-
સ્મૃતિસંપદા – સ્મરણગંગા : ડો. દિનેશ ઓ. શાહ – ૩
આ પહેલાં આપણે ડૉ. દિનેશ ઓ શાહના અમેરિકામાં પદાર્પણ પછીની તેમની જીવન સફર ના અનુભવો જાણ્યા.હવે તેમની અમેરિકાની જીવન ઝરમર વાંચીએ….
અમે પાંચ બે બહેન તેમજ ત્રણ નાના ભાઈઓ એકબીજાની ખુબ નજીક હતા. મારા માતુશ્રીના સંસ્કાર સિંચન થી પરસ્પર ખુબ પ્રેમ હતો. બીજા ભાઈ બહેનોને કેમ જલદી અમેરિકા બોલાવવા તેજ મારી ઝંખના હતી. મારા અહીં આવ્યા પછી ત્રણ વર્ષમાં મારો નાનોભાઈ ભુપેન્દ્ર અહીં કેમિકલ એન્જીનીયરીંગની ડિગ્રી લેવા આવ્યો. મેં મુંબઈ ૭ સપ્ટેમ્બર ૧૯૬૧ માં છોડેલું . તેણે પણ ૭ સપ્ટેમ્બર ૧૯૬૪ નાં દિવસે મુંબઈ છોડ્યું. અમે બંને ભાઈઓ સાથે ન્યુયોર્કમાં એક એપાર્ટમેન્ટ માં રહેતા હતા. ત્યાર પછી મારા બા અને સૌથી નાનોભાઈ વીરેન્દ્ર મુંબઈ છોડી સપ્ટેમ્બર ૧૯૬૬માં ન્યુયોર્ક આવ્યા. આ રીતે ત્રણ ભાઈઓ અને મારા બા અહીં પાંચ વર્ષના ગાળામાં આવી ગયા.
મને પી. એચ. ડી મળી ગયા પછી મારા બાની ઈચ્છા મને કોઈ સારી જીવનસાથી મળી જાય તે હતી. મને કહે તું ભારત જઈ કોઈ સારી છોકરી સાથે લગ્ન કરી આવ. મને કોઈની સાથે અડધો કલાક વાત કરી હા અથવા ના જવાબ આપી દેવો તે પસંદ નહોતું. મારી ઓળખાણ કોઈ મિત્રની ત્યાં સુવર્ણા નામની છોકરી સાથે થઇ. સુવર્ણા પેન્સિલ્વાનિયા સ્ટેટ યુનિવર્સીટીમાં પી.એચ.ડી કરતી હતી. મારા માતુશ્રીને આ છોકરી ખુબ ગમી ગઈ. તેનો હસમુખો ચહેરો, આનંદી સ્વભાવ, તેમજ ઘરકામની કુશળતા મારા બાને સ્પર્શી ગઈ. અનેક મુલાકાતને અંતે અમારા લગ્ન કોલંબિયા યુનિવર્સીટીના અર્લ હોલ માં લગભગ ૧૨૫ વ્યક્તિઓની હાજરીમાં હિન્દૂ વિધિ પ્રમાણે
તારીખ ૬ એપ્રિલ ૧૯૬૮ના રોજ થયા . મારા પ્રોફેસરો, સ્ટાફ અને વિદ્યાર્થી મિત્રો ભારતીય તેમજ અમેરિકન આ પ્રસંગે હાજર હતા. મારા બા માટે આ અવર્ણનીય આનંદનો પ્રસંગ હતો.
અચાનક એક દિવસ પ્રોફેસર શુલમન ઉપર નાસાના એક અધિકારીનો પત્ર આવ્યો. તેમાં લખેલું કે અમારી સરફેસ કેમિસ્ટ્રીની બહુ સારી લેબોરેટરી છે પણ તેના મુખ્ય વૈજ્ઞાનિક નિવૃત થયા છે. અમારે કોઈ વ્યક્તિની જરૂર છે કે જે આ ફેસિલિટી વાપરી શકે અને સારું સંશોધન કરી શકે. તમારી લૅબોરેટરીના ડો. દિનેશ શાહના તાજેતરમાં પ્રગટ થયેલા પેપરો અમે વાંચ્યાં છે અને જો તેમને અહીં નાસામાં કામ કરવાની ઈચ્છા હોય તો અમે તેમને રેસિડન્ટ રિસર્ચ અસોસિએટશીપ આપવા તૈયાર છીએ. પ્રોફેસર શુલમને કહ્યું કે નાસામાં તમને ઘણું નવું શીખવાનું મળશે તેમજ તમે સરફેસ કેમિસ્ટ્રીને લગતા નાસાના પ્રશ્નો ઉકેલી શકશો. એટલે મેં નાસામાં જવાનું નક્કી કર્યું. સપ્ટેમ્બર ૧૯૬૭ માં હું નાસાના એમસ રિસર્ચ સેન્ટર, કેલિફોર્નિયામાં જોડાયો. અહીં મને ખુબ નવું શીખવાનું અને જાણવાનું મળ્યું. ખાસ કરીને પૃથ્વીની જીવનકથા જાણવાની તક મળી. પૃથ્વીની શરૂઆત ક્યારે થઇ તેમજ પ્રાણવાયુ કઈ રીતે પેદા થયો તેમજ જીવંત પ્રાણીઓની શરૂઆત ક્યારે થઇ. પૃથ્વીના શરૂઆતના તબ્બકાને વૈજ્ઞાનિકો કેમિકલ ઈવોલૂશન કહે છે. મેં નાસામાં કઈ રીતે પૃથ્વી પર મેમ્બ્રેનસ સ્ટ્રક્ચર પેદા થયા હશે તેના ઉપર સંશોધન કર્યું. તે ઉપરાંત પાણીનું બાષ્પીભવન ઓછું કરવું તેના ઉપર સંશોધન કર્યું. આ માટે મેં એક મોલીક્યુલ ઊંચાઈ ની ફિલ્મ પાણીની સપાટી ઉપર પાથરી હતી.
એમ્સ રિસર્ચ સેન્ટર સ્ટેનફર્ડ યુનિવર્સીટીના કેમ્પસથી લગભગ ત્રણ માઈલ દૂર હતું. આને લીધે હું ઘણીવાર સ્ટેનફોર્ડ યુનિવર્સીટી ની મુલાકાતે જતો. ત્યાં કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં કામ કરતાં ઘણા ભારતીયો મારા મિત્રો બની ગયા. દર રવિવારે હું આ કેમ્પસમાં ન્યુયોર્ક ટાઇમ્સનું છાપું લેવા જતો. એક પારસી મિત્રે મારા લગ્ન માટે ફાઈન બ્લુ સૂટ ખરીદવામાં મદદ કરી. અહીં એરોસ્પેસ અને ફાર્મસીમાં કામ કરતા અનેક મિત્રો થઇ ગયા. લગ્ન પછીનું પહેલું વર્ષ અમારું ખુબ આનંદભર્યું અહીં પસાર થયું. દરેક વીકેન્ડમાં ક્યાંતો અમારી ત્યાં ડીનર પાર્ટી થતી અથવા કોઈ બીજા મિત્રની ત્યાં થતી. બીજા વર્ષે કોલંબિયા યુનિવર્સીટીએ મને બાયોલોજિકલ ઓસનોગ્રાફી ડિવિઝન માં હેડ ઓફ સરફેસ કેમેસ્ટ્રી લૅબોરેટરીની ઓફર આપી. તેમજ મારા માતુશ્રી અને બંને ભાઈઓ અમને મિસ કરતા હોવાથી અમે નાસા છોડી ન્યુયોર્ક પાછા ફરવાનું નક્કી કર્યું. અમે ૩,૫૦૦ માઈલ કાર ચલાવી આખું અમેરિકા જોતા જોતા તેમજ વચ્ચે અનેક મિત્રોને મળતા ન્યુયોર્ક આવી ગયા.
બાયોલોજીકલ ઓસનોગ્રાફી ડિવિઝનમાં મારે નવી લેબ સેટ કરવાની હતી. સંશોધન માટેના ટેબલો તેમજ મારી ઓફિસ અને સેક્રેટરીની ઓફિસ વગેરે મારી દેખરેખ નીચે કરાવ્યું. આ પણ ઘણો સારો અનુભવ હતો. પેટ્રીસીયા કિલિઅન નામની સેક્રેટરીને મારી ઓફિસનું કામ કરવા રાખી. બે ટેક્નિશિયન સંશોધન કરવા રાખ્યા. તે સમયે દરિયામાં ઓઈલથી ભરેલા બે વહાણો તૂટી ગયા હતા અને દરિયામાં માઈલો સુધીની ઓઇલ સ્પીલ થઇ હતી. તો આ ઓઈલને કઈ રીતે એકદમ નાના બિંદુ કરી તેને કઈ રીતે બાયો ડિગ્રેડેશન કરવું તેના માટે મેં રિસર્ચ પ્રોપોસલ ઍન્વીરેન્ટલ એજન્સીમાં મોકલ્યું. ત્યાર બાદ છ સપ્તાહનું વેકેશન લઇ અમે પહેલી વાર ૧૯૬૯માં ભારત ગયા. આઠ વર્ષમાં ભારત બહુજ બદલાયેલું લાગ્યું. મુંબઈ ખુબ ગીચ વસ્તીવાળું લાગ્યું.
અમે ફોન કરી માધુરીબેન દેસાઈને મળવા ગયા કે જેમની મદદથી હું કપડવંજથી નાસા સુધી પહોંચ્યો હતો. તેમણે ખુબ પ્રેમથી અમને આવકાર્યા . વાતવાતમાં તેમણે કહ્યુ કે અમારા માનવામાંજ નથી આવતું કે આઠ વર્ષ પહેલા તમે કૈક કામ શોધવા અમારે ત્યાં આવ્યા હતા અને આજે તમે કોલંબિયા યુનિવર્સીટીમાંથી પી.એચ.ડી થઇ નાસા સુધી પહોંચી ગયા. અમે તમારા માટે ખુબ ગૌરવ અનુભવીએ છીએ. તેમણે સુવર્ણાને સાડી તેમજ થોડા સોનાના દાગીના આપ્યા તેમજ મને બેરિસ્ટર ભૂલાભાઈનું હાથમાં પહેરવાનું ઘડિયાળ ભેટમાં આપ્યું. મને કહે કે આ ઘડિયાળ પપ્પા માટે લંડનથી ખરીદેલું. થોડા સમય પછી એમની સાથે કારમાં અમને વલસાડ તેમની વાડી જોવા લઇ ગયા. ચણવાઇમાં આ વાડી ભુલાભાઇ દેસાઈની વાડી તરીકે ઓળખાય છે. આ વાડીના ચીકુ તેમજ કેરી તાજમહાલ હોટેલમાં મુંબઈ મોકલવામાં આવતી હતી.
મારા સાસરિયા પક્ષે કોઈએ મને જોયેલો નહિ. મુંબઈથી દાહોદ અમે ટ્રેનમા ગયા. દાહોદ સ્ટેશને ઉતર્યા ત્યારે સુવર્ણાના મામા હારતોરા લઈને મારુ સ્વાગત કરવા આવેલા. સુવર્ણાના અનેક સગાઓ મને લેવા દાહોદ સ્ટેશને આવેલા. એક કાર માં બેસી ૧૮ માઈલ દૂર અમે ઝાલોદ નામના ગામમાં પહોંચ્યા. સુવર્ણાના પપ્પા મમ્મીએ મને આવકાર્યો.
સુવર્ણા આ ગામની હાઈસ્કૂલમાં એસ.એસ.સી. સુધી ભણેલી. એના ચહેરા ઉપર પણ આનંદ ઉભરાતો હતો. સુવર્ણાના મામા મોટી ટ્રકમાં બધા સંબંધીઓ સાથે ઘણા પિક્નીકના સ્થળો જોવા લઇ ગયેલા. ત્યાર પછી અમે કપડવંજ ગયા અને ત્યાં પણ અમારું ભાવભીનું સ્વાગત થયું. મારી શાળામાં વિદ્યાર્થીઓ માટે નાસાને લગતું એક પ્રવચન ગોઠવાયેલું. મારા બાને સાથે લઇ ગયેલા અને પાછા આવવા માટે તેમને નવો વિસા લેવો પડે. અમેરિકન ઓફિસરે પાસપોર્ટ જોઈને કહ્યુ કે તમે ગઈ વખતે છ મહિનાના વિસા ઉપર ત્રણ વર્ષ રહી આવ્યા એટલે હવે તમને નવો વિસા ના આપી શકાય. વાતવાતમાં ઓફિસરે પૂછ્યું તમે ત્યાં શું કરો છો? તો મારી પાસે આગલા દિવસે ટપાલમાં મારી સેક્રેટરીએ મોકલેલું ન્યુઝપેપરનું કટિંગ હતું. જેમાં મારા ફોટા સાથે ન્યુઝ હતા કે મને સરકાર તરફથી નેવું હાજર ડોલરની રિસર્ચ ગ્રાન્ટ મળી છે. આ કટિંગ મેં તેમને બતાવ્યું. તેમનો ટોન એકદમ બદલાઈ ગયો. મને કહે , ડોક્ટર શાહ, આઈ નો યોર ક્લચર. યુ ટેક કેર ઓફ યોર પેરેન્ટ્સ. આઈ વિલ ગીવ યુ ધ ફોર્મ્સ ફોર પરમેનન્ટ રેસિડેન્ટ વિસા ફોર યોર મધર સો શી કેન સ્ટે વિથ યુ એસ લોન્ગ એસ શી વોન્ટ્સ. ત્યારે મને એક કહેવત યાદ આવી, સ્વદેશે પૂજ્યતે રાજા, વિદ્વાન સરવતે પૂજ્યતે! મારા બાને બે મહિનામાં પરમેનન્ટ રહેવાનો વિસા મળી ગયો અને અમેરિકા અમારી સાથે રહેવા આવી ગયા.
મારુ સંશોધન વગેરે સારું ચાલતું હતું. પરંતુ મારા એક મિત્રે સલાહ આપી કે જો તારે ભવિષ્યમાં પ્રોફેસર થવુ હોય તો તું કોઈ યુનિવર્સીટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે જોઈન થઇ જા . તારા બહુ રિસર્ચ પેપરો પ્રગટ થશે તો તને ટીચિંગ પોઝિશન નહિ મળે. યુ વિલ બે ઓવર ફવોલિફાઈડ ફોર આસિસ્ટન્ટ પ્રોફેસર પોઝિશન. મેં મારી સેક્રેટરીને વાત કરી કે મારે સો યુનિવર્સીટીમાં ટીચિંગ જોબ માટે એપ્લાય કરવું છે. આ વાત ખાનગી રાખવાની છે. નહીતો મારા પર જોબ ના છોડવા માટે બહુ દબાણ આવે. મેં જુદા જુદા વિષયોમાં લગભગ સો ડિપાર્ટમેન્ટ્સમાં એપ્પ્લીકેશન મોકલી. ૮૦ ના જવાબ જ ના આવ્યા. ૧૯ જગાએથી તમારું રેઝ્યુમે ખુબ ઈમ્પ્રેસીવ છે પરંતુ અમારી પાસે કોઈ ઓપનિંગ નથી. એક ફ્લોરિડા યુનિવર્સીટીમાંથી એવો જવાબ આવ્યો કે અમારી પાસે બજેટ નથી પરંતુ તમારું રેઝ્યુમે અમને ખુબ ગમ્યું અને તમે ભવિષ્યમાં આ બાજુ આવો તો અમારા ડિપાર્ટમેન્ટમાં સેમિનાર આપજો. મેં તરત જવાબ આપ્યો કે હું ફ્લોરિડા વિઝીટ કરવાનો છું અને તમારા બંને ડિપાર્ટમેન્ટમાં સેમિનાર આપીશ. તો હું મારા ખર્ચે ગેઇન્સ્વીલ, ફ્લોરિડા ગયો અને ત્યાં એનેસ્થેસિઓલોજી અને કેમિકલ એન્જીનીયરીંગ ડિપાર્ટમેન્ટમાં બે લેક્ચર આપ્યા. તે લોકોને મારા સેમિનાર ખુબ ગમ્યા. એક અઠવાડિયામાં મારા ઉપર મારી નિમણૂંક આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ એનેસ્થેસિઓલોજી અને કેમિકલ એન્જીનીયરીંગ થઇ છે તેવો પત્ર આવી ગયો. મારી સેક્રેટરી પેટ્રીસીયા કિલિઅન હજુ પણ દર વર્ષે મારા જન્મદિવસે મને ફોન કરે છે અને શુભેચ્છા પાઠવે છે. એને ખબર હતી કે હું જઈશ તો એની જોબ જતી રહેશે તો પણ એણે મારા માટે સો એપ્લિકેશન ટાઈપ કરી. એનો જેટલો આભાર માનુ તેટલો ઓછો છે.
