તારા બગીચામાં રહેતી ગઈ ને ટહુકાનું પંખી એક દેતી ગઇ અને કહેતી ગઈ કે હવે જાઉ છું.
ઝાડવાની લીલેરી માયા મને, ફૂલની સુગંધની છાયા મને, અને વહેતા આ વાયરામાં વહેતી ગઈ, કંઈક જન્મોની વાતને ઉકેલતી ગઈ અને કહેતી ગઈ કે હવે જાઉ છું.
આ દિવસ ને રાતની કળીઓ ખૂલી, અહીં પળપળના ગુંજનની ગાથા ઝૂલી, હું તો ભમતી ગઈ ને કશું ભૂલતી ગઈ ને યાદ કરતી ગઈ અને કહેતી ગઈ કે હવે જાઉ છું.
:આસ્વાદઃ
સુરેશ દલાલ
આ ગીત “વિદેશિની” સંગીત-આલ્બમમાં સ્વરકાર શ્રી દિલીપ ધોળકિયા દ્વારા સ્વરબદ્ધ કરાયું છે અને એને સુરીલા કંઠ આપનાર ગાયિકા છે કલ્યાણી કૌઠાળકર.
પન્ના નાયક વિદેશમાં રહે છે અને સ્વદેશમાં આવનજાવન કરે છે. એમના એક ગીતસંગ્રહનું નામ પણ ‘આવનજાવન’ છે. પ્રારંભમાં કેવળ અછાંદસ કાવ્યો લખતાં. પછી એમની કલમ ગીત અને હાયકુ તરફ પણ વળી. આ કાવ્ય એટલે અંતિમ સમયે વ્યકિત પ્રત્યે અને જગત પ્રત્યે આભારની અભિવ્યકિત- કોઈ પણ પ્રકારના ભાર વિના, નરી હળવાશ અને અનાયાસે પ્રગટેલી અભિવ્યકિત.
આ સૌંદર્યમય વિશ્વમાં જે કંઈ જોયું છે- જાણ્યું છે- માણ્યું છે એનો નર્યો આનંદ. સજજનો જયારે જાય છે ત્યારે ઘા કે ઘસરકા મૂકી જતા નથી. જતાં જતાં પણ કોઈને ‘આવજો’ કહીને જવું એમાં માણસની અને માણસાઈની ખાનદાની છે. જીવનમાં જયારે આપણે જીવતા હોઈએ છીએ ત્યારે કોક આપણને પ્રેમ કરે છે. આ પ્રેમ એ કોઈકે રચી આપેલો બગીચો છે. હું તો ત્યાં સુધી કહું કે આ સૃષ્ટિમાં આવ્યા પછી આપણે સૃષ્ટિમાં જીવીએ છીએ એ બીજું કશું જ નથી પણ ઈશ્વરે આપણા માટે રચેલો બગીચો છે. તો જીવ જયારે અહીંથી વિદાય લે ત્યારે એ બગીચામાં રહેવાનો જે આનંદ મળ્યો એ આનંદની લાગણીને કઈ રીતે વ્યકત કરે?
ઈશ્વર પાસેથી માત્ર લેવાનું ન હોય. કશુંક સૂક્ષ્મ ઈશ્વરને આપવાનું પણ હોય. જેણે આપણને બગીચો આપ્યો, એને આપણે કમમાં કમ આપણા ટહુકાનું પંખી તો આપીએ. ટહુકો નિરાકાર છે ને પંખીને આકાર છે. આમ તો જીવ અને શિવની, રૂપ અને અરૂપની આ લીલા છે. હરીન્દ્ર દવેની પંકિત યાદ આવે છે: ‘કોઈ મહેલેથી ઊઠી જાય તો મૃત્યુ ન કહો.’ આ ગીતની મજા એ છે કે એમાં મરણની ભયાનકતા નથી, મરણનું માંગલ્ય છે, એનું વૃંદાવન છે. ઝાડવાની લીલી માયા છે. ફૂલોની સુગંધી છાયા છે. વહેતા વાયરાની જેમ પસાર થતા કાળમાં આપણે પણ પસાર થઈએ છીએ અને આપણને ખબર નથી કે આ આપણો કયો અને કેટલામો જન્મ છે. પણ આપણે એ જન્મોની વાતને ઉકેલવાનો પ્રયત્ન કરીએ છીએ અને એક ક્ષણ એવી આવે છે કે જયારે આપણા આંગણે આખરનો અવસર આવી ઊભો રહે છે. કવિ રાજેન્દ્ર શાહની પંકિતઓ માણવા જેવી છે:~
“આખરને અવસરિયે,
વણું જુહાર, જયાં વાર વાર,
ત્યારે જ મેં અરે, જાણ્યું
મારે આવડો છે પરિવાર.
રણની રેતાળ કેડીએ
જાતા ઝાકળને જળ ન્હા.”
અહીં પણ અંતિમ ક્ષણની વેદના નથી, પણ આનંદનો અવસર છે. આમ આમ કરતાં કેટલા દિવસો વહી ગયા. કેટલી કળીઓ દિવસ રાતની ખૂલી અને આ કળીઓની આસપાસ કાળના ભમરાનું ગુંજન અને એની ગાથાઓ ઝૂલતી રહી. કાવ્યનાયિકા કહે છે કે; “હું તો જન્મોજન્મ લખચોર્યાશી ફેરામાં ભમતી રહી. ગત જન્મને ભૂલતી રહી અને છતાં કયાંક કયાંક પૂર્વજન્મના અને પુનર્જન્મના અણસાર આવતા રહ્યા. એ અણસારે અણસારે હું જન્મોની વાતોને ઉકેલતી ગઈ અને કહેતી ગઈ કે હવે જાઉ છું.”
ખલિલ જિબ્રાને વિદાય વેળાનું એક ચિત્ર કર્યું છે. એમાં ‘આવજો’ કહીએ ત્યારે આપણો હાથ સહજપણે ઊચકાઈ જાય છે. કવિ – ચિત્રકાર ખલિલ જિબ્રાને ‘આવજો’ કહીને હથેળીમાં આંખને મૂકી છે. કારણ કે આવજો માત્ર હાથથી નહીં, પણ આંખથી કહેવાનું હોય છે.
આ સાથે સ્પેનિશ કવિ યિમિનેસના કાવ્ય, ‘અંતિમ યાત્રા’નો અનુવાદ મૂકું છું, જે તુલનાત્મક રીતે વાંચવા જેવો છે.
“લ્યો, હું તો અહીંથી ચાલ્યો!
ને તોય હશે અહીં પંખી : રહેશે સૂર મધુરતમ મ્હાલ્યો!
લ્યો, હું તો અહીંથી ચાલ્યો!
લીલા રંગે લચી રહેલાં વૃક્ષ હશે અહીં મારે બાગ,
નીલ, શાંત, આ વ્યોમ, ઊજળી વાવ, સાંજ-સોહાગ,
હશે આમ ને આમ: ઘંટનો હશે રણકતો નાદ:
નાદ એ નહીં જાય રે ઝાલ્યો!
લ્યો, હું તો અહીંથી ચાલ્યો!
મારી કમી પછીયે લોક મરણને અધીન થશે અહીં,
અને ગામ પણ હર વરસે દહાડે નવીન થશે અહીં,
ફિક્કો મારો બાગ- એકખૂણો ગમગીન હશે, ત્યહીં-
જીવને રહેશે ઘરનો વિજોગ સાલ્યો!
લ્યો, હું તો અહીંથી ચાલ્યો!
અને એકલો જાઉ : વટાવી ઘરના ઉંબર-પહાડ,
નહીં રૂપાળી વાવ : નહીં રે લીલમલીલાં ઝાડ,
હશે નહીં રે નીલ, શાંત આ આભ ગૂઢ ને ગાઢ.
-તો ય હશે અહીં
પંખીસૂરે ફાગણ ફૂલ્યો-ફાલ્યો!
લ્યો, હું તો અહીંથી ચાલ્યો!”.
થોડા સમય પૂર્વે અમદાવાદની અદાલતમાં એક અજીબ પ્રકારનો માનહાનિનો કેસ આવ્યો હતો. અમદાવાદની રેફ્રિજરેટર બનાવતી ખાનગી કંપનીના જુનિયર એન્જિનિયરે તેમના સહકર્મીઓ પર તેમને અટકથી બોલાવીને બદનક્ષી કરતાં હોવાની ફરિયાદ કરી હતી. સામાન્ય રીતે આપણે ત્યાં સરકારી અને ખાનગી કચેરીઓમાં વ્યક્તિને નામને બદલે અટકથી ઓળખવાનો તથા બોલાવવાનો ચાલ છે. પેલા એન્જિનિયરસાહેબની અટક ‘ બાયડી’ હતી અને સહકર્મીઓ તેમને ‘ બાયડી’ કહીને બોલાવતા હતા. આ પ્રકારની અટક બદલવાને બદલે તેમણે અદાલતમાં બાયડી શબ્દના ઉચારણથી પોતાની સાથે મહિલાઓની પણ બેઈજ્જતી થતી હોવાની દલીલ કરી હતી. અટકને કારણે કેવી સ્થિતિ સર્જાય છે તેનું આ કનિષ્ઠ ઉદાહરણ છે.
નામને બદલે અટકથી માણસને બોલાવવાની પ્રથા માત્ર કચેરીઓમાં જ નથી, શાળા-કોલેજોમાં પણ વિદ્યાર્થીઓના નામમાં પહેલા અટક લખાય છે. હવે ગુજરાત સરકારે ચાલુ શૈક્ષણિક સત્રથી તેમાં ફેરફાર કર્યો છે. એટલા માટે નહીં કે સરકારને અટકના આટાપાટા ઉકેલવા છે પણ એટલા માટે કે વિદ્યાર્થીઓના આધારકાર્ડ અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં એકરૂપતા નહીં હોવાથી સમસ્યાઓ સર્જાઈ છે. રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના જનરલ રજિસ્ટર અને શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં હવે વિદ્યાર્થીના પૂરા નામમાં અટક પહેલાં નહીં પણ છેલ્લે લખવાનો સરકારી આદેશ થયો છે.
આદિ માનવોની ઓળખ તેમની ટોળી કે શિકારના સ્થળો પરથી થતી હતી અને તે કાયમી નહોતી પણ બદલાતી રહેતી હતી. માનવી સમૂહમાં રહેતો થયો, કુટુંબ સંસ્થા અસ્તિત્વમાં આવી તે પછી અટકો અસ્તિત્વમાં આવી હશે. સમાજશાસ્ત્રી વિધ્યુત જોશીના મતે નામ એ વ્યક્તિગત ઓળખ છે પરંતુ અટક એ જૂથગત ઓળખ છે. આ જૂથ જ્ઞાતિ, ગૌત્ર, કુટુંબસમૂહ, ગામ કે વ્યવસાયના સ્વરૂપનું હોઈ શકે છે. એક બીજો મત વસ્તી વૃધ્ધિ અને વ્યવહારની ઘનતાને કારણે અટકની જરૂરિયાત ઉભી થયાનો પણ પ્રવર્તે છે.
સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી
મૂળે પશ્ચિમના દેશોમાં જન્મેલી અને વ્યવસાય , વતન ગામ, બાપદાદાના નામ પરથી બનેલી અટકો ભારતમાં જ્ઞાતિનો પર્યાય બની ગઈ છે. વ્યક્તિના નામોમાં આધુનિકતા પ્રવેશી છે પરંતુ વ્યક્તિને જેમ જન્મ સાથે જ્ઞાતિ વારસામાં મળે છે તેમ અટક પણ મળે છે. જોકે તેમાં ફરક એટલો છે કે નામ-અટક બદલી શકાય છે. મેડિકલ કોલેજોમાં ભણતા દલિત વિદ્યાર્થીઓને જ્ઞાતિસૂચક અટક પરથી ભેદભાવનો ભોગ બનવું પડે છે. એટલે મેડિકલ કોલેજોના વિદ્યાર્થીઓ ઉપરાંત ડોકટર્સ , કોન્ટ્રાકટર્સ, પ્રાઈવેટ સેકટરમાં કામ કરતા કે અન્ય વ્યવસાયિક દલિતો અટકો બદલે છે. પરંતુ એક અભ્યાસ પ્રમાણે નામ-અટક બદલવાથી જ્ઞાતિ બદલ્યાનો આભાસ ઉભો કરી શકાય છે પણ વાસ્તવમાં તે બદલી શકાતી નથી.
ગૂજરાત વિદ્યાપીઠના સાર્થ જોડણીકોશમાં અટકનો પર્યાય અડક જણાવી તેનો અર્થ ગોત્ર, ધંધો કે વતન ઈત્યાદિ બતાવતું નામ જોડે મૂકવામાં આવતું ઉપનામ (પૃષ્ઠ-૧૩) એવો દર્શાવ્યો છે. લોકબોલીમાં શાખ, નુખ, અંગ્રેજીમાં સરનેમ અને સંસ્કૃતમાં અવટંક જેવા શબ્દોથી ઓળખાતી અટકનો એક અર્થ સાર્થ જોડણીકોશમાં નડતર કે અવરોધ પણ આપ્યો છે. જે જ્ઞાતિસૂચક અટકને કારણે યથાર્થ છે.સ્વામી સચ્ચિદાનંદે દલિતોને જ્ઞાતિદર્શક ન હોય તેવી અટકો ધારણ કરવા અને અનાદર પેદા કરનારી અટકો ફગાવી દેવા અપીલ કરી હતી. કથિત ઉચ્ચજ્ઞાતિઓ માટે ગૌરવ, ગુમાન, શૌર્ય, અહમ કે ઉચ્ચતા દર્શાવતી અને દલિતો માટે અપમાન, અનાદર, ઘૃણા અને નફરત જન્માવતી જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીને જ્ઞાતિ નિર્મૂલનની દિશાનું પગલું માનવામાં આવે છે.
૨૦૨૫માં ઈન્ડિયન સ્કૂલ સર્ટિફેકેટની પરીક્ષામાં કોલકાત્તાની ૧૭ વરસની સૃજની સો ટકા માર્કસ મેળવી ટોપર બની હતી. સૃજનીએ તેના પરીક્ષા ફોર્મમાં જ તેની અટક લખી નહોતી. એટલું જ નહીં ધર્મના ખાનામાં માનવતા લખ્યું હતું. નોંધપાત્ર છે કે સૃજની કથિત ઉચ્ચજ્ઞાતિની છે. છતાં તેણે સમજપૂર્વક જ્ઞાતિસૂચક અટકનો ત્યાગ કર્યો હતો. જાણીતા ફિલ્મ અભિનેતા ઈરફાન ખાનના પુત્ર બાબિલ ખાન પણ ફિલ્મો અને ટી.વી. સિરિયલોમાં કામ કરે છે. તેમણે પણ ખાન અટક્નો ત્યાગ કરવાની ઘોષણા કરી છે.
