-
ભૂપેન ખખ્ખરની ચિત્રસૃષ્ટિ : રંગની સફર

બીરેન કોઠારી
ચિત્રકળા ખરું જોતાં કળાનો સૌથી આદિ પ્રકાર છે. છેક ગુફાયુગમાં ચિત્રો બનતાં હતાં એમ પુરવાર થયેલું છે. ચિત્રકળાને માણવા માટે અક્ષરજ્ઞાનની આવશ્યકતા નથી. આમ છતાં, આજે પરિસ્થિતિ એવી છે કે ચિત્રકળાની અપીલ સાર્વજનિક બની રહેવાને બદલે સીમિત બની રહી છે.
છબિકળાની શોધ થઈ ત્યાં સુધી ચિત્રકળાનો મુખ્ય હેતુ કોઈ વસ્તુના નિરૂપણનો અને એ રીતે પ્રત્યાયનનો હતો. એટલે કે કોઈ વસ્તુ કેવી છે એ દર્શાવવી હોય તો એના માટે એની આકૃતિ દોરવાથી હેતુ સરી જતો. આને કારણે સદીઓ સુધી ચિત્રકળા એટલે વસ્તુનું આબેહૂબ ચિત્રણ- એવી માન્યતા પ્રચલિત બની. આજે પણ સરેરાશ લોકો એવી ચિત્રકળાને જ ઊત્તમ માને છે કે જેમાં આબેહૂબ ચિત્રણ હોય. છબિકળાના આગમન પછી એ કામ કેમેરા થકી ઘણું ઝડપી થવા લાગ્યું. આમ છતાં, છેક એકવીસમી સદીના આરંભ સુધી કેમેરા પણ મર્યાદિત લોકોની પહોંચમાં હતા. સ્માર્ટફોનમાં કેમેરા આવતા થયા એ પછી દરેક વ્યક્તિ ફોટોગ્રાફર છે. એને કેમેરાની નવાઈ નથી રહી. એમાં બીજો કશો ખર્ચ કે વિલંબ નથી, એટલે એ અવનવા અખતરા કરે છે.
આવા માહોલમાં ચિત્રકળાનું સ્થાન ક્યાં?
આ સવાલ બહુ મહત્ત્વનો છે. ‘મોડર્ન આર્ટ’ તરીકે ઓળખાતી આધુનિક ચિત્રકળા પણ હવે જૂની થઈ. એ શાથી ‘મોડર્ન’ કહેવાઈ? રંગ અને સંયોજનમાં આ આધુનિક ચિત્રકળા થકી અનેક અવનવા અખતરા કરાયા, અને તે ‘આબેહૂબ’ના બંધનમાંથી મુક્ત થઈ એ તેનું મુખ્ય લક્ષણ ગણાવી શકાય. યુરોપ અનેકવિધ કળાપ્રવાહોનું કેન્દ્ર બની રહ્યું. ભારતમાં યુરોપીય શૈલીની અસર જોવા મળે છે, પણ એ ઘણી મોડી આવી. એ અગાઉ ભારતમાં અનેક પ્રાંત અને પ્રજાની પરંપરાગત શૈલી ચલણી હતી. આ શૈલીમાં કલાકારનું મહત્ત્વ ઓછું, શૈલીનાં લક્ષણોનું મહત્ત્વ વધુ હતું. એટલે કે ચિત્રકાર કોઈ પણ હોય, તે અમુકતમુક શૈલીનાં લક્ષણો અનુસાર જ ચિત્ર બનાવે. એ રીતે આધુનિક ભારતીય ચિત્રકળાની ઓળખ ઘણી મોડી, વીસમી સદીના મધ્યમાં અને ઉત્તરાર્ધમાં ઊભી થઈ. આધુનિક ભારતીય ચિત્રકળાને ઓળખ આપવામાં અનેક ચિત્રકારોનાં નામ લઈ શકાય. આમાંના એક સૌથી મહત્ત્વના ચિત્રકાર હતા ભૂપેન ખખ્ખર. સરદાર પટેલ યુનિવર્સિટીની અતિ પ્રતિષ્ઠિત ‘જ્ઞાનવિજ્ઞાન શ્રેણી’ના ‘દૃશ્યકળા’ ગ્રંથમાં તેમના વિશે લખ્યું છે: ‘નોંધપાત્ર સ્વયંશિક્ષિત કળાકારોમાં રવિ વર્મા અને રવીન્દ્રનાથ પછી ભૂપેન ખખ્ખર આવે છે. પોપ કળાનું સંવેદન પ્રગટાવનાર તેઓ પ્રથમ ભારતીય કળાકાર છે. આપણા ભદ્રવર્ગે સસ્તાં ગણેલાં, ન સ્વીકારેલાં તત્વો તરફ આકર્ષાઈ ભૂપેન ખખ્ખર ચિત્રો કરવા માંડે છે અને એમ આપણી ભદ્રમાર્ગીય માન્યતાઓના મૂળમાં જ ઘા કરે છે. સાથોસાથ એવી માન્યતાઓની હાંસી પણ ઉડાવે છે.’ આમ, આધુનિક ભારતીય ચિત્રકળામાં ભૂપેન ખખ્ખરે પોતાની આગવી કહી શકાય એવી ચિત્રશૈલી નીપજાવી અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આધુનિક ભારતીય ચિત્રકળાની ઓળખ ઊભી કરી.
***
ભરૂચના અમરીશભાઈ કોન્ટ્રાક્ટર દ્વારા ૨૦૧૬માં મને ભૂપેન ખ્ખ્ખરની જીવનકથા લખવાનું કામ સોંપવામાં આવ્યું. નવ વરસના દીર્ઘ અંતરાલ પછી ૩૦ માર્ચ, ૨૦૨૫ના રોજ એ પુસ્તકનું વિમોચન વડોદરા ખાતે યોજાયું.

(ભૂપેન ખખ્ખર, તસવીર: જ્યોતિ ભટ્ટ) ભૂપેન ખખ્ખરની જીવનકથાના આલેખન દરમિયાન તેમનાં ચીતરેલાં અનેક ચિત્રોમાંથી પસાર થવાનું બન્યું, તેમની શૈલીનો, એમાં પડઘાતી તેમની પ્રકૃતિનો પરિચય થતો ગયો. તેમનાં ચિત્રો થકી તેમનું મનોજગત પણ ઊઘડતું ગયું. ભૂપેનની જીવનસફર જેટલી રસપ્રદ છે એટલાં જ રસપ્રદ તેમનાં ચિત્રો જણાયાં.
આમ, પુસ્તક માટે કરેલા કામ થકી વિચાર આવ્યો આ શ્રેણી શરૂ કરવાનો. અગાઉ ફેસબુક પર કેટલાક ચિત્રોનો આસ્વાદ કરાવેલો હતો, જે મારા બ્લૉગ પર પણ સુલભ છે. અહીં એની એ સામગ્રીને સીધેસીધી મૂકવાને બદલે વધુ વિગતે સમાવવાનો ઉપક્રમ છે. આમ, આ શ્રેણીમાં ભૂપેન ખખ્ખરનાં વિવિધ ચિત્રો અને એમની શૈલીનો આસ્વાદ કરાવવામાં આવશે.
દર મહિનાના બીજા સોમવારે ભૂપેનના ચિત્રોની આ શ્રેણી ‘ભૂપેન ખખ્ખરની ચિત્રસૃષ્ટિ’નું પ્રકાશન ‘વેબગુર્જરી’ પર થશે.
(ભૂપેન ખખ્ખર: લેખન-સંપાદન: બીરેન કોઠારી, પુસ્તકની કિંમત 450/, પૃષ્ઠસંખ્યા: 296, પુસ્તક મંગાવવા માટે સંપર્ક: કાર્તિક શાહ 98252 90796)
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
મોબાઈલ મેનીયા ! ! !
વ્યંગ્ય કવન
કૃષ્ણ દવે
પ્રેમ છોકરો ક્યાં છોકરીને સ્હેજ કરે છે.
એ તો મોબાઈલ સાથે મેરેજ કરે છે.
જુઈ મ્હેંકીને અમથા મેસેજ કરે છે.
એ તો મોબાઈલ સાથે મેરેજ કરે છે.નથી ટાઇમ કે બુલબુલ થઈ વાત બે કરે
બની મેઘધનુષ આકાશે રંગ બે ભરે.
એતો સ્ક્રીનના કુવામાં બસ ઉતરે,ચડે
જાણે પોતે હો જેલમાં ને ટેરવાં ફરે !
ફૂલ ઉઘડે પણ નજરો ક્યાં તેજ કરે છે ?
એ તો મોબાઈલ સાથે મેરેજ કરે છે.હવે ઝરણું કે ઝાડ એને જોવાં નથી.
કોઈ તરણું કે પ્હાડ એને જોવાં નથી.
એ તો ઉંઘમાં’યે ટાવરને શોધતો ફરે,
થાય પૂર્વમાં ઉઘાડ,એને જોવા નથી.
જાણે એકલતા સાથે એન્ગેજ કરે છે.
એ તો મોબાઈલ સાથે મેરેજ કરે છે.નથી ફુરસદ કે કોઈનેય હેતથી મળે.
એવી પળ ક્યાં? કે ભાઈ બ્હેન ટોળે વળે.
એ તો મીડિયાના મેળામાં મ્હાલતો ફરે .
નથી શીખવુ કે હેતથી કુટુંબમાં ભળે.
નથી જાણતો એ ખુદને ડેમેજ કરે છે.
એ તો મોબાઈલ સાથે મેરેજ કરે છે. -
‘બાઈ’ : ‘મારી જીવનકથા’ : ગૃહિણી જીવન અને સંસારની આંટીઘૂંટી
સંપાદન : કેપ્ટન નરેન્દ્ર ફણસે
સંકટ પર સંકટ થી આગળ
લલિતાબાઈના અમદાવાદ ગયા પછી ઘરમાં રોજિંદી પ્રવૃત્તિ શરૂ થઈ ગઈ. નરેન દર ચાર-છ મહિને બીમાર પડતો હતો. તેને આવી અનપેક્ષિત માંદગી એવી ગંભીર થઈ જતી કે તેના કપાળ પર ઠંડા પાણીની પટ્ટી મૂકવી પડતી. આવી હાલતમાં હું ચાર-ચાર રાત સૂઈ પણ નહોતી શકતી. આવું તે સાત વર્ષનો થયો ત્યાં સુધી ચાલ્યા કર્યું. આવામાં ‘એમની’ બધી જ નાનીમોટી જરૂરિયાતો વ્યવસ્થિત રીતે પૂરી થવી જ જોઈએ! ‘એમને’ પાનનો શોખ હતો. દરરોજ એક ડઝન પાનનાં બીડાં તેમને જોઈએ, જે હું જ બનાવી આપતી. સુંદર મજાનાં કપૂરી પાન શણના ભીના કપડામાં લપેટી રાખતી, અને તેના પર ઘેર દહીંમાં પકાવેલો ચૂનો, કાથો, ઇંજમેટનાં ફૂલ અને તમાકુ નાખી, બીડું બનાવી, તેને લવિંગથી બીડી ચાંદીની ડબીમાં મૂકી તેમની ઓફિસમાં મોકલતી! સુધા બે વર્ષની થઈ અને મને ફરીથી ત્રીજી દીકરી આવી. ‘એમની’ સંતતિનો આંકડો એક ડઝનનો થઈ ગયો! કમનસીબે અગાઉના ઘરની બે દીકરીઓ પહેલાં જ સ્વર્ગવાસી થઈ ગઈ હતી. મારી ત્રીજી દીકરીનું નામ જયશ્રી રાખ્યું. આમ મને ચાર સંતાન થયાં.
જયશ્રી છ મહિનાની થઈ અને “એમની’ બદલી રાજકોટ થઈ. આ તેમની નોકરીનું છેલ્લું વર્ષ હતું અને તેઓ પેન્શન પર ઊતરવાના હતા. તેથી તેમણે રાજકોટ એકલા જવાનું નક્કી કર્યું. મારા જેઠના દીકરા ધોળકામાં નોકરીએ. હતા તેથી તેમના કહેવાથી ‘એમણે’ મને અને અમારાં બાળકોને ધોળકા રાખવાનું નક્કી કર્યુ. ત્યાં ભાડાનાં મકાન ઘણાં સસ્તાં હતાં અને મોંઘવારી હજી શરૂ થઈ નહોતી. અમારો બધો સામાન અને રાચરચીલું પહેલેથી ધોળકા મોકલી દીધું અને ત્યાર બાદ ‘એમણે’ મને જીબા અને એક નોકરની સાથે અમને એટલે અમારાં પહેલા ઘરનાં ત્રણ સંતાનો અને મારાં ચાર બાળકોને ધોળકા મોકલ્યાં. જીબા હતાં તેથી બીજા એક નોકરને લઈ જવાની મારી જરા પણ ઇચ્છા નહોતી, પણ ‘એમના’ નિર્ણય સામે મારું શું ચાલે? આમ અમે અમારા મોટા ભત્રીજાને ઘેર ગયાં. ત્યાં અમે ફક્ત બે દિવસ જ રહ્યાં, પણ અમારા જેઠાણીની તલવાર જેવી જીભ વીંઝાતી જ હતી. બધે કહેવા લાગ્યાં, “આ બાઈના ઠાઠ તો જુઓ! બબ્બે નોકરોની એને જરૂર છે? હૈં?!’
