-
કુદરતની કેડીએ – કેડી કંડારનારા- ૧૧
ટકાઉપણાની વિભાવનાના અગ્રદૂત : જ્યોર્જ પર્કિન્સ માર્શ
લેખન-સંકલન : યાત્રી બક્ષી
જેમ પ્રકૃતિનાં દુર્ગમ સ્થળોને ખેડીને તેનું અવલોકન કરવું, નોંધ કરવી અને ત્યારબાદ વૈજ્ઞાનિક પદ્ધતિઓના આધારે વર્ગીકૃત કરી દસ્તાવેજ રચવા મહત્ત્વના છે તે જ રીતે વિશ્ર્વની માનવજાતના જીવન સાથે તે શોધખોળ કે દસ્તાવેજો જોડી આપવા માટે ભગીરથ લેખનકાર્ય આરંભવું એ પણ ખૂબ મહત્ત્વનું છે. આપણે આજે જે કંઈ જાણી-માણી રહ્યા છીએ તે તમામ વિગતો બે પ્રકારનાં માધ્યમોમાંથી ઉપલબ્ધ છે, એક વૈજ્ઞાનિક દૃષ્ટિએ સંગ્રહિત અહેવાલો અને દસ્તાવેજો અને બીજું એ સંદર્ભે વિવેચકો, નિરીક્ષકો અને લેખકોએ આપેલાં રસપ્રદ લખાણો, વિવરણો અને પ્રકાશનો. આજે આવા એક અમેકિરન લેખકની લેખનની કેડીએ ચાલીશું.
જ્યોર્જ પર્કિન્સ માર્શ એક અસાધારણ વ્યક્તિ હતા. તેઓ અમર્યાદ ઊર્જા, અનંત ઉત્સાહ અને અપાર બુદ્ધિ ધરાવતી વ્યક્તિ હતા. તેમને અમેરિકાના પ્રથમ પર્યાવરણવાદી માનવામાં આવે છે. આજથી એકસો વર્ષ પહેલાં તેમણે ‘માણસ અને પ્રકૃતિ’ નામના નોંધપાત્ર પુસ્તકમાં આપણાં વિનાશક કાર્યો વિશે ચેતવણી આપી હતી. માનવક્રિયા દ્વારા સંશોધિત ભૌતિક ભૂગોળ-પર્યાવરણ ઉપર માનવપ્રવૃત્તિઓની વિનાશક અસર વિશે ચિંતા વ્યક્ત કરનાર તેઓ સૌ પ્રથમ હતા. જ્યોર્જ પર્કિન્સ માર્શ, પ્રખ્યાત વિદ્વાન અને પ્રકૃતિવાદી, પર્યાવરણીય ચળવળના સ્થાપક પિતાઓમાંના એક તરીકે ઘણા લોકો માટે જાણીતા છે. વિદ્વાન માર્શ જીવનભર જ્ઞાનના પ્રેમી રહ્યા. તેમણે તેમના જ્ઞાનનો ઉપયોગ કુદરતી વિશ્ર્વના લાભ માટે કર્યો હતો. આપણે તેમને એક દૂરદર્શી વિચારક-લેખક તરીકે જાણીએ એ પહેલાં એમના જીવન વિશે જાણવું જરૂરી છે જેથી એમની બહુમુખી પ્રતિભાને સમજી શકાય.
જ્યોર્જ પર્કિન્સ માર્શનો જન્મ ૧૫ માર્ચ, ૧૮૦૧ના રોજ વુડસ્ટોક, વર્મોન્ટ, યુ.એસ.એ.માં થયો હતો. તેમના પિતા, ચાર્લ્સ માર્શ, ન્યાયાધીશ હતા અને માતા સુસાન, પ્રત્યેક માતાની જેમ પ્રેમાળ અને વત્સલ હતી. માર્શ એક ગંભીર બાળક હતા. તેથી તેઓ ઉંમર કરતાં ઘણા મોટા લાગતા. તેમણે પાંચ કે છ વર્ષની ઉંમરે લેટિન અને ગ્રીકનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું. તેમના મોટા ભાઈ ચાર્લ્સે તેમનામાં વાંચનનો આજીવન જુસ્સો જગાડ્યો. જોકે, નબળા પ્રકાશમાં ખૂબ વાંચન કરવાથી તેમની આંખોમાં તણાવ વધતાં તેઓ લગભગ સાત કે આઠ વર્ષના થયા ત્યાં સુધીમાં દૃષ્ટિ વિહીનતાના શિકાર બન્યા. પછીનાં ચાર વર્ષ સુધી, તે ભાગ્યે જ કંઈ વાંચી શક્યા કારણ કે હવે વાંચન માટે તેમને બીજા પર આધારિત રહેવું પડતું. તેમ છતાં તેમણે યાદ રાખવાની આશ્ર્ચર્યજનક શક્તિઓ વિકસાવી. આમ, અંધકારમય ઓરડો નહિ, પ્રકૃતિનો કાયમી પ્રેમ પ્રાપ્ત કર્યો.
શિક્ષણ માટે જરૂરી એવી બે ઇન્દ્રિયો નબળી હોવા છતાં માત્ર ૧૫ વર્ષની ઉંમરે, માર્શે કૉલેજનો અભ્યાસ શરૂ કર્યો. તેના મોટાભાગના સહપાઠીઓ કરતાં તેઓ ત્રણથી પાંચ વર્ષ નાના હતા. સ્વભાવે શરમાળ વિદ્યાર્થી માર્શ માત્ર ૧૯ વર્ષની ઉંમરે કૉલેજમાંથી સ્નાતક થયા. સ્નાતક થયાનાં માત્ર બે અઠવાડિયાં પછી માર્શ, ‘અમેરિકન લિટરરી, સાયન્ટિફિક અને મિલિટરી એકેડેમી’માં ગ્રીક અને લેટિન ભાષાઓના પ્રોફેસર તરીકે કામ કરવા માટે નોર્વિચ, વર્મોન્ટ ગયા. જોકે, ચાર માળની ઈંટની બેરેક જેવી નિરાશાજનક અને અંધકારમય એકેડેમી માર્શને પ્રોત્સાહિત નહોતી કરતી, આથી તેઓ મોડી રાત સુધી પુસ્તકાલયમાં જર્મન અને સ્કેન્ડિનેવિયનમાં વાંચનકાર્યોમાં મોટાભાગનો સમય પસાર કરતા હતા.
કમનસીબે, વર્ષ પૂરું થતાં પહેલાં જ માર્શની દૃષ્ટિ વધુ બગડી અને તેમને એકેડેમી છોડી દેવાની અને નેત્ર ચિકિત્સક શોધવાની ફરજ પડી. માર્શ વુડસ્ટોક પાછા ફર્યા. વાંચનનો સદંતર ત્યાગ કર્યા પછી તેમની દૃષ્ટિમાં ધીમે ધીમે સુધારો થયો અને વિન્ડસર કાઉન્ટી કૉર્ટના એટર્ની તરીકે તેમની નિમણૂક કરવામાં આવી. થોડા સમય પછી, માર્શે વર્મોન્ટની સામેની બાજુએ આવેલા બર્લિંગ્ટનમાં સ્થળાંતર કર્યું, જે આગામી ૩૫ વર્ષ માટે તેમનું ઘર બની ગયેલું. તેમણે બર્લિંગ્ટનમાં કાયદાનો અભ્યાસ કર્યો. ૧૮૨૫માં તેમને બારમાં દાખલ કરવામાં આવ્યા. તેમણે પોતાની જાતને ફિલોલોજિકલ અભ્યાસમાં પણ સમર્પિત કરી. ૧૮૩૫માં તેઓ વર્મોન્ટની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં નિયુક્ત થયા અને ૧૮૪૩થી ૧૮૪૯ સુધી કૉંગ્રેસમાં પ્રતિનિધિ રહ્યા. તેમણે મિસિસિપી ખીણના પ્રાચીન સ્મારકોના સંપાદક તરીકે સેવા આપી. જ્હોન્સનના યુનિવર્સલ સાયકલોપીડિયા માટે ઘણા લેખો લખ્યા અને ‘ધ નેશન’ને ઘણી સમીક્ષાઓ અને પત્રો આપ્યા.
માર્શે ૧૮૪૭માં વર્મોન્ટની રુટલેન્ડ કાઉન્ટીની એગ્રીકલ્ચર સોસાયટીમાં એક ભાષણ આપ્યું હતું, જેમાં કેન્દ્રવર્તી વિચાર એ હતો કે જંગલોને કાપીને અને સાફ કરીને અને કાદવીયા જલપ્લાવિત વિસ્તારોને નાબૂદ કરીને માનવી જે તે વિસ્તારની સ્થાનિક અને પ્રાદેશિક આબોહવાને પ્રભાવિત કરે છે. અઢારમીથી ઓગણીસમી સદીનો વળાંક એટલે કે પ્રબુદ્ધ યુગ દરમિયાન એટલાન્ટિક મહાસાગરની બંને બાજુના ફિલસૂફો, પ્રકૃતિવાદીઓ અને સ્થાનિક ચુનંદા લોકોમાં આ એક સામાન્ય ચર્ચા હતી, જેમાં ડેવિડ હ્યુમ, કોમ્ટે ડી બફોન, થોમસ જેફરસન, હ્યુજ વિલિયમસન, એલેકઝાન્ડર વોન હમ્બોલ્ટ, ચાર્લ્સ લાયેલ અને અન્ય ઘણા લોકોનો સમાવેશ થાય છે. કૉંગ્રેસમાં બીજા સત્રમાં સેવા આપ્યા પછી, માર્શને તુર્કીમાં યુ.એસ.ના મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમણે મધ્ય પૂર્વીય અને ભૂમધ્ય ભૂગોળ અને કૃષિ પદ્ધતિઓનો અભ્યાસ કર્યો. ૧૮૫૨માં તેમને તુર્કીથી પાછા બોલાવ્યા તે પહેલાં તેમણે વોશિંગ્ટન, ડી.સી.ની સ્મિથસોનિયન સંસ્થાને ઘણા નમૂનાઓ મોકલ્યા હતા. તેઓ ૧૮૫૬માં રિપબ્લિકન પાર્ટીના સભ્યા પણ બન્યા.
વર્મોન્ટના શિયાળામાંથી બહાર નીકળવાનું તેમનું સપનું ત્યારે સાકાર થયું જ્યારે તુર્કીમાં (૧૮૪૯-૧૮૫૪) અને પછી નવા રચાયેલા કિંગડમ ઓફ ઈટાલીમાં યુ.એસ.ના પ્રધાન તરીકે સેવા આપવા માટે તેમની નિયુક્તિ થઈ. મધ્ય પૂર્વમાં વર્ષો સુધી રહેવાને કારણે તેમને સમગ્ર ઇજિપ્ત અને અરેબિયાના કેટલાક ભાગોમાં મુસાફરી કરવાનો સમય મળ્યો. ૧૮૬૧માં પ્રમુખ અબ્રાહમ લિંકને તેમને ઈટાલીના પ્રથમ પ્રધાન બનાવ્યા, તેઓ મૃત્યુ સુધી તે પદ પર રહ્યા હતા. તે સમયગાળા દરમિયાન તેમણે ‘મેન એન્ડ નેચર’ – ‘માણસ અને પ્રકૃતિ’ અથવા ભૌતિકભૂગોળમાં માણસે કરેલા બદલાવો વિશેના પુસ્તક ‘એઝ મોડીફાઈડ બાય હ્યુમન એક્શન’ (૧૮૬૪)માં તેમના સંચિત જ્ઞાન અને અનુભવનો સારાંશ આપ્યો.
આખી જિંદગી તેઓ રાજદ્વારી અને એકેડેમિક્ વર્તુળોમાં રહ્યા, ખાસ કરીને તેમના દ્વારા કરાયેલ નોલેજ બેંકની સ્થાપના અમેરિકાના ઇતિહાસ માટે મહત્ત્વનો પાયો બની રહી. ગ્રીસ અને રોમમાં તેમણે રાજદ્વારી બંધારણીય કાયદાઓ અને વહીવટી પ્રશાસનની સ્થાપના માટે સેવા આપી હતી.

‘મેન એન્ડ નેચર’ : માનવીને પૃથ્વીના પર્યાવરણના વિનાશના એજન્ટ તરીકે રજૂ કરનાર સર્વપ્રથમ દસ્તાવેજ ૧૮૬૨માં તેઓએ વિશ્ર્વવિખ્યાત પુસ્તક ‘મેન એન્ડ નેચર’નું લેખન શરૂ કર્યું. ૧૯મી સદીના ભૂગોળ, ઇકોલોજી અને રિસોર્સ મેનેજમેન્ટમાં સૌથી નોંધપાત્ર પ્રગતિમાં આ તેમનું સૌથી મોટું યોગદાન છે. આ પુસ્તક ૧૮૬૪માં પ્રકાશિત થયું. પુસ્તકમાં ચર્ચવામાં આવેલા મુદ્દાઓએ પ્રકૃતિના અનેક અભ્યાસુઓ માટે નવી દિશાઓ ખોલી આપી. આપણી લેખમાળામાં અન્ય પ્રકૃતિવિદોની સરખામણીએ પ્રથમ દૃષ્ટિએ માર્શ એક વિદ્વાન રાજદ્વારી માત્ર લાગે, પરંતુ આ એક પુસ્તકમાં તેમણે આપેલી વિવેચનાઓ અને પૃથ્વીનાં અનેક તત્ત્વો અને પ્રક્રિયાઓને પ્રભાવિત કરવામાં માનવસમાજની ભૂમિકાનો એક મહત્ત્વનો મુદ્દો તેમને મહત્ત્વના વિચારક તરીકે પ્રથમ હરોળમાં લાવી મૂકે છે.
તેમનું આ પુસ્તક ‘મેન એન્ડ નેચર’એ ઇકોલોજીના પ્રારંભિક કાર્યની રચના છે, જે દ્વારા કેળવાયેલી સમજે એડિરોન્ડેક પાર્કની રચનામાં ભૂમિકા ભજવી હતી. એડિરોન્ડેક પાર્ક એ ઉત્તર પૂર્વીય ન્યુયોર્કનું એક ઉદ્યાન છે જે એડિરોન્ડેક પર્વતોનું રક્ષણ કરે છે. આ ઉદ્યાનની સ્થાપના ૧૮૯૨માં “તમામ લોકોના સ્વાસ્થ્ય અને આનંદ માટે મફત ઉપયોગ માટે” અને વોટરશેડની સુરક્ષા માટે કરવામાં આવી હતી. ૬.૧ મિલિયન એકરમાં ફેલાયેલું તે યુનાઇટેડ સ્ટેટ્સનું સૌથી મોટું ઉદ્યાન છે.
માર્શે દલીલ કરી હતી કે વન નાબૂદી, રણમાં પરિણમી શકે છે. ભૂમધ્ય સમુદ્રની આજુબાજુની એક વખતની લીલીછમ જમીનોને સાફ કરવાનો ઉલ્લેખ કરીને, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે “માણસ દ્વારા નિર્ધારિત અનેક કામગીરી પૃથ્વીના ચહેરાને ચંદ્રની જેમ લગભગ સંપૂર્ણ વેરાન બનાવવાની દિશામાં લઈ જઈ રહી છે.” તેમણે દલીલ કરી હતી કે જ્યાં સુધી માણસ સંસાધનોનું સંચાલન કરે છે અને તેને સારી સ્થિતિમાં રાખે છે ત્યાં સુધી કલ્યાણ સુરક્ષિત છે. ભાવિ પેઢીઓનું કલ્યાણ, સંસાધન-વ્યવસ્થાપનમાં રહેલું છે, આથી પ્રત્યેક નીતિ અને કામગીરીઓમાં તેની સુરક્ષા નિર્ણાયક હોય તે અનિવાર્ય છે. સંસાધનોની અછત એ પર્યાવરણીય અસંતુલનનું પરિણામ છે, જે ગેરવાજબી માનવીય ક્રિયાઓનું પરિણામ છે.
તેઓ જણાવે છે કે “માણસ તેની ખુશીથી વરસાદ અને સૂર્યપ્રકાશ, પવન અને હિમ અને બરફને આદેશ આપી શકતો નથી, તેમ છતાં એ હકીકત છે કે આબોહવા પોતે ઘણા કિસ્સાઓમાં ધીમે ધીમે બદલાઈ ગઈ છે અને માનવીય ક્રિયાઓ દ્વારા તે સુધરે અથવા બગડે છે. જંગલો બાષ્પીભવનને પ્રભાવિત કરે છે, એક તરફ કુદરતી સરોવરો અને તળાવોને સૂકવી બીજી તરફ જંગલોને સાફ કરતા જઈને, માનવી વાતાવરણમાં જે ભેજનું પ્રમાણ જળવાઈ રહેવું જોઈએ તેમાં વિક્ષેપ ઊભો કરે છે. જેના લીધે સૂરજના પ્રકાશ અને ગરમીના વિતરણ, સૂર્યકિરણોને પ્રતિબિંબિત અને શોષવાની ક્ષમતા અને ઊર્જાના વિકેન્દ્રિત રૂપાંતરણની પ્રક્રિયામાં અસંતુલન ઊભું કરે છે. જે પવનની દિશા, બળ અને તેમાં ભેજવહન ક્ષમતાને પ્રભાવિત કરે છે. નાની કે મોટી માનવીય વસ્તીમાં કે વનોમાં લાગતી આગ અને નાનાં-મોટાં માળખાકીય બાંધકામો વગેરે સમગ્ર વાતાવરણમાં ગરમીનું પ્રમાણ એવું તો વધારે છે કે વાસ્તવમાં વનસ્પતિજગતમાં ધીમે છતાં મોટાં પરિવર્તનો લાવે છે.”
માર્શ વેદના સાથે લખે છે કે જૂનું જગત હોય કે નવા શોધાતા ભૂખંડો, માનવીને આ વિશાળ પૃથ્વી મળી છે પણ તેને શ્ર્વાસ લેવા પૂરતી જગ્યા નહિ રહે તે સ્થિતિએ એને લાવી મૂકશે, અને ત્યારબાદ સૃષ્ટિ દ્વારા તેને ફરી સ્વાસ્થ્યપ્રદ થવા બદલવાની અત્યંત ધીમી પ્રક્રિયાની રાહમાં વર્ષો વિતાવશે, પરંતુ એ આ નૈસર્ગિક વિપુલ કુદરતી સૌંદર્યને વેડફતો જ રહેશે.
