-
સ્મૃતિસંપદા – સ્મરણગંગા : બાબુ સુથારઃ એક કાચબાની કથા [૧]
સરસ્વતિ દેવીના અઠંગ ઉપાસક ડો. બાબુ સુથાર એક વિરલ ભાષાવિજ્ઞાની હોવા ઉપરાંત સર્જક, સંપાદક અને ભાષાના તત્ત્વચિંતક પણ છે. એમનો જન્મ ૧૯૫૫માં ગુજરાતના મહિસાગર જિલ્લાના ભરોડી નામના એક નાનકડા ગામમાં થયો હતો. એસ.એસ.સી.(ત્યારનું અગિયારમું) કર્યા પછી એ ટેલિફોન ઓપરેટર બન્યા હતા. ગોધરાની કોલેજમાંથી ગુજરાતી અને હિન્દી સાથે બી.એ. કર્યા પછી એમણે વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાંથી ગુજરાતી સાહિત્ય અને ભાષાવિજ્ઞાન, એમ બે એમ.એ. કર્યા છે. એ જ યુનિવર્સિટીમાં સાત વરસ ભાષાવિજ્ઞાન વિભાગમાં અધ્યાપક તરીકે કામ કર્યું છે. એ પહેલાં એમણે પત્રકારત્વ પણ ખેડ્યું હતું.ત્યાર બાદ ૧૯૯૭માં તેઓ અમેરિકાની યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયામાં ભાષાવિજ્ઞાનમાં પીએચ.ડી. કરવા આવ્યા હતા. પીએચ.ડી પૂરું કર્યા પછી એ જ યુનિવર્સિટીમાં ગુજરાતી ભાષા અને સંસ્કૃતિના અધ્યાપક તરીકે જોડાયા હતા.
ગુજરાતી ભાષાની પ્રથમ ‘લર્નર્સ ડિક્ષનેરી’ તૈયાર કરવાનું શ્રેય એમને ફાળે છે.
અર્વાચીન સાહિત્યના અને ખાસ તો સુરેશ જોષીના સાહિત્ય વિષેનું એમનું ઊંડું અધ્યયન પ્રશંસાને પાત્ર છે. પાંચ નવલકથાઓ, પાંચ કાવ્યસંગ્રહો, બે વિવેચન સંગ્રહો પ્રગટ કર્યા ઉપરાંત એમણે આત્મકથા પણ લખી છે જે હજી અગ્રંથસ્થ છે. દેશવિદેશની કવિતાઓ અને વાર્તાઓના અનુવાદ પણ કર્યા છે. એમણે ભાષાવિજ્ઞાનમાં અને ફિલસૂફીમાં પણ લેખો લખ્યા છે.
ગુજરાતી ભાષાને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સમજનાર જૂજ લોકોમાં એમની ગણના થાય છે. બાબુ સુથાર સિનેમા, ન્યૂ મીડિયા અને ડિજિટલ કલ્ચરના પણ ઊંડા અભ્યાસી છે.
Email: basuthar@gmail.com
Nostalgia નામના પુસ્તકમાં ફ્રેંચ ફિલસૂફ બાર્બરા કાસિન એક પ્રશ્ન પૂછે છે: When are we ever at home? પછી એ આ પ્રશ્નના ત્રણ જવાબ આપે છે. એમાંના પહેલા બે જવાબ પાશ્ચાત્ય પુરાકથા પર અને ત્રીજો જવાબ એક આધુનિક ફિલસૂફના જીવન પર આધાર રાખે છે. પુરાકથાઓમાં એ ઓડિસિયસ અને ઈનિઅસની વાત કરે છે. ટ્રોયનું યુદ્ધ જીત્યા પછી ઓડિસિયસ પોતાના ઘેર જવા નીકળે છે. આમ તો એનું ઘર નજીક જ છે. એમ છતાં એને ત્યાં પહોંચતાં વરસો નીકળી જાય છે. એટલે સુધી કે એક તબક્કે ઓડિસિયસ બોલી જાય છે કે “ભૂમદ્યસમુદ્ર જ હવે તો મારું ઘર.”
