-
ફિલ્મી ગઝલો – ૭૩. અંજૂમ જયપુરી
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
ગીતકાર અંજૂમ જયપુરી ફિલ્મોમાં છેક ૧૯૫૦થી સક્રિય હતા. એમની ઓળખ માટે કોઈ એક ગીત પસંદ કરવાનું હોય તો હું નિ:શંકપણે ૧૯૫૨ની ‘ સિંદબાદ ધ સેઈલર ‘ નું રફી – શમશાદે ગાયેલું અને ચિત્રગુપ્ત દ્વારા સંગીતબદ્ધ અદા સે ઝૂમતે હુએ દિલોં કો ચૂમતે હુએ યે કૌન મુસ્કુરા દિયા પસંદ કરીશ. ફિલ્મ ‘ સારા જહાં હમારા ‘ ( ૧૯૬૧ ) નું સુમન કલ્યાણપૂરે ગાયેલું ‘ યે ફૂલોં કા ગજરા હૈ મેરા સિંગાર ‘ અને મુકેશ – આશા ભોંસલેનું ભરે હૈં આંખ મેં આંસુ ખુશી કમ હોતી જાતી હૈ, બાદલ ઔર બિજલીનું મુબારક બેગમ – તલત મહેમૂદે ગાયેલું રાત કિતની હંસી ઝિંદગી મેહરબાં અને ફિલ્મ રાજ સિંહાસનનું લતાએ ગાયેલું ‘ રૈન ભઈ સો જા રે પંછી ‘ પણ ખાસ્સાં લોકપ્રિય છે.
ઉપરોક્ત ફિલ્મો ઉપરાંત શાહી મેહમાન, નિયાઝ ઔર નમાઝ, મિસ માલા, દીન ઔર ઈમાન, અલ્લાદીન ઔર જાદુઈ ચિરાગ, જંગલ કીંગ, વીર બબ્રુવાહન, તાજપોશી, સલામે મુહોબત, ચાલબાઝ, તીસરી ગલી, દો મસ્તાને, દુનિયા હૈ દિલ વાલોં કી, ટૂટે ખિલૌને, મુજરિમ કૌન ખૂની કૌન, નવદુર્ગા, સિંદબાદ કી બેટી, તલવાર કા ધની, સુલતાના ડાકુ, હમારી શાન, નયા રાસ્તા, રાજપૂત, નીલિમા, અન્નદાતા, ઈંસાફ, સલ્તનત, દામન, જોગી, શૌકીન, પઠાન અને ઉષા કિરન જેવી ફિલ્મોમાં સોથી વધુ ગીતો એમણે લખ્યાં. આ બધી ફિલ્મો મહદંશે પૌરાણિક અને સ્ટંટ ફિલ્મો હતી.
૧૯૯૦ માં એમનું અવસાન થયું.
એમણે લખેલી બે ગઝલ જોઈએ –
બતા ઐ ચાંદ અબ કૈસે કહેં હમ દાસ્તાં અપની
કરેં જો આહ ભી તો કાટી જાતી હૈ ઝુબાં અપનીન હમ અપને, ન તુમ અપને, ન દિલ અપના, ન જાં અપની
ન જાને ભૂલ આએ ઝિંદગી પિછલી કહાં અપનીજો મિલ જાઓ બતા દેં હમ મુહબ્બત કી વો મંઝિલ ભી
હુઈ થીં દિલ કી કુછ બાતેં નિગાહોં મેં જહાં અપનીતુમ્હારી યાદ મેં કાટે નહીં કટતી હૈ અબ રાતેં
તુમ્હેં ખુશિયાં મુબારક હોં હમેં તન્હાઈયાં અપની.._ ફિલ્મ : મેહરબાની ૧૯૫૦
– લતા / તલત
– હફીઝ ખાનતમન્ના એ પરેશાં દિલ ને ફિર તુમકો પુકારા હૈ
જરા આ કર તો દેખો હાલે દિલ, યે દિલ તુમ્હારા હૈભલા આઉં તો કૈસે જીતે જી દુનિયા ને મારા હૈ
જહાં વાલોં કે આગે ક્યા કરું દિલ બેસહારા હૈસિતારે મેરી હાલત દેખ કર ચુપચાપ રોતે હૈં
યહી રાતોં કા આલમ ઔર યહી દિન કા નઝારા હૈમુજે તુમ ભૂલ જાઓ ખ્વાબ તો ટૂટા હી કરતે હૈં
સિવા મેરે જહાં મેં આજ ભી સબકુછ તુમ્હારા હૈરહો ચાહે જહાં ભી દિલ સે તુમ જાને ન પાઓગે
ભલા હો ઈસ જહાં કા હર કોઈ દુશ્મન હમારા હૈ..– ફિલ્મ : બીવી કિરાએ કી ૧૯૭૭
– મુકેશ / આશા
– એચ પરશુરામ
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
હમરાહી (૧૯૬૩)
ટાઈટલ સોન્ગ
(આ શ્રેણીમાં હિન્દી ફિલ્મોમાં આવતાં ટાઈટલ્સ દરમિયાન વાગતાં ગીતો વિશે વાત કરવાનો ઉપક્રમ છે.)
બીરેન કોઠારી
૧૯૫૦ અને ૧૯૬૦ના દાયકામાં ફિલ્મોના ઉઘાડની એક શૈલી એવી પણ હતી કે જેમાં ફિલ્મનો નાયક ખુલ્લી જીપ કે કારમાં ફરવા નીકળ્યો હોય, પોતે પ્રકૃતિપ્રેમી, હસીનોનો કદરદાન અને મસ્તમિજાજ હોય અને પોતાનાં આ લક્ષણ તે ગાઈને સંભળાવે. વાહન ચલાવતાં ચલાવતાં તે પ્રકૃતિદર્શન કરતો જાય, જરૂરતમંદની મદદ કરતો જાય, ‘હસીનોં કી ટોલી’ હોય તો એમની સામે મલકાતો પણ જાય. આગળઉપર ફિલ્મની કથા અને નાયકનું પાત્ર ભલે જે રીતે વિકસે એ રીતે, પણ શરૂઆત આવી હોય. કેવળ નમૂના પૂરતાં ચાર-છ ગીતોની વાત કરું તો આ પહેલવહેલાં યાદ આવે. હમ હૈ રાહી પ્યાર કે, હમ સે કુછ ન બોલીયે (દેવ આનંદ/નૌ દો ગ્યારહ), કિસી ના કિસી સે, કભી ના કભી, કહીં ના કહીં દિલ લગાના પડેગા (શમ્મી કપૂર/કશ્મીર કી કલી), પુકારતા ચલા હૂં મૈં (વિશ્વજીત/મેરે સનમ), આહા આહા આ યે સુહાના સફર (શશી કપૂર/સુહાના સફર), મૈં રાહી અન્જાન, રાહોં કા (રાજેન્દ્ર કુમાર/અન્જાના) અને બીજાં અનેક ગીતો યાદ આવે. (સૌ પોતાને સ્મૃતિ અનુસાર ઉમેરી શકે)

૧૯૬૩માં રજૂઆત પામેલી પ્રસાદ પ્રોડક્શન્સ નિર્મિત, ટી. પ્રકાશ રાવ દિગ્દર્શીત ‘હમરાહી’ના ટાઈટલ સોન્ગ તરીકે પણ આવું જ એક ગીત હતું. રાજેન્દ્રકુમાર, જમુના, મહેમૂદ, શુભા ખોટે, લલિતા પવાર, રાજેન્દ્ર નાથ જેવા કલાકારોને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી આ ફિલ્મમાં કુલ 8 ગીતો હતાં, જે શૈલેન્દ્ર અને હસરત જયપુરી વચ્ચે વહેંચાયેલાં હતાં. સંગીતકાર હતા શંકર-જયકિશન.

‘વો દિન યાદ કરો’ (લતા, રફી), ‘વો ચલે, ઝટક કે દામન’ (રફી), ‘મુઝકો અપને ગલે લગા લો એ મેરે હમરાહી’ (મુબારક બેગમ, રફી), ‘યે આંસૂ મેરે દિલ કી ઝુબાન હૈ’ તેમજ ‘મૈં અલબેલા, જવાં હૂં રંગીલા’ (રફી) – આ પાંચ ગીતો હસરતની કલમમાંથી નીપજ્યા હતા. ‘દિલ તૂ ભી ગા’ (રફી અને સાથીઓ), ‘મન રે તૂ હી બતા’ (લતા) અને ‘કર કે જિસકા ઈંતજાર’ (લતા, રફી)- આ ત્રણ ગીતો શૈલેન્દ્રે લખ્યાં હતાં. ગીતના શબ્દો સાંભળતાં જ બન્ને ગીતકારોની મુદ્રા પરખાઈ આવે એવી છે.

(‘હમરાહી’ની એલ.પી.રેકર્ડનું કવર) આ પૈકી ‘મૈં અલબેલા, જવાં હૂં રંગીલા’ ગીતને ફિલ્મના ટાઈટલ સોન્ગ તરીકે લેવામાં આવ્યું છે. તેના શબ્દો આ મુજબ છે.
मैं अलबेला, जवां हूं रंगीला
ए दिल, मंज़िल है प्यार की
झूम झूम गाउं
नजारों पे छाउं
सनम, महफ़िल बहार की
मैं अलबेला, जवां हूं रंगीलाए दिल, मंज़िल है प्यार की
झूम झूम गाउं
नजारों पे छाउं
सनम, महफ़िल बहार कीकलियां मेरी राह में
झूमे बिजली बांह में
कलियां मेरी राह में
झूमे बिजली बांह में
खेलूं मैं तो आग से
जाने किस की चाह में
मैं अलबेला, जवां हूं रंगीला
ए दिल, मंज़िल है प्यार की
झूम झूम गाउं
नजारों पे छाउं
सनम, महफ़िल बहार कीमैं अलबेला, जवां हूं रंगीला
ए दिल, मंज़िल है प्यार की
झूम झूम गाउं
नजारों पे छाउं
सनम, महफ़िल बहार कीहसीनों की टोलियां
फूल जिनकी डोलियां
भरती जाये हर कदम
अपने दिल की झोलियां
मैं अलबेला, जवां हूं रंगीला
ए दिल, मंज़िल है प्यार की
झूम झूम गाउं
नजारों पे छाउं
सनम, महफ़िल बहार कीઆ ગીતની ધૂન અને સંગીત પર શંકર-જયકિશનની આગવી મુદ્રા છે.
એટલી નોંધ જરૂરી કે આ ઉપરાંત ૧૯૪૫માં, ૧૯૭૪માં અને ૨૦૦૭માં પણ ‘હમરાહી’ નામે ફિલ્મ રજૂઆત પામી હતી.
આ ગીત નીચેની લીન્ક પર સાંભળી શકાશે.
(તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
ખેડૂતોના પરસ્પરના “ અનુભવોની આપ-લે” શું ખેતીમાં નવું બળ પૂરી શકે ?
કૃષિ વિષયક અનુભવો
હીરજી ભીંગરાડિયા
કોઇ એક જગ્યાએ મેળો ભરાયેલો. તમાશા બતાવી રળી લેનારા ખેલાડીઓ તેવી જગ્યાએ પહોંચી જતાં હોય છે. ત્યાં એક તંબુની બહાર એક બોર્ડ મારેલું, “ અંદર ઘોડો ગાય છે !” અંદર જોવા જવાની ટીકીટ હતી માત્ર એક રૂપિયો. “ હેં ! આપણી જેમ ઘોડો ગીત ગાય છે ?” આવું જોવા જબરી ભીડ જામી હતી.
અંદર જોઇ આવેલા લોકો મનોમન હસતાં હસતાં બહાર નીકળતા, અને અંદર જવા ઉત્સુખ લોકોને એ જોઇ લેવા ખાસ આગ્રહ કરતા હતા એટલે અંદર જવાની પડાપડી વધતી હતી. જેટલા તંબુની અંદર જઇ,જોઇ આવ્યા હતા તે બધું જાણી ગયા હતા કે “ઘોડો કંઇ ગાતો ન હતો” પણ ઘોડા પાસે ગાય બાંધેલી જોવા મળતી હતી ! એટલે તંબુવાળાની વાતને ખોટીયે કેમ કહેવી ? પણ જે લોકો આ રીતે છેતરાયા હતા તેમ બધા છેતરાય તેમાં તેઓ ખુશ હતા. પોતાના અનુભવનો લાભ સૌ કોઇને મળે એવી વૃતિ આપણી રહેતી હોય તો છેતરનારાંના ગપ્પાં હાલતાં વહેલાસર બંધ થઇ જાય.
દુ:ખ વહેંચવાથી ઘટે =
જીવનમાં પછડાટો ખાધા વિના અનુભવ નથી મળતો. પણ અનુભવીઓ પોતાના સંચિત અનુભવો સૌ ને વહેંચતા રહે તો બધાએ પછડાટો નથી ખાવી પડતી. દુ:ખો તો જીવન સાથે જડાએલા જ છે. તેમાંથી રાહત મેળવવી હોય તો અનુભવીઓના ચરણ પકડવા પડે. સયુંક્ત કુટુંબમાં વૃધ્ધોની દોરવણી રહેતી હોય છે. અરે ! વૃધ્ધો વિનાનું ઘર સુકાની વિનાની નાવ જેવું છે. ભલે ઘરડા-બુઢ્ઢા પણ જ્યારે કુટુંબના આવા મોભીછત્રનું મૃત્યું થાય છે ત્યારે કુટુંબના સભ્યોને લાગતો આઘાત નાનો નથી હોતો. ન કરે નારાયણ ને કુટુંબનો કોઇ નાનો જણ મૃત્યુ પામે તો સ્વજનોને લાગતો આઘાત બેભાન બનાવી દે છે.જીંદગીભર એનો આઘાત ઓસરી શકતો નથી. આવા વખતે સૌ સગા-સ્નેહી, ઓળખીતા અને મિત્રો, અને એમાં પણ પાછા મોટી ઉંમરવાળા વડિલો કે જેઓ આવા કૈંક કારમા ઘા સહન કરીને ઘડાયા પિટાયા હોય તેવા આ દુ:ખી કુટુંબની મુલાકાતે આવતાહોય છે. અને તેમના દુ:ખમાં ભાગ પડાવી,ધીરજ બંધાવી, બે શબ્દો દિલાસાના કહી, ધીમે ધીમે દુ:ખના આઘાતમાંથી બહાર નીકળી ફરી દૈનિક વ્યવહારમાં જોડાઇ જવાની સમજણ આપતા હોય છે.
આપણો ખેડૂતોનો જમીન,પાણી,ઝાડવા,છોડવા અને જાનવર-જીવડા સાથેનો ધંધો છે.કુદરતી પરિબળો અને એમાં સર્જાતા આકસ્મિક સંજોગોનો પાર નથી. રાતદાડો જોયા વિના પંડ્ય તૂટી જાય તેટલી મહેનત,બાર મહિના ભગવાનના ભરોસે-કહોને ઉધારે રળતા રહ્યા પછીએ કુટુંબના રોટલા નીકળશે એવુંએ નક્કી નથી.છતાં આપણો બાપ-દાદાનો વ્યવસાય છે, પૂરો પ્રામાણિક ધંધો છે અનેવળી પાયાનોગણાય તેવો મહત્વનો હોઇઆપણે ચોકિયાબળદ જેટલું બળ કરતા હોઇએ છીએ
ખેતીના અનેકવિધ કામોમાં સ્થિતિ પ્રમાણે પધ્ધતિઓ કે રીતોને બદલવી પડતી હોય છે.કારખાના જેવું ખેતીમાં એકધારું કામ નથી હોતું.કેટલીકવાર એવું કામ થઇ જાય છે કે આપણે ભુંડીરીતે નુકશાની વેઠવાનો વારો આવી પડ્યો હોય ! આપણી કોઇ નાનકડી ભૂલના પરિણામે ક્યારેક આખેઆખી સીઝન ખોવી પડે તેવી કઠણાઇ બેસી જાય છે. ત્યારેતો આપણે એવી જ ગાંઠ વાળી લીધી હોય કે “આવી ભૂલ તો ફરીવાર ન જ કરવી !” આટલું અનુભવે શિખ્યાપછી બીજીવાર આ ભૂલનો ભોગ ન બનીએ એ ખરું, પણ માર ખાવામાંથી તો ન બચી શક્યાને ? કોઇ એકે કરેલી ભૂલની જાણ જો બીજા ધંધાર્થી ભાઇઓને કરી હોય તો આપણા અનુભવમાંથી તેઓ “ધડો” લઇ શકે, અને તેઓ આવી ભૂલ કરવામાંથી સમૂળગા બચીજાય, અને કોઇ એકે ભોગવેલા માઠાં પરિણામ સહન કરવાનો વારો અન્ય કોઇને ન આવે એવું ન થઇ શકે ? એટલે એવી ભૂલો બધાને કરતા અટકાવવા માટે થઇને પણ આપણને થયેલ માઠા અનુભવની આપલે એકબીજાને કરવી અત્યંત જરૂરી છે
“નાપાસ” થયાની જાણ =
થોડા વરસો પહેલાં એક ઉફાળો ખાસ કરીને મોટાફાર્મવાળા ખેડૂતોમાં સાગની ખેતી કરવા તરફ ઉઠ્યો હતો. એની આવકના હિસાબો કેલ્ક્યુલેટર નાનાં પડે એવા મુકાતાં હતાં નાના-મોટા સૌ ખેડૂતો સાગના પ્લાંટેશનમાં પૈસા રોકતા હતા. હું પણ એની સ્વતંત્ર જોખમવાળી દોડમાં જોડાયો હતો. મેં મારી વાડીમાં મારા પોતાના જ રોકાણથી ૧૦ એકરમાં સાગનું રોપાણ કરેલું. બધી જ જાતની સગવડો- સારામાંસારી જમીન,પાણી પીવા ટપક પધ્ધતિ, ગોવાળી કરવા ખડેપગે હાજર હું અને મારી આખી ટોળકી.. પાણી માગેત્યાં દૂધ હાજર કર્યું. ખેડૂત આલમમાં આની જહેરાત પણ સારી થયેલી. એથી કૈંક ટોળાં એને જોઇ વખાણી ગયેલાં. સાત વર્ષ ભગવાનને પ્રસન્ન કરવા જેટલું આ સાગને રીઝવવા તપ કર્યું પણ એ ન રીઝ્યો. મારું ગણિત ખોટું પડ્યું. આઠમે વર્ષે વિદાય કાર્યક્રમ ગોઠવવોપડ્યો. આ વાત હું સૌરાષ્ટ્રના ખેડૂતોને ન કહું તો ફરજ ચૂક્યો ગણાંઉ. પેલી “ઘોડો ગાય છે” વાળી વાત કીધે રાખું તો બીજા કંઇ કેટાલાયે અંટાઇ જાય. વધુ જણને તંબુમાં જતાં રોકવા તે મારી ફરજ ગણાય.
સુખ વહેંચવાથી વધે =
દીકરાના લગ્ન હોય અને “હું, તું અને રતનિયો” –મા-બાપ અને મુરતિયો ત્રણે હરખમાં ચડીએ તો હરખ વધી વધીને કેટલોક વધે ? પણ એ આનંદમાં જ્યારે બહોળા સ્નેહી-સંબંધી,ઓળખીતા, મિત્રો-મુરબ્બીઓ સૌ ભળે ત્યારે પ્રસંગ કેવો દીપી ઉઠે ? હોય લગ્ન કે લેવાણું હોય મકાનનું વાસ્તુ-પૂજન, નાના ભૂલકાનો જન્મ દિવસ હોય કે હોય સરખે સરખા મિત્રો વચ્ચેની મિજબાની ! એ બધા સામુહિક આનંદના રૂડા અવસરો ગણાય. એને ક્યારેય એકલા એકલા ઉજવતા નથી. યથાશક્તિ આમંત્રણો આપી આપણા આનંદ અને સુખમાં બીજાને ભાગીદાર બનાવીએ છીએ. જેમ દુ:ખ વહેંચવાથી ઘટે છે તેમ સુખ વહેંચવાથી વધે છે.
“લાભ” થયાની વાત =
ખેતીમાંયે એની આનુસંગિક બાબતો-પાણી,પોષણ,સંરક્ષણ કે બિયારણ જેવી કોઇપણ બાબતો, નવી વાત, તરીકો, પધ્ધતિ-આંખો ઉઘાડી રાખીએ તો જરૂર પકડાઇ જતી હોય છે. એનાથી જો ઉડીને આંખે વળગે એવો લાભ દેખાવા માંડ્યો હોય તો તેનો ફેલાવો કેમ ન કરાય ભૈ ? દા.ત. દૂધીના વેલામાં બરાબરનું નિરીક્ષણ કરી, ડુંખો કાપતા રહેવાથી મળતું અઢીગણું વધારે ઉત્પાદન, કપાસમાં ત્રણ-સાડાત્રણ ફૂટની ઉંચાઇ પછી તેનું માથું મોરી લીધા બાદ 20-25 દિવસ પછી બાજુની ડાળીઓની પણ ડુંખો મોરી લેવાથી ઉત્પાદનમાં મેળવાતો લાભ, હવે અમારે ત્યાં પ્રયોગ મટી વ્યવહાર બન્યો છે તે રૂબરૂ નજરે બતાવી જાણ ન કરું તો એ કંઇ બરાબર કહેવાય ?
એક દ્રષ્ટિવાન ખેડૂત એક કૃષિ વિજ્ઞાની જેવી સંશોધન શક્તિ ધરાવે છે. નિતનવા પ્રયોગો અને નુસ્ખાઓ તેની કોઠાસૂઝમાંથી નીકળ્યા કરતા હોય છે. ઘણીવાર નિષ્ફળતા પણ મળતી હોય છે, પણ એ જ નિષ્ફળતા નવી નવી તરકીબો સુઝાડે છે. અને છેવટે મળનારી સફળતા બધી નુકશાનીનું વટક વાળી દે છે. આવી સફળ વાતોનો સીધો લાભ, લેવા ઇચ્છે તેવા અન્ય ખેડૂતો પણ લઇ શકે તેવું કરવાની માત્ર “ફરજ” નહીં, પણ “નૈતિક જવાબદારી” એવા સંશોધક ખેડૂતની ગણાય મિત્રો !
અનુભવ આપ-લે ની પધ્ધતિઓ =
[1] વાતોના માધ્યમથી = મેં જોયું છે કે જ્યારે જ્યારે ખેડૂતોએ એકબીજાને મળવાનું થાય છે,ત્યારે સહેજે ખેતીની વાતો કરતા રહેતા હોય છે. આ રીતે મળનારાં સ્થળ અને પ્રસંગો ઓછાં નથી હોતાં.
ક્યારેક કોઇ કૌટુંબિક પ્રસંગોમાં ભેગા થઇ જતાં સહેજે વાત નીકળે ત્યારે, ક્યારેક આપણી વાડીએ અન્ય ખેડૂતોને જોવા-સમજવા આવવાનું થાય ત્યારે, આપણે બીજાની વાડીએ આવાકોઇ હેતુ માટે જવાનું થાય ત્યારે, કે કોઇ ચર્ચાસભા કે સેમિનારમાં ભાગ લેવાનું બને ત્યારે “વાતો” દ્વારા અનુભવની આપલે કરી શકતા હોઇએ છીએ.બહુ બળકટ અનુભવ હોય તો રેડિયો પ્રસારણ દ્વારા,કે કોઇ તાકીદના પ્રશ્નના નિવારણાર્થે આજેતો ટેલીફોનથી પણ એકબીજાના અનુભવઆપલે શક્ય છે
[2]નજરો નજર નિદર્શન કરીને = માત્ર કાનથી સાંભળવા કરતાં આંખથી જોયેલ ઘટના કે વાત વધુ અસર પહોંચાડતી હોય છે, કોઇ વધુ વજનદાર મુદ્દાની ધારી અસર પહોંચાડવા વાડીપર જીવંત નિદર્શન, કે જ્યાં મોટી સંખ્યામાં ખેડૂતો ભેળા થવાના હોય તેવા કૃષિમેળા કે સંમેલનોમાં સફળતાનું મોડેલ ઊભુ કરી, અગરતો એ પ્રયોગ કે પ્ધ્ધતિની દ્રશ્ય-શ્રાવ્ય સીડી તૈયાર કરી મોટા સમૂહને દેખાડી સારી વાતનું વિસ્તરણ કરી શકાતું હોય છે.
[3]લેખન-વાંચનથી = અંદરો અંદરની વાતચીત કે સમાચાર માટે મોબાઇલ-ફોન દ્વારા એક અદ્યતન સુવિધા ઊભી થઈ જતાં પત્રો-ટપાલનું વજન હળવું થઈ ગયું છે. છતાં કેટલીય વિગતો ખેડૂતો પત્રો લખીને એકબીજાને પૂછતા રહેતા હોય છે. પત્રો દ્વારા હું તો ઘણાબધાં ખેડૂતો સાથે ગોષ્ટિ કરતો રહેતો હોઉં છું. પત્રો એકબીજાના અનુભવની આપલે માટેનું ઉત્તમ માધ્યમ છે. અરે ! બહોળા સમાજને ઉપયોગી કોઇ અનુભવ આપણને થયો હોય તો “અખબાર” અને “કૃષિમેગેઝીનો” સામેથી આવા –સૌને લાભના સમાચારો, વિગતો, અનુભવો હોંશે હોંશે પ્રસિધ્ધ કરવા તંત્રી અને સંપાદકશ્રીઓ આતુર હોય છે. આપણે તેમને વ્યવસ્થિતરીતે લખી મોકલવા જોઇએ. અરે ! કોઇની પાસે વધુ અનુભવનો ખજાનો ભેગો થયો હોય તો ‘પુસ્તક” રૂપે પ્રસિધ્ધ કરી, બહોળા ખેડૂતવર્ગ માટે કાયમી ભાથારૂપ સંભારણું પણ બનાવી શકાય.
સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ : krushidampati@gmail.com
-
ઉદ્યાનવિદ્યા
મ. ઝ. શાહ
બળદેવભાઈ પટેલ
વનસ્પતિઓના સંવાદી (harmonious) સમૂહન(grouping)ની કે તેમની આનંદદાયક ગોઠવણીની કલા તેમજ તેમના ઉછેર અને સંતોષજનક વૃદ્ધિ સાથે સંકળાયેલી પદ્ધતિઓનું વિજ્ઞાન. ઉદ્યાનવિદ્યા ઉદ્યાનકૃષિ (horticulture : આ લૅટિન શબ્દ hortus, garden અને colere, to cultivate પરથી ઊતરી આવ્યો છે.) સાથે ગાઢ રીતે સંબંધિત છે. ઉદ્યાનકૃષિ, શાકભાજી, ફળ અને શોભન-વનસ્પતિઓ (ornamentals) જેવા ઉદ્યાન-પાકોના ઉછેર સાથે સંકળાયેલ કૃષિવિજ્ઞાનની શાખા છે.
મનુષ્ય ઘણા હેતુઓ માટે ઉદ્યાન બનાવે છે. તેમનાં ઘર અને ઉદ્યાનને સુંદર બનાવવા પુષ્પો અને અન્ય શોભન વનસ્પતિઓનો ઉછેર કરે છે. તે શાકભાજી, ફળો અને શાકીય જાતિઓનું વાવેતર પણ કરે છે; કેમ કે, ઘેર ઉગાડેલી નીપજ બજાર કરતાં વધારે સસ્તી, તાજી અને સ્વાદિષ્ટ હોય છે. લોકોને ઉદ્યાન ગમે છે; કારણ કે વનસ્પતિઓની સાથે કામ કરવાથી વ્યાયામ, વિશ્રાંતિ (relaxation) અને આનંદ પ્રાપ્ત થાય છે. પુષ્પો માનવજીવનમાં જન્મથી માંડી મૃત્યુ પર્યંતના સારા-માઠા બધા પ્રસંગોમાં ઉપયોગી થાય છે.
ગૃહોદ્યાન (home garden) બનાવવા વિવિધ વનસ્પતિઓ સફળતાપૂર્વક ઉગાડી શકાય તે માટે હવે વિવિધ પ્રકારની માહિતી સુલભ છે. શિખાઉ માળી માટે ઉદ્યાનવિદ્યાનાં બધાં પાસાંઓને આવરતી ઓછી ખર્ચાળ પુસ્તિકાઓ પણ ઉપલબ્ધ થઈ છે. બીજ, વનસ્પતિઓ અને ઉદ્યાન માટે જરૂરી સાધનો વેચતી મંડળીઓ તેમની નીપજોના ઉપયોગ વિશે માહિતી આપતી પુસ્તિકાઓ વિના મૂલ્યે આપે છે. સ્થાનિક ઉદ્યાનકેન્દ્રો પણ માર્ગદર્શન અને સલાહ આપી શકે છે. ઘણાં સમાચારપત્રોમાં તેના વિશે ખાસ કૉલમ આપવામાં આવે છે, અને ઘણાં રેડિયો અને દૂરદર્શન-કેન્દ્રો દ્વારા ઉદ્યાનવિદ્યા સંબંધી કાર્યક્રમોનું પ્રસારણ થાય છે.
ઉદ્યાનવિદ્યા સાથે માણસોની કારકિર્દી પણ સંકળાયેલી હોય છે; જેમાં બજાર માટે નીપજોના ઉત્પાદનથી માંડી વનસ્પતિ-ઉદ્યાનો(botanical gardens)ના પ્રબંધ સુધીનો સમાવેશ થાય છે. વનસ્પતિ ઉદ્યાનોમાં કલાત્મક, શૈક્ષણિક અથવા વૈજ્ઞાનિક હેતુઓ માટે વનસ્પતિઓનો ઉછેર કરવામાં આવે છે. ઘણા લોકો [પુષ્પોત્પાદકો (florists), ઉદ્યાનીય સામગ્રીના વિક્રેતા, અથવા ધરુવાડી-શ્રમિક (nursery worker)] ઉદ્યાનમાં વનસ્પતિઓ ઉછેરી વેચે છે. ર્દશ્યભૂમિ-સ્થપતિ (landscape-architect) ઉદ્યાનો અને અન્ય ભૂમિવિસ્તારોની યોજના આપી તેનો વિકાસ કરે છે. ઉદ્યાનવિદ્યા સાથે સંબંધિત અન્ય કારકિર્દીમાં ઉદ્યાનો, જાહેર ઇમારતો અને ખાનગી સંપદાઓના ભૂમિપ્રબંધનો સમાવેશ થાય છે.