પૃથ્વી પર માણસની ક્રિયાઓની બદલી ન શકાય તેવી અસરને માન્યતા આપીને, ટકાઉપણાની વિભાવનાના અગ્રદૂત તરીકે, માર્શને પ્રથમ પર્યાવરણ ‘સંરક્ષણવાદી’ તરીકે ઓળખવા વધુ સચોટ હશે. વર્મોન્ટમાં માર્શ-બિલિંગ્સ-રોકફેલર નેશનલ હિસ્ટોરિકલ પાર્કનું નામ માર્શ પરથી પડ્યું છે. આજે તેમને ‘માણસ અને પ્રકૃતિ’ પુસ્તકના તેમના યોગદાન માટે સૌથી વધુ યાદ કરવામાં આવે છે. વર્મોન્ટમાં યુવાનીમાં તેમણે કરેલાં અવલોકનો તેમજ મધ્યપૂર્વમાં તેમની મુસાફરી આ પુસ્તકનો આધાર બન્યાં છે. તેઓ પહેલા એવા અવલોકનકાર હતા કે જેઓએ સ્પષ્ટ સુણાવ્યું કે મનુષ્ય પરિવર્તનના એજન્ટ છે અથવા “ખલેલ પહોંચાડનાર એજન્ટ” છે. તેમના પ્રથમ પુસ્તક મેન એન્ડ નેચર બાદ, બીજી આવૃત્તિ ધ અર્થ એઝ મોડીફાઈડ બાય હ્યુમન એક્શન – (૧૮૭૪)માં માનવીની દખલગીરીથી પૃથ્વીના ભૌગોલિક પર્યાવરણમાં આવેલાં પરિવર્તનો વિષેના મુદ્દાઓ ફરી ચર્ચવામાં આવ્યા છે.
માર્શનો કેન્દ્રવર્તી વિચાર એ હતો કે, “મેં ક્યારેય કોઈ પરિબળને મામૂલી માનીને મૂલવ્યું નથી કારણ કે એક જ ઉત્પત્તિ કારણ માનીને બીજી અનેક અસરો વિષે શોધ થઈ શકતી નથી. તેનું માપ અજ્ઞાત છે, તેના મૂળ તરીકે કોઈ ભૌતિક અસર શોધી શકાતી નથી કારણ કે એક પ્રક્રિયા એકલી અલગ રીતે પ્રભાવિત થતી કે કરતી નથી. માર્શ આ કથન દ્વારા દર્શાવે છે કે પારસ્પરિક સંબંધો જો પૃથ્વી પર જીવન ટકાવતા હોય તો પરસ્પરના પ્રભાવો તેના નાશનાં કારણો પણ બને છે. તે સમયના ભૂગોળશાસ્ત્રીઓ, આર્નોલ્ડ ગાયોટ અને કાર્લ રિટર દ્વારા મૂકવામાં આવેલો પરંપરાગત વિચાર એ હતો કે પૃથ્વીનું ભૌતિક પાસું સંપૂર્ણપણે કુદરતી ઘટનાઓ, પર્વતો, નદીઓ, મહાસાગરોનું પરિણામ છે. માનવજાતના ઘર તરીકે પૃથ્વીને એક અખંડ એકમ તરીકે માનીને તેના અભ્યાસ તરફ ક્યારેય કોઈ વળ્યું ન હતું. માર્શ પર્યાવરણીય અને સામાજિક સંબંધોની પરસ્પર નિર્ભરતાનું વર્ણન કરનાર પ્રથમ વ્યક્તિ હતા.
૧૮મી સદીમાં જળવાયુ પરિવર્તન માટેનાં પરિબળોની ઓળખ કરી આપનાર જ્યોર્જ પર્કિન્સ માર્શએ કુદરતની કેડી પર એવો પ્રકાશ પાથરેલો કે જો તેના ચીંધી કેડીને કોઈએ અનુસરી હોત તો આજે જેનાથી આપણે માનવસર્જિત મહાવિલોપનની દિશામાં પૂરઝડપે દોડી રહ્યા છીએ તેના બદલે એકવીસમી સદીમાં ટકાઉ સ્વસ્થ જીવનના માર્ગો પર સુરક્ષિત પ્રગતિ કરતા હોત.
યાત્રી બક્ષી: paryavaran.santri@gmail.com
સંદર્ભ : ઇન્ટરનેટ ઉપર ઉપલબ્ધ માહિતીઓ, સંશોધન લેખો અને સંગ્રહસ્થાનો
ભૂમિપુત્ર : ૧ જાન્યુઆરી, ૨૦૨૫
-
સ્મૃતિસંપદા : દેવિકા રાહુલ ધ્રુવ [૧]
અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં સ્થાયી દેવિકાબહેનનો માતૃભાષા પ્રત્યેનો પ્રેમ એમની અનેકવિધ પ્રવૃતિઓમાં છલકાતો જોવા મળે છે. ૧૯૪૮ની સાલમાં ગુજરાતના એક નાનકડા ગામમાં જન્મીને અમદાવાદમાં ઉછરેલાં દેવિકાબહેન ૧૯૮૦માં અમેરીકા આવ્યાં. ગુજરાત યુનિવર્સિટિ દ્વારા સંસ્કૃત અને ગુજરાતી વિષય સાથે પ્રથમ વર્ગમાં પ્રથમ નંબરે આવી સ્નાતકની પદવી મેળવી.નાનપણથી કલા પ્રત્યેની રુચિને કારણે તેઓ કાવ્ય, વક્તૃત્વ, નાટક અને નૃત્યમાં ઈનામો અને ચંદ્રકો મેળવતાં રહ્યાં; જેમાં ઉમાશંકર જોશીના હસ્તે મળેલા ઈનામનો સમાવેશ પણ થાય છે. યુનિ. ઓફ ફ્લોરીડા, પોએટ્રી ફૅસ્ટીવલ (૨૦૧૪)માં મુખ્ય વક્તા તરીકેના સન્માન ઉપરાંત તેઓ બીજાં સન્માન-પત્રો અને આમંત્રણો મેળવતાં રહ્યાં છે.
વિદેશમાં રહીને ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે તેમનું પ્રદાન નોંધપાત્ર છે. કેટલાંક અન્ય પ્રકાશનો ઉપરાંત તેમનાં ત્રણ કાવ્યસંગ્રહો પ્રગટ થયા છે. એમાંની કેટલીક રચનાઓ સ્વરબદ્ધ પણ થઈ છે. ‘આથમણી કોરનો ઉજાસ’ નામની પત્રશ્રેણી માટે ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ૨૦૧૭માં ડાયસ્પોરા ઍવોર્ડ મેળવેલ દેવિકાબહેન સાહિત્ય સેવા માટે સતત કાર્યરત રહે છે. નીચેના બ્લોગ ઉપર પણ તેમને વાંચી શકાશે.
https://devikadhruva.wordpress.com
Email: ddhruva1948@yahoo.com
૧. વિસરાતી વારસાઈ
વહેલી સવારનો આજનો સૂરજ કંઈક જુદાં જ કિરણો પાથરતો આવ્યો. રોજની આદત મુજબ હાથમાં ગરમ ગરમ વરાળો નીકળતી ચ્હાનો કપ લઈ ‘બૅકયાર્ડ’નું બારણું ખોલ્યું ને તરત હવામાંથી એક પરિચિત સુગંધની લહેરખી સ્પર્શી ગઈ. ડૅકનાં બે પગથિયાં ચડીને હીંચકે બેઠી ત્યાં તો આંખના પલકારામાં ચાર દાયકા જૂની અને એથી પણ જૂની મનગમતી એ મહેક મનમાં ઝોલે ચડી. આ સ્મૃતિઓ કેવી વિસ્મયકારી છે! અચાનક મન પર કાબૂ જમાવી દે છે. મહાન લેખક શ્રી સુરેશ જોશીએ સાચું જ લખ્યું છે કે, સ્મરણ એ કેવળ સંચય નથી. સ્મરણના દ્રાવણમાં રાસાયણિક પ્રક્રિયા પામીને આપણું તથ્ય નવાં નવાં વિસ્મયકર રૂપો ધારણ કરતું જાય છે. તથ્યનો એ વિકાસ સ્મરણમાં જ થાય છે.
ચાર દાયકા પહેલાંની આ વાત. Good Fridayનો એ દિવસ હતો. ૧૯૮૦ના એપ્રિલ મહિનાની ૪થી તારીખ. ખૂબ સરળતાથી યાદ રહી જાય તેવી તારીખ અને દિવસ પણ. ૪-૪-૧૯૮૦. ગુડ ફ્રાઈડે. એ દિવસે અમે અમેરિકાની ધરતી પર બે નાનાં ભૂલકાંઓ સાથે પગરણ માંડ્યાં હતાં. ૪૧ વર્ષ પહેલાંની એ વાત. સમય પણ સ્મૃતિઓ જેટલો જ ગજ્જબનો છે. ક્યારેક વર્ષોનાં વર્ષો વીતી જાય છે તો ક્યારેક એક પળને વીતતાં વાર લાગે છે. ક્યાં ગુજરાતના એક નાનકડા ધૂળિયા ગામડામાં (૧૯૪૮માં) જન્મ અને ક્યાં આ મહેલ જેવી સવલતોવાળી અમેરિકાની ચમકદમકભરી જિંદગી! રાતોરાત ફેરવાઈ ગયું શું? ના રે ના. મૂળથી જ નિરાંતે વાત માંડું.
જો ટૂંકમાં કહેવાનું હોય તો તો જન્મ ગુજરાતના એક ગામડામાં. ઉછેર, લગ્ન અને બે દિકરાઓના જન્મ અમદાવાદમાં અને તે પછી પરિવાર સાથે વસવાટ અમેરિકામાં. આમ તો આટલી જ અમસ્તી વાત. પણ આટલી અમથી વાતની પાછળ કેટકેટલાં પરિબળો, અસંખ્ય ઘટનાઓ, અનેક સંજોગો, વિવિધ સ્થાનો, અલગ અલગ દેશી અને વિદેશી વ્યક્તિઓ અને એ તમામને કારણે સંઘર્ષોની વચ્ચે વિકસતી જતી વિચારધારાઓ અને સમજણ શક્તિની ક્ષિતિજો.
આ લખું છું ત્યારે ધૂળિયા ગામનાં ફળિયાં, તે સમયની સખીઓ અને અમદાવાદની પોળનાં પડોશીઓથી માંડીને હ્યુસ્ટનના આજના ‘નેબર’ સુધીનાં તમામ સ્મૃતિમાંથી સરે છે. તો સાથે સાથે પરિવારજનો ઉપરાંત પ્રાથમિક શાળાના શિક્ષકોથી માંડીને અમેરિકન શિક્ષક-મિત્રોના ચહેરા પણ તરવરે છે. ભારત, અમેરિકા, હૉંગકૉગ, સિંગાપોર, મલેશિયા, થાઈલૅન્ડ, કૅમ્બ્રીજ, કૅનેડા, સ્વીટ્ઝર્લૅન્ડ વગેરેના રસ્તાઓ પણ દેખાય છે. પ્રસંગો અને ઘટનાઓનાં હરણટોળાં ફરીથી એકવાર ચારેબાજુથી મન-આકાશમાં દોડાદોડ કરી રહ્યા છે. જાણે કોઈ ગીચ ઝાડીમાંથી ઊડી આવતાં તીડનાં ટોળાંઓ તો ક્યારેક જાણે નજર સામે ફરફરતાં મનગમતાં પતંગિયાઓ !!
થોડા દિવસો પહેલાં જ વર્ષો જૂની ડાયરીઓ અને કાગળો હાથ લાગ્યાં હતાં, તેને ફરીથી ફીંદવાનું મન થયું. લગભગ ૪૧ વર્ષ પહેલાં ભારતમાં છોડેલાં સ્વજનો અને મિત્રોની મોંઘી મિરાત હતી એ. સાચવીને રાખેલા, મિત્રોના જૂના પત્રો વાંચતી ગઈ, વાંચતી ગઈ ને પછી તો વાંચતી જ રહી. વિદેશની ધરતીની શરૂઆતની અવનવી વાતો, મથામણો, મૂંઝવણો અંગેની મારી અનુભૂતિઓના મળેલા પ્રતિપત્રો. કેટકેટલું ભર્યું હતું એમાં કે જેણે આજે પણ હૃદયને હલાવી, વલોવીને ઉલેચી નાંખ્યું ! મન-મસ્તિષ્ક પર જબરદસ્ત રીતે ચોંટી ગયેલી સ્મરણીય યાદો આંગળીઓ પર વળગીને શબ્દ બની ઠલવાતી ચાલી. આમ તો આ અનુભવ સૌનો હશે જ…
આ આંગળીઓના ટેરવેથી કેટકેટલું ઝર્યું હશે?
ને હૈયાના હોજમાંથી ત્યારે કેટકેટલું સર્યું હશે?
સમયનાં પડ, બની થડ, જામી જાય છે મૂળ પર,
પણ પાંદડીઓ વચ્ચે પતંગિયા જેવું કૈંક ફરફર્યું હશે….૨. વિદેશ આગમન પૂર્વે
આગળ ચાલતી આ ગાડીના ‘રીઅર વ્યુ મિરર’માંથી કેટલે દૂર જોઈ શકાય છે? અમુક ઉંમર સુધીનું કોઈને કશું જ યાદ નથી હોતું. સ્મૃતિમાંથી સરે છે માત્ર વડિલોના કહેવાયેલા શબ્દો. તે પણ સમજણી ઉંમરે. મા ખૂબ જ ઓછાબોલી હતી. એણે એકવાર કહેલું કે “તારો જન્મ ગામડામાં ઘરમાં જ, દાયણોના હાથે થયેલો. આટલી જન્મ વિશેની, સાંભળેલી વાત સિવાય ચાર વર્ષ સુધીની કોઈ જ યાદો ખુલતી નથી. સૌથી પહેલી જે ખુલે છે તે મા સાથે ગામડે મોસાળ જતી તે.
ગુજરાતનું એ સાવ નાનું ગામડું. માત્ર વીસ-પચીસ ઘરોનું. સાવ પોતીકું, જનમોજનમથી પોતીકું હોય એવું એ લીંપણવાળું, ઈંટ કલરનાં નળિયાંના છાપરાંવાળું, કાથીના ખાટલા ઢાળેલું, આગળ ઓસરી, અંદર એક જ ઓરડો અને પાછળ નાનકડા વાડાવાળું ઘર. ત્યાં હતું એક ગોરસ આમલીનું ઝાડ. ઘરથી થોડે દૂર ગામનો એક કૂવો. દોરડા બાંધેલા ઘડાથી ગામની સ્ત્રીઓ લોકગીતોને ગણગણતી, પાણી ભરતી તે હું જોતી. વચ્ચે કલરવતાં પંખીઓનો એક ખૂબ મોટો ચબૂતરો. ઘણીવાર રાત્રે ત્યાં રામલીલાવાળા આવીને ભવાઈ જેવું કંઈક ભજવતા. મને એ ખૂબ ગમતું. ગમે તેટલી ઉંઘ આવતી હોય તો પણ એ જોવા માટે જાગતી. હવે એમ લાગે છે કે ત્યારથી જ કલા પ્રત્યેની અંદર પડેલી રુચિ જાગવા માંડી હશે.
૬-૭ દાયકામાં તો સમય ક્યાંથી ક્યાં ઊડ્યો અને ફેંકાયો? આસમાનમાં ઊડતા પતંગની જેમ સમયની આ દોરી કેવી ગગડે છે! આકાશને જો બારી હોત તો, અને કદાચ… જો ત્યાંથી આપણા સૌના સદ્ગત પૂર્વજો જોતાં હોય તો કંઈક આવું ન લાગે? !!
અંતરિક્ષની બારી જરા ખોલીને જોઈ, તો દૂનિયા દેખાઈ સાવ અનોખી
છોડીને આવ્યાં જે કેડી એ દેશી, કેવી દેખાય આજે ફરતી વિદેશી…..આજની પેઢીને આ વાંચતા કેટલું આશ્ચર્ય લાગતું હશે? હવેની પેઢીનું ચિત્ર કદાચ જુદું હશે. કારણ કે, વિકસતી જતી ટેક્નોલોજીને કારણે ‘ડૉક્યુમેન્ટસ’ ની જેમ યાદો પણ એને હાથ વગી જ હશે! હાથમાંની “ઍપલ વૉચ”પર, યુટ્યુબ પર, આઈપૅડ/ટૅબ્લૅટ પર,આઈફોન/સ્માર્ટ ફોન પર… એને સંવેદનાશૂન્ય કહીશું? યાદદાસ્તનું સ્મશાન કે આશીર્વાદ કહીશું? મનનો અભિગમ પરિવર્તનને આશીર્વાદરૂપે આવકારે છે, પણ જરૂર છે માત્ર યથોચિત ઉપયોગ. મોજશોખ કે ઇચ્છાઓ અનિવાર્ય જરૂરિયાત ન બની જાય તેવી તકેદારી રાખવી જરૂરી છે.
अति सर्वत्र वर्जयेत् ।।
પિતાજી અમદાવાદના વતની એટલે મારો ઉછેર પણ ત્યાં જ. અમદાવાદની સાંકડીશેરીમાં આવેલ ઝુંપડીની પોળનું એ ઘર. આમ તો દાદા શરાફી પેઢી ચલાવતા. તેથી અમારી અટક બેંકર હતી. પણ પિતાજીની ઘણી નાની ઉંમરે, દાદાના ગયા પછી, કાળે કરીને બધું ઘસાતું ચાલ્યું. ભાડાના ઘરમાં રહેતાં થયાં. ઘર તો ભાડાનું; પણ લાગે સાવ પોતાનું. ૨૩ વર્ષની ઉંમર સુધી ત્યાં જ વસવાટ.
