-
ડિસેમ્બરમાં જન્મેલા અને ડિસેમ્બરમાં જ અવસાન પામેલ શ્રી યોસેફ મેકવાન વિશે
દેવિકા ધ્રુવ૨૦મી ડિસેમ્બર ૧૯૪૦ થી ૨૫મી ડિસેમ્બર ૨૦૨૨ સુધીની જીવન-સફર કરનાર શ્રી યોસેફ મેકવાને ગુજરાતી સાહિત્યમાં ઘણું યોગદાન આપ્યું છે. તેમણે સાહિત્યનાં તમામ ક્ષેત્રોમાં સફળતાપૂર્વક ખેડાણ કર્યું છે. તેઓ એક સારા કવિ, બાળ સાહિત્યકાર, ગઝલકાર પણ હતા. તેમણે ગઝલ જેવો એક ‘ઉસાલ’નામે નવો પ્રયોગ પણ કર્યો હતો.. તેમના પ્રથમ કાવ્યસંગ્રહ ‘સ્વાગત’ને ગુજરાત સરકાર દ્વારા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. તેમની બાળકવિતાઓને ગુજરાતી સાહિત્ય અકાદમી પુરસ્કાર, બાળવાર્તાઓને ગુજરાતી સાહિત્ય પરિષદ પુરસ્કાર, ૧૯૮૩માં ‘સૂરજનો હાથ’ માટે જયંત પાઠક કવિતા પુરસ્કાર મળ્યો હતો અને ૨૦૧૩માં તેમને ‘કુમાર સુવર્ણ ચંદ્રક‘ મળ્યો હતો. તેમણે ગુજરાતી બાળસાહિત્યમાં ફાળો આપ્યો છે તો રમૂજી નિબંધો પણ લખ્યા છે. વિવેચન પણ કર્યું છે અને ‘સ્ત્રોતસંહિતા’ નામે બાઇબલનો પદ્યાત્મક અનુવાદ પણ તેમણે કરેલ છે.
યોસેફભાઈ એક ખૂબ જ સરળ સ્વભાવના માનવી હતા. અમદાવાદની મુલાકાત દરમ્યાન તેમને મળવાનું અચૂક બનતું. હ્યુસ્ટનની સાહિત્ય સરિતા માટે તેમણે હાઈકુ અને મુકતકોની સમજ આપતા લેખો પણ લખીને મોકલ્યા હતા.
૨૦૨૨ની સાલમાં નાતાલની સવારે ફેસબુકનું પાનું ખોલતાંની સાથે જ તેમની વિદાયના આંચકાજનક સમાચાર વાંચવા મળ્યા હતા..ઘડીભર મન ત્યારે માની શક્યું ન હતું.. અરે? સાચે? હજી થોડા દિવસ પહેલાં તો વાત થઈ છે.. કોઈ અણસાર વગર જ!!! બીજી જ ક્ષણે હું ફેંકાઈ ગઈ હતી છેક ૨૦૦૯ના ડિસેમ્બર મહિના તરફ, જ્યારે યોસેફ મેકવાન સાથે અમદાવાદમાં પ્રથમ મુલાકાત થઈ હતી.. તે પછી તેમની સરળતા, સાદગી અને સર્જક વ્યક્તિત્ત્વને કારણે નિયમિતપણે ફોન પર, ઈમેઈલ દ્વારા તેમનો સંપર્ક થતો રહ્યો અને જ્યારે જ્યારે ભારત જાઉં ત્યારે પ્રત્યક્ષ મળવાનું બનતું રહ્યું. .. તેમની સાથેની કેટલી બધી યાદો!
છેલ્લે છેલ્લે યોસેફભાઈએ, નવેમ્બર મહિનામાં જ ‘નિત્યનીશી’ માટે તેમની ડાયરીનું એક પાનું પણ મોકલી આપ્યું હતું. તેમના ‘અલખનો અસવાર’ અને ‘શબ્દ-સહવાસ’ પુસ્તકો મારા ટેબલ પર શોભી રહ્યા છે. આજે તેમની જીંદગી પરની રચના પ્રસ્તુત છે.
જિંદગી આ જાય પવનપાવડીના વેશમાં,
શ્વાસમાં શું હોય છે દીવાસળીના વેશમાં?માન્યતાઓ-રૂઢિઓનાં પોટલાં છોડું અને
એ ફરી બાંધી રહું છું ગાંસડીના વેશમાં.‘કૃષ્ણ-રાધા-કૃષ્ણ’ કેરા જાપનો શો અર્થ છે?
પ્રેમ ત્યાં ને ત્યાં રહ્યો છે વાંસળીના વેશમાં.યાદની એ કાંકરી તો આંખમાં ખૂંચ્યાં કરે
આંસુ પૂછે : કોણ છે રે કાંકરીના વેશમાં.આવકાર્યા વિણ જુઓ ને, ઝાડ ઠંડક આપતું !
આપણે ત્યાં કોણ છે હેં ? ડાળખીના વેશમાં !મૌનની ભાષા વિશે તો શું કહું હેં દોસ્ત હું
સ્પર્શના દરિયા બળે છે આંગળીના વેશમાં.યોસેફ મેકવાન
Devika Dhruva : ddhruva1948@yahoo.com | http://devikadhruva.wordpress.com
-
આગ સે નાતા, નારી સે રિશ્તા…
ધિક્કારનાં ગીતો
વાંક સમય-સંજોગોનો હોવા છતાં વાંકું પડે ત્યારે વ્યક્તિની અને ઇવન તેની આખી જાતિની ટીકા શા માટે?
દીપક સોલિયા
એક કુમ્ભકારનો ગધેડો ખોવાઈ ગયો. તેનું બધું કામ અટકી પડ્યું. એટલે એ નીકળ્યો પડ્યો પોતાનો ગધેડો શોધવા. આખો દિવસ એ બહુ રખડ્યો, પણ ગધેડો મળ્યો નહીં. ગધેડાને શોધતાંશોધતાં એ બીજે ગામ પહોંચી ગયો. રાત પડી ગઈ. ઘરે પાછું ફરી શકાય તેમ નહોતું. મોંઘી હોટેલ પરવડે તેમ નહોતી. એવામાં એક હનીમૂન હોટેલના ભલા મેનેજરે રસ્તો સૂચવ્યોઃ એક નવપરિણીત કપલ છેલ્લા શોમાં ફિલ્મ જોવા ગયું છે; તેના પલંગ નીચે સંતાઈને સૂઈ જા; ભાડું ફક્ત દસ રૂપિયા. કુમ્ભકાર માની ગયો. એ પલંગ નીચે સૂઈ ગયો. એકાદ વાગ્યે કપલ આવ્યું. પલંગ પર પ્રેમાલાપ શરૂ થયો. પતિએ પત્નીને કહ્યું, તારી આંખોમાં મને આખી દુનિયા દેખાય છે.
‘એમાં મારો ગધેડો દેખાય છે?’ પલંગની નીચેથી બહાર નીકળીને પેલાએ ભોળાભાવે પૂછ્યું.
અલબત્ત, આ એક વાહિયાત જોક છે. જોકનો મુદ્દો તો એ છે કે સૌને પોતપોતાની પડી હોય, પરંતુ આપણો મુદ્દો એ છે કે પ્રણયકાળના આરંભે પ્રેમીને પ્રેમિકાની આંખોમાં આખી દુનિયા દેખાય, પરંતુ એ ‘દૃષ્ટિ’ હંમેશાં નથી ટકતી. પછી પ્રણયની અભિવ્યક્તિની તીવ્રતા અને પ્રમાણમાં ઘટાડો થાય તે સ્વાભાવિક છે. પથ્થર જેવો પથ્થર પણ કાળક્રમે ઘસારાને લીધે બદલાતો હોય તો માનવીનું અને એમાં પણ પ્રેમનું તો પૂછવું જ શું? કેતન મહેતાની ફિલ્મ માયા મેમસાબમાં એવા મતલબનો એક સંવાદ હતો કે આ પ્રેમ કમબખ્ત કમાલની ચીજ છે; એક ઠેકાણે અટકતો જ નથી; વધે નહીં તો ઘટવા લાગે છે.
ખેર, એ એક વિશ્વવ્યાપી હકીકત છે કે પ્રેમીઓ પતિ-પત્ની બન્યા બાદ કાયમને માટે પહેલાં જેવી, ‘તારી આંખોમાં આખી દુનિયા દેખાય છે’ એવી, રોમેન્ટિક વાતો નથી કરતાં. પણ તેથી શું થયું? જુવાનીથી છેક વૃદ્ધાવસ્થા સુધી સ્ત્રી-પુરુષ વચ્ચે લાગણીનો તંતૂ ટકેલો રહી જ શકે અને ઇવન વધુ ને વધુ મજબૂત પણ બની શકે. આ સમયગાળા દરમિયાન પ્રેમનું રૂપ અને અભિવ્યક્તિ સતત બદલાવાનાં જ, કારણ કે પરિવર્તન એ તો સંસારનો નિયમ છે.
સંસારના આ અફર નિયમ મુજબ પ્રેમીને આજે પ્રેમિકાની આંખોમાં આખી દુનિયા દેખાય તો કાલે ન પણ દેખાય. આ સ્વાભાવિક પરિવર્તનનો જો સ્વસ્થ સ્વીકાર ન થઈ શકે તો ઝઘડા નક્કી છેઃ પહેલાં તો તું કેવો મારી આગળપાછળ ફરતો હતો, હવે તો તને મારી પરવા જ નથી. પહેલાં તો તું ઓફિસેથી દિવસમાં દસ વાર મને ફોન કરતો હતો, હવે તો તને ફોન કરવાનું યાદ પણ આવતું નથી. પહેલાં તને મારી કેટલી પરવા હતી, પણ હવે તો હું જીવું કે મરું, તને કોઈ ફરક જ નથી પડતો…
આ પ્રકારની ફરિયાદોના નીચોડ જેવા છે આ શબ્દોઃ
રહતે થે કભી જિન કે દિલ મેં હમ જાન સે ભી પ્યારોં કી તરહ…
ફિલ્મ મમતાના આ ગીત વિશે આપણી વાત ચાલી રહી હતી.
અગાઉ તમને તમારા જીવ કરતાં પણ હું વધુ વહાલી હતી. અને હવે?
બૈઠે હૈ ઉન્હી કે કૂચે મેં હમ આજ ગુનહગારોં કી તરહ…
આજે એમને ત્યાં અમે ગુનેગારની જેમ બેઠાં છીએ. એટલું જ નહીં, કરગરી પણ રહ્યા છીએઃ
ઠોકર ન લગાના હમ ખુદ હૈ ગિરતી હુઈ દિવારોં કી તરહ.
આહ! આ ફરિયાદ ચોટદાર છે. સ્ત્રીની હાલત બિસ્માર દિવાલ જેવી થઈ ચૂકી છે. એની વિનંતી એટલી જ છે કે હવે ઠોકર ન મારીશ. નહીંતર હું સાવ જ પડી જઈશ, વિખેરાઈ જઈશ.
ફિલ્મમાં જે નાયિકા આ ગીત ગાઈ રહી છે તે અસલમાં પ્રેમીના નહીં, સમાજના પ્રહારોથી થાકેલી છે. એટલે એ કહેવા એવું માંગે છે કે યાર, દુનિયાએ તો બહુ જાલીમિયત દેખાડી, હવે તું તો જાલીમ ન બન. ફિલ્મમાં આ ગીત પહેલાં અને આ ગીત પછી, જુવાનીથી વૃદ્ધાવસ્થા સુધી, પ્રેમી-પ્રેમિકા (અશોક કુમાર-સુચિત્રા સેન) વચ્ચેનો પ્રેમ સતત લીલોછમ્મ જ રહેતો દેખાડાયો છે. વચ્ચે ફક્ત થોડી મિનિટો પૂરતી એક ગેરસમજને લીધે ખિજાયેલી નાયિકા નાયકને આ ગીત દ્વારા અતિ આકરા ટોણા મારે છે. બાકી તો એ સ્ત્રી જાણે જ છે કે દોષ પ્રેમીનો નથી, સંજોગોનો છે, સમયનો છે.
પ્રેમસંબંધ પર સમયનો પ્રભાવ… આ એક નાજૂક અને મહત્ત્વની બાબત છે. બે મનુષ્ય વચ્ચેનો સંબંધ સમયના પ્રભાવને લીધે બદલાય, ખાસ તો કથળે, ત્યારે સમયની ભૂમિકા સ્વીકારવાને બદલે મોટે ભાગે બન્ને પક્ષો સામસામી વ્યક્તિગત આરોપબાજી પર ઉતરી આવતાં હોય છે. એવી આરોપબાજીનાં ગીતોની આપણે વાત કરી રહ્યાં છીએ ત્યારે નોંધવું રહ્યું કે કેટલાંક અત્યંત જૂજ ગીતો એવાં છે ખરાં જેમાં પુખ્ત પ્રેમીઓ એ વાતને સમજી શકે છે કે વાંક તારોય નથી ને વાંક મારોય નથી, વાંક છે સમયનો. આવું એક મૅચ્યોર ગીત હતું ફિલ્મ કાગઝ કે ફૂલનું, જેમાં બૅકગ્રાઉન્ડમાં વાગતા ગીત દ્વારા નાયિકા પ્રેમસંબંધ પર પડેલો કાળનો પ્રભાવ આ શબ્દોમાં સ્વીકારે છે:
વક્ત ને કિયા ક્યા હંસી સિતમ
તુમ રહે ના તુમ, હમ રહે ના હમ…આને કહેવાય સ્વસ્થ સ્વીકાર. અલબત્ત, આ સ્વીકારમાં વેદના છે, ઉદાસી છે, પણ આરોપબાજી નથી. તું આવો ને તું તેવી એવી તુંતા કર્યા વિના ‘કાળદેવતા’ના પ્રભાવનો આવો સ્વીકાર ન કેવળ પ્રેમસંબંધના બલ્કે બીજા અન્ય અનેક પ્રકારના ઝઘડાઓ અટકાવી શકે.
https://youtu.be/3TxjJCEKYvE?si=3Md7nCLIFdYhMvy8
બાકી, સામેના પક્ષનો વાંક કાઢવો બહુ સહેલો હોય છે. ગુસ્સે થઈ જવું બહુ સહેલું હોય છે. ભડાસ કાઢવાનું સહેલું હોય છે. આવી ભડાસ કાઢતી વખતે પ્રેમી ભાયડો ક્યારેક તો એની ચોક્કસ પ્રેમિકા ઉપરાંત આખેઆખી નારીજાતિને ખરીખોટી સુણાવી દેઃ
આગ સે નાતા, નારી સે રિશ્તા
કાહે મન સમજ ન પાયા…લ્યો બોલો. નારી સાથે સંબંધ બાંધવો એટલે જાણે આગથી ખેલવું… શબ્દો દઝાડે એવા છે, પણ ગીતની ટ્યૂન એકદમ કોમળ અને મધૂર છે. ગીત છે ફિલ્મ અનામિકાનું, જેના આરંભિક શબ્દો છેઃ મેરી ભીગી ભીગી સી પલકોં પે રહ ગએ… ગળ્યું સંગીત ધરાવતા આ કડવા ગીત વિશે વાત કરીશું આવતા લેખમાં
https://youtu.be/3TxjJCEKYvE?si=3Md7nCLIFdYhMvy8
(ક્રમશઃ)
શ્રી દીપક સોલિયાનું વિજાણુ સંપર્ક સરનામુંઃ dipaksoliya@gmail.com
-
વાદ્યવિશેષ (૩૭)- તાલવાદ્યો : (૨) તબલાં
ફિલ્મી ગીતોમા વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી
પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી
હિન્દુસ્તાની સંગીતના શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, હળવા તેમ જ ફિલ્મી સંગીત પ્રકારોમાં તાલવાદ્ય તરીકે તબલાં(‘તબલા’ પ્રયોગ અરેબીક ભાષાના ‘તબ્લ’ શબ્દ પરથી આવ્યો છે, તેની જોડી હોવાથી ગુજરાતીમાં તબલાં કહેવાય છે)નો સૌથી વધારે ઉપયોગ થતો આવ્યો છે. એક વાયકા અનુસાર અમીર ખુસરોએ ઢોલકને વચ્ચેથી કાપીને તબલાં તૈયાર કરાવ્યાં હતાં.

છબીમાં જોઈ શકાય છે એ તબલાંની જોડી એટલી પ્રચલિત છે કે તેની ઓળખાણ આપવી ન પડે. અહીં ડાબી બાજુએ નજરે પડતા સહેજ ઊંચા તબલાને મોટા ભાગના વાદકો જમણા હાથ વડે વગાડતા હોવાથી તેને ‘દાંયા’ (દાહીના) કહેવામાં આવે છે. ગુજરાતીમાં તેને ‘નરઘું’ પણ કહે છે. જમણી બાજુએ સહેજ નીચું અને પહોળું દેખાય છે તે તબલાને ‘બાંયા’ કહે છે, કારણ કે તે ડાબા હાથે વગાડાય છે. ગુજારાતીમાં તે ‘ભોણીયું’ તરીકે પણ ઓળખાય છે. અહીં એક સ્પષ્ટતા જરૂરી છે કે અમુક વાદકો દાંયાને ડાબા હાથ વડે અને બાંયાને જમણા હાથ વડે વગાડતા હોય છે. પણ પરંપરાગત નામકરણ તેનું તે જ રહે છે. નોંધનીય છે કે તબલાંની બનાવટમાં લાકડાની જગ્યાએ પીત્તળ કે સ્ટીલ જેવી ધાતુઓનો પણ ઉપયોગ થાય છે.
સાગ અથવા અન્ય કોઈ મજબૂત ઝાડના થડના ટૂકડાને વચ્ચેથી કોતરી નાખવાથી બનતા પોલા નળાકારના ઉપરના હિસ્સાને બકરા, ઘેટા અથવા ઊંટ જેવા પ્રાણીના ચામડામાંથી બનાવાતા દોરા વડે ખુબ મજબૂતીથી મઢી લેવામાં આવે છે. આ માટે ઊંટના ચામડામાંથી બનાવાતા પાતળા દોરડાનો ઉપયોગ થાય છે. મઢાયેલા ચામડાના ઉપરના મધ્ય ભાગે કાંજી સાથે કાળી ભૂકી મેળવી બનાવાતી લુગદી ચોપડી, શક્ય એવી ગોળાકાર તકતી બનાવવામાં આવે છે. સામાન્ય ભાષામાં આવી લુગદીને ‘શાહી’ કહેવામાં આવે છે, સમયસમયે ચામડાની નળાકાર ઉપરની પકડ ઢીલી પડી જાય, તેને ફરીથી કસવા માટે તબલાની રચનાના ઉભા પટ્ટે ચામડામાથી બનાવાયેલા પાતળા પટ્ટા લગાડાયેલા હોય છે, લાકડાના બનેલા લંબગોળાકાર ટૂકડાઓને આવા પટ્ટા તંગ કસાયેલા રહે તે રીતે તબલાના નીચેના છેડે લગાડવામાં આવે છે, જરૂર પડ્યે નાની હથોડીના આછા પ્રહાર વડે પણ તબલાને કસી, અપેક્ષિત ધ્વનિ ઉપજાવી શકાય છે.
તબલાં વગાડવાથી ઉત્પન્ન થતા ધ્વનિને બોલ કહેવાય છે. નરઘું(બાંયા) વગાડવા માટે મહદઅંશે આંગળીઓ અને ભોણીયું(દાંયા) વગાડવા માટે હથેળીનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે આ તો થઈ માત્ર પ્રાથમિક પદ્ધતિ. તે ઉપરાંત એક નિપૂણ તાબલાવાદક અનેક રીતો અજમાવે છે. વાદનની શાસ્ત્રીયતા બાબતે ઊંડા ન ઉતરતાં હવે એક દિગ્ગજ તબલાવાદક ઉસ્તાદ અહમદજાન થીરકવાનું વાદન માણીએ. કિશન મહારાજ, નિખીલ ઘોષ, અલ્લારખ્ખા અને ઝાકીર હુસૈન જેવા વિશ્વવિખ્યાત તબલચીઓ થીરકવા સાહેબને એક અવાજે મહાનતમ વાદક તરીકે બિરદાવતા રહ્યા છે. આ આ અને હવે પછીની ક્લીપ્સ પૈકીનાં કેટલાંયે રેકોર્ડીંગ્ઝ બહુ આધુનિક નહીં તેવી સુવિધાઓ સાથે થયેલાં હોઈ, માણવા માટે હેડફોનનો ઉપયોગ કરવા ભલામણ છે,
હિન્દી ફિલ્મસંગીતના છેક પ્રારંભકાળથી સંગતમાં તબલાંનો ઉપયોગ થતો આવ્યો છે. હવે સાંભળીએ અત્યંત કુશળતાથી થયેલા તબલાંવાદન ધરાવતાં કેટલાંક ફિલ્મી ગીતો.
પહેલાં સાંભળીએ ૧૯૫૪માં પરદા ઉપર આવેલી ફિલ્મ બૂટ પાલિશનું ગીત ‘લપક ઝપક તૂ બરસ બદરવા’. સંગીત શંકર-જયકિશનનું છે.
સાંભળીએ ફિલ્મ ઝનક ઝનક પાયલ બાજે(૧૯૫૫)નું એક નૃત્યગાન, જેના શબ્દો છે ‘મુરલી મનોહર ક્રિશ્ન કન્હૈયા’. આ ફિલ્મ માટે વસંત દેસાઈએ સંગીત તૈયાર કર્યું છે.
https://www.youtube.com/watch?v=-hrgZCE2rEY&list=RD-hrgZCE2rEY&start_radio=1
૧૯૫૫ની સાલમાં જ પ્રદર્શિત થયેલી ફિલ્મ યાસ્મીન માટે સી.રામચંદ્રે સંગીત આપ્યું હતું, આ ફિલ્મનું ગીત ‘મુઝ પે ઈલ્ઝામ એ બેવફાઈ હૈ’ તબલાંની સંગત થકી વધુ કર્ણપ્રિય બન્યું છે.
યાદગાર તબલાંવાદન ધરાવતું એક ગીત ૧૯૫૬ની ફિલ્મ એક હી રાસ્તાનું ‘ચલી ગોરી પી કે મિલન કો ચલી’ છે. સંગીતકાર હતા હેમંતકુમાર. ઉલ્લેખનીય છે કે પરદા ઉપર તબલાં વગાડી રહેલા કલાકાર પદ્ધતિસરનું વાદન કરી રહ્યા છે. કેટલીયે ફિલ્મોનાં ગીતના ફિલ્માંકનમાં વાદક અને વાદન માત્ર પ્રતિકાત્મક જ હોય છે.
સી.રામચંદ્રના સંગીતનિર્દેશનમાં તૈયાર થલેલું એક યાદગાર તબલાંપ્રધાન ગીત માણીએ. પ્રસ્તુત છે ફિલ્મ અમરદીપ(૧૯૫૮)નું ગીત ‘મેરે મન કા બાંવરા પંછી’
https://www.youtube.com/watch?v=9bzjO_kfK84&list=RD9bzjO_kfK84&start_radio=1
ફિલ્મ નવરંગ(૧૯૫૯)નાં ગીતો પણ સી રામચંદ્રના નિર્દેશનમાં બન્યાં હતાં. તે પૈકીનું એક નૃત્યગીત ‘રંગ દે રે’ ઉત્કૃષ્ટ તબલાંવાદન વડે સજાવાયું છે.
૧૯૬૦ના વર્ષમાં પ્રદર્શિત થયેલી ઐતિહાસિક ફિલ્મ મુગલ એ આઝમ તેના દરેક પાસાની ભવ્યતા થકી ખરા અર્થમાં ઐતિહાસિક બની રહી છે. આ ફિલ્મનું એક નૃત્યગીત ‘મોંહે પનઘટ પે નંદલાલ’ સાંભળતાં જ સંગતમાં વાગી રહેલાં તબલાં ધ્યાન ખેંચી લે છે.
૧૯૬૦ની સાલમાં જ પરદા ઉપર આવેલી ફિલ્મ કોહીનૂર માટે પણ ગીતો નૌશાદના નિર્દેશનમાં તૈયાર થયાં હતાં. આ ફિલ્મનું એક શકવર્તી નૃત્યગીત ‘મધુબન મેં રાધિકા નાચે રે’ ખુબ જ ધ્યાનાકર્ષક તબલાંવાદન વડે સજાવાયું છે. સાથે સાથે અમુક પડાવ ઉપર મૃદંગના બોલ પણ વાગે છે.
ફિલ્મ ઓપેરા હાઉસ(૧૯૬૧) માટે ગીતો ચિત્રગુપ્તના નિર્દેશનમાં બન્યાં હતાં. ઉક્ત ફિલ્મનું ગીત ‘બલમા માને ના’ સાંભળતાં જ તબલાંનો સાથ ધ્યાન ખેંચી લે છે. નોંધીએ કે આ પણ એક નૃત્યગીત છે.
સચીનદેવ બર્મનના નિર્દેશનમાં બનેલાં ૧૯૬૩ની ફિલ્મ બંદિનીનાં ગીતો ભારે લોકપ્રિયતાને વર્યાં હતાં. તેમાંનું ગીત ‘મોરા ગોરા અંગ લઈ લે’ તબલાંની સંગત થકી વધુ કર્ણપ્રિય થયું છે.
૧૯૬૩ના વર્ષમાં જ પરદા ઉપર આવેલી અને સચીનદેવ બર્મનના જ નિર્દેશનમાં તૈયાર થયેલાં ગીતો ધરાવતી ફિલ્મ મેરી સૂરત તેરી આંખેંના ગીત ‘નાચે મન મોરા’માં વિશિષ્ટ તબાલાંવાદન સાંભળવા મળે છે. ઉલ્લેખનીય છે કે વરિષ્ઠ શાસ્ત્રીય તબલાવાદક પંડીત સામતાપ્રસાદે અપવાદરૂપે આ ફિલ્મી ગીત માટે સંગત કરી હતી.
૧૯૬૩ની એક વધુ ફિલ્મ દિલ હી તો હૈનાં ગીતો ખુબ જ લોકપ્રિય થયાં હતાં તે પૈકીનું એક કાળજયી ગીત ‘લાગા ચૂનરી મેં દાગ છૂપાઉં કૈસે’ માણીએ. આ ગીતના વાદ્યવૃંદમાં વિવિધ સૂરવાદ્યો સાથે તબલાંવાદન પણ ખુબ જ ચિત્તાકર્ષક છે. ધૂન સંગીતકાર રોશનની છે. દૃશ્યાવલીમાં એક મકામ પર એક કલાકાર મૃદંગ વગાડી રહેલા દેખાય છે, પણ ગીત સાથે તબલાંની જ સંગત કરાઈ છે.
૧૯૬૫માં પરદા પર આવેલી ફિલ્મ ગાઈડ માટે સચીનદેવ બર્મને સંગીત આપ્યું હતું. આ ફિલ્મના ગીત ‘મોં સે છલ કીયે જાય’ માટે યાદગાર તબલાંવાદન સુખ્યાત સંતૂરવાદક પંડીત શિવકુમાર શર્માએ કર્યું હતું, જે નોંધનીય છે.
આજની કડીની આખરમાં હિન્દી ફિલ્મોના ઈતિહાસમાં પોતાનું આગવું સ્થાન જમાવીને બેસેલી ફિલ્મ પાકીઝાનું એક તબલાપ્રધાન ગીત ‘ઈન્હી લોગોં ને લે લીના દૂપટ્ટા મેરા’ સાંભળીએ. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ રજૂ થાય તે પહેલાં તેના સંગીતનિર્દેશક ગુલામ અહમદ અવસાન પામ્યા હતા.
અત્યાર સુધીનાં ગીતો સાંભળતાં એવી છાપ પડે કે ધ્યાનાકર્ષક તબલાંવાદન માત્ર શાસ્ત્રીય ગીતો કે નૃત્યગીતો માટે જ પ્રયોજાય છે. પણ, ઓ.પી, નૈયરે પશ્ચિમી તાલ સાથે તબલાંનું સંયોજન (Fusion) કરીને જે જાદૂઈ અસર ઉભી કરી એ તેમની આગવી ઓળખ બની રહી છે. તેમનાં આવાં અનેક લોકપ્રિય ગીતોમાંનું એક, ફિલ્મ મેરે સનમ(૧૯૬૫)નું ‘જાઈએ આપ કહાં જાઓગે’ સાંભળીએ. ગીતનો આરંભ અને મુખડું પશ્ચિમી તાલમાં છે, પણ મુખડાની અંતિમ પંક્તિ ‘દૂર તક આપ કે પીછે પીછે’ શરુ થતાં તબલાંનો લાક્ષણિક તાલ વાગવા લાગે છે. ગીતમાં આ પ્રયુક્તિ આરંભમાં અને અંતમાં એમ બે જ વાર કરવામાં આવીઆવી હોવાથી તે બહુ જ અસરકારક લાગે છે. જો કે તે બાબતે બરાબર ધ્યાન ન અપાયું હોય તો તે ચૂકાઈ જવાની સંભાવના રહે છે.
આજે અહીં અટકીએ.આવતી કડીમાં નવી સામગ્રી સાથે મળીશું.
નોંધ :
૧) તસવીર નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.
૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય જ છે.
૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.
સંપર્ક સૂત્રો :
શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com -
વાહ! કાગ ભાઈ, વાહ!
પંખીઓના દેશમાં
ગિરિમા ઘારેખાન
એક નાનું ગામ હતું. ગામની વચ્ચે હતું એક મંદિર. મંદિરની બહાર એક વડલો. વડલા ઉપર કેટલાય પંખીઓના માળા. એની નીચી ડાળીઓ ઉપર ચકલીઓના માળા અને વચલી ડાળીઓ ઉપર કાગડાના માળા. આ બધાં પક્ષીઓ વચ્ચે ખૂબ સંપ. કોઈ કોઈને હેરાન ના કરે અને સંપીને રહે. વડલો પણ આ બધાને ખૂબ પ્રેમ કરે.
હવે બન્યું એવું કે એકવાર એક મોટો સાપ ત્યાં આવી ચડયો. એને પણ આ ઘટાદાર વડ બહુ ગમી ગયો. એટલે એણે એના થડની નીચે જ એક દરમાં પોતાનું ઘર કરી લીધું.
હવે આ સાપ તો રાત પડે એટલે સડસડાટ ઝાડ ઉપર ચડે અને પક્ષીઓના માળામાંથી ઈંડા ખાઈ જાય. એમના નાના બચ્ચાંને ઓહિયા કરી જાય. આને લીધે ઝાડ ઉપર રહેતાં પંખીઓ સાપથી ડરી ગયા. એ લોકોએ તો બીજા અલગ અલગ ઝાડ ઉપર પોતાનો વિસામો શોધી લીધો. વડલાની ઉપર સંભળાતા પંખીઓના મધુર ગાન વગર વડ તો સાવ સૂનો થઇ ગયો. એને તો દિવસ રાત બસ સાપના ફૂંફાડા સાંભળવા મળતા. વડલો તો ખૂબ ઉદાસ રહેવા માંડ્યો.
વડની ઉપર રહેતાં બધા પક્ષીઓ બીજે રહેવા ગયા તો હતાં પણ એ બધાને ત્યાં ગમતું ન હતું. બધાને એકબીજાની અને વડદાદાની ઘણી યાદ આવતી હતી. એમના જેવી વડવાઈઓ બીજા કોઈ વૃક્ષ પાસે ન હતી. બીજા વૃક્ષ ઉપરના પંખીઓ એમની સાથે ઝઘડતાં પણ હતાં.
એક દિવસ બપોરે પેલો સાપ જયારે એના દરમાં હતો ત્યારે બધાં પંખીઓ એમના વડદાદાને મળવા આવ્યાં. વડદાદા તો એવા એકલા પડી ગયા હતા કે એ તો એ બધાને જોઇને રડવા જ માંડ્યા.
પંખીઓને પણ એમને રડતા જોઇને અને પોતાના જૂના ઘર, માળા, બધું જોઇને બહુ રડવું આવી ગયું. બધાને કહ્યું, “આપણે કોઈ પણ રીતે પેલા સાપને અહીંથી ભગાડવો જોઈએ. તો આપણે પાછા અહીં રહેવા આવી શકીએ’.વડદાદા કહે, “પણ એને ભગાડશો કેવી રીતે? એને તો રહેવા માટે સરસ ઘર મળી ગયું છે.’
હવે આપણે બધા જાણીએ છે કે પંખીઓમાં કાગડો સહુથી ચતુર હોય છે. એણે બધા પંખીઓને કહ્યું. “તમે કોઈ રડશો નહીં. હું કંઇક ઉપાય કરું છું. હું એ સાપને ભગાડીશ અને આપણે બધા પાછા અહીં રહેવા આવી જઈશું.”ચતુર કાગડાએ વિચાર કર્યો કે સાપને કોણ ઊંચકી શકે? એને સમડી યાદ આવી. સમડી પોતાના મોંમાં લટકાવીને સાપને બીજે નાખી આવી શકે. પણ એને એ પણ ખબર હતી કે સમડી પોતે બહુ જબરી હોય છે. એ કારણ વિના કોઈનું કામ કરે નહીં. કોઈને મદદ ન કરે. હવે શું કરવું?
કાગડાએ ખૂબ વિચાર કર્યો. સમડીને કહેવું તો પડશે જ. એની પાસે કામ કરાવવા માટે એને ખુશ કરવી પડશે. એણે એક ઉપાય વિચાર્યો. એ તો ગામના કચરાના ઢગલા પાસે ગયો અને એમાંથી વીણીવીણીને મરેલા ઉંદર બહાર કાઢયા. પછી એ બધા ઉંદરને પોતાની ચાંચમાં પકડીને એ તો ગયો સમડી પાસે. જઈને એણે સમડી પાસે એ ઉંદરો મૂકી દીધા અને પોતાનું માથું નમાવીને બોલ્યો, “હું કાગડાઓનો નેતા તમારે માટે આ એક નાનકડી ભેટ લાવ્યો છું. મેડમ, તમે સહુથી ઊંચું ઊડી શકો છો. તમારા જેવી તેજ નજર બીજા કોઈની નથી. એટલે જ તમને અમે અમારા રાણી માનીએ છીએ.’
વખાણ કોને ન ગમે? સમડી તો આ બધું સાંભળીને ઘણી ખુશ થઇ. કાગડો તો રોજ મરેલા ઉંદર લઈને સમડી પાસે જવા માંડ્યો. બે ચાર દિવસમાં જ એણે સમડી સાથે દોસ્તી કરી લીધી.
ચાર દિવસ પછી એ સમડીને મળવા ગયો ત્યારે વાતવાતમાં એણે કહ્યું, “મેં સાંભળ્યું છે કે તમે સાપને પણ પોતાની ચાંચમાં ઉપાડી શકો?’
સમડી કહે ,’હા, ઉપાડી લઉં. એમાં શું હતું?’
કાગડો કહે, “ હું તો એ જાણું જ છું. પણ બીજા પંખીઓ એ માનતા નથી. કહે છે કે સમડી એ કામ કરી બતાવે તો જ અમે એને રાણી માનીએ.’
સમડીએ તો એકદમ એની પાંખો પહોળી કરી, માથું ઊંચું કયું અને અભિમાનથી બોલી, “ચલ બતાવી દે ક્યાંય સાપ હોય તો. હું એને મારા મોંમાં પકડી બતાવીશ.’
“ખાલી પકડવાનો નહીં, એને લઈને ઉડવાનું અને દૂર ફેંકી દેવાનો. આ બધું તમે કરી શકો?’ કાગડાએ ડરતો હોય એવી રીતે પૂછ્યું,
હા રે હા. એમાં શું હતું. હું તો સાપ કરતાં ય ભારે જાનવરને ઊંચકી શકું. પછી સાપની શું વિસાત?’
કાગડાને તો આ જ જોઈતું હતું. એણે પોતાના બધા સાથી પંખીઓને પોતાની યોજના જણાવી દીધી. એ પ્રમાણે બીજે દિવસે બપોરે એ બધા પંખીઓ વડ ઉપર આવીને કલશોર કરવા માંડ્યા. પંખીઓનો અવાજ સાંભળીને સૂતેલો સાપ તો ઉઠયો અને ખુશ થઈને દરની બહાર આવ્યો. કાગડો તો સમડીને લઈને પહેલેથી ત્યાં આવેલો જ હતો. એણે સમડીને સાપ બતાવ્યો. સમડીએ તો સીધી એના ઉપર તરાપ મારી અને ચાંચમાં લઈને ઉડવા માંડી. બધા પંખીઓએ કાગડાના શીખવાડ્યા પ્રમાણે જોરથી ‘સમડી રાણીની જય’ બોલાવી. આકાશ તરફ જતી સમડી આ સાંભળીને ઘણી ખુશ થઇ. સાપને પકડીને એ તો દૂર દૂર ગઈ અને પછી સાપને નીચે ફેંકી દીધો.
એ સાપનું પછી શું થયું એ કોઈને નથી ખબર. આપણને તો એટલી ખબર છે કે હવે બધા પંખીઓ પાછા એમના વડદાદાની ઉપર રહે છે, એમને ગીતો સંભળાવે છે અને વડદાદા પણ ખુશ છે. પેલો કાગડો જયારે મળે ત્યારે બધા પંખીઓ એને સલામ કરીને કહે છે “વાહ! કાગભાઈ, વાહ!’
ગિરિમા ઘારેખાન | મો- +૯૧ ૮૯૮૦૨૦૫૯૦૯
-
બુલબુલનું લંચબોક્સ
લતા જગદીશ હિરાણી
– બુલબુલ ઓ બુલબુલ
– શું છે મા ?
– ચાલ જમી લે.
– ના, મને ભૂખ નથી. ઊંઘ આવે છે.
– કેંન્ટિનમાં કંઇ ખાધું લાગે છે. તને કેટલીવાર કહ્યું કે બહારનું ખા ખા ન કર !
મા બોલતી રહી ને બુલબુલ રજાઇ ઓઢીને સુઇ ગઇ.
બુલબુલને સપનું આવ્યું. સપનામાં એ એક ગાઢ જંગલમાં પહોંચી ગઇ હતી. નાજુક નમણાં હરણાં કુણું કુણું ઘાસ ચરતા હતા અને રેશમી રુંવાટીવાળા સસલાં દોડાદોડી કરતાં હતાં. ચારે બાજુ લીલાંછમ વૃક્ષો, રંગબેરંગી ફૂલો અને ખળખળ વહેતા ઝરણાં…
– અરે વાહ ! બુલબુલ તો ખુશખુશાલ થઇ નાચવા માંડી.
એ દોડતી દોડતી સોમુ સસલા પાસે ગઇ. એને ખોળામાં લઇને ગેલ કરવા માંડી. આ જોઇને હમ્ફી હરણ એની બાજુમાં આવી ગયું,
– ચાલ આપણે દોસ્તી કરીએ.
બુલબુલે બધા સાથે હાથ મિલાવ્યા. ઝાડ પરથી પિન્ટુ પોપટ પણ ઉડીને આવ્યો,
– હું યે તમારો ભાઇબંધ…
બધા ભેગા મળીને ખૂબ રમ્યાં. ખૂબ ધમાલ મસ્તી કરી. બુલબુલ થાકી ગઇ હતી
– મને બહુ ભૂખ લાગી છે. કહેતાં એ ઝાડ નીચે લાંબા પગ કરીને બેઠી.
હમ્ફી હરણ હજી કુદાકુદ કરતું હતું પણ સોમુ સસલું ટપાક કરતું બુલબુલના ખોળામાં બેસી ગયું. એના લાંબા લાંબા કાન બુલબુલને અડાડી વહાલ કરવા માંડ્યું. બુલબુલને એ સુંવાળા સુંવાળા સ્પર્શની મજા પડી ગઇ. એ એની પીઠ પંપાળવા લાગી. પિન્ટુ પોપટ ઘડીકમાં બુલબુલના હાથ પાર તો ઘડીકમાં એના માથા પર બેસે.

– ચાલો ચાલો, હું ઝાડ પરથી જામફળ લઇને આવું છું.
– અને તારા મરચાં ? બુલબુલે પૂછ્યું.
– પિન્ટુને મરચાં ખાવા દો. મારે આ રહ્યું મજાનું ઘાસ. સોમુ સસલું બોલ્યું.
– એ બધું રહેવા દો. એ તો તમે રોજ ખાઓ છો. ચાલો આજે તમને કંઇક સરસ ખવડાવું. કહેતાં બુલબુલે પોતાનું દફતર ખોલ્યું. એમાંથી મોટું પેકેટ કાઢ્યું. પેકેટમાં હતા બર્ગર અને સાથે પેપ્સીની બોટલ.
– તમે કદી બર્ગર ખાધા છે ? ચાખો એકવાર. દાઢમાં સ્વાદ રહી જશે.
– બર્ગર ? એ વળી શું ?
હમ્ફી હરણ મોટી મોટી આંખો ઝીણી કરીને બોલ્યું.
સોમુ સસલાએ એનું નાનકડું નાક બર્ગરને અડાડી સુંઘી લીધું અને મોઢું ફેરવી લીધું.
પિન્ટુ પોપટે પેપ્સીની બોટલ ચાંચ મારીને પાડી દીધી.
તમે બધાં આમ કેમ કરો છો ? આવું મસ્ત ખાવાનું તમે જિદગીમાં કદી ચાખ્યું નહીં હોય. તમેય શું યાદ કરશો તમારી આ બુલબુલને….

કોઇએ એ ખોરાક ખાવાની તૈયારી બતાવી નહીં. બુલબુલને જરા માઠું લાગ્યું. એ કંઇ બોલ્યા વગર બર્ગર હાથમાં લઇને ખાવા માંડી અને ખોલી પેપ્સીની બોટલ.
પિંટુ પોપટથી ન રહેવાયું,
– આ તું શું ખાય છે બુલબુલ ?
– ડહાપણ કર્યા વગર તુંય ખાને
– ના હોં, મારે તો મારા ફળ ભલાં !
સોમુ સસલું બુલબુલના ખોળામાંથી ખસીને ઘાસ ખાવા લાગ્યું. બર્ગર તરફ એણે નજર પણ ન નાખી.
હમ્ફી હરણ ઝરણાંનુ પાણી પીવા ચાલ્યું ગયું.
બુલબુલની આંખમાં આંસુ આવી ગયા. એવામાં ત્યાંથી બોબી હાથી નિકળ્યો. બુલબુલની ભીની આંખ જોઇને સુંઢ હલાવતો એની પાસે ઊભો રહી ગયો.
– અરે, સોમુ, હમ્ફી, પિંટુ, અહીં આવો.
બોબીહાથીનો હુકમ બધાં માને.
– કેમ બધાં બુલબુલને નારાજ કરો છો ? – બધાં ચુપ રહ્યાં.
– બુલબુલ વાત એમ છે ને કે અમે છાપું નથી વાંચતા. અમને બર્ગરની ક્યાંથી ખબર હોય ? પિંટુ પોપટ બોલ્યો.
– અમે કદી ટીવી પણ નથી જોયું. અમને વહાલા અમારા જંગલ ને ઝરણાં ! હમ્ફી હરણે કુદકો માર્યો.
બોબીહાથી કહે, ’જો બુલબુલ, નારાજ ન થા. તમને માણસોને જ આવી કચરાપટ્ટી ખાવાની ટેવ હોય. અમે તો કુદરતે આપેલું જ ખાઇએ. કોલ્ડ્રીંક્સનું ઝેર પીવું એનાં કરતાં આ ખળખળ વહેતાં ઝરણાંના પાણીનો સ્વાદ ચાખી જો.”
બુલબુલ રડી પડી, “સોરી ફ્રેંડ્ઝ. હું પણ પહેલાં મારી મમ્મીએ બનાવેલી રસોઇ જ ખાતી હતી. હમણાં મારી એક નવી ફ્રેંડ થઇ છે, સુનમુન. બસ એના વાદે હું આવું બધું ખાતાં શીખી ગઇ. કોલ્ડ્રીંક્સ બહુ નુકસાન કરે છે એવું અમારા ટીચર પણ કહેતા હતા. બસ હવે વાત પૂરી. બહારની ખાણીપીણી બંધ અને સુનમુનની દોસ્તી પણ.’
આમ કહેતાં એણે પેપ્સીનો કર્યો ઘા. તડાક તુટવાનો અવાજ આવ્યો.
બુલબુલ જાગી ગઇ. બાજુમાં એલાર્મ વાગતો હતો ને મમા ઓશિકા પાસે બેસી બુલબુલને પંપાળતી હતી.
– ચાલ બેટા, જલ્દી ઉઠ. જો તારા માટે દાદીમાએ ગરમ ગરમ સુખડી તૈયાર રાખી છે. થોડી અત્યારે ખા અને થોડી લંચબોક્સમાં ભરી દઉં.
– ઓહ સુખડી…. યસ મા. સુખડી જ. અને હા કાલે તું મારા માટે લાડુ બનાવજે હોં..
તોફાની બુલબુલે મમાનો દુપટ્ટો ખેંચ્યો.
– અરે વાહ, તુ તો સુધરી ગઇ ને કાંઇ… ચાલ મારો દુપટ્ટૉ છોડ, મારે બહુ કામ છે.
બુલબુલે પલંગ પરથી કુદકો માર્યો. હમ્ફી હરણની જેમ જ…..
-
પહેલો પુરુષ: હાસ્યલેખક
મોજ કર મનવા
કિશોરચંદ્ર ઠાકર
આપણે કોઇને કોયડો પૂછીએ ત્યારે મોટાભાગે તે સાચો જવાબ ન આપી શકે તેમ ઇચ્છીએ છીએ તેવી જ રીતે કશીક બાબતે અનુમાન કરવાનું કહીએ ત્યારે તેનું અનુમાન ખોટું પડે તેમ ઇચ્છતા હોઇએ છીએ અને જો અનુમાન સાચું પડે તો નિરાશ થવાય છે. આથી જ વાચક મિત્રોને મથાળું વાંચીને આ લેખ શેના વિષે હશે એવું અનુમાન કરવાનો પડકાર આપતો નથી. છતાં કેટલાક વાચક મિત્રો સ્વનિર્મિત પડકાર ઝીલીને અનુમાન કરવા પ્રેરાશે કે દુનિયાના પહેલા પુરુષ મનાયેલા ઈવવાળા આદમની અથવા સનાતનીઓના પહેલા પુરુષ ભગવાન મનુની વાત હશે જેમાં લેખક કહેવા માગતા હશે કે આદમ કે ભગવાન મનુ હાસ્યલેખક હતા. કદાચ “વૃજમાં કૃષ્ણ પુરુષ છે એક” એવા ભક્ત કવિ દયારામનાં કીર્તનમાં ફેરફાર કરીને કૃષ્ણની જગ્યાએ હાસ્યલેખકને મૂકવા માગે છે. જો કે આ પણ મારાં અનુમાનો જ છે. પરંતુ હવે હું આ અનુમાન પુરાણ બંધ કરીને મૂળ વાત પર આવું.
યાદ કરો, તમે શાળામાં ભણેલા ગુજરાતી વ્યાકરણને. પહેલો પુરુષ એક વચન એટલે “હું” અને બહુવચન એટલે “અમે કે આપણે”. આગળ બીજા કે ત્રીજા પુરુષ બાબતે નહિ લખવાની હૈયાધારણ આપીને મિત્રોને વ્યાકરણનાં એ કંટાળો આપતાં વિષયનું વિશેષ દુ:સ્મરણ નથી કરાવતો.
મોટાભાગના હાસ્યલેખકો ‘પહેલા પુરુષ’ની એટલે કે પોતાની કથા કહીને હાસ્ય નિપજાવવા પ્રયાસ કરતા હોય છે. પોતે ક્યારે અને કઈ રીતે મૂર્ખ બન્યા, પોતે કેવા ભૂલકણા છે, પોતે લીધેલા સંકલ્પો કઈ રીતે તૂટ્યાની, વહેલી સવારે ઊઠીને ફરવા નીકળતા પોતાના ઉપર આવેલી આફતોની, પોતે શારીરિક રીતે કે માનસિક રીતે કેવા દુર્બળ છે તથા ક્યારેક પોતાની થયેલી ફજેતીનું વર્ણન કરીને વાચકોનું મનોરંજન કરે છે. જ્યોતીન્દ્ર દવેએ પોતાની આંખે થયેલી આંજણીની, પોતાની વ્યાયામ સાધનાની, પોતાને ભેટેલા પ્રશ્નાર્થ ચિહ્નની એવી અનેક વાતો કરીને હાસ્યરસ ઉત્પન્ન કર્યો છે. તેમના એક હાસ્યલેખનું શિર્ષક જ “હું જ્યોતીન્દ્ર દવે” છે! બીજા એક હાસ્યલેખકે તો પોતાનાં હૃદયની બીમારી વિષે એક આખું પુસ્તક લખીને લોકોને હસાવવા પ્રયાસ કર્યો છે.
હાલના સમયમાં પ્રજાનું સરેરાશ આયુષ્ય વધ્યું છે તેમાં સાહિત્યકારો પણ દીર્ઘાયુષ્ય પામ્યા છે. પણ એક સમય હતો કે કોઇ જાણીતી વ્યક્તિને સાંઈઠ વર્ષ પૂરા કરી નાખે તે પહેલા જ તે પોતે જ સાંઈઠ વર્ષને મહાત કરી દેતા. આમ કરીને તેમણે કોઇ મહાન કાર્ય કર્યું છે (તેમણે હવે ખૂબ જીવી લીધું છે!) તેમ માનીને તેમના ચાહકો અને અન્ય સ્નેહીઓ તેમની ‘ષષ્ઠ્ઠીપૂર્તિ’ નામે ઓળખાતી ઉજવણી કરતા. આવી ઉજવણીનો લાભ ક્યારેક કેટલાક સાહિત્યકારોને પણ મળતો. આ ઉપક્રમમાં શ્રી જ્યોતીન્દ્ર દવેની ષષ્ઠ્ઠીપૂર્તિ – જેઓ પોતાને જ્યોતીન્દ્ર દવેના હિતેચ્છુંઓ માનતા તેવા મિત્રો દ્વારા- ઉજવવામાં આવેલી. રીવાજ પ્રમાણે પોતાનાં સન્માનનો પ્રત્યુત્તર આપવો ફરજિયાત ગણાતો હોવાથી જ્યોતીન્દ્ર દવેએ પણ તે પ્રસંગે પોતાનો પરિચય આપીને પ્રત્યુત્તર આપેલો. કોઇને પણ નવાઈ લાગે કે આટલા પ્રસિદ્ધ સાહિત્યકારે પોતાનો પરિચય શા માટે આપવો પડે? પરંતુ ખરેખર તો તેમણે પહેલા પુરુષની એટલે કે પોતાની જ વાત કરીને લોકોને હસાવવા હતા. આથી તેમણે રચેલાં “આત્મપરિચય” નામનાં કાવ્યનું પઠન કરવાની સાથે હાસ્યલેખક માટે આવશ્યક એવા ‘પહેલા પુરુષ’ને ન્યાય આપીને શ્રોતાઓને ખડખડાટ હસાવેલા.
એવું નથી કે હાસ્યલેખકે પહેલા પુરુષ એક વચનમાં જ વાત કરીને વાચકોને હસાવ્યા છે. ‘સબકા સાથ સબકા વિકાસ’ એ સૂત્ર ભલે પછીથી આવ્યું હોય, પરંતુ તે સૂત્ર પાછળની ભાવના તો હાસ્યલેખકોને વિદિત હતી જ! આથી જ્યોતીન્દ્ર દવેએ તેમના મિત્ર ધનસુખલાલ મહેતાની ભાગીદારીમાં ‘ અમે બધા” નામનું આત્મકથા સ્વરૂપનું પુસ્તક લખ્યું. તેમના અનુગામી શ્રી વિનોદ ભટ્ટે પણ ‘એવા રે અમો એવા” નામનું પુસ્તક લખ્યું છે. આ રીતે તેમણે પહેલા પુરુષ બહુવચનનો પ્રયોગ કરીને વાચકોનું મનોરંજન કર્યું છે.
માત્ર હાસ્યલેખકો જ નહિ, શાહબુદ્દીન રાઠોડ સાહેબ જેવા ડાયરાના કલાકારો પણ ઘણેભાગે ‘પહેલા પુરુષ’ની જ વાત કરીને શ્રોતાઓને હસાવે છે. વાત સાચી કે ક્યારેક તેઓ પોતાની કથામાં પાત્ર તરીકે પત્નીને લઈ આવતા હોય છે, પરંતુ એ તો ‘દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રી હોય છે’ એ ઉક્તિને સાચી ઠરાવવા માટે જ લાવે છે!
હવે સવાલ એ થાય છે કે હાસ્યલેખકો સહિત હાસ્યકારોની કફોડી સ્થિતિ પર વાચકો કે શ્રોતાઓને હસવું કેમ આવતું હશે? માત્ર વાચકો કે શ્રોતાઓને જ નહિ સરકસના જોકરને પણ ઝુલા પરથી પટકાયેલો જોઇને પ્રેક્ષકોને હસવું આવે છે. ‘મેરા નામ જોકર’ ફિલ્મમાં જોકરની માતાએ તેને કહેલાં વાક્ય “તેરે પિતાકે મરતે દમ તક લોગોને તાલિયા બજાઈ થી”! માં આ વાતની જ પ્રતીતિ થાય છે.
જો કે આ બાબતે અપવાદો તો ઘણા હશે. પહેલા પુરુષને બદલે ત્રીજા પુરુષની વાત કરીને ભાવકોનું મનોરંજન કર્યાના અનેક દાખલા મળી આવે છે. પરંતુ હાસ્ય નિષ્પન્ન કરવાનો સરળ માર્ગ તો પહેલા પુરુષની કથામાં જ છે. આથી હાસ્યકારો હાથવગા અને સરળ એવા પહેલા પુરુષનો રાજમાર્ગ પસંદ કરીને લોકોને હસાવતા હોય છે.
હાસ્યકારો બાબતે આ પ્રકારનું નિરીક્ષણ કર્યા પછી કોઇ વિદ્વાને એવું સંશોધન કર્યું હોય એમ જાણ્યું નથી કે હાસ્યકારો કફોડી સ્થિતિમાં મૂકાય તેથી વાચકો, શ્રોતાઓ કે પ્રેક્ષકોને હસવું કેમ આવતું હશે? આથી હંમેશની જેમ, વિદ્વાનો જે કાર્ય નથી કરી શકયા તે કરવાની જવાબદારી મારી સમજીને હું સવાલનો જવાબ શોધવા પ્રયાસ કરું છું.
આપણો સૌનો અનુભવ છે કે રસ્તા પર ઠેસ વાગવાથી કે બીજી કોઇ રીતે કોઇને, ખાસ કરીને તો પોતાના પરિચિતને પડી જતો જોઇને લોકો હસતા હોય છે. જોનારને લાગે છે કે પેલો પડ્યો પણ આપણે તો પડ્યા નથી ને, એમ જાણીને પોતે સારી સ્થિતિમાં છે તેનું સુખ માણતા હોય છે. એ જ રીતે અન્યની કોઇપણ પ્રકારની કફોડી પરિસ્થિતિ જોઇને સરખામણીમાં પોતે સારી સ્થિતિમાં છે તેનો આનંદ અનુભવતા હશે છે. કદાચ આ પ્રકારનો જ આનંદ હાસ્યકારો પોતાની નબળાઇ, પોતાની મુશ્કેલીની કે અન્ય બાબતે અલ્પતાની વાત કરે છે ત્યારે લોકોને આવતો હશે. બીજો એવો પણ તર્ક છે કે હાસ્યલેખકે વર્ણવેલી હાલતમાં ક્યારેક વાચકોને પોતાને પણ પસાર થવું પડ્યું હોય છે. તેથી લેખક સાથે તાદાત્મ્ય સધાવાથી sailing in the same boat નો આનંદ માણતા હશે.
જો કે આ પ્રકારના તર્ક કરતી વખતે મને ‘રઘુવંશ’માં કાલિદાસે લખેલા વાક્ય प्रांशु लभ्ये फले मोहाત્ उदबाहुरिव वामन(ઉંચા ઝાડ પરનું ફળ લેવાનો પ્રયાસ કરતા ઠીંગણા માણસ)ની જ લાગણી થાય છે.
હાસ્યકારો ગમે તે માનતા હોય, પરંતુ આ બાબતે આપણા એક મોટાગજાના હાસ્યલેખક તારક મહેતાનો અભિપ્રાય જણાવીને ,પહેલા પુરુષની કથાનું સમાપન કરું છું.
તેમણે લખ્યું છે, ”છેલ્લા ૫૦ વર્ષથી સાહિત્યમાં એક એવો મત પ્રચલિત કરવામાં આવ્યો છે કે જે લેખક પોતાની નબળાઇઓની મજાક ઉડાવી શકે, પોતાની જાતની હાંસી કરી શકે એ સર્વશ્રેષ્ઠ વિનોદ. મેં બધા પ્રયોગ કરી જોયા. મેં મારા લેખનમાં તેમજ જાહેરમાં મારી ઘણી હાંસી કરી, લોકો હસ્યા, હજી પણ હસે છે. કદાચ એ લોકો હસ્યા જ કરશે. તમે એમ સમજો છો કે તમે પ્રજાને હસાવો છો પણ ખરી વાત એ છે કે પ્રજા તમને હસે છે.”
શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
સૌથી પ્રાચીન પર્વતમાળાની ઘોર ખોદવા તંત્ર સજ્જ છે
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
માનવજાત જે ઝડપે વિકાસ સાધી રહી છે એમાં ખરેખર તો કોનો વિકાસ થઈ રહ્યો છે એ સમજવું મુશ્કેલ છે. કેમ કે, વિકાસની આ દોટમાં નદી, પર્વત, સાગર, જમીન અને તમામ પર્યાવરણપ્રણાલિઓનો ભોગ લેવાઈ રહ્યો છે. આમ કર્યા પછી મુઠ્ઠીભર લોકોનું જીવનધોરણ કદાચ સહેજ ઊપર આવે તો પણ એમના જીવનની ગુણવત્તા સાવ કથળે છે. આનાં કંઈ કેટલાંય ઉદાહરણો રોજેરોજ નજર સામે આવી રહ્યાં છે. આટલા બધા નુકસાન પછી જે કંઈ હાથમાં આવે એને વિકાસ કહી શકાય ખરો?
અરવલ્લીની ગિરિમાળા પર ક્યારનું જોખમ તોળાઈ રહ્યું છે, જેના વિશે આ કટારમાં ત્રણેક વર્ષ અગાઉ વિગતે લખાયું હતું. એમાં મુખ્ય મુદ્દો દિલ્હી અને હરિયાણામાં આવેલા આ પર્વતમાળાના કેટલાક હિસ્સામાં ગેરકાયદે વધતી જતી બાંધકામની પ્રવૃત્તિ અને તેને લઈને બદલાતું જે તે વિસ્તારનું ભૂપૃષ્ઠ ઊપરાંત આ ગેરકાયદે બાંધકામ પ્રવૃત્તિને કાયદાકીય સ્વરૂપ અપાવાની હિલચાલનો હતો. 2018માં સર્વોચ્ચ અદાલતે નોંધ્યું કે આ ગિરિમાળાનો પા ભાગ રીતસર ખતમ થઈ ગયો છે. એ સાથે જ તેણે અરવલ્લીમાં થઈ રહેલા ગેરકાયદે બાંધકામ બાબતે કડકાઈ દાખવવા માંડી. આ ગિરિમાળા પર બનાવાયેલાં અમીરોનાં ફાર્મહાઉસ હોય કે ગરીબોનાં આવાસ, સર્વોચ્ચ અદાલતે કડકાઈ બાબતે કોઈ ભેદભાવ દાખવ્યો નથી.

સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી હવે વાત જરા જુદી રીતે અને વધુ ગંભીરપણે આગળ વધી રહી છે. તેના વિશે વાત કરતાં પહેલાં એટલી પ્રાથમિક વિગત જાણી લેવી જરૂરી છે કે ગુજરાતની પૂર્વેથી છેક હરિયાણાની દક્ષિણ સુધી, આશરે સાતસો કિ.મી.ના વિસ્તારમાં પથરાયેલી અરવલ્લીની ગિરિમાળા વિશ્વની પ્રાચીનતમ ગિરિમાળા છે. સ્વાભાવિકપણે જ તેની આગવી જૈવપ્રણાલિ હોય અને તેને કારણે આસપાસના વિસ્તારની આબોહવા પર તેની અસર હોય. ખાસ કરીને રાજસ્થાનના થારના રણમાંથી વાતી લૂને તે અવરોધે છે. દેશના કેટલાક ભાગ પૂરતું તે ‘હરિયાળું ફેફસું’ કહેવાય છે. પણ હવે જાણે કે પર્યાવરણ મંત્રાલયે તેને ખતમ કરવા માટે કમર કસી લીધી છે.
નવેમ્બરના છેલ્લા સપ્તાહમાં સર્વોચ્ચ અદાલત દ્વારા કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયની એક પેનલ દ્વારા કરાયેલી ભલામણનો સ્વીકાર કર્યો. એ મુજબ પેનલ દ્વારા રાજસ્થાનમાં આવેલા અરવલ્લીના ગણાતા વિસ્તારમાં લગભગ ૯૦% જેટલો ઘટાડો સૂચવાયો છે. અરવલ્લીના કયા વિસ્તારમાં ખનન માટે મંજૂરી આપવી એ બાબત નક્કી કરવામાં આ સરકારી પેનલે તેની પોતાની જ સંસ્થા ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા (એફ.એસ.આઈ.) દ્વારા તૈયાર કરાયેલી સત્તાવાર માર્ગદર્શિકાઓને અવગણી છે. પેનલે સૂચવ્યું છે કે સો મીટર યા તેથી વધુ ઊંચાઈ ધરાવતા વિસ્તારો જ પર્વતમાળાનો હિસ્સો ગણાશે.
આ પર્વતમાળાની સરેરાશ ઊંચાઈ છસોથી નવસો મીટરની છે. એફ.એસ.આઈ.ના સર્વેક્ષણ અનુસાર, અરવલ્લીની કુલ ૧૨,૦૮૧ ટેકરીઓ પૈકીની કેવળ ૧,૦૪૮ ટેકરીઓ જ સો મીટર ઊંચાઈના આ માપદંડમાં બંધ બેસે છે. એ સિવાયની, એટલે કે મોટા ભાગની પર્વતમાળાની ઊંચાઈ વીસ મીટર કે એથી વધુ છે. એનો અર્થ એ થયો કે અરવલ્લી ગિરિમાળાના નેવુ ટકા હિસ્સાને સરકારની પેનલે ખનન માટે ખુલ્લો કરવાની ભલામણ કરી અને સર્વોચ્ચ અદાલતે એને મંજૂર રાખી. સર્વોચ્ચ અદાલતે પર્યાવરણ મંત્રાલયને એવા વિસ્તારોના ખનન માટે સુયોગ્ય યોજના બનાવવા જણાવ્યું છે. અલબત્ત, અદાલતની પોતાની સમિતિના ૨૦૧૮ના અહેવાલ સહિત બીજા અનેક અહેવાલમાં સૂચવાયું છે કે અરવલ્લીની ગિરિમાળાઓ પોતાનો પચીસ ટકા એટલે કે પા ભાગનો હિસ્સો ક્યારનો ગુમાવી ચૂકી છે. હવે ગિરિમાળાની આ નવી વ્યાખ્યા પછી તેમાં શું બાકી રહેશે એ સવાલ છે.
વક્રતા એ છે કે હજી મે મહિનામાં જ પર્યાવરણ મંત્રાલય દ્વારા ‘અરવલ્લી લેન્ડસ્કેપ રિસ્ટોરેશન એક્શન પ્લાન’ બનાવવામાં આવ્યો હતો, જેમાં વનનાબૂદી, ખનન, ચરાણ તેમજ ગેરકાયદે ઘૂસણખોરીથી અરવલ્લીનું રક્ષણ કરાવવાની જરૂરિયાત પર ભાર મૂકાયો હતો. તેમાં એમ પણ જણાવાયું હતું કે રણની રેતી પૂર્વ તરફ ખસી રહી છે અને ગુરુગ્રામ તેમજ અલવર જેવા વિસ્તારોને એ નુકસાન પહોંચાડે છે. છેક ૨૦૦૨ થી સર્વોચ્ચ અદાલત કહેતી આવી છે કે અરાવલ્લીના બધા ભાગો એટલે કે પહાડો, ઉચ્ચ પ્રદેશ પરની સમતલ જમીન, મેદાનો અને ડુંગરની સાંકડી ટોચો—આ બધું મળીને એક સંયુક્ત પર્યાવરણપ્રણાલિ તરીકે કામ કરે છે. ૨૦૧૮ માં સર્વોચ્ચ અદાલતે એમ પણ કહ્યું હતું કે આ પહાડો નહીં રહે તો દિલ્હીમાં હવાના પ્રદૂષણમાં વધારો થશે.
આમ, સર્વોચ્ચ અદાલત અને પર્યાવરણ બન્ને પોતે જ ભૂતકાળમાં છેડેલા સૂરથી વિપરીત સૂરાવલિ છેડી રહ્યાં છે. ભૂતકાળમાં સર્વોચ્ચ અદાલતે પર્યાવરણની સુરક્ષા બાબતે નિર્ણાયક પગલાં ભર્યાં હોવાનો ઉજ્જ્વળ ઈતિહાસ છે. હવે નિર્ધારીત કરાયેલી ઊંચાઈથી ઓછી ઊંચાઈની ટેકરીઓનો નાશ કરવામાં આવશે તો થોડાઘણા પહાડો બાકી રહેશે. દેશના ઊત્તર ભાગનું ‘હરિયાળું ફેફસું’ આ રીતે સાવ નકામું બની જશે.
આ આખી કવાયત પરથી ખ્યાલ આવશે કે આપણો વર્તમાન અને ભાવિ કેવા કેવા લોકો અને કેવા તંત્રના હાથમાં છે. ખનનની પરવાનગી એટલે માત્ર ને માત્ર આવકનો સ્રોત ઊભો કરવો. એનાથી મુઠ્ઠીભર લોકોને થોડોઘણો આર્થિક લાભ થશે, પણ સામે આખેઆખી પર્યાવરણપ્રણાલિનું નિકંદન નીકળી જશે અને આટલા મોટા ભૂવિસ્તાર પર તેની વિપરીત અસરોનો ભોગ બનવું પડશે એ નુકસાનને કયા ત્રાજવે તોલીશું? આમાં સંવેદનાની નહીં, સાદી સમજણની વાત છે. પણ આર્થિક લાભ સાદી સમજણને ક્યાંય પાછળ મૂકી દે છે. એક નાગરિક તરીકે આવી ગતિવિધિઓના સાક્ષી બનવાનું આવે એનાથી મોટી લાચારી શી હોઈ શકે!
ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૮ – ૧૨– ૨૦૨૫ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી -
સ્મૃતિસંપદા – સ્મરણગંગા : બાબુ સુથારઃ એક કાચબાની કથા [૪]
આ પહેલાં આપણે શ્રી બાબુ સુથારના તેમની શરૂઆતની નોકરીઓની ખાટી મીઠી યાદો મમળાવી.હવે તેમના અમેરિકામાં સ્થાયી થવાના અનુભવો વિશે જાણીએ….
હું એ ઘરમાં માંડ બેએક વરસ રહ્યો હોઈશ ત્યાં જ મારે અમેરિકા આવવાનું થયું અને હું ૧૫મી ઓગસ્ટ, ૧૯૯૭ના રોજ અમેરિકા આવ્યો. પહેલા ત્રણેક દિવસ હું મારા પ્રોફેસર જ્યોર્જ કાર્ડોનાને ત્યાં રહેલો. પછી, હું એમણે મારા માટે લઈ રાખેલા એક એપાર્ટમેન્ટમાં રહેવા ગયેલો. પશ્ચિમ ફિલાડેલ્ફિયામાં આવેલો એ એપાર્ટમેન્ટ ત્રીજા માળે હતો. એમાં એક રસોડું અને એક અંધારિયો ઓરડો. ઓરડામાં બારી એક પણ નહીં. એમાં દિવસે પણ લાઈટ કરવું પડતું. રસોડામાં બે બાજુ બારીઓ હતી. ત્યાં દિવસે લાઈટની જરૂર ન હતી પડતી. નસીબ જોગે રસોડું પેલા ઓરડા કરતાં મોટું હતું. એટલે એકબે દિવસ એ અંધારા ઓરડામાં રહ્યા પછી હું મકાનમાલિકને કહીને રસોડામાં રહેવા ચાલ્યો ગયેલો. અને પેલા ઓરડાને મેં સ્ટોર રૂમ બનાવેલો. એમાં મારાં બેગબિસ્તરા પડી રહેતાં. આ એપાર્ટમેન્ટમાં હું હકીકતમાં તો પેટાભાડૂત હતો. મને ત્યારે યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાં ગુજરાતી ભાષા ભણાવવા પેટે મહિને અગિયારસો ડોલર વેતન મળતું હતું. જો કે, યુનિવર્સટીએ મારી ટ્યુશન ફી માફ કરેલી અને મને તથા મારા કુટુંબને એ લોકોએ મેડિકલ વીમો આપેલો. હું ઘરભાડા પેટે મહિને બસો ડોલર આપતો હતો. પણ મારાં ‘માલિકણની’ એક શરત હતી: મારે રસોડાનું બારણું હંમેશાં ખુલ્લું રાખવાનું. કેમ કે, એમની ચારપાંચ બિલાડીઓમાંની એકને રસોડાની એક બારીમાં બેસવાની ટેવ હતી! મને એની સામે વાંધો ન હતો. હકીકતમાં તો મારાં માલિકણને ત્યાં એક નાનકડું પ્રાણીસંગ્રહાલય કહી શકાય એટલાં પ્રાણીઓ હતાં. એમાં ચારેક બિલાડીઓ ઉપરાંત, બે કૂતરા, બેચાર સસલાં અને બીજાં બે ત્રણ – જેમનાં મને નામ મને ત્યારે સમજાયાં ન હતાં- પ્રાણીઓનો સમાવેશ થતો હતો. હું જ્યારે પણ યુનિવર્સિટીએ જવા નીકળતો ત્યારે મારી કમરે આવે એટલા ઊંચા બેએક કૂતરા મારી પાસે આવતા અને મને ચારે બાજુથી સૂંઘતા. મને એમનો ખૂબ ડર લાગતો હતો. પણ, હું કહી શકતો ન હતો. મને એમ કે જો હું એનાં કૂતરાં સામે ફરીયાદ કરીશ તો એ કદાચ મને કાઢી મૂકશે અને મારે વધારે ભાડાના મકાનમાં રહેવા જવું પડશે. હું યુનિવર્સટીથી પાછો ઘેર આવતો ત્યારે પણ પાછા એ બન્ને કૂતરા મારી પાસે આવતા ને મને ચારે બાજુથી સૂંઘતા. હું મનમાં મનમાં બોલતો: હું જે હતો એ જ છું. બદલાયો નથી.
આ એપાર્ટમેન્ટમાં હું એક વરસ રહ્યો. ત્યારે મારી પાસે કોમ્પ્યુટર કે એવું કશું હતું નહીં. હું ડાયનિંગ ટેબલ પર બેસીને વાંચતો. નોંધો તૈયાર કરતો. સાપ્તાહિક પરીક્ષા હોય તો હું આખી રાત ઉજાગરો કરીને પેપર તૈયાર કરતો અને પછી વહેલી સવારે સાતેક વાગે નીકળીને યુનિવર્સિટીએ જતો. ત્યાં મારી ઓફિસમાં બેસીને પેપર ટાઈપ કરતો.
બીજા વરસે મારાં પત્ની અને મારો દીકરો મારી સાથે રહેવા આવવાનાં હતાં. એટલે મારે બીજે ઘર લેવા સિવાય કોઈ વિકલ્પ ન હતો. એટલે મેં હું જ્યાં રહેતો હતો એની નજીકમાં જ એક રૂમ રસોડાનું એપાર્ટમેન્ટ લીધું. એમાં દીકરો બેઠક રૂમમાં સૂઈ જતો. જો કે, એને કારણે એને ઘણું સહન કરવું પડતું હતું. કેમ કે શાળામાં બીજા વિદ્યાર્થીઓ એને પૂછતા તો એ પ્રામાણિક બનીને કહી દેતો કે ના, મારે મારો પોતાનો બેડરૂમ નથી. એક વાર એ ઘેર આવીને રડેલો પણ કરો. એ ઘરનું એક સુખ હતું. ત્યાંથી મારી યુનિવર્સિટી બેએક માઈલ દૂર થતી. હું ક્યારેક ચાલતો. ક્યારેક ટ્રોલી લેતો. ઘેર આવતી વખતે મને મોટે ભાગે મારી યુનિવર્સિટીની બસ મળતી. હું એ બસ લેતો. દીકરાની સ્કુલ બસનું સ્ટેશન પણ નજીકમાં હતું.
એ વખતે અમે અમારું વડોદરાનું ઘર પણ બંધ રાખેલું. કેમ કે અમને એમ હતું કે હું પીએચડી પૂરું કર્યા પછી પાછો દેશમાં જઈશ અને ત્યાં જઈને “મારા જ્ઞાનનો લાભ” બીજા લોકોને આપીશ. એ જમાનામાં જે લોકો અમેરિકા ભણવા આવતા એમાંના મોટા ભાગના એવી રંગદર્શી અને રાષ્ટ્રીયતાવાદી કલ્પના કરતા. હું પણ એમાંનો એક હતો.
એ દરમિયાન, મેં અને રેખાએ વિચાર્યું કે દીકરાએ એની સાથે ભણતા વિદ્યાર્થીઓને એવું કહેવું પડે કે એની પાસે એનો બેડરૂમ નથી એ સારું ન કહેવાય. વળી અમારાથી દીકરાને એમ પણ કહેવાય એમ ન હતું કે તું જૂઠું બોલ. એટલે અમે બે બેડરૂમનું એપાર્ટમેન્ટ શોધવા માંડ્યું. હવે રેખા કામ કરતી હતી. વળી મારું વેતન પણ થોડુંક વધેલું. એટલે અમે થોડોક વધુ આર્થિક ભાર ખમવા માટે તૈયાર હતાં. એ દિવસોમાં પાછું મારા માથે મારાં માબાપની પણ જવાબદારી હતી. એમને દર મહિને નહીં તો દર બે મહિને પૈસા મોકલવા પડતા. જેમ આજે માણસો કરતાં પૈસા વધારે સરળતાથી સીમાઓ ઓળંગે છે એવું ત્યારે ન હતું. એથી હું માબાપને ચેક મોકલતો અને માબાપ એ ચેક એમના ખાતામાં જમા કરાવતાં. મેં એમને કહી રાખેલું કે તમારા ખાતામાં પાંત્રીસ હજાર રૂપિયાથી ઓછા પૈસા હોય તો મને તરત જ જાણ કરવી.
પછી અમે બે બેડરૂમના એપાર્ટમેન્ટમાં રહેવા ગયાં. જો કે, એ ઘરમાં પણ રસોડામાં જવું હોય તો અમારે હેતુની રૂમમાં થઈને જવું પડતું. પણ, હવે હેતુને એક વાતનો સંતોષ હતો કે એની પાસે પણ એનો પોતાનો બેડરૂમ છે. એ એના મિત્રોને એવું કહી પણ શકતો હતો.
આ બધાની વચ્ચે મેં પીએચ.ડી. પણ પૂરું કરી દીધેલું. હવે મને Teaching Assistantમાંથી લેક્ચરર બનાવવામાં આવ્યો હતો. હું અમેરિકા J-1 વિઝા પર આવેલો. જેથી મારાં પત્ની J-2 પર આવી શકે અને સત્તાવાર કામ કરી શકે. જો કે, J-1 વિઝામાં એક શરત હોય છે. કાં તો તમારે બે વરસ માટે તમારા દેશમાં પાછું જવું પડે, કાં તો તમારે ભારત સરકાર પાસેથી તમે અમેરિકામાં રોકાઈ જાઓ તો ભારત સરકારને એની સામે કોઈ વાંધો નથી એ મતલબનું ‘ના વાંધા’ પ્રમાણપત્ર મેળવવું પડે. આ બેમાંથી કોઈ એક શરતનું પાલન થાય તો જ તમને H-1 વિઝા મળે. મેં આમાંનો બીજો માર્ગ પસંદ કર્યો. ભારત સરકાર પાસેથી મેં ‘ના વાંધા’ પ્રમાણપત્ર મેળવ્યું. એના આધારે મારી યુનિવર્સટીએ મારા H-1 વિઝા માટે અરજી કરી. મને એ વિઝા મળી પણ ગયા. પણ, ત્યારે જે લોકો આ વિઝા પર હોય એમનાં પત્ની કે એમના પતિને કામ કરવાની પરવાનગી મળતી ન હતી. એટલે મને H-1 વિઝા મળ્યા પછી મારાં પત્ની અને મારા દીકરાને H-4 વિઝા મળ્યા. હવે મારાં પત્ની કામ ન હતાં કરતાં. એને કારણે અમારી એક આવક બંધ થઈ ગયેલી. જો કે, કુલ આવક લગભગ સરખી રહેલી.
H-1 વિઝા મળતાં જ મેં ગ્રીન કાર્ડ માટે અરજી કરી. ત્યારે રાહ જોવાનો સમયગાળો ખૂબ લાંબો હતો. પણ, એમાં એક ફાયદો પણ હતો. એ અરજીના આધારે હું રેખા માટે કામ કરવાની પરવાનગી મેળવી શકતો હતો. એક દિવસે, રેખાએ કહ્યું કે હવે આપણે અહીં એક ઘર લઈ લઈએ. અમારી પાસે ડાઉન પેમેન્ટ કરી શકીએ એટલી બચત હતી. કોણ જાણે કેમ પણ હું ઘર લેવા તૈયાર ન હતો. મને થતું કે જો હું ઘર લઉં અને મને ગ્રીન કાર્ડ ન મળે તો હું શું કરીશ. પણ, રેખાએ તો નિર્ણય લઈ લીધેલો. ગમે તેમ થાય: ઘર ખરીદી લો. પાછળથી જોયું જશે. હવે હું થાકી પણ ગયો હતો. મને લાગતું હતું કે એક જીવનમાં કદાચ પાંચ છ જીવન એક સાથે જીવ્યો છું.
આખરે અમે ફિલાડેલ્ફિયાના ઉત્તર-પૂર્વ વિભાગમાં એક ઘર પસંદ કર્યું. ત્રણ બેડરૂમ બે બાથરૂમનું. જો કે, નીચે બેઝમેન્ટમાં એક રૂમ હતો. જો ઘરમાં પાછળથી પ્રવેશ કરો તો સીધા બેઝમેન્ટમાં જવાય અને આગળથી પ્રવેશ કરતો તો બેઝમેન્ટમાં જવા એક દાદરો ઊતરવો પડે. આ ઘરનો નંબર હતો ૨૨૨૪. અમારા વડોદરાના ઘરનો નંબર ૨૨૩/૨૨૪ હતો. રેખાને થયું કે જેમ વડોદરાનું ઘર ફળ્યું એમ આપણને કદાચ આ ઘર પણ ફળે. મેં એની માન્યતાનો કોઈ વિરોધ ન હતો કર્યો. કેમ કે હું આવી બાબતોમાં વિવાદો નથી કરતો. મારા ઘરમાં હું અને મારો દીકરો બન્ને નાસ્તિક છીએ. પણ, અમારામાંથી એક પણ બીજા પર અમારા વિચારો લાદવામાં માનતું નથી.
અમે આ ઘર લેતાં તો લઈ નાખ્યું પણ પછી ખબર પડી કે આ ઘરમાં ઘણું બધું રીપેર કર્યા વિના નિરાંતે રહી શકાશે નહીં. એટલે અમે દસેક હજાર ડોલર વધારે ખર્ચીને ઘર રીપેર કરાવ્યું અને એમાં રહેવા આવ્યાં. જો કે, આ ઘર મારી યુનિવર્સિટીથી અને રેખાની કામ કરવાની જગ્યાથી ઘણું દૂર હતું. અમારે બન્નેએ એક બસ અને એક ટ્રેઈન લેવી પડતી. પણ, હવે અમારી પાસે અમારું ઘર હતું. રેખાને એનો હરખ હતો. મને કોણ જાણે કેમ પણ એનાથી કોઈ હરખ થતો ન હતો. જો કે, મેં ઘર ખરીદતી વખતે એક વાત ધ્યાનમાં રાખેલી: લોનનો હપ્તો હું જેટલું ભાડું ભરતો હતો એના કરતાં વધારે ન આવવો જોઈએ. અને એમ જ કરેલું.
અમે માંડ છએક મહિના આ ઘરમાં રહ્યા હોઈશું ત્યાં જ એક દિવસે એક દુર્ઘટના બની. એ દિવસે મારો દીકરો ઘરમાં, એની રૂમમાં, હતો અને હું અને રેખા પન્ના નાયકના ઘેર જતાં હતાં. ત્યાં જ રસોડામાં શોર્ટ સર્કીટ થઈ અને ઘરમાં આગ લાગી. દીકરાનો ફોન આવ્યો: “પાછા આવો, ઘરમાં આગ લાગી છે.” અમે ઘેર પાછાં આવ્યાં ત્યારે ફાયરબ્રિગેડ, એમ્બ્યુલન્સ, પોલીસ બધાંથી આખું ફળિયું ખીચોખીચ. અમે તરત જ સુચીબેનને/ગિરીશભાઈને ફોન કર્યો. એ લોકો પણ ક્યાંક ગયેલાં હતાં. પણ, એ તરતજ ત્યાંથી પાછાં આવી ગયાં. આગમાં રસોડું અને બેઠક રૂમ સાવ બળી ગયાં હતાં. મને એમ કે આગ હોલવાઈ જશે પછી બધું સાફ કરીને અમે રહેવા માંડીશું. એટલામાં ફાયરબ્રિગેડના માણસોએ અમને કહ્યું: તમે આમાં રહેવા ન જઈ શકો. તમારે બીજે વ્યવસ્થા કરવી પડશે.
એ દરમિયાન એક માણસ આવ્યો. એણે કહ્યું: હું public adjuster છું. હું તમારા વતી વીમા કંપની સાથે લડીશ અને ઘર પણ આખું રીપેર કરી આપીશ. પણ એ માટે હું પંદર હજાર ડોલર કમિશન લઈશ. મેં કદી પણ public adjusterનું નામ સરખું સાંભળ્યું ન હતું. ગિરીશભાઈને પણ કંઈ સમજાયું નહીં. પણ, અમે હા પાડી દીધી. અમે ઘરમાં મૂકી રાખેલા વીમાનાં કાગળિયાં શોધી લાવીને એને આપ્યાં. એણે કહ્યું, “આ વીમા કંપની ખૂબ સારી છે. તમારે ચિન્તા કરવાની જરૂર નથી.” એટલામાં Blue Crossના માણસો આવ્યા. એમણે અમને બસો ડોલરનું એક કાર્ડ આપ્યું અને કહ્યું કે તમે ખાવાપીવા માટે હમણાં આ કાર્ડ વાપરો. વધારે પૈસાની જરૂર પડશે તો અમે આપીશું અને અમે તમે બે કે ત્રણ દિવસ રહી શકો એ માટે સગવડ પણ કરી છે. પેલા Public Adjusterએ એમને કહ્યું કે અમારા રહેવાની સગવડ એ કરશે. મેં બસો ડોલરનું કાર્ડ લીધું પણ એમાંથી અમે એક પણ પૈસો વાપર્યો નહીં. કેમ કે, મારી પાસે વૈકલ્પિક વ્યવસ્થા હતી.
એટલામાં ઝરમર વરસાદ પડવા લાગ્યો. પેલા Public Adjusterએ અમને પાંચ હજાર ડોલરનો ચેક લખીને આપ્યો અને કહ્યું કે આ પૈસા તમે રાખો. વીમા કંપની પાસેથી પૈસા આવશે ત્યારે અમે આ પૈસા મજરે કાપી લઈશું. એટલું જ નહીં, એણે નજીકમાં જ આવેલી એક હોટલમાં અમારા માટે રહેવાની વ્યવસ્થા કરી. એણે કહ્યું કે હોટલમાં રહેવાનો ખર્ચ પણ વીમા કંપની જ આપશે. એણે ત્યાં બે રૂમ રાખેલી. એક અમારા માટે, બીજી અમારા દીકરા માટે.
અમે, ઘરમાં જે કંઈ કિમતી સામાન હતો એ લઈને હોટલમાં રહેવા ગયાં. સૌ પહેલાં તો અમારે નવાં કપડાં ખરીદવાનાં હતાં. કેમ કે ફાયર બ્રિગેડે ઘરમાં જે રસાયણો છાંટેલાં એ રસાયણોને કારણે અમારું એક પણ કપડું પહેરી શકાય એમ ન હતું. એ કપડાં અમારે એની ખાસ લોન્ડ્રી પાસે ધોવડાવવાં પડે. એ કામ પણ પેલા એડજસ્ટરે કરેલું. એણે કોઈક કંપનીને ફોન કરેલો અને એ કંપનીનો માણસ બધાં કપડાં લઈ ગયેલો.
ફાયરબ્રિગેડે ઘર સંપૂર્ણ બળી ન જાય, પોતાના માણસો ગૂંગળાઈ ન જાય અને પાડોશનાં ઘરોમાં આગ ન ફેલાય એ માટે અમારા ઘરની બધી બારીઓ તોડી નાખેલી. એ બારીઓ પર પણ પેલા પબ્લિક એડજસ્ટરે પાટિયાં મરાવી દીધેલાં અને અમને કહેલું કે તમારે છ મહિના બહાર રહેવું પડશે. એ દરમિયાન આપણે વીમા કંપની પાસેથી પૈસા લઈને આ ઘર હતું એવું ને એવું બનાવી દઈશું. એ આગમાં મારાં બસો જેટલાં પુસ્તકો પણ બળી ગયેલાં અને બસો કે ત્રણસો dvd પણ બળી ગયેલી.
અમે બે અઠવાડિયાં હોટલમાં રહીને પાછા વીમા કંપનીએ આપેલા એક એપાર્ટમેન્ટમાં રહેવા ગયાં. એ ઘર પણ બે બેડરૂમનું હતું. જો કે, રહેતાં હતાં ત્યાંથી એ થોડુંક દૂર હતું. પણ, એનાથી અમને બહુ મોટો ફરક પડતો ન હતો.
હવે અરધું ઘર નવું બની રહ્યું હતું. બારીઓ બધ્ધી જ નવી નાખવામાં આવી હતી. ફ્લોર પણ નવો. રસોડું આખું ય નવું. એ દરમિયાન અમે નક્કી કર્યું કે આ તકનો લાભ લઈને આપણે ઘરની ડિઝાઈન બદલીએ. આ બાબતમાં હું થોડો જાણકાર. એથી મેં એ લોકોને રસોડાની નવી ડિઝાઈન આપી. એમાં એરકન્ડીશનની પાઈપો હતી એ ઢંકાઈ જાય એવી વ્યવસ્થા કરી અને ઘરને પાછળ બારણું ન હતું ત્યાં અમે દરવાજો કરાવ્યો અને એક મોટો ડેક પણ બનાવડાવ્યો. એ ડેક પર હિંચકો રહી શકે, છ માણસનું ડાયનિંગ ટેબલ પણ રહી શકે અને દસેક માણસો આરામથી બેસી પણ શકે એવી વ્યવસ્થા પણ કરી. અમે વીમા કંપનીએ જે પૈસા આપેલા એમાં પાછા ખિસ્સાના પૈસા ઉમેર્યા. નીચે બેઝમેન્ટમાં એક બેડરૂમ હતો એ આખો નવો કરાવ્યો. તદ્ઉપરાંત, એક વધારાનો અરધો બાથરૂમ પણ બનાવડાવ્યો. હવે ઘર સાચે જ સુંદર લાગતું હતું. મેં રેખાને કહેલું કે આ ઘરનું નામ આપણે ‘અગ્નિકૃપા’ રાખવું જોઈએ.
પણ, એ શક્ય ન હતું. આગના બનાવના પગલે હું કશું કામ કરી શકતો ન હતો. હેતુની પણ એ જ સ્થિતિ હતી. રેખા કામ કરવા જતી. એનું કામ મોટે ભાગે યાંત્રિક હતું. એ એક સ્ટોર પર કામ કરતી હતી. એ દરમિયાન અમારી ગ્રીન કાર્ડની અરજીનો પણ અસ્વીકાર થયેલો. ઈમિગ્રેશન ઓફિસે કહેલું કે તમે વિદ્વાન છો એવું તમે સાબિત કરી શક્યા નથી. એ લોકોએ મને બે પ્રશ્નો પૂછેલા. મારા સંશોધનનો ગુજરાતે કે બીજા કોઈએ લાભ લીધો છે ખરો? અને તમારી વિદ્વતાનો યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા સિવાય બીજી કોઈ યુનિવર્સિટિએ ઉપયોગ કર્યો છે ખરો? દેખીતી રીતે જ, મારો શોધનિબંધ તો મેં હમણાં પૂરો કર્યો હતો. હજી લોકોને એની ખબર પણ ન હતી. વળી ગુજરાતની વાત પણ અલગ હતી. પણ મારે અત્યારે એની વાત નથી કરવી. મેં ગ્રીન કાર્ડની અરજીનો અસ્વીકાર થયાની વાત બેએક અઠવાડિયાં છુપાવી રાખેલી. રેખા હજી આગના આઘાતમાંથી બહાર આવી ન હતી. મારે એને વધારે આઘાત આપવા ન હતા.
પછી અમે અમારા ઘરમાં પાછાં આવ્યાં. એ દરમિયાન મારાં માતાપિતાનું અવસાન થયું. પહેલાં બા ગયાં, પછી બાપુજી. વચ્ચે બે કે ત્રણ મહિનાનો સમય રહ્યો. હું પણ ઇમિગ્રેશનના પ્રશ્નોને કારણે એ ઘટનાઓ બની ત્યારે ઘેર જઈ શકું એમ ન હતો. તમે એક વાર ગ્રીન કાર્ડ માટે અરજી કરો પછી તમારે પ્રવાસ કરવો હોય તો એ માટે પરવાનગી લેવી પડે. એ પરવાનગી મંજુર થતાં થોડો સમય વીતી જાય. આમેય તમે વતન છોડો પછી તમે તમારા વતનને તમારી પીઠ પર જ રાખી શકો. ઇનિઅસની જેમ એના બાપને રાખતો હતો એમ. મારાં માબાપ ભલે ગયાં પણ એ બન્ને મારી પીઠ પર જ હતાં. આજે પણ છે. આજે પણ ક્યારેક થતું હોય છે: બહુ દિવસથી બાને ફોન નથી કર્યો. પચી યાદ આવે કે બા તો ક્યારનાં ય ઉપર ચાલ્યાં ગયાં છે.
આ બધી ઘટનાઓ બની રહી હતી ત્યારે અમેરિકામાં ભાષાસ્થિતિ પણ બદલાઈ રહી હતી. ૯/૧૧ને કારણે મોટા ભાગની યુનિવર્સિટીના દક્ષિણ એશિયા વિભાગોએ ભાષા પર ભાર મૂકવાને બદલે ધર્મ પર ભાર મૂકવાનો શરૂ કરેલો. અમેરિકન સરકારે વિદેશી ભાષાઓને ત્રણ વર્ગમાં વહેંચી નાખી છે. એમાંના પહેલા વર્ગમાં અમેરિકાની સુરક્ષા માટેની ભાષાઓ આવે. દેખીતી રીતે હિન્દી, ઉર્દુ, બંગાળી અને પંજાબી ભાષાઓ એ વર્ગમાં આવતી હતી. બીજા વર્ગમાં વિદ્વતાની ભાષાઓ આવે. એમાં તમિલ ભાષાનો સમાવેશ થતો હતો. જો કે, એ ભાષા પહેલા વર્ગમાં પણ આવતી હતી. કેમ કે ત્યારે શ્રીલંકામાં તમિલ ઉગ્રવાદ હતો. ત્રીજા વર્ગમાં સંસ્કૃતિની દૃષ્ટિએ મહત્ત્વની ભાષાઓનો સમાવેશ થતો હતો. એમાં ગુજરાતી ભાષાનો સમાવેશ થતો હતો. યુનિવર્સિટીઓ ત્યારે પહેલા વર્ગની ભાષાઓના અભ્યાસમાં રોકાણ કરતી. એમ કરતાં જો પૈસા બચે તો એ પૈસા બીજા વર્ગની ભાષાઓ પાછળ રોકતી. અને એમ કરતાં પણ પૈસા બચે તો એ પૈસા એ ત્રીજા વર્ગની ભાષાઓ પાછળ વાપરતી. હું અને મારા એક તમિલ મિત્ર ત્રીજા વર્ગની ભાષાઓને ‘ગૃહીણી-શિક્ષકોની ભાષાઓ’ તરીકે ઓળખાવતા. કેમ કે, એ ભાષાઓ મોટે ભાગે, જેમની પાસે ભાષાની કોઈ ડીગ્રી ન હોય, પણ એ ભાષા જાણતી હોય, એવી ગૃહીણીઓ જ ભણાવતી હતી. એમને માથા દીઠ પગાર મળતો.
એ જ અરસામાં અમેરિકામાં સ્પેનિશ અને ચીની ભાષાનો પણ વિસ્તાર થયો. એટલે સુધી કે અમેરિકાએ મોટા ભાગની પ્રાથમિક શાળાઓમાં પણ સ્પેનિશ ભાષા શીખવવાનું શરૂ કરેલું. એને કારણે ગુજરાતી ભણનારા વિદ્યાર્થીઓ પણ ઓછા થઈ ગયેલા. યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાં ત્યારે એવો નિયમ હતો (કદાચ આજે પણ હશે) કે દરેક વિદ્યાર્થીએ અંગ્રેજી ઉપરાંત બીજી એક ભાષા શીખવાની. ગુજરાતી વિદ્યાર્થીઓ ગુજરાતી લેતા. પણ, હવે એ લોકો પ્રાથમિક શાળામાંથી જ સ્પેનિશ ભણીને આવતા હતા એટલે યુનિવર્સિટીમાં આવીને સ્પેનિશ ભાષાનો placement test લઈ એ જરૂરિયાત પૂરી કરતા. એ દરમિયાન, યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના એન્જિનિયરીંગ, મેડિકલ વગેરે વિભાગે વધારાની ભાષા શીખવાની નીતિ બદલી નાખી. એ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓએ હવે અંગ્રેજી ઉપરાંત બીજી ભાષા શીખવાની ન રહી.
આ બધાના કારણે યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાં ગુજરાતી વિદ્યાર્થીઓ ઘટ્યા અને એનું એક પરિણામ એ આવ્યું કે મારી નોકરી ગઈ. યુનિવર્સિટીએ ગુજરાતી પ્રોગ્રામ બંધ કર્યો. જો કે, એમાં પણ રાજકારણ હતું. મને લાગે છે કે એ રાજકારણની ચર્ચા અહીં અસ્થાને હોવાથી મારે એની ચર્ચા ન કરવી જોઈએ. પણ, હું ફરી એક વાર બેકાર બન્યો. અમેરિકામાં બીજી કોઈ યુનિવર્સિટીઓ ગુજરાતી ભાષા ભણાવતી ન હતી. મારી પાસે સિનેમાની ડીગ્રી પણ હતી. ખાલી મારો માસ્ટર શોધનિબંધ બાકી હતો. પણ, હું હવે ભાષાશાસ્ત્ર કે સિનેમા પણ ભણાવી શકું એમ ન હતો. કેમકે મારા પર ભાષાના અધ્યાપકનો સિક્કો વાગી ગયો હતો. એ પણ ગુજરાતી ભાષાના અધ્યાપકનો. એટલે મને કોઈ હિન્દી પણ ભણાવવા ન આપે. અમેરિકન શિક્ષણ વ્યવસ્થા આ બધી બાબતોમાં ક્રુર છે. જો કે, નોકરી ગઈ એ પહેલાં, મારા સારા નસીબે, મારું ગ્રીન કાર્ડ થઈ ગયેલું. તે પણ મારા જોરે. યુનિવર્સિટીએ મારી ગ્રીન કાર્ડની અરજીને ટેકો આપેલો પણ એ લોકોએ મારું ગ્રીન કાર્ડ સ્પોન્સર ન હતું કર્યું.
ક્રમશઃ
-
મરમી માનવગુરૂ : મીરા
દીઠે અડસઠ જાત્ર
દર્શના ધોળકિયા
આ પૃથ્વી પર જે ક્ષણથી મનુષ્યનું અવતરણ થયું તે ક્ષણથી જ, મનુષ્યની સાથોસાય પેમ તત્ત્વનો પણ આવિર્ભાવ થયો. એક સ્થાયી વૃત્તિ તરીકે પ્રેમે મનુષ્યના હૃદયમાં હંમેશ માટે ઘર કર્યું. મનુષ્યની ચેતના જેમ જેમ વિકસતી ચાલી તેમ તેમ એનામાં રહેલું પ્રેઅમતત્ત્વ ઉત્તરોત્તર નિખરતુ રહ્યુ. પૃથ્વી પર એવા પણ અનેક લોકોએ વસવાટ કર્યો જેમણે પ્રેમનું મૌલિક અર્થધટન કર્યું, મૌલિક અર્થઘટન પામેલો પેમ, હક્ક કે માલિકીની ભાવનાથી મુક્ત હતો, સાંપ્રદાયિક વાડાબંધીથી અલિપ્ત હતો, સ્થૂળ કે લૌકિક વાસનાઓથી અસ્પૃશ્ય હતો અને આવો પ્રેમ માત્ર પરમેશ્વરને જ થઈ શકે વું વિશુદ્ધ એનું રૂપ હતુ. એ પ્રેમની કલાને પામનાર માનવ આત્માઓ પણ પરમાત્માની હરીફાઈ કરી શકે તેવા વિરાટ ચૈતન્યના સ્વામીઓ હતા.
સ્વાભાવિક રીતે જ, પ્રેમની આ કક્ષાને પામનારા મનુષ્યો જુદા જુદાં સ્યળે અને કાળે વસનારાં ને રહેનારાં હોય તો પણ તેમને ‘આધ્યાત્મિક ચેતનાના ઘટક’ તરીકે ઓળખાવી શકાય. અધ્યાત્મ, મનુષ્યની એક સ્થિતિનો નિર્દેશ કરતો શબ્દ છે. આ સ્થિતિમાં રહેતા માણસની ગતિવિધિ અન્ય માણસો કરતાં જુદી તરી આવે છે. તેની ઉપસ્થિતિમાત્રથી જ તેની ચેતના ફેલાઈ જતી હોય છે. તેની હાજરીમાં પ્રગટતી આભા તેનામાં પ્રવેશેલી સ્થિતિની ચાડી ખાય છે. આ ચાડી, આધ્યાત્મિક મનુષ્યને એ છૂપો રહેવા ધારે તોય છૂપો રાખી શકતી નથી. એને પ્રગટ થયે જ છૂટકો થાય છે. એને જે મળ્યું છે તેને લલકાર્યા વગરે એનાથી રહેવાતું નથી ને એના લલકારમાં રહેલો રણકો એને પ્રગટ કરી દે છે.
મધ્યકાલીન ગુજરાતમાં અધ્યાત્મના રણકારને લલકારતા અનેક અવાજો આપણને સાંપડ્યા છે. તેમાં મીરાંનો રણકાર આગવો બનીને સુષુપ્ત અવસ્થામાં પડલા સૌને જગાડી દે એવો નક્કર ને લાલિમામંડિત ઉષઃકાળ જેવો મધુર છે. મીરાંમાં સળવળેલું આત્મતત્ત્વનું સ્ફુરણ માત્ર મીરાંનું ન રહેતા જગતસમગ્રમાં પથરાઈને જાણે કે સૌને હાથવગું બની જતું લાગે છે. મીરાંની સ્થૂળ ઓળખ મધ્યકાલીન ગુજરાતની ઉત્તમ સંત કઆચિત્રી; મેડતિયા રાઠોડ કુળની પુત્રી; સિસોદિયા કુળની પુત્રવધૂ; દુઃખી વિધવા હોવા છતાં પોતાને અખંડ સૌભાગ્યની સ્વામિની ગણતી સધવા; ગોકુળ-વૃન્દાવનમાં ફરતી ચિરપ્રવાસી ને દ્વારકામાં અનંતને ભેટતી સ્ત્રીની છે. એના જીવનમાં આવેલા તબક્કાઓની વચ્ચે એણે જીવેલા જીવનનો સમયગાળો આશરે ઈ.સ. ૧૪૯૭થી ૧૫૪૭ સુધીનો ગણાયો છે.મીરાંની સાચી ઓળખ તો પરમેશ્વરની પ્રિયતમા તરીકેની ગણી શકાય. જનમ્ ધરીને મીરાંએ જે કર્યું છે તે આ. મૃત્યુ સમયે પણ તેની પાસે જે મૂડી છે તે આ જ. મીરાં ચિર પ્રેમિકા છે. પ્રેમતત્ત્વે તેને રીતસરની ઘેરી લીધી છે. સમજ આવ્યા પછી તેને પ્રેમનો મહિમા સમજાયો છે એવું નથી. એ જાણે કે પ્રિયતમા બનીને જ કોઈની પુત્રી તરીકે, કોઈક દેશમાં જન્મી છે. આ વાતનો એકરાર કરતાં તે કહે છે :
“આદ્ય વેરાગણ છું.’
‘બાલા તે પણમાં પ્રીત બંધાઈ. ‘જાણે કે થઈ રહ્યું ! જે ક્ષણથી મીરાં પ્રેમપાશમાં બંધાઈ તે જ ક્ષણથી સંઘર્ષ શરૂ થઈ ગયો. આ સંઘર્ષ તેણે સહેલાં દુઃખોનો નહોતો; તેના વૈધવ્યનો નહોતો; જનસમાજ તેની પીડાને સમજવા તૈયાર નહોતો તેનો પણ નહોતો. આ સંઘર્ષ હતો પ્રિયતમની વધુ ને વધુ નિકટ થવાની ઉતાવળનો. જેનું નામ હતું વિરહ. મીરાં વિષાદની નહિ પણ વિરહની મારી છે. અસીમ તત્ત્વને મીરાં ચાહી બેઠી છે. હવે ચિંતા છે તેને હાથવગું કરવાની :
‘નંદના કુંવર સાથે નેડલો બંધાણો, મારે છેડલો ઝાલીને ફરવું છે.’
મીરાંનું આ પ્રારંભિક, ઊઘડતું વ્યક્તિત્વ છે. પ્રેમની ભાળ જેને લાગી એ ધન્ય તો થઈ જ ગયું. પણ પછી બીજી ચિંતા ઉત્પન્ન થાય છે પ્રિયતમની ભાળ લાગવા અંગેની. એકલા પ્રેમથી કંઈ ચાલતું નથી. પ્રેમતત્વને પામેલી મીરાં જીવનની વસમી યાત્રાએ -પ્રિયતમની શોધમાં નીકળી પડે છે. વિરહની મારી હોઈને તે શિથિલ બની ગઈ છે. પોતે અનુભવેલા શૈથિલ્યને એણે અનેક જગાએ, અનેક રીતે વ્યક્ત કર્યું છે :
‘તું તો ટળી રે સસરિયાના કામની રે.
મુણે લેગ લાગી હરિના નામની રે.’મીરાંની સામે, તેના પ્રેમની સામે જેણે ફરિયાદ નોંધાવી છે તેવા લોકોને પણ વિવશ મીરાં જવાબ આપે છે:
‘મારૂં મનડું વિંધાનું રાણા, ચિતડું ચોરાણૂં, હું શું કરૂં?’
મીરાં પ્રેમથી એટલી તો ભરાઈ ગઈ છે કે પોતે કરેલા પ્રેમને જાણે તે સહી શકતી નથી. આ પ્રેમે તેને વીંધી નાખી છે :
‘પ્રેમની, પ્રેમની, પ્રેમની રે, મુને લાગી કટારી રૅ.’
ઈશ્વરે પ્રેમનું આક્રમણ કરીને મીરાંને ઘાયલ કરી છે, મૂંઝવી મારી છે.
“કટારી લાગી આરપાર રે, મનડું તો ઘાયલ થયું.’
આ વાત કહેવી પણ કોને ! પ્રેમ કર્યો તેની જ સામે જ્યાં ફરિયાદ હોય ત્યારે જવું પણ ક્યાં ? આથી મીરાં પોતા જેવા જ લોકોને યાદ કરીને આશ્વાસન મેળવે છે : “રામબાણ વાગ્યાં હોય તે જાણે!” કહીને યાદ કરતાં તેને પોતાના સહધર્મીઓનું સ્મરણ થાય છે :
“ધ્રુવને માર્યા, પ્રહ્લાદને માર્યા તે ઠરી ના બેઠા ઠામ.’
જેના જેના સામું મીરાંના પ્રિયતમે જોયું તે બધાની શાંતિ જ હરાઈ ગઈ. મીરાં તો રહી અબળા. તેનું ગજું શું ?
‘પિયુજી હમારો પારધી ભયો, મૈં તો ભઈ હરિણી શિકાર.’
એક તો પોતે હરિણી-સી કોમળ, પાછો તેનો શિકાર થયો ને એ પણ હોશિયાર શિકારીનાં શસ્ત્રોથી. એ જ ક્ષણે મીરાંનું મીરાંપણું – સ્વત્વ ખોવાઈ ગયું. કાનુડે ભાળીને કીધાં ખાખ !’ કહેતી મીરાં ધીમે ધીમે પ્રેમમાંથી ભક્તિમાં જાણે સરકતી ગઈ છે.
પ્રેમ થયાનો, સ્વત્વ ખોવાયાનો અનુભવ મીરાંને દોહ્યલો થઈ પડયો છે. ક્યારેક એને પોતે વેઠની ગાંસડી ઉપાડવાનો ભાવ પણ થઈ આવે છે. તેમ છતાં, મીરાં તેણે ઉપાડેલી ગાંસડીને છોડવા તૈયાર નથી. એને થાક લાગ્યો છે એણે કરેલા પ્રેમનો નહીં, પ્રિયતમની પ્રાપ્તિ માટે પસાર થયે જતા સમયનો. મીરાંને લગન છે ‘ઠેઠ’ પહોંચવાની. ‘ઠેઠ’ સુધી પહોંચતાં ભક્તિરૂપી જેઠ માસની લૂ સહન કરવા પણ તે તૈયાર છે. ‘રણછોડરાય શેઠ’ માટે કરીને એ ‘પચી-પચીને પીળું પાન’ થઈ ગઈ છે. જીર્ણ થયેલી મીરાંને રોગી ગણીને વૈદ્ય તેને જોવા આવે છે. તેને હસી કાઢીને મીરાં અંદરની પીડાને એક સ્વગતોક્તિમાં જ રજૂ કરી દે છે :
“એ રે પીડા પરખે નહિ, મોહે કસક કાળજાની માંહ્ય.’
પોતાને ચોંટેલા આ “ઘટ રોગ’ને મીરાં પરમ ભાગ્ય માનીને માથે ચઢાવે છે. તેને ત્યાગવાનો તો સવાલ જ ઊઠતો નથી. મીરાંએ ખેલવાનો સંઘર્ષ આ છે. જનસમાજને મતે મીરાં પોતાના દિયર સામે, પ્રજા સામે લડી છે. પણ હકીકતમાં મીરાંને એ પ્રકારનો સંઘર્ષ કરવાનો તો સમય જ નથી. પોતાના પ્રેમને સાચવવામાં એને રસ છે. એમાં જે અંતરાયો થાય છે તેના સામે મીરાંએ આંખ ઊંચી કરી છે.
આ ક્ષણોમાં મીરાંનું રાજવંશી ક્ષાત્રત્વ ઝળકે છેઃ
‘ગિરિધરલાલ વિના ઘડી ન ગોઠે, હરિરસ ઘોળી ઘોળી પીધા જી.’
‘જીવડો જાય તો જવા દેઉં, હરિનઈ ભક્તિ નવ છોડું.’
પોતાને મળેલી પ્રેમની, ભક્તિની ભેટથી મીરાં ન્યાલ બની ગઈ છે. મીરાંની મિરાત છે એનો પ્રિયતમ શામળ. પ્રેમ સ્વયં એક કોમળ તત્ત્વ, પાછુ એ એક સ્ત્રીના હાથમાં આવી ચઢ્યું ને તેથી કોમળતમ બની રહયું. મીરાંએ કરેલા પ્રેમનું માધુર્ય સ્પર્શી ન શકાય તેવું મખમલી છે :
‘ફૂલનો પછોડો ઓઢું પ્રેમ ઘાટડી રે
બાઈ, મારો શામળિયો ભરથાર.’ઘીમી ધારે પ્રેમ મીરાં પર વરસ્યો છે. એથી મુંઝાવાને બદલે ભીંજાઈ છે મીરાં :
“ઝરમર ઝરમર મેહુલ વરસે, ભીંજે મારી સાળુડાની કોર રે.’
એવો પ્રેમ જોઈને ભૂલેચૂકેય જો એને મીરાંનો બહારથી દુશ્મન ને અંદરથી મિત્ર જોઈને કોઈ ભૂલેચુકેય જો એને છોડવાની સલાહ મળે છે ત્યારે રાજરાણીનું ઓજસ પ્રવર્તાવતી મીરાં આંખ ફેરવીને ઉત્તર વાળે છે :
‘રાજસી ભોજન જગવા નથી રાણા, અમે પ્રેમના ટુકડા માગી ખાશું.’
મીરાં પોતે કરેલી પસંદગી પ્રત્યે અડોલ રહી છે. એની ભક્તિ ભક્તિનું રક્ષણ કરવાનો એનો નિશ્ચય પ્રતાપી છે. મીરાં પોતાના પ્રેમને ટકાવી શકી છે એનું કારણ પ્રેમને પ્રતિસાદ આપ્યો છે. મીરાંને કશુંક અનુભવાયું છે. આ અનામ તત્ત્વથી રસાયેલી મીરાંની વાણીમાં સંતૃપ્તિનો ઓડકાર છે. મીરાંની સભરતા વારંવાર મુખરિત થઈ ઊઠી છે. કૃષ્ણ મીરાંની પાછળ પડી ગયા છે. મીરાં વિના તેમને ચાલતું નથી. કૃષ્ણની આ જ તો રીત છે. પ્રથમ પોતાનાંને ઘાયલ કરવાં ને પછી જાતે ઘાયલ થવું. મીરાં જાણે છે તેમ, ધ્રુવ ને પ્રહૂલાદને પોતાની જેમ જ ઈશ્વરે રંજાડયા છે ને પછી પરિતૃપ્ત કર્યા છે. આ કંઈ મીરાંનો એકલીનો અનુભવ નથી, પ્રેમીમાત્રનો છે એવું મીરાંનું કહેવું છે : “પ્રીત કરે તેની પૂંઠ ન મેલે.’ આ વાતનો આનંદ મીરાં સમાવી શકતી નથી, પ્રભુ પોતાને વળગ્યા છે ને પોતે પશ અળગી થવા માગતી નથી. પરમેશ્વરનો પ્રેમ કેટલીકવાર તો સહન નથી થતો એટલો પ્રચુર માત્રામાં એ મીરાં પર ફરી વળે છે !
મીરાં પોતે કરેલી પસંદગી પ્રત્યે અડોલ રહી છે. એની ભક્તિ વિનમ્ર છે અને ભક્તિનું રક્ષણ કરવાનો એનો નિશ્ચય પ્રતાપી છે.
મીરાં પોતાના પ્રેમને ટકાવી શકી છે એનું કારણ ઈશ્વરે એના પ્રેમને પ્રતિસાદ આપ્યો છે. મીરાંને કશુંક અનુભવાયું છે. આ અનામ તત્ત્વથી રસાયેલી મીરાંની વાણીમાં સંતૃપ્તિનો ઓડકાર છે. મીરાંની સભરતા વારંવાર મુખરિત થઈ ઊઠી છે. કૃષ્ણ મીરાંની પાછળ પડી ગયા છે. મીરાં વિના તેમને ચાલતું નથી. કૃષ્ણની આ જ તો રીત છે. પ્રથમ પોતાનાંને ઘાયલ કરવાં ને પછી જાતે ઘાયલ થવું. મીરાં જાણે છે તેમ, ધ્રુવ ને પ્રહૂલાદને પોતાની જેમ જ ઈશ્વરે રંજાડયા છે ને પછી પરિતૃપ્ત કર્યા છે. આ કંઈ મીરાંનો એકલીનો અનુભવ નથી, પ્રેમીમાત્રનો છે એવું મીરાંનું કહેવું છે : “પ્રીત કરે તેની પૂંઠ ન મેલે.’ આ વાતનો આનંદ મીરાં સમાવી શકતી નથી, પ્રભુ પોતાને વળગ્યા છે ને પોતે પણ અળગી થવા માગતી નથી. પરમેશ્વરનો પ્રેમ કેટલીકવાર તો સહન નથી થતો એટલો પ્રચુર માત્રામાં એ મીરાં પર ફરી વળે છે !
પરમેશ્વર કરેલા પ્રેમના બદલામાં, પરમેશ્વરે પાથરેલી ઝોળીમાં મીરાં આપોપું નાખીને પ્રિયતમની ઝોળી છલોછલ ભરી દે છે. ફૂલની પછેડી ઓઢીને ભરથારને ભજતી મીરાં પરમેશ્વરનો પ્રેમ જોઈને ઓછી ઓછી થઈ ગઈ છે. સ્વામી પાસે તેની કોઈ જ માંગ નથી, છતાંયે જો પ્રીતમ કશું દેવા જ માગતા હોય તો મીરાં માગે છં પોતાને ચાકર રાખવાનું. ચાકરીના બદલામાં પ્રીતમનું સ્મરણ ને દર્શન. બાકી તાં શું માગવાનું હોય જ્યાં માગ્યા પહેલાં જ પ્રીતમે પ્રેમ કરી નાખ્યો હોય ! અવારનવાર ક્ષત્રાણીનું રૂપ પ્રગટાવતી મીરાં પ્રીતમ પાસે વિનયનમ્ર બનીને યાચે છં :
‘માણીગર સ્વામી મારે મંદિર પધારો, સેવા કરું દિન રાતડી.’
વિષાદ ને વિરહમાં પરિપક્વ થયેલો મીરાંનો પ્રેમ પ્રેમિકા મીરાંના અભિનિવેશને ક્રમશ: ઉપશમ ભણી લઈ જાય છે. ધીમે ધીમે તેનો પ્રેમ, તેને આત્મરતિ ભણી વાળે ચે ને પ્રેમી મીરાંનું જ્ઞાની મીરાંમાં જાણે રૂપાંતર થાય છે. મીરાંને થયેલા આત્મસાક્ષાત્કારનું આ સૂચન છે. તેને જે ઈશ્વરની પ્રાપ્તિ થઈ છે તે કોઈ સાકાર રૂપની નહીં પણ ચૈતન્યમય વિરાટ તત્ત્વની, જેનું મીરાં એક મહત્વનું અંગ છે તેવા તત્ત્વની. આ તત્ત્વને પામતી મીરાંનું રૂપ જ બદલાઈ જાય છે. આરતભરી રતિથી પ્રિયતમને પુકારતી મીરાંનો જાણે પુનર્જન્મ થાય છે. ભક્તિનું અતિક્રમણ કરતી મીરાંને જે દર્શન સાંપડ્યું છે તે તેના પહેલાંના કલ્પનાલોકનું નથી પણ આંતરજગતના ઊંડાણમાંથી આવેલું છે, મીરાંએ જોયેલા જ્ઞાનલોકનું છે.
‘આ તનકો દીવડો કુરું રે, મનસા કરું બાતી રે,
તેલ જલાવું પ્રેમનું રે, નિશદિન પ્રેમમાં રાતી રે.
અજ્ઞાનની કોટડીમાં ઊંઘ ઘણી આવે, પ્રેમ પ્રકાશમાં હું જાગી રે.આત્મપ્રકાશમાં જગત સમગ્રને જોઈ શકતી મીરાંનું ક્ષાત્રત્વ, એનું ઓજસ પણ ધીમે ધીમે શમી જાય છે. બચે છે માત્ર એનું સંતત્વ. આથી જ આજુબાજુના ડહોળાયેલા વાતાવરણની વચ્ચે પણ જે લોકો ઉપર ઊઠવા મથે છે તેના ભણી હાથ લંબાવીને મીરાંએ મૈત્રીભાવે પોતાની સાથે રહેવા તેમને નિમંત્ર્યા છે :
‘હો ભાગ્યથાળી ! આવો તો રામરસ પીજીએ.
હંસલાની સાથે વીરા સંગતું કરીએ, ભેળા બેસીને મોતી ચણીએ.’સંસારની વિચિત્ર ગતિવિધિને બરોબર ઓળખતી-પારખતી મીરાં સૌને એનાથી ચેતવે છે ને વીનવે છે :
ઊંડા નીર જોઈને માંડી નહી ઘસીએ, સંતો, કાંઠડે બેઠા બેઠા નાહીએ,
માયાનું રૂપ જોઈને ન ડગીએ, જીતી બાજી તો ન ઠારીએ.”મીરાં પોતે તો આ કરી શકી છે. મીરાં પાસે ચાવી છે ધીરજ ને ધ્યાનની. પોતાને ઉદ્દેશીને તેણે જે કહ્યું છે તે ખરેખર કહેવાયું છે તો આમ સમાજને, મીરાંને તો તેની જરૂર નથી પણ છતાંયે તેણે પોતાની જાતને સંબોધીને, સ્વગતોક્તિમાં પ્રગટોક્તિ રજૂ કરી દીધી છે :
“મારી વાડીમાં વહાલા, પવન પાંદડીઓ : ધીરજ ધરજે મન, તું દોડીશ મા,.
મારી વાડીમાં આંબો રે મ્હોર્યો, ફળ પાકાં લેજે, કાચાં તોડીશ મા.’પોતે જોયેલો ખજાનો સૌ સમક્ષ ખૂલ્લો મૂકીને મીરાંએ તેને વહેંચવા યત્ન કર્યો છે :
તમે જણી લો સમુદ્ર સરીખા મારા વીરા રે, અ દિલ તો ખ્લીને દીવો કરો રે’
દીવો કરતાંવેત જે દેખાયું છે તે શું છે?
‘આ રે કાયામાં છે વાડીઓ હોજી, માંહી મોર કરે ઝીંગારા,
આ રે કાયામાં છે સરોવર હો જી, માંહે હંસ તો કરે કિલ્લોલા,
આ રે કાયામાં છે હાટડાં, તમે વણજ વેપાર કરોને અપરંપરા રે.’જીવનભર બળી-ઝળીને ખાખ થઈ ગયેલી મીરાં પોતાને મળેલા દર્શનને પામીને ખીલી ઊઠી છે. “સુખ છે તમારા શરણમાં, ગુરુજીએ કહ્યું કરણમાં’ ગાતી મીરાંને મળેલો આ મહામંત્ર તેણે પચાવીને દીપાવ્યો છે. આ મંત્રે તેને પ્રથમ રતિ આપી ને તેમાંથી જ જન્મી તેની વિરતિ. ભક્તિ, જ્ઞાન ને વૈરાગ્યનાં ત્રિતત્ત્વને મીરાંએ પોતાની જીવનયાત્રામાં પ્રમાણ્યું.
પાછલી અવસ્થામાં તો મીરાંની ભાષામાં નાથપરંપરાની છાયાનો પ્રભાવ પણ દેખાય છે. વારંવાર ‘જોગી’ને સ્મરતી મીરાંનો જોગી કાં તો તેના ગુરુ (રેદાસ) હોઈ શકે, કૃષ્ણ પણ હોઈ શકે ને અન્ય કોઈ મહાપુરુષ પણ હોઈ શકે. મૂળેથી જ જોગણ એવી મીરાંનો જોગી કોણ છે એની ઓળખાણ મીરાં પોતે જ આપે છે :
‘માઈ, મને રમઈયો દે ગયો ભેખ.’
ભેખ દઈને એ નાસી ગયો છે. આથી તેને આવવાનું કહેતી મીરાં જોગીની પ્રીતને દુખનું મૂળ કહે છે; આ જોગી ઝડપથી પોતાને દેશ આવે એમ ઇચ્છે છે. જોગીને ઇચ્છતી આ જોગણી છેલ્લે પોતે જ જોગી બની જાય છે. જોગી, જોગ ને જોગણી ત્રણે વિલુપ્ત બને છે :
‘ઊઠ તો ચલે અવધૂત, મઢીમાં કોઈ ન બીરાજે;
પંથી હતા તે પંથ લાધ્યો, આસન પડી રહી વિભૂત’પરમેશ્વરનું આરાધન કર્યા પછી સૌ સાધનો મીરાં માટે મિથ્યા બની ગયાં છે. જ્ઞાનાજ્ઞિને પ્રગટાવતી મીરાં ઉપરછલ્લાં વળગણોને પયગંબરી વાણીમાં હસી કાઢે છે :
‘એકાદશી વ્રત કોણ કરે, હું તો ણેટાણાં ખાઉં;
મીરાં કહે ગિરિધર નાગર, હરિરસ પીઉં ને પાઉં.’*
‘જપ-તપ-તીરથ કાંઈયે ન જાણું, ફરત મૈં ઉદાસી’
*
‘જોગ કરો ને ભલે જગન કરાવો, હરિ નથી હોમ-હવનમાં
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, હરિ વસે છે હરિના જનમાં.’મીરાંને સંપ્રદાયમાં, વાદ-વિવાદમાં રસ નથી. આથી જ તેણે કોઈ પ્રકારની માયા રચી નથી. આ વાતનું તેને ગૌરવ છે. તે કહે છે તેમ, તેણે પુત્રને જન્મ આપ્યો નથી ને શિષ્યને દીક્ષા નથી આપી. મીરાંની યાત્રા એની પોતાની છે. એમાં કોઈને સ્થાન નથી. જગત પ્રત્યે મીરાં ઉદાસ છે. એનું કારણ એને કોઈ પ્રકારની ઉપેક્ષા છે એવું નથી પણ સંસારમાં રહેલી અપરિપકવતાને એણે માપી લીધી છે. નરસિંહ જેમ મીરાં પણ આથી જ, સંસારને ખરાબ નહીં પણ ‘કાચો’ કઢે છે. સંસારનું સુખ કાચું હોઈને મીરાંએ એનાથી ‘ન્યારા’ રહેવાનું પસંદ કર્યું છે. સંસારનું જળ, મૃગજળ છે, છલના છે. છલનાથી આકર્ષાવાનું મીરાંને પસંદ નથી. જે આકર્ષાયાં છે તેના પ્રત્યે કંઈક ઉપેક્ષાથી મીરાંએ જોયું છે. જરૂર લાગી છે ત્યારે તીવ્રતાથી મીરાંએ પોતાની આ ઉપેક્ષા પ્રગટ કરી છે :
કુબુદ્ધિડા નવ જાણે હરિનીજી ભક્તિમાં વહાલા,
સમજ્યા વિના નોખું નોખું તાણે.
તમારો રંગ ઓધા છે પતંગનો, અમારો રંગ છે કરારી.’સંત હોવાને નાતે મીરાંએ પોતાનું રહસ્યદર્શન વહેંચ્યું છે પણ એને સૌએ ઝીલ્યું કે કેમ તેની મીરાંને પડી નથી. આથી જ તો એણે શિષ્યપરંપરા ઊભી જ કરી નથી. એનામાં રહેલી આ ખુમારી એના અધ્યાત્મવિચારની ભેટ છે. “લાગી મોહિં રામ-ખુમારી’ કહેતી મીરાંનું તેજ પછીથી કોઈ ક્ષત્રાણીનું રહેતું નથી પણ ભક્તાણીનું બને છે. અધ્યાત્મને પામનારા મનુષ્યને માટે સંસારનાં સુખો, ગુરુત્વ, સમાજ વગેરે સાથેનું જોડાણ કપાઈ જાય છે. પોતે પામેલા દર્શન વિશેનો દાવો કરવાની તો પછી વાત જ ક્યાં રહે ? એ તો સ્વમાં જ લીન બને છે. પોતે કરેલું આ પ્રકારનું જીવનકાર્ય વ્યક્ત કરીને મીરાં ભક્ત તરીકેનું, જ્ઞાની તરીકેનું ને વૈરાગી તરીકેનું ત્રિવિધ વ્યક્તિત્વ એક જ પંક્તિમાં વ્યક્ત કરીને આત્મપ્રતીતિનું ગૌરવ સવિવેક જાળવીને જાણે જાતને સમેટે છે :
‘ ખૂણે બેસી ને ઝીણું રે નથી રાખ્યું કાંઈ કાચું.’
મીરાંને બે બાબતમાં રસ છે : અપ્રગટ રહેવામાં ને નક્કરની પ્રાપ્તિમાં. આથી તેણે ખૂણે બેસવું પસંદ કર્યું છે. કોઈ જુએ નહીં તેમ રહેવું ને સર્વ કાંઈ કાચી વસ્તુને પારખીને તેના ભણી ન ઘસવું એ મહામંત્ર મીરાં પામી છે. તેની આધ્યાત્મિક ખુમારીનો આ એક વધુ પુરાવો સાંપડે છે.
મીરાંના નામ વિશે મંતવ્ય આપતાં શ્રી નિરંજન ભગત નોંધે છે : “મીરાં” શબ્દ વિશે બે અનુમાનો છે. ‘મૌરાં’ શબ્દ ફારસીથી આવ્યો છે. એના અર્થો છે પરમેશ્વર, અગ્રણી અને અમીર. સંસ્કૃતમાં મીરાં ‘મીર +આ; રૂપે આવ્યો છે. સંસ્કૃતમાં ‘મીર’ નો અર્થ છે સમૃદ્ધ. ‘મીરાં’શબ્દ સંસ્કૃતના ‘મિહિર’નું પરિવર્તનરૂપ હોય તો ‘મિહિર’નો અર્થ ચે સૂર્ય. ‘મોરાં’ના તમામ અર્થો મેડતાની આ રાજકુમારીએ, પરમેશ્વરની આ અભૂતપૂર્વ એવી, રાજકુમારીએ સિદ્ધ કર્યા છે.
આરંભે શૃંગારમંડિત જણાતો મીરાંનો પ્રેમ આરંભથી અંત સુધી દિવ્ય છે. એના પદોમાં દિવ્યતાની સુગંધ ઠેર ઠેર છવાયેલી જોવા મળે છે. એ દિવ્યતામાં પ્રતિતી અને અનુભૂતિ ભળતાં એનં પદો શાશ્વતી પામે છે.
‘એ હંમેશાં સુંદર લાગે છે. એ હૃદયદ્વારક છે કારણકે એ સાચાં છે. મીરાએ એનાથી ગાયા વિના રહેવાયું નથી એથી ગાયું છે. એનાં પદ સીધાં હૃદયમાંથી ફૂટે છે, ફૂવારાની જેમ. અન્ય કેટલાંકનાં પદની જેમ એમનાં પદ કીર્તિ માટે કે લોકપ્રિયતા માટે રચાયાં નથી, એમાં એની હંમેશની અપીલનું રહસ્ય છે,’
મીરાંની અધ્યાત્મયાત્રા એની આત્મરતિને લઈને, એના દિવ્ય પ્રેમને લઈને, એના શાશ્વત સંદેશને લઈને સૌને કૃતાર્થ બનાવતી રહી છે. આ કારણે મીરાંનું સ્થાન માનવગુરુનું બન્યું છે. માત્ર પરમેશ્વરની પિયા હોવાને નાતે જ નહીં પણ જીવનનો અર્થ પામ્યાંને કારણે મીરાં મરમી માનવગુરુ સિદ્ધ થઈ છે.
ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
સ્વચ્છતા માટે તાલીમ જરૂરી
નલિની નાવરેકર
ગાંધીજીએ પોતાના રચનાત્મક કાર્યક્રમોમાં સ્વચ્છતાને અગ્રતાક્રમ આપ્યો હતો. તેઓ સ્વચ્છતાને અનન્ય મહત્ત્વ આપતા. નદી-તળાવોથી માંડીને મળ-મૂત્રની વ્યવસ્થા તેમજ ગામડાં અને આખા દેશની સ્વચ્છતા અંગે બાપુ વારંવાર રજૂઆતો કરતા. તેમ છતાં માત્ર સ્વચ્છતાની બાબત જોઈએ તો પણ ‘બાપુના સપનાનું ભારત’ આજે પણ જોવા મળતું નથી.
દેશની અસ્વચ્છતાની પરિસ્થિતિ જોઈને વિનોબાજી પણ ખૂબ વ્યથિત હતા. ખૂબ જ તીવ્રતાથી તેમણે સફાઈ અંગે કહ્યું છે, “અસ્વચ્છતા ભારતનો એક બહુ મોટો રોગ જ છે. અને તેનું ભાન પણ આપણને નથી. સફાઈનું કામ પણ શિક્ષણનો એક વિષય છે. સ્વચ્છ ભારત કરવા માટે બહુ મોટી તપસ્યા કરવી પડશે. સમસ્ત જનતાને બધી રીતે શિક્ષિત કરવી પડશે. લોકોની ગંદી ટેવો છોડાવવી પડશે. માત્ર શાબ્દિક પ્રચારથી કશું વળવાનું નથી. અસ્વચ્છતાની ટેવો કાઢવા માટે બાળપણથી કેળવણીમાં સુધારા કરવા પડશે.”
“સફાઈ એક યજ્ઞ છે. આપણે કોઈ એવા સમયની કલ્પના નહીં કરી શકીએ, જ્યારે માણસ સફાઈયજ્ઞ કરવાનું બંધ કરી દેશે. આ એક નિત્ય યજ્ઞ છે. આ કામ સર્વોદયનું એક અનિવાર્ય અંગ છે.”
ગાંધીજીએ કહ્યું હતું, “નઈ તાલીમ સફાઈથી શરૂ થાય છે.”
શાસ્ત્ર અને પ્રશિક્ષણ
પ્રશિક્ષણ સમગ્ર સ્વચ્છતાનું હોઈ શકે અથવા સફાઈના જુદાજુદા ભાગોનું પણ હોઈ શકે.
ઉદાહરણ તરીકે,
- મળનું વ્યવસ્થાપન – શૌચાલયોના પ્રકાર તથા તાંત્રિક માર્ગદર્શન તેમજ સોનખતનું નિર્માણ.
- પેશાબનું વ્યવસ્થાપન – હીરાખત બનાવવાની પ્રક્રિયા તથા તેનું તંત્ર સમજવું.
- કચરાની વ્યવસ્થા – કંપોસ્ટ ખાતર, વર્મી કલ્ચર (અળસિયાંનું ખાતર) વગેરે.
- કાગળ વગેરેનું પુનર્ચક્રીકરણ – કાગળની લુગદીથી વસ્તુઓ બનાવવી તેમજ અન્ય પદ્ધતિઓ અને પ્રકારો.
- સ્વચ્છ, શુદ્ધ પાણી તથા ગંદા પાણીનું વ્યવસ્થાપન.
- સજીવ ખેતી
- સ્વચ્છતાની સારી ટેવો.
આવા પ્રશિક્ષણથી કાર્યકરો પોતાના ઘર તેમજ ગામની સફાઈ, બાળકોના સંસ્કાર વગેરે માટે કામ કરી શકશે. સાથેસાથે આ અભ્યાસ અંગે વિચારતાં પ્રયત્નપૂર્વક તેમજ આયોજન સાથે તેનો ઉપયોગ કરશે તો આમાંથી તેને આર્થિક ઉત્પાદનનું સાધન પણ મળી આવશે.
સાતત્યપૂર્વક પ્રયત્ન કરવાથી આખું ગામ સ્વચ્છ બનશે તો સૌનું આરોગ્ય પણ સારું રહેશે. – પાણીજન્ય અનેક રોગોને નિવારી શકાશે. આ કામ ટકાવી રાખવા માટે બાળકો સાથે સતત પ્રવૃત્તિઓ ચલાવવી જરૂરી છે. સાથેસાથે વૈચારિક સ્વચ્છતા અને માનસિક સ્વચ્છતા માટે કામ કરવું પણ જરૂરી છે. ચિત્તશુદ્ધિ, આંતરિક શુદ્ધિ વિના બાહ્ય સ્વચ્છતાનો કોઈ અર્થ નથી. પરંતુ એ પણ સાચું છે કે બાહ્ય સ્વચ્છતા વિના આંતરિક શુદ્ધિ સંભવ નથી.
શુચિતાનો અર્થ જ છે, આંતર્બાહ્ય સ્વચ્છતા, નિર્મળતા ! આંતરિક શુદ્ધિમાં અર્થશુચિતા, આહારશુદ્ધિ, સાધન-શુદ્ધિ, વાણી શુદ્ધિ અને ચિત્ત-શુદ્ધિ સમાયેલી છે.
ચિત્તશુદ્ધિની નિસરણી :
शुचित्वात् आत्मादर्शन योग्यत्वम् – મુનિ પતંજલીના સ્વચ્છતા સંદર્ભે લખવામાં આવેલ સૂત્રનો આ સાર છે. વિનોબાજીએ આ સૂત્ર પર સાત દિવસ વ્યાખ્યાન આપ્યાં હતાં. આ વ્યાખ્યાનો ‘शुचिता से आत्मादर्शन’ નામથી પ્રસિદ્ધ છે. આત્મદર્શન તો આગળની વાત છે, આપણે જઈ રહ્યા છીએ શુચિતા તરફ ! આમાં મુખ્ય વાત છે આંતરિક શુદ્ધિની. આ પણ કંઈ સહેલી વાત તો નથી જ. પરંતુ વ્યવહાર અને અંતરનો વિકાસ – બંને માટે જરૂરી છે તેમજ પ્રયત્ન કરવાથી તે સધાઈ શકે તેવી છે. ચિત્તશુદ્ધિ આપણને આત્મદર્શનની નજીક લઈ જશે.
ચિત્તશુદ્ધિ માટે ધ્યાન, પ્રાણાયામ, પ્રાર્થના, નામસ્મરણ, સત્સંગતિ, સદ્ગ્રંથપઠન અને શરીરશ્રમનું વ્રત – આ મહત્ત્વનાં સાધનો છે. ચિત્તશુદ્ધિ પ્રાપ્ત કરવામાં તે આપણને મદદરૂપ થઈ પડશે.
નલિની નાવરેકર, મો.: ૭૫૮૮૩૧૬૧૩૭