આકૃતિ 1 : વૈધિક પુષ્પોદ્યાન ઉદ્યાનવિદ્યા હવે વધારે ને વધારે જાણીતી થતી જાય છે. દુનિયાભરનાં લાખો લોકો ગૃહોદ્યાન બનાવવામાં રસ દાખવે છે. 20મી સદીના ઉત્તરાર્ધમાં મજૂરીની કિંમત વધતાં અને તેની અછત થતાં જાહેર ઉદ્યાનોની વિરુદ્ધ ખાનગી ઉદ્યાનોનાં કદ અને તેમાં ઉગાડાતી શોભન-જાતિઓની સંખ્યામાં મર્યાદા આવી છે; આમ છતાં ઉદ્યાનકૃષિ માટેની અભિરુચિમાં ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણ પ્રદેશોમાં એકંદરે વધારો થયો છે. ઉદ્યાનોની સંખ્યામાં પણ વધારો થયો છે. શ્રમ ઘટાડતાં સાધનોનો વિકાસ, ઉછેરની ઔપચારિક (formal) પદ્ધતિઓને બદલે વધારે કુદરતી પદ્ધતિઓ વિશેની માહિતીની પ્રાપ્યતા, વનસ્પતિદેહધર્મવિદ્યા અને જંતુ-નિયંત્રણમાં થયેલાં આધુનિક સંશોધનોએ ઉદ્યાનકૃષિના વ્યવસાય અને શોખ તરીકેના પ્રસારને સંભવિત બનાવ્યો છે.

આકૃતિ 2 : શાકભાજી અને પુષ્પોદ્યાન ગૃહોદ્યાન :
ઘરની આસપાસ રહેલી ખૂલ્લી જમીન ઉપર ઉદ્યાન બનાવી તેનું આકર્ષણ પુષ્કળ પ્રમાણમાં વધારી શકાય છે. આવા ગૃહોદ્યાનોની કેટલીક ખાસ મૂળભૂત લાક્ષણિકતાઓ આ પ્રમાણે છે : (1) જે સીમામાં ઉદ્યાન બનાવવાનો હોય તેની પૃષ્ઠભૂમિ (background) તરીકે વનસ્પતિની કે તારની વાડ, ક્ષુપીય સરહદ (shrub border) કે દીવાલ તૈયાર કરવામાં આવે છે. (2) ઉદ્યાનમાં આનંદપ્રમોદ માટે અને તેનો ઉપભોગ કરવા માટે માર્ગો, વૃક્ષ-વીથિકા (avenue) અને બેઠકો તૈયાર કરવામાં આવે છે. આવા વિસ્તારો અલગ વિકસાવવામાં આવે છે. (3) અસામાન્ય કે અત્યંત સુંદર વનસ્પતિઓ, શિલ્પ, કુંડ (pool) અને જળધોધ જેવાં કેટલાંક ધ્યાનાકર્ષક સ્થાનો તૈયાર કરવામાં આવે છે. (4) ઔપચારિક (formal), અનૌપચારિક (informal), પરંપરાગત (traditional) અથવા સમકાલીન (contemporary), નૈસર્ગિક (natural) કે વિદેશી (exotic), સંવર્ધિત (subdued) જેવી વિવિધ ભાતોમાં ઉદ્યાન-વિકાસ કરી શકાય છે.
આ મૂળભૂત લાક્ષણિકતાઓ એકરૂપ (unified) અને સર્વાંગી (overall) ઉદ્યાનની યોજના તૈયાર કરવામાં મદદરૂપ થાય છે. આ યોજના રોપણ(planting)ના મોસમી (seasonal) વિકાસની અને મોટાં વૃક્ષો અને સ્થળાકૃતિક (topographic) લક્ષણો જેવા વધતે ઓછે અંશે સ્થાયી પ્રકૃતિવાળા ગુણધર્મોની માહિતી આપે છે.
ઉદ્યાનની પદ્ધતિઓ :
ઉદ્યાનની પદ્ધતિ ઔપચારિક અને ક્રમિત (ordered) [જેમાં સમમિત (symmetrical) સંતુલન અને વનસ્પતિઓનું નિયમિત સમૂહન સ્પષ્ટપણે જોવા મળે છે.]થી માંડી અનૌપચારિક અને નૈસર્ગિક [જેમાં મૂળભૂત રીતે કુદરતમાં હોય તેવી માત્ર કુશળતાપૂર્વક રૂપાંતરિત ભાત જોવા મળે છે.] પ્રકારની જોવા મળે છે; પરંતુ હવે કોઈ એક પદ્ધતિ ચુસ્ત રહી નથી. ઉદ્યાનમાં પ્રત્યેક પદ્ધતિની લાક્ષણિકતાઓ મિશ્ર થયેલી હોય છે. પરંપરાગત ઉદ્યાનો સીમાઓ અને ક્યારીઓની ગોઠવણીમાં ઉત્કૃષ્ટ હોય છે અને સમકાલીન ઉદ્યાનો (જેમાં ભાતનાં તત્વો સામાન્ય રીતે સહેલાઈથી નજરે ચડે તેવાં હોય છે અને સ્પષ્ટપણે મનુષ્યની અસર દર્શાવે છે.) સાથે ઘણી વાર વિરોધાભાસ દર્શાવે છે. જાપાની ઉદ્યાનોના આયોજન પર બૌદ્ધ વિચારસરણીની અસર દેખાય છે. એક નાનકડી ટેકરી, ફરતે પાણી, નાનકડો પુલ, થોડા પથ્થરો, ઝૂકતાં વૃક્ષો, પથ્થરનો બનાવેલો દીવો, પથરાળ માર્ગ અને ફરતે દીવાલ કે તારની વાડ તેની વિશિષ્ટતાઓ છે. એકાદા પથ્થર ઉપર બેસી નિરાંતે ચિંતન થઈ શકે અને રંગોની બહુ ઝાકઝમાળ ન હોય તેવા સ્થાનનું નિર્માણ જાપાની ઉદ્યાનની ખૂબી છે. ભારતમાં દિલ્હી, હૈદરાબાદ, મૈસૂર વગેરે સ્થળોએ આ પ્રકારના પરંપરાગત ઉદ્યાનો જોવા મળે છે.
ભારતીય ઉદ્યાન-પદ્ધતિની વિશિષ્ટતાઓ મુખ્યત્વે વૃક્ષો, લતામંડપો અને વિહાર માટેની વિશાળ જગાઓ છે. પહેલાં ઉપયોગની ર્દષ્ટિએ જુદાં જુદાં નામ આપવામાં આવતાં; જેમ કે, પ્રમોદઉદ્યાન રાજા અને રાણી માટેનો આનંદ-પ્રમોદ કરવાનો ઉદ્યાન ગણાતો હતો. રાજા, મંત્રીઓ અને નગરજનો વગેરેને મળવાનો અને તેમની સાથે નૃત્ય જોવા માટે અલગ ઉદ્યાન તૈયાર કરવામાં આવતો હતો. વૃક્ષવાટિકા રાજ્યના અમલદારો માટેનું આનંદ-પ્રમોદનું સ્થાન ગણાતું હતું અને દેવતાઓની પૂજા-અર્ચના અને યજ્ઞ કરવા માટેના ઉદ્યાનને ‘નંદનવન’ તરીકે ઓળખવામાં આવતો હતો.

આકૃતિ 3 : બ્રિટિશ ઉદ્યાનનું મુખ્ય લક્ષણ લૉન છે. લૉનની સીમા ઉપર આઇરિસ અને ગુલાબ જેવી સપુષ્પ વનસ્પતિઓ અને ક્ષુપ ઉગાડવામાં આવે છે. સામાન્ય રીતે પાણીના લાંબા હોજ, બે બાજુએ રસ્તા, તેની બાજુમાં વિશાળ લૉન, હોજ અને રસ્તાને કાટખૂણે બીજા રસ્તાઓ અને બંને બાજુએ એકસરખાં લાગે તેવાં સુંદર આકારવાળાં વૃક્ષ મુઘલ પદ્ધતિની વિશિષ્ટતાઓ છે. આમાં પણ એક પછી એક કક્ષા નીચે જવાથી જુદી જુદી અગાસીઓ જેવું ર્દશ્ય દૂરથી દેખાય છે. પાણીના હોજમાં ફુવારાઓ અને લૉનમાં પુષ્પની ક્યારીઓ પણ હોઈ શકે. મૂળ ઈરાનમાંથી લાવીને આ કળા મુઘલોએ ભારતમાં દાખલ કરી અને ભારતની આબોહવા પ્રમાણે તેમણે ઉદ્યાનની રચનામાં કેટલાક ફેરફાર કર્યો. આગ્રાના તાજમહાલનો ઉદ્યાન, પીંજોરનો ફદૈખાન ઉદ્યાન અને કાશ્મીરનો શાલીમાર ઉદ્યાન આ પદ્ધતિના જાણીતા ઉદ્યાનો છે.
બ્રિટિશ પદ્ધતિમાં સીધા રસ્તા, વિશાળ લૉન અને લૉનની સીમાઓ ઉપર પુષ્પની ક્યારીઓ, છોડ કાપીને આપેલા જુદા જુદા આકર્ષક આકારો, ફુવારાઓ, પૂતળાં વગેરે ખાસિયતોનો સમાવેશ થાય છે. ઇંગ્લૅંડનો પ્રખ્યાત રૉયલ બૉટેનિકલ ગાર્ડન ક્યુ વિશ્વનો સૌથી મોટો વનસ્પતિ-ઉદ્યાન છે. નાઇમેન્સ હૅન્ડ ક્રૉસ ગાર્ડન નૉર્થ સસેક્સમાં આવેલો બ્રિટિશ ઉદ્યાન છે.
ઔપચારિક અને અનૌપચારિક ઉદ્યાનોના સંદર્ભમાં એક રસપ્રદ નિરીક્ષણ એ જોવા મળ્યું છે કે સૈનિક, પોલીસ કે સરકારી નોકરીમાં નિયમોની ચુસ્તતામાં રહેલી વ્યક્તિઓ મોટેભાગે અનૌપચારિક ઉદ્યાન પસંદ કરે છે, જ્યારે વેપારી વર્ગની વ્યક્તિઓને ઔપચારિક ઉદ્યાન ગમે છે. મૈસૂરનો વૃંદાવન ગાર્ડન કે દિલ્હીમાં રાષ્ટ્રપતિનો ઉદ્યાન ઔપચારિક ઉદ્યાન છે; જ્યારે દિલ્હીનો બુદ્ધજયંતી પાર્ક કે ગુજરાતમાં ગાંધીનગરનો બાલોદ્યાન કે સરિતા-ઉદ્યાન અનૌપચારિક ઉદ્યાનો છે.
ઉદ્યાનનાં સ્થાયી તત્વો :
ઉદ્યાનના આયોજનમાં લૉન, ટર્ફ (turf), ભૂમ્યાવરણ (ground cover), ક્ષુપ, લતાઓ અને વૃક્ષો ઘણુંખરું સ્થાયી વનસ્પતિઓ ગણાય છે. અલ્પ આયુષ્ય ધરાવતી એકવર્ષાયુ, દ્વિવર્ષાયુ કે બહુવર્ષાયુ શાકીય કે કંદિલ વનસ્પતિઓ સતત કાળજી માગતી અસ્થાયી (transitory) વનસ્પતિઓ છે.
લૉન અને ભૂમ્યાવરણ :
કોઈ પણ ઉદ્યાન લૉન વગર અધૂરો જ ગણાય. તે લીલા રંગનો મખમલી ગાલીચો પાથર્યો હોય તેવું મનોરમ ર્દશ્ય આપે છે. લૉનમાં બેસવું-ચાલવું અત્યંત આહલાદક હોય છે. ઉદ્યાનમાં વિશાળતા લાવવા માટે લૉન અનિવાર્ય છે, લૉન ઘાસની બનતી હોય છે. આવાં ઘાસભૂમિના સમતલથી થોડાંક ઊંચાં (લગભગ 7.5 સેમી.થી. 10 સેમી.) રાખવામાં આવે છે. આવા આવરણ માટે ઘાસ જ માત્ર યોગ્ય હોય છે, તેવું નથી. કોઈ પણ નીચી ઊગતી અને ઝડપથી જમીન ઉપર ફેલાતી – ભૂપ્રસારી વનસ્પતિઓનો લૉન તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આવાં ઘાસ સિવાયનાં ભૂમિ ઉપરનાં આવરણોને ભૂમ્યાવરણો કહે છે.
ઠંડા પ્રદેશોમાં સૂક્ષ્મ-ગઠિત (fine-textured) લૉન માટે ઉપયોગમાં લેવાતાં મુખ્ય ઘાસમાં ફૅસ્કુ (Festuca species), બ્લૂ ઘાસ (Poa species) અને બૅંટ(Agrostis species)નો સમાવેશ થાય છે. ઘણી વાર આ જાતિઓ મિશ્રપણે ઉગાડાય છે. વધારે રુક્ષ લૉન માટે રાયઘાસ (Lolium species) મિશ્ર કરવામાં આવે છે. શુષ્ક ઉષ્ણકટિબંધીય અને ઉપોષ્ણકટિબંધીય પ્રદેશોમાં ઘણી વાર બર્મુડા (ધરો) ઘાસ(Cyanodon dactylon)નો ઉપયોગ થાય છે. લૉન માટેનાં ઘાસ વ્યવસ્થિત રોપી, ખાતર અને પાણી પ્રમાણસર આપી, ઉગાડી એ સમયસર કાપવામાં આવે છે. હવે તો ટેકરા જેવો આકાર આપીને કે લાંબા ઢોળાવ બનાવીને ‘રોલિંગ લૉન’ તૈયાર કરવામાં આવે છે. તે અત્યંત ચિત્તાકર્ષક હોય છે. નાના ઉદ્યાનમાં રોલિંગ લૉનનું સ્થાન હોતું નથી.
જ્યાં ઘાસ ઓછા પ્રમાણમાં થઈ શકતું હોય ત્યાં ભૂમ્યાવરણ તૈયાર કરવા ઘાસની અવેજીમાં બહુવર્ષાયુ વનસ્પતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. કેટલીકવાર ઘાસવાળી લૉનમાં ઇચ્છિત ભાત ઉત્પન્ન કરવા આવી વનસ્પતિઓને મિશ્ર રીતે ઉગાડાય છે. ભૂમ્યાવરણ-વનસ્પતિઓ ઘેરો લીલો, તાંબા જેવો રંગ કે અન્ય રંગો ઉત્પન્ન કરી ટર્ફના લીલા રંગમાં મનોરંજક વિપર્યાસ (contrast) ઊભો કરે છે. જોકે ભૂમ્યાવરણ લૉન જેટલું ટકાઉ હોતું નથી અને અવરજવર અને અન્ય પ્રવૃત્તિઓ સામે ટકી શકતું નથી. ભૂમ્યાવરણ તરીકે ઉપયોગમાં લેવાતી વનસ્પતિઓમાં જાપાની ર્સ્પજ (Pachysandra terminalis), સામાન્ય પેરીવિંકલ (Vinca minor), લિલી ઑવ્ વેલી (Covallaria majalis), બ્યૂગલ વીડ (Ajugo reptans), બિશપનું અપતૃણ (Aegopodium podagraria), સ્ટોનક્રૉપ (Sedum species), ડાઇકૉન્ડ્રા (Dichondra repens) અને આઇવી(Hedera species)નો સમાવેશ થાય છે.
ક્ષુપ અને લતાઓ :
ક્ષુપ નાની કાષ્ઠીય વનસ્પતિઓ છે અને જમીનની નજીકથી કેટલીક શાખાઓ આપે છે. તેઓ વધારેમાં વધારે 6 મી. સુધી.ની ઊંચાઈ પ્રાપ્ત કરે છે. આધુનિક ઉદ્યાનોમાં ઘણીવાર તેઓ સૌથી મોટો ભાગ રોકે છે, કારણ કે તેમનો ઉછેર શાકીય જાતિઓ કરતાં ઓછી મજૂરીએ થાય છે અને કેટલાક પુષ્પીય ક્ષુપો લાંબા સમય સુધી પુષ્પનિર્માણ કરે છે. જાણીતાં ક્ષુપોમાં ચાંદની (Ervatamia divaricata), જાસૂદ (Hibiscus rosa-sinensis), કરેણ (Nerium indicum), ટૅકોમા (Tecoma species), કેલિયાન્ડ્રા (Calliandra species), ગુલાબ (Rosa species), મોગરો (Jasminum species), પારિજાતક (Nyctanthus arborstristis), રાતરાણી (Cestrun nocturnum), દિવસનો રાજા (C. diurnum), લીલો ચંપો (Artabotrys hexapetalus), ઇન્દ્રધનુ (Lantana camara, L. indica), ગલતોરો (Caesalpinia pulcherrima), ઇક્ઝોરા (Ixora coccinea) અને ચિનાઈ મેંદી (Lagerstromia indica) વગેરે વિવિધરંગી સુંદર પુષ્પો આપતી ક્ષુપની જાતિઓ છે. આ ઉપરાંત, લિલિયેક (Syringa vulgaus), પ્રિવેટ (Ligustrum species), સ્પાઇરેરિયા (Spirarea species), હની સકલ (Lonicera species), ફોરસીથિયા (Forsythia species), મૉક ઑરેન્જ (Philadelphus species), હાઇડ્રેન્જિયા (Hydrangia species), રહોડોડેન્ડ્રૉન (Rhododendron species) પણ સુંદર ક્ષુપો છે.
જ્યાં કમાન અથવા એવો બીજો કોઈ આધાર હોય ત્યાં લતાનું પોતાનું આગવું આકર્ષણ હોય છે. લતાનો મંડપ બનાવવા કે પડદા તરીકે પણ ઉપયોગ થાય છે. સીધા ઢોળાવો ઉપર ભૂમ્યાવરણ તરીકે અને ધાબા ઉપર છાયા અને ઠંડક માટે તે ઉગાડવામાં આવે છે. ઉદ્યાનમાં વાવવામાં આવતી કેટલીક જાણીતી શોભન લતાઓમાં તિલોત્તમા [ટ્રમ્પેટ વાઇન (Tecoma અથવા Campsis radicans)], મોરવેલ (Clematis species), પડદાવેલ (Vernonia scandens), વિસ્ટેરિયા (Wisteria sinensis), વેલ મોગરો, જુઈ, ચમેલી (Jasminum species), કૃષ્ણકમળ (Passiflora species), મધુમાલતી (Quisqualis indica), મધવેલ (Combretum coccinum), માધવી લતા (Hiptage senghalensis), જક્ષિણી (Jaquemontia violacea), ચાઇનીઝ ટ્રમ્પેટ ક્રીપર (Tecoma grandiflora), ક્લેરોડેન્ડ્રૉન (Clerodendron splendens, C. thomsone), નીલપ્રભા (Petrea volubilis), નખવેલ (Bignonia unguis-cati), મૉર્નિંગ ગ્લોરી (Ipomoea palmata), આઇસક્રીમ વેલ (Antigonon leptopus) વગેરેનો સમાવેશ થાય છે. આ લતાઓ સુંદર સુગંધિત પુષ્પો આપે છે. બોગનવેલ(Bougainvillea spectabilis)ની જુદી જુદી જાતો કાષ્ઠીય લતાઓ છે. તેને કાપીને ક્ષુપ-સ્વરૂપે વિકસાવી શકાય છે. તેને પુષ્પો પુષ્કળ પ્રમાણમાં આવે છે અને દૂરથી ધ્યાન ખેંચે છે.
વૃક્ષો ઉદ્યાનનું સૌથી અનિવાર્ય અંગ છે. તેઓ ઉદ્યાનને એક જાતનું ગૌરવ અને ઠરેલપણું આપે છે અને તેને મર્યાદિત કરવામાં તેમજ તેની વિશાળતા વધારવામાં બંને રીતે ઉપયોગી છે. કેટલાંક વૃક્ષો સુગંધિત પુષ્પો આપે છે, તો અન્ય કેટલાંક સુંદર આકાર સર્જી આંખને આકર્ષે છે. કેટલાંક વૃક્ષો કોયલ, પોપટ અને મોર જેવાં આકર્ષક પક્ષીઓને આશ્રયસ્થાન આપે છે, તો કેટલાંક શીતળતા બક્ષતો છાંયો આપે છે. વૃક્ષોના કદ, આકાર અને રંગનું વૈવિધ્ય ઉદ્યાનના સૌંદર્યમાં વૃદ્ધિ કરે છે. પાઇન, સ્પ્રુસ જેવાં સદાહરિત વૃક્ષો અને ઑક, મૅપલ અને બીચ જેવાં પર્ણપાતી વૃક્ષો વચ્ચેનું સંતુલન ઉદ્યાનને સુરક્ષા આપે છે અને સમગ્ર વર્ષ દરમિયાન ચક્ષુર્ગમ્ય મનોરંજન પૂરું પાડે છે.
અશોક (Saraca indica), કદંબ (Anthocephalus cadamba), બકુલ કે બોરસલ્લી (Mimusops elengi), બકાન લીમડો (Melia azadirach), ચંપો (Michelia champaka), બૂચ (Millingtonia hortensis) જેવાં વૃક્ષો સુગંધિત પુષ્પો આપે છે.
પીળાં પુષ્પોથી લચી પડતા ગરમાળા (Cassia fistula), પેલ્ટોફોરમ (Peltoforum pterocarpum), પારસપીપળો (Thespesia populnea); ગુલાબી પુષ્પથી આકર્ષક બનતા ગુલાબી કેસિયા(Cassia species)ની જાતો અને કચનાર (Bauhinia tomentosa); લાલ-કેસરી રંગનાં પુષ્પોથી છવાઈ જતો ગુલમહોર (Delonix regia); સફેદ-પીળા રંગનાં પુષ્પોથી લદાતો ખડચંપો (Plumeria acuminata); લાલ રંગનાં પુષ્પોથી સુંદર દેખાતા શીમળા (Salmalia malbarica), કૉર્ડિયા (Cordia sebestena), સ્પૅથોડિયા (Spathodea campanulata) અને કેસૂડા (Butea monosperma); ભૂરા રંગથી જુદાં તરી આવતાં જેકેરેન્ડા (Jacaranda acutifolia) – આ બધાં વૃક્ષોનો ઉદ્યાન-નિર્માણમાં અનોખો ફાળો હોય છે.
લીમડા (Azadirachta indica), આસોપાલવ (Polyalthia longifolia), શિરીષ (Albidzia lebbek), વડ (Ficus benghalensis), પીપળો (F. religiosa) વગેરે વૃક્ષોની છાયામાં શીતળતા અનુભવાય છે. રૉયલ પામ (Roystonea regia), ટ્રાવેલર્સ ટ્રી (Ravenala madagascariensis), ક્રિસ્ટમસ ટ્રી (Araucaria excelsa), ઊભા આસોપાલવ (પેન્ડ્યુલા) વગેરે વૃક્ષોનો દેખાવ જ મનોહર હોય છે. આ બધામાં આંબા (Mangifera indica), ચીકુ (Manilkara zapota), લીંબુ (Citrus limon), કરમદાં (Carissa carandas), આમલી (Tamarindus indicus), કમરખ (Averrhoa carambola), કાજુ (Anacardium occidantle), દેશી બદામ (Terminalia catappa) જેવાં ફળ આપતાં વૃક્ષો ઉમેરીએ તો ઉદ્યાનની પૂર્ણતા સધાય છે.
અસ્થાયી તત્વો :
આ પ્રકારની વનસ્પતિઓમાં એકવર્ષાયુ, દ્વિવર્ષાયુ અને બહુવર્ષાયુ શાકીય જાતિઓનો અને કંદિલ વનસ્પતિઓનો સમાવેશ થાય છે. ક્રોટોન (Croton species), ઍકેલિફા (Acalypha species), ગરમર (Coleus species), મોરપંખી (Thuja orientalis), ડ્રેસિના (Dracaena species), ઍરેલિયા (Aralia species), ડફનબીકિયા (Dieffenbachia species), ટ્રેડસ્કેન્શિયા (Tradescantia species) વગેરેનાં પર્ણો બહુવર્ણી અને સુંદર હોય છે.
બહુવર્ષાયુ છોડ ઉપરાંત જુદી જુદી ઋતુના મોસમી છોડનાં રંગબેરંગી પુષ્પોનું આકર્ષણ કંઈક ઓર જ હોય છે. આ જાતિઓમાં ફ્લૉક્ષ (Phlox species), પ્રિયદર્શિની (Petunia violacea), ઍસ્ટર (Aster amellus), કેલેન્ડ્યુલા (Calendula officinalis), શ્વાનમુખી (Antirrhinum majus), ગુલખેરૂ (Althea rosea, હૉલીહૉફ), સૂરજમુખી (Helianthus annuus), હજારીગોટા (Tagetes erecta અને T. patula), ઝિનિયા (Zinnia angustifolia, Z. elegans), તનમનિયાં (ગુલમેંદી, Impatiens balsmina), કૉસ્મૉસ (Cosmos bipinnatus અને C. sulphureus), ગૅલાર્ડિયા (Gallardia species) બારમાસી (Catharanthus roseus) વગેરેનો સમાવેશ થાય છે. આ વનસ્પતિઓને એકાકી અથવા ઉદ્યાનની સીમાઓ તરીકે કે ક્યારીઓમાં ઉછેરવામાં આવે છે.