રાજકોટ ગયા બાદ શરૂઆતમાં તેઓ તેમના ખાસ મિત્રને ઘેર રહેતા હતા, અને ત્યાર પછી તેમણે સદરમાં મોટી ટાંકી પાસે ઘર ભાડે રાખ્યું હતું. પણ તેમને જિંદગીમાં એકલા હાથે કોઈ પણ કામ કરવાની ટેવ નહોતી અને તેઓ કંટાળી ગયા હતા. મારે અને બાળકોએ ધોળકા કાયમ રહેવાનું છે એવું ‘એમણે’ નક્કી કર્યું હતું, તેથી મેં વર્ષનું અનાજ અને અન્ય સામાન ભરવાની શરૂઆત કરી. આ વાતને બે મહિના થયા ત્યાં ‘એમણે’ મને ખબર મોકલી, “મને એકલાને અહીં ખાવા-પીવાની ઘણી તકલીફ છે! તમે બધા અહીં આવવાની તૈયારી કરો.” તેમણે તેમના ભત્રીજાને અને. મને પત્ર લખીને કહ્યું કે અમારે બધાંએ રાજકોટ જવું જોઈશે. અમારા જેઠાણી, તેમનો પુત્ર અને બીજાં બધાં સગાંવહાલાંઓએ બુમરાણ મચાવ્યું, ‘જુઓ તો ખરા, આ બાઈએ પતિને કાગળ લખીને કહ્યું કે અમને તમારી પાસે બોલાવી લો!’
‘એમનો’ પત્ર આવ્યા બાદ મેં તેમને જવાબમાં લખ્યું કે, “આટલો ખર્ચ કરીને આપણે હવે ધોળકા આવ્યા છીએ. અને મેં આખા વર્ષનું અનાજ ભરવાની પણ શરૂઆત કરી છે. આપણે હવે અહીં સ્થિર થવું જોઈએ. આપણાં બાળકોના શિક્ષણ તરફ પણ આપણે ધ્યાન આપવું જોઈએ કે નહિ?” મારો આ પત્ર જોઈ ‘એમને’ ભયંકર ગુસ્સો આવ્યો. અંતે નાઇલાજ થઈને અમારે ભરેલું અનાજ અને અન્ય સામાન કાઢી નાખવાં પડયાં. ‘એમની’ સૂચના પ્રમાણે રવિ અને મધુ લલિતાબાઈ પાસે અમદાવાદ ગયાં. ભાનુ મારાં જેઠાણીને ત્યાં ધોળકા રહી અને મારે ચાર બાળકો સાથે રાજકોટ જવાની તૈયારી કરવી પડી. અમારો મોટા ભાગનો સામાન અને ફર્નિચર રાખવા માટે અમારા ભત્રીજાના મકાનની બાજુમાં એક ઓરડી ભાડે રાખી, તેમાં બધો સામાન મૂકી હું અને બાળકો રાજકોટ ગયાં.
રાજકોટમાં અમારી જ્ઞાતિના લોકોનું મોટું મકાન હતું તેમાં અમે જગ્યા ભાડે રાખી અને ત્યાં રહેવા ગયાં. અહીં પાંચછ કુટુંબ રહેતાં હતાં. દર રવિવારે વારાફરતી એકબીજાના ઘેર પાર્ટી યોજાતી, અને આનંદથી દિવસ વીતતા હતા. નરેનને સદરની નિશાળમાં ત્રીજા ધોરણમાં દાખલ કર્યો હતો. ‘એમને’ તેમના સાહેબ સાથે વારંવાર ડિસ્ટ્રિક્ટમાં જવું પડતું હતું. તેમને નવી નવી જગ્યાઓ જોવા મળતી હતી અને તેમના કામથી તેમના ઉપરી અધિકારીઓ ઘણા ખુશ હતા. અમારા દિવસો આમ પસાર થતા હતા.
નરેનને સંભાળવા માટે અમે એક નોકર વઢવાણથી લઈ આવ્યા હતા. બેએક મહિના કામ કરીને તે ઘેર નાસી ગયો. એમને પેન્શન પર ઊતરવા માટે હવે ચાર મહિના રહ્યા હતા. રિટાયર થયા બાદ તેઓ કામ કરવાનું ચાલુ રાખવા માગતા હતા. બ્રિટિશ સરકારના વહીવટી કામનો તેમને વિશાળ અનુભવ હતો તેની દેશી રજવાડાંઓને જરૂર હતી, તેથી તેઓ યોગ્ય જગ્યા મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. એવામાં અમારો પેલો નાસી ગયેલો નોકર પાછો આવ્યો અને ફરીથી કામે રાખવા માટે એમની આગળ કરગરવા લાગ્યો. એમણે મને તેને ફરી કામે રાખવા કહ્યું. આ છોકરાનાં લક્ષણ મને ગમતાં નહોતાં તેથી મેં એમને સ્પષ્ટ કહ્યું કે ગમે તે થાય તો પણ આ માણસને રાખવો નથી. આ બાબતમાં અમારી વચ્ચે ઝઘડો થયો પણ એમણે ક્યારે મારી વાત માની હતી તે હવે માને? મારી નારાજગી હોવા છતાં એમણે તેને કામે રાખી લીધો. ત્યાર બાદ હંમેશાં એમના ગજવામાંથી પૈસા ગુમ થવા લાગ્યા. એમણે તો મારા પર આક્ષેપ કર્યો, “તું જ પૈસા કાઢી લે છે અને આ નોકર તને ગમતો ન હોવાથી તેના પર શંકા કરે છે.” આવો ગંભીર આરોપ સાંભળી મને અત્યંત દુઃખ થયું.રાજકોટમાં રહેવાના થોડા દિવસ બાકી રહ્યા હતા તેમ છતાં અમે ઘર બદલ્યું અને મોટા મકાનમાં રહેવા ગયાં. ત્યાં એમના માસિયાઈ ભાઈના દીકરાની બદલી રાજકોટ થઈ અને તેઓ અમારે ત્યાં રહેવા આવ્યા. ઘર હજી પણ સરખી રીતે ગોઠવાયું નહોતું. અમે જરૂરી સામાન બહાર રાખ્યો હતો અને ઘણી વસ્તુઓ હજી પેટીઓમાં પડી હતી. એમની સરકારી નોકરી પૂરી થવા આવી હતી. ગ્રેચ્યુઈટીની રકમ આવી તે મેં મારી ટૂંકમાં મૂકી અને તાળું લગાવી દીધું. જરૂર પૂરતા છૂટક ચાલીશ રૂપિયા એમની બેગમાં રાખ્યા. આ બધું જોઈ પેલા નોકરની દાનત બગડી. મને તો લાગે છે કે એ ખરાબ મનોવૃત્તિ રાખીને જ અમારે ત્યાં પાછો આવ્યો હતો.
એક દિવસ એણે મને કહ્યું, “બા, આજે હું સાહેબની બેગ ગોઠવી આપું છું.” હું કામમાં હતી, અને તેણે જે રીતે મને આ કહ્યું તેથી મને તેના આશય પર જરા જેટલી શંકા આવી નહિ. મને થયું ચાલો હવે આ મને લગાડીને કામ કરે છે તો કરવા દો. અમારા ઘરની રચના ટ્રેનના ડબ્બાઓની હાર જેવી હતી. ઓરડાઓ એક લાઈનબંધ હતા અને આગળપાછળ ઓસરી અને ત્યાંથી બહાર જવાઆવવા માટે બારણાં હતા. હું આગળની રૂમમાં કે રસોડામાં હોઉં તો પાછળ ઓસરીમાં શું થાય છે તેની ખબર ન પડતી. નોકરે નરેનને મીઠી મીઠી વાતો કહીને ફોસલાવીને તૈયાર કર્યો અને તેની બેગ ભરીને પાછલી ઓસરીમાં ક્યારે મૂકી તેની મને જરા પણ ખબર ન પડી. ત્યાર બાદ અમારા ભત્રીજાનો દાઢી કરવાનો સામાન અને “એમની” બેગમાંના ચાલીશ રૂપિયા અને કબાટમાંથી ચાંદીનાં વાસણ કાઢી પોતાની થેલીમાં ભરી લીધાં અને નાસી જવાની પૂરી તૈયારી કરી લીધી. સાંજના સાત વાગ્યા. મેં ભગવાનને દીવો કર્યો અને ઘરમાં પણ દીવાબત્તી કર્યા. નોકરે નરેનને કહ્યું કે બાને જઈને કહો કે સાત વાગી ગયા. નરેન અબુધ હતો, તેણે મારી પાસે આવીને એ જ શબ્દોમાં કહ્યું, “બાઈ, સાત વાગી ગયા”. મને નવાઈ લાગી. મેં તેને પૂછ્યું, “અરે, આજે શું વાત છે તે તું મને ટાઈમ કહેવા આવ્યો?” તેણે કશો જવાબ ન આપ્યો, અને પાછળની ઓસરી તરફ ગયો. ત્યાં પેલો નોકર બેગબિસ્તરા સાથે તૈયાર હતો. નરેનને લઈ, સામાન ઊંચકી તેણે ત્યાંથી ચૂપચાપ પલાયન કર્યું.
રાતના સાડા આઠ વાગ્યે મારા પતિ અને અમારા ભત્રીજા બહારથી આવ્યા. જમવા માટે પાટલા માંડ્યા અને થાળીવાટકા ગોઠવ્યાં અને અમે નરેનની રાહ જોવા લાગ્યાં. અમને થયું, નોકર નરેનને ફરવા લઈ ગયો હશે. નવ વાગ્યા સુધી તેઓ પાછા ન આવ્યા ત્યારે અમે તેમને બધી જગ્યાએ શોધવા ગયાં. સિનેમાગૃહ પણ જઈ આવ્યાં પણ ક્યાંય પત્તો ખાધો નહિ. દસેક વાગ્યે વાસણ માંજનારાં બહેન આવ્યાં. તેમને પૂછ્યું તો તેમણે કહ્યું, “બપોરે હું કામ કરવા આવી ત્યારે મેં તેને નરેનભાઈના કપડાં બેગમાં ભરતાં જોયો હતો. તમે સૌથી પહેલાં ભાઈની બેગ જુઓ તો!”
અમે જોવા ગયાં તો નરેનની બેગ ન મળે. ભત્રીજાની બેગ ખુલ્લી હતી અને તેમની અમુક વસ્તુઓ ગુમ થઈ હતી. “એમની” બેગમાંના પૈસા પણ ગાયબ હતા. આ બધું જોયું ત્યારે અમને શંકા આવી કે તે નરેનને લઈને ભાગી ગયો છે. બધાંએ કહ્યું કે સાંજે એક ટ્રેન વીરમગામ જતી હતી તે પકડી નોકર નરેનને લઈ વઢવાણ ગયો હશે. આ ટ્રેન વઢવાણ સવારે સાત વાગ્યે પહોંચતી હતી. “એમના” એક મિત્ર મિસ્ટર રૂબેન વઢવાણમાં પોલીસ ઈન્સ્પેક્ટર હતા. અમારા નોકરનો બા૫ મિ. રૂબેનનો ઓર્ડરલી હતો. એમણે રૂબેનને તાર કર્યો કે “તમારા ઓર્ડરલીનો દીકરો અમારા નરેનને લઈ નાસી ગયો છે, તો વઢવાણ સ્ટેશન પર ગાડી આવે ત્યારે તેને પકડી લેજો.” હું તો ગભરાઈને હતપ્રભ થઈ ગઈ હતી. મને કશું સૂઝતું ન હતું. વઢવાણથી શો જવાબ આવે છે તેની ઘેરી ચિંતામાં હું સાવ મૂંઝાઈ ગઈ હતી.
સદ્ભાગ્યે રૂબેનસાહેબને અમારો ટેલિગ્રામ સમયસર મળી ગયો અને ટ્રેન આવે તે પહેલાં સ્ટેશન પર પહોંચી ગયા. તેમણે નોકરને જોયો અને પકડી લીધો, પણ નરેન ક્યાંયે દેખાતો નહોતો. તેમણે નોકરને દબડાવ્યો અને પૂછ્યું, “બોલ, નરેન ક્યાં છે?” નોકર ધૃષ્ટ હતો. તેણે સામો સવાલ કર્યો, “તમે કોની વાત કરો છો? આ નરેન કોણ છે? હું તો તેને ઓળખતો પણ નથી.” આ બધી પૂછપરછ ચાલતી હતી તે સાંભળી ડબામાંના પેસેન્જરોએ કહ્યું, “આની સાથે એક નાનો છોકરો હતો તેને આ માણસ સોડાબાટલીના કંપાર્ટમેન્ટમાં સંતાડી આવ્યો છે!” ત્યાં જઈને જોયું તો સાચે જ, નરેન ત્યાં હતો. અમે વઢવાણ હતાં ત્યારે રૂબેન અમારી બાજુમાં જ રહેતા હતા, તેથી નરેન પણ તેમને સારી રીતે ઓળખતો હતો. તેમણે નરેનને કહ્યું, “ચાલ, ભાઈ, ઘેર જઈએ.” નોકરે કોણ જાણે શું કહીને નરેનને ચઢાવ્યો હતો, તે ડબામાંથી ઊતરવા તૈયાર જ નહોતો થતો. એને નોકરે કહ્યું હતું કે આપણે મુંબઈ જઈને ઘણી મોજ કરીશું. સાત-સાડા સાત વર્ષના બાળકને શું સમજાય? અંતે તેમણે જબરજસ્તીથી તેને ટ્રેનમાંથી ઉતાર્યો.