નાનું ઘર આર્થિક સંકડામણ અને ૧૦ માણસોનો સહવાસ. છતાં પણ એ સ્મરણો આજ સુધી શ્વાસની જેમ સાથે જ રહ્યાં છે. ક્યારેક રડાવ્યાં છે, ક્યારેક હસાવ્યાં છે, છતાં સતત મહેક્યાં છે. કુંભારના ચાકડાની જેમ બધાં જ ભાઈબહેનોને તાવ્યાં છે, ટીપ્યાં છે, કસ્યાં છે અને એ રીતે દરેકને પોતપોતાના સ્વત્વ પ્રમાણેના આકારે ઘડ્યાં છે. એ ઘરની એક એક ભીંત, ફર્શનો પથ્થર, ગોખલા, ઓરડી, છજું, અગાશી, છાપરું, આજે પણ જ્યાં હોઈએ ત્યાં આવીને વાતો કરે છે. મનનો સંઘર્ષ પણ ક્યાં ઓછો હોય છે?
દાદીમાની વાર્તાઓએ મારી કલ્પના શક્તિને નાનપણથી જ ખીલવી. એ મને બહુ કામ કરાવતા પણ વાર્તાઓ સરસ કહેતા. મને બહુ મઝા આવતી. કેટલીક તો એ પોતે ઘડી કાઢતા. હું પણ આજે એવું જ કરું છું! મોટા ભાઈ અને બહેનને નિશાળે જતા જોઈ હું બહુ ખેંચાતી ને વિચારતીઃ હું ક્યારે નિશાળે જઈશ? લખતાં અને વાંચતાં આવડી જાય તેની મનને ખૂબ જ ઉતાવળ હતી. ભાઈબહેનોની વાતો અને કક્કો-બારાખડી, ૧ થી ૧૦ નંબરોની અને આંકની ચોપડીઓ વગેરેમાંથી જાતે જાતે શીખ્યા કરતી. ખાનગી બાલમંદિરોની ફી તો પોસાય તેમ હતું જ નહિ એટલે સીધી ૬ વર્ષની થઈ ત્યારે જ મફત ભણાવતી મ્યુનિસિપાલિટીની શાળામાં પ્રવેશ લીધો. એક જ નાનકડી રોજે રોજની અગાઉથી થતી જતી તૈયારીની સાહજિક વૃત્તિ, શિક્ષકોના પાઠો અને જલદી જલદી ‘હોમવર્ક’ કરી લેવાની આદતને કારણે દરેક બાબતમાં આપમેળે જ રિયાઝ થતો ચાલ્યો. પોળના નાકે આવેલ બાલભવનનાં તો બધાં પુસ્તકો એમ જ વંચાતા જાય. મને નથી યાદ કે ક્યારેય પરીક્ષા વખતે ઉજાગરા કરીને વાંચ્યું હોય. પરીક્ષાનો ‘હાઉ’ ક્યારેય લાગતો જ નહિ.
વિચાર કરું છું કે આ બીજ ક્યાંથી વવાયાં? વાતાવરણમાંથી? સંજોગોમાંથી, માના મૂળ અને અનુરાગમાંથી? કદાચ આ બધામાંથી. પણ તો પછી દરેક વ્યક્તિને એ લાગુ પડે ને? દરેક માનવીને એના સંજોગો હોય છે, એનું વાતાવરણ હોય છે અને મૂળ પણ હોય છે જ ને? તો બધા જ એક સરખા રસ-રુચિ કે આદતયુક્ત કેમ નથી હોતાં? આ એક ખૂબ રસપ્રદ મનન છે કે એક જ ઘરનાં બાળકો જુદાં જુદાં કેમ હોય છે? સર્જનહારે તો સૌને અંગ-ઉપાંગો, મન બુધ્ધિ, હ્રદય,આંખ, કાન, વિચાર-શક્તિ આપેલાં છે. તો વ્યક્તિત્ત્વ જુદા કેવી રીતે ઘડાય છે? ઊંડાણથી વિચારીએ તો એમ લાગે છે કે જેના મૂળમાં જે રસના બીજ વધુ શક્તિશાળી તે તે મુજબ તેની પ્રક્રિયા અને વિકાસ થતો જાય. દા.ત. બગીચામાંથી પસાર થતા હોઈએ તો કોઈ ગુલાબ ચૂંટે, કોઈ મોગરા પાસે જઈ સુવાસ માણે તો કોઈ વૃક્ષની પાસે ઊભા રહી આનંદ પામે. આ એનું સ્વત્વ.
સ્મરણો ક્યાં ક્યાં ખેંચી જાય છે? આ લખું છું ત્યારે પ્રાથમિક શાળાનાં ઘણાં શિક્ષકોના ચહેરા નજર સામે યથાવત તરવરે છે. ભણતાં ભણતાં જેમની સાથે નાટકો ભજવ્યાં કે ગરબા કર્યાં તે સૌ સખીઓનાં નામો,ચહેરા, અરે,ઘણી બધી વક્તૃત્વ હરિફાઈ માટે તૈયાર કરેલી સ્પીચ અને રજૂઆત પણ અકબંધ સ્મૃતિમાં સચવાયેલી છે!
તે સમયની આર્થિક અગવડો અન્ય પ્રવૃત્તિઓમાં નડતી ન હતી. કોઈ ને કોઈ રીતે આવડતને અવકાશ મળી જ જતો. એ માટે હંમેશા હું શિક્ષક-વિદ્યાર્થીના પરસ્પરના આદર અને પ્રેમભાવને જ નમન કરું છું. આજે પૈસો સર્વસ્વ બની ગયો છે. કારણ કે, આપણે એના આધિપત્યને સ્વીકાર્યું છે, પોષ્યું છે, પંપાળ્યું છે અને પરિણામે એના ગુલામ બની ગયા છીએ, એમ માનીને કે આપણે કેટલાં સ્વતંત્ર અને સમૃધ્ધ થયા છીએ!! ખરેખર સાચું શું છે? સવાલોના આ તણખા આજે તો મનને દઝાડે છે પણ કદીક, ક્યારેક, કોઈકને કિરણ બની અજવાળે તો કેવું સરસ?
મ્યુનિસિપિલ હાઇસ્કૂલની થોડી વાતો અને યાદગાર પ્રસંગોએ પણ મનને એક સરસ દિશા ચીંધી..સાલ હતી ૧૯૬૪ની. ત્યારે હું ૧૧માં ધોરણમાં. તે સમયે ૧૨મું ધોરણ ન હતું. અગિયારમાં ધોરણ પછી તરત જ પ્રિ.આર્ટ્સ, સાયન્સ, કોમર્સ વગેરે શરૂ થાય. શાળાની ‘પ્રિલિમિનરી’ પરીક્ષાના પરિણામનો એ દિવસ. દરેક વિષયના શિક્ષક પોતે જ, જે તે વિષયનું પરિણામ જાહેર કરે. જે કંઈ કહેવા લાયક હોય તે કહેતા જાય અને તે મુજબ ફાઈનલ પરીક્ષાની તૈયારીઓ પણ થવા માંડે. તે રીતે ગણિતના શિક્ષક વર્ગમાં આવ્યા. પરિણામની જાહેરાત શરૂ થઈ. એક પછી એક નામો બોલાતા ગયાં, કેટલાં માર્ક્સ મળ્યા તેની જાહેરાત અને જરૂરી સૂચનો પણ અપાવા માંડ્યા. તે દિવસે મારું નામ જ ન બોલાયું. મને એમ કે, દર વખતની જેમ ૧૦૦માંથી ૧૦૦ માર્ક્સ જ હશે એટલે છેલ્લે બોલાશે અને મોટે ભાગે એમ જ બનતું. તે સમયે આત્મવિશ્વાસ પણ લગભગ અભિમાન જેવો હતો અને તેનું કારણ પણ શિક્ષકો જ હતાં! કારણ કે મને સૌએ ખૂબ જ પોરસાવી હતી.
આમ, આવું બધું વિચારતી હું રાહ જોયા કરતી હતી ત્યાં તો એક સખત મોટો શાબ્દિક ધડાકો થયો. સાહેબના કડક શબ્દો હતાઃ “ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો.” ઓ મા…હું તો હેબતાઈ ગઈ! સાહેબ આ શું બોલે છે? ફરી પાછી ચહેરાની રેખાઓ થોડી તંગ કરી, મારી તરફ જોઈ બોલ્યાઃ “પછી શિક્ષકોની ઓફિસમાં મળજો”. પછી તો જેવો ઘંટ વાગ્યો કે તરત કંઈ કેટલાયે વિચારોનાં વમળો લઈ હું વંટોળવેગે દોડી ઓફિસ તરફ. બે ચાર અન્ય શિક્ષકો અને પ્રિન્સિપાલ બેઠા હતા. સાહેબે મારું પેપર ખોલ્યું, પાસે બોલાવીને બતાવ્યું અને એક નાનક્ડી ભૂલને કારણે આખો દાખલો કેવી રીતે ખોટો પડ્યો તે વિષે સખત શબ્દોમાં મારી ઝાટકણી કરી, લાંબુ ભાષણ આપ્યું અને ગુસ્સો વ્યક્ત કરતાં કહ્યુઃ “આખું વર્ષ ૧૦૦માંથી ૧૦૦ માર્કસ લાવનારને આવી ભૂલ થઈ જ કેવી રીતે? ૧૦૦ ને બદલે ૯૩ માર્ક્સ? આ ચાલી જ ન શકે વગેરે,વગેરે…”આઘાત તો મને પણ લાગ્યો, આંખમાં આંસુ પણ આવી ગયાં, પણ મનમાં સવાલ મૂંઝવ્યા કરતો હતો કે, આટલા સારા સાહેબ આજે આટલા બધા ગુસ્સે? ઘણીવાર ઘણાંનાં માર્ક્સ ઓછા આવ્યા હતા, દાખલા ખોટા પડ્યા હતા. આજે આમ કેમ?
વાતાવરણમાં સ્તબ્ધતા હતી. થોડી ક્ષણો પછી, દુઃખી દિલે બધું ચૂપચાપ સાંભળી લીધા પછી, મેં પાણીનો ઘૂંટ પીધો. હિંમત ભેગી કરી પૂછી જ લીધુઃ સર, તમે કોઈ દિવસ નહિ ને આજે આટલા ગુસ્સે?…વાક્ય અધૂરું જ રહ્યું ને સાહેબે તરત જ જવાબ વાળ્યો. “ હા, કારણ કે, મારી હાઈસ્કુલના વર્ષોમાં ખરે વખતે મારે આવું જ બન્યું હતું. જે ભૂલ મેં કરી હતી તે કોઈપણ તેજસ્વી વિદ્યાર્થીને ન જ થવી જોઈએ, એ ઈતિહાસ રીપીટ ન થાય અને હજી તમારે તો ફાઈનલ બાકી છે, તમે ચેતી જાવ તેથી કડવી રીતે આ કહ્યું. દરેક વખતે ઓછા માર્ક્સ લાવનારને માટે આવું ને આટલું બધું દુઃખ ન થાય. પણ જેના તરફથી શાળાને મોટી આશા છે તેની ભૂલ તો ન જ થવી જોઈએ. નાની સરખી ભૂલ જીવનમાં ન થાય તે પણ આમાંથી જ શીખવાનું છે. ગુસ્સો એટલા માટે કે જીવનભર આ વાત યાદ રહે.” સાંભળીને હૈયું એક થડકારો ચૂકી ગયું. બસ, તે દિવસે, અધ્ધર ઊડતા મારા પગ ધરતી પર આવી ગયા. અને એ સંવેદનાએ, તે રાત્રે કાગળ પર થોડા અક્ષરો પાડયા. બધા જ શબ્દો તો યાદ નથી. બીજી સવારે માનીતા શિક્ષકને એ કાગળ આપી દીધો હતો..પણ મુખ્ય ભાવની એક પંક્તિ સ્મૃતિના દાબડામાં આજસુધી અકબંધ રહી
‘લાવું નંબર એસ.એસ.સી.માં, સેન્ટર અમદાવાદમાં,
કરું પ્યારી શાળાના નામને, રોશન અમદાવાદમાં..’સર્જનની કેવી પીડાજનક પ્રક્રિયા? એ વાત દિલમાં હંમેશાં કોતરાઈ ગઈ અને સતત કામે લાગી. આખરે કોલેજની ડીગ્રીમાં યુનિવર્સિટિમાં પ્રથમ આવી ત્યારે મનમાં શાતા થઈ.
આ વાત અહીં અટકતી નથી. વર્ષો વીત્યાં, અમેરિકા આવી. એક દિવસ દીકરાનું mathનું ‘હોમવર્ક’ જોતી હતી. એક જગાએ નાનક્ડી, લગભગ એવી જ (!) એક ભૂલ જોઈને ગણિતના એ સર યાદ આવ્યા. દીકરાને આખો પ્રસંગ કહી સંભળાવ્યો. તે સમયે એરોગ્રામ લખાતા. વચ્ચેના વર્ષોમાં કોઈ સંપર્ક રહ્યો ન હતો. છતાં તરત જ મેં ડાયરીમાંથી સરનામુ શોધી કાઢી, પેલી જૂની વાતને યાદ કરતો એક (aerogramme) પત્ર ગણિતના સરને લખ્યો. ૧૫ દિવસ પછી તેમના દીકરાનો આંસુભીનો જવાબ આવ્યોઃ “તમારો પત્ર મળ્યો, મેં વાંચ્યો, પણ પપ્પા હવે આ દુનિયામાં રહ્યા નથી. ગયા મહિને જ…. હવે તેમણે શીખવાડેલું ગણિત હું જીવનમાં શીખું છું અને શીખવાડું છું”. વાંચીને ગળે ઊંડો ડૂમો ભરાઈ આવ્યો. આવા શિક્ષકો હવે ક્યાં મળે?!
મન ચક્ડોળે ચડ્યું. આજની યુનિવર્સિટીનો સ્નાતક બનીને બહાર નીકળતો વિદ્યાર્થી જીવન પ્રવેશ માટેનો પાસપોર્ટ તો મેળવે છે, પણ શું જીવન-પ્રવાસ માટેનો વીસા પામે છે ખરો?
સ્મરણની આ ખડકી, આજે અર્થસભર સર્જનની સાંકળ ખોલી કેવી રણકી ગઈ?!! જિંદગીમાં ક્યારેક આવી ઘટનાઓ વંચાય અને દીવાદાંડી બને એવી શુભ ભાવના.…
મનની ભીતરમાં ભર્યા છે ખજાના, સાગર મહીં જેમ મોતી સુહાના,
સાચાં કે ખોટાં, સારાં કે નરસાં, કદી ન જાણે કોઈ અંતરની માળા.આ શાળાએ ભણતરની સાથે સાથે ઘડતરમાં વળી નોંધપાત્ર ફાળો નોંધાવ્યો.. એ ચાર વર્ષની કારકિર્દી યશસ્વી તો રહી જ, પણ તે સિવાય કવિતા તરફનો અનુરાગ અહીંથી શરૂ થયો. તે વખતનો મારો કવિતા-પ્રેમ, લાયબ્રેરીમાં અવારનવાર જવાની વૃત્તિ, સુંદર નિબંધો લખી શિક્ષકોને બતાવવાની ઘેલછા વગેરેએ આજે એનું સામ્રાજ્ય જમાવી જ દીધું છે.
જે નથી એના અભાવની અનુભૂતિને રડતાં રહીને માણસે બેસી રહેવાનું હોતું નથી. તકલીફનું પક્ષી માથે બેસે તો એને ઊડાડી દેવાનું હોય. એને માળો ન બાંધવા દેવાય. સમય સૌનો ક્યાં સદા એક સરખો રહે છે? એની પણ આવનજાવન ચાલુ જ રહે છે. આપણે તો બસ ચાલતાં રહેવાનું છે, એની સાથે જ, પણ પરવા કર્યા વગર. સુખ મળે તો છક્યાં વગર અને દુઃખ મળે તો રડ્યાં વગર. પોતે જ પોતાના નાવિક બની નૈયા તરાવતાં રહેવાનું છે. જીવનની સહેલ લાંબી હોય કે ટૂંકી. આપણે જ એને પાર કરવાની છે અને તે પણ સાચી દિશામાં રહીને, યોગ્ય રીતે હંકારીને. બધી જ શક્તિ સૌને મળેલી છે અને તેને ખીલવવાની છે.
જુલ્ફ કેરા વાળ સમી છે ભાગ્યની ગૂંચો બધી, માત્ર એને યત્ન કેરી કાંસકી ઓળી શકે.
૧૯૬૪માં અગિયારમાં ધોરણમાં સ્કૂલમાં પ્રથમ અને સારા ટકા હોવાથી અડધી ફી તો માફ જ હતી. છતાં પણ સૌથી ઓછી ફી વાળી અને ચાલીને જઈ શકાય તેવી અને સવારની જ કોલેજ પસંદ કરવાની હતી. પ્રિન્સિપાલને લાગ્યું કે હું તો સાયન્સ શાખામાં જ હોવી જોઈએ તેથી આર્ટ્સનું ફોર્મ જોતાં આશ્ચર્યથી પૂછપરછ કરી. મારે તો નોકરી સાથે ભણવાનું હતું ને? એટલે જાતે જ નક્કી કરી લીધું કે, સવારની કોલેજ અને બપોરની નોકરી કરીશ. સંજોગો સમજણ અને શક્તિ બંને આપી દેતા હોય છે!
સોળ-સત્તરની એ ઉંમરે સુંવાળા સપનાઓ સેવવાના બદલે વિષમ પરિસ્થિતિઓમાંથી રસ્તા કાઢવાનું અહીંથી શરૂ થઈ ચૂક્યું હતું. જરૂરિયાત અને ઇચ્છાઓ વચ્ચેનો ભેદ પણ ત્યારે જ પરખાવા માંડેલો. તે સમયની વાંચન ભૂખ ‘યેનકેન પ્રકારેણ’ સમયને ચોરીને પણ પૂરી કરી લેતી. ડાયરીઓમાં સારાં સંકલનો થતાં રહ્યાં, ભીતર ઘણું કસાતું ગયું અને સ્વ-અક્ષરો પણ ઉપસતાં ગયાં.
પ્રારબ્ધ-પુરુષાર્થના પાઠો વિશે ‘પરમ’ સાથે અનેક પ્રશ્નોત્તરી મનમાં ને મનમાં સતત ચાલતી. પણ જાત સિવાય કોઈ ધર્મગ્રંથો, પ્રવચનો કે મંદિરોની મૂર્તિઓમાંથી કશો ઉત્તર ન મળતો. ઊલ્ટાનું વધુ ને વધુ કસોટીઓ અનુભવાતી ગઈ. પછી તો એની પણ આદત પડતી ગઈ! આજની ચાલુ ગાડીમાંથી પાછલા અરીસામાં જોઉં છું તો સમજાય છે કે જે હતું તે ભલે સારું ન હતું, પણ કદાચ સારા માટે હતું.