આકૃતિ 4 : ઉપોષ્ણકટિબંધીય ઉદ્યાન કંદિલ વનસ્પતિઓમાં કંદ (bulb), વજ્રકંદ (corm), ગાંઠામૂળી (rhizome) અને ગ્રંથિલ (tuber) ધરાવતી વનસ્પતિઓનો સમાવેશ થાય છે. ડુંગળી (Allium cepa) અને લસણ (A. sativum) કંદનાં ઉદાહરણો છે. સૂરણ (Amorphophalous campanulatus), વજ્રકંદ, બટાટા (Solanum tuberosum) ગ્રંથિલ, આદું (Zingiber officinale), હળદર (Curcuma domestica) અને કેના (Canna indica) વગેરે ગાંઠામૂળી છે. કેના, ગુલચબુ (Zephyranthus species), નાગદમણી (Crinum species), પૅન્ક્રેશિયમ (Pancratium species), નરગિસ (Narcissus tazetta) વગેરે ઉદ્યાનમાં શોભન જાતિઓ તરીકે ઉગાડવામાં આવે છે.
અન્ય તત્વો :
શૈલોદ્યાન (rockery, વિવિધ આકારે પથ્થરો ગોઠવી તેમની વચ્ચે શોભન-વનસ્પતિઓ ઉગાડવી) પાણીના હોજ, ઝરા, ફુવારા, કમાનો, રસ્તાની બાજુમાં કે સીમા પાસે કરેલી પથ્થરની હાર (curbing), પૂતળાં વગેરે અનેક તત્વોના ઉમેરાથી ઉદ્યાનની સુંદરતા વધારી શકાય છે.
ઉદ્યાન માટેના માર્ગદર્શક મુદ્દાઓ :
(1) વિશાળતા : કેટલીક વખત બગીચામાં આડાઅવળા રસ્તા કરીને તેની વિશાળતા તોડી નાખવામાં આવે છે, જેથી ઉદ્યાનની સુંદરતા અને ઉપયોગિતા ઘટી જાય છે. આમ ઉદ્યાનના આયોજન દરમિયાન આ બાબત ધ્યાનમાં રાખવી આવશ્યક છે. જરૂર પડે તો માટી-પૂરણ કરીને ભૂમિને એક સમતલ કરવામાં આવે તો વિશાળતા ઘણી વધારી શકાય છે.
(2) ક્ષિતિજ રેખા (skyline) – જુદા જુદા છોડ કે વૃક્ષ અત્યંત નજીક રોપવાથી તેની ટોચની રેખા અતિશય ઊંચી કે અતિશય નીચી જાય છે. જેમ કુદરતી પર્વતોનો ઢોળાવ ક્રમશ: નીચો આવતો જાય છે, તેમ વૃક્ષોની ટોચ પણ ધીરે ધીરે નીચી આવે કે ઉપર જાય તે રીતે વૃક્ષો રોપવાં જરૂરી છે.
(3) વૈવિધ્ય : ઉદ્યાનમાં જુદી જુદી જગાએ જતાં કંઈક નવા છોડ, નવી રચના કે કોઈ નવો ખ્યાલ છતો થાય તો તે સુંદર લાગે છે. તેથી જુદી જુદી ઋતુમાં જુદાં જુદાં પુષ્પો જોવા મળે, ઉદ્યાનના જુદા જુદા ખૂણે લજામણી (Mimosa pudica), કપ-રકાબી (Holmskioldia sangainea), નાગફણી (મધર ઇન લૉઝ ટંગ, Sansevieria roxburghiana), કૃષ્ણકમળ (Passiflora species), સીતાફળ (Annona squamosa), રામફળ (A. reticulata), હનુમાનફળ (A. cherimola) વગેરે વિભિન્નતાદર્શી વનસ્પતિઓ હોય તો ઉદ્યાન આકર્ષક બને છે.
ઉદ્યાનના પ્રકારો
પુષ્પોદ્યાન :
જોકે જુદા જુદા દેશોમાં પુષ્પોદ્યાનમાં ઉછેરવામાં આવતા છોડ જુદા જુદા હોવા છતાં તેનું મૂળભૂત આયોજન અને સિદ્ધાંતો લગભગ સરખાં હોય છે. ઉદ્યાન ઔપચારિક કે અનૌપચારિક હોઈ શકે. સુ-અભિકલ્પિત (well-designed) પુષ્પોદ્યાનમાં વૃક્ષો અને ક્ષુપો મુખ્ય સ્થાયી તત્વો છે. તેમની ફરતે રહેલી જગામાં શાકીય વનસ્પતિઓ, એકવર્ષાયુઓ અને કંદિલોની ગોઠવણી કરવામાં આવે છે. સપુષ્પ વૃક્ષો અને ક્ષુપોની વિવિધતાઓ વિપુલ પ્રમાણમાં હોય છે. આવાં વૃક્ષો પરિપક્વ બને ત્યારે તેઓ કેટલો વિસ્તાર રોકે છે, તે મહત્વનું છે. 30 મી.ની ઊંચાઈ અને 15 મી. આરપાર વિસ્તાર રોકતું જંગલનું વૃક્ષ નાના ઉપનગરીય (suburban) ઉદ્યાન માટે મહત્વનું નથી, પરંતુ ચેરી (Prunus species) અને ઑસ્ટ્રેલિયન બૉટલબ્રશ (Callistemon lanceolatus) જેવાં સાંકડાં વૃક્ષો તદ્દન યોગ્ય ગણાય છે. ઉદ્યાનમાં પ્રસુપ્ત (dormant) અવસ્થામાં રહેલાં ખુલ્લાં મૂળવાળાં વૃક્ષો અને ક્ષુપો સૌથી શ્રેષ્ઠ સમુચ્ચય ગણાય છે. કૂંડામાં કે માટીમાં ઉગાડેલા છોડનો કોઈ પણ સમયે ઉછેર થાય છે.
ઉદ્યાનના આયોજનમાં વનસ્પતિઓ અને રંગોનું મિશ્રણ અને વિપર્યાસ અત્યંત મહત્વનાં પાસાં ગણાય છે. શાકીય સીમા(herbaceous border)ના જૂના પ્રકારમાં ગ્રીષ્મ ઋતુ દરમિયાન રંગોનું મહત્તમ પ્રદર્શન કરવામાં આવતું હતું; પરંતુ હવે વસંતઋતુની શરૂઆતમાં આવી સીમાઓની વનસ્પતિઓ પુષ્પનિર્માણ કરે તેવી ગોઠવણી કરવામાં આવે છે. તે માટે વહેલાં પુષ્પ આપતી કંદિલ જાતિઓનું સમૂહમાં રોપણ કરાય છે. સપુષ્પ ક્ષુપ જાતિઓને શાકીય શોભન-જાતિઓ સાથે ઉછેરીને તૈયાર કરવામાં આવતી મિશ્ર સીમાઓ પણ ખૂબ જાણીતી બની છે અને પૂર્ણ શાકીય સીમાઓ કરતાં મિશ્ર સીમામાં ઘણી ઓછી કાળજી રાખવી પડે છે. ગ્રીષ્મ ઋતુ દરમિયાન એકવર્ષાયુઓ દ્વારા બનતી સીમાઓ અત્યુત્તમ હોય છે; પરંતુ જો સીમા મોટી હોય તો અર્ધ-સહિષ્ણુ (half-hardy) વનસ્પતિઓની વાવણી, છાંટણી (thinning), નિભાવ (supporting) અને રોપણી પુષ્કળ મજૂરી માગે છે. વસંતઋતુમાં પુષ્પ આપતી કંદિલ જાતિઓની ખાલી પડેલી જગાઓ ભરવા વસંતઋતુના અંતમાં અર્ધ-સહિષ્ણુ એકવર્ષાયુઓના સમૂહની રોપણી કરી શકાય. આવી સીમાઓના પાછળના ભાગમાં ગુલાબની નાની મોટી જાતો ઉગાડવામાં આવે છે. હાઇબ્રીડ ટી રોઝ, ફ્લૉરીબંડા અને પૉલિયૅન્થા રોઝ ગુલાબની અલગ ક્યારીઓમાં કે ગુલાબના ઉદ્યાનમાં ઉછેરાય છે.
વનભૂમિ (woodland) ઉદ્યાનો :
અનૌપચારિક વનભૂમિ-ઉદ્યાન પહેલાના સમયમાં ક્ષુપીય અરણ્યનો નૈસર્ગિક વંશજ છે. અનૌપચારિકતા અને નૈસર્ગિકતા વનભૂમિ-ઉદ્યાનનું સારતત્વ છે. તેના માર્ગો સીધા હોવાને બદલે વળાંકવાળા અને પગદંડીને બદલે ઘાસ કે બિછાતના બનેલા હોય છે. પૂરતો પ્રકાશ પ્રાપ્ત થાય તે માટે વૃક્ષોને છાંટવામાં આવે છે, છતાં તેમનાં જૂથો અનિયમિત હોય છે અને કોઈ પણ મોટું વૃક્ષ જલદી નજરે ચઢે છે. જે તે દેશની વનભૂમિની મૂલનિવાસી વનસ્પતિઓ જેવી કે રહોડોડેન્ડ્રૉન, મૅગ્નોલિયા, પાઇરિસ (pieris) અને મૅપલ જેવાં વૃક્ષો અને ક્ષુપો; લીલી, ડૅફોડિલ, અને સ્નોડ્રૉપ જેવી કંદિલ જાતિઓ; પ્રાઇમરોઝ, હૅલેબોર, સૅંટ-જ્હૉન વર્ટ, એપીમિડિયમ અને અન્ય શાકીય વનસ્પતિઓની પસંદગી કરવામાં આવે છે.

આકૃતિ 5 : શૈલોદ્યાન વનભૂમિ-ઉદ્યાન સામાન્ય ઉદ્યાન કરતાં ઓછો ખર્ચાળ હોય છે અને મજૂરી પણ બચાવે છે.
શૈલોદ્યાન :
શૈલોદ્યાન ખડકાળ પહાડ કે તેના ઢોળાવના એક કુદરતી ભાગ જેવું ર્દશ્ય આપે છે. પહોળા ખડક કે પથ્થર ઉપર નાના-મોટા પથ્થરો કુદરતી સ્તરો સ્વરૂપે ગોઠવવામાં આવે છે. ઘણા નાના ખડકોને બદલે થોડાક મોટા ખડકો વધારે સારા લાગે છે. સારા અભિકલ્પિત શૈલોદ્યાનમાં ખડકો એવી રીતે ગોઠવવામાં આવે છે, જેથી રૉક રોઝ જેવી પ્રકાશ-સહિષ્ણુ (sun-tolerant) અને પ્રિમ્યુલા જેવી છાયા-સહિષ્ણુ (shade-tolerant) વનસ્પતિઓને વિવિધ રીતે ખુલ્લો પ્રકાશ મળે. ખડકો વચ્ચે રહેલી ઊભી ખાંચોમાં નાના બહુવર્ષાયુ છોડ ઉગાડી શકાય છે.
શૈલોદ્યાનમાં ઉપયોગમાં લેવાતા ખડકો વાલુકાશ્મ (sandstone) અને ચૂના-પથ્થર (limestone) પ્રકારના હોય છે. વાલુકાશ્મ ઓછા અનિયમિત અને ખાડાવાળા હોય છે અને વધારે કુદરતી લાગે છે. ડાયન્થસ જેવી કેટલીક જાતિઓ ચૂના-પથ્થરમાં સારી રીતે ઊગે છે. કણાશ્મ (granite) અત્યંત સખત ખડક હોવાથી અને તેનું ખવાણ અત્યંત ધીમું થતું હોવાથી શૈલોદ્યાન માટે અયોગ્ય ગણાય છે.
જલોદ્યાન :
ઉદ્યાનોના પ્રકારોમાં જલોદ્યાન સૌથી જૂના પ્રકારો પૈકીનો એક છે. ઈ. પૂ. 2000 વર્ષ જેટલા જૂના સમયનાં ચિત્રો અને પુરાવાઓમાં કમળ(Nymphaea)નો ઉલ્લેખ છે. જાપાનીઓએ પણ ઘણી સદીઓથી તેમની પોતાની વિશિષ્ટ ભાતવાળા જલોદ્યાન બનાવ્યા છે. તેની મધ્યમાં જાપાની ફાનસ ધરાવતો ખડક હોય છે. પાણીમાં બધી દિશામાં પ્રસરતી વિસ્ટેરિયાની જાલ (trellis) જોવા મળે છે. યુરોપ અને ઉત્તર અમેરિકામાં ચોરસ કે ગોળાકાર ઔપચારિક કુંડ સ્વરૂપથી માંડી અનૌપચારિક પ્રકારના જલોદ્યાન વિકસાવવામાં આવે છે. ઔપચારિક પ્રકારના જલોદ્યાનની મધ્યમાં કેટલીક વાર ફુવારો મૂકવામાં આવે છે અને તે વનસ્પતિરહિત હોય છે અથવા ફક્ત એક કે બે કમળ ઉગાડવામાં આવે છે. અનૌપચારિક પ્રકારના જલોદ્યાનના કુંડ અનિયમિત આકારના હોય છે અને તેમાં કમળ તેમજ અન્ય જલીય વનસ્પતિઓ ઉછેરવામાં આવે છે. તેમની ફરતે પંકિલ વિસ્તારોમાં ભેજ-સહિષ્ણુ વનસ્પતિઓ વાવવામાં આવે છે. કુંડમાં ઑક્સીકરણ કરતી વનસ્પતિઓ ઉગાડવામાં આવતાં પાણી સ્વચ્છ રહે છે અને કોઈ પણ પ્રકારની આગંતુક (introduced) માછલીઓ જીવી શકે છે. મોટા કમળ સહિતની મોટાભાગની જલજ વનસ્પતિઓ શાંત પાણીમાં 0.75 મી.થી 1.5 મી.ની ઊંડાઈએ સારી રીતે થાય છે. કમળને ટોપલીઓમાં કે તળિયે કાદવમાં ઉગાડાય છે. નવા રોપણના કિસ્સામાં જ્યાં સુધી વનસ્પતિઓ પરિપક્વ ન બને અને સમગ્ર ઊંડાઈએ વૃદ્ધિ પામે ત્યાં સુધી ક્રમશ: પાણી ઉમેરવામાં આવે છે. સમશીતોષ્ણ કમળ સમગ્ર દિવસ દરમિયાન ખીલેલાં રહે છે, જ્યારે ઉષ્ણ અને ઉપોષ્ણ કમળની જાતિઓ માત્ર સાંજે જ ખીલે છે.
સમશીતોષ્ણ દેશોમાં કાચ હેઠળ જલોદ્યાન બનાવવામાં આવે છે અને કુંડને ગરમ રાખવામાં આવે છે. આવા કિસ્સાઓમાં ઉષ્ણકટિબંધીય જાતિઓ જેવી કે Victoria amazonica (V. regia) કે કમળ (Nelumbo nucifera) અને કિનારીએ બરુ ઉછેરવામાં આવે છે. કુંડની કિનારીએ કાદવયુક્ત વિસ્તારમાં કૅન્ડેલેબ્રા, પ્રિમ્યુલા, કાલ્થા, આઇરિસ અને ઑસ્મુન્ડા (હંસરાજ) જેવી અત્યંત સુંદર જાતિઓ ઉગાડાય છે.
શાકીય (herbaceous) અને શાકભાજી–ઉદ્યાન :
મોટાભાગના મધ્યકાલીન ઉદ્યાનો અને પ્રારંભિક વનસ્પતિ-ઉદ્યાનોમાં ખોરાકને સ્વાદિષ્ટ અને સોડમવાળો બનાવવા માટે અજમો, વરિયાળી, માર્જેરેના (Origanum અને Marjorana) અને સવા જેવી વનસ્પતિઓ અને ઔષધીય હેતુઓ માટે શાકીય જાતિઓ ઉછેરવામાં આવતી હતી. રસોડાનાં બારણાં પાસે તૈયાર કરેલો નાનો શાકીય ઉદ્યાન સુંદરતા આપવાની સાથે સાથે ઉપયોગી પણ બને છે. શાકીય ઉદ્યાન એટલે રાંધવામાં જરૂરી શાકીય વનસ્પતિઓ ધરાવતો ઉદ્યાન. આ ઉદ્યાનમાં ઔષધીય પાસું ભાગ્યે જ વિચારવામાં આવે છે. શાકીય અને શાકભાજી-ઉદ્યાન માટે સામાન્ય રીતે ખુલ્લા પ્રકાશવાળી જગા જરૂરી છે; કેમ કે, મોટાભાગની વનસ્પતિઓ ઉષ્ણ અને શુષ્ક પ્રદેશોની મૂલનિવાસી હોય છે.
શાકભાજી-ઉછેર ઘણા ઉદ્યાનનું એક અંગ હોય છે. શાકભાજીઓની સારી વૃદ્ધિ માટે વાવણી અને મૃદાની તૈયારી મહત્વની છે અને કૃષિની જેમ આ ઉદ્યાનમાં પણ પાકની ફેરબદલી ઇચ્છનીય હોય છે. શાકભાજીની ફેરબદલીનો સામાન્ય સમયગાળો ત્રણ વર્ષનો હોય છે; જેથી કેટલાક જંતુઓ અને રોગો સામે રક્ષણ મેળવી શકાય.
જૂનો ફ્રેંચ પૉટેજર મૂલ્યવાન શાકભાજી-ઉદ્યાન ગણાય છે, જેમાં નાની વાડવાળી ટૂંકી હરોળો અને ઉછેરની ઊંચી કક્ષા શાકભાજી-ઉછેરની કલાનું મૉડેલ દર્શાવે છે. શેટો દ વિલેન્ડ્રીનો વિસ્તીર્ણ પાર્ટેર (parterre) યુરોપનો સુંદર શાકભાજી-ઉદ્યાન ગણાય છે.
પ્રદર્શન માટે શાકભાજી-ઉછેર એક અલગ કૌશલ ગણાય છે. તે સામાન્ય શાકભાજી-ઉદ્યાનના પ્રબંધ કરતાં વધારે કાળજી માગે છે.
અગાશી–ઉદ્યાનો :
સ્થાપત્યના આધુનિક વલણને કારણે ખાનગી ઘરો અને ડિપાર્ટમેન્ટલ સ્ટોર જેવી વ્યાપારિક ઇમારતો ઉપર આકર્ષક અગાશી-ઉદ્યાનનો વિકાસ સંભવ બન્યો છે. આ ઉદ્યાન માત્ર જમીનની ઊંડાઈ સિવાય અન્ય ઉદ્યાનોના સિદ્ધાંતોને અનુસરે છે. અગાશી-ઉદ્યાનની મૃદાની ઊંડાઈ ઓછી હોય છે. તેથી ઉછેરવામાં આવતી વનસ્પતિઓના કદમાં મર્યાદા આવે છે. વનસ્પતિઓને સામાન્યત: કૂંડાંઓમાં કે અન્ય પાત્રોમાં ઉગાડવામાં આવે છે. કેટલીક વાર નાના કુંડવાળા અને ક્યારીઓ ધરાવતા અગાશી-ઉદ્યાન પણ વિકસાવવામાં આવે છે. ક્યારીઓમાં ઉછેરવામાં આવેલી સપુષ્પ જાતિઓ પૈકીની કેટલીકને કૂંડાંમાં ઉગાડી વિશિષ્ટ અસર ઉત્પન્ન કરવામાં આવે છે.
અંત:કક્ષ (indoor) ઉદ્યાન :
મોટાભાગના અંત:કક્ષ ઉદ્યાનોમાં અંત:કક્ષ-જીવનને યોગ્ય હોય તેવી શોભન-જાતિઓ ઉગાડવામાં આવે છે. અંત:કક્ષ ઉદ્યાનોના બે પ્રકારો છે : (1) ગૃહ-વનસ્પતિઓનો સંગ્રહ (collection of house plants) અને (2) સ્થળજીવશાલા (terranium).
ગૃહ–વનસ્પતિઓનો સંગ્રહ :
આ સંગ્રહ માટે એક કે તેથી વધારે વનસ્પતિઓને કૂંડાંઓમાં કે અન્ય ખુલ્લાં પાત્રોમાં ઉગાડવામાં આવે છે. ઘરમાં ઉછેરી શકાય તેવી અનેક શોભન-વનસ્પતિઓ હોય છે. તેઓ વિવિધ રંગો, આકારો અને કદ ધરાવતી જાતિઓ હોય છે. આવી જાતિઓને હૂંફાળું વાતાવરણ અનુકૂળ હોય છે, છતાં તેમની વૃદ્ધિ માટે તીવ્ર પ્રકાશ જરૂરી હોતો નથી. ઘરના કદ ઉપર આધાર રાખી તેમનું યોગ્ય કૃંતન (pruning) કરી છોડોનું કદ જાળવવામાં આવે છે. ઘર અને આબોહવાને અનુકૂળ શાકીય જાતિઓની પસંદગી મહત્ત્વની છે.
સ્થળજીવશાલા :
આછા રંગના કાચ કે પ્લાસ્ટિક વડે ઢાંકેલા પાત્રમાં નાની શોભન-જાતિઓ સાથે ઉછેરવામાં આવે છે. તે ગૃહ-વનસ્પતિઓના સંગ્રહનો એક ભાગ હોઈ શકે. જો સ્થળજીવશાલા યોગ્ય રીતે બનાવેલી હોય તો તેને વધારે કાળજીની જરૂરિયાત રહેતી નથી.
સુગંધિત (scented) ઉદ્યાનો :
ઘણા લોકો પુષ્પોમાં રહેલી સુગંધીને ખૂબ પસંદ કરે છે. કેટલાક ઉદ્યાનોમાં અંધજનોના લાભાર્થે ઉદ્યાનમાં આવી સુગંધી આપતી વનસ્પતિઓ ઉગાડવામાં આવે છે, જેથી તેઓ આનંદ પ્રાપ્ત કરી શકે. ખાસ કરીને વનસ્પતિનાં પર્ણો કે પુષ્પો સુવાસ આપે છે. તેઓ કેટલીકવાર દેખાવે સુંદર પર્ણો કે પુષ્પો ધરાવતી હોતી નથી. જોકે અંધજન માટે પુષ્પની સુંદરતા ઉપયોગી તત્વ નથી. આવા ઉદ્યાનોમાં વનસ્પતિઓને સરળતાથી સ્પર્શી શકાય તે માટે ઊંચી ક્યારીઓ બનાવાય છે. કેટલીક વનસ્પતિઓ તીવ્ર સૂર્યપ્રકાશમાં સુગંધી આપે છે.
ગૃહ–વનસ્પતિઓના પ્રકારો
અંદર પર્ણસમૂહ ધરાવતી વનસ્પતિઓ : ઍરોઇડ કુળની જાતિઓ જેવી કે Monstera deliciosa, Philodendron pertusum (સ્વિસ ચીઝ પ્લાન્ટ), Dieffenbachia (ડમ્બ કેન), Aglaonema (ચાઇનિઝ એવરગ્રીન), Scindapsus (પૉથોસ), Spathiophyllum (પીસ લીલી), Anthuriam (ફ્લેમિંગો ફ્લાવર), Caladium વગેરે રંગીન પર્ણસમૂહ ધરાવે છે અને તેઓ દીર્ઘાયુષી હોય છે.
બિગોનિયાની વિવિધ જાતિઓ (Begonia metallica, B. masoniana અને B. serratipetala) Maranta (પ્રેઅર પ્લાન્ટ), Calathea makoyana (પીકૉક પ્લાન્ટ), Codiaeum (ક્રોટોન), અને Coleus (કૉલિયસ) વગેરે બહુવર્ણી પર્ણસમૂહ ધરાવે છે. Pilea cadierci(ઍલ્યુમિનિયમ પ્લાન્ટ)નાં પર્ણો રસાળ અને રૂપેરી છાંટવાળાં હોય છે.
બ્રોમેલિયેસી કુળની જાતિઓ વૃક્ષ કે ખડક ઉપર પરરોહી તરીકે અથવા જંગલની ફરસ ઉપર થાય છે અને ચર્મિલ, અંતર્ગોળ, અનોખા અભિકલ્પવાળાં કે બહુવર્ણી પર્ણોનો ગુચ્છ ધરાવે છે. Neoregelia અને Nidulariumનાં અંદરનાં પર્ણો ચળકતા કિરમજી રંગવાળાં હોય છે. Acchmea અને Guzmaniaની જાતિઓ રંગીન શુકી (spike) કે મુંડક (head) પ્રકારનો પુષ્પવિન્યાસ અને દીર્ઘસ્થાયી ચર્મિલ નિપત્રો (bracts) કે ચમકીલાં અનષ્ઠિલ ફળો ધરાવે છે. Billbergiaની જાતિમાં વાદળી રંગનાં પુષ્પવાળો સુંદર પુષ્પવિન્યાસદંડ હોય છે; જે ઘણી વાર લટકતો હોય છે. Tillandsia અને Vrieseaમાં ભાલાકાર, રંગીન, ચપટી પુષ્પીય શુકી હોય છે. Cryptanthus (અર્થસ્ટાર) વધતે ઓછે અંશે ચપટો, ગુચ્છિત (rosette) આકર્ષક પર્ણીય અભિકલ્પ ધરાવે છે. તે કર્બુરિત (mottled), પટ્ટિત (striped) અથવા લીલા અને તામ્ર વર્ણ ઉપર રૂપેરી રંગના વાઘ જેવા ચટાપટાવાળો હોય છે.