નોકરને ખૂબ ધમકાવ્યો અને માર માર્યો, પણ એ નાલાયક માણસ એકનો બે ન થયો. કહે, મને કશી ખબર નથી. ચોરેલા પૈસા અને અન્ય વસ્તુઓ પણ હાથ લાગી નહિ. અંતે તેના બાપની દયા ખાઈને તેને છોડી દીધો અને રૂબેનસાહેબે નરેનને તેમના માણસની સાથે રાજકોટ મોકલ્યો. પૈસા અને ચાંદીની વસ્તુઓ ગઈ તેનું અમને દુઃખ ન હતું. અમારો નરેન ક્ષેમકુશળ પાછો આવ્યો તેનો અમને આનંદ હતો. નરેન ઘેર આવ્યા બાદ અમે તેને બધી હકીકત પૂછી ત્યારે તેણે કહ્યું કે નોકરે તેને કહ્યું કે મુંબઈ ઘણું સુંદર શહેર છે અને તે નરેનને ત્યાં ઘણી મજા કરાવશે. જો નરેન કોઈને કહી દેશે તો કોઈ તેને મુંબઈ નહિ જવા દે. આથી તેણે કોઈને કહ્યું નહિ. અમે નરેનને ઘણું વઢ્યાં અને સમજાવ્યો ત્યારે તેણે કહ્યું કે હવે પછી તે કદી કોઈને કહ્યા વિના કોઈની પણ સાથે નહિ જાય.
મારા પતિએ તેમની કારકિર્દી દરમિયાન કચ્છ-ભૂજ અને સૌરાષ્ટ્રમાં નોકરી કરી હતી. એક વાર વઢવાણમાં એક કંપનીએ ટ્રામસેવા શરૂ કરી હતી. “એમણે” પોતાની પૂર્વ પત્નીનું વીસ-બાવીસ તોલા સોનું વેચીને આ કંપનીના શેર વેચાતા લીધા હતા. આગળ જતાં કંપનીએ દેવાળું કાઢ્યું તેમાં અમારા બધા પૈસા ડૂબી ગયા. પોતાના કાર્યકાળ દરમિયાન “એમણે” ઘણા લોકોને મદદ કરી હતી અને અનેક લોકોનાં કામ કરી આપ્યાં હતાં. એવા એ પરગજુ હતા. તેમના એક સાહેબ પારસી સદ્ગૃહસ્થ હતા. તેમને અંગ્રેજ સરકારે અતિ મુશ્કેલ કામ સોંપ્યું હતું, જે તેમનાથી થઈ શકતું ન હતું. “એમણે” દિવસરાત એક કરીને આ કામ કરી આપ્યું હતું. “એમની” રિટાયરમેન્ટના થોડા જ દિવસ પહેલાં આ સાહેબ પેન્શન પર રાજકોટ આવ્યા હતા અને અચાનક “એમને” મળી ગયા. તેઓ એટલા રાજી થઈ ગયા કે ન પૂછો વાત. તેઓ “એમને” આગ્રહ કરીને પોતાને ઘેર લઈ ગયા. જૂની વાતો કરી, અને તેઓ ઘેર આવવા નીકળ્યા ત્યારે તેમના સાહેબે સો રૂપિયાની નોટ “એમની” આગળ ધરી અને કહ્યું, “તમે મને જે મદદ કરી હતી તેનો આભાર પ્રદર્શિત કરી શક્યો નહોતો. આ મારી નાનકડી ભેટ તમે સ્વીકારશો તો મને ઘણો આનંદ થશે.” “એમણે” પૈસા લેવાની ના કહી. સાહેબે અંતે કહ્યું કે આ તમારી પત્નીને અમારા તરફથી ભેટ આપજો. કચવાટ હોવા છતાં તેમણે પૈસા લીધા, પણ ઘેર આવીને તે તરત મને સ્વાધીન કર્યા.
પેન્શન પર ઊતરવાના થોડા જ દિવસ અગાઉ એમને હિંમતનગર રાજ્યમાંથી નોકરી માટે કહેણ આવ્યું. તેમની નિમણૂક ‘મહેકમા-ખાસ’માં અગત્યના સ્થાન પર થઈ હતી. તરત હાજર થવાનો હુકમ હતો તેથી તેઓ ત્યાં જવા નીકળી ગયા, અને મને સામાન પેક કરવાનું કહી ગયા. દસ દિવસમાં તેઓ અમને લેવા માટે આવવાના હતા. આ વાતને ચાર-પાંચ દિવસ થયા હશે ત્યાં મારા યેસુબાબાની મોટી દીકરીનાં લગ્નમાં હાજરી આપવા માટેનો દમુનો અને મારાં કાકીનો પત્ર આવ્યો. લગ્ન દમુને ઘેર એટલે મારા બનેવીની જે ગામડામાં બદલી થઈ હતી ત્યાં થવાનાં હતાં. અમારો સામાન પેક થઈ ગયો હતો અને ચાર-પાંચ દિવસમાં મારા પતિ અમને લેવા આવવાના હતા. લગભગ લગ્નના સમયે જ અમારે હિંમતનગર ભણી નીકળવાનું હતું. “તેઓ” પણ હિંમતનગર હતા.
આ લગ્નમાં હાજરી આપવી એ મારું કર્તવ્ય હતું પણ મારી હાલત એવી હતી કે મારાથી આ લગ્નમાં હાજરી આપવા કોઈ સંજોગમાં જઈ શકાય તેવું નહોતું. આ ચિંતામાં મારા મગજ પર એટલી ગંભીર અસર પડી કે મને ફિટ આવી ગઈ. હું બેહોશ થઈને પડી ગઈ અને મારું આખું શરીર ખેંચાવા લાગ્યું. મોંમાંથી ફીણ આવવા લાગ્યાં. તે વખતે જે વ્યક્તિ હાજર હોય તે મને ડુંગળીનો કૂચો કરી સૂંઘાડે અને હાથ-પગ પકડી રાખે ત્યાર પછી થોડી વારે હું શુદ્ધિમાં આવતી. લગ્નમાં ન જઈ શકી તેથી મારાં પોતાનાં આપ્તજનોને ઘણું જ માઠું લાગ્યું. અને તેમને તેવું લાગવું જ જોઈએ. જેમણે મને અને મારી બાને આશ્રય આપ્યો હતો, અમારી હર મુસીબતમાં અમને સાથ આપ્યો હતો, તેમના ઘરના પ્રથમ શુભ કાર્યમાં હું હાજરી ન આપી શકી તેનું મને અપાર દુ:ખ થયું હતું. આ પરેશાની હું જીરવી ન શકી અને આવા ‘ફિટ’નો મને કાયમ માટેનો રોગ થઈ બેઠો. કોઈ પણ વખતે મારા મનની વ્યથા બેકાબૂ થઈ જતી અને મારી સહનશીલતાનો અંત આવી જાય ત્યારે મને આવું થવા લાગતું. આ વાત તો બાજુએ રહી, પણ મારાં પિયરિયાંમાં બધાંને મારે નારાજ કરવા પડ્યાં તેનો મને ઘણો અફસોસ થયો.
તેવામાં એક ગજબની ઘટના થઈ. અમારો જૂનો નોકર જે નરેનને લઈને મુંબઈ નાસી જવાનો હતો, તે પાછો રાજકોટ આવ્યો. “તેઓ” તો હિંમતનગર હતા, પણ તેની હિંમત અમારા ઘર સુધી આવવાની ન થઈ. તેમ છતાં તે અમારે ઘેર કામ કરનારાં બહેનને મળ્યો અને તેમને કહ્યું, “નરેનભાઈ નસીબદાર હતા તેથી તેઓ બચી ગયા, નહિ તો મુંબઈ લઈ જઈને તેમનું કઈ પણ કરી નાખત.” મારાં નસીબ સારાં કે મારો દીકરો સહીસલામત અમને પાછો મળ્યો, નહિ તો એનું શું થાત તેની કલ્પના પણ કરવી શક્ય નથી.
અમે “એમની” રાહ જોતાં હતાં તેવામાં અમદાવાદથી સમાચાર આવ્યા કે અમારા નંબર બેના પુત્ર રવિને એક કન્યા ઘણી ગમી ગઈ હતી અને તેણે તેની સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. કન્યા સુસ્વભાવી અને પ્રેમાળ હતી. કન્યાના પિતાનો “એમને” આ બાબતમાં પત્ર આવ્યો અને તેમણે સગાઈની તારીખ નક્કી કરવા માટે વિનંતી કરી હતી. “એમણે” તેમને જણાવ્યું કે મોટા પુત્રનાં લગ્ન નક્કી ન થાય ત્યાં સુધી રવિની સગાઈ કરી શકાય નહિ. જોકે થોડા સમય બાદ અમારા ભત્રીજાનાં સાસરિયાંમાં એક સારી કન્યા સાથે મોટાનાં લગ્ન નક્કી થયાનો પત્ર લલિતાબાઈ તરફથી રાજકોટ આવ્યો. મારા પતિ હિંમતનગરથી અમને લેવા આવ્યા ત્યારે તેમણે આ પત્ર વાંચી તરત લખી જણાવ્યું કે, “હું, બાઈ તથા નાનાં બાળકો હિંમતનગર જવા નીકળીએ છીએ તો અમદાવાદ રોકાઈશું. તે વખતે બન્ને સગાઈઓ સાથે કરીશું.” પરંતુ હજી પણ ઘરમાં પારિવારિક બાબતોનો અધિકાર હજી લલિતાબાઈ પાસે હતો. તેમણે અમારી રાહ ન જોતાં મોટાની સગાઈ પતાવી નાખી! અમારી હાજરીની જાણે કોઈ જરૂરિયાત નહોતી. મારા પ્રત્યે ભલે તેમને ગમે તેવી સારી-નઠારી ભાવના હોય, પણ પિતાનું માન તો રાખવું જોઈએ કે નહિ? આ વાતની વ્યથા મને તો થઈ જ, પણ પોતાના પિતાને કેટલું દુઃખ થયું હશે તેનો લલિતાબાઈને વિચાર ન આવ્યો.
ખેર. હિંમતનગરમાં મકાનની વ્યવસ્થા કરી તેઓ અમને લેવા રાજકોટ આવ્યા, તે દિવસે એક વિચિત્ર પ્રસંગ બની ગયો. રાતે જમ્યા પછી અમે લાંબો વખત વાતચીત કરી અને સૂવાની તૈયારી કરી. મકાન લગભગ ખાલી કર્યું હોવાથી મેં બહારના ઓરડામાં જમીન પર પથારીઓ બિછાવી. ભીંતની એક બાજુએ અમારું બિછાનું અને બીજી તરફ બાળકોની પથારી. રાતે કોણ જાણે ક્યાંથી એક સાપ આવીને અમારા બિછાનાની નીચે સંતાઈ ગયો તેની અમને ખબર ન પડી. રાતે મારા પડખાની નીચે સળવળાટ થયાનો આભાસ થયો, પણ મેં ધ્યાન ન આપ્યું. સવારે વહેલાં ઊઠીને મેં ચા બનાવી. “તેઓ” ચા પીને બહાર નીકળી ગયા. તે સમયે અમારા પરિવારના એક આપ્તજન રાજકોટમાં બદલી પર આવ્યા હતા અને અમારા ઘરની બાજુમાં રહેવા આવ્યા હતા. હું બિસ્તરા ઉપાડવાનો વિચાર કરતી હતી તેવામાં તેમના મોટા દીકરા દત્તાત્રેય અમારે ત્યાં આવ્યા. મેં બારણું ખોલ્યું અને પથારી વીંટાળવા લાગી ત્યાં જે જગ્યાએ હું સૂતી હતી ત્યાં તેમણે ચાર હાથ લાંબો સાપ જોયો. તેમણે તરત બૂમ પાડી, ‘કાકી, ત્યાંથી એકદમ ભાગો, તમારા પગ પાસે મોટો સાપ છે!” હું તો જીવ લઈને ત્યાંથી ભાગી. સાપ આખી રાત અમારી પથારીની નીચે હતો! અમારું આયુષ્ય લાંબું હતું તેથી અમે બચી ગયાં. ત્યાર બાદ મહામુશ્કેલીથી સાપને પકડ્યો અને સદરના નાળામાં તેને છોડી આવ્યા.
ક્રમશઃ
કેપ્ટન નરેંદ્ર ફણસેનાં સંપર્ક સૂત્રો –વીજાણુ ટપાલ સરનામુંઃ captnarendra@gmail.com -
ફિલ્મી ગઝલો – ૧૦૪. પાલ પ્રેમી
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
પાલ પ્રેમી ગીતકાર, અભિનેતા, લેખક અને નિર્દેશક હતા. એમના વિશે એટલી માહિતી મળે છે કે એમણે ડોલતી નૈયા (૧૯૫૦), રામ ભરોસે (૧૯૫૧), અલ્લાદીન કા ચિરાગ (૧૯૫૭), પથ્થર કે ખ્વાબ (૧૯૬૯) જેવી ફિલ્મોમાં માત્ર બાર ગીત લખ્યાં. અભિનેતા તરીકે ખુલ જા સિમસિમ અને શ્રીમાન ફંટૂશમાં નાની ભૂમિકાઓ ભજવી. અલ્લાદીન કા ચિરાગ અને હૈવાન (૧૯૭૭) ફિલ્મોનું લેખન પણ કર્યું. અહીં આપી છે એ એમની એક માત્ર ગઝલ વાળી ફિલ્મ ‘ પથ્થર કે ખ્વાબ ‘ અને અને ‘ હમારે ગમ સે મત ખેલો ‘ (૧૯૬૭) ફિલ્મોનું નિર્દેશન પણ એમણે કર્યું.