મેં પી.એચ.ડી બાયોફિઝીક્સમાં કોલંબિયા યુનિવર્સીટીમાં કરેલું. મારા માટે કેમિકલ એન્જીનીયરીંગ અને એનેસ્થેસિઓલોજી બંને નવા વિષયો હતા. મેં મારા નાનાભાઈ ભુપેન્દ્ર સાથે કેમિકલ એન્જીનીયરીંગના મુખ્ય વિષયો અંગે ચર્ચા કરી અને કઈ રીતે સરફેસ કેમિસ્ટ્રીનો ઉપયોગ કેમિકલ એન્જીનીયરીંગ માં થઇ શકે તે માટે વાર્તાલાપ કર્યો.
લાઇબ્રેરીમાંથી કેમિકલ એન્જીનીયરીંગની ટેક્સટબુકો વાંચવા ઘેર લઇ આવ્યો. મને જે ભણાવવાની તક મળી હતી તેનો પુરે પૂરો સદુપયોગ કરવો હતો. મેં પહેલો કોર્સ ઇન્ટરફેસિઅલ ફીનોમેના ઈન એન્જિનિરીંગ ઉપર આપ્યો. તેમાં સરફેસ ટેન્શન અને સર્ફેક્ટન્ટ ટાઈપના કેમિકલનો શું ઉપયોગ થાય છે તે સમજાવ્યું. વિદ્યાર્થીઓને આ એપ્લિકેશન બતાવતો કોર્સ ભણવાની ખુબ મજા આવી. તેમજ હું પુરેપુરા ઉત્સાહથી બધું સમજાવતો હતો. કોર્સના છેલ્લા લેક્ચરમાં એક વિદ્યાર્થી ડીનની ઓડિસમાંથી ફોર્મ લઇ આવી બધા વિદ્યાર્થીઓને ભરવા કહે. તેમાં લગભગ ૨૫ સવાલો હોય કે શિક્ષકનું મૂલ્યાંકન કરવાનું હોય. દરેક સવાલના જવાબમાં ૧ થી ૫ માર્ક આપવાના હોય. પછી બધા ફોર્મ ભેગા કરી એ વિદ્યાર્થી ડિનની ઓફિસમાં આપી આવે.
આ કોર્સ પત્યા પછી હું મારી કારમાં સુવર્ણા તેમજ મારી બે વર્ષની બેબીને લઇ સેન્ટલૂઇસ કેમિકલ એન્જીનીયરીંગ ની વાર્ષિક મિટિંગ એટેન્ડ કરવા ગયો. આ મિટિંગમાં મારે મારુ રિસર્ચ પેપર રજુ કરવાનું હતું. મિટિંગના બીજા દિવસે મારી સેક્રેટરીનો ફોન આવ્યો કે પ્રેસિડેન્ટની ઓફિસમાંથી ફોન આવ્યો છે કે આખી યુનિવર્સીટીમાં તમારા વિદ્યાર્થીઓએ તમારા ટીચિંગને સૌથી વધારે માર્ક આપ્યા છે અને તમને સ્ટાન્ડર્ડ ઓઇલ ઓફ ઇન્ડિયાના ફાઉન્ડેશનનો એક હાજર ડોલરનો ચેક અને પ્લેક યુનિવર્સીટી સેનેટની મિટિંગમાં આપવામાં આવશે. વચ્ચે માત્ર ૩૦ કલાક હતા પણ હું સુવર્ણા તેમજ બેબી બીજલને લઇ કારમાં ગેઇન્સવિલ જવા નીકળી ગયા . પાંચ હજાર પ્રોફેસરોમાં મને મારા પહેલાજ કોર્સમાં બેસ્ટ ટીચરનો એવોર્ડ મળ્યો તેનો અદભુત આનંદ હતો. વીસ કલાક સતત કાર ચલાવી ઘેર આવી ગયા . ત્રણ કલાક ઊંઘ લઇ સેનેટેની મિટિંગમાં હું, સુવર્ણા અને બીજલ ગયા. મને સ્ટેજ ઉપર બોલાવવામાં આવ્યો. તો મારી પાછળ બીજલ પણ દોડીને સ્ટેજ ઉપર આવી ગઈ અને મારી બાજુમાં ઉભી રહી. પ્રેસિડેન્ટે મને ચેક અને પ્લેક આપ્યા ત્યારે બધાએ તાળીઓ પાડી અને મારી બાજુમાં ઉભી રહીને બીજલે પણ તાળીઓ પાડી . મારા વિદ્યાર્થીઓને પણ ખુબ આનંદ થયો. મને ૫ માંથી ૪.૯ એવરેજ માર્ક ટીચિંગ સ્કિલ માટે મળ્યા હતા. બીજા દિવસે લંડનના એક પ્રખ્યાત પ્રોફેસર મને મળવા આવ્યા હતા. તેમણે આ એવોર્ડ મારા ટેબલ પર જોયો તો મને કોંગ્રેચ્યુલેશન કહ્યા. પછી મને કહ્યું કે ડો. શાહ હું તમને શાને માટે અભિનંદન આપું છું તે જાણવું છે? એટલે મેં હા પાડી . તો એમણે કહ્યું કે તમારી માતૃભાષા ગુજરાતી છે અને છતાં તમે અંગ્રેજીમાં ભણાવી બેસ્ટ ટીચરનો એવોર્ડ મેળવ્યો. તમારા કોઈ અમેરિકન પ્રોફેસર ઇન્ડિયા જઈ ત્યાં ગુજરાતીમાં ભણાવી બેસ્ટ ટીચરનો એવોર્ડ લાવે? આ કારણથી તમને અભિનંદન આપું છું.
ક્રમશઃ
-
૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ મૂળભૂત અધિકારોનું હનન છે.
નિસબત
ચંદુ મહેરિયા
કોમનમેન માટે ૧૪૪મી કલમ એટલે એક સ્થળે ચાર કરતાં વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ. પરંતુ ૧૪૪મી કલમનો વ્યાપ બહુ વિશાળ છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં હાલમાં અમલી ૧૪૪મી કલમના જાહેરનામા પ્રમાણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે માટે શહેરમાં ચાર કરતાં વધુ વ્યક્તિઓને એક સાથે એકત્ર થવા, મંડળી રચવા કે રેલી-સરઘસ કાઢવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
લોક આંદોલનો પર પ્રતિબંધ, હથિયારોની હેરાફેરી અને ગેરકાયદે હથિયારો રાખવા પર પ્રતિબંધ, માનવજીવન, આરોગ્ય અને સલામતી પર ખતરો, જાહેર સુરક્ષામાં ગરબડ રોકવી, તોફાનો અને ઉપદ્રવ અટકાવવા જેવા કારણોસર ૧૪૪મી કલમ હેઠળ પ્રતિબંધો લદાય છે. કોરોના મહામારીનો પ્રસાર રોકવા કે તોફાનોમાં જૂઠી અફવાઓ રોકવા ઈન્ટરનેટ બંધ કરવા પણ તેનો ઉપયોગ થાય છે. અસામાન્ય પરિસ્થિતિમાં અસાધારણ ઉપાયોની આવશ્યકતા રહે છે. હિંસા કે ઉપદ્રવની સ્થિતિને અટકાવવા તાત્કાલિક પગલા જરૂરી છે. કંઈક આવા ઉદ્દેશોથી આ કલમ ઘડાઈ છે. પરંતુ આજે તો તેનો હાલતા અને ચાલતા મનસ્વી ઉપયોગ થાય છે.
ક્રિમિનલ પ્રોસિજર કોડ (CrPC)૧૯૭૩ની કલમ ૧૪૪ મૂળે તો બ્રિટિશરોની દેન છે. આઝાદીના આંદોલનોને રોકવા અંગ્રેજ સરકાર તેનો ઉપયોગ કરતી હતી. સંસ્થાનવાદનો જે કેટલોક વારસો સ્વતંત્ર ભારતે જાળવી રાખ્યો છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ કલમ ૧૪૪ છે. નવરચિત ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા( BNSS) ૨૦૨૩માં પણ તે કલમ ૧૬૩ તરીકે જીવંત છે. તેથી ભારતની અપરાધિક ન્યાય વ્યવસ્થામાં કાગળ પર અને વ્યવહારમાં બ્રિટિશકાળના કેટલાક અંશો સચવાયેલા લાગે છે. એક અન્ય અભ્યાસ પ્રમાણે ઈ.સ. ૧૮૬૧માં ગુજરાતના બરોડા સ્ટેટમાં પોલીસ અફસર ઈ.એફ ડેબુ( E.F. DEBOO)એ કલમ ૧૪૪ ઘડી હતી અને તેનો અમલ પણ થતો હતો!

સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી સરકાર વિરોધી આંદોલનોને રોકવા ૧૪૪મી કલમનો સતત ઉપયોગ થાય છે.એટલે તે બંધારણના અનુચ્છેદ ૧૯થી મળેલ નાગરિકોના શાંતિપૂર્ણ અને કાયદેસરના વિરોધના મૂળભૂત અધિકારોનું હનન કરે છે. સરકાર વિરોધી દેખાવો, સભા, સરઘસોને વિફળ કરવા માટે તેનો વ્યાપક ઉપયોગ થાય છે. લોકોના વિરોધને તે અટકાવે છે તેથી નાગરિકોના અભિવ્યક્તિની સ્વતંત્રતાના હકનું ઉલ્લંઘન થાય છે.
૧૪૪મી કલમના મનસ્વી ઉપયોગને આઝાદી પૂર્વેથી માંડીને આજ સુધી અદાલતમાં પડકારવામાં આવતો રહ્યો છે. ૧૯૩૯માં બોમ્બે હાઈકોર્ટે આ સંદર્ભના ચુકાદામાં કહેલું , એ વાતમાં કોઈ શંકા નથી કે ધારા ૧૪૪ હેઠળ સરકાર સ્વતંત્રતાને બાધિત કરે છે. પરંતુ જાહેર સલામતીના સંદર્ભે આવું કરવું અનિવાર્ય હોય ત્યારે જ સરકારે કલમ ૧૪૪નો ઉપયોગ કરી પ્રતિબંધો લાદવા જોઈએ. આ કલમથી એવા પ્રતિબંધો ન લગાવો જેની જરૂર ન હોય.
જન આંદોલનો જેમનો પ્રાણ હતો એવા સમાજવાદી નેતાઓ પર કલમ ૧૪૪ના ભંગના ઘણાં કેસો થતા હતા. એટલે રામ મનોહર લોહિયા, જ્યોર્જ ફર્નાન્ડીઝ અને મધુ લિમયેએ પણ ૧૪૪મી કલમના દુરપયોગ અંગે અદાલતોમાં ધા નાંખી હતી. અલ્હાબાદ હાઈકોર્ટની જસ્ટિસ ગંગેશ્વરપ્રસાદની એકલ પીઠ સમક્ષ રામ મનોહર લોહિયાએ ૧૧,૧૨ ઓગસ્ટ ૧૯૬૬ના રોજ નિવેદન આપ્યું હતું. ૧૪૪મી કલમના વિરોધમાં અને તેને ગેરબંધારણીય ઠેરવવાની માંગ કરવા તેઓ અદાલતમાં આવ્યા છે તેનું કારણ આપતા લોહિયાએ માર્કાની વાત કરી હતી કે,” જબ જનતા બલવાન નહીં હોતી હૈ તો સરકાર કે અન્યાય કા મુકાબલા ન્યાયાલયોં મેં હોના હી ચાહિયે. ઈસીલિયે મુઝે આપ લોગોં કો કષ્ટ દેના પડ રહા હૈ” લોહિયાએ ધારા ૧૪૪ અને તેની સજા નક્કી કરતી ધારા ૧૮૮ બેઉને અસંવૈધાનિક ગણાવતી તર્કબધ્ધ દલીલો કરી હતી. પરંતુ અદાલતે ૧૪૪મી કલમની બંધારણીયતા અને કાયદેસરતા બરકરાર રાખી હતી.
૧૯૭૦માં સમાજવાદી નેતા મધુ લિમયેની પીટિશન પર સર્વોચ્ચ અદાલતના સાત જજોની બેન્ચે ચુકાદો આપ્યો હતો. તેમણે જિલ્લા કલેકટરો અને પોલીસ કમિશનરોને મળેલી ૧૪૪મી કલમ હેઠળ પ્રતિબંધો જાહેર કરવાની સત્તાને ન્યાયિક રીતે ઉપયોગમાં લેવાની અસામાન્ય સત્તા ગણાવી હતી અને તેની ન્યાયિક તપાસ થઈ શકે છે તેવું સ્પષ્ટ કર્યું હતું. કામદાર નેતા જ્યોર્જ ફર્નાંન્ડીઝે પણ ૧૯૮૪માં બોમ્બે હાઈકોર્ટમાં પીટિશન કરી હતી. ૨૦૧૨માં સુપ્રીમ કોર્ટે ધારા ૧૪૪નો દુરપયોગ રોકવાની સલાહ આપી કહ્યું હતું કે આ ધારાની જોગવાઈઓનો ઉપયોગ જાહેર શાંતિ જાળવવા ગંભીર પરિસ્થિતિમાં જ કરવો જોઈએ. વડી અદાલતો અને સર્વોચ્ચ અદાલતે કલમ ૧૪૪ અને ૧૮૮ને બંધારણીય ઠેરવવા સાથે તેના ન્યાયોચિત ઉપયોગને વારંવાર દોહરાવ્યો છે.
ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ એમ.આર મેંગડે( M. R. MENGDEY)ની સીંગલ જજની બેન્ચનો તારીખ ચોથી ડિસેમ્બર ૨૦૨૫નો નવદીપ માથુર વિરુધ્ધ સ્ટેટ ઓફ ગુજરાતનો ચુકાદો ૧૪૪મી કલમના ન્યાયિક ઈતિહાસમાં સીમા ચિહ્નરૂપ છે. વડી અદાલતે અમદાવાદ પોલીસ કમિશનરનું ૧૪૪મી કલમ અંગેનું તા. ત્રીજી નવેમ્બર ૨૦૨૫નું જાહેરનામુ જ રદબાતલ ઠેરવ્યું છે. અદાલતે તેના ચુકાદામાં મહત્વના અવલોકનો અને સૂચનો કર્યા છે.