આજના સુખ-સવલતો વચ્ચે ઉછરતા બાળકો આ બધું ક્યાંથી મેળવશે? વસ્તુની જેમ વ્યક્તિઓ બદલાય છે અને વહેંચાય છે. લાગણીઓનાં પાનાં પણ ગઈકાલનાં વાસી છાપાંના સમાચારોની જેમ એક કોરાણે મૂકી દેવાય છે. આ લખવાનો આશય અને ધ્યેય પણ અંતરના સ્વત્વને જગાડવાનો છે. હવે પછીની પેઢીનાં પ્રશ્નો અને મૂંઝવણો સમયાનુસાર જુદાં હશે, આર્થિક નહિ હોય; પણ ઉકેલ તો સૌને પહેલાંના લોકોની જેમ જ પોતાની મેળે જ કાઢવાનો રહેશે એ હકીકત સમજાવવાનો છે, દિલથી..
કોલેજમાં જાણીતા સાહિત્યકારો જેવાં કે, શ્રી યશવંત શુક્લ, હાસ્ય લેખક શ્રી મધુસૂદન પારેખ, ટાગોરની બંગાળી કૃતિઓના અનુવાદક શ્રી નગીનદાસ પારેખ અને સંસ્કૃત વિષયના શ્રી પી.સી.દવે મળ્યા, તો મિત્રો પણ ખૂબ ઉમદા મળ્યા. તે સૌ સાવ પોતાના લાગતા. એ વાતાવરણ, ઈતરપ્રવૃત્તિ અને ગીતા, વેદ, કાલિદાસનાં મહાકાવ્યો, શબ્દાર્થમીમાંસા ઘણું બધું શીખવા મળતું. એનાં ખરા અર્થો સમયની સાથે સાથે અનુભવની એરણ પર ટીપાતાં ટીપાતાં ખુલતા ગયા.
ઈતરપ્રવૃત્તિઓની યાદો પણ મનના એક ગોખલેથી ઝળહળ્યાં કરતી રહે છે. સંસ્કૃત ભાષામાં વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લઈ ફાધર વાલેસની હાજરીમાં પ્રથમ ઈનામ મેળવ્યું હતું. કવિ શ્રી ઉમાશંકર જોશી હસ્તક કાવ્યપઠન માટે પણ ઈનામ મેળવ્યું હતું. કોલેજના એ ચાર વર્ષે ઘણું બધું આપ્યું. કોલેજ ડીગ્રીમાં સંસ્કૃત વિષયમાં યુનિ.નો ગોલ્ડ મેડલ મેળવ્યો એ સિદ્ધિ આખી જિંદગી ખુશી અપાવતી રહી અને એને જાળવી રાખવા માટે પ્રેરતી રહી. શિક્ષકોએ સાચું જ કહ્યું હતું કે, કોઈપણ વસ્તુ મેળવવી સહેલી છે, એને જાળવવી અઘરી છે એ શીખ મનમાં ખૂબ જ ઊંડે સુધી ઉતરી ગઈ હતી અને હંમેશા વારંવાર દ્વિધાઓના વળાંક પર દિશાઓ બતાવતી ગઈ. આમ, આર્થિક વિટંબણાઓએ શિક્ષણનો રાહ જરા ( વિજ્ઞાનના ક્ષેત્રમાં ન જવાયું એ રીતે) વાળી તો લીધો.પણ એનો ઝાઝો અફસોસ ન થયો. કારણ કે, દરેક સ્થિતિમાં ‘પ્રાયોરીટી’ પ્રમાણે નિર્ણયો લેવાના હોય છે. અને સાચું શિક્ષણ તો જિંદગીમાંથી મળતું જ રહેતું હોય છે ને? એમ વિચારી મનને જલદી મનાવી લેવાતું.
સવારની કોલેજની સાથે સાથે બપોરથી સાંજના સમયની જૉબ કરી. કદીક ટ્યુશન કર્યા, ટાઈપીંગની નોકરી કરી. જે કાંઈ પૈસા મળતા તે ઘર-ખર્ચમાં ઉમેરણ થતું. બસને બદલે ચાલીને કોલેજ જતી. કપડાંની બે કે ત્રણ જ જોડ રહેતી. એક જોડ ચંપલ ઘણાં વરસ ચાલતી અને એક સ્વેટર ઘણાં શિયાળા ટૂંકાવતી. ૬ ભાઈબહેન હતાં ને? પણ કોણ જાણે એ અભાવ ત્યારે બહું નડતો નહિ. કારણ કે, બીજી સિદ્ધિઓના ગૌરવ આગળ અભાવો ઝાંખા પડતા. આજે એ બધા દિવસો યાદ કરું છું તો હવે…હવે વસમું દેખાય છે. છતાં યાદ કરવાનું જરૂરી એટલા માટે લાગે છે કે, તેમાંથી ઘણું શીખવા મળ્યું અને તેથી વારંવાર યાદ કરી વાગોળવું ગમે છે.
સ્મરણની આ શેરીના વળાંકો કેવા કેવા મોડ પર લાવી ખડા કરી દે છે! અને કેવા જુદા, નવા રસ્તાઓ ખોલી આપે છે!! ૧૯૬૮માં યુનિવર્સિટીની નોકરી શરૂ કરી. ક્લાર્ક તરીકે એકાઉન્ટ વિભાગમાં શરૂઆત કરી. પછી તો સમયાનુસાર પરીક્ષા વિભાગ, અનુસ્નાતક વિભાગમાં અને લાયબ્રેરીમાં પણ કામ કર્યું. તે અરસામાં ઉંમર ૨૦ વર્ષની. એક મોટા કુટુંબની આદર્શ વહુ થવાના ત્યારે ઓરતા જાગ્યા. એક તરફ પોતાના નાનાં ભાઈબહેનો તો બીજી તરફ?! અવનવી દ્વિધા વચ્ચે મન ઝુલતું હતું. દિલ અને દિમાગ વચ્ચે રકઝક ચાલ્યા કરતી હતી.
તેવામાં યોગાનુયોગે જ્ઞાતિ બહારના એક યુવક સાથે જરા મન મળ્યું. નાતજાતના કે ધર્મ સંપ્રદાયોના વાડામાં હું ક્યારેય માનતી ન હતી. ઘરમાં પણ ક્યાં બંધન હતું? પણ સામે પક્ષે જબરદસ્ત ઉહાપોહ અને વિરોધ હોવાને કારણે, ફરી પાછો થોડાં વર્ષો, એક નવો સંઘર્ષ સામે આવી પડ્યો. નવલકથાની જેમ વહેતાં જતાં એ સમયની લાંબી પીંજણ કર્યા વગર એટલું જ કહીશ કે ત્રણ-ચાર વર્ષની ધીરજ અને અવિરત મક્કમતા સરસ કામે લાગી. ‘ગુજારે જે શિરે તારે, જગતનો નાથ એ સહેજે, ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે’ એમ માની એ કસોટીકાળ પૂરો કર્યો અને ૧૯૭૧માં બહોળા નાગર પરિવારના ધ્રુવ કુટુંબમાં પ્રવેશ કર્યો. દૈવયોગ તો કેવો?! રગેરગમાં ભરેલા સાહિત્ય, સંસ્કૃત અને સંગીતનાં બીજને જાણે હવા, પાણી અને પ્રકાશ મળ્યાં!!
નવા જ રીતિરિવાજો, રહેણીકરણીમાં સ્વયંને ઢાળી અને વાળી. ઘણું ઘણું અહીં શીખવા મળ્યું. ૧૧ ઓરડાઓ, ત્રણ અગાશીઓ, મોટો ચોક અને ધાબાવાળા ત્રણ માળના મકાનમાં, વિશાળ સંયુક્ત કુટુંબ મધ્યે થતી તહેવારોની સામૂહિક ઉજવણી, પૂજા-પાઠ, સ્તુતિ, આરતી, મહેમાનોની સતત અવરજવર, દિવાળી-હોળી-ઉત્તરાયણના ઉજવાતા ઉત્સવો વગેરેમાંથી પસાર થતાં વ્યક્તિત્વને, ભીતરથી એક નવો જ આયામ મળતો ગયો. એકદમ સ્વતંત્ર રીતે વિકસેલી મનોવૃત્તિને અહીં સ્વયં સમજણ અને સમજૂતીના સરસ પાઠો મળ્યા. સાચા અર્થમાં અને વ્યવહારું રીતે અહીં ભણતરનો ઉપયોગ થતો ચાલ્યો. પરિણામે શરૂઆતનો સંઘર્ષ થોડાંક જ સમયમાં ઓગળતો ચાલ્યો અને સાહિત્ય, સંગીત અને સંસ્કાર-પ્રિય કુટુંબમાં દૂધમાં સાકરની જેમ ભળીને એકરૂપ થઈ શકાયું. સૌનો સ્નેહ અને શાંતિ એ જ તો ખરો આનંદ. માનવી માત્ર સારો છે માત્ર સંજોગો ક્યારેક વર્ચસ્વ જમાવી દેતા હોય છે !! life is continuous a learning process. સાચા મનથી અને ધીરજથી શીખવાની ભાવના હોય તો સારું ગ્રહણ કરી શકાય છે. એકવાર સારી આદતો પડ્યા પછી એ જ તો ક્રમ બની જાય છે અને સફળતા આપમેળે મળતી રહે છે.
ગીતામાં જરા અઘરી રીતે આ જ વાત કરી છે ને? બસ, કર્મ કર્યે જાવ. ફળ તો આપોઆપ મળશે.
कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन । मा कर्मफलहेतुर्भूः मा ते सङ्गोऽस्त्वकर्मणि॥
જે અવસ્થામાં જે કાંઈ સામે આવી મળે છે તેને યોગ્ય રીતે સ્વીકારીએ, એને વિક્સાવીએ તો સારા વાવેલાં કે મળેલાં બી, થોડી અમસ્તી માવજતથી ઊગ્યા વગર નથી રહેતા. સમય સમયનું કામ કર્યે જાય છે. કોઈનો સમય એકસરખો ક્યારેય રહેતો જ નથી.
૧૯૭૫ થી ૮૦ના ગાળામાં તો નસીબ આડેનાં પાંદડે એક જુદો જ રંગ ધર્યો..
ક્રમશઃ
-
‘ટેરવે ઊગ્યું આકાશ’- એક અવલોકન
દેવિકા રાહુલ ધ્રુવ
મારી ભારતની એ મુલાકાત દરમ્યાન એક સુંદર કાવ્યસંગ્રહ ભેટ મળ્યો! ‘ટેરવે ઊગ્યું આકાશ’.

ઑક્ટો.૨૦૧૭માં ગુજરાતી સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા પ્રકાશિત થયેલ આ પુસ્તકમાં ૧૫મી સદીથી માંડીને ૨૦મી સદી સુધીની ૨૬૧ કવયિત્રીઓના ૩૫૦ જેટલાં કાવ્યોને ૪૨૭ પાનાંઓમાં સંપાદિત કરવામાં આવ્યાં છે. આ સંગ્રહ વાંચતા પાંચ–છ દિવસ લાગ્યા. ઘણાં કાવ્યો બે ત્રણ વખત વાંચ્યા. કવિતાની આ જ ખૂબી છે ને? એક વાર વાંચીને મૂકી ન દેવાય. એટલું જ નહિ, એ અંગે કંઈક સવિશેષ લખવાનું મન પણ થાય!સૌથી પહેલાં કાવ્યાત્મક શિર્ષક અને આકર્ષક ચિત્રાંકન મનને ભાવી ગયાં. જુદાંજુદાં રૂપ,આકાર અને અવસ્થા ધરાવતી સ્ત્રીઓની છાયા..સુકોમળ કરાંગુલિઓ, કલમની પાતળી અણી જેવા અણીદાર અને સંવેદનાઓ જેવાં ધારદાર ટેરવાં અને તેમાંથી ઉઘડતું આકાશ! એકદમ સાંકેતિક રીતે ભાવને આરપાર કરતું (શ્રદ્ધા રાવલ દ્વારા બનાવેલ) મુખપૃષ્ઠ ગમી ગયું. પાકાપૂંઠાના પાછળના પાના ઉપર માનનીય કુંદનિકાબેન કાપડિયાના બે શબ્દો આ સંગ્રહના સર્જનની સિદ્ધિ સૂચવે છે.
ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી વિષ્ણુ પંડ્યા અને મહામાત્ર શ્રી મનોજ ઓઝાની સાથે પૂર્વ અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જહા, શ્રી માધવ રામાનુજ, કવયિત્રી પન્નાબેન નાયક અને લતાબેન હિરાણી દ્વારા લખાયેલ પ્રસ્તાવના/શુભેચ્છા/આભાર વગેરેના પ્રારંભિક પાનાંઓ પણ આ પુસ્તકનાં તમામ સોપાનોને ક્રમિક રીતે પ્રગટ કરે છે.
અકાદમીના પૂર્વ અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જહાના સંપૂર્ણ સહયોગ થકી, ત્રણ અન્ય કવયિત્રીઓની સાથે મુખ્યત્વે લતાબેન હિરાણી દ્વારા સંપાદન પામેલ આ પુસ્તકની કેટલીક કાવ્યાત્મક વાતો અત્રે રજૂ કરવી છે.
મહદઅંશે ગઝલ ( આશરે ૧૩૭) અને અછાંદસ પ્રકાર (આશરે ૧૩૨) ની કવિતાઓ, આંગળીને વેઢે ગણી શકાય તેટલાં લઘુ કાવ્યો, હાઈકુ અને સોનેટ , થોડીક અક્ષરમેળ રચનાઓ (આશરે ૧૫) અને બાકીના આશરે ૫૫ જેટલાં ગીતો વાંચવા મળ્યાં. અધધધ….લાગણીઓના ધોધ છૂટ્યાં છે આમાં અને સ્ત્રીઓની વ્યક્તિગત વિવિધ સંવેદનાઓના, દુનિયા ભરીને દરિયા ઠલવાયા છે!! ખરેખર, આંગળીના ટેરવેથી કલમ દ્વારા કે કીબોર્ડ દ્વારા અંતરના ભાવોના સૌનાં વિશાળ આકાશ ઉઘડ્યાં છે. સર્જન શક્તિમાં સ્ત્રીઓને ક્યાં પ્રમાણની જરૂર છે?!!
આ પુસ્તકમાં વિવિધ રસો, રંગો અને ભાવો ઉમટ્યા છે. એમાં તાજગીભર્યાં નવા કલ્પનો છે, રસોડાનાં રૂપકો છે,તો પ્રકૃતિની રમ્યતા છે. ક્યાંક અંગત વેદના છે,જીવનની વિષમતા છે,ગૂંચ છે, તો ક્યાંક વળી ખુમારી છે અને એક ખાસ મિજાજી અદા છે. કટાક્ષ અને હાસ્ય પણ અહીં જણાય છે. નાજુક નમણી છાની પ્રેમોર્મિઓ છલકાઈ છે તો ક્યાંક દાર્શનિક વિચારો અને ભક્તિભાવની પણ ઝલક દેખાય છે. રસોડા અને પાણિયારાથી માંડીને પિયુ,પીડા,વિરહ,વાત્સલ્ય, પ્રકૃતિ અને પરમ સુધીની વાતો આમાં સુંદર પટોળા રૂપે નીખરી છે. કવિતાના જે સ્વરૂપમાં સર્જકની અનુભૂતિએ આકાર લીધો છે તેમાંથી તે દરેકની પોતાની એક આગવી ઓળખ પ્રગટી છે.
કેટકેટલાં નામો ટાંકવા કે પંક્તિઓ ? જાણીતી અને સિદ્ધહસ્ત કવયિત્રીઓ ઉપરાંત ઘણી નવી કલમો કાબિલેદાદ લાગી. તેમાંથી કોઈના નામો વગર થોડી અડી ગયેલી, થોડી અર્થગંભીર અને થોડી કાવ્યાત્મક્તાથી ભરી ભરી રચનાઓને વાગોળીએ.
અછાંદસ કવિતાની કેટલીક પંક્તિઓ માણીએઃ
‘મધ્યબિંદુઓ બદલાતા જાય છે, સાથે સાથે વર્તુળો બદલાતાં જાય છે’…
‘આજે નવરાશમાં જૂનો કબાટ ખોલીને બેઠી..ફરી આખી જીંદગી જિવાઈ ગઈ.’‘લાગણીઓના કાચાવખ ફળને ચાખતા વેંત ઉબકાઈ જાઉં છું. સમય પહેલાં શતરંજ સમેટવી ઉચિત લાગતી નથી.’
‘હાંફતુ મન બેઠું છે એકાંતના ખભે. મનોભોમના ગાલીચા પર દોડ્યાં કરતા સોનેરી મૃગલા સાથે..”
‘કેટલાય કૃષ્ણોએ સમજાવ્યા ગીતાજી મને.. પણ આજે ફરી મારી જાત નીચે બેસી ગઈ…કુરુક્ષેત્રના અર્જુન સમી..’
‘આ ચિત્રકારને કોઈએ દીઠો? કેરી કેરા મધુર સ્વાદમાં..ચીકુ, કેળાં કે સંતરામાં બહુરંગે દીઠો?’
‘લખ્યા વિનાનો સાવ કોરો સફેદ કાગળ..આંસુએ એની ભીનાશ ટપકાવી દીધી…’
‘કવિતાનો શબ્દ..ક્યારેક કૂકરની બે વ્હીસલ વચ્ચે..કપડાંની ગડી કરતાં ને ઉકેલતાં, કોણ જાણે કયા સળમાંથી નીકળી સામે આવી…મને કહી જાય છે બધું જ… ‘
અહીં કેટકેટલી અનુભૂતિઓની અભિવ્યક્તિ થઈ છે. ક્રમશઃ ફિલોસોફી, સ્મરણો, આશાનો અભિગમ, સમજદારી, વેદના,વાસ્તવિક્તાનો સ્વીકાર, સ્મૃતિનાં પડળો, વિષાદ, અજાયબી, સંવેદના અને રોજબરોજના કામોમાં પણ કવિદ્રષ્ટિ ભારોભાર વર્તાય છે.