એમની ગઝલ :
યાદોં કા સહારા ના હોતા હમ છોડ કે દુનિયા ચલ દેતે
યે દર્દ જો પ્યારા ના હોતા હમ છોડ કે દુનિયા ચલ દેતેટૂટા હુઆ દિલ ટૂટે અરમાં તેરી હૈ અમાનત પાસ મેરે
યે દિલ જો તુમ્હારા ના હોતા હમ છોડ કે દુનિયા ચલ દેતેશાયદ કે તેરે કામ આ જાએ યે જાન મેરી ઓ જાને જિગર
કિસ્મત કા ઈશારા ના હોતા હમ છોડ કે દુનિયા ચલ દેતેરુક જાએં કહાં હૈ કિસકો ખબર દૌરાને સફર યા મંઝિલ પર
ગર્દિશ મેં સિતારા ના હોતા હમ છોડ કે દુનિયા ચલ દેતે..– ફિલ્મ : પથ્થર કે ખ્વાબ ૧૯૬૯
– તલત મહેમૂદ
– એન દત્તા
ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
આર ડી બર્મનના વાદ્યવૃંદ રચનાના તાલ વાદ્યોના ધ્યાનાકર્ષક પ્રયોગો
સંકલનઃ અશોક વૈષ્ણવ
આર ડી બર્મન (૨૭ – ૬ – ૧૯૩૯ । ૪ – ૧ – ૧૯૯૪)નાં માતા અને પિતા – મીરા બર્મન અને એસ ડી બર્મન – બન્ને પોતપોતાની રીતે સંગીતમાં ડુબેલાં હતાં. એટલે આર ડીને પણ સંગીત ગળથુથીમાંથી મળ્યું એમ કહેવામાં કદાચ અતિશયોક્તિ નહીં ગણાય. આર ડીને અનેક વાદ્યો શીખવાની તક મળી, પણ તેના તબલાં પ્રત્યેના લગાવને કારણે તેનાં માતાપિતા તેને ‘તબલુ’ કહીને જ બોલાવતાં. તો વળી, નાનપણથી આર ડીને સરગમના પંચમ સુરનું પણ બહુ જ ઘેલું આકર્ષણ હતું. એટલે અશોક કુમાર તો આર ડીને ‘પંચમ’ કહીને બોલાવતા. પછી તો આર ડીનું હુલામણું નામ જ ‘પંચમ’ બની રહ્યું. સ્વતંત્ર સંગીતકાર તરીકે પોતાની અલગ ઓળખ ઊભી કરવામાં આર ડીએ આ પંચમ સુરને હંમેશાં કેન્દ્રમાં રાખ્યો.સ્વાભાવિક છે કે નાનપણથી આર ડી એના પિતા – એસ ડી બર્મન – ની સંગીત બાંધણીની બેઠકોમાં હાજરી ભરતો. ધીમે ધીમે કરતં એક તબક્કે આર ડીએ તેની સંગીત અને સંગીત બાંધણીની આગવી સુઝના સ્વબળે એસ ડી બર્મનના સંગીત સહાયકની કામગીરી પણ સંભાળવાનું શરૂ કરી દીધું. આર ડીની સંગીતની સૂઝનું પ્રમાણ તો એ વાત પરથી જ મળી જશે કે એસ ડી બર્મને અય મેરી ટોપી પલટ કે આ (ફંટુશ, ૧૯૫૬) અને સર જો તેરા ચકરાયે (પ્યાસા, ૧૯૫૭) એ બે ગીતો આર ડીની જ મૂળ ધુનો પર થી બનાવ્યાં છે.
એસ ડી બર્મનની સંગીત બેઠકોમાં ભાગ લેવાને આર ડી બર્મન અનેક વાદ્ય કાલાકારોની સાથે સંબંધો બાંધી શક્યા અને તેમની આગવી આવડતોને પોતાની વાદ્યવૃંદ રચનાઓમાં બહુ જ અભિનવપણે મુકી પણ શકયા. આર ડી બર્મનની વાદ્યવૃંદની ટીમના ત્રણ મુખ્ય પાયા હતા તેમના સંગીત સહાયકો – બાસુ (ચક્રવર્તી, વાયોલીન અને ચેલો નિષ્ણાત), મનોહરી (સિંઘ, સેક્ષોફોનના મહારથી) અને મારૂતી (રાવ કીર, તાલવાદ્યોના નિપુણ). આર ડી બર્મનની આગવી પ્રયોગશીલતાને આ ત્રણ કલાકારોએ એટલી જ આગવી શૈલીમાં, શાસ્ત્રીય, પાશ્ચાત્ય કે લોકસંગીત તેમજ પ્રાદેશિક સંગીત આધારિત રચનાઓમાં મૂર્ત કરી આપી.

આ ત્રણ કલાકારોની પોતપોતાનાં ક્ષેત્રની નિપુણતાને વિગતે જાણવા માટે તો યુટ્યુબ પરની મુલાકાત લેવી એક અનોખો લ્હાવો બની રહે છે. જોકે આર ડી બર્મનનાં સંગીતની યાદાંજલિ સ્વરૂપ આ લેખમાળામાં તો આપણે કેટલાક પ્રતિનિધિ કહી શકાય એવા વાદ્યવૃંદ રચનાના પ્રયોગો પુરતી સીમામાં રહીશું. તો ચાલો શરૂઆત કરીએ આર ડી બર્મનના વાદ્યવૃંદ રચનાના તાલ વાદ્યોના ધ્યાનાકર્ષક પ્રયોગો થી.
+ + +
આર ડી બર્મનનાં ઘડતરનાં વર્ષોમાં તેમના પિતા એસ ડી બર્મંન સંગીતમાં તાલનાં મહત્ત્વ પર હંમેશાં બહુ જ ભાર મુકતા. તેઓ કહેતા કે સારા સંગીતકાર થવું હોય તો નવરાશના સમયમાં તાલની અવનવી બંદિશો વિચારતાં જ રહેવું જોઈએ. સમય આવ્યે એ બંદિશો જ કોઈ એક સારાં ગીતની રચનાનો પાયો બની રહે.
આર ડી બર્મને પોતાની સ્વતંત્ર સંગીતકાર તરીકેની કારકિર્દી શરૂ કરી ત્યારથી માત્ર પોતાના પિતાનાં જ સંગીતની નહીં પણ એ સમયના અન્ય શંકર જયકિશન, મદન મોહન, રોશન જેવા આગલી પેઢીના અને પોતાની જ પેઢીના લક્ષ્મીકાંત પ્યારેલાલ જેવા સંગીતકારો કરતાં અલગ છાપ ઉભી કરવાનો તેમને બહુ મોટો પડકાર હતો. એ કામમાં તેમણે પંચમ સુર માટેના તેમના લગાવને અદ્ભૂત રીતે કામમાં લીધો.
જોકે આશ્ચર્યની વાત એ છે કે આર ડીની સૌ પ્રથમ ફિલ્મના સંગીત સહાયકો લક્ષ્મીકાંત પ્યારેલાલ હતા. તેમની બીજી ફિલ્મમાં બાસુદેબ (ચક્રવર્તી) અને મનોહરી (સિંઘ) તેમના સહાયકો હતા. પરંતુ મારૂતી રાવ કીર એ સમયે નેપથ્યમાં રહીને આર ડીના વાદ્યવૃંદની તાલ રચનામાં પોતાનું આગવું યોગદાન આપતા હતા, જે આર ડી બર્મન દ્વારા રચાયેલ ૩૦૦થી વધારે ગીતોમાં છવાયેલી જોવા મળે છે.
ઘર આ જા ગિર આયે બદરા સાંવરીયા – છોટે નવાબ (૧૯૬૧) – લતા મંગેશકર – ગીતકારઃ શૈલેન્દ્ર – સંગીતઃ આર ડી બર્મન
૭ – માત્રામાં, રાગ માલગુંજીમાં રચાયેલ આ ગીતમાં તબલાના મૃદુ તાલ ગંભીર વાતાવરણની શાંતિને વધારે અસરકાર્ક બનાવે છે. મોરા જિયા ધક ધક રે (૦.૨૬ – ૦.૩૨) સમયે તાલમાં જે વવિધ્ય ચમકારો કરે છે એ આર ડીની પ્રયોગશીલતાના સ્પર્શને ઉજાગર કરે છે.
ચુરા કે દિલ બન રહે હૈ ભોલે જૈસે કુછ જાનતે નહીં – છોટે નવાબ (૧૯૬૧) – લતા મંગેશકર – ગીતકારઃ શૈલેન્દ્ર – સંગીતઃ આર ડી બર્મન
આ મુજરા ગીતમાં આર ડી રાગ ખમાજ પ્રયોજે છે, અને તે સાથે તબલાની થાપ હવે મુજરા નૃત્યની આગવી ઓળખને છતી કરવાની ગત પકડે છે.
આઓ આઓ સાંવરીયા – પડોશન (૧૯૬૮) – મન્ના ડે – ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ – સંગીતઃ આર ડી બર્મન
તો અહીં તબલાની થાપ પેરોડીનાં મુડને સચોટ પણે સંગત કરે છે.
આર ડી બર્મન તેમની પતિપત્ની, બહારોં કે સપને, પ્યાર કા મૌસમ જેવી શરૂઆતની ફિલ્મોમાં મહદ અંશે શાસ્ત્રીય, લોકધુન આધારિત રચનાઓ કરતા રહ્યા. આ રચનાઓની નોંધ લેવાઈ પણ આર ડીને પોતાની નવી જ પ્રદક્ષિણાની ધરીએ પહોંચાડવાનું શ્રેય તો તીસરી મંઝિલ (૧૯૬૭)ની પાશ્ચાત્ય ધુન આધારિત રચનાઓને ફાળે જ ગણાય છે. ભારતીય તાલ વાદ્યોના માહીર મારૂતિ રાવ અહીં પણ આર ડીની પ્રયોગશીલતાને નીખારતા રહ્યા.
જબ અંધેરા હોતા હૈ – રાજા રાની (૧૯૭૩) – આશા ભોસલે, ભુપિન્દર – ગીતકારઃ આનન્દ બક્ષી – સંગીતઃ આર ડી બર્મન
બોંગો ગીતને લય આપીને ગીતના વાતવરણને રહસ્યમય બનાવે છે. અંતરા વખતે પાછો તાલ નવા સ્વરૂપે જ સંભળાય !
એકદમ દ્રુત લયમાં તબલાં અને તેની સાથે બોંગોની અનોખી જુગલબંધીનો શોલે (૧૯૭૩)માં જે પ્રયોગ કરાયો તેણે પોતાની જીવનસંગિની એવી ધન્નોની મદદથી ભાગી છૂટવા મથતી બસંતીની ઘોડાગાડીની દિલધડક ચીલઝડપ હિંદી ફિલ્મોનું એક યાદગાર નજરાણું ગણાય છે. તબલાં પર પંડિત સામતા પ્રસાદ છે અને બોંગો પર મારૂતિ રાવ પર આ સંમોહિની પાથરે છે.
મારૂતી રાવનું આર ડી સાથેનું સાયુજ્ય આર ડીની છેલ્લી ફિલ્મ – ૧૯૪૨ એ લવ સ્ટોરી (૧૯૯૪) – સુધી ચાલુ રહ્યું.
રીમ ઝિમ .. રૂમ ઝુમ … ભીગી ભીગી રાતોંમેં હમ તુમ તુમ હમ – ૧૯૪૨ એ લવ સ્ટોરી (૧૯૯૪) – કુમાર સાનુ, કવિતા કૃષ્ણમૂર્તિ – ગીતકારઃ જાવેદ અખ્તર – સંગીતઃ આર ડી બર્મન
મુખડામાં બોંગોની આગવી સંગત બહુ સરળતાથી અંતરામાં તબલાંની રંગતમાં બદલી જાય છે. અંતરામાં તો તાલનું વૈવિધ્ય ગીતના મુડને વધારે અસરકારક બનાવે છે.
આર ડી બર્મનના તાલ વાદ્યના પ્રયોગોને હજુ વધારે વૈવિધ્ય અને તાજગી આપવામાં એક નવું પરિમાણ હતું રણજિત ગઝમેર (તખલ્લુસઃ કાંચા) અને તેમનું વાદ્ય માદલનું.
નદીયા કિનારે હમારા બાગાન – બરસાતકી એક રાત (૧૯૮૧) – લતા મંગેશકર – ગીતકારઃ આનન્દ બક્ષી – સંગીતઃ આર ડી બર્મન
ગીતનું ફિલ્માંકન ચાના બગીચાના વાતાવરણમાં થયું છે, એટલે તાલ વાદ્ય તરીકે માદલ જેવું લોક સંગીતનું વાદ્ય સ્વાભાવિક પસંદ જ બની રહે. અહી માદલની સાથે તબલાં વગેરે બીજાં તાલ વાદ્યો પણ સુર પુરાવે છે. ગીતના તાલમાં પંચમ સુરનું પ્રભુત્વ તો સાવ સહેલાઈથી છતું થાય છે.
https://youtu.be/BW_ChFQETH0?si=RzpUQesWEDMBW07X
દિલ પુકારે જીવા રે આ રે આ રાત ઉડતી જાઉં મૈં – જીવા (૧૯૮૬) – આશા ભોસલે – ગીતકારઃ ગુલઝાર – સંગીતઃ આર ડી બર્મન
માદલને પાશ્ચાત્ય તાલ વાદ્યો બોંગો/કોંગોની સંગતમાં મુકીને તાલની અનોખી મધુર સુરાવલી રચાઈ છે.
તેરે બિના જિયા જાયે ના – ઘર (૧૯૭૮) – લતા મંગેશકર – ગીતકારઃ ગુલઝાર – સંગીતઃ આર ડી બર્મન
અહીં અલગ અલગ માદલને થોડા થોડા સુરના તફાવતમાં ગોઠવીને માદલ તરંગથી ગીતનો તાલ રચાયો છે. પ્રસ્તુત ક્લિપમાં રણજીત ગઝમેર આ આખી રચનાને શી રીતે રજુ કરાઈ તેનું જીવંત પ્રદર્શન કરી બાતાવે છે. મજાની વાત એ છે કે આખી તરંગની તાલ રચના માદલના સામાન્યપણે પ્રયોજાતા સુર કરતાં એક ઊંચા સુરમાં પ્રયોજાઈ છે.