પીટિશનરોએ અદાલત સમક્ષ ૨૦૧૯માં નાગરિકતા કાયદા વિરોધી આંદોલનોને રોકવા ૨૦૧૬થી ૨૦૧૯માં સતત ૧૪૪મી કલમ જારી રાખી હતી તેના પુરાવા રજૂ કર્યા હતા. જ્યારે સીઆરપીસીની ધારા ૧૪૪(૪)માં પ્રતિબંધોની નિર્ધારિત સમય સીમા બે માસ અને વધુમાં વધુ છ માસ ઠેરવી છે ત્યારે પણ સરકારે તેનો અસીમિત સમય માટે અમલ કર્યો હતો. સતત , પુનરાવર્તિત અને ઘણીવારના પ્રતિબંધોને લક્ષમાં લઈને અદાલતે ૧૪૪મી કલમનું જાહેરનામુ રદ કર્યું હતું. અદાલતે સરકારને માત્ર સરકારી ગેઝેટમાં જ નહીં સોશિયલ મીડિયા અને બીજા માધ્યમોમાં પણ ૧૪૪મી કલમ દ્રારા પ્રતિબંધો જાહેર કર્યાનો વ્યાપક પ્રચાર પ્રસાર કરવા આદેશ કર્યો છે.
કાયદાનો અમલ કરતી વખતે સરકારી તંત્ર કેવું નઘરોળ બની રહે છે તેની સાબિતી ૧૪૪મી કલમ છે. પોલીસ અને વહીવટી તંત્ર સત્તાનો યથેચ્છ ઉપયોગ કરે છે. નાગરિકોને મળેલી કાયદાકીય સુરક્ષાની અવહેલના કરી સત્તાને મનસ્વી રીતે ભોગવે છે. ધારા ૧૪૪નો લેખિત આદેશ કરતાં પૂર્વે પરિસ્થિતિની સંપૂર્ણ ચકાસણી કરવામાં આવતી નથી. વળી ચોક્કસ વિસ્તારને બદલે આખા શહેરમાં તે અમલી બનાવાય છે. લોહિયાએ અલ્હાબાદ હાઈકોર્ટને વિનંતીના સૂરમાં કહ્યું હતું કે,” હો સકતા હૈ કિ તાજીરાત હિન્દ કી જો કલમેં દૂષિત હૈં, ઉસે ઠીક કરને કી આશા હમ સર્વોચ્ચ ન્યાયાલય યા ઉચ્ચ ન્યાયાલયોં સે હી કર સકતે હૈં - લોકસભા મેં તો શાયદ ઈતની તાકત કભી ન હોગી જો ઉસે ઠીક કરે” લોહિયાની આ અરજ પછી સંસ્થાનવાદના અવશેષ સમી ૧૪૪મી કલમને કાયદાપોથીમાંથી દૂર કરીને સાચી અભિવ્યક્તિની સ્વતંત્રતા સ્થપાય તેવી આશા સંસદ પાસે તો રહેતી નથી પરંતુ ગુજરાત હાઈકોર્ટનો જસ્ટિસ મેંગડેનો ચુકાદો ભવિષ્યમાં અદાલતો કંઈક કરશે તે બાબતે આશ્વસ્ત કરે છે.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
સંસ્પર્શ- ૧૯
ધ્રુવ ભટ્ટની નવલકથાઓ પર સ્વ- અનુભૂતિની લેખશ્રેણી
જિગીષા દિલીપ
તમારે નદી, પહાડો, સાગનાં વૃક્ષો, જંગલો, અરે! સમગ્ર પ્રકૃતિ સાથે વાતો કરતાં શીખવું છે? તેમની મૌન ભાષાને સમજી તેના પ્રેમરસને આંખોથી પીવો છે? સર્જનહારે સર્જેલ જડ ચેતન,પશુ-પંખી સમગ્ર કાયનાત સાથે મોજ માણતાં જીવતાં શીખવું હોય, સૃષ્ટિનાં સર્જેલ દરેક ગરીબ, ભણેલા, અભણ, જંગલમાં રહેતા આદિવાસી, સાધુ, ફકીર, ભૂત ભૂવા દરેકની સંવેદનાને તેના હૃદય પર કાન ધરી સાંભળવી હોય, આપણી સંસ્કૃતિ અને ભારતીય પરંપરાને શ્વસીને તેની હૂંફને માણવી હોય તો ધ્રુવદાદાની ‘તત્વમસિ’ નવલકથા જરૂર વાંચવી જોઈએ. જો જીવનરસને મનભરી પી તેમાં મસ્ત થવું હોય, જીવનની સચ્ચાઈને જાણવી અને માણવી હોય તો આ નવલકથા વાંચવી જોઈએ.

આપણે નવલકથા વાંચતાં હોઈએ છીએ ત્યારે તે આપણી બુદ્ધિકક્ષા મુજબ સમજવા પ્રયાસ કરીએ છીએ, પણ લેખક તેમની કલ્પનાનાં દ્વાર ખોલીને આપણને એ કલ્પનાઓમાં વિહરતા કરી દે અને પછી નવલકથા પૂરી થાય એટલે નીચે ધરતી પર પાછા લાવી દે. આ બધું જ કાલ્પનિક હોય. અહીં આ નવલકથામાં દાદાએ આપણને જીવનની નકરી વાસ્તવિકતા, સકળ બ્રહ્માંડ સાથેની આપણી એકરૂપતા, તેમજ દુન્યવી સત્ય, કરુણા અને પ્રેમનાં દર્શન સહજતાથી કરાવ્યાં છે.
ભૌતિક સુખ અને આપણી ભારતીય પરંપરા તેમજ સંસ્કૃતિમાં શું ફરક છે તે ઊંડાણપૂર્વક છતાં સરળતાથી આ નવલકથા દ્વારા સમજાવ્યું છે.
પરદેશમાં લાંબાં સમયથી રહેલ અને અનેક સગવડો વચ્ચે રહેલ વ્યક્તિ પણ જ્યારે ભારતીય પરંપરા, સંસ્કૃતિને જાણે અને સામાન્ય માનવીઓનાં હૃયમાં રહેલી સંવેદનાને સંવેદે છે ત્યારે તેનાથી અભિભૂત થયા વગર રહી શકતો નથી. તેની ડાયરીનાં એક એક પાના પર તેણે અનુભવેલી એક એક લાગણીની ભીનાશ પથરાયેલી અનુભવાય છે. નવલકથા વાંચીને તે ભીનાશ વાચક પણ અનુભવે. આપણી સંસ્કૃતિ આપણી પરંપંરાને જાણી, તેનો પરિચય થતાં તેની સાથે જીવનને માણી તેનો અનોખો આનંદ અનુભવે છે. આ આખી વાત તે પોતાનાં શબ્દોમાં ડાયરીમાં આલેખે છે.
વિદેશથી કમને આવેલ પણ ધીરેધીરે વતનની માટીની સુગંધ, પ્રકૃતિની ગોદ, જંગલની હરિયાળી, નર્મદા કિનારો, નર્મદાનાં પરિક્રમા કરવાવાળાં, તેમની માન્યતાઓ ,નર્મદા તટવાસીઓ, અભણ ,અત્યંત ગરીબાઈમાં પણ ખુશ રહીને જીવતાં આદિવાસીઓ વિગેરે કેવી રીતે એક પરદેશીને ,આકર્ષી પોતાનો બનાવી દે છે તે વાતની ખૂબ સુંદર શબ્દગૂંથણી કરી ધ્રુવદાદાએ નવલકથાનું સર્જન કર્યું છે. એટલે જ આ નવલકથા સાહિત્ય પરિષદ અને નેશનલ એવોર્ડ પ્રાપ્ત કરવા હકદાર બની છે. નવલકથા પરથી બનેલ ફિલ્મ ‘રેવા’ ને પણ નેશનલ એવોર્ડ મળ્યો છે કારણ વાર્તાની પટકથા જ એટલી મજબૂત અને ભારતીય મૂળ સાથે જોડાએલી છે કે, પ્રેક્ષક અને વાચકનાં હૃદયને તેની સંવેદના સ્પર્શી જાય છે. વાચકનાં હૃદયને , પરંપરાને સંસ્કૃતિનાં મૂળિયાં હચમચાવી મૂકે છે, બહારથી અને ભીતર સુધી ભારતીયતાની ઓળખ કરાવે છે.
તત્વમસિ – તત્+ત્વમ્+ અસિ = તે તું જ છે. છાંદોગ્ય ઉપનિષદનાં ચાર મૂળ સિદ્ધાંતોમાંનો એક ‘ તે તું જ છે’ ને સુપેરે રજૂ કરતી નવલકથા એટલે તત્વમસિ.
નર્મદા તેમજ આપણી અન્ય પવિત્ર નદીઓ પાસેથી આપણે શું પામીએ છીએ, તેને આપણી સંસ્કૃતિ માતા તરીકે કેમ ઓળખાવે છે, તેની વાત કરીશું આવતા અંકે
તો ચાલો જોઈએ ,એવું જ કુદરત પાસે લઈ જતું અને આપણને ઢંઢોળતું જ નહીં જગાડતું ધ્રુવગીત,
ભાંગતો પહોર કંઈક બોલે છે બોલ ક્યાંક વાગે છે ઢોલ ,ચાલ જાગીએ.
આઘેના ડુંગરમાં બોલે છે મોર એનો ઝીણો કલશોર,ચાલ જાગીએ.ઝરમરતી વાદળીના ઝીણા વરસાદ ભીનો ચંદરવો ગોળ ,ચાલ જાગીએ.
ઝીલી લે ઝીલી લે વરસ્યાં આકાશ એમાં સપનાંઓ બોળ,ચાલ જાગીએ.ઝીણેરી જાત એના ઝીણેરા ઓરતામાં રાચે છે કોક ,ચાલ જાગીએ.
ઝીણેરી ઝાંઝરીના ઝીણા રણકાર એમાં પગનો હિલ્લોળ ,ચાલ જાગીએ.ઝરમરતી રાત એના ઝીણા ઉજાગરાની આંખો હિંડોળ ,ચાલ જાગીએ.
ઝીણી ઘોડી ને એનો ઝીણો અસવાર કહે દરવાજા ખોલ,ચાલ જાગીએ.ઝીણેરાં ઝાડવાંનાં ઝીણેરાં ફૂલ ખર્યાં આખોયે ચોક,ચાલ જાગીએ.
ફૂલ છે તો ફોરમ કે રંગ છે તો રૂપ બધી ધારણાઓ ફોક,ચાલ જાગીએ.આવ્યા તે ઓઢી લે ઝીણા અંધાર હવે પડછાયા છોડ,ચાલ જાગીએ.
ઝીણેરી વીજળીના ઝીણા ઝબકાર એમાં દર્પણને તોડ ,ચાલ જાગીએ.કેટલું અદ્ભુત ગીત લખ્યું છે, દાદાએ ! કુદરત સાથે રહેતા અને સમગ્રતાથી તેને માણતા દાદા આપણને પણ ઊગતા પહોરે ક્યાંક વાગતાં અનહદનાં ઝીણા નાદને કાન માંડીને સાંભળવા જાગી જવાનું કહે છે. દૂર દૂર ડુંગરમાં બોલતાં મોરના ટહુકા અને ઝીણા કલશોરનો આનંદ લેવા દાદા આપણને જગાડે છે. ઝીણાં વરસાદનાં વરસતાં ચંદરવાને ઝીલીને એ વરસતાં આકાશમાં આપણા સપનાંઓને ઝબોળવાનું સૂચવે છે.અહો! કેટલી સુંદર કલ્પના! આવી વરસાદી રાતે એક ઝીણો અસવાર ઝીણી ઘોડી લઈને આપણા દ્વાર ખખડાવે છે ત્યારે આ ઝરમરતી રાતમાં ઉજાગરો કરજે ,નશીલી રાતમાં ઊંઘી ન જતો. આમ કહી દાદા બારણે આવીને દ્વાર ખખડાવતા એ પરમનાં અનાહત નાદને સાંભળવા આપણને જાગતાં રહેવાની સલાહ આપે છે. ફૂલ છે તો ફોરમ છે અને રંગ, રૂપનાં લોજીકમાં કે માથાકૂટમાં પડ્યા વગર ,તે ધારણાઓને તોડીને ,અતૂટ શ્રદ્ધા અને અખૂટ વિશ્વાસ સાથે ઝીણેરાં ઝાડમાંથી વેરાએલ પુષ્પોથી આચ્છાદિત ચોકની સુગંધ માણવા ,જાગવાનું દાદા કહે છે. અંધકારનાં પડછાયા છોડી, વીજળીનાં ઝબકારે ,પાનબાઈની જેમ મોતીડાં પરોવવાનું સૂચન દાદા કરી આપણને ભવાટવીની નીંદરમાંથી જાગી સત્યને પામવા જાગતા રહેવાનું સૂચવે છે.
આ ધ્રુવગીત જેવીજ વાતો દાદાએ એમની નવલકથામાં તેમનાં પાત્રો અને પ્રકૃતિ દ્વારા આપણને સૂચવી છે. એના માટે તમારે તેમની નવલકથા જ વાંચવી પડે!
સુશ્રી જિગીષાબેન પટેલનો સંપર્ક dilipjigisha@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
એક સાહિત્યિક તીર્થ અને તેમાં રહેલી પુસ્તકપ્રતિમાઓ – અભેદોર્મિ (અભેદાનુભવનાં પદોનો સંગ્રહ)
આદિમુદ્રિત ગ્રંથવૈભવ
નડિયાદમાં આવેલા અનન્ય સાહિત્યતીર્થ ‘ગોવર્ધનરામ સ્મૃતિમંદિર’માં ઓગણીસમી-વીસમી સદીનાં, હિન્દી, ગુજરાતી, અંગ્રેજી તેમજ સંસ્કૃત ભાષાનાં, આશરે સવાસો વર્ષ જૂનાં અઢી હજાર જેટલાં પુસ્તકો અહીં સૂચિબદ્ધ રીતે ગોઠવાયેલાં છે, આ તમામ પુસ્તકો અને સામયિકોનું ડિજિટાઈઝેશન દિલ્હીના ‘રેખ્તા ફાઉન્ડેશન’ના સહયોગમાં થઈ રહ્યું છે. આ પુસ્તકો વેબસાઈટ પર તબક્કાવાર સુલભ બનાવાઈ રહ્યાં છે. આ આદિમુદ્રિત ગ્રંથો પૈકીનાં ગુજરાતી પુસ્તકોનો સંક્ષિપ્ત પરિચય લખાયેલો છે, જેમાં જે તે પુસ્તકની સ્થૂળ વિગતો અને સામગ્રીનો અંદાજ આવી શકે છે. આ પરિચય ‘ગોવર્ધનરામ સ્મૃતિમંદીર’માં બેસીને, એ પુસ્તકોનાં પાનાં ફેરવીને લખાયેલો છે.
‘ગોવર્ધનરામ સ્મૃતિમંદિર’ વિશેનો પરિચય લેખ આ લીન્ક પર વાંચી શકાશે.
https://webgurjari.com/2025/12/15/vintage-classic-lierature-preface/
અભેદોર્મિ (અભેદાનુભવનાં પદોનો સંગ્રહ)
બીરેન કોઠારી

પુસ્તક ક્રમાંક: ત ૨૬/ ૧૭૦૧
પુસ્તકનું નામ: અભેદોર્મિ (અભેદાનુભવનાં પદોનો સંગ્રહ)
ટીકાસમેત રચનાર: ‘સરોદે ઈત્તેફાક’ના એક અભેદમાર્ગપ્રવાસી
પ્રસિદ્ધ કરનાર: –
પ્રકાશન વર્ષ: ૧૮૯૫
કિંમત: –
પૃષ્ઠસંખ્યા: ૨૦૪
વિગત: ‘જવનિકા’, ‘પ્રપાત’ અને ‘ઉર્મિપ્રલાપ’ એમ ત્રણ મુખ્ય ભાગમાં વહેંચાયેલા આ પુસ્તકના આરંભે ‘જવનિકા’ અંતર્ગત વિવિધ પદ આપવામાં આવેલાં છે, જ્યારે બાકીના ભાગમાં લખાણો છે. આ પુસ્તકના કર્તાએ પોતાનું નામ જણાવ્યું નથી.