ગઝલના કેટલાંક શેર જોઈએઃ
‘બાદબાકી રોજ ખુદની થાય સરવાળા મહીં,
હું ય જીવું છું દિવસ અને રાતના ગાળા મહીં.’‘જાત સાથે રોજ લડ્યા કરીએ,
નવા નવા આપણે જડ્યા જ કરીએ. પ્રશ્નોની સાંકળ થઈ ખખડ્યા જ કરીએ.’‘ઓ શૂન્યતા તું ચાલતી થા મારી ભીતરથી હવે,
નાજુક હૃદય છે મારું, તારું કાયમી ઘર નથી.’‘જીવન ચાકડે ઘૂમી ઘૂમીને રોજ થોડું ઘડાતી આવી.
કાચી માટીનું કલેવર જૂનું, ટપટપ નિત ટીપાતી આવી.’‘મસ્ત છે આ મૌનની જાહોજલાલી,
એટલે ખપતા નથી શબ્દો શરાબી.’‘રાત તો સ્વયં ઉજાસી હોય છે,
ક્યાંક ટમટમતી ઉદાસી હોય છે.’‘સાંજ પડતા રાખમાંથી લાગણી બેઠી થતી,
યાદ સઘળી ભીતરેથી આંધળી બેઠી થતી.’‘આવ્યા પછી એમ કંઈ છટકી શકો નહી!
મારું હૃદય છે એમ કંઈ બટકી શકો નહીં!‘આ વિચારો ક્યાં કદી પકડાય છે?
માત્ર એ કાગળ ઉપર અટવાય છે.’‘સાવ કોરો પત્ર તું એકાદ જો,
થઈ શકે તો મૌનનો અનુવાદ જો.’‘વૃક્ષોની વસિયતમાં લીલાં કાનોમાતર કોણ લખે છે?
પાંપણ પર શમણાંઓની ઠાલી હરફર કોણ લખે છે?‘જીવનનું ગીત છે હયાતીના રાગમાં,
સ્વયંની પ્રજ્ઞા છે માણસ તું ભાગ મા..’‘જેવી મળી આ જીંદગી જીવી જવાની હોય છે.
પળ પળ અહીં દુલ્હન સમી સત્કારવાની હોય છે.’ઉપરના દરેક શેરમાં કેવો આગવો અંદાઝ દેખાય છે?
મનોમંથન, એકલતા, અનુભવમાંથી મળતું શિક્ષણ, મૌનની જાહોજલાલી, ઉદાસી,પડકાર, ગૂઢ સવાલો અને સ્વયંની પ્રજ્ઞાના અર્થસભર ભાવો !!
વાહ..વાહ..
કેટલાંક ગીતોના લય અને માધુર્ય તરફ વળીએ.
‘ધબક ધબક ધબક્યા ધબકારા, ઝુકી ગઈ પલવાર’.
‘આયખાના ઓગળ્યા પહાડ, હવે ઉઘડતાં દીઠાં કમાડ’
‘જળમાં ઝળહળિયાં ઉમટ્યાં ને, પરપોટા થઈ ખીલ્યાં રે,
કોરી આંખે ટશિયા ફૂટ્યાં પાંપણ ઉપર ઝીલ્યાં રે.’‘ફળિયામાં ડોકાતો સૂરજ આવીને સીધો તુલસીના કૂંડામાં પેઠો,
જોત રે જોતામાં એણે આખાયે ફળિયાને બાંધ્યો અજવાળાનો ફેંટો.’
‘શમણાંમાં રસ્તો ને રસ્તામાં વાતો ને વાતોમાં વળગણ છે કાંઈ.
હું તો સમજી કે કોઈ વરસે છે આસપાસ કે મારામાં ફાગણ છે કોઈ!!’‘અખંડ ઝાલર વાગે હૈયે, અનહદ આરત જાગે.’
‘સાંજ પડીને સંતાયો સૂરજ, જઈ ક્ષિતિજના ખોળે.’
‘મારા રસોડામાં સરખું કંઈ થાય નહીં.
વાસણ બહુ ખખડે પણ સરખું રંધાય નહીં..’ઉપરોક્ત લયાન્વિત ગીતોને વાંચતા વાંચતા એક મંજુલ સૂર સંભળાય છે ને? આ તો માત્ર નમૂના જ છે. આવાં તો ઘણાં ગીતો અનોખી છટા લઈને વ્યક્ત થયાં છે.
આ ઉપરાંત જુદા જુદા અક્ષરમેળ છંદમાં રચાયેલ કવિતાઓ નોંધપાત્ર છે. ખરેખર તો માત્રામેળ છંદની ગઝલ હોય કે અક્ષરમેળ છંદની કવિતા હોય..બંને નોંધપાત્ર છે જ. એટલાં માટે કે, ભાવોની છંદમાં ગૂંથણી કરીને કલાત્મક રીતે રજૂ કરવી તે એક અનોખું કવિકર્મ છે. તેમાં જ સર્જકની શક્તિ અને સજ્જતા પરખાય છે અને તે ખૂબ જરૂરી પણ છે. અહીં રજૂ થયેલ લઘુકાવ્યો અને હાઈકુ પણ ઘણાં ચિત્રાત્મક અને કાવ્યાત્મક છે. અગાઉ લખ્યું છે તેમ પારિતોષિકો પામેલ જાણીતી કવયિત્રીઓની પંક્તિઓ ટાંકેલ નથી. કારણ કે, તે સૌની તો આખી કવિતાઓ જ ફરીથી મૂકવી પડે!!
૧૫મી થી ૧૯મી સદી દરમ્યાન ગુજરાતી સાહિત્યમાં ચમકેલાં સ્ત્રી–સર્જકો સાથે ૨૦મી સદીની કવયિત્રીઓને અહીં સાંકળી લઈને સુંદર આયામ આપી એક વિશેષ પ્રદાન કર્યું છે. એમ લાગે છે કે, આ પુસ્તકમાં કવિતાની અને તે દ્વારા સ્ત્રીની સર્જનશક્તિ તથા કૌવતની એક વૈશ્વિક તસ્વીર અને તાસીર ઉપસી છે, એક આશાસ્પદ, શુભદાયી ગૂંજ ઊઠી છે.
છેલ્લે,‘ટેરવે ઊગ્યું આકાશ’ જેવા સુંદર પુસ્તકમાં મારી રચનાને (ગઝલ) ઉમેરવા બદલ આનંદ અને આભારની લાગણી સાથે, સંપાદન કરેલ તમામ વ્યક્તિઓને,પરિબળોને અને હોદ્દેદારોને અભિનંદન અને સલામ.
દેવિકા રાહુલ ધ્રુવ, હ્યુસ્ટન.| સંપર્કઃ Ddhruva1948@yahoo.com
-
આરંભે ડો.આંબેડકર અલગ મતાધિકારના વિરોધી હતા!
નિસબત
ચંદુ મહેરિયા
બાબાસાહેબ ડો.આંબેડકર જીવનના ઉત્તરાર્ધમાં ‘અલગ વસાહતો’ અને ‘ અલગ મતાધિકાર’ ને દલિતોની મૂળભૂત જરૂરિયાત ગણાવતા હતા, પરંતુ ઈતિહાસ ગવાહ છે કે ૧૯૨૮માં સાયમન કમિશન સમક્ષ ડો.આંબેડકરે માત્ર રાજકીય અનામતની માગણી કરી હતી. એટલું જ નહીં, અલગ મતાધિકારનો વિરોધ પણ કર્યો હતો!
કોંગ્રેસે આઝાદ ભારતના રાજ્ય બંધારણનું માળખું ઘડી કાઢવા ઈ.સ. ૧૯૨૮માં મોતીલાલ નહેરુના વડપણ હેઠળ ‘નહેરુ સમિતિ’ ની રચના કરી હતી. આ સમિતિએ સર્વપક્ષીય બેઠક બોલાવીને તેમાં મુસ્લિમ, શીખ, ઈસાઈ, એંગ્લો ઈન્ડિયન, બ્રાહ્મણેતર સંસ્થાઓ અને દ્રવિડ મહાજનોને ચર્ચા માટે નોતર્યા હતા, પરંતુ તેમાં દલિતોનો કે ડો.આંબેડકરનો પક્ષ જાણવો સમિતિને જરૂરી લાગ્યો નહોતો. નહેરુ સમિતિએ તેના અહેવાલમાં દલિતોના રાજકીય પ્રતિનિધિત્વની વાતને સાવ તડકે મૂકી દીધી હતી.
એ સંજોગોમાં સાયમન કમિશન સમક્ષ દલિતોની જે અઢાર સંસ્થાઓએ રજૂઆતો કરી, તેમાં સોળ સંસ્થાઓએ દલિતો માટેના સ્વતંત્ર(એટલે કે અલગ) મતદાર સંઘ(મંડળ) ની માગણી કરી હતી. માત્ર બે જ સંસ્થાઓએ સંયુક્ત મતદાર મંડળ અને રાજકીય અનામતોની માંગણી કરી હરી. આ બે સંસ્થાઓમાંની એક હતી ડો.આંબેડકરની ‘ બહિષ્કૃત હિતકારિણી સભા’ (સ્થાપના ૧૯૨૪). તેમણે દલિતો માટે સંયુક્ત મતદાર મંડળ અને રાજકીય અનામતોની તો માંગણી કરી પણ દલિતોના અલગ કે સ્વતંત્ર મતદારમંડળનો સખત વિરોધ કર્યો હતો!
સાયમન કમિશન સમક્ષ થયેલી કોમી મતદારમંડળોની માગણીને વખોડતા ડો.આંબેડકરે પોતાના અલગ અહેવાલમાં જણાવ્યું હતું : કોમી મતદારમંડળો માટેનો કેસ, વાજબી કહી શકાય તેવા કોઈ પણ કારણસર ટકી શકે તેવો નથી. તેની તરફેણમાં જે કંઈ કહેવાય છે તે માત્ર લાગણી અને ભાવનાઓ જ છે. હું અમુક વર્ગોને ખાસ પ્રતિનિધિત્વ મળે તેમ ઈચ્છું છું. છતાં એ પ્રતિનિધિત્વ તેમને અલગ મતદારમંડળો મારફતે મળે તેની વિરુધ્ધ છું. સૌથી યોગ્ય તો એ જ છે કે અનામત બેઠકોવાળી સંયુક્ત મતદાર મંડળોની પધ્ધતિ જ હોવી જોઈએ. તેનાથી ઓછું કશુંય અપૂરતું ગણાશે.
આમ, દલિતોના જ નહીં કોઈના પણ અલગ મતદારમંડળોના વિરોધી ડો.આંબેડકર, પાછળથી ‘દલિતોએ તેમની સઘળી માગણીઓ જતી કરવી જોઈએ, પણ અલગ મતદારમંડળો અને અલગ વસાહતોની માંગણીઓ ક્યારેય ન છોડવી જોઈએ’ એમ કેમ કહ્યું હશે, એ જાણવા આઝાદી પહેલાંનો ઈતિહાસ, કોંગ્રેસ અને ખાસ કરીને ગાંધીજીનું વલણ તપાસવું જોઈએ.
સાયમન કમિશન સમક્ષ રાજકીય અનામતની ડો.આંબેડકરની માગણી પૂરતા પ્રમાણમાં સંતોષાઈ નહોતી. ગોળમેજી પરિષદના આરંભે તેમણે અલગ મતાધિકારને નહીં પણ પુખ્ત વયના મતાધિકારને પ્રાથમિકતા આપી હતી, પરંતુ બીજી ગોળમેજી પરિષદમાં મુસ્લિમો, શીખો, ખ્રિસ્તીઓ,એંગ્લો ઈન્ડિયનો- એમ સઘળા જૂથોની અલગ મતદાર મંડળોની માગણી સ્વીકારનાર ગાંધીજીએ દલિતોના અલગ મતદાર મંડળોનો જ નહીં તેમની રાજકીય અનામત બેઠકોની માંગણી પણ સ્વીકારી નહીં. એ તબક્કે ડો.આંબેડકરને તેમની રણનીતિ બદલવાની કદાચ ફરજ પડી હશે અને તેમણે દલિતો માટે અલગ મતદારમંડળોને જ મુખ્ય મુદ્દો બનાવ્યો હશે એમ લાગે છે. બીજી ગોળમેજી પરિષદમાં લઘુમતીઓના અધિકારોના મુદ્દે મડાગાંઠ ચાલુ રહી હતી. ડો.આંબેડકરે દલિતો માટે અલગ મતદાર મંડળોની માગણી સબળ રીતે રજૂ કરી અને બ્રિટિશ સરકારને તે સ્વીકારવાની ફરજ પાડી.
એ સમયે ગાંધીજીમાં રહેલો મુત્સદી કેવા કેવા પેંતરાઓ રચે છે તે જાણવા જેવું છે. ડો.આંબેડકર લખે છે: ૧૩મી નવેમ્બર ૧૯૩૧ના આગલા દિવસે લઘુમતી કરાર, ગોળમેજી પરિષદની લઘુમતી પેટા સમિતિને સોંપવામાં આવ્યો, ત્યારે શ્રી ગાંધીએ કુરાનની નકલ લીધી અને રીટ્ઝ હોટેલમાં નામદાર આગાખાનને મળવા ગયા, જ્યાં મુસ્લિમ પ્રતિનિધિઓ ભેગા થયા હતા. શ્રી. ગાંધીએ મુસ્લિમ પ્રતિનિધિઓને પૂછ્યું, અલગ પ્રતિનિધિત્વ માટેનો અસ્પૃશ્યોનો હકદાવો માન્ય રાખીને તમે શા માટે હિંદુ સમાજને વિભાજિત કરી રહ્યા છો? શું કુરાનમાં આવું કરવાની રજા આપેલી છે? મને બતાવો, કુરાનમાં એવું ક્યાં કહ્યું છે? મુસ્લિમ પ્રતિનિધિઓને કદાચ શ્રી ગાંધીના આ પ્રશ્નનો જવાબ આપવાનું અઘરું લાગ્યું હશે..મુસ્લિમ પ્રતિનિધિઓએ શ્રી ગાંધીને શું જવાબ આપ્યો તે હું જાણતો નથી, પરંતુ આ (ગાંધીજીના કુરાનવાળા સવાલ અંગેની) માહિતી મને અત્યંત અધિકૃત રીતે મળી છે. (અનટચેબલ્સ એન્ડ અનટચેબિલિટી: સોશિયલ-પોલિટિકલ-રિલિજિયસ. ડો.આંબેડકર, ગ્રંથ-૫, પૃષ્ઠ-૩૨૩)
આટઆટલા પેંતરાઓ અને પ્રયત્નો છતાં ગાંધીજી ન ફાવ્યા અને અંતે લઘુમતીઓના અધિકારોનો મુદ્દો બ્રિટિશ વડાપ્રધાન પર છોડાયો હતો. બ્રિટિશ વડપ્રધાન રામ્સે મેકડોનાલ્ડે ૧૭મી ઓગસ્ટ, ૧૯૩૨ના રોજ કમ્યુનલ એવોર્ડ (કોમી ચુકાદો) જાહેર કર્યો હતો. તેમાં દલિતો માટે અલગ મતદારમંડળોની માગણી સ્વીકારવામાં આવી હતી. સાથે સાથે આ અલગ મતદારમંડળો અમર્યાદિત સમય માટે નહીં, પરંતુ વધુમાં વધુ વીસ વરસ માટે જ રાખવાની પણ જોગવાઈ કરવામાં આવી હતી.
ગાંધીજીએ ગોળમેજી પરિષદમાં જ દલિતો માટે અલગ મતદારમંડળોનો વિરોધ કર્યો હતો. તેઓ દલિતોને હિંદુ સમાજનો જ એક ભાગ માનતા હતા અને દલિતોનું અલગ રાજકીય પ્રતિનિધિત્વ તેમને હિંદુ એકતા માટે ખતરનાક લાગતું હતું. તેથી, કમ્યુનલ એવોર્ડ અંતર્ગત દલિતો માટેના અલગ મતદાર મંડળોની જોગવાઈના વિરોધમાં તેમણે પૂનાની યરવડા જેલમાં આમરણ ઉપવાસ કરવાની જાહેરાત કરી. ગાંધીજીના ઉપવાસ અને તે અંગેના ડો.આંબેડકરના વલણનો ઈતિહાસ બહુ જાણીતો છે. ડો.આંબેડકરને ગાંધીજીના ઉપવાસના શસ્ત્ર સામે ઝૂકવું પડ્યું, દલિતોના અલગ મતાધિકારની માગણી જતી કરવી પડી અને રાજકીય અનામત બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો.
કોમી ચુકાદામાં અલગ મતદારમંડળો અને સામાન્ય મતદારમંડળો એમ બેવડા મતનો લાભ હતો. વળી દલિત જ દલિતને ચૂંટે તેવી પણ જોગવાઈ હતી. પૂના કરારને કારણે કોમ્યુનલ એવોર્ડ કરતાં બમણી બેઠકો દલિતોને મળી , પણ યોગ્ય પ્રતિનિધિત્વ છીનવાઈ ગયું.
કોમી ધોરણે મતાધિકારની માંગણી કરનાર ડો.બાબાસાહેબ આંબેડકરને ૧૯૩૭ની પહેલી ચૂંટણીમાં ‘ ઈન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટી’ ની રચના કરવાની જરૂર જણાઈ હતી. મુંબઈ વિધાનસભાની કુલ ૧૭૫ બેઠકોમાં અનામત બેઠકો માત્ર ૧૫ જ હતી. ત્યારે બાબાસાહેબને જ્ઞાતિના ધોરણે નહીં પણ વ્યાપક સમર્થનવાળા રાજકીય પક્ષની રચના યોગ્ય લાગી હતી.એટલે તેમણે ઈન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટી(સ્વતંત્ર મજૂર પક્ષ) ની રચના કરી હતી.
પૂના કરારના લગભગ સવા નવ દાયકે, અલગ મતાધિકારની માંગ બુલંદ કરનાર સૌએ દલિતોના પેટા જ્ઞાતિવાદના મુદ્દે આ માંગણી(અલગ મતદારમંડળની) વિચારવા જેવી છે. ખુદ બાબાસાહેબને પણ દલિતોના પેટા જ્ઞાતિવાદનો ઠીક ઠીક અનુભવ થયો હતો. આજે વકરેલા દલિત પેટા જ્ઞાતિવાદના સંદર્ભમાં અલગ મતાધિકારની માંગણી કેટલી યોગ્ય ઠરે તે વિચારવું રહ્યું.
