-
બાળ ગગન વિહાર – મણકો – ૩૫ : વાત અમારા નોઆની
શૈલા મુન્શા
ત્રણ વર્ષનો નોઆ ડિસેમ્બર ૨૦૧૭ની મધ્યમાં લગભગ નાતાલની રજાઓ શરુ થતાં પહેલા અમારા ક્લાસમાં આવ્યો હતો. માતા પિતા શિકાગોથી આવ્યા હતા. મૂળ મેક્સિકોના વતની એટલે શિકાગોની બર્ફીલી આબોહવા માફક ના આવી. નોઆ એમનું પહેલું સંતાન એટલે સ્વભાવિક સઘળો પ્રેમ એના પર ન્યોછાવર, અને એ અમને દેખાયું પણ ખરું. સંતાન તો હંમેશાં બધા માતા પિતાની આંખની કીકી જેવા હોય, પણ ઘણીવાર વધુ પડતો પ્રેમ બાળકની પ્રગતિમાં અવરોધ પણ ઊભો કરી શકે.
આજે તો મારે વાત નોઆની કરવી છે.
પહેલા દિવસે નોઆને ગોદમાં ઉઠાવી મમ્મી ક્લાસમાં આવી અને પપ્પા એક હાથમાં મોટી સ્લીપીંગ બેગ પોચો મોટો તકિયો, મખમલી ઓઢવાનું અને બીજા હાથમાં એના ડાયપરની બેગ, વધારાના કપડાં, વેફર્સની મોટી બેગ, ક્લાસ સપ્લાયનું બોક્ષ બધું લઈ અમારી સામે જોતા ઊભા રહ્યા. બે ઘડી અમે પણ એમની સામે જોતા ઊભા રહ્યાં!! આટલો સામાન મુકવો ક્યાં? જાણે નોઆનું ઘર વસાવવાનું હોય એટલો સામાન! મેક્સિકન હોવાં છતાં બન્ને જણા ફાંકડું અંગ્રેજી બોલતાં હતાં. બધી પુછપરછ પુરી થઈ, અને મમ્મીએ નોઆને નીચે ઉતાર્યો. પહેલો દિવસ, અજાણ્યું વાતાવરણ, નોઆનો ભેંકડો તાણવો સ્વભાવિક હતો.
મમ્મી પપ્પા પાંચ દસ મિનીટ બેઠા પણ અમારા કહેવાથી છેવટે ક્લાસની બહાર તો નીકળ્યા પણ દરવાજાની બારીમાંથી થોડીવાર જોતાં રહ્યાં. નોઆ તો થોડીવાર રડીને શાંત થઈ ગયો. અમારું મેજીક શસ્ત્ર સંગીત અને બાળગીતો લગભગ બધા બાળકોને રડવાનું ભુલાવી શાંત કરી દે. આખો દિવસ થોડો ડઘાયેલો રહ્યો, બપોરના બધા બાળકોના સુવાના સમયે એને જરા થાબડ્યો કે એની સ્લીપીંગબેગમાં ભરાઈને સુઈ ગયો. ખરી મજા બીજા દિવસે આવી. સવારે મમ્મી પપ્પા એને મુકવા આવ્યા અને એમના હાથમાંથી મેં નોઆને લેવાનો પ્રયાસ કર્યો ને ધડ દઈને મારા ગાલે એણે એક તમાચો ઝીંકી દીધો. મમ્મીનું મોઢું જોવા જેવું થઈ ગયું, બિચારી સોરી સોરી કરતી રડવા જેવી થઈ ગઈ, માંડ માંડ એને સમજાવી પણ ત્યારથી મમ્મીને અમે કહ્યું કે તમે ક્લાસમાં આવી અને નોઆને મુકી જજો જ્યાં સુધી એ ક્લાસના વાતાવરણથી ટેવાઈ ના જાય.
ધીરે ધીરે નોઆનું રુટીન ગોઠવાવા માંડ્યું અને પંદર દિવસની નાતાલની રજા પડી. રજા પછીનો પહેલો દિવસ તો નોઆ લગભગ આખો દિવસ ઊંઘમાં જ રહ્યો. બીજા દિવસે મમ્મી એને ક્લાસમાં મુકવા આવી ત્યારે થોડી ચિંતીત હતી. અમને પૂછવા માંડી કે નોઆ ક્લાસમાં કોઈને મારે છે? કોઈના ગાલે ચુંટલી ખણી લે છે? અમને નવાઈ લાગી કારણ ક્લાસમાં બે દિવસમાં એનુ વર્તન બરાબર હતું.
મમ્મીની ચિંતા અકારણ નહોતી. નાતાલની રજામાં નોઆના માસી, મામાના બાળકો એમના ઘરે નાતાલની ઉજવણી માટે ભેગાં થયાં હતાં અને નોઆ એમને મારી આવતો, ચુંટલી ખણી લેતો એટલે મમ્મીને જાણવું હતું કે ક્લાસમાં નોઆનુ વર્તન કેવું હતું? ઘરમાં નોઆનું વર્તન અલગ હતું એનું કારણ કદાચ એ પણ હોઈ શકે કે જે બાળકો ઘરમાં હતા એ કદાચ નોઆને નાનો સમજી મસ્તીમાં ચીડવતા હોય અને એના પ્રતિભાવ રુપે નોઆ મારી આવતો હોય. આમ પણ બાળકો જે જુએ તે શીખે પછીએ સામાન્ય બાળક હોય કે દિવ્યાંગ! ક્લાસમાં નોઆનું વર્તન બરાબર છે એ જાણી એની મમ્મીને ધરપત થઈ. નોઆ ક્લાસના રૂટિનથી ટેવાયેલો હતો અને કોઈ એને છંછેડવાવાળું નહોતું.
પંદર દિવસ ઘરે રહ્યા પછી નોઆ સ્કુલમાં હસતાં હસતાં આવ્યો એ જ અમારા માટે કોઈ ઈનામથી ઓછું નહોતું. મમ્મી પપ્પા તો અમારો આભાર માનતા થાકતા નહોતા. નોઆની પ્રગતિ એમને દેખાતી હતી.
નોઆની વાચા પુરી ખુલી નહોતી, પણ એનું હાસ્ય અને ચમકતી આંખો ઘણુ કહી દેતી.
ક્યાં આવતાની સાથે એક તમાચો ઝીંકી દેનાર નોઆ અને ક્યાં બધા સાથે હળીમળી રમતો નોઆ!!
ભવિષ્યમાં આ ચમકતો તારલો જરુર આસમાનની ઊંચાઈએ પહોંચશે!!!!
અસ્તુ,
સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::
ઈ-મેલ: smunshaw22@yahoo.co.in
બ્લૉગ: www.smunshaw.wordpress.com -
ઉપનિષદો વિષે ચિંતકો
ઉપનિષદોમાં શિક્ષણ વિભાવના
દિનેશ.લ. માંકડ
માનવ સહજ સ્વભાવ છે કે કોઈપણ વસ્તુનું મૂલ્ય આંકવા તેનું મન ચલાવે.અને જયારે તેને પોતાને અનુકૂળ લાગે ત્યારે સ્વીકારે.એમા પણ જયારે યોગ્ય મૂલ્યાંકનકારનો મત ભળે ત્યારે તેને અહોભાવથી જરૂર ઓળખવા લાગે-તેનું મૂલ્ય સમજે..ભારતીય સંસ્કૃતિની ભવ્યતાનું ગાન વિશ્વ આખું કરે છે. વેદ -ઉપનિષદ વિષે દેશ વિદેશના અનેક ચિંતકોએ ખુબ મૂલ્યવાન મત પ્રદર્શિત કર્યા છે.
પોતાના એક પ્રવચનમાં સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું કે –‘ હું જયારે ઉપનિષદોને વાંચું છું ત્યારે મારાં આંસુ વહેવા માંડે છે.એમાં એવી શક્તિ ભરેલી છે કે જે સંપૂર્ણ વિશ્વને બળ, શૌર્ય અને નવજીવન પ્રર્દાન કરી શકે.ઉપનિષદો કોઈપણ દેશ,જાતિ,મત અને સંપ્રદાયનો ભેદ કર્યા વિના પ્રત્યેક દીન,દુર્બળ, દુઃખી અને દલિત પ્રાણીને પોકારીને કહે છે,- ઉઠો,પોતાના પગ ઉપર ઉભા રહો અને બંધનોને કાપી નાખો. શારીરિક આધીનતા, માનસિક સ્વાધીનતા એ જ ઉપનિષદોનો મૂળ મંત્ર છે.‘ દૃઢતાથી આગળ કહે છે ‘ ઉપનિષદો એવી શક્તિ પ્રદાન કરે છે જેના દ્વારા મનુષ્ય જીવન સંગ્રામનો ધીરજ અને સાહસપૂર્વક મુકાબલો કરે છે..જીવનનું પ્રત્યેક ક્ષેત્ર,પછી ભલે એ આધ્યાત્મિક હોય કે ભૌતિક પરંતુ બંનેયમાં ઉપનિષદો જરૂરી છે.‘.
કવિવર રવીન્દ્રનાથ ટાગોર કહે છે,’ ભારતનું ઉપનિષદોનું બ્રહ્મજ્ઞાન સમસ્ત પૃથ્વીનો ધર્મ બનવા લાગ્યું છે. સૂર્ય જયારે બપોરે ગગનમાં પ્રકાશિત થાય એ તેના તેજથી સમગ્ર ભૂમંડળ પ્રકાશમાન બની જાય.’ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન કહે છે,’ ઉપનિષદોને મૂળ સંસ્કૃતમાં જે કોઈપણ વાંચે છે એ માનવ, આત્મા અને પરમ સત્યના ગૂઢ અને પવિત્ર સંબંધોને પ્રગટ કરનારા,એના ઘણા બધા ઉદગારોના ઉત્કર્ષ કાવ્ય અને વશીકરણથી મુગ્ધ બની જાય છે અને એમાં વહેવા લાગે છે. ઉપનિષદો ,આત્મનિરીક્ષણના રસ્તે અંતર આત્માનો ખોજનો માર્ગ બતાવે છે.એ આપણને આપણા મનની શુદ્ધિ માટેના ભિન્ન ઉપાયોથી અવગત કરાવે છે.’ સંત વિનોબા પોતાના ‘ઉપનિષદ-એક અધ્યયન’ નામક પુસ્તકની પ્રસ્તાવનામાં લખે છે કે ,‘ઉપનિષદની મહિમા અનેકો એ ગાઈ છે .મારી દૃષ્ટિએ ઉપનિષદ એ પુસ્તક નહિ પણ દર્શન છે.ઉપનિષદ મારી માતાની માતા છે .એ જ શ્રદ્ધાથી છેલ્લા બત્રીસવર્ષથી મારુ ઉપનિષદ મનન અને નિદિધ્યાસન ચાલુ રહ્યું છે.‘
આચાર્ય બલદેવ ઉપાધ્યાય કહે છે ,’ભારતીય તત્ત્વજ્ઞાન અને ધર્મસિદ્ધાંતોના મૂળ સ્ત્રોત હોવાનું ગૌરવ ,આ જ ઉપનિષદોને મળેલું છે..ખરેખર ઉપનિષદ એ આધ્યાત્મિક માનસરોવર છે જેમાંથી જ્ઞાનની જુદી જુદી નદીઓ નીકળીને આ પુણ્યભૂમિના માનવમાત્રના સાંસારિક કલ્યાણ તથા આમુષ્મિક ( પારલૌકિક ) મંગળ માટે વહેતી રહે છે.’ તેઓ આગળ ઉમેરે છે ‘ વૈદિક ધર્મની મૂળ તત્ત્વ પ્રતિપાદિકા–પ્રસ્થાનત્રયીમાં મુખ્ય ઉપનિષદ જ છે.બીજા પ્રસ્થાન ગીતાજી અને તથા બ્રહ્મસૂત્ર.-એના ઉપર આધારિત -આશ્રિત છે.‘
શ્રી અરવિંદ કહે છે કે,‘ઉપનિષદોમાં ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળમાં જે આધ્યાત્મિક જ્ઞાન અથવા તત્ત્વ જ્ઞાન પ્રાપ્ત થયું હશે કે થશે, તે બધું આર્ય ઋષિઓએ તેમ જ મહાયોગીઓએ અત્યંત સંક્ષિપ્તરૂપે નિગૂઢ અર્થઘોતક શ્લોકોમાં નિબદ્ધ કર્યું છે.’
વર્તમાન સમયમાં 108 થી પણ વધારે ઉપનિષદો પર વિસ્તૃત રીતે લખીને જનસામાન્ય સુધી પહોંચાડનાર અર્વાચીન ઋષિ તપોનિષ્ઠ શ્રીરામશર્માજી આચાર્ય કહે છે ,’ ‘જેટલું આ જ્ઞાન અઘરું છે તેટલું જ સરળ પણ છે .જેમ
પાણીમાં તરવાનું મુશ્કેલ જણાય પરંતુ સાચી લગન અને પ્રયત્નપૂર્વક અભ્યાસ કરવામાં આવે તો એ મુશ્કેલ કાર્ય સરળ બની જાય છે. એજ પ્રમાણે ઉપનિષદોમાં જે બ્રહ્મવિદ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ પણ સરળ છે.મુશ્કેલ તો એમને જણાય છે કે જે એનાથી દૂર રહી જોતા રહે છે.અંદર પ્રવેશવાનું સાહસ કરવાની સાથે જ તે સરળ જણાય છે.બ્રહ્મવિદ્યા જેટલી સરળ-સહેલી છે એટલી જ કલ્યાણકારી પણ છે.‘
‘ દેવલોકનું સરનામું આકાશમાં નથી શોધવાનું.દેવલોકનો સંબંધ મૂળે પ્રકાશ સાથે છે.અને પ્રકાશનો ઉપનિષદીય અનુબંધ જ્ઞાન સાથે છે.” યુવાનોને વૈદિક વિચારોથી જોડવાના અદભુત વિચાર સાથે આગવી શૈલીમાં ઉપનિષદ આધારિત ત્રણ પુસ્તકો આપનાર ચિંતક -લેખક ડો.ગુણવંતભાઈ શાહનું આ એક વિધાન કેટલું બધું કહી જાય છે! ઉપનિષદો પર લખતી વખતે ગુણવંતભાઈ વ્યક્ત કરે છે કે,’ શિક્ષણમાં જરૂર કશુંક ખૂટે છે.જેને પરિણામે આપણા ભારતીય વારસા અને વૈભવના મૂળ સુધી પહોંચવામાં સફળ થયા નથી. અભેરાઈ પરથી ઉતરીને યુવાનોના હાથ સુધી ઉપનિષદો પહોંચે એવો સમય ક્યારે પાકશે ?’