આ પુસ્તક નીચેની લીન્ક પર વાંચી શકાશે.
https://rekhtagujarati.org/ebooks/manilal-nabhubhai-dwivedi-ebooks
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી -
ગાંધી, લેનિન અને સામ્યવાદનાં ૧૦૦ વર્ષ
તવારીખની તેજછાયા

પ્રકાશ ન. શાહ
આજે કેમ જાણે અસ્તંગમિત મહિમા શો વરતાતો સામ્યવાદી પક્ષ, સો વરસ વટાવી ગયો છે. એક અર્થમાં એ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ બેઉ સમવયી જ છે- ૧૯૨૫ના વિજયાદશમી પર્વે સંઘની સ્થાપના થઈ, અને એ જ વરસના ડિસેમ્બરમાં કાનપુર કોન્ફરન્સ સાથે સામ્યવાદી પક્ષનોયે વિધિવત્ પ્રારંભ થયો. જોકે, સામ્યવાદી પક્ષના ઉદય સંદર્ભે એક બીજી તારીખ પણ પ્રસંગોપાત આગળ કરાતી હોય છે: ૧૯૨૦માં તાશકંદમાં ક્રાંતિકારી પૃષ્ઠભૂ ધરાવતા કેટલાક ભારતીયોએ હિંદી સામ્યવાદી પક્ષનું ગઠન કર્યું હતું, જેમાં અગ્રભૂમિકા એમ. એન. રોયની હતી. રોય મૂળે તો કિશોરાવસ્થા અને તારુણ્યના સંધિકાળે દેશમાં ક્રાંતિકારી વલણો સાથે સક્રિય હતા
અને તે માટે જરૂરી શસ્ત્રખોજ એમને દેશ બહાર લઈ ગઈ. અમેરિકા થઈ એ મેક્સિકો પહોંચ્યા હતા. અમેરિકામાં ત્યારે હિંદી મૂળના જે ક્રાંતિકારી તરુણો હશે તે પૈકી રોયની પ્રતિભા, ત્યાં ત્યારે દેશનિકાલ જિંદગી બસર કરતા લાલા લાજપતરાયને સવિશેષ સ્પર્શી ગઈ હતી. મેક્સિકોમાં સમાજવાદી વલણોવાળી ક્રાંતિમાં રોય સંકળાયા અને અગ્રસ્થાને પહોંચ્યા તે દરમ્યાન એમણે રૂસી ક્રાંતિનીયે છાલક ઝીલી હતી. આ સંપર્ક એમને રશિયામાં લેનિન સાથેના જીવંત સંપર્ક સુધી લઈ ગયો, અને કોમિન્ટર્ન (કોમ્યુનિસ્ટ ઈન્ટરનેશનલ) પર પણ એમનો પાટલો મંડાયો હતો. આગળ ચાલતાં એ ધરપકડનું જોખમ વહોરી દેશમાં પાછા ફર્યા ત્યારે રાષ્ટ્રીય મુક્તિ સાથે આર્થિક-સામાજિક પરિવર્તનના વ્યાપક માનવીય એટલા જ આંતરરાષ્ટ્રીય પરિવર્તનમાં એમની વિચારણા ઠરી હતી.
સામ્યવાદી પક્ષનો વિધિવત્ પ્રારંભ તાશકંદ (૧૯૨૦) ગણો કે કાનપુર (૧૯૨૫)થી, દેશમાં સામ્યવાદી વિચારોના પ્રવેશ ને પરિચયની અવિધિસરની શરૂઆત તો વહેલી થઈ ગઈ હતી. જે અનુશીલન સમિતિ સાથે કોકેન એ ગુપ્ત નામથી ક્યારેક સંઘસ્થાપક હેડગેવાર પણ સંકળાયા હતા તે પૈકી ઘણા રાષ્ટ્રીય આઝાદીના ખયાલની જોડાજોડ સામ્યવાદ ભણી પણ ખેંચાયા હતા. વિવેકાનંદના ભાઈ ભૂપેન્દ્રનાથ દત્ત આ સંદર્ભમાં તરત સાંભરે છે. બલકે, સમયમાં જરી આગળ જઈને સંભારું તો હેડગેવારને શરૂઆતનાં વર્ષોમાં સાંપડી રહેલા સરકાર્યવાહ બાલાજી હુદ્દાસે પણ, પછીથી, સામ્યવાદી સંધાન સ્વીકાર્ય જણાવ્યું હતું.
જોગાનુજોગ જ, ‘ઈન્કિલાબ ઝિંદાબાદ’નો નારો સંભાર્યો તે સાથે હસરત મોહાનીનું સહજ સ્મરણ થઈ આવ્યું. મોહાની આઝાદી જંગના લડવૈયા હતા અને આ નારો એમનું ફરજંદ હતો. ૧૯૨૧ની અમદાવાદ કોંગ્રેસમાં હાજર રહી પૂર્ણ સ્વરાજની એમણે હિમાયત કરી હતી. આ મોહાનીનુંયે આગળ ચાલતાં, સામ્યવાદી સંધાન હતું, પણ અગત્યની વાત એ છે કે કાનપુરની સ્થાપના કોન્ફરન્સથી ચાર વરસ પૂર્વે આ કોંગ્રેસના દિવસોમાં અહીં સામ્યવાદી સાહિત્ય વહેંચાયું હતું જેમાં નોંધપાત્ર પુસ્તક રોય કૃત ‘ઈન્ડિયા ઈન ટ્રાન્ઝિશન’ હતું. ૧૯૨૦ની તાશકંદ ઘટના અને એ જ વરસની ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપનાની ઘટના, એ પણ એક ધ્યાન ખેંચતું ઈતિહાસજોડલું છે.
ઈન્દુલાલ યાજ્ઞિકનું સ્મરણ છે કે ગુજરાતને લેનિનનો પ્રારંભિક પરિચય ગૂજરાત વિદ્યાપીઠના આચાર્ય ગિદવાણીની દેણ હતી. ખરું જોતાં ગાંધી અને લેનિનને સાથે રાખીને ઈતિહાસનાં વહેણ તપાસ લાયક છે. દ. આફ્રિકાથી, આગળ ચાલતાં સામ્રાજ્યવાદ સામેના રાષ્ટ્રીય આઝાદી જંગની ભૂમિકા રચીને ગાંધી વતનમાં ૧૯૧૫માં પાછા ફરે છે, અને લાંબી જલાવતન જિંદગી પછી સંઘર્ષ અને શાસનસૂત્ર સંભાળવા લેનિન ૧૯૧૭માં રશિયા પાછા ફરે છે. વીસમી સદીના પહેલા ચરણમાં, આમ, ઈતિહાસની કરવટબદલનું એક સ્પૃહણીય એટલું જ સ્વાધ્યાયલાયક જોડલું આપણી સામે આવે છે.
હજુ તો રૂસી ક્રાંતિ થઈ પણ નહોતી અને લેનિને હિંદના આઝાદી લડવૈયા લેખે તિલકને બિરદાવ્યા હતા- એમને લાંબી કેદ પડી અને બ્રિટનના લિબરલો કેમ ચૂપ છે, એવું લેનિને લખ્યું હતું. ૧૯૧૭ની ક્રાંતિ વખતે તિલકે ‘કેસરી’માં ખાસ તંત્રીલેખ કર્યો હતો અને લેનિનના નેતૃત્વમાં એક શાંતિચાહક એટલા જ ન્યાય લડવૈયાના ગુણની નોંધ લીધી હતી. અત્યારે જે ખાસ પ્રકારનો રાષ્ટ્રવિમર્શ આપણી સામે આવી રહ્યો છે એની વચ્ચે તિલકનું એ અવલોકન રસપ્રદ થઈ પડે છે કે સત્તાસ્વાર્થ માટે જંગે ચડતા કે યુદ્ધ ઊભું કરતા ઉપલા વર્ગો સામે લેનિનનો ક્રાંતિકારી મિજાજ જાયજ છે અને લાલા લાજપતરાય? એમણે તો ઐટુક (ઓલ ઈન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ)ના સ્થાપના અધિવેશનમાં બિલકુલ લેનિનના જ વિચારદોરનો પડઘો પાડ્યો હતો કે મૂડીવાદ એ મનુષ્યજાતિનું લોહી ચૂસે છે.
લશ્કરવાદ અને સામ્રાજ્યવાદ એ બે મૂડીવાદનાં જોડિયાં સંતાન છે. બલકે, ત્રણે અવિભાજ્યપણે સંપૃક્ત છે. (લેનિન કૃત ‘ઈમ્પિરિયાલિઝમ ઈઝ ધ હાઈએસ્ટ સ્ટેજ ઓફ કેપિટલિઝમ’[1] સાંભરે છે?) ૧૯૨૮ના નવેમ્બરમાં ‘યંગ ઈન્ડિયા’ની એક ટિપ્પણીમાં તેમજ લગભગ એ જ અરસામાં ગૂજરાત વિદ્યાપીઠ ખાતે બોલતાં ગાંધીજીએ લેનિન અને એમના બોલ્શેવિક સાથીઓના સંઘર્ષ ને સમર્પણનો આદરપૂર્વક ઉલ્લેખ કર્યો હતો-

સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી અલબત્ત, હંમેશના કેવિયટનુમા અંદાજમાં કે હું એમના હિંસમાર્ગને સ્વીકારતો નથી. ગમે તેમ પણ, સમજવાનું એ છે કે વીસમી સદીએ એના પહેલા ચરણ અધવચ બે શકવર્તી નેતૃત્વ જોયા હતા, જેમની વચ્ચે રોમાં રોલાં જેવા વિશ્વમાનવતાના યાત્રી કંઈક સમન્વય ઝંખતા હશે એવું કાઠું એ બંનેનું હતું. શતક યાત્રાનું આ તો મુખડું માંડ બાંધ્યું છે. એના ચઢાવ-ઉતાર, ૧૯૪૨થી એનું ને સંઘ બંનેનું અંતર, સ્વરાજ પછી અપવાદ બાદ કરતાં પાર્લમેન્ટરી પદ્ધતિનો અંગીકાર, ૧૯૫૭માં લોકસભામાં મુખ્ય વિપક્ષ- ઘણુંબધું ચર્ચવું રહે છે, યથાનિમિત.
[1] Imperialism the Highest Stage of Capitalism – Vladimir Ilich Lenin – 2011 Reprint of 1934 Edition
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૧૪-૧-૨૦૨૬ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
નક્કામી બધી ચીજો
દરિયા-પારની વાર્તા
પ્રીતિ શાહ-સેનગુપ્તા
“આજે અચાનક જ મારાથી આ પાનાંમાં લખવાનું શરૂ થઈ ગયું છે. આ ડાયરી તો ક્યારની ય પડી’તી. આમ તો અભિનવના ટેબલના ખાનામાં હતી. એ વળી ક્યાંથી લાવ્યા હશે? કોઈએ આપી હશે? પણ એમણે રાખી મૂકી એ વાતની જ નવાઈ લાગે છે. પોતાને કામની ના હોય તેવી ચીજ એ રાખે જ નહીં. એક વાર ખાનામાંથી પોસ્ટેજ સ્ટૅમ્પ લેવા ગઈ ત્યારે મેં એ જોયેલી, પણ એના પર કાંઈ ધ્યાન નહોતું આપ્યું. ભૂલાઈ જ ગયેલી. પણ મગજનું તંત્ર પણ અદ્ભુત જ છે. નહીં તો, આજે દિલ ખોલવાનું મન થયું, ને આ ડાયરી ક્યાંથી યાદ આવી ગઈ હશે?
દિલ ખોલવાનું મન – એ શબ્દો જાણે અજાણ્યા લાગે છે. મેં વળી ક્યારે દિલ ખોલ્યું કોઈની યે પાસે? એવી તક જ ક્યાં મળી? અભિનવ આગળ તો એ ચાલે જ નહીં. વેવલાવેડાં જ લાગે એમને તો. કદાચ વઢી પણ બેસે.
એવું બીજું કોઈ પણ નહોતું, જેની સામે દિલ ખોલી શકાય. મા હોત તો કદાચ – પણ એને તો એક વાર છોડી તે છોડી. એ જીવી ત્યાં સુધીમાં ક્યાં મારાથી – એટલેકે અમારાંથી- પાછાં દેશ જવાયું? (જવાનું તો સાથે જ હોય, અભિનવ કહેતા.) બરાબર દેશવટો જ મળી ગયો હતો મને તો. મન ઝૂરી ઝૂરીને કરમાઈ ગયું. આંખો વરસી વરસીને સૂકાઈ ગઈ. જોકે આ બધુંયે છાનાંમાનાં. અભિનવની સામે તે રોદણાં હોય? એ તો મોટા સાહેબ. ને કહેશે, અરે મેઘા, તને શું સુખ નથી આપ્યું તે આમ રડતી રહે છે? ને બધાંને ઇર્ષા થાય એવા ઘરમાં રહેવા મળ્યું છે તોયે તારાં મા-બાપનું પેલું સાવ ખોલી જેવું મકાન આટલું શું યાદ કરતી હોઈશ?” . . .
કેટલા બધા દિવસ પછી અચાનક આ ડાયરી મેઘાના હાથમાં આવી ગઈ. આશરે ખોલેલા પાના પરના આ શબ્દોથી એને પોતાને જ નવાઈ લાગી. આવું બધું વિચાર્યું હતું ક્યારેય એણે? છી, છી – અભિનવને માટે એના મનમાં આવી ફરિયાદ થઈ આવેલી?
પણ આ લખ્યાને ઘણાં વર્ષો વીતી ગયાં. ને એ પછી મેઘાનું જીવન ક્યાં ઓછા આનંદમાં વીત્યું હતું? તોયે ડાયરી બંધ કરી દઈને મેઘાએ આમતેમ જોયું. જો અભિનવ નજીકમાં હોય તો કદાચ માફી માગી લઉં, એને થયું હશે.
અભિનવના ફોટા પર રેશમી ફૂલોનો સરસ હાર પહેરાવેલો હતો. નિરાલિએ જોતાંવેંત ફગાવી દીધો હતો એને. પપ્પા આવા દેખાવ કરવામાં માનતા નહતા, ને ખોટાં ફૂલોને તો એ અડકે પણ નહીં, તે તું નથી જાણતી?, એ એની માને વઢી હતી. બરાબર અભિનવની જેમ જ. મેઘાએ નિરાલિના મોઢા પરના ભાવ અને ચઢી ગયેલાં ભવાં જોયાં હતાં.
નિરાલિ તો થોડા દિવસ પછી પાછી ન્યૂયૉર્ક જતી રહી હતી. ત્યાં જ એનું કામ હતું, કરિયર હતી, રસપ્રદ પ્રવૃત્તિઓ હતી, મિત્રો હતાં. સબર્બના આ ઘરમાંથી તો એ વર્ષો પહેલાં નીકળી ગઈ હતી.
પછી મેઘાએ એ જ હાર પાછો અભિનવના ફોટાને પહેરાવી દીધેલો.