જેમ ઓડિસિયસ ટ્રોય છોડીને પોતાના વતન પાછો ફરે છે એમ ઈનિઅસ પણ ટ્રોય છોડીને બીજે જાય છે. ફરક એટલો જ છે કે ટ્રોય એનું વતન છે. એનું ઘર છે. એ ટ્રોય ભડકે બળતું હોય છે ત્યારે એના પિતાને એની પીઠ પર નાખી, દીકરાને લઈને નીકળી જાય છે. ઓડિસિયસ પરદેશથી સ્વદેશ જાય છે. એની સામે ઇનિઅસ સ્વદેશથી પરદેશ જાય છે. એ પર દેશને પોતાનું ઘર બનાવે છે અને પર દેશની ભાષા પણ અપનાવે છે.
ત્રીજો જવાબ આપતાં કાસિન જર્મન ફિલસૂફ હન્ના આરન્ટની વાત કરે છે. બીજા વિશ્વયુદ્ધ વખતે હન્ના આરન્ટ, પોતાની ઇચ્છા વિરુદ્ધ, અમેરિકા આવે છે. એક મુલાકાતમાં એ કહે છે કે અમેરિકામાં એને જર્મનીનો ઘરઝુરાપો, એટલે કે પોતાના દેશનો ઘરઝુરાપો સતાવતો નથી. એને બદલે એને જર્મન ભાષાનો ઘરઝુરાપો સતાવતો હોય છે. આરન્ટ માટે અમેરિકા કે જર્મની પોતાનું ઘર નથી. એના માટે જર્મન ભાષા પોતાનું ઘર છે અને અમેરિકામાં એેને જર્મન ભાષામાં વાત કરવા મળતી નથી. અલબત્ત, અમેરિકામાં રહીને એ જર્મન ભાષામાં લખી શકે છે અને જર્મન ભાષાનાં પુસ્તકો વાંચી પણ શકે છે.
કાસિનનું આ પુસ્તક વાંચતી વખતે મેં મને પણ એક પ્રશ્ન પૂછેલો: હું કોણ છું? ઓડિસિયસ છું? ઈનિઅસ છું? કે હન્ના આરન્ટ છું?
હું ઓડિસિયસ તો નથી જ. કેમ કે, હું મારા ઘેર જવા નીકળ્યો નથી. હું જ્યાં જાઉં છું ત્યાં કોઈ મારી રાહ જોનાર નથી. હા, હું ક્યારેક મારા ઘેર ગયો છું કરો. પછી પાછું ઘર છોડવા માટે. હું વડોદરાથી મારા વતન જાઉં. માબાપને મળું. એકબે દિવસ ત્યાં રોકાઉં અને પાછો ઘર છોડું. એ જ રીતે, હું અમેરિકાથી ભારતમાં આવેલા મારા વતનમાં જાઉં, બેચાર દિવસ ત્યાં રહું અને પાછો હું અમેરિકા આવું. હું ઘેર રહેવા નથી ગયો. હું ઘરની મુલાકાતે ગયો છું. ઓડિસિયસ તો રહેવા જાય છે.
પણ, મને લાગે છે કે હું કાં તો ઈનિઅસ છું, કાં તો હન્ના આરન્ટ છું. જેમ ઈનિઅસે ટ્રોય છોડ્યું, એમ મેં પણ મારું વતન છોડ્યું. જો કે, બન્નેનાં કારણો જુદાં હતાં. ઈનિઅસ એના પિતાને અને એના પુત્રને લઈને નીકળી ગયેલો. હું મારા પુત્ર અને મારાં પત્નીને લઈને નીકળી ગયેલો. જો કે, ઇનિઅસ અને મારામાં એક ફરક હતો. ઇનિઅસ પિતા અને પુત્રને પોતાની સાથે લઈને નીકળેલો. મેં પાછળથી મારા પુત્ર અને પત્નીને બોલાવેલાં. ઇનિઅસે જે ભૂમિમાં ગયો એ ભૂમિની ભાષા સ્વીકારેલી. મેં પણ વત્તેઓછે અંશે એમ જ કર્યું છે.