આ ઉપનિષદોને મહર્ષિ મનુ જેવા પ્રાચીન મનીષીઓએ ‘अनादिनिघना दिव्या वाक्’ (મનુસ્મૃતિ) એવું બિરુદ પણ આપ્યું
આપણે જાણીએ જ છીએ કે કેટલાય વિદેશી દાર્શનિકો પર ઉપનિષદોનો જબરો અદભુત પ્રભાવ હતો.અરબદેશના અલબેરુની 12 મી સદીમાં જયારે ભારત આવ્યા ત્યારે વેદાંતદર્શન પર મુગ્ધ બન્યા હતા.સંસ્કૃતનું અધ્યયન કરીને ઉપનિષદના સારરૂપ ગીતાજીની વિશેષ પ્રશંસા કરી હતી. શાહજહાંના ભાઈ દારાસિકોહ જયારે કાશ્મીર આવ્યા ત્યારે તેમને ઉપનિષદોના મહિમાની જાણ થઇ એટલે તેમને ઈ.સ.1640 માં કાશીથી પંડિતોને બોલાવીને તેમની સહાયતાથી 50 જેટલાં ઉપનિષદોનું ફારસીમાં ભાષાંતર કરાવ્યું. દારાસિકોહએ ફારસીમાં અનુવાદ કરતી વખતે ભૂમિકામાં લખ્યું છે કે,’ મેં આત્મવિદ્યાના ઘણા ગ્રન્થ વાંચ્યા.પરંતુ મારી ક્યાંય તરસ ન મટી.મેં કુરાન ,તૌરેત ,ઇજ્જીલ ,જાબુર,વગેરે ગ્રંથો વાંચ્યા,એનાથી તરસ ન મટી, ત્યારે હિન્દઓના પુસ્તકો વાંચ્યાં.એમાંથી ઉપનિષદોનું જ્ઞાન એવું છે જેનાથી આત્માને શાશ્વત શાંતિ તથા સાચા આનંદની પ્રાપ્તિ થાય છે.’ હજરત નવીએ પણ એક આયાતમાં આજ પ્રાચીન રહસ્યમય પુસ્તકોની બાબતમાં ઈશારો કરેલ છે.કેટલાંક ઉપનિષદોનો અનુવાદ અકબરના સમયમાં પણ થયો હતો.
અયોધ્યાના નવાબના રેજીડેંટ ગૅન્ટીલે ભિન્ન ભિન્ન અનુવાદોના આધારે કેટલાંક ઉપનિષદોના ફ્રેન્ચ અને લેટિનમાં અનુવાદ કરાવ્યો. જર્મનીના સુપ્રસિદ્ધ દાર્શનિક અર્થર શોપેન હોવરે, આવા અનુવાદોના અધ્યયન અને ખુબ મંથન કર્યા પછી જે કહ્યું તે નોંધવા લાયક છે.’ ઉપનિષદો દ્વારા પરમ લાભ એ વર્તમાન સદી ( 1818 ) નો સહુથી મોરો લાભ છે.ઉપનિષદની અનુપમ ભાવધારાથી જે પરિચિત થશે એના આત્માના ઊંડાણ સુધી હલચલ પેદા થઇ જશે..તેની એક એક પંક્તિ ( મંત્ર ) દૃઢ ,સુનિર્દિષ્ટ અને સુસામંજસ્ય અર્થ પ્રગટ કરે છે.ઉપનિષદ સમાન આટલા ફળોત્પાદક અને ઉચ્ચ ભાવદીપક ગ્રંથ ક્યાંય નથી.એણે મને જીવનમાં શાંતિ પ્રદાન કરી છે અને મરણમાં પણ શાંતિ આપશે.‘ આ શબ્દોની પુષ્ટિ કરતાં અંગ્રેજ તત્ત્વવેત્તા મેક્સ મૂલરે કહ્યું‘ ‘જો શોપન હોવરના આ શબ્દોને કોઈ ટેકાની જરૂર હોય તો હું તે આપવા તૈયાર છુ’
ઈ.સ.1844માં બર્લિનમાં શ્રી શેલીન્ગની ઉપનિષદની વ્યાખ્યાનમાળાને સાંભળીને જાણીતા પાશ્ચાત્ય દાર્શનિક મેક્સમૂલરને, સૌ પ્રથમ વખત સંસ્કૃત સાહિત્ય અને પછી વેદ-ઉપનિષદ પર ચર્ચાની પ્રેરણા મળી.તેમણે 12 જેટલાં ઉપનિષદો પર પોતાના વિચારો પ્રગટ કર્યા છે. Dogmas of Buddhism ગ્રંથના લેખક હ્યુમએ લખ્યું છે કે ,’સોક્રેટિસ ,એરિસ્ટોટલ વગેરે દાર્શનિકોના ગ્રન્થ મેં વાંચ્યા છે પણ જેવી શાંતિમય આત્મવિદ્યા મને ઉપનિષદમાંથી મળી છે તેવી બીજે ક્યાંયથી મળી નથી.’ .Is God Knowable ? નામક ગ્રંથના રચયિતા પ્રો.જી.આર્ક લખે છે કે ‘ મનુષ્યના આત્મિક,માનસિક અને સામાજિક કોયડાઓ કેવી રીતે ઉકેલી શકાય ,એનું જ્ઞાન ઉપનિષદો દ્વારા જ મળી શકે.’ .ઉપનિષદ દર્શનના વિખ્યાત વ્યાખ્યાતા પોલ ડાયસનના મત અનુસાર ‘ ઉપનિષદ પોતાના અવિકૃત રૂપમાં શુદ્ધ નૈતિકતાનો સશક્તતમ આધાર છે. જીવન-મૃત્યુની પીડાઓમાં સૌથી મોટું સાંત્વન -આશ્વાસન છે.’
ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ગાઢ નિષ્ઠા ધરાવનારા વિદુષી ડો.એની બેસન્ટ કહે છે, ‘ ભારતીય વારસામાં ઉપનિષદ જ્ઞાન, માનવ ચેતનાની સર્વોચ્ય ભેટ છે.’ સંસ્કૃતના વિદ્વાન બેવરસાહેબનું નામ ઉપનિષદ જ્ઞાનના પ્રચાર -પ્રસારમાં ઉલ્લેખનીય છે.તેમણે દારાશિકોહના ઉપનિષદના અનુવાદોના આધારે જર્મન ભાષામાં બે મોટા ગ્રંથ પ્રકાશિત કર્યા. એલ્વીન ટોફલર કહે છે :’કૃષિક્રાન્તિ પછી ઔદ્યોગિક ક્રાન્તિ આવી અને પછી બાહુબળ, પશુબળ ત્યાર પછી કોલસો, તેલ અને યુરેનિયમ. હવે આ બધું ઘટવા મંડ્યું છે. હવે સૂર્ય તરફ દૃષ્ટિ રાખે છે કે એમાંથી કંઈક ઊર્જા મેળવીએ.આજે ઊર્જાનો પ્રશ્ન છે, પરંતુ ઉપનિષદની રીતે જોઈએ તો એક એક યુવાન ઊર્જાનું જનરેટર છે, એની અંદર અનંત શક્તિઓ પડેલી છે. એને આપણે બહાર લાવવી જોઈએ.’
. પ્રસિદ્ધ અમેરિકન વિદ્વાન અને ચિંતક થોરો કહે છે ,’પ્રાચીન યુગની સર્વ સ્મરણીય વસ્તુઓમાં ભગવદ્ગીતા અને ઉપનિષદો જેટલી શ્રેષ્ઠ વસ્તુ કોઈ નથી. તેમાં એટલું ઉત્તમ અને સર્વવ્યાપી જ્ઞાન છે કે તેની સાથે આધુનિક જગતનું સર્વ જ્ઞાન સરખાવતાં તે સર્વે મને તુચ્છ જણાય છે. અને કોઈવાર વિચાર કરતાં મને લાગે છે કે આ તત્ત્વજ્ઞાન કોઈ જુદા જ યુગમાં લખાયું હોવું જોઈએ. હું રોજ પ્રાતઃકાળે મારી બુદ્ધિ અને અંતઃકરણને તેના પવિત્ર જળમાં સ્નાન કરાવું છુ’
જગતગુરુ આદિ શંકરાચાર્ય અને બીજા અનેક દાર્શનિકો-ચિંતકોએ ઉપનિષદોના ભાષ્ય લખ્યાં છે જ.અન્ય ખુબ ઘણા વિદ્વાનોએ તેના પર વિવેચનો પણ કરેલાં છે.જેવાં કે દશરથજી શ્રોત્રિયના મતે ‘ ઉપનિષદો ગુરુ વાક્યછે.’પં. હરિકૃષ્ણજી ઝા ‘જીવાત્માઅને પરમાત્માના એકેય ‘તરીકે મૂલવે છે. કાંચીમઠના પૂર્વ શંકારાચાર્યજી કહે છે,’ ઉપનિષદોનો એક અર્થ છે પરમાર્થ.’. પં ગોવિંદ વલ્લભપંત,’ઉપનિષદોને દાર્શનિક જ્ઞાનના મુખ્ય મૂળભૂત ‘ઝરા ‘ તરીકે મૂલવે છે. એમ.એસ અણે તેમાં ‘ વૈશ્વિક બંધુત્વ ,શાંતિ અને પ્રેમનો સંદેશ’ જુએ છે. સ્વામી વિશુદ્ધાનંદજી પરિવ્રજક તો ‘ ઉપનિષદોને સાક્ષાત કામધેનુ’સાથે સરખાવે છે.
લંડનમાં સેન્ટ જેમ્સ જેવી શાળાઓમાં સંસ્કૃત ફરજિયાત છે, એને પણ એટલો ખ્યાલ આવ્યો કે યુવાનોને ઉપનિષદની વિદ્યા નહિ ભણાવીએ તો આપણું કોઈ ભાવિ નથી. દક્ષિણ આફ્રિકાના ડર્બનની યુનિવર્સિટીમાં પણ સંસ્કૃત ફરજિયાત છે. એવું ક્યાંક વાંચવામાં આવ્યું છે.
મોટાભાગના વિદ્વાનોનું તારણ એ જ છે કે, ‘આ સુવર્ણ ભરેલા ચરુ સમાન ભંડાર ઉપરથી રાખ ખસેડવાની જરૂર છે.. વેદો કહે છે : ‘शृण्वन्तु विश्वे अमृतस्य पुत्रा वयम्।’ અમે અમૃતના પુત્રો છીએ. અમારી અંદર અનંત શક્તિ પડેલી છે. હવે ઉપર આકાશમાં શોધ કરવાની જરૂર નથી.છે’ આવો પંડમાં પડેલા પારસમણિ ને પિછાણીયે .માભોમ ધરતીમાં ધરબાયેલ અમૃતકુંભમાંથી આચમન માટે તત્પર થઈએ.
{ ઋણ સ્વીકાર –
‘ ઉપનિષદોમાં શિક્ષણ વિભાવના ‘ લેખ શ્રેણી ૨૫ મા લેખ સાથે અહીં પૂર્ણ થાય છે. વેબગુર્જરી સંપાદન મંડળ નો વિશેષ આભારી છું. વાચક મિત્રોનો આભાર પણ કેમ ભુલાય ? આનંદની વાત એ છે વેબગુર્જરીમાં લખવા માટેના એમના ધક્કાથી અંગત રીતે બે લાભ થયા .ઊંડો અભ્યાસ થયો અને એ જ શીર્ષકથી એક પુસ્તક પણ તૈયાર થયું.
પુનઃ આભાર. અને વેબગુર્જરી માટે શુભકામના.
સંજોગ થશે તો કદાચ ફરી મળીશું પણ ખરા.)
શ્રી દિનેશ માંકડનું ઈ-મેલ સંપર્ક સરનામું :- mankaddinesh1952@gmail.com
-
૩૩ કોટિ દેવતા
ધર્મ અને વિજ્ઞાન
ચિરાગ પટેલ
વેદો અને પુરાણોમાં અનેક દેવીઓ અને દેવોના નામ/સ્વરૂપનો ઉલ્લેખ થયો છે. ઘણાં દેવી-દેવતાઓની વર્તમાનમાં પણ ઉપાસના થાય છે, અનેકના સ્વરૂપમાં પરિવર્તન આવી ગયું છે, જ્યારે અનેક કાળક્રમે ભૂલાઈ ગયા છે. સમાજમાં એકતા જળવાઈ રહે એ હેતુથી શ્રી આદિ શંકરાચાર્યે પંચાયતન પૂજા ઉપાસન સૂચવી જેનો સંદર્ભ ઘણાં પુરાણોમાં પણ છે. પંચાયતન પૂજામાં શિવ, શક્તિ, વિષ્ણુ, ગણપતિ અને સૂર્યમાંથી કોઈ એક સ્વરૂપને મુખ્ય માની અન્ય સ્વરૂપો સહિતની પૂજા હોય છે.
વર્તમાનમાં શિવ, શક્તિ, વિષ્ણુ, ગણપતિ, હનુમાન, કાર્તિકેય ઉપાસના સહુથી વધુ પ્રચલિત છે. પરંતુ, સનાતની વૈદિક પરંપરામાં તેત્રીસ કોટિ દેવોની ઉપાસના સ્વીકારાઈ છે. જો કે, ૩૩ કોટીનું અર્થઘટન ૩૩ કરોડ કરીને સનાતન ધર્મને હિન દેખાડવાનો પ્રયત્ન પણ થતો હોય છે. આપણે ૩૩ કોટિ દેવોને બૃહદારણ્યક ઉપનિષદ્ અને અન્ય ગ્રંથોના સંદર્ભ અન્વયે જાણવા પ્રયત્ન કરીએ.
બૃહદારણ્યક
અધ્યાય ૧ બ્રાહ્મણ ૫ મંત્ર ૧૪: એ સંવત્સર જ પ્રજાપતિ છે જેની સોળ કલાઓ છે. પંદર રાત્રીઓ અને એક નિત્ય.
અધ્યાય ૩ બ્રાહ્મણ ૯ મંત્ર ૨: ૩૦,૩૩,૦૦૩ અથવા ૩૩૦૬ (સંસ્કૃત આંકડાનું અર્થઘટન ચોક્કસ નથી) દેવતાઓની વિભૂતિઓ છે. દેવગણ માત્ર તેત્રીસ છે – અષ્ટ વસુ, એકાદશ રુદ્ર, દ્વાદશ આદિત્ય, ઇન્દ્ર, પ્રજાપતિ.
અધ્યાય ૩ બ્રાહ્મણ ૯ મંત્ર ૩: અગ્નિ, પૃથ્વી, વાયુ, અંતરિક્ષ, આદિત્ય, દ્યુલોક (વાતાવરણ), ચંદ્ર, નક્ષત્ર – જેમાં સર્વે સમાયેલું છે એ આઠ વસુઓ.
અધ્યાય ૩ બ્રાહ્મણ ૯ મંત્ર ૪: પુરુષમાં રહેલાં દશ પ્રાણ (ઇન્દ્રિયો) અને આત્મા – જે મૃત્યુ સમયે શરીરમાંથી નીકળે છે અને પ્રિયજનોને રડાવે છે એ અગિયાર રુદ્ર.
અધ્યાય ૩ બ્રાહ્મણ ૯ મંત્ર ૫: વર્ષના બાર મહિના આદિત્ય છે જે સર્વેને સાથે લઈને ચાલતા રહે છે.
અધ્યાય ૩ બ્રાહ્મણ ૯ મંત્ર ૬: ગર્જનશીલ મેઘ કે વિદ્યુત ઇન્દ્ર છે. યજ્ઞ એટલે કે પશુ એ પ્રજાપતિ છે.
અધ્યાય ૩ બ્રાહ્મણ ૯ મંત્ર ૭: પૃથ્વી, અગ્નિ, વાયુ, અંતરિક્ષ, દ્યૌ (વાતાવરણ), આદિત્ય – એ છ દેવગણ છે, એ જ સર્વ કાંઈ છે.
અધ્યાય ૩ બ્રાહ્મણ ૯ મંત્ર ૮-૯: સમસ્ત દેવગણ જ્યાં નિવાસ કરે છે એ ત્રણ લોક જ ત્રણ દેવતા છે. અન્ન અને પ્રાણ બે દેવતા છે. જે વહે છે એ વાયુ દોઢ દેવતા છે. પ્રાણ જ એક દેવતા છે, એ જ બ્રહ્મ છે અને એને જ તત્ કહે છે.શતપથ બ્રાહ્મણમાં આઠ વસુઓ, અગિયાર રુદ્ર, બાર આદિત્ય, સ્વર્ગ (દ્યૌ), પૃથ્વી અને પ્રજાપતિ એમ ચોત્રીસ દેવતા છે.
ઐતરેય બ્રાહ્મણ:
વ્યક્તિરૂપ દેવ: ઇન્દ્ર (શક્ર), વરુણ, મિત્ર, અર્યમાન, ભગ, અંશ, વિધાતા (યમ), ત્વષ્ટા, પૂષન્, વિવસ્વત્ (સૂર્ય), સવિતૃ (ધાતૃ), વિષ્ણુ
આંતરિક દેવ: આનંદ, વિજ્ઞાન, મનસ્, પ્રાણ, વાક્, આત્મા, પાંચ રુદ્ર – ઇશાન, તત્પુરુષ, અઘોર, વામદેવ, સદ્યોજાત
પ્રાકૃતિક દેવ: પૃથ્વી, અગ્નિ, અંતરિક્ષ, જળ, વાયુ, દ્યૌ, સૂર્ય, નક્ષત્ર, સોમ
સર્જક દેવ: વષટ્કાર, પ્રજાપતિરામાયણ અને મહાભારત કે વિવિધ પુરાણો પ્રમાણે અદિતી અને કશ્યપના સંતાનો એવા આ તેત્રીસ દેવો છે. એ આઠ વસુઓ ધરા(પૃથ્વી), આપ (જળ), અગ્નિ, અનિલ (વાયુ), પ્રત્યુષ (સૂર્ય), પ્રભાસ (આકાશ), સોમ (ચંદ્ર), ધ્રુવ (ઉત્તરનો સ્થિર તારો) છે. બૃહદારણ્યકથી ભિન્ન મત પ્રમાણે, આ ગ્રંથોમાં બે અશ્વિનીકુમારો ઇન્દ્ર અને પ્રજાપતિને બદલે હોય છે. અમુક સંદર્ભમાં ૧૨ આદિત્યોના નામ – ઇન્દ્ર, અર્યમાન, ત્વષ્ટ્ર, વરુણ, ભગ, વિવસ્વત્ (સૂર્ય), સવિતૃ, અંશ, મિત્ર, પૂષન્, દક્ષ, વિષ્ણુ; એ પ્રમાણે હોય છે. ૧૧ રુદ્રના નામ – અજ, એકપદ, અહિર્બુધ્ન્ય, ત્વષ્ટા, રુદ્ર, હર, શંભુ, ત્ર્યંબક, અપરાજિત, ઇશાન, ત્રિભુવન હોય છે. અશ્વિનીકુમારો સૂર્ય અને સંજ્ઞાના પુત્રો છે.
વિવિધ સંદર્ભો જોતાં એવું લાગે છે કે, દેવતાઓ માત્ર ૩૩ કે ૩૪ જ છે પરંતુ તેમના નામ અને ચોક્કસ નિરૂપણ અંગે મતભેદ છે. એવું માની શકાય કે મૂળભૂત વૈદિક દેવો એ જે-તે પ્રાકૃતિક શક્તિ કે બળનું નિરૂપણ હતાં અને કાળક્રમે મૂળ સંદર્ભ ભુલાઈ ગયો. પુરાણોમાં વિવિધ વાર્તાઓ રૂપે એ દેવોને સાચવી લેવામાં આવ્યાં જેથી જનસામાન્ય તેમને ભૂલી ના જાય. મૂળ સનાતન ધર્મ પ્રકૃતિના તત્વો સાથે તાદાત્મ્ય સાધી વૈશ્વિક ચેતના સાથે એકરૂપ થવાની વિવિધ પદ્ધતિઓ ધરાવતો હતો જેનો નિર્દેશ વેદોમાં છે.
દૃષ્ટિ હવે આકાશ પ્રત્યે માંડીએ અને ૨૭/૨૮ નક્ષત્રોને ભિન્ન પરિપ્રેક્ષ્યમા જોવા પ્રયત્ન કરીએ. સર્વે નક્ષત્ર દક્ષ પ્રજાપતિની પુત્રીઓ અને ચંદ્રની પત્ની છે.
નક્ષત્ર દેવ ગ્રહ આકાર રાશિ તારો અશ્વિની/અશ્વયુજ અશ્વિનીકુમારો કેતુ અશ્વ મેષ Seratan/Beta, Gamma Arietis ભરણી (ધારક) યમ/ધર્મ શુક્ર યોનિ મેષ 35, 39, 41 Arietis કૃત્તિકા/કાર્તિકા (છેદન કરનાર) અગ્નિ સૂર્ય છરી/ભાલો મેષ, વૃષભ Pleiades રોહિણી (રક્તિમ) પ્રજાપતિ/બ્રહ્મા ચંદ્ર રથ/મંદિર/વડ વૃષભ Aldebaran મૃગશિર્ષ સોમ મંગળ હરણનું માથું વૃષભ, મિથુન Meissa/Lambada, Phi Orionis આર્દ્રા (ભીંજાયેલું) રુદ્ર રાહુ આંસુ/હીરો/મનુષ્ય મસ્તક મિથુન Betelguese પુનર્વસુ (ધર્મના પુનઃસ્થાપક) અદિતી ગુરુ ધનુષ, બાણ મિથુન, કર્ક Castor, Pollux પુષ્ય (તિષ્ય, પોષક) બૃહસ્પતિ શનિ ગાયનું આંચળ/કમળ/બાણ/વર્તુળ કર્ક Gamma, Delta, Theta Cancri આશ્લેષા (વીંટળાયેલું) સર્પ/નાગ/રાહુ બુધ સર્પ કર્ક Delta, Epsilon, Eta, Rho, Sigma Hydrae મઘા (ઐશ્વર્યવાન) પિતૃ કેતુ રાજવી સિંહાસન સિંહ Regulus પૂર્વ ફાલ્ગુની (પ્રથમ રક્તિમ) અર્યમાન શુક્ર અંજીર વૃક્ષ/પારણું/પલંગના પાયા સિંહ Delta, Theta Leonis ઉત્તર ફાલ્ગુની (અન્ય રક્તિમ) ભગ સૂર્ય પારણું/પલંગના પાયા સિંહ, કન્યા Denebola હસ્ત (હાથ) સવિત્રુ ચંદ્ર મુઠ્ઠી કન્યા Alpha, Beta, Gamma, Delta Corvi ચિત્રા (તેજસ્વી) ત્વષ્ટા/વિશ્વકર્મા મંગળ પ્રકાશિત રત્નો/મોતિ કન્યા, તુલા Spica સ્વાતિ (અતિ શુભ) વાયુ રાહુ પરવાળું/છોડની ડાળ તુલા Arcturus વિશાખા (શાખાઓ વાળું) ઇન્દ્ર, અગ્નિ ગુરુ કુંભારનો ચાકડો/કીર્તિ તોરણ વૃશ્ચિક Alpha, Beta, Gamma, Iota Librae અનુરાધા (ઇન્દ્રને અનુસરનાર) મિત્ર શનિ કીર્તિ તોરણ/કમળ/વાંસ વૃશ્ચિક Beta, Delta, Pi Scorpionis જ્યેષ્ઠા (અગ્રજ શ્રેષ્ઠ, વડીલ) ઇન્દ્ર બુધ છત્ર/કુંડળ વૃશ્ચિક Alpha, Sigma, Tau Scorpionis મૂલ નિરુતિ/વરુણ કેતુ મૂળની ઝૂડી/હાથી માટે અંકુશ ધનુ Epsilon, Zeta, Eta, Theta, Kappa, Lambada, Mu, Nu Scorpionis પૂર્વ આષાઢા (પ્રથમ અપરાજિત) આપ: (જળ) શુક્ર હાથીદાંત/પંખો/શકોરું ધનુ Delta, Epsilon Sagittarii ઉત્તર આષાઢા (અન્ય અપરાજિત) વિશ્વેદેવ/બ્રહ્મા સૂર્ય હાથીદાંત/નાની શૈયા મકર Zeta, Sigma Sagittarii અભિજીત (વિજેતા) [1] બ્રહ્મા ગુરુ વીણા/કમંડળ મકર Lyrae શ્રવણ વિષ્ણુ ચંદ્ર કાન/ત્રણ પગલાં મકર Alpha, Beta, Gamma Aquilae ધનિષ્ઠા (પ્રખ્યાત)/શ્રવિષ્ઠા (અતિ ઝડપી) અષ્ટ વસુ મંગળ વાંસળી/ડમરું મકર, કુંભ Alpha, Beta, Gamma, Delta Delphini શતભિષા (સો ઔષધિઓ યુક્ત) વરુણ રાહુ વર્તુળનો પરિઘ/પુષ્પ ગુચ્છ કુંભ Gamma Aquarii પૂર્વ ભાદ્રપદા (પ્રથમ શુભ પગલું) એકપદ શિવ/નાગ ગુરુ બે તલવાર/દ્વિમુખી પુરુષ/ ઠાઠડીના આગળના બે પાયા કુંભ, મીન Alpha, Beta Pegasi ઉત્તર ભાદ્રપદા (અન્ય શુભ પગલું) અહિર્બુધ્ન્ય/વાસુકિ શનિ જોડકાં/જળ સર્પ/ઠાઠડીના પાછલા બે પાયા મીન Gamma Pegasi, Alpha Andromedae રેવતિ (ઐશ્વર્યવાન) પૂષન્ બુધ મીન જોડકું/ડમરું મીન Zeta Piscium પ્રત્યેક નક્ષત્રના નામકરણ માટે ચોક્કસ તર્ક છે. જેમ કે, આકાશગંગાનું કેન્દ્ર મૂળ નક્ષત્રમાં છે. જ્યેષ્ઠા નક્ષત્રનો તારો Antares દ્રશ્ય આકાશનો સહુથી મોટા તારાઓમાંનો એક છે, જાણે કે સર્વેનો વડીલ. સ્વાતિ નક્ષત્રનો તારો Arcturus રક્તિમ-વિરાટ Red Giant છે, એટલે જાણે છીપમાં રહેલું મોતિ હોય એવો છે. પ્રત્યેક નક્ષત્રનો આકાર કોઈ દેવી કે દેવતાનું આયુધ હોય એવો જણાય છે. એ વિષેની ચર્ચા અન્ય લેખમાં કરીશું.
હાલ તો નક્ષત્રોનો ઉલ્લેખ કરવા પાછળ મારો એક જ હેતુ છે. સર્વે અવકાશી આકારો પણ દેવ-દેવીનું નિરૂપણ છે. વેદોની ઘણી કથાઓમાં ખગોળીય સંદર્ભ છે જે પરથી આપણને વૈદિક દેવો અંગે અછડતો નિર્દેશ સાંપડે છે. વસિષ્ઠ અને અગસ્ત્ય મિત્રાવરુણ અને ઊર્વશીના સંતાનો છે જેમનો જન્મ કુંભમાં થયો હતો, એવી કથા ઋગ્વેદમાં છે. શતભિષાના દેવતા વરુણ અને રાશિ કુંભ છે. પૂર્વ આષાઢાના દેવતા આપ: (જળ) છે અને અપ્સરા જળમાંથી જન્મેલી કહેવાય છે. અનુરાધાના દેવ મિત્ર છે. વસિષ્ઠ ઉત્તર ધ્રુવ પાસેના સપ્તર્ષિ મંડળમાં રહેલો તારો Mizar છે. અગસ્ત્ય દક્ષિણમાં આવેલા ગ્રીક નક્ષત્ર Carinaમાં આવેલો તારો Canopus છે. અગસ્ત્ય તારો આશરે ૫૨૦૦BCE થી વિંધ્યાચળથી ઉત્તરના વિસ્તાર સુધી દેખાતો થયો છે. ૨૫-૨૭,૦૦૦ વર્ષનું ચક્ર લેતાં લગભગ ૧૯,૮૦૦-૨૧,૮૦૦ વર્ષ પહેલાં એ તારો વિંધ્યાચળથી ઉત્તર દિશામાં દેખાવો બંધ થયો હતો, જે અગસ્ત્ય ઋષિના વિંધ્યથી દક્ષિણ ગમનની વાર્તા સાથે સુસંગત છે.
દેવી કવચમાં માતૃકાઓનું તેમના વાહન સાથે વર્ણન આવે છે. બ્રહ્મચારિણી હંસ પર આરુઢ હોય છે. Cygnus ગ્રીક નક્ષત્રનો આકાર હંસ જેવો છે જે ધનુ રાશિ જોડે છે. એની બાજુમાં Lyrae એટલે કે વીણા/કમંડલ નક્ષત્ર છે. ધનુ રાશિના નક્ષત્ર ઉત્તર આષાઢાના દેવ બ્રહ્મા છે. આપણે અહિ બ્રહ્મા અને સરસ્વતીનું યુગ્મ પણ જોઈ શકીએ છીએ.
સંપૂર્ણ છણાવટ કરવા માટે એક પુસ્તક જેટલી ચર્ચા કરવી પડે. એટલે આ લેખ પૂરતું અહિ અટકીએ.
|| ૐ તત્ સત્ ||
[1] *** આધુનિક જ્યોતિષમાં અભિજીત સ્વતંત્ર નક્ષત્ર તરીકે ગણાતું નથી.
શ્રી ચિરાગ પટેલનું ઈ-મેલ સંપર્ક સરનામું :- chipmap@gmail.com
-
પ્રિયજન’ના પ્રિય સર્જક વીનેશ અંતાણી સાથે વાર્તાલાપ
દર્શના ધોળકિયા
કચ્છ પ્રદેશ માટે આજે એક ગૌરવપ્રદ ઘટના ઘટવા જઇ રહી છે. આપણા પ્રદેશના રાષ્ટ્રીય સ્તરના સર્જક એવા શ્રી વીનેશ અંતાણીની અત્યંત લોકપ્રિય બનેલી કૃતિ ‘ પ્રિયજન’ ની ૨૦ મી આવૃતિનું તાજેતરમાં હુજ મધ્યે વિમોચન થયું છે. આ કૃતિને પ્રેમોપનિષદ તરીકે ઓળખાવવી મને ગમી છે. પ્રેમનો એક નવો જ અર્થ આ કૃતિમાં ઉઘડે છે. કૃતિમાંથી પસાર થતાં એક નવલકથા પુરી કરી છે એવું લાગવાને બદલે વેદનાનું વન પસાર કર્યાની લાગણીથી ભાવક ઘેરાઈ જાય છે. આ કૃતિને પ્રગટ થયે સાડા ચાર દાયકા જેટલો સમય પસાર થયા છતાં આ કૃતિની લોકપ્રિયતા અકબંધ સચવાઇ છે. કૃતિની પ્રશિષ્ટતાનું આ પ્રમાણ છે. આજની આ સુભગ ક્ષણે પ્રિયજનના સર્જકને સમગ્ર પ્રદેશ વતી અભિવાદતાં એમનો સાક્ષાત્કાર માણીએ.

દ.ધો. : વીનેશભાઈ, પહેલાં તો ‘પ્રિયજન’ની આવી સફળતા માટે અભિનંદન. એ સંદર્ભમાં થોડી વાત કરીએ. તમે ‘પ્રિયજન’ ઉપરાંત બીજી પણ અનેક ઉત્તમ કૃતિઓનું સર્જન કર્યું છે. એમાં ‘પ્રિયજન’નું શું સ્થાન છે?
વી.અં : પ્રિયજન મારી ચોથી નવલકથા. ૧૯૮૦માં પહેલી આવૃત્તિ છપાઈ. એને પિસ્તાલીસ થયાં છતાં વર્ષો પછી પણ લોકો એ જ ચાહના સાથે એ વાંચે છે. આ મારા માટે અદ્ભુત ઘટના છે. મેં ધાર્યું નહોતું કે મારી કોઈ નવલકથાને દરેક પેઢીના વાચકોનો આવો સ્નેહ મળશે. ‘પ્રિયજન’નું મારા સર્જનમાં શું સ્થાન છે એથી વિશેષ હજારો વાંચકોના દિલમાં એનું શું સ્થાન છે એનો છે. હું ઇચ્છું તો પણ મારી કોઈ કૃતિને ‘પ્રિયજન’થી આગળ મૂકી શકું તેમ નથી. હું માનું છું કે ‘પ્રિયજન’ને મળેલી લોકચાહનાએ ગુજરાતીમાં પ્રશિષ્ટ કૃતિની લોકપ્રિયતાના માપદંડ બદલી નાખ્યા છે. હવે આ નવલકથા જેટલી મારી છે એથી વિશેષ વાચકોની બની ગઈ છે. હું ઘણી વાર ‘પ્રિયજન’ને મારી દુશ્મન નવલકથા કહું છું. એનું કારણ છે – લોકો મારી અન્ય નવલકથાઓ વાંચે છે, વખાણે છે અને પછી છેલ્લે કહે છે: ‘તમારી આ નવલકથા પણ બહુ સારી પણ ‘પ્રિયજન’ની કક્ષાએ ન આવે.’ મારી પાસે એનો કોઈ જવાબ હોતો નથી.
દ.ધો : ‘પ્રિયજન’ની સીમાચિહ્નરૂપ વીસમી આવૃત્તિનું લોકાર્પણ અને સ્વાગત કરવા માટે પહેલો કાર્યક્રમ યોજવા તમે ભુજની પસંદગી કેમ કરી ?
વી.અં : મેં ‘પ્રિયજન’ ભુજમાં લખી. તે પહેલાં એ જેના પરથી લખાઈ તે રેડિયોનાટક ‘માલીપા’ પણ મેં ભુજમાં લખ્યું અને આકાશવાણી-ભુજના સ્ટુડિયોમાં એનું પ્રોડક્શન કર્યું. ત્યાંથી જ એ પહેલી વાર પ્રસારિત થયું અને આવકાર પામ્યું. આમ ભુજનું અજવાળું, એની હવા, એની સુગંધ, એના અવાજો એમ બધું જ ‘પ્રિયજન’ની સાથે જોડાયેલું છે. નવલકથામાં આવતાં કેટલાંક સ્થળો પણ ભુજ અને આસપાસનાં વિસ્તારનાં છે. મારી અને પુષ્પાની લેખન અને કળાપ્રવૃત્તિનાં મૂળિયાં ભુજમાં નખાયાં છે. ભુજ અમારું માત્ર ફિઝિકલ વતન નથી; અમારી ચેતના, અમારાં સંવેદન, અમારા સંબંધો અને સમજનું પણ વતન છે. ભુજે અમને શીખવ્યું છે કે પ્રિયજન હોવું એટલે શું. અને સૌથી મહત્ત્વની વાત કે અમારાં કેટલાંય મિત્રો-પ્રિયજનો ભુજમાં રહે છે. એમની હાજરીમાં જ ‘પ્રિયજન’ની વીસમી આવૃત્તિના પ્રકાશનનો લેન્ડમાર્ક પ્રસંગ સૌ પ્રથમ ભુજમાં ઉજવાય એ નિર્ણય સ્વાભાવિક રીતે જ લેવાયો હતો.
દ.ધો : આપે ‘પ્રિયજન’ યુવાવસ્થામાં લખી, તેમ છતાં એમાં જે પ્રૌઢી આવી એનું રહસ્ય શું ?
વી.અં : દર્શનાબહેન, આ સવાલનો જવાબ આપવો થોડો મુશ્કેલ છે. મને લાગે છે કે એ માટે સમજાય નહીં એવાં કારણો હશે. મેં ‘પ્રિયજન’ લખી ત્યારે મારી ઉંમર તેંત્રીસ-ચોંત્રીસ વર્ષની હતી. એ ઉંમર સુધીમાં મારા જીવનમાં ઘણા સારા-માઠા પ્રસંગ બન્યા હતા. જીવનમાં આવેલા કેટલાક દુ:ખદ પ્રસંગો તમને નાની વયથી માનસિક રીતે પુખ્ત બનાવી દે છે. સારા પ્રસંગો સંબંધ અને પ્રેમનું મહત્ત્વ સમજાવે છે. મારા અંગત અનુભવ પરથી હું પ્રેમ અને લગ્નજીવન વિશે હંમેશાં માનતો આવ્યો છું કે બંનેમાં પ્રેમ અને સમજનું ખૂબ મહત્ત્વ છે. જીવનમાં જે ન મળે તે પણ ઉત્તમ હોય અને જે મળે એને પણ ઉત્તમ બનાવી શકાય. પ્રસન્ન દામ્પત્યજીવન માટેની આ સમજ મને, રાધર મને અને પુષ્પાને, બહુ કામ લાગી છે. અમે લગ્ન પહેલાં પણ એ વિશે ઘણી વાર વિચારતાં અને વાતો કરતાં. પ્રેમ અને દાંપત્યજીવનની આવી સમજ ક્યાંક ‘પ્રિયજન’માં ઊતરી છે. તમારા સવાલના જવાબમાં એટલું જ કહી શકું કે જીવનની જેમ કળાસર્જનમાં ઉંમરની પ્રૌઢીથી વિશેષ સર્જકના ચિત્તની પૌઢી વિલક્ષણ ભાગ ભજવે છે.
દ.ધો : ‘પ્રિયજન’ ગુજરાતની ઘણી યુનિવર્સિટીમાં ભણાવાય છે, દરેક પેઢીની એ પ્રિય કૃતિ છે. તમારા મતે એનું કારણ શું હોઈ શકે?
વી.અં : દર્શનાબહેન, તમે જ ‘પ્રિયજન’ને પ્રેમનું ઉપનિષદ કહી છે અને એમાં જ એનો જવાબ આવી જાય છે. પ્રેમ એક શાશ્વત લાગણી છે. એનાં જુદાંજુદાં અનેક રૂપ છે. હું નથી માનતો કે પ્રેમનો અનુભવ કરી ચૂકેલી એક પણ વ્યક્તિ એના પ્રિયપાત્રને જીવનમાં ક્યારેય ભૂલી શકે. એની કડવી કે મીઠી યાદ છેલ્લા શ્ર્વાસ સુધી મનમાં સચવાયેલી રહે છે. ઉત્કટ પ્રેમસંબંધ પછી ‘પ્રિયજન’નાં નાયક-નાયિકા લગ્ન કરીને સાથે જીવી શકતાં નથી. તેમ છતાં એમના પ્રેમની ઊંચાઈ એમના દામ્પત્યજીવનમાં પણ વિકસે. બલકે વધારે સભર બનાવે, એ મુદ્દો ‘પ્રિયજન’માં કેન્દ્રસ્થાને છે. તે સમયે અને આજે પણ મેં ‘પ્રિયજન’માં આલેખેલો એ અભિગમ મોટા ભાગના વાંચકોને સ્પર્શ કરી ગયો હશે એવું સામાન્ય કારણ મને અત્યારે સૂઝે છે. એ વિશે વિગતે વાત કરી શકાય. સાદી રીતે કહું તો ‘પ્રિયજન’ વાંચીને દરેક વાચકને શું સ્પર્શી ગયું એનો જવાબ વાચકો વધારે સારી રીતે આપી શકે. દરેકના જવાબ અલગ હશે, ‘પ્રિયજન’ની અત્યાર સુધીની બધી આવૃત્તિઓમાં એના પાછલા કવર પર હું એક વિધાન મૂકતો, આ વખતે એ વિધાન મુખપૃષ્ઠ પર મૂક્યું છે. એ વિધાન અહીં પણ જણાવું, કદાચ એમાંથી પણ આપના સવાલનો જવાબ મળી આવે: ‘જીવનને ભરપૂર જીવી લીધું હોય, બધું જ સભર હોય, છતાં પાછલી જિંદગીની એક નમતી સાંજે કોઈ ચહેરો મનમાં છલકાઈ જાય. એવું બને ત્યારે પ્રશ્ર્ન થાય: કઈ ક્ષણ સાચી? કે પછી બને સાચી?’ ‘પ્રિયજન’ દરેક વ્યક્તિની પ્રેમની વિભાવનાની દરેક ક્ષણ સાચી ઠેરવતી નવલકથા છે. કદાચ એ કારણે જ ‘પ્રિયજન’ દરેક પેઢીના વાચકોની પ્રિયજન બની શકી છે. એની વીસમી વિશેષ આવૃત્તિની પ્રસ્તાવના મેં વાચકોને પત્રરૂપે લખી છે. એમાં ‘પ્રિયજન’નાં ચાર પાત્રોનો સંદર્ભ આપીને લખ્યું છે: ‘ચારુ, નિકેત, દિવાકર અને ઉમા આપ સૌને યાદ કરે છે. નામફેરે આપણે પણ એ લોકો જ છીએને?’ ‘પ્રિયજન’ આપણા સૌના સહિયારા પ્રિયજનપણાંની નવલકથા છે. એ જ એની અઢળક લોકચાહનાનું કારણ હોય એમ મને સમજાય છે.
-
ખિસ્સાને પોસાતી ‘ફાસ્ટ ફેશન’ પર્યાવરણને પરવડે એવી નથી
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
માનવસંસ્કૃતિનો આરંભ થયો ત્યારથી લઈને આજ સુધી તે સતત પરિવર્તનશીલ રહી છે. વિવિધ બાબતો માનવની જીવનશૈલી પર અસર કરતી અને તેમાં બદલાવ લાવતી આવી છે. અલબત્ત, અત્યાર સુધી પરિવર્તનની ઝડપ ઓછી હતી, જે યાંત્રિકીકરણ પછી વધતી ચાલી. ઈન્ટરનેટના આગમન પછી, છેલ્લા બે-અઢી દાયકામાં તેની ઝડપ અગાઉ ક્યારેય નહોતી એટલી વધી છે. સ્વાભાવિકપણે જ જીવનનાં અનેકવિધ પાસાં પર તેની અસર પડે. આ અસર વિપરીત છે કે સકારાત્મક એ નક્કી થાય એ પહેલાં તો પરિસ્થિતિ બદલાઈ જાય છે.
બદલાતા યુગના ત્વરિત પરિવર્તનના સૂચક જેવી એવી એક બાબત છે ‘ફાસ્ટ ફેશન’. અત્યાર સુધી ‘ફેશન’ શબ્દ ચલણમાં હતો, જેનું સ્થાન હવે આ શબ્દે લીધું છે. તેનો સાદો અર્થ થાય ‘સસ્તામાં તૈયાર થયેલાં અને એવા જ દરે વેચાતાં વસ્ત્રો, જે અદ્યતન શૈલીનાં વસ્ત્રોની નકલ જેવાં હોય છે અને પ્રવર્તમાન પ્રવાહ સાથે તાલ મિલાવવા માટે તે દુકાનોમાં ઝડપભેર અને જથ્થાબંધ ઠાલવવામાં આવે છે. નામ મુજબ તેમાં ડિઝાઈન, ઉત્પાદન, વિતરણ અને વેચાણ- બધું જ ઝડપી હોય છે. આશય એ કે છૂટક વ્યાપારીઓ વધુ પ્રમાણમાં વૈવિધ્યવાળાં વસ્ત્રો મોટા જથ્થામાં ખરીદે અને ગ્રાહકો સસ્તી કિંમતે વધુ ફેશનેબલ તેમજ વૈવિધ્યયુક્ત વસ્ત્રો ખરીદી શકે. ‘ફાસ્ટ ફેશન’ શબ્દ ૧૯૯૦ના દાયકામાં અમેરિકાના ન્યૂ યોર્ક શહેરમાં ‘ઝારા’ નામની બ્રાન્ડના આરંભ ટાણે ‘ન્યૂ યોર્ક ટાઈમ્સ’ અખબાર દ્વારા ચલણી બનાવાયો હતો. ડિઝાઈનના તબક્કાથી સ્ટોર સુધી ફક્ત પંદર દિવસમાં વસ્ત્રને પહોંચાડવાના ‘ઝારા’ના મિશન માટે આ શબ્દ વપરાયો હતો. આજે વિશ્વભરમાં ‘ઝારા’, ‘ફોરએવર ૨૧’, ‘એચ એન્ડ એમ’, ‘યુનિક્લો’ જેવી બ્રાન્ડ ‘ફાસ્ટ ફેશન’ ક્ષેત્રે અગ્રણી ગણાય છે, જે ભારતમાં પણ કાર્યરત છે. ભારતમાં ‘ઝુડિઓ’ સહિત અનેક બ્રાન્ડ ઝડપભેર લોકપ્રિય બની રહી છે.
આ બ્રાન્ડનું મુખ્ય લક્ષ્ય યુવા ગ્રાહકવર્ગ છે. ‘ફાસ્ટ ફેશન’ના આ ચલણને મુખ્યત્વે આર્થિક બાબત સાથે જોડવામાં આવે છે, પણ તેને પર્યાવરણ પર પડતી વિપરીત અસર અંગે ભાગ્યે જ ચર્ચા થાય છે. ‘યુનાઈટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ’ (યુ.એન.ઈ.પી.)ના જણાવ્યા અનુસાર આ ઉદ્યોગમાં પાણીનો સૌથી વધુ ઉપયોગ થાય છે અને આશરે દસ ટકા કાર્બનનું તે ઉત્સર્જન કરે છે. તમામ આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનો અને દરિયાઈ જહાજો મળીને સંયુક્તપણે કાર્બન ઉત્સર્જિત કરે તેના કરતાં પણ આ પ્રમાણ વધુ છે.
એક અંદાજ અનુસાર એક સુતરાઉ ખમીસ તૈયાર કરવા માટે આશરે સાતસો ગેલન પાણીની અને જિન્સનું એક પેન્ટ તૈયાર કરવા માટે આશરે બે હજાર ગેલન પાણીની જરૂર પડે છે. એક ગેલન એટલે ૩.૭૮ લિટર. આ પાણીનો પુન:ઉપયોગ કરી શકાતો નથી. આ ઉપરાંત આ બનાવટોમાં પોલિએસ્ટર, નાયલોન અને એક્રિલીક જેવા કૃત્રિમ રેસાનો ઉપયોગ થાય છે, જેનું વિઘટન થતાં સેંકડો વર્ષ લાગે છે. ‘ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઑફ નેચર’ (આઈ.યુ.સી.એન.)ના ૨૦૧૭ના એક અહેવાલ અનુસાર દરિયામાંથી મળી આવતા તમામ પ્રકારના માઈક્રોપ્લાસ્ટિક પૈકીનો ૩૫ટકા જથ્થો પોલિએસ્ટર જેવા કૃત્રિમ કપડાંનો હોય છે. ૨૦૧૫માં રજૂઆત પામેલા ‘ધ ટ્રુ કોસ્ટ’ નામના એક દસ્તાવેજી ચિત્રમાં જણાવાયા અનુસાર વિશ્વભરમાં પ્રતિ વર્ષ આઠ હજાર કરોડ નંગ વસ્ત્રોનો ઉપાડ થતો હતો. વીસ વર્ષ અગાઉ થતા વપરાશની સરખામણીએ એ ચારસો ટકા વધુ છે. એક સરેરાશ અમેરિકન પ્રતિ વર્ષ ૮૨ પાઉન્ડ (આશરે ૩૭ કિલો) કપડાંનો કચરો પેદા કરે છે. તદુપરાંત પ્લાસ્ટિકના રેસાને કાપડમાં તબદીલ કરવાની પ્રક્રિયા પુષ્કળ ઊર્જા માગી લે છે, જેને પેદા કરવા માટે અઢળક પેટ્રોલિયમની જરૂર પડે છે, અને તે વિવિધ હાનિકારક પદાર્થોનું ઉત્સર્જન કરે છે.

સાંદર્ભિક તસવીર: નેટ પરથી આ વિકરાળ સમસ્યાનો કોઈ ઊકેલ ખરો? કોઈ પણ સમસ્યાના ઊકેલ તરફનું પહેલું પગલું તેની ઓળખનું અને એ પછી તેના સ્વીકારનું છે. જે ઝડપે ‘ફાસ્ટ ફેશન’નો વ્યાપ વધતો ચાલ્યો છે એ જોતાં અત્યાર સુધી પર્યાવરણને અનેકગણું નુકસાન તેનાથી થઈ ગયું છે. જેટલી ઝડપથી ‘ફાસ્ટ ફેશન’ને ડામવાના ઊપાય આરંભવામાં આવે એ પૃથ્વી માટે, એટલે કે આપણા સૌ માટે હિતકારી છે.
સ્વાભાવિકપણે જ ‘ફાસ્ટ ફેશન’ની પ્રતિક્રિયારૂપે ‘સ્લો ફેશન’નો વિચાર અનુકૂળ છે. વધુ પડતા ઉત્પાદન, વળગણયુક્ત બનેલી ખરીદીની આદત અને અત્યંત સંકુલ એવી પુરવઠાકડી પર અંકુશ મૂકવામાં આવે તો પર્યાવરણને ઓછું નુકસાન થાય.
હવે ઘણી વેબસાઈટ પર વપરાયેલાં વસ્ત્રો વેચાતાં થયાં છે અને લોકો સારી સ્થિતિમાં હોય એવાં વસ્ત્રો ઓછી કિંમતે ખરીદે છે. અમુક પ્રદેશમાં વસ્ત્રો ભાડે લાવવાનું ચલણ શરૂ થયું છે.
આ અને આવા તમામ પ્રયત્નો કદાચ જરૂરી છે, પણ પર્યાપ્ત નથી. ફાટેલા આકાશમાં થીંગડા મારીએ તો પણ કેટલાં? સરકાર તરફથી કેટલીક માર્ગદર્શિકાઓ તૈયાર થવી જોઈએ અને તેનો કડકાઈથી અમલ થવો જોઈએ. આ બાબતે પ્રથમ વિશ્વના વિકસીત દેશો પણ તૈયાર થઈ શક્યા નથી, ત્યાં ભારત જેવા દેશમાં તેની નીતિઓ ઘડાય એ બાબત મુશ્કેલ જણાય છે.
છેવટે આખી વાત ગ્રાહક પર, ઉપભોક્તા પર એટલે કે આપણા સૌ પર આવીને અટકે છે. આપણે ‘ફાસ્ટ ફેશન’ને માત્ર ‘કિફાયત ભાવે મળતાં ફેશનેબલ વસ્ત્રો’ની દૃષ્ટિએ જોવાનું બંધ કરીને તેને ‘પર્યાવરણના દુશ્મન’ માનીને તેનો ઉપયોગ ઘટાડવો પડશે. જો કે, આક્રમક માર્કેટિંગ, ઓછા પૈસે ભપકો દેખાડવાની મળતી તક અને તેને પગલે ઊભી થતી આભાસી ઈજ્જતઆબરૂ આપણને એમ કરવા દેશે કે કેમ એ સવાલ છે.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૮– ૦૪ – ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
આજના મુંબઇની ગઇ કાલની કથા
પુસ્તક પરિચય

ચલ મન મુબઇ નગરી:દીપક મહેતા પરેશ પ્રજાપતિ
ગિલ્બર્ટ હિલ તરીકે આજે પણ આશરે સાડા છ કરોડ વર્ષ પહેલાંની ધરતીનો ટેકરો સંઘરી બેઠેલું મુંબઇ,
આજથી માંડ સાડા ત્રણસો વર્ષ પહેલાં મુંબઇ સાત ટાપુઓમાં વહેંચાયેલું અને કોળી માછીમારોની વસતી ધરાવતું હતું. જળમાર્ગે વ્યાપાર વધ્યો એમ વિદેશની ધરતી સાથે સીધું જોડાણ ધરાવતા મુંબઇનું મહત્વ વધ્યું. ત્યાર બાદ દેશભરમાંથી ખાસ કરીને વ્યાપારી પ્રજા મુંબઇમાં આવ્યા બાદ અન્ય લોકો પણ મુંબઇમાં સ્થાયી થતા ગયા.સમય જતાં તે ભારતના આર્થિક પાટનગર તરીકે ઓળખાયું. આજે પણ ભારતની અર્થવ્યવસ્થામાં મહત્વના સ્થાને રહેલા મુંબઇનો ભૂતકાળ ઘણો રોચક છે.આ પુસ્તકના લેખકની તે માતૃભૂમિ હોવાથી ખાસ લગાવને કારણે તેના ભૂતકાળ વિશે ખણખોદ કરતાં તેમને ઘણી રોચક બાબતો નજર સામે આવી. આ માહિતીના આધારે તેમણે ગુજરાતી દૈનિક ʻમિડ-ડેʼમાં અઠવાડીક કૉલમ શરૂ કરી. કવિ નીરંજન ભગતના કાવ્ય ʻચલ મન મુંબઇ નગરી, જોવા પુચ્છ વિનાની મગરી!ʼ પરથી કટારનું નામ આપ્યું-ʻચલ મન મુંબઇનગરી.ʼપુરાતન મુંબઇની સેર કરાવતી આ લેખમાળા ઘણો લાંબો વખત ચાલી. મુંબઇનો બૃહદ ઇતિહાસ આવરતા લેખોમાંથી કુલ 74 લેખો ચૂંટીને એ કટારના નામે જ પુસ્તક પ્રગટ કરવામાં આવ્યું.
પુસ્તકમાં મુંબઇના મુખ્ય રસ્તાથી માંડી ગલીકૂંચીઓ, રસ્તામાં આવતી મહત્વની ઇમારતો અને અને જે-તે વિસ્તારોની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ, કોઇ ખાસ કથા કે પ્રસંગ, સ્થળનું નામકરણ અને આજની સ્થિતિ વગેરે જેવી વિવિધ બાબતોને આવરી લેતી માહિતી છે. એક સમયે ત્યાં રહી ચૂક્યા હોવાથી પુરાણા મુંબઇની ચાલી, પોળ કે બંગલાનાં વર્ણનો, ઘણી જગ્યાએ વ્યક્તિના નામજોગા ઉલ્લેખ સાથે ઘર તથા ઘરના રાચરચીલાનાં વર્ણનો દ્વારા લેખકે એ રીતે માહિતી પીરસી છે કે વાચકને એવું જ લાગે કે લેખક ગાઇડ બનીને મુંબઇની સેર કરાવે છે.
કોઇ પણ ગામ કે શહેરનો વિકાસ એટલે રોજગારીની તકો, સામાજિક માળખું, ભૌતિક સુવિધાઓની ઉપલબ્ધિ, પરિવહન વગેરે. મુંબઇના કિસ્સામાં લેખકે કિલ્લો, કોર્ટ, પોલિસથાણું, ટંકશાળ, કોટન મિલ વગેરે બંધાયા તથા પરિવહન ક્ષેત્રે મોટર, ટ્રામ અને રેલ્વે આવી; છાપકામની સાથે પાઠ્યપુસ્તકો અને છાપાં આવ્યા;તેની સાથે શિક્ષણ અને શિક્ષણપદ્ધતિ બદલાઇ આ દરેક બાબતોની તલસ્પર્શી માહિતી આવરી લીધી છે. આ બાબતોમાં એટલું ઝીણું કંતાયું છે કે સરકારી ચોપડે દર્જ પહેલી ફાંસી અને પહેલા હુલ્લડની જાણકારી પણ વાંચવા મળે છે.
આજે માન્યામાં ન આવે એવો એક કિસ્સો પુસ્તકમાં નોંધાયો છે કે મુંબઇની પ્રથમ યુનિવર્સિટીની સ્થાપના સમયે માત્ર ʻHeʼનો ઉલ્લેખ હોવાથી એક પોસ્ટમાસ્તરની દિકરીને મેટ્રીકની પરીક્ષાની પરવાનગી નહોતી અપાઇ અને ખાસ્સાં 8 વર્ષે એ કાયદામાં સુધારો થયો હતો!આ કિસ્સા સાથે ફક્ત સ્ત્રીઓને ધ્યાનમાં રાખીને કાઢવામાં આવેલાં પહેલાં માસિક ʻસ્ત્રીબોધʼ અને તેને લોકપ્રિય તથા લોકભોગ્ય બનાવવાના પ્રયાસો વગેરે વિશે ઘણી સરસ જાણકારી સાંપડે છે.
વેપારઉદ્યોગના વિકાસ સાથે મુંબઇમાં પહેલવહેલા નાટકની ભજવણી, ઉપરાંત ગાયન, વાદન વગેરેને સાંકળતી કથાઓ પણ વાંચવા મળે છે.તેમાં હિંદી ફિલ્મોના રસપ્રદ ઇતિહાસ, મેટ્રો સિનેમા, ભારતીય સિનેમાનાં પહેલાં બોલપટ આલમઆરાથી શરૂઆત કરનાર મેજેસ્ટીક સિનેમા તથા ફિલ્મ સંગીત સાથે સંકળાયેલી HMV, કોલંબિયા, યંગ ઇન્ડિયા કે ગ્રામોફોન કંપનીઓનો રોચક ઇતિહાસ પણ આ પુસ્તકમાં વાંચવા મળે છે.
આવી રોચક કથાઓમાં એક કથા મુંબઇના પહેલવહેલા જહાજવાડાના નિર્માણની, જહાજ બનાવનાર કારીગર લવજી નસરવાનજી વાડિયાની અને ઐતિહાસિક જહાજોની છે. આ જહાજવાડામાં તૈયાર થયેલું HMS ત્રિન્કોમાલી આજે પણ બ્રિટનના દરિયામાં તરે છે. એ ઉપરાંત HMS કોર્નવોલિસ બ્રિટન તરફથી ચીન વિરુદ્ધ યુદ્ધમાં ઉતર્યું હતું; તો અંગ્રેજો- અમેરિકનો વચ્ચેના યુદ્ધમાં ભાગ લેનાર HMS મિન્ડેન પર તો અમેરિકાના રાષ્ટ્રગીતનું નિર્માણ થયું હતું! હોંગકોંગનો એક રસ્તો આજે પણ આ જહાજના નામથી ઓળખાય છે! આવી અનેક ટૂંકી છતાં અજાણી અને ઐતિહાસિક કથાઓ વિશે વાંચતાં એક જાતનો કેફ વર્તાય એ સ્વાભાવિક છે.
કેટલાંક વ્યક્તિવિશેષોની ઉમદા માહિતીને કારણે પુસ્તક મૂલ્યવાન બને છે. એવી વ્યક્તિઓમાં ગાંધીજી જેમને ‘લંગોટી વિનાના સાધુ’ કહેતા હતા એ ગોરધનબાપા;પ્રજાકીય કાર્યોમાં ઉમદા સહકાર આપનાર સર કાવસજી જહાંગીર રેડીમની;ચીન સાથે મોટો વેપાર ધરાવતા દાદીશેઠ વગેરે ઉલ્લેખનીય છે. તેમાંય, દાદીશેઠે ઇસ. 1790માં દુકાળ પડ્યો ત્યારે ગૂજરાતથી હિજરત કરી આવેલા પારસીઓ ઉપરાંત 2000 બિનપારસી લોકોનો આશરે આઠ મહિના સુધી નિભાવ કર્યો હતો! આ તથા આવાં ઘણાં વ્યક્તિચિત્રો તે વખતની પ્રજા અને મુંબઇના ખમીરનો પુરાવો આપે છે.
આમ, પુસ્તક ʻચલ મન મુંબઇ નગરીʼમાં માત્ર મુંબઇના વિસ્તારો કે ઇમારતોનાં માત્ર વર્ણનો નથી, પરંતું ચિત્રો અને છબીઓ સાથે તેના ઇતિહાસનું સળંગ આલેખન છે; દિલચશ્પ અને માહિતીસભર લેખનસામગ્રી છે;મુખ્ય કથા અને તેની પાછળની રસપ્રદ કથાઓ છે. એથી વિશેષ, ટૂંકા પણ અનોખાં અને પ્રેરક એવાં વ્યક્તિચિત્રો છે.નર્મદ અને દલપતરામની કવિતાથી માંડી ફિલ્મી ગીતોની રજૂઆત સાથે આગળ વધતી મુંબઇની ઐતિહાસિક સફર દરમ્યાન વાચકને આનંદ અને આશ્ચર્યના હળવા આંચકા સાથે અહોભાવની ઝણઝણાટી પણ અનુભવાય છે.
*** * ***
પુસ્તક અંગેની માહિતી:
પુસ્તકનું નામ: ચલ મન મુંબઇ નગરી
લેખકનું નામઃ દીપક મહેતા
પૃષ્ઠસંખ્યા : 376 | કિંમત : ₹ 500
આવૃત્તિ :પ્રથમ આવૃત્તિ; મે 2022
મુદ્રક અને પ્રકાશક:વિવેક જિતેન્દ્ર દેસાઇ, નવજીવન મુદ્રણાલય, અમદાવાદ-380 009
સંપર્કઃ sales@navjijvantrust.org
પુસ્તક પરિચય શ્રેણીના સંપાદક શ્રી પરેશ પ્રજાપતિનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : pkprajapati42@gmail.com
-
પિતા : એમનો પ્રેમ ક્યારેય દેખાતો નથી પણ રાત્રિના અંધકારમાં ક્યારેક અચાનક એમનો અવાજ ગૂંજી ઊઠે છે
સંવાદિતા
સંબંધોની વૈદિક વ્યાખ્યા અનુસાર પિતાને કારક અને માતાને ધારક તત્વરૂપે માનવામાં આવે છે
ભગવાન થાવરાણી
ભારતીય ભાષાઓના સાહિત્યમાં જેટલી કૃતિઓ મા અને માતૃવંદના વિષે લખાઈ છે એથી ઘણી ઓછી પિતા વિષે મળે છે. કદાચ માતા વિષેના સાહિત્યના બોજ હેઠળ જે થોડું ઘણું લખાયું એ પણ ઢંકાઈ ગયું છે.પિતા વિષયક રચનાઓ શોધવા ગુજરાતી ભાષા ભણી નજર માંડીએ તો સૌ પ્રથમ કવિ ન્હાનાલાલે પિતા દલપતરામ વિષે રચેલું પિતૃ-ચરિત્ર સાંભરે. આ સિવાય મારી સ્મૃતિમાં જે આવે છે તે છે કવિ ચિનુ મોદી, ઉદયન ઠક્કર, મણિલાલ હ પટેલ, જયદેવ શુક્લ અને રમણીક અગ્રાવતની કેટલીક કૃતિઓ. હા, અહીં ચર્ચા કરી છે તે બીજા હિંદી સંપાદનમાં આપણા કવિઓ ગુલામ મોહમ્મદ શેખ, સિતાંશુ યશશ્ચંદ્ર, રાજેન્દ્ર પટેલ અને પિયુષ ઠક્કરની પિતા અંગેની કવિતાઓના હિંદી અનુવાદો પણ છે. આ સિવાય પણ હશે જ. મારી સ્મૃતિ અને જ્ઞાન ઊણા ઉતરે. એ વિષયને સંભારીએ ત્યારે ફ્રાંઝ કાફ્કાએ પોતાના પિતાને ‘ આદરપૂર્વક ‘ લખેલો પત્ર પણ યાદ આવ્યા વિના રહે નહીં જેમાં એમણે પિતાએ એમના ચરિત્ર – નિર્માણમાં જે નકારાત્મક ભાગ ભજવ્યો એનું કડવાશભર્યું ચિત્રણ છે.
હિંદી ભાષાનું પિતા વિષયક સાહિત્યનું ફલક એ રીતે ઘણું વિશાળ છે. હિંદી સાહિત્યના અભ્યાસુઓ કવિ સૂર્યકાંત ત્રિપાઠીનું ‘ સરોજ – સ્મૃતિ ‘ નહીં ભૂલ્યા હોય . આ સિવાય પણ અનેક કવિ લેખકોએ દરેક કાલખંડમાં પિતા વિષે વિપુલ ખાસ્સું લખ્યું છે. આ પ્રવાહ આજે પણ ચાલુ છે. તાજેતરમાં પિતાવિષયક કવિતાઓના બે હિંદી સંગ્રહોમાંથી પસાર થવાનું બન્યું. પહેલો છે કુમાર અનુપમ નામે હિંદી કવિ, ચિત્રકાર અને કલા સમીક્ષક દ્વારા સંપાદિત અને ૨૦૧૯માં પ્રકાશિત ‘ પ્રેમ પિતા કા દિખાઈ નહીં દેતા ‘. ચારસોક પાનાના આ વિલક્ષણ સંપાદનમાં હિંદીભાષી ૧૪૨ કવિઓ દ્વારા રચિત ૧૯૨ કવિતાઓ સમાવિષ્ટ છે. નિરાલા અને માખનલાલ ચતુર્વેદીથી માંડીને સૌરભ અનંત અને જ્યોતિ દેશમુખ જેવા અર્વાચીનોની કવિતાઓનો સમાવેશ કરતા આ સંગ્રહની બધી કવિતાઓમાં પિતા કેન્દ્રસ્થાને છે. અહીં ભાવનાઓનું ભાતીગળ વૈવિધ્ય તો ખરું જ, સાથે આશ્વસ્તિ, શ્રદ્ધા, રાગ, કરુણા, આસ્થા, ફરિયાદ, વેદના અને મૂંઝવણ – બધા જ રંગ છે. ભારતીય પારિવારિક માળખાનો આંતરિક વણાટ, એનો જાતિબોધ, પેઢીઓના અંતર સાથે જોડાયેલા સંદર્ભો – બધું જ અહીં અનુભવી શકાય છે. આ સંગ્રહમાંની એક કવિતાનો ગુજરાતી અનુવાદ જોઈએ :: પિતાનો ફોટો :પિતાના નાના મોટા ઘણા ફોટા ઘરમાં વિખરાયેલા પડ્યા છેએમની આંખોમાં કોઈક પારદર્શક ચીજ સ્પષ્ટ ચમકે છેએ સારપ છે અથવા સાહસફોટામાં પિતા ખાંસતા નથીવ્યાકુળ નથી થતાએમના હાથપગ દુખતા નથીએ નમતા નથી, સમાધાનો કરતા નથીએક દિવસ પિતા એમના એમના ફોટાની પડખે ઊભા રહીજાણે મને સમજાવવા લાગે છેજેમ શિક્ષક વિદ્યાર્થીઓને નકશો સમજાવેપિતા કહે છેહું મારા ફોટામાં દેખાઉં છું એવો રહ્યો નથીપરંતુ મેં જે નવા ઓરડા ઉમેર્યા છેઆ જૂના મકાનમાંએ તું રાખી લેજેમારી સારપ રાખી લેએ બુરાઈઓ સામે ઝઝૂમવાજે તને રસ્તામાં મળશેમારી ઊંઘ નહીં, સપના લઈ લેહું ચિંતાતુર, વ્યાકુળ થઈ જાઉં છુંઝુકી જાઉં છું, સમાધાનો કરું છુંહાથપગની પીડાથી કણસું છુંપિતાની જેમ ખાંસું છુંપિતાને ફોટામાં તાકતો રહું છું ..– મંગલેશ ડબરાલબીજું સંપાદન ૨૦૨૨માં આવ્યું છે, સતીષ નૂતન દ્વારા સંપાદિત, નામે ‘ અંધેરે મેં પિતા કી આવાઝ ‘. અહીં પણ કવિતાઓ તો પિતા વિષયક પરંતુ હિંદી સહિત વીસ ભારતીય ભાષાઓની અને હિંદીમાં અનુદિત. કુલ ૧૨૫ કવિઓ અને લગભગ એટલી જ રચનાઓ.અહીં પણ પિતૃ-તર્પણ, પિતૃવંદના તો ખરી જ, કેટલીક કવિતાઓમાં પિતા પ્રત્યેનો ઘોર આક્રોશ અને ક્યાંક તો તિરસ્કાર પણ વ્યક્ત થાય છે. સંપાદન ત્રણસોક પાનાનું. આ સંગ્રહની એક કવિતા :: પિતા માટે :ક્યાં આપી શક્યો એટલો પ્રેમપોતાના બાળકોનેજેટલો પામ્યો હુંપોતાના પિતા પાસેથીક્યાં આપી શક્યોએટલી સવારએટલી સાંજએટલો સમયજેટલો મળ્યો મનેપિતા તરફથીક્યાં આપી શક્યોએટલી ભાષાએટલું મૌનએટલી હિંમતપોતાના સંતાનોનેજેટલી મળી મનેપોતાના પિતા પાસેથીદુખ અને અભાવના દિવસોમાંજોતો જ રહેતોપિતાનો અભિનયક્યાં શીખી શક્યોએમની પાસેથી આ કળાપોતાના બાળકો માટેઅને હા,એટલો ભરોસો પણ ક્યાં મૂકી શક્યોપોતાના બાળકો પરજે ભરોસોપિતાએ મૂક્યોમારા પર..– મણિ મોહન
સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
વાયકોમ સત્યાગ્રહની શતાબ્દી અને દલિતોના મંદિર પ્રવેશનો પ્રશ્ન
નિસબત
ચંદુ મહેરિયા
સો વરસ પૂર્વેનો ત્રીસમી માર્ચ ૧૯૨૪નો એ દિવસ. તત્કાલીન મદ્રાસ પ્રેસિડેન્સીના ત્રાવણકોર રજવાડાનું અને હાલના કેરળ રાજ્યના કોટ્ટાયમ જિલ્લાનું વાયકોમ ગામ.. ખાદીના વસ્ત્રો પહેરેલા અને ગળામાં માળા ધારણ કરેલા ત્રણ સત્યાગ્રહી યુવાનો અને તેમની પાછળ સેંકડોની ભીડ સવારસવારમાં વાયકોમના શિવ મંદિર તરફ જઈ રહી છે. જે ત્રણ યુવાનોએ સત્યાગ્રહનું નેતૃત્વ સંભાળ્યું છે તેમાં કથિત સવર્ણ અને અવર્ણ બંને જ્ઞાતિના છે. તેમનો ઉદ્દેશ વાયકોમના શિવ મંદિર ચોફેરના રસ્તાઓ પરથી કહેવાતા શૂદ્રો અને અતિ શૂદ્રોને પસાર થવાની મનાઈ છે, તેનો વિરોધ કરવાની છે. સત્યાગ્રહીઓ જેવા પ્રતિબંધની જાહેરાત કરતા નોટિસ બોર્ડ નજીક પહોંચ્યા કે તુરત તેમને અટકાવવામાં આવ્યા. સેંકડોની ભીડ શાંત અને અહિંસક રીતે ત્યાં થોભી ગઈ. ત્રણ સત્યાગ્રહીઓની પોલીસે ધરપકડ કરી. પરંતુ તેથી સત્યાગ્રહીઓ ડગ્યા નહીં. જ્યાં અટકાવ્યા હતા ત્યાં સત્યાગ્રહ છાવણી બનાવી બેઠા અને ઘણાં રેંટિયો કાંતવા લાગ્યા.આ સિલસિલો રોજેરોજ ચાલતો રહ્યો. છેક દસમી એપ્રિલ સુધી નવા ત્રણત્રણ સત્યાગ્રહીઓની પોલીસ ધરપકડ કરતી રહી. પોલીસ અટકાયત કરતી અટકી પણ નવા સત્યાગ્રહીઓ આવવાનું ન અટક્યું કે સત્યાગ્રહ ન અટક્યો. વાયકોમના શિવ મંદિરમાં પ્રવેશનો નહીં, મંદિરના માર્ગ પરથી પસાર થવાના અધિકાર માટેનો ભારતના દલિતોનો એ કદાચ પહેલો સત્યાગ્રહ હતો. જેનું આ શતાબ્દી વરસ છે. ગાંધીજીના માર્ગે શાંત અને અહિંસક રીતે અવિરત છસો દિવસ, ( ૩૦ માર્ચ, ૧૯૨૪ થી ૨૩ નવેમ્બર, ૧૯૨૫) સુધી ચાલેલો વાયકોમ સત્યાગ્રહ અંશત: સફળ થયો હતો.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી શિક્ષિત, સમૃધ્ધ અને પ્રગતિશીલ કેરળમાં રુઢિવાદ, સામંતવાદ અને ભયાવહ જ્ઞાતિભેદ જોઈને ઈ.સ. ૧૮૯૨ની કેરળ મુલાકાત પછી વિવેકાનંદે તેને પાગલખાનું કીધું હતું. વાયકોમ જેવા સેંકડો મંદિરોમાં દલિતોને પ્રવેશ તો નહોતો, મંદિરો નજીકના માર્ગો પરથી અન્ય ધર્મના લોકો કે જાનવરો પસાર થઈ શકતા હતા, માત્ર દલિતો જ પસાર થઈ શકતા નહોતા. આભડછેટ સ્પર્શની જ નહીં સંસર્ગની પણ હતી. એટલે દલિતોને અડવાથી જ નહીં જોવાથી પણ અભડાઈ જવાતું હતું. જો દલિતો મંદિરો નજીકના રસ્તા પરથી પસાર થાય તો ભગવાન અભડાઈ જતા હતા.
ડો. પદ્મનાભ પલ્પૂએ મદ્રાસથી ડોકટરીનો અભ્યાસ કર્યો હતો.પછી તે વિદેશ જઈને પણ ભણ્યા. પરંતુ તે દલિત હોવાથી કદી કેરળમાં પ્રેકટિસ ન કરી શક્યા! અલુમુટી ચેન્નાર વાયકોમના એવા દલિત હતા જેમની પાસે મોટરકાર હતી અને રાજ્યના તે સૌથી મોટા કરદાતા હતા. પરંતુ જ્યારે વાયકોમના શિવ મંદિર પાસેથી પસાર થવાનું આવે ત્યારે તેમને દલિત હોવાના કારણે કારમાંથી ઉતરીને બીજા રસ્તે ચાલતા આગળ વધવું પડતું. તેમનો બિનદલિત ડ્રાઈવર મંદિર પાસેના રસ્તેથી ગાડી લઈને જતો અને આગળ તેમની રાહ જોતો. આર્થિક સમૃધ્ધિ કે ઉજળા ધંધા છતાં વાયકોમના દલિતોને ક્રૂર એવી નાતજાતની વ્યવસ્થા સહેવી પડતી હતી.
૧૯૨૪ના અભૂતપૂર્વ વાયકોમ સત્યાગ્રહ પહેલાં પણ દલિતોએ મંદિરના રસ્તેથી પસાર થવા માટે સંઘર્ષ કર્યા હતા. ૧૮૦૫માં ૨૦૦ દલિત યુવાનોએ સંગઠિત થઈ શિવ મંદિરના રસ્તે ચાલવાનો કાર્યક્રમ આપ્યો હતો. મંદિરમાં જતાં પહેલાં બાજુના તળાવમાં તે નહાવા ગયા ત્યારે જ રાજ્યના સાથથી બિનદલિતોએ તેમના પર હિંસક હુમલો કર્યો જેમાં ઘણાં યુવાનોને મારી નાંખ્યા અને તેમની લાશો તળાવમાં ફેંકી દીધી હતી.વકીલ અને દલિત નેતા ટી.કે.માધવને ૧૯૧૭માં પોતાના અખબાર ‘દેશાભિમાની’ ના તંત્રીલેખમાં વાયકોમ મંદિરના દલિતો માટે પ્રતિબંધિત રસ્તાનો મુદ્દો ઉઠાવ્યો હતો.માત્ર લખીને ના અટકતા તેઓ પ્રતિબંધિત રસ્તે ચાલ્યા પણ હતા. ૧૯૨૧માં તેમણે આ મુદ્દે લોક આંદોલન કરવા ગાંધીજીની મુલાકાત લીધી અને સમર્થન માંગ્યું હતુ. ૧૯૨૩ના કોંગ્રેસના કાકીનાડા અધિવેશનમાં કેરળ કોંગ્રેસ સમિતિએ કોંગ્રેસે અસ્પૃશ્યતા વિરોધી વ્યાપક અભિયાન ચલાવવા અંગે પ્રસ્તાવ કર્યો હતો. ટી.કે.માધવન., કે.પી.કેશવ મેનન , કે.કેલપ્પન અને જોર્જ જોસેફની આગેવાનીમાં ૧૯૨૪ થી વાયકોમ સત્યાગ્રહ શરૂ કરવામાં આવ્યો હતો.
વાયકોમ સત્યાગ્રહના મુખ્ય સત્યાગ્રહી નેતાઓની ધરપકડ થતાં તમિલનાડુ કોંગ્રેસ કમિટીના પ્રમુખ અને દ્રવિડ આંદોલનનો શક્તિશાળી અવાજ એવા રામાસામી નાયકર”પેરિયાર’ને બોલાવવામાં આવ્યા. ગાંધીજીનું સમર્થન અને પેરિયારની સક્રિયતાથી આંદોલનને વેગ માળ્યો.વાયકોમ સત્યાગ્રહ કોઈ સ્થાનિક મુદ્દો ન રહેતાં રાષ્ટ્રવ્યાપી બન્યો હતો. સત્યાગ્રહ દરમિયાન ગાંધીજી અને પેરિયારના મતભેદો ઉભર્યા. ગાંધીજી માટે વાયકોમ હિંદુ સુધારાવાદી આંદોલન હતું. જ્યારે પેરિયાર માટે જ્ઞાતિ આધારિત આત્યાચારો સામેનો સંઘર્ષ હતો. આ સત્યાગ્રહમાં પેરિયારની બે વાર ધરપકડ થઈ અને ૧ માસ અને પછી ૬ માસની જેલની સજા થઈ હતી.તેઓ વાયકોમ વીર કે વાયકોમ નાયક તરીકે જાણીતા થયા હતા.
સત્યાગ્રહીઓના પક્ષે છેક સુધી શાંતિ અને અહિંસા જાળવી રાખવામાં આવ્યાં.વીસ મહિના લાંબા સત્યાગ્રહ દરમિયાન જ્યારે પૂર આવ્યું તો કમરસમા પાણીમાં ઉભા રહીને સત્યાગ્રહ જારી રાખ્યો. શીતળાનો વાવર પણ વેઠ્યો. ગાંધીજી કથિત સવર્ણોના હ્રદયપલટામાં માનતા હતા. વાયકોમના ઘણા બિનદલિતો સત્યાગ્રહના સમર્થક હતા અને અન્યાયનો વિરોધ કરતા હતા. વાયકોમ સત્યાગ્રહના તરફદાર બિનદલિતોએ વાયકોમથી તિરુઅનંતપુરમ સુધી કૂચ કરી, પચીસ હજાર લોકોની સહીઓ સાથેનું આવેદના પત્ર મહારાણીને આપ્યું. મહારાણી દલિતોની વાજબી માંગ સાથે સહમત હોવા છતાં તે બિનદલિતોને નારાજ કરવા માંગતા નહોતા એટલે તેમણે પ્રસ્તાવ વિધાન પરિષદ સમક્ષ મુક્યો હતો. જ્યાં દલિતોના પક્ષે ૨૧ અને વિરોધમાં ૨૨ મતો પડ્યા. નવાઈની વાત એ હતી કે એક દલિતે દલિતોની માંગણીના વિરોધમાં મત આપ્યો હતો અને તે ડો. પલ્પૂના ભાઈ હતા! સત્યાગ્રહીઓને રંજાડવામાં વિરોધીઓએ કંઈ બાકી રાખ્યું નહોતું તો ય તેઓ અડગ રહ્યા. જેમ પેરિયાર, નારાયણ ગુરુ, તેમ સી. રાજ ગોપાલાચારી પણ સત્યાગ્રહીઓના સમર્થનમાં હતા.
માર્ચ ૧૯૨૫માં ગાંધીજી વાયકોમ આવ્યા અને તેમણે મહારાણી તથા સત્યાગ્રહીઓના વિરોધીઓની મુલાકાતો કરી. અંતે ચાર પૈકીના ત્રણ રસ્તા બધાને માટે ખૂલ્લા કરવા અને મંદિરનો પૂર્વનો માર્ગ કથિત ઉચ્ચ વર્ણ અને રાજપરિવાર માટે આરક્ષિત રાખવો તેવી સમજૂતી થઈ. તેનો અમલ કરવામાં પણ ઘણો સમય લાગ્યો. પેરિયાર અને અન્યોને ગાંધીજીનું આ સમાધાન મંજૂર નહોતું. નવેમ્બર ૧૯૨૫માં વીસ મહિના બાદ વાયકોમના ત્રણ માર્ગો દલિતો માટે ખૂલ્યા પરંતુ મંદિરમાં તેમનો પ્રવેશ તો બીજા સવા દાયકે ૧૯૩૬માં શક્ય બન્યો હતો.
દલિતોનો હિંદુ મંદિરોમાં પ્રવેશનો પ્રશ્ન આજે વાયકોમ સત્યાગ્રહની શતાબ્દીએ પણ ઉભો છે. આજેય કેટલાક મંદિરોમાં દલિતો પ્રવેશી શકતા નથી.. જાણીતા સમાજવિજ્ઞાની આઈ.પી.દેસાઈએ “અનટચેબિલીટી ઈન રુરલ ગુજરાત” સ્ટડીમાં ૧૯૭૧-૭૨માં ગુજરાતના ગામડાઓમાં મંદિર પ્રવેશમાં ૮૩ ટકા આભડછેટ પળાતી હોવાનું નોધ્યું છે. સમાજશાસ્ત્રી ઘનશ્યામ શાહના “ એ સ્ટડી ઓફ અનટચેબિલીટી એન્ડ એટ્રોસિટી ઈન ગુજરાત” માં ૧૯૯૬માં ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં મંદિરપ્રવેશમાં આભડછેટનું પ્રમાણ, પચીસ વરસે ૧૯ ટકા ઘટીને, ૬૪ ટકા થયાનું નોંધ્યું છે. જોકે ૨૦૦૫ થી ૨૦૦૯ વચ્ચેનો એક અન્ય અભ્યાસ, “અન્ડરસ્ટેન્ડીંગ અનટચેબિલીટી”માં, ગુજરાતના ગામડાઓના ૯૦.૮ ટકા મંદિરોમાં દલિતો પ્રત્યે આભડછેટ રખાતી હોવાનું જણાવ્યું છે. એટલે વાયકોમ સત્યાગ્રહની સ્મૃતિસદી દલિતોના મંદિર પ્રવેશમાં વ્યાપક અસ્પૃશ્યતા અને તે નિવારવાના પાંખા પ્રયાસોની કટુ યાદની પણ છે.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
આપણા રોજબરોજનાં જીવનનાં સુખની ખોજનું અર્થશાસ્ત્ર : પ્રકરણ # ૪.૬ : અંશ # ૩
જીવનની અર્થવ્યવસ્થાનો
વ્યાવહારિક અમલ
હસ્તાંતરણ કે સખાવત દ્વારા મિલકતની વહેંચણી
અંશ # ૨ થી આગળ
દિવ્યભાષ સી. અંજારીઆ
મિલકતની વહેંચણી કરવી કે ન કરવી
કેટલી મિલકતની કોની સાથે વહેંચણી કરવી એ બહુ પેચીદો પ્રશ્ન અને મુશ્કેલ નિર્ણય છે. આપણા માનવ મનની ચંચળતા, સલામતીની માનવ સહજ ભાવના, પોતાની દોલત પોતાને હસ્તક રાખવી, કે બહુ બહુ તો પોતાનાં કુટુંબ અને સંતાનો સાથે વહેંચવી તેવી અવઢવો, તેમ જ તેમની ભાવિ પેઢીઓ સુધી પણ પહોંચે એવી વ્યવસ્થાઓ કરવી વગેરે એવાં પરિબળો છે જે દરેક સમયના નવા સંદર્ભ સાથે નવાં નવાં સ્વરૂપે જ સામે આવીને ઊભે છે. પરિણામે કયો નિર્ણય સાચો એ નક્કી જ નથી કરી શકાતું !
મિલકત કોની સાથે વહેંચવી?
પોતાનાં સંતાનો સાથે મિલકતની વહેંચણી ન કરવાનું એક સૌથી સબળ કારણ સંતાનોની પોતાના સ્વબળે આગળ વધવાની ધગશ અને ક્ષમતાને કુંઠિત કરી મુકવાનું જોખમ છે. માઈક્રોસોફ્ટના બિલ ગેટ્સ કે વિપ્રોના અઝીમ પ્રેમજીએ આ કારણોસર જ પોતાની મિલકત સમાજનાં વિશાળ હિત માટે વાપરવાનું વિચાર્યું.
આપણે આપણા સંતાનોને ફાળવેલી મિલકત તો તેઓ પોતા માટે જ વાપરી કાઢવાનાં હોય, તો આપણી મિલકતનો એટલે અંશે અર્થપૂર્ણ ઉપયોગ ન થયો એમ કહી શકાય. આપણાં સંતાનો સાથે મિલકતની વહેંચણી તો જ વ્યાજબી છે જો તેઓ મિલકતના અમુક હિસ્સાને પોતાનાં જીવનને વધુ અર્થપૂર્ણ બનાવવાની સાથે બીજાંઓ માટે નવા રોજગારોની તકો, અન્ય જરૂરતમંદ લોકો માટે સહાય જેવાં વધુ ઇચ્છનીય ઉત્પાદક કામોમાં વાપરે.
પોતાની વધારાની મિલકત બીજાં લોકોની જરૂરિયાતો પુરી કરવા માટે, અને તેમ કરીને તેમનાં જીવનને સુધારવા માટે, વાપરવી એ આપણા પોતાના માટે જ નહીં પણ સમાજ માટે પણ બહુ મહત્ત્વનું છે. પોતાનાં સ્વબળે,પોતાની બધી જરૂરિયાતો પુરી કરવા ઉપરાંત પણ વધારે કમાણી કરીને મિલકત જરૂર ઊભી કરવી જોઇએ, જો તેનો ઉપયોગ પોતાના જ જીવનકાળ દરમ્યાન જ, પોતાનાં સંતાનોની યોગ્ય જરૂરિયાતો પુરી કરવા ઉપરાંત સમાજનાં વ્યાપક હિત માટે કરવામાં આવે. મિલકત એકઠી કરવા માટે જ એકઠી કર્યા કરવી એ પોતાના સમય, શક્તિ અને આવડતનો વ્યય છે. પરંતુ, તેનાથી પણ વધારે તો કુદરતે આપેલ સંસાધનોનો એ નિરર્થક બગાડ છે. બીજાં લોકોની સમસ્યાઓ હળવી થાય એમ મિલકતનો કરેલો ઉપયોગ મિલકતની ઇચ્છનીય વહેંચણી છે.
મિલકત ફાળવણીના ત્રણ વિકલ્પ: વહેંચણી, સોંપણી કે એમ ને એમ આપી દેવી
કોઇની પાસેથી ભવિષ્યમાં વળતરની અપેક્ષા રાખ્યા વિના જ જ્યારે આપણે આપણાં સંસાધનો કે મિલકત બીજાંની જરૂરિયાત માટે ફાળવી દઈએ છીએ ત્યારે થતી ફાળવણી વ્યવહારમાં એમ ને એમ જ આપી દીધેલ ગણાય.
જરૂરતમંદ વ્યક્તિને, કોઈ પ્રકારનાં વળતરની અપેક્ષા વગર જ પોતાની માલમિલકત કે સંસાધનો, સીધાં જ, કે પરોક્ષ રીતે, આપી દેવાને આપણે સખાવત કહીએ છીએ.
કુટુંબમાં કોઈને, કે પછી અજાણ વ્યક્તિને પણ, પોતાનો સમય, સંસાધનો, નાણાં કે સેવાઓ પાછાં લેવાના હક્કની શરતે ઉછીનાં આપવાં, કે વિનિમય વ્ય્વસ્થા હેઠળ આપવાં, એ પ્રકારની ફાળવણીને તપુરતી વહેંચણી કરી ગણાય.
આ રીતનો ઉછીનો વ્યવહાર કોઈ મધ્યસ્થીને વચ્ચે રાખીને પણ કરી શકાય છે. બેંકો કે અન્ય કોર્પોરેટ કંપનીઓ, વીમા કંપનીઓ, માઈક્રોફાઇનાન્સ કંપનીઓ કે પછી જુદા જુદા સમુદાયોની આર્થિક જરૂરિયાતોને પુરી કરવામાં સહાય કરતી સેવાભાવી સંસ્થાઓની મદદ લઈને જરૂરિયાતમંદ લોકોને નાણા ધીરીને પણ આપણી મિલકતની વહેંચણી કરી શકાય છે.
જ્યાં સુધી કોઈ અન્ય રીતે આપણી મિલકતની વહેંચની કરવાનું નક્કી ન કરી શકાયું હોય ત્યાં સુધી આ નાણાસેવાઓ મધ્યસ્થીઓની મદદ લેવી એ વચગાળાનું પગલું છે. આમ, આપણા સંસાધનો સાથેનો આપણો સંબંધ ચાલૂ રાખીને એ નાણાકીય મધ્યસ્થીઓ આપણી મિલકત, આપણા વતી, વધારે ઉત્પાદક સ્વરૂપે કે અર્થપૂર્ણ રીતે, ઉછીની આપે છે.
કોઈ કંપનીના ઈક્વિટી શેરમાં કરેલું રોકાણ પણ એ કંપની સાથે આપણા નાણાકીય સંસાધનોની વહેંચણી જ છે. જોકે, એ કંપની એ નાણાકીય મિલકત પર કોઈ વળતરની બાહેંધરી નથી આપતી કે નથી તો આપણને નાણાં પરત આપતી. પરંતુ, એ શેરને કોઈ અન્ય વ્યક્તિને વેંચી દઈને આપણે એ નાણાં પરત મેળવી શકીએ છીએ.
જુદા જુદા પ્રકારનાં જોખમો સામે સુરક્ષા આપે તે રીતે લીધેલ વીમા પોલિસીઓ માટે આપણે વીમા કંપનીઓને પ્રિમિયમ ચુકવીએ છીએ. આ પ્રિમીયમની આવકને વીમા કંપનીઓ, પોતાનાં જોખમે, સીધું રોકાણ કરે છે. આગ કે માંદગીઓ કે મૃત્યુ જેવાં જોખમોની, વીમા કંપની સાથે પૂર્વનિશ્ચિત કરેલ, ઘટનાઓ બને ત્યારે નક્કી કરેલી શરતોએ, આ રીતે કરેલ રોકાણ પરનું વળતર આપણને મળી શકે છે.
મધ્યસ્થીને વચ્ચે રાખીને કરેલ આપણા રોકાણોનાં વળતરની આપણે એ મધ્યસ્થીઓ સાથે પહેલેથી નક્કી કરેલ શરતો મુજ્બ અપેક્ષા રાખીએ છીએ. જોકે, એ મધ્યસ્થી એ શરતો મુજ્બ નાણા પરત ન આપી શકે, કે નક્કી કર્યા મુજવ્બનું વળતર ન આપી શકે એ જોખમ તો રહે જ છે. ઘણા અંતિમ કિસ્સાઓમાં આપણે જેમની સાથે નાણાકીય વ્ય્વહાર કર્યો છે એવી બેંક, વીમા કંપની કે અન્ય નાણા વ્ય્વસ્થાપક કંપની દ્વારા નાદારી નોંધાવવાનું જોખમ પણ રહે છે. જોકે, આવા અપવાદરૂપ કહી શકાય તેવા કિસ્સાઓ સિવાય, પુરતું સમજી વિચારીને કરેલ મિલકતની આ પ્રકારની સોંપણી પરત મળી રહે છે.
ઇક્વિટી કે ઋણ જામીનગીરીઓમાં રોકાણનો એક વધારે વિકલ્પ મ્યુચ્યુઅલ ફંડો દ્વારા રોકાણ કરવાનો પણ છે. અહીં મિલકત આપણા નામ પર રહે છે. પણ આ મ્યુચ્યુઅલ ફંડો વળતરની કોઈ બાહેંધરી નથી આપતાં, એટલે મિલ્કત આપણા નામે પણ આપણા જોખમે રહે છે. મ્યુચુઅલ ફંડને જ પુનઃઃવેચાણ કરીને મિલકત પરત મેળવવી પ્રમાણમાં સરળ છે, પણ મુળ મુડી કે વળતરની કોઈ બાંહેધરી નથી હોતી.
આપણા જીવનકાળ દરમ્યાન કે તે પછી, આપણી મિલકતની આપણી પસંદગી મુજબની વહેંચણી કરવાના હક્કનો અમલ કરવો એ આપણી અંગત અર્થવ્યવસ્થાનું એક મહત્ત્વનું લક્ષ્ય છે. એટલે, આ પ્રકારનાં જોખમો હોવા છતાં, ફુગાવા જેવાં પરિબળોથી આપણી મિલકતનાં મૂલ્યના સંભવિત ઘટાડાનાં નુકસાનનાં સામે સલામત રાખવાનો આવી શરતી વહેચણી જ એક માર્ગ છે. જોકે, મોટા ભાગનાં લોકો પાસે નાણાને સલામત સ્વરૂપે રોકાણ કરવા માટે પુરી સમજણ નથી હોતી. જે લોકો પાસે આ વિશે પુરતું જ્ઞાન, આવડત કે અનુભવ હોય એમની પાસે એ માટે જરૂરી એટલો સમય ન હોય એવું પણ બનતું હોય છે. આ સંજોગોમાં, આ પ્રકારનાં જોખમોને શક્ય એટલાં મર્યાદિત કરવા માટે આપણે જેમના દ્વારા આપણી મિલકતની વહેંચણી કરવાનું નક્કી કરીએ છીએ તે નાણાકીય મધ્યસ્થી સંસ્થાની સધ્ધરતા અને ક્ષમતા બાબતે પુરતું સમજી વિચારીને પસંદગી કરવી એ આપણી જવાબદારી બની રહે છે.
આપણી મિલકતની નાણાકીય મધ્યસ્થીને વચ્ચે રાખીને પરોક્ષ રીતે વહેંચણી ન કરવી હોય તો આપણાં કુટુંબીઓ, સંતાનો કે અન્ય જરૂરતમંદ વ્યક્તિઓને સીધું જ ધિરાણ કરવાનો વિકલ્પ પણ વિચારી શકાય. અહીં પણ, મિલકતની વહેંચણી કરવા છતાં, આપણી મિલકત પર વળતર મેળવતાં રહેવાની કે પરત મેળવવાની સગવડ સાથે સાથે, મિલકતની માલિકી આપણી જ રહે છે.
કોઈ પણ પ્રકારનાં વળતર કે પરત લેવા વિનાની શરત સિવાય પણ આપણી મિલકત આપણાં કુટુંબીજનો, સંતાનો કે અન્ય જરૂરતમંદ વ્યક્તિઓને આપી દઈ શકાય છે. આપણા નીજ કુટુંબીજનો, સંતાનો કે વ્યાપક સમાજને આપણી ફાજલ મિલકત નિઃસ્વાર્થ ભાવે સોંપી દેવી એ આપણી નૈતિક ફરજ પણ છે અને આપણો અંગત હક્ક પણ છે.
હવે પછીના મણકાઓમાં આપણે પ્રકરણ ૫ માં ‘પોતાની આગવી આર્થિક જીવનદૃષ્ટિ ખીલવવી’ વિશે વાત કરીશું.
શ્રી દિવ્યભાષ સી. અંજારીઆનો સંપર્ક dc@anjaria.email વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
જૂન જુલઈયા…
પારુલ ખખ્ખર
‘આ ઉનાળાને તો ભડાકે દેવો જોઇએ’- કહીને પરસેવો લૂછતા મનેખ બળાપો કાઢતા રહે છે અને ઉનાળો દસ માથાળા રાવણની જેમ અટ્ટહાસ્ય કરતો હાહાકાર બોલાવતો રહે છે. દિવસો દ્રૌપદીના ચીરની જેમ લાંબા ને લાંબા જ થતાં જાય અને રાતો મખમલના તાકા જેવી ઉકેલો ન ઉકેલો ત્યાં તો ખતમ! આ ઉનાળો ચ્યુંગમની જેમ આટલો ખેંચાતો કેમ જાય છે? જાન્યુઆરીથી શરુ કરીને છેક જૂનના અંત સુધી જળોની જેમ વળગેલો રહે છે. મન તો મોર બનીને નાચવા થનગનતું હોય, ચાતકની જેમ તરસ્યું હોય, કોયલની જેમ ટહુકી ટહુકીને વર્ષાને નોતરું દેતું હોય પણ ઉનાળો જાય તો ને!
એપ્રિલ-મેના આકરા તાપ વેઠ્યા પછી જૂન બેસે ત્યારે આશા બંધાય કે ‘હાશ… હવે સુખના દા’ડા આવશે!’ પણ જૂન તો સૌથી વધુ કવરાવે. કાળઝાળ તડકાની આણ જરા ઓછી થઈ હોય પણ બફારો તો બાપરે… કેમેય જીવવા ન દે! ગમે એટલી વાર નહાઓ પણ પરસેવો જનમ જનમની પ્રીત હોય તેમ દૂર જ ન થાય! હાં, એટલું ખરું કે રાત્રે બાર વાગ્યા સુધી પણ ન ડોકાતો એ વાયરો હવે નવ વાગતાં સુધીમાં વિંઝણો લઈને હાજર થઈ જાય છે. પણ સાચી ઠંડક તો વરસાદની! એ ન આવે ત્યાં સુધી વાયરા-બાયરા તો માર્યા ફરે! .
જૂનનું છેલ્લું અઠવાડિયુ શરુ થાય અને પડોશીના બાળકોની જેમ વાદળા હાઉકલી કરવા લાગે. આવે નહીં પણ મોઢું બતાવીને ચલ્યાં જાય! કેરી તો હજુ ધરાઈને ખાધી ય ન હોય ત્યાં તો મોંઘેરા મહેમાનની જેમ ચાલતી થઈ જાય. પરંતુ ગોટલા તો ફળિયામાંથી ઓસરીમાં અને ઓસરીમાંથી ફળિયામાં એમ અહિંથી તહિ હડિયાપાટી કરતાં રહે. વરસાદનો જાસો આવ્યો હોય તેમ કામઢી ગૃહિણીઓ માળિયા પરથી છત્રીઓ ઉતારી લે, ફાટી-તૂટી હોય તો સંધાવી લે.. કેરીનાં ખાલી બોક્ષ અને તેલના ખાલી ડબ્બા યાદ કરીને ભંગારીયાને વેચી દે, અને જો એકાદ ઝાપટું એના પર પડી ગયું હોય તો કોઈપણ ભાવે ફૂંકી મારે. હજુ તડકાનું સામ્રાજ્ય વિલિન ન થયું હોય ત્યાં જ આ હુતિયણો યાદ કરી કરીને તડકાનો કસ કાઢવામાં લાગી પડે. ચાનો મસાલો મીક્સરમાં ઘરઘરાટી બોલાવતો બોલાવતો હવાચુસ્ત ડબ્બામાં કેદ થવા લાગે. વડીલો માટેના સુંઠ-પીપરીમૂળ ધબાધબ ખાંડણિયામાં ખંડાવા લાગે અને મોટા અક્ષરે સ્ટીકર મારેલી બોટલોમાં જીનની જેમ પૂરાઈ જાય! આગલા વર્ષના હળદર-મરચામાંથી કાઢેલા હિંગના ગાંગડાનું ભુક્કામાં રુપાંતર થવા લાગે. તલ,વરિયાળી અને અજમો ધમધમાટ શેકાવા લાગે અને પછી ‘હાશ’ કરતી પેલી ગૃહિણી અગાશીએ આંટો મારવા જાય. એના કપાળે બાઝેલા પરસેવાનાં ટીપા વર્ષારાણીને નોતરું મોકલે પણ એમ એ રાણીસાહેબા રીઝે ખરા?
બફારો દિવસે દિવસે વધતો જાય. ખેડૂતો ભીમ-અગિયારસનાં મુહર્ત સાચવીને વાવણી પણ કરી લે અને પછી નેણ પર હથેળીનું નેજવું કરી વરસાદની રાહ જોયા કરે. ક્યારે મારો મહારાજ પધારે ને ક્યારે મારા બી કોળાય! મહારાજ તો વળી માનમોંઘો તે એકાદ ઝાપટું નાંખીને પાછો અંતર્ધ્યાન થઈ જાય. જગતનો તાત બીચારો રંક થઈને ઝૂર્યા કરે. પણ એમ ઉનાળો જાય ખરો? એ તો ટહેલિયાની જેમ આમથી તેમ ટહેલ્યા કરે અને પોતાની હાજરી પુરાવતો રહે. તમારે ના છૂટકે એની નોંધ લેવી પડે. માણસો તો ઠીક ધરતી ય ચકલીના પોટાની જેમ મોઢું ખોલીને વરસાદને ઝંખતી રહે. એ છાના છાના નિસાસા નાંખતી રહે અને એની ઊંડી ઊંડી તિરાડોમાંથી વરાપ નીકળ્યે રાખે. આમ ચારે બાજુથી હડે હડે થાતા માંદલા શ્વાન જેવો જૂન રવાના થાય અને જુલાઈ બેસે! સૌના હૈયે હાશ થાય કે ચાલો…સારા દિવસો બેઠાં. જુલાઇ-ઓગસ્ટમાં તો વરસ્યે પાર!
શરુઆત હોય એટલે જુલાઇનુ માન રાખવા રોજ શાસ્તર મુજબ શુકનનાં કુંકુ છાટણા કરી જાય. પણ બંદો મન મુકીને વરસે જ નહીં ને! સૂકવવા મૂકેલાં ગોટલાને ભેજ અડે એટલે કાળા પડવા લાગે, એના પર માખીઓ બણબણે અને કીડીઓ તો ન જાણે ક્યાંથી પહોચી જાય! અંતે કંજુસની જેમ સાચવી સાચવીને ભેગા કરેલા ગોટલાનો મોહ જતો કરવો પડે. અને કચરાનો ડબ્બો એનું મોક્ષધામ બની જાય! સાંજ પડે એટલે પાંખોવાળા મંકોડાનો ઉપદ્રવ શરુ થાય. આયખુ તો માંડ ચોવીસ કલાકનું હોય પણ ઉપાડો તો એવો લ્યે ને કે જાણે આજરામર થઈને ન આવ્યા હોય! ખેતરાઉ કીડી દિવસ-રાત જોયા વગર ઊંધે માથે ખોરાકનો જથ્થો એકઠો કરવા દોડતી રહે. એને જોઈ પેલી ગઝલ યાદ આવ્યા કરે…ઇસકી ફિતરત ભી આદમી સી હૈ… જમીન આ બધી ચહલ-પહલ ચુપચાપ જોતી રહે અને એની છાતીમાંથી વરાળ નીકળતી રહે.
રસ્તાની બન્ને બાજુએ વાવેલા વૃક્ષો પર નજર પડે અને ચકિત થઈ જવાય. અરે…આ ગરમાળા પર છેક જુલાઈમાં નવો ફાલ કેમ બેઠો? પછી ખબર પડે કે ઉનાળો લંબાયો એટલે ગરમાળો ફરી ખીલ્યો. પ્રકૃતિ તો પોતાની ચાલમાં જ રમતી હોય છે. આપણે જ ઉફરા ચાલવા લાગ્યા છીએ. પીળો સાફો પહેરીને ગરમાળો ઠાઠમાઠથી ફરી એકવાર વરઘોડે ચડ્યો હોય એવો સોહામણો લાગે છે. ગરમાળાની વાદે વાદે એનો ભાઈબંધ ગુલમહોર પણ લાલચટ્ટાક અચકન પહેરી ફરીવાર મંડપમાં બેઠેલા વરરાજા જેવું છાનુ છાનુ મલક્યા કરે છે. બેય દોસ્તરને જોઈને મનમાંથી આપોઆપ શબ્દો સરી પડે ’ખમ્મા તમારી ભાઈબંધીને!’ ટાણે-કટાણે પવન ફૂંકાય, ધૂળની ડમરી ચડે અને પેલા ગરમાળાની પાંદડીઓ ખરવા લાગે. ગુલમહોર પોતાનો લાલઘુમ વૈભવ રસ્તા પર પાથરી દે. રસ્તો તો જાણે ‘હલ્દી-કંકુ મિલન’માંથી પાછી ફરેલી સ્ત્રી જેવો લાલપીળો થઈને મલકતો રહે. મીઠા લીમડા પર કાળા ફળ બેસે. જાણે કાળી દ્રાક્ષનું ઝુમખું જ જોઈ લ્યો! કડવા લીમડાની લીંબોળીઓ પાકીને પીળીપચ્ચ થઈ જાય અને અંતે ખરી પડે. રસ્તા પરની આવનજાવનને લીધે એ કચડાય અને એક અણગમતી કડૂચી ગંધ વાતાવરણને બગાડી નાંખે. લીંબોળીની સાથોસાથ લીમડાના પાંદડા અને પાતળી સળી જેવી નાની નાની ડાળીઓ પણ સૂકાઈને ખરતી રહે. શિરીષને મોટીમોટી પાપડી બેસે. હમણાં જ જાણે બધા બીજ ખરી પડશે અને ખાલી ખોખા હવા સાથે ખખડવા લાગશે એવું થયાં કરે.
આજકાલ ફળિયમાં કૂણો કૂણો કલરવ સંભળાયા કરે છે. આંગણાનાં પેલ્ટાફોરમમાં ધારીને જોયું તો બુલબુલ પરિવારમાં બે નવા સભ્યોનો ઉમેરો થયો છે. પેલો કાળિયોકોશી તો વરસાદની એંધાણી કળી ગયો હોય તેમ અનોખા ખંતથી માળો બાંધવા મચી પડ્યો છે. કુદરતે કેવી ઘડિયાળ બેસડી હશે કે રોજ સવારે સાડા ચારથી સાડા પાંચ સુધી એ એકધારો થાક્યા વગર બોલે છે. બરાબર સાડા પાંચના ટકોરે તો એ પોતાની નાદલીલા સંકેલીને ચાલતો થાય.પેલાં નનકુડાં બુલબુલિયા એમને સાથ આપવા લાગ્યા હોય એ પણ ચુપ થઈ જાય . સવાર ઉગે ન ઉગે ત્યાં તો ઝાડવામાં હો-દેકીરો શરુ થઈ જાય પ્રવાસે ઉપડતાં બાળકોની જેમ બધા પક્ષીઓ એકસાથે કલબલ કરવા લાગે અને અડધી કલાકમાં તો બધા પોતપોતાના આકાશમાં ઊડી જાય.
આંગણનું પેલ્ટાફોરમ બેફામ વધ્યું છે. વનપ્રવેશ કરેલા કોઈ ગુજરાતી પુરુષની ફાંદ જેવું એ ગોળાકારે ઘેઘૂર થયુ છે. આ વર્ષે તો થોડુ થોડુ કપાવી જ નાંખવુ છે. વરસાદ તોળાઈ રહ્યો છે. વરસાદ ઝીલ્યા પછી તો એ ઝાલ્યું નહીં રહે. એનાં કરતાં વહેલું કપાવી લેવું સારું. કઠિયારાને બોલાવ્યો છે. આજકાલમાં જ આવશે. પણ સાલું… આ ચકલાં, બુલબુલિયા, પતરંગા, લેલાં, ખિસકોલા સભા ભરીને સમગ્ર માનવજાતિ જેવી મને પણ નિર્દય ધારી લેશે તો?- એ દહેશતથી કઠિયારાને પછી ક્યારેક આવવાનું કહી દીધું. આ કહ્યું ત્યારે ખિસકોલાએ મને ધારીધારીને જોઈ હતી. અને પછી ફટાફટ આ શુભ સમાચાર આખા ઝાડવામાં ફેલાવી દીધા. મને થાય છે કે આજે તો એમના ચૂલે લાપસીનાં આંધણ મૂકાયા હશે ને!
રોજ એકાદુ ઝાપટું આવી જાય છે અને કચકાણ કરીને ચાલ્યું જાય છે. ઠેર ઠેર નાનાનાના ખાબોચિયા ભરાઈ રહે છે. વાહનોની અવરજવરને કારણે એમાંથી ઉડતા કાદવનાં છાંટા કમ્પાઉન્ડવોલને ચિતરી નાંખે છે. ભલે ને ચિતરે… એકવાર મારો વાલિડો ધોધમાર આવશે ને બધાય ચિતરામણ ભૂંસી નાંખશે. વરસાદની આગમચેતી રૂપે ગુલાબને કાપીને બોડો કરી નાંખ્યો છે. જો કે એને કૂંપળો ફૂટી છે, બે ચાર પાંખડીનાં ફૂલ પણ બેસે છે. પણ ચાર પાંખડીના ગુલાબ તે કંઈ ગુલાબ કહેવાય! વરસાદ પડવા દો ને… ગોટા જેવા ગુલાબ ન બેસે તો કહેજો મને! તડકા સામે લડી લડીને શો-પીસના નાજુક છોડવાઓએ તો જાતે જ કેસરિયા કરી લીધા છે. બચી ગયેલા એકએક પાંદડાને શેઇપમાં કટીંગ કરવું પડ્યુ છે. કુંડા-ક્યારાને વાળી-ચોળીને ચોખ્ખા કરી નાંખ્યા છે. કટીંગ કરેલા છોડવાઓ સ્કૂલે જવા તૈયાર થયેલા આજ્ઞાંકિત બાળકો જેવા ડહ્યાં-ડમરાં લાગે છે.
બફારો વધતો જાય છે. રાતોની બેચેની બેવડાતી જાય છે. પવન સાવ પડી ગયો છે. સ્તબ્ધ જળાશયો ભેંકાર દીસે છે. ડેમમાં પાણીની બદલે કાંકરા ઉડે છે. ગરમીને કારણે વારંવાર સાપ દર્શન દેવા નીકળી પડે છે. સમગ્ર સૃષ્ટિ સ્થિર થઈ ગઈ છે. સૌની અભિલાષાને વાચા આપતો હોય તેમ મોરલો નાનકડી વાદળીને જોઈને બોલી પડે છે ‘મે..આવ…’ ‘મે…આવ….’. બધા જ જીવ ચાતકનું રૂપ લઈને રાહ જોઈ રહ્યાં છે અને આવામાં ચોમાસું આવું આવું થાય છે.
સુશ્રી પારુલ ખખ્ખરનો સંપર્ક parul.khakhar@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