અભિનવે બહુ શોખથી બંધાવેલું આ ખૂબ મોટું ઘર હવે ખાલી કરવાનું હતું. એ ગયા પછી પણ મેઘા એમાં જ રહી હતી. એને તો પહેલેથી નાનું અમથું, હુંફાળું, પોતાનું ને એકદમ અંગત લાગે તેવું ઘર જ વધારે ગમ્યું હોત. શરૂઆતમાં એણે એવી વાત કરી હશે, ને ત્યારે અભિનવે તરત જ, મેઘાનાં મા-બાપના ખોલી જેવા ઘરનો ઉલ્લેખ કરેલો. જોકે એ પોતે પણ એવી નાની ખોલી જેવા ઘરમાંથી જ આવેલા. એ વાત અભિનવ ક્યારેય જાણે યાદ પણ ના કરતા. એ ભૂલવા જ, અને અન્ય સર્વેને તેમજ પોતાને બતાવી દેવા જ જાણે એમણે આવા અનહદ મોટા ઘરમાં વસવાટ કરવાનો આગ્રહ રાખેલો.
અભિનવના ગયા પછી પણ મેઘા ત્યાં જ રહી. ઘરના છમાંથી ચાર રૂમો તો બંધ જ રહેતા હતા તોયે. નિરાલિએ તો તરત જ ઘર વેચી દેવાની સલાહ આપી હતી. મેઘાએ એ વાત પર ધ્યાન જ નહતું આપ્યું. નિરાલિને ક્યારેક લાગતું કે મમ્મી કશાકની જીદ કરે છે. પણ નિરાલિને ખબર નહતી કે કયા કારણથી, ને કયા ઉદ્દેશથી પપ્પાએ આ ઘર બનાવેલું. એ સમજી નહતી, કે એકલાં થઈ ગયા પછી પણ, એની મમ્મી એના પપ્પાના માનસની બધાંને બતાવી આપવાની જરૂરને માન આપતી રહી હતી.
પણ હવે લગભગ છેલ્લો સમય થઈ આવતો જતો હતો. એકલાં આ ઘરમાં રહેતાં દસ વર્ષ થયાં, હવે મેઘાથી આટલી સંપત્તિ સચવાતી નહતી. ડૉક્ટરે એને કહી જ દીધેલું, કે “આર્થરાઈટિઝ, અને આલ્ઝાઇમરની અસર ગમે ત્યારે થવા માંડે, ને ધીરે ધીરે પછી હાથ-પગ નહીં ચાલે, ને દિમાગ પણ નહીં ચાલે, એ ખ્યાલ છે ને?”
મેઘાને એમ તો હજી કોઈ ખાસ તકલીફ નહતી. પણ લગભગ સાથે જ અમેરિકા આવ્યાં હોય અને સ્થાયી થયાં હોય તેવાં બીજાં મિત્રોની હાલત બગડતી જતી મેઘાએ જોઈ હતી. સરખેસરખી ઉંમરનાં ઘણાં હવે ‘સ્કેલ-ડાઉન’ ને ‘ડાઉન-સાઇઝ’ કરવાની વાતો કરી રહ્યાં હતાં.
જે હતું તે બધું નિરાલિને જ આપવાનું હતું. મેઘાએ તો માન્યું હતું, કે નિરાલિ ખુશ થઈને આ ઘરમાં રહેશે, અહીં જ એનો પોતાનો સંસાર માંડશે. પણ ના, ના, એ આ ઘરમાં રહેવા માગતી જ નહતી. સબર્બમાં રહીને શું કરવાનું? અહીંનું તે કાંઈ જીવન કહેવાય? ન્યૂયૉર્ક શહેરમાં રહીને જુએને, મમ્મી, તો તને ખબર પડે, એ બોલી હતી.
એ સિવાય પણ, મમ્મી, સાવ નાનકડા અપાર્ટમૅન્ટમાં રહેતાં રહેતાં ય લોકો કેટલી નિરાંતમાં, ને કેટલા આનંદમાં જીવતા હોય છે, તે પણ જોવા ને સમજવા જેવું છે. ફક્ત વાહ-વાહ સાંભળવા માટે જીવવાનું તે કાંઈ સાચું જીવન નથી, નિરાલિએ કહ્યું હતું.
એને આ ઘરનો પીછો હંમેશ માટે છોડવો હતો. ઘરને ખાલી કરવાની પણ બહુ મોટી હેરાનગતિ હતી. કેટકેટલી ચીજો- ફર્નિચર, જાજમો, ચિત્રો, ફ્લાવરવાઝ, કપ-રકાબીના સેટ. ઓહોહો, બધી નક્કામી ચીજો, સાવ નક્કામી ચીજો, નિરાલિ ચીડમાં બોલ્યા કરતી હતી. મા-બાપે જાણે એને સજા ફટકારી હતી. આ બધું લીધું એમણે, ને હવે બધું ખાલી કરવાનો આવો ત્રાસ મારે માટે રાખ્યો, એમ જ લાગતું હતું નિરાલિને.
પણ ત્યાં સુધીમાં મેઘાએ નક્કી કરી લીધેલું, કે ઘર છોડવું જ છે, ને એને ખાલી પણ પોતે જ કરશે. નિરાલિની સાવ અનિચ્છા હોય તો ભલે. એ પણ મેઘાએ સ્વીકારી લીધું.
ડાયરીને હાથમાં પકડીને, જરાક પીળાં પડવા માંડેલાં, અને જૂનાં, જર્જરિત થઈ ગયેલાં પાનાં પરના કળાત્મક લાગતા પોતાના જ અક્શરોને જોતી મેઘા ક્યાંય સુધી બેસી રહી. સમય નહતો, ને ઊઠવું પડે તેમ હતું, તે છતાં. દિવાનખાનાનું ફર્નિચર લેવા ‘વૅટૅરન ગ્રૂપ’ના માણસો આવવાના હતા. કોઈ ને કોઈ રીતે બધું જ કાઢી નાખવાનું હતું. આમે ય નિરાલિને તો બધું સાવ નક્કામું જ લાગતું હતુંને. મેઘાએ ઊંડો શ્વાસ લેતાં વિચાર્યું, હવે એ પોતે પણ જરૂરી અને ખાસ ગમતી થોડીક જ ચીજો રાખવા માગતી હતી.
મેઘાએ બીજાં બે-ત્રણ પાનાં જલદી વાંચી લેવા પ્રયત્ન કર્યો.
. . .
“ મારી નિરાલિ જન્મી પછી ઘણું બદલાયું. મારું મન આ ઘરમાં ઠરવા લાગ્યું. અભિનવ પણ થોડા હળવા ચોક્કસ થયા. નિરાલિને કેટલું વહાલ કરતા. એની પાછળ કેટલી દોડાદોડી કરતા, એનો ઘોડો થતા. હું જોઈ જ રહેતી બંનેને. નિરાલિને ઉછેરવાનાં વર્ષો મારી જિંદગીનાં સૌથી મોંઘાંમૂલાં હતાં.”
. . .
“કૉલૅજ માટે તો નિરાલિને ઘરથી દૂર જ જવું હતું. એણે ના આભિનવનું સાંભળ્યું, ના મારી સમજાવટ માની. અમે બંને ઝંખવાઈ ગયેલાં. અઢાર વર્ષ જે છોકરી અમારી હતી – અમારી સંપત્તિ જ વળી, તે હવે અમને તરછોડી રહી હતી. એ પોતાનું જ ધાર્યું કરવા માગતી હતી. આ ફટકો અભિનવને ઘણો વધારે લાગ્યો.
મનમાં ને મનમાં એ જાણે જરા ઉદાસ થઈ ગયા. હું બહુ સાચવી-સંભાળીને રહું, બધું એમને ગમતું જ કરું, પણ એમને જાણે ખુશ કરી જ નહોતા શકાતા. એમણે જૉબમાં પણ વધારે બહાર જવું પડે તેવા પ્રોજેક્ટ લેવા માંડ્યા. ક્યારેક તો નિરાલિ રજાઓમાં ઘેર આવી હોય ત્યારે પણ અભિનવ બહાર હોય એમ બને. સારું ને? તને ને તારી છોકરીને એક્સ્લુઝિવ ટાઇમ મળશે, એ બોલ્યા હતા.
શરૂઆતમાં આવી કડવાશ ભરાઈ ગઈ હતી એમના મનમાં.”
. . . .
આવી કડવાશ ભરાઈ ગઈ હતી અભિનવના મનમાં? હવે મેઘાને એવું યાદ નહતું આવતું. કેમ, અમે પછી નિરાલિની ગેરહાજરીથી ટેવાઈ ગયાં નહોતાં? અમે બંનેએ મુસાફરીઓ પણ કેટલી બધી કરી. મિત્રો સાથે ભેગાં થઈને કેટલું હસ્યાં છીએ. ઘણી યે મઝા કરી છે અમે નિરાલિ વગર પણ.
દરેક જગ્યાએથી ત્યાં ત્યાંની સ્પેશિયલ ચીજો બહુ જ શોખથી ખરીદી હતી. ઇન્ડિયાથી ચાંદીના, ઝીણી કોતરણી કરેલા વાડકા તો વાપર્યા યે બહુ. પૂર્વ યુરોપમાંથી ક્રિસ્ટલના મોંઘા પ્યાલા અને કપ-રકાબીનાં તો દર વખતે વખાણ થતાં. દક્શિણ આફ્રિકાથી રંગ-રંગીન કીડિયાંની ઝૂલવાળી ટેબલ-મૅટ્સથી તો ટેબલ એવું શોભતું. ને જાપાનથી કિમોનો પહેરેલી બે સુંદર ડૉલ લીધેલી. નિરાલિને હવે યાદ નથી, પણ ત્યારે એને બહુ જ ગમી હતી એ જાપાની ઢીંગલીઓ. આ તો હું જ રાખીશ, એણે કહી દીધેલું.
પણ નિરાલિની નજરમાં હવે આ બધું એટલે મમ્મી અને પપ્પાએ ભેગી કરેલી સાવ નક્કામી ચીજો. કોઈ ટેસ્ટ જ નહીં હોય એમનાંમાં? નિરાલિને નહોતી ગમતી ઈસ્ટ યુરોપિયન ક્રિસ્ટલની મોંઘી ચીજો – તૂટતાં વાર જ નહીં, ને કરચો વાગી જાય તે વધારામાં, એણે ચીડમાં વિચાર્યું, અને ઓહોહો, છેક ઇન્ડિયાથી આવેલી સાચ્ચી ચાંદીની, ‘હવે તો જોવા ય ના મળે’ એવી વસ્તુઓ – નિરાલિએ મા-બાપના શબ્દોના ચાળા પાડતાં જાતને ઉદ્દેશી.
એણે કોઈ એજન્ટ નીમવાનું મેઘાને સૂચવેલું. ભલે કરતો એ જ બધી માથાકૂટ – ચીજો વેચવાની કે ચૅરિટીમાં આપી દેવાની. આ નક્કામા ડખા પાછળ ટાઇમ બગાડવા કરતાં, એનો જે ચાર્જ હોય તે આપી દેવો સારો. કશા પ્રયત્ન વગર મેઘાનું મન નિરાલિના સૂચન તરફ સભાન થતું ગયું હતું.
સહેજ નિરાંત મળતાં ફરીથી મેઘાના હાથમાં એ ડાયરી આવી ગઈ. ચાલ, જોઉં બીજાં બે-ચાર પાનાં, કરીને એણે ખોલી. ઘણાં પાનાં સાવ છૂટાં થવાં આવેલાં. જલદી ફેરવતાં એક પાનું એના હાથમાં જાણે ચોંટી ગયું.
. . . .
“મેં કલ્પના પણ નહોતી કરી કે આટલાં મોટાં થઈ ગયાં પછી પણ કોઈને માટે કશું આકર્ષણ અનુભવી શકાય. કૉલૅજમાં પણ પ્રેમ નહતો થયો. ત્યારે તો ઘરમાં જ એવી જપ્તી હતી, કે હૃદય છે એવો ખ્યાલ પણ નહતો આવ્યો ક્યારેય. ને લગ્ન તો બાપુએ કહ્યું તે પ્રમાણે, ત્યારે ને ત્યાં જ, થયું. અભિનવ સારા હતા, ને મારા મનની કશી માગણી પણ નહતી.
પછી એમણે મને યુનિવર્સિટીની લાયબ્રેરીમાં સાધારણ એક નોકરી અપાવી દીધેલી. ખોટો સમય બગાડવા કરતાં જે થોડા પૈસા આવે તે, એમણે કહેલું. મને ત્યાં વાતાવરણ બહુ ગમી ગયેલું. ત્યાં જ રાફાએલ સાથે સહેજ ઓળખાણ થયેલી. મને તો એ સ્કૉલર જેવો લાગતો. જાડી જાડી ચોપડીઓ આપવા-લેવા રોજ આવે.
એમ કરતાં કરતાં પરિચય જરા વધેલો. પહેલાં ચોપડીઓની વાતો, પછી દૂર દૂરના એના બ્રાઝીલ દેશની વાતો, પછી કૅફૅટેરિયામાં સાથે કૉફી પીવા જવું, પછી એક વાર લાયબ્રેરીમાં જ એક વ્યાખ્યાનમાં સાથે બેસવું. એક વાર એક ચોપડીમાંથી કશું બતાવવા ગયો ને અમારા હાથ અડી ગયેલા. પછી ક્યારે એણે હાથ પકડ્યો, અને મારી આંખોમાં જોયું —”
. . .
મેઘાના હાથમાંથી ડાયરી સરકીને નીચે પડી. ટેબલને અથડાઈ, ને એનાં આમેય ઢીલાં થઈ આવેલાં પાનાં છૂટાં થઈને વિખેરાઈ ગયાં. આ તો એટલા સમય પહેલાંની યાદ હતી કે એની યાદ પણ નહતી રહી. આવું બનેલું ખરું?, જાણે પોતાને જ પૂછવું પડે તેમ હતું.
મનની અંદર ઊંડો કૂવો હોવો જોઈએ. ક્યારે પડી ગઈ હશે એમાં આ યાદ?
થીજી ગઈ હોય એમ મેઘા બેસી રહી, ને બહુ વારે કશુંક સપાટી પર આવવા માંડ્યું.
એક મૈત્રી થઈ હોત, તો બહુ કિંમતી બની હોત, પણ બંને વચ્ચે આકર્ષણ થઈ આવેલું. જોકે એક વાર હાથ પકડ્યો તે જ. એ સિવાય આગળ વધાય તેમ તો હતું જ નહીં. શક્યતા જ નહતી. મેઘા પરિણીત હતી, અને રાફાયેલને અચાનક કૌટુંબિક કારણોસર બ્રાઝીલ પાછાં જવું પડે તેમ હતું. ફરી ક્યારેય બંનેને મળવાનું થયું જ નહતું, ને એ પ્રસંગ ભૂલાઈ જ ગયેલો.
ઇન્ડિયન સમાજના શિસ્તબદ્ધ ઉછેર અને જીવન પછી, મનની અંદરના કૂવામાં નાખી દેવો પડે તેવો, જોકે વિદેશના સંદર્ભમાં સાવ સાધારણ જેવો, અનુભવ મેઘાને થયો હતો.
ધીરે ધીરે એને એ પણ યાદ આવ્યું, કે કેટલાક વખત પછી અભિનવ અને મેઘા એક મોટા ફંક્શનમાં ગયાં હતાં ત્યારે રાફાયેલ મળી ગયો હતો. પહેલાંથી પણ વધારે સ્કૉલર જેવો દેખાતો હતો. મેઘાને જોઈને એ જરાક સંકોચ પામી ગયો.
એવું શા માટે?, ત્યારે જ મેઘાને પ્રશ્ન થયેલો.
એણે તરત અભિનવ સાથે ઓળખાણ કરાવી. રાફાયેલે એ જ સંકોચ સાથે એની પત્નીની ઓળખાણ કરાવી. ઓહ, તો વચમાં એ આ બ્રાઝીલિયન સુંદરીને પરણી આવેલો. શું એ માટે જ એ બ્રાઝીલ પાછો ગયો હશે? એ જ હતું એનું “કૌટુંબિક કારણ”, ને શું એથી જ આટલા વખત પછી એ લજ્જિત થઈ રહ્યો હતો?