જો કે, ઇનિઅસ અને મારી વચ્ચે એક મહત્ત્વનો ફરક છે. ઇનિઅસને દેવો મદદ કરતા હતા. હું દેવો વગરનો. હું જ્યાં રોકાયો ત્યાં મેં એવું માની લીધેલું કે આ જ મારો અંતિમ પડાવ છે. આ જ મારું ઘર છે. અને ત્યાં જ મારે ત્યાંથી ખસવાનું આવે. એટલું જ નહીં, ક્યારેક તો એવું પણ બને કે હું ઘર વસાવું અને મારે ઘર છોડવાનું આવે. આજે મને પ્રશ્ન થાય છે: હું જ્યાં જાઉં ત્યાં પેલું ભડકે બળતું ટ્રોય મારી પાછળ પાછળ તો નહીં આવતું હોય ને? કોઈને આ પ્રશ્ન રંગદર્શી લાગશે. પણ, મને નથી લાગતો. જે લોકો વરસોથી પોતાના ઘરમાં રહે છે એમનો ઘરઝુરાપો મારા ઘરઝુરાપા કરતાં ચોક્કસ જુદો હશે એવું મને લાગે છે.
મને ઘણી વાર એવું પણ લાગ્યું છે કે હું હન્ના આરન્ટ છું. અલબત્ત, ઘરઝુરાપાની બાબતમાં. મને મારા દેશ કરતાં સૌથી વધારે મારી ભાષાની ખોટ સાલી છે. હું અમેરિકામાં છું. ઘરમાં, અને ઘણી વાર સમાજમાં પણ હું ગુજરાતી ભાષામાં વાત કરું છું. એને કારણે ઘણી વાર કેટલાક લોકોમાં ગેરસમજ પણ થઈ છે. એ લોકો અંદરોઅંદર એવું કહેતા હોય છે કે બાબુને અંગ્રેજી ભાષા નથી આવડતી. કેમ કે, એ ગુજરાતી ભાષામાં જ વાત કરતો હોય છે. હું એમને કઈ રીતે સમજાવું કે મારા માટે ગુજરાતી ભાષા મારું ઘર છે. હું એ ઘરમાં રહું છું. અને હું જ્યારે પણ ગુજરાતી ભાષામાં વાત કરતો હોઉં છું ત્યારે મને એવું લાગતું હોય છે કે હું મારા ઘરમાં છું. મને એક પ્રકારની હૂંફ મળતી હોય છે. એટલું જ નહીં, મને એક પ્રકારની સલામતિની લાગણી પણ થતી હોય છે. હું ચાલ્યા વગર, અથવા તો પૃથ્વી, સમુદ્ર કે અવકાશનો ઉપયોગ કર્યા વગર મારા ઘરમાં વસવાટ કરવા જતો રહેતો હોઉં છું.
મને લાગે છે કે હું બેવડા ઘરઝુરાપાથી પિડાઉં છું. મને ઈનિઅસની જેમ મારું ઘર જોઈએ છે. જ્યાં કોઈક રાહ જોનાર હોય. એની સાથોસાથ, મને આરન્ટની જેમ મારી ભાષાની ખોટ સાલતી હોય છે. અમેરિકામાં, મેં કહ્યું છે એમ, હું ગુજરાતી ભાષા બોલું છું. પણ મને સતત એવું લાગે છે કે આ ભાષાને પાનખર બેઠી છે. મને હું જીવતી ભાષા બોલી રહ્યો છું એવું ક્યારેક જ લાગતું હોય છે.