આકૃતિ 6 : કૅલિફૉર્નિયન કૅક્ટસ-ઉદ્યાન રસાળ વનસ્પતિઓ :
રસાળ શોભન-વનસ્પતિઓમાં કૅક્ટસની વિવિધ જાતિઓ જેવી કે Epithelantha (નાનો બટર્ન કૅક્ટસ), Mammillaria (પિનકુશન કૅક્ટસ), Parodia (ટૉમ થમ્બ કૅક્ટસ), Rebutia (પિગ્મી કૅક્ટસ), Gymnocalycium (ચિન કૅક્ટસ), Notocactus (બૉલ કૅક્ટસ), Echinocactus (બેરલ કૅક્ટસ), Opuntia (ફાફડાથોરની જાતિઓ) અને Cephalocereus-(ઑલ્ડમૅન કૅક્ટસ)નો સમાવેશ થાય છે. રાત્રે ખીલતી રણની Cereus અને તેની સંબંધિત કેટલીક પ્રજાતિઓ રણમાં થતા મહાકાય કૅક્ટસ છે; જેમ કે, Carnegiea (સેગ્વારો) 15 મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે.
કૅક્ટસ સિવાયની રસાળ વનસ્પતિઓમાં Euphorbiaની વિવિધ જાતિઓ (વાડથોર, ખરસાણી થોર, ચોધારો કે ત્રિધારો થોર) કૅક્ટસ જેવું જ સ્વરૂપ ધરાવે છે. કુંવારપાઠા(Aloe vera)માં પર્ણો રસાળ હોય છે અને તે ઔષધ તરીકે પણ વપરાય છે. Kalanchoe tomentosa(પેન્ડા પ્લાન્ટ, જખ્મે હયાત)ની જાતિ, Bryophyllum pinnatum (પાનફૂટી) અને Crassula(જેડ પ્લાન્ટ)માં ટપકાંવાળાં પર્ણો હોય છે. Sanseviera કૂંડામાં ઉગાડી શકાય તેવી ટકાઉ વનસ્પતિ છે. જ્યાં અત્યંત ઓછી વનસ્પતિઓ સફળતાપૂર્વક થઈ શકે તેવાં સ્થાનોએ તે સારી રીતે ઊગી શકે છે.
વૃક્ષો :
ડ્રેસીનાની જુદી જુદી જાતિઓ (Dracaena marginata, D. deremensis (વૉર્નકી), D. sanderiana), Pandanus veitchii વગેરે ઘરમાં શોભન-વૃક્ષ તરીકે ઉગાડાતી જાતિઓ છે. કેટલીક ઉપોષ્ણ સદાહરિત જાતિઓ અંત:કક્ષ વનસ્પતિઓ તરીકે ઠંડી આબોહવામાં ઉછેરી શકાય છે; જેમાં Araucaria heterophylla કે A. excelsa (નૉરફોક આઇસલૅંડ પાઇન) સુંદર શંકુદ્રુમ વૃક્ષ છે. તે સ્તરિત શાખાઓ ધરાવે છે અને દીવાનખાનામાં ખૂણાઓમાં આકર્ષક લાગે છે. Podocarpus (સોમ્બર બુદ્ધનો પાઇન) ઘેરા લીલા રંગનાં સોયાકાર પર્ણોના ઘટ્ટ પિરામિડ બનાવે છે.
Brassia actinophylla (ક્વિન્સલૅંડ અમ્બ્રેલા ટ્રી) પહોળાં પર્ણોવાળું કાષ્ઠીય સદાહરિત વૃક્ષ છે. તે પંજાકારે છેદન પામેલાં ચળકતાં લીલાં પર્ણોના વિસ્તૃત મુકુટ ધરાવે છે. Polyscias fruticosa(મિંગ એરાલિયા)માં અમળાયેલાં મખમલી પ્રકાંડ અને હંસરાજ જેવો સુંદર પર્ણસમૂહ હોય છે.
ઘરોમાં અને કાર્યાલયોમાં રબરવૃક્ષ(Ficus elastica)નો ઉપયોગ થાય છે. તેનાં પર્ણોની વૃદ્ધિ માટે સારા પ્રમાણમાં પ્રકાશ જરૂરી છે. આ જાતિનાં પર્ણો પહોળાં હોય છે. તેના સ્વરૂપને કારણે તે વધુ આકર્ષક લાગે છે. F. benjamina, F. retusa અને F. nitida નાનાં પર્ણો ધરાવતી જાતિઓ છે. F. lyrata(F. pandurata)નાં પર્ણો ખૂબ મોટાં અને વીણાકાર હોય છે. Coccoloba (દરિયાઈ દ્રાક્ષ) Ficus સાથે સામ્ય ધરાવે છે. તેનાં ચર્મિલ અને ગોળાકાર પર્ણો કિરમજી રંગની શિરાઓ ધરાવે છે.
ભવ્યતા અને મનોહર સુંદરતાને કારણે કેટલીક તાડની જાતિઓનો અંત:કક્ષ ઉદ્યાનોમાં ઉછેર કરવામાં આવે છે. સ્વર્ગનું તાડ (Howeia, કે Kentia) ઉમદા વનસ્પતિ છે. તેનાં પર્ણો જાડાં અને ચર્મિલ હોય છે. તેનો દેખાવ અત્યંત મનમોહક હોય છે. Chamaedoreaની જાતિઓ પણ ખૂબ મશહૂર છે. તેઓ અંધકારવાળી જગામાં પણ થઈ શકે છે. સોપારી-તાડ (Chrysalidocarpus) પીળું પ્રકાંડ અને ખીચોખીચ ગોઠવાયેલાં પીંછાકાર પર્ણોનો સમૂહ ધરાવે છે. પિગ્મી-ખજૂર(Phoenix roebelenii)નાં પર્ણો સુંદર વળાંકવાળાં અને ઘેરા લીલા રંગનાં હોય છે
હંસરાજ :
હંસરાજ તેનાં સુંદર પીંછાકાર પર્ણોને લઈને વિશિષ્ટ સ્વરૂપ ધરાવે છે. ઘર અને કાર્યાલયમાં ઉગાડાતી તેની વિવિધ જાતિઓમાં સ્વૉર્ડ ફર્ન (Nephrolepis), હોલી ફર્ન (Cyrtomium), લેધર ફર્ન (Rumohra), પક્ષીનો માળો (Asplenium nidus), ઘોડીનો પગ (Polypodium), મેઇડન્સ હેર (Adiantum), Pteris, Pellaea, સ્ટૅગોર્ન ફર્ન (Platycerium) અને તાડનાં જેવાં પર્ણો ધરાવતા Cibotiumનો સમાવેશ થાય છે. શતાવરી(Asparagus)ની વિવિધ જાતિઓ દેખાવે હંસરાજ જેવી હોય છે. Selaginella સ્થળજીવશાલામાં ઉગાડવામાં આવે છે.
લતાઓ અને તલસર્પીઓ (trailers) :
આઇવી (Hedera), Cissus rhombifolia (ગ્રેપ આઇવી), C. antarctica (કાંગારુ લતા) જેવી લતાઓ પણ ઘરને સુશોભિત બનાવે છે. Tradescantia (ઇંચ પ્લાન્ટ), Zebrina (વૉન્ડરિંગ જ્યૂ) સ્પાઇડર પ્લાન્ટ (Chlorophytum કે Anthericum) કૂંડામાં કે ટોપલીઓમાં વાવવામાં આવે છે. તેનાં રિબન જેવાં પર્ણો ગુચ્છ સ્વરૂપે ગોઠવાયેલાં અને અત્યંત આકર્ષક રંગ ધરાવે છે.
સપુષ્પ વનસ્પતિઓ :
મોટાભાગની કૂંડામાં ઉગાડવામાં આવતી સપુષ્પ વનસ્પતિઓ એક ઋતુ પૂરતું જ જીવિત રહે છે. તેઓને વધારે તીવ્રતાવાળો પ્રકાશ, પાણી અને દિવસ-રાતના તાપમાનમાં તફાવત જરૂરી હોય છે. ઘરમાં આ શક્ય નથી. જોકે કેટલીક અપવાદરૂપ સપુષ્પ વનસ્પતિઓ છે; જેમ કે, આફ્રિકન વાયોલેટ (Santpaulia), પાર્લર મૅપલ (Abutilon) બીઝી-લીઝી (Impetians), રોઝ-મેલો (Hibiscus), જિરાનિયમ (Pelargonium) વગેરે સુંદર પુષ્પ આપતી જાતિઓ છે.
પ્રકાશિત બારીઓ પાસે Hippeastrum (Amaryllis), Clivia (કાફિર લીલી), Haemanthus (બ્લડ ફ્લાવર), Neomarica (ઍપોસ્ટલ પ્લાન્ટ), Veltheimia (ફૉરેસ્ટ લીલી) જેવી કંદિલ જાતિઓ ઉગાડવામાં આવે છે.
ઑર્કિડની જાતિઓના ગૃહ-સુશોભન માટે સફળતાપૂર્વકનો ઉછેર કરવો વધારે મુશ્કેલ છે, કારણ કે પ્રકાશ, નિયંત્રિત તાપમાન, પૂરતો ભેજ અને હવાની અવરજવર વગેરે તેની વિશિષ્ટ જરૂરિયાતો છે. જોકે સામાન્ય સંભાળ રાખતાં થઈ શકે તેવી ઑર્કિડની પરરોહી (epiphytic) Epidendrumની જાતિઓ અને Oncidiumની જાતિઓ (બટરફ્લાય ઑર્કિડ) ઘરમાં તૈયાર કરી શકાય છે.
ખાદ્યફળો આપતી દ્વિદલ (double) જાત Begonia semperflorens (રોઝ બીગોનીઆ) બારી પાસે ઉગાડી શકાય છે. કૅલેમોન્ડીન ઑરેન્જ (Citrus mitis), ડ્વાર્ફ ચાઇનિઝ લેમન (C. limon, મેયરી), અમેરિકન-વંડર લૅમન (C. limon ‘Ponderosa’), પૂરતો પ્રકાશ અને હવાની અવરજવર થઈ શકે તેમ હોય તો તેઓને ઘરમાં સફળતાપૂર્વક ઉગાડી શકાય છે. જો પૂરતી જગા હોય તો અંજીર (Ficus carica), ચાઇનિઝ ડ્વાર્ફ બનાના (Musa nana), ડ્વાર્ફ પૉમેગ્રેનેટ (Punica granata nana) અને પાઇનેપલ (Ananas comosus) અને કૉફી(Coffea arabica)નો ઉછેર કરવામાં આવે છે.
ઉદ્યાનના વિકાસ માટેની જરૂરિયાતો :
મૃદા (soil) :
બધી જ વનસ્પતિઓના ઉછેરમાં મૃદા એક પાયાનું પરિબળ છે; છતાં કેટલાક વિશિષ્ટ કિસ્સાઓમાં યોગ્ય રસાયણોવાળાં પાણી, કાંકરાઓ, કે રેતીમાં છોડને સફળતાપૂર્વક ઉગાડી શકાય છે.
માટી અને રેતીના મિશ્રણવાળી મધ્યમ ગોરાડુ મૃદા ઉદ્યાન માટે આદર્શ ગણાય છે. તે પૂરતા પ્રમાણમાં પાંસુક (humus) ધરાવતી હોવી જરૂરી છે. તે સરળતાથી ખોદી શકાય તેવી હોવી જોઈએ અને જ્યારે શુષ્ક બને ત્યારે તે ઢેફા વિનાની રહેવી જોઈએ. મૃદાની ઘટ્ટતા (consistency) મહત્વની છે, કારણ કે છિદ્રાળુ અને યોગ્ય રીતે ખેડેલી મૃદાને લીધે મૂળ સરળતાથી અને ઝડપથી ઊંડે પ્રવેશી શકે છે. બીજું મૃદાનું મહત્ત્વનું પરિબળ અમ્લીયતા કે ઍલ્કલીયતા છે; જે સામાન્યત: pH આંક દ્વારા દર્શાવાય છે. 7થી ઓછો pH આંક હોય તો મૃદા અમ્લીય અને 7થી વધારે pH આંક હોય તો ઍલ્કલી ગણાય છે. મૃદાની ઍલ્કલીયતા મુક્ત કૅલ્શિયમ કાર્બોનેટ કે તેના જેવા ઍલ્કલી ક્ષારને કારણે ઉત્પન્ન થાય છે.
પોષણ : ફળદ્રૂપન : જલસિંચન :
વનસ્પતિની વૃદ્ધિ માટે જરૂરી તત્ત્વોનો પૂરતો પુરવઠો અને મૂળ રોમો દ્વારા આ તત્વોને દ્રવણીય સ્થિતિમાં સહેલાઈથી શોષી શકાય તેટલા પાણીનો જથ્થો પ્રાપ્ય બને તો મહત્તમ લાભ મેળવી શકાય. નાઇટ્રોજન, સલ્ફર પોટૅશિયમ અને ફૉસ્ફરસ વનસ્પતિ દ્વારા ક્ષારોના સ્વરૂપમાં શોષવામાં આવે છે. મૅગ્નેશિયમ, લોહ, મૅંગેનીઝ, તાંબું, જસત, બોરોન, મોલિબ્ડેનમ, સોડિયમ, ક્લોરિન વગેરે અત્યંત અલ્પ જથ્થામાં જરૂરી તત્વો છે.
ફાર્મયાર્ડ ખાતર કે મિશ્ર ખાતર દ્વારા મોટાભાગની ઉપર્યુક્ત જરૂરિયાતો પૂરી પડે છે. આ ખાતરોની જોકે ઘણી વાર અછત હોય છે અને ઘણા વિસ્તારોમાં ખર્ચાળ પણ હોય છે, તેથી ખનિજ-ખાતરો અને કાર્બનિક ખાતરોનો ઉપયોગ જરૂરી બને છે. મૃદાની ફળદ્રૂપતા ઉપર ઘણાં આંતરસંબંધિત પરિબળો કાર્ય કરતાં હોવાથી ચોક્કસ પ્રકારના પાકની જરૂરિયાતો અને મૃદાની ન્યૂનતાઓને આધારે જુદાં જુદાં ખાતરો યોગ્ય પ્રમાણમાં અને સંતુલનમાં આપવાં જોઈએ. જુદા જુદા પાકોની ખાતરોની જરૂરિયાત જુદી જુદી હોય છે. મિશ્ર ખાતરો અને શાકભાજીના કચરામાંથી કોહવાટ પામતું કાર્બનિક દ્રવ્ય મૃદાને પોષક તત્વો અને પાંસુક પૂરાં પાડે છે.
મોટાભાગના સમશીતોષ્ણ દેશોમાં ખાતરો પાનખર ઋતુમાં આપવામાં આવે છે, છતાં અપતૃણ-નિયંત્રણ (weed control) માટે વસંતઋતુમાં તેનો ઘાસપાત-છાદન (multch) તરીકે પણ ઉપયોગ થાય છે. પાનખર ઋતુમાં આ ઘાસપાત-છાદન ખોદીને મૃદા સાથે મિશ્ર કરવામાં આવે છે.
નવી ઉગાડેલી વનસ્પતિઓનું અને શુષ્કતા દરમિયાન બધી જ વનસ્પતિઓનું જલસિંચન ઉદ્યાનવિદ્યાનું અનિવાર્ય કાર્ય ગણાય છે. મૃદાની સપાટી ઉપરના જલ-છંટકાવ કરતાં ઊંડા અને પૂર્ણ જલસિંચન દ્વારા વનસ્પતિની વૃદ્ધિના દરમાં ઘણો સુધારો થઈ શકે છે. પાણી દ્વારા ખનિજો દ્રાવ્યસ્થિતિમાં વનસ્પતિને પ્રાપ્ય બને છે. અઠવાડિયામાં એક વાર 2.5 સેમી. જેટલા આપવામાં આવેલા પાણીનું મૃદામાં લગભગ 15 સેમી. જેટલું સ્રવણ (percolation) થાય છે. ઉદ્યાનની ઘણી શાકીય વનસ્પતિઓ માટે આ લઘુતમ નિર્વાહ(subsistence)-જથ્થો છે. નાનાં વૃક્ષો અને ક્ષુપને આનાથી વધારે પાણીના જથ્થાની જરૂરિયાત હોય છે. અઠવાડિયામાં એક વાર પૂર્ણ અને ઊંડા જલસિંચનથી વનસ્પતિઓનાં મૂળ મૃદામાં ઊંડે સુધી જાય છે. તેથી શુષ્ક સપાટીવાળી પરિસ્થિતિમાં તેઓ તેમનું અસ્તિત્વ ટકાવી શકે છે.
રક્ષણ :
ઘણીખરી વનસ્પતિઓમાં નીચું તાપમાન સહન કરવાની ચોક્કસ ક્ષમતા હોય છે. આ નિશ્ચિત સહિષ્ણુતા (tolerance) આંકથી નીચા તાપમાને તેઓ મૃત્યુ પામે છે. ઘણી ઉષ્ણ અને ઉપોષ્ણકટિબંધીય વનસ્પતિઓ હિમ-સંવેદી (frost-sensitive) હોય છે અને 0o સે. તાપમાને મૃત્યુ પામે છે. અન્ય કેટલીક જાતિઓ અર્ધ-સહિષ્ણુ (half-hardy) હોય છે અને હિમનું નિશ્ચિત આંકનું ઠંડું તાપમાન સહન કરી શકે છે. જોકે ઉદ્યાનની ઘણીખરી શ્રેષ્ઠ વનસ્પતિઓ પૂર્ણ સહિષ્ણુ હોય છે અને ગમે તેટલું નીચું તાપમાન તેઓ સહી શકે છે. વનસ્પતિની ઠંડી માટેની સહનશક્તિનો આધાર નિરાચ્છાદન (exposure) સમયની તેની વૃદ્ધિની અવસ્થા ઉપર રહેલો છે. પ્રસુપ્ત (dormant) વનસ્પતિ સક્રિય વૃદ્ધિના તબક્કામાં રહેલી વનસ્પતિ કરતાં ઘણું નીચું તાપમાન સહન કરી શકે છે. શુષ્ક મૃદામાં થતી વનસ્પતિ ભેજયુક્ત મૃદામાં થતી વનસ્પતિ કરતાં વધારે નીચા તાપમાને પણ ટકી શકે છે. ઘણી વનસ્પતિઓ શિયાળાની પરિસ્થિતિ માટે અનુકૂલન સાધે છે. એકવર્ષાયુઓ શિયાળા પહેલાં બીજ ઉત્પન્ન કરે છે. કંદિલ વનસ્પતિઓ તેમના ભૂમિગત અંગમાં ખોરાક સંગ્રહ કરે છે.
રક્ષણ માટેનો સૌથી સરળ ઉપાય આવરણ રચવાનો છે, જેથી તેની આસપાસની હવા હૂંફાળી રહે. શિયાળામાં ઘાસપાત છાદન કરવામાં આવે છે અથવા છોડની આસપાસ ગુણપાટ મૂકવામાં આવે છે. છેલ્લી પદ્ધતિ પર્ણપાતી અને પ્રસુપ્ત અવસ્થા ગાળતી વનસ્પતિઓ માટે ઉપયોગી છે. સદાહરિત વનસ્પતિઓ માટે આ પદ્ધતિ અનુકૂળ નથી.