ચારે જણે ખપ પૂરતો વિવેક દાખવેલો, ને બંને દંપતી જુદી તરફ ચાલી ગયાં હતાં.
ડાયરીનાં પાનાંમાંથી આ વાત નીકળી આવી. રાફાયેલ વિષે આટલું પણ પોતે લખ્યું હશે, એવું મેઘાને યાદ નહતું. અભિનવના હાથમાં ગયું હોત તો? સાવ કારણ વગર મનદુઃખ થાત, ને કદાચ થોડા આર્ગ્યુમેન્ટ પણ થયા હોત.
કારણ વગર. કશાયે કારણ વગર જ ને.
કેટલું અર્થ વગરનું લાગે છે અત્યારે. રાફાયેલની સાથે થયેલો જરાક જેવો પરિચય. સાવ સાધારણ જ હતો. હા, ખરેખર બધું અર્થ વગરનું છે. અરે, તદ્દન નક્કામું છે, મેઘા વિચારવા લાગી. બધું – મોટેથી નાનું, ખાસથી સાધારણ; કશી પણ જૂની યાદો, ઘરની બધી વસ્તુઓ – બધું યે.
અચાનક જાણે મેઘાને સમજાયું, કે ડહાપણ તો ખરેખર નિરાલિમાં જ છે. એણે ક્યારે પણ કોઈ બંધન સ્વીકાર્યાં નહીં. એ પોતાની મરજી પ્રમાણે જ રહી. મા-બાપે વસાવેલું કાંઈ એને જોઈતું નહતું. જે જોઈશે તે પોતે વસાવી લેશે. સમર્થ હતી નિરાલિ એ માટે.
તમને પણ હવે આવું જ નથી લાગતું, આભિનવ? ઘણી વાર આપણને એ ઉદ્ધત ને મનસ્વી લાગી હતી, નહીં? પણ જીવનનો અર્થ તો જાણે એ જ સમજી છે – એમ કે, ઓછામાં પણ ઘણું મળી શકે છે, ને જગ્યા નાની હોય પણ મન મોટું હોઈ શકે છે. શું કહો છો, અભિનવ?
અભિનવે વિચારપૂર્વક કહ્યું હોત, આ દેશમાં વાંચન વધારે છે એટલે, કે સ્કૂલમાંથી જ છોકરાંઓને સ્વતંત્રપણે વિચારવા પ્રોત્સાહન અપાતું હોય છે એટલે, પણ હા, અહીં ઘણાં છોકરાં સરસ મૅચ્યૉર થઈ જતાં હોય છે, જીવનની વાસ્તવિકતાને નાની ઉંમરથી સમજવા લાગતાં હોય છે. હા, સાચી વાત છે, આપણી નિરાલિ આમાંની એક જ છે.
મેઘાને દીકરી પર વહાલ જ નહીં, માન પણ થઈ આવ્યું. પહેલેથી જ એ ખોટી સેન્ટિમેન્ટાલિટીથી દૂર રહી હતી. નાનપણથી જ આટલું ડહાપણ કઈ રીતે આવ્યું હશે એનામાં?
ચોથે દિવસે સવારે મેઘા ઘર છોડી રહી હતી.
એક ઍસ્ટૅટ એજન્ટ નીમી દીધો હતો. એ ગોઠવશે જાહેર હરાજી, અને જે નહીં વેચાય તે ચૅરિટી ખાતે જશે. એ જ ઘરને સાફ કરાવી લેશે. એક રિયાલ ઍસ્ટેટ કંપનીને ઘર વેચવાને માટે નીમી દીધી હતી. એ પૈસા મેઘાનાં બાકીનાં વર્ષો માટે, નિરાલિના ભવિષ્ય માટે, ઇન્ડિયા ને અમેરિકામાં દાન માટે વાપરવાના હતા. એની વ્યવસ્થા વકીલને મળીને થશે. અત્યારે તો જરૂર પ્રમાણેનાં બધાં કાગળિયાં પર સહી-સિક્કા થઈ ગયાં હતાં.
ડાયરીનાં જે થોડાં પાનાંમાં લખાણ હતું તે પાનાં ફાડીને મેઘાએ કચરાની બૅગમાં નાખ્યાં હતાં, ને બાકીનાં પાનાં પસ્તી ભેગાં થયાં હતાં.
સાવ હળવી થઈ ગઈ હતી મેઘા. નક્કામી બધી ચીજો અને યાદો જ્યાં હતી ત્યાં જ રહેવા દીધી હતી. એ એક નાના ને સાદા ફ્લૅટમાં રહેવા જતી હતી. જે કપડાં અને જરૂરી ચીજો વગેરે સાથે લેવાનું હતું તે બધું મોટરમાં માઈ ગયું હતું. એ ફ્લૅટ સાવ ખાલી જેવો રહેશે, પણ મન નિરાંતના ભાવથી ઊભરાતું રહેશે, એને લાગતું હતું.
અભિનવનો ફોટો મેઘાના હાથમાં હૃદયસરસો હતો. ફોટાને પહેરાવેલો હાર તો એણે ચાર દિવસ પહેલાં જ કાઢી નાખ્યો હતો.
સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
-
મનનો માણીગર
વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
પતિ- પત્ની વચ્ચે જાણે જન્મોજન્મનો અભેદ પ્રેમ.
ક્યારેય પિસ્તાળીસ વર્ષના મધુર દાંપત્યજીવનમાં બોલાચાલી નહીં. હંમેશાં આનંદ-ઉલ્લાસ, મોજ-મસ્તીમાં એમના દિવસો જાય. નિર્મલનો અવાજ કમલા પર ક્યારેય ઊંચો થયો હોય એવું બન્યું નથી. ચીઢ, ગુસ્સો, ઘાંટાઘાંટ તો જાણે એમના સંસારમાં અમાસનો ચંદ્ર જેવી અશક્ય ઘટના. હા, ક્યારેક બનાવટી ગુસ્સો કરે પણ એમાંય ભરપૂર પ્રેમ છલકાતો હોય.
કમલા તો સાક્ષાત લક્ષ્મી,પાર્વતી, સરસ્વતી, સીતા, સાવિત્રી, દમયંતીનું સ્વરૂપ. રૂપ, ગુણ, સહનશીલતા, અતિથિ સત્કાર, પતિ-ભક્તિ, પ્રેમ-સ્નેહથી છલોછલ પત્ની પામીને નિર્મલ પોતાની જાતને નસીબદાર માનતો.
ક્યારેક નિર્મલ અતિ પ્રેમાવેશમાં આવીને કમલાને કહેતો, “નારીનું જીવન તને મળ્યું છે છતાં ગુસ્સો, અહંકાર, અભિમાન, ઈર્ષા, રાગ-દ્વેષથી આટલી મુક્ત કેવી રીતે રહી શકે છે?”
ગોરજ ટાણે છવાયેલો આકાશી રંગ કમલાના ચહેરા પર ઉતરી આવતો.
“મારે તો જીવવું-મરવું બંને તમારી જ સાથે છે તો પછી ગુસ્સો કેવો ને વાત કેવી! ઈર્ષા કે વાદ-વિવાદ પણ શા માટે?”
હા, મરવાની વાત પર પતિ-પત્ની વચ્ચે જરૂર વિવાદ થઈ હતો. કોણ પહેલાં મરે અને કોણ પછી, એ અંગે બેમાંથી એકે સમાધાન કરવા તૈયાર નહોતાં. બંનેને એકબીજા વગર જીવવાનું મંજૂર નહોતું. પતિના મૃત્યુની વાતથી પત્ની જે વ્યથા અનુભવતી એ જોઈને નિર્મલ નમતું જોખતો.
“ભલે, તને વિદાય કરતાં મને ગમે એટલું દુઃખ થાય એ હું સહન કરી લઈશ. તારાં વિના જીવવું કેટલુંય અકારું હશે એ જીરવી લઈશ, પણ જીવતેજીવે તે મને દુઃખ નથી આપ્યું તો પહેલાં મરીને તને વૈધવ્યનું દુઃખ નહીં આપું.
સધવા મૃત્યુની કલ્પનાથી કમલાની આંખમાં આનંદમિશ્રિત આંસુ ધસી આવતાં સાથે પતિની એકલતા, અસહાયતાનો વિચારથીય કમલાને પીડા થઈ આવતી.
“હું નહીં હોઉં પછી કોણ તમારી સંભાળ લેશે?”
“સારું તો એવું કરીશું, આપણે બંને એક સાથે એક ચિતામાં પોઢીશું. એકમેકને યાદ કરવાની ચિંતા નહીં.” નિર્મલ આશ્વાસન આપતો. બંને જણાં પોતાની બાળકો જેવી હરકતથી હસી પડતાં, જાણે યમરાજા એમનું કહ્યું માનીને બંનેને એક સાથે બાંધીને ના લઈ જવાના હોય!
જેમજેમ ઉંમર વધતી ગઈ એમ બંને જણાંએ મરવાની વાત કરવાનું છોડી દીધું. પણ, બંનેનાં મનની અંદર કોઈ એકલું પડી જશે એ વાતનો સતત ભય રહેતો. સંતાનો મોટાં થવા છતાં બંનેના પ્રેમમાં ન કોઈ અંતરાય ઊભો થયો કે ના કોઈ સાંસારિક વૈરાગ્ય.
કમલા કહેતી કે, “પતિ-પત્નીના પ્રેમમાં યુવાની કે બુઢાપાની સીમાઓમાં ક્યાં બંધાય છે? શારીરિક સંબંધથી વધીને આત્માનોય સંબંધ હોય કે નહીં? જીવનનો હવે જેટલો સમય બાકી છે ત્યાં સુધી તો હું એમની સંભાળ લઈશ.”
અને એવું જ બન્યું. કમલા મૃત્યુશૈયા પર હતી ત્યારે એને દીકરા-દીકરીઓ કે પોતરાંઓ કરતાં પતિની ચિંતા અધિક હતી.
એક બાજુ અનુભવી મન કહેતું કે, ‘તું નાહક ચિંતા કરે છે. સમય જતા આ શોક ઓછો થઈ જશે. સમયની સાથે દિવસ-રાત બદલાય, ઋતુઓ બદલાય છે એમ નિર્મલનું દુઃખ, શોક થાળે પડશે ને અન્ય માનવીની જેમ સહજ જીવન જીવવા માંડશે’ પણ દિલ એ વાત માનવા કેમેય તૈયાર નહોતું થતું.
એને મરવા કરતાં પોતાના ગયા પછી પતિનું શું થશે એની પરવા વધુ હતી. પોતાનો અભાવ ન સાલે એ માટે દીકરા-દીકરીઓને, પુત્રવધૂને પતિની સંભાળ રાખવાની અંતિમ ક્ષણો સુધી સતત ભલામણ કરતી રહી.
કમલાનું અવસાન થયું. નિર્મલને છોડીને સઘળું થાળે પડવા માંડ્યું, સવારથી માંડીને આખો દિવસ કમલાના નામનો એનો જાપ ચાલુ રહેતો. કમલા ખાવાનું બનાવવાથી માંડીને પીરસવા સુધી, પગ દબાવી આપવાથી માંડીને પથારી કરવા સુધી કેવી રીતે કામ કરતી એ રટણ ચાલું રહેતું. નિર્મલનું મન રાજી રહે એ માટે ઘરમાં સૌ કમલાની જેમ કામ કરવા કોશિશ કરતાં.
કમલાના હાથનો જાદુ તો અન્યના હાથમાં ક્યાંથી આવે? દરેક બાબતમાં, દરેક કામમાં કમલાની તુલનાથી પુત્રવધૂ પણ પાછી પડતી. સમય જતા નિર્મલનું ખાવા-પીવાનું, ઊંઘવાનું ઓછું થતું ગયું. કમલાએ પાથરેલી પથારીમાં જેવી ઊંઘ આવતી એવી હવે ક્યાં આવવાની?
આખો દિવસ કમલાની ચૂડી, ચશ્મા, સિંદૂર, સાડીઓને સ્પર્શીને એ ભૌતિક ચીજોમાં કમલાનું અસ્તિત્વ અનુભવતા.
કમલા વિના એ મૃત્યુ જેવી યાતના અનુભવતો એથી પરિવારને વિશેષ યાતના થતી. એનું મન બીજે વાળવાના અનેક પ્રયાસો પછીય એ વળીવળીને કમલાની વાતોનો તંતુ પકડી રાખતો.
કોઈની ક્યાં સુધી ધીરજ રહે?
નિર્મલનો કમલા પ્રત્યેનો અપાર પ્રેમ જ અભિશાપ બનતો ચાલ્યો. કમલાના અવસાનને ત્રણ મહિના પસાર થઈ ગયા, પણ કમલા મૈયર ગઈ હોય અને ગમે ત્યારે પાછી આવશે એવી રીતે નિર્મલ એની ચીજ-વસ્તુઓને સાચવ્યા કરતો. કરકસરમાં માનતી કમલાએ ક્યારેય નિરર્થક ખર્ચો કર્યો નહોતો કે ક્યારેય નિર્મલ પાસે વધારાના રૂપિયા માંગ્યા નહોતા છતાં સંસાર સરસ રીતે ચાલતો. કમલા એ કેવી રીતે ચલાવતી હશે એનું નિર્મલને હંમેશાં આશ્ચર્ય થતું.
એક દિવસ કમલાના કબાટમાંથી એક થેલી મળી. થેલીમાં રૂપિયાની સાથે એક કાગળ હતો. કાગળમાં લખ્યું હતું, ‘તમારો સ્વભાવ જાણું છું. જરૂર પડે કોઈની પાસે પાંચ રૂપિયાય નહીં માંગો એટલા માટે હંમેશાં મારા માટેના ખર્ચમાંથી બચાવીને તમારા માટે મૂકતી જાઉં છું. થેલીના રૂપિયા જોઈને પુત્ર-પુત્રવધૂ સ્તબ્ધ. આટલા રૂપિયા એકઠા કરવામાં માએ જીવનભર શેનો ત્યાગ નહીં કર્યો હોય!
એ પછી તો નિર્મલને કમલાની ડાયરી મળી જેમાં કમલાએ લગ્નથી માંડીને ઘણી બાબતોનો નિર્ભિકતાથી ઉલ્લેખ કર્યો હતો. સંતાનોના જન્મ લાલનપાલન,પોતરાંઓના જન્મ, દાંપત્યજીવની સુખદ-દુઃખદ ઘટનાઓ એણે આલેખી હતી. એમાં કેટલીય એવી હતી જેની નિર્મલને આજ સુધી જાણ નહોતી કે નહોતી કમલાએ જાણ થવા દીધી. અનેક પારિવારિક સમસ્યાઓ જેનાથી એક પિતા તરીકે નિર્મલના હૃદયને ઠેસ પહોંચશે એ જાણીને ભલે કમલા એ આગની આંચમાં શેકાતી રહી પણ પતિ સુધી પહોંચાડવાના બદલે એણે પોતાના પાલવમાં સમેટી રાખી હતી.
કમલા માનતી કે, સંસારમાં આર્થિક જવાબદારીઓ પુરુષો સંભાળતા હોય ત્યારે પત્નીઓ મહત્વની કોઈ જવાબદારીઓમાં સહાયરૂપ થઈ શકતી નથી. હું પણ આર્થિક સંકટમાં સહાયરૂપ ન થઈ શકતી હોઉં તો મારા પતિને સંસારની હૈયા બળતરાથી તો દૂર રાખી શકું ને?
કમલાની ડાયરીનાં લખાણથી તો એ પતિને સમર્પિત આદર્શ નારી જ નહીં, સૌને દેવી જેવી પૂજ્ય લાગી.