ગુજરાતની દલિત વસ્તીમાં સાવ જ નજીવું પ્રમાણ ધરાવતી દલિત પેટાજ્ઞાતિના ઉમેદવારો રાજકીય અનામત બેઠકો અને રાજકીય પક્ષોની પસંદગીના કારણે ધારાસભા કે લોકસભામાં ચૂંટાઈ શક્યા છે. ગંગાબહેન વાઘેલા, ભાનુભાઈ વાઘેલા, ચંદ્રકાંત વાઘેલા, દર્શનાબહેન વાઘેલા,ચંદ્રાબહેન શ્રીમાળી અને પૂનમભાઈ મકવાણા જેવા નામો તરત યાદ આવે. દલિતોમાં દલિત એવી દલિત પેટા જ્ઞાતિઓના આ ઉમેદવારો અલગ મતાધિકારમાં સત્તાના રાજકારણમાં સ્થાન બનાવી શક્યા હોત ખરા?
સુપ્રીમ કોર્ટના અનામતમાં પેટા વર્ગીકરણના મુદ્દે દલિતોની સંખ્યામાં વર્ચસ ધરાવતી પેટા જ્ઞાતિઓનું વલણ હાલમાં જણાઈ આવ્યું છે તે સંજોગોમાં અલગ મતાધિકારમાં દલિતોની સર્વ જ્ઞાતિઓનું સમાવેશન શક્ય બન્યું હોત ખરું ? તે બાબત પણ વિચારવા જેવી નથી શું? .
પૂના કરારને કારણે ૧૯૩૭માં પ્રાંતિક ધારાસભાઓમાં ૧૫૧ અનામત બેઠકોમાંથી કોંગ્રેસને ૭૮ બેઠકો મળી હતી.એટલે કે લગભગ પચાસ ટકા જેટલી જ. મુંબઈ વિધાનસભાની મોટાભાગની અનામત બેઠકો ડો.આંબેડકરના પક્ષને મળી હતી. જો બાબાસાહેબ દલિતોના રાજકીય સંગઠન તરફ વધુ લક્ષ આપી શક્યા હોત, તેમને દલિતોનો અખિલ ભારતીય પક્ષ રચવાની તક મળી હોત અને પૂના કરારની પ્રાથમિક ચૂંટણીની શરત તેના ખરા અર્થમાં અમલી બની હોત તો આજે દલિતોના રાજકીય પ્રતિનિધિત્વનો ઈતિહાસ જુદો હોત. રાજકીય અનામત અને અલગ મતાધિકારની ચર્ચા વેળાએ આ બધા મુદ્દાઓ ધ્યાનમાં રાખવાની જરૂર છે.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
ઓક્ટોબરની ઐતિહાસિક સ્મૃતિ કઈ?
તવારીખની તેજછાયા
પ્રકાશ ન. શાહ
દિવાળી પછી તરતના દિવસોમાં, સંકેલાતા ઓક્ટોબરે સરદાર અને ઈંદિરાજીના- એકની જયંતી તો બીજાની સ્મૃતિનાં સહિયારાં સંભારણે ચિત્તમાં સ્વરાજ વિચારનું વિલક્ષણ ચગડોળ ચાલતું અનુભવું છું.
આમ તો એ ૧૯૮૨ના નવેમ્બરની ૧૫મી હતી, જ્યારે વિનોબાજી આપણી વચ્ચેથી ગયા. તિથિએ કરીને એ જોકે દિવાળીનો દિવસ હતો. એમણે સહજપણે લય પામવાનું સ્વીકાર્યું, ઉમાશંકર જોશીએ જેને એમના યોગમૃત્યુ તરીકે જોયું, એ પર્વ દિવાળીનું હતું, મહાવીરનુંયે નિર્વાણ પર્વ.
ઓક્ટોબરનો મહિનો આપણા સ્વરાજ લડવૈયાઓ અને સ્વરાજ નિર્માતાઓની સંમિશ્ર સ્મૃતિઓએ ભરેલો છે. બીજી ઓક્ટોબર જો ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રીનું સ્મરણ લઈને આવે છે તો ઓક્ટોબરની આઠમી એ જયપ્રકાશનો સ્મૃતિ દિવસ છે, અને અગિયારમી એમનો જન્મદિવસ. વળતે દહાડે, બારમી ઓક્ટોબરે રામમનોહર લોહિયાનો સ્મૃતિ દિવસ. (આમેય લોહિયા જન્મદિવસ મનાવવા બાબતે લગારે ઉત્સાહી નહોતા, કેમ કે એમની જન્મતારીખ ૨૩મી માર્ચ, ભગતસિંહને ફાંસી અપાયાનો દિવસ હતો.)…
અને હવે ૩૧મીએ સરદાર જયંતી ને ઈંદિરા સ્મૃતિ! અહીં લગી તો જાણે કે બધું પાઠ્યપુસ્તકી તારીખિયા જેવુંય લાગે, પણ આ બધી લગરીક દૂરના તો પણ ઠીક ઠીક નજીકના ઈતિહાસની રીતે લટિયે જટિયે ગુંથાયેલી વાતો ખરેખર તો છે. બેસતું પખવાડિયું વળી વોટ્સએપ વિશ્વવિદ્યાલયના વિશેષ ને વિશિષ્ટ વહાલા જવાહરલાલનીયે જન્મજયંતી (૧૪ નવેમ્બર)નું છે.
ગયેલાં ને આવતાં અઠવાડિયાંના પિસ્તાળીસ દિવસના ફલક પર જોશો તો હમણાં જે નામો ગણાવ્યાં એમાં બે ત્રિપુટીઓ વણાયેલી છે…
અને, જોકે, એમાં એક નામ સરખું છે, અને તે ગાંધીનું. મુદ્દે, સ્વરાજ સંગ્રામ હો કે સ્વરાજ નિર્માણ, એકેય તબક્કો એવો નથી જ્યાં ગાંધી હાજરાહજૂર ન હોય. સ્વરાજ લડતનું ત્રીજું ચરણ જો ૧૯૨૦થી ૧૯૪૭નું ગણીએ તો એનો શીર્ષ તબક્કો ગાંધી-નેહરુ-પટેલ એ સ્વરાજ ત્રિપુટીનો છે. ત્રણેની વિશેષતાઓ (અને એથી અલગ અલગ હોવું) છે તો વિલક્ષણ એકંદરમતીનું વલણ પણ છે.

રાજમોહન ગાંધીએ એમનો સંબંધ મોટા ભાઈ, નાના ભાઈ (ગાંધી-નેહરુ) વચ્ચેના સંબંધ તરીકે ઓળખાવ્યો છે. પિતૃવત્ મોટા ભાઈએ ભળાવેલી જવાબદારીનું શિસ્તબદ્ધ એટલું જ સ્નેહમંડિત નિર્વહણ વલ્લભભાઈએ જવાહર પરત્વે કર્યું છે.
વિભાજન અને એમાં પણ ગાંધીહત્યા પછીના દિવસોમાં વલ્લભભાઈના બે યાદગાર હૃદયોદગાર સચવાયેલા છે. હૃદયરોગનો હુમલો આવ્યો અને જતાં જતાં બચ્યા ત્યારે આંખ ઉઘાડવા સાથે વલ્લભભાઈનું પહેલું વાક્ય છે- મને બાપુ પાસે જતો કેમ રોક્યો! અને હા, મણિબહેનની ડાયરી બોલે છે, રાત વરત બાપુની (વલ્લભભાઈની) આંખ ઊઘડી જાય છે ત્યારે મોંમાંથી ચિંતાના ઉદગારો સરે છે, ક્યાંક જવાહરનુંયે એવું તો નહીં થાય ને… જેવું બાપુનું થયું?
તેમ છતાં ૧૯૪૭ આસપાસના ગાળામાં ત્રણે વચ્ચે જે અંતરના ઝોલા જણાય છે એનું એક મહદ કારણ એ છે કે ગાંધી લોકમોઝાર છે જ્યારે નેહરુ-પટેલને હિસ્સે રાજ્યનું દાયિત્વ છે. અલબત્ત, નેહરુ-પટેલ પણ પાક્યા તો છે લડતના નિંભાડામાં જ. પણ રાજવટના સવાલો અને ગાંધીનું લોકાયન, મેળ નયે પડે.
આ તબક્કે ચિત્રમાં, એમ તો, કૃપાલાણી, લોહિયા ને જયપ્રકાશ પણ લોકછેડેથી આવી શકે, કેમ કે ત્રણે સ્વાતંત્ર્યસૈનિક છે અને રાજ સાથે સીધું કામ પાડતે છતે સત્તામાં તો નથી. ગાંધી-નેહરુ-પટેલ એમ કહ્યું પણ વચગાળાનાં વરસોમાં ૧૯૪૦માં એક, પૂર્વે અણગાજ્યું નામ એકાએક ચિત્રમાં આવ્યું છે- વિનોબાનું. ૧૯૪૦માં અંગ્રેજ સરકાર સામે ધ્યાન ખેંચો તરેહની વિરોધ લડતનો એક તબક્કો તે વ્યક્તિગત સત્યાગ્રહનો શરૂ થાય છે. ગાંધીની યાદીમાં પહેલું નામ વિનોબાનું છે, બીજું જવાહરનું.
વિલક્ષણ વ્યક્તિ બલકે વિભૂતિ છે આ વિનોબા. તેજસ્વી વિદ્યાર્થી. ૧૯૧૬માં વડોદરાથી ઘરબાર છોડી ડિગ્રીબિગ્રી પધરાવી નીકળી પડ્યા છે. એક પા હિમાલયની શાંતિ સાદ દે છે, બીજી પા બંગાળની ક્રાંતિનીયે અપીલ છે. બનારસ પહોંચ્યા છે. અહીંથી ગાડી હિમાલય તરફ જાય અને બંગાળ તરફ પણ. માલવિયાજીએ શરૂ કરેલી કોલેજના અવસરે ગાંધીજીએ કરેલું ભાષણ હવામાં છે. ગોખલેની સલાહ પ્રમાણે એક વરસના મૌન અભ્યાસભ્રમણ પછીનું આ પહેલું ભાષણ છે- નવા જાહેર જીવન સારુ બિગબેંગ ઘટના જાણે! ભાષણમાં નથી જતો- એટલું જ નોંધું છું માત્ર કે એમાં વિનોબાને શાંતિ ને ક્રાંતિ બેઉનાં દર્શન થયાં અને એ આશ્રમવાસી બની ગયા.
આ ભાષણ બાળ રામમનોહર લોહિયા લગી પણ પહોંચ્યું છે. ૧૯૧૦માં જન્મ, અક્ષરશ: બાળક છે, પણ સ્વાતંત્ર્યસૈનિક પિતાને કારણે પરિવારમાં બાળવર્ષોમાં થતી ચર્ચા સાંભળતે સાંભળતે કિશોરાવસ્થાએ પહોંચતા એ લડાકુ દિમાગના બને છે. વિનોબાને પકડાયેલ શાંતિ ને ક્રાંતિનું સાયુજ્ય લોહિયાની ચિત્તભૂમિમાં સત્યાગ્રહી રૂપ લે છે. દેશ આઝાદ થવામાં છે અને લાંબી યાતનામય જેલ પછી આરામની ગણતરીએ લોહિયા ગોવા પહોંચ્યા છે. પોર્ટુગલની જોહુકમી એમનામાંનો સત્યાગ્રહી સ્વીકારી શકતો નથી. જેલ વહોરે છે. ગાંધી કહે છે, લોહિયા જેલમાં છે તો ભારતનો સ્વાતંત્ર્યકાંક્ષી અંતરાત્મા પણ જેલમાં છે.
લોહિયા વહેલા ગયા, ૧૯૬૭માં, આખા સત્તાવન વરસે. દરમ્યાન, જયપ્રકાશ પક્ષીય રાજકારણ છોડી ભૂદાનમાં પડ્યા- નવી ત્રિપુટી બની, ગાંધી-વિનોબા-જયપ્રકાશ… અંધેરે મેં તીન પ્રકાશ. પણ કટોકટી આવી અને વિનોબાનું હંમેશની નિરપેક્ષતાપૂર્વક છતાં સંદિગ્ધ જણાયું. ૧૯૪૭માં સંપૂર્ણ ક્રાંતિનો નારો લઈને નીકળી પડેલા જયપ્રકાશ હવે લડાકુ લોહિયાનુંયે સ્મરણ જગવવા લાગ્યા. નવો નારો આવ્યો… અંધેરે મેં તીન પ્રકાશ- ગાંધી, લોહિયા, જયપ્રકાશ.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૨૯– ૧૦– ૨૦૨૫ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
વાસ્તવિકતાની ક્ષિતિજની પેલે પાર
મંજૂષા
વીનેશ અંતાણી
એક અપ્રગટ નવલકથામાં મૃતાત્માઓને રહેવાના સ્થળની કલ્પના કરવામાં આવી છે.

ગ્રીક પૌરાણિક કથા પ્રમાણે સૂર્ય સમુદ્રમાં અસ્ત પામે છે એની પાછળની જગ્યામાં હેસ્પરિડ્ઝનો સ્વર્ગીંય બગીચો હતો એ સ્થળનું આકાશ ગાઢ લીલા રંગનું છે. એની નીચે જાંબુડી અને રાખોડી રંગનાં વાદળ સ્થિર ઊભાં છે. મુલાયમ હવામાં ક્યારેક વિષાદની તો ક્યારેક શાતા આપતી લહેરખીનો સ્પર્શ થાય છે. જગ્યાએ જગ્યાએ આછા ધુમ્મસી રંગના ફુગ્ગા ઊડે છે. એ ફુગ્ગાઓમાં મૃત લોકોના પૂર્વજન્મની સ્મૃતિઓ ભરી છે. કોઈ ફુગ્ગા કાગળના ફાનસમાં મૂકેલી મીણબત્તીના અજવાળાથી પ્રકાશિત હોય છે, તો કોઈ ફુગ્ગામાં બુઝાવા આવેલો દીવો ટમટમે છે. સમગ્ર વિસ્તારમાં ચાંદી જેવા રંગની સુંવાળી રેતી પથરાયેલી છે. આ સ્થળની ચારે બાજુ દૂર દૂર સુધી ભૂખરા પર્વતોની હારમાળા આવેલી છે. એ પર્વતોની વચ્ચે રાજહંસ જેવાં શ્વેત સરોવરો આવેલાં છે. વૃક્ષોની ડાળીઓ પર ઝગમગતા હીરા જેવાં ફૂલો ખીલ્યાં છે.
અહીં સમય સીધી રેખામાં ચાલતો નથી, ચક્રાકારે વમળાતો ગતિ કરે છે. અહીં નિવાસ કરતા મૃતાત્માઓ પાસે વાણી નથી. તેઓ ભાષાથી પર થઈ ગયા છે. તેમ છતાં પૃથ્વી પર વસતાં સ્વજનો સાથે સંવાદ કરવાની ઇચ્છા થાય ત્યારે તેઓ મૂક સંવાદ કરી શકે છે. ક્યારેક સ્વજનોનાં સપનાંમાં આવે છે, ક્યારેક સંકેતોથી પોતાના અદૃશ્ય અસ્તિત્વનો આભાસ કરાવે છે. અત્યંત સંવેદનશીલ પરિવારજનોને એમના મૃત પૂર્વજોની હરફરના આછા ભણકાર થાય છે.
માનવજાતને પ્રાચીન સમયથી અસીમ આકાશ, ઊંચા પર્વતો, વિશાળ સમુદ્રો અને દિશાઓની પેલી પાર શું આવેલું હશે એ જાણવાની જિજ્ઞાસા રહી છે. એ માટે માનવોએ પુરાકથાઓ, દંતકથાઓ, કાવ્યો, મહાકાવ્યો અને નાટકોમાં કાલ્પનિક જગતનું નિર્માણ કર્યું છે અને એ માર્ગે તેઓ વાસ્તવિક જગત અને કાલ્પનિક જગત વચ્ચેનું અંતર કાપવાની મથામણ કરતા રહ્યા છે. આ કથાઓ રોજિંદી જિંદગીના એકધારાપણા અને હતાશામાંથી બહાર લાવી માનવોમાં એક પ્રકારની આસ્થા જન્માવે છે.
હિંદી અને ઉર્દૂના જાણીતા લેખક ખાલિદ જાવેદે એમની નવલકથા ‘અરસલાન અને બહઝાદ’માં એક વિશિષ્ટ પ્રદેશની વાત કરી છે. પ્રાચીનતમ વાર્તાઓથી માંડી નવી વાર્તાઓ આ પ્રદેશમાં જન્મે છે, પોષણ પામે છે અને દુનિયાભરમાં પ્રસરે છે. આખી દુનિયાના સાહસિક પ્રવાસીઓ, વહાણવટીઓ, યાત્રાળુઓ અહીં આવે છે, તેઓ એમણે બીજેથી સાંભળેલી, જાતે અનુભવેલી, કથાઓ અહીં મૂકી જાય છે અને નવી કથાઓ એમની સાથે લઈ જાય છે. એ રીતે કથાઓ એક સ્થળમાંથી બીજાં સ્થળોમાં પહોંચે છે. એ કથાઓમાં સત્યકથાઓ હોય છે, પુરાકથાઓ હોય છે, લોકકથાઓ અને દંતકથાઓ હોય છે. પેઢી દર પેઢી ઊતરી આવતી આ કાલ્પનિક કથાઓ વાસ્તવિક જગતમાં બનેલી હકીકતોના દસ્તાવેજોથી વધારે પ્રતીતિકર લાગે છે.
માનવસમુદાયે યુગોથી યાદ રાખેલી કથાઓનો જાદુ સંસ્કૃતિના વિકાસમાં ખૂબ મહત્ત્વનો ફાળો આપે છે. આવા જ પ્રકારની વાત મૂળ ભારતનાં અંગ્રેજી લેખિકા ટશન મહેતા એમની ‘મેડ સિસ્ટર્સ ઓફ એસી’ નામની ફેન્ટસી નવલકથામાં જુદી રીતે આલેખી છે. એમાં એમણે દુનિયાની બધી સંસ્કૃતિમાં પ્રચલિત કથાઓના મ્યૂઝિયમની કલ્પના કરી છે. આ મ્યૂઝિયમમાં હજારો-લાખો ઓરડા આવેલા છે. એ અંતહીન વિશાળ ઓરડાઓમાં દુનિયાના આરંભથી માંડી આજ સુધીની વાર્તાઓનો ખજાનો ભર્યો છે. આ મ્યૂઝિયમમાં પ્રવેશ કરવા માગતી વ્યક્તિએ ‘ખુલ જા સિમ સિમ’ની જેમ માત્ર ‘ખુલ’ બોલવાની જરૂર હોય છે. ‘ખુલ’ કહેતાની સાથે જ મ્યૂઝિયમના તોતિંગ દરવાજા ઊઘડી જાય છે. અહીં પ્રવેશ કરનાર લોકોને આ જગ્યા અજાણી નથી લાગતી. એમને લાગે છે કે તેઓ એમનાં દાદા-દાદી પાસેથી નવી નવી વાર્તાઓ સાંભળવા પોતાના જ ઘરમાં આવ્યાં છે.
આપણાં પુરાણોમાં મેરુ પર્વતનો ઉલ્લેખ છે. પૃથ્વી અને આકાશને જોડતો આ દૈવી પર્વત બ્રહ્માંડના કેન્દ્રમાં સ્થિત છે. એના શિખર પર વિશાળ સુવર્ણનગરી આવેલી છે. દેવોનું સ્વર્ગ મેરુ પર્વત પર આવેલું છે. સૂર્ય, ચન્દ્ર અને બીજા ગ્રહો મેરુ પર્વતની આસપાસ ભ્રમણ કરે છે. જૈન અને બૌદ્ધ ધર્મમાં પણ મેરુ પર્વતનો ઉલ્લેખ જોવા મળે છે. તિબેટની બૌદ્ધ પરંપરા અને હિન્દુ પૌરાણિક કથાઓમાં હિમાલયમાં કોઈ જગ્યાએ એક દિવ્ય સ્થળની કલ્પના કરવામાં આવી છે. અત્યંત પવિત્ર એવું આ સ્થળ જ્ઞાન, શાંતિ, કરુણા અને ઉચ્ચ કક્ષાની આધ્યાત્મિકતાનું કેન્દ્ર છે. આ સ્થળમાં શુદ્ધ હૃદયના લોકો જ નિવાસ કરી શકે છે.
એક ગ્રીક પૌરાણિક કથા પ્રમાણે સૂર્ય પશ્ચિમ દિશામાં સમુદ્રમાં અસ્ત પામે છે એની પાછળ એક રહસ્યમયી જગ્યા આવેલી હતી. એ જગ્યામાં સ્વર્ગીંય બગીચો હતો. એ બગીચાને ‘હેસ્પરિડ્ઝનો બગીચો’ કહેવાતો કારણ કે એની સારસંભાળ લેવાની જવાબદારી હેસ્પરિડ્ઝ તરીકે જાણીતી ત્રણ અપ્સરાઓની હતી. એ અપ્સરાઓનું રૂપ સંધ્યા સમયના સૂરજની લાલિમા જેવું હતું. બગીચામાં સુંદર ફૂલોથી શોભતાં વૃક્ષોની વચ્ચે સોનાના સફરજનનું એક વૃક્ષ આવેલું હતું. એ સોનાનાં સફરજન પ્રાપ્ત કરી શકનાર વ્યક્તિને અમરત્વ મળે છે એવી માન્યતા હતી. બગીચાનું રક્ષણ એક ભયાનક અજગર કરતો હતો. એથી માનવો કે દેવો ત્યાં સુધી પહોંચી શકતા નહોતા, છેવટે ગ્રીક પૌરાણિક કથાઓનો મહાન યોદ્ધા હરક્યુલિસ અજગરને હરાવી સોનાનાં સફરજન લઈ જવામાં સફળ થયો હતો.
દુનિયાની દરેક સંસ્કૃતિમાં આ પ્રકારની અનેક કથાઓ પ્રચિલત છે. દુનિયાભરના લોકો જાતજાતની કથાઓ રચીને વાસ્તવિક ક્ષિતિજોની પેલે પાર આવેલા કોઈ અગમ્ય સ્થળની પરિકલ્પના કરતા રહ્યા છે. પ્રાચીન કથાઓનું અર્થઘટન કરનાર અભ્યાસીઓ કહે છે તેમ એ કથાઓમાં માનવોની તુચ્છ જીવનથી ઉપર ઊઠી કોઈ દિવ્ય લોકમાં પહોંચવાની આકાંક્ષાનું પ્રતિબિંબ પડે છે.
માનવજાત પોતાની પહોંચની બહાર આવેલાં અલૌકિક પર્વતો, સમુદ્રો, ટાપુઓ, બગીચા, આત્માઓનાં નિવાસસ્થાન જેવાં સ્થળોની કલ્પના કરી રોજિંદા સુખ-દુ:ખોને ભૂલવાની કોશિશ કરે છે. જ્યાં સુધી અગમ્ય સ્થળોની કથા રચવાનું ચાલુ રહેશે ત્યાં સુધી નવી નવી કથાઓ રચાતી રહેશે. ક્થાની કાલ્પનિક ભૂમિ માનવમનની અતૃપ્ત ઇચ્છાઓને પૂરી કરવાનું દિવ્ય સ્થળ છે.
શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
‘દિવ્ય ભાસ્કર’ની ‘રસરંગ’ પૂર્તિમાં લેખકની કૉલમ ‘ડૂબકી’માં આ લેખ પ્રકાશિત થયો હતો.
-
વર્ક ફ્રોમ હોમ
વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
નમસ્તે, હું ……..
જવા દો મારી ઓળખાણ શું આપું, કારણ કે આ કથા, આ વ્યથા મારા એકલાની નથી. પુરુષપ્રધાન યુગમાં કોવિડકાળથી શરૂ થયેલી ‘વર્ક ફ્રોમ હોમ’ કાર્યપદ્ધતિમાં મજબૂરીથી ગૃહકાર્યનું કૌશલ્ય મેળવવા મથતા મારા જેવા લાખો પુરુષોની વાત છે.
માત્ર ઘરમાંથી આ આગ્રહ કે દબાણ હોત તો સમસ્યા નહોતી, પણ આ સમસ્યા તો સામાજિક કક્ષાએ પહોંચી છે. પડોશીઓ, દોસ્તોથી માંડીને ઑફિસના સહકાર્યકરો સુદ્ધાં પોતાની ગૃહકાર્ય કૌશલ્યની વાતો કરતા થઈ ગયા છે.
કોઈ એક મધ્યવર્ગી માણસ સુધી આ વાત સીમિત રહી હોત તો ઠીક, પણ હવે તો ફિલ્મી સિતારાઓ પણ સોશિયલ મીડિયા પર ઘરમાં રહીને પોતે શું કરે છે એની વિડીયો મૂકતા થઈ ગયા છે એટલે આપણે પણ મજબૂરીથી કરવાં પડતાં કામને પૅશન કહીને પોરસાવાની ફેશન અપનાવે જ છૂટકો.
આમ તો મેગી બનાવવાનો કસબ તો નાનપણથી જ શીખી લીધો હતો.
મેગીમાંથી મેક એન્ડ ચીઝ, રીંગણાંમાંથી રૅવિઓલી, વ્યાપારમાંથી મોનૉપોલી, બોમ્બેમાંથી મુંબઈ કહેવાનું ક્યારે શરૂ થયું એ યાદ નથી, પણ એમ.બી.એ કરીને મુંબઈ આવ્યો ત્યારથી દોસ્તો સાથે રહીને ખાવાનું બનાવતા કેવી રીતે શીખ્યો એ યાદ છે. સમય જતાં શાકમાં સ્વાદ અને રોટલીઓનો આકાર ગોળ આવવા માંડ્યો. પણ, હજુ ભીંડાની ચીકાશ અને અળવીથી ગળામાં થતી ખંજવાળ તો કૌતુકના વિષય જ રહ્યા છે અને લાગે છે કે કદાચ હંમેશાં રહેશે.
જ્યારે જ્યાં અટવાતો ત્યારે મમ્મીની યાદ આવી જતી. સમસ્યા કે સમાધાન માટે ‘ફોન અ ફ્રેન્ડ’માં મમ્મીને ફોન કરવામાં જરાય વાર નહોતી લાગતી. એ જેમ જેમ બતાવે એમ એમ કરતો. હા, ઢોળફોડ ઘણી થતી. ઠીક છે, એ સાફ કરતા કેટલી વાર?
સમય જતા લગ્ન પછી એકમાંથી બે, બેમાંથી ત્રણ થયાં. ઘરનો મોરચો શ્રીમતીજીએ સંભાળી લીધો અને ગૃહકાર્યમાંથી છૂટકારો થયો.
લગ્ન પછી તો સૌની જેમ ઑફિસમાં જાણે કેટલુંય કામ કરીને આવ્યો હોઉં એમ, “માણસ આખો દિવસ કામ કરીને આવ્યો હોય, થોડો થાકેલો હોય તો જરા આરામ તો કરવા દો” એવા ડાયલોગ્સ અવારનવાર બોલવા માંડ્યો.
કોઈ પણ સ્ત્રીએ લગ્ન પહેલાં પિતા, લગ્ન પછી પતિને આવું કહેતા સાંભળ્યા જ હશે. ન્યાય કે તટસ્થતાથી વિચારીએ તો સમજાય કે, ખરેખર તો કેટલાય વર્ષોથી સ્ત્રીઓ ઘરનો અને હવે તો બહારનોય ભાર વેઠી રહી છે, પણ આપણે ક્યાં એવું વિચારવા બેસીએ છીએ?
પણ, કોવિડ સમયના લૉકડાઉનમાં ‘વર્ક ફ્રોમ હોમ’ ચલણમાં આવ્યું ત્યારથી ખરાખરીનો ખેલ શરૂ થયો. થોડા સમય પહેલાં ‘વર્ક ફ્રોમ હોમ’ ની સગવડ ધરાવતા લોકોની ઈર્ષ્યા થતી. હવે વાસ્તવિકતા સામે આવી, ‘વર્ક ફ્રોમ હોમ’નો અનુભવ થયો ત્યાર બાદ એ સૌની તકલીફ સમજાઈ.
ભારે ઉત્સાહથી સવારે પ્રોટીન શેક, લેપટોપ અને ટિફિન લઈને ઑફિસ જવાનું, ટી, લંચ કે સ્નેક-બ્રેક સમયે નિરાંતે ટોળટપ્પાંને કામમાં ખપાવી, ઢગલો થાક લઈને ઘેર આવતા ત્યારે લાગતું કે હવે બીજા કોઈ કામ કરવાની તાકાત જ રહી નથી.
‘‘વર્ક ફ્રોમ હોમ’ શરૂ થયું કે ઑફિસનું આ જ કામ ત્રણ-ચાર કલાકમાં પૂરું, હવે?
ઔપચારિકતા ખાતર શ્રીમતીને પૂછી લીધું, “ઘરના કોઈ કામમાં મદદ કરી શકું તો બતાવજે.”
શ્રીમતીએ બાળકો સંભાળવાની જવાબદારી સોંપી. હજુ થોડી વધુ મદદ કરી શકાશે એવું લાગતાં કામનું કામ છતાં આસાન હોય એવા કામની યાદી બનાવી. જેમ કે, ખાવાનું બનાવવું, કપડાં ધોવાં, કચરા-પોતાં કરવા, વગેરે વગેરે.
ઘણું વિચાર્યાં પછી પોતાં મારવાનું કામ સૌથી સરળ લાગ્યું. લાંબા ડંડા પર કપડું બાંધીને ડોલના પાણીમાં પોતું ભીનું કરીને હૉકીમાં ડ્રિબલ કરીએ એમ એ લઈને ઘરમાં આમતેમ ફેરવવાનું. દેખીતી રીતે આ જરાય મોટું કે ખોટું કામ ન લાગ્યું.
બીજા દિવસે સવારમાં ચા-નાસ્તો કરવાની સાથે એલાન કરી દીધું, “આજથી પોતાં કરવાનું કામ મારું.”
શ્રીમતીજીએ સંમતિસૂચક મુંડી હલાવી. સમય થયો એટલે ડોલમાં પાણી ભરીને કામ શરૂ કર્યું જ ને પાછળથી અવાજ આવ્યો, “અરે! પાણીથી તરબતર, આટલું ભીનું પોતું ના કરો ભઈસા’બ.”
ડીમૉનેટાઇઝેશન, ક્વૉરન્ટાઇન, મૉરેટૉરિયમની જેમ આજે આ ‘ભીનું પોતું’ શબ્દ પણ ભારે ભારેખમ લાગ્યો.
વિચાર આવ્યો, “અરે આ નિર્દયી સમાજ ! ગરીબ બીચારાં ચીંથરાં જેવા ‘પોતાં’ને પણ ભીનું અને સૂકું જેવી અલગ અલગ કક્ષામાં વહેંચી નાખ્યું?”
મનનું સમાધાન શોધવા અને વધુ સારી રીતે કામ કરી શકાય એ માટે શ્રીમતીજી પાસે વધુ જાણકારી માંગી. શ્રીમતીજીએ કુશળ કૉચની જેમ એકદમ વ્યવસ્થિત રીતે પ્રેક્ટિકલ જ્ઞાન પીરસ્યું.
પછી તો શ્રીમતીજીએ ભીનાં-સૂકાં પોતાંથી આગળ વધીને ચા,દાળ, છોલે…વગેરે વગેરે કેવી રીતે બનાવવા એનું વ્યવહારુ જ્ઞાન આપવાનીની સાથે પ્રેક્ટિસ પણ શરૂ કરાવી. અમારી અંદરના અણઘડ પુરુષે ઝીણવટથી ગૃહકાર્ય સમજવા માંડ્યું, એટલે સુધી કે હવે શ્રીમતીજી અમારા જેવી ચા બનાવવાનું અનુકરણ કરે છે ને સખીઓને ગર્વથી આ કહે પણ છે.
તો મહાશય, આટલામાં સમજી જાવ. હજુ સમય છે તમારી જાતને સંપૂર્ણ માની લેવાના બદલે વિદ્યાર્થી બનો અને ગૃહિણી પાસે બે-ચાર ગૃહકાર્ય શીખવામાં શરમ ના કરો નહીંતર શ્રીમતીજી એમની સખીઓ પાસે તમારી આવડતનાં વખાણ કે વર્ણન કેવી રીતે કરશે?
જે રીતે આજકાલ ખ્યાતનામ લોકો આવાં કામનાં ટ્રેન્ડ સ્થાપિત કરવા માંડ્યા છે એ ટ્રેન્ડથી આપણે અલગ છીએ એવું પણ ન લાગવું જોઈએ.
શું કહો છો?
સ્વપ્નિલ શ્રીવાસ્તવ લિખીત વ્યંગકથા પર આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
દાઢનો દુઃખાવો
સ્નેહા પટેલ
શબ્દોમાં ક્યાં સમાય છે તારી ને મારી વાત ?
અર્થોમાં ક્યાં ચણાય છે તારી ને મારી વાત.-રમેશ પારેખ.
કૃપા ટીવીની સામે બેઠી બેઠી ચેનલ બદલ બદલ કરી રહી હતી. મન ક્યાંય એક જગ્યાએ ચોંટતું નહતું. અંદરખાને એને થોડી નવાઈ પણ લાગતી હતી કે,’આજે એને શું થઈ ગયું હતું ? આ બધી જ ચેનલો પર અમુક તો એના ખૂબ જ ગમતા પ્રોગ્રામ આવી રહ્યાં હતાં જે ઘણી વખત એ એકલી એકલી જોઇને પણ ખૂબ જોર જોરથી હસતી હતી અને મજા માણતી હતી, એ કાર્યક્રમ આજે એના દિલને કેમ અડકતાં પણ નહતાં ?’ મગજમાં ક્યાંક કોઈ મોટું બખડજંતર ચાલી રહેલું, કોઈ પ્રક્રિયા ખોટી થઈ રહી હતી. બાકી એ તો ખૂબ જ ખુશખુશાલ, મિલનસાર વ્યક્તિ હતી. ‘કંટાળો’ એટલે શું વળી? આ શબ્દની એને લગભગ એલર્જી હતી. પણ આજે એ કંટાળાના અજગરે એને પોતાના ભરડામાં લીધી હતી અને એ એ નાગચૂડમાંથી છૂટવા ફાંફાં મારતી હતી.
આખરે ટીવી બંધ કરીને એ પદ્યાસન વાળીને આંખો બંધ કરી, બે હથેળી ગોઠણ પર મૂકી મુદ્રામાં આંગળી વાળીને શાંતિથી બેસી ગઈ. આ એનો છેલ્લો ઉપાય હતો આ ફેલ જાય તો..તો.. ને કૃપાએ નકારાત્મક વિચારોને ઝાટકો મારીને ખંખેરી લીધા.
કૃપા એક આધુનિક, સ્વતંત્ર – પોતાનો નાનો એવો બિઝનેસ કરનારી નારી.
શાંતિથી બેઠા બેઠા એ પોતાની સાચી સમસ્યા સમજવા પ્રયાસ કરતી હતી અને અચાનક જ એના મગજમાં ટ્યુબલાઈટ થઈ.
‘ઓહ..તો આ વાત છે.’
વાત જાણે એમ હતી કે કૃપાને છેલ્લાં છ મહિનાથી ડહાપણની દાઢ બહુ જ હેરાન કરતી હતી. એ દાંતના ડોકટર પાસે ્ગઈ તો એમણે એ દાઢને ઓપરેટ્ કરીને કાઢી નાંખવી પડશે એમ કહ્યું હતું અને આ ‘ઓપરેટ’ શબ્દથી કૃપાના મોતિયા મરી ગયા હતાં. એણે ઘરે આવીને પોતાના પતિ વરુણને આ વાત કહી અને સાથે એમ પણ કહ્યું કે,’આવતા મહિનામાં એકાદ દિવસ સેટ કરીને તું મારી સાથે દવાખાને આવજે, કારણકે એકલાં જવાની મારી હિંમત નથી.’
અને વરુણ આ વાત સાંભળીને હસી પડ્યો.
‘અરે મારી વહાલી, તું આટલી હિંમતવાળી છું ને આજે આવી વાતો કેમ કરે છે?’
‘ઇન શોર્ટ તું મારી સાથે નહીં આવે એમ જ ને?’
‘અરે, એવું ક્યાં કહ્યું છે ?’
ને વાત ત્યાંથી આડા પાટે ફંટાઈ ગઈ. દંપતિ સમજુ હતું એટલે વાત ‘સેચ્યુરેશન પોઈંટ’ પર પહોંચે એ પહેલાં જ સચેત થઈને ચૂપ થઈ ગયાં.
એ પછી કૃપાને અનેક નાની નાની શારીરિક તકલીફ થતી તો પણ વરુણની યાદ આવતી અને વિચારતી કે,’એ કેમ મારી સાથે ના આવે? એ મને પ્રેમ જ નથી કરતો કે? એને મારી કોઈ દરકાર જ નથી ?’ અને એ પછી એની જાણ બહાર જ એના મનમાં એક પછી એક ગાંઠ બંધાતી ચાલી અને એ પોતાની દરેક શારીરિક તકલીફને અવગણવા લાગી હતી. વરુણ સાથે સમસ્યા વિશે વાત કરે અને વરુણ એના કામના ટેન્શનમાં એટલું બધું ધ્યાન ના આપે. હા એ હા કરી લે. આ વાતથી કૃપા વધુ અકળાતી.
‘જ્યાં સુધી વરૂણ મને ડોકટર પાસે લઈ જશે નહીં ત્યાં સુધી હું હવે ડોકટર પાસે જઈશ જ નહીં. જે થવું હોય એ થાય. જોઉં તો ખરી એ ક્યાં સુધી મારી તબિયત સામે આંખ આડા કાન કરે છે ?’
શારીરિક તકલીફો નાની નાની હોય ને ધ્યાન ન અપાતા વધતી ચાલી હતી અને વળી કૃપા ’આ જે થાય છે એ બધાનું કારણ વરુણ જ છે’ વિચારી વિચારીને મનોમન વરુણ પર અકળાતી રહેતી. વાત રહી વરુણની તો એને તો આ આખી રામાયણની કશી જ ખબર નહતી. આમ પણ કૃપા અત્યાર સુધી પોતાના દરેક કામ પોતાની રીતે સફળતાથી પૂરા કરી લેતી હતી એટલે એના મગજમાં આવી વાત ‘ક્લિક’ જ નહતી થતી.
આજકાલ કૃપાને દાઢ વધુ પડ્તી દુઃખતી હતી, વાંકી ઉગવાના કારણે એને ખોરાક ચાવતાં ચાવતાં એ દાંત જડબાની ચામડી સાથે ઘસાતો અને છોલાઈને ત્યાં ચાંદી પડી ગયેલી હતી. બોલવામાં પણ ઘણી વખત તકલીફ પડતી હતી. બીજી બાજુ થોડું ઘણું ચાવી ચાવીને કામ ચલાવતી કૃપાને દુકાળમાં અધિક માસની જેમ એ બીજી બાજુનો છેલ્લો દાંત ખોરાકમાં કાંકરો આવવાના કારણે અડધો તૂટી ગયો. ત્યાં પાણી પણ અડતું તો લબકારા મારતાં. ખરી તકલીફ થઈ ગઈ હતી – હવે?
ખાવાનું ખાવું કેવી રીતે ?
ટણી બહુ હતી, વરૂણને કશું કહેવું જ નથી, ભલે બધું સહન કરવું પડે. વરૂણને મોઢેથી બોલીને કહી શકાય એમ નહતું એથી હવે કૃપા છેલ્લાં અઠવાડિયાથી પ્રવાહી ખોરાક પર વધુ મારો રાખતી. એને એમ કે એના ડાયેટના આ ફેરફારથી વરુણ ચમકશે અને કારણ પૂછશે. પણ ના…એવું કશું જ ના થયું. બફારામાં ઓર ઉકળાટ ભળ્યો !
બોલાતું નહતું અને સહેવાતું પણ નહતું.
અચાનક ડોરબેલ વાગ્યો અને કૃપાની વિચારધારા અટકી ગઈ. વરુણ જ હતો.
‘હાય ડાર્લિંગ, આજે ઘરે કંઈ ના રાંધીશ, ‘બાબલાં’નું નોનવેજ ખાવા જઈએ.’ સોફામાં લંબાવતા વરુણ બોલ્યો.
‘નોનવેજ !’
અને કૃપાના અવાજમાં ના ઈચ્છવા છતાં વ્યંગનો રંગ ભળી ગયો.
‘હા નોનવેજ. કેમ શું થયું? તને તો નોનવેજ બહુ ભાવે છે ને.’
‘હા પણ એ નોનવેજ ચાવ ચાવ કરવાનું હોય ને ?’
‘હા..હા..શું તું પણ. કેવી બાલિશ વાત કરે છે ? ચાવવાનું તો હોય જ ને.’
‘ને મારી બે ય બાજુની દાઢ મને ખૂબ જ હેરાન કરે છે. છેલ્લાં અઠવાડિયાથી હું લગભગ લિક્વિડ ડાયેટ પર છું, એ વાતનો સાહેબને ખ્યાલ સુદ્ધાં છે ?’
‘ઓહ..એ તો મને એમ કે આજકાલ ગરમી વધુ છે તો એના કારણે તું લિક્વિડ વધારે લે છે. આ દાઢનો દુઃખાવો છે એ વાત તો ખ્યાલ જ નથી. ડોકટર પાસે કેમ નથી ગઈ ?’
અને કૃપાની કમાન છટકી.
‘મેં તને પહેલાં પણ કહેલું કે તું નહીં આવે ત્યાં સુધી હું ડોકટર પાસે નહીં જ જઉં,મારે જાણવું છે કે તું મારી તબિયતની કેટલી ચિંતા કરે છે. તને સમય મળે તો ઠીક નહીં તો હું આમ ને આમ બોખી થઈ જઈશ. એની જાતે એક પછી એક દાંત પડશે એ તો.’
‘કૃપા, આ તું બોલે છે ? મારી મોર્ડન વાઇફ ?’
‘હા. મોર્ડન છું તો શું થયું ? મને મારો વર મારી ચિંતા કરે, ધ્યાન રાખે એ બહુ જ પસંદ છે.’
‘એવું ના કર. તું આટલી મજબૂત થઈને આવું કેમ વિચારે છે ? મારા ધ્યાનમાં જ આ વાત ના આવી કારણ કે તું તારા દરેક કામ તારી રીતે પૂરી સફળતાથી પતાવી જ લે છે. હું મારા મિત્રોને તારું ઉદાહરણ આપું છું કે મારે તારા રહેતાં ઘર, સમાજ કે છોકરાંઓ પ્રત્યે પણ ખાસ ધ્યાન આપવાનું ના રહેતું હોવાથી ધંધામાં પૂરતો સમય આપી શકું છું અને મારી એ મજબૂત પત્ની આવું વિચારે ? આજકાલ સ્ત્રી સશક્તિકરણનો વાયરો ફૂંકાય છે ત્યાં અનેક આધુનિક નારીઓ અનેક લેકચર આપે છે પણ પોતાની જાત પર દરેક પાસાથી નિર્ભર કેવી રીતે રહેવું એ વાત કહેવાય છે પણ ત્યાં પણ આ તેં કહી એ તકલીફવાળી વાત નથી કહેવાઈ. તારામાં આત્મવિશ્વાસ, સમજની કોઈ કમી નથી તો પછી આવી નાની શી સમસ્યા માટે તું માર પર નિર્ભર કેમ છે ડીઅર ? કાલે ઉઠીને હું નહીં હોઉં ર્તો તું શું કરીશ ?’
‘આવું ના બોલ વરુણ.’ અને ક્રુપાએ પોતાની ગુલાબી હથેળી વરુણના હોઠ પર મૂકી દીધી ને એક પળમાં તો એની આંખ છલકાઈ પણ ગઈ.
‘હું કાલે જ દાંતના ડોકટરની અપોઈન્ટમેંટ લઈ લઉં છું પગલી ને કાલે સવારે જ આપણે એમને મળી આવીએ. ઓકે.’ એની ભીની પાંપણ પર મ્રુદુતાથી હથેળી ફેરવતાં વરુણ બોલ્યો.
‘ના વરુણ, ચાલશે. યુ નો, મને છેલ્લાં બે વર્ષથી તારા મોઢેથી આ એક જ વાક્ય મકકમ નિર્ણય સાથે સાંભળવું હતું.બાકી ડોકટર પાસે કે દુનિયાના બીજા છેડે પહોંચવા પણ તારી આ બૈરીને કોઈની જરુર નથી એ વાત તું બખૂબી જાણે જ છે.’
‘દુનિયાના બીજા છેડે તું એકલી જજે પણ ડોકટર પાસે તો હું જ લઈ જઈશ’ બાકીનું વાકય,
‘તમને સ્ત્રીઓને ઓળખવામાં ભલભલા થાપ ખાઈ જાય તો મારું શું ગજુ ?’ મનોમન બોલીને જ વરુણ હસી પડ્યો.
‘ઓકે, એવું રાખીએ’ ને બાકીનું વાક્ય,
‘ તમને પુરુષોને પૈસા કમાવામાંથી ફુરસદ જ નથી મળતી એટલે અમારે સ્ત્રીઓને નાછૂટકે આવા નખરાં કરવાં જ પડે છે.’ મનોમન બોલીને પોતાની જીત પર મનોમન ક્રુપા પોરસાઈ.
ઘી ના ઠામમાં ઘી પડી રહ્યું.
અનબીટેબલઃ જીવન નામની વાનગીમાં દરેક ઘટનાના સ્વાદનું પોતાનું એક આગવું મહત્વ જ હોય છે.
-
મહેન્દ્ર શાહનાં ઓક્ટોબર ૨૦૨૫નાં ચિત્રકળા સર્જનો
મહેન્દ્ર શાહનાં ચિત્રકળા સર્જનો
Mahendra Shah – Art creations – October 2025
મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com
-
સદાબહાર સૂર શ્રી અવિનાશ વ્યાસ – સુગમ સંગીતનો ભવ્ય વારસો
આલેખનઃ રાજુલ કૌશિક
શ્રી અવિનાશ વ્યાસ એક એવું નામ, એક એવી વ્યક્તિ જેમના માટે કહેવાયું છે કે, એ એક અમરત્વ લઈને ગયા છે, ગુજરાતી સુગમસંગીતનો ભવ્ય વારસો ગુજરાતને આપીને ગયા છે. વાત કેટલી સાચી છે !
દેશમાં કે વિદેશમાં વસતા ગુજરાતીઓનાં ઘર ઘરમાં પ્રસંગ હોય ત્યારે આંગણે કે ઉંબરે સાથિયા મુકાય. ટોડલે તોરણ બંધાય અને ઘરની કુંવારકાઓ અને પરણિતાઓનાં હાથે મહેંદી મુકાય.
મહેંદી તો કદાચ સદીઓથી આપણી સંસ્કૃતિ સાથે વણાઈ ગયલી હશે, પણ જાણે મહેંદીની સાચી ઓળખ થઈ કે ખરો રંગ પરખાયો અવિનાશ વ્યાસ રચિત ગીત ‘મેંદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત રે’ ગીતથી અને એ પછી તો એ ગીતનો રંગ આજ સુધી સૌનાં મન પર એવો તો છવાઈ ગયો છે, કે હાથે મુકાયેલી મેંદી થોડા દિવસ પછી ઝાંખી થાય પણ એ ગીતનો રંગ ક્યારેય ઝાંખો નથી પડ્યો કે ક્યારેય નહીં પડે.
“કંઠે રૂપનું હાલરડું ને આંખે મદનો ભાર,
ઘુંઘટમાં જોબનની જ્વાળા, ઝાંઝરનો ઝમકાર,
લાંબો છેડો છાયલનો ને ગજરો ભારોભાર,
લટકમટકતી ચાલ ચાલતી જુવો ગુર્જરી નાર,
અરે ભાઈ જુવો ગુર્જરી નાર”ના નાદથી શરૂ થતો આ ગરબો આજે પણ પ્રત્યેક ગુજરાતણને ગમે છે.
https://youtu.be/LjQAjVcBoRI?si=vxZzhIQz2_uEb-aS
આ ગીત સૌએ કોણ જાણે કેટલાય લોકોએ કેટલીય વાર ગાયું હશે, સૌએ પણ આ ગીત કેટલીય વાર ગણગણી લીધું હશે. કેટલીય વાર સૌ એના તાલે ગરબે ઘૂમી પણ લીધું હશે ત્યારે વિચાર આવે કે, આ ગીતમાં એવું તે શું છે કે યાદ કરી ફરી ફરી વાગોળવાનું ,ગાઈને ગરબે ઘૂમવાનું મન થાય? એના શબ્દો કે એની ધૂન ?
શબ્દોની સાથે જોડાયેલી વાત વિશે સૌને આછોપાતળો અંદાજ હશે. આ આખા ગીતમાં પ્રિયતમના વિરહમાં ઝૂરતી પરણિતાની વાત છે. પતિ પરદેશ છે અને દિયર તેને મેંદી લગાવવાનું કહે છે ત્યારે પત્નીના મનમાં ઉઠતા ભાવો તે ગીતમાં વ્યક્ત કરે છે જે ભાવો એ સમયની નારીના છે.
આમ જોવા જઈએ તો મૂળ વાત તો ગાયકી, સૂરીલા અવાજની છે જે ક્યાં સૌના નસીબની વાત છે પણ કેટલાય ગીતો એવા છે જે આજે પણ સામાજિક પ્રસંગોથી માંડીને સ્ટેજ પર ગવાયા છે અને ગવાતા રહેવાના છે.
જે ગેય એટલે કે ગાઈ શકાય છે એવી રચાનાઓનું પણ કેટ-કેટલું વૈવિધ્ય? નરસિંહ મહેતાના પ્રભાતિયાથી માંડીને મધ્યકાલિન ગીતપરંપરા, પ્રાચીન રાસ-ગરબા, સમકાલીન ગુજરાતી ગીતો, આધુનિક -જેને રેપ સોંગની કક્ષામાં મુકી શકાય એવા ગીતો, ગઝલોની સમૃદ્ધિ,રંગભૂમિને ગજવતા ગીતોનો વૈભવ અને ફિલ્મો દ્વારા પ્રચલિત ગીત-સંગીત.
ઘણીવાર વર્ષોથી સાંભળતા આવેલા ગીતો કાનની આદત બની જાય. શબ્દો માટે સંગીત પણ એટલું જ અસરકારક માધ્યમ. મોઝાર્ટ કે બિથોવનની સિમ્ફની હોય તો એ પણ કાનને તો એટલી જ ગમવાની. કેટલીક વાર એવું બને કે જેમાં શબ્દ ન પકડાય કે ન સમજાય પરંતુ એનું સંગીત ચિત્તને, આત્માને ઝંકૃત કરી દે. અવિનાશ વ્યાસની એવી કેટલીય રચનાઓ છે જે સીધી જ આપણાં મનને ઝંકૃત કરી દે. એ જાણે આપણા જ હોય, આપણા માટે જ લખાયા હોય એટલા સ્વભાવિક લાગે.
લોકગીતોનો પણ અનોખો ઈતિહાસ છે. ક્યારે, કોણે એ રચ્યા છે એના મૂળ સુધી ઉતર્યા વગર સાવ સરળતાથી સ્વીકારી લેવાયેલ ગીત એટલે લોકગીત. આ લોકગીત માટે એવું કહેવાય છે કે “લોકો વડે ઘડાતું અને ગવાતું ગીત. કંઠસ્થ સાહિત્ય પરંપરાથી ચાલ્યા આવતા કે કોઈ અજ્ઞાત ગીતકારે જોડીને વહેતા મૂકેલા ગાન.”
એક સમય હતો જ્યારે સ્ત્રીઓને એટલી ક્યાં મોકળાશ હતી કે સૌની વચ્ચે આવીને પોતાની વાત કહે ત્યારે એ ઘરમાં જ રહીને ઘંટી પર ધાન દળતા, ઘમ્મર વલોણામાંથી માખણ તારતા કે પછી સરખે સરખી સહિયર સાથે કૂવાના કાંઠે પોતાનો રાજીપો કે વ્યથા વ્યકત કરતી વેળા મનમાંથી આપોઆપ સ્ફૂરી ઉઠેલા શબ્દોને એ એક હલક સાથે ગણગણી લેતી હશે અને સમય જતા એ લોકગીત તરીકે સ્વીકારાઈ ગયા હશે.
અવિનાશ વ્યાસની રચનાઓ જેટલી કાવ્યમય હતી તેટલી જ સુરીલી પણ હતી. પછી તો તેમના ગીતો અને ગરબા તો ઘર ઘર સુધી પહોંચ્યા અને એટલી હદે એ સૌને પોતાના લાગ્યા. એના કર્ણપ્રિય શબ્દ અને સંગીતના લીધે કંઠસ્થ થવા લાગ્યા અને પછી તો એના ગીતકાર-સંગીતકાર કોણ છે એના ઊંડાણ સુધી જવાના બદલે એને લોકગીત માનીને પણ એ ગવાતા રહ્યા, ઝીલાતા રહ્યા અને એના તાલે સૌ કોઈ તન-મનમાં થનગાટ સાથે ઝૂમ્યા.
શ્રી અવિનાશ વ્યાસે અનેક રચનાઓ કરી અને સ્વરબદ્ધ કરી એટલું જ નહીં પોતાની સાથે બીજા અનેક કવિની રચનાને પણ સ્વરબદ્ધ કરી. એમની ગુજરાતી ગીતોની ધૂનનો પ્રયોગ હિંદી ફિલ્મોમાં પણ થયો.
તેમનાં ગીતોમાં ઘણાંને સાહિત્યિકતા ઓછી લાગે, પણ સહજતા ઘણી છે, એ વાત ટાળી શકાય નહીં.
ગુજરાતના લોકજીવન, સંસ્કારને ઉજાગર કરતા અનેક ગીતો તેમણે લખ્યાં અને સંગીતબદ્ધ કર્યાં ‘પાંદડુ લીલું ને રંગ રાતો, હેજી મારી મેંદીનો રંગમદમાતો….’ ગીત હોય કે ‘‘નયન ચકચૂર છે’ ગીત પણ આજે ક્યાં ભુલાય છે ? કેવા મઝાના ગીતો ?એટલે જ તો અવિનાશ વ્યાસ ગુજરાતી સંગીતના ભીષ્મપિતા કહેવાયા.
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