પેરિયાર ભૂમિ તમિલનાડુમાં વીસમી સદીના આરંભે જે સ્વાભિમાન આંદોલન થયું હતું તેમાં ઘણાં લોકોએ અટકો છોડી હતી. જે.પી. આંદોલનમાં નામની પાછળ માતાની ઓળખ રાખવાનું બન્યું હતું. સૃજની કે બાબિલના એકલદોકલ પ્રયાસો અટકને લીધે થતા ભેદભાવોની નાબૂદીમાં મહત્વના છે. જોકે જાણીતા રાજનેતાઓ જયપ્રકાશ નારાયણ, ચરણસિંઘ, ચંદ્રશેખર અને જગજીવન રામે અટકોનો ત્યાગ કર્યો હતો. પરંતુ તેમની જ્ઞાતિ નાનું છોકરું પણ જાણે છે. એટલે અટકના ત્યાગથી જ્ઞાતિ નાબૂદ થઈ જ જશે તેમ કહી શકાતું નથી.
અટકો સ્ત્રી-પુરુષ ભેદભાવની બાબતમાં પણ અગત્યનો ભાગ ભજવે છે. ભારતમાં લગ્ન પછી સ્ત્રીએ પોતાના નામ પાછળ પતિનું નામ અને અટક ધારણ કરવાં પડે છે. કેટલાક રાજ્યોના સમાજોમાં તો તેનું નામ પણ બદલવામાં આવે છે. મહિલાને એક સ્વતંત્ર માણસ નહીં પણ જાણે કે પિતા કે પતિ પર આધારિત વસ્તુ માનતી પિતૃસત્તાનું આ પરિણામ છે.
ભારતમાં જ નહીં વિશ્વના સમૃધ્ધ અને વિકસિત દેશ જાપાનમાં પણ આવી સ્થિતિ છે. ઓગણીસમી સદીના અંતિમ વરસોમાં(ઈ.સ.૧૮૯૬) જાપાને કાયદો ઘડીને લગ્ન પછી પતિ-પત્નીએ એક સમાન અટક રાખવાનું નક્કી કર્યું હતું. એક અંદાજ મુજબ જાપાનની ૯૬ ટકા મહિલાઓને સમાન અટકના કાયદાનું પાલન કરવા પતિની અટક ધારણ કરવી પડતી હતી. મહિલા સમાનતા અને સ્ત્રી જાગ્રતિકરણના આ જમાનામાં જાપાની મહિલાઓને સમાન અટકનો કાયદો ખટકતો હતો અને તેને નાબૂદ કરવા માંગણી કરતી હતી. જાપાની મહિલાઓના લાંબા સંઘર્ષ પછી લોકમત મહિલાઓના વિરોધમાં હોવા છતાં જાપાની સરકારે થોડા વરસો પહેલાં આ કાયદો નાબૂદ કર્યો છે.
જાપાનથી સાવ સામા છેડાનું અટક્પુરાણ દક્ષિણ આફ્રિકાનું છે. દક્ષિણ આફ્રિકાની સર્વોચ્ચ અદાલતે પતિઓની પત્નીની અટકો અપનાવવાની માંગણી સ્વીકારી છે. મહિલા સમાનતાની દિશામાં આવું પણ જોવા મળે છે પતિઓને પત્નીની અટક અપનાવવાની મંજૂરી આપતો દક્ષિણ આફ્રિકા કંઈ પહેલો દેશ નથી. પૂર્વે અમેરિકાના કેટલાક રાજ્યો અને ન્યૂઝીલેન્ડ જેવા દેશમાં પણ આવી મંજૂરી આપવામાં આવી છે.
જ્ઞાતિ અને ધર્મ સૂચક અટકોની નાબૂદીની દિશામાં વિચારતાં જાપાનની તોહોફુ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રના પ્રાધ્યાપકની એક ગણતરી જાણવા જેવી છે. જાપાનમાં સૌથી વધુ લોકોની અટક સેટો છે. તે પછીના ક્રમે સુઝુકી છે. પ્રો. હિરોશી યોદિશાનો અભ્યાસ જાણાવે છે કે પાંચસો વરસો પછી એટલે કે ઈ.સ. ૨૫૩૧ સુધીમાં બધા જાપાનીઓની અટક સેટો હશે. જો અર્થશાસ્ત્રી હિરોશીની ગણતરી સાચી પડે તો અટક નાબૂદીની દિશામાં તે મહત્વનું હશે. તેનાથી જાપાની પ્રજા અટકને બદલે નામથી ઓળખાતી થશે.પરંતુ શું ભારતમાં આવું ક્યારેય થઈ શકે ખરું?
ભારતની પ્રજાસત્તાક શાસનપદ્ધતિપશ્ચિમમાંથી ઉછીનો લેવામાં આવેલો ખયાલ નથી, બલકે એનો પ્રસાર ભારત અને ગ્રીકમાંથી થયો છે.
આપણે ત્યાં પ્રાચીન સમયમાં શાસનમાં પ્રજાની ભાગીદારીની પરંપરા હતી. તે સમયે ઘણાં જનપદોના શાસકો વિદ્વાન. શાણા અને અનુભવી લોકોની સલાહ અનુસાર નિર્ણયો લેતા. વૈદિક સમયમાં લોકો કબીલામાં રહેતાં. કબીલાના સંચાલન માટે ‘સભા’ અને સમિતિ’ મહત્ત્વની સંસ્થા હતી. ‘મુખિયા’ની પસંદગી લોકો કરતા. પાછળથી પંચાયતને નિર્ણય લેવાની સ્વત્રંતતા મળી હતી. ઘણાં જનપદો પ્રજાસત્તાક શાસનપદ્ધતિનાં ઉત્તમ ઉદાહરણ હતાં.
અત્યારના ઉત્તર બિહાર વિસ્તારમાં ‘વજ્જિ’ નામનું જનપદ હતું. મગધના રાજા અજાતશત્રુ વજ્જિ જનપદ પર આક્રમણ કરવા માગતો હતો. નિર્ણય લેતા પહેલાં એણે ભગવાન બુદ્ધનું માર્ગદર્શન લેવાનું નક્કી કર્યું. બુદ્ધે વજ્જિ જનપદમાં પ્રચલિત ગણતંત્રની કેટલીક મૂલ્યવાન પરંપરાઓ સમજાવી હતી. એમણે કહ્યું હતું તેમ વજ્જિના વહીવટ માટે પસંદ કરવામાં આવેલા લોકો નિયમિત મળતા અને દરેક મુદ્દાના બધાં પાસાંની ઘનિષ્ઠ ચર્ચાવિચારણા કર્યા બાદ નિર્ણય લેતા. શાસનના ઉચ્ચ સ્થાને બેઠેલા લોકોથી માંડી સામાન્ય પ્રજાજનો કાયદાના અનુશાસનનું ચુસ્ત પાલન કરતા. વડીલો-મુરબ્બીઓનું માન જાળવવામાં આવતું. સ્ત્રીઓનું રક્ષણ કરવાની જવાબદારી શાસકોની હતી. ધર્મસ્થાનો અને ધર્મગુરુઓ-સંતોને આદર આપવામાં આવતો. ભગવાન બુદ્ધે કહ્યું હતું: ‘જ્યાં સુધી વાજ્જિ જનપદના શાસકો અને લોકો આ મૂલ્યોને જાળવશે ત્યાં સુધી એમની પ્રગતિ થતી રહેશે.’
લોકશાહી પાયામાં રહેલાં આ મૂલ્યોનું આજે દરેક લોકશાહી દેશના શાસકો અને પ્રજાએ સમજવાની જરૂર છે. વર્તમાન સમયમાં ચાલી રહેલાં યુદ્ધો, વાતેવાતે યુદ્ધની ધમકી, ગેરમાર્ગે દોરતી જૂઠી માહિતીઓ, આર્થિક ક્ષેત્રમાં અનિશ્ચિતતા , પર્યાવરણના પ્રશ્નો, એકહથ્થુ સત્તાની લાલસા જેવા વાતાવરણથી દુનિયા ઘેરાઈ ગઈ છે. લોકશાહીનો આદર્શ નબળો પડવા લાગ્યો છે. ભારતમાં જ્યારે પણ લોકશાહી પર ખતરો ઊભો થયો ત્યારે પ્રજા તરીકે આપણે વધારે મજબૂત બન્યા છીએ. એની સરખામણીમાં પડોશી દેશો પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળમાં પ્રવર્તતી ગંભીર પરિસ્થિતિનો વિચાર કરીએ ત્યારે ભારતની પ્રજામાં વહેતી પ્રજાસત્તાક સંસ્કૃતિનું મહત્ત્વ સમજાય છે.
ભારતને આઝાદી મળી પછી બંધારણના ઘડવૈયાઓએ લોકશાહીનાં મૂલ્યોને સમાવતા તંત્રની મજબૂત ભૂમિકા રચી આપી છે. બંધારણની અવગણનાની એક ભૂલ અને દેશના સાંસ્કૃતિક વારસાને ડાઘ લાગતાં વાર નહીં લાગે. આજે દુનિયામાં કેટલાક શાસકો પોતાને દેશથી મોટા માનવા લાગ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તરંગી નિર્ણયોને લીધે વિશ્વ સામે ઘણા પડકાર ઊભા થયા છે. એના પોતાના દેશની લોકશાહી સામે પણ ભય ઊભો થયો છે. ટ્રમ્પે અમેરિકાની લોકશાહીના મૂળભૂત ઢાંચાને દેખીતી રીતે તોડી પાડ્યું નથી, પરંતુ એના પાયા હચમચાવી નાખ્યા છે. એ પોતાને જ ‘શાસન’ માને છે. અનુકૂળ ન હોય એવાં ચૂંટણી-પરિણામોનો એ ખુલ્લેઆમ અસ્વીકાર કરે છે. એના વિરુદ્ધ ચુકાદા આપનાર ન્યાયાધીશો માટે અશોભનીય વિધાનો કરે છે. પ્રેસને દુશ્મન કહીને ઉતારી પાડે છે. એણે લોકશાહીના સ્તંભ સમાન સંસ્થાઓને બાજુએ હડસેલી દેવાનું વલણ અપનાવ્યું છે. ટ્રમ્પ કોઈ સરમુખત્યારને પણ પાછળ રાખી દે એવા શાસકોના પ્રતિનિધિ અને પ્રતીક બની ગયા છે. એનો ચેપ કેટલાક બીજા દેશોના રાજનેતાઓને પણ લાગવાનો ભય ઊભો થયો છે.
આવા સંજોગોમાં લોકશાહીનું માળખું જ રહે છે, એનું આંતરિક સત્ત્વ ખોખલું બની જાય છે. લોકશાહી માત્ર પાર્લામેન્ટ કે બંધારણમાં અસ્તિત્વ ધરાવતી નથી. એના દ્વારા લોકો એકબીજાની સાથે જોડાયેલા રહે છે. સંવાદ, મતભેદ, બીજાના મતનો સ્વીકાર અને પ્રજાના હિતમાં સમાધાન કરવાની તૈયારી હોય તો લોકશાહીનું સંવર્ધન શક્ય બને છે. લોકશાહીમાં સરકાર અને પ્રજા વચ્ચે મજબૂત ભરોસો ખૂબ અગત્યની શરત છે. ચૂંટણીનાં પરિણામો જ લોકશાહીની સફળતાનો માપદંડ નથી. નાગરિકો કેવળ મતદારો નથી, દેશનું ભાવિ એમના હાથમાં છે. પ્રજાની સત્તાનું ઉલ્લંઘન કોઈ પણ દેશની લોકશાહીના પતનનું નિર્ણયક બળ બની શકે છે.
માનવીય ગરિમાની જાળવણી લોકશાહીનું હાર્દ છે. આ શાસનપદ્ધતિમાં દરેક સ્તરના નાગરિકોનું સમાન સ્થાન છે. દરેક મતદારનો મત નાત, જાત, લિંગ, ધર્મ, ગરીબ-શ્રીમંત ભેદભાવ વિના એકસરખું વજન ધરાવે છે. લોકશાહી પરસપર વિરોધી સ્થિતિમાં પણ સમાનતા અને એકતાના પાઠ શીખવે છે. નાગરિકોનું કર્તવ્ય માત્ર થોડાંથોડાં વર્ષે મતદાન મથકે ઊભા રહી વોટ આપી આવવાનું નથી, પોતાની ફરજો અને અધિકારો પ્રત્યે સભાન રહેવાનું પણ છે. લોકશાહીમાં કોઈ પ્રેક્ષક નથી, બધા નગારિકો સમાન હક્ક ધરાવતા ખેલાડી છે. વિરોધમાંથી જ સમાધાનની ભૂમિકા રચાય છે.
એક ગામમાં નવો કૂવો ખોદવાની જરૂર હતી. એ માટે પંચાયતના સભ્યોની મીટિંગ ચાલતી હતી. દરેક સભ્ય પોતાની જ સવલતનો ખ્યાલ રાખી નવા કૂવાની જગ્યા માટે આગ્રહ રાખતા હતા. ચર્ચાએ ઉગ્ર સ્વરૂપ પકડ્યું. એકબીજા પર આક્ષેપો થવા લાગ્યા. વાતાવરણ હદથી બહાર બગડ્યું ત્યારે એક વૃદ્ધ મહિલા સભ્ય ઊભી થઈ. એણે કહ્યું: ‘આપણે એકબીજાનાં દુશ્મન નથી, આપણા ગામનું ભવિષ્ય નક્કી કરવા ભેગા મળેલા પડોશી છીએ.’ એ સાંભળી દરેક જણને સમજાયું કે તેઓ એકબીજાનો વિરોધ કરવા માટે ચૂંટાયા નથી. એમને ગામના લોકો અને ભાવિ પેઢીની સુખાકારી માટે યોગ્ય નિર્ણય લેવાની જવાબદારી સોંપવામાં આવી છે. લોકશાહી એવી સમજણમાંથી મજબૂત બને છે.
લોકશાહી સર્વને પોતાની અંદર સમાવી સુરક્ષા બક્ષતું ઘર છે. ભાડાનું ઘર નહીં, આપણું પોતાનું – ઘરનું ઘર. આજે એ ઘરનો ઢાંચો થોડો નબળો પડતો જણાય છે. ભીંતોમાં તિરાડો દેખાવા લાગી છે. કદાચ લોકશાહી નામનું ઘર આપણને સુરક્ષા પ્રદાન કરવાની જવાબદારી ઉપાડીને થોડું થાકી પણ ગયું હોય.
શક્ય છે કે એ પરિસ્થિતિનો લાભ લેવા કોઈ ખૂણામાં એક બુલડોઝર રાહ જોતું ઊભું હોય. એ સંજોગોમાં નિર્ણય લોકશાહીના કેન્દ્રમાં રહેલી પ્રજાએ લેવો પડે છે – શું જરૂરી છે, બુલડોઝર કે વરસોની મહેનત પછી બનાવેલા ઘરની સલામતી?
ગાંધીનિર્વાણના ઉંબર કલાકોમાં લખી રહ્યો છું ત્યારે ચિત્તમાં કંઈક હથોડાબંધ ટકોરા દઈ રહેલો વૈકલ્પિક પ્રયોગ ગાંધીહત્યા બલકે ગાંધીવધ છે. બાકી દુનિયાએ જે ઘટનાને એક બલિદાની અંતિમ સમર્પણ તરીકે જોઈ, કંઈક અંશે નિર્ઘૃણ હત્યા રૂપે જોઈ, એને આતતાયી વધ તરીકે જોનારા જેમ ત્યારે હશે તેમ અત્યારે પણ છે. સાધારણપણે ત્રીસમી જાન્યુઆરી પ્રાર્થનાભાવ જગવતી રહે છે- અને એ ઠીક જ છે. પણ કંઈક અવસાદ પ્રેરતી એટલી જ ગીતાપ્રોક્ત મન્યુ જગવતી ઘટના એ નથી એમ તો કહી શકાતું નથી: નિર્વાણથી માંડી વધ સુધીનાં આ વિચારઝોલાંનું તત્કાળ નિમિત્ત હજુ હમણેના કલાકોમાં ગુજરાતવગાં થયેલાં બે પુસ્તકોએ પૂરું પાડ્યું છે: ‘લેટ્સ કિલ ગાંધી’ (તુષાર ગાંધી) અને ‘ગાંધીનો હત્યારો ગોડસે’ (ધીરેન્દ્ર ઝા).
તુષાર અલબત્ત ગાંધીજીના પ્રપૌત્ર તરીકે તેમજ અજંપ ઉધમાત થકી જાણીતું નામ છે. એને મુકાબલે ધીરેન્દ્ર ઓછા જાણીતા હશે. જોકે, તાજેતરનાં વરસોમાં સંઘકારણના અચ્છા અભ્યાસી તરીકેની એમની પ્રતિભા ચીલેચલુ પત્રકારિતાને વટી ગઈ છે, અને છબછબિયે રાજી રહેતા કલમનવીસોને મુકાબલે ઊંડું અવગાહન કે સંશોધન કરનાર તરીકે ઊભરી છે. ‘લેટ્સ કિલ ગાંધી’ના ગુજરાતી અનુવાદ સાથે તુષાર ગાંધીના એ ફરિયાદબોલ પણ આપણી સામે આવે છે કે અંગ્રેજીમાં પ્રગટ થયાનાં ખાસાં દસબાર વરસે ગુજરાતી વાચક સુધી પહોંચવાનું બન્યું છે. ‘ગોડસે’ વિશે પૂરા કદનું ઠીક ઠીક સંશોધનમંડિત પુસ્તક ગુજરાતીમાં જ નહીં પણ ત્રણ-ચાર વરસ પર અંગ્રેજીમાં આવ્યું ત્યારેય કદાચ પહેલું જ હશે.
મુદ્દો એ છે કે ગાંધીહત્યા પછી તપાસ થઈ, કેસ ચાલ્યો, ગોડસેને સજા પણ થઈ છતાં કેમ જાણે આખી પ્રક્રિયામાં કદાચ જાણતે છતે પણ કંઈક ચુકાઈ ગયું તે ચુકાઈ જ ગયું. તુષાર ગાંધીએ બધી વિગતો સંકોરીસમેટી કકળતી આંતરડીએ આપેલું ચિત્ર એ છે કે મુંબઈ પોલીસ અને દિલ્હી પોલીસ આ પ્રશ્ને કેટલી શિથિલ રીતે વરતી હતી અને પૂર્વસંકેત સમજી જરૂરી ચોંપમાં મુંબઈનું ખેર-મોરારજી પ્રશાસન કેટલું ઊણુંઊતર્યું હતું. ગોડસેને ફાંસી થઈ, બીજાઓનેય ઘટતી સજા થઈ, પણ તપાસની કસર તો છેક ૧૯૬૬માં કપૂર પંચ સાથે જ પૂરી થઈ- કોરોબરેટિવ પુરાવાને અભાવે બાઈજ્જત (ખરું જોતાં, બેનિફિટ ઓફ ડાઉટ, બહુ બહુ તો) સાવરકર બહાર આવ્યા હતા, એ સાફ થયું. સ્વરાજ આગમચ અને વાંસોવાંસ, આગળપાછળ મળીને સાવરકર અને સંઘને આ સંદર્ભમાં સમજવા માટે ધીરેન્દ્રનું ‘ગોડસે’ અને થોડા વખતમાં ગુજરાતીમાં આવનારું ‘ગોળવલકર’ મજબૂત સંશોધનમંડિત સામગ્રી લઈને આવે છે
મુદ્દે, ૧૯૪૮-૪૯માં તપાસ અને કેસના દોરને અંતે સંઘ સૂત્રોએ આપેલી બલકે ઊપજાવેલી છાપ એ હતી કે અમારે અને ગોડસેને કોઈ સંબંધ જ નથી. આરંભે આ પ્રકારના દાવા પછી કેટલીક વિગતોના ઉજાસમાં આ સૂત્રોએ લગીર કોર્સ-કરેક્શનની રીતે એવી મુદ્રા અંગીકાર કરી કે ભાઈ, નથુરામ સંઘમાં પૂર્વે હતો તો ખરો, પણ પછી એ છૂટો થઈ ગયેલો અને ‘હિંદુ રાષ્ટ્ર દળ’ ચલાવતો હતો. આ વિગત, દાયકાઓ સુધી વિશેષ તપાસને અભાવે જડબેસલાક જામી પડી અને જનતા પક્ષના ઉદભવથી માંડી લોકસભામાં વાજપેયીની છટાદાર રજૂઆત મારફતે એ અધોરેખિત થતી રહી. જોકે, વચમાં ૧૯૬૪માં ગોપાલ ગોડસેએ છૂટ્યા પછી ચોખ્ખું લખ્યું હતું કે અમે અમારી જુબાનીમાં તાત્યારાવ (સાવરકર)ને અને સંઘને બચાવી લીધા હતા. સંઘ-જનસંઘ એ વખતે એટલા ચિત્રમધ્ય નહોતા કે વ્યાપકપણે એની નોંધ લેવાય અને પ્રજાકીય સ્મૃતિમાં તે ઝમે. ધીરેન્દ્રનું સંશોધન આગળ જાય છે.
દસ્તાવેજી સામગ્રીને આધારે એમણે કહ્યું છે કે મહારાષ્ટ્રના સંઘચાલક કાશીનાથ લિમયે અને સાવરકરના સક્રિય સહયોગમાં આ હિંદુ રાષ્ટ્ર દળ કાર્યરત હતું. દળના બૌદ્ધિક વર્ગોમાં ને શિબિરોમાં મુખ્ય વક્તાએ ઘણે ભાગે સંઘના રહેતા. હિંદુ મહાસભા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરંભથી ગાંધીહત્યા સુધી ઓછાવત્તા સંકળાયેલા રહ્યા. હિંદુ રાષ્ટ્ર દળના સંચાલનમાં કાશીનાથ લિમયે મારફત સંઘ અને હિંદુ મહાસભા સહયોગી હતા. ગુજરાતીમાં સદ્યપ્રકાશ્ય ‘ગોળવલકર’માં ધીરેન્દ્રે ઉપસાવેલો મુદ્દો એ છે કે સ્વરાજપૂર્વ થોડાં વરસોમાં સંઘે રજવાડાઓમાં પાકો પ્રવેશ જમાવ્યો હતો અને ભાગલા નજીક જણાયા ત્યારે રાજાઓને આગળ કરીને પોતાનું પ્રભાવક્ષેત્ર ઊભું કર્યું હતું. સ્વતંત્ર રહેવા ઈચ્છતા રજવાડામાં સંભવિત ‘હિંદુ રાજ્ય’ની આશા ને શક્યતાની રાજકીય ગણતરી હતી. એક પછી એક રજવાડામાં સંઘ સ્વયંસેવકોની રાજસલામીથી એક લશ્કરી અર્ધલશ્કરી માહોલ ઊભો કરાયો હતો.
ને થોડું ‘ગાંધી આસપાસ. નેહરુપટેલ ભાગલાની દિશામાં એકતરફી આગળ વધી ગયા પછી ગાંધીએ પોતાની વિરોધ લાગણી છતાં કોમી ઉત્પાતના કારી ઘાને ખાળવા ને રૂઝવવામાં સાર્થક્ય જોયું. બંગાળમાં શાંતિ સ્થાપન પછી ગાંધી પંજાબ જતાં દિલ્હી રોકાયા તે શાંતિસ્થાપન અર્થે રોકાઈ જ પડ્યા. એક રીતે હવે એ એકલા જેવા હતા. દેખીતો ઓસરતો પ્રભાવ હતો. પણ ધીરેન્દ્ર દસ્તાવેજી વિગતો સાથે સમજાવે છે કે શાંતિના નેહરુ પ્રયાસોમાં ને સરદારની મથામણમાં એક એક મોટું બળ બની રહ્યા. રજવાડે થનગન ને દિલ્હીજેતા થવાનું સપનું જોતા સંઘને માટે આ એક મોટી રુકાવટ હતી. લગભગ એવી લાગણી હતી કે ગાંધી દિલ્હી છોડે પછી આપણે સારુ અવકાશ મળી રહેશે. અમે તોફાનોમાં નથી અને શાંતિ-સહભાગી છીએ એવી અપીલ કરવાનું ગાંધીનું સૂચન ગોળવલકરને ગ્રાહ્ય નહોતું. ગાંધીહત્યાનો વિધિવત વિરોધ અને આતતાયી વધને અનુમોદના, સંઘ શતાબ્દીએ આની કળ વળશે, ન જાને.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૨૮-૧-૨૦૨૬ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ
ડો.પ્રસાદે જે વાત કરી તેનાથી બધાંને આંચકો લાગ્યો. ડો.પ્રસાદ આવું કહી જ કઈ રીતે શકે ? આવું બોલતાં પહેલાં ડો.પ્રસાદે સો વાર વિચારવું જોઈએ….. !
રણજીતરાય એમના બાપ હતા તે વાત સાચી , પણ તેઓ ડો.પ્રસાદના પણ બાપ જેવા જ હતા. અગણિત ઉપકારો હતા રણજીતરાયના ડો.પ્રસાદ ઉપર ..! એ બધા ઉપકારો એ ભૂલી ગયા ? માત્ર પૈસાની લાલચમાં જ..! અને રણજીતરાયે ડો.પ્રસાદ પાસેથી દસ લાખ રૂપિયા ઉછીના લીધા હતા વગર વ્યાજે – એ વાત પણ ઘરના કોઈની સમજમાં આવતી નહોતી . બાપાને આમ પૈસા ઉછીના લેવાની શી જરૂર પડી ? અને લીધા હોય તો ઘરમાં કોઈકને તો ખબર હોયને ? પણ, મા પણ આ વાત જાણતી નથી. ત્રણે ભાઈઓ દવાખાનાના વેટિંગરૂમમાં બેઠા હતા અને આજ ચર્ચા કરતા હતા. સાથે તેમના કાકા પણ હતા. પરિવારની સ્ત્રીઓ પણ ખરી જ..! સવારમાં લગભગ સાત વાગ્યે રણજીતરાયે પોતાનો દેહ છોડી દીધો હતો ત્યારનાં બધાં જ આવી ગયાં હતાં , માત્ર એક બહેન આવવાની બાકી હતી , બહેનની આર્થિક સ્થિતિ સારી નહોતી અને જો બસમાં આવવા રહે તો બપોર ચઢી જાય એમ હતું એટલે મોટા જયદીપે જ બહેનને કહી દીધું હતું કે, “તમે લોકો ટેક્ષી કરીને આવી જાવ. ટેક્ષીનું ભાડું હું આપી દઈશ એટલે આમ તો ખાલી બહેનની જ રાહ જોવાની હતી ..પણ આ ડોક્ટરે વચ્ચેથી ખરૂં તૂત ઊભું કર્યું !
રણજીતરાય બાવીસ દિવસથી દવાખાનામાં એડમિટ હતા. આઇ.સી.યુ.માં વેન્ટીલેશન ઉપર રાખેલા હતા. પડી ગયા ત્યારે માથામાં વધારે વાગવાના લીધે કોમામાં જતા રહ્યા હતા. ડો.પ્રસાદે તેમને બચાવવાના બધા જ પ્રયત્નો કર્યા હતા પણ …છેવટે તેઓ ન બચી શક્યા. ડોક્ટરે ત્રણે ભાઈઓ અને તેમના કાકાને પોતાની ચેમ્બરમાં બોલાવીને કહ્યું હતું કે – “તમારા પિતા હવે હયાત નથી. એ મારા પણ અન્નદાતા હતા. એમના મારા ઉપર અગણિત ઉપકાર છે, એમણે જ મને ભણાવ્યો છે અને ડોક્ટર બનાવ્યો છે ..એ ઉપકારનો બદલો તો હું વાળી શકું તેમ નથી …એટલે મારે મારી ફી કે દવાખાનાનો કોઈ ચાર્જ લેવાનો નથી પણ,” કહીને ડોક્ટર અટક્યા હતા. તેમનો કંઠ રૂંધાઈ ગયો હતો કે પછી તેમને બોલવામાં સંકોચ થતો હતો ! બધા તેમના ચહેરા તરફ આતુરતાથી જોઈ રહ્યા હતા, ડોક્ટર શું કહેવા માગે છે તેની એમનામાંથી કોઈને સમજ પડતી નહોતી, પણ પછી ડોક્ટરે જ ફોડ પાડતાં કહ્યું હતું કે, “રણજીતરાયે તેમની પાસેથી ત્રણ વરસ અગાઉ દસ લાખ રૂપિયા ઉછીના લીધા હતા. તેમને તેનું વ્યાજ જોઈતું નથી. આપતી વખતે જ તેમણે રણજીતરાયને કહી દીધું હતું કે તેઓ વ્યાજ લેવાના નથી, પણ હવે રણજીતરાય રહ્યા નહોતા એટલે તેમના પૈસાનું શું ?”
ત્રણે ભાઈઓ અથવા તેમના કાકા આ પૈસાની કબૂલાત કરી લો ..તેમને હમણાંને હમણાં તો પૈસા જોઈતા નથી પણ તેમના પૈસાની ગેરન્ટી જોઈએ છે…!”
કોણ કબૂલ કરવા તૈયાર થાય ? કોણ દસ લાખ રૂપિયાની ખોટ ભોગવે ?બધાંએ ચોખ્ખી ના પાડી દીધી. તેમની તો એક જ વાત હતી કે અમને ખબર નથી કે અમારા પિતાજીએ અમારાથી છુપાવીને દસ લાખ રૂપિયાનું દેવું કર્યું છે. તેમને એટલા બધા પૈસાની જરૂર હોય તો તેઓ તેમને કહે જ..! પણ તેમણે કોઈને વાત કરી નથી. એ લોકોએ તો ચોખ્ખો નન્નો જ ભણી દીધો. અંદરો અંદર ચર્ચા કરતા હતા કે બાપાએ પૈસા લીધા જ નહીં હોય, આ ડોક્ટર તેમની પાસેથી પૈસા પડાવવા માગે છે. પણ, ડો.પ્રસાદ તો છેલ્લા પાટલે બેસી ગયા, તેમણે તો અલ્ટીમેટમ આપી દીધું કે, “મારે હમણાંને હમણાં પૈસા જોઈતા નથી, પણ કોઈકની કબૂલાત જોઈએ છે જે આ પૈસા આપવાનું કબૂલે તેની પાસે જ હું ઉઘરાણી કરીશ .જ્યાં સુધી મારા પૈસાની કબૂલાત નહીં થાય ત્યાં સુધી હું ડેડબોડી સોંપીશ નહીં. ત્યાં સુધી લાશનો કબજો મળશે નહીં.” બધાં વિમાસણમાં મુકાઈ ગયાં હતાં.શું કરવું તેની કોઈને સમજ પડતી નહોતી …!
ડો. પ્રસાદ આમ તો તેમના ફેમિલી મેમ્બર જેવા હતા. ડો.પ્રસાદ અનાથ હતા અને રણજીતરાયને ખબર પડી કે આ છોકરો અનાથ જ છે, તેનાં માતાપિતા નથી, તે તેના દૂરનાં માસીને ત્યાં જ રહે છે એટલે તેમણે પહેલાં તો તેને દત્તક લેવાનો પ્રયત્ન કર્યો, પણ તેનાં માસીએ ના પાડી એટલે પછી તેના ભણવાનો બધો જ ખર્ચ તેઓ આપતા હતા. બીજા શબ્દોમાં કહીએ તો તેઓ તેમના પાલક પિતા જ હતા. મેડીકલનાં મોંઘા ભણતરનો બધો જ ખર્ચ રણજીતરાયે ઉપાડ્યો હતો. તેમના લીધે જ તે ડોક્ટર બની શક્યા હતા. પ્રસાદે આ વાત ભૂલવી ના જોઈએ, પણ એ માણસ નગુણો કહેવાય ..! બાકી આટલો ઉપકાર કર્યો હોય તે કેમ ભૂલાય ?
… તો કોઈક વળી કહેતું હતું કે આમાં ડોક્ટર પ્રસાદનો કોઈ વાંક નથી , તેઓ રણજીતરાયે કરેલા ઉપકારના બદલામાં પોતાની બધી જ ફી અને દવાખાનાનો ચાર્જ તો જતો કરે છેને ..! આ તો તેમણે આપેલા પૈસાની વાત છે ..તેમણે દસ લાખ રૂપિયા આપ્યા હોય તે થોડા છોડી દે ..! તેમાં તેમનો કોઈ વાંક નથી .
— તો તરત જ બીજો ભાઈ બોલી ઉઠતો –તને ડો.પ્રસાદનું આટલું બધું કેમ લાગે છે ? એવું હોય તો તેમના પૈસા તું જ કબૂલ કરી લેને ..એટલે વાતનો ફેંસલો આવી જાય ..! તરત જ પેલો ભાઈ નન્નો ભણતાં કહેતો – હું એકલો શા માટે ભોગવું ? તમે લોકો બાપાની જમીનમાંથી મને બે એકર વધારે આપવાના છો ? કે ઘરમાં ભાગ છોડી દેવાના છો ? પછી હું શા માટે ?
તરત જ ત્રીજો બોલી ઉઠતો – ડો.પ્રસાદ છે જ નગુણા. બાપાએ ભણાવ્યો ના હોત તો દસ લાખ રૂપિયા તો શું દસ હજાર કમાવાની પણ તેની ત્રેવડ ના રહેત અને એવું જ હતું તો બાપા જીવતા’તા ત્યારે કેમ ના બોલ્યો ? કશું નહીં એને બાપાના નામે આપણી પાસે પૈસા પડાવવા છે .
કોઈક કહેતું –બધી બે આંખોની શરમ છે .બાપા જીવતા હતા ત્યારે પૈસા માગવામાં તેને શરમ આવતી હશે , પણ હવે બાપાની આંખો મીંચાઈ ગઇ એટલે શરમ નડતી નથી .
સો વાતની એક વાત કે ત્રણે ભાઈઓમાંથી કે કાકા કોઈ પૈસા કબૂલવા તૈયાર નથી … અને સામા પક્ષે ડોક્ટર પણ મક્કમ છે કે જ્યાં સુધી કોઈ તેમના પૈસા કબૂલશે નહીં ત્યાં સુધી તે લાશનો કબજો સોંપશે નહીં. એ તો એમ પણ કહે છે કે રણજીતરાય તેમના પણ બાપા હતા . એમનામાંથી જો કોઈપણ લાશનો કબજો લેવા તૈયાર નહીં થાય તો તે પોતે તેના અંતિમ સંસ્કાર કરી દેશે ,કાંઈ લાશને સડવા કે ગંધાવા નહીં દે ..!
સામા પક્ષે મહિલામંડળમાં પણ દરેક સ્ત્રી પોતાના પતિને કહેતી રહી કે ભૂલેચૂકે તમે એ પૈસા કબૂલ કરતા નહીં …મિલ્કતનો ભાગ બધા લેશે, કોઈ કટકો જમીન પણ છોડવાનો નથી, પછી આપણે પૈસા કાઢીને શા માટે મૂરખા બનવું? કોકડું ખરેખર ગુંચવાયેલું હતું એવામાં બહેન આવી ..! આવતાંવેંત જ ચક્કર ખાઈને બાપા ઉપર જ પડી અને મોટી પોક મૂકી. તેના મોટે મોટેથી રડવાનો અવાજ સાંભળી ડોક્ટર પણ પોતાની કેબિનમાંથી બહાર આવ્યા. રણજીતરાયની દીકરીને રડતી જોઈ તેઓ તેની નજીક આવ્યા , તેના માથે હાથ ફેરવતાં બોલ્યા- “રડીશ નહીં બહેન …થવા કાળ હતું તે થઈ ગયું. તને તો ખબર છે કે એ મારા પણ બાપા હતા ..મેં મારાથી બનતા બધા પ્રયત્નો તેમને બચાવવા કર્યા પણ વિધિના લેખ કોણ ટાળી શકે છે ? બાપાની ખોટ તો નહીં પૂરી શકાય પણ આ ભાઈના ઘરનાં બધાં જ બારણાં સદાય તારા માટે ખુલ્લાં રહેશે .જ્યારે પણ તને બાપાની યાદ આવે ત્યારે મારી પાસે દોડી આવજે , હું તને બાપાની ખોટ નહીં પડવા દઉં . “ કહેતાં કહેતાં ડો.પ્રસાદની આંખો પણ છલકાઈ ઉઠી એટલે સીસ્ટરને પાણી આપવાનો ઇશારો કરી ડો.પ્રસાદ પોતાની કેબિનમાં જતા રહ્યા.
કેબિનમાં બેસતાંવેંત જ તેઓ ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડી પડ્યા અને ટેબલ ઉપર રાખેલા રણજિતરાયના ફોટા તરફ જોઈ મનોમન બોલ્યા-“ મને માફ કરજો , મારી પાસે બીજો કોઈ વિક્લ્પ નહોતો એટલે જ મારે નાછૂટકે આ રસ્તો લેવો પડ્યો છે બાકી તમારા ઉપકારનું ઋણ તો હું સાત ભવ સુધી ઉતારી શકું તેમ નથી. મારી ચામડીનાં જૂતાં સીવડાવી તમને પહેરાવત તો પણ તમારું ઋણ ઉતારી શકત નહીં.” ડોક્ટર ના જાણે ક્યાંય સુધી રણજીતરાયના ફોટા સાથે મનોમન વાતો કર્યા કરત પણ કેબિનનું બારણું ખખડ્યું એટલે તેમણે ઉંચે જોયું. બારણામાં બહેન રોતલ ચહેરે ઉભી હતી. અંદર આવી તે ડોક્ટરને પગે લાગી અને બોલી ,” ભાઈ , મારી એવી સ્થિતિ નથી કે હું તાત્કાલિક તમારા પૈસા આપી શકું ..પણ હું તમને વચન આપું છું કે મારા પિતાએ તમારી પાસેથી જેટલા પણ પૈસા લીધા હશે તે બધા દૂધે ધોઈને આપી દઈશ . મારા ઉપર વિશ્વાસ રાખો જ્યાં સુધી હું તમારૂં દેવું ચૂકતે નહીં કરૂં ત્યાં સુધી જંપીને બેસીસ નહીં ..” ડો.પ્રસાદ ઘડીભર તો બહેન સામે જોઈ રહ્યા, તેના ચહેરા ઉપર એક મક્કમતા ઝળહળતી હતી. ડોક્ટરે બેલ મારી પટાવાળાને બોલાવ્યો અને કહ્યું કે રણજીતરાયનાં બધાં સગાંને અહીં બોલાવો.
બધાં જ આવી ગયા. રણજીતરાયના ત્રણે દીકરાઓ, તેમની પત્નીઓ, તેમનો ભાઈ ..બધાં જ.
ડો.પ્રસાદે મોટા દીકરા જયદીપ તરફ જોઈ બોલવાનું શરૂ કર્યું ,” જુઓ , આ તમારી બહેન મારા રૂપિયા પાછા વાળવાનું કબૂલ કરે છે, તમને કોઈને તેનો વાંધો તો નથીને ?” અને પછી વારાફરતી દરેકના ચહેરા જોવા લાગ્યા . મોટો જયદીપ જ બોલ્યો,” એ કબૂલ કરતી હોય તો એ જાણે, એમાં અમારી કોઈ જવાબદારી નહીં. તેની આર્થિક સ્થિતિ તમારા આટલા બધા રૂપિયા આપી શકે તેવી નથી,અમે તે જાણીએ છીએ, એટલે પછી પાછળથી અમને કહેવાનું નહીં ..!” લગભગ ચીમકી જ આપી દીધી જયદીપે.
“ હું તમારી પાસે નહીં આવું એની ગેરન્ટી, પણ તમારી બહેન આ પૈસા કબૂલ કરે તેનો તમને કોઈને વાંધો તો નથીને ?”
“ અમને શું વાંધો હોય ? એ કબૂલ કરે તો તે એની જવાબદારી …અમારે શું લાગે વળગે ? “ નાનો બોલ્યો . બધાંએ તેમાં સંમતિ આપી એટલે ડોક્ટરે ખોંખારો ખાધો અને પછી બોલ્યા,” મારે આજ જાણવું હતું .. વાસ્તવમાં રણજીતરાયે મારી પાસેથી એક પૈસો પણ લીધો નથી, પણ મને દવાખાનું ખોલવા માટે ત્રીસ લાખની મદદ કરી હતી અને મારે એ ત્રીસ લાખ રૂપિયા કોને આપવા એ અંગે હું મૂંઝાતો હતો , જો કે તમારા અને મારા પણ પિતાએ મને કહ્યું હતું કે મારે આ પૈસા પાછા આપવાના નથી, પણ તેના કારણે મારા દિલ ઉપર મોટો બોજો હતો , હું એ બોજો ઉતારવા માગતો હતો –અસલી હકદાર અને વારસદારને એ રકમ પરત કરીને.. એટલે હવે એ રકમ હું બહેનના જ હાથમાં આપું છું.” ડો.પ્રસાદની વાત સાંભળીને બહેન સિવાયના બધાના ચહેરા ઉપરથી તેજ હણાઈ ગયું-જાણે કે જીવતો સાપ પકડી લીધો હોય તે રીતે ..! પણ બહેન બોલી, “ પ્રસાદભાઈ, બાપુએ એ રકમ તમને આપી હતી અને પાછી લેવાની ના પાડી હતી તેમ છતાં જો હું એ રકમ હાથમાં પણ પકડું તો મારા બાપુને ચોક્કસ દુ:ખ થાય એટલે મારા માટે તો એ રકમ હરામ બરાબર છે.” કહેતાં બહેન ફરીથી જોરથી પોક મૂકીને રડી પડી ,ડો.પ્રસાદ તેના બરડે હાથ ફેરવતા રહ્યા.
“અમે છીએ એવાં ભાગ્યશાળી સંતાન, કોઈ ન હોઈ શકે અમારાથી મહાન, રવિ કિરણોથી ઝળહળ, નીલ ગગન સુધી અમારી ઉડાન.
પહેલી વાર વિમાનમાં લંડન જવાના અનેરા આનંદ અને ઉત્સાહ સાથે બાળપણના આ ગીતને યાદ કરીને સુદામ ભટ્ટ ખુદને ભાગ્યશાળી માનીને ખુશી અનુભવી રહ્યા. દિવસના ઉજાસમાં વાદળોની ઉપર ઊડતું વિમાન, રાતના અંધકારમાં તારામંડળની જેમ ઝગમગતો પ્રકાશ જોઈને સુદામ ભટ્ટ રોમાંચિત થઈ ઊઠ્યા.
વિમાનની તેજ ગતિની સાથે એટલી જ તેજ ગતિથી મન ગામ તરફ ધસી રહ્યું હતું. ગામની હાઇસ્કૂલના સન્માનીય શિક્ષક સુદામબાબુ હાલમાં નિવૃત્ત થયા. ગામના મોટાભાગના વૈશ્ય, ખેડૂત અને શુદ્ર શ્રેણીના અભણ લોકોની વચ્ચે એક માત્ર બ્રાહ્મણ પરિવાર એટલે અમુક લોકો તો જાતિભેદના લીધે એમની પાસે આવતા ડરતા. શિક્ષક હોવાની સાથે કર્મકાંડમાં પારંગતતાના લીધે એ વિવાહ, ગૃહપ્રવેશ ઉપરાંત શ્રાદ્ધ પણ કરાવતા એથી સૌ એમને ગોસાંઈ મહાપ્રભુના નામથી બોલાવતા.
એમના દીકરા તપનને ઉચ્ચ શિક્ષણના લીધે ચેન્નઈની મલ્ટિનેશનલ કંપનીમાં નોકરી મળી. કંપનીએ એને પાંચ વર્ષ માટે લંડન મોકલ્યો.
સુદામબાબુ નોકરીમાંથી નિવૃત્ત થાય એ પહેલાં એમની પત્નીનું અવસાન થવાના લીધે સુદામબાબુ એકલા થઈ ગયા. તપને જીદ કરીને એમને લંડન બોલાવ્યા. સુદામબાબુ રૂઢિચુસ્ત હોવાના લીધે ખાવા-પીવાની સમસ્યા થશે એવી ખબર હતી. આ સમસ્યાને લીધે એમને લંડન જવાની જરાય ઇચ્છા નહોતી, પણ તપનનું ઘણું સમજાવ્યા બાદ રાજી થયા.
તપનના પાંચમા માળે આવેલા અપાર્ટમેન્ટના ઝરુખામાં ઊભા રહીને જે લંડન દેખાયું એમાં ભલે વતનની માટીની સુગંધ નહોતી, પણ મન પ્રસન્ન થઈ જાય એવો મનોરમ્ય નઝારો જોઈને સુદામબાબુ ખુશ થઈ ગયા. આકાશની લાલિમા તો જાણે કોઈ સુંદરીની માથે પૂરેલા સિંદૂર જેવી ભાસી. ગગનચુંબી મકાનોની નીચે સડકો પર દોડતી ગાડીઓ, બસો, પગપાળા કે સાઇકલ પર જતા લોકો, દૂરથી દેખાતી રમકડાં જેવી મેટ્રો ટ્રેનો જોઈને સુદામબાબુ તો ભારે અચંબિત.
“બાબુજી, પહેલાંનું થોડું કામ બાકી છે. મારે ઑફિસે વહેલા જવાનું છે. હું ઑફિસની કેન્ટિનમાં જમી લઈશ. આજે તમારું લંચ ઑનલાઇન ઓર્ડર કરી દીધું છે. કાલથી જમવાનું ઘેર બનાવીશું.” કહીને તપન તૈયાર થઈને ઑફિસે જવા નીકળ્યો.
જોકે સુદામબાબુએ બહારનું ખાવા કરતા ફળ ખાવાનું પસંદ કર્યું. લિટલ ઈંડિયા તરીકે ઓળખાતા સાઉથૉલ વિસ્તારમાં તપન રહેતો. સાંજ પડે સુદામબાબુ ચાલવા નીકળતા. રસ્તાની બંને બાજુની હોટલ, સ્ટોર, દુકાન અને રેસ્ટોરાંનાં નામ પણ ભારતીય હતાં.
એક દિવસે ‘મહારાજા’ નામની રેસ્ટોંરાની બહાર બેસીને વાતો કરતી થોડી પ્રૌઢ વ્યક્તિઓને જોઈને સુદામબાબુ અટકી ગયા. દેખાવે ભારતીય લાગતા આ સૌ હિંદી મિશ્રિત ઉર્દૂમાં વાત કરતા હતા. એ લોકોની વાતચીતમાં સુદામબાબુને રસ પડતા ત્યાં બેસવાનું મન થયું. એટલામાં બેઠેલી વ્યક્તિઓમાંથી કોઈએ રેસ્ટોરાંના માલિક ભટ્ટબાબુને ચાનો ઓર્ડર આપવા બૂમ મારી.
રેસ્ટોરાંના માલિકનું નામ કુલનામ ભટ્ટ સાંભળીને આજ સુધી બહારનું પાણી પીવા સુદ્ધાંના વિરોધી સુદામબાબુએ ખુશ થઈને ચાનો ઓર્ડર આપ્યો.
એ દિવસથી રોજ સાંજે ‘મહારાજા’ હોટલમાં ચા પીવાનો, રાત્રે નવ વાગ્યે તપન આવે ત્યાં સુધી સૌની સાથે બેસવાનો સુદામબાબુનો ક્રમ બની ગયો.
અનાયાસે એક દિવસ કુલનામ ભટ્ટ સાથે સુદામબાબુને વાત કરવાની તક મળી. સુદામબાબુએ પોતાની ઓળખ આપતા કુલનામ ભટ્ટની સાથે વાત માંડી. કુલનામ ભટ્ટના પિતા પણ ભારતથી આવ્યા હતા. રોજની મુલાકાતના લીધે બંને વચ્ચે મિત્રતા બંધાઈ અને સુદામબાબુ એ પૌઢ વ્યક્તિઓના ગ્રુપમાં પણ ભળી ગયા. રવિવાર કે રજાના દિવસોમાં બંધુ-ભોજનમાં સુદામબાબુને આમંત્રણ મળવા માંડ્યા.
જ્યારે જ્યારે સુદામબાબુ બહાર ફરતા ત્યારે નાતિ-જાતિના ભેદ વગર મળતા, ભળતા ભારતીય યુવાન-યુવતીઓને જોઈને એમના રૂઢિવાદી માનસને થોડો આંચકો લાગતો.
એક સાંજે ભટ્ટબાબુને કુલનામ ભટ્ટના ઘેર જમવાનું આમંત્રણ મળ્યું. ‘અતિથિ દેવો ભવઃ’માં માનતા કુલનામ ભટ્ટના ઘેર સુદામબાબુનું ઉષ્માભર્યું સ્વાગત થયું. સરસ મઝાનું ઘર, ઘરમાં મુમતાઝ- શાહજહાં, તાજમહાલ જેવી તસવીરો જોઈને સુદામબાબુ રાજી થયા કે, વાહ, ધન્ય છે આ લોકો જે ભારતનો ઇતિહાસ પરદેશ સુધી લઈ જાય છે.
કુલનામ ભટ્ટના પિતા મૂળ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના ગિલગિટ અને બાલિસ્તાનના નિવાસી હતા. વિભાજન સમયે કોઈ અંગ્રેજની મદદથી ઈંગ્લેન્ડ આવ્યા હતા. ઘરઘરાઉ કામ કરતા કરતા હોટલના માલિક બન્યા. પિતાજીના મૃત્યુ બાદ હવે કુલનામબાબુ હોટલ સંભાળે છે, વગેરે વગેરે..
“તો પછી હોટલનું નામ મહારાજા કેમ?” સુદામબાબુએ પૂછી જ લીધું.
‘વાત જાણે એમ છે’ કે, કહીને કુલનામ ભટ્ટે વાત માંડી.
“અહીં બહોળી સંખ્યામાં ભારતીયો છે વળી વિશ્વભરમાં પાકિસ્તાનીઓની તુલનામાં વિશાળ સંખ્યામાં ભારતીય રહેવાસી અને પ્રવાસીઓ છે. ભારતીયો વિદેશ આવીને ભારતીય રેસ્ટોરાંનું ભારતીય ખાણું જ પસંદ કરે છે એટલે ભારતીયોને આકર્ષિત કરવા પિતાજીએ ‘મહારાજા’ નામ રાખ્યું.
“વર્તમાનમાં અને ખાસ કરીને ૯/ ૧૧ ના ટ્વિન-ટાવર પરના આતંકી હુમલાના લીધે ઈંગ્લેન્ડ, અમેરિકા, યુરોપના લોકો પાકિસ્તાનીઓ સાથે વ્યવહાર રાખવાનું પસંદ નથી કરતા. એમની નફરત અને થોડા ડરને લીધે અનેક મુસ્લિમોની જેમ હું પણ મારો અસલી પરિચય છુપાવીને ભારતીય તરીકે ઓળખાવાનું પસંદ કરું છું.
“હોટલ પર સદંતર ભારતીય પોષાક અને પરંપરા સાચવું છું,પણ મારું ખરું નામ મકબૂલ ભટ્ટ છે. અમે કઈ જાતિના છીએ એની જાણ નથી, પણ અમે ઈસ્લામ ધર્મનું પાલન કરીએ છીએ.”
કુલનામ ભટ્ટની વાતથી આંચકો ખાઈ ગયેલા સુદામ ભટ્ટના પેટમાં વમળ ચઢ્યાં. જે કંઈ ખાધું એ હમણાં જ બહાર નીકળી જશે એવા ડરથી એ ઓડકાર પર ઓડકાર ખાવા માંડ્યા. હવે અહીં એક પળ રોકાવાની ઇચ્છા મરી પરવારી. છતાં, ઘરની બહાર નીકળવામાં એમને વિવેક આડો આવતો હતો.
“સત્તરમી સદીમાં પશ્ચિમ ભારત પાકિસ્તાન ઈસ્લામી રાજ્યમાં પરિવર્તિત થઈ ગયું, પણ હિંદુ-મુસ્લિમનાં કુલનામમાં સમાનતા રહી ગઈ. કેટલાક કાશ્મીરી ભટ્ટે ઈસ્લામ ધર્મનો સ્વીકાર કર્યો, પણ એ સૌના પૂર્વજ હિંદુ હતા. કેટલાક પાકિસ્તાની કે બાંગ્લાદેશીઓએ વિદેશ આવીને ભારતીયતા ન છોડી.
“હાલમાં રશિયા-યુક્રેન યુદ્ધમાં પાકિસ્તાની વિદ્યાર્થીઓએ ભારતનો ત્રિરંગો ફરકાવીને પોતાની જાન બચાવી એમ અમે સૌએ પણ સલામતી માટે ભારતીય મુખવટો પહેરી રાખ્યો છે.”
હવે સુદામબાબુના મનમાં શીત યુદ્ધ શરૂ થયું. ખુદની સમીક્ષા કરતા કરતા એક નિષ્કર્ષ પર પહોંચ્યા કે, ખરેખર કોણે મુખવટો પહેર્યો છે અને કોનો મુખવટો ઉતરી ગયો, એમનો કે મકબૂલ ભટ્ટનો? પોતે કરેલા પ્રશ્નથી મકબૂલ ભટ્ટે પહેરેલો ભારતીય મુખવટો ઉતરી ગયો છે કે વાસ્તવમાં પોતે જાતિ-ધર્મના નામે પહેરેલો અહંકારનો મુખવટો મકબૂલ ભટ્ટની વાતથી ઉતરી ગયો?
મહેમાનગતિ માટે આભાર માનીને સુદામબાબુ નીકળ્યા ત્યારે વાદળોની આડશ ખસી જતા પૂર્ણરૂપે ચમકતા ચંદ્રની જેમ એમનો ચહેરો પણ ચમકી રહ્યો. સાપ પોતાના શરીર પરથી કાંચળી ઉતારે એમ એમના વિચારોની શુદ્રતાનું આવરણ ઉતારી ગયું.
ગામમાં મુઠ્ઠીભર માનવીઓ વચ્ચે રહીને કૂવામાંના દેડકાની જેમ સંકુચિત વિચારોમાં રાચતા હતા એમાંથી જાતને વિશ્વ-માનવરૂપે જોતા થયા.
ભલે વિશ્વભરમાં ભારતીયતાનો મુખવટો પહેરીને ફરતા લોકો પોતાનો મુખવટો ઉતારે કે નહીં, પણ આજે સુદામબાબુ અને મકબૂલ ભટ્ટના મુખવટા તો ઉતરી જ ગયા હતા.
દાશરથિ ભૂયાં લિખિત, ડૉ. ભગવાન ત્રિપાઠી અનુવાદિત ઉડિયા વાર્તાને આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
એક કાળો, પડછંદ, રુક્ષ ચહેરાવાળો નટ છે. આ એની એવી વિશિષ્ટતાઓ છે જેને કારણે એની સાથેના કલાકારો આપોઆપ વામણા અને કોમળ લાગે છે.
નટ, લેખક, નિર્દેશક અને ગાયક : વિઠ્ઠલ ઉમપ
હવે તમને કોઈ એમ કહે કે આ મોટાભાઈ દ્રૌપદીની ભૂમિકા ભજવવાના છે તો તમને કેવી અણગમાની લાગણી થાય ? પણ આ તમારો તીવ્ર અણગમો નાટકને અંતે નામશેષ થઈ જાય અને કેવળ પ્રશંસાના ઉદ્ગાર સરી પડે એ કક્ષાનો વિઠ્ઠલ ઉમપનો અભિનય જોવો એ રંગભૂમિ પરનો યાદગાર અનુભવ બની રહે.
વળી, એ માત્ર નટ નથી. મહારાષ્ટ્રની એક લોકનાટકની પરંપરા ગોંધળનો આ પ્રમુખ ગોંધળી નર્તક, ગીતકાર, ગાયક, નિવેદક અને સૂત્રધાર જેવાં અનેક પાસાંઓ પર સરખું પ્રભુત્વ ધરાવે છે. દ્રૌપદીની ભૂમિકાનો પ્રારંભ થતાં જ એના રુક્ષ ચહેરા પર જે સ્ત્રીસહજ ભાવો આવે છે. એની ચાલ અને એના અવાજમાં જે ફેરફાર થાય છે અને પછી બીજી જ ક્ષણે સૂત્રધાર તરીકે એ અભિનયનું જે વૈવિધ્ય રજૂ કરે છે એ આપણા કોઈ પણ શહેરી કલાકારને સ્તબ્ધ કરી મૂકે એવા છે. ગદ્યપદ્ય સંવાદો બોલતી વખતે એ જે રીતે સમય સાચવે છે એ જોવાની મજા જ અનેરી છે. એકાદ-બે સફળતાઓ કે સ્પર્ધામાંથી અથવા તો
નાનીમોટી સંસ્થામાં તાલીમ લેતાં જ પોતાને મહાન ઍક્ટરો’ માનતા લબરમૂછિયાઓએ તો વિઠ્ઠલ ઉમપ અને એના સાથીઓની આ ભજવણી એટલા માટે જોવી જોઈએ કે ‘નટ’ એટલે શું એનો કુદરતી ઉત્તર અહીં જોવા મળે છે.
‘અહીં’ એટલે રવિવારિયા શહેરી મનોરંજનમાં નહિ, પણ આપણી કેટલીક લોકનાટ્યની પરંપરામાં આખું જીવન ખરચી નાખતા કલાકારોની રજૂઆતમાં આવા વિઠ્ઠલ ઉમપો જોવા મળે છે. આઇ.એન.ટી. લોકકલા સંશોધનકેન્દ્રના ઉપક્રમે અશોકજી પરાંજપેના માર્ગદર્શન હેઠળ ‘લોકમહાભારત’ તરીકે ગોંધળ-પરંપરામાં જામ્ભૂળ આખ્યાનનો પ્રયોગ ગયા અઠવાડિયે એન.સી.પી.એ.માં રજૂ થયો એની બહુ ઓછાને જાણ હશે.
‘ટોટલ થિયેટર’ની વિભાવનાને પોષતાં આપણાં ગણ્યાંગાંઠ્યાં આધુનિક નાટકોમાં ગીત, સંગીત, નૃત્ય ઇત્યાદિનું જે સંકલન આપણને સૌથી વધુ સ્પર્શી ગયેલું એવું જ અહીં જોવા મળે છે એનું સુખદ આશ્ચર્ય છે.
હા, લેખન અને ગોંધળની પરંપરાને ચુસ્ત રીતે વળગી રહેવાને કારણે મૂળ નાટક તરીકે સંતોષે એવું અહીં ઓછું છે. ‘લોકમહાભારત’, લોકભોગ્ય રીતે મહાભારતના વિવિધ પ્રસંગોની નાટ્યાત્મક રજૂઆત કરે છે. જામ્ભૂળ આખ્યાન પણ એવો જ એક પ્રસંગ છે, જેમાં દ્રૌપદી કર્ણ ૫૨ મોહી પડેલી એ ઘટનાના અનુસંધાનમાં કૃષ્ણ દ્વારા જાંબુવનમાં દ્રૌપદીના સતની કસોટીની વાત કહેવામાં આવી છે. મજાની વાત એ છે કે આ વાત એટલી હળવાશથી, આ પૌરાણિક પાત્રોને પ્રેક્ષકોની સમકક્ષ લાવી, અંતે ઉપદેશ આપે એ રીતે તદન સરળતાથી કરવામાં આવે છે. જાંબુનાં ફળ ઊંધાં કેમ લટકે છે કે જાંબુ ખાતાં મોઢું કાળું કેમ થઈ જાય છે એનાં કારણો જામ્ભૂળ આખ્યાન દ્વારા મળે છે.
જામ્બુળ આખ્યાન
તારીખ હતી ૨૭ નવેમ્બર ૨૦૧૦ , મહારાષ્ટ્રના સૌથી જાણીતા લોક કલાકાર વિઠ્ઠલ ઉમપ ના આકસ્મિક અવસાન થી સ્તબ્ધ થઈ ગયેલા, હજારો ચાહકો ચૈત્યભૂમિ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા તે પહેલાં શ્રદ્ધાંજલિ આપવા માટે ચાર કલાક સુધી કતારમાં ઉભા રહ્યા.
આ નિરાભિમાની સરળ અને ખેલદિલ કલાકાર અસીમ ઉર્જા ધરાવતા હતા જે રંગભૂમિ અને તેમના ચાહકો માટે જીવ્યા અને જીવનની અંતિમ ક્ષણો પણ રંગમંચ પર વિતાવી. શુક્રવારે એક ટેલિવિઝન ચેનલના લોન્ચિંગમાં હાજરી આપવા માટે નાગપુરમાં હતા ત્યારે તેમને હૃદયરોગનો હુમલો આવ્યો અને સેંકડો લોકોની હાજરીમાં મંચ પર તેમનું અવસાન થયું. થોડીવાર પહેલા, તેમણે “જય ભીમ!” ના જોરદાર નારા લગાવીને પ્રેક્ષકોનું અભિવાદન કર્યું હતું. આયોજકો તેમને હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.
શાંત મગજ, બાજ નજર અને ત્વરિત બુદ્ધિ ધરાવતા ઉમાપ “તાલ્યગલ્યાતલી માનસે” (પાણીના મૂળના લોકો) જેવી સ્વરચના , જેના પોતેજ સંગીતકાર, ગાયક અને અભિનેતા હતા તે માટે રાષ્ટ્રપતિ પુરસ્કારથી નવાજા ગયા હતા. , તેમણે તેમના નાટક ‘જાંભુલ આખ્યાન’ દ્વારા ઇતિહાસ રચ્યો જેમાં મહાભારતમાં દ્રૌપદીના કર્ણ પ્રત્યેના ગુપ્ત પ્રેમનું વર્ણન કરવામાં આવ્યું છે. વિવેચકો તેમને, કાળા ચહેરા અને સફેદ દાંત સાથે છ ફૂટ ઊંચા, સાડી પહેરેલા અને રંગેલા ચહેરા પહેરેલા, અત્યાર સુધી જોયેલા સૌથી ઉત્તેજક દ્રૌપદી તરીકે વર્ણવે છે. ‘જાંભુલ આખ્યાન’ એ ૫૦૦ શો પૂર્ણ કર્યા અને ત્યારબાદ ‘મી મરાઠી’ ના 300 શો કર્યા, ‘ખંડોબાચા લગીન’, ‘વિઠુ-રખુમાઈ’ અને ‘બયા દાર ઉઘાડ’ તેમના અન્ય યાદગાર લોકનાટકો હતા.
‘ફૂ બાઈ ફૂ’
‘ફૂ બાઈ ફૂ’ તેમના સૌથી લોકપ્રિય ગીતોમાંનું એક હતું, જે તેમણે પાછળથી પોતાની આત્મકથા માટે પસંદ કર્યું. ઉમાપે ઘણી મરાઠી ફિલ્મોમાં અભિનય કર્યો અને ગાયું, જોકે તેમનો હિન્દી અને ઉર્દૂ પર પણ ઈર્ષા ભાવપૂર્ણ કબજો હતો.
૧૯૩૦ ના દાયકાના અંતમાં, આઠ વર્ષના ઉમરમાં, ઉમાપે નાયગાંવના આંબેડકર-કેન્દ્ર માં ઉછેર,બાળપણથી આંબેડકર-પ્રેરિત થઈને સમાજમાં ફેલાયેલા જ્ઞાતિવાદ સામે બળવા પોકારતાં ગીતો ગાવાનું શરૂ કર્યું. સાથો સાથ લોક સંગીત ના તમામ સ્વરૂપો પર તેમની નિપુણતા તેમને પાંચ ખંડોમાં એવા દેશોમાં ચાહકો બનાવ્યા જ્યાં લોકો અંગ્રેજી બોલતા નથી, હિન્દી કે મરાઠી તો દૂરની વાત.
પશ્ચિમ યુરોપ માં આવેલ દેશ આયર્લેન્ડના કોર્ક શહેરમાં યોજાયેલ લોકકલા અને લોકનાટક ફેસ્ટિવલમાં શ્રી વિઠ્ઠલ ઉમપ અને તેમના સાથીદારોને પ્રથમ ઇનામ મળ્યું હતું.
આવા લોકલાડીલા કલાકાર અંગે વારસો પહેલા શ્રી ઉત્પલ ભાયાણી નો લેખ વાંચેલો. .આ YouTube ના જમાનામાં शाहिर विठ्ठल उमप “कोळी गीत” 7 million views ની વિડિઓ લિંક નજરે પડી. શ્રી ઉત્પલભાઈ નું પુસ્તક શોધી ને ફરી વાંચ્યું,શ્રી ઉમપ વિષે થોડી વધુ માહિતી મેળવી.
તેઓ બહોળા કુટુંબ સાથે મુંબઈના પરાં વિસ્તારમાં સરકારી આવાસ યોજના હેઠળ મળેલ મકાન રહેતા હતા. જીવનની અંતિમ ક્ષણ સુધી તે કાર્યરત રહ્યા.
“कोळी गीत”
આ મહારાષ્ટ્રનાં કોળી ગીત ની પરંપરાગત લગભગ 300 વર્ષ પુરાણી છે. અને એટલી જ જૂની નાટ્ય ગીત જેમાં ગીત-કથા+નૃત્ય વગેર નો સમાવેશ હોય છે.આજે પણ વારે તહેવારે ત્યાંના ગામડાઓમાં સાંભળવા મળે છે.
આપણા દેશમાં , લોક જાગૃતિ વધારવા માટે સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક મુદ્દાઓ વિશે મહત્વપૂર્ણ સંદેશાઓ ફેલાવવા માટે લોક રંગભૂમિનો વ્યાપકપણે ઉપયોગ કરવામાં આવે છે. સ્વદેશી સ્વરૂપ હોવાથી, તે માનવીય ક્રિયાપ્રતિક્રિયા પરની કોઈપણ ઔપચારિક મર્યાદાઓને પાર કરે છે અને લોકો માનસ સીધી અસર કરે છે.
આ વિઠ્ઠલ ઉમપે પોતાના સંઘર્ષના દિવસો યાદ કરતા કહે કે એ ગામના ચોરે ભાડુતી પેટ્રોમેક્સ ના અજવાળે વેશ ભજવતા ભગવાનને એક જ પ્રાર્થના કરતો કે આજનો મારો આ ખેલ લોકોને ગમે જેથી એક રાત મને અને મારા કુટુંબને ખાવાનું તો મળે…
વણઝારા જેવું જીવન જીવતા આ કલાકારો સમયાંતરે ભૂલાતા જશે પણ તેણે ગાયેલાં ગીતો, કહેલી કથા અને ભજવેલો વેષ લોકોને વરસો સુધી યાદ રહેશે.
(શ્રી ઉત્પલ ભાયાણી નાં પુસ્તક “તર્જીની નિર્દેશ” અને YouTube સાથે અન્ય માહિતીને આધારે આ લેખ તૈયાર કર્યા તારીખ ૨૨ જાન્યુઆરી ૨૦૨૬)
ગઈ કડીમાં આપણે જેનો પરિચય કર્યો, તે તબલાં જેટલી જ વ્યાપક પ્રસિદ્ધી ઢોલક પણ ધરાવે છે. વળી ઉપયોગીતાની દૃષ્ટીએ પણ ઢોલક તબલાંને સમકક્ષ જ ગણાવી શકાય. એક વ્યાપક માન્યતા મુજબ ઢોલક્ તાલવાદ્ય તરીકે પહેલાં ચલણમાં આવ્યું હશે અને સમય જતાં તેને બે ભાગમાં વિભાજિત કરીને તબલાં બનાવવામાં આવ્યાં હશે. ઉત્તરીય અને મધ્ય ભારતીય વિસ્તારોમાં તબલાંનો મહિમા વધારે જોવા મળે છે, જ્યારે ઢોલકનું સૌથી વધુ ચલણ પંજાબમાં અને તેની આસપાસના પ્રદેશોમાં હોય છે. એક નોંધનીય બાબત એ છે કે શાસ્ત્રીય ગાયન-વાદન સાથે તબલાંની જ સંગત હોય છે. તે જ રીતે લોકગીતો સાથે મહદઅંશે ઢોલકનો ઉપયોગ કરવામાં આવે છે. કેમ કે ઢોલકને બેય છેડેથી પાતળા દોરડાથી બાંધી, ગળામાં ભેરવી સહેલાઈથી વગાડી શકાય છે. આથી તે ઉત્સવો અને ઉજાણીઓમાં વગાડાતું જોવા મળે છે. આ તબક્કે એક સ્પષ્ટતા કરવી રહી કે વરઘોડામાં કે સરઘસોમાં દાંડી વડે વગાડવામાં આવતાં હોય છે એ ઢોલ કહેવાય છે, એ ઢોલક નથી.
ઢોલકની રચના પણ સાગ અથવા અન્ય કોઈ મજબૂત વૃક્ષના થડને આડું કાપીને મેળવેલા એક લંબઘન ટૂકડામાંથી થાય છે. આવા ટૂકડાની અંદરના ગર્ભભાગને દૂર કરતાં બનતા પોલાણની બન્ને બાજુએ બકરા અથવા ઘેટાની ચામડી લગાવી દેવામાં આવે છે. ત્યાર બાદ મૃત પ્રાણીના આંતરડામાંથી બનાવેલી દોરી જેવી રચના વડે એ ચામડીને મજબૂતીથી સીવી લેતાં ઢોલકનું નિર્માણ થાય છે. તેની બન્ને બાજુ ઉપર યોગ્ય રીતે હળવો પ્રહાર કરતાં ઉત્પન્ન થતી અનુનાદિય અસર થકી અપેક્ષિત બોલ વગાડી શકાય છે.
એક રસપ્રદ બાબત એ છે કે પ્રથામ દૃષ્ટીએ આ વાદ્ય જેવાં દેખાતાં અન્ય તાલવાદ્યો પણ ચાલણમાં છે. જેમ કે પરંપરાગત ઢોલક કરતાં નાનું કદ ધરાવતું વાદ્ય ઢોલકી કહેવાય છે. એનાથી પણ નાના કદનું વાદ્ય માદલ તરીકે ઓળખાય છે. તે ઉપરાંત નાળ, પખાવજ અને મૃદંગ પણ થોડાઘણા અંશે ઢોલક જેવી રચના ધરાવતાં હોય છે. આ બધાં જ તાલવાદ્યો જેને તેને વગાડતાં ઉત્પન્ન થતા બોલ અને વાદનની શૈલી વડે એકબીજાંથી ખાસ્સાં જુદાં પડે છે. આ કડીમાં આપણે એવાં ફિલ્મી ગીતો માણીએ, જેમાં તાલવાદ્ય તરીકે ઢોલકનો પ્રભાવક ઉપયોગ થયો હોય.
સૌ પ્રથમ જે બે ગીતો સાંભળીએ તે ૧૯૫૧ની એવી ફિલ્મનાં છે, જેનું નામ ઢોલક હતું! શ્યામસુંદર નામના પ્રમાણમાં ઓછા જાણીતા એવા સંગીતકારના નિર્દેશનમાં આ ફિલ્મ માટે સંગીત તૈયાર થયું હતું.
પહેલાં સાંભળીએ ‘મૌસમ આયા હૈ રંગીન’. પરદા ઉપર મોટું વાદ્યવૃંદ નજરે પડે છે, જેમાં વાદકો તરીકે યુવતીઓ છે. આ ક્લીપ પરથી ઢોલકના લાક્ષણિક બોલોનો ખ્યાલ આવી શકે છે. શરૂઆતમાં કેટલીક યુવતીઓ ઢોલક વગાડતી પણ દેખાય છે.
હવે આ જ ફિલ્મનું અન્ય ગીત ‘હલ્લા ગુલ્લા લઈલા’ માણીએ. આ ગીતમાં પણ તખ્તા પરથી થઈ રહેલી રજૂઆતમાં વિવિધ વાદ્યોના સ્વર સાથે ઢોલકના બોલ સ્પષ્ટ સંભળાય છે.
આગળ વધીએ ૧૯૫૬ની ફિલ્મ ચોરી ચોરીના ગીત ‘પ્યાર હુઆ ઈકરાર હુઆ’ તરફ. શંકર-જયકિશનના સંગીતનિર્દેશનમાં તૈયાર થયેલા આ ગીત સાથે ઢોલકનો અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે.
ફિલ્મ દો આંખેં બારાહ હાથ(૧૯૫૭) માટે વસંત દેસાઈએ તૈયાર કરેલાં બધાં જ ગીતો ખુબ જ લોકપ્રિય થયાં હતાં. તે પૈકીના ગીત ‘અય માલિક તેરે બંદે હમ’ (પુરુષોના સમુહસ્વરમાં) સાથે વાગી રહીલા ઢોલકના બોલ આગવી અસર ઉભી કરે છે.
આ જ ફિલ્મના અન્ય ગીત ‘ઊમડ ઘૂમડ કર આયી રે ઘટા’માં પણ ઢોલક પોતાની હાજરી પૂરાવતું રહે છે. નોંધીએ કે પરદા ઉપર ગીતની શરૂઆતમાં નાયક વગાડે છે તે ઢોલ છે, પણ પછી સમગ્ર ગીત દરમિયાન ઢોલક કાને પડતું રહે છે.
ફિલ્મ દિલ અપના ઔર પ્રીત પરાઈ(૧૯૬૦)માં શંકર-જયકિશનનું સંગીત હતું. આ ફિલ્મના ગીત ‘અંદાઝ મેરા મસ્તાના’ માણીએ. એક બિનદસ્તાવેજી માહીતિ મુજબ આ ગીત સાથે સહાયક સંગીતકાર દત્તારામે ઢોલક વગાડ્યું હતું.
૧૯૬૧માં પરદા ઉપર રજૂ થયેલી ફિલ્મ આસ કા પંછીના ગીત ‘તુમ રૂઠી રહો મૈં મનાતા રહૂં’ સાથે ઢોલકના બોલ પ્રભાવક રીતે સંભળાતા રહે છે, સંગીતનિર્દેશન શંકર-જયકિશનનું હતું.
હવે સાંભળીએ ઢોલકના તાલ વડે સજાવાયેલું ફિલ્મ મેરે સનમ(૧૯૬૫)નું ગીત ‘હમદમ મેરે માન ભી જાઓ’. સ્વરનિયોજન ઓ.પી. નૈયરનું છે. શરૂઆતમાં પાશ્ચાત્ય તાલવાદ્યો સંભળાય છે, પણ ગાયકીની સાથે ઢોલકના બોલ શરૂ થઈ જાય છે.
ફિલ્મ પથ્થર કે સનમ(૧૯૬૭)ના ગીત ‘કોઈ નહીં હૈં ફીર ભી હૈ મુઝ કો’ સાથે ઢોલક વાગે છે તે સંગીતકાર બેલડી લક્ષ્મીકાંત-પ્યારેલાલની લાક્ષણિક તાલશૈલીને અનુરૂપ છે.
૧૯૬૮ની ફિલ્મ રાજા ઔર રંક માટે પણ લક્ષ્મીકાંત-પ્યારેલાલે સંગીત તૈયાર કર્યું હતું. તે ફિલ્મના ગીત ‘મેરા નામ હૈ ચમેલી’ સાથે પણ લાક્ષણિક શૈલીમાં ઢોલકવાદન કાને પડે છે.
આ કડીના અંતમાં સાંભળીએ ૧૯૭૮ની ફિલ્મ સત્યમ શિવમ સુંદરમનું ઢોલકપ્રધાન ગીત ‘ભોર ભયી પનઘટ પર’. આ ફિલ્મ માટે સંગીત લક્ષ્મીકાંત-પ્યારેલાલે તૈયાર કર્યું હતું.
૧) તસવીર નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.
૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય જ છે.
૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.
વહેલી સવારે, લોકો કામે નીકળે, ટ્રાફિકનો ઘોંઘાટ શરૂ થાય અને દિવસ વેગ પકડે તે પહેલાં, એક મધુર સૂરીલું અને પુનરાવર્તિત ગીત સંભળાય છે. આપણામાંથી મોટાભાગના લોકો એ આ ગીત સાંભળ્યું પણ હશે અને તેના ગાયક કલાકારને જોયું પણ હશે, પણ ઘણા ઓછા લોકોએ રોજિંદી જિંદગીમાંથી સમય કાઢી તેને માણ્યું અથવા સમજ્યું હશે.
આ પક્ષી જેને અંગ્રેજીમાં “ઓરિએન્ટલ મેગપાઈ રોબિન (Oriental Magpie Robin)” અને ગુજરાતીમાં “દૈયડ” કહેવાય છે, એ શહેરોમાં આપણી નજીક એટલા લાંબા સમયથી રહે છે કે તેનું ગાન રોજિંદા જીવનની પૃષ્ઠભૂમિનો ભાગ બની ગયું છે.
તે એક નાનું પક્ષી છે, જે ભારતીય ઉપખંડમાં સામાન્ય છે, બગીચાઓ, ખેતરો, શહેરો અને જંગલની ધારમાં આરામથી જોવા મળી જાય છે. તે માનવ પ્રભાવિત પર્યાવરણમાં રહેવા ટેવાઈ ગયું છે.
[ચળકતો કાળો રંગ ધરાવતો નર મેગપાઈ રોબિન]નર ઓળખવામાં સરળ છે: ઉપર ચળકતો કાળો, નીચે સફેદ, પાંખ પર ઘાટા સફેદ ડાઘ અને લાંબી પૂંછડી જે ઘણીવાર તે ઊંચી અને સીધી રાખે છે. માદાનો રંગ આછો અને રાખોડી-ભુરા જેવો હોય છે, જે તેની આસપાસના વાતાવરણમાં સરળતાથી ભળી જાય છે. સંવર્ધન ઋતુ દરમિયાન, આ તફાવત વધુ સ્પષ્ટ બને છે.
[આછા ગ્રે રંગ ધરાવતી માદા મેગપાઈ રોબિન]દૈયડ તેના જટિલ અને મધુર ગીત માટે જાણીતું છે. હકીકતમાં તેનું વૈજ્ઞાનિક નામ Copscychus saulrais માં saularis શબ્દ સંસ્કૃત/હિન્દીમાંથી લેવા માં આવ્યો છે જે તેના સૌ પ્રકારના ગીત ગાતા હોવાનું દર્શાવે છે. તેના ગીત ગાવા પાછળ પણ ઘણા કારણો છે. નર બ્રીડિંગ સિઝનમાં ઊંચી ડાળી, ટાવર જેવી ટોચની જગ્યા પર બેસી વારંવાર ગીત ગાય છે, વારંવાર ગીત ગાવું માદાને એવો સંદેશ આપે છે કે આ નર એકદમ સ્વસ્થ છે અને તેની પાસે ખાવાનું પણ પુષ્કળ છે, તો જ તે દિવસનો વધારે સમય ગીત ગાવા માટે ફાળવી શકે. આ રીતે માદા દૈયડ સૌથી ઉત્તમ નરને સંવર્ધન માટે પસંદ કરે છે!
શહેરોમાં મેગપાઈ રોબિન ઘણી વખત બહુ વહેલી સવારમાં ગાતું સાંભળાય છે, ક્યારેક સૂર્યોદય પહેલાં અને ક્યારેક તો રાત્રે ત્રણ વાગ્યે પણ જાગી ગીત ગાય છે. આ વર્તણૂકનું સીધું કારણ શહેરોમાં થતું ધ્વનિ-પ્રદૂષણ છે. દિવસ દરમિયાન માનવ પ્રવૃત્તિઓથી સતત ઘોંઘાટ રહે છે જેનાથી નરનો અવાજ સ્પષ્ટ અને વધારે દૂર સુધી નથી પહોંચી શકતો. મોડી રાત અથવા વહેલી સવારના શાંતિના સમયમાં ગાવાથી તેનો અવાજ દૂર સુધી અને સ્પષ્ટ પહોંચે છે. આ શહેરી વાતાવરણમાં કરેલું અનુકૂલન છે જે ખાલી દૈયડમાં જ નહીં પણ ઘણા સોંગબર્ડ્સમાં જોવા મળી રહ્યું છે!
દૈયડ જમીન પર રહી મુખ્યત્વે કીડીઓ, ભમરા, ઉધઈ, ઈયળો – વગેરે જંતુઓ ખાય છે જેથી કીટકોની વસ્તી પણ નિયંત્રિત રહે છે, પણ હવે અબોલ જીવો પ્રત્યે દયા ધરાવતા ને પુણ્ય કમાવા ઇચ્છતા લોકોની બિનજરૂરી મદદથી દૈયડ હવે ગાંઠિયા, રોટલી, ચવાણું, સેવ વગેરે ખાતા થઈ ગયા છે જેની સીધી અસર તેમના પાચન અને સ્વાસ્થ્ય પર પડે છે અથવા ઘણી વખત પક્ષીઓ મૃત્યુ પણ પામે છે અને થોડુંક દૂર નું વિચારીએ તો કીટકોની વસ્તી પણ માપ બહાર વધી જાય છે! એટલે હંમેશા પુણ્ય કમાવા જતા અથવા દયા બતાવવા જતા વિચારવું કે શું તે પશુ-પક્ષી માટે હાનિકારક તો નથી ને?
[એક કીટકનો શિકાર કરી તેનું ભક્ષણ કરતો નર દૈયડ]સંવર્ધન ઋતુ દરમિયાન, નર મજબૂત રીતે પ્રાદેશિક (territorial) બની જાય છે અને બીજા નરની તેના વિસ્તારમાં ઘૂસણખોરી સહન કરતા નથી. ઘણી વખત કાચમાં પોતાના પ્રતિબિંબને તેનો હરીફ સમજી તેના પર પણ હુમલો કરે છે
તે ઘાસ, ડાળીથી નાની વાટકી જેવો માળો સામાન્ય રીતે પોલાણમાં બનાવે છે. ઝાડની બખોલ, વપરાશમાં ન આવતા પાઇપ અથવા ત્યજી દેવાયેલ માળખામાં માળો બનાવે છે. માતાપિતા બંને બચ્ચાઓને ખવડાવે છે, અને જો પરિસ્થિતિઓ અનુકૂળ હોય તો એક કરતાં વધુ બચ્ચાઓ ઉછેરી શકે છે. આ સુગમતા સમજાવે છે કે શા માટે આ પ્રજાતિ ભીડવાળા માનવ વસાહતોમાં પણ સફળતાપૂર્વક સંવર્ધન ચાલુ રાખે છે.
સદીઓથી, ઓરિએન્ટલ મેગપાઈ રોબિન તેના ગીત માટે પ્રશંસા પામ્યું છે. તે જ કારણે પહેલાના સમયમાં તેને પાંજરામાં મનોરંજન અને દેખાવ માટે રાખવામાં આવતું હતું, અને કેટલીક જગ્યાએ, નરનો ઉપયોગ તેમના પ્રાદેશિક વર્તનના આધારે આક્રમક સ્પર્ધાઓમાં પણ થતો હતો. જ્યારે આવી પ્રથાઓ હવે કાયદાની વિરુદ્ધ છે, તે એક વિરોધાભાસ દર્શાવે છે: પક્ષીને મર્યાદિત રાખવા માટે પૂરતું મૂલ્ય આપવામાં આવતું હતું, છતાં આપણા ઘરની બહાર તેના મુક્ત ગીતને મોટાભાગે અવગણવામાં આવે છે.
ઇકોલોજિકલ રીતે, મેગપાઈ રોબિન માનવ વસવાટની આસપાસ જંતુઓને નિયંત્રિત કરવામાં ભૂમિકા ભજવે છે. તેની હાજરી સૂચવે છે કે તે વિસ્તાર હજુ પણ મૂળભૂત ઇકોલોજીકલ સંતુલનને ટેકો આપે છે. પરંતુ સામાન્ય હોવાને કારણે તે સુરક્ષિત નથી. જંતુનાશકો, જીવદયા ધરાવતા પ્રાણીપ્રેમીઓ અને ધ્વનિ પ્રદૂષણ ધ્યાન આકર્ષિત કર્યા વિના આ સુંદર પક્ષીની સ્થાનિક વસ્તીને ઘટાડી શકે છે.
ઓરિએન્ટલ મેગપાઈ રોબિન માનવ-પ્રભુત્વ ધરાવતા લેન્ડસ્કેપ્સનો સામાન્ય રહેવાસી છે. માનવ હાજરીમાં તે તેના વર્તનમાં (જેમાં ગીતનો સમય, માળા અને ખોરાકની પસંદગી, ખોરાક શોધવાનો સમયમાં) ફેરફાર લાવી તે ઉચ્ચ સ્તરની અનુકૂલનક્ષમતા દર્શાવે છે. આવી પ્રજાતિઓનો અભ્યાસ કરવાથી, પક્ષીઓ પર્યાવરણીય પરિવર્તન અને સતત માનવીય ખલેલ સાથે કેવી રીતે અનુકૂલન કરે છે તે સમજવામાં મદદ મળે છે.
સનાતન પરંપરા વિશે જેટલું લખીએ તેટલું ઓછું પડે. આ દીર્ઘ લેખામાળાના સમાપનમાં સનાતન પરંપરાઓનું ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં મૂલ્યાંકન તેમને સમજવામાં મદદરૂપ બની શકશે.
વૈદિક પરંપરા
આજથી સીત્તેર હજાર વર્ષ પૂર્વે વૈદિક ઋષિઓએ પરમ ચેતના – બ્રહ્મ – અંગે તેમના આંતરિક મન વડે દર્શન કર્યું અને પછી તેને સામાન્ય જનસમાજ સમક્ષ રજૂ કરવા સંસ્કૃત ભાષાના ૬૪ અક્ષરો અને ગાયત્રી, અનુષ્ટુપ, જગતી જેવા ૭ છંદોમાં ગઠન કરીને અદ્ભૂત ઋચાઓમાં આ દર્શનને વણી લીધું. આપણી વૈદિક પરંપરાઓનો પ્રારંભ થયો.
એક વિદેશી વિદ્વાને સાચું લખ્યું છે કે ઈજિપ્ત અને માયા સંસ્કૃતિના પથ્થરોમાં સચવાયેલા ધાર્મિક અને સામાજિક જ્ઞાનનો કાળક્રમે નાશ થશે પણ અક્ષરદેહમાં સચવાયેલી વૈદિક પરંપરા શાશ્વત છે. તેનો કદી પણ નાશ નહીં કરી શકાય.
વેદની રચના થયા પછી વેદના ઋષિઓએ ઉપરોક્ત જ્ઞાનને અધ્યાત્મનું રૂપ આપવા આરણ્યકો અને ઉપનિષદોની રચના કરી. આ બધું સાહિત્ય શ્રુતિ સાહિત્ય તરીકે ઓળખાય છે. આ જ્ઞાનને મૂર્ત સ્વરૂપ આપવા યજ્ઞ પ્રથાનું આયોજન વૈદિક ઋષિઓએ કર્યું. આ માટે શતપથ બ્રાહ્મણ અને ગૌપથ બ્રાહ્મણ જેવા અદ્ભૂત ગ્રંથો રચાયા. તેમ છતાં હજુ કંઈ ખુટતું જણાતું હતું. તેથી છ વેદાંગ પરિપાટીનું પ્રચલન થયું. વેદાંગોમાં કપિલ મુનિનું સાંખ્યશાસ્ત્ર, મીમાંસાઓ, યોગ અને વ્યાકરણશાસ્ત્રની રચના દ્વારા આ ખોટ પુરી કરવામાં આવી.
પરંતુ, સામાન્ય પ્રજાને આટલું ઉચ્ચ સાહિત્ય સમજી શકવામાં તકલીફ પડતી હતી. તે વખતે ઘણા તત્વજ્ઞાનીઓ આ જ્ઞાનને સમજાવવા આગળ આવ્યા. શ્રીવેદવ્યાસે બ્રહ્મસૂત્ર તથા શંકરાચાર્યે તેના પરની ટીકાઓ રજૂ કરતાં પ્રસ્થાનત્રયીની રચના કરી. તેઓનો અદ્વૈતવાદ અને રામાનુજ, માધવાચાર્ય વગેરેના દ્વૈતવાદ, દ્વૈતાદ્વૈતવાદ અને અચિંત્ય ભેદવાદની પ્રકાંડ તત્ત્વજ્ઞાનની વિચારસરણી રજૂ કરી. પરંતુ, સાચા અર્થમાં, વૈદિક પરંપરા અભિજાત્ય વર્ગ – ઉચ્ચવર્ગ (Elite Class) માટે જ બની રહી, તે લોકભોગ્ય ન બની શકી.
વૈદિક પરંપરાનું પતન
વૈદિક પરંપરા માટે પતન શબ્દ બંધબેસતો નથી. તેમ છતાં નોંધવું પ્ડે છે કે ભારતના આ પછીના પુરોહિતોએ ઋષિઓનું સ્થાન ખુંચવી લીધું. અતિખર્ચાળ અને પશુબલિને ટેકો આપતા અનેક યજ્ઞોનું પ્રાયોજન કરીને તેઓએ વૈદિક પ્રથાને નિર્બળ બનાવી દીધી. સામાન્ય પ્રજા પોતાના દુઃખોને દૂર કરવા ઈંન્દ્ર, અગ્નિ, સોમ, બૃહસ્પતિ ઈત્યાદિ જેવા જે વૈદિક દેવતાઓ અને સિનીવાલી અને કુહુ જેવાં દેવીઓની સ્તુતિ કરતાં તે દેવદેવીઓ આ દુઃખો દૂર કરવામાં નિષ્ફળ ગયાં. સંસાર વ્યાપન કરતા સામાન્ય માણસને વર્ણવ્યવસ્થા પ્રમાણે તેને કરવાના કાર્યો માટે અનેક નિયમો બનાવવામાં આવ્યા. મનુસ્મૃતિ, ગૃહ્યસૂત્ર, પરાશર સ્મૃતિ જેવાં અનેક ધર્મસૂત્રો અને ધર્મશાસ્ત્રો દ્વારા આ નિયમોનાં બંધનો પ્રજા પર લાદવામાં આવ્યાં. કોઈ કાર્યમાં કોઈ દુષણ આવી જાય તો તેના શુદ્ધિકરણ માટે પણ અનેક નિયમો આ શાસ્ત્રોએ સુચવ્યા. પરિણામે, ચાર વર્ણને બદલે અઢાર વર્ણમાં સમાજ વહેંચાઈ ગયો અને નિર્બળ બન્યો.
શ્રમણ પરંપરા
વૈદિક પરંપરાનાં જ્યારે વળતાં પાણી થયાં યારે દીર્ઘકાળથી પ્રચલિત શ્રમણ પરંપરાના બે મહામાનવો, ભગવાન બુદ્ધ અને મહાવીર સ્વામી,નું પ્રાગટ્ય થયું. રાજકુમાર સિદ્ધાર્થ જ્યારે કેવળ જ્ઞાન પામીને ગૌતમ બુદ્ધ બન્યા અને વર્ધમાન પરમ જ્ઞાન પામીને મહાવીર સ્વામી બન્યા ત્યારે તેઓએ વ્યક્તિની આંતરિક સુધારણા પર ભાર મૂક્યો. બાહ્ય યજ્ઞો અને ખર્ચાળ કર્મકાંડોને સ્થાને તેઓએ માનવમાત્રને સારાં કામો દ્વારા નિર્વાણ અને મોક્ષ પામવા માટેના સરળ સિદ્ધાંતો આપ્યા. આ માટે તેઓએ સંસ્કૃતની જગ્યાએ પ્રાકૃત અને અર્ધમાગધી જેવી બોલચાલની ભાષાઓમાં ઉપદેશો આપ્યા,
જૈન પરંપરા પ્રમાણમાં પાળવી કઠણ હતી, એટલે તેનો વિસ્તાર માત્ર ભારતમાં જ થયો. પરંતુ, બૌદ્ધ ધર્મ પ્રારંભથી જ સરળ હતો. તે અન્ય વ્યક્તિના ધર્મ પરિવર્તનમાં માનતો. વળી બૌદ્ધ ધર્મની શાખા મહાયાનમાં પ્રજાનાં દુઃખ દૂર કરે તેવા બોધિસત્વના અવતારો, તેમની પુજા – અર્ચના અને વજ્રયાનની તાંત્રિક પરંપરાએ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું. ભારતવર્ષની લગભગ ૮૫ પ્રતિશત પ્રજાએ બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો. બૌદ્ધ ધર્મની શાખા હિનયાન શ્રીલંકામાં ફેલાઈ. અહીં જ બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથ ત્રિપિટકોની રચના કરવામાં આવી. મહાયાન પરંપરાએ ભારત ઉપરાંત મધ્ય એશિયા, ચીન, કોરિયા અને જાપાનમાં પણ બૌદ્ધ ધર્મને ફેલાવ્યો.
ભારતવર્ષના મૌર્ય વંશના સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મનો સ્વીકાર કરીને આખા દેશને ચોર્યાસી હજાર જેટલો સ્તૂપો, ચૈત્યો, વિહારો, અને અનેક ગુફાઓમાં ધ્યાન કેન્દ્રો સ્થાપ્યાં. અજંન્તા અને ઈલોરાનાં ગુફાસ્થાપત્યો વિશ્વની વિરાસત બન્યાં છે. મધ્ય એશિયાના સમ્રાટ કનિષ્કે પણ બૌદ્ધ ધર્મ સ્વીકારીને તેનો પ્રચાર સમગ્ર યુરોશિયામાં કર્યો. પરિણામે વેદની સાઠ પર્તિશત ઋચાઓ આ પાષાણ સ્મારકોમાં ટકરાઈને આપણાથી દૂર થઈ ગઈ.ઓશો રજનીશ કહે છે કે અધ્યાત્મ અને ધર્મના જે શબ્દ બોલાય છે તે ક્યારેય નાશ પામતા નથી, પણ આકાશીય સંદેશ તરીકે સચવાય છે.
વાળ, દાંત જેવા બુદ્ધના દેહાવશેષો પર ચૈત્યો અને સ્તૂપોનું નિર્માણ કરવામાં આવ્યું. પૂર્વ એશિયાના દેશો ઉપરાંત દક્ષિણ – પૂર્વ એશિયાના વિયેતનામ, કમ્બોડિયા, થાઈલેન્ડ, લાઓસ અને મ્યાનમારમાં પણ બૌદ્ધ ધર્મ રાજધર્મ બન્યો. પ્યુ (PEW) રિસર્ચના અંદાજ મુજબ ઇ. સ. ૨૦૨૦માં બૌદ્ધ ધર્મ પાળનાર લોકોની સંખ્યા વિશ્વની વસ્તીના ચાર પ્રતિશત, એટલે કે લગભગ ૫૦ કરોડ જેટલી, માનવામાં આવે છે. કમનસીબે, એશિયાના દેશોમાં પણ બૌદ્ધ ધર્મ પાળનારાઓની સંખ્યા ઘટવા લાગી છે.
સામાન્ય રીતે આપણને ઇતિહાસમાં એમ શીખવવામાં આવે છે કે બુદ્ધ અને મહાવીર સમકાલિન હતા. તેઓનો સમયકાળ આજથી ૨,૬૦૦ વર્ષ પહેલાંનો મુકવામાં આવે છે. પરંતુ, ભારતના શોધકર્તાઓએ હવે એવું પ્રતિપાદિત કર્યું ચ એકે ભગવાન બુદ્ધ આજથી લગભગ ૩,૮૦૦ વર્ષ પૂર્વે થઈ ગયા. તેમના સમકાલિન મહાવીર સ્વામી નહીં પણ પાર્શ્વનાથ ભગવાન હતા. આ શોધકર્તાઓ મહાવીર સ્વામીનો સમયકાળ આજથી ૩,૨૦૦ વર્ષ પૂર્વેનો મુકે છે.
કાળક્રમે જૈન ધર્મ શ્વેતાંબર અને દિગંબર એમ બે મુખ્ય સંપ્રદાયોમાં વહેંચાઈ ગયો અને વિકસ્યો. એકતાળીસ આગમો અને સૂત્રો જેવા જૈન ધર્મગ્રંથોની રચના પ્રમાણમાં અર્વાચીન છે. પરંતુ તેઓના .
સ્મારકો મથુરા, સમેતશિખર (ઝારખંડ), ગિરનાર પર્વત, પાલીતાણા અને આબુ પર્વત પર આવેલાં છે. આ ધાર્મિક સ્થલો પર હિંદુઓ પણ પોતાનો દાવો રજૂ કરે છે, પરંતુ ઐતિહાસિક દૃષ્ટિએ આ સ્થાનકો મુળભૂત રીતે જૈન ધર્મનાં છે.
ભગવાન બુદ્ધ પોતે ભગવાન બન્યા પણ પોતે ઈશ્વરતત્વ વિશે આજીવન મૌન રહયા. તેઓએ આત્માનો પણ સ્વીકાર ન કર્યો. આમ વૈદિક ધર્મનાં વેદાંતનો બુદ્ધે સંપૂર્ણ જાકારો આપ્યો. મહાવીર સ્વામીએ પણ વેદાંતનાં તત્વજ્ઞાનને બદલે અનેકાન્તવાદ[1] અને સ્યાદ્વાદ જેવા દરેકને સ્વીકૃત એવા મહાન તત્વજ્ઞાનનો પાયો નાખ્યો. તેઓ અનિશ્વરવાદી હતા. તેઓએ આત્માનો સ્વીકાર કર્યો હતો, પણ એક પદાર્થ (મુદ્ગલ) તરીકે તેઓ આત્માને ક્ષણભંગુર માને છે. આમ આ બન્ને મહાનુભવોએ વેદ પરંપરાના પૂર્ણત્વને સ્થાને શૂન્યવાદ[2] અને નકારાત્મક તત્વજ્ઞાનનો પ્રચાર કર્યો.
નાગાર્જુનના શુન્યવાદના સિદ્ધાંત તથા દિંગનાથ, વસુબન્ધુ અને ધર્મકીર્તિ નામના તત્વજ્ઞાનીઓએ શ્રમણ પરંપરાના પ્રકાંડ તત્વજ્ઞાનના પાયા નાખ્યા. તેથી વેદોએ પ્રચલિત પૂર્ણત્વ પ્રાપ્ત કરવાના તત્વજ્ઞન સામે આ શુન્યવાદની વિચારધારા સમગ્ર ભારતામાં સ્વીકૃત બની. આમ જ્યારે દરેક ક્ષેત્રમાં શ્રમણ પરંપરાની બોલબાલા હતી ત્યારે તેમાં વિકૃતિઓ પણ દાખલ થવા લાગી. આપણા દેશની રક્ષાનો ભાર સંભાળતા મોટા ભાગના ક્ષત્રિપ કુળોએ જીવનની નકારતાને સ્વીકારનારી જીવન પદ્ધતિ અપનાવી, જેના પરિણામે દેશમાંથી ક્ષાત્રત્વ હણાઈ ગયું. ઇરાનીયનો, શક, હુણ જેવી હિંસક પ્રજાઓના પશ્ચિમમાંથી આવવા લાગેલાં આક્રમણો સામે ભારત વર્ષનાં રાજ્યો પાસે પુરતી સંરક્ષણાત્મક ક્ષમતા ન રહી. આપણી રાજ્ય સરકારોનું મૌલિક કેન્દ્ર છિન્નભિન્ન થઈ ગયું.
બૌદ્ધ અને જૈન પરંપરાઓમાં સ્ત્રીઓને પણ પ્રવેશ મળ્યો. તેનાં પરિણામ સ્વરૂપ, વિજાતીય આકર્ષણની એક આડ અસર રૂપે શ્રમણ સંઘોમાં અનેક પ્રકારનાં દુષણો પ્રવેશ પામ્યાં.