વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • આપણા પછી – ખેતીમાં આપણા અનુગામી કોણ ?

    કૃષિ વિષયક અનુભવો

    હીરજી ભીંગરાડિયા

    તમે બાપા ખેતી તો ખરાખરની જમાવી હતી. બળદિયાની બે બે જોડી, ચચ્ચાર દુજાણાં, કૂવા, પાઇપલાઇનો, મશીનો, ખેતીના સાધનો, મકાનો, સાથી-દાડિયા અને તમારી માણકી ઘોડી-બધું સંકેલાઇ ગયું ? અઢાર જણા તો એકચૂલે રાંધી ખાતા હતા ત્યાં તમે બે ડોહલા જ રહ્યા ? કેમ તમારા પછી તમારી આ ખેતીને આવીને આવી જીવતી રાખી શકે અને રસથી સંભાળી શકે તેવો તમારો જણ તમે તૈયાર ન કર્યો ? ” આવો સવાલ મેં જેમની ખેતી જોઇ “વાહ ભૈ વાહ !” કહેવાઇ જતું એવા ખેતી ની સાથે ઓતપ્રોત થઇ ગયેલા જેટલા જેટલાને પૂછ્યો છે,તે બધામાંથી 80 ટકાના જવાબો એવા મળ્યા છે કે “ મારી તો હજૂએ ઘણી ઇચ્છા છે કે મારા પછી મારો એકાદ દીકરો, અને એ નહીં તો એનો એકાદ દીકરો-આ ખેતી સંભાળવા આવી જાય. પણ મારાબેટા કોઇ આ બાબતે કાનહોરો જ દેતા નથી ને ! કોણ જાણે કેમ પણ ખેડ્યથી બધા આઘા જ ભાગે છે.”

    અને વાત ખરેખર સાચી છે હો ! સામાન્યરીતે આજે ગામડામાં મોટાભાગના ખેડૂત કુટુંબોમાં દાદા-દાદીનું એક જોડકું ગામ માહ્યલી મકાન-મિલ્કત અને સીમ અંદરના ખેતર-વાડી સાચવીને બેઠું છે. ખેતર-વાડીનું કામકાજ કોઇને ભાગમાં આપી દઇ,આંટોફેરો મારે છે અને બાર મહિને ભાગિયા દ્વારા જે કંઇ ઉપજ મળે ન મળે તેને “માંગલિક”માની હાશકારો અનુભવે છે. જે આંગણે બેબે ભેંશો દૂજતી અને ગાયના ગોધલા તેના જનમથી જ ઉછેરાતા ત્યાં દૂધ કળશ્યામાં વેચાતું અને છાશ તપેલીમાં માગી લાવી ચા-પાણી અને બપોરા-વાળુનું રોડવી લે છે. પોતાને દુઝાણું રાખવું મહેનત કરવા બાબતે સાલ્ય સામે એમ નથી. કારણકે બેમાંથી એકેયથી હવે શરીરશ્રમ થાય તેમ નથી.

    જો હજુ થોડા વરસો ખેતી પ્રત્યે આવીનેઆવી અવહેલના કરવામાં આવશે તો આવતા વરસોમાં માત્ર જમીનના માલિક બની રહેવું હશે તો પણ મજૂરોને-બાર મહિને વાડી-ખેતરમાં જે કંઇ ઉપજ આવે તે એની, અને વાડીએ વસીરહી, મિલ્કત સાચવવાના જ તે કહે તેટલા રૂપિયા ઉપરિયામણ આપવાના આવશે.જે વ્યવસાય પેઢીઓથી ખેડૂત કુટુંબોની આજીવિકાનું સંતોષપ્રદ સાધન રહ્યું છે તે ખેડૂતોના હાથમાંથી ક્યારે સરકી જશે તેનો ખ્યાલ ખુદ તેમને પણ રહેવાનો નથી, એવું ભયંકર સ્વપ્નું મારી નિંદ હરામ કરી રહ્યું છે.

    પ્રશ્ન મારે આમને કરવો છે =

    ભલેને હોય ગણ્યાગાંઠયા, પણ જે ખેડૂતો ખેતી વ્યવસાયને ખૂબ ઊંડાણથી સમજીને તથા તેમાં દિલનો રંગ રેડીને કરી રહ્યા છે, ખેતીમાં કરવામાં આવતા જરૂરી કામોની સાથેસાથે આ કુદરત સંચાલિત ખેતી અભિગમ પ્રત્યેની એક નિષ્ઠા, અને એના પ્રત્યે તાદાત્મ્યભાવ જે દેખાડી રહ્યા છે, ખેતી એક પાયાનો અને પ્રામાણિક ધંધો છે તેવું પામી શક્યા છે, અને ખેતીમાં ઊભાથતાં સાંપ્રત પડકારો સામે સલુકાઇથી રસ્તાઓ શોધી, પ્રમાણમાં ઘણૂં અને ગુણવત્તામાં પણ ઉત્તમ એવું ઉત્પાદન મેળવવા મથી રહ્યા છે અને ખેતીને જે રીતે જીવતી રાખી રહ્યા છે. સાથેસાથે શ્રમ, સાદગી અને સ્વતંત્રતા વાળું ઊંચા મસ્તકે જીવન જીવી રહ્યા છે અને બીજા કેટલાય ધંધાર્થી ભાઇઓને ધડારૂપ હુંફ પૂરી પાડી રહ્યા છે તેવા ચુનંદા મરજીવાઓના હદય સુધી પહોંચી એમની પાસેથી તટસ્થભાવે વિગત જાણવી છે કે તેમના પછી તેમનો આ ધંધાકીય કારભાર સદાબહાર ચલાવી શકે તેવો અનુગામી કોઇ તૈયાર કરી વાળ્યો છે ? કે હવે પછી તૈયાર કરવાની પેરવી માં છે ?આ બાબતે ન જ વિચાર્યું હોય તો આધંધાને આપણા પછી શું કોઇ વેચી મારવાના મૂડમાં છીએ કે વીંખી નાખવાની ગણતરી છે ? કંઇક તો આયોજન હશે જ ને 1

    કામનહીં પણ ફરજ નો જ એક ભાગ =

    એક વાત તો નક્કી જ છે કે બીજા ઘણાબધાની જેમ આપણે ખેતી છોડી ભાગ્યા નથી. જે કંઇ પરિસ્થિતિઓ છે તેમાંથી કેમ રસ્તો કાઢવો તેની મહેનત લીધી છે. અને મહેનતના પ્રમાણમાં ઠીક ઠીક એવા પરિણામ પણ મેળવ્યા છે. બીજા ધંધાની જેમ ‘ખેતી’ પણ કરવા જેવો વ્યવસાય છે તેવું ચિત્ર ઉપસાવી શક્યા છીએ ત્યારે ભેગાભેગું આ ધંધો લાંબું જીવે એવું વિચારતા હોઇએ તો એક જાગૃત ખેડૂત તરીકે, જેમ વર્તમાન સમયના સંકટોમાં માર્ગ શોધન કરતા હોઇએ છીએ અને એની જાણ બીજાને પણ ઉપયોગી બને એ હેતુથી કરતા હોઇએ છીએ તેમ,ખેતી પર આવતા દિવસોમાં તોળાઇ રહેલ સંકટ અને ઊભા થનારા પ્રશ્નોમાં પણ આગોતરી ચિંતા સેવી,આવનારા દિવસો પણ સારીરીતે પસાર થાય તેવું વાતાવરણ ઘડવા અગાઉથી આયોજન આપણે જ નહીં કરીએ તો બીજું કોણ કરવાનું છે ભાઇ ! ખેતી તો સંસ્થા સંચાલનથી પણ વધુ કુશળ એવા વ્યવસ્થાપકની માગ કરતી હોય છે.એટલે ‘અનુગામી’ તૈયાર કરવાની બાબત એ માત્ર અગત્યનું એક કામ નહીં પણ આપણી જવાબદારીવાળી ફરજ બનવી જોઇશે.

    એ એવી ખેતી કરી શકે કે જેથી કુદરતી સ્ત્રોતોનું ધોવાણ અટકે, માપસરના ખર્ચથી ઉત્પાદન પણ સારું અને નરવ્યું વાપરનારને પણ સુખાકારી બને તેવું મેળવે.પોતેસુખી અનેસમૃધ્ધ થાય અને રાષ્ટ્રને પણ બનાવે તેવા બાહોશ અનુયાયીઓ નહીં ઊભાકરીએ તો આપણે કંઇ ‘અમરપટો’ લઇને તો આવ્યા નથી જ ! એક દિવસ આપણું શરીર પણ થાકવાનું જ છે.અને આજ-કાલ કરતા આપણોયે સમય પૂરો થઇ જશે – આ કામ ક્યાંક બાકી ન રહી જવાપામે તેય જોવું જોયશે ને ?

    બહુ અગત્યના છે વારસો અને વાતાવરણ =

    તમે બરાબર નિરીક્ષણ કરજો ! સુથાર-લુહારના બાળકો નાનીએવી છીણી-હથોડી લઇ કંઇ પતરાં-ચુંકું કાપતાકે વાંકુંસીધું કરતા, કુંભારના હોય તો માટીના અલગ અલગ ઘાટના લોટક્યા,તાવડી, ભંભોટિયા,કોડિયાં બનાવતાં અને ખેડૂતના હોય તો હળ-કોદાળી અને ગાડું-બળદની રમત રમતાં ભળાશે.બાળકોની રમતમાં તેમના કુટુંબનાં ધંધાનું આબેહુબ પ્રતિબિંબ એટલા માટે જોવા મળતું હોય છે કે તેને જન્મજાત સંસ્કારો આ વ્યવસાયના મળેલાછે

    આપણે ટપાકાનું નહીં-રોટલાનું કામ છે =

    એટલે જ્ઞાતિ ગમે તે હોય, પણ જો ખેતી કરતા કુટુંબમાં જન્મેલ અને ઉછરેલ વ્યક્તિ આપણા વારસદાર તરીકે પસંદ થાય તો કાર્યકુશળતા વધારે ઝડપથી સાબિત કરી શકે.અને એ જો નાની ઉંમરથી ખેતીમાં રસ ધરાવતી વ્યક્તિ હોય તો તેને કોલેજ કક્ષા સુધી ખેતીવાડીનો અભ્યાસ કરાવવાની તક ઊભી કરાય તો તો સોનામાં સુગંધ મળ્યા જેવું થાય ! ‘વારસો’ અને ‘વાતાવરણ’ બન્નેનો એને મેળ પડી જાય !

    એટલે આપણો નાનોભાઇ, દીકરો કે દીકરાનો દીકરો, અરે ! સબંધીમાંથી કોઇ જેના માવતર ખેતી કરતા હોય તેવો જણ ખેતી કરવા રસ દેખાડે તો એનાજેવું રૂડું બીજું એકેય નથી. પણ……ખાટલે મોટી ખોટ એ પડવા માંડી છે કે તેના આ ‘પાયા’ જ નબળા પડવા માંડ્યા છે.ખેડૂતના  છોકરા ‘ખેડૂત’ થવામાં રાજી નથી ત્યારે ખેતીનો આ વારસો સંભાળશે કોણ ?

    જે ગાયો ચરાવે તે ગોવાળ =

    આમ ગણો તો ચોરાનો વંશ કદિ જતો નથી ! કહે છે કે કોઇના વિના કોઇનું અટકી પડતું નથી. સમય સમયનું કામ કરે જ છે. પણ આવનારા દિવસોમાં ગમેતેવા ‘અણઘડ’ના હાથમાં સુકાન જઇ પડે અને નાવ કિનારે પહોંચવાને બદલે ભૂંડાઇની મધદરિયે વમળમાં ફસાય તેના કરતા પહેલેથી જ ગણતરી પૂર્વકનું આયોજન કરી યોગ્ય વ્યક્તિના હાથમાં ખેતી સોંપી હોય તો ધંધાને ધૂણીધૂણીને માથા પછાડવાનો વારો ન આવે.

