એક અજાણ્યા સર્જનની જિંદગીની વાતો

ડૉ.પુરુષોત્તમ મેવાડા,
એમ. એસ.

ડૉ. પરેશ એક જાણીતી હોસ્પિટલમાં સર્જન હતો. સંજોગો એવા હતા કે તેના ઉપરી અધિકારી આંકડા ઉપર વધારે ભાર આપતા હતા, કે જેથી પોતાની હોસ્પિટલમાં થયેલા ઑપરેશનના આંકડા ઉપલા સ્તરે બતાવી શકાય.

બન્યું એવું કે એક રાત્રે લગભગ દસેક વાગ્યે ગામડાના એક દર્દીને લાવવામાં આવ્યો. ઇમર્જન્સીમાં ડૉ. પરેશે તપાસીને નિદાન કર્યું કે તેની હોજરીમાં કાણું પડી ગયું હતું, અને ત્યાર પછી પણ તેને તાત્કાલિક દવાખાને ન લવાતાં તેના પેટમાં પરુ ભરાયેલું હતું અને ઝેર ચડી ગયું હતું. તેની જેવી વાઇટલ નિશાની જેવી કે BP, વગેરે ઘટી ગયાં હતાં. (Septic Shock). ડૉક્ટરને લાગ્યું કે ઑપરેશન તો કરવું જ પડશે, પરંતુ દર્દીને બેભાન કરતાં પહેલાં તે એનેસ્થેસિયા સહન કરી શકે તે માટે નસમાં Fluids અને Antibiotics આપી તેને તૈયાર કરવો પડે. સાથે પેટનું પરુ કાઢવા બંને બાજુ Tape કરવું પડે, અથવા રબરની ડ્રેઇન મૂકવી પડે. દર્દી Stable થાય પછી જ ઑપરેશન કરી શકાય. તેણે દર્દીનાં સગાંને આ બાબતની જાણ કરી, પણ કોઈને એવું લાગ્યું કે ડૉ. પરેશ રાત્રે ઑપરેશન કરવા માગતો નથી, એટલે ના પાડે છે. તેમણે ઉપરી અધિકારીને જાણ કરી.

ઉપરી અધિકારી તો આવીને પોતાનો પ્રભાવ પાડવા દર્દીને તાત્કાલિક ઑપરેશનમાં લેવાનો ઑર્ડર કર્યો. ડૉ. પરેશ સર્જન હતો. તેનો અભિપ્રાય જ આખરી હોય, પરંતુ ઉપરીએ દર્દીના સગાંની સામે જ કહ્યું કે, “અત્યારે જ ઑપરેશન કરો, નહીં તો દર્દી સવાર સુધીમાં મરી જશે.”

ડૉ. પરેશ માટે પરીક્ષાનો સમય ઊભો થયો.

૧. દર્દી મરવાની અણી પર હતો, ઑપરેશનની જરૂર હતી, પણ તાત્કાલિક બેભાન કરીએ તો ટેબલ પર જ મરી જાય એમ હતો.

૨. ઑપરેશન અત્યારે ન કરે, અને દર્દી મરી જાય તો સંપૂર્ણ જવાબદારી પરેશ પર આવી જાય. “કેમ ઑપરેશન ના કર્યું?”

આખરે બંને બાજુ વિચાર કરીને ડૉ. પરેશે ઑપરેશન કર્યું. તેનું નિદાન બરાબર હતું. હોજરી ફાટેલી હતી, અને ખોરાક અને પરુ આખા પેટમાં ફેલાઈ ગયું હતું. તેણે બધું સાફસૂફ કર્યું. હોજરી (Stomach)નું કાણું (Perforation) બંધ કર્યું મહામુસીબતે!

અધિકારી કહે, “એને Gastric Bypass Surgery’ પણ કરો.

ડૉ. પરેશઃ પણ સાહેબ, દર્દી જીવી જાય એ અત્યારે જરૂરી છે, ફરી એક કલાક બેભાન રાખવો ઠીક નથી.”

અધિકારીઃ “હું કહું છું ને, આગળ વધો.”

ન છૂટકે ડૉ. પરેશે એ પણ સંપૂર્ણ સફળતાપૂર્વક પૂરું કર્યું. પણ આ શું થયું?

પેટ બંધ કરવાના છેલ્લા ટાંકા વખતે જ દર્દીનું ટેબલ પર મૃત્યુ થઈ ગયું, બધા જ પ્રયત્નો છતાં! અધિકારી ગભરાઈ ગયા, અને એનેસ્થેસિયા મશીન સાથે દર્દીને બહાર કઢાવ્યો, અને થોડી વાર પછી ‘મરણ’ જાહેર કરાવ્યું, સંપૂર્ણ નાટકીય રીતે!

ડૉ. પરેશ એટલો હચમચી ગયો, કે આખરે તે ચોધાર આંસુએ રડવા માંડ્યો. દર્દીના સગાં આ જોઈને દોડી આવ્યાં.

“સાહેબ, આપ ના રડો. અમારો માણસ હતો, તમે થાય તે બધું જ કર્યું છે.”

આવા સમયે અધિકારી સાથે રહે તો કેવું?

(૨)

એવો જ એક બીજો પણ પ્રસંગ બનેલો.

ડૉ. પરેશના અંગત મિત્રનાં ૮૦ વર્ષ વટાવી ચૂકેલાં માજીને Prolapsed Uterus (શરીર/ગર્ભાશય બહાર નીકળવું) હતું. એક રાત્રે પેટમાં દુઃખાવો ઊપડતાં ડૉ. પરેશે તેમની સંપૂર્ણ તપાસ કરી, એક્સ રે, વગેરે જોઈને Conservative Treatment પર રાખ્યાં. નીચે ઊતરેલા શરીરને યોગ્ય રીતે ગોઠવી દીધું હતું, કારણ કે તેનાથી જ આંતરડા ખેંચાઈને Pseudo-intestinal Obstruction (આંતરડાનો અટકાવ) થતું હતું. શરીર પાછું દબાવી દેવાથી દર્દીને સારું થઈ જશે એ ડૉ. પરેશને ખાત્રી હતી.

આ કેસ આમ તો Gynaecologistનો થયો, એટલે એમણે પણ તપાસ્યાં હતાં. તે નવાં-નવાં ભરતી થયેલાં ડૉક્ટર હતાં, અને અનુભવ ઓછો હતો. ડૉ. પરેશને ખબર હતી, એટલે એમણે બાજુમાં લઈ જઈને સલાહ આપી કે,

“આ માજીનું Hystrectomy ઑપરેશન ઇમર્જન્સીમાં ના કરતાં, અને અધિકારી દબાણ કરે તો કહેજો કે મને નહીં ફાવે આ ઑપરેશન કરતાં.” એ માની ગયાં, પણ ઉપરી અધિકારીએ બધાં સગાં ભેગાં કરીને જણાવ્યું કે “તાત્કાલિક ઑપરેશનની જરૂર છે, અને ડૉ. પરેશ ના પાડે છે. દર્દીને કંઈ થઈ જશે તો? સવાર સુધીમાં મરી પણ જાય!”

સગાં તો આ સાંભળીને ગભરાય એ દેખીતું જ હતું. ડૉ. પરેશને એક જ ઉપાય દેખાયો કે કોઈપણ રીતે આ ઑપરેશન તાત્કાલિક ના થાય. એ માટે સગાં સંમતિપત્ર પર સહી ના કરે તો જ શક્ય હતું! આથી એમણે અંદરખાનેથી ફોન કરાવીને દર્દીના પુત્ર અને પોતાના મિત્રને કહ્યું કે,

“ઑપરેશનની જરૂર નથી, તમે સંમતિપત્ર પર સહી કરતા નહીં.”

અંગત મિત્ર હોવાથી ડૉ. પરેશની વાત સગાંએ માની લીધી અને ઑપરેશન ના થયું. બીજા દિવસે માજીને સંપૂર્ણ આરામ થઈ ગયો અને રજા આપી દીધી. થોડા વર્ષો બાદ તેમનું ઑપરેશન કોઈ બીજી જગ્યાએ કરાવ્યું, અને આ લખી રહ્યો છું ત્યારે એ માજી હજુ જીવે છે, અને સેન્ચ્યુરિ મારવાની અણી પર છે.

(૩)

ડૉ. પરેશ તે વખતે આસિસ્ટન્ટ પ્રોફેસર હતા, અને ઉપરી પ્રોફેસર ઉપરાંત તેની સાથે છ રેસિડેન્ટ ડૉક્ટરો પણ હતા, જે સર્જરીનો ડિગ્રી કોર્સ કરી રહ્યા હતા. બધા જ રેસિડેન્ટ ડૉક્ટરોને વારાફરતી પ્રોફેસર/આસિસ્ટન્ટ પ્રોફેસરની દેખરેખ નીચે ઑપરેશનો કરાવાતાં અને આ રીતે સર્જનો તૈયાર થાય તેવી વ્યવસ્થા હતી.

એક રાત્રે દાખલ થયેલી દસ વર્ષની એક છોકરીને એપેન્ડિક્સની જગ્યાએ દુઃખાવો છે, અને ઑપરેશન કરવું પડશે એવી ડૉ. પરેશને જાણ કરવામાં આવી. ડો. પરેશે તપાસીને નક્કી કર્યું કે છોકરીને પેટમાં દુઃખવાનું કારણ માનસિક હતું, અને ઑપરેશન ન કરાય. પણ રેસિડેન્ટ ડૉક્ટરોને એક ઑપરેશન કરવા ના મળ્યું એટલે તેઓ વિરોધ કરવા લાગ્યા.

ડૉ. પરેશઃ “જો એમ જ હોય તો દર્દી ત્રણ દિવસથી વધારે સમય સુધી સંપૂર્ણ સ્વસ્થ ના રહી શકે. ભલે, એમ કરો, એક વાર Psychiatristનો અભિપ્રાય તો લઈ લો!”

અને અભિપ્રાય આવ્યો કે ડૉ. પરેશનું નિદાન સાચું છે, એને Counselling કરવું પડશે. જરૂર વગરના ઑપરેશનથી એ છોકરી બચી ગઈ!


ડૉ.પુરુષોત્તમ મેવાડાનો સંપર્ક mevadapa@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.