હમ દો પ્રેમી દુનિયા છોડ ચલે – અજનબી (૧૯૭૪)
આ ગીતની તાલ રચના નેપાળી લોક ધુન પર આધારિત છે. પ્રતુત ક્લિપમાં રણજીત ગઝમેરને માદલ પર લાઈવ જોઈ શકાય છે. તેમની સાથે હોમી મુલ્લાં રેસો રેસો પર અને એક અન્ય કલાકાર કાચ કાગળ પર વરાળ એન્જિનના અનોખા ગતિમય ધ્વનિને જીવંત કરતા જોઈ શકાય છે!
રેસો રેસોના આટલા પરિચયની બારી આપણા માટે આર ડી બર્મન દ્વારા આ પ્રકારનાં ડુગ્ગી, બોંગો, કોંગો, કાસ્ટનેટ્સ, રેસો રેસો, સ્ટિક્સ, ગોકનસ્પીએલ, ટ્રાયેન્ગલ, વાયબ્રોફોન, સાયલોફોન વગેરે જેવાં ‘અન્ય તાલ વાદ્યો’ તરીકે જાણીતાં ચાલીસેક જેટલાં (તથાકથિત) ગૌણ તાલ વાદ્યોના પ્રયોગોનું મેદાન મોકળું કરી આપે છે. કાવસ લોર્ડ, હોમી મુલ્લાં જેવા આગલી પેઢીના તાલ વાદ્ય નિષ્ણાતથી લઈને અમૃત રાવ કાટકર જેવા નવી પેઢીના ગણાતા અન્ય કલાકારોનો આર ડી બર્મન અને તેમની સંગીત સહાયક ત્રિપુટીએ મનમુકીને લાભ લીધો હતો.
મતવાલી આંખોંવાલે ઓ અલબેલે દિલવાલે – છોટે નવાબ (૧૯૬૧) – લતા મંગેશકર, મોહમ્મ્દ રફી – ગીતકારઃ શૈલેન્દ્ર – સંગીતઃ આર ડી બર્મન
ગીતનો મુખ્ય તાલ કાવસ લોર્ડ બોંગો પર સજાવે છે જેને કારણે ગીતની લયને ઝડપની અનોખી અનુભૂતિ મળે છે. તાલને ઓબ્લિગેટો સંગત કાસ્ટનેટના મૃદુ સ્વરમાં કાવસ લોર્ડના જ્યેષ્ઠ પુત્ર કેરસી લોર્ડ આપે છે. ધ્યાનથી જોઈશું તો દેખાશે કે ૦.૨૯ – ૦.૩૭ સુધી પરદા પર હેલન કાસ્ટનેટ વગાડતાં વગાડતાં નૃત્ય કરે છે.
રૂઠ ન જાના તુમસે કહું તો – ૧૯૪૨ એ લવ સ્ટોરી (૧૯૯૪) – કુમાર સાનુ – ગીતકારઃ જાવેદ અખ્તર – સંગીતઃ આર ડી બર્મન
૧૯૬૧માં કાવસ લૉર્ડ બોંગો પર જેટલા તરોજાતા અને પ્રયોગશીલ હતા એટલા જ તાજા અને પ્રયોગશીલ ૧૯૯૪માં પણ છે !
પ્રસ્તુત ક્લિપમાં આર ડી બર્મનનાં આધુનિક ગીતેર તરીકે ઓળખાતાં ગૈર – ફિલ્મી સર્જન માછેર કાંટા ખોપાર કાંટા (આશા ભોસલે)ના યુફોની દ્વારા ઓગસ્ટ ૨૦૦૯માં કલા મંદિર, કોલકત્તા ખાતે આયોજિત કાર્યક્રમમાં ફ્રાંકો વાઝ એક અનોખાં તાલ વાદ્ય કૂઇકા (Cuica)નું જીવંત પ્રદર્શન કરી બતાવે છે.
‘અન્ય તાલ વાદ્યો’ પૈકી અનેક વાદ્યોના નિષ્ણાત ગણાતા હોમી મુલ્લાંએ આર ડી બર્મનનાં ગીતોમાં અનેક અવનવા પ્રયોગો કર્યા હતા. અહીં એવાં કેટલાંક ગીતો પસંદ કર્યાં છે જેમાં ‘ગૌણ’ તાલ વાદ્ય જ વાદ્યવૃંદમાં ધ્યાનાકાર્ષિત બની રહે છે.
- ડુગ્ગી – ઓ મેરે દિલ કે ચૈન (મેરે જીવન સાથી, ૧૯૭૨), આને વાલા પલ (ગોલમાલ, ૧૯૭૮) વગેરે
- કોકીરીકો, જાપાનીઝ તાલ વાદ્ય – ગુલાબી આંખેં (ધ ટ્રેન, ૧૯૭૦)
- કલિમ્બા, આફ્રિકાના હાર્પ તરીકે ઓળખાતું તંતુ વાદ્ય – ઐસે ન મુઝે તુમ દેખો (ડાર્લિંગ ડાર્લિંગ, ૧૯૭૭) ના પૂર્વાલાપ અને મધ્યાલાપમાં
- ટ્રાયંગલ – આઓ ના ગલે લગાઓ ના (મેરે જીવન સાથી,૧૯૭૨)માં મિઠાશથી રણકે છે, અને
- મરાકા – આપણા ઘુઘરા જેવું કેરીબિયન વાજીંત્ર – કભી પલકોં પે આંસું (હરજાઈ, ૧૯૮૧)
પ્રસ્તુત ક્લિપમાં આવાં અનેક તાલ વાદ્યોના આર ડીનાં ગીતોમાં કરાયેલા પ્રયોગો માણી શકાય છે.
સામને યે કૌન આયા દિલમેં હુઈ હલચલ – (જવાની દિવાની, ૧૯૭૨)નાં ગીતમાં તાલ સંગત માટે પેડલ મટકાનો અભિનવ પ્રયોગ પ્રતુત ક્લિપમાં જીવંત પ્રદર્શિત જોઈ શકાય છે.
આર ડી બર્મને મેરે સામનેવાલે ખીડકીમેં એક ચાંદ સા ટુકડા રહતા હૈ (પડોશન, ૧૯૬૮ – કિશોર કુમાર – ગીતકારઃ રાજેંદ્ર કૃષ્ણ – સંગીતઃઆર ડી બર્મન)મા વાદ્યોના અવનવા પ્રયોગો કર્યા. તેમાં સૌથી વધારે જાણીતો પ્રયોગ ‘અન્ય તાલ વાદ્યો પૈકી એક એવાં રેસો રેસોનો હતો. પરદા પર કેસ્ટો મુખર્જી ઝાડુ પર કાંસકાને ઘસીને (૦.૧૭ – ૦.૨૦) જે ધ્વનિ પેદા કરે છે તે ખરેખર અમૃત રાવ કાટકરે રેસો રેસો દ્વારા પેદા કર્યો હતો.
‘અન્ય તાલ વાદ્ય તરીકે’ પોતાની ઓળખ અન્ય વાદ્યોની સાથે ભેળવી દેતા રેસો રેસોના કેટલાક અન્ય પ્રયોગોને પણ માણી લઈએ –
- મેરા નામ હૈ શબનમ (કટી પતંગ, ૧૯૬૭)માં અંતરાનાં વાદ્ય સંગીતને હળવો હળવો કાઉન્ટર મેલોડી સંગાથ
- જાને જા ઢૂંઢતા ફિર રહા હું તુઝે (જવાની દિવાની, ૧૯૭૨) માં પણ અંતરાનાં વાદ્ય સંગીતને હળવો કાઉન્ટર મેલોડી સંગાથ
- દિલ મેરા હૈ મૈં ભી તેરી હું સનમ (બોંબે ટુ ગોવા , ૧૯૭૨) માં પણ પૂર્વાલપથી જ અન્ય તંતુ વાદ્યોમાં એકરસ થઈ જતો કાઉન્ટર મેલોડી સંગાથ
- ચિનગારી કોઈ ભડકે (અમર પ્રેમ, ૧૯૭૨)માં હલેસાંથી થતાં મોજાંના સ્વરને પેદા કરે છે.
આર ડી બર્મનને તેના દરેક કલાકારની ખાસ ખુબીઓની આગવી પરખ હતી. અમૃત રાવ કાટકર પાસે તેમણે આ ગીતોમાં તબલાંના તાલના પણ અનોખા પ્રયોગો કરાવ્યા છે –
- ચુનરી સંભાલ ગોરી ઉડી ચલી જાયે રેે – બહારોં કે સપને (૧૯૬૭)
- મેરે નૈના સાવન ભાદોં – મેહબૂબા (૧૯૭૬)
- ધન્નોકી આંખોંમેં પ્યાર કા સુરમા – કિતાબ (૧૯૭૭)
- ગોલમાલ હૈ ભાઈ ગોલમાલ હૈ – ગોલમાલ (૧૯૭૯)
અત્યાર સુધી આપણે આર ડી બર્મનનાં તાલ વાદ્યોના પ્રયોગોમાં ભારતીય તાલ વાદ્યો અને અન્ય તાલ વાદ્યોના પ્રયોગોની જ વાત કરી. આર ડી બર્મનને સફળતાનાં શિખરો ભણી લઈ જનારા ‘તીસરી મંઝિલ’ (૧૯૬૭)નાં આજા આજા મૈં હું પ્યાર તેરા, ઓ હસીના ઝુલ્ફોંવાલી, તુમને મુઝે દેખા હો કર મહેરબાં જેવાં ગીતોમાં અને તે પછીના ડ્ર્મ્સ ના પ્રયોગોની વાત વિના તો આ આખી વાત કદાચ સાવ ફિક્કી જ લાગે.
મેહબૂબા મેહબૂબા (શોલે, ૧૯૭૫)માં ડ્રમની કરામત કેવી રીતે કરાઈ તે આ ક્લિપમાં બરજોર લૉર્ડ એક લાઈવ કાર્યક્રમમાં બતાવે છે.
યુ ટ્યુબ પર તેમના લાઈવ કાર્યક્રમોની અનેક ક્લિપો બહુ સહજપણે પ્રમાણિત કરી આપે છે કે બરજોર લોર્ડની ડ્રમ વગાડવાની અદા સાવ જ અનોખી રહેતી. અહીં તેમણે આર ડી બર્મન માટે કરેલા કેટલાય પ્રયોગો પૈકી બે એક પ્રતિનિધિ પ્રયોગોની નોંધ લઈશું –
- ગુલાબી આંખેં જો તેરી દેખી – ધ ટ્રેન, ૧૯૭૦
- ક્યા હુઆ તેરા વાદા – હમ કિસીસે કમ નહીં, ૧૯૭૭
ઓ મારીઆ (સાગર, ૧૯૮૫) માટે ફ્રાંકો વાઝે ડ્રમ પર સંગાથ કર્યો હતો. પ્રસ્તુત ક્લિપમાં તેઓ સમજાવે છે કે ગીતમાં ડ્રમને શી રીતે પ્રવેશ મળ્યો અને તેના સુરને શી રીતે ગીતની લયમાં વણી લેવાયા.
આર ડી બર્મનના તાલ વાદ્યોના પ્રયોગોની સફરને યુ ટ્યુબ પર ઉપલબ્ધ અનેકવિધ ક્લિપ્સમાં માણી શકાય છે. આજના લેખ પુરતો આપણે અહીં વિરામ લઈશું.
હવે પછી આર ડી બર્મનના તંતુ વાદ્યોના પ્રયોગોની વાત માંડીશું.
Credits and Disclaimers:
- The song links have been embedded from the YouTube only for the listening pleasure of music lovers. This blog claims no copyright over these songs, which vests with the respective copyright holders.
- The photograph is taken from the internet, duly recognising the full copyrights for the same to the either original creator or the site where they were originally displayed.
-
ફિલસુફીભર્યાં ગીતો – ૩૫ – कभी किसी को मुकम्मल जहाँ नहीं मिलता
નિરંજન મહેતા
૧૯૮૧ની ફિલ્મ ‘આહિસ્તા આહિસ્તા’નું આ એક પાર્શ્વગીત છે
कभी किसी को मुकम्मल जहाँ नहीं मिलता
कहीं ज़मीन कहीं आसमाँ नहीं मिलतातमाम शहर में ऐसा नहीं ख़ुलूस न हो
जहाँ उमीद हो इस की वहाँ नहीं मिलता
कहाँ चराग़ जलाएँ कहाँ गुलाब रखें
छतें तो मिलती हैं लेकिन मकाँ नहीं मिलताये क्या अज़ाब है सब अपने आप में गुम हैं
ज़बाँ मिली है मगर हम-ज़बाँ नहीं मिलता
चराग़ जलते ही बीनाई बुझने लगती है
ख़ुद अपने घर में ही घर का निशाँ नहीं मिलताફિલ્મમાં ભુપિન્દરના સ્વરમાં ગવાતું ગીત બેકગ્રાઉન્ડ ગીત તરીકે છે જ્યારે આશા ભોસલેના સ્વરમાં ગવાયેલું ગીત પરદા પર નંદાએ અભિનિત કરેલ છે.