આકૃતિ 7 : વનસ્પતિ-ઉછેર માટે મૃદા તૈયાર કરવાની પદ્ધતિ : (અ) ઘાસ અને અન્ય વનસ્પતિઓ કોદાળી કે પાવડા દ્વારા દૂર કરવી; (આ) કોદાળી કે પાવડાની મદદથી ઉદ્યાનની મૃદા લગભગ 20 સેમી.થી 30 સેમી.ની ઊંડાઈ સુધી ખોદવી; (ઇ) મૃદાનાં મોટાં ઢેફાં તોડી ઉપર-તળે કરીને તેમાં મૃદાની સુધારણા માટે જરૂરી દ્રવ્યો સમાંગ રીતે મિશ્ર કરવાં; (ઈ) વનસ્પતિ ઉગાડતાં પહેલાં મૃદાને ખંપાળી (rake) વડે, તે બારીક અને લીસી ન બને ત્યાં સુધી સરખી કરવી. નાજુક વનસ્પતિઓ માટે હરિતગૃહો (greenhouses) કે બહિષ્કક્ષ ચોકઠાં (frames) વધારાનું રક્ષણ આપે છે. હરિતગૃહોને તાપસ્થાયી(thermostat)ની મદદ વડે ઉષ્મા આપી તેમના તાપમાનનું નિયંત્રણ કરી શકાય છે. આમ, સમશીતોષ્ણ પ્રદેશોમાં ઑર્કિડ અને અન્ય ઉષ્ણકટિબંધીય વનસ્પતિઓને ઉગાડી શકાય છે, અને તેઓ સમગ્ર શિયાળા દરમિયાન પુષ્પનિર્માણ કરે છે. કેટલીક જાતિઓને વધારે તાપમાન આપી તેમનું સામાન્ય ઋતુ પૂર્વે પુષ્પનિર્માણ ઉત્તેજી શકાય છે.
હરિતગૃહોના ચાર પ્રકારો છે. તે પૈકી બે પ્રકાર શીતગૃહોના છે. પ્રથમ પ્રકારના શીતગૃહને પૂરક ઉષ્મા આપવામાં આવતી નથી. આવું શીતગૃહ ઉચ્ચ પર્વતીય (alpine) અને કૂંડામાં ઉગાડવામાં આવતી કંદિલ વનસ્પતિઓ માટે અનુકૂળ છે, જે હિમની ઠંડીથી મૃત્યુ પામતી નથી. તે તેની પવનરહિત સ્થિતિને લીધે અને સૂર્ય દ્વારા પ્રાપ્ત થતી ગરમીથી બહારના વાતાવરણ કરતાં વધારે ગરમ રહે છે. બીજા પ્રકારના શીતગૃહમાં લઘુતમ તાપમાન 7o સે. રાખવામાં આવે છે. મોટાભાગનાં હરિતગૃહો આ પ્રકારનાં હોય છે અને મોટાભાગની વનસ્પતિઓ તેમાં ઉગાડી શકાય છે. ત્રીજા પ્રકારનાં હરિતગૃહો મધ્યવર્તી (intermediate) હોય છે અને તેનું લઘુતમ તાપમાન 16o સે. રાખવામાં આવે છે, જે વિવિધ પ્રકારના ઑર્કિડ ઉગાડવા માટે યોગ્ય ગણાય છે. ચોથા પ્રકારના હરિતગૃહને ઉષ્ણગૃહ (hot house) કહે છે. તેનું તાપમાન 16o સે.થી વધારે રાખવામાં આવે છે. એન્થુરિયમ અને કૅટ્લેયા જેવી ઉષ્ણકટિબંધીય વનસ્પતિઓ તેમાં ઉછેરવામાં આવે છે.
કૃંતન (pruning) :
કૃંતન દ્વારા વનસ્પતિને ઇચ્છિત આકાર આપી તેનું કદ જાળવી શકાય છે. તે ઉદ્યાનકૃષિની સૌથી મહત્વની કલાઓ પૈકીમાંની એક ગણાય છે. ક્ષુપો અને વૃક્ષોની કુદરતી રીતે વૃદ્ધિ થવા દેવામાં આવે તો ઉદ્યાનમાં તેઓ વધારે પડતી જગા રોકે છે. ઉપરાંત વધારે વૃદ્ધિથી તેમનાં કદ અને આકાર અનિયમિત બને છે. જ્યારે શાખા કે પ્રરોહને કાપવામાં આવે છે ત્યારે કાપની નીચેથી ઘણા તરુણ પ્રરોહો ઉત્પન્ન થાય છે અને જૂની શાખાઓ કરતાં વધારે પ્રમાણમાં પુષ્પનિર્માણ થાય છે. ફળ-વૃક્ષોનું પ્રતિ વર્ષ કૃંતન કરતાં ફળોની ગુણવત્તા અને કદમાં વધારો થાય છે. તેઓ રોગમુક્ત હોય છે અને વધારે આકર્ષક રંગ ધરાવે છે. ઘણા ક્ષુપોની બધી જ નબળી કે મૃત શાખાઓનું કૃંતન કરતાં અને પ્રત્યેક શિયાળામાં તેની મજબૂત શાખાઓ ટૂંકી કરતાં તેમને લાભ થાય છે. કઠોર કૃંતન (hard pruning) દ્વારા પ્રરોહના તલપ્રદેશનો માત્ર કેટલાક સેમી.નો ભાગ રાખી ઉપરનો ભાગ કાપી નાખવામાં આવતાં ઓછાં પુષ્પો ઉત્પન્ન કરતા ક્ષુપનો કાયાકલ્પ (rejuvenation) થાય છે. વનસ્પતિ તરુણ હોય ત્યારથી તેનું કૃંતન કરવાથી મોટા, જૂના કે વિકૃત વૃક્ષ કે ઝાડવાનું ઉગ્ર અને જોખમી કૃંતન કરવું પડતું નથી.
કૃંતનનાં સાધનો અણીદાર રાખવાં જોઈએ, જેથી સારી રીતે કાપ મૂકી શકાય અને રોગજન(pathogen)નો ચેપ ઘટાડી શકાય. કાપેલી મોટી શાખાઓને પરિરક્ષક (preservate) મિશ્ર કરી રંગવામાં આવે છે.
પ્રસર્જન (propagation) :
નવી વનસ્પતિઓનું પ્રસર્જન બીજ દ્વારા થાય છે. આ કિસ્સામાં સંતતિઓમાં કેટલીક વિભિન્નતાઓ ઉદભવવાની શક્યતા રહેલી હોય છે. વનસ્પતિઓમાં વિભાજન, કટકારોપણ, કલમરોપણ (grafting), કલિકારોપણ (budding) કે દાબ (layering) દ્વારા કૃત્રિમ પ્રસર્જન પણ થઈ શકે છે. આ કિસ્સાઓમાં સંતતિઓમાં વિભિન્નતાઓ સર્જાતી નથી. આવા વનસ્પતિઓના સમૂહને સમજાતક (clone) કહે છે. ઘણી વાર ધાન્ય અને એકવર્ષાયુઓના બીજના સતત પ્રજનન અને નીંદણ (weeding) દ્વારા નિર્ભેળ અંશુઓનો પ્રવેશ શક્ય બને છે, જેઓ વાસ્તવિક રીતે પરસ્પર પ્રજનન કરી શકે છે અને અવગમ્ય (perceptible) વિભિન્નતારહિત હોય છે. છતાં તેઓ કેટલીક જનીનિક વિભિન્નતાઓ ધરાવે છે.
મોટાભાગની શાકભાજીઓ અને સહિષ્ણુ એકવર્ષાયુઓનાં બીજ સામાન્ય રીતે ખુલ્લી જમીનમાં વસંતઋતુમાં વાવવામાં આવે છે. અર્ધસહિષ્ણુ એકવર્ષાયુ વનસ્પતિઓનાં બીજ અંત:કક્ષમાં પાત્રમાં કે કૂંડામાં ઉગાડવામાં આવે છે. ઉચ્ચ પર્વતીય અને અન્ય શીત-અનુકૂલિત (cold-adapted) વનસ્પતિઓનાં બીજને અંકુરણ પૂર્વે શીત-ચિકિત્સા આપવામાં આવે છે.