અત્યારે મારું ઘર અમેરિકાના પેન્સિલવેનિયા રાજ્યના ફિલાડેલ્ફિયા શહેરમાં આવેલું છે. પણ, હું એ ઘરમાં રહેતો નથી. અને ક્યારેક એમાં રહું પણ છું તો એક મુલાકાતીની જેમ. મેં નોકરી કરવા માટે મારું વતન છોડ્યું એ દિવસથી હું સતત મારા ઘરમાં મારા મહેમાનની જેમ જીવ્યો છું. આજે પણ હું મારો મહેમાન છું. ફિલાડેલ્ફિયામાં આવેલા મારા ઘરમાં. એ પહેલાં હું ભારતમાં, વડોદરામાં રહેતો હતો. ત્યાં પણ મારું ઘર હતું. પણ, મારા માટે વડોદરા એક દિવસે ટ્રોય નગરી બન્યું. અને એ સાથે હું પેલા ઈનિઅસની જેમ વડોદરા છોડીને નીકળી ગયો. મારી પીઠ પર મારી ભાષાનો, મારી સંસ્કૃતિનો ભાર હતો. અને હું ત્યાંથી અમેરિકા આવ્યો. એ પહેલાં હું મુંબઈમાં રહેતો હતો. ત્યાં મારું પોતાનું ઘર ન હતું. ત્યાં હું કેટલોક સમય મારા મિત્ર, ભરત નાયક અને ગીતા નાયકને ત્યાં, રહ્યો છું. પણ, મુંબઈ પણ એક દિવસે મારા માટે ટ્રોય બન્યું. મારી નોકરી ગઈ અને હું પાછો વડોદરા આવ્યો. જો કે, એ વખતે વડોદરામાં મારું ઘર ન હતું. ત્યાં પણ હું એક મિત્રની સાથે રહેતો હતો. મેં એક પેટી રાખેલી. પતરાની. કદાચ બાએ આપેલી. હું હાથમાં એ પેટી અને ખભે ‘બાપાને’ લઈને નીકળી પડતો ને જ્યાં રોકાતો એ જગ્યા મારા માટે મારું ઘર બની જતું. એ દિવસોમાં હું પેલા ઇસપની બોધકથામાં આવતા કાચબા જેવો હતો. જ્યારે ગ્રીક દેવ ઝિઊસે ઉજાણીમાં ભાગ લેવા બધાં પ્રાણીઓને પોતાના ઘેર બોલાવ્યાં ત્યારે કાચબો ન હતો ગયો. પછી ઝિઊસે કાચબાને પૂછ્યું કે તું કેમ ઉજાણીમાં ભાગ લેવા ન હતો આવ્યો. તો કાચબાએ કહ્યું કે મને મારું ઘર બહુ ગમે છે. ત્યારે ઝિઊસે કહેલું કે હવે તું સદાકાળ તારું ઘર તારી પીઠ પર લઈને ફર્યા કરજે. હું પણ ત્યારે, એ કાચબાની જેમ, મારું ઘર મારી પીઠ પર લઈને ફર્યા કરતો હતો.
એ પહેલાં હું ગોધરામાં હતો. હું ત્યાં ટેલિફોન ઓપરેટરની નોકરી કરતો હતો. ત્યાં પણ મારું પોતાનું ઘર ન હતું. આરંભમાં હું મારી ફોઈના છોકરા, શંકરભાઈ સાથે, રહેતો હતો. ત્યારે પણ મારી પાસે પેલી બાએ આપેલી પતરાની પેટી હતી. ગોધરામાં પણ મેં અનેક ઘર કરેલાં. પહેલાં હું ત્યાંની એક સોસાયટીમાં રહેવા ગયો. ભાડાની ઓરડીમાં. આજે મને એક પ્રશ્ન થાય છે કે એવી ઓરડીઓને ઘર કહેવાય કે નહીં? એક અર્થમાં કહેવાય: કેમ કે મારા કાગળ એ સરનામે આવતા હતા. બીજા અર્થમાં ન કહેવાય. કેમ કે, મારે દર મહિને એ ઓરડીને ‘મારું ઘર’ બનાવવા ભાડું આપવું પડતું હતું.