(मुकम्मल=પૂર્ણ, ख़ुलूस=સચ્ચાઈ, ઈમાનદારી, अज़ाब=પાપ, દુઃખ, बीनाई=દૃષ્ટિ)
સમાજના દુષણ તરફ આંગળી ચીંધતી આ ફિલ્મમાં બે પ્રેમીઓ ભેગા નથી થઇ શકતા કારણ પ્રેમિકા એક ગણિકાની પુત્રી છે જે સમાજને લગ્નબંધન માટે સ્વીકાર્ય નથી, ભલે તે અન્ય રીતે સ્વીકારાતી હોય. કહેવાય છે કે કોઈને ક્યારેય પૂર્ણ જગત નથી મળતું. દરેકનું જીવન ક્યાંકને ક્યાંક અધુરૂ રહેતું હોય છે. ક્યારેક એક વસ્તુ મળે તો બીજી વસ્તુ પ્રાપ્ત નથી થતી.
આ દુનિયામાં એવું નથી હોતું કે સચ્ચાઈ નથી હોતી, પણ તમે જ્યાં તે ઈચ્છો ત્યાં તે તમને મળતી નથી જેને લઈને તમે માની લો છો કે આ દુનિયામાં ક્યાંક સચ્ચાઈ રહી નથી. લોકો કબર પર દીવો કરે છે અને ફૂલ મૂકે છે પણ ક્યાં દીવો મુકવો અને ક્યાં ગુલાબ મૂકવું તેની સમજ ન હોય તો તેનો ઈરાદો નિષ્ફળ જાય છે.
તમે એક ઘર બનાવીને વસો છો પણ તે સાચા અર્થમાં ઘર છે કે નહીં તે પણ સમજવું જરૂરી છે. એક છત નીચે રહેનાર કુટુંબ ભલે માને કે તેઓ એક ઘરમાં રહે છે પણ જ્યાં સુધી બધા વચ્ચે સુમેળ ન હોય ત્યાં સુધી તે ઘર ઘર કહેવાને લાયક નથી બનતું. એવા તે કેવા પાપ કર્યા હોય છે કે દરેક પોતપોતાના વ્યસ્ત હોય છે અને અન્ય તરફ નજર પણ નથી કરતાં?
માનવીને વાચા મળી છે તે કુદરતની મહેર છે પણ આપણને આપણા વિચારો સમજે, આપણને સાથ આપે તેવા કેટલા?
જ્યારે દીવો પ્રગટે છે ત્યારે આપણે થોડીવાર માટે દ્રષ્ટિ ગુમાવીએ છીએ જેને કારણે આપણે આપણા જ ઘરમાં રહેલી ચીજોને જોઈ નથી શકતા. કહેવાનો ભાવાર્થ છે કે આપણે આપણી અંદર આપણા આત્માને નથી ખોજતા અને બહાર ફાંફા મારીએ છીએ.
આ ફિલ્મના પ્રેમી કલાકારો છે કુણાલ કપૂર અને પદ્મિની કોલ્હાપુરે. નીદા ફાઝલીના શબ્દો અને ખય્યામનું સંગીત. સ્વર છે ભુપીન્દર સિંહનો. ફિલ્મમાં અન્ય કલાકારોની લાંબી યાદી છે જેમાં નંદા, શશીકલા, રેહમાન જેવા ગજાના કલાકારોનો સમાંવેશ થયો છે.
Niranjan Mehta
A/602, Ashoknagar(old),Vaziranaka, L.T. Road,Borivali(West),Mumbai 400091Tel. +91 22 28339258/ 91 9819018295વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com -
ચુનમુનની પીડા
પંખીઓના દેશમાં
ગિરિમા ઘારેખાન
એક નાનકડો બગીચો હતો. બગીચામાં ઘણા બધા વૃક્ષો હતાં. એના ઉપર જાતજાતના પક્ષીઓ રહે-કાગડા અને ચકલીઓ, હોલા, કાબર અને પોપટ. ઝાડના થડની બખોલમાં ખિસકોલીઓ પણ રહે. એક ઝાડની બે ડાળીઓની વચ્ચે એક મધપુડો પણ હતો. વહેલી સવારે આખો બગીચો પક્ષીઓના કલરવથી ગાજી ઊઠે. સૂરજ ઊગતાની સાથે પક્ષીઓ ચણની શોધમાં ઊડી જાય. વચ્ચે વચ્ચે આવીને પોતાના બચ્ચાંને ચણ પણ ખવડાવી જાય. ખિસકોલીઓ બગીચામાં નીચે દોડાદોડી કરીને બાળકોએ વેરેલી શીંગ વગેરેની શોધમાં લાગી જાય. મધમાખીઓ બગીચામાં ખીલેલા ફૂલો પાસે જઈને મધ લઇ આવે.
એક દિવસની વાત છે. હોલાનું એક નાનકડું બચ્ચું ઝાડ ઉપર બેઠું હતું. નામ હતું એનું ચુનમુન.
ચુનમુનને તરસ લાગી હતી. એ પાણીની શોધમાં ઝાડ ઉપરથી નીચે આવ્યું. આજુબાજુ નજર નાખતાં એણે એક મોટા ઝાડ નીચે પાણીની એક કુંડી જોઈ. ચુનમુન ખુશ થયું અને ઝડપથી એ કુંડી તરફ ચાલવા માંડ્યું. એને તરસ એટલી બધી લાગી હતી કે એણે રસ્તામાં પડેલા એક નાના પથ્થરને જોયો જ નહીં. એટલે ચાલતા ચાલતા એના પગનો પંજો એ પથ્થર સાથે અથડાયો. ચુનમુન તો ઘણું નાજુક નાજુક હતું. એના કોમલ પગ સાથે પથ્થર અથડાયો એટલે એને તો બહુ દુ:ખવા માંડ્યું. પહેલીવાર એને આવી રીતે કંઇક વાગ્યું હતું.
પછી તો ચુનમુને જોરજોરથી રડવાનું ચાલુ કરી દીધું. એ તો એની તરસ-બરસ બધું ભૂલી ગયું અને ભેંકડો તાણીને રોવા જ માંડ્યું. બાજુમાં જ એક ફૂલનો છોડ હતો. એના ઉપર મુમુ મધમાખી બેઠી હતી. મધમાખીએ ચુનમુનને રડતું જોયું. એ તરત એની પાસે આવી અને ગણગણ કરતાં પૂછ્યું, ‘ચુનમુન, ચુનમુન, તને શું થયું? કેમ આટલું બધું રડે છે?”
ચુનમુને રડતાં રડતાં જ પોતાના પગનો પંજો બતાવ્યો. એણે પેલો પાસે પડેલો પથ્થર પણ બતાવ્યો. મધમાખી ચતુર હતી. એ સમજી ગઈ કે ચુનમુન ગભરાઈ ગયું છે. એણે કહ્યું, “હા, તને થોડું વાગ્યું તો છે. હું તને તારા પંજા ઉપર થોડું મધ લગાવી આપું. એનાથી તને મટી જશે.’ચુનમુને પંજો આગળ કર્યો. મધમાખીએ એના ઉપર થોડું મધ લગાવ્યું અને ઊડી ગઈ. ચુનમુન હવે ચૂપ થઈને ફરીથી પાણીની કુંડી તરફ ચાલવા માંડ્યું. પણ આ શું? એનો તો પગ જલદી ઉપડતો જ ન હતો. ચીકણો થઇ ગયો હતો. એ જ્યાં જ્યાં પંજો મુકે ત્યાં પંજો ચોંટી જ જાય.
ચુનમુનને તો ફરીથી દુ:ખવા માંડયું. એ તો હતું ત્યાં ઊભું રહી ગયું અને પાછો તાણ્યો મોટો ભેંકડો.
એ વખતે ખુશી ખિસકોલી ત્યાંથી પસાર થતી હતી. ચુનમુનને રડતું સાંભળીને એ એની નજીક આવી. એણે વહાલથી ચુનમુનને પૂછ્યું, “શું થયું બેટા? કેમ રડે છે? તારી મમ્મી હમણાં આવશે.’
મમ્મીનું નામ સાંભળતાં જ ચુનમુન તો વધારે જોરથી રડવા માંડ્યું. ખુશીએ એના માથા ઉપર પોતાનો પંજો ફેરવીને એને ચુપ રાખ્યું અને ફરીથી પૂછ્યું, “મને કહે તો ખરું તને શું થયું છે?’ ચુનમુને પોતાનો પંજો બતાવીને જે થયું હતું એ જણાવ્યું.
ખુશી ખિસકોલી આખી વાત સમજી ગઈ. એણે કહ્યું, “અરે અરે, તને તો બહુ વાગ્યું છે. લોહી પણ નીકળ્યું છે એટલે તારો પગ ચોંટી જાય છે. પણ કંઈ વાંધો નહીં. મારી પાસે એક પાતળું કપડું છે. તને એનો પાટો બાંધી આપું એટલે મટી જશે.’
એ પોતાની બખોલમાં જઈને પાતળા કપડાનો લીરો લઇ આવી અને ચુનમુનના પગ ઉપર બાંધીને પોતાના કામે નીકળી ગઈ.
પોતાના પંજા તરફ જોતું જોતું ચુનમુન પાછું પાણીની કુંડી તરફ ચાલવા માંડ્યું. પણ આ શું?
એનો તો પગ ભારે ભારે થઇ ગયો હતો. ભારને લીધે પગ તો ઉપડે જ નહીં! આટલો મોટો પાટો જોઇને એને તો વધારે દુ:ખવા માંડ્યું. પાછું એણે તો એનું રડવાનું ચાલુ કરી દીધું.
ઝાડ ઉપર બેઠેલો એક કાગડો આ બધું જોતો હતો. એ તો ઊડતો ઊડતો ગયો ચુનમુનની મમ્મીને શોધવા. એ ચુનમુન માટે દાણા વીણતી હતી. કાગડાએ એને બધી વાત કરી.
ચુનમુનની મમ્મી તરત જ બગીચામાં આવી ગઈ. આવીને એ સીધી ચુનમુન પાસે આવી અને પ્રેમથી ‘શું થયું બેટા?’ એમ પૂછ્યું. ચુનમુન તો મમ્મીને જોઇને પહેલેથી પણ વધારે જોરથી રડવા માંડ્યું અને એણે રડતે રડતે જ પોતાનો પંજો મમ્મીને બતાવ્યો. એની મમ્મીએ પહેલાં તો એનો પાટો છોડી નાખ્યો અને પંજા ઉપર જોરજોરથી ફૂંક મારવા માંડી. એ ચુનમુનને એમ પણ કહેતી હતી કે, “આ તો કશું નથી થયું. હમણાં મટી જશે.”
મમ્મીની ફૂંકથી તો ચુનમુનના પંજા ઉપર જાણે જાદુ થયું. દર્દ, પીડા, બધું ગાયબ! એ તો ખુશ થઈને પોતાની પાંખો ફફડાવવા માંડ્યું. મમ્મી એને પાણીની કુંડી પાસે લઇ ગઈ અને પાણી પીવડાવ્યું. એણે એના પગનો પંજો પણ સાફ કર્યો. ચુનમુન તો ખુશ થઈને પાછું મમ્મી સાથે પહોંચી ગયું એના ઝાડ ઉપર.
[ભાવિક પરિષદ]
ગિરિમા ઘારેખાન | ફોન-૮૯૮૦૨૦૫૯૦૯
-
ઋતુના રંગ : ૨ :

બાલમંદિર : ભાવનગર
તા. ૨૬ -૧ – ૩૬
પ્રિય બાળકો !
ગયે વખતે મેં તમને વહાલાં લખ્યાં હતાં; આ વખતે પ્રિય લખું છું. વહાલાં અને પ્રિયમાં નથી ફેર લાગતો. કેટલાંકને ‘ વહાલાં ‘ ગમે ને કેટલાકને ‘ પ્રિય ‘ ગમે; તમને શું ગમે ?
શિયાળો હજી ચાલે છે, એમ લખું તો યે ઠીક અને ન કહું તો યે ઠીક. આટલી બધી ટાઢ પડે છે, મારા અને તમારા હાથપગ ફાટી જાય છે, ગોળાનું પાણી બરફ જેવું ઠંડું થઈ જાય છે, એટલે એની મેળાએ ખબર પડે કે આ શિયાળો છે. ઉનાળે એની મેળાએ ખબર પડે કે આ ઉનાળો. તડકા એવા તપે, એવા તપે કે વગર પૂછે ઉનાળો. અને આકાશેથી વરસાદ તૂટી પડે એટલે કબીર કહી ગયા છે કે ચોમાસું. એમાં તો પૂછવાનું જ નહિ.
જુઓ, શિયાળો બેઠો એની બીજી રીતે ય ખબર પડે. દિવાળી પછી શિયાળો આવે અને દિવાળી પછી દિવાળીઘોડો આવે. તમે એને ઘણી વાર ભાળ્યો છે પણ એનું નામ તમને નહિ આવડતું હોય. ધોળા અને કાળા રંગનું પેલું આંગણામાં દોડતું અને પાછળથી વારે વારે પૂંછડી ઊંચી કરતું જાય, એ પક્ષી તે દિવાળીઘોડો. તમને ખબર છે, એ પક્ષી ક્યાંથી આવે છે ? અરે, એ તો દક્ષિણ યુરોપથી – ઠેઠ ઈટાલીથી આવે છે. એટલે બધે દૂરથી ? અને એ અહીં શા માટે આવતું હશે ? શા માટે ? ત્યાં યુરોપમાં બહુ સખત ટાઢ પડે ને ઠરી જવાય એટલે કેટલાં ય પક્ષીઓ અહીં હિંદુસ્તાનમાં આવે છે. દિવાળીઘોડો પણ અહીં ગરમ હવા ખાવા આવે છે. ગરમ હવા ? હા; અત્યારે આપણે માટે અહીં શિયાળો છે પણ આ પક્ષીને તો એની ટાઢ જરા યે ન વરતાય. ઊલટું અહીંનો તડકો એને ગમે; અહીં એને મજાનું હૂંફાળું લાગે. પછી જ્યારે આપણે ત્યાં ઉનાળો આવશે ને યુરોપમાં વસંત ખીલશે ત્યારે દિવાળીઘોડો પાછો ચાલ્યો જશે. દિવાળી ઉપર એ આવે છે તેથી આપણે એને દિવાળીઘોડો કહીએ છીએ. એનું બીજું નામ ખંજન પણ છે. અંગ્રેજીમાં એને વૅગટેઈલ કહે છે; ટેઈલ એટલે પૂંછડી અને વૅગ એટલે હલાવવું; આખો દિવસ પૂંછડી હલાવ્યા કરે એટલે વૅગ ટેઈલ.