    એટલે હવે આપણા પછી આપણો નાનોભાઇ કે દીકરો જ ધંધો સંભાળનાર હોય તે જરૂરી નથી. તે હોય તો વધુ સારું. પણ માનોકે તેને કોઇનેઆ ધંધામાં રસ ન હોય તો કંઇ વાંધો નહીં. જેને રસ પડે છે તેવા, જ્ઞાતિ ભલેને એક્સ-વાય-ઝેડ ગમેતે ધરાવતાહોય, ન સબંધી હોય કે ન ઓળખિતા સ્નેહી હોય, પણ તેની સારી અને ધંધાના વારસદાર તરીકેની જે યોગ્યતા ગણાય તેવી યોગ્યતા હોય તથા ધંધાને સમજી શકે અને તેને જીવાડી શકે તેમ હોય તેના હાથમાં સોંપવો જોઇએ.

    આપણે થર્મોમીટર મૂકવાનું છે એના દિલ પર ! બગલમાં કે મોંમાં નહીં ! ખેતીની યોગ્ય જાણકારીની સાથે સાથે થડકારા ભળે છે તેના હદયના, ધંધા સાથેના લગાવના ! તો બસ, ખેતીમાં આવતા સાંપ્રત પડકારો અને તેના ઉકેલના કાર્ય ક્રમો કે પધ્ધતિઓ તેને શોધતી સામેથી આવી મળવાની. એવા પ્રશ્નો એને હવે નહીં મુંઝવી શકવાના ! એના નિરાકરણો પોતાની કોઠાસૂઝમાંથી કાયમ જડતા રહેવાના ! એટલે આપણી ચિંતા હવે સમજોને એટલી થઇ રહે હળવી !


    સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ : krushidampati@gmail.com

  • પરિવર્તન – ૬. મારી ચીઝ કોણે ખસેડી?

    અવલોકન

     – સુરેશ જાની

    નવાઈ પામી ગયા ને, આ શિર્ષક વાંચીને? ભારતમાં ચીઝ એટલી બધી વપરાતી નથી. પણ પશ્ચિમના વિશ્વમાં ચીઝ એ ખોરાકનો એક સત્વવાળો – આપણે મલાઈ કે ઘીને ગણીએ એવો – આકર્ષક પદાર્થ ગણાય છે. જ્યારે કોઈ એમ કહે કે, ‘મારી ચીઝ હવે જતી રહી છે.‘ તો એ મોટી આપત્તિ કે, અણધાર્યા પરિવર્તનનું રુપક મનાય છે.

    સ્પેન્સર જહોન્સન નામના ચિંતક અને લેખકની, ૧૯૯૮ની સાલમાં પ્રકાશિત થયેલ, આ નામની ચોપડીએ એક નવો જ વિક્રમ સ્થાપિત કર્યો છે. સાવ વાહિયાત લાગે તેવી આ વાર્તાની અઢી કરોડ નકલો વેચાય; એ નાનીસૂની સિદ્ધિ ન જ કહેવાય. ૪૭ ભાષાઓમાં એ અનુવાદિત થયેલી છે. એમણે લખેલી અગિયાર ચોપડીઓ ગણીએ તો તો એ આંક ૪૬ કરોડ પર પહોંચે છે. મૂળે, જહોન્સન માનસશાસ્ત્રનો સ્નાતક હતો; અને ત્યાર બાદ સાઉથ કેરોલિનાની મેડિકલ કોલેજમાંથી એમ.ડી.  થયેલો. જગવિખ્યાત બની ગયેલ અને હાર્વર્ડ સ્કુલમાં સેવા આપી ચૂકેલ આ મહાનુભાવ મેનેજમેન્ટ નિષ્ણાત તરીકે બહુ જાણીતા છે.  એ તો ઠીક, પણ આ ચોપડીમાંની કાલ્પનિક વાર્તા ઘણી કમ્પનીઓમાં કામદારોને – ખાસ તો ઉચ્ચ અધિકારીઓને – બદલાતા વૈશ્વિક પરિબળો સાથે તાલ મેળવવા, અને અભિગમ બદલવા માટેની તાલીમ આપવા વપરાવા માંડી છે.

    તો શું છે આ વિશિષ્ઠ પુસ્તકમાં? તમને જાણીને નવાઈ લાગશે કે, ઉપરછલ્લી રીતે તો આપણને આ એક બાળવાર્તા જ લાગે! એક અત્યંત વિલક્ષણ અને અટપટી ભુલભુલામણી વાળી જગ્યામાં ચાર સાવ ટચૂકડાં પાત્રો રહે છે. એમાંના બે ઉંદર છે, અને બે સાવ ટચુકડા માણસો. એમનો ચીઝનો જાણીતો ઢગલો ખતમ થઈ ચૂક્યો છે.

    ઉંદરો પ્રાણીસહજ સીમિત બુદ્ધિ ધરાવે છે. એક  ખણખોતિયો ઉંદર સારી ઘ્રાણશક્તિવાળો છે; અને ચીઝ માટે સતત સૂંઘતો રહે છે. બીજો સતત દોડતો રહેતો, કર્મઠ જણ છે. એ બે તરત ચીઝના નવા પ્રાપ્તિસ્થાનની શોધમાં લાગી જાય છે. ચોપડીના ત્રીજા કે ચોથા જ પાને એમને એ મળી પણ જાય છે.

    પણ બીજા બે માનવબંધુઓ, માનવસહજ વિશિષ્ઠ બુદ્ધિ ધરાવે છે; દલીલો કરે છે; વિચાર-વિમર્ષ કરે છે; અને આ અણધાર્યા આપત્તિજનક પરિવર્તનથી મુંઝાયેલા છે. એમાંનો એક તો પરિવર્તનને સ્વીકારવા બિલકુલ તૈયાર નથી અને છેવટ સુધી હતાશ થઈને બેસી રહે છે. બીજો પ્રારંભિક હતાશાને અતિક્રમી, નવી ચીઝ શોધવા નીકળી પડે છે. ચોપડીનો મોટો ભાગ , આ ચોથા જણના અનુભવો અને એણે શોધી કાઢેલા સત્યો અને સિધ્ધાંતોનું નિરુપણ છે.

    જેમ જેમ આપણે આ ચોથા જણની સાથે એ ભુલભુલામણીમાં સફર કરતા જઈએ છીએ; તેમ તેમ આપણા પોતાના જીવન, તેમાં આવતા પરિવર્તનો અને વેઠવા પડતા સંઘર્ષો સાથે આપણે સ્વાભાવિક રીતે તુલના કરતા જઈએ છીએ. ચારે પાત્રો પણ વાસ્તવિક જીવનમાં સામાન્ય રીતે જોવા મળતી, વિધવિધ પ્રકાર અને સ્વભાવવાળી વ્યક્તિઓ સાથે સામ્ય ધરાવે છે.

    આ ચોથા જણે પ્રસ્થાપિત કરેલા સિધ્ધાંતો સરળ ભાષામાં –

    • પરિવર્તન તો થવાનું જ.
      • આપણી ચીઝ કોઈને કોઈ ખસેડી જ નાંખવાનું છે.
    • પરિવર્તનને ઓળખતાં શીખો .
      • ચીઝ  તો જતી રહેવાની જ  છે.  તે માટે તૈયાર રહો.
    • પરિવર્તન પર સતત ધ્યાન રાખો.
      • ચીઝ જૂની થઈ ગઈ છે કે કેમ તે, સૂંઘતા રહો.
    • પરીવર્તન સાથે ઝડપથી તાલ સાધો.
      • જેટલી ઝડપથી જૂની  ચીઝની માયામાંથી મુક્ત થશો એટલા નવી ચીઝ મેળવવા શક્તિમાન બનશો.
    • બદલાઓ.
      • ચીઝના નવા ઠેકાણા પ્રમાણે ખસતા રહો.
    • પરિવર્તનનો પ્રેમથી સ્વીકાર કરો.
      • નવી ચીઝ શોધવાના પ્રયત્ન/ સાહસની મોજ માણો. અને નવી ચીઝ માટેનો સ્વાદ કેળવતા જાઓ.
    • વારંવાર થતા બદલાવ માટે તૈયાર રહો , અને એનો ફરી ફરી આનંદ માણો.
      • ચીઝનું ઠેકાણું તો બદલાતું જ રહેવાનું છે.

    મોટે ભાગે આપણે કોઈ જ ચીજ પરિવર્તન ન પામે; તેવી અપેક્ષા રાખતા હોઈએ છીએ. આપણાં ઘણા બધાં દુઃખોનું મૂળ પણ આ ઠગારી આશા કે અપેક્ષા હોય છે. પણ વાસ્તવિકતા એમ નથી જ હોતી. સતત પરિવર્તન એ વિશ્વનો ક્રમ છે. આ માટે વાસ્તવિક અને ભોંય સોંસરો ( Down to earth)  અભિગમ કેળવવા આ વાર્તા આપણને સહજ રીતે પ્રેરણા આપે છે.


    શ્રી સુરેશ જાનીનો સંપર્ક surpad2017@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • હિમદીપડો અને હિમાલયનું પર્યાવરણ પૂરક બનશે કે વિરોધી?

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    હિમાલયની જૈવપ્રણાલિ અતિ નાજુક કહી શકાય એવી છે. તેના પર્યાવરણ સાથે અનેક ચેડાં થઈ રહ્યાં છે અને તેની વિપરીત અસરો પણ જોવા મળી રહી છે.

    હિમાલયની જૈવપ્રણાલિના સ્વાસ્થ્યના પ્રતિબિંબ સમું એક મહત્ત્વનું સૂચક એટલે હિમદીપડો (સ્નોલેપર્ડ). હિમાલયની આસપાસના બાર દેશો, મધ્ય એશિયા અને સાઈબેરીયન પ્રાંતોમાં તે જોવા મળે છે. તેની કુલ સંખ્યા ૩,૦૨૦ થી ૫,૩૯૦ની વચ્ચે હોવાનો ‘ગ્લોબલ સ્નો લેપર્ડ એન્‍ડ ઈકોસિસ્ટમ પ્રોટેક્શન પ્રોગ્રામ’નો અંદાજ છે. આટલા અંતરવાળો અંદાજ એટલા માટે કે આ પ્રાણી જવલ્લે જ દેખા છે, અને તે અત્યંત ઊંચા, તીવ્ર ઢોળાવવાળા હિમાચ્છાદિત પ્રદેશમાં રહે છે. તેની સુંદરતા કલ્પનાતીત મનાય છે. આહારકડીમાં તે ટોચના સ્થાને બિરાજતું પ્રાણી છે, પણ હવે તેને ટકી રહેવા માટે વિવિધ પડકારોનો સામનો કરવો પડે છે. તેમના ફરવાનો વિસ્તાર સંકોચાતો જાય છે, શિકારનું પ્રમાણ ઘટી રહ્યું છે, વસતિ વિભાજીત થઈ રહી છે અને આ બધા ઉપરાંત મહત્ત્વનું પરિબળ છે જળવાયુ પરિવર્તનનું. સંખ્યા ઘટવા લાગે ત્યારે પ્રાણીના આનુવંશિક વૈવિધ્યને અસર થાય છે, જે આ પ્રાણીના સ્વાસ્થ્યને વિપરીત અસર કરે છે.

    આ વિશિષ્ટ પ્રાણીની આપણા દેશમાં પહેલવહેલી વાર વસતિગણતરી કરવામાં આવી છે, જેમાં ચાર વર્ષ જેટલો સમય લાગ્યો છે. દહેરાદૂનસ્થિત ‘વાઈલ્ડલાઈફ ઈન્‍સ્ટિટ્યૂટ ઑફ ઈન્‍ડિયા’ (ડબલ્યુ.આઈ.આઈ.) દ્વારા માયસુરુના ‘નેચર કન્‍ઝર્વેશન ફાઉન્‍ડેશન’ અને ‘વર્લ્ડ વાઈલ્ડ લાઈફ ફન્‍ડ, ઈન્ડિયા’ના સહયોગમાં હાથ ધરાયેલા ‘ધ સ્નો લેપર્ડ પોપ્યુલેશન એસેસમેન્‍ટ ઈન ઈન્‍ડિયા’ (એસ.પી.એ.આઈ.) નામના આ કાર્યક્રમમાં કેટલીક મહત્ત્વની બાબતો જાણવા મળી છે. એ મુજબ આપણા દેશમાં હિમદીપડાની કુલ સંખ્યા ૭૧૮ છે, જે પૈકી સૌથી વધુ ૪૭૭ લદાખમાં, એ પછીના ક્રમે ઉત્તરાખંડમાં ૧૨૪, હિમાચલ પ્રદેશમાં ૫૧, અરુણાચલ પ્રદેશમાં ૩૬, સિક્કિમમાં ૨૧ અને સૌથી ઓછા ૯ કાશ્મીરમાં છે. વિશ્વભરના હિમદીપડાઓની સંખ્યાની દસથી પંદર ટકા જેટલી વસતિ ભારતમાં છે એમ કહી શકાય. સમગ્ર હિમાલયમાં છેક અરુણાચલ પ્રદેશ સુધી તે વ્યાપેલા છે. હિમદીપડાના આવાસના આશરે ૧,૨૦,૦૦૦ કિ.મી. વિસ્તારને આ અતિ મુશ્કેલ કાર્યક્રમમાં આવરી લેવામાં આવ્યો હતો, જેમાં કેમેરા ટ્રેપ જેવાં સાધનોનો ઉપયોગ કરાયો હતો.

    સાંદર્ભિક તસવીર: નેટ પરથી

    વરસોથી આ અદ્‍ભુત પ્રાણી પર્વતોનો રાજા ગણાય છે. વિવિધ પ્રકારનાં પશુઓ તેના ભક્ષણ માટે સુલભ હતાં ત્યાં સુધી તેના અસ્તિત્ત્વને કશો ખતરો નહોતો. એશિયાના બાર દેશોમાં આ પ્રાણીનો વસવાટ છે, જે પૈકી ૬૦ ટકા આવાસવિસ્તાર ચીનમાં આવેલો છે. અલબત્ત, એમ પણ મનાય છે કે આ પ્રાણીના આવાસવિસ્તારનો ૭૦ ટકા જેટલો ભાગ હજી વણખેડાયેલો રહ્યો છે. તેના શરીરનો બાંધો એવો શક્તિશાળી છે કે તે આસાનીથી તીવ્ર ઢોળાવ ચડી શકે છે. તેના પાછલા પગ તેને પોતાના શરીરની લંબાઈ કરતાં છ ગણો કૂદકો લગાવવાની ક્ષમતા આપે છે અને લાંબી પૂંછડી તેને ચપળતા તેમજ સંતુલન આપે છે. તદુપરાંત આરામની અવસ્થામાં પૂંછડીને પોતાના શરીર ફરતે વીંટાળી રાખવાથી તેને ઠંડી સામે રક્ષણ પણ મળે છે.

    એક તો આ પ્રાણીની સંખ્યા ઓછી, એનો આવાસવિસ્તાર મર્યાદિત અને એમાં પણ હવે જળવાયુ પરિવર્તન તેના અસ્તિત્વ માટે ખતરો પુરવાર થઈ રહ્યું છે, કેમ કે, તેની મુખ્ય અસરરૂપે તાપમાનમાં વૃદ્ધિ થઈ રહી છે. ગ્લેશિયર પાછળ ખસી રહ્યાં છે, વૃક્ષરેખા ખસી રહી છે અને આત્યંતિક તાપમાનની સ્થિતિ સામાન્ય ઘટના બની રહી છે. હિમદીપડાઓ માનવસંપર્કથી દૂર, વધુ ને વધુ ઊંચે સ્થળાંતર કરી રહ્યા છે અને તેમની સામેના પડકાર ગંભીર રીતે વધતા જાય છે. ‘એસ.પી.એ.આઈ.’ના અહેવાલમાં સૂચવવામાં આવ્યું છે કે પર્યાવરણ અને વન મંત્રાલય દ્વારા ડબલ્યુ.આઈ.આઈ. ખાતે હિમદીપડા માટે ખાસ કેન્‍દ્ર ઊભું કરવામાં આવે, જે આ પ્રાણીની લાંબા ગાળાની વસતિ પર નજર રાખે. સાથોસાથ તે સમસ્ત હિમાલયની જૈવપ્રણાલિ પર પણ દેખરેખ રાખે, જેમાં આ વિસ્તારની નદીઓ, ગ્લેશિયર, વનસ્પતિ તેમજ પ્રાણીસૃષ્ટિનો સમાવેશ થઈ જાય છે, કેમ કે, આ વિસ્તારના તમામ સજીવોના અસ્તિત્વ માટે આમ કરવું અનિવાર્ય છે. સ્વાભાવિકપણે જ ઓછી સંખ્યા ધરાવતાં પ્રાણીઓ પર જોખમ વધુ હોય છે, કેમ કે, એક વાર તેની સંખ્યા ભયસૂચક આંકડાથી નીચે જવા લાગે એ પછી તેને અટકાવવી મુશ્કેલ બની રહે છે. વાઘ અને ગેંડા જેવાં પ્રાણીઓ માટે કરવામાં આવે છે એમ હિમદીપડા માટે અલાયદા, રક્ષાત્મક આવાસ ઊભા કરવા શક્ય નથી. અતિ ઊંચાઈવાળા તેમના નૈસર્ગિક આવાસનું રક્ષણ કરાય અને તેનો જિર્ણોદ્ધાર કરવામાં આવે, તેમનો શિકાર અટકાવવા માટે આકરાં પગલાં લેવામાં આવે તો જ આ પ્રજાતિ ટકી શકે એમ છે. ‘ધ નેશનલ સ્નો લેપર્ડ કન્‍ઝર્વેશન પ્લાન’માં આવી અનેક બાબતો સૂચિત કરાયેલી છે, જે સરકાર, સંસ્થાઓ અને અન્ય સંબંધિતોને માર્ગદર્શન આપે એવી છે.

    પર્યાવરણ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ પ્રાણીની સંખ્યાના સર્વેક્ષણ ૧૯૮૦ના દાયકામાં આરંભાયેલાં, પણ વિસ્તૃત રાષ્ટ્રવ્યાપી મૂલ્યાંકનપદ્ધતિના અભાવને કારણે તેમાં ખાસ સફળતા મળી ન હતી.  આ અભ્યાસ થકી હિમદીપડા વિશે અનેક વિગતો જાણી શકાશે. આ પ્રકારે ગણતરી કરનારા આરંભિક દેશોમાં ભૂતાન અને મોંગોલિયા સાથે ભારતનું નામ પણ મૂકાયું છે. આ અભ્યાસ કેવળ હિમદીપડાના અભ્યાસ પૂરતું જ નહીં, સમગ્ર હિમાલયના ભૂપૃષ્ઠના રક્ષણ માટે મહત્ત્વની વિગત પૂરી પાડશે.

    એક તરફ હિમાલયમાં અનેક વિકાસયોજનાઓ ધમધમી રહી છે, અને તેના પર્યાવરણનો રીતસર ખો વળી રહ્યો છે. બીજી તરફ હિમદીપડા પર અભ્યાસ થઈ રહ્યો છે. સવાલ એ છે કે ‘ધ નેશનલ સ્નો લેપર્ડ કન્‍ઝર્વેશન પ્લાન’માં સૂચવાયેલી કેટલી બાબતોનો અમલ થઈ શકશે? કેમ કે, વિકાસની દોટ વણથંભી રહેશે એમ અત્યારે તો લાગી રહ્યું છે.


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૧– ૦૪ –  ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • આપણા આત્માઓ અધરાતે : મધરાતના એકાંતમાં આપણે નિતાંત એકલા હોઈએ ત્યારે જ કદાચ આપણો આત્મા એના નગ્ન સ્વરૂપમાં દેખા દેતો હશે.

    સંવાદિતા

    જીવનના કેટલાય મરજી મુજબના આનંદ આપણે ‘ લોકો શું કહેશે ‘ ની હાયવોયમાં ચૂકી જતા હોઇએ છીએ.

    ભગવાન થાવરાણી

    અમેરિકન લેખક કેંટ હારુફ ૨૦૧૪માં ૭૧ વર્ષની વયે અવસાન પામ્યા. મૃત્યુના થોડાક દિવસ પહેલાં જ એમણે પોતાના છઠ્ઠી અને અંતિમ નવલકથાનું આખરી પ્રકરણ પૂરું કર્યું. એ નવલકથા એટલે OUR SOULS AT NIGHT એટલે કે ‘ આપણા આત્માઓ અધરાતે ‘ .

     
    એમણે લખેલી છએ નવલનું કથાવસ્તુ માનવીય સંબંધો અને એને નિભાવવામાંથી સર્જાતી વિડંબનાઓ છે. બધી જ કથાઓ અમેરિકાના કાલ્પનિક નગર  હોલ્ટમાં આકાર લે છે. આ સર્વેમાં  આશરે બસો પાનાંની આ OUR SOULS AT NIGHT જુદી જ ભાત પાડતી અને અનોખા કથાવસ્તુવાળી નવલકથા છે. એ નવલકથાના પ્રારંભ વખતે જ તેઓ ટર્મીનલ કેંસરથી પીડાતા હતા અને એમને એ જાણ હતી. પુસ્તકનું કથાવસ્તુ સંક્ષેપમાં.
    એડી મૂર અને લુઈસ વોટર્સ સિત્તેર વટાવી ચુકેલા વયોવૃદ્ધ વિધવા અને વિધુર છે. બન્ને એક જ શેરીમાં લગભગ બાજુ – બાજુમાં જ રહે છે છતાં એકમેકના મામૂલી પરિચય સિવાય ભાગ્યે જ એકમેકને ઓળખે છે. બન્ને એકલા રહે છે. એડીનો પરિણિત પુત્ર જીન પોતાની  પત્ની અને છ વર્ષના પુત્ર જેમી સાથે અન્ય શહેરમાં રહે છે તો લુઈસની પ્રૌઢ દીકરી હોલી પણ એકલી અન્યત્ર છે. આપણે જાણીએ છીએ કે આ ત્યાંની સર્વસ્વીકૃત સમાજ વ્યવસ્થા છે.
    વાતનો પ્રારંભ એક મુલાકાતથી થાય છે. એક સાંજે એડી અચાનક લુઈસને મળવા આવી ચડે છે. એ પાડોશી તરીકે પોતાનો પરિચય આપે છે. લુઈસ એને દીઠે ઓળખે છે એટલું જ. એડી એક દરખાસ્ત મૂકે છે, લુઈસને મંજૂર હોય તો ! દરરોજ રાતે લુઈસ એના ઘરે સૂવા આવે તો ! નિરાંતની ઊંઘ માટે એને સાથીની, હુંફની અને કોઈક વાતો કરનારની જરૂર છે. એ સ્પષ્ટતા કરે છે કે એને શરીર અને શારિરિકતા જોઈતી નથી કારણ કે એ તબક્કો આપણે વટાવી ચૂક્યા છીએ !
    પ્રારંભિક આંચકા પછી  લુઈસ એડીની દરખાસ્ત સ્વીકારે છે અને રાત પડ્યે પોતાનો નાઈટ ડ્રેસ કાગળમાં વીંટાળી બાજુના એડીના ઘરે પાછલા બારણેથી જાય છે. થોડીક લોકલાજ ! એડી પ્રસન્ન. એ એને હિંમત આપે છે. આ ઉમ્મરે, જીવનના આ તબક્કે, જ્યારે કશું પણ દાવ પર નથી ત્યારે વળી સમાજ કે મિત્રોની શું બીક ? લુઈસ મનોમન કબૂલે છે એની વાત. એ કહે છે પણ ખરો કે હિંમતમાં હું તારો સમોવડિયો નથી, જોખમ લેવાની ક્ષમતામાં પણ નહીં. ધીમે – ધીમે એ એડીની વિચારસરણીમાં પળોટાતો જાય છે.
    સંગાથ, હુંફ અને દિલની વાતો ઓરવાનું પાત્ર મળતાં પહેલી જ રાત્રે એડી થોડીક વારમાં ઘસઘસાટ ઊંઘી જાય છે. બન્ને એકમેકને પોતાના જીવનની કથની કહે છે. એકમેકની કરુણતાઓ વહેંચી હળવા થાય છે.એમાં બન્નેના સાથીદારોના મૃત્યુની વાત પણ આવે છે.
    ધીમે – ધીમે એમના મિત્રો અને સંતાનોને બન્નેના સંબંધો વિષે ખબર પડે છે.  જો કે લુઈસ અને એડીને એની ખાસ તમા નથી. લુઇસની દીકરી સમજદાર છે પણ એડીનો દીકરો ઉકળી ઊઠે છે.
     પતિ-પત્ની વચ્ચે સમસ્યાઓ ઊભી થતાં એડીનો દીકરો જીમ દીકરા જેમીને દાદીના ઘરે મૂકી જાય છે. ત્યાં દાદી ઉપરાંત લુઈસ એને દાદાની હુંફ અને સમજદારી આપે છે અને પ્રેમપૂર્વક અલગ-અલગ તરીકાઓથી એ બાળકને બહેલાવી એના માબાપ વચ્ચેનો કંકાસ એના મનમાંથી ભૂંસવાનો પ્રયત્ન કરે છે. એમાં કામિયાબ પણ થાય છે. એ જેમીના સંગાથ માટે એક કૂતરો પણ લઈ આવે છે. એડી અને લુઈસ નાનકડા જેમીને ઠેકઠેકાણે ફેરવવા અને લાંબી પિકનીક પર લઈ જાય છે. જેમી દરેક રીતે ખુશ છે તો એના કારણે ‘ દાદા ‘ અને દાદી પણ !
    પતિ – પત્ની વચ્ચે સમાધાનના સંજોગો ઉત્પન્ન થતા જીમ દીકરા જિમીને પરાણે પોતાના ઘરે લઈ જાય છે એટલું જ નહીં, પોતાના માના ‘ અવૈધ ‘ સંબંધો સામે વિરોધ દર્શાવવા એડીને પોતાના પૌત્ર સાથે ફોન પર વાત કરવાની પણ મનાઈ ફરમાવે છે. એડી કશ્મકશ અને તનાવમાં છે. અધૂરામાં પૂરું, ઘરમાં પડી જતાં એડીનો પગ ભાંગે છે. પુત્રની નારાજગી અને પૌત્ર-વિયોગથી એ વ્યથિત તો હતી જ. આકરો નિર્ણય લઈ એ લુઈસને અલવિદા કરી દૂરના નગરમાં પુત્રના ઘર પાસે આવેલી હોસ્પીટલમાં સારવાર અર્થે દાખલ થઈ જાય છે.
    એડીએ પ્રથમ વાર દરખાસ્ત મૂકી એવો જ આંચકો એડીની વિદાયથી  અનુભવી લુઈસ પોતાની એકલવાયી જિંદગી ફરી જીવવાનું શરુ કરે છે.
    મહીનાઓ પછી અચાનક એના પર એડીનો ફોન આવે છે, જેની લુઈસને કોઈ આશા કે અપેક્ષા નહોતી !  ‘ કેમ છો તું ? ‘ લુઈસનો આનંદ અસીમ છે.
    શું બન્ને એકલવાયા વૃદ્ધોના જીવનમાં ફરી વસંત આવી ? હાથમાં આવીને સરકી ગયેલું સુખ પાછું આવ્યું ? બધું અધ્યાહાર મૂકી વાર્તા પૂરી થાય છે. વાચક તરીકે આપણે એટલું આશ્વાસન લઈ શકીએ કે કદાચ બંધ થયેલો સિલસિલો વાતચીતના સેતુથી શરુ થયો હશે.
    કેવળ સરળ સુખ – દૈનિક સુખ – કોઈ જાતિય તૃપ્તિનો સ્વાર્થ નહીં – કોઈ ઉન્માદ કે પરમ સુખની ખેવના નહીં – માત્ર નાના નાના સુખ જે આપણા જીવનમાંથી અદ્રષ્ય થતા જાય છે એની વાત આ પુસ્તક કરે છે. પુસ્તકનું સૌથી મોટું જમા પાસું છે એના લેખક કેંટ હારુફની ભાષા અને પાત્રોને ઉપસાવવાની કુનેહ. આપણને લાગે જાણે એ એક પણ શબ્દ વેડફવા માંગતા નથી.એમની પાસે એ માટે સમય જ ક્યાં હતો ! બિલકુલ ઉપયુક્ત અને બને એટલા ઓછા શબ્દો. પાત્રોના વર્ણનમાં અને એમની વાતચીતમાં કોઈ અતિરેક નહીં ! એમની ભાષા આપણને બરબસ હિંદી લેખક નિર્મલ વર્માની શૈલીની યાદ અપાવે હાલાંકિ બન્ને લેખકોની વાર્તાઓના કથાવસ્તુ દોન ધ્રુવ જેટલા વિભિન્ન હતા.  નવલકથાના પ્રારંભથી જ હવે આવનારી ભાષાનો પરિચય આપણને મળી રહે છે જ્યારે લેખકનું પ્રથમ વાક્ય આપણી નજર સમક્ષ આવે છે. ‘ અને પછી એક દિવસ એડી મૂર લુઈસ વોટર્સને મળવા એના ઘરે ગઈ ‘ . એમના બધા જ પુસ્તકોનો વિષય હમેશા સીધી કે આડકતરી રીતે શાલીનતા વિરુદ્ધ વામનત્વ રહ્યાં છે.
    પુસ્તક પ્રકાશિત થાય એ પહેલાં જ લેખક કેંટ હારુફ મૃત્યુ પામેલા.
    ભારતીય મૂળના ફિલ્મ સર્જક રિતેષ બત્રાએ ( લંચ બોક્સ ફિલ્મ – ઈરફાન ખાન, નવાઝુદ્દીન સિદ્દીકી – ના સર્જક ) આ પુસ્તક પરથી એ જ નામની ખૂબસૂરત ફિલ્મ ૨૦૧૭ માં  બનાવી છે. લુઈસની ભૂમિકા પીઢ અભિનેતા રોબર્ટ રેડફોર્ડ દ્વારા નિભાવાઈ છે અને એડીની જેન ફોંડા દ્વારા . આ બન્નેની ઉંમર ફિલ્મ બની ત્યારે જ ૮૦ ની આસપાસ હતી. મૂળ કથા અને એના લેખકના અભિગમને પૂરેપૂરા વફાદાર રહીને ફિલ્મ સર્જાઈ છે. નેટફ્લીક્સ ઉપર ફિલ્મ ઉપલબ્ધ છે.


    સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • કાર્ટૂનકથા (૧૪)

    બીરેન કોઠારી

    આ શ્રેણીમાં માત્ર ‘સાહિત્ય’ના વિષયને કેન્‍દ્રમાં રાખીને ચીતરેલાં કાર્ટૂન મૂકવામાં આવે છે, જે વાર્તા સામયિક ‘વારેવા’માં અગાઉ પ્રકાશિત થઈ ચૂક્યાં છે.

    ‘વારેવા’ના ચૌદમા અંકમાં આ કાર્ટૂન પ્રકાશિત થયાં હતાં. આ અંકથી કેવળ ‘વાર્તાવ્યંગ્ય’ શિર્ષકથી જ કાર્ટૂન ચીતરાતાં રહ્યાં. ‘ઊધઈ ઊવાચ’ અંતર્ગત કાર્ટૂનો તેરમા અંકમાં છેલ્લી વાર દેખાયાં.

    વાર્તાવ્યંગ્ય


    (વાર્તામાં, વાર્તાલેખનમાં રસ ધરાવનાર સૌ કોઈને આ વિશિષ્ટ સામયિકમાં રસ પડશે. તેના વિશે વધુ વિગતો તેની સાઈટ https://vareva.co.in/ પર જોઈ શકાશે.)


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીમાં આદર્શ આચારસંહિતાની ભૂમિકા

    નિસબત

    ચંદુ મહેરિયા

    ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં આદર્શ ચૂંટણી આચારસંહિતા લાગુ પડ્યાના પહેલા જ  મહિને તેના ભંગની  ચાળીસ હજાર ફરિયાદો  ચૂંટણી પંચને મળી હતી. એ હિસાબે ૨૦૧૯ની ચૂંટણીમાં એકાદ લાખ આચારસંહિતા ભંગની ફરિયાદો થઈ હશે. હાલની સામાન્ય ચૂંટણીમાં ઈલેકશન કમિશને સી-વિજિલ એપ પર ફરિયાદો નોંધવાનું શરૂ કર્યું છે. પહેલા પંદર જ  દિવસોમાં ગુજરાતમાં ૫૪ અને મધ્યપ્રદેશમાં ૧૪૭૫ ફરિયાદો આવી છે. આદર્શ ચૂંટણી આચારસંહિતા દેશના તમામ રાજકીય પક્ષોની સર્વ સંમતિથી ઘડવામાં આવી છે. તેને કોઈ કાયદાનું પીઠબળ નથી. તમામ પક્ષો તેનો અમલ કરવા સ્વૈચ્છિક રીતે બંધાયેલા છે. પરંતુ વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રીઓ, રાજ્યના મુખ્યમંત્રીઓ અને સત્તાપક્ષ-વિપક્ષના તમામ નાના-મોટા નેતાઓ તેનું ઉલ્લંઘન કરે છે. મોડેલ કોડ ઓફ કંડક્ટ ઘડાયો છે તો સ્વંતંત્ર  અને નિષ્પક્ષ ચૂંટણીઓ માટે પણ તે બાધ્યકારી ન હોઈ તેનો અમલ કરાવવો મુશ્કેલ છે.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    દેશમાં રાષ્ટ્રપતિ થી માંડીને ગામના સરંપચ  સુધીની જે ચૂંટણીઓ થાય છે તેનાં દેખરેખ, સંચાલન અને  નિયંત્રણની સત્તા બંધારણના આર્ટિકલ ૩૨૪થી ઈલેકશન કમિશનને  આપવામાં આવી છે. લોક પ્રતિનિધિત્વ ધારો,૧૯૫૧ અને ભારતીય ન્યાય સંહિતામાં ફ્રી એન્ડ ફેર ઈલેકશન થાય તે માટે રાજકીય પક્ષો અને ઉમેદવારોના ભ્રષ્ટ આચરણ તથા ચૂંટણી ગુના સંબંધી જોગવાઈઓ કરવામાં આવી છે. તે પ્રમાણે  ધર્મ, જ્ઞાતિ અને ભાષાના ધોરણે તણાવ પેદા કરવો, ચૂંટણી પ્રચાર માટે ધાર્મિક પૂજા સ્થળો (મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરુધ્વારા વગેરે) નો ઉપયોગ કરવો, મતદારોને લાલચ કે લાંચ આપવી, તેમને ધમકાવવા, વોટ મેળવવા જ્ઞાતિ, ધર્મના ધોરણે અપીલ કરવી, મતદારોને મતદાન મથક પર લાવવા-લઈ જવા, રાજકીય પક્ષોની જાહેર સભાઓમાં  વિક્ષેપ પેદા કરવો, મતદાનના દિવસે મતદાન કેન્દ્રથી ૧૦૦ મીટરની અંદર પ્રચાર કરવો,મતદાનના દિવસે કે આગલી રાતે દારૂ વહેંચવો-  વગેરે બાબતો ચૂંટણી અપરાધ અને ભ્રષ્ટ આચરણ છે. આ ગુના બદલ કાયદેસરની કાર્યવાહી કરી સજા અને દંડ કરવામાં આવે છે.

    કાયદાકીય જોગવાઈ ઉપરાંત ચૂંટણી પ્રક્રિયા સુચારુ, પારદર્શી, તટસ્થ અને  સ્વતંત્ર હોય તે માટે આદર્શ ચૂંટણી આચારસંહિતા  ઘડવામાં આવી છે. સામાન્ય આચરણ, સભા અને બેઠકો, સરઘસ અને રેલી, મતદાનનો દિવસ, મતદાન કેન્દ્ર, સત્તાધારી પક્ષ, ચૂંટણી ઢંઢેરા અને પર્યવેક્ષક એ આઠ બાબતો આચારસંહિતામાં આવરી લેવામાં આવી છે.

    કેન્દ્ર અને રાજ્યોના સત્તાપક્ષ સરકારી ખર્ચે પક્ષને મત મળે તેવી જાહેરાતો  આપી ન શકે. સરકારી ખર્ચે સરકારની સિધ્ધિઓ કે ઉપલબ્ધિઓનો પ્રચાર ન કરે, ચૂંટણી પ્રચારમાં સરકારી તંત્રનો ઉપયોગ ન કરે, સરકાર કોઈ નીતિવિષયક બાબત, યોજના કે મતદાર પર પ્રભાવ પડે તેવી બાબતો જાહેર ન કરી શકે . પક્ષના પ્રચાર માટે સરકારી મશીનરી કે વાહનોનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ રહેશે. મંત્રીઓ સરકારી કામ સાથે પક્ષના ચૂંટણી પ્રચારના પ્રવાસો ન ગોઠવે . ઉદ્દઘાટન, લોકાર્પણ કે શિલાન્યાસના કાર્યક્રમો ના થઈ શકે. જે અધિકારી વતનના જિલ્લામાં કે એક જ જગ્યાએ ત્રણ વરસથી વધુ સમયથી  હોય તો તેમની બદલી કરવી . નવી નિમણૂક, બદલી, બઢતી પર પૂર્ણ પ્રતિબંધ રહેશે. જો કોઈ અનિવાર્યતા ઉભી થાય તો પંચની મંજૂરી લેવી પડશે.ચૂંટણી પ્રચાર માટે લાઉડ સ્પીકરનો ઉપયોગ  રાતના ૧૦ થી સવારના ૬ સુધી કરી શકાશે નહીં. રાજકીય પક્ષો ઉમેદવારની ટીકા તેમના જ્ઞાતિ-ધર્મને કારણે કરી શકશે નહીં. હરીફ ઉમેદવારના કાર્યોની જ આલોચના કરી શકાશે. જાહેર મેદાનો, સાર્વજનિક સ્થળો અને હેલિપેડનો ઉપયોગ તમામ રાજકીય પક્ષો એક સમાન  નીતિ, નિયમો અને શરતોથી કરી શકશે.મતદારોને લાંચ, લોભ, લાલચ આપી શકાશે નહીં, ધર્મ, જ્ઞાતિ કે ભાષાના ધોરણે લાગણીઓ દુભાય તેવા પ્રવચનો કરી શકાશે નહીં..પૂર્ણ બજેટ  રજૂ કરવું નહીં અને બંધારણના આદર્શોથી વિપરિત વચનો ચૂંટણી ઢંઢેરામાં આપવા નહીં. આવી અનેક બાબતો આદર્શ આચાર સંહિતાનો ભાગ છે.

    વર્તમાન આદર્શ ચૂંટણી આચારસંહિતા ૧૯૯૦ થી ૧૯૯૫  દરમિયાન દેશના નવમા મુખ્ય ચૂંટણી કમિશનર રહેલા ટી.એન.શેષનના ભેજાની પેદાશ મનાય છે. પરંતુ વાસ્તવિકતા અલગ છે. આચારસંહિતા સૌપ્રથમ વખત ૧૯૬૦ની કેરળ વિધાનસભાની ચૂંટણીમાં અમલી બની હતી. તે પછી તેનો ક્રમિક વિકાસ થયો છે. ૧૯૬૨ની  લોકસભા ચૂંટણી વખતે તેનો પહેલીવાર રાષ્ટ્રવ્યાપી અમલ થયો હતો. ૧૯૭૯માં તેમાં સત્તાધારી પક્ષ માટેની બાબતો ઉમેરવામાં આવી હતી. ૨૦૧૩માં સુપ્રીમ કોર્ટે તેમાં ચૂંટણી ઢંઢેરાની બાબત સામેલ કરાવી હતી. ૧૯૭૯,૧૯૮૨, ૧૯૯૧ અને ૨૦૧૩માં તેમાં સુધારા થયા હતા. ટી.એન .શેષને તેનો કડક અમલ કરાવી ફ્રી અને ફેર ઈલેકશનમાં આચારસંહિતાની ભૂમિકા અને સ્વાયત્ત તથા સ્વતંત્ર ચૂંટણી કમિશનનો દેશને અહેસાસ કરાવ્યો હર્તો.

    ઈલેકશન કમિશન આચારસંહિતા ભંગની ફરિયાદ પરથી કે સુઓમોટો નોટિસ જારી કરી, સંબંધિતોનો ખુલાસો મેળવે છે. તે પછી  દોષિત જણાય તો ઠપકો  આપે છે. પરંતુ આચારસંહિતા ભંગના ગુના બદલ કોઈ સજા કે દંડ કરી શકાતાં નથી. રીઢા રાજકારણીઓને આચારસંહિતા ભંગ બદલ કમિશનના ઠપકાની સજાની કશી શરમ હોતી નથી.એટલે પણ આચારસંહિતા અસરકારક હથિયાર બની શકતી નથી. જોકે ૨૦૧૯માં કમિશને ઉત્તરપ્રદેશ, અસમ, પશ્ચિમ બંગાળ અને દિલ્હીના મુખ્યમંત્રીઓ, તત્કાલીન બીજેપી પ્રમુખ, બીએસપી સુપ્રીમો અને અન્ય નેતાઓને આચારસંહિતાના ઉલ્લંઘન બદલ ૨૪ થી ૭૨ કલાક સુધી ચૂંટણી પ્રચારથી અળગા રહેવાની સજા કરી હતી. તેના દ્વારા આચારસંહિતાને જો કાયદાકીય સમર્થન હોય તો કેવું પરિણામ આવી શકે તે દર્શાવ્યું હતુ.

    ૨૦૧૩માં કાનૂન અને ન્યાય સંબંધી સંસદની સ્થાયી સમિતિએ મોડેલ કોડ ઓફ કંડકટને કાયદાનું રૂપ આપવા અને ૧૯૫૧ના લોક પ્રતિનિધિત્વ અધિનિયમનો ભાગ બનાવવા ભલામણ કરી હતી. ૨૦૧૫માં કાયદા પંચે ચૂંટણી સુધારા અંગેના અહેવાલમાં લોકસભા કે વિધાનસભાના કાર્યકાળની સમાપ્તિના છ મહિના પૂર્વે સરકારી જાહેરખબરો પર પ્રતિબંધની ભલામણ કરી હતી. વ્યાપક ચૂંટણી સુધારાની માંગ વરસોથી પડતર છે. ચૂંટણી પંચને ડર છે કે જો આચારસંહિતાને કાનૂની રૂપ મળશે તો તેને કારણે કોર્ટકેસોનું પ્રમાણ અને પંચનું ભારણ વધશે. જોકે હાલમાં પંચ આચારસંહિતા ભંગ કે અન્ય કાયદા ભંગની જે કાર્યવાહી કરે છે તે ચૂંટણી પછી પંચની મટી પોલીસની બની જાય છે. આ સૌથી મોટી મુશ્કેલી છે.

    અદાલતોએ ચૂંટણી આચારસંહિતાનો કાયદા ન હોવા છતાં તેનો સ્વીકાર કર્યો છે. સર્વોચ્ચ અદાલતે તેમાં સુધારા પણ સૂચવ્યા છે. એટલે તેનું હાલનું સ્વરૂપ જળવાય રહે તે પણ જરૂરી છે. આખરે ચૂંટણી આચારસંહિતાની સફળતાનો આધાર આપણા રાજકારણીઓમાં કેટલી શરમ બચી છે તેના પર આધારિત છે. જો તે જ નહીં હોય તો કાયદો હોય તો ય સફળ થવાની શકયતા બહુ અલ્પ છે.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • પ્રથમ મહિલા પદ્મશ્રી : આશાદેવી આર્યનાયકમ

    ટીના દોશી

    આશાદેવી આર્યનાયકમ… આ નામ સાંભળ્યું છે ?

    નામ થોડુંક અજાણ્યું જણાય, પણ પચાસ અને સાઠના દાયકામાં આશાદેવીનું નામ એટલું જાણીતું હતું કે ભારત સરકારે પદ્મ પુરસ્કારોનો આરંભ કર્યો ત્યારે જાહેર સેવાઓ બદલ ૧૯૫૪માં દેશના ચોથા સર્વોચ્ચ પુરસ્કાર પદ્મશ્રીથી તેમને સન્માનિત કર્યાં હતાં. આ જ વર્ષમાં પદ્મશ્રીથી સન્માનિત કરાયેલી મહિલાઓમાં પેરીન કેપ્ટન, અમલપ્રવા દાસ અને એકમ્મા મથાઈનો પણ સમાવેશ કરાયો હતો. પરંતુ પદ્મશ્રીથી પુરસ્કૃત થયેલાઓની યાદીમાં પહેલું નામ આશાદેવીનું જ હતું. એ દૃષ્ટિએ પદ્મશ્રીથી સન્માનિત થયેલી પ્રથમ મહિલા તરીકે આશાદેવી આર્યનાયકમનું સ્મરણ કરવામાં આવે છે !

    આશાદેવીનો જન્મ લાહોરમાં ૧ જાન્યુઆરી ૧૯૦૧ના રોજ થયો. પિતા ફણીભૂષણ અધિકારી અને માતા સરજૂબાલા દેવી, બંને ધાર્મિક સ્વભાવનાં હતાં. શિક્ષણવિદ પણ ખરાં. ભક્તિપંથમાં માનતાં. ફણીભૂષણ દિલ્હીમાં પ્રાધ્યાપક હતા. દિલ્હીમાં એની બેસન્ટ સાથે એમનો પરિચય થયો. એની બેસન્ટ ફણીભૂષણને વારાણસી લઈ ગયાં. ત્યાં એ દર્શનશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે કાર્યરત થયા. એથી આશાદેવીનું બાળપણ લાહોર વારાણસીમાં વીત્યું.

    વારાણસીમાં ભણવાની સારી તકો હતી, પણ બંગાળી માધ્યમની શાળાઓ ન હતી. ફણીભૂષણ અને સરજૂબાલા દેવી પોતાની લાડકવાયી આશાદેવીને બંગાળી ભાષાના જ્ઞાનથી વંચિત રાખવા માંગતા નહોતાં. એમણે આશાદેવીને શાળામાં બેસાડવાની સાથે ઘરમાં જ બંગાળી ભણાવે એવા શિક્ષકની વ્યવસ્થા કરી. સરજૂબાલા દેવી પણ આશાદેવીને બંગાળી ભાષા ઉપરાંત સંગીત શીખવતી.

    વધુ પડતાં વાંચનને કારણે કે બીજા કોઈ કારણસર, આશાદેવીની એક આંખમાં તકલીફ ઊભી થઈ. બી.એ.ની પરીક્ષા માથે હતી. ચિકિત્સકોએ આશાદેવીને આંખોને આરામ આપવાની સલાહ આપી. અન્યથા આંખોની રોશની જતી રહેશે એવી ચેતવણી પણ આપી. પરીક્ષા નજીક હતી. શું કરવું ? સરજૂબાલા દેવીએ રસ્તો કાઢ્યો. એ પોતે વાંચીને સંભળાવતી અને આશાદેવી સાંભળતી. મા વાંચે ને દીકરી સાંભળે… આ રીતે આશાદેવીએ પરીક્ષાની તૈયારી કરી. પરિણામ એ આવ્યું કે બી.એ.માં આશાદેવી પ્રથમ શ્રેણીમાં ઉત્તીર્ણ થઈ.

    સરકારે આશાદેવીને ઉચ્ચ શિક્ષણ માટે ઇંગ્લેંડ જવાનો અને સ્કોલરશિપ આપવાનો પ્રસ્તાવ મૂક્યો. એ સમયે આશાદેવીની ઉંમર માત્ર સોળ વર્ષ હતી. માતાપિતાને આવડી નાની ઉંમરની દીકરીને એકલી ઠેઠ ઇંગ્લેંડ મોકલવાનું ઠીક ન લાગ્યું. એથી વારાણસીમાં જ આશાદેવીએ સ્નાતકોત્તર અભ્યાસ કર્યો. પ્રથમ શ્રેણીમાં ઉત્તીર્ણ થઈ. મહિલા મહાવિદ્યાલયમાં અધ્યાપક તરીકે જોડાઈ ગઈ.

    આ તબક્કે આશાદેવીના જીવનમાં નવો વળાંક આવ્યો. બન્યું એવું કે ફણીભૂષણ અધિકારીના પરિવારનો ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર સાથે ઘનિષ્ઠ સંબંધ હતો. ફણીભૂષણ માટે ટાગોરનું શાંતિનિકેતન પોતાના ઘર જેવું જ હતું. ગુરુદેવના નિવાસ ઉત્તરાયણ નજીક જ એમને એક ઘર પણ અપાયેલું. ફણીભૂષણ અધિકારી નિવૃત્તિ પછી આ જ ઘરમાં રહેલા. પિતાના સંબંધોને પગલે આશાદેવીને પણ ગુરુદેવ ટાગોર સાથે ઘરોબો હતો. થયું એવું કે ગુરુદેવને યુરોપ જવાનું હતું. તેમને પોતાની અનુપસ્થિતિમાં શાંતિ-નિકેતનની છાત્રાઓની જવાબદારી લઈ શકે એવી યોગ્ય મહિલાની તલાશ હતી. આ શોધ આશાદેવી પર આવીને સમાપ્ત થઈ. વારાણસીથી આશાદેવીને શાંતિનિકેતન તેડાવાઈ, એને શાંતિનિકેતનમાં નિયુક્ત કરવામાં આવી.

    શાંતિનિકેતનમાં આશાદેવી અત્યંત લોકપ્રિય થઈ ગઈ. બધાં એને ‘દીદી’નું લાડકું સંબોધન કરતાં. આ અરસામાં રવીન્દ્રનાથ ટાગોર નિશ્ર્ચિંત થઈને યુરોપમાં પોતાનું કામ કરી રહેલા. યુરોપ પ્રવાસ દરમિયાન શ્રીલંકાના પ્રતિભાશાળી યુવાન ઈ.ડબલ્યૂ. આર્યનાયકમ સાથે ટાગોરનો ભેટો થયો. આર્યનાયકમ નોકરીની શોધમાં હતા. ટાગોરે એમને શાંતિનિકેતન આવવાનું આમંત્રણ આપ્યું. લક્ષ્મી ચાંલ્લો કરવા આવે ત્યારે કપાળ ધોવા ન જવાનું હોય. આર્યનાયકમે ટાગોરનો પ્રસ્તાવ સ્વીકારી લીધો. શાંતિનિકેતન આવીને વસ્યા. ટાગોરના અંગત સચિવ તરીકે દસ વર્ષ સુધી કામ કર્યું. આ ગાળામાં આશાદેવી અને આર્યનાયકમનો પરિચય થયો. પરિચય પરિણયમાં પરિણમ્યો. ગુરુદેવ ટાગોરે બંનેના વિવાહ કરાવ્યા. વિવાહને પગલે દીકરી મીઠુ અને દીકરા આનંદનો જન્મ થયો.

    આશાદેવી અને આર્યનાયકમ શાંતિનિકેતનના શાંત વાતાવરણમાં પેલી પોપટબેલડીની જેમ આંબાની ડાળે ને સરોવરની પાળે લીલાલહેર કરવા લાગ્યાં. પણ ગાંધીજીનો પોકાર સાંભળીને ધીમે ધીમે આશાદેવીનું મન અશાંત થવા લાગ્યું. ગાંધીજીએ કહેલું કે શિક્ષણનું દૂધ પ્રત્યેક બાળકને મળવું જોઈએ. પણ શાંતિનિકેતનમાં એ શક્ય નહોતું. કારણ શાંતિનિકેતન માત્ર શ્રીમંત બાળકોનું વિદ્યાલય બની ગયેલું. ગરીબ બાળકો માટે શાંતિનિકેતનમાં જગ્યા જ નહોતી. એથી આશાદેવી અને આર્યનાયકમે શાંતિનિકેતનની નોકરી છોડી દીધી. બંને વર્ધા જઈ વસ્યાં. જમનાલાલ બજાજના મારવાડી વિદ્યાલયમાં જોડાયાં.

    આ અરસામાં, ૧૯૩૭માં ગાંધીજીએ સેવાગ્રામમાં શિક્ષણ સંમેલનનું આયોજન કર્યું. આશાદેવી અને આર્યનાયકમ પણ એમાં ઉપસ્થિત રહ્યાં. ગાંધીજીએ પોતાના દક્ષિણ આફ્રિકાના દિવસોથી માંડીને જીવનભર શિક્ષણના પ્રયોગો કરેલા. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીએ અને તેમના સાથીઓએ ફિનિક્સ આશ્રમમાં અને એ પછી ટોલ્સટોય ફાર્મમાં બાળકોના શિક્ષક તરીકે પણ કામ કરેલું. ત્યાં શિક્ષણ જીવન સાથે જોડાયેલું હતું અને પ્રત્યેક પ્રવૃત્તિનો શિક્ષણના સાધન તરીકે ઉપયોગ થતો. ગાંધીજીએ કામ કરતાં કરતાં શીખવાના સિદ્ધાંતની સેવાગ્રામના સંમેલનમાં અસરકારક રજૂઆત કરેલી.

    આશાદેવી અને આર્યનાયકમ આ નયી તાલીમથી અત્યંત પ્રભાવિત થયાં. તેમણે મારવાડી વિદ્યાલય છોડી દીધું. સેવાગ્રામ આવીને વસ્યાં. ગાંધીજીના આશ્રમની નજીક નયી તાલીમ સંકુલનું નિર્માણ કરાયું. આશાદેવી અને આર્યનાયકમ વિભિન્ન રાજ્યોના નયી તાલીમ સંગઠનકર્તાઓને પ્રશિક્ષિત કરવા લાગ્યાં. ગામમાં રહેતાં બાળકો માટે એક વિદ્યાલય પણ શરૂ કર્યું. પોતાનાં અને આશ્રમવાસીઓનાં બાળકોને પણ આ વિદ્યાલયમાં દાખલ કર્યાં. સંગઠનકર્તાઓના પ્રશિક્ષણ માટે આ વિદ્યાલય એક પ્રયોગશાળા બની ગયું. આશાદેવી નયી તાલીમનાં મુખ્ય સ્તંભ બની ગયાં. પ્રત્યેક ક્ષણ વ્યસ્તતાની ક્ષણ હતી. વિદ્યાર્થીઓને ખેતરમાં કૃષિકાર્ય કરાવવા ઉપરાંત ભણાવવાનું, રોજબરોજનું ભોજન રાંધવાના માધ્યમથી રસોઈઘરમાં પણ શિક્ષણ આપવાનું…. સહુ કોઈ આશાદેવીને મા અને આર્યનાયકમને બાબા કહેતાં. તેઓ ગામનાં વિદ્યાર્થીઓ માટે જ નહીં, સંપૂર્ણ ભારતના શિક્ષક-પ્રશિક્ષણ માટે આવનારાઓ માટે પણ મા અને બાબા બની ગયાં.

    ગાંધીજીના મૃત્યુ પછી આશાદેવી ફરીદાબાદ ચાલ્યાં ગયાં. શરણાર્થીઓની દેખભાળ કરવામાં પરોવાયાં. બાળકો માટે વિદ્યાલયો શરૂ કર્યાં. દરમિયાન વિનોબા ભાવેની હાકલથી ભૂદાન આંદોલનમાં જોડાયાં. આર્યનાયકમની પ્રબળ ઇચ્છાને કારણે વતન શ્રીલંકા ગયાં. પણ જૂન ૧૯૬૮ના હૃદયરોગના હુમલાને પગલે એમનું મૃત્યુ થયું. એ પછી આશાદેવી સેવાગ્રામમાં જ રહ્યાં. દીકરી મીઠુ લગ્ન કરીને અમેરિકા જઈ વસેલી અને દીકરો આનંદ નાનપણમાં જ મૃત્યુ પામેલો. પતિ પણ સાથ છોડીને ચાલ્યા ગયા. સ્વજનો ગુમાવ્યાનું દુ:ખ હૈયામાં ધરબી દઈને સમાજનો ભેખ લીધો. પણ તબિયત કથળી. એક આંખ એમણે ગુમાવી દીધી. તાવમાં સપડાયાં. એથી સારવાર માટે નાગપુર લઈ જવાયાં. ફેફસાના કેન્સરનું નિદાન થયું. ૩૦ જૂન ૧૯૭૦ના રોજ એમનું મૃત્યુ થયું.

    આશાદેવીના અવસાનનાં સોળ વર્ષ પહેલાં ભારત સરકારે એમના યોગદાનની નોંધ લઈને ૧૯૫૪માં જાહેર સેવા બદલ એમને પદ્મશ્રીથી નવાજ્યાં. એ વર્ષે પેરીન કેપ્ટનને સ્વદેશી આંદોલનમાં આગળ પડતો ભાગ ભજવવા બદલ, અમલપ્રવા દાસને રચનાત્મક કાર્યો બદલ અને એકમ્મા મથાઈને સ્ત્રીઓના ઉત્થાન માટેનાં કાર્યો સહિત સમાજસેવા કરવા બદલ પદ્મશ્રીથી પુરસ્કૃત કરાયેલાં. પછીનાં વર્ષોમાં તો ઘણી સ્ત્રીઓને પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવી, પણ પદ્મશ્રીથી પુરસ્કૃત થનારી પ્રથમ મહિલાઓની સૂચિમાં સ્થાન મેળવવું એ આ ચારેય મહિલાની સિદ્ધિ જ ગણાશે !


    સ્રોત સૌજન્ય: ભૂમિપુત્ર : ૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૪

  • મણિબેન પટેલઃ સરદારની ‘પુત્રી’ અને વલ્લભભાઈની ‘મા’

    મણિબેન પટેલઃ જન્મ : ૩ એપ્રિલ, ૧૯૦૩   મૃત્યુ : ૨૬ માર્ચ, ૧૯૯૦

    સરદારે દીકરીનાં લગ્ન માટે કોઈ ઉતાવળ કે ઉદ્વેગ કર્યા નહીં. એ પોતાનાં બાળકોની સંભાળ રાખતા, પણ ગોઠવણ કે યોજના કરવાનું એમના સ્વભાવમાં જ નહોતું.

    કાજલ ઓઝા વૈદ્ય

    સરદાર પટેલ. ભારતના લોખંડી પુરુષ તરીકે સૌ એમને આદર આપે અને યાદ કરે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા તરીકે આજે જેમને સન્માન મળ્યું છે એ સરદાર કેસ લડતા હતા અને પત્નીના મૃત્યુનો તાર આવ્યો. સરદારે તાર વાંચીને ખિસ્સામાં મૂકી દીધો અને કેસ આગળ ચલાવ્યો એ કિસ્સો બહુ મશહૂર છે, ત્યારે સવાલ એ થાય કે, સરદારને પોતાના ઈમોશન્સ પર, લાગણીઓ પર ગજબનો કાબૂ હશે? બીજા લોકો જે પરિસ્થિતિમાં વિચલિત થઈ જાય કે હચમચી જાય એ પરિસ્થિતિમાં સરદાર કદાચ પોતાની લાગણીઓ પર પૂરેપૂરો કાબૂ રાખી શકતા હશે!

    ૧૯૨૪ના જાન્યુઆરીમાં વલ્લભભાઈ જ્યારે કરમસદ આવ્યા ત્યારે લાડબાએ વાત કાઢી. લાડબા ૭૭ વર્ષનાં અને એમના ચોથા દીકરા વલ્લભભાઈની ઉંમર ૪૮ વર્ષની. વિદ્યાપીઠમાં ગુજરાતી સાહિત્ય, બંગાળીનો અભ્યાસ કરતા મણિબેન ત્રીજી એપ્રિલે ૨૦ વર્ષના થવાનાં હતાં ત્યારે લાડબાએ કહ્યું, ‘મણિના લગ્નની ચિંતા કર.’ વલ્લભભાઈએ જવાબ આપેલો, ‘થવાનું હશે તે થશે.’ લાડબાએ કહેલું, ‘ભગવાને મને મણિનું લગ્ન જોવા જ જીવતી રાખી છે.’ પરંતુ વલ્લભભાઈએ આગળ જવાબ પણ ન આપ્યો અને એમણે કોઈ લાયક મૂરતિયો શોધવા માટે ધમાલ કરી નહીં. એ ખરેખર એમ જ માનતા હતા, થવાનું હશે તે થશે!

    રાજમોહન ગાંધીએ પોતાના પુસ્તકમાં નોંધ્યું છે કે, દીકરીના લગ્ન અંગે વલ્લભભાઈની ઉદાસીનતા કદાચ પરણેલી સ્ત્રીઓના નાની વયે થતા મરણના અનુભવો જોડે સંકળાયેલી હતી. એમના ભાઈ સોમાભાઈ અને કાશીભાઈની પત્નીઓ યુવાન વયે ગુજરી ગયેલી. ઝવેરબા અને દિવાળીબા પણ નાની ઉંમરે ગુજરી ગયેલાં. સરદાર સહિત ભાઈઓ વિધુર થયા ત્યારે બધા ૩૦થી ૪૦ની વચ્ચે હતા, પણ કોઈએ ફરી લગ્ન કર્યું નહીં. લાડબા (સરદારના મા) ગાંધીજીને ફરિયાદ કરતા, ‘છોકરા શું ભણે છે એની પણ બાપને ખબર નથી તે વળી જમાઈ ક્યાં શોધવાના?’

    સરદારે સાચે જ દીકરીનાં લગ્ન માટે કોઈ ઉતાવળ કે ઉદ્વેગ કર્યા નહીં. એ પોતાનાં બાળકોની સંભાળ રાખતા, પણ કોઈ ગોઠવણ કે યોજના કરવાનું એમના સ્વભાવમાં જ નહોતું. ઉલ્ટાના મોટા થયા પછી મણિબેન પિતાની સંભાળ રાખતા થયા. બાપ-દીકરી વચ્ચે વાતચીતનો અભાવ હતો. ૧૯૨૧માં ગાંધીજી અને મહાદેવભાઈ દેસાઈએ સરદારને બેસાડીને આ વિશે ચર્ચા કરી ત્યારે એમણે કહેલું, ‘આમાં દોષ મારો છે, પણ કામને કારણે મોડી રાત સુધી મારે બહાર રહેવું પડે છે. ઘણી વખત હું બહાર દા. કાનૂગાને ત્યાં જમી લઉં છું. તે (મણિ) મારી જોડે છૂટથી વાત કરી શકતી નથી અને હું વાત કરવા જાઉં તો તેને ફાવતું નથી, પણ આમાં તેનો વાંક નથી. અમારા ઘરની રીત જ એવી છે. હું ૩૦ વર્ષનો થયો, ત્યાં સુધી મોટેરાઓની હાજરીમાં બોલતો નહીં… મોટી ઉંમરના વડીલો પણ નાના જોડે ભાગ્યે જ બોલતા.’

    એ જ સરદાર અમદાવાદ સ્ટેશન પર દીકરીને જ્યારે વર્ધા મોકલવા માટે ઊભા હતા ત્યારે એમની આંખમાં ઝળઝળિયાં આવી ગયા હતા. આ વાતની નોંધ બી.જી. ખેરના એક પત્રમાં મળે છે. સરદારને દીકરી માટે અત્યંત પ્રેમ હતો અને મણિબેન માટે પણ પિતા સર્વસ્વ હતા. ૧૯૨૭ના જાન્યુઆરીમાં વલ્લભભાઈ પર ગાંધીજીએ એક પત્ર લખ્યો હતો એમાં વલ્લભભાઈએ મણિબેન વિશે કરેલી ચિંતાના જવાબ સ્વરૂપે લખાયું હોય એમ ગાંધીજીએ લખ્યું હતું, ‘મણિબેન અત્યારે તો કોઈ જોડે પરણવા માગતાં નથી. આપણે આ બાબતમાં તેમને સાથ આપવો જોઈએ. આ બાબતમાં તમે જરા પણ ચિંતા કરતા નહીં અને મારા પર છોડી દેજો.’

    સરદારે ૨૧મી માર્ચ, ૧૯૨૪માં પોતાની દીકરીને લખ્યું છે, ‘અત્યાર સુધી હું તમારી ફિકર ચિંતા કર્યા સિવાય ફરતો હતો, પણ છેલ્લા ત્રણ-ચાર મહિનાથી તમારી ઉદાસીનતાથી મને ફિકર થાય છે. ડાહ્યાભાઈ પણ દુઃખી છે. શું કારણ છે તે તમે મને સાચી રીતે જણાવતાં નથી. હું પૂછું છું ત્યારે તમે બોલતાં નથી, વધારે પૂછું તો રડવા લાગો છો અને મારી સામે ફરિયાદ કરો છો. તમને શું દુઃખ છે તે હું સમજી શકતો નથી. નાનાં બાળકો જોડે રમું છું અને હસીમજાક કરું છું તેવું તમારી જોડે તો કરી શકાય નહીં. હું અને તમે છૂટથી એકબીજા જોડે વાતો કરી શકતા નથી તેમાં મને મારા કરતાં તમારો દોષ વધારે દેખાય છે. મેં ઘણી મહેનત કરી છે, પણ હવે થાક્યો છું. મારી સામેની તમારી ફરિયાદ ચાલુ રહી છે અને વધારામાં તમે રડવા માંડો છો. તેનાથી હું હારી જાઉં છું. તમારે જે કહેવું હોય તે સાંભળવાની મારી તૈયારી છે, પણ તમારા આંસુ મારાથી સહન થતાં નથી… તમે બરાબર થઈ જાઓ પછી આપણે એકબીજાના દોષ સરખાવી જોઈશું અને કોનો કેટલો વાંક છે તે ઠરાવશું. હું તમારા કરતાં તમારા ભાઈ જોડે વધારે બોલતો નથી, પણ તે મારો પ્રેમ પારખી શકે છે અને જે કહેવું હોય તે વિના સંકોચે મને કહી શકે છે. તમારા બે જણનાં સુખ સિવાય મારા માટે બીજું છે પણ શું? …તમે સાજા થાઓ પછી આપણે બંને લાંબી વાત કરશું. મારી ઈચ્છા એવી છે કે તમારા મનમાં જે કાંઈ હોય તે તમારે નિખાલસ રીતે બાપ પાસે ઠાલવી દેવું જોઈએ તેનાથી તમને ઘણી શાંતિ મળશે.’ -પિતાના આશીર્વાદ.

    મણિબેનની ડાયરીમાં એક નોંધ હતી જેમાં એમણે લખ્યું હતું કે, વલ્લભભાઈના વૃદ્ધ માતા છેલ્લે સુધી રસોડામાં કામ કરતા. કાશીભાઈ (વલ્લભભાઈના ભાઈ) બધું લાવીને મૂકે, ને ડોશીમા દાળભાત ને શાક રાંધી આપતા. પિતા-પુત્રી બંને જેલમાં હતાં ત્યારે દાદીનું અવસાન થયું. માતાના અવસાનના સમાચાર સાંભળીને વલ્લભભાઈએ દીકરીને પત્ર લખેલો, ‘આજે કરમસદથી કાશીકાકાનો કાગળ આવ્યો છે. તેમાં ખબર છે કે આપણાં વૃદ્ધ માતુશ્રી ઓક્ટોબરની ૧૧મી તારીખ ને બુધવારે સવારે નવ વાગ્યે દેવલોક પામ્યાં છે. શાંતિથી અને કશી વેદના વગર તેમનું અવસાન થયું. જીવતાં રહ્યાં હોત તો વધારે દુઃખી થયાં હોત. તેથી તેમનું અવસાન થયું તે છૂટ્યાં ગણાય. તમે જઈને છેલ્લી વખત મળી આવ્યાં તે બહુ સારું થયું.’

    આખો દેશ જેને અખંડ ભારતના પ્રણેતા તરીકે યાદ કરે છે, નમન કરે છે એવા સરદાર પોતાની પુત્રી પરત્વે કેટલા સંવેદનશીલ અને લાગણીશીલ હતા એનો પરિચય આપણને અહીં મળે છે. આજે મણિબેન પટેલનો જન્મદિવસ છે. ૧૨૧ વર્ષ પહેલાં, ૩ એપ્રિલ, ૧૯૦૩ના રોજ એમનો જન્મ થયેલો.


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૦૩ – ૦૪ – ૨૦૨૪ ની પૂર્તિ  ‘કળશ’માં લેખિકાની કોલમ ‘માય સ્પેસ’ માં પ્રકાશિત લેખ

  • કોઈનો લાડકવાયો – (૪૬) ચૌરી ચૌરા

    દીપક ધોળકિયા

    જલિયાંવાલા બાગના હત્યાકાંડ પછી પણ સરકારે રૉલેટ ઍક્ટની બાબતમાં જરાય ઢીલ ન આપી.  જલિયાંવાલા બાગે દેશની હવા બદલી નાખી હતી. લોકોમાં રોષ વધતો જતો હતો. આની સામે કંઈક  કરવું જોઈએ એમ વિચારીને ગાંધીજીએ કોંગ્રેસ સમક્ષ નાગરિક અસહકારનો વિચાર મૂક્યો.  નાગરિક અસહકારમાં વિદેશી કાપડનો સદંતર બહિષ્કાર કરવાનો હતો. તે ઉપરાંત દારુબંધી પર પણ ગાંધીજીએ ભાર આપ્યો. એમણે બારડોલીના સત્યાગ્રહની જેમ સત્યાગ્રહી ફૉર્મ તૈયાર કર્યું. જે નાગરિક અસહકારમાં સક્રિયપણે ભાગ લે એણે આ ફૉર્મ ભરવાનું હતું. આંદોલન બહુ જોરદાર રહ્યું અને ઑગસ્ટ ૧૯૨૧થી ફેબ્રુઆરી ૧૯૨૨ સુધીમાં ત્રીસ હજાર માણસો જેલમાં પહોંચી ગયા.

    લોકોનું જોશ ઓસરવાનું નામ જ નહોતું લેતું. આંદોલન અહિંસક રીતે ચાલતું હતું એટલે સરકાર પાસે પણ કંઈ રસ્તો નહોતો.

    ચૌરી ચૌરાની ઘટના આવા વાતાવરણમાં બની.  ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાનું આ નાનું નગર પણ સત્યાગ્રહની હવાથી વણસ્પર્શ્યું નહોતું રહ્યું. ૧૯૨૨ની બીજી ફેબ્રુઆરીએ એક નિવૃત્ત સૈનિક ભગવાન આહિરની આગેવાની હેઠળ લોકો બજારમાં આવેલી દારુની દુકાનો બંધ કરાવવા આગળ વધ્યા. પોલીસે એમને રોક્યા અને મારીને પીછેહઠ કરવાની ફરજ પાડી. કેટલાય આગેવાનોને પકડી લઈને લૉક-અપમાં પૂરી દેવાયા.

    બે દિવસ પછી ચોથી તારીખે બે-અઢી હજારની ભીડ ફરી એકઠી થઈ અને બજાર તરફ કૂચ કરી. સ્થિતિને કાબુમાં લેવા માટે હથિયારબંધ પોલીસની ટુકડી મોકલવામાં આવી. લોકો અંગ્રેજોની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. એમને ભગાડવા માટે પોલીસે પહેલાં તો હવામાં ગોળીબાર કર્યો. આનાથી ટોળું વધારે ઉશ્કેરાયું અને પથ્થરમારો શરૂ કરી દીધો.  વાત કાબૂ બહાર જતી હતી એટલે પોલીસે સીધો જ ટોળા ઉપર ગોળીબાર શરૂ કરી દીધો. આમાં ત્રણ જણ માર્યા ગયા. પરંતુ લોકોને ગોળીબારની પરવા નહોતી. અંતે પોલીસ કર્મચારીઓ ભાગ્યા અને ચોકીમાં ઘૂસી ગયા અને બારણાં વાસી દીધાં.

    લોકો હવે પોલીસ ચોકી સામે એકઠા થયા અને  ‘મહાત્મા ગાંધી કી જય’ના નારા પોકાર્યા અને સળગતા કાકડા ફેંક્યા. ચોકીને આગ લાગી ગઈ અને નીકળવાનો કોઈ રસ્તો ન રહ્યો. આમ પણ બહાર નીકળી શક્યા હોત તો લોકોએ એમને જીવતા રહેવા ન દીધા હોત. આ ઘટનામાં ૨૨ કર્મચારીઓ જીવતા બળી મર્યા.  પરંતુ બધા જ કદાચ બળીને ન મર્યા, અમુકને લોકોએ દરવાજામાંથી ભાગતાં મારી નાખ્યા હોવાની શક્યતા પણ તપાસમાં જાણવા મળી. એક જ રઘુવીર સિંહ નામનો કોંસ્ટેબલ મરી ગયો એવું જાહેર કરવામાં આવ્યું પણ એ બચી શક્યો હતો. એ એક માત્ર મુખ્ય સાક્ષી હતો.

    સરકારે તો તરત ત્યાં માર્શલ લૉ લાગુ કરી દીધો અને ઘેરેઘેર ઝડતીઓ લેવાઈ. ગાંધીજીની ધરપકડ કરી લેવાઈ. ગાંધીજીનો અહિંસક સત્યાગ્રહ બરાબર ચાલતો હતો પણ ચૌરી ચૌરાની ઘટના પછી ગાંધીજીને લાગ્યું કે લોકો હજી અહિંસા માટે તૈયાર નહોતા. એમણે અરાજકતા ન વધે એટલા માટે અસહકાર આંદોલન પાછું ખેંચી લીધું. જો કે નહેરુ વગેરે નેતાઓ પણ જેલમાં હતા. એમને ગાંધીજીનો આ નિર્ણય પસંદ નહોતો આવ્યો.

    તે પછી આઠ મહિના કેસ ચાલ્યો. એમાં કુલ ૨૨૫ જણ સામે આરોપનામાં દાખલ કરવામાં આવ્યાં. કોર્ટે એમાંથી ૧૭૨ને મોતની સજા કરી.

    જો કે સ્થાનિકની કોંગ્રેસ કમિટીએ આ સજા સામે અલ્હાબાદ હાઈ કોર્ટમાં અરજી દાખલ કરી. અપીલમાં ૧૯ જણને મોતની સજા કરાઈ, બીજા ૧૪ને જનમટીપ મળી. બીજા બધાને આઠ વર્ષથી માંડીને બે વર્ષની સજા કરવામાં આવી. જુલાઈની બીજી તારીખથી ૧૧મી વચ્ચે ૧૯ જણને ફાંસી આપી દેવાઈ.

    એમનાં નામ આ પ્રમાણે છેઃ

    ૧. નઝર અલી, ૨. ભગવાન આહિર, ૩. લાલ મોહમ્મદ, ૪. શ્યામસુંદર, ૫. અબ્દુલ્લા, ૬. વિક્રમ આહિર, ૭. દૂધી સિંહ, ૮. કાલી ચરણ, ૯. લખતી કુમાર, ૧૦. મહાદેવ સિંહ, ૧૧. મેઘુ અલી, ૧૨. રઘુવીર, ૧૩. રામલખન, ૧૪. રામરૂપ, ૧૫. સહદેવ, ૧૬. રૂદાલી, ૧૭. મોહન, ૧૮. સંપત અને ૧૯. સીતારામ.

    અંગ્રેજી રાજના આ ઘોર વિરોધી શહીદો સમક્ષ સત્યાગ્રહના નિયમો, હિંસા-અહિંસાની ચર્ચામાં પડ્યા વિના નતમસ્તક થઈએ.

    ગાંધીજીએ આંદોલન પાછું ખેંચી લીધું તેનું કારણ એ કે આવી હિંસા ઠેકઠેકાણે ફાટી નીકળી હોત અને હિંસક આંદોલન સંગઠિત ન રહી શકે કારણ કે લોકો પાસે સરકાર જેવાં હથિયારો હોય જ નહીં. એટલે દરેક જગ્યાએ એને દબાવી દેવાનું સરકાર માટે બહુ સહેલું થયું હોત. પરંતુ, જોવાનું એ છે કે ગાંધીજીની અહિંસાની વિરુદ્ધ હિંસા કરતી વખતે પણ આ લોકો મહાત્મા ગાંધીની જય બોલતા હતા! એનો અર્થ એ જ છે કે આઝાદીની ઇચ્છા દરેકની સ્વતંત્ર હતી અને દરેક જણ એ લડાઈ પોતે જ લડતો હતો. દરેકની આ ઇચ્છાનું નામ સૌએ પોતે જ  ‘ગાંધી’ રાખ્યું હતું.  આ શહીદો સભાનપણે કે સિદ્ધાંતમાં ગાંધીજીની વિરુદ્ધ નહોતા. એ સીધા સાદા ખેડૂતો હતા. પરંતુ જે સભાનપણે ગાંધીજીની ફિલસૂફીની વિરુદ્ધ હતા એમને મન પણ ‘ગાંધી’ નામ સ્વતંત્રતાના સંઘર્ષનું કેન્દ્રીય નામ હતું.

    ૦૦૦

    સંદર્ભઃ  (૧)વિકીપીડિયા

    (૨)  Nishant Batsha, “Gandhi and Chauri Chaura: A Lacanian Reinterpretation of Gandhi through the Chauri Chaura Riot,” intersections 10, no. 3 (2009): 28-41.


    દીપક ધોળકિયા

    વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com

    બ્લૉગ સરનામું: મારી બારી

     

  • ઘોંઘાટ બહુ કરે છે / અમર હમણાં જ સૂતો છે

    ડૉમાર્ગી દોશી

    વીતેલ એક ઘટના ઘોંઘાટ બહુ કરે છે.
    જે-જે દબાવી ચર્ચા, ઘોંઘાટ બહુ કરે છે.

    ત્રણ શબ્દ બોલવામાં ઉંમર વીતાવી આખી,
    આવા અબોલ કિસ્સા ઘોંઘાટ બહુ કરે છે.

    ભૂખે મરે છે રાતો, વલખે છે ફૂટપાથો,
    સન્નાટા સાંજ ઢળતાં ઘોંઘાટ બહુ કરે છે.

    જડથી જો સાવ ઉખડે તો વારતા હો પૂરી,
    અધકચરા બે’ક સપના ઘોંઘાટ બહુ કરે છે.

    મારી’તી છાની રીતે ઈચ્છાઓ નાની વયમાં,
    એ બાળપણની હિંસા ઘોંઘાટ બહુ કરે છે.

    છલકાતી રહે જો આંખો, થઈ જાય શાંત પીડા,
    આંસુ ખૂટ્યાની પીડા ઘોંઘાટ બહુ કરે છે.

    ચહેરાની તર્ત પાછળ ચહેરો બીજો નિહાળી,
    વર્ષો જૂના અરીસા ઘોંઘાટ બહુ કરે છે.

    કાઢ્યું છે લાશ માફક જેણે સમસ્ત જીવન,
    મૃત્યુ પછી એ મડદાં ઘોંઘાટ બહુ કરે છે.

    (૨)

    ’અમર’ પાલનપુરી

    પવન ફરકે તો એ રીતે ફરકજે પાન ના ખખડે !
    કોઈને સ્વપ્નમાં માંગી અમર હમણાં જ સૂતો છે.

    દવા તો શું હવે સંજીવની પણ કામ નહીં આપે,
    જીવનના ભેદને પામી અમર હમણાં જ સૂતો છે.

    ગયો એ હાથથી છટકી, હવે શું બાંધશે દુનિયા-
    બધાંયે બંધનો ત્યાગી, અમર હમણાં જ સૂતો છે.

    ન જાગે એ રીતે ઊંચકીને એને લઈ જજે, દુનિયા !
    સમયની કૂચમાં થાકી, અમર હમણાં જ સૂતો છે.