ગોધરા આવતા પહેલાં હું અમદાવાદમાં ત્રણ મહિના રહેલો. નવરંગપુરામાં આવેલી વિશ્વકર્મા હોસ્ટેલમાં. ટેલિફોન ઓપરેટરની તાલિમ માટે. એ પહેલાં હું ભરોડીમાં રહેતો હતો. ભરોડી. અત્યારના મહિસાગર જિલ્લામાં આવેલું મારું વતન. અસંખ્ય નાની મોટી ટેકરીઓની વચ્ચે આવેલું એક નાનું ખોબા જેવડું ગામ. એક છેડે બૂમ પાડો તો બીજે છેડે સંભળાય એવડું. જો કે, હવે તો એ ગામ પણ ઘણું મોટું થઈ ગયું છે. ત્યારે મારા ગામની આસપાસ અસંખ્ય નાનાંમોટાં ઝરણાં અને કોતર વહેતાં. એક કોતર તો એક ગાઉ ચાલો તો પાંચ વાર ઓળંગવું પડતું. એ દિવસોમાં જળ અને જમીન સતત સંવાદ કર્યા કરતાં. ત્યારે ત્યાં બસો ન હતી. દસબાર માઈલ ચાલવાનું તો જાણે કંઈ જ ન હતું. એ પણ ઉઘાડા પગે. ચાલતાં તરસ લાગે તો ચોમાસામાં મેં ઘણી વાર કૂવાની ધાર પર બેસી, નીચે નમીને, પાણી પીધું છે. ઉનાળામાં ઘણી વાર બાએ મને સાડીનો છેડો કૂવાના પાણીમાં બોળીને મારું મોં ભીનું કરાવ્યું છે. એ ગામને મારે ટ્રોય કહેવું હોય તો મને ખૂબ અઘરું પડે. પણ,
એ ય ટ્રોય બને છે. આરંભમાં મારા માટે નહીં. મારાં માબાપને માટે.
એથી જ તો જ્યારે હું ત્રીજા ધોરણમાં હતો ત્યારે મારાં માબાપ મારું વતન છોડીને પાવાગઢ પાસે આવેલા જીતપુરા ગામે જાય છે. ત્યારે બાપા ઇનિઅસ બનેલા. એમની પીઠ પર ‘એમના બાપા’. અમે એમની આંગળી ઝાલીને એ જ્યાં લઈ જાય ત્યાં જતા. અમે પ્રશ્નો પણ પૂછી શકતા ન હતા. ત્યારે અમે સવારે ચારેક વાગે અમારા ગામથી નીકળતા. ઉપર આકાશમાં તારા અને ક્યારેક ચંદ્રમા. બાપા અને બા એમાંના ઘણા બધા તારા અને ઘણાં બધાં નક્ષત્રોને ઓળખતા. એ જ્યારે એ તારા અને નક્ષત્રોની વાત કરતા ત્યારે એવું લાગતું કે એ એમના કોઈક સગાની વાત કરે છે. એ દિવસોમાં ગામમાં એક જ ઘડિયાળ હતી. એ પણ લોલક ઘડિયાળ. એનો માલિક લોકો વારંવાર ઘડિયાળ જોવા ન આવે એ માટે એના ઘરનું બારણું બંધ રાખતો. એ ઘર રાતના વખતે તો ક્યાંથી ઉઘાડું હોય? બા અને બાપા કૂકડાની બોલીથી સમય માપતાં, બાપા આકાશમાં જોતાને કહેતા: ચાલો નીકળીએ. સમય થઈ ગયો છે. પછી માથે નાનકડી ગાંસડી, હાથમાં પટાવાળી થેલી લઈને અમે નીકળી પડતાં. પગમાં જૂતાં નહીં, રસ્તા પણ ધૂળિયા. રસ્તાની બે બાજુ થોર. કેટલાક ફાફડિયા. ઊંચા ઊંચા. બાપા કરતાં પણ ઊંચા. અંધારામાં એ થોર બધા ભૂત જેવા લાગતા. ક્યારેક ચાંદની રાતે એ થોરના પડછાયા જોઈને મને થતું કે હમણાં જ આ પડછાયો લંબાશે અને મને એની અંદર ખેંચી લેશે. હું ચાલતી વખતે એ થોરના પડછાયા પર પગ ન પડે એની કાળજી રાખતો. એ દિવસોમાં અમારે ન્યૂટન કે આઈન્સ્ટાઈન કરતાં ભૂતો સાથે વધારે સંબંધ હતો. કેટલેક ઠેકાણે તો અમારા પગ ખાસ્સા બધા ધૂળમાં ઊતરી જતા. એમાં વળી બા કહેતાં: “પગ દાબો જરા.” બા કહેતાં કે “ઊતાવળે ચાલો એમ નહીં કહેવાનું. એમ કહીએ તો રસ્તા પર બેઠેલાં ભૂત આપણી સાથે આવે. એ એવું માને કે આપણે એમને આપણી સાથે આવવાનું કહીએ છીએ. પછી એ આપણી સાથે આવે.” આવી વાતો સાંભળીને અમને ખાતરી થતી કે રસ્તાની બેય બાજુના થોર પર ક્યાંકને ક્યાંક ભૂત હશે.