આકૃતિ 8 : પ્રસર્જનની કૃત્રિમ પદ્ધતિઓ : (અ) દાબ, (આ) ગૂટી, (ઇ) યોજી કલમ-બંધન (inarching), (ઈ) કલિકારોપણ, (ઉ) જીભી કલમ (tongue grafting), (ઊ) ફાચર (wedge) કલમ, (ઋ) શિખર (crown) કલમ ઘણા ક્ષુપ માટે કટકારોપણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. મોટાભાગના કિસ્સાઓમાં મધ્ય-ગ્રીષ્મ દરમિયાન કટકારોપણ થાય છે; છતાં કાષ્ઠના પરિપક્વનની અવસ્થાને આધારે ઋતુ નક્કી કરી શકાય છે. ચાલુ ઋતુના તરુણ પ્રરોહો ઝડપથી મૂળ ઉત્પન્ન કરે છે. ગુલાબનું પ્રસર્જન કલિકા-રોપણ દ્વારા કરવામાં આવે છે. ફળ-વૃક્ષોનું પ્રસર્જન રોપણ દ્વારા થાય છે. મોગરો (Jasminum) અને અન્ય શોભન-જાતિઓમાં દાબ દ્વારા પ્રસર્જન કરવામાં આવે છે.
અપતૃણોનું નિયંત્રણ :
કૃષિનું આ એક ખૂબ મહેનતવાળું પરિબળ છે અને રખડુ આદિમાનવ જ્યારે સ્થાયી બન્યો અને કૃષિજીવન શરૂ કર્યું તે સમયથી માનવ આ પરિબળનો જાણકાર છે. પસંદગીના પાકોને અન્ય વનસ્પતિઓ સાથેની સ્પર્ધાથી મુક્ત રાખવા આવશ્યક છે. નાનાં અપતૃણોને ગોડવા(hoeing)માં આવે છે. તેમને કોદાળી વડે ખોદીને જમીન પર સૂકવવામાં આવે છે. શૈલોદ્યાનમાં શાકીય સીમામાં કે એકવર્ષાયુઓમાં આવેલાં અપતૃણોને વ્યક્તિગત રીતે ખેંચી કાઢવામાં આવે છે. તેને હસ્ત-અપતૃણન (hand weeding) કહે છે. બીજા વિશ્વયુદ્ધ પછી અપતૃણોના રાસાયણિક અને જૈવિક નિયંત્રણનો વિકાસ થયો છે.
જંતુઓ અને રોગોનું નિયંત્રણ :
વનસ્પતિઓને કીટકો, ઇતરડી, સૂત્રકૃમિ (eelworm) અને અન્ય નાનાં પ્રાણીઓ દ્વારા તેમજ હરણ, સસલાં અને ઉંદરો દ્વારા નુકસાન થાય છે. ફૂગ, બૅક્ટેરિયા અને વાઇરસ દ્વારા વનસ્પતિઓને અનેક પ્રકારના રોગો થાય છે.
રોગની ચિકિત્સા કરતાં રોગ-નિરોધ વધારે સારો છે. જંતુઓની વૃદ્ધિ અને રોગના પ્રસારને અટકાવવા સતત તકેદારી રાખવી જરૂરી છે. રોગનું નિયંત્રણ રસાયણોના છંટકાવ, પ્રકીર્ણન (dusting) અને ધૂમન (fumigation) દ્વારા થઈ શકે છે; પરંતુ કેટલાંક રસાયણો એટલાં શક્તિશાળી હોય છે કે જંતુઓ, ફૂગ, બૅક્ટેરિયા અને વાઇરસની સાથે સાથે પાકને પણ નુકસાન કરતાં હોય છે. તેથી તેનો ઉપયોગ યોગ્ય સમજપૂર્વક થવો આવશ્યક છે. ખાસ કરીને હાઇડ્રૉકાર્બન જેવાં ઝેરી રસાયણોનો અતિશય ઉપયોગ થતાં આહાર શૃંખલા ઉપર લાંબા સમયની હાનિકારક અસરો થાય છે. રોગનું કેટલેક અંશે સ્વચ્છતા દ્વારા પણ નિયંત્રણ થાય છે. બધા જ મૃત અને રોગિષ્ઠ અવશેષોને બાળી નાખવામાં આવે છે. કૃંતન અને વિરલન (thinning) દ્વારા હવાનું પૂરતું અભિસરણ થાય છે. પાકની ફેરબદલી દ્વારા પણ રોગનું નિયંત્રણ થાય છે. કેટલુંક નિયંત્રણ જૈવિક-ભક્ષકો (biological predators) વડે પણ થાય છે. કેટલીક જંતુ અને રોગ-અવરોધક જાતિઓનો સંકરણ દ્વારા વિકાસ કરવામાં આવ્યો છે, જે રોગનિયંત્રણનો સર્વશ્રેષ્ઠ ઉપાય ગણાય છે.
સંપાદકીય નોંધ:
૧. અહીં મૂકેલ તસવીર માત્ર સાંદર્ભિક પરિપ્રેક્ષ્ય માટે ઉમેરી છે.
૨. ગુજરાતી વિશ્વકોશમાં આવરી લેવાયેલ ૧૬૯ વિષયોમાં વિસ્તરેલાં અધિકરણૉમાંથી ચૂંટેલાં અધિકરણો વેબ ગુર્જરી પર રજૂ કરવાના ઉપક્રમના ભાગ રૂપે આ લેખ ‘બાગ-બગીચા – Gardening’ વિષયમાંથી પસંદ કરેલ છે.
૩. આ માહિતી અહીં માત્ર વાચકોની જાણ માટે જ છે. તેનો આગળ ઉપયોગ કરતાં પહેલાં એ બાબતની ખાસ નોંધ લેવી ઘટે કે વિશ્વકોશનાં તમામ અધિકરણોના કોપીરાઈટ/માલિકીહક્ક ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના છે. એટલે એ લખાણો કે અધિકરણોનો ઉપયોગ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની પરવાનગી સહિત જ કરવો આવશ્યક છે. તે ઉપરાંત ‘આ લખાણ કે અધિકરણના કોપીરાઈટ/માલિકીહક્ક ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના છે’ તે મતલબનું લખાણ હોવું આવશ્યક છે.
-
બિહાઈન્ડ ધ ટાઈમ્સ – પરદા પાછળનાં પાત્રોની માર્મિક યાદોઃ બચી કરકરિયાની નજરે : [૮]
નરેશ પ્ર. માંકડ
મણકો [૭]થી આગળ
ટાઈમ્સ ગ્રૂપ અને જૈન પરિવાર
રામકૃષ્ણ દાલમીઆના જમાઈ હોવાને નાતે સાહુ (શાન્તિ પ્રસાદ) જૈન બેનેટ કોલમૅન એન્ડ કંપની લિ. ના મુખ્ય શેરહૉલ્ડર બન્યા. તેમના પુત્ર અશોક જૈને ૧૯૬૦થી લઈને તેમના અવસાન પર્યંત ટાઈમ્સની બાગડોર સંભાળી હતી. અશોક જૈનના ૧૯૯માં અવસાન પછી ટાઈમ્સનાં મુખ્ય શેરહૉલ્ડર તરીકે જૈન પરિવારની ધુરા ઇન્દુ જૈને સંભાળી.
ઇન્દુ જૈન – જ્યારે એક સ્ત્રી ચેરમેન બની
ચમકતા ચહેરાવાળા ઇન્દુ જૈન એના પતિ અશોક જૈનના અવસાન પછી ૧૯૯૯ માં ચેરમેન બન્યાં. મેનેજર અને તંત્રીઓએ વધુ એક પારદ સમાન વ્યક્તિગત લાક્ષણિકતાઓને અનુકૂળ થવા પ્રયત્ન કરવા પડ્યા. ઇન્દુ જૈન પ્રકાશનોને વધુ નરમ, માયાળુ અને ખુશહાલ બનાવવા માગતાં હતાં. એમણે નકારાત્મક વાતોને છાપવા પર પ્રતિબંધ મૂક્યો. સમય જતાં આમાંથી આફતોના રોજિંદા ડોઝમાંથી એક સકારાત્મક અભિગમ બહાર આવ્યો. પર્યાવરણ શાંતિ કેળવણી અને લોકોની સહભાગીતા પર તેમણે ભાર મૂક્યો અને લોકશક્તિને સરકાર અને મ્યુનિસિપલ નિર્ણયોમાં ભાગીદાર બનાવવા પ્રયત્ન કર્યા.ટાઈમ્સ ફાઉન્ડેશન તેમનું માનસ બાળક છે. મુંબઈમાં ટાઈમ્સના બિલ્ડિંગમાં એક જગ્યા રેકીથી માંડીને ઋગ્વેદ સુધીના વર્ગો ચલાવવા માટે ફાળવવામાં આવી. દિલ્હીમાં નંદિતા અવસાન પછી તિલક માર્ગ પર આવેલો લુટેન્સ બંગલો આખો આવી સેવાઓ માટે રાખવામાં આવ્યો.
બચી કહે છે, “Yes, like Maggi, Indu Mata is different. And, yes, she can be saucy too.”
ઈન્દુ જૈનનાં ત્રણ સંતાનો હતાં, સમીર, વિનીત અને નંદિતા.
નંદિતા જૈન
સ્વર્ગીય નંદિતા જૈન ઉત્સાહી, સમર્પિત અને માનવતાવાદી હતાં અને એમના વડીલ બંધુ સમીરની જેમ ખૂબ જ ઉદાર હતાં. એમના લગ્ન વખતે ૪, તિલક માર્ગ પર આવેલો બંગલો એને આપવામાં આવેલો જેને એમણે પોતાની ડિઝાઇનની સમજ અને પોતાના કલાના સંગ્રહથી સજાવ્યો.એ પહેલાં ઇકોનોમિક ટાઇમ્સની ૨૫મી એનિવર્સરીની પાર્ટી ત્યાં યોજવામાં આવી હતી. ત્યાં જૂની ઘસાયેલી લોન પર બુલડોઝર ફેરવી, સમથળ કરીને ૧×૧ ફૂટના ઘાસના ચોરસ પથરાવ્યાં. ET ના પિંક પેપર જેવો રંગ કરવા માટે વૃક્ષોથી ઘેરાયેલ વિસ્તારમાં વૃક્ષોને ક્રેપ રિબન વીંટાળી ને પેપર લગાડેલી સ્પોટલાઇટ મૂકી. ગુલાબી દમાસ્ક નેપકીન મૂકવામાં આવ્યા સનેગુલબી શેમ્પેઇન સર્વ કરવામાં આવ્યો. આ સુંદર સજાવટની મહિનાઓ સુધી વાતો થતી રહી.
નંદિતા કામ પૂર્ણરીતે સંકળાયેલી રહ્યાં. તેણે પ્રેમ, ઉત્સાહ અને કલ્પનાથી ઉજવણીના કાર્યક્રમો આખું વર્ષ યોજ્યા. તે એક મિત્ર જેવાં બૉસ હતાં. પોતાની ટીમને નિયમિત રીતે બપોરના અને સાંજના ભોજન માટે બહાર લઈ જતાં અને પોતાના ભાઈઓથી વિપરીત, એ પોતાને તેના પ્રથમ નામથી સંબોધિત થવાનું પસંદ કરતાં. આર્ટ તેનું સૌથી મોટું વળગણ હતું. તેણે ૧૫૦ વર્ષની ઉજવણીના આરંભમાં તેને યોજેલું Timeless Art અદભુત હતું. તેની દેખરેખનું કામ પ્રખ્યાત કલાકાર મનજીત બાવાનું હતું. મુંબઈમાં નંદી તેમનો જમણો હાથ હતાઅને દિલ્હીમાં સબિના સેહગલ, સૈકિયા તથા શિખા ત્રિવેદીએ તેમને સાથ આપ્યો. ૨૦૦૮માં ૨૬/૧૧ના તાજ મહાલ હોટેલ પરના આતંકવાદી હુમલામાં સબિનાનું હજી એની ચાલીસીમા જ નિધન થયું.
૨૦૦૧માં નંદિતા જૈન અને અન્ય સાત વ્યક્તિઓને લઈ જતું હેલિકોપ્ટર અરૂણાચલના જંગલમાં તૂટી પડવાથી તેઓ મરણ પામ્યાં. નંદિતાની જીવંત તસવીર વિનીતની દિલ્હી ઓફિસમાં મૂકેલી છે. જૈનોનો મૃત્યુ તરફનો બધો સમભાવ આ આઘાતને હળવો નથી બનાવી શક્યો.
સમીર જૈન – ટાઈમ્સના વી.સી અને એમ.ડી.
ટાઈમ્સની પરંપરા સિનિયર મેનેજર અંદરથી જ ઊભા કરવાની હતી. સતીષ મહેતા અને રામલક્ષ્મણ બંને આઇ.ટી.સી.ના સિગરેટ અને હોટેલ વિભાગમાંથી લાવવામાં આવ્યા હતા, પણ મોટાભાગના લોકો અંદરથી જ પ્રમોશન મેળવીને આગળ આવ્યા હતા, જેમ કે પી.આર કૃષ્ણમૂર્તિ પર્સનલ સેક્રેટરીમાંથી જનરલ મેનેજર બન્યા હતા. પછી આવેલી પેઢી જુદી રીતે વિચારતી હતી, એટલે સમીર અને વિનીત જૈન એ બંને ભાઈઓએ મલ્ટીનેશનલ કોર્પોરેશન (એમ એન સી)માંથી અધિકારીઓ પસંદ કરવાનું શરૂ કર્યું. પેપ્સીકોના ઉચ્ચ હોદ્દા પરથી રવિ ધારીવાલ અને મહેન્દ્ર સ્વરૂપ ને ટાઇમ્સમાં લાવવામાં આવ્યા.
સ્વરૂપને પહેલી જ મુલાકાતથી ખ્યાલ આવી ગયો કે તેમણે આ બે જૈન ભાઈઓ માટે કામ કરવાનું છે બેનેટ માટે નહીં. લગભગ આવો જ અનુભવ ધારીવાલને પણ થયો.
એમ એન સી અને વીસીની સ્ટાઈલમાં તફાવત ડાઇનિંગ ટેબલનો હતો એવો સ્વરૂપને ખ્યાલ આવી ગયો. સ્વરૂપે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ એ સમીર જૈન (વીસી – Vice Chairman) એમને કહેતા અને પોતે જ એમને પીરસતા પણ. ક્યારેક તેઓ સ્વરૂપના ઘરે પહોંચી જતા, પાછળ એમનો ડ્રાઇવર મોટું હોટ કેસરૉલ લઈને ચાલતો હોય. પછી તેઓ કહે, ” મહેન્દ્રજી, આજ આપકી ફેવરિટ કઢી બનાઈથી.”
રવિ ધારીવાલને યુનીલિવરનો અનુભવ હતો, જ્યાં કાળજીપૂર્વક દસ્તાવેજીકરણ થતું અને નાણાકીય નિયમોને અનુસરવામાં આવતા. અહીં તો બિઝનેસ સહજવૃત્તિ (instinct) થી ચાલતો હતો અને કોઈને કંઈ ફરિયાદ ન હતી. પ્રદીપ ગૂહા, અરુણ અરોરા, વિજય જિંદાલ, રવિ ધારીવાલ, રાહુલ કૌશલ, આ બધી જ તદ્દન એકબીજાથી અલગ વ્યક્તિઓ હતી. આ કંપની બહુ અલગ છે. બીજી જગ્યાએ એજન્ડા હોય છે, એની ચર્ચા કરીને બધા પોતાના કામમાં વ્યસ્ત થઈ જાય છે. અહીં તો લીડરશીપના દરબારમાં વીસી પોતાનું મુક્ત ભાષણ આપે છે અને બીજાઓ પોતાના અલગ મત વ્યક્ત કરે છે જે વીસીને ગમે છે પણ એ સ્વીકારે તો પસંદ કરેલા માણસોના જ અભિપ્રાયો.
રવિ ધારીવાલ માને છે કે કોઈ માનીતો કર્મચારી ટાઈમ્સ છોડીને જાય એના જેવું દુઃખ બંને ભાઈઓને માટે, ખાસ તો સમીરને, બીજું કંઈ નથી. જનારો સામાન્ય રીતે પાછો ફરે છે – જેમ બચી કરકરીયા ત્રણ વાર પાછાં આવ્યાં.
વીસી (VC) સમીર એની ઓફિસમાંથી નીકળીને ક્યારેક એડિટ કે રિસ્પોન્સ ડિપાર્ટમેન્ટમાંપ્રગટ થાય. હવે એની હાજરીથી થતું ટેન્શન હળવું થયું છે, પહેલાના સમયમાં તો એ અચાનક જતા ન રહે ત્યાં સુધી બધા ચિંતાથી થીજી જતા. હવે તે પત્રકારોની સંગતમાં ઘણા કલાકો ગળે છે, એમની બુદ્ધિશક્તિનો આનંદ લ્યે છે અને કેટલાક પ્રત્યે વિશેષ લાગણી ધરાવે છે. નાનો ભાઈ વિનીત એડિટ પેજના અસ્તિત્વ પણ માન્ય નથી કરતો, જ્યારે મોટા ભાઈ તેના પર અતિ ભારે ધ્યાન આપે છે. કોઈ લાઈન અમુક રીતે શા માટે લખાઈ છે તેના પર કલાકો સુધી સમીર વિચાર અને વિશ્લેષણ કરે છે. એક કોલમ લેખક સમીરને તેની એક વાક્યરચના ટાંકતા સાંભળીને ડઘાઈ ગયો હતો. હાસ્યરસના લેખો પર અન્ય કોઇ મીડિયાના માલિકે તેના જેટલું ઊંડાણપૂર્વક અને વિચારપૂર્વક ધ્યાન નથી આપ્યું.૧૯૯૬માં ચેરમેન અશોક જૈને એક કોલમની લેખિકાને બોલાવીને બેંગલોર આવૃત્તિની એમ. વી. કામઠે કરેલી આડંબરી ટીકા વિશે કટાક્ષપૂર્ણ ખંડન કરવા માટે રાજીપો વ્યક્ત કર્યો. ચેરમેને કબૂલ કર્યું કે હાસ્યરસના લખાણ વિશે સમીરે મને સમજાવ્યું એ પહેલાં તેઓ એને બિલકુલ નકામું ગણતા હતા. સમીર સામે ટકી રહેવા માટે અખબારે ભજવવાના ઘણા રોલના બિનપરંરાગત ખ્યાલને સમજવો પડે. તાતાની અસરકારક ટેગ લાઈન ” We also make steel” ની જેમ સમાચાર પૂરા પડવા નું કામ તો માત્ર આનુષંગિક છે, મૂળ મહત્વનું કાર્ય તો ટાઈમ્સનાં વાચકોને બદલાતાં વલણો સમજ વાં અને એ રમતમાં આગળ રહેવા માટે મદદરૂપ થવામાં વધુ મોટો અને ઊંડો ભાગ ભજવવાનું છે.
બચી બહુ સરસ રીતે કહે છે, “આ સંભાળપૂર્વક કેળવેલી મેનેજમેન્ટ સ્ટાઈલ છે – કૈંક નિકોલો મેકિયાવેલી, કંઇક ચાણક્ય, કંઇક માઈકલ ડી મોન્ટેઇન અને સંપૂર્ણતઃ સમીર જૈન. In VC, being mercurial is not a chance genetic trait; it is a dispassionately devised and copyrighted strategy.”
વીસી (Vice Chairman)નો એકે એક શબ્દ જેમને તેનો અમલ કરવાનો છે એમના સુધી જંગલમાં નગારાઓના સાદ વડે પહોંચાડાતા સંદેશની જેમ પહોંચી જતો. ‘ સહકર્મીઓ ‘ માટે તો એ મુશ્કેલ વિચિત્ર માણસ ખોપરીની ગુફામાં વસતા ફેન્ટમ જેમ મહોરું પહેરેલ વ્યક્તિ જ છે. સહકર્મી (colleague) શબ્દ પણ HR એજન્ડા માટે જ છે, એ વાસ્તવમાં સમાવેશક નથી એ સહુ જાણે છે. એમના માટે બોડી લેન્ગવેજ અગત્યની બાબત છે. મીટીંગ કે મુલાકાતમાં એમની સામે દિલીપ પડગાંઓકર પણ ક્યારેય પગ ક્રોસ કરીને ન બેસતા. કોઈના બૂટના તળિયાં એમની સામે રહે એ પણ સ્વીકાર્ય નહોતું. એક વખત એમની મીટીંગ એટલી મિત્રાચારીપૂર્ણ અને અનૌપચારિક રીતે ચાલતી હતી કે એક સ્ત્રી તંત્રી ખુરશીમાં આરામદાયક સ્થિતિમાં બેઠાં હતાં. ત્યાં તેણે જોયું કે વીસી એક વાળેલી નોટ એના તરફ સરકાવી રહ્યા હતા. એમના કરોળીયા જેવા અક્ષરમાં લખેલું હતું, “ખૂબ સમજદારીપૂર્વક અને આ નોટનો પ્રતિભાવ આપતા હો એવું ન લાગે એ રીતે કૃપા કરીને ટેબલની ધાર સાથે તમારા પગ દબાવીને નહીં બેસો.”
વિસીના દરબારમાં લેખન પેડ વગર આવવું એ મોટા ગુના જેવું હતું. આવી મિટિંગમાં નવા સમાવિષ્ટ થયેલાં એક સિનિયર તંત્રીને એક ડિરેક્ટરે ” વીસી તરફથી ભેટ” કહીને એક નાની સુઘડ નોટબુક આપી ત્યારે તે બહુ ખુશ થયાં. પ્રદીપ ગુહાને એમણે વાત કરી ત્યારે તેમણે કહ્યું, કે તમારે વિગતવાર નોટ્સ લેવી જોઈએ એવું કહેવાની આ એમની રીત છે. પછીના સમયમાં નોટબુકનુ સ્થાન લેપટોપે લીધું.
સમીર જૈનની ઉદારતાના ઘણા પ્રસંગો બચી યાદ કરે છે. એની સાથોસાથ એમની ખર્ચ બચાવવાની ટિપ્સ પણ યાદ કરે છે. રીસ્પોન્સની એક કોન્ફરન્સ વખતે ઇન્દિરા દેઇશે રિસેપ્શનિસ્ટને સવારે જગાવવા માટે કૉલ કરવાનું અને સાથે ચાની કિટલી મોકલવાનું કહ્યું. તેના ખભા પર કોઈએ ટેપ કરી, પાછળ ફરીને જોયું તો એ વીસી સમીર જૈન હતા. તેણે ઇન્દિરાના હાથમાં બે ટી બેગ મૂકી. “ત્યાર બાદ હું હંમેશા ટી બૅગઝ નું બોક્સ રાખું છું અને માત્ર ગરમ પાણી મંગાવું છું. આમ હું કરકસરનું મૂલ્ય સમજી.” સમીર હંમેશા સલાહ આપતા કે તમારી ડીશ પૂરું જમ્યા પહેલાં ન બદલો, અન્યથા યજમાનને વધુ ડિશના પૈસા ચૂકવવા પડશે.
સમીર કહેતા કે ટ્રાવેલ માટેની ટિકિટ લેવાનું કામ સેક્રેટરીઓ ઉપર ન છોડવું, કારણ કે એ લોકોને ખર્ચના પાસાંનો ખ્યાલ નથી હોતો. એમનું કહેવાનું એવું હતું કે સૌથી સસ્તા ક્લાસમાં નહીં પણ સૌથી સસ્તા રૂટ પર ટ્રાવેલ કરો. અશોક સેન યાદ કરે છે, વીસીને પેસિફિક રુટથી અમેરિકા જવા માટે મફત સ્ટોપ ક્યાં મળે એ જોવા માટે એકવાર તેઓ એટલાસ લઈને બેઠા હતા. એમણે ટાહિટી શોધી કાઢ્યું. સમીરને પોલીનેશિયન સંસ્કૃતિની સમજ મળી એનો બહુ આનંદ થયો. તેઓ દેશની અંદર ઇકોનોમી વર્ગ પસંદ કરતા. એક વખત તેઓ મોડા પડ્યા અને છેલ્લે પ્લેનમાં ઇકોનોમી ક્લાસમાં દાખલ થયા. સીટ બેલ્ટ બાંધવાની સૂચના બંધ થઈ કે તરત એમને મળવા માટે બિઝનેસ ક્લાસના મહાનુભાવોની કતાર લાગી, અને સીટની બે હરોળ વચ્ચેની આઇલ પર જામ થઈ ગયો.
વિનીત જૈન
વિનીત જૈન સમીર જૈનથી લગભગ દસેક વર્ષા નાના હતા. બન્ને ભાઈઓના વ્યક્તિત્વમાં પણ એટલો જ ફરક હતો. તેમણે ટાઈમ્સનું માત્ર પ્રિન્ટ માધ્યમમાંથી રેડિયો, ટેલીવીઝન ઇન્ટરનેટ, ઓટીટી, જેવાં વધારે સમાચારો અને જાહેરાતોનાં વધારે વ્યાપવાળાં માધ્યમોમાં પ્રસારણ કર્યું. છેવટે ૨૦૨૩માં બન્ને ભાઈ વચે ટાઈમ્સ સામ્રાજ્ય એ રીતે જ વહેંચાઈ પણ ગયું.જગવિખ્યાત અમેરિકન સામાયિક ધ ન્યૂયોર્કરમાં Citizens Jain શીર્ષક હેઠળ ૧૯૧૨માં પ્રસિદ્ધ થયેલ લેખ[1]માં કેટલીક મહત્વની બાબતો ઉલ્લેખ પામી છે.
વિનીત જૈને આપેલી મુલાકાતમાં સ્પષ્ટ રીતે સ્વીકાર્યું છે કે અમે પરંપરાગત રીતે ધંધો નથી કરતા. અમે અખબારના વ્યવસાયમાં નથી, અમે જાહેરખબરના વ્યવસાયમાં છીએ. “તમારી નેવું ટકા જેટલી આવક જાહેર ખબરમાંથી આવતી હોય તો તમે જાહેર ખબર ના વ્યવસાયમાં છો.” પહેલાં અખબારોમાં બૌદ્ધિક ઉન્નતભ્રુ માટે લખાતું અને એ બહુ ગંભીર વાંચન હતું. વાંચકો માટે એ પ્રસ્તુત ન હતું.
વિનીત જૈને ટાઈમ્સની નકલ ટેબલ પરથી ઉપાડી. પહેલા પાના પર ૧૦ – ૧૧ સ્ટોરી હતી, અલગ અલગ સમાચારોના નાના બોક્સનો જમેલો હતો અને મોટા ફોટોગ્રાફ કે સુઘડતા અને સમતોલન માટે ડિઝાઇનના તત્વો ન હતાં. આઠ પાનાના બીજા વિભાગથી અખબારનું નાવીન્ય શરૂ થતું હતું. તેનું શીર્ષક તો હતું ‘બોમ્બે ટાઈમ્સ’, પણ અંદરના વર્તુળોમાં એ ‘પેજ થ્રી’ તરીકે ઓળખાય છે બોલીવુડ સ્ટાર, ક્રિકેટના દેખાવડા વ્યવસાયકો અને આંતરરાષ્ટ્રીય સેલિબ્રિટીની વાતો, આકર્ષક સ્ત્રીઓના રંગીન ચિત્રોથી આ વિભાગ છલકાય છે.
વિનીત જૈન સમજાવે છે કે આ બધી સ્ટોરી સ્ટાફના રિપોર્ટર એ લખેલી છે પણ સેલિબ્રિટી કે એમના પ્રચારકોએ એ માટે પૈસા ચૂકવ્યા છે બોલીવુડના નવા રિલીઝ થયેલા ચલચિત્રોનો પહેલેથી જ કવરેજ આવી જાય છે. આ વિભાગના મથાળા હેઠળ નાના ટાઈપમાં “એડવર્ટોરીયલ એન્ટરટેનમેન્ટ પ્રમોશનલ ફીચર” લખાયેલું છે. જૈન કહે છે કે “પારદર્શિતા માટે આ પૂરતું છે. આખી દુનિયામાં એડવર્ટોરીયલ્સ કરવામાં આવે છે.” પણ વિનિત જૈનનાં અખબારોમાં એડવર્ટોરીયલ્સ સ્ટાફ લેખકો દ્વારા લખાય છે અને એની ચેતવણી વાંચવા મેગ્નિફાઇંગ ગ્લાસની જરૂર પડે છે.
જૈને આ વિભાગની પ્રેરણા વર્જિન ગ્રુપના રિચાર્ડ બ્રાન્સનનો ઇન્ટરવ્યૂ વાંચીને મળી. તેણે કહ્યું હતું કે પેરેશુટથી પ્લેનમાંથી કૂદવાના સ્ટંટ એ મફત પબ્લિસિટી માટે કરે છે, જેથી એની કંપનીને જાહેરાતના લાખો ડોલર બચી જાય છે. આ વાંચીને જૈને વિચાર્યું, ” અરે ભગવાન, હું મૂર્ખ છું, મને એટલું પણ ન સમજાયું કે હું મફતમાં આ લોકોનો વાચકો સાથેનો સંપર્ક કરાવી આપુ છું, તો પછી એ લોકો મને જાહેરાત શું કામ આપે? ” કોઈ બોલીવુડ સ્ટુડિયો કે કાર કંપની ફેશન શો કરે, તો અખબાર શો વિશે કવરેજ આપશે, પણ સ્ટુડિયો કે કંપનીનું નામ નહિ આપે. “તેઓ એક બ્રાન્ડનું પ્રમોશન કરે છે તો મને એ માટે ચુકવણું કરવું જોઈએ.”
જૈન આ પ્રકારનાં જાહેરાત દ્વારા વેચાણ (એડ સેલ્સ’ને મીડિયાનેટ કહે છે. પહેલા રિપોર્ટરોને સારું કવરેજ આપવા માટે ભેટ સોગાદ રૂપે રોકડાના કવર કે બીજા ફાયદા મળતા તો એને બદલે શા માટે અખબારને જ એ ન મળે? થોડાં વર્ષો પહેલાં અમેરિકન અખબારોમાં આવી ચુપચાપ કરાતી જાહેરાતો વાચકોનાં કે પત્રકારત્વનાં હિતમાં ગણાય કે નહીં તેની વ્યાપક ચર્ચા થતી. હવે ટાઈમ્સ ગ્રૂપમાં સંસ્થાના વ્યાવસાયિક પાંખે આ બાબતે કોઇ પરવાંગી લેવાની જરૂર નથી રહી.. આખું પહેલું પાનું જાહેરાત તરીકે વેચાય છે અથવા અડધું કે બે તૃતીયાંશ જેટલું જાહેરાતમાં રોકાય છે ભારે ઊંચી કિંમત લઈને ટાઈમ્સે પોતાનું માસ્ટહેડ ફેરવીને ટોયોટાની જાહેરાત માટે ‘વાકુડોકી ઇન્ડિયા’ એવું મથાળું કર્યું હતું.
સમીરે આવકનો એક બીજો નવો તુક્કો પણ શોધ્યો હતો. નાની કંપનીઓ ની જાહેરાત ટાઈમ્સ આપે એના બદલામાં એની ઈક્વિટીમાં ટાઈમ્સને અમુક ભાગ મળે. આજે ટાઈમ્સ ગ્રૂપ પાસે લગભગ ૩૫૦થી વધારે કંપનીઓમાં આવો હિસ્સો છે.
સમીર અને વિનીત જૈન એવો કોઈ જ દાવો નથી કરતા કે તેઓ જે કરે છે એ જાહેર જનતાના હિતમાં છે. સંપાદકીય સ્વતંત્રતા કે ન્યુઝરૂમ અને જાહેરાત વિભાગ વચ્ચેની લક્ષ્મણ્રરેખા વચેની પરવા કર્યા વિના તેઓ સન્નિષ્ઠપણે માને છે કે અખબાર પ્રકાશનના વ્યવસાયને ધીકતો રાખવા માટે આ દિવાલને તોડી પાડવી જોઈએ. સંક્ષેપમાં કહીએ તો પત્રકારત્વના ઊંચા સિદ્ધાંતો અખબારનું સ્વાતંત્ર વિચાર અને અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય વગેરે સાથે અખબારને કંઈ સંબંધ નથી એ માત્ર એક ધંધો જ છે અને એનો હેતુ નફો કરવાનો છે.
[1] Citizens Jain – Ken Auletta
આ લેખમાળાના બધા મણકા હાયપર લિંક પર ક્લિક કરવાથી વાંચી શકાય છે.
Behind The Times બચી કરકરિયાની નજરે – Naresh Mankad
શ્રી નરેશ માંકડનો સંપર્ક nareshmankad@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
હુરટી ગુજરાટી
સોરઠની સોડમ