નિર્મલને એવું લાગતું કે, ખરેખર એ આવી પત્નીને લાયક પતિ હતો ખરો? આ વિચારે એનો શોક વધુ ઘેરો બન્યો. હવે નિર્મલે કમલાની વાતોનું રટણ છોડીને ભાગવત-ગીતાની જેમ એ ડાયરી વાંચવા માંડી.
અંતે ડાયરીનું અંતિમ પાનું આવ્યું જે કમલાએ મૃત્યુના થોડા દિવસ પહેલાં લખ્યું હતું. એ વાંચીને નિર્મલના વિચારો, વાણી,વર્તન,વ્યવહારથી માંડીને વ્યક્તિત્વ સુદ્ધાં બદલાઈ ગયું. આજ સુધી જણસની જેમ સાચવેલી કમલાની તમામ ચીજો તોડી-ફોડીને ફેંકવા માંડી. અરે, કમલાના ફોટા સુદ્ધાં ફાડી નાખ્યા.
“આ મોહ,માયા, પતિ-પત્નીનો પ્રેમ સઘળું બાહ્ય દેખાડો છે. હું એક મૂર્ખની જેમ કમલાની યાદમાં મારું જીવન વેડફી રહ્યો હતો. એકલો આવ્યો હતો અને એકલો જઈશ.
“કમલા, મારી સાથે તેં આખું જીવન માત્ર નાટક કર્યું અને મેં સાચું માની લીધું. નફરત છે મને તારા માટે. આજથી તું મારા માટે સાચે જ મરી પરવારી.
“જે મરી ગયું એની પાછળ શોક શું કામ કરવાનો? હવે જીવનમાં શોકના બદલે આનંદ માણીશ. તારી છાયાથી મુક્ત સ્વતંત્ર માણસ બનીને જીવીશ.”
સાચે જ નિર્મલ ખૂબ પ્રફુલ્લિત બની ગયો. આજ સુધી શોકગ્રસ્ત નિર્મલમાં અચાનક ફરકથી સૌને આશ્ચર્ય અને સાથે ચિંતા થઈ.
સૌએ ડાયરીનું અંતિમ પાનું વાંચ્યું જેમાં લખ્યું હતું, “મારા પતિ જેવો સરળ, નિર્મોહી માણસ મળવો મુશ્કેલ છે, પણ આવતા ભવમાં હું એ મને પતિ નહીં પુત્રરૂપે મળે એમ ઈચ્છું છું. જીવનભર મેં એમને સંતાન જેવો સ્નેહ આપ્યો જેનાથી એ સંતુષ્ટ હતા. એમની પાસે દુનિયાભરનું સુખ મને મળ્યું છે, છતાં મારું મન એક વાતે વ્યથિત રહ્યું કે, એ સંપૂર્ણ હોવા છતાં મારી કલ્પનાના પુરુષ નહોતા. મારા મનના માણીગર નહોતા.”
પ્રતિભા રાય લિખીત, રાજેન્દ્ર પ્રસાદ મિશ્ર અનુવાદિત ઉડિયા વાર્તા પર આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
ગીતબિતાન (“Garden of songs”) গীতবিতান – ૯
રબીન્દ્રસંગીતમાં છલકાતી મેઘધનુષી સંવેદનાઓનું આચમન…

અલ્પા શાહ
નમસ્કાર મિત્રો, “ગીતબિતાન” શ્રેણીમાં ફરી એક વાર આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે.
કવિવર ટાગોરે રબીન્દ્રસંગીત દ્વારા માનવીના મનમાં ઉદ્ભવતી પ્રત્યેક પ્રકારની લાગણીને વ્યક્ત કરેલ છે. આપણે આ લેખમાળાના અગાઉના લેખોમાં પરમેશ્વરને કેન્દ્રમાં રાખીને રચાયેલી રચનાઓમાં છલકાતી સંવેદનાઓને માણી. પ્રત્યેક જીવ માટે પરમેશ્વર પછીનું જીવનચાલક બળ (driving force) હોય તો તે છે પ્રેમ. “Love is the strongest force in the universe” કવિવર ટાગોરે પણ આ પ્રચંડ પ્રેમની નજાકતને અનેક નાજુક રચનાઓ દ્વારા રજુ કરેલ છે. આ બધી રચનાઓ પ્રેમ પારજોયમાં વર્ગીકૃત થયેલી છે. કવિવરની પ્રેમ પારજોય માં વર્ગીકૃત રચનાઓ પરમેશ્વર પરત્વેના પ્રેમને પણ લાગુ પડે છે એટલેકે કવિવરે આ રચનાઓને પરમ પ્રિયતમને કેન્દ્રમાં રાખીને રચેલ છે .
પ્રેમ – શબ્દ ભલે ટચુકડો પણ સાચા પ્રેમમાં રહેલું ઊંડાણ માપવા અને તેનો ક્યાસ કાઢવા કદાચ જન્મોજનમ ઓછા પડે. અહીં પ્રેમની પરિભાષા માત્ર વિજાતીય પ્રેમ સુધીજ સીમિત નથી. પ્રેમતો દરેક સંબધમાં મહોરી શકે, વિકસી શકે. કવિવર પોતે એવું માનતા કે ” Love is the only reality and it is not a mere sentiment. It is the ultimate truth that lies at the heart of creation.”. અર્થાત પ્રેમ એ ફક્ત એક લાગણી નથી પણ એક નક્કર વાસ્તવિકતા છે. આ પરમ સત્ય ઉત્પત્તિના કેન્દ્ર સ્થાને છે. કવિવરને મન પ્રેમ એટલે અલૌકિક પ્રેમ. He envisioned love as platonic love and never believed in romantic love. અને કદાચ એટલેજ કવિવરની પ્રેમ પારજોયની રચનાઓમાં પ્રેમની અભિવ્યક્તિનું ઊંડાણ કંઈક સવિશેષ જોવા મળે છે.
આ અલૌકિક પ્રેમને વર્ણવતી કવિવરની પ્રેમ પારજોયની સૌથી વધુ પ્રખ્યાત રચનાને આજે આપણે જાણીશું અને માણીશું. 1888 માં રચાયેલીઆ રચનાનું શીર્ષકછે আমার পরান যাহা চায়(Aamaro parano jaaha chaay) અને તેનું ભાવાત્મક અનુવાદિત શીર્ષક છે”એક તું જ વસે મારા શ્વાસે શ્વાસે …”.આ રચનાનું સ્વરાંકન કવિવરે પીલુ રાગ પર કરેલું છે. આ રચનાને તીનતાલ તાલમાં તાલબદ્ધ કરવામાં આવેલ છે. બંગાળી રબીન્દ્રસંગીતના ખ્યાતનામ કલાકારોના અવાજમાં આ રચનાને સાંભળવી એ એક અનેરો લ્હાવો છે.મેં આ રચનાનો ગુજરાતીમાં પદ્યસ્વરૂપે ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયત્ન કર્યો છે તે દ્વારા આપણે આ રચનામાં રહેલી સંવેદનાઓમાં ભીંજાવાનો પ્રયત્ન કરીશું.
એક તું જ વસે મારા શ્વાસે શ્વાસે…
મારા હૈયાને સજાવ્યું છે મેં તારા સાજે
તારા વિના જગત સઘળું મિથ્યા ભાસે
બસ, એક તું જ વસે મારા શ્વાસે શ્વાસેઈચ્છું તો છું કે તું રહે સદા મારી પાસે
પણ મારો પ્રેમ બેડી થઇ કદી ન બાંધે
તું મુક્ત છે ઉડવા તારા મનના પ્રવાસે
બસ, એક તું જ વસે મારા શ્વાસે શ્વાસેભલે તારા વિરહમાં દિવસો વીતી જાશે
વિતાવીશ આ જિંદગી યાદોના સહવાસે
તારી ખૂશીમાં જ મારી ખુશી સમાશે
બસ, એક તું જ વસે મારા શ્વાસે શ્વાસેઆમતો ખુબ સરળ લાગતી આ રચનામાં કવિવરે અલૌકિક પ્રેમનું એક અગત્યનું લક્ષણ છે તે રજુ કર્યું છે. ” Love does not claim possession but gives freedom.”. સાચો અલૌકિક પ્રેમ ક્યારેય પ્રિયજન પર આધિપત્ય જમાવે નહિ, એ તો પ્રિયજનને વિકસાવે, નિખારે અને વિસ્તારે. જયારે પ્રિયજનની ખુશીમાંજ આપણી ખુશી પણ ઓગળી જાય ત્યારેજ એ પ્રેમના રખોપા થાય.
આ રચનાને હું સમજી ત્યારે મને એવું લાગ્યું કે કવિવરે કદાચ ગોપીભાવે આ રચના કરી હશે. ગોપીઓના શ્યામ પ્રત્યેના અલૌકિક પ્રેમથી આપણે સૌ પરિચિત છીએ. ગોકુલ/વૃંદાવનથી શ્યામ જ્યારે મથુરા જવા સિધાવ્યા ત્યારે કદાચ ગોપીઓના મનમાં પણ આ રચનામાં વહાવ્યા છે તેવા જ ભાવ ઉદ્ભવ્યા હશે. ગોપીઓએ શ્યામને પ્રેમના બંધનમાં બાંધી ને પણ મુક્ત રાખ્યા
હમણાં મેં ઓશોનો પ્રેમ અંગેનો એક વિચાર વાંચ્યો તે પણ કવિવરની આ રચનાની સંવેદનાઓ સાથે બંધ બેસે તેવો છે. ઓશોએ પ્રેમને એક નવા પરિમાણ થી નિહાળ્યો છે. ઓશો કહે કે અલૌકિક પ્રેમમાં નામ આપી શકાય એવા સંબંધો વિકસવાની શક્યતા નહિવત હોય છે. કારણ કે જ્યાં પ્રેમનું સંબંધમાં રૂપાંતર થવા લાગે ત્યાં ઈચ્છા અને અપેક્ષા ના ધાડા ઉમટી આવે અને એકબીજા પર આધિપત્ય જમાવવાની હરીફાઈ શરૂ થાય. અને અલૌકિક પ્રેમ નું એક નામ માત્રના સંબંધમાં રૂપાંતર થઈ જાય. જોકે આજના યુગમાં તો આવા અલૌકિક પ્રેમનું અસ્તિત્વ લગભગ નહિવત જ હશે.
એક પરમાત્મા જ આપણને સર્વોપરી સમગ્રતાથી અને સાશ્વતતાથી પ્રેમ કરતા આવ્યા છે અને કરતા જ રહેશે. એ પરમાત્મા પ્રત્યે આભારભાવ અને આદરભાવ વ્યક્ત કરતા કરતા હું મારી કલમને વિરામ આપું છું. આશા રાખું છું કે તમે પણ આ ગીતમાં રજુ થતી સંવેદનોની સરવાણીમાં ભીંજાયા હશો. તમારા માર્ગદર્શન અને પ્રતિભાવોની અપેક્ષા સહ,
સુશ્રી અલ્પાબહેન શાહનો સંપર્ક alpadipeshshah@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
રવીંદ્રસંગીત : સે દિન દુજને…
સંગીતની કેડીએ જિપ્સીનો વિસામો
કેપ્ટન નરેન્દ્ર ફણસે
એકાંતની ઘડીમાં અંતરની ગુફામાંથી નીકળતા સૂરોનાં વલય આવીને હૃદયવીણાને સ્પર્શ કરી જાય અને તે નો ઝણકાર આખો દિવસ સંભળાતો રહે. એવું સૌના જીવનમાં બનતું હોય છે. આવા પ્રસંગની અનુભુતિ આપણે કદી ભુલી શક્યા છીએ?આ કેવી અનુભૂતિને શું કહેવું?તેને શું નામ આપવું?
આવાં પ્રશ્નો મનમંા ઊઠે તે પહેલાં પેલો પ્રસંગ યાદ આવે છે…આપણે તેમને કદી’ક મળ્યા હતા. અરસ પરસ નજરો મળી હતી અને તેમની આંખોમાં સ્મિત જોયું હતું! ભ્રમ તો નથી ને થયો તે જોવા માટે ફરી એક વાર શરમાળ નજરે તેમની તરફ જોયું . આ વખતે આ અવર્ણનીય હાસ્યની છટા કેવળ તેમની આંખોમાં જ નહિ, તેમના ઓષ્ઠદ્વય પરથી સરકી જતી જોવા મળી હતી! હૃદયો મળ્યાં અને ઘડી બે ઘડી મિલાપ થયો ત્યાં તો વિદાયનો સમય આવી ગયો. જતાં જતાં તેમણે આપણી સામે જોયું. તેમની આંખોમાંથી એક કાવ્ય નિતરતું હતું. આપણી પાસે પણ આપણા હૃદયની ભાવના કહેવાનો સમય નથી રહ્યો, પણ તેમનાં નેત્રોમાંથી નીકળતી કવિતા ઊડીને આપણા હૃદયમાં જડાઈ ગઈ, અને તેમાંથી નીકળતા શબ્દ વારે વારે કહેતા હતા, ‘આપણાં હૃદયોને સ્નેહની જે દોરીએ બાંધ્યાં તે દિવસને ભુલશો ના! ના ભુલશો!કવીવર રવીંદ્રનાથે તેમને થયેલી આ દિવ્ય અનુભુતિને ગીતમાં આલેખી અને તેને જે સૂર આપ્યા. અનેક દશક વિતી ગયા પણ ગીત રાત દિવસ લોકોનાં મનમાં હજી ઘૂમ્યા જ કરે છે! બંગાળ – અને ભારતના અન્ય પ્રદેશોમાંના ગાયક-ગાયિકાઓએ આ ગીત ગાયું, પુરુષના સ્વરમાં, સ્ત્રીના સૂરમાં, દ્વંદ્વગીત તરીકે. ન તો ગાયકો કદી આ ગીત ગાતાં થાક્યાં, ન સાંભળનારા! આજે આપણે બે ગાયકોના સ્વરમાં આ ગીત સાંભળીશું. પહેલાં શ્રી. દેવવ્રત વિશ્વાસના સ્વરમાં. બન્ને ગાયકોએ દરેક કડીના અંતમાં આવતા શબ્દ ‘ભુલો ના…” એવી આર્જવતાપૂર્વક ગાયા છે, શ્રોતા તેમાં વહી જાય! ગીત છે :
સે દિન દુજોને અને ગાયક છે દેવવ્રત વિશ્વાસહવે સાંભળીશું શ્રીમતી જયતિ ચક્રવર્તીના અવાજમાં.બેઉ ગાયકોની ગીતના ભાવોની પ્રસ્તુતી (expression) સાંભળીને વિચાર થાય, શું પુરષ અને સ્ત્રીની સંવેદનામાં કોઈ ફેર હોય છે? તેમની એકબીજા પ્રત્યેની લાગણીઓની ઉત્કટતામાં કશું અંતર હોય છે?
ખરી વાત તો એ છે કે ભાવનાઓ સૌના હૃદયમાં એક સરખી હોય છે. સ્ત્્રીઓ આ યાદોને તેમના હૃદયની વિશાળ તિજોરીમાં મહામૂલા આભુષણની જેમ સાચવી રાખે છે. કોઈ એકાંતની ક્ષણમાં આ સંદૂક ખોલી, તેમાંથી યાદોનું આભુષણ કાઢી હૃદય પર રાખી ‘એ’ પળો યાદ કરે છે. શંખમાંથી નીકળતા મહાસાગરના ઘૂઘવાટની જેમ આવું ગીત કદાચ તેમના કાનમાં ગૂંજે તે સાંભળી તેને પાછું પેલા છૂપા ખજાનામાં મૂકી દે છે.
અને પુરૂષ? એની ઢબ કદાચ જુદી હોઈ શકે છે. કોઈ તેની વાંસળીના સૂરમાં યાદોનું ગીત વહાવીને, કે અાવું કોઈ ગીત સાંભળીને તે યાદોને ફરી એકાદ બે ક્ષણ જીવી લે છે…
સે દિન દુજોને – ૨૦૧૧ના લંડનના કન્સર્ટમાં પંડિત રવિશંકરે પોતાના સ્વરમાં સિતારના સુરની સંગતમાં કરેલી પ્રસ્તુતિઆ ગીતનો આનંદ લેવા માટે ગીતની સાથે તેના મૂળ બંગાળી શબ્દો જોઈશું – અને તેની સાથે એક અણઘડ વ્યક્તિ દ્વારા થયેલ તેનો ગુજરાતી ભાવાનુવાદ મૂક્યો છે.સે દિન દૂજોને દૂલેછિનૂ વને, ફૂલડોરે બાંધા ઝૂલનાસેઈ સ્મૃતિટૂકૂ કભૂ ખને ખને જેનો જાગે મને ભૂલોના, ભૂલો ના, ભૂલો ના, ભૂલોના…સેદિન બાતાસે છિલ તુમિ જાન – આમારિ મનેર પ્રલાપ જડાનો,આકાશે આકાશે આછિલ છડાનો તોમાર હાસિર તૂલના ।। ભુલો નાતે દિન આ બે જણાં, વનમાં શું ઝૂલ્યાં, ફૂલ-દોર બાંધેલા ઝૂલેસ્મૃતિ તેની બેઊ મને ક્ષણે ક્ષણે જાગે, કદી ભૂલો ના!તે દિન હવામાં હતો, તમે જાણો, અમારા મનનો પ્રલાપ એવો તે જડાયો,આકાશે ફેલાયું, તમારૂં એ હાસ્ય, કેવું તે રેલાયું, તે તમે ભૂલો ના!જેતે જેતે પથે પૂર્ણિમારાતે ચાંદ ઊઠે છિલ ગગનેદેખા હયે છિલ, તોમાતે-આમાતે કિ જાનિ કિ મહાલગને – ચાંદ ઊઠે છિલ ગગને…એખન આમાર, બેલા નાહિ આર, બહિબ એકાકી બિરહેર ભાર-બાંધિનૂ જે રાખી પરાને તોમાર સે રાખી ખૂલો ના, ખૂલો ના ।। ભૂલોનાજતાં જતાં પથ પર, પૂનમની રાતે, ચાંદ ખિલ્યો કેવો ગગને!આપણાં મહા મિલનની ઘડી કેવી, કેવી રે મહિમ…ચાંદ કેવો ખિલ્યો ગગને!હવે તો સમય રહ્યો ના બાકી, એકાકી વિરહનો ભારપ્રેમનાં બંધન, બાંધ્મા તમ સંગ, કદી ખોલો ના, ભુલો ના, -
આ પીછેહઠ નહીં આગેકદમ છે
કૃષિ વિષયક અનુભવો
હીરજી ભીંગરાડિયા
હરેક જાગૃતિ પૂર્વકનો અભિગમ પરિવર્તનશીલ અને પ્રગતિકર હોય છે. કૃષિને તે વાત સવિશેષ લાગુ પડે છે. આપણે એક અતિ ટુંકા ગાળામાં જ કૃષિઉત્પાદનમાં થઇ ગયેલી ચમત્કારિક પ્રગતિ જોઇ છે. હજુ હમણા જ ૧૯૬૦-૬૫ પહેલા ભારતની ખેતી ભારતીઓને ખાવા અનાજ ઉત્પન્ન કરી શકતી નહોતી. તેથી ઢોરા પણ ન ખાય તેવા મેક્સિકન ઘઉં અમેરિકાની દયાથી આપણા પેટનો ખાડો પૂરતા હતા.
કહેવાય છે કે જરૂરિયાત સંશોધનની જનની છે. પણ ચાલુ જીવન પધ્ધતિ નહીં બદલી શકતા લોકોને આ લાગુ પડતું નથી. દુનિયાની ૫ ટકા ભૌગોલિક ભૂમિસંપતિ ધરાવતું ભારત તે વખતેય અને આજેય વિશ્વની જનસંખ્યાનો ૧૫ ટકા હિસ્સો ધરાવતું હોવાથી આપણા રાજકર્તાઓએ પણ માની લીધેલું કે અનાજ બાબતનું પરાવલંબન ચલાવી શકાય તેવું નથી. ૩૦ કરોડની જનસંખ્યાનો ભાર ઉપાડવો ખેતીને અસહ્ય લાગતો હતો.
પણ વીજળીના ઝબકારાની જેમ બહુજ અલ્પ સમય માટે વડા પ્રધાનપદે આવી ગયેલા લાલબહાદુરશાસ્ત્રીજીએ જોઇ લીધું કે પરાવલંબનરૂપી ગુલામીમાંથી દેશે બચવું જ રહયું. તેમણે દેશની રક્ષામાટે આપેલા મંત્ર ‘જય જવાન’ ની સાથોસાથ ખેત ઉત્પાદનમાં ક્રાંતિ લાવવા ‘જય કિસાન’ નો મંત્ર આપ્યો, અને આપણા ભારતીય કૃષિવૈજ્ઞાનિકો અને કિસાનોએ એ પડકારને ઉપાડી લઇને ૫ કરોડ ટનના ઉત્પાદનને ૨૫ કરોડ ટન પર પહોંચાડીને એક અબજથી વધુ દેશ બાંધવોની જરૂરિયાત સંતોષી, અનાજની નિકાસ કરતો દેશ બનાવી દીધો !
પણ…..ભૂલ એ થઇ કે = આ માટે શોધી કઢાયેલા ઊંચુ ઉત્પાદન આપતાં બિયારણો, વધુ ખાતર-પાણીની અને પાકસંરક્ષણની વિશેષ કાળજી માગનાર હતા., અને તે આપણે રાસાયણિક ખાતરો, જમીનતળના પાણી માટે ઊંડા બોર, અને ઝેરીલા પેસ્ટીસાઇડ્ઝના ઉપયોગથી આટલા વરસો દરમ્યાન એ જરૂરિયાત પૂરી કરી. પણ ભૂલ એ થઇ કે વધુ ઉત્પાદન આપતાં એ બિયારણોની જરૂરિયાતો પૂરી કરવામાં-રાસાયણિક પધ્ધતિને પણ આપણે પ્રગતિનો જ એક અંશ માની લીધો. એ કારણે-રસાયણોના અતિ વપરાશના પરિણામે જળ, જમીન અને મનુશ્યો-પ્રાણીઓને પહોંચેલી ગંભીર જફાને રોકવા સજીવખેતીની વાત કરાય છે. તો ટુંકા ગાળાના ઉત્પાદનને પ્રાધાન્ય આપનારા ખેડૂતો–લોકો આ વાતને કૃષિ પ્રગતિની પીછેહઠ ગણે છે. પરંતુ કોઇ પણ કાર્યપધ્ધતિના આખરે જણાયેલાં પરિણામો અને જાત અનુભવ કોઇ નવો રાહ ચિંધે તો એને પ્રગતિના જ પંથે જનારું આગેકદમ ગણી શકાય અને પર્યાવરણને હાનિ પહોંચાડનારું કોઇપણ કદમ આપણા માટે ઘાતક નીવડે છે.
તમે જૂઓ ! પહેલા પહેલા થોડુંક અમસ્તું રાસાયણિક ખાતર આપતા ત્યાં બહુસારો પ્રતિસાદ મળતો. પણ હવે પાંચગણો જથ્થો નાખવા છતાં મોલાતો એવો જવાબ આપતી નથી. જમીન જાણે સાવ મરૂભૂમિ ન બની ગઇ હોય ! ઉડા દારનાં પાણી મોંઘા પડે તો તે ખેડૂતને, તેમાં છોડવા-ઝાડવાને શાની ચિંતા ? તે બધા ભીના ક્યારામાં પણ તરસ્યા-તરફડતા અને સાવ અણોહરા કેમ દેખાય છે ?
અરે ! એવા અનાજ પાકતા કે બાજુના ઘેર ઘડાતા બાજરાના રોટલાની સુગંધ આપણા ઘેર આવતી. જામફળ, બોર, કેરી જેવા ફળો ગમેતેમ સંઘરીએ તોયે તેની બળુકી સુગંધથી છતા થયા વિના રહેતા નહીં. આંગણે ગાય દોહવાતી હોય ત્યારે બાળકો તાંસળી-તાંસળી શેડ્યકઢું દૂધ ઊભાઊભા પી જતાં. માણસોની નરવાઇ એવી હતી કે બોઘરણીએક ઘી પી જવું કે ભેલીભેલી ગોળ ખાઇ જવો એના મનમાંય નહોતું. ભર્યા પાણીનો હાંડો દાંતમાં પકડી માઇલ-માઇલ દોડ્યા જતા. અરે ! એકલો જણ ગાડું ઊંધું નાખી દે તેવી તાકાત ધરાવતા. અને ક્યારેક કોઇ વઢી-ભઠી લે તો “હશે, મોટા છેને ! આપણી ભૂલ હોય તો વઢે પણ ખરા ! અને વઢતા હશે તો આપણા લાભને જ વઢતા હશે ને !” કહી ગમ ખાઇ જતા. અને અત્યારે ? કોઇનું નામ લેવાતું નથી !
હવામાં ઝેર, પાણીમાં ઝેર, અન્ન અને ફળ-શાકભાજીમાં ઝેર, દૂધમાં ઝેર, અરે ! માતાના ધાવણમાં પણ ઝેર ! પરિણામે માનવશરીર માયકાંગલું બનવા લાગ્યું છે. જાતજાતના અને ભાતભાતના જીવલેણ દર્દો વરતાવા લાગ્યા છે. લોકોનું માનસ વિકૃત થવા લાગ્યું છે. અજંપો વધ્યો છે. શાંતિ હણાઇ રહી છે.
આવું બનવાનું કારણ શું ? આપણે છોડવા-ઝાડવાને જે ખવરાવ્યું અને એને જેમાં રગદોળ્યા-ધમાર્યા એ બધું તેણે આપણા ખોરાકમાં ધરબીને, તેની ફરજ બજાવીને પરત કર્યું, તેમાં તેનો શો વાંક ? ડુંગળી ખાઇએ અને ઓડકાર સ્ટ્રોબેરીનો થોડો આવે ?
થોડુંક પાછુવાળું જોયું હોત તો સર્વક્ષેત્રે ખોદાએલી ઊંડી ખાઇ ન ખોદાત. પણ ખેર ! માની લઇએ કે તે દિવસોની અનાજ-ખાધ પૂરી કરવા આ હંગામો મચાવ્યા વિના ચાલેતેમ નહોતું. માનોકે ખબર પડી ગઇ હોત કે ‘ આ બધું અવળા માર્ગે છે’ તો ઘડીભર તો આ બધાનો સહારો ‘અનિવાર્ય અનિષ્ટ’ ગણીને પણ લીધા વિના ચાલેતેમ નહોતું. માટે આપણે એ કર્યું. ચાલો માફ !
પણ હવે શું ? હવે એ ભૂતકાળ વાગોળવાનું બંધ કરીએ. જ્યારે આપણને ખબર પડી જ ગઇ છે કે આ બધાં હરિયાળી ક્રાંતિના પાગિયાઓએ જમીન, પાણી, હવા અને પાકને પોતાને પણ માઠી અસરોથી મુક્ત રહેવા દીધા નથી. તો હવે એ વધતી જતી આડ-અસરોમાંથી પાછા વળી, જે અવમૂલ્યન થયું છે તે નિપટવા જેટલાવહેલા કટિબધ્ધ થઇશકીએ તેટલા વહેલા ન થવું જોઇએ ?
ધારીએ તો બધું થઇ શકે છે.= કોઇપણ બાબત એવી નથી કે સમયસર ભૂલ સુધારી લેવાય તો પરિણામ ન મળે,. કેંસર જેવા અસાધ્ય ગણાતાં દર્દમાં પણ પ્રાથમિક સ્ટેજે આંખ ઊઘડી જાય, અને ચેતી જવાય-સમયસર સારવાર લેવા પહોંચી જવાય તો સાજા થઇ શકાય છે.
આપણી જમીન હજુ એટલી સાવ મરી નથી ગઇ કે જે યોગ્ય સારવાર મળતાં પાછી બેઠી ન થઇ શકે, અને આપણા પાણીનાં તળ એટલા તૂટી- ખુટી પણ નથી ગયા કે જે આપણા એ બાબતના પુરુષાર્થથી ફરી સજીવન ન થઇ શકે ! અને હજુ આગળ કહું તો આપણા કૃષિના વિજ્ઞાનને તાળાં નથી દેવાઇ ગયા કે જે ઓછામાં ઓછા ઝેરી છંટકાવથી પાકપેદાશ લઇ શકાય તેવી પાકની જાતો શોધવા બાબતે હાથ ઊંચા કરી દે ! જરૂર છે માત્ર આપણી સમજણમાં સુધારો લાવવાની. “લેવું લેવું’’ કરી રહેલી આપણી મનોવૃત્તિને થોડી ખેંચી રાખવાની. અતિ કંઇ સારું નથી.- તે વાતને સુપેરે સમજવાની.
આપણા મનમાં એક વાત જો પાક્કી થઇ જાય કે આખરે બધા હંગામા પછી પણ જીવનની શાંતિ હણાઇ જવાની હોય તો ? તો પછી જરા થોભીએ. આવું પરિણામ લાવનારી –પાછલા વરસોમાં કરેલી ખેતી-પ્રક્રિયાઓ અને વપરાએલ જણસોને યાદ કરી સિંહાવલોકન કરીએ. શેમાં શેમાં ઊણા પડ્યા છીએ તે શોધીએ અને નવેસરથી સમજણ પૂર્વકનું પ્રયાણ આદરીએ. કેવા કેવા અને કેવડા ડગલા ભરવા તે પરિસ્થિતિ જ સુઝાડતી રહેશે.
હજુ કાંઇ મોડું થઇ ગયું નથી = જાગ્યા ત્યાંથી સવાર ! જમીનને વેડે નહીં, પાણીના તળ તોડે નહીં, હવા, મોલ કે માલ કોઇને ઝેરી બનાવે નહીં તેવી નિર્દોષ જણસોનો ઉપયોગ આદરીએ. કુદરતની સામે પડવાના નહીં, પણ તેના સ્ત્રોતોની જાળવણી કરતા કરતા ,તેનો વધુમાં વધુ ઉપયોગ કેમ થાય તેવા કાર્યક્રમો કરતા કરતા ગાયો, વૃક્ષો, પંખીઓ, જમીનજન્ય જીણા જીવો-કહોને સમગ્ર પ્રકૃતિનો સાથ અને વિજ્ઞાનની સહાયથી પુરુષાર્થ શરુ કરીએ તો માત્ર ગયા દિવસો જ નહીં-એનાથી સવાયા સારા દિવસો પાછા આવી શકે !
જેમણે જેમણે આવી ખેતીના રસ્તે પ્રયાણ કર્યા છે તેમના અનુભવો ખુબ હુંફાળા રહ્યા છે. તેમના અનુભવો પરથી ધડો લઇએ. હિંમતે મર્દાતો મદદે ખુદા ! કરવા ધારીએ તો બધું થઇ શકે છે. ઉંઘતાને જગાડી શકાય હો ! જાગતા સૂતેલાને થોડો જગાડી શકાય ? ખ્યાલ આવ્યા પછી પણ જો ન ચેતીએ તો જાગતા પથારી પલાળી ગણાય !
સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ : krushidampati@gmail.com