દિવાળીઘોડા વિષે લખવા બેસું તો ઘણું લખાય, પણ આજ તો રહેવા દઉં છું.
જુઓ ત્યારે, એક કામ કરો. આ દિવાળીઘોડાને જોયા જ કરો. ને એ કેમ ખાય છે, કેમ ઊડે છે, કેવું બોલે છે, એ તપાસ્યા કરો. તમે એક વાર જોઈ રાખો; હું પછી બધું કહીશ. હાલ તો બસ.
લે. તમારો
ગિજુભાઈ
માહિતી સ્રોત : વિકિસ્રોત
-
કબૂતરો, આપણે અને જીવદયા
સમાજદર્શનનો વિવેક
કિશોરચંદ્ર ઠાકર
બાળગીતની એક પંક્તિ છે.
“જુઓ જુઓ પંખીની આ ટોળી,
એમાં કબૂતરોની જાત ભોળી”આ ભોળાં મનાતા કબૂતર અને માણસ વચ્ચેનો નાતો હજારો વર્ષ પુરાણો છે. કહેવાય છે કે ૧૦,૦૦૦ વર્ષ પહેલા પ્રાચીન મેસોપેટેમીયાના લોકોએ કબૂતરો પાળવાનું શરૂ કર્યું હતું.
કબૂતરો ખૂબ ઝડપથી ઊડી શકે છે. વળી ગમે તેટલા દૂર જાય પણ માર્ગ ભૂલ્યા વિના પોતાના મૂળ સ્થાને પાછા આવી જતા હોય છે. કબૂતરની આ વિશિષ્ટતા જોઇને માણસે તેનો ઉપયોગ સંદેશા મોકલવા માટે શરૂ કર્યો. આજથી ત્રણ હજાર વર્ષ પહેલા સિરિયા અને પર્શિયાના લોકોએ સંદેશા મોકલવા માટે કબૂતરોનો ઉપયોગ શરૂ કર્યો હતો. આજે ટેલિવિઝનને કારણે આપણે ઓલોમ્પિક રમતમાં કોણે મેડલ જીત્યો એ તત્કાળ જાણી શકીએ છીએ. પરંતુ ઇ સ પૂર્વે ૭૭૬ માં ઓલમ્પિક રમતોના પરિણામોના સામાચાર પહોંચાડનારાં કબૂતરો હતા, એટલું જ નહિ વોટરલુમાં -નેપોલિયનના પરાજયના સમાચાર પણ કબૂતરોએ પહોંચાડેલા!
બે વિશ્વયુદ્ધોમાં સંદેશા મોકલવા માટે દસ લાખ જેટલા કબૂતરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વીસમી સદીના ચોથા દાયકામાં અમેરિકાની સેનામાં સંદેશા પહોંચાડવા માટે કબૂતરોની એક આખી બ્રિગેડ હતી. તેમાં ૩,૧૫૦ સૈનિકો અને ૫૪,૦૦૦ કબૂતરો હતા. કબૂતરોની આ સેવાને કારણે વિશ્વયુદ્ધોમાં હજારો સૈનિકોના જાન બચી ગયા હતા. એક અહેવાલ મુજબ ૧૯૪૩માં બ્રિટનમાં ૩૨ જેટલા કબૂતરોને સેનાના ‘ડીક્કન’ ચંદ્રકથી નવાજવામાં આવ્યા હતા!
આપણાં ઓરિસ્સામાં વારંવાર વાવાઝોડાં આવે છે અને તેને કારણે સંદેશા વ્યવહાર ખોરવાઇ જવાનું જોખમ ઊભું થતું હોય છે. આથી ત્યાંની પોલીસ સંદેશા વ્યવહાર માટે કબૂતરોની એક ટૂકડી તૈયાર રાખે છે!
બીજા દેશમાં લોકોને ગેરકાયદેસર ઘૂસાડવાના કામને કબુરતબાજી કહેવામાં આવે છે. પરંતુ ખરેખર એ તો દૂર સુધી કબૂતરોને ઊડાડવાની રમત છે. આજે જેમ હવાઇદળોનાં વિમાનોને ગુલાંટ ખવરાવીને કવાયત કરવામાં આવે છે તેમ કબુતરોને પણ તાલીમ આપીને ગોળાકાર ઉડાડીને ગુલાંટ ખાવાની રમતો રમાય છે. જો કે આજે એ રમતો ગેરકાયદેસર છે. પરંતુ સૈકાઓથી આ પ્રકારનાં મનોરંજન માટે કબૂતરોનો ઉપયોગ થતો આવ્યો છે. કહેવાય છે કે મોગલ બાદશાહ અકબર પાસે ૨૦,૦૦૦ કબૂતરોનો કાફલો હતો ,ઉપરાંત મુસાફરી દરમિયાન બાદશાહના રસાલામાં કબૂતરોને પણ સામેલ કરતા.
મનોરંજન માટે તો કબૂતરો ઉપયોગી છે, ઉપરાંત માંસાહારીઓ માટે પણ કબૂતરો ઉપયોગી છે કારણકે તેનાં માંસમાં ભરપૂર પ્રોટિન હોય છે. વળી તેની વિષ્ટા તેમાં રહેલાં પુષ્કળ પોષક તત્વો હોવાથી ખેડૂતો માટે ઉત્તમ ખાતર પણ છે.
જીવદયા પ્રેરિત કબૂતરોની સારસંભળને કારણે તેમની વસ્તીમાં એટલો મોટો વિસ્ફોટ થયો છે કે વસ્તીને નિયંત્રણમાં રાખવાની જરૂર ઊભી થઈ છે. કબૂતરો આપણને અનેક રીતે પરેશાન કરવા લાગ્યાં છે. તેમણે કરેલા ઉત્સર્ગને કારણે ઈમારતો ગંદી થઈ જાય છે. તેનું એક ઉદાહરણ જયપુરના ઐતિહાસિક મ્યુઝિયમની ઇમારત છે.

For years, Jaipur’s Albert Hall Museum struggled with its burgeoning pigeon population. Photo: Rohit Jain Paras
સાંદર્ભિક તસ્વીર: નેટ પરથીદૂરથી જોતા આ ઇમારતનું દૃશ્ય તેની પર ઊડતા કબૂતરોથી ખૂબ સુંદર લાગે પરંતુ મ્યુઝિયમના સુપ્રિટેન્ડેન્ટ શ્રી રાકેશ ચોલકને માટે આ કબૂતરો માથાનો દુખાવો બની ગયા હતાં મ્યુઝિયમના સુંદર ગુંબજ પર બેસીને કબૂતરો ત્યાં સતત ઉત્સર્ગ ક્રિયા કરે છે. આથી તેની હગારને કારણે ગુંબજનો દેખાવ બગડી જવા લાગ્યો. ઉંદરનો ત્રાસ દૂર કરવા માટે બિલાડી પાળવામાં આવે છે તેમ સંચાલકો કબૂતરોને નસાડવા માટે શકરા બાજને પકડી લાવ્યા. બાજ પોતાની કામગીરી શરૂ કરે તે પહેલા જ જીવદયાવાળા પહોંચી ગયા અને પ્રયોગ પડતો મૂકવો પડ્યો. છેવટના ઉપાય તરીકે આખા સંકુલને નાયલોનની દોરીથી ઢાંકી દીધું. તો પણ કોઇ રડ્યુખડ્યુ કબૂતર પોતાનો માર્ગ કરીને ઘૂસી જતું,
કબૂતરની વધતી જતી વસ્તીને કારણે જયપુરના મ્યુઝિયમને જ નહિ મંદિરોના શિખરો અને બહુમાળી બિલ્ડિંગોને પણ આ સમસ્યાનો સામનો કરવો પડે છે. શહેરોમાં મહાપુરૂષોના પૂતળાઓનાં મસ્તક ઉપર પણ કબૂતરો પોતાની હગારનો અભિષેક કરીને પૂતળાંને ખરાબ કરી દેતા હોય છે.
કાગડા કે ચકલી જેવા પક્ષીઓ નીચા મકાનો કે ઝાડની ડાળીઓએ વસે છે. પરંતુ કબૂતરોનો નૈસર્ગિક વસવાટ ઉંચાઇએ આવેલી પહાડોની કરાડો છે. તેમના પૂર્વજો ત્યાં જ વસતા. પરંતુ હવે શહેરોમાં બહુમાળી મકાનો બનતા તેમને ઉંચાઇ સુલભ બની ગઈ. વળી જીવદયાપ્રેમીઓ શહેરોમાં ઠેર ઠેર પક્ષીઓ માટે અનાજના દાણાઓ સુલભ કરી દે છે. કબૂતરો આ દાણા પર પોતાનો સુવાંગ હક માનીને ચકલી કે કાબર જેવાં પક્ષીઓને નસાડી મૂકે છે અને પોતે જ બધા દાણા જમી જાય છે. સહેલાઈથી આહાર સુલભ થવાને કારણે તેમનું પ્રજજન કાર્ય વધી જાય છે. પરિણામે તેમની વસ્તીમાં ઝડપથી વધારો થતો રહે છે. એક કબૂતરી વર્ષમાં છ વખત ઇંડા મૂકે છે.
રસ્તા ઉપર નાખવામાં અવતી ચણને લીધે ટ્રાફિકમાં પણ અડચણ ઊભી થાય છે. આથી જુદા જુદા શહેરોની મ્યુનિસિપાલિટિઓ કબૂતરોને જાહેરમાં ચણ નાખવા પર પ્રતિબંધો મૂકવા વિચારી કે અમલ કરી રહી છે. થાણેની મ્યુનિસિપલિટિએ ઠેર ઠેર ચેતવણીના પોસ્ટરો મૂક્યા કે સરિયામ રસ્તા પર પક્ષીઓને ચણ નાખનારનો ૫૦૦ રૂપિયા દંડ કરવામાં આવશે. ૨૦૨૨માં મુંબઈના ખાર ખાતેની વસાહતીઓના એસોસિએશને કબૂતરખાનાઓ સામે ઝૂંબેશ ઉપાડી હતી. એસોશિયનના ચેરમનની એવી ફરિયાદ છે કે ગીચ વસ્તી ધરાવતા રેલ્વેસ્ટેશનની આસપાસ પક્ષીઓ માટેના દાણા વેચનારાઓ ઊભા હોય છે. ખરીદનાર જીવદયાના પ્રેમીઓ નજીકમાં જ દાણા નાખી દેતા હોય છે. આથી ત્યાં પણ કબૂતરોના ટોળાં ઉમટતા હોય છે અને તેમની હગારથી આખો વિસ્તાર ગંદો થઇ જાય છે. ગયા ડીસેમ્બરની ૬ તારીખથી ૧૦ તારીખ સુધીમાં પૂણેની મ્યુનિસિપાલિટિએ તેના પંદર વોર્ડોમાં જાહેર સ્થ્ળોએ પક્ષીઓને ચણ નાખનારાઓ પાસેથી રૂપિયા ૧૫,૫૦૦ જેટલો દંડ વસૂલ કર્યો હતો.
બીજા બધા પક્ષીઓ પાસે માળો બાંધવાની કુનેહ હોય છે. પરંતુ કબૂતર એ બાબતે અણઘડ પુરવાર થયા છે. પ્રાચીન કાળમાં ગુફાઓનાં પ્રવેશદ્વાર પર જ પોતાનો માળો બાંધી દેતા. હવે શહેરોનાં ઉંચાં મકાનોમાં કોઇ સમતલ જગ્યા શોધીને, ખાસ કરીને બહુમાળી બિલ્ડિંગની બાલ્કનીમાં સળીઓને આમતેમ પાથરી દેતાં હોય છે, જેને ભાગ્યેજ માળો કહી શકાય. આ જગ્યાએ તેઓ ઈંડા મૂકે છે અને સાથે સાથે ગંદકી પણ કરે છે.
લોકો પૂણ્ય મેળવવાના હેતુથી અનેક સ્થળે પુષ્કળ પ્રમાણમાં મકાઈ અને જુવારના દાણા વેરતા હોય છે. ગુજરાત અને મધ્યપ્રદેશમાં તેમને માટે પાકા ચબૂતરાઓ બનાવવામાં આવે છે જ્યાં તેમને આહાર અને માળો બાંધવાની સુવિધાઓ મળી રહે છે. કબૂતરો બીજા પક્ષીઓને અહીં આવવા દેતા નથી. આથી તેમની વસ્તી સતત વધતી ચાલી છે. કબૂતર હવે અગાઉની જેમ માણસ જાતનો મિત્ર રહ્યો નથી. ટોળાબંધ કબૂતરો કોઈ ઇમારતો પર બેસીને ત્યાં મોટા પ્રમાણમાં તેનું ચરક મૂકે છે, જે એસિડિક હોવાથી ઇમારતને નુક્શાન કરી શકે છે. મોટા પ્રમાણમાં એક્ઠી થયેલી આ વિષ્ટા સૂકાઇને સખત બની જાય છે અને ગટરોને પણ બ્લોક કરી દે છે.
ડોક્ટરોનું માનવું છે કે કબૂતરોની વધતી જતી વસ્તીને કારણે પ્રાણીઓ દ્વારા ફેલાવાતા અને ખાસ કરીને માણસનાં શ્વસનતંત્રને મોટું નુક્શાન કરે એવા ચેપી રોગોનું જોખમ પણ વધ્યું છે. નવી મુંબઇમાં આવેલી એપોલો હોસ્પિટલના પલ્મોલોજીના (ફેફસાના રોગોના) નિષ્ણાત ડો. જયાલક્ષ્મી કહે છે કે છેલ્લા ત્રણ વર્ષોમાં કબૂતરોના ઉતસર્ગ અને પીંછાના ધૂળમાં સંપર્કમાં આવના કારણે કબૂતર સબંધી રોગોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. કબૂતરનાં ઉત્સર્ગ સાથે વાતવારણની ધૂળ ભળે છે. આ મિશ્રિણ ફેફસામાં રહેલા રોગપ્રતિકારક શક્તિ માટેના કોષોને અલગ પાડી દે છે. આથી સંક્રમિત થયેલા ફેફસાને મોટું નુક્શાન થાય છે. બર્ડ ફેન્સિયર્સ લન્ગ (BFL)નામનો શ્વસનતંત્રનો સૌથી જોખમી રોગ છે આ રોગના કારણે દર્દીનાં ફેફસાનું અંદરનું પડ જામી જાય છે જેથી દર્દીનું ઓક્સિજન લેવલ ખૂબ જ ઘટી જાય છે. ઓક્સિજનનું લેવલ ઘટી જતા માણસની સ્થિતિ કેવી થતી એ કોરોનાના સમયમાં આપણે જોયેલુ. અન્ય આવા રોગોમાં હિસ્ટોપાલ્મોસિસ (એક પ્રકારનો ફૂગજન્ય રોગ જે ફેફસાને નુક્શાન કરે છે) , ક્રિસ્ટોકોકોસિસ (એક જાતનો ફૂગજન્ય ચેપ જે ફેફસા ઉપરાંત મગજને પણ હાનિ કરે છે) તથા સિટાકોસિસ નામના (બેક્ટેરિઆથી લાગતો ચેપ)નો સમાવેશ થાય છે. આમ કબૂતરોનો વસ્તી વધારો માણસની તંદુરસ્તી માટે જોખમી બન્યો છે. જો કે રાહતની વાત એ છે કે આ રોગોનો ફેલાવાની ઝડપ બહુ ઓછી છે. પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે શરદીના ચિહ્નો હોય તેવી બીમારીને ગંભીરતાથી ન લેવાને કારણે ક્યારેક ભૂલથાપ પણ થઇ જાય.
ટૂંકમાં આપણે પક્ષીઓ પરની જીવદયા બબતે સંયમિત થવાની જરૂર છે. ગુજરાતમાં તો મૃત્યુ પછી રાખવામાં આવતા બેસણાંમાં પણ પક્ષીઓને માટે જુવારના દાણાના પેકેટો વહેંચવામાં આવે છે. આથી મરનારના આત્માની સદગતિ થાય છે કે નહિં તેની જાણ નથી, પરંતુ કોઈ યોગ્ય સ્થળને બદલે લોકો જ્યાં ત્યાં દાણાને વેરી દેતા હોય છે. કબૂતરને તેનો ખોરાક સહજ સુલભ કરાવવનો આપણો હેતું ગમે તેટલો સારો હોય પરંતુ કેટલાક પક્ષીવિદોનું કહેવું છે કે દરેક પ્રાણીની જેમ પક્ષીઓને પણ ખોરાકની શોધ માટે સંઘર્ષ કરવો જરૂરી છે, નહિ તો વિપરીત સંજોગોમાં તે ટકી નહીં શકે.
(‘’ Pigeons and Us’ તારીખ ૨૫ માર્ચ ૨૦૨૫નાં ઇંડિયન એક્સ્પ્રેસમાં પ્રસિદ્ધ થયેલ લેખને આધારે)
શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે. -
આપણા આ પૂર્વજ પાસેથી કંઈક શીખીએ
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
માનવની ઉત્ક્રાંતિ થતાં એટલે કે જમીન પર આવી ચડેલા એક જળચરમાંથી માનવનું વર્તમાન સ્વરૂપ પ્રાપ્ત કરતાં તેને કરોડો વર્ષ લાગ્યાં છે. પણ ઉત્ક્રાંતિ પછીના વિકાસની ઝડપ સરખામણીએ ઘણી વધુ રહી છે. પહેલાં સતત ભટકતું જીવન ગાળતો માનવ સ્થિર થયો એ સાથે સંસ્કૃતિનો વિકાસ થતો ગયો. જો કે, સંસ્કૃતિના નામે તેણે વધુ તો યુદ્ધો જ કર્યાં છે. સમાંતરે બીજી અનેક કળાઓ, વિદ્યાઓ વિકસતી ગઈ. ભાષા મૂળ તો પ્રત્યાયન માટે શોધાઈ હશે, પણ ધીમે ધીમે તેમાંથી લિપિનો ઉદ્ભવ થતો ગયો, જે સરવાળે સાહિત્યના સર્જનમાં ઊપયોગી બની રહી.
માનવજાતની ઉત્ક્રાંતિના ઈતિહાસની સરખામણીએ સાહિત્ય પ્રમાણમાં નવું કહી શકાય, છતાં તે જીવનનું, સભ્યતાનું અને ભદ્રતાનું એક અનિવાર્ય અંગ ગણાય છે. કુદરતના અન્ય જીવો- પ્રજાતિઓમાં પોતાને સૌથી ઊપર ગણવાનાં માનવજાત પાસે સબળ અને પૂરતાં કારણો છે. ધીમે ધીમે તે અન્ય સજીવોનો અભ્યાસ કરી રહ્યો છે એમ તેને કુદરતનાં અનેકવિધ રહસ્યો ઊકલતાં જણાય છે. ત્યારે એ સ્વીકાર કરવો જરૂરી બની રહે છે કે પોતે ભલે બધી રીતે સર્વશ્રેષ્ઠ હોય, અન્યો જરાય ઊતરતા નથી.
ખાસ તો, પોતે જે પ્રજાતિમાંથી વિકસીને માનવમાં રૂપાંતરિત બન્યો એ વાનરમાં એવી અનેક બાબતો, પદ્ધતિઓ તેની પરના અભ્યાસ દરમિયાન જોવા મળતી આવી છે, જે સૂચવે છે કે તેઓ પણ ઘણા બુદ્ધિશાળી છે.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી વાનરની એક જાતિ છે બોનોબો નામની. એમ મનાય છે કે વિખવાદોના ઊકેલ કે નિવારણમાં અસરકારક પ્રત્યાયન મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ એક પાસું એવું છે કે માનવજાત એમ માને છે કે એ પોતાની અનન્યતા છે. અલબત્ત, વિખવાદોના ઊકેલને બદલે તેને વધારવામાં પણ આવું પ્રત્યાયન અસરકારક રહે છે એ વળી જુદી કળા થઈ. ‘સાયન્સ’ નામની એક અમેરિકન વિજ્ઞાનપત્રિકામાં પ્રકાશિત એક અભ્યાસમાં જણાયું છે કે બોનોબો વાનરો પણ માનવની આ અનન્ય કહી શકાય એવી ક્ષમતા ધરાવે છે. એટલે કે તેઓ સંકુલ અર્થ ધરાવતાં સંકેતોનો પ્રત્યાયન માટે વિનિયોગ કરે છે. સંવનન તેમજ તંગ સામાજિક પરિસ્થિતિ દરમિયાન બોનોબો દ્વારા ઊપયોગમાં લેવાતા વિવિધ સંકેતો માનવ દ્વારા ઊપયોગમાં લેવાતા જટિલ વાક્યબંધારણ જેવાં હોય છે. પોતાની આ ક્ષમતાનો ઊપયોગ તેઓ ‘શાંતિની શોધ’ માટે કરતા જણાયા છે.
આ અભ્યાસને લઈને ઉત્ક્રાંતિને લગતી અત્યાર સુધીની પ્રચલિત માન્યતા હલબલી ગઈ છે. એ માન્યતા મુજબ, ઉત્ક્રાંતિ એટલે ક્રૂર અને હિંસક પ્રક્રિયા, એટલે કે ‘બળિયાના બે ભાગ’ તરીકે ઓળખાતો સિદ્ધાંત. જાણીતા ઓસ્ટ્રેલિયન વિજ્ઞાની રેમન્ડ ડાર્ટના ‘કીલર એપ’ સિદ્ધાંત અનુસાર, માનવઉત્ક્રાંતિ હિંસા અને મારી નાખવાની ક્ષમતાને લઈને આગળ વધી છે. બુદ્ધિશાળી માનવ એવા હોમો સેપિયન્સ સાથે નિકટતા ધરાવનાર ચિમ્પાન્ઝીઓ અંદરોઅંદર તેમજ અન્યો સાથે હિંસા આચરતા હતા. તેમની સરખામણીએ બોનોબો સ્પર્ધા નહીં, પણ સહયોગને પસંદ કરે છે. અને બોનોબોનું ડી.એન.એ. માનવ સાથે નવ્વાણું ટકા સામ્ય ધરાવે છે. બોનોબોને ચિમ્પાન્ઝીઓનો જ એક પ્રકાર માનવામાં આવે છે.
’હીપ્પી એપ્સ’ તરીકે ઓળખાતા બોનોબો વાનરો એકમેકને વળગીને, વાટાઘાટો કરીને તેમજ હિંસા આચરવાને બદલે પ્રેમ અને ભૌતિક સુવિધાને પ્રાધાન્ય આપીને ટકી રહ્યા છે. ટકી રહેવા માટે સ્પર્ધા યા એકમેકને મારી નાખવાને બદલે તેમની પાસે બીજો વિકલ્પ છે, જે દયામાયા, સહયોગ અને પ્રત્યાયનના પાયા પર ઊભેલો છે.
એક લાંબા અરસા સુધી માનવો ચિમ્પાન્ઝીમાં પોતાનું પ્રતિબિંબ નિહાળતા રહ્યા હતા અને માનતા રહ્યા કે આગળ વધવા માટે હિંસાનો માર્ગ જ અસરકારક છે. માનવસંસ્કૃતિનો અત્યાર સુધીનો ઈતિહાસ લોહીયાળ રહ્યો છે. શાંતિના સમયગાળાની સરખામણીએ યુદ્ધનો સમયગાળો કદાચ ટૂંકો હોય તો પણ શાંતિના સમયગાળા પર તેની ઘેરી અસર રહી છે. અને શાંતિ પણ સાપેક્ષ રહી છે.
બોનોબો અને તેમની જીવનશૈલીમાં હિંસા યા ધિક્કાર કેન્દ્રસ્થાને નથી. તેઓ સંસાધનોને નષ્ટ કરતા નથી. અભ્યાસમાં જણાવાયા મુજબ તેઓ અન્યોને તેમના રાત્રિઆવાસ બનાવવા માટે પ્રેરે છે. બોનોબોના જીવન પર થયેલો આ અભ્યાસ પહેલાં તો એ માન્યતાને તોડે છે કે માનવ અનન્ય તેમજ સર્વશ્રેષ્ઠ છે. કેમ કે, બુદ્ધિશાળી હોવાનો માપદંડ ખરું જોતાં તો એ બુદ્ધિનો શો ઊપયોગ થાય છે એ મુજબ હોવો ઘટે. અને એ માપદંડમાં માનવ હંમેશાં ઊણો ઉતર્યો છે.
માનવ હંમેશાં વિભાજનમાં માને છે. શાસકોએ આ વૃત્તિને જ વકરાવી છે. આ વિભાજન ધર્મ, દેશ, જાતિ, વર્ણ, લિંગ કે બીજા કશાના આધારે કરાવી શકાય. ઈતિહાસ આનો સાક્ષી રહ્યો છે. લોભ અને સ્વાર્થ, ધિક્કાર અને તિરસ્કાર માનવની મૂળભૂત વૃત્તિઓ હોય એમ જણાય છે. આવી વૃત્તિ વ્યાપકપણે જોવા મળે છે એટલે જ ઈસુ, બુદ્ધ, ગાંધી જેવા અહિંસાના આરાધકોનું મૂલ્ય વધુ છે.
આદિ કાળથી ચાલી આવતી આ વૃત્તિ ટેક્નોલોજીની સાથે વધુ ને વધુ વકરતી ચાલી છે. ભૌગોલિક સીમાડા સંકોચાતા જાય છે એમ માનવમનના સીમાડા પણ સંકોચાતા જાય છે. જાતિગત, ધર્મગત, વર્ણગત ઓળખ ભૂંસાવાને બદલે વધુ ને વધુ દૃઢ બનતી રહી છે. માનવની મૂળભૂત વૃત્તિ કોકના પર ચડી બેસવાની, કોકને કચડવાની, કોકના પર રાજ કરવાની રહી છે. કોઈક ક્રૂર રાજ્યવ્યવસ્થા સામે લડવા સૌ એકમેક સાથે સહયોગ સાધે તો પણ નવું આવેલું શાસન એ જ મૂળભૂત વૃત્તિને અનુસરે છે.
પોતાના પૂર્વજ એવા બોનોબોની જીવનશૈલીને અનુસરવામાં માનવને કદાચ અહં ઘવાતો જણાય, પણ એ હકીકત છે કે માનવ પાસે સભ્યતાનો કેવળ અંચળો જ રહ્યો છે. એવે વખતે કોઈ વ્યક્તિને આદર્શ બનાવવાને બદલે બોનોબો વાનરને અનુસરવા જેવું ખરું.
ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૫-૦૫– ૨૦૨૫ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)