ડો. દિનેશ વૈષ્ણવ
ગુજરાતીએ ગળથુથીમાં જ્યાંનું પાણી પીધું હોય એમ ઈ બોલવા, લખવા ને રોજીંદા વ્યવહારમાં શિષ્ટ અર્થાત શુદ્ધ ગુજરાતી કે પ્રાદેશિક ગુજરાતી વાપરે. એનો એક દાખલો ઈ કે મારું કણ કાઠિયાવાડી ને ઈ પણ નરાધમ ગામઠી એટલે હું મારી રીતે તળપદી લે’કાથી એમ કહું, “એ… ઓલ્યું યાં પડ્યુંતું” ને મારે ઘરેથી અમદાવાદથી એટલે ઈ સુધરેલ રીતે એમ કે’, “પેલું ત્યાં પડેલું.” હું સાચો છું એમ નથી પણ મને ઈ શિષ્ટવાણી કયડુવાળા મગ જેવી લાગે. અમારે કઠિયાવાડમાં મારા જેવા સારુ કે’વાય કે “બાર ગાવે બોલી બદલાય તરુવર બદલે શાખા, બુઢાપાએ કેશ બદલ્યા પણ લખણ ન બદલે લાખા” કારણ કે હું યુએસ.માં સાડાપાંચ દાયકે પણ ઈ લાખો જ રયો છ. જો કે આની સામે મારાં જ પોતાનાં પનોતું કાઠિયાવાડ છોડી અમદાવાદ, વડોદરા એમ આઘેરાં વસવા ગ્યાં તીંયેં અમારી મીઠડી કાઠિયાવાડી બોલીને વાંસો દેખાડીને ઈ સૌએ શિષ્ટગુજરાતી પકડી લીધી. ખેર! જેવી જેની મોજ.
હવે જીણી નજરે જોવો તો ગુજરાતમાં પણ કાઠીયાવાડ, ગોહિલવાડ, ઝાલાવાડ, હાલાર, કચ્છ, બરડો, દક્ષિણ ગુજરાત ને એમાં પણ સુરત, મહેસાણા, પાંચાળ, અમદાવાદ… એમ પંથકેપંથકે અલગ ગુજરાતી બોલાય છ ને સૌને પોતાની બોલી ગમે ને બીજાની કદાચ ગામઠી, ઉભડમથી કે તોછડી લાગે પણ સરવાળે તો “સીદીભાઈને સીદકાં વાલાં.” બીજું, આટઆટલી ગુજરાતી બોલીયુંમાં કયા પંથકની શિષ્ટભાષા ને ક્યાની નહીં ઈ પણ “તુંડેતુંડે મતિ ભિન્ના” જેવું છે. હું પોતે અમદાવાદ અને ઈ વિસ્તારની શુદ્ધ અને શિષ્ટવાણી ગણું છ કારણ કે યાંના લોકો બોલવામાં પણ “સ,” “શ,” “ષ,” “ક્ષ,” “ઉ,” “ઊ,” “ઈ,” “ઇ,”વ. જુદાં પાડે છ, પાડી શકે છ. બીજા ઘણા પણ આમ જુદું પાડતા હશે પણ મને ઈ “બાલજીવન ચમચો” કોઈએ નો’તો પાયો એટલે મારે મન તો હંધુંય હરખું.
મેં ઉપર કીધું એમ એક ઇલાકાના માણસને બીજાની બોલી કદાચ ન ગોઠે ને કાને વાગે તો એના થોડાક દાખલાઓમાં:
શાહબુદ્દીન સાહેબ કે’છ એમ ચરોતરના એક ગામમાં “રામાયણ પારાયણ”માં સ્થાનિક મહારાજે કીધું, “પે‘લો દશરથ ખરોને, તે લોડાઈ કરવા હેંડ્યો ને જોડે એની ત્રણ બૈરીમાંથી એક બૈરી કૈકઈ હોત હેંડી. તે લોડતાંલોડતાં દશરથના રથનું પેલું પૈડું નેકળી ગયું તો બરોબર એ જ સમયે એના જોડે ગયેલી કૈકયે એ પૈડાના કોણામાં એની ઓંગળી ઘોંચીને પૈડું રોકી આલ્યું. તે પછી પે‘લા બૈરીછાપ દશરથે રાજી થોઈને કૈકઈને વચનો આલી દીધાં, બોલો.”
આ જ મલકના ધરમજ ગામમાં ભાગોળે ગામના વડીલો બેઠાતા એમાં એક જુવાનડો પૂગ્યો ને કીધું, “હાઈ, આઈ એમ ડો. કિશોર પટેલ ફ્રોમ યુ.એસ.” એટલે શષ્ટિપૂર્તિ વટાવેલ એક વડીલે કીધું, “તે?… આઈ મોટી અમેરિકાવાળી.” હું વિદ્યાનગર ૧૯૬૫માં ભણ્યો ત્યારે “સ્કવેર હોસ્ટેલ”માં મારી પડખેના રૂમમાં વાસદનો અરવિંદ એની સાવકી માંને ખીજમાં “મારા બાપની બૈરી” કે’તો.
ભીખુદાનભાઈ કે’છ કે મહેસાણાના એક ડાયરામાં એની અને હારેના અન્ય કલાકારોની ઓળખ આપતાં સંચાલક બોલ્યો, “લાખાભઇ ગડવી ને એમની નામચીન ટોળકી હવે દોયરા બોલશે ને વાર્તા કરશે. વાર્તા ચકીચકાની નહીં એટલે કશું સમજમાં નહીં આવે તો પણ મોજ પડશે.”
મારી તળપદી કાઠિયાવાડી બોલીના દાખલા દઉં તો ભીખુદાનભાઈનો મુંબઈમાં ડાયરો એટલે ઈ રાતની મુસાફરી કરીને એક મુંબઈગ્રા ગુજરાતીના આગ્રહથી એને ઘેર બપોરના જમવા ટાણે પુગ્યા. જમવાની થાળી પીરસણા પે’લાં ભીખુદાનભાઈએ કીધું, “બે ઘડી ખમો. હું “ખંખોળીયું” ખાઈને પાટલે પૂગું.” અટલું કઈને ઇ બાથરૂમમાં ગ્યા ને ઘરવાળાં ઘુમરે ચડ્યાં કે આ “ખંખોળીયુ” સ્વાદે કેવું હશે ને ઈ પણ ગઢવી બાથરૂમમાં થાળી, વાટકા ને ચમચાચમચી વિના કેમ ખાસે. ચારેક મિનિટમાં ભીખુદાનભાઈ બાથરૂમ બા’રા આવ્યા એટલે એને ઘરવાળાંના હાવભાવ જોઈને ખુલાસો કર્યો, “સાબુ ચોળ્યા વિના બેચાર ઢળકા માથે ઢોળી લ્યો એને અમારીકોર “ખંખોળીયું” ખાધું કે‘વાય.”
મેંદરડામાં વેલાબાપાને ઘેર એના એન્જીનીયરીંનું ભણતા દિકરા આંબાનો અમદાવાદી દોસ્તાર દિવાળીની રજામાં ગામડાની દિવાળી માણવા આવ્યો. એમાં પે’લે જ દી’ સૌ લીપણની ભોંએ ભાણે બેઠા ને બધું પીરસાઈ ગ્યું એટલે બાપાએ ઈ દોસ્તારને પૂછ્યું, “ગગા, ઢિચણિયું દે?” જવાબમાં અમદાવાદીએ કીધું, “આલો. ભાવશે તો ખઇશું” કારણ કે એને એમ કે “ઢિચણિયું” ઈ ગામડાની ખાવાની વાનગી છે. આંબાએ ખુલાસો કર્યો, “ગામડામાં જમતી વખતે ગોઠણ હેઠે લાકડાનો ટેકો ભરાવે એને “ઢિચણિયું” કે‘વાય.”
મારા પિત્રાઇનાં લગન રાજસ્થાનના કોટા ગામની કન્યા હારે થ્યાં. ઈ છોકરીને લગનની શરૂઆતમાં ઘણું ઓછું ગુજરાતી આવડે. એક દી’ મારા પિત્રાઇએ કબાટમાંથી ઈસ્ત્રી કરેલ પાટલૂન પે’રવા કાઢ્યું તો ઈસ્ત્રી એને બરોબર ન લાગી એટલે ગુસ્સામાં ઈ ભભડ્યો, “આ ગધેડા સુરેશને ઈસ્ત્રી કરતાં પણ નથી આવડતું” ને ઈ એનાં તાજાં પત્ની સાંભળી ગ્યાં. થોડાક દી’ પછી સુરેશ ઇસ્ત્રીનાં કપડાં લેવા આવ્યો એટલે ઈ નવોઢાએ બૂમ પાડીને મારા પિત્રાઇને કીધું, “ગધેડા સુરેશભૈયા આવ્યા હૈ.”
મારે સથવારે ગરમ કોટમાં વીંટાયેલ ખીરસરાનાં બેન ૨૦૦૩માં રાજકોટથી વાયા મુંબઈ યુ.એસ. આવે. અમે રાજકોટમાં ચેકઈનની લાઈનમાં આગળપાછળ ઉભેલ. ચેકઈન ઓફિસર ગુજરાતી તો ન લાગી પણ ઈ ટ્રેનિંગમાં શીખેલ ભાંગ્યુંતૂટ્યું શિષ્ટગુજરાતી બોલતીતી. હવે એને જે શંકા પડી હોય પણ એને સુધરેલ ગુજરાતીમાં મારા સથવારાને પૂછ્યું, “બેન, તમારા પેટીકોટમાં કમર પર કશું છે?” મારાં સાથી બેન બીજું કાંઈ તો શુદ્ધ ગુજરાતીમાં ન સમજ્યાં પણ “પેટીકોટ” શબ્દ સાંભળીને એની કેરીઓન બેગ (કાઠિયાવાડમાં બેગ એટલે પેટી) ને પોતે પે’રેલો કોટ કાઢીને ટેબલે મૂક્યાં. મેં ઈ ઓફિસર હારે વાત કરીને મામલો ઉકેલ્યો.
આવા તો કેટલાય દાખલા મેં સાંભળ્યા છ ને અનુભવ્યા છ પણ સુરતી બોલી આવરતો મેં જે એક કિસ્સો વાંચેલ છે ઈ ઓહો ને માથે બાચકો છે એટલે ઈ હું આંઈ મારી રીતે મુકું છ. આમ તો હું પણ સુરતના પાડોસી નવસારીમાં ભણ્યોતો એટલે સુરતી બોલી તો મેં ઘણી સાંભળીતી ને સુરત જાતો તીયેં યાંનું જમણ પણ માણતો – કાશીનું મરણ તો આવે તીયેં!!!
તો સાહેબ, વડોદરાના વૈષ્ણવજન મીતકુમારે યુવાનીના ઉંબરે પગ મુક્યો એટલે કન્યાઓ જોવાનું શરૂ કર્યું ને બેટર ચોઈસ અને વાઈડર સિલેક્શન માટે એને “ડક્સીન ગુજરાટ”ના “હુરટ” “હેર” બાજુ નજર નાખી. છોકરા-છોકરીની કુંડળી મળી ને પરિવારો પરસ્પર અનુકૂળ હતા એટલે મીતકુમાર કન્યાને જોવા વે’લી સવારે “હુરટ” આવ્યા. છોકરીના ઘરનું સરનામું “કતારગામ રોડ”નું હતું એટલે રીક્ષા “ટો” એને બાંધી પણ રિક્ષાવાળાને “ટ્રનેક” વાર “હમજાવ્યું” ત્યારે ઈ બોલ્યો, “એમ કેવની ટારે કે કટાળગામ ળોડ પર જવું છ.” છેવટે રિક્ષાવાળાએ મીતકુમારને બરાબર “થેકાને” પહોંચાડયા. આંઈ મીતકુમારે પોતે કાંદા-લસણ ખાય છે ઈ ખાનગી રાખવાનું હતું કારણ કે ભાવિ સસરાની એક જ શરત હતી કે “પોયરો કાંડા-લહણ ખાટો ની હોવો જોઈએ.”
ભાવિ સાસરે પુગીને મીતકુમારે ડોરબેલ વગાડતાં નોકરે બારણાના જાળિયાનું તાળું ઉઘાડ્યું એટલે ભાવિ જમાઈને સસરાએ આવકારયા. પછી ઈ નોકરને તાડુક્યા, “બાન્ને ટાલું મારી ડે. ભિખારી અંડર ઘૂસી આવે ચ. બીજા ભિખારી ની આવી જાય.” ભાવિ સસરાનું આ છેલ્લું વાક્ય સાંભળીને મીતકુમારે બે ઘડી વિચાર્યું કે પે’લો ભિખારી ઈ પોતે તો નહીં હોય ને. હવે, આવા સન્માન પછી સસરાએ નોકરને કહ્યું, “હોફા હાફ કર ની ટો જમાઈરાજને બઢી હુરટની ઢૂલ લાગી જહે.” ઈ સોફા સાફ થ્યો એટલે જમાઈરાજ બેઠા ને સસરાએ “રહોડા” તરફ જોઈને બૂમ પાડી, “ઈંડુ ટૈયાર છે?” મીતકુમાર ગભરાણા કે વાત તો થઈતી કે કાંદા-લસણનો પણ બાધ છે અને આ લોકો ઈંડાની વાત કેમ કરે છ.
મીતકુમારને થ્યું કે સસરા એની પરીક્ષા લે છ એટલે ઈ શાંતિથી બોલ્યા, “ઈંડુ મને પસંદ નથી. એક્ચ્યુઅલી અમારા આખા પરિવારમાં કોઈને ઇંડુ ન ચાલે.” આ સાંભળી સસરા ‘અકરાયા‘ ને બોલ્યા, “અરે! ઇંડુ પહંડ ની મલે તો હું કામ હુરટ હુઢી લામ્બા ઠિયા?” આ સંવાદ સાંભળી સાસુજી પણ “રહોડે”થી બા‘ર દોડી “આયાં” ને કીધું, “ફોતો ને કુન્દલી જોઈને ના ની પાળી ડેવાય? આ રીટે અમારા પળિવાળની ફજેટી કળવાની?”
મીતકુમારને સમજાયું નહીં કે ઇંડુ ખાવાની ના પાડવાથી એને કઈ રીતે આ પરિવારની ફજેતી કરી પણ છતાં ઈ “સોરી” બોલ્યા. સસરા સામા બોલ્યા, “તમારી સોળીની હું અમારે હોળી કરવાની? ગ્રાટીના મેરામાં અમે કેયું કે અમને ‘મીટ‘ ચાલહે તો ટમારાં મમ્મીપપ્પાએ બી કેયું કે અમારે “ઇંડુ” ચાલહે, પછી હવે હેના પલટી મારો?”
બે વૈષ્ણવ વેવાઈઓ વચ્ચે જ્ઞાતિના મેળામાં એગ અને મટનની વાત કેમ થઇ હશે ઈ મીતકુમાર વિચારતાતા એવામાં સસરાએ હાથ જોડીને કીધું, “ઇંડુ તૈયાર છે હવે જોઈ ટો લેવ.” મીતકુમારને થ્યું કે ઇંડુ ખાવામાં બાધ છે, જોવામાં નથી એટલે એને હા પાડી. પછી મદારી લાલિયા લંગૂરને બોલાવે એમ સસરાએ ત્રણ તાલી પાડી એટલે એક સુંદર કન્યા ટ્રે લઈને આવી.
ટ્રેની અંદરનો ખાદ્ય પદાર્થ જોતાં મીતકુમારને થયું કે ઇંડા લંબગોળને બદલે ગોળ કેમ છે ને ત્યાં જ સાસુ બોલ્યાં, “લોવ મોં મીથું કરોની.“ મીતકુમારે બે ઘડી વિચાર્યું કે સ્વીટ એગ્સ કદાચ સુરતી વાનગી હશે એટલે એને ઈ ગોળાકાર ઇંડાને પકડી સૂંઘી જોયું એટલે સસરાએ ખુલાસો કર્યો કે રસગુલ્લાં છે. અર્ધાથી ઓછો રાહતનો શ્વાસ લઈને મીતકુમારે પૂછ્યું “તમે તો ઈંડુઇંડુ કરતાતા ને?” એટલે સાસુએ કહ્યું, “ટે આ રેઈ અમારી ઇંડુમટી ટમી જેને નિહારવા આયા ટે ટમારી હામ્મે જ ઊભી છે. પોયરી પટલી ને નાનલી ડેખાવા પન વરહે નાનલી ની મલે.”
મીતકુમારને તરત જ ટયુબલાઇટ થઇ કે સસરાજી “ઈંડુ ટૈયાર છે” નહીં પણ ઇંદુ તૈયાર છે એમ પૂછતાતા. મીતકુમારે એમ કહ્યું કે અમારા પરિવારમાં “ઇંડુ” ન ચાલે ત્યારે આ હુરટીઓ ઇંદુ ન ચાલે એમ સમજ્યાતા અને સસરાને અમને “મીટ ચાલહે” એમ કહીને મીત પસંદ છે એમ કે’વુંતું. રૂપાળી ઇંદુને જોઈને અને આ સુરતી ગુજરાતીની મનોમન સ્પષ્ટતા થાતાં મીતકુમારનો પૂરો શ્વાસ માંડ હેઠો બેઠો યાં જ સસરાજી બોલ્યા, “ટમારા શાળા ટુસાર સાળામાં ભનાવવા ગિયા છે, સીકસક છે. એ આવી જાય એટલે ચીકનપૂરી ખાઈએ, ચાલહે ની?” મીતકુમારને ચીકનપૂરી ખાવાની કલ્પના નહોતી કરી પણ ઈ ના ન પાડી શક્યા. પછી જયારે શીખંડપૂરી પીરસાયાં ત્યારે ખબર પડી કે મિષ્ટાન પ્રાણીજન્ય હતું પણ વર્જિત નો’તું.
વડોદરા પાછા ફરતાં ઇંદુનાં સ્વપના જોવે ઈ પે’લાં મીતકુમારને મોડું પણ સમજાણું કે બાર ગાવે બોલી તો બદલાય પણ સુરતમાં તો સમૂળગી ગુજરાતી ભાષા જ બદલાય છ ને એટલે જ “મીટે કહી ડેવા કી ઈંડુ મને પહંડ છે.” ઘેર પુગીને મીતકુમારે એનાં માબાપને વાત કરી ને ખાસ તો સુરતી ગુજરાતીની એની સમજફેરની ને પરિણામે થયેલ ગોટાળાની તો માંડીને વાત કરી. બધું સરવા કાને સાંભળીને “ઈંડુ”ના ભાવિ સસરાએ કીધું, “એટલે તો હજુ સુધી સુરતમાં આકાશવાણીનું કેન્દ્ર નથી.”
ડૉ. દિનેશ વૈશ્નવનો સંપર્ક sribaba48@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
દરિયાનું તળિયું હોઈ શકે, લાલસાનું નહીં
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
ગોવા આપણા દેશનું વિશિષ્ટ રાજ્ય છે, જે અનેક નૈસર્ગિક સ્રોત તેમજ અનોખું ભૂપૃષ્ઠ ધરાવે છે. જો કે, માણસની લાલસા એ હદે વકરી છે કે તે ભલભલા નૈસર્ગિક ભંડારોને ઊલેચીને ખાલી કરવા બેઠો છે. એકાદ મહિના અગાઉ આ કટારમાં ગોવામાં કઢાઈ રહેલા પર્વતોના નિકંદન વિશે વાત કરવામાં આવી હતી. ગોવામાં પર્વતો ઊપરાંત રળિયામણો સાગરકાંઠો પણ છે, જે સહેલાણીઓના આકર્ષણનું મોટું કેન્દ્ર છે. સ્વાભાવિકપણે જ દરિયાઈ ખોરાક ગોવાની સંસ્કૃતિનો અભિન્ન હિસ્સો છે.
હકીકતમાં માછલી કેવળ ગોવામાં જ નહીં, વિશ્વભરમાં સૌથી મહત્ત્વનો આહારસ્રોત છે. આથી માછીમારી ગોવામાં પરંપરાગત વ્યવસાય હોય એમાં નવાઈ નથી. ગોવાની વસતિના ૯૦ કરતાં વધુ લોકોનો રોજિંદો આહાર માછલી ગણાય છે. આપણા દેશના મત્સ્યઉછેરમાં ગોવાનો હિસ્સો બે ટકા જેટલો છે. ગોવા રાજ્યની જી.ડી.પી.(ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ)નો લગભગ ત્રણ ટકા હિસ્સો અને કૃષિ જી.ડી.પી.નો ૧૭ ટકા હિસ્સો મત્સ્યઉછેર ધરાવે છે. મતલબ એટલો કે રાજ્યના સામાજિક-આર્થિક વિકાસમાં મત્સ્યોદ્યોગનો હિસ્સો અતિ મહત્ત્વનો કહી શકાય એવો છે.
વસતિમાં થયેલો વધારો, પ્રવાસન અને દરિયાઈ આહારની માંગને કારણે છેલ્લા ઘણા વખતથી દરિયાઈ સ્રોત પર વધુ પડતું દબાણ ઊભું થયું છે, જેને કારણે વધુ પડતી માછીમારી અને તેના પરિણામે માછલીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. અત્યાર સુધી બેફામ અને વધુ પડતી માછીમારી, પ્રદૂષણ, માછલીઓના આવાસમાં ઘસારો, જળવાયુ પરિવર્તન અને સમગ્રપણે સુયોગ્ય વ્યવસ્થાપનની સમસ્યાઓ હતી જ, પણ તેમાં નવો અને ગંભીર ઊમેરો ‘એલ.ઈ.ડી. ફીશીંગ’ એટલે કે એલ.ઈ.ડી.ના ઊપયોગથી થતી માછીમારીનો થયો છે.

સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી એલ.ઈ.ડી. એટલે કે લાઈટ એમિટિંગ ડાયોડથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. તેમાંથી નીકળતો અતિશય તીવ્રતા અને ઝળાંહળાં પ્રકાશ આંખોને આંજી નાખે છે. વાહનોમાં એલ.ઈ.ડી. લાઈટ લગાવવાથી સામેના ચાલકને બહુ મુશ્કેલી પડે છે. માછીમારીમાં તેનો ઊપયોગ એ રીતે વધ્યો છે કે સપાટી પર યા સપાટીની અંદર એલ.ઈ.ડી.ના પ્રકાશને ફેંકવામાં આવે છે, અને આ તીવ્ર પ્રકાશથી અનેક માછલીઓ આકર્ષાઈને આવે છે, જે ત્યાં રખાયેલી જાળમાં ફસાય છે.
પરંપરાગત રીતે માછીમારી કરનારા માછીમારોના સંગઠને આક્ષેપ મૂક્યો છે કે માછલી પકડવા માટે એલ.ઈ.ડી.ના ઊપયોગ પર પ્રતિબંધ છે, છતાં તે બેફામપણે ચાલી રહ્યું છે. અન્ય અનેક પ્રકારની ગેરકાયદે માછીમારી ચાલી રહી હોવાનું અને તેની સામે ફરિયાદ નોંધાવ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું છે. સંબંધિત વિભાગના રાજ્યના અધિકારીઓ અને તટીય પોલિસ દળ નીતિનિયમો લાગુ પડાવવાનો, એવાં વહાણોને જપ્ત કરવાનો દાવો કરે છે. વડી અદાલતના નિર્દેશને પગલે ગોવા શિપયાર્ડ લિ. (જી.એસ.એલ.) દ્વારા કરાયેલા નિરીક્ષણ અને તેના અહેવાલ અનુસાર કટબોના, માલિમ તેમજ વાસ્કો ખાતે વિવિધ વહાણો દ્વારા માછીમારીના નિયમોનું બેફામ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. એલ.ઈ.ડી.ના ઊપયોગથી થતી માછીમારીને પ્રતિબંધિત કરવા માટે ગોવા ફાઉન્ડેશન દ્વારા કરાયેલી જાહેર હિતની એક અરજીમાં પર્યાવરણ બાબતે ચિંતા વ્યક્ત કરાઈ છે. તેના અહેવાલમાં ઉલ્લેખાયું છે કે ત્રણ જેટ્ટી પર સોળ વહાણોનું નિરીક્ષણ કરવામાં આવ્યું, જેમાંથી ચૌદમાં જનરેટર સેટ અને એલ.ઈ.ડી.લાઈટો મળી આવી હતી. આનો અર્થ એ કે આમ કરનારાઓને નિયમ કે એના ઊલ્લંઘનની કશી તમા નથી. આનું કારણ શું?
ગોવાના દૈનિક ‘ઓ હેરાલ્ડો’ના એક અહેવાલ અનુસાર ગોવાના મત્સ્યોદ્યોગ મંત્રી નીલકંઠ હળર્ણકર, મત્સ્ય નિદેશક શમીલા મોન્ટેયરો, મંત્રીના ઓ.એસ.ડી. (ઑફિસર ઑન સ્પેશ્યલ ડ્યુટી) પ્રથમેશ તુળસકર સહિત ખાનગી મત્સ્યોદ્યોગના હિસ્સેદારોની એક ટીમે ફેબ્રુઆરી, ૨૦૨૪ના છેલ્લા સપ્તાહમાં નોર્વે ખાતે પાંચ દિવસનો પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસનું આયોજન ગોવાના મત્સ્યોદ્યોગ મહારથી મિગુએલ રોડ્રિગ્સ દ્વારા કરાયું હતું. રોડ્રિગ્સની ખ્યાતિ એલ.ઈ.ડી. થકી માછીમારી કરનારા મોટા ઉદ્યોગસાહસિકની છે. રાજ્યના મત્સ્યવિભાગ તરફથી કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રાલયને વારંવાર અપીલ તેમજ વડી અદાલત સમક્ષ અરજી કરાઈ રહી હતી એ જ અરસામાં આ પ્રવાસ યોજાયેલો અને મોટાં મોટાં વહાણો બેફામપણે એલ.ઈ.ડી.લાઈટોનો ઊપયોગ માછીમારી માટે કરી રહ્યા હતા. આ બન્ને ઘટનાઓ વચ્ચે કશો સંબંધ હશે ખરો? એટલે કે એક તરફ એલ.ઈ.ડી.લાઈટથી થતી માછીમારી સામે ઊઠતી વ્યાપક ફરિયાદો, અને બીજી બાજુ એલ.ઈ.ડી.લાઈટથી માછીમારી કરાવવાના તરફદાર ઉદ્યોગપતિ દ્વારા આયોજિત સરકારી અધિકારીઓનો વિદેશપ્રવાસ! આ બાબતે પ્રસાર માધ્યમોમાં સવાલો ઊઠ્યા છે, પણ તેનો સંતોષકારક જવાબ સરકાર દ્વારા અપાયો નથી. આમ પણ, સરકાર અને ઉદ્યોગપતિઓની મૈત્રી, તેના પરિણામે બન્ને પક્ષને થતો લાભ એટલી સામાન્ય બાબત બની રહી છે કે એમ ન હોય તો નવાઈ લાગે.
આ ગઠબંધન એવું ઘાતક પુરવાર થઈ રહ્યું છે કે એક તરફ પર્યાવરણનો ખો નીકળી રહ્યો છે, તો બીજી તરફ સામાન્ય લોકોને એક યા બીજી રીતે માર પડી રહ્યો છે. જમીન, પર્વત, દરિયો બધે રાજકારણી અને ઉદ્યોગપતિઓનું ગઠબંધન ફરી વળ્યું છે, અને પર્યાવરણની ઘોર ખોદી કાઢી છે. આવું કેવળ આપણા જ દેશમાં છે એમ નથી, આ રોગ વિશ્વભરમાં વ્યાપી ગયો છે. પર્યાવરણ સાથે કરાતાં ચેડાંને લઈને ઊભી થયેલી વિપરીત અસરો ક્યારની શરૂ થઈ ગઈ છે, અને તેનાં દુષ્પરિણામ અનેક લોકો ભોગવી રહ્યાં છે, છતાં ધનની લાલસા અને વિકાસની આંધળી દોટ અટકવાનું નામ લેતાં નથી.
આ લોકો વાર્યા તો નથી વળ્યા, હાર્યા પણ વળે એમ લાગતું નથી, કેમ કે, હારવાનું તેમના પોતાના સિવાયના અન્યોએ છે.
ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૦ -૧૦ – ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
દીવાદાડીનો પ્રકાશ ઝંખવાયો !
હરેશ ધોળકિયા
રતન ટાટાએ વિદાય લીધી.
ફરી એક વાર ભારત ઉદાસ થઈ ગયું. સમગ્ર દેશને જાણે એક ઊંડો ધક્કો વાગ્યો. સરકારના ન કહેવા છતાં સમગ્ર દેશે એક અવ્યક્ત શોક પાળ્યો.
એમ કેમ બન્યું? ગરીબ ભારતમાં રતન ટાટા તો એક ઉદ્યોગપતિ હતા ! તેમને તો શોષક ન ગણી શકાય ? મૂડીવાદી ન ગણી શકાય ? કોઈ મૂડીવાદી જાય તો કરોડોને તો ખબર પણ ન પડે. હા, છાપાં વાંચે ત્યારે કદાચ સમાચાર મળે, પણ તેનાથી વાંચનારને ખાસ કશો ફર્ક ન પડે. આ કરોડો તો દર પળે જીવવાનો સંઘર્ષ કરતા હોય ત્યારે કોઈ મૂડીવાદીના મોત બાબતે શા માટે ચિંતા કરે ? તેના જવાથી તેના જીવનમાં શો ફર્ક પડે ? અને ઉદાસીન ? એ શું કોઈ મહાત્મા હતા કે ઉદાસીન થાય ?અને છતાં આ પ્રજાના કરોડો લોકો ઉદાસીન થયા. શોકગ્રસ્ત થયા. પોતાનું કોઈક ગુમાવ્યું હોય તેવી લાગણી અનુભવી.
રતન ટાટામાં એવું તે શું હતું કે કરોડોને આવી લાગણી થઈ ? છાપાંઓએ તેમને ભવ્ય અંજલિઓ આપી એટલે ? વડા પ્રધાને કે રાષ્ટ્રપતિએ કે નેતાઓએ અંજલિઓ આપી એટલે ?
ના, પ્રજા એટલે ઉદાસીન થઈ કારણ કે તેણે એક ” ઉચ્ચ મૂલ્યનિષ્ઠ ” વ્યકિતને ગુમાવી. રતન ટાટા માત્ર ઉદ્યોગપતિ હોત તો સમાચાર વાંચત અને ભૂલી જાત, પણ તે મૂલ્યનિષ્ઠ – નર્યા પ્રમાણિક – હતા એટલે લોકો ઉદાસીન થયા.
એમ કેમ?
કારણ કે દેશમાં લોકો તો ઘણા છે, દેશમાં સમાય તેના કરતાં પણ વધારે છે અને આ લેખ વાંચી લેવાશે ત્યારે બીજા હજારેક જન્મી પણ ગયા હશે ! રોજ હજારો જન્મે છે અને હજારો મરે છે. તેનાથી દેશમાં કોઈ ફર્ક નથી પડતો. તે એક સામાન્ય ઘટના મનાય છે. પણ આ કરોડો લોકોમાં ” મૂલ્યનિષ્ઠ” લોકો બહુ વિરલ હોય છે. તેમની જબરી તંગી હોય છે. તેમને શોધવા બહુ અઘરા હોય છે. કુશળ, નિષ્ણાત, પ્રતિભાશાળી, વિદ્ધાન વગેરે પણ પુષ્કળ લોકો છે, પણ નિષ્ઠાવાન, મૂલ્યનિષ્ઠ લોકો બહુ જ ઓછા હોય છે.
વિશ્વની મોટા ભાગની પ્રજાઓ સામાન્યતામાં જીવતી હોય છે. તે કદાચ હોશીયાર હોય છે, સંપતિવાન પણ હોય છે. સત્તા પણ ધરાવે છે. પણ આ બધા વચ્ચે પણ મહદ અંશે સામાન્ય જ હોય છે. રૂટિનલ જ હોય છે. તેમના પાસે પોતાનો કોઈ આંતરિક પ્રભાવ નથી હોતો. તેમનો પ્રભાવ પૈસા, સતા, પદ, કીર્તિ વગેરેને આધારે હોય છે. બાહ્ય પરિબળો પર આધારિત હોય છે. આ બધામાંથી કંઈક પણ ન હોય તો લોકોને તેમની હાજરીની ખબર પણ નથી હોતી. એટલે આવા લોકોને પ્રસિધ્ધ થવા બાહ્ય પરિબળોનો આશરો લેવો પડે છે. આ બાહ્ય પ્રભાવ બાહ્ય તત્વની હાજરી સુધી ચાલુ રહે છે, પણ તે જતાં તેઓ સામાન્ય જ બની જાય છે.
મોટા ભાગના તો અદશ્ય થઈ જાય છે. મરણ નોંધમાં તેમનું નામ વાંચીએ ત્યારે ખ્યાલ આવે છે કે તેઓ જીવતા હતા. ઉદ્યોગપતિઓ પણ સેંકડો છે. દરરોજ વધતા જાય છે. પણ મહત્વના ઉદ્યોગપતિઓ કોણ એ યાદ કરવાનો પ્રયાસ કરીએ તો આ સેંકડોમાંથી બહુ ઓછાં નામ યાદ આવે. ટાટા, નારાયણ મૂર્તિ, અઝીમ પ્રેમજી જેવાં થોડાં નામ યાદ આવે. બાકીનાનાં તો નામની પણ ખબર ન હોય. દર વર્ષે અબજોપતિઓની યાદી બહાર પડે છે. તેમાં રતન ટાટાનું નામ તો ઘણું પાછળ રહેતું. તેનાથી આગળ થોડા ઉદ્યોગપતિઓ હોય. પણ તેમનાં નામ બહુ ઓછાને યાદ હશે, પણ પાછળ રહેનાર રતન ટાટાને બધા યાદ કરે છે.
કેમ?
કારણ કે સેંકડો ઉદ્યોગપતિઓમાંથી રતન ટાટા-અને તેમના જેવાઓ-માં ” કશુંક” વિશિષ્ટ હોય છે. લોકો આ “વિશિષ્ટ”ને કારણે તેમને યાદ રાખે છે.
શું છે આ વિશિષ્ટ તત્વ?
તે છે ” માનવતા.” તેમાં નમ્રતા, વિનય, સાદાઈ વગેરે આવી જાય છે. કરોડો-ના, અબજો-રૂપિયા વચ્ચે પણ આ લોકો સામાન્ય લોકો જેમ જ જીવતા હોય છે. પુષ્કળ વૈભવ વચ્ચે પણ તેઓ સાદાઈથી જીવતા હોય છે. અબજો રૂપિયાનો ફાંકો-અહંકાર -તેમને એક પળ પણ સ્પર્શતો નથી. સામાન્ય કહેવાતા લોકો વચ્ચે તેઓ આરામથી અને હળવાશથી ભળી જાય છે. અધિકારી કે નેતા કે વડા પ્રધાન સાથે હોય કે ફેકટરીના સાદા ગરીબ કામદાર કે ઝાડુવાળા સાથે હોય, તેમનું વર્તન અને વલણ સમાન જ હોય છે. કદાચ સામાન્યો વચ્ચે તેઓ વધારે હળવાશથી વર્તી શકે છે. સામાન્યો પણ તેમની હાજરીમાં એટલી જ હળવાશ અનુભવે છે. તેમના અબજો રૂપિયા તેમનો પ્રભાવ કરે છે તે કરતાં તેમનો પ્રેમાળ સ્વભાવ, તેમની હળવાશ, તેમનું પોતિકાપણું તેમને વધારે આકર્ષે છે. તેઓ જાણે તેમના નજીક વડીલ કે મિત્ર સાથે બેઠા હોય એવો અનુભવ કરે છે.
આ છે તેમનું વિશિષ્ટ તત્વ.
રતન ટાટા કે તેમના પુરોગામી જે.આર.ડી. ટાટા કે મૂળ જમશેદજી ટાટા- બધામાં આ વિશિષ્ટતા હતી. કરોડોના આસામી હોવા છતાં તેઓ નકકર જમીન પર રહેતા હતા. અબજોનો વ્યવહાર કરવા છતાં કામદારો સાથે કેન્ટીનમાં આરામથી જમી શકતા હતા. કોઈ મશીન બગડે તો ફોરમેન સાથે જમીન પર બેસી હાથ કાળા કરી શકતા હતા. કોઈ કામદારને તકલીફ પડે તો હજારો જવાબદારીઓ વચ્ચે તેઓ દોડીને તેની પૂછા કરતા હતા. અને મોટી વાત કે તેમની આવકનો લગભગ છાસઠ ટકા હિસ્સો દાનમાં આપી દેતા હતા. આજે પણ આપી દે છે. માટે તેમનું નામ આવકમાં પાછળ રહે છે.
મૂલ્યનિષ્ઠ બધા ઉદ્યોગપતિઓ આવા જ હોય છે. રતન ટાટા પણ તેમનામાંના એક હતા.
અને બીજું મહત્વનું પાસું હતું આત્યંતિક નૈતિકતા. શુધ્ધ નૈતિક ચારિત્ર્ય. ચારે બાજુ જયારે ભ્રષ્ટાચારનો નગ્ન નાચ ચાલતો હોય અને તેઓ પણ તે જોતા હોય, છતાં એ વચ્ચે પણ તેઓ તો શુધ્ધ નીતિવાન જ રહે. હજારો આકર્ષણ તેમના પર હુમલો કરતાં હોય ત્યારે પણ તેઓ સ્વસ્થ જ રહે. કશું તેમને ચળાવી ન શકે. પોતાનું કે પોતાના ઉદ્યોગનું કામ કરાવવા તેઓ એક પળ પણ ભ્રષ્ટાચારને વશ ન થાય. પૈસો અને નીતિ વચ્ચે તેમને પસંદગી કરવાની આવે ત્યારે તેઓ નીતિને જ પસંદ કરે. કામ મોડું થાય કે ઓછું થાય તેને તેઓ ચલાવી લે, પણ ખોટા માર્ગે તો ન જ જાય. થોડી કમાણી ઓછી થાય તો ચાલે, પણ નીતિમાં થોડો પણ ઘસારો થાય તેને તે ચલાવી જ ન લઈ શકે. અણિશુધ્ધ ચારિત્ર્ય જ તેમની ઓળખ હોય.
રતન ટાટા આવા વિરલ લોકોમાંના એક હતા.
પ્રજાના મોટા ભાગના લોકોને પણ ” આવા ” જ -નીતિવાન-થવું હોય છે. પણ તેમના પાસે જરૂરી ઈચ્છાશકિત નથી હોતી. એટલે તેઓ હમેશાં આવા લોકોની શોધમાં હોય છે. તેઓ એટલા માટે શોધમાં હોય છે કે તેમને જોઈ આશ્વાસન લઈ શકે કે ભલે તેઓ નથી થઈ શકતા, પણ આવા લોકોને જોઈ પ્રેરિત તો થઈ જ શકે છે કે સંભવ છે એક દિવસ તેઓ પણ આવો પ્રયાસ કરશે. આવા લોકો તેમના માટે દીવાદાંડીનું કામ કરે છે. તેમનાં ઝાંખાં જીવનમાં પ્રેરણાના પ્રકાશનું કામ કરે છે. ભલે પ્રજા કદાચ આવા લોકોનું જાહેરમાં સન્માન નથી કરી શકતી, પણ મૂંગો મૂંગો પુષ્કળ આદર આપે છે. હોય ત્યારે મનોમન વંદન કરે છે અને જાય ત્યારે ખૂણામાં ચાર આંસુ ખેરવી લે છે.
આજે પણ હજારો વર્ષ પહેલાં થયેલા સોક્રેટીસ, જિસસ, બુધ્ધ, મહાવીર, કબીર કે ગાંધી જેવા મહાન લોકોને શા માટે યાદ કરે છે ? કારણ કે તેઓ ભૂતકાળના ધૂમ્મસમાંથી પણ પ્રકાશ આપે છે. આ લોકોના ચારિત્ર્યને ખરડવાના પુષ્કળ પ્રયાસો કરાય છે, છતાં તેઓનો પ્રભાવ અક્ષુણ્ણ રહે છે. દરેક સમયની મહતમ પ્રજા આવા લોકોને બરાબર ઓળખી શકે છે. માટે જ -આજની ભાષામાં- ‘ટ્રોલ” કરનારાઓનું એક પળ પણ નથી માનતી. તેમને” બરાબર” ખબર હોય છે કે ટ્રોલ કરનારા તો આગીયા છે. તે મહાન લોકોના પ્રકાશમાં એક પળ પણ ગાબડું પાડી ન શકે.
રતન ટાટા આવા વિરલ લોકોમાંના એક હતા. બહારથી તે કોઈ સંત ન હતા કે મહાત્મા પણ ન હતા. પણ અંદરથી સંતત્વથી છલકાતા હતા. બહારથી ભલે વિશાળ ઓફિસોમાં બેસતા હતા, પણ તેમની હાજરીથી આ ઓફિસો મંદિરમાં પરિવર્તિત થઈ જતી હતી. તેમના પાસે બેસવું મંદિરની મૂર્તિ સામે બેસવાથી જરા પણ ઓછું ન હતું. તેમનું સ્મરણ કરવું આત્મસ્મરણ કે ઈશ્વર સ્મરણ કરવા કરતાં જરા પણ ઓછું ન હતું. ઓફિશિયલી ભલે તેઓ સાધુ ન હતા, પણ આંતરિક રીતે સાધુથી જરા પણ કમ ન હતા.
મહતમ લોકો સતત આવા લોકોની શોધમાં હોય છે. તેમને જ ઝંખતા હોય છે. કદાચ તેઓ દૂર હોય તો પણ આશ્વસ્ત હોય છે કે તેઓ છે તો ખરા ! એટલે જ આવાઓમાંથી કોઈ વિદાય લે છે, ત્યારે લોકોના મનમાં એક ખાલીપો ઊભો થાય છે કે ઓહો, આમ પણ “આવાઓ”‘ની તંગી છે, તેમાં વળી એક વધારે ગયા. આ ખાલીપો ઉદાસીનતા જન્માવે છે.
રતન ટાટા જેવા લોકોની, વિરાટ ઉદ્યોગોનું સંચાલન કે અબજોપતિપણું નહીં, પણ આ જ સફળતા છે.
શ્રી હરેશ ધોળકિયાનાં સંપર્ક સૂત્રો
નિવાસસ્થાન – ન્યુ મિન્ટ રોડ , ભુજ (ક્ચ્છ) , ગુજરાત, ૩૭૦૦૦૧
ફોન +૯૧૨૮૨૨૨૭૯૪૬ | ઈ-મેલ : dholakiahc@gmail.com -
કાર્ટૂનકથા (૨૦)
બીરેન કોઠારી
આ શ્રેણીમાં માત્ર ‘સાહિત્ય’ના વિષયને કેન્દ્રમાં રાખીને ચીતરેલાં કાર્ટૂન મૂકવામાં આવે છે, જે વાર્તા સામયિક ‘વારેવા’માં અગાઉ પ્રકાશિત થઈ ચૂક્યાં છે.
‘વારેવા’ના વીસમા અંકમાં આ કાર્ટૂન પ્રકાશિત થયાં હતાં.
વાર્તાવ્યંગ્ય

(વાર્તામાં, વાર્તાલેખનમાં રસ ધરાવનાર સૌ કોઈને આ વિશિષ્ટ સામયિકમાં રસ પડશે. તેના વિશે વધુ વિગતો તેની સાઈટ https://vareva.co.in/ પર જોઈ શકાશે.)
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
દેશની સ્વતંત્રતા સમાંતરે જ સર્જાઈ હતી વિભાજનની વિભીષિકા
સંવાદિતા
વિભાજનને કેંદ્રમાં રાખી સરહદી વિસ્તારોની ભાષાઓમાં ઘણું સંવેદનશીલ સાહિત્ય રચાયું છે
ભગવાન થાવરાણી
દેશની સ્વતંત્રતાના આનંદની હેલી સાથે જ આવ્યું હતું દેશના વિભાજનનું દર્દ અને એની સાથે જોડાયેલ ખૂનામરકી, પીડા અને બર્બરતાનું તાંડવ. આશરે દોઢથી બે કરોડ લોકોએ એ ગાળામાં પોતાના વતનથી હિજરત કરવી પડી જે આજ સુધીના માનવ ઈતિહાસની સૌથી મોટી હિજરત છે. એ દરમિયાન આઠથી દસ લાખ માનવ જિંદગીઓ હણાઈ હોવાનો અંદાજ છે.

આ વિષયે અંગ્રેજી, હિંદી, ઉર્દુ, બંગાળી, પંજાબી અને સિંધી ભાષાઓમાં ખાસ્સા પ્રમાણમાં સાહિત્ય પણ રચાયું. આપણા વરિષ્ઠ લેખિકા શરીફાબહેન વીજળીવાળાએ આમાંના ઘણા હિંદી અને ઉર્દુ પુસ્તકોના ગુજરાતી અનુવાદો કરી આપણા સૌ માટે સુલભ બનાવ્યાં છે. આવા કેટલાક કથા સાહિત્યને સંક્ષેપમાં જોઈએ.
સૌથી પહેલાં સ્મરે હિંદી લેખક યશપાલની મહાનવલ ‘ જૂઠા સચ ‘. ૧૯૫૮ ના અરસામાં લખાયેલી આ નવલકથા બે ભાગ – ‘ વતન ઔર દેશ ‘ અને ‘ દેશ કા ભવિષ્ય ‘ – અને આશરે એક હજાર પાનામાં વિસ્તરેલી છે. કેટલાક વિવેચકોએ એને ટોલ્સટોયની ‘ વોર એંડ પીસ ‘ સાથે સરખાવી છે. એની ગણના હિંદીના સર્વોત્કૃષ્ટ ઉપન્યાસોમાં થાય છે. હિંદી મેગેઝીન ‘ નવનીત ‘ ના જાન્યુઆરી ૧૯૫૯ ના અંકમાં તો એને વિશ્વની દસ શ્રેષ્ઠ કૃતિઓમાંની એક તરીકે બિરદાવાઈ હતી.

એની કથા ભારતના એ સમયના સામાજિક જીવનનું એક ઈમાનદાર ચિત્ર ખડું કરે છે. એક જ પરિવારના ભાઈ બહેન એવાં તારા અને જયદેવ પુરી ઉપરાંત કનક, ગિલ અને ડોક્ટર નાથ જેવાં પાત્રો વાચકના મનમાં જડાઈ જાય છે. વિભાજન પહેલાંના એક વર્ષથી માંડી એ પછીના દસેક વર્ષના વિશાળ ફલકને આવરી લેતી આ કથા હિંદી અને ભારતીય સાહિત્યની અનમોલ ઉપલબ્ધિ છે.
જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા ઉર્દુ લેખિકા કુર્રતુલૈન હૈદરની ઐતિહાસિક નવલકથા ‘ આગ કા દરિયા ‘ નો સમય પટ્ટ આમ તો બે હજાર વર્ષનો છે જેમાં ચંદ્રગુપ્ત મૌર્ય કાળથી માંડીને ભારત વિભાજન અને વિભાજનોત્તર સમયને આવરી લેવાયો છે પણ એમાં વિભાજનની ઘટના અને દ્વિ – રાષ્ટ્ર સિદ્ધાંત વિષે ઘણી છણાવટ છે.
ખુશવંત સિંગની મૂળ અંગ્રેજીમાં લખાયેલી નવલકથા ‘ ટ્રેન ટૂ પાકિસ્તાન ‘ ( અથવા પાકિસ્તાન મેઈલ ) ૧૯૫૬ માં લખાઈ. મનોમાજરા નામના કાલ્પનિક પંજાબી સરહદી ગામમાં આકાર લેતી વાર્તા જગત સિંહ નામના શીખ યુવાન અને નૂરાં નામની મુસ્લિમ યુવતીની પ્રેમ કથાના માધ્યમ દ્વારા સરહદી વિસ્તારોમાં પ્રવર્તતી ભાઈચારા અને સહઅસ્તિત્વની ભાવના તેમજ સ્વાર્થી તત્વો દ્વારા એ ભાવનાને કલુષિત કરવાની વાત હૃદયદ્રાવક રીતે કહે છે. પુસ્તકનો હિંદી સહિત અનેક ભારતીય ભાષાઓમાં અનુવાદ થયો છે. ફિલ્મ સર્જક પામેલા રુક્સ દ્વારા એના પરથી ફિલ્મ પણ બનાવવામાં આવી છે.
ભીષ્મ સાહનીની ‘ તમસ ‘ નવલકથા વધુ લોકપ્રિય બની ગોવિંદ નિહાલાનીએ એ કથા ઉપરથી બનાવેલી દૂરદર્શનની સિરીયલના કારણે. ૧૯૭૩ માં લખાયેલી આ કૃતિ માત્ર પાંચ જ દિવસની કથા છે. આઝાદીના થોડાંક સમય પહેલાંના આ પાંચ દિવસમાં સાંપ્રદાયિકતા અને કોમવાદનો સહારો લઈને જે પાશવિકતા આચરાઈ એનું જીવંત ચિત્રણ છે. આ એ તમસ – અંધકારની વાત છે જે માણસની માણસાઈ અને સંવેદનશીલતાને હરી એને શૈતાન બનાવી દે છે.
અમૃતા પ્રીતમની ‘ પિંજર ‘ મૂળ પંજાબીમાં ૧૯૫૦ માં લખાયેલી. એ પછી હિંદી અને અંગ્રેજી સહિત અનેક ભાષાઓમાં એના અનુવાદ થયાં. ગુજરાતી અનુવાદ પણ શરીફાબહેન દ્વારા થયો છે. પોતાના અંગત અનુભવોનો નિચોડ લેખિકાએ આ નવલમાં દર્શાવ્યો છે. એક હિંદુ સ્ત્રી પૂરો અને એનું અપહરણ કરી જનાર મુસ્લિમ શખ્સ રશીદ વચ્ચે પાંગરતા પ્રેમ અને સમર્પણની આ વાત છે. ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ એના પરથી ૨૦૦૩ માં એ જ નામની ખૂબસુરત ફિલ્મ બનાવેલી.
‘ છાકો કી વાપસી ‘ એ હિંદી લેખક બદીઉઝ્ઝમા લિખિત નવલ છે. અહીં કથા છે પૂર્વ ભારત – બિહારના ગયા નગરના મુસ્લિમ સમાજની. લેખક દ્વારા કથક તરીકે વર્ણવાયેલી વાર્તા પૂર્વ પાકિસ્તાનના સર્જન અને માત્ર ધર્મના કારણે ત્યાં પહોંચેલા ગરીબ નાયક છાકોની થયેલી દુર્દશાની છે. એ આડકતરી રીતે ધર્મ આધારિત વિભાજનના વિચારની પોકળતાનો પર્દાફાશ કરે છે.
‘ કિતને પાકિસ્તાન ‘ એ સુખ્યાત હિંદી લેખક કમલેશ્વરની વિશિષ્ટ નવલ છે. રૂપકો અને વાસ્તવિકતાના સંયોજન દ્વારા એ માનવ ઇતિહાસના વિશાળ ફલકને આવરી લે છે. જન સમુદાય માટે તઘલખી નિર્ણય લેનારા મુઠ્ઠીભર લોકોનો અસલી ચહેરો આ કૃતિ પ્રતિબિંબિત કરે છે.
હિંદી લેખક અસગર વઝાહતનું નાટક છે ‘ જિસ લાહૌર નહીં વેખ્યા ઓ જમ્યા ઈ નંઈ ‘ ( જેમણે લાહૌર નથી જોયું એ જન્મ્યો જ નથી ) . આ કૃતિને પણ શરીફાબહેન ગુજરાતીમાં લાવ્યા છે. એ એક એવી હિંદુ વૃદ્ધાની વાત છે જેને એના કુટુંબીઓ બોજારૂપ અને નક્કામી માની લાહૌર પોતાની હવેલીમાં છોડીને હિંદુસ્તાન ભાગી છૂટ્યા છે. ત્યાંથી હિજરત કરી આવેલા એક મુસ્લિમ પરિવારના લોકો બંધ મકાનમાં આ વૃદ્ધાને ભાળે છે અને અસંમંજસમાં પડી જાય છે કે એનું શું કરવું ? વૃદ્ધાને પોતાનું મકાન અને શહેર કોઈ પણ સંજોગોમાં છોડવું નથી, અને સર્જાય છે એક કરૂણ મંગલ કથા !
મહાભારત સિરીયલના લેખક રાહી માસૂમ રઝાની નવલકથા ‘ આધા ગાંવ ‘ બયાન કરે છે ઉત્તર પ્રદેશના ગંગૌલી ગામમાં રહેતા મુસ્લિમોની. શાંતિથી પોતપોતાની પરિસ્થિતિઓ અનુસાર રહેતા આ લોકો પર અચાનક વિભાજનનો સંત્રાસ આવી પડે છે. સાંપ્રદાયિક ઘટનાઓના કારણે એમની વિભિન્નતામાંની એકતાના હાલહવાલ થાય છે. ફરી એક વાર શરીફાબહેનનો અનુવાદ.
પાકિસ્તાની લેખકો ઈંતિઝાર હુસેન અને અબ્દુલ્લા હુસૈનની નવલકથાઓ બસ્તી ( ૧૯૮૦ ) અને ઉદાસ નસ્લેં ( ૧૯૬૩ ) વિભાજન વિષયક ઉત્તમોત્તમ કલાકૃતિઓ છે. બસ્તીનો અનુવાદ શરીફાબહેને કર્યો છે.
ભારતીય લેખક બલવંત સિંહની મૂળ ઉર્દુમાં લખાયેલી નવલકથા ‘ કાલે કોસ ‘ પંજાબની પૃષ્ઠભૂમિ પર આલેખાયેલ નવલકથા છે જેની શરુઆત જ પંજાબના વિભાજનથી થાય છે.
મનોહર મૂલગાંવકરની અંગ્રેજીમાં લખાયેલી નવલકથા ‘ અ બેંડ ઈન ધ ગેંજીસ ‘ ( ૧૯૬૪ ), પારસી પણ પાકિસ્તાનના લેખિકા બેપ્સી સિધવાની ‘ આઈસ કેંડી મેન ‘, અંજલિ એંજેટીનું ‘ ધી પાર્ટેડ અર્થ ‘, ભાસવતી ઘોષનું ‘ વિક્ટરી કોલોની – ૧૯૫૦ ‘ અને અમિત મજમુદારનું ‘ પાર્ટીશન્સ ‘ પણ આ વિષયની પઠનીય કૃતિઓ છે.
ટૂંકી વાર્તાઓની વાત કરીએ તો સઆદત હસન મંટોની આ વિષયની વાર્તાઓ તો અવિસ્મરણીય છે જ. એમના ઉપરાંત કૃષ્ણ ચંદર, ઈસ્મત ચુગતાઈ, અશફાક અહમદ, ગુલઝાર, રાજીંદરસિંગ બેદી અને અહમદ નદીમ કાસમી ( ઉર્દુ ), વિષ્ણુ પ્રભાકર, મોહન રાકેશ, ખ્વાજા અહમદ અબ્બાસ, મહીપ સિંહ, રામાનંદ સાગર, ઉપેંદ્રનાથ અશ્ક, દેવેંદ્ર સત્યાર્થી, નાસિરા શર્મા, રાજી સેઠ, સ્વદેશ દીપક અને કૃષ્ણા સોબતી ( હિંદી ), મનોજ બસુ અને સમરેશ બસુ ( બંગાળી ), મોતીલાલ જોતવાણી અને શેખ અયાઝ ( સિંધી ), કરતારસિંહ દુગ્ગલ ( પંજાબી ) અને જયંતિ દલાલ ( ગુજરાતી ) દ્વારા પણ આ વિષયમાં ખેડાણ થયું છે.
આ સર્વે. લેખકોની કૃતિઓ વાંચીને લાગ્યા વગર રહે નહીં કે એ બધા જ દેશ વિભાજનની પીડા હાડોહાડ જીવ્યા છે.
સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