હું અને મારા બન્ને ભાઈઓ, એક મોટો અને બીજો નાનો, એકનું નામ જયન્તિભાઈ અને બીજાનું નામ ભીખો, ઘણી વાર બા જે કહેતાં એનો અભિધાના સ્તરે અર્થ કરતા અને ધૂળમાં પગ દાબતા. ત્યારે ત્રણ ગાઉનું અંતર કાપતાં અમને બે કલાક લાગતા. અમે વીરપુર પહોંચી ત્યાંથી પાંચ વાગ્યાની સેવાલિયાની બસ પકડતાં. હું બસ સ્ટેશને પહોંચ્યા પછી બધી બસોનાં બોર્ડ વાંચતો. ત્યારે મને એવું લાગતું કે હું ભણ્યો છું એ સાચે જ ખૂબ કામનું છે. હું બસોનાં બોર્ડ વાંચી શકું છું. અમે સેવાલિયા સાડા નવની આસપાસ પહોંચતાં. ત્યાં બસ સ્ટેશનની તદ્દન સામે રેલ્વે સ્ટેશન આવેલું હતું. બા અને બાપા અમને રેલ્વે સ્ટેશને લઈ જતાં. ત્યાંથી અમે ગોધરાની ટ્રેઈન લેતાં. પણ, એ ટ્રેઈન અમે ત્યાં પહોંચીએ પછી ત્રણ કે ચાર કલાકે આવતી. ત્યારે સેવાલિયાથી ગોધરા બસમાં પણ જઈ શકાતું. પણ મારાં માબાપને બસ મોંઘી પડતી. એમને લોકલ ટ્રેઈન સસ્તી પડતી. સેવાલિયાના બસ સ્ટેશને બા અમને પાણીને બદલે દૂધમાં બાંધેલા લોટનો રોટલો આપતી. બા એવું માનતાં કે પાણીથી બાંધેલા લોટના રોટલા અભડાઈ જાય. સાથે કાં તો અથાણું હોય, કાં તો કે છુંદો. ક્યારેક એ અમને કેળાં કે દરાખ લઈ આપતાં. બા ‘દ્રાક્ષ’ને ‘દરાખ’ કહેતાં. અમારે ભાગે એક એક કેળું આવતું ને દરાખ ચાર કે પાંચ. પછી, બેએક વાગે આગગાડી આવતી. અમે એનું તોતિંગ એન્જિન અને એમાંથી નીકળતો ધૂમાડો જોઈ રહેતા. ત્યાંથી અમે ત્રીજા વર્ગના ડબ્બામાં બેસીને ગોધરા જતાં. ત્યારે ગોધરામાં રેલ્વે સ્ટેશનથી બસ સ્ટેશન કાં તો ચાલતા જવાતું, કાં તો ઘોડાગાડીમાં. બાબાપુજી અમને ઘોડાગાડીમાં લઈ જતાં. પછી, ગોધરા બસ સ્ટેશનેથી અમે હાલોલની બસ લેતાં. ત્યારે પણ બા કહેતાં: લોકલ લેવાની. એક્સપ્રેસમાં ભાડું બહુ થાય. હું ત્યાં પણ મારા શિક્ષણનો ઉપયોગ કરતો. હું બસોનાં બોર્ડ વાંચતો. લાલ હોય તો એક્સપ્રેસ. કાળાં હોય તો લોકલ. પછી ત્યાંથી લોકલ બસ લઈને અમે બે કલાકે હાલોલ પહોંચતાં. પછી હાલોલ પહોંચીને પણ મારા માથે વાયા ઘોઘંબા જતી દેવગઢ બારિયાની બસ શોધવાની જવાબદારી આવી જતી. હું હાલોલ બસ સ્ટેશને પણ બસમાં બોર્ડ વાંચતો. પછી બાને કહેતો કે આ બસ જાય છે. તો પણ બા પાછાં કંટક્ટરને પૂછીને ખાતરી કરતાં કે ખરેખર આ બસ વાયા ઘોઘંબા જાય છે? પછી અમે દેવગઢ બારિયા, વાયા ઘોઘંબા, જતી બસ લેતાં અને વચ્ચે કંકોડાકોઈ નામના ગામે ઊતરતાં. ત્યાંથી દોઢેક માઈલ ચાલતાં અમે જીતપુરા જતાં. એ રસ્તો ધૂળિયો ન હતો. પણ, વેરાન ખરો. આસપાસ બાવળ ઓછા ને આવળ વધારે. વળી જ્યાં જૂઓ ત્યાં તાડ. જીતપુરા પહોંચતાં ખાસ્સી સાંજ થઈ જતી. પહેલો કૂકડો બોલ્યે એક ઘેરથી નીકળીને દહાડો આથમે ત્યારે અમે બીજા ઘેર ત્યાં પહોંચતાં. આ પ્રવાસ, જો કે, ઓડિસિયસના પ્રવાસ જેવો ન હતો. તો પણ, જેમ ઓડિસિયસને સમુદ્રદેવ નડતા એમ અમને પણ કોઈને કોઈ, શાસ્ત્રોએ હજી પ્રમાણિત ન કર્યા હોય એવા દેવ, નડતા.
જીતપુરાના ઝાંપે જ એક તળાવ અને કોઠીનું વિશાળ વન. દૂરથી તળાવની પાળ દેખાય એટલે અમને લાગતું કે હવે જીતપુરા આવી ગયું છે. કોઠીનું વન અમારું પાયખાનું. રોજ સવારે અમે ત્યાં પાયખાને જતાં. એ પણ હાથમાં લોટો કે ડબલું લઈને. જો લોટો લઈને જતાં તો તળાવકાંઠે બેસીને લોટો ઘસી નાખતાં. ક્યારેક તળાવકાંઠાની માટીમાં રહેલી કાંકરીઓના લિસોટા લોટા પર પડતા તો બા ખિજાઈ જતાં. ત્યાંથી ઘેર જતી વખતે અમે નીચે પડેલાં બેચાર કોઠા (જો એની ઋતુ હોય તો) લઈ જતાં. બા એમાંથી ચટણી બનાવતાં અને અમને રોટલા સાથે કોઠાની ચટણી આપતાં.
મને ખબર નથી કે બાપાને કોણે જીતપુરા બોલાવ્યા હશે. પણ કોઈકે કહ્યું હશે કે આ ગામમાં સુથાર નથી અને એને કારણે ગામલોકોને બહુ તકલીફ પડે છે. પહેલાં બાપા ત્યાં ગયેલા. ગામલોકોએ બાપાને એકબીજાને કાટખૂણે અડીને ઊભેલાં બે ઘરને કારણે બનતો એક ખૂણો ‘ઘર બાંધવા’ માટે આપેલો. બાપાએ, અલબત્ત ગામલોકોની મદદથી, એ ખૂણામાં એક ઝૂંપડું બનાવેલું. એની ભીંતો કરાંઠીની. એના પર બા અને ગામની સ્ત્રીઓએ લીંપણ લીપેલું. એ ઝુંપડા પર તાડપત્રી નાખેલી. ક્યારેક વાયરે એ તાડપત્રીઓ ખસી જતી અને રાતનો વખત હોય તો અમને ઘરમાં સૂતાં સૂતાં આકાશ દેખાઈ જતું. ચોમાસામાં ