વ્યંગ્ય કવન

ઉદયન ઠક્કર

(છંદઃ મનહર)

ફ્રાંઝ કાફકાએ એના મિત્રને લખેલો પત્ર,

ટહેલ નાખું છું, મારી ટહેલ નિભાવજે,

મારા ગયા પછી, મન કઠણ કરીને પણ,

મારી સર્વ હસ્તપ્રતો સળગાવી નાખજે!

હસ્તપ્રતો પર મિત્ર એવો તો ઓવારી ગયો,

સળગાવી નહિ અને ધરાર છપાવી છે,

કાફકાની સૂચનાને અવગણી, પણ એણે

આખરે તો કાફકાની આબરૂ દીપાવી છે.

‘મારા ગયા પછી મારી હસ્તપ્રતો છપાવજે,’

એવું કહી એક કવિમિત્ર પાછો થયો છે,

મારા પર એ મુઆને કેટલી તો શ્રદ્ધા હશે,

શાયરીનું શ્રાદ્ધ કરવાનું કહી ગયો છે.

આબરૂ વધારવાની વાત તો બાજુએ રહી,

સવાલ છે કેવી રીતે આબરૂ બચાવવી?

કદી કદી લાગે છે કે પ્રકટ કરાવવી ને

પછી એમ લાગે છે કે પ્રકટાવી નાખવી.