई है कहाँ से?
    कोई क्या जानता है? बता सकता है?
    देवताओं को नहीं ग्यात  वे आए सृजन के बाद
    सृष्टि को रचां है जिसने उसको जाना किसने? ।।६।।

    सृष्टि का कौन है कर्ता? कर्ता है वा अकर्ता?
    ऊँचे आकाश में रहता  सदा अध्यक्ष बना रहता
    वही सचमुच में जानता या नहीं भी जानता है
    किसी को नहीं पता नहीं पता नहीं है पता ।।७।।

    દિગ્દર્શક શ્યામ બેનેગલે તેમની ટી વી સિરિયલ ‘ભારત એક ખોજ’માં આ સૂક્તના હિદી અનુવાદને વસંત દેવે સંગીતમાં વણી લીધેલ છે.

    ઉપવેદ

    ઉપવેદની સંખ્યા ચાર છે. દરેક વેદને એક ઉપવેદ છે.

    ઉપવેદ                                          વેદ

    (૧) આયુર્વેદ                ઋગ્વેદ અને અથર્વવેદ (સુશ્રુતના યજ્ઞ મુજબ)

    (૨) ધનુર્વેદ                 યજુર્વેદ

    (૩) ગાંધર્વવેદ             સામવેદ

    (૪) અર્થશાસ્ત્ર               અથર્વવેદ

    આયુર્વેદ

    આયુર્વેદ આજે પણ જીવંત છે. ધન્વંતરી, સુશ્રુત અને ચરકે આયુર્વેદ પર પ્રકાંડ સંહિતાઓ લખી છે.

    ધનુર્વેદ

    આજના વૈજ્ઞાનિક કાળમાં ધનુર્વેદે પોતાનું મહત્ત્વ ગુમાવ્યું છે.

    ગાંધર્વવેદ

    ગીત, સંગીત, પવિત્ર નૃત્ય, અને નાટ્યશાસ્ત્રનો ગાંધર્વવેદમાં સમાવેશ થાય છે. ગાંધર્વવેદનાં આ તમામ અંગો આજે ભારતની સીમાઓ પાર કરીને વિશ્વભરમાં લોકપ્રિય બની રહેલ છે.

    અર્થશાસ્ત્ર

    આજે ફક્ત કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પ્રાપ્ય છે. રાજ્ય વ્યવસ્થા અને કૂટનીતિ પર લખાયેલ આ ગ્રંથ દુર્લભ છે.

    ષડ્દર્શન

    વેદમાં જે જ્ઞાન છે તેને તાર્કિક રીતે સમજાવતાં દર્શનો એટલે આ ષડ્દર્શન. ષડ્દર્શનમાં ભારતીય તત્ત્વજ્ઞાનની ચર્ચા જોવા મળે છે.

    પૂર્વમિમાંસા

    જન્મથી મનુષ્યને બધું, ખાસ કરીને તો ધર્મ વિશે, જાણવું હોય છે. તે પરથી જૈમિની ઋષિએ આ ગ્રંથની રચના કરી છે. તેના પ્રારંભનું સૂત્ર  अथातो धर्म जिज्ञासा છે. તેમાં ૧૨ અધ્યાય, ૬૦ પાદ અને ૨,૬૩૧ સૂત્રો છે.

    ઉત્તર મિમાંસા (બ્રહ્મસૂત્ર)

    પરમ ચેતના બ્રહ્મ તથા મૂળ જગતનું કારણ કઈ રીતે જાણવું તેની વ્યાખ્યા તાદૃશપણે ઉત્તર મિમાંસામાં કરેલ છે. જીવન-મરણનાં ચક્રમાં રહીને વ્યક્તિ જે સંસ્કારો પૂરા કરે છે તેનું અંતિમ લક્ષ મુક્તિમાર્ગ છે. આમ ઋષિઓએ મોક્ષમાર્ગ પર આ આસ્તિક ગ્રંથની રચના કરેલ છે.

    સાંખ્ય દર્શન

    આ દર્શનના રચયિતા અતિ પ્રાચીન ઋષિ કપિલ છે. આ ગ્રંથ એટલો બધો પ્રાસંગિક બની રહ્યો છે કે ભગવદ્ ગીતા, કેટલાક ઉપનિષદો, પુરાણો, રામાયણ અને મહાભારત પર આ શાસ્ત્રની ભારે અસર જોવા મળે છે.

    ઋષિ જણાવે છે કે વિશ્વમાં જે વિરાટ પુરુષ છે તે નિષ્ક્રિય છે. તેને સક્રિય પ્રકૃતિ કરે છે.  પ્રકૃતિમાં મહત્, અહંકાર, બુદ્ધિ અને સત્વ, રજસ્ અને તમસ્ જેવાં ૨૪ જેટલાં તત્ત્વો છે. પ્રકૃતિમાં સુષુપ્ત રહેલાં ત્રણ તત્ત્વો – સત્વ, રજસ્ અને તમસ્ -માં ક્ષોભન થવાથી મહત્ત્ જેવાં અન્ય તત્ત્વો પ્રગટ થાય છે ત્યારે વિરાટ પુરુષ જાગૃત થઈને સૃષ્ટિની રચના કરે છે. તે ઉપરાંત, વ્યક્તિ માત્ર તેના જીવનકાળ દરમ્યાન જે આધિ, વ્યાધિ અને ઉપાધિ ભોગવે છે તેમાંથી નિવૃતિના પણ સાંખ્ય દર્શન આપે છે. પંચતત્ત્વોને પણ અહીયાં પ્રતિભાષિત કરવામાં આવેલ છે.

    વૈશેષિક દર્શન

    આ ગ્રંથ મહર્ષિ કણાદે રચ્યો છે. તેમાં જડ ચેતન સૃષ્ટિને સાંખ્ય દર્શનમાં આપેલાં ૨૫ તત્ત્વો નહીં, પણ સાત તત્ત્વો દ્વારા પંચમહાત્મ્યનું દર્શન આપવામાં આવેલ છે. આ દર્શનનું લક્ષ વ્યક્તિએ સાંસારિક જીવનનો ત્યાગ કરી, સુખની અનુભૂતિ કરી અને મોક્ષ પામવાનું છે. આ જ્ઞાનને વિશેષ જ્ઞાનનો દરજ્જો આપવામાં આવેલો છે, તેથી તે વૈશેષિક દર્શન તરીકે ઓળખાય છે.

    ન્યાયદર્શન

    પ્રથમ તો આ દર્શનમાં ઈશ્વરની મહાનતા પ્રસ્થાપિત કરવામાં આવી છે. તે સાથે, આ દર્શનનો મુખ્ય વિષય નાય પણ છે, પાણ તેના ઘણા અર્થો થાય છે. અત્રે તેઓનો અર્થ સાધનના સ્વરૂપમાં કરાયો છે. તેમા ૫૩૧ સૂત્રો છે. સંખ્ય દર્શનનાં ૧૩ તત્ત્વોનો આધાર લઈને સત્યને શી રીતે શોધવું તેની ચર્ચા આ દર્શનમાં જોવા મળે છે.

    યોગદર્શન

    યોગદર્શનના રચયિતા પતંજલિ છે. અષ્ટાંગ માર્ગ ઉપરાંત તેમાં ૧૯૪ સુત્રોમાં પરમેશ્વરની સમીપતાનો અનુભવ્કરીને મોક્ષ પ્રાપ્તિ શી રીત કરવી તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ભારતની આ પરંપરાને વિશ્વભરે ઉત્સાહપૂર્વક અપનાવી છે. દર વર્ષે ૨૧ જૂનના દિવસે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

    ધર્મશાસ્ત્ર

    કોઈ પણ સમાજ ફક્ત ધર્મદર્શનના આધારે ટકી ન શકે. તેમાં સામાજિક ન્યાયની પણ પુરી વ્યવસ્થા હોવૂ જોઈએ. તેથી, ભારતવર્ષના મહાજ્ઞાનીઓએ સમાઅજના દરેક ઘટકો માટે નિયમો ઘડ્યા છે જે પરંપરાગત રૂપે કાયદાનું સ્થાન ભોગવે છે. આ દર્શનમાં ધર્મ ઉપરાંત વ્યક્તિનાં જીવનનાં  નૈતિક ધોરણો શું હોવાં જોઈએ તેની સમજ આપવામાં આવી છે. બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સન્યાસ એમ ચાર આશ્રમો, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ ચાર પુરુષાર્થો, પ્રાયશ્ચિત, પુરુષાર્થ, તીર્થયાત્રા, કુટુંબ જીવન, સંતાન અને સ્ત્રીનું સ્થાન, મિલકતની ન્યાયિક વહેંચણી વગેરે વિષયોને ધર્મશાસ્ત્ર નામ આપવામાં આવ્યું છે.

    વિશ્વની કોઈ પણ સંસ્કૃતિમાં ઉપરોક્ત વિષયો પર આટલું વિશદ વિવેચન જોવા મળતું નથી.આ બાબતનો ખ્યાલ આપણને એ હકીકત પરથી આવશે કે ભારત રત્ન પી વી કાણેએ ૧૯૩૦માં  ધર્મશાસ્ત્રોના ગ્રંથનો પહેલો ભાગ પાડ્યો તે પછી તેના પરથી લખાયેલા ગ્રંથોની યાદી ૧૭૦ પાનાંઓમાં સમાવાઈ શકી છે. આજે તો એ યાદી લખવા માટે કદાચ ૨૫૦ પાનાં પણ ઓછાં પડે. કાણેએ ધર્મશાસ્ત્રના પોતાના ગ્રંથનાં ૬,૫૦૦ પાનામાં ધર્મશાસ્ત્રના દરેક વિષયની અદ્ભૂત છણાવટ, બહુ સરસ ભાષામાં, કરી છે. અત્રે આપણે ધર્મશ્રુતિ અને શાસ્ત્રોની એક ટુંકી યાદી આપીને સંતોષ પામીએ –

    ૧) મનુસ્મૃતિ, ૨) યજ્ઞવાલ્કય શ્રુતિ, ૩) આપસ્તંબ ધર્મસૂત્ર ૪) બૌદ્ધાયન સ્મૃતિ, ૫) ગૌતમ ધર્મશાસ્ત્ર, ૬) કામંડક નીતિશાસ્ત્ર, ૭) નારદ સ્મૃતિ, ૮) પારસ્કર ગૃહ્ય સૂત્ર, ૯) વશિષ્ઠ ધર્મસૂત્ર, ૧૦) વિષ્ણુ ધર્મસૂત્ર, ૧૧) કાત્યાયન સ્મૃતિ, ૧૨) નિર્ણય સાગર અને ૧૩) નિર્ણય સિંધુ.

    વેદ પરંપરાના આ લેખો વાંચીને વેબ ગુર્જરીના વાચકોને એ પ્રશ્ન જરૂર થશે કે આ પરંપરા આજે કેટલી પ્રાસંગિક છે.

    આધુનિક સમયમાં વેદ પરંપરાના નિષ્ણાતોએ આ પ્રશ્ન પર ઘણું મનોમંથન કરેલ છે. તે પછી તેઓ વચ્ચે એક સહમતિ સધાઈ છે કે આજે આપણે જે હિંદુ ધર્મમાં માનીએ છીએ તેમાં ફક્ત ૨૦થી ૨૫ વૈદિક પરંપરાનાં તત્ત્વોને આપણે જાળવી શક્યાં છીએ. આ વિદ્વાનો વૈદિક પરંપરાની આ સ્થિતિ માટે નીચેના કારણો જણાવે છેઃ

    ૧) વેદમાં જે સ્રૂષ્ટિ વિજ્ઞાન છે તે આજે લુપ્ત થયું છે.

    ૨) વેદ સુક્તો અને મંત્રોમાં બહ્માણ્ડમાં વ્યાપ્ત પદાર્થો અને તત્ત્વોને સમજવાની વિચારધારાને આપણે ગુમાવી બેઠાં છીએ.

    ૩) વેદ સાહિત્યમાં મધુવિદ્યા – રહસ્યવાદ આજે વિસ્મૃત થયેલ છે.

    ૪) વેદના પાયામાં તેની ભવ્ય યજ્ઞ પ્રથા છે. છેલ્લા ૪,૦૦૦ વર્ષોથી શ્રમણ પરંપરાના પ્રવર્તકો, ભગવાન બુદ્ધ અને મહાવીર સ્વામી,ના દર્શન અને ઉપદેશોએ યજ્ઞ પ્રથા પર મરણતોલ ફટકો મારેલ છે. તેથી, પશ્ચિમના વિદ્વાનોએ એ સાચું કહ્યું છે કે વેદના ગ્રંથો હવે  text out of context (અસાંદર્ભિક ગ્રંથો) બની રહ્યા છે.

    પછી શંકરાચાર્ય, ગોરખનાથ, માધવાચાર્ય, રામાનુજમ અને નયનાર સંતોએ ઉપનિષદના વેદાંતનું અને હિંદુ ધર્મના ભક્તિવાદનું મહાઉત્થાન કર્યું, જેનું આપણે આજે પાલન કરીએ છીએ. આપણી ભવ્ય અને પુરાતન વેદપ્રથાનું, તેમાં રહેલા મહાવાક્યો અને શ્લોકો દ્વારા, સ્મરણ કરી તેને પ્રણામ કરીએ.

    વેદનાં ચાર મહાવાક્યો

    अहँ ब्रह्माऽस्मि ।  – હું પરમ ચેતના છું (બૃહદારણ્યક ઉપનિષદ)

    ॐ प्रज्ञानं ब्रह्म । – આ મહાજ્ઞાન જ બ્રહ્મ છે. (ઐતરેય ઉપનિષદ)

    तत्त्वमसि । –  તે બ્રહ્મ તું છે. (છાંદોગ્ય ઉપનિષદ)

    अयम् आत्मा ब्रह्म । – આ આત્મા બ્રહ્મ છે. (માણ્ડક્ય ઉપનિષદ)

    કેટલીક વેદઋચાઓ

    असतो मा सद्गमय।
    तमसो मा ज्योतिर्गमय।
    मृत्योर्मामृतं गमय ॥

    ઊંડાં અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા, મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા.

    ॐ सहनाववतु
    सह नौ भुनक्तु
    सह वीर्यं करवाव है
    तेजस्वि नावधीतमस्तु मा विद्विषाव है

    ॐ शान्तिः शान्तिः शान्तिः

    ઈશ્વર અમારી એક સાથે રક્ષા કરે, એક સાથે પોષણ કરે. અમે ઘણી ઉર્જા સાથે મળીને કામ કરીએ. અમે પરસ્પર વિવાદ ન કરીએ. ॐ મારામાં, વાતાવરણમાં શાંતિ હોય. મારી આજુબાજુનાં વાતાવરણમાં શાંતિ રહે. હું જે કાર્ય કરૂં છું તેની શક્તિમાં શાંતિ રહે.

     હવે પછીના મણકામાં આપણે જૈન પરંપરા વિષે ચર્ચા કરીશું.


    શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com.વીજાણુ સરનામે થઈ શકે છે.


    [1]

  • કુપોષણ વિરુદ્ધ ભોજનનો વેડફાટ

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    “કુપોષણનો મુદ્દો ઘણો અગત્યનો છે. મને એ સ્વીકારવામાં જરાય વાંધો નથી કે એ મામલે આપણે પાછળ છીએ. પણ સરકારના પ્રયત્નો અવશ્ય નિષ્ઠાવાન છે. અમે સૌ કોઈને સાથે રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.” ગુજરાત રાજ્યના સ્વાસ્થ્યમંત્રીએ વિધાનસભામાં થયેલી ચર્ચા દરમિયાન આ મતલબનું કહ્યું. તેમણે એ તરફ પણ ઈશારો કર્યો કે શહેરમાં રહેતી યુવતીઓ ‘સાઈઝ ઝીરો’ કરવા માટે ખાવાનું ટાળે છે એટલે આ સમસ્યામાં તેમનું પણ પ્રદાન છે. શહેરી યુવતીઓનું કુપોષણ બાબતે શું અને કેટલું પ્રદાન છે એ વિષયને હાસ્યલેખકો માટે રાખીએ તોય કુપોષણ જેવા મુદ્દાનો સરકાર દ્વારા સ્વીકાર થયો એ મહત્ત્વનું કહી શકાય. સ્વાસ્થ્યમંત્રીએ આ સમસ્યાના ઊકેલ માટે વર્તમાન નાણાંકીય વર્ષમાં કરાયેલી ૩,૨૦૦ કરોડ રૂપિયાની જોગવાઈની સામે વર્ષ ૨૦૨૪ના બજેટમાં ૫,૫૦૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હોવાનું પણ જણાવ્યું. આ મામલે પ્રત્યેકને તેમણે પક્ષીય રાજકારણથી ઉપર ઉઠીને સમગ્રલક્ષી અભિગમથી કામ કરવાની અપીલ કરી. તેમણે વધુમાં જણાવ્યું, ‘ગામ હોય કે શહેર- આ સમસ્યા સાર્વત્રિક છે. આ કેવળ આદિજાતિવાળા જિલ્લાઓમાં જ છે એવું નથી, બલ્કે જેને આપણે સમૃદ્ધ ગણાવીએ છીએ એવા જિલ્લાઓમાં પણ છે.’ સ્વાસ્થ્યમંત્રીએ સૌને ‘પક્ષીય રાજકારણથી ઉપર ઉઠીને’ કામ કરવા જણાવ્યું એ મુદ્દાને પણ હાસ્યલેખકો માટે બાકાત રાખીએ. હકીકત એ છે કે વિકાસના કે અન્ય તમામ પ્રકારની સમૃદ્ધિના આટઆટલા દાવાઓ પછી કુપોષણની સમસ્યા એટલી વિકરાળ બની રહી છે કે તેના વિષે વાત કર્યા વિના ચાલે એમ નથી.

    એક અહેવાલ અનુસાર ગુજરાત રાજ્યમાં ૫.૭૦ લાખ બાળકો કુપોષિત છે. જિલ્લાવાર વાત કરીએ તો અમદાવાદ ૫૬,૯૪૧ કુપોષિત બાળકોની સંખ્યા સાથે અગ્રસ્થાને છે, જ્યારે દાહોદ અને બનાસકાંઠા જિલ્લાઓમાં અનુક્રમે ૫૧,૩૨૧ તેમજ ૪૮,૮૬૬ બાળકો કુપોષિત છે. ૨૦૨૩ના સપ્ટેમ્બર સુધીમાં કરાયેલી મોજણી અનુસાર ૩૦.૩૮ લાખ બાળકો પૈકી ૧.૪૫  લાખ એટલે કે ૪.૮૧ ટકા બાળકો અતિશય તીવ્ર કુપોષણથી પીડાતા હતા. આમાંના ૧૬,૦૦૦ બાળકોને ‘ન્યુટ્રીશન રિહેબીલીટેશન સેન્ટર’માં કે ‘ચાઈલ્ડ માલ્ન્યુટ્રીશન સેન્‍ટર’માં દાખલ કરવામાં આવ્યા હતા.

    વર્તમાન સરકારે મોટા મોટા આંકડા દેખાડવાની એવી આદત વિકસાવી છે કે હવે નાગરિકો સુદ્ધાં એ ભાષામાં વાત કરતા થઈ ગયા છે. નક્કર આયોજનની કે ગુણવત્તાયુક્ત અમલની વાત ભાગ્યે જ થાય છે. એટલું સમજવા જેવું છે કે આ આંકડા અધિકૃત અહેવાલ અનુસાર અને સરકારે જાહેર કરેલા છે, એનો અર્થ એ કે વાસ્તવિક આંકડો આનાથી ઘણો વધુ હશે.

    બાળકો કુપોષિત ન રહે એ જોવાની ફરજ, અલબત્ત, સરકારની છે જ, પણ આપણે ત્યાં તીવ્ર વિરોધાભાસની નવાઈ નથી. સમગ્રપણે જોઈએ તો, હવે લગ્ન જેવા સામાજિક પ્રસંગોની ઉજવણીઓ ભપકાદાર બનતી ચાલી છે. વિદેશની વગર વિચારેલી નકલ કરીને અપનાવાયેલી ભોજનપ્રણાલિને આપણે સ્થાનિક રંગ આપી દીધો છે. તેને કારણે ખોરાકનો વેડફાટ ગુનાહિત રીતે વધી રહ્યો છે એનો ઈન્‍કાર થઈ શકે એમ નથી. સ્ટાર્ટરના નામે ઓળખાતી વાનગીઓ મોટા ભાગના લોકો ડીશ ભરીને લે અને સહેજ ચાખીને કચરાપેટીમાં નાખી દે એ એટલું સામાન્ય દૃશ્ય છે કે એમ કરવું ખોટું છે એવું કોઈને લાગતું નથી. કેમ કે, તેમનો માપદંડ ફક્ત ને ફક્ત નાણાંનો છે. આવા ખોરાકનો બગાડ કરવો પોતાને પોષાય એમ છે એમ માનતા મોટા ભાગના લોકો ભાગ્યે જ વિચારે છે કે આમ કરવું એ મહામૂલાં કુદરતી સંસાધનોનો ભયાનક વેડફાટ છે, જેનું મૂલ્ય નાણાંકીય કરતાં અનેકગણું વધુ છે.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    આવું જ ઘરની બહાર ભોજન લેતા લોકોમાં જોવા મળે છે. અમસ્તું પણ ઘરની બહાર જમવાનું ચલણ દિન બ દિન વધી રહ્યું છે. એનું કારણ સમાજશાસ્ત્રનો વિષય હોઈ શકે છે. ઘરની બહાર ભોજન લેતા લોકોનો અભિગમ મોટા ભાગે એવો જોવા મળે છે કે પોતે નાણાં ખર્ચે છે એટલે ભોજનનો બગાડ કરવાનો તેમને જાણે કે પરવાનો મળી જાય છે.

    ભોજનનો સંબંધ કેવળ નાણાં સાથે નથી હોતો. એમ હોઈ શકે પણ નહીં. ભોજન રંધાઈને મનુષ્ય સુધી પહોંચે ત્યાં સુધીના તબક્કામાં તેની પર અનેક જાતના સંસ્કાર થતા રહે છે. દરેક તબક્કે તેમાં એક યા બીજા પ્રકારના સંસાધનોનો ઉપયોગ થતો રહે છે. આથી તૈયાર ભોજનનો બગાડ એટલે આ તમામ સંસાધનોનો વેડફાટ. એક તરફ બેફામ માત્રામાં ભોજનનો વેડફાટ થતો રહે, એ બાબતે કોઈને કશી સંવેદના જ ન જાગે, અને બીજી તરફ રાજ્યમાં અનેક બાળકો કુપોષિત રહે એ કેવી વક્રતા!

    રાજ્ય સરકાર આ હકીકત સ્વીકારે, એના માટે મોટા આંકડા ધરાવતા આયોજનની વાત કરે એ બધું બરાબર. કુપોષિત બાળકોના મામલે કદાચ વ્યક્તિગત સ્તરે આપણે કશું ન કરી શકીએ એ પણ બરાબર. છતાં એક નાગરિક તરીકે ભોજનના અક્ષમ્ય વેડફાટને વ્યક્તિગત સ્તરે આપણે અવશ્ય રોકી શકીએ. બીજાઓને એ માટે પ્રેરિત કરવાનું પણ પછી રાખીએ, વ્યક્તિગત રીતે આપણે એનો આરંભ કરીએ તો પણ એ એક મોટું પગલું ગણાશે.

    આજકાલ દરેક વાતે આપણી ભવ્ય સંસ્કૃતિને ટાંકવાનો રિવાજ ચાલી રહ્યો છે. તો એ પણ જાણી લેવું જોઈએ કે આપણી એ જ ભવ્ય સંસ્કૃતિમાં અન્નને દેવતા સમાન ગણવામાં આવ્યું છે. અન્નના વેડફાટ થકી આપણે આપણી જ સંસ્કૃતિનો અનાદર કરી રહ્યા છીએ એ બાબત આપણે સમજવી જોઈએ.


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૨– ૦૨ –  ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • ડેડ પોએટ્સ સોસાયટી : ઉત્તમ કવિતાઓના પઠન માટેના આ ગુપ્ત સંગઠનમાં જોડાવાની શરત હતી, તમારી ભીતરના પરંપરાગત જીવને મારી નાંખવો !

    સંવાદિતા

    આપણી મરજી મૂજબનું જીવન જીવી શકીએ એનાથી મોટી સફળતા બીજી કોઈ નથી .

    ભગવાન થાવરાણી

    કેટલીક ફિલ્મો કે પુસ્તકોના નામ જ એવા હોય જે તમને એમના ભણી જવા ખેંચે. ડેડ પોએટ્સ સોસાયટી એટલે કે મૃત કવિઓની મંડળી આવી એક ફિલ્મ છે. ઓસ્ટ્રેલિયન સર્જક પીટર વેર દ્વારા આ ફિલ્મ ૧૯૮૯ માં સર્જાઈ. ફિલ્મ અને એના શીર્ષકને સમજીએ.
    પચાસના દાયકામાં અમેરિકાની સો વર્ષ જૂની વેલટન બોર્ડિંગ સ્કૂલમાં દેશના સુખી કુટુંબોના નબીરાઓ ભણે છે. આ સ્કૂલ વર્ષોવર્ષ રૂઢિચુસ્ત અને બીબાંઢાળ પુરાતન શિસ્ત મૂજબના વિદ્યાર્થીઓનો ફાલ ઉતારે છે, આગળ સ્નાતક બનવા ધકેલવા માટે. આ છોકરાંઓના વાલીઓ પણ ઈચ્છે છે કે એમના સંતાનો કડક શિસ્ત હેઠળ ભણી ગણી પરંપરાગત ‘ સુશિક્ષિત ‘ યુવાનો તરીકે બહાર આવે. વિદ્યાર્થીઓને અહિયાં પરંપરા, પ્રતિષ્ઠા, શિસ્ત અને ઉત્કૃષ્ટતાનું જરીપુરાણું સુત્ર ગળથૂથીમાં પાવામાં આવે છે. એમના અંગત શોખ, પસંદગી કે વલણનું અહીં કોઈ મહત્વ નથી. સ્કૂલ કહેવાતી આ ફેક્ટરીમાં માત્ર એમના કડક ધારાધોરણ મુજબનો માલ ઉત્પન્ન થાય છે.
    સ્કૂલમાં એક નવા અંગ્રેજી ભાષાના શિક્ષય જોહ્ન કીટીંગ ( વિખ્યાત હાસ્ય અભિનેતા રોબિન વિલિયમ્સ ) જોડાય છે. એ પોતે આ સ્કૂલમાં જ ભણ્યા છે પણ છે સાવ નોખી માટીના માણસ. પહેલા જ દિવસે એ વર્ગમાં પોતાના ટેબલ ઉપર ઊભા થઈને વિદ્યાર્થીઓને હળવા લહેજામાં પૂછે છે, ‘ આપણા કવિ વોલ્ટ વ્હીટમેનની કવિતા ” ઓહ કેપ્ટન મારા કેપ્ટન ” વિષે તમારામાંના કેટલા જાણે છે ? ‘ બધા ચુપ ! એ કવિતા અમેરિકાના આ રાષ્ટ્રકવિએ એમના ક્રાંતિકારી રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકનને ઉદ્દેશી એમના મરણોપરાંત શ્રદ્ધાંજલિ રૂપે લખેલી. ‘ તમે સૌ મને કીટીંગ અથવા ઓ કેપ્ટન મારા કેપ્ટન તરીકે બોલાવશો તો મને ગમશે. ‘
    કીટીંગ કવિતાના જીવ છે. પરંપરાગત કવિતાઓના નહીં પણ જીવનના આરોહ – અવરોહ નિરૂપી પ્રોત્સાહિત કરતી ધગધગતી કવિતાઓના. એ પાંગરતા જીવનના પુરસ્કર્તા છે. પ્રાચીન રોમન કવિ હોરેસ દ્વારા કહેવાયેલ ‘ આજને ઉજવો ‘ ‘ વર્તમાનમાં જીવો ‘ ‘ આ ક્ષણ એકમેવ છે ‘ માં વિશ્વાસ ધરાવનારા. એમને વિદ્યાર્થીઓની અંતરનિહિત પ્રતિભામાં રસ છે, ભણતરના ભારણમાં નહીં ! એ કહે છે ‘ યાદ રહે, આપણા સૌના જીવનમાં ગણતરીની વસંત, ગ્રીષ્મ અને પાનખર છે. એક દિવસ આપણે બધા થંભી જઈશું. સ્કૂલની દિવાલો પર લટકતા અહીંના ભૂતપૂર્વ તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા જૂઓ. આજે એ બધા કબરમાં છે. એ બધામાંથી ભાગ્યે જ કોઈ એમની પૂર્ણ ક્ષમતા પ્રમાણે ખીલ્યા. દુન્યવી સફળતા પાછળની દોટમાં એ બધાએ પોતાના બચપણના સપનાઓ જતા કર્યા. ‘
     કીટીંગ વિદ્યાર્થીઓ સાથે એક મિત્ર અને સહયાત્રી તરીકે વર્તે છે. શિક્ષકોથી આતંકિત રહેવા ટેવાયેલા સૌ કુમળા માનસ માટે આ સાનંદાશ્ચર્ય છે. એ એકવાર એમને કવિતાના પાઠયપુસ્તકમાંથી એક ભાવુકતાપૂર્ણ કરુણ કવિતા વાંચી સંભળાવે છે અને પછી તુરંત બધાને કવિતાના પુસ્તકમાંથી એ પાનું ફાડી નાંખી કચરાટોપલીમાં નાંખવાનું કહે છે ! કારણ ? ‘ તમે સૌ સંક્રાંતિના ઊંબરે ઊભેલા છો. તમારે કોઈ પણ સંજોગોમાં મુરઝાવાનું નથી. રોતલ વાતોને ફાડી ફેંકી દો જીવનમાંથી.  ભણવાનું તો છે જ, તમારે ભાષા અને શબ્દોમાં ઊંડા ઉતરવાનું છે. આપણે માનવી છીએ, આપણામાં લાગણી છે માટે કવિતા વાંચીએ છીએ. ભણતર જરૂરી છે પણ કવિતા, રોમાંસ, પ્રેમ અને સૌંદર્ય આપણને જીવાડે છે. ‘ 
    અન્ય શિક્ષકો કીટીંગની ભણાવવાની પદ્ધતિ વિષે જાણી એને સમજાવે છે કે આપણે છોકરાઓને કલાકાર બનાવવાના નથી. આમાંના કોઈ શેક્સપિયર, રેમ્બ્રાં કે પિકાસો નહીં બને. કીટીંગનો જવાબ ‘ હું એમને કલાકાર નહીં, જાતે વિચારવા સક્ષમ બનાવવા માંગું છું. ‘
    કીટીંગ અહીં ભણતા ત્યારે સ્કૂલ સંચાલકોની મંજૂરી વિના એક ડેડ પોએટ્સ સોસાયટી ચલાવતા. રસ ધરાવતા વિદ્યાર્થીઓ કેમ્પસથી દૂર એક ગુફા જેવી અવાવરુ જગ્યાએ સમયાંતરે ભેગા મળી એવી કવિતાઓ વાંચતા જે જીવનરસથી છલોછલ હોય. શેલી, થોરો, વ્હીટમેન જેવા કવિઓની કવિતાઓ. કીટીંગના મુરીદ બનેલા વિદ્યાર્થીઓ એ જગા શોધી કાઢે છે. કીટીંગ એ દિવસોનું સ્મરણ કરતાં કહે છે ‘  ના, એ સોસાયટીના નામનો અર્થ એવો નથી કે માત્ર મૃત કવિઓની રચનાઓનું પઠન થાય. એનો અર્થ એ કે એમાં જોડાવા માટે તમારે તમારી વર્તમાન વિચાર – પદ્ધતિને મારી નાખવી પડે ! થોરોએ લખેલું કે હું વનમાં એટલા માટે ગયો કે મારે સહેતુક જીવવું હતું, ઊંડું જીવવું હતું જેથી જીવનનું સત્વ ચૂસી શકું !
    હવે મિત્રો જેવા બની ચૂકેલા વિદ્યાર્થીઓને કીટીંગ ક્યારેક શાળાના ગ્રાઉંડમાં લઈ જઈ સાથે ચાલવાનું કહે અને પછી એમની ચાલનું નિરીક્ષણ કરીને નોંધે કે બીજાની ચાલનું અનુકરણ ન કરો, તમારી ચાલ પણ તમારી પોતાની મૌલિક હોવી જોઈએ ! ‘
    એ કહે છે કે કોઈ લેખક કે કવિને વાંચતા હો ત્યારે એણે કહેલું તમારી નજરે તપાસો. દરેક કળામાં, ભોજનમાં, ગણિત જેવા શુષ્ક વિષયમાં પણ કવિતા છે પણ જો બધા કવિતા કરે તો આપણે ભૂખે મરવાનો વારો આવે !
    સ્કૂલના શિસ્તના નિયમો કડક જ નહીં, અમાનવીય પણ છે. ગંભીર શિસ્તભંગ કરનાર વિદ્યાર્થીને શાળામાંથી રુખસદ કરવાની આકરી સજાને બદલે ક્યારેક રહેમ રાહે આચાર્ય નોલાન પોતે નિતંબો પર સોટીએ – સોટીએ ફટકારવાની ‘હળવી’ સજા પણ કરે !
    વિદ્યાર્થી નીલને નાટકમાં કામ કરવાનો શોખ છે. એના પિતાને ખબર પડતાં એ ભર નાટકે ધસી આવી દીકરાને જાહેરમાં અપમાનિત કરી ઘરે ઢસડી જાય છે. ઘરે એ પોતાનો નિર્ણય જાહેર કરે છે કે હવેથી તને આ સ્કૂલમાંથી કાઢી મિલીટરી સ્કૂલમાં નાંખીશું ! ‘ અમે તારા માટે આટલો ભોગ આપીએ અને તું નાટક – ચેટકમાં જિંદગી બરબાદ કરે ! ‘ અપમાનિત, હતોત્સાહિત, આહત અને નાસીપાસ નીલ ઘરમાં જ પિતાની રિવોલ્વરથી આપઘાત કરે છે.
    શાળાનું સંચાલક – મંડળ કીટીંગની ભણાવવાની ‘ બેહૂદી ‘ રીતરસમોથી નારાજ તો છે જ. એ લોકો બળજબરીપુર્વક વિદ્યાર્થીઓના એની વિરુદ્ધમાં નિવેદનો લઈ આ કરૂણ ઘટના બદલ એને જવાબદાર ઠેરવે છે અને નોકરીમાંથી પાણીચું આપે છે.
    ફિલ્મના અંતિમ યાદગાર દ્રષ્યમાં કીટીંગની બરખાસ્તીને કારણે આચાર્ય નોલાન પોતે ઈંગ્લીશનો ક્લાસ લઈ રહ્યા છે. સ્કૂલ છોડી જઈ રહેલા કીટીંગ પોતાનો સામાન લેવા ક્લાસમાં આવે છે. પોતાના પ્રિય શિક્ષકની આ રીતની વિદાયથી બધા વ્યથિત છે, સમસમે છે. એક વિદ્યાર્થીથી ન રહેવાતાં એ હિંમતપૂર્વક પોતાના ડેસ્ક પર ચડી ‘ ઓ કેપ્ટન મારા કેપ્ટન ‘ પોકારે છે. ધીમે – ધીમે બધા જ વિદ્યાર્થીઓ એને અનુસરી એમ જ કરે છે. આચાર્ય આ ગાંડપણ નિ:સહાયપણે મોઢું વકાસી જોઈ રહે છે !
    આ ફિલ્મને અન્ય અનેક પુરસ્કારો ઉપરાંત ૧૯૯૦ નો શ્રેષ્ઠ પટકથાનો ઓસ્કર એવોર્ડ મળેલો. ફિલ્મના નાયક રોબિન વિલિયમ્સ અમેરિકાના બેહતરીન સ્ટેંડ અપ હાસ્ય કલાકાર તરીકે સુખ્યાત હતા. કરુણતા એ કે ૧૯૧૪ માં માત્ર ૬૩ વર્ષની વયે એમણે આત્મહત્યા કરી.

    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

     

  • કચ્છની સેલોરો- વાવોનો અદભૂત દસ્તાવેજ

    પુસ્તક પરિચય

    કચ્છધરાની વિસ્મૃત વિરાસત: સેલોર-વાવ સ્થાપત્ય : સંજય પી. ઠાકર

    પરેશ પ્રજાપતિ

    જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન – ભૂજના પ્રાચાર્ય અને સામાજિક કાર્યોમાં પ્રવૃત્ત ઇતિહાસવિદ સંજય ઠાકરે ૧૯૯૨ થી ‘૯૫ દરમ્યાન; મોટા ભાઇ ભરત `કુમાર` ઠાકર સાથે મળી `કચ્છમિત્ર`ની સાપ્તાહિક પૂર્તિ ‘સુરખાબ’માં `ભ્રમણભૂમિકચ્છʼ નામે કટાર લખી હતી. આ કટાર કચ્છના વિવિધ પ્રવાસધામો વિશેની હોવાથી તેમણે એ દરમિયાન કચ્છનો વ્યાપક અને અંતરિયાળ પ્રવાસ ખેડ્યો. એ વખતે અનેક વાવ તેમની નજરે ચડી હતી. મળે એટલી માહિતી એકઠી કરવાનું વલણ અપનાવીને તેઓ વયોવૃદ્ધો, વડીલો તેમજ રસજ્ઞ વ્યક્તિઓને મળીને નોંધો ટપકાવતા રહ્યા હતા. માહિતીનું ભાથું તૈયાર થતાં, તેમણે સાહિત્યોમાં ઉપલબ્ધ સામગ્રી સાથે ખરાઇ કર્યા બાદ કચ્છમિત્રની અર્ધસાપ્તાહિક પૂર્તિમાં `કચ્છની સેલોર` કટારમાં ૧૫૦થી વધુ વાવ વિશે રજૂઆત કરી હતી. સંજય ઠાકરના આ ઉમદા કાર્યને પુસ્તક સ્વરૂપે સાચવી લેવા ગુજરાતની કલા, સંસ્કૃતિના સંમાર્જન માટે જાણીતા કલાતીર્થ ટ્રસ્ટે રસ લીધો અને કચ્છની વાવ અંગેના દસ્તાવેજીકરણનો આ દળદાર ગ્રંથ ઉપલબ્ધ કરાવ્યો.

    પુસ્તકમાં સરેરાશ બેથી ત્રણ પાનનાં કુલ ૧૨૯ પ્રકરણો છે. આરંભિક પ્રકરણમાં વાવની ઉપયોગિતા, બાંધણી તથા સ્થાપત્યકીય અંગો અને વાવના પ્રકારો વિશે સમજ અપાયેલી છે. કચ્છના પ્રતિષ્ઠિત ત્રિમાસિક સામયિક ʻકચ્છ કલામʼમાં વાવના અર્થમાં વપરાતા કચ્છી શબ્દ ʻસેલોરʼ અંગે છેડાયેલા સુંદર ચર્ચાભ્યાસના કેટલાક અંશની વાત બીજા પ્રકરણમાં છે. લેખકે પુસ્તકમાં વાવ માટે ‘સેલોર’ શબ્દ પ્રયોજ્યો છે. ત્રીજા પ્રકરણમાં વાવ સ્થાપત્યો અંગે પ્રસિદ્ધ થયેલાં કેટલાંક પુસ્તકોનો અછડતો પરિચય છે. તેમાં જર્મનીના કલા ઇતિહાસકાર ડૉ. જુટા જૈન- ન્યુબાઉરે ૧૯૭૬-૧૯૭૮ દરમ્યાન ભારતના અને ખાસ કરીને ગુજરાતનાં જળસ્મારકો વિશે સંશોધનકાર્ય અને દસ્તાવેજીકરણ કર્યું અને ૧૯૮૧માં `સ્ટેપવેલ્સ ઑફ ગુજરાત: ઇન આર્ટ એન્ડ હિસ્ટોરિકલ પર્સપેક્ટિવ` નામે દળદાર પુસ્તકનો ખાસ ઉલ્લેખ છે. ખુદ ગુજરાત સરકારના માહિતી વિભાગે પ્રગટ કરેલા પુસ્તક ʻવિતેલા યુગની વિસરાતી વાવોʼમાં પણ ઉપરના પુસ્તકને ટાંકતાં લેખકે કચ્છની વાવોની ઉપેક્ષા થઇ હોવાનો મત રજૂ  કર્યો છે.

    પ્રારંભિક ત્રણ પ્રકરણોમાં ઉપરોક્ત માહિતી પીરસ્યા પછી લેખકે કચ્છની વાવોનો પરિચય આપ્યો છે. શરૂઆત સિંધુ ખીણની સંસ્કૃતિના મનાતા ધોળાવીરાની વાવ (જેને કેટલાક અભ્યાસુઓ જળાશય અથવા કૂવો કહે છે)થી કરાઇ છે. એ ઉપરાંત વિવિધ સમયગાળામાં નિર્માણ થયેલી દોઢસોથી પણ અધિક વાવોનો સમાવેશ છે. આવી વાવોમાં ભદ્રેશ્વર, કંથકોટની વાવો, ચાવડા વંશના સમયની (ઇ.સ. ૬૯૦-૯૪૨)નિર્માણ થયેલી સિયોત (તા. લખપત)ની સેલોર, શ્રીધરવાળી ભૂજની વાવ (૪૦૦ વર્ષ); ધ્રંગની ખીરસરી સેલોર, આડેશરની વાવ, સંઘાડની વાવ; રાજા અર્જુનદેવનો ઇ.સ. ૧૨૭૨નો શિલાલેખ ધરાવતી રવની સેલોર વગેરે જેવી પુરાણી વાવોનો ટૂંકો પરિચય છે. તેમાં રાવ શ્રી ભારમલજી પહેલાના વખતમાં ઇસ ૧૬૩૨માં શેઠ ધનરાજે બંધાવેલી રામપર-સરવા રોડ પરની વાવ આશરે ૨૦૦ ફીટ ઊંડી છે!

    પુસ્તકમાં આ વાવ અંગેની માહિતીઓ જેવી કે, સ્થળનું ભૌગોલિક સ્થાન, સંકલિત કોઇ ઇતિહાસ જો હોય તો તેની જાણકારી; ધાર્મિક અથવા સામાજિક મહત્વ કથા, માન્યતા કે મહત્વ; કોઇ સાહિત્યિક કે ઐતિહાસિક જોડાણ વગેરે અંગેનો પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ વાવોની હાલની માહિતી જેવી કે જળસભર (જીવતી) છે કે સૂકી, ત્યજાયેલી છે કે ઉપયોગમાં; જીર્ણ અવસ્થા છે કે સાબૂત વગેરેનું વર્ણન છે. એ ઉપરાંત વાવોનાં અંદાજિત માપ, સાંકળતા શિલાલેખ ઉપલબ્ધ હોય તો તેનું સતસવીર વર્ણન છે. ક્યાંક ચિત્રોનો પણ ઉપયોગ છે. આજે વાવ ન હોય, પરંતુ જ્યાં એક સમયે વાવ- સેલોર હોય અને લોકગીતોમાં તેનો પડઘો પડતો હોય તો એના ઉલ્લેખ પુસ્તકને રસાળ બનાવે છે.

    પુસ્તકમાં વાંચવાથી જણાય છે કે મોટા ભાગે સાદી બાંધણી ધરાવતી સેલોરો છે, પરંતુ સાવ એવું નથી કે કોઇ નકશીકામ જ નથી. જેમ કે, ૩૫૦ વર્ષ પુરાણી બિદડાના પીપલેશ્વર મંદિરની સેલોરમાં ગણેશ, હનુમાનજીની પ્રતિમાઓ છે, તો મેકરણદાદાના જન્મસ્થળ તરીકે પ્રસિદ્ધ ખોંભડીની સેલોરમાં કેટલાંક શિલ્પસ્થાપત્યો જોવા મળે છે. પુસ્તક વાંચવાથી કેટલીક અચંબિત કરનારી માહિતીઓ પણ સાંપડે છે, જેમ કે કચ્છમાં ચોબારીમાં મોટો વિસ્તાર આવરી લેતી વિજયા પ્રકારની ચૌમુખી વાવ પણ છે. આશ્ચર્યમાં ગરકાવ કરી દે અન્ય બેલાની વણઝારી વાવ છે, જે ખડક કોતરીને બનાવેલી છે! ઉલ્લેખો છે કે વાવના પાણીથી માથાના વાળ ફરી ઉગે છે તથા ચામડીના રોગો મટી જાય છે..એમ પણ કહેવાય છે કે તેના પાણીમાં ક્યારેય જંતુ પડતાં નથી! આવી જ ચકિત કરનારી અન્ય વાવોમાં ગેડીની સેલોર, રતનપર (ખડીર)ની સેલોર,વાઘુરાના ફૂલેશ્વર મંદિરની વાવ, મહાતીર્થ નારાયણ સરોવરમાં (૪૦૦ વર્ષ જૂની) સીતા વાવ છે, જેમાં આજે પણ પાણી ઉપલબ્ધ છે.

    બે મુખ ધરાવતી માંડવીની ભદ્રા વાવ જેવી કેટલીકે એવી વાવો છે, જે તાજેતરના વર્ષોમાં નિર્માણ થયેલી છે. તેમાં માથકની વાવ તો હમણાં ૧૯૯૯માં નિર્માણ પામી હતી. આ નિર્માણકાર્યો કચ્છની પ્રજામાં રહેલા પરમાર્થના હેતુને સુપેરે પ્રતિબિંબિત કરે છે.

    કેટલાંક વર્ષ પહેલાં પાણીથી ભરી રહેતી અને આજે કોરીકટ રહેતી બિબ્બર સહિતની કેટલીક વાવોનાં વર્ણનોમાં લેખકનો ઝુરાપો જણાઇ આવે છે જે વાચકને પણ વ્યથિત કરે છે.

    પુસ્તકમાં છેલ્લે એવી સેલોરોની વિગતો અને ફોટા આપવામાં આવ્યા છે કે જેની કોઇ જાણકારી મળી શકી નથી. પરિણામે વાચક એ અધૂરપથી અવગત રહે છે અને ભવિષ્યમાં વધુ માહિતી ઉપલબ્ધ થાય તો ઉમેરણ કરી શકે છે.

    ◙                    ◙                      ◙

    વાવ સ્થાપત્ય એ ભારતે વિશ્વને આપેલી અનોખી ભેટ છે. ખાસ કરીને ગુજરાત અને રાજસ્થાન જેવાં રાજ્યોમાં અનેક વાવો જોવા મળે છે. રાજ્ય પુરાતન ખાતાના ભૂ.પૂ, નિયામક મુકુંદ રાવલે નોંધ્યું છે તે મુજબ ફક્ત ગુજરાતમાં જ વાવોની કુલ સંખ્યા ૨૦૦૦ કરતાં પણ છે. તમામ વાવોને આવરી લેતો કોઇ સંદર્ભ ગ્રંથ ઉપલબ્ધ નથી, ત્યારે કચ્છની જાણી અજાણી અનેક વાવો/ સેલોરો વિશેનો આ સુંદર અને માહિતીસભર ગ્રંથ છે. પુસ્તક વાંચવાથી તેના હાલ સુધી જારી રહેલા નિર્માણકાર્યથી ખાતરીપૂર્વક કહી શકાય કે કચ્છની સેલોરો ભલે અલંકૃત નથી, પણ તેમાં પરમાર્થના હીરાનું ગૌરવવંતુ જડતર અવશ્ય છે.

    *** * ***

    પુસ્તક અંગેની માહિતી:

    કચ્છધરાની વિસ્મૃત વિરાસત- સેલોર-વાવ સ્થાપત્ય : સંજય પી. ઠાકર

    પૃષ્ઠસંખ્યા : 334 | કિંમત : (અમૂલ્ય)

    આવૃત્તિ  પ્રથમ

    પ્રકાશક અને પ્રાપ્તિસ્થાન : રમણિક ઝાપડિયા, કલાતીર્થ ટ્રસ્ટ; ‘રંગ’ 18, ગજાનન સોસાયટી વિભાગ-3, ગજેરા સ્કૂલની સામે, કતારગામ, સુરત-395004 | સંપર્કઃ +91 98256 64161


    પુસ્તક પરિચય શ્રેણીના સંપાદક શ્રી પરેશ પ્રજાપતિનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : pkprajapati42@gmail.com

  • આપણા રોજબરોજનાં જીવનનાં સુખની ખોજનું અર્થશાસ્ત્ર : પ્રકરણ # ૪ # આડવાત (૧)

    જીવનની અર્થવ્યવસ્થાનો

     વ્યાવહારિક અમલ

    આડવાત (૧)

    નાણા અને સંપત્તિનાં મહત્ત્વની સમજ

    દિવ્યભાષ સી. અંજારીઆ

    કમાણી, ખર્ચા, બચતો, રોકાણો કરવાં અને પાછાં ઉપાડી લેવાં અને  બચતો, રોકાણો કે વળતરો જેવાં સંસાધનોની શી રીતે વહેંચણી કરવી. એવા રોજબરોજના નાણાકેન્દ્રી તેમ જ બીનનાણાકીય છ નિર્ણયો અને તેના સંબંધી રોજબરોજના વ્યવહારો આપણી અંગત અર્થવ્યવસ્થાના માળખાંનાં વ્યાવહારિક અમલનાં મહત્ત્વનાં પાસાં છે.

    આ પહેલાં આપણે # ૪.૧ માં કમાણી, # ૪.૨ માં ખર્ચ , # ૪.૩માં બચત અને # ૪.૪ માં રોકાણ એમ ચાર મહત્વનાં પાસાંઓની જુદી જુદી લાક્ષણિકતાઓ વિશે વાત કરી ગયાં.

    એ પછી # ૪.૫માં ઉપાડની વાત કરતાં કરતાં આપણે થોડી આડવાત કરી લેવી જરૂરી જણાઈ. તે પેટે આજના મણકામાં આપણે નાણા અને સંપત્તિનાં મહત્ત્વની સમજ સ્પષ્ટ કરી લઈશું.

    નાણાનાં મહત્ત્વની સમજ 

    આપણી જરૂરિયાતના સમયે ઉપાડ તરીકે નાણાનું મહત્ત્વ છે.

    આજે, કે ભવિષ્યમાં, આપણી જરૂરિયાત ઊભી થાય ત્યારે તે માટેની ખરીદી કરવાનાં માધ્યમ તરીકે જ નાણાનું મહત્ત્વ છે.   મોટા ભાગે, આપણે સામાન્ય લોકો જ આ વાત ભૂલીએ છીએ એવું નથી. વ્યાવસાયિક અર્થશાસ્ત્રીઓ પણ આ મૂળ મુદ્દાની વાત ભુલી જતાં હોય છે.

    સામાન્ય સંજોગોના સંદર્ભમાં, નાણા પણ બીજી બધી ચીજવસ્તુઓ જેવી જ એક જણસ છે. આપણી વ્યક્તિગત કક્ષાએ, જેમ વધુ નાણા આપણી પાસે હોય તેમ વધારે આવક, બચત કે રોકાણમાં તેનો ઉપયોગ કરી શકાય. પરંતુ, વ્યાપક અર્થવ્યવસ્થાની કક્ષાએ નાણા અન્ય જણસો જેવી જ એક જણસ છે. વ્યાપક અર્થવ્યવસ્થાના સંદર્ભમાં, કોઈ પણ ચીજવસ્તુ કે સેવાની કિંમત તેની માંગ અને પુરવઠાની સ્થિતિ પર નિર્ભર કરે છે. વિનિમયનાં માધ્યમ તરીકે, તેની માંગના પ્રમાણમાં, લોકો પાસે જો વધારે નાણાનો પુરવઠો હોય તો નાણાની કિંમત ઘટે છે. ચીજવસ્તુઓની માંગની સરખામણીમાં જેમ જેમ ફાજલ નાણાની ઉપલબ્ધિ વધારે તેમ તેમ નાણાની સાપેક્ષ ખરીદ શક્તિ ઓછી. આ પરિસ્થિતિમાં પરિણામ એ આવે છે કે, આપણી વ્યક્તિગત કક્ષાએ પણ ફાજલ નાણાની વધારે ઉપલબ્ધિ આવક, બચત કે રોકાણની આપણી ક્ષમતામાં આપોઆપ જ વધારો કરી શકવા સામર્થ્યવાન નથી બની રહી શકતી.

    નાણાનું મહત્ત્વ ત્રણ દૄષ્ટિએ છેઃ એક, જો તેના વડે ચીજવસ્તુઓ કે સેવાઓ ખરીદી શકાય. બીજું, જો તે વધારાની આવક ઊભી કરવામાં મદદરૂપ બની શકે. અને ત્રીજું, આપણને જ્યારે જ્યારે જરૂર પડે, કે જ્યારે આપણે ઉપાડ કરવો હોય, ત્યારે તે પુરતી ખરીદ શક્તિ પુરી પાડવા સક્ષમ બની શકે.

    બીજા શબ્દોમાં કહીએ તોઃ

    ૧. ખર્ચ કરતી વખતે જો આપણને જો નાણા આપણને આજની જરૂરિયાત પુરી કરવા માટેની ખરીદી કરવામાં મદદરૂપ બની શકે તો જ નાણાનું મહત્ત્વ છે. આપણી ખરીદ શક્તિનો આધાર ચીજવસ્તુઓ કે સેવાઓની ખરીદી કરવાની ક્ષમતા પર છે.

    ૨. બચત તરીકે નાણાનું મહત્ત્વ તો જ છે કે નાણાના ઉપયોગ કરવા માટે આપને જેને નાણા ધીરીએ તે આપણને વળતર આપી શકે, અથવા તો સંપત્તિ કે કોઈ અન્ય પ્રકારનાં રોકાણ કરવામાં એવી રીતે કામ આવે કે એ સંપત્તિ કે રોકાણ દ્વારા, કે પછી કોઇ બીજી પ્રવૃત્તિ દ્વારા આપણે વધારાની આવક ઊભી કરી શકીએ. ટુંકમાં, નાણાનું રોકાણ વધારે આવક રળી આપે તો જ તે કામનું.

    ૩. નાણાનું મહત્ત્વ તો જ છે જો રોકાણ કરેલ નાણાનો ઉપાડ કરતી વખતે આપણી જરૂરિયાત પુરી શકે એવી, અને એટલી, ચીજવસ્તુઓ અને સેવાઓની ખરીદીની ચુકવણી થઈ શકે. જેટલી આજે હોય તેટલી જ ખરીદ શક્તિ સમયની સાથે સાથે પણ એટલી ખરીદ શક્તિ જળવાઈ રહેવી જોઈએ; જેમ સમય જાય તેમ થતા ભાવ વધારાને કારણે નાણાની ખરીદ શક્તિ ઘટતી જતી હોય છે. ફુગાવાને કારણે થતા ભાવ વધારાને કારણે આજના સો રૂપિયામાં જેટલી ચીજવસ્તુઓ કે સેવાઓની ખરીદી કરી શકાતી હોય એટલી માત્રામાં ભવિષ્યમાં ખરીદી કરવી શક્ય ન પણ બને.

    જો ખર્ચ કરવામાં, બચત કરવામાં કે પછી રોકાણ કરવામાં કામ ન આવવાનાં હોય તો પછી નાણાને પથારી હેઠળ સંઘરો કે મોંધી તિજોરીમાં સંધરો, તેનું કૉઈ મૂલ્ય નથી રહેતું. જો ભવિષ્યમાં ખરીદીઓની ચુકવણી કરવામાં, કે વધારાની આવક રળવામાં, તે ઉપયોગી નીવડવાનાં હોય તો જ સંગ્રહ કરેલાં નાણાં કામનાં

    સંપત્તિનાં મહત્ત્વની સમજ

    આપણી આજની જરૂરિયાતો પુરી કરવા માટેની ખરીદી કરી લીધા બાદ, કે પછી ભવિષ્યની જરૂરિયાતો પુરી કરી શકે એવી બચત કરી લીધા બાદ, જે નાણા ફાજલ રહે એ સંપત્તિ કહી શકાય.

    સંપત્તિ ઉપાર્જન એટલે જરૂર કરતાં વધારે નાણા કમાતાં રહેવું.

    સંપત્તિની જાળવણીનું સંચાલન  એટલે ફાજલ નાણાની એવી બચત, કે રોકાણ, જે ભવિષ્યની ખરીદ શક્તિના સંદર્ભમાં  નાણાનાં મૂલ્યના સંભવિત ક્ષયને ખાળી શકવામાં અસરકારક નીવડવું.

    સંપતિનું મૂલ્ય આપણે રોકાણ કરેલ નાણામાંથી ઉભી કરેલ અસ્કમાયતો પર નિર્ભર છે. એક જ સમયે ઊભી કરેલ સરખી સંપત્તિ, બે અલગ અલગ વ્યક્તિઓએ અલગ અલગ અસ્કમાયતોમાં કરેલ રોકાણને પરિણામે, અલગ અલગ વળતર આપે તેવું બની શકે. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે સંપત્તિનું મૂલ્ય ભૂતકાળમાં રોકાણ અંગેના નિર્ણયો પર આધાર રાખે છે. સંપત્તિનું સુચારૂ સંચાલન એને જ કહેવાય જે તેનાં ભાવિ મૂલ્યને, કમસેકમ,  જાળવી રાખવામાં, અને, આદર્શપણે તો, વધારી શકવામાં સક્ષમ નીવડે.

    હવે પછીના મણકામાં આપણે # ૪.૫માં ઉપાડની વાત કરી રહ્યા હતાં તેના સંદર્ભમાં ‘નાણાકીય સંપત્તિની ભ્રામકતા’ વિશે મહત્ત્વની આડવાત કરીશું.


    શ્રી દિવ્યભાષ સી. અંજારીઆનો સંપર્ક dc@anjaria.email વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.


    ‘આપણા રોજબરોજનાં જીવનનાં સુખની ખોજનું અર્થશાસ્ત્ર’નાં અંગ્રેજી સંસ્કરણ The Economics of Life: A Guide to Personal Econmoics and Happiness   નું વિમોચન ૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ કરાયું.

    અંગ્રેજી સંસ્કરણ પોથી.કોમ અને એમેઝોન.ઇન પર મેળવી શકાય છે.

  • રેટ-હોલ માઈનર્સ : અસુરક્ષિત, ગેરકાનૂની, પ્રતિબંધિત છતાં તારણહાર

    નિસબત

    ચંદુ મહેરિયા

    મુન્ના કુરેશી, પરસાદીલાલ લોધી, હસન વકીલ, નાસિર ખાન, અંકુર, સૌરભ , જતીન કશ્યપ,  ઈરશાદ ખાન, ફિરોઝ કુરેશી, ભૂપેન્દ્ર રાજપૂત અને રાકેશ  : આ કેટલાંક એ નામ છે, જેમણે સિલ્ક્યારા સુરંગ દુર્ઘટનામાં ફસાયેલા ૪૧ શ્રમિકોને જીવના જોખમે બહાર કાઢવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

    ચાર ધામ યાત્રાને વધુ સુગમ બનાવવા ૯૦૦ કિલોમીટરની એક પરિયોજનાનું કામ ચાલે છે. તેના એક હિસ્સા તરીકે ઉત્તરાખંડના ઉત્તરકાશી ક્ષેત્રમાં સિલ્ક્યારા અને બડકોટ  વચ્ચે ૪.૫ કિ.મી. લાંબી એક ટનલ બની રહી છે. તેના કારણે યમુનોત્રીનું અંતર ૨૦ કિ.મી.ઘટશે અને એક કલાક બચશે. આ નિર્માણાધીન સુરંગનો એક હિસ્સો અચાનક ધસી પડતાં તેમાં ૪૧ મજૂરો ફસાયા હતા. સત્તર દિવસના બચાવ કાર્યમાં મોંઘા, ભારે , આધુનિક અને વિદેશી મશીનો જ્યારે વિફળ જતાં લાગ્યા ત્યારે અંતે છેલ્લા બે દિવસોમાં પરંપરાગત ઓજારોથી કામ કરતા ૧૨ શ્રમિકોના એક જૂથને બચાવ કાર્યમાં જોડવામાં આવ્યું હતું. તેઓ છેલ્લું પંદરેક મીટરનું ખોદકામ વગર મશીને હાથથી કરીને ફસાયેલા શ્રમિકો સુધી પહોંચ્યા અને તેમને હેમખેમ બહાર કાઢ્યા. રેટ-હોલ માઈનર્સ તરીકે ઓળખાતા આ શ્રમિકો જે ખનન કામ કરે છે તેને રેટ-હોલ માઈનિંગ કહેવામાં આવે છે. તે પર્યાવરણને ભારે નુકસાનકારક છે, શ્રમિકો માટે અસુરક્ષિત છે, એટલે ગેરકાયદે અને પ્રતિબંધિત છે. પરંતુ સિલ્ક્યારા સુરંગ દુર્ઘટનામાં ફસાયેલા શ્રમિકો માટે તે તારણહાર બન્યા હતા.

    રેટ-હોલ માઈનર્સ એટલે એવા ખાણિયા જે ખાણમાં ઉંદરના દરની જેમ છીછરી કે ઓછી જગ્યામાં ઢાળ પર કે આડુ ખોદકામ કરે છે. ઉંદર દર ખોદતા જાય અને માટી પાછળ નાંખતા જાય એમ આ શ્રમિકો પણ અતિ સાંકડી જગ્યામાં ઉભા તો ઠીક બેસી પણ ના શકાય એટલે ઢસડાતા ઢસડાતા, ઘૂંટણભેર  કે પેટે સૂઈને કામ કરે છે. પાવડો, કોદાળી, તગારા, ટોપલા જેવા પરંપરાગત, પણ નાની સાઈઝના ઓજારોથી માટી, પથ્થર , ખડકને હાથેથી ખોદવાનું કામ તે કરે છે.

    ઉત્તર પૂર્વના રાજ્યોમાં તેમાંય ખાસ કરીને મેઘાલયની પહાડીઓમાં આવેલી કોલસાની ખાણોમાં કોલસો કાઢવાનું કપરું કામ રેટ-હોલ માઈનિંગ દ્વારા કરવામાં આવે છે. આફ્રિકાના દેશોમાં ખાણના ખોદકામની આ પધ્ધતિ સાવ સામાન્ય છે. મેઘાલયની કોલસાની ખાણોમાં કોલસાનો થર અત્યંત પાતળો હોય છે એટલે ત્યાં આ પધ્ધતિનો ઉપયોગ થાય છે. ખાણિયાઓ ૩ થી ૪ ફૂટ ઉંડે ખોદે છે, નાના ખાડા પાડે છે. પછી જ્યારે તે કોલસાની નજીક પહોંચે છે ત્યારે શરીરે દુબળા- પાતળા પુખ્ત ખાણિયા કે નાના બાળકોને અંદર મોકલીને કોલસો કાઢવામાં આવે છે.  આ કામ તેઓ દોરડા, રસીઓ  કે જાતે બનાવેલી વાંસની સીડી દ્વારા કરે છે.

    અતિ પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં લગભગ કોઈ જ સુરક્ષા સાધનો વિના કોલસાની ખાણમાં આ ખાણિયા કામ કરે છે. ખાણોમાં હવા-ઉજાસના અભાવે શ્વાસ લેવો કે એક કલાકથી વધુ કામ કરવું મુશ્કેલ હોય છે એટલે વારાફરતી કામ કરે છે. ખાણકામ દરમિયાન તેઓ કોલસાની ધૂળ અને મિથેન ગેસ જેવા હાનિકારક પદાર્થોના સંપર્કમાં આવે છે. તેના કારણે તેમના  આરોગ્યને હાનિકારક અસર થાય છે અને શ્વસન સંબંધી સમસ્યાઓનો ભોગ બને છે. ખાણ ધસી પડવાના અને ખાણમાં પાણી ભરાઈ જવાના અકસ્માતો ઘણી વાર બને છે. આ પ્રકારના અકસ્માતોમાં ખાણિયાઓના મોત તો થાય જ છે પણ તેમના મૃતદેહ પણ હાથ લાગતા નથી.

    ૨૦૧૧-૧૨ના વરસમાં એકલા મેઘાલયમાં દસ મિલિયન ટન કોલસાનું ઉત્પાદન રેટ-હોલ માઈનિંગથી કરવામાં આવ્યું હતું. ૨૦૦૭ થી ૨૦૧૪ના વરસો દરમિયાન દેશમાં ૧૦ થી ૧૫ હજાર ખાણિયાઓના મોત થયા હતા. એટલે  કામકાજની અમાનવીય સ્થિતિ અને જીવનું જોખમ છતાં રોજગારીના અભાવે આ કામ કરવું પડે છે. સિલ્ક્યારા બચાવ દળમાં સામેલ રેટ-હોલ માઈનર્સના નામો વાંચતા જણાય છે કે તેઓ આદિવાસી, દલિત, પછાત, લઘુમતી  અને ગરીબ વર્ગમાંથી આવે છે. ૧૨ રેટ-હોલ માઈનર્સમાંથી ૬ દિલ્હીના ખજૂરી ખાસમાં જે સ્થિતિમાં રહે છે, તે ટી.વી પડદે નજરે જોનારને તેમની સામાજિક-આર્થિક સ્થિતિ અને નજીવા મહેનતાણાનો ખ્યાલ આવ્યો હશે. તેમની મહેનતથી દલાલો અને વચેટિયાઓ માલામાલ થાય છે.

    ૨૦૧૪માં નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે રેટ-હોલ માઈનિંગને કામદારો માટે અસુરક્ષિત, અવૈજ્ઞાનિક અને પર્યાવરણનો વિનાશ કરનાર ગણાવી,  કરોડોના દંડ સાથે ગેરકાયદેસર ઠરાવી, પ્રતિબંધિત કરેલ હતી. આ પધ્ધતિથી ખનન કરવાથી નદીઓના પાણીમાં એસિડનું પ્રમાણ વધે છે. જળ વિધ્યુત પરિયોજના અને બંધોની મશીનરી ખરાબ થઈ જાય છે. મેઘાલયમાં ખાનગી કંપનીઓ,  વ્યક્તિગત અને સામૂહિક ધોરણે થતાં ખનનમાં હજુ પણ આ પ્રથા સક્રિય છે. મેઘાલય સરકારે એનજીટીના હુકમને પડકારતાં સુપ્રીમ કોર્ટે દંડની  સજા ચાલુ રાખી રાજ્યના કાયદાઓને અનુસરીને રેટ-હોલ માઈનિંગને કેટલાક કિસ્સાઓમાં મંજૂરી આપી હતી.

    સિલ્ક્યારામાં હાઈટેક ઈમ્પોર્ટેડ મશીનો કે ઓગર ડ્રિલિંગ મશીન જેવું પરિષ્કૃત ઉપકરણ કામ ના લાગ્યું ત્યારે સુરંગ ખોદકામમાં કુશળ, પ્રતિભાશાળી, અનુભવી   અને સક્ષમ એવા રેટ-હોલ માઈનર્સ ખપમાં આવ્યા હતા.  ૨૬ કલાકની મહેનત પછી તેઓ જ્યારે ફસાયેલા ૪૧ શ્રમિકો સુધી પહોંચ્યા ત્યારે સર્વત્ર તેમનો જયજયકાર થઈ ગયો હતો. ઉત્તરાખંડ અને દિલ્હીના મુખ્યમંત્રીઓએ તેમની મુલાકાત લઈને સન્માનિત કર્યા હતા. વડાપ્રધાને પણ તેમના કામના વખાણ કર્યા હતા. સમાચાર ચેનલો પર જ નહીં મનોરંજન ચેનલો પર પણ એ જોવા મળ્યા હતા.

    પરંતુ આ ગુમનામ નાયકો તે પછી ફરી તેમની બદતર જિંદગીમાં જોતરાઈ ગયા હશે. ગેરકાયદે કોલસો કાઢનારા  અને તંત્રની મિલીભગતમાં તેમના શોષણનો  વિરોધ દબાઈ ગયો છે કે ભૂલાઈ ગયો છે. તેમની વીર નાયકની છબી વિસ્મૃતિની ગર્તામાં ધકેલાઈ ગઈ છે. ચારધામ યાત્રીઓની સગવડ માટે બનનારી પરિયોજનામાં હજુ કંઈક ગરીબોના ભોગ લેવાતા રહેશે. એટલે આપણે કોઈ નવી ખાણ કે સુરંગ દુર્ઘટના સર્જાય  ત્યાં સુધી શ્રમિકો પ્રત્યેની દયા અને સહાનુભૂતિના આંસુ સાચવી રાખીએ.


    પેટા નોંધ:

    રેટ-હોલ માઈનિંગ અવૈજ્ઞાનિક, પર્યાવરણનો વિનાશ કરનાર અને કામદારો માટે અસુરક્ષિત  હોઈ નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે તેને કરોડોના દંડ સાથે ગેરકાયદેસર ઠરાવી પ્રતિબંધિત કરેલ હતી.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.