વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • સ્મૃતિસંપદા : દેવિકા રાહુલ ધ્રુવ [૩]

    આ પહેલાં આપણે સુશ્રી દેવિકાબહેનનાં અમેરિકા આવ્યા પછીનાં સંસ્મરણોની સફર  તેમની કલમને સથવારે કરી.
    હવે આગળ …..

    ૪. ન્યૂજર્સીથી હ્યુસ્ટનની રાહે..

    ગાડી જુદે, નવે પાટે વળી.. એકવીસમી સદીની શરૂઆત જાણે જિંદગીને એક નવા વળાંક પર લઈ આવી. વાત એમ બની કે, બંને દીકરાઓ ભણી-ગણી-પરણી પોતપોતાના ક્ષેત્રે આગળ વધ્યાં. વ્યવસાય પ્રમાણે સૌએ સ્થળાંતર કર્યું. પતિને પણ હોંગકોંગ,લંડન વગેરે જુદે જુદે સ્થળે, જૉબને કારણે ફરવાનું શરૂ થયું. ભર્યુંભાદર્યું  ન્યૂજર્સીનું ઘર ખાલી થઈ ગયું.  ૧૯૯૮માં પ્રથમ અને ૨૦૦૨માં બીજી પૌત્રીનો જન્મ થયો.. તે ૨૦૦૪ના ઓક્ટો.મા પૌત્રનો જન્મ થયો. એ દિવસ ન્યૂજર્સીનો આખરી દિવસ હતો. ન્યૂજર્સીના ઘરના ૨૧-૨૨ વર્ષના સહસ્ત્ર સંભારણાની પોટલી બાંધી ન્યૂજર્સીથી સામાન સાથે ગાડી રવાના કરી. ઘર છોડ્યાની વેદનાએ જાતજાતના શબ્દ-રૂપ ધર્યા, ગતિ પકડી.

    સૌએ સાથે મળીને સ્વેચ્છાએ જ નક્કી કર્યું હતું કે હવે આ કાતિલ ઠંડીમાંથી બહાર નીકળીને ભારત જેવી ઋતુવાળાં સ્ટેઈટમાં જવું અને એ રીતે જ અમે તૈયારી પણ કરી હતી. છતાં પેલાં “જૂનું ઘર ખાલી કરતાં”ની અનુભૂતિએ મનને વીંધી નાંખ્યું. ખરેખર ઘર સમેટવું એટલે જાણે જીવન સંકેલવું! કેટલું બધું છોડવાનું? છોડતાં છોડતાં રડવાનું ને રડતાં રડતાં છોડવાનું. સાચું કે ખોટું, સારું કે નરસું પણ મારું એટલું સારું! કેટલાંકના ભૌતિક મૂલ્યો તો કેટલાંક જીવથી અમોલા. અરે,વસ્તુની તો સીધી વાત, પણ સંસ્મરણો? એ તો મરણના દુઃખ જેવાં. દેખાય નહિ ક્યાંય પણ ઊંડે સુધી ભોંકાય. કાચની કણીની જેમ ખૂંચે. તોયે જીવતરના ગોખે પાછાં અચાનક ઝબૂકે! માનવના શરીરરૂપી ઘરને સંકેલતા ઈશ્વરને પણ વેદના થતી જ હશે ને? કદાચ પરિવર્તન એનો ક્રમ હશે? તો પછી એની પ્રક્રિયા સહજ કેમ નથી? સરખી કેમ નથી? માંડવું અને સમેટવું, ઉકેલવું ને સંકેલવું, જન્મ અને મરણ, મિલન અને વિરહ. ફરક કેમ? કદાચ ઈશ્વરનો સંદેશ એવો હશે કે, ફરક સમજમાં છે. સ્વસ્થતા હોય ત્યાં ફરક નથી. એટલે કે બંનેને માણો અને સ્વસ્થ રહો.

    સમયને પસાર કરવા માટે શરૂઆતમાં અહીંની પ્રાથમિક સ્કૂલમાં volunteer work શરૂ કર્યું.  પુસ્તકોનું આકર્ષણ વધારે હોવાથી સ્કૂલની લાયબ્રેરીથી આરંભ કર્યો.  આશય એવો હતો કે, પૌત્રીઓની આસપાસ સ્કૂલમાં જ રહી શકાય.  અહીં પૌરાણિક વાર્તા અને વિસ્મય વિશે વળી એક પ્રસંગ સાંભર્યો અને તેની સાથે પૌત્રીના પ્રશ્નથી થયેલ અનુભવ પણ.

    ખૂબ નાની હતી ત્યારથી જ આપણી પૌરાણિક વાર્તાઓ વાંચુ કે વડિલો/શિક્ષકો વગેરે પાસેથી સાંભળું ત્યારે હંમેશા મનમાં ઘણા સવાલો ઉદભવે. પણ કુમળું મન જાત સાથે જ કંઈક સમાધાન કરી લે. આવું તે કંઈ પૂછાય તેવી થોડી ભીરુતા પણ ખરી જ. મને હંમેશાં એમ થાય કે, કુંતીએ મંત્રનો ઉપયોગ કર્યો અને કર્ણનો જન્મ થયો એ વાત સાચી માની જ કેવી રીતે લેવાય? બીજું, ધારો કે ઘડીભર માની પણ લઈએ તો કુંતીએ એ વાત છુપાવી કેમ? એક જ વાર હિંમત કરીને કહી દીધું હોત તો કેટકેટલાં અનર્થો અટકાવી શકાત? એ જ રીતે, ગુરુ દ્રોણાચાર્યે એકલવ્યનો અંગૂઠો માંગ્યો એ વાત ક્યારેય મનને જચતી ન હતી. પછી તો એ વાતને વર્ષો વીત્યાં, અને એ કુતૂહલતા લગભગ દબાઈ ગઈ હતી. તેવામાં પૌત્રીને વાર્તાઓ કહેવામાં, એ જ વાર્તા સળવળીને નજર સામે આવી. જેમ જેમ હું કહેતી ગઈ તેમ તેમ એના ચહેરાની રેખાઓમાં આશ્ચર્ય અને આંખોમાં પ્રશ્નાર્થ ડોકાતાં ગયાં. છેવટે એ બોલી જ ઉઠી. બાપરે! શિક્ષક થઈને વિદ્યાર્થીનો અંગૂઠો માંગ્યો? ના…ના..આ તો બરાબર ના કહેવાય. That is not fair..ઘડીભર હું આનંદ અને આશ્ચર્ય વચ્ચે સ્તબ્ધ થઈ ગઈ. આશ્ચર્ય એ વાતનું કે, વર્ષો પહેલાંનો સવાલ આજે ફરીથી મારા જ લોહીમાં દોહરાય છે અને જવાબ?

    નૈતિક મૂલ્યોની પરંપરા આજે પણ કોયડો બની રહી છે. આવી તો કંઈ કેટલીય વાતો આપણા પુરાણોમાં છે. ભગવાન થઈને નાની વાતમાં કોઈનું માથું કાપી નાંખે? એવો પ્રશ્ન એક બાળક કરે ત્યારે કેવું લાગે?. એકલા પુત્રનું જ નહીં, હાથીની પણ હત્યા કરી? અત્યારના યુગમાં આ વાર્તા સાંભળતું બુદ્ધિશાળી બાળક તરત જ કહે કે, ‘ગણપતિનું માથું તો તાજું ત્યાં જ પડ્યું હતું ને? તે ન ચોંટાડતાં, એક હાથીની હત્યા કરવાની શી જરુર હતી?’ આમાંથી  સમજવા મળે છે કે, કાલ્પનિક વાર્તાઓ હોય કે, સાચાં સ્મરણો હોય, તેનો દસ્તાવેજી ઈતિહાસ એક એવું સાહિત્ય છે કે, જે વિરોધાભાસની વચ્ચેથી પણ સારાસારનો વિવેક શીખવે છે, તેની વચ્ચે પણ જીવંત રહેવાનું શીખવા મળે છે.

    હા, વાત આગળ વધારું. અમેરિકન લાયબ્રેરીમાં કામ કરતાં કરતાં, પછી તો બન્યું એવું કે કામથી પ્રભાવિત થઈને મને ત્યાં જ જૉબની ઑફર મળી અને મેં સ્વીકારી જેને કારણે મને મોટી હૂંફ મળી.  અમેરિકાની શિક્ષણ પધ્ધતિ, લોકોનો વિવેક, વાણી વર્તન-વ્યવહારને ખૂબ નજીકથી જોવાં/સાંભળવાં અને એ રીતે અનુભવવાં મળ્યાં. ન્યૂયોર્ક/ન્યૂજર્સીથી તદ્દન જુદા જ વાતાવરણમાં હોવા છતાં મારી દિલચશ્પી વધી.  નવા અમેરિકન મિત્રો થયા. ઘણું શીખવાનું મળ્યું. એ વિશે  પ્રસંગો ટાંકવા ગમશે.

    પૌત્રીની પહેલી એલિમેન્ટરી સ્કૂલના પ્રિન્સિપાલનું નામ હતું મિસ સીએરા. ખૂબ જ સૌમ્ય, શાંત અને વિવેકી. સદા યે હસતાં. હું વૉલન્ટીયર કામ કરતી. એ મારી પર ખૂબ જ પ્રભાવિત. દીકરાની બદલી લંડન થતાં પૌત્રીઓને પણ એ સ્કૂલ છોડીને જવું પડ્યું. છતાં પણ મેં મારું કામ ત્યાં ચાલુ જ રાખ્યું હતું. એક દિવસ તેમણે મને પોતાની કેબીનમાં બોલાવી અને અડધોએક કલાક મિત્રભાવે વાતો કરી, મારા હવે પછીના પ્લાન વિશે પણ જાણ્યું. મને ખૂબ સારું લાગ્યું. પછી તો થોડાક સમય પછી એક ‘વીકેન્ડ’માં મારા મોબાઈલ પર ફોન આવ્યો કે, સ્કૂલને તમારી જરૂર છે. તમે ફોર્મ ભરીને મને  હમણાં મોકલાવો અને સપ્ટે. મહિનાથી ફુલ ટાઈમ જોબ શરૂ કરી દેશો.  મારા આશ્ચર્ય અને આનંદનો પાર ન રહ્યો. ખુશીના પ્રતીક તરીકે મેં ફૂલ-પાંખડી આપી તે પણ ‘YOU deserve it’ કહી પ્રેમથી પરત કરી. ત્યારપછી તો ખૂબ જ આદરપૂર્વક, આર્થિક જરૂર ન હોવા છતાં પણ મિસ સીએરા તે સ્કૂલમાં હતાં ત્યાં સુધી, મેં ત્યાં જ જૉબ કરી.  તેમની સાથેનો સંબંધ પણ કાયમ  માટે યાદગાર અને અકબંધ જ રહ્યો.

    એવો જ એક બીજો પ્રસંગ બીજી એક સ્કૂલના પ્રિન્સિપાલ મિસ ફીમસ્ટરનો થયો. ૨૦૧૩ની સાલ હતી. મારી વર્ષગાંઠનો દિવસ. સ્કૂલના ‘ડ્રાઈવે’માં મારી કાર પાર્ક કરી હું ફોન પર મારા નવા ગુજરાતી  ( કાવ્યસંગ્રહ) પુસ્તક ‘પબ્લીશ’ થયાની ખુશીની વાત કરી રહી હતી. મને ખ્યાલ ન હતો, પણ પાર્કીંગ લૉટમાં ચાલતાં ચાલતાં પ્રિન્સિપાલના કાન મારી વાત સાંભળવામાં સતેજ થયા. ફોન પૂરો થતાં તેમણે એ વિશે થોડી પૂછપરછ કરી. દરમ્યાનમાં અમે બંને સ્કૂલની અંદર પ્રવેશી ચૂક્યાં હતાં. થોડી જ વારમાં બેલ વાગ્યો અને સ્કૂલના ન્યૂઝ બુલેટિનના ટીવી પર તેમણે ઍનાઉન્સ કર્યું કે ‘ here is a news.. Please Join me to congratulate our staff, Mrs. Dhruva for her newly published  foreign language Book today…હું તો છક્ક થઈ ગઈ અને પછી તો આખો દિવસ મારી પર અભિનંદનનો વરસાદ  સતત વરસતો રહ્યો. વાત તો નાની સરખી હતી પણ જે રીતે એને વધાવવામાં આવી તેની મહત્તા ઘણી હતી.

    અમેરિકન સ્કૂલની  પણ આવી તો ઘણી વાતો અને યાદો છે.  નાનાં ભૂલકાંઓની વિવિધતા,  નવી રીતો અને શિક્ષણ સંસ્થાઓનું નવું વાતાવરણ વગેરે જાણવાનું હંમેશા મળતું રહેતું. એજ કારણસર મેં ૨૦૧૯ની સાલ સુધી અઠવાડિયામાં બે દિવસ જવાનું ચાલુ જ રાખ્યું હતું. જે વાત મારે કહેવી છે તે એ કે, જ્યાં જે કામ કરીએ તેને મન મૂકીને ચાહીને, પ્રેમથી કરીએ અને આંખ-કાન ખુલ્લાં રાખી કશુંક નવું શીખવાનું અને સારું સ્વીકારવાનું  ચાલુ રાખીએ તો ભલે જે ચાહીએ તે ન મળે, પણ જે મળે તેને ચાહી શકીએ. ખૂબ મઝા આવશે.

    સારા વાતાવરણ અને સારી વ્યક્તિઓની આસપાસ રહેવું ખૂબ જરૂરી હોય છે. જીવન તો એક લપસણી ભૂમિકા છે. ક્યારે લપસી જવાય, કંઈ કહેવાય નહિ. પણ સારી વ્યક્તિઓ આસપાસ હશે તો ટટ્ટાર રહેવાનું સરળ બનશે. આનાં અનુસંધાનમાં એક બીજી વાત લખવી જરૂરી લાગે છે.

    વર્ષો જૂના દિવસોમાં સૌથી વધુ સાંભરે છે એક આદર્શ કુટુંબ અને તેમાં થતી રહેતી અમારા સૌ ભાઈબહેનોની અવરજવર. ગાંધીકથા કહેનારા શ્રી નારાયણ દેસાઈનો પણ અમદાવાદ ખાતે આ ઘેર જ મુકામ. મારા માનસ પર આ મજમુદાર પરિવારની ઘેરી અસર અને ત્યાંથી કેળવાતી જતી સમજણ. કુટુંબની દરેક વ્યક્તિઓ સરળ, સેવાભાવી અને સમજદાર. એક સરસ જીવન કેવું હોઈ શકે એ વાત ત્યાંથી સમજાય. બધું જ વ્યવસ્થિત ચાલે, દરેક કામો પ્રેમથી થાય, સાંજના સમયે સૌ સાથે બેસીને ઘરમાં પ્રાર્થના કરે ત્યારે મંદિર જેવી પરમ શાંતિનો અનુભવ થાય. શાળા-કોલેજોમાંથી ભણતર થાય છે તો આવાં સારાં વાતાવરણમાંથી વ્યક્તિત્વનું ઘડતર અને ચણતર થાય છે એ વાતનો પાયો દ્રઢપણે હૈયામાં જડાઈ ગયો. ભાઈબહેનો અને માતપિતા તો પોતાનાં હોય જ, પણ ફરિશ્તા જેવી આવી વ્યક્તિઓ અનેકનો વિસામો બની રહે છે. હજી આજે પણ મારી ભારતની મુલાકાત દરમ્યાન તેમનાં ઘેર જાઉં ત્યારે ધન્યતાનો અનુભવ થાય છે.

    બીજી થોડાં વર્ષો પહેલાંની એક વાત.

    અમારાં બેકયાર્ડમાં માળી કામ કરતો હતો. ત્યાં તેને અચાનક ગૅસની સખત દુર્ગંઘ આવતી જણાઈ. તપાસ કરતાં ખબર પડી કે બહારની ગૅસની પાઈપમાં તિરાડ પડી છે અને ત્યાંથી ગૅસ નીકળી રહ્યો છે. એણે દોડતાં આવીને અમારાં બારણે જોરજોરથી ઘંટડીઓ દબાવી. રસોઈ કરતી મેં ગભરાટમાં દોડીને “શું થયું, શું થયું’  પૂછતાં પૂછતાં બારણું ખોલ્યું. એણે જલ્દી જલ્દી વાત કરી ઈમરજન્સીને ફોન જોડ્યો. મેં રસોઈના ચાલુ સ્ટવને એકદમ બંધ કર્યો, ફોન અને કારની ચાવી લઈ ઘરની બહાર નીકળી ગઈ, ગૅસ કંપનીના માણસોને ફોન કરી બોલાવ્યા. ૨-૫ મિનિટમાં તો પોલીસો, ફાયર ટ્રક અને ગૅસ કંપનીના માણસો બધા આવીને કામે લાગી ગયા અને તે જ સમયે જૂની ગૅસ-પાઈપ કાઢી નાંખી, નવી પાઈપ લગાવી દીધી. વિચાર કરો કે કેટલી મોટી  શક્ય હોનારતમાંથી હું બચી ગઈ..! ( તે સમયે ઘરમાં હું એકલી જ હતી.) કહેવાનું તાત્પર્ય એ જ કે, ખૂબ જરૂરી સવલતો અહીં સહેલાઈથી, તરત જ અને સમયસર મળી જાય છે!!

    આવા ચાર-પાંચ દાયકાઓના વિદેશના અનુભવોના અર્કરૂપે લખાયેલા બાવન પત્રોને એક સાહિત્યિક આકાર પણ મળ્યો. કેટલી અને કેવી ખુશી!! ‘આથમણી કોરનો ઉજાસ’ પુસ્તક રૂપે પાથરી અમે ( હું અને મારી સહલેખિકા નયના પટેલ) અંતર અજવાળ્યાં અને ડાયસ્પોરા સાહિત્ય પારિતોષિકનાં વિજેતા પણ બન્યાં.

    જીવનકથાની આ શેરી આગળ વધીને વર્તમાનને રસ્તે વળે તે પહેલાં હજી ઘણી ગલીઓ, ખાંચા, ખડકી, પોળ મળશે. અમે ન્યુ જર્સીથી હ્યુસ્ટન સ્થળાંતર કર્યું  ત્યારે ભાઇબેનોએ કહેલું કે મને અહીં ખૂબ ગમશે. કારણ કે,અહીં ગુજરાતી સાહિત્ય સરિતા છે ! પછી દર મહિને નિયમિત મળતી હ્યુસ્ટનની  સાહિત્ય-સરિતામાં કદમ માંડ્યા ત્યારે એમાં ચાલતી પ્રવૃત્તિઓ જાણીને મન આનંદિત થઈ ગયું.  જન્મજાત વવાયેલા ભીતરના બીજને પ્રકાશ અને પાણી મળતાં એક પ્રફુલ્લિત છોડ ઉછરતો, ત્યારે સ્પર્શાયો ! ધીરે ધીરે, કલમને એક દિશા મળી,પછી વેગ મળ્યો, સાચું માર્ગદર્શન મળ્યું અને એમ કરતાં કરતાં આંતરિક  શક્તિઓ સળવળી, ભાષાનો અભ્યાસ કામે લાગવા માંડ્યો અને વિકાસનો પંથ દેખાયો. પછી તો કાગળની દોસ્તી અને કલમ સહેલી !!  એટલે કે કલમ સખી..અરે..ના..ના.. કીબોર્ડની દોસ્તી અને ક્લીક ક્લીક સહેલી…

    શબ્દોની નાવ લઈ ચાલી સવારી સંવેદનાના સાગરમાં તરતી.
    ભાવોઅભાવોના કાંઠાની વચ્ચે આમ અક્ષરહલેસેથી સરતી.

    હ્યુસ્ટનમાં બંને ભાઈ બહેન હોવાથી તેમનો સતત સાથ મળ્યો. સતત ચાલતી સાહિત્યિક પ્રવૃત્તિઓને કારણે મોટામાં મોટો ફાયદો એ થયો કે ભીતરની સર્જનાત્મકતાને મઝાનો ઢાળ મળ્યો, સુંદર ગતિ મળી અને ‘રોલર કોસ્ટર’ની જેમ વેગીલી બની. કલમ કસાતી ગઈ, સાહિત્યિક મિત્રો મળતા ગયાં,વાંચન વધતું ગયું, પ્રવૃત્તિઓ પણ વધતી ગઈ. સાથે સાથે ટેક્નોલોજીને કારણે વિવિધ વ્યાપ પણ વધતા ચાલ્યા.

    અહીં થોડી સર્જનપ્રક્રિયાની ગલીમાં વળું છું. કોલેજ-કાળ દરમ્યાન વિદ્વાન પ્રોફેસર્સ પાસેથી જે શબ્દાર્થમીમાંસા અને કાવ્યમીમાંસાનો અભ્યાસ કર્યો હતો તેમાં અહીંના મૂળે પાકિસ્તાની ગઝલકાર શ્રી રસિક ‘મેઘાણી’ જેવા અને બીજાં પણ ઘણાં ‘વેબ’ પરના કવિ-મિત્રો તથા વિવિધ માધ્યમોના સીંચને મોટો ભાગ ભજવ્યો. એ તો હકીકત છે કે, દરેક સર્જનપ્રક્રિયાનું મૂળ સંવેદના છે એ પછી સજ્જ્તા પણ એનું બીજું ચરણ છે. જીવાતા જીવનમાંથી અને જોવાતા જગતમાંથી આપણને ઘણું બધું સતત મળતું જ રહે છે. થોડી સભાનતા અને સજાગતા હોય તો પંચેન્દ્રિયોને  સ્પર્શતી દરેક અનુભૂતિ આપમેળે કોઈ ને કોઈ રીતે વ્યક્ત થતી રહેતી હોય છે. પણ જો એને કવિતાના નિશ્ચિત્ત રૂપમાં નિખારવી હોય તો થોડી સજ્જતા જોઈએ જ. જેમ થાળીમાં વેરાયેલાં રંગબેરંગી ફૂલો સૌને ગમે. પણ એને એક ‘પેટર્ન’ પ્રમાણે વ્યવસ્થિત ગૂંથીને, વેણી કે હાર બનાવીએ તો વધુ શોભે. અથવા બીજી રીતે કહીએ તો નાનું બાળક હાથ–પગ હલાવીને નાચવા લાગે તો એને ડાન્સ કર્યો કહીને તાળીઓ પાડીએ અને એ જ બાળક નક્કી થયેલા નિયમ અનુસાર તાલીમ લઈને ‘ભરત નાટ્યમ’કે ‘કથ્થક’ કે એવો કંઈક શાસ્ત્રીય ડાન્સ કરીને બતાવે તો એ સાચી નૃત્યકલા કહી શકાય. બસ, એનું જ નામ સજ્જતા. સાધના પછીનું સર્જન. અભ્યાસ,આયાસ અને રિયાઝ પછીનો નિખાર.

    આના જ સંદર્ભમાં એક બીજી, જરા જુદી વાત પણ માંડું. આ વાતના નેપથ્યમાં બાળપણમાં વાંચેલાં અને સાંભળેલાં કેટલાંક વાક્યો હતા. આજથી લગભગ ૫૫-૬૦ વર્ષ પહેલાં એક મેગેઝીનમાં વાંચ્યું હતું.”પાટણમાં પંકાયેલા પ્રતિષ્ઠિત પુરુષ પ્રાણલાલ પીતાંબર પંડ્યાએ પોતાના પ્રિય પુત્ર પ્રતાપને, પેટલાદમાં પંકાતા પ્રેમજીભાઈ પ્રભુલાલની પુત્રી પુષ્પા સાથે પરણાવ્યો.”  વર્ષો પછી એ વાંચનનું સ્મરણ જાગી ઉઠ્યું અને મનમાં એક તરંગ જાગ્યો કે આવું ગદ્યમાં તો ઘણા લોકોએ લખ્યું છે પણ કોઈએ પદ્યમાં લખ્યું છે? લખ્યું હોય તો કેવું? પણ એવા પદ્યને કવિતા તો ન કહેવાય એવી જાણ હોવા છતાં એ વિચારને અમલમાં મૂક્યો. ખૂબ જ અઘરું કામ હતું. ઘણો ઘણો સમય લાગ્યો. પણ છેવટે આપણા ગુજરાતી  બધા જ મૂળાક્ષરો પર એક કાલ્પનિક વાર્તા વિચારીને પદ્ય-રચના કરી. દા.ત. પહેલો અક્ષર ‘ક’ લઈએ તોઃ

    કોમળ કોમળ કરમાં કંગન,
    કંચન કેરા કસબી કંકણ;
    કંઠે કરતી કોકિલ કુજન,
    કુંવારી કન્યાના કાળજે કુંદન રીતે આખી પદ્યરચના..

    અને એ જ રીતે ‘ખ’ જેવાં અઘરાં અને ‘ણ, ળ, ક્ષ અને જ્ઞ જેવાં અશક્ય અક્ષ્રરો ઉપર પણ કામ કર્યું અને ‘ક થી જ્ઞ’ સુધીના તમામ અક્ષરો અંગે ‘શબ્દોને પાલવડે’ નું પુસ્તક પ્રગટ કર્યું.

    આ શબ્દ-સાધનાની સાથે સાથે કવિતાનો રિયાઝ પણ ચાલુ જ રહ્યો. આપણા થઈ ગયેલાં મહાન કવિઓની જીવનમાં પડેલી વધતી ઓછી અસરોને કારણે સર્જનાત્મકતા જાગતી જ રહી.

    એક સુંદર સવાર હતી. રૂપાળું પોતીકું grandchild ખોળામાં હતું, એનું હસતું વદન, બારીની બહારથી ઝરમરતો વરસાદ અને સામે તરતાં કમળનાં ફૂલોનું મનોહર દૄશ્ય જોઈને એક લયબધ્ધ ગીત લખ્યું. ‘શતદલ’ જેની લયાત્મકતા અને વ્રજભાષી ઝલક ઠેકઠેકાણે પોરસાઈ અને સ્વરબધ્ધ પણ થઈ. તે ઉપરાંત, કાવ્યસંગ્રહો, સંપાદનો, ઈપુસ્તકો અને પત્રલેખન; એમ કુલ ૧૦ પુસ્તકો પ્રકાશિત થયાં. આમ, લેખન સતત ચાલુ જ રહ્યું છે છતાં એમ લાગે છે જાણે કશું જ નથી લખ્યું. કોઈ એવા શબ્દની, અર્થની અને તત્ત્વની શોધમાં છું જે હજી મળ્યાં જ નથી.

    સમયની સાથે સાથે, સમયની બળવત્તતા વધુ સ્પષ્ટ રીતે સમજાય છે. કઈ કેટલાયે સર્જકોએ જુદી જુદી રીતે સમય વિશે આલેખન કર્યું છે. પણ સમયની અવિરત ધારા તો કેવી ગજબની વસ્તુ છે. આપણી નજર સામે જ પળપળ વીતે છે અને છતાં ક્યારે, કેવા અને કેવી રીતે ફેરફાર થયા કરે છે, ક્યાં ખબર પડે છે? એકાએક એક પળ યુગ બની બેસે છે!! વ્યક્તિગત સંઘર્ષોની વાત વિચારીએ કે લખીએ ત્યાં તો, ૨૦૨૦નું વર્ષ સૌને માટે મહામારીનું રહ્યું. આખી દુનિયાએ સહિયારો સંઘર્ષ વેઠ્યો જેની વાત લખ્યા વગર કેમ ચાલે?

    સાતસાત દાયકાથી જોવાતાં અને જીવાતાં બધાં જ વર્ષો કરતાં સાવ નોખું અને યાદગાર. આમ જોઈએ તો તો વર્ષ એક સમયનો હિસ્સો છે,એક ક્ષણનો કિસ્સો છે.એમાં વળી જુદું શું હોવાનું એવો પ્રશ્ન કોઈને પણ જરૂર થાય, પણ ૨૦૨૦નાં વર્ષની વાત તો એક ઐતિહાસિક ખેલ સમી સાવ અલગ જ રહી. વર્ષની શરૂઆતમાં માંડ નવા વર્ષને આવકાર્યું ત્યાં તો પૂર્વ દિશાથી કોરોનાનો કાળો કેર વિશ્વભરમાં વ્યાપી ચૂક્યો. માર્ચથી ડિસેમ્બર સુધીમાં શ્રીમતી કુન્દનિકા કાપડિયાથી માંડીને શ્રી જયંતભાઈ મેઘાણી સુધીના કંઈ કેટલાંયે સર્જકો ગુમાવ્યાં. એટલું જ નહિ, વિશ્વમાંથી વિદાય પામેલ માનવીઓનો આંકડો તો બે મિલીયન સુધી પહોંચી ગયો. કોને કોને, કેટકેટલું અને શું શું સંભારીએ?

    માણસજાતને કોરો ના રાખનારી આ શક્તિએ કોઈ ભેદભાવ રાખ્યા વગર, સમગ્ર વિશ્વને, મનુષ્ય માત્રને, એક જ પ્લેટફોર્મ પર મૂકી દીધાં. આખી  દુનિયાને એક જ ક્લાસમાં બેસાડીને એણે એકસરખું કેટ્કેટલું શીખવાડી દીધું? એવું અને એટલું બધું નવું કે જે આપણે કોઈ, ક્યારેય અગાઉ શીખ્યાં જ ન હતાં!!! પહેલું સુખ તે જાતે નર્યા. કેટલી જૂની અને અસલ વાત! જીવનની અમાનત મૃત્યુ છે એ જ સાચી અને પાકી ક્ષણ. શ્વાસ છે તો જ જીવન છે એ સાચું પણ શ્વાસ શુદ્ધ હશે તો જ જીવતર સાર્થક. બાકી તો બધું જ તસ્વીરમાં! વ્યક્તિ-સ્વાતંત્ર્ય ધરી બેઠેલા આ વિશ્વને બીજો એક મંત્ર, નવી રીતે મળ્યો અને તે ‘પરિવાર અને પ્રેમ’નો. સૌની સાથે રહેવાનો. સતત દોડતા રહેતા માણસના ખરા હુન્નરને બહાર આણનારો પણ આ શક્તિનો એક અલગ અંદાઝ. ટેક્નોલોજીનો યોગ્ય ઉપયોગ કેવો આશીર્વાદરૂપ છે તે દર્શાવવાની એક અનોખી રીત. આંતરદેશીય ટપાલોમાંથી બહાર આવેલો આજનો સીનીયર વર્ગ ‘વેબીનાર’ ને ‘ઝુમ’ની જરૂરિયાતને સમજતો અને ઉપયોગ કરતા શીખ્યો. વાહ! સ્વચ્છ અને સ્પષ્ટ  ‘વિઝન’ ૨૦૨૦.

    આજે વિશ્વ નાનુ થતું ગયું છે, પણ સાંકડું પણ થતું જાય છે. સાંકડું એ રીતે કે ટેક્નોલોજીએ અને એની ઝડપે માનવીય સ્પર્શ બુઠ્ઠો કરી નાંખ્યો છે. ફેસબૂકના ફળિયે, સેલ્ફીના સથવારે અને વોટ્સ-એપના વ્યવહારે સંવેદનાના તારોને શબવત્ કરી દીધા છે. આંગણાનાં દ્વાર પર ટકોરા મારીને આવનારા દોસ્તો અદૄશ્ય થયા છે! સાથે બેસીને સુખ-દુઃખની વાતો કરનારા લોકો (આપણા સહિત) હવે આધુનિક માધ્યમોમાં વ્યસ્ત થઈ ગયાં છે! છતાં માનવીને હવે એકલતા સતાવતી નથી. ટેક્નોલોજીએ એને ઘણા સહારા શોધી આપ્યા છે. પરિવર્તન આવકારદાયક જરૂર છે પરંતુ હકીકત તો હવે એ બની છે કે વ્યક્તિને માત્ર જાત સિવાય કશામાં રસ નથી, કોઈનામાં રસ નથી. મેઈલબૉકસમાં કોઈનો હાથથી લખાયેલો પત્ર મળે તો એક આશ્ચર્ય થાય છે! આ પ્રક્રિયાને શું કહીશુ? એના પરિણામને શું કહીશું? પ્રગતિ કે અધોગતિ? વિકાસ કે વિલાસ? કે આ ટેક્નોલોજીની બલિહારી ! એક ચિંતાજનક વાત છે.

    એક બીજો વિચાર એ આવે છે કે,  “વતનનો ઝુરાપો” ઘટી ગયો છે અથવા તો બદલાઈ રહ્યો છે એમ લાગે છે. તેની પાછળ  મુખ્ય કારણો કદાચ આ પ્રમાણે હશે.

    ૧. વતનનું  જે ચિત્ર મનમાં રાખીને આવ્યાં હતાં તે હવે લગભગ બદલાઈને ભૂંસાઈ ગયું છે. ખરેખર તો હવે ત્યાં પરદેશની અસરો વધુ દેખાય છે.

    ૨. હવે અહીં પણ ઉત્સવો અને ઉજવણીનો માહોલ વતન જેવો જ, કદાચ વધારે જોવા મળે છે.

    ૩. જોજનો દૂર લાગતુ વતન હવે નિકટ આવી ગયું છે, વિશ્વ હવે નાનું બન્યું છે. તેથી પણ વ્યક્તિ કે વસ્તુઓનો ઝુરાપો ઓસરતો ગયો છે, નહિવત્ રહ્યો છે.

    વતનની મમતા તો મા જેવી હોય જ. છતાં માશીના વ્હાલ સમી આ અમેરિકાની દુનિયાએ ઘણું ઘણું આપ્યું, શીખવ્યું અને પોતાની મેળે પગભર અને સધ્ધર થઈ શકાય છે એ પણ વ્યવહારું રીતે બતાવ્યું જ. તે ઉપરાંત સદીઓ જૂના વિચારોના સીમાડાઓને હટાવી દઈ સમજણ શક્તિની ક્ષિતિજો સતત વિકસાવી અને વિસ્તારી. જેમ જમીનમાં બીજ નાંખીને આપણને રોજ એનો વિકાસ જોવાનો આનંદ થાય છે તેમ માનવીનું સર્જન કરી, સર્જનહારને પણ આપણો વિકાસ જોઈને આનંદ જ થતો હશે ને? અને પ્રગતિને બદલે જો અધોગતિ જોતો હશે તો કેવું થતું હશે?

    આજે અને આવતીકાલે, સૌ કોઈએ શીખવાનું એ કે, પરિવર્તન સંસારનો અને કુદરતનો સનાતન નિયમ છે.પ્રત્યેક સમાજમાં પરિવર્તન સતત અને અવિરતપણે આવ્યા જ કરે છે. કેટલાંક જૂથ અને સમૂહોમાં પરિવર્તન ઝડપથી આવે છે તો વળી કેટલાક સમાજમાં ધીમેથી આવે છે, પણ ફેરફારો તો થયા જ કરે છે. તેથી એને સમજી, સ્વીકારી, યોગ્ય રીતે અપનાવવું એ જરૂરી જ છે.

    માનો યા ન માનો પણ પરિવર્તનથી સ્વભાવમાં અને આદતોમાં પણ flexibilityનો ગુણ કેળવાય છે. વળી આ પરિવર્તન આમ જોઈએ તો વિજ્ઞાને કરેલી રચનાત્મક શોધ અને સિદ્ધિને જ આભારી છે ને? બદલાતાં જવું, વિકસતાં જવું અને વિસ્તરતાં રહેવું એ પ્રકૃતિ  શીખવે છે, જિંદગીની હરપળ શીખવે છે. નિજીકથાના આ અધ્યાયોમાંથી ન જાણે કેટલીયે કણિકાઓ ઝગમગી ઊઠશે?


    ક્રમશઃ

  • શિવા- એક સામાન્ય છતાં અસામાન્ય નારી

    આશા વીરેન્દ્ર

    હજી ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૫, શિવાનીના જન્મદિને પ્રકાશિત થયેલું પુસ્તક ‘શિવા’ (દાંપત્યજીવન અને પત્રકારત્વના  તાણાવાણાથી ગુંથાયેલી અનુભૂતિ કથા) હમણાં જ એકી બેઠકે વાંચીને પૂરું કર્યું. વાંચીને પુસ્તક ભલે બાજુ પર મૂક્યું પણ શિવાનીએ એવો તો મનનો કબજો લીધો કે, આખું પુસ્તક, એમાંની એક એક ઘટના ‘એક્શન રીપ્લે’ ની માફક મનમાં ભજવાવા લાગી. જાંબાઝ અને નીડર પત્રકાર પ્રશાંત દયાળે એટલી તો નિખાલસતા અને પારદર્શકતાથી  આલેખન કર્યું છે કે, આજના સમયમાં પણ કોઈ ઢાંકપિછોડા કે છોછ વિના ‘જેવા છે તેવા’ દેખાનાર લોકો પણ છે એ વાતની નવાઈ લાગે! ‘સાર્થક’ પ્રકાશને જો આ પુસ્તક પ્રકાશિત ન કર્યું હોત તો એક સાચુકલા માણસને ઓળખવાથી આપણે સૌ વંચિત રહી જાત.

    ૧૬૫ કરતાંય ઓછાં પૃષ્ઠોમાં એમણે પોતાનાં નાનપણથી અત્યાર સુધીનાં જીવનનો, પોતાને આવી મળેલાં પાત્રોનો એવો તો બખૂબી ચિતાર આપ્યો છે કે, વાચકના સ્મૃતિપટલ પર બધું કાયમ માટે અંકિત થઈ જાય. ઉઘડતે પાને ‘જન્મદિવસની ભેટ’ શીર્ષક હેઠળ પ્રશાંત દયાળે જે પહેલું જ વાક્ય લખ્યું છે કે, ‘શિવાની મારી પહેલાં જશે , તેવો અણસાર અમને બંનેને હતો.’ એ વાંચીને આ પુસ્તકનો અંત શું હશે એ તો સમજાઈ જ જાય છે. પહેલેથી અંત ખબર હોય છતાં છેક સુધી કોઈ પુસ્તક તમને જકડી રાખે એવું ભાગ્યે જ બનતું હોય છે.

    એમના જીવનમાં શિવાનીનાં આગમન પહેલાંના પ્રશાંતભાઈ વિશે વાંચ્યા પછી જેમ જેમ આગળ વધતી ગઈ એમ વિચાર આવતો હતો કે, પુરાણોમાં જેમ વાલિયામાંથી વાલ્મીકિ બન્યાની કથા આવે છે એમ આ સાંપ્રત સમયમાં શિવાનીએ ખરેખર એ કમાલ કરી બતાવી. પ્રશાંતની પોતાની લગ્ન ન કરવાની જીદ છતાં ‘આઈ’ને ખાતર પરાણે શિવાનીને (પિયરમાં એનું નામ પ્રવીણા હતું) જોવા ભરૂચ એના ઘરે જવું પડે છે ત્યારે એની પાસે જ ‘ના’ કહેવડાવવા  પોતે દારૂ, ચરસ, ગાંજો લેતા હોવાની અને માંસ, મદિરા ગમતા હોવાની વાત કરે છે. એની ધારણાથી વિપરિત શિવાની કહે છે, “મને વાંધો નથી.” લગ્ન કરવા માટે પણ  પ્રશાંત શરતો મૂકે છે. એ વાંચતી વખતે થાય કે, હમણાં શિવાની ના કહી દેશે પણ બધું મંજૂર રાખીને એ આ માથાફરેલ, બરછટ અને ઉદ્દંડ માણસ સાથે પરણવા તૈયાર થઈ ત્યારે આશ્ચર્ય થાય કે, આ મુફલિસ દેખાતી વ્યક્તિની ભીતરની તાકાત એણે કેવી રીતે પારખી લીધી હશે? બાકી પ્રશાંત પોતે જ કહે છે કે, ‘મને આખો નિચોવી નાખો તોય તેમાંથી પ્રેમનું એક ટીપું પણ ન નીકળે!’ આવા માણસ માટે  એ શી રીતે ‘મૈં તો ચૂપચૂપ ચાહ રહી’  એવું અનુભવી શકી હશે?

    લગ્ન પછી આઈ-બાબાના આગ્રહથી શિવાની સાથે ફરવા જવા નીકળવું પડ્યું ત્યારે શિવાનીએ ‘કપડાં બદલો તો સારું’ એમ કહીને પ્રશાંતની નીચેથી થોડી ફાટેલી પેંટ તરફ ઈશારો કર્યો ત્યારે આ ફાટેલ મગજના પતિએ અંદર જઈને જીન્સની પેંટ કાપીને ચડ્ડી બનાવીને પહેરી ને પત્નીને કહ્યું કે, હું આમ જ આવીશ. પતિની આવી બધી વિચિત્રતાઓ સામે શિવાની શાંતિથી, અડગતાથી ઊભી રહી. વર્ષો વીતવા સાથે પ્રશાંતને પત્નીની આંતરિક સૂઝ અને હિંમતનો જેમ જેમ પરિચય મળતો ગયો એમ એનું આશ્ચર્ય અને અહોભાવ વધતાં ગયાં. જ્યાં કંઈક ખોટું દેખાય ત્યાં પંગો લેવાની આ પત્રકારની આદતને કારણે અનેક મુશ્કેલીઓ આવી પણ ઠંડી તાકાતથી શિવાનીએ જે રીતે સામનો કર્યો એ જાણીને વાચક પણ નવાઈ પામી જાય. તેથી જ તો પ્રશાંત ગર્વથી કહે છે કે,’ મને સતત વધુ સારો માણસ બનાવવાની પ્રક્રિયાની તે મુખ્ય હિસ્સેદાર હતી.’ વળી બીજી એક જગ્યાએ એ કહે છે કે, ‘મારા જીવનમાંથી શિવાની કાઢી નાખો તો મારો ગ્રાફ ૯૦ % નીચો જતો રહે.’

    પ્રશાંત અને શિવાની દયાળ
    તસવીર – નેટ પરથી

    પ્રશાંત ‘સંદેશ’ માં કામ કરતા હતા ત્યારે એમની લખેલી સ્ટોરીને કારણે કોઈ એક સમાજ નારાજ થઈને એટલો ઉશ્કેરાયેલો કે એમના વિરોધમાં અમદાવાદના આશ્રમ રોડ પર મોટી રેલી નીકળેલી. ત્યારે તો ઘરે લેંડલાઈન ફોન જ હતો. એની પર ધમકી આપતા નનામા ફોન આવવા લાગેલા. ફોન પર શિવાનીને કોઈએ કહ્યું, ‘અમે તારા ઘરવાળાને મારી નાખીશું.’ ત્યારે શિવાનીએ જવાબ આપેલો કે,’ એ માટે તો તમારે મારા ઘરે આવવું પડશે. ચાલો, મારું એડ્રેસ લખી લો.’ જે સાવ ગભરુ અને ડરપોક લાગતી હતી એ પત્નીના આવા સોંસરવા જવાબ પછી તો માત્ર પ્રશાંત જ નહીં આડોશી પાડોશી પણ એની પર આફરીન થઈ ગયેલા. ધીમે ધીમે કરતા એ પતિની કરોડરજ્જુ બની ગયેલી. એણે પતિને જરાય ડગમગવા ન દીધો. પ્રશાંતના બેબાક પત્રકારત્વ અને તેજાબી લખાણોને કારણે લટકતી તલવાર જેવી પરિસ્થિતિ તો જાણે કાયમી બની ગઈ હતી પણ એવી દરેક વેળાએ મજબૂતીથી પતિનો હાથ પકડી એ કહેતી, ‘ચિંતા કરતા નહીં. તમને કંઈ થશે નહીં અને કદાચ થાય તો પણ બાળકોને હું મોટા કરીશ.’ એનાં દુબળા-પાતળાં દેહમાં સર્જનહારે આટલું મજબૂત હૈયું મૂકીને ખરેખર કમાલ કરી કહેવાય!

    દીકરો આકાશ અને દીકરી પ્રાર્થના હજી તો સાવ નાનાં હતાં ને શિવાનીને બ્રોંકાઈટીસ લાગુ પડ્યો. સમયની સાથે સાથે રોગે પોતાનો પંજો પસારવા માંડ્યો અને જ્યારે હરવા-ફરવાની અત્યંત શોખીન શિવાનીના અરમાન પૂરા કરવા જેવી આર્થિક સધ્ધરતા આવી ન આવી ત્યાં તો દિવસે દિવસે રોગ આ દુર્બળ કાયા છતાં પોલાદી મનોબળ વાળી સ્ત્રીની ફરતે ભરડો લેવા લાગ્યો. માત્ર પચીસ વર્ષના ઉબડ-ખાબડ રસ્તાઓ પર ચાલીને સમથળ માર્ગ પર ડગ માંડી રહેલા  દાંપત્યજીવન પછી વિદાય લઈ રહેલી શિવાને છેલ્લી ઘડીએ પ્રશાંતે કહેવું પડે છે કે, ‘મને તારી ખૂબ જરૂર છે. તારી વગર એકલો થઈ જઈશ એ પણ મને ખબર છે. છતાં હું તને મુક્ત કરું છું. તું પણ હવે મને મુક્ત કર.’ કેવા કકળતા હૈયે એમણે આ કપરી વિદાય આપી હશે એની કલ્પના કરતા પણ ધ્રૂજી ઉઠાય છે.

    પુસ્તકને અંતે પત્નીને સંબોધીને પ્રશાંત કહે છે, ‘મને તે કહેવામાં જરા પણ સંકોચ નથી કે, શિવા! મને તારા વગર ગમતું નથી અને હું એકલો પડી ગયો છું.’

    એક સમયના સંવેદનહીન માણસની સંવેદનથી ભીની ભીની કલમથી અવતરેલું આ પુસ્તક વાંચતાં ભાગ્યે જ કોઈ પોતાની આંખો અને મન પર કાબુ રાખી શકે.

    પુસ્તકનું નામ: શિવા.

    લેખક; પ્ર્રશાંત દયાળ.

    પ્રકાશક: સાર્થક પ્રકાશન | મો. નં. 98252 90796

    કિંમત: રૂ. 200


    સુશ્રી આશાબેન વીરેન્દ્રનો સંપર્ક avs_50@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • કામના કલાકો વધે, ઉત્પાદન વધે, કામદારો ઘટે

    નિસબત

    ચંદુ મહેરિયા

    સિનેતારિકા દીપિકા પદુકોણે દીકરીના જન્મ પછી તેની દેખભાળમાં વધુ સમય આપી શકાય એટલે ફિલ્મોના શુટિંગ માટે આઠ કલાકની વર્કશિફટની માંગણી કરી હતી. પરંતુ  જે નિર્માતાઓને તે મંજૂર નહોતું  તેમની ફિલ્મો દીપિકાએ છોડવી પડી છે. ફિલ્મ ઉધ્યોગમાં આઠ કલાકની પાળી માંગનાર દીપિકાને અનપ્રોફેશનલ ગણવાયા હતા. જ્યાં આઠ કલાકની પાળી પ્રથા અસ્તિત્વમાં છે તેવા સતત પ્રક્રિયા ધરાવતા ઉધોગો અને અન્ય વ્યવસાયોમાં અનેક રાજ્યોએ તાજેતરમાં બાકાયદા કામના કલાકો વધારી દીધા છે. ગુજરાતમાં તો કામના કલાકો હવે એક પાળીમાં બાર કરવામાં આવ્યા છે. પહેલા વટહુકમ અને પછી અતિ ટૂંકા વર્ષા સત્રના છેલ્લા દિવસે ગુજરાત વિધાનસભાએ ફેકટરી અધિનિયમ ૧૯૪૮માં સુધારા કર્યા છે. જે રાજ્યના શ્રમ કાયદા અને નીતિમાં નોંધપાત્ર પરિવર્તન આણનારા છે.

    સતત પ્રક્રિયા ધરાવતા ઉધ્યોગો, કારખાના, ખાનગી કંપનીઓ, મનોરંજનના સ્થળો, દુકાનો , હોટલો અને બીજા વ્યવસાયોમાં દૈનિક કામના કલાકોમાં મોટો વધારો કરનારું ગુજરાત એકમાત્ર રાજ્ય નથી. મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, ગોવા, તેલંગાણા અને ઓડિશા સરકારોએ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ  તથા ફેકટરી વર્કર્સના કામના કલાકો જે વરસોની શ્રમિક લડતો પછી આઠ મેળવ્યા હતા તેને વધારીને દોઢા કરી દીધા છે. કામના કલાકોમાં વૃધ્ધિ કરનારમાં ભાજપ, કોંગ્રેસ જેવા રાષ્ટ્રીય પક્ષોની રાજ્ય સરકારો પણ છે અને નાના-મોટા પ્રાદેશિક પક્ષોની સરકારો પણ છે.

    ગુજરાત અને બીજા રાજ્યોના શ્રમ કાયદાના વર્તમાન સુધારામાં  બાર કલાકની પાળીની સતત  પ્રક્રિયા ધરાવતા ઉધ્ધોગો અને બીજા વ્યવસાયોને પરવાનગી આપતી જોગવાઈ છે. ત્રણ મહિને ૧૨૫ કલાકના હાલના ઓવરટાઈમને વધારીને ૧૪૪ કલાક કરવામાં આવ્યા છે. બાર કલાકની શિફટ હોય તો પાંચ ને બદલે છ કલાકે કામદારોને રિસેસ મળશે તેવી જોગવાઈ છે. મહિલાઓને રાત પાળીમાં કામ કરવાની પણ જોગવાઈ કાયદો કરે છે.

    સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

    શ્રમ સુધારામાં કેટલીક મહત્વની શરતો છે. જેમ કે બાર કલાક કામ માટે કામદારની સંમતિ લેવી આવશ્યક છે. મહિલાઓને રાતપાળીમાં કામ કરાવવા માટે વર્કપ્લેસને સુરક્ષિત અને સીસીટીવીથી સજ્જ રાખવા, સલામત પરિવહનની વ્યવસ્થા કરવા તથા સતત ચાર દિવસ ૧૨ કલાક કામ કરનારને  બે દિવસની રજા આપવાની પણ શરત છે. જોકે આ તમામ બાબતો તેના અમલીકરણના તબક્કે પોકળ સાબિત થતી હોય છે. કામદારોને નોકરી છૂટી જવાનો ડર એટલો બધો હોય છે કે તેઓ માલિકો ઈચ્છે તેવી સંમતિ આપતા હોય છે.

    કામના કલાકો અને ઓવરટાઈમમાં વૃધ્ધિ સાથે મહિલાઓને રાતપાળીમાં કામ કરવાની છૂટ આપતા હાલના કાયદા કે કાયદામાં સુધારાના ઉમદા ઉદ્દેશો વર્ણવવામાં આવી રહ્યા છે. ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસની નીતિને પ્રોત્સાહન, ઉધ્ધોગો માટે રોકાણ આકર્ષવું, કામદારોની અછતનું નિવારણ, ઉધ્ધોગોના સંચાલનમાં લવચીકપણું આણવું, ઉત્પાદનમાં વધારો કરવો, નવા રોજગારનું સર્જન અને આર્થિક વિકાસને વેગના હેતુથી આ કાયદા, નીતિ કે સુધારા થયા હોવાનો સરકાર પક્ષનો દાવો છે.

    કામદાર-કર્મચારી મંડળો ભલે આ સુધારાઓને તેમના હિત વિરોધી અને મૂડીપતિઓના લાભાર્થે થયેલા ગણાવે સરકારો તો તેને  શ્રમિકોના અધિકારોનું રક્ષણ, ઓધ્યોગિક નિયમોને વધુ સરળ અને કામદારોને અનુકૂળ બનાવવા, ઘણા ઉધ્યોગો અને ધંધાઓમાં આમેય કામદારો પાસે બારબાર કલાકનું વૈતરું ઓછા પગારમાં કરાવાય છે ત્યારે આ સુધારો તેમના વેતનમાં વધારા માટે અને સરવાળે તેમના લાભમાં ઘડાયાનું ગાણું ગાવા સાથે તે આંતરરાષ્ટ્રીય માપદંડો સાથેના જોડાણનો હેતુ ધરાવતા હોવાનું કહેવાનું પણ ચૂકતા નથી.

    મહિલાઓને રાત્રે કામ કરવાની મંજૂરી મળે તે પહેલી નજરે મહિલા સમાનતાની દ્રષ્ટિએ પ્રગતિશીલ પગલું લાગી શકે છે.પરંતુ તે વાસ્તવિક કેટલું છે તેવો સવાલ પણ થાય છે. ફેકટરી એક્ટ ૧૯૪૮માં જેમ મહિલાઓ માટે રાતપાળીમાં કામ કરવું પ્રતિબંધિત છે તેમ જોખમી અને ભારે શ્રમના કામો પણ પ્રતિબંધિત છે. એટલે જ્યારે મહિલાઓ માટે રાતપાળીમાં કામ કરવાની મંજૂરી મળે છે ત્યારે બાકીના પ્રતિબંધો પણરહેતા ન હોય તેમ બનશે. પુરુષોની તુલનામાં મહિલાઓને ઘરના કામનો અનેક ગણો બોજો ઉઠાવવાનો હોય છે એટલે તે દિવસે ઘરના, ખેતરના, પતિ, બાળકો, વડીલોની સંભાળના કામો કરે અને રાત્રે કારખાનામાં કામ કરે તો તેના માથે બેવડો બોજો આવશે.

    આંતરરાષ્ટ્રીય શ્રમ સંસ્થાન (આઈએલઓ) આઠ કલાક કામ, આઠ કલાક આરામ અને આઠ કલાક કુટુંબ-સમાજ માટે તેમ ગણીને રોજના આઠ જ કલાકના કામને માન્ય ગણે છે. હાલ જે બાર કલાકની કામની પાળી નિર્ધારિત કરી છે તે કામદારો-કર્મચારીઓના શારીરિક, માનસિક અને કૌટુંબિક સ્વાસ્થ્ય માટે નુકસાન કારક છે. ગરીબ શ્રમિકો બે છેડા ભેગા કરવા વધુ કલાકો કામ કરશે તો ખરા પણ તે તેના આરોગ્યના ભોગે જ હશે. નિ:શંક ઉત્પાદનમાં વધારો થશે પણ તે નવા રોજગારનું સર્જન કરશે તેવા સરકારી દાવા સાચા નહીં ઠરે. જો હાલનો કામદાર બાર કલાક કામ કરવાનો હોય તો નવા ને માટે કોઈ તક રહેતી નથી.એટલે રોજગાર સર્જનનો દાવો ખોટો છે. ઉપરથી જો કામદારો બાર કલાક કામ કરે તો ત્રણને બદલે બે પાળી જ ચાલશે તેથી એક પાળીના કામદારોને બેકાર થવાનો વારો આવશે એટલે કામનાકલાકોની વ્રુધ્ધિ કામદારોમાં ઘટાડો અને ઉત્પાદનમાં વધારો બનશે.

    કેન્દ્ર સરકારની શ્રમસંહિતા અને ગુજરાત સરકારે ૨૦૧૫માં મજૂર કાયદામાં કરેલા સુધારા પછી હાલના કાયદાથી કામદારોમાં વધુ નિરાશા સર્જાઈ શકે તેમ છે. ૨૦૧૫માં લઘુતમ વેતનના ભંગને સજાપાત્ર ગુનામાંથી મુક્તિ આપવામાં આવી છે. હવે કામના કલાકોમાં વૃધ્ધિ માલિકોને વધુ મનમાની કરાવશે અને કામદારોનું શોષણ થશે. અઠવાડિક ૪૮ કલાકના કામના વૈશ્વિક માપદંડને બદલે ભારતનો કામદાર કાયદેસર ૬૦ કે ૭૨ કલાક કામ કરશે.

    ઈન્ફોસિસના ચેરપર્સન નારાયણ મૂર્તિ અને એલ એન્ડ ટીના એમ એન સુબ્રમણ્યમે કામદારો-કર્મચારીઓને અઠવાડિયે તેમની જેમ ૭૦ થી ૯૦ કલાક કામ કરવા સૂચન કર્યું હતું.  બેંગલુરુની મોબાઈલ ગેમિંગ એપ બનાવનારી એક કંપનીના સહસ્થાપક મોહન કુમારે તો તેમની કંપનીમાં બધા રોજ બાર કલાક કામ કરતા હોવાનું એક્સ( કે ટ્વીટર) પર જાહેર કર્યું છે. એટલે કામના કલાકોની વર્તમાન વૃધ્ધિ કેટલી કામદારોના હિતમાં છે અને કેટલી ઉદ્યોગપતિઓના હિતમાં છે તે વિચારણીય મુદ્દો રહે છે.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

     

     

  • સંસ્પર્શ- ૧૭

    ધ્રુવ ભટ્ટની નવલકથાઓ પર સ્વ- અનુભૂતિની લેખશ્રેણી

    જિગીષા દિલીપ

    આપણા વેદો, ઉપનિષદો,પુરાણો તેમજ મહાભારત,રામાયણ જેવા મહાકાવ્યોમાં આપણા સંસ્કાર અને સંસ્કૃતિનો વારસો ઠસોઠસ ભરેલો છે.આપણે તેને પૂરેપૂરી રીતે અભ્યાસ કરી સમજીએ તો તેમાંથી આપણે ,ખરેખર આપણી સંસ્કૃતિની અદ્ભુત વાતો જાણી શકીએ. ધ્રુવદાદાએ ‘પ્રતિશ્રુતિ’ નવલકથામાં મહાભારતનાં ઊંડાં અભ્યાસ સાથે મહાભારતનાં જાણીતા પાત્ર ભીષ્મપિતામહને રજૂ કરતી સુંદર નવલકથા લખી છે.

    ભીષ્મપિતામહ અંગેની સામાન્ય વાતો સૌ કોઈ જાણે છે.ભીષ્મપિતામહે પ્રતિજ્ઞા કરી હતી કે તે આખું જીવન કુંવારા રહેશે અને હસ્તીનાપુર અને તેની પ્રજાનું રક્ષણ કરશે.ભીષ્મપિતામહે પોતાના પિતાનાં લગ્ન સત્યવતી સાથે કરાવવા સત્યવતીનાં પિતાની ઈચ્છા મુજબ,સત્યવતીનો પુત્ર જ ભવિષ્યમાં હસ્તિનાપુરનો રાજગાદીનો વારસ બને તે શરત મંજૂર રાખી હતી. આ શરતનું પાલન કરવા તેઓ આજીવન કુંવારા રહ્યા અને આવી પ્રતિજ્ઞા પિતા માટે લેનાર દેવવ્રતમાંથી ભીષ્મ કહેવાયા. આ વાત તો સૌ કોઈ જાણે છે.

    પરતું દેવવ્રતે ખરેખર આ પ્રતિજ્ઞા કેમ લીધી હતી ? તે કારણ તો કોઈ જાણતું નથી.આપણે સૌ ,આપણા શાસ્ત્રો, ગ્રંથો, પુરાણો કે ઉપનિષદોની કહી સુની વાતો સાંભળીને આગળ વધી જઈએ છીએ. તેનો અભ્યાસ કે મૂળ ગ્રંથને વાંચવાં કે સમજવા ક્યારેય કોશિશ કરતાં નથી. ધ્રુવદાદાએ પ્રતિશ્રુતિ નવલકથાની શરુઆતમાં જ ભીષ્મ કોણ હતાં? તેમણે આ ભીષ્મ પ્રતિજ્ઞા કેમ લીધી ? તેનાં સૌ પૌરાણિક પરીમાણોની વાત કરી છે તે ખૂબ રસપ્રદ છે.

    વસિષ્ઠ મુનિની પ્રિય કામધેનુ ગાય નંદિનીની ચોરી કરવા ઈન્દ્રનાં સાત વસુઓ જાય છે. અને દેવોના વસુ હોવા છતાં મનુષ્ય જેવું ચોરીનું કર્મ કરતા, વસુઓને વસિષ્ઠ મુનિના શ્રાપના ભોગ બનવું પડે છે. તેમને પૃથ્વી પર મનુષ્ય યોનીમાં અવતરવું પડે છે. આ વસુઓને પૃથ્વી પર અવતરી મનુષ્યનાં કર્મો કરવા નહોતા, તેથી તેઓ ત્રિપથગામિની ગંગા પાસે જાય છે. ગંગાને વિનંતી કરે છે કે ,મા તું ,કોઈ રસ્તો બતાવ કે અમારે મનુષ્ય અવતાર લઈ પૃથ્વી પર જન્મ ન લેવો પડે. ગંગાને વસુઓ કહે છે કે ‘અમે તારા પુત્ર થઈ જન્મ લઈએ અને તું જન્મતાની સાથે જ તારા પ્રવાહમાં અમને વહાવી દે.’ ગંગા કહે છે ‘શ્રાપ વસિષ્ઠ મુનિએ આપ્યો છે ,તેનું નિવારણ હું ન કરી શકું.’

    ’છેવટે વસુઓ કહે છે,”અમારા દરેકનો એક અંશ લઈને એક આઠમો વસુ આપનો પુત્ર બની જન્મ લેશે અને તે પૃથ્વી પર મનુષ્ય અવતારમાં જીવન જીવશે. અમારા સૌનો એકએક અંશ હોવાથી બધાંને લાગેલો શ્રાપ તે અંશ પણ ભોગવશે એટલે ઋષિ વસિષ્ઠનો શ્રાપ પણ ભોગવ્યો ગણાય”.

    આ સાત વસુઓનાં અંશ સાથેનો ગંગાનો પુત્ર તે દેવવ્રત – ભીષ્મ. એમણે આજીવન કુંવારા રહેવાની પ્રતિજ્ઞા કરી કારણ તેમને વંશવેલો વધારી પૃથ્વી પર મનુષ્ય અવતારે ફરી અવતરવું નહતું.

    નવલકથાની શરુઆતમાં જ દાદાએ ભીષ્મ જન્મની રહસ્યમય વાત ગંગા અને વસુઓના સંવાદમાં વણી લીધી છે. ગંગા અને વસુઓના સંવાદમાં “વત્સ,પ્રકૃતિનું સર્જન જીવન કાજે કરાયું છે, મૃત્યુ તો નવસર્જન અર્થે પ્રકૃતિએ મૂકવું પડ્યું છે” જેવા અનેક સુંદર સંવાદો રચી જીવનરહસ્યો ઉકેલ્યા છે તે સંવાદો વાંચવા અને પૌરાણિક માહિતી વિગતે જાણવા આ નવલકથા જ વાંચવી પડે.

    આવા જ માણસોનાં રહસ્યો ઉકેલતું સુંદર ધ્રુવગીત લઈને પણ આવી છું.ચાલો સાંભળીએ.

    માણસને જરા ખોતરો,ને ખજાનો નીકળે,
    સાચવીને સંઘરેલો એક જમાનો નીકળે.

    જાણે કશે આખી જિંદગી જીવતી દટાએલી,
    થાય બેઠી,બસ એક જણ પોતાનો નીકળે.

    જરૂરી નથી કે સીધા દેખાતાં જ સારા હોય,
    કદી કોઈ અડીયલ પણ મજાનો નીકળે.

    ઘા બધે જ મળે છે ચાહે ગમે તેને ખોતરો,
    કદી બહાર કદી અંદર ,નિશાનો નીકળે.

    કંઈ જ નક્કી નહીં આ તો માણસ કહેવાય,
    બહારથી પોતાનો ,અંદરથી બીજાનો નીકળે.

    એક સીધા સાદા ગીતમાં દાદાએ મનુષ્યનાં સ્વભાવની સચ્ચાઈ રજૂ કરી દીધી છે. કોઈ પણ માણસ સાથે તમે જરા હમદર્દી સાથે જીવનની ચર્ચા શરુ કરો કે તે તમને તેની આખી જીવન કથની સંભળાવી દેશે. તેના જીવનનાં કેટલાય દટાયેલ રહસ્યો સહેજ પ્રેમ કે સહાનુભૂતિ બતાવતાં જ છલકી જાય છે. તેને બસ, પોતાનાપણાનો અનુભવ થવો જોઈએ. આગળ દાદા ખૂબ સરસ વાત કરે છે કે બધાં બહારથી સારા દેખાતા લોકો અંદરથી પણ સારા હોય તેવું હંમેશા નથી થતું. કોઈવાર બહારથી અડીયલ દેખાતો માણસ પણ ક્યારેક મજાનો નીકળતો હોય છે.

    છેલ્લે દાદા કહે છે માણસને ખોતરીએ ત્યારે ક્યાંક ઘાનાં ઉઝરડા બહાર ન દેખાતા હોય પણ અંદરથી ઘવાયેલો હોય! અને માણસનાં રહસ્યમય સ્વાર્થી સ્વભાવને વર્ણવતા દાદા કહે છે કે બહારથી તમને પોતાનો લાગતો માણસ ક્યારેક અંદરથી બીજાનો પણ નીકળે! આમ માણસના રહસ્યમય સ્વભાવ પર સરસ કટાક્ષ કરતું ગીત રમતું મૂક્યું છે.

  • ગીતબિતાન (“Garden of songs”) গীতবিতান – ૭

    રબીન્દ્રસંગીતમાં છલકાતી મેઘધનુષી સંવેદનાઓનું આચમન…

    નમસ્કાર મિત્રો,  “ગીતબિતાન” શ્રેણીમાં ફરી એક વાર આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે.

    Death is not extinguishing the light; it is only putting out the lamp because the dawn has come – Rabindranath Tagore

    જેમ મેં અગાઉ જણાવ્યું તેમ દરેક સામાન્ય વ્યક્તિની જેમ ગુરુદેવના જીવનકાળમાં પણ એક  કપરો કાળ આવ્યો કે જેનાથી તેમના જીવનની દિશા બદલાઈ ગઈ. જીવનમાં આવેલા  આ ઝંઝાવાતના લીધે  તેમનું  પરમાત્મા સાથેનું જોડાણ વધુ ઉત્કટ થયું.અને એ દિવ્ય શક્તિનું સતત સાનિધ્ય અનુભવવા લાગ્યા. ગુરુદેવે મૃત્યુને અતિ નિકટથી નિહાળ્યું હતું. ૧૪ વર્ષની કાચી ઉંમરે માતાને ગુમાવ્યા બાદ ગુરુદેવે લેખન અને કવિતા દ્વારા પોતાના હૃદયની સંવેદનાઓને કલમ દ્વારા કંડારવાની શરૂઆત કરી. પછીના બે દાયકા દરમિયાન, કવિવરના જીવનમાંથી એક પછી એક અંગત સ્વજનોની બાદબાકી થતી રહી અને ગુરુદેવ જીવનની ક્ષણભંગુરતા અને મૃત્યુની મહાનતાને વધુને વધુ નિકટથી નિહાળતા ગયા અને સમજતા ગયા. અને એ સમજણને કવિતાઓ દ્વારા પ્રગટ કરતા ગયા…આવી જ કોઈ સમજણને પ્રગટ કરતી એક રચનાને  આજે આપણે જાણીશું અને માણીશું.  જીવન અને મૃત્યુના અફર સત્યને ઉજાગર કરતી આ રચનાનું સર્જન કવિવરે 1903માં તેમના પત્ની મૃણાલિની દેવીના દેહાંત પછી કરેલ હતું.

    પૂજાપારજોયમાં(વિભાગમાં) અને “આશ્વાસ” ઉપ પારજોય માં વર્ગીકૃત થયેલી આ રચનાનું શીર્ષક છે “আছে দুঃখ আছে মৃত্যু” (Achhe Dukkho Achhe Mrityu) જેનું ભાવાત્મક અનુવાદિત શીર્ષક છે ” વિષાદ અને આનંદ…   ”. આ રચના રાગ જોગીયા અને લલિત એમ મિશ્ર રાગ પર સ્વરબધ્ધ થયેલી છે અને તેને એકતાલ તાલમાં તાલબદ્ધ કરવામાં આવેલ  છે.

    મેં આ રચનાનોગુજરાતીમાં પદ્યસ્વરૂપે ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયત્ન કર્યો છે તે દ્વારા આપણે આરચનામાં રહેલી સંવેદનાઓમાં ભીંજાવાનો પ્રયત્ન કરીશું.

    વિષાદ અને આનંદ… 

    વિષાદ અને વિદાયના વમળોની વચ્ચે પણ 
    આશાનો ટચુકડો દીવો પ્રજ્વલિત જણાય છે  

    મૃત્યુની કાલિમાના અંધકારની મધ્યમાં પણ 
    જીવનધારાનો ધબકાર સતત અનુભવાય છે

     ચોમેર શોકના વિશાળ સાગરની મધ્યે પણ
    વાસંતી ફૂલો થકી મેઘધનુષના રંગો પ્રસરાય છે

     ભરતી અને ઓટની આવનજાવન વચ્ચે પણ 
    સૂર્ય-ચંદ્રનો નિરંતર ઉદય અને અસ્ત થાય છે 

    પાનખરમાં એકલું-અટુલું થયેલું પેલું વૃક્ષ પણ 
    વસંતમાં અચૂક જ ફરી નવપલ્લવિત થાય છે 

    ચાલ્યા જ કરે છે જીવન કેરું ચક્ર સતત નિરંતર
     એ ચક્ર કેરી ગતિમાં તારી અકળ ગતિ કળાય છે

     કરી આ  આતમને તારા અસ્તિત્વમાં એકાકાર
     સત-ચિત્ત-આનંદની અનહદ અનુભૂતિ થાય છે 

    ©અલ્પા શાહ

    વિષાદ અને આનંદ… સિક્કાની બે બાજુ…આનંદની હેલી અને વિષાદના વમળો એ બંનેની હાજરી સિવાય જીવન શક્ય જ નથી.  અને એ શાશ્વત સત્ય જાણવા છતાંય સ્વીકારવું ઘણી વાર અઘરું હોય છે…પોતાની પત્નીના દેહાંત પછી રચેલી આ રચનામાં કદાચ કવિવરે પોતે પોતાના મનને સમજાવવાનો પ્રયત્ન કર્યો હોય તેમ લાગે છે .અને રચનાના અંતમાં કવિવરે જીવ માટે સત્ત-ચિત્ત-આનંદ પ્રાપ્તિનો જે એકમાત્ર માર્ગ છે તે તરફ અંગુલિનિર્દેશ કર્યો છે.

    મનોવૈજ્ઞાનિક સંશોધન પ્રમાણે, મૃત્યુ એ મનુષ્યના ભય અને વિષાદનું  સૌથી  મોટું કારણ છે. આમ તો દરેક જીવ માટે જન્મ અને મૃત્યુએ બેજ જીવનના સાશ્વત સત્ય છે અને આ બે સાશ્વત સત્યોના છેડા વચ્ચે વહી જતી પળો એજજિંદગી…   પણ છતાંય every living entity has inherent instinct for survival. શ્રીમદ્દ ભગવદ્ ગીતામાં પણ ભગવાને સ્વયઁ જીવન અને મૃત્યુની સાશ્વતતાને પ્રગટ કરતા કહ્યું છે કે

    जातस्य हि ध्रुवो मृत्युर्ध्रुवं जन्म मृतस्य च |
    तस्मादपरिहार्येऽर्थे न त्वं शोचितुमर्हसि || 27||

    જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે એટલે મૃત્યુનો શોક કરવો વ્યર્થ છે. જીવનચક્ર એટલે કે Life Cycle. આ સૃષ્ટિનું નિર્માણ થયું ત્યારથી અનેકવિધ જીવોનું જીવનચક્ર ચાલતું આવ્યુંછે. આ જીવનનુંચક્ર આપણા જન્મ પહેલા પણ ચાલતું હતું અને આપણા મૃત્યુ પછી પણ ચાલતુંજ રહેવાનું..

    પાંચ વર્ષ પહેલા ૨૦૨૦માં માર્ચના બીજા અઠવાડિયામાંજ સમગ્ર વિશ્વમાં કોરોનાની  મહામારીની  શરૂઆત થઇ હતી. સમગ્ર માનવજાતિને ભરડામાં લેનાર આ મહામારીએ અમીર-ગરીબ, રાજા-રંકને સમતળ લાવીને મૂકી દીધા હતા. આ બે વર્ષ દરમિયાન કોરોના એ માનવજાતિએ પાસેથી ઘણું બધું છીનવ્યું.  ઘણા બધા કુટુંબોએ તેમના સ્વજનોને કોરોના થકી ગુમાવ્યા જેની ખોટ કોઈ કાળે પૂરી નહિ થઇ શકે… પણ કવિવરે આ રચનામાં  જેમ દર્શાવ્યું છે તેમ આ વિષાદના અંધકાર વચ્ચે પણ જીવનતો સતત ધબકતું જ રહેવાનું… આપણી ઇચ્છાએ કે અનિચ્છાએ જીવનની ધારા તો વહેતી જ રહેવાની … સમયના અવિરત ચક્રની સાથે આ જીવનચક્ર તો સદાકાળ ચાલતું જ રહેશે.

    આપણે સૌ જાણીએ છીએ કે દરેક શ્વાસે આપણા ભાગે લખાયેલા શ્વાસોમાંથી એક એક શ્વાસ ઓછો થાય છે. We are all travellers here and progressing towards our ultimate destination slowly and steadily with every breath we take.  માટે જ જેમ કવિવરે રચનાના અંતમાં જણાવ્યું તેમ, આ બાકી રહેલા શ્વાસોમાં અનંત સાથે એકાકાર થવાનો પ્રયત્ન કરી પરમાત્મા સાથે સાતત્ય અને સાયુજ્ય સાધીએ તેમજ કદાચ આ જીવનની ફલશ્રુતિ સમાયેલી છે. તેવું હું દ્રઢપણે માનું છું

    તો ચાલો, એ સત-ચિત્ત-આનંદ સ્વરૂપ પરમાત્માનું સ્મરણ કરતા કરતા હું મારી કલમને વિરામ આપું છું. આશા રાખું છું કે તમે પણ આ ગીતમાં રજુ થતી સંવેદનોની સરવાણીમાં ભીંજાયા  હશો. તમારા માર્ગદર્શન અને પ્રતિભાવોની અપેક્ષા સહ,

  • લોકકલાવિદ્‍ રામસિંહજી રાઠોડનું સંસ્કૃતિ ચિંતન

    કલાતીર્થ ટ્ર્સ્ટ દ્વારા કલા, કસબ અને સાંસ્કૃતિક વારસાના જતન અને સંવર્ધનના હેતુથી ‘કલાગંગોત્રી’ શ્રેણી અંતર્ગત ૨૭ પુસ્તકો અને ૧ સંશોધન ગ્રંથ મળીને અત્યાર સુધી ૨૮ ગ્રંથમાળાઓ પ્રકાશિત કરાયેલ છે. શ્રી હરેશ ધોળકિયા દ્વારા સંપાદિત ‘લોકવિદ્‍ રામસિંહજી રાઠોડનું સંસ્કૃતિ ચિંતન’ ‘કલાગંગોત્રી’ શ્રેણીનું ૨૯મું પુસ્તક છે.

    રામસિંહજી રાઠોડ[1]નો જન્મ પિતા કાનજીભાઈ અને માતા તેજાબાઈના પરિવારમાં ૮ ડિસેમ્બર ૧૯૩૫ના રોજ કચ્છના ભુઅડ ગામે થયો હતો. દહેરાદૂનની ઈમ્પીરીયલ ફોરેસ્ટ કૉલેજમાં વનવિદ્યાનો અભ્યાસ પૂરો કર્યા બાદ રામસિંહજીભાઈ ૧૯૩૮માં કચ્છ રાજ્યના જંગલ ખાતામાં રેન્જ ફોરેસ્ટ ઑફિસર તરીકે નિમાયા. તેમની નોકરી સાથે સાથે રામસિંહજીભાઈએ કચ્છની ઉસર અને રમણીય એવી બંને પ્રકારની ભૂમિનો એક લાખ માઈલ જેટલો પ્રવાસ કર્યો. તેમની આ સફર દરમ્યાન તેમણે કચ્છનાં લોકસમૂહ, જંગલો, રણ, ડુંગરાઓ, ભૂપૃષ્ઠ, ઇતિહાસ, ભૂગોળ, પુરાતત્ત્વ તેમજ કચ્છના લોકજીવન, લોકસાહિત્ય, લોકસંસ્કૃતિ અને લોકકથાઓનો પ્રત્યક્ષ પરિચય અને ઊંડો અભ્યાસ કર્યો.

    તેમનાં અનુભવો અને અવલોકનોને  રામસિંહજીભાઈએ ‘કુમાર’ માસિકમાં ‘કચ્છનું સંસ્કૃતિ દર્શન’ લેખમાળા રૂપે દસ્તાવેજિત કર્યાં. એ લેખમાળામાં તેમણે અનેક નવાં પ્રકરણો અને તસવીરો ઉમેરીની ૧૯૫૯માં ‘કચ્છ સંસ્કૃતિ દર્શન’ ગ્રંથ પ્રકાશિત કર્યો. તેમની કચ્છના વિવિધ પંથકોને ખુંદી વળતી રઝળપાટ દરમ્યાન તેમની કચ્છની કલા અને સંસ્કૃતિ વિશે જે અસંખ્ય નમૂનાઓ મળ્યા તેનો રામસિંહજીભાઈ વ્યવસ્થિત સંગ્રહ કરીને, એકલપંડે,  ‘ભારતીય સંસ્કૃતિ દર્શન’ નામે સંગ્રહાલય ઊભું કર્યું.

    રામજીભાઇનો ૨૫  જૂન ૧૯૯૭ના રોજ દેહવિલય થયો. પરંતુ તેમણે સળગાવેલી સંગ્રહાલય અને લેખનીની મશાલ અખંડ જલતી રહી છે.

    ‘લોકવિદ્‍ રામસિંહજી રાઠોડનું સંસ્કૃતિ ચિંતન’માં રામસિંહજીભાઈ રાઠોડે વિવિધ સામયિકો અને વર્તમાનપત્રોમાં લખેલા કચ્છ વિશેના હજુ સુધી અગ્રંથસ્થ રહેલા માહિતી લેખોને સંગ્રહિત કરાયા છે. દરેક લેખ સાથે સંદર્ભિત રામસિંહજીભાઈનાં ચિત્રો અને/ અથવા અન્ય ફોટોગ્રાફ પણ સમાવી લેવાયા છે. આમ આ પુસ્તકનું ફલક અઢાર પ્રકરણોમાં વહેંચાય છે.

    ‘કચ્છનું લીપણ શિલ્પ’માં કચ્છની પરંપરાગત લીપણકળાને તાદૃશ કરવાની સાથે રબારીઓની કાછેલા અને ઢેબરિયા તેમજ મેર અને બારોટ પ્રજાઓનાં લીપણની અલગ અલગ શેલીઓને બહુ ઝીણવટપૂર્વક રજૂ કરવામાં આવી છે.

    કચ્છની નૈઋત્યબાજુએ, ભુજથી લગભગ ૮૫ કિ. મી. દૂર આવેલાં તેરા ગામના દરબારગઢનાં જનાનખાનાંના એક ખંડમાં  ચારેય દિવાલોમાં સમગ્ર રામાયણને જે કંદોરાબદ્ધ પટ્ટીમાં આલેખાયાં છે તેનું બહુ જ વિગતે, સચિત્ર, વર્ણન, ‘તેરાનાં ભીતચિત્રમાં સંપૂર્ણ રામાયણનું આલેખન’માં વાંચવા મળે છે.

    કચ્છના ઇતિહાસ સાથે સંકળાયેલાં મંદિરો અને ખુલ્લા પડેલા અનેક પુરાતન અવશેષોને રામશિંહજીભાઈએ ‘કચ્છનાં કીર્તિમંદિરો’ કહ્યાં છે. આ લેખમાં કચ્છનાં ભૌગોલિક સ્થાન અને આકારને સાંકળી લેતાં કચ્છઓ પ્રાચીન ઇતિહાસ, પુરાતન તવારીખ, મધ્યયુગનો ઇતિહાસ, એક અલગ ભૌગોલિક એકમ અને વિશિષ્ટ ભૂસ્તરનું મહત્વ જેવાં વિવિધ પાસાંઓની ઝાંખી જોવા મળે છે. આ દરેક પાસું સંશોધનકારો અને પુરાતત્વવિદો માટે અખૂટ ખજાનો પુરો પાડી શકે છે.

    કચ્છનાં આગવાં ભૌગોલિક સ્થાન, ભૂપૃષ્ઠ રચના, ભૂમિ-બંધારણ, હવામાન જેવાં કુદરતી પરિબળોએ કચ્છને અનેક ખનિજો બક્ષ્યાં છે, કચ્છને અનેક કુશળ નાવિકો અને વહાણ બાંધકામના સ્થપતિઓ અને કસબીઓ આપ્યા છે, તો ભારતની બહુ મોટા પ્રમાણમાં મીઠાની જરૂરિયાત પુરી પાડે એવો ઉદ્યોગ પણ આપ્યો છે.  આ બધાં ભૌગોલિક પરિબળોએ કચ્છની વનસ્પતિ, વન્ય પ્રાણીઓ અને પશુ-પક્ષીઓની પણ એક બહુ સમૃદ્ધ સૌન્દર્ય સૃષ્ટિ બક્ષી છે તેને ‘કચ્છની સંસ્કૃતિશ્રી’માં બહુ જ રસપ્રદ રીતે દસ્તાવેજ કરાયેલ છે. સંસ્કૃતિની વાત આવે એટલે લોક – સમાજ, લોકોનાંસકાર, રહેણી – કરણી, રિવાજોની વાત તો હોય જ. રામસિંહજીભાઈએ આ વિષયો સંબંધી માહિતી પોતાની કચ્છની અનેક સફરોમાંથી જાતે એકઠી કરી છે.

    મહેરામણથી અને રણથી વિછોડાઈને કચ્છની ભૂમિએ પગરણથી જે સાંસ્કૃતિક એકીભાવે ભાગ ભવવ્યો છે તેવા ઇતિહાસની આગવી વિગતો ‘કચ્છના ઇતિહાસ’માં બહુ જ સૂક્ષ્મ દૃષ્ટિથી આવરી લેવાઈ છે. કચ્છના ઇતિહાસનું એક મહત્વનું દર્શન તેના ૪૩૮ વર્ષના જાડેજા વંશના ૧૮ રાજવીઓનાં મુખ્ય કાર્યોનું છે. ‘જાડેજેંજી વારી – કચ્છી રાજવંશ’માં તેનાં ઐતિહાસિક પરિપ્રેક્ષ્યની ઝલક જોવા મળે છે. ‘કચ્છના રંગીલા મહારાવ લખપતજી’ સ્વર્ગે સિધાવતાં એમની પાછળ ‘શુભ દિલવાળી’ પંદર રખાયતો એમની પાછળ જશશીલને વરી (સતી [!]) થઈ હતી. પણ લખપતજીને નવેય પરણેતરમાંથી એક પણ રાણી આવી પ્રેમભાવના દર્શાવી શકી નહોતી. લખપત્જી અને તેમની પાછળ સતીઓ થયેલી પ્રેમદાઓનું સ્મારક લખપતજીની છતેડી શિલ્પસ્થાપ્તયનો એક અનોખો નમૂનો હતી. ૨૦૦૧ના ભૂકંપમાં છતેડીનો ઘણો ભાગ ખંડેર થયો હતો, જોકે હવે તેનું પુનઃનિર્માણ કરાયું છે.

    કચ્છનાં મુખ્ય શહેર  ‘ભુજ’નું કચ્છની રાજધાની તરીકે તોરણ વિ.સં. ૧૬૦૫માં બંધાયું. એ પછીનાં ૪૦૦ વર્ષનો ઇતિહાસક્રમ રામસિંહજીભાઈએ આ ચિત્રાંકનમાં જે સ્પષ્ટતાથી આલેખ્યો છે તેનાથી એ ઇતિહાસનું સુરેખ દસ્ત્વાજીકરણ તો થયું જ છે, પણ તે સાથે રામસિંહજીભાઈની સંશોધક અને ઇતિહાસકાર તરીકેની સૂઝ અને કાળજી પણ સ્પષ્ટ થઈ રહે છે.

    પુસ્તકનાં બૅક કવર પર શ્રી રવિશંકર રાવળનાં ટાંકવામાં આવેલાં કથનમાં કહ્યું છે કે ‘કોઈ કલાકૃતિ અપ્રાપ્ય હોય, જૂની પુરાણી કે ઐતિહાસિક હોય કે બારીક કારીગીરીવાળી છે એમ જાણી એના મોહમાં ન પડવું. આપણે તો એવી કૃતિઓ શોધવી કે જેમાં મહાન આત્માનું દર્શન થાય કે મહાન ભાનવા વ્યક્ત થાય. એ દૃષ્ટિએ બહુબધી તસવીરો અને રસપ્રદ વિગતો સાથે આ પુસ્તક સંશોધક અને ઇતિહાસકાર તરીકેનું રામસિંહજીભાઈ રાઠોડનાં દર્શનનું એક પાસું રજૂ કરવામાં એક અગત્યનું સિમાચિહ્ન બની રહે છે. જોકે,   અહીં તો તેમાંથી પણ આ પુસ્તકનું માત્ર વિહંગાવલોકન જ કરી શકાયું છે.

    પુસ્તકની વિગતોઃ

    લોકવિદ્‍ રામસિંહજી રાઠોડનું સંસ્કૃતિ ચિંતન
    સંપાદકઃ હરેશ ધોળકિયા

    પ્રથમ આવૃતિ – ૨૦૨૫ । પૃષ્ઠ – ૧૯૦ । મૂલ્ય – અમૂલ્ય

    પ્રકાશકઃ રમણિક ઝાપડિયા, કલાતીર્થ ટ્રસ્ટ, સુરત ૩૯૫ ૦૦૪
    સંપર્કઃ મો. + ૯૧ ૯૮૨૫૬ ૬૪૧૬૧ । ઈ – મેલઃ kalatirth2021@gmail.com, ramnikgkp@gmail.com


    [1] રામસિંહજી રાઠોડ – જયકુમાર ર. શુક્લ


    શ્રી હરેશ ધોળકિયાનાં સંપર્ક સૂત્રો
    નિવાસસ્થાન – ન્યુ મિન્ટ રોડ , ભુજ (ક્ચ્છ) , ગુજરાત, ૩૭૦૦૦૧
    ફોન +૯૧૨૮૨૨૨૭૯૪૬ | ઈ-મેલ : dholakiahc@gmail.com

  • નરેન્દ્ર દેવ: ભારતીય સમાજવાદના સિદ્ધાંતકોવિદ

    તવારીખની તેજછાયા

    પ્રકાશ ન. શાહ

    તે દિવસે અમદાવાદના આંબાવાડી વિસ્તારમાંથી પસાર થતા આચાર્ય નરેન્દ્ર દેવ નગરનો નામોલ્લેખ સાંભળી કાન સરવા થઈ ગયા: નરેન્દ્ર દેવ એટલા વહેલા ગયા, ૧૯૫૬માં કે જેમ જેપી ને લોહિયા હમણેના દાયકાઓમાં સહજ સંભારાતા રહે છે એવું એમના કિસ્સામાં નથી થતું.

    જોકે, જોગાનુજોગ જ, આંબાવાડી પંથકમાં જ હિંમતલાલ પાર્કમાં બ્રહ્મકુમાર ભટ્ટને ત્યાં નરેન્દ્ર દેવની સરસ તસવીર ગભારા માંહેલી દેવમૂર્તિ પેઠે જોયાનું સાંભરે છે. ૧૯૭૬માં વડોદરા સેન્ટ્રલ જેલમાં અમે સહમિસાબંદી હતા ત્યારે જેમ જેપી-લોહિયાની તેમ નરેન્દ્ર દેવનીયે વાત બ્રહ્મકુમાર સાથે નીકળતી. એ સંભારતા કે આ પ્રકાંડ પંડિત, છતે આકરે અસ્થમે, કર્મઠ પણ શૂરાપૂરા હતા. હંમેશ કહેતા, દસ ટકા ઈન્સ્પિરેશન ને નેવું ટકા પરસ્પિરેશન… યાદ રાખો.

    ૩૧મી ઓક્ટોબરે સરદાર જયંતી તો ઈંદિરાજીની પુણ્યસ્મૃતિનોયે એ દિવસ. બંનેનાં ખરાંખોટાં બેંડવાજાં હાજરાહજૂર હશે, પણ ૩૧મી ઓક્ટોબર ૧૮૮૯ના દિવસે જન્મેલા નરેન્દ્ર દેવને કોણ સંભારે, ભલા. જોકે, નવાઈ લાગે પણ મારું પહેલું સ્મરણ ૧૯૫૬ – ૬૦નાં ગ્રેજ્યુએટ વર્ષોનું છે. પંડિત સુખલાલજી પાસે કવચિત્ કવચિત્ જવાનું બનતું. એક વાર એમનાં બનારસ વર્ષોની વાત નીકળી તો એમાં નરેન્દ્ર દેવનીયે સાંભરણ સરી આવી. એમની ને પંડિતજી વચ્ચેની વાર્તાલાપ બેઠકોમાં જૈન ને બૌદ્ધ દર્શન આસપાસના મુદ્દા પ્રમુખ રહેતા. પણ પંડિતજીની વિદ્યાપ્રીતિ અને નવી દુનિયાની ઝંખનાનો તો છેડો નહીં એટલે એમને માર્ક્સને સમજવાની ઈચ્છા જાગી.

    નરેન્દ્ર દેવની સલાહ માંગી તો એમણે કહ્યું કે બુખારીનના પુસ્તક ‘એબીસી ઓફ માર્ક્સિઝમ’થી શરૂ કરો. ૧૯૮૮-૮૯માં નરેન્દ્ર દેવની શતાબ્દી માટે બ્રહ્મકુમાર ભટ્ટ ને રામલાલ પરીખ ઉપરાંત વડોદરાથી સનત મહેતા અને પરાડકર વગેરે વચ્ચે વાત ચાલેલી ત્યારે બે પંડિતો વચ્ચેના સંવાદનો આ ઉલ્લેખ સૌને રસપ્રદ થઈ પડ્યો હતો. નરેન્દ્ર દેવને કાશી વિદ્યાપીઠનું દાયિત્વ સંભારવાનું આવ્યું ત્યારથી ‘આચાર્ય’ એમની ઓળખનો અભિન્ન ભાગ બની ગયો, જેમ વન્સ અપોન અ ટાઈમ વિદ્યાપીઠ સાથે કૃપાલાનીની ઓળખનુંયે ‘આચાર્ય’ અભિન્ન અંગ બની ગયું, એમ.

    ૧૯૩૪માં જ્યારે કોંગ્રેસ સમાજવાદી પક્ષનું પહેલું અધિવેશન પટણામાં મળ્યું ત્યારે એના અધ્યક્ષપદે સૌએ નરેન્દ્ર દેવને બેસાડ્યા હતા. વડા સંગઠક તરીકે ઉભરેલા જયપ્રકાશના સહાયકોમાં એક મહાપંડિત રાહુલ સાંકૃત્યાયન પણ હતા. ગાંધીજીએ વિદ્યાપીઠના પહેલા દસકામાં જ જેમને વિશિષ્ટ અતિથિ તરીકે ચહીને બરક્યા હશે તેમાં નરેન્દ્ર દેવ પણ હતા. આગળ ચાલતાં જ્યારે કોંગ્રેસ સમાજવાદી પક્ષ ઉભરી આવ્યો ત્યારે સમાજવાદી તરુણો સાથે સંવાદપૂર્ણ શું સાહિત્ય વાંચવું, એની યાદી ગાંધીજીએ નરેન્દ્ર દેવ પાસે માગી હતી તો બીજી બાજુ મહાદેવ દેસાઈને અલાહાબાદ મોકલ્યા હતા- તું ચાર-પાંચ દિવસ જવાહર સાથે રહે અને અલકમલકની વાતોમાં સમાજવાદ વિશેનું એનું મન જાણીને આવ.

    બાય ધ વે, ૧૯૩૪માં કોંગ્રેસ સમાજવાદી પક્ષનું સ્થાપના અધિવેશન મળ્યું ત્યારે જવાહરલાલ જેલમાં હતા અને નરેન્દ્ર દેવે પોતાના સંબોધનમાં ‘અમે નેહરુ બહાર આવે ને ક્યારે દિલની વાતો કરીએ’ એ ભાવથી એમને સંભાર્યા હતા. તે પછી, તરતનાં વરસોમાં, કૃપાલાનીએ સંભાર્યું છે, હું ને સુચેતા મારી મોટી ઉંમરે પરણી રહ્યાં હતાં પણ જવાહરલાલ જેલમાંથી છૂટે અને સામેલ થઈ શકે તે માટે અમે વરસ-દોઢ વરસ ખમી ખાવાનું નક્કી કર્યું હતું.

    ‘હિંદ છોડો’ ઠરાવની વાંસોવાંશ કોંગ્રેસ કારોબારી જેલભેગી થઈ ત્યારે નેહરુ, મૌલાના આઝાદ, કૃપાલાની, નરેન્દ્ર દેવ, સરદાર, હરેકૃષ્ણ મહેતાબ સૌ અહમદનગર જેલમાં સાથે હતા. જવાહરલાલે ‘ડિસ્કવરી ઓફ ઈન્ડિયા’ એ મહાગ્રંથ જેલમાં લખ્યો ત્યારે સંદર્ભસ્ત્રોતોની અછત વચ્ચે મૌલાના આઝાદ ને નરેન્દ્ર દેવની સ્મૃતિસંદૂકમાં ભરેલું કેટલું બધું કામમાં આવ્યું હશે, ન જાણે. જેલમાં હતા અને ઈંદિરાને પુત્રપ્રસવ થયાની ખબર આવી ત્યારે નરેન્દ્ર દેવે બૌદ્ધ પરંપરામાં બુદ્ધનું એક નામ ‘રાજીવલોચન’ સંભાર્યું હતું એ ‘રાજીવ’ નામનું રહસ્ય છે.

    સમાજવાદના સિદ્ધાંતકોવિદ તરીકે નરેન્દ્ર દેવ ઉભર્યા, પણ એ નકરી પ્રોફેસરી તાસીરથી ઉફરા ચાલતા હતા. માર્ક્સનું અર્થઘટન, બુદ્ધની નૈતિક પ્રેરણા, ગાંધીનો સત્યાગ્રહ, એવો એક સમન્વિત અભિગમ એમણે વિકસાવ્યો હતો. પરંપરાનું ઉત્તમ કાલવી નવાં વહેણોનું સત્ત્વ આત્મસાત્ કરી આગળ ચાલવું, એમ એ કહેતા. સમાજવાદી આંદોલનમાં જેમ પચમઢી થીસિસ તેમ એમનો ગયા થીસિસ પણ સુપ્રતિષ્ઠ છે. નેહરુ ને પટેલ સ્વરાજ બેસતે રાજ્યબાંધણીમાં ગયા ત્યારે કોંગ્રેસ પ્રમુખ પદે ગાંધીજીને સૂઝેલાં નામ નરેન્દ્ર દેવ અને જયપ્રકાશનાં હતાં. સ્વરાજ પછી કોંગ્રેસે જ્યારે પક્ષની અંદર પક્ષ નહીં એવો નિર્ણય લીધો ત્યારે સમાજવાદીઓનું અલગ પક્ષ રૂપે છૂટા પડી ગઠિત થવું સ્વાભાવિક હતું. નરેન્દ્ર દેવ અને કેટલાક સાથીઓ ઉત્તર પ્રદેશ વિધાનસભાના ચુંટાયેલા સભ્ય હતા. એમણે કોંગ્રેસની ટિકિટ પર ચુંટાયા પછી નવા પક્ષ રૂપે કામ કરવાને ધોરણે ગૃહમાંથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો. જોકે, ફેરચૂંટણીમાં મતદારોએ એમને પાછા ન મોકલ્યા… એક નૈતિક નિર્ણયની આ કદર!

    નરેન્દ્ર દેવ આદિએ પ્રાચીન ભારતીય જ્ઞાન પરંપરા વિશે જે રીતે આધુનિક સંદર્ભમાં વ્યાપક પણે કામ લીધું છે, એ સમજવાની ખાસ તરેહના ‘રાષ્ટ્ર’માનસને સુધબુધ હશે?


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૧૨– ૧૧– ૨૦૨૫ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ


    શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • અમર

    વાર્તાઃ અલકમલકની

    ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

    સુદર્શન અને સુચરિતા. એકમેક માટે સર્જાયું હોય એવું યુગલ.

    સાંજ પડે પોતપોતાની ઑફિસેથી પાછા આવે પછી તો આ વિરાટ દુનિયામાં એ બે સિવાય અન્ય કોઈ છે એ સાવ ભૂલી જતાં.

    સુચરિતા એટલે વાતોનો પટારો. પટારામાંથી વાતોનો ખજાનો નીકળે. સુદર્શન નીરવ શ્રોતાની ભૂમિકામાં ગોઠવાઈ જાય. પ્રતિદિન આ ક્રમ જળવાતો.

    સુચરિતા એ દિવસે પણ રોજના સમયે જ પાછી આવી. રોજની જેમ ચા, નાસ્તો લઈને સુદર્શનની રાહ જોતી બેઠી. રોજની જેમ સુદર્શન પણ આવીને સુચરિતાની બાજુમાં ગોઠવાયો, પણ કોણ જાણે હંમેશની જેમ આજે સુચરિતાની વાતોનો પટારો ખુલ્યો જ નહીં.

    આશ્ચર્યથી સુદર્શન સુચરિતાની સામે જોઈ રહ્યો. સુચરિતા માથું નમાવીને ચાના કપમાં ખાંડ ઓગાળતી બેઠી રહી.

    અષાઢ મહિનામાં વરસવાની રાહ જોતાં ઘેરાયેલાં વાદળોની જેમ સુચરિતાનો ચહેરો પણ અકળ ભાવોથી ઘેરાયેલો હતો.

    એક સમય હતો જ્યારે સુચરિતાએ લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાની શરૂઆત કરી હતી. આમ તો આ મહાનગરમાં આવીને નોકરી શરૂ કરી એને ઘણો સમય થયો હતો, પણ સુચરિતા હજુ ઑફિસના આટાપાટા કે મહાનગરના હડદોલાથી ટેવાઈ નહોતી.

    અરે, હજુ તો દરેક સ્ટેશને નિશ્ચિત સમયે, નિશ્ચિત સમય માટે ઊભી રહેતી લોકલ ટ્રેનમાં શરીરથી ઘસાઈને થતી ધક્કામુક્કીથી પણ ક્યાં ટેવાઈ હતી?  આ ધક્કામુક્કીની વચ્ચે અટવાતાં અટવાતાં માંડ ટ્રેનમાં ચઢ્યા પછી બેસવાની વાત તો દૂર જાત સાચવીને સભ્યતાથી ઊભા રહેવાની મોકળાશ પણ મળતી નહીં. ટ્રેનના ડબ્બાનો રૉડ પકડીને ઊભી હોય ત્યારે કોઈ પુરુષના સ્પર્શ માત્રથી એ સંકોચાઈ જતી.

    તે દિવસે ડબ્બામાં ઊભા રહેવાની જગ્યા ન મળતાં એ અકળાતી હતી ને જ એક યુવક ભીડમાંથી રસ્તો કરતો એની પાસે આવીને ઊભો રહ્યો. સુચરિતા એ યુવકની સામે આશ્ચર્યથી જોઈ રહી.  અચાનક એ યુવકે સુચરિતાનો હાથ પકડી એક તરફ એને ખેંચીને એક ખાલી સીટ પર બેસાડી દીધી.

    “પાંચ દિવસથી જોઉં છું કે, બેસવાની જગ્યા મેળવવાની વાત દૂર આ ભીડમાં સરખી રીતે ઊભા રહેવાની જગ્યાય કરી શકતી નથી તો ઘરની બહાર નીકળે છે જ શું કામ?”

    યુવકના અવાજમાં અધિકારની છાંટ હતી. સુચરિતાને નવાઈ લાગી. આ યુવક ગાડરિયાં ટોળાંથી ખરેખર જુદો છે કે પછી સહાનુભૂતિના આવરણ હેઠળ એના મનમાં કોઈ બીજો મતલબ હશે?

    જોકે યુવકના ચહેરા પર એવા કોઈ મતલબી ભાવ ન દેખાયા. સાવ સામાન્ય ચહેરો, સાધારણ પહેરવેશ, પણ આંખોમાં અનન્ય સંવેદના, અનુકંપા છલકાતી લાગી. પહેલી મુલાકાતમાં જ સુચરિતાને લાગ્યું કે એની આંખો ઘણું કહી જતી હતી. આજ સુધી આવી સંવેદના કે અનુકંપાનો એને ક્યારેય અનુભવ થયો નહોતો.

    એ યુવકનો આવો વડીલ જેવો ભાવ સુચરિતાને જરા વિચિત્ર લાગ્યો. થોડો કઠ્યો પણ ખરો. એ સહેમી ગઈ.

    “નારાજ થઈ ગઈ દીદી? પણ, શું ખોટું કીધું મેં?  હું તો જે જોઈ રહ્યો હતો એ કહ્યું.”

    યુવકે એને દીદી કહ્યું એથી સુચરિતા ચમકી. પોતાના પતિની ઉંમરની વ્યક્તિ એને દીદી કહેતી હતી! જોકે એ હજુ કશું વિચારે કે પૂછે એ પહેલાં તો ચારેબાજુથી લોકોની બૂમાબૂમ સંભળાઈ.

    “અરે અમર, આ તું શું કરે છે? એમને જગ્યા આપીને તું આખો રસ્તો ઊભો રહી શકીશ?”

    “ક્યારેક આમ ઊભા રહીને સારું લાગે છે. એક જગ્યાએ બેસીને પૂતળા જેવો બની ગયો હતો.” અમરના જવાબથી સૌ દંગ રહી ગયા.

    “હા, તેં તો કહી દીધું કે ઊભા રહીને તને સારું લાગે છે, પણ તને આમ ઊભેલો જોઈને અમને તકલીફ થાય છે એનું શું?”  કહીને સુચરિતાની સામે બેઠેલી એક વયસ્ક મહિલાએ સહેજ ખસીને અમરને બેસવાની જગ્યા કરી આપી.

    “જોયું દીદી, આપીએ તો પામીએ. તમને બેસવાની જગ્યા કરી આપી તો મનેય બેસવાની જગ્યા મળી ગઈ ને?” અમર સુચરિતાની સામે જોઈને હસ્યો.

    એ દિવસ પછી સુચરિતાએ જોયું કે, એને ચઢવાનું સ્ટેશન આવે ત્યારે અમર ટ્રેનના બારણાં પાસે એની રાહ જોતો ઊભો જ હોય. ક્યારેક ધક્કામુક્કીમાં એ ચઢી ન શકે તો એને હાથ આપીને ચઢવામાં મદદ કરતો અને રોકેલી સીટ પર બેસાડતો. દિવસો પસાર થયા તેમ છતાં સુચરિતા એની સાથે સહજ થઈ શકતી નહોતી. એ કંઈ બોલે કે ના બોલે અમર તો બસ, વગર પૂછે વાત માંડી દેતો.

    પણ, સુચરિતા તો સીટ પર બેસતાની સાથે બારીની બહાર જ જોયા કરતી. એક દિવસ અમરે પૂછી લીધું,

    “દીદી, મારો ચહેરો જરાય સારો નથી?”

    અમરનો ચહેરો જ નહીં અમર પણ સાચે જ સરળ અને સૌમ્ય હતો. એક વાર કોઈ એને મળે કે એના ચહેરા પર નજર પડે તો હંમેશાં એને જોવાનું, મળવાનું જોવાનું મન થાય એવો હતો એટલે સુચરિતાને અમરનો સવાલ સમજાયો નહીં. અવઢવમાં એની સામે તાકી રહી.

    “કેમ હું તમારો ચહેરો નહીં જોઉં તો સુંદરમાંથી કુરૂપ થઈ જશે? ભગવાને મને આજુબાજુ કે આગળપાછળ નજર નથી આપી, પણ હવે તમે મારી સામેની સીટ પર બેસજો. જેથી હું બહાર ઝાડપાન, પાણી-પવન. આભ-ધરતી જોવાના બદલે તમારી સામે જોઈ શકું.”

    ધીમેધીમે સુચરિતાને અમરનો સ્વભાવ ગમવા માંડ્યો. એને સમજાયું કે, અમર ન હોત તો ટ્રેનની આ યાત્રા એના માટે આટલી સુગમ ન હોત.

    એક દિવસ સ્ટેશને ટ્રેન ઊભી રહી ત્યારે બારણાં પાસે અમરનો હસતો ચહેરો ન દેખાયો. સુચરિતા જાણે મુરઝાઈ ગઈ. માંડ અંદર પહોંચી. કોઈએ એની સીટ સાચવી હતી. સીટ પર બેસતાં પહેલાં એણે ચારેકોર નજર દોડાવી, પણ વ્યર્થ. અમર ક્યાંય ન દેખાયો.

    એક, બે, ત્રણ,ચાર દિવસ પસાર થયા પણ અમર ન દેખાયો. અકળાઈને એણે અમરની જોડે બેસતા વિનાયકને અમરની ગેરહાજરી માટે પૂછ્યું. વિનાયકે જે જવાબ આપ્યો એ સુચરિતા માટે આઘાતજનક હતો.

    અમર લ્યૂકેમિયાનો પેશન્ટ હતો. એના આખરી દિવસોમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ડૉક્ટરોએ આશા છોડી દીધી હતી. સુચરિતાએ આસપાસ બેઠેલા સૌની સામે ધ્યાનથી જોયું. સૌના ચહેરા પર વિષાદની છાયા હતી.

    એ દિવસે સુચરિતા ઑફિસમાં કશું જ કામ ન કરી શકી. ઘેર પહોંચીને સુદર્શન સાથે પણ કોઈ વાત કરવા અસમર્થ રહી. મનમાં આખો દિવસ એક જ વિચાર ઘોળાયા કર્યો, “અમર સૌને છોડીને ચાલ્યો જશે?”

    સુચરિતાને આમ શાંત, સ્થિર બેઠેલી જોઈને સુદર્શને સ્નેહથી એના મૌનનું કારણ પૂછ્યું અને સુચરિતાના હૃદયનો બંધ તૂટી પડ્યો.

    “અમરનો અંત નજીક આવી રહ્યો છે. અમર ચાલ્યો જશે. સદાને માટે.”

    સુદર્શન સમજતો હતો કે, અમર સુચરિતાનો આત્મિય ન હતો છતાં મનથી ઘણો નજીક હતો.


    ઈંદુ લતા મહાંતિ લિખીત વાર્તા પર આધારિત ભાવાનુવાદ


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • એ સોનેરી ક્ષણ

    આશા વીરેન્દ્ર

    ભલે હું અમેરિકન માતા-પિતાનો, અમેરિકામાં જન્મેલો અને ત્યાં જ ઊછરેલો એક માત્ર દીકરો છું; પણ શી ખબર કેમ, હું સ્વભાવે અત્યંત લાગણીશીલ છું .ફકત હું જ શા માટે? મારાં મા-બાપ પણ એકમેકને એટલો પ્રેમ કરે અને એકબીજાની એટલી કાળજી કરે કે આ ભૌતિકતા પાછળ દોડનારા દેશ માટે તો નવાઈની વાત જ કહેવાય !

    મમ્મી હંમેશા મારી અને ડેડની પસંદ-નાપસંદો, અગવડ-સગવડનો ખ્યાલ રાખતી. કદી એણે કોઈ પાસે કશું માગ્યું નથી કે નથી કંઈ અપેક્ષા રાખી. પણ મને કોઈક રીતે ખબર પડી ગયેલી કે મમ્મીને સ્ટ્રોબેરીઝ બહુ ભાવે છે. દરેક વીક એન્ડમાં હું મમ્મી-ડેડીને મળવા અચૂક જતો અને જ્યારે જાઉં ત્યારે ખાસ યાદ રાખીને સ્ટ્રોબેરીઝનું બોક્સ તો લઈ જ જતો.

    ‘બેટા !તું ગયે વખતે લાવેલો એમાંથી કેટલી બધી સ્ટ્રોબેરીઝ હજી ફ્રીજમાં પડી છે. દર વખતે શા માટે લાવે છે?’

    મમ્મી ભલે આમ કહેતી હોય પણ હું જાણું છું કે, પોતાનો દીકરો યાદ રાખીને એને માટે કોઈ ચીજ લાવે એનાથી એને કેટલો ઊંડો સંતોષ મળે છે ! ડેડી પણ અમારો આ કાયમનો સંવાદ સાંભળીને ધીમું ધીમું મલકાયા કરતા. એક શનિવારે હું એમને મળવા ગયો ત્યારે ડેડીએ કંઈક નિરાશાભર્યા સ્વરે કહ્યું, ‘બેટા, અમે બંને હવે વધુ ને વધુ વૃદ્ધ થતાં જઈએ છીએ. ઘરની બધી વ્યવસ્થા અમારાથી સંભાળાતી નથી, મને લાગેછે કે, અમે કોઈ સારા નર્સિંગ હોમમાં રહેવા જતાં રહીએ તો વધુ સારું પડે.’ મારાં માતા-પિતા જીવનના ઉત્તરાર્ધ ભણી ધકેલાઈ રહ્યાં છે એ હકીકતનો સ્વીકાર કરવાનું મને ગમ્યું તો નહીં પણ મેં એમને જવાબ આપ્યો,

    ‘ઈન્ટરનેટ પર સર્ચ કરીને હું કોઈક સરસ જગ્યા શોધી કાઢીશ. તમે ચિંતા ન કરશો.’ પછી તેઓ બંને ‘જીવનસંધ્યા નિવાસ’માં રહેવા ગયાં. દર અઠવાડિયે સ્ટ્રોબેરિઝ લઈને એમને મળવા જવાનો મારો ક્રમ ચાલુ જ હતો. ત્યાંથી પાછા ફરતી વખતે મને ઉદાસી ઘેરી વળતી. હું જોઈ શકતો કે, ડેડી કરતાં પણ મમ્મી પર ઘડપણ વધુ ઝડપથી પોતાનો પંજોફેલાવી રહ્યું હતું. એ વધુ વાંકી વળી ગઈ હતી. મોઢા પર કરચલીઓ વધી રહી હતી અને ખૂબ ભૂલકણી થતી જતી હતી, પણ એનું માયાળુ હાસ્ય એવું ને એવું અકબંધ રહ્યું હતું એનો મને ખૂબ આનંદ હતો.

    ‘હજી ગઈકાલે જ તો ગુલાબનાં ફૂલો લઈને આવ્યો હતો. આજે ફરી શા માટે લાવ્યો?’ એ મને પૂછતી. લાગણીપૂર્વક, કોમળતાથી એને માથે હાથ ફેરવતાં હું કહેતો, ‘મમ્મા, ગઈકાલે નહીં, ગયા અઠવાડિયે આવ્યો હતો અને ગુલાબનાં ફૂલ નહીં પણ તને ભાવતી સ્ટ્રોબેરીઝ લાવ્યો હતો. યાદ આવ્યું?

    હં…હં… કહેતાં હસીને એ કંઈક વિચારમાં પડી જતી. એકની એક વાત નાના બાળકની માફક એને વારંવાર સમજાવવી પડે અથવા વારેઘડીએ એને એક જ જવાબ આપ્યા કરવો પડે તો યે મને કોઈ દિવસ કંટાળો કે ગુસ્સો નહોતો આવતો. જો કે, એ હતી જ એવી કે, કોઈ એની પર ગુસ્સે થઈ જ ન શકે.

    થોડા મહિનાઓ પછી ડેડીએ કરેલી વાતે મને ઊંડો આઘાત આપ્યો. ‘ગઈ કાલે ડૉક્ટર રાઉન્ડ પર આવ્યા હતા. તારી મમ્મીના થોડા ટેસ્ટ કરાવ્યા હતા. એ જોઈને અને તારી મમ્મીને તપાસીને એમણે કહ્યું કે…કે… કે શું?’ હું એકદમ અધીરો થઈ ગયો.

    ‘એને અલ્ઝાઈમર (સ્મૃતિભ્રંશ) છે. એની યાદશક્તિ બહુ ઝડપથી નાશ પામતી જાય છે. કદાચ એવો સમય પણ આવે કે, એ તને અને મને સુદ્ધાં ઓળખી નહીં શકે.’આ બોલતી વખતે ડેડી મહાપરાણે પોતાની આંખોને કોરી રાખવા મથતા હતા પણ હું મારાં આંસુઓને રોકી ન શક્યો. મારું મન કેમે કરીને માનવા તૈયાર નહોતું કે, મારી જન્મદાતા, મારાં ઝાઝેરાં જતન કરનાર મા એક દિવસ એના જ હાડમાંસથી ઘડાયેલા એના આ દીકરાને ઓળખશે પણ નહીં !

    ધારવા કરતાં એ દિવસ જલદી જ આવ્યો. એક અઠવાડિયે જ્યારે હું એમને મળવા ગયો ને મમ્મીને ભેટીને મેં ‘કેમ છે?’એમ પૂછ્યું. એના જવાબમાં એ જે રીતે હસી એમાં મારી ઓળખાણનો કોઈ અણસાર નહોતો. હું તરત સમજી ગયો કે, એણે મને ઓળખ્યો નથી. આ પરિસ્થિતિમાં શું કરવું એ ન સૂઝતાં મેં પાસે પડેલી સ્ટ્રોબેરી એકએક કરીને એના મોંમાં મૂકવા માંડી. દર વખતે એ ‘થેન્ક-યૂ’ કહીને મીઠું હસતી. પણ અત્યારનો એનો વ્યવહાર કોઈ અજાણી વ્યક્તિ સાથેનો હોય એવું લાગતું હતું.

    હું ચૂપચાપ એની બાજુમાં બેઠો ને એનો હાથ મારા હાથમાં લઈને પંપાળવા લાગ્યો. અચાનક મારી હથેળી ત્રણ વખત દબાવી ને પછી હસવા લાગી. આ સાથે જ એક વખત ડેડીએ કહેલી વાત મને સાંભરી આવી.

    ‘તને જાણીને નવાઈ લાગશે દીકરા, પણ લગ્ન પછીના શરૂઆતના દિવસોમાં અમે એકબીજા સાથે બહુ ઓછું બોલતાં પણ અમારો પ્રેમ એટલો પરિપક્વ હતો કે, એને શબ્દોના સહારાની જરૂર ન પડતી. અમારા બંને વચ્ચે મૌન સંવાદ રચાતો.’

    ‘એ કેવી રીતે શક્ય છે?’

    ‘ઘણી વખત સૂર્યાસ્ત ટાણે અમે દરિયાકિનારે કલાકો સુધી ચૂપચાપ બેઠાં હોઈએ ત્યારે તારી મમ્મી હળવેથી મારી હથેળી ત્રણ વખત દબાવતી.’

    ‘એટલે શું? મને સમજાયું નહીં.’

    ‘એનો અર્થ આય લવ યુ. (હું તને ચાહું છું) હવે સમજ્યો?’

    ‘વેરી ઈન્ટરેસ્ટીંગ ડેડી, પણ પછી તમે એનો જવાબ કેવી રીતે આપતા? ’

    ‘ હં…યંગમેન, આજે ને આજે બધી ટીપ્સ લઈ લેવી લાગે છે, કેમ? તો સાંભળ, જવાબમાં હું બે વખત એની હથેળી દાબીને જણાવતો કે, મી ટુ—(હું પણ)

    અત્યારે મને ડેડીની કહેલી એ વાત યાદ આવી ને મેં મમ્મીની હથેળી જેવી બે વાર દબાવી કે તરત એનો ચહેરો ખીલી ઊઠ્યો. એણે કહ્યું, ‘માણસની જિંદગીમાં સૌથી વધુ જરૂરી શું હોય છે, ખબર છે? એને કોઈ ચાહતું હોય, કોઈ ભરપૂર પ્રેમ કરતું હોય. સમજાય છે મારી વાત?

    હું એને ભેટી પડ્યો. એના ગાલ ચૂમતાં ચૂમતાં કહેવા લાગ્યો, ‘સમજાય છે, મને તારી વાત બરાબર સમજાય છે. ને તું પણ સમજી લે કે, હું તને ચાહું છું તને ખૂબ…ખૂબ… ખૂબ પ્રેમ કરું છું.’

    અમારી અંતિમ મુલાકાતની એ સોનેરી ક્ષણ સદાને માટે મારે હૈયે જડાઈ ગઈ છે.


    (લેરી જેમ્સની અંગ્રેજી વાર્તાને આધારે)

     

  • સમયના પેટાળમાંથી

    સંગીતની કેડીએ જિપ્સીનો વિસામો

    કેપ્ટન નરેન્દ્ર ફણસે

    સમયના પેટાળનમાંથી એક ખજાનાનું ઢાંકણું નજરે પડે, અને તે ખોલતાં તેમાં સંતાઈ રહેલાં રત્નો નજર આવે તેમ કેટલાક ગીતો ઝળહળ્યા. કેટલાક અજાણ્યા અને કેટલાક જાણીતા કલાકારોનએ ઘડેલા આ ઘરેણાં આજે રજુ કરૂં છું.
    પ્રથમ ગીત છે ભુલાઈ ગયેલા સંગીતકાર જમાલ સેનના સંગીતમાં લતાજીએ તેમની કારકિર્દીની શરૂઆતમાં ગાયેલું ગીત. સુંદર કાવ્યના લાલિત્ય પર સંગીતકારે ચઢાવેલ સૂરોનો ઓપ અને તેને સ્વરસુંદરીએ આપેલું મૂર્તસ્વરૂપ antique jewellery જેવું લાગશે:

    આજે સ્વ. સી. રામચંદ્ર તો ભુલાઈ ગયા, પણ તેમની કલાના ચાહકો જાણે છે કે તેમણે સંગીતબદ્ધ કરેલ ગીતોએ લતાજીને પ્રસિદ્ધીના શિખર પર પહોંચાડ્યા હતા. જેમની પાલખીમાં તેઓ બેઠાં હતા તે ઉંચકનાર ભુલાઈ ગયા! વાચકોને યાદ હશે કે અનારકલી, પરછાઈયાઁ, જેવી ફિલ્મોનાં ગીતોએ ધૂમ મચાવી હતી. તેમણે સંગીતબદ્ધ કરેલ “અય મેરે વતન કે લોગો” સાંભળીને આજે આખો દેશ ભારતના સૈનિકોની સાથે ખડો થઈ જાય છે, પણ તેના રચયિતાન વિશે કોઈ જાણતું નથી. અહીં જે ગીત રજુ થયું છે તેની તો વાત જ નિરાળી છે. ફિેલમનું નામ પણ કોઈને યાદ નથી, પણ યાદ છે લતાજીના હૃદયમાંથી નીકળેલા સૂરોની ગૂંજ, શબ્દ અને સી. રામચંદ્રના હૈયાનો ધબકાર: ‘તુમ ક્યા જાનો, તુમ્હારી યાદમેં…’

    હવે જે ગીત રજુ થાય છે તે દેવોને દુર્લભ છે! આપણે સૌએ મદન મોહનજીએ સંગીતબદ્ધ કરેલા ગીતો માણ્યાં છે, પણ તેમણે પોતે ગાયેલું ગીત ભાગ્યે જ સાંભળ્યું હશે! અહીં રજુ થયેલ ગીત તેમના પોતાના જ સ્વરમાં છે – અને તેનું અનુસરણ લતાજીએ કર્યું છે. ‘દસ્તક’ ફિલ્મમાં પિતા તેની દીકરીને ગીત શીખવે છે, અને તે ગાય છે – જે સાચા જીવનમાં સ્વ. મદન મોહન અને લતાજીની બાબતમાં થયું હોય તેવું લાગે. આવો અનન્ય યોગ અનુભવીએ ત્યારે બસ એક શબ્દ નીકળે : વાહ!

    “અય દીલે નાદાઁ” શબ્દોથી નવાજાયેલાં અનેક ગીતો છે, પણ ફિલ્મ ‘રઝિયા સુલ્તાન’નું ગીત લતાજીને કંઠે સાંભળીએ તો તેનું હાર્દ સમજાય!  સંગીત છે ખય્યામ સાહેબનું.

    સ્વ. અનિલ બિશ્વાસને આજે ચાહકો હિંદી ફિલ્મોના ભિષ્મ પિતામહ ગણે છે. તેમણે રચેલા ગીતોમાં રસિકોને પાટણના પટોળા જેવું ગીત લાગ્યું હોય તો તે છે “તુમ્હારે બુલાને કો…” એનાં શબ્દો લતાજીએ એવા ઉલ્લાસથી રજુ કર્યા છે, બસ સાંભળતા જ રહીએ!

    “ઉનકો યહ શિકાયત હૈ..” આ ગીતનો રસાસ્વાદ એક સંગીતકાર મિત્રે કરાવેલ.  દરેક કડીના અંતમાં લતાજી પાસે મદન મોહનજીએ “કુછ નહિ કહેતે..” જુદી જુદી ભાતમાં ગવડાવ્યું, અને દરેક પંક્તિ હૃદયમાં સોંસરવી ઉતરી જાય છે. એક વૃદ્ધાના અભિનયમાં મૅડમ નરગીસે આ ગીત જે રજુ કર્યું છે તે જોઈ મારા સમવયસ્ક શ્રોતાઓએ આંખના અશ્રુથી દાદ આપી હતી!
    હવે પ્રસ્તુત થાય છે તે ગીત એટલા માટે વિશિષ્ઠ છે, તે ગાયું છે લતા દીદીએ, અને અભિનય છે નુતનજીનો. શાત્રીય સંગીતમાં ગવાયેલ ગીત માટે જેટલાં લતા દીદી વખણાયા, એટલા જ નુતન, કારણકે ગીતમાંની તાનનાં આવર્તનો નુતનજીએ એવી સૂક્ષ્મતાથી સમજીને રજુ કર્યા છે, આ ગીત શંકર જયકિશનનાાં ભાથાંમાંના અનેક દિવ્યાત્ર્ોમાંનાં એકહવે  જેવું અનન્ય લાગે! ફિલ્મ હતી ‘સીમા.
    આ ગીત અમારા ખાસં વાચક માટે રજુ કરીશું. કોઈ ફિલ્મનું આ ગીત નથી! ગાયિકા છે શ્રીમતી જ્યુથિકા રૉય અને સંગીતકાર કમલ દાસગુપ્તા. એક વિરહીણીનું ગીત છે – મેરી વીણા રો રહી હૈ!
    હવે ‘જિપ્સીનું એક પ્રિય ગીત રજુ કરવાની રજા લઈશ. વાંસળીના સૂરોનું અચાનક શબ્દોમાં પરિવર્તન થાય ત્યારે એક ચમત્કાર થયા જેવું લાગે. કોયલના લાંબા ટહૂકાર જેવા ગીતમાં મોરનો સ્વર જોડાય તેમ તેમાં વાંસળી ફરીથી જોડાય છે ત્યારે ગંગામાં યમુના ભળી હોય તેવા આ સંગમમાં શ્રોતા ડૂબકી લે અને બહાર નીકળે ત્યાં ગીત પૂરૂં થાય! આ અદ્ભૂત ગીત ગાયું છે ભારતીય ફિલ્મ જગતનાં પ્રથમ મલિકા-એ-તરન્નૂમ સુરૈયાએ. ફિ્લમ છે અફસર: 
    અંતમાં રજુ કરીશું સિને સંગીતના સર્વ શ્રેષ્ઠ ગાયક – જેમની કોઈ મિસાલ નથી, અનેક ગાયકોએ તેમના અવાજની નકલ કરી ફિલ્મ સંગીતનું શિખર આંબ્યું!  જી હા, અહીં વાત છે સ્વ. કુંદન લાલ સાયગલની. તેમનું બિન-ફિલ્મી ગીત “કૌન બુઝાયે…” પ્રસ્તુત છે. આગળ જતાં સાયગલ સાહેબની biopic બની તેમાં આ ગીત બે ભાગમાં રજુ થયું. પહેલું ગાયું છે પદ્માદેવીએ અને ત્યાર બાદ સાયગલ સાહેબના youthful અવાજમાં:
    આશા છે આજનો અંક આપને ગમશે!


    કેપ્ટન નરેંદ્ર ફણસેનાં સંપર્ક સૂત્રો –
    વીજાણુ ટપાલ સરનામુંઃ captnarendra@gmail.com
    બ્લૉગઃ  www.captnarendra.blogspot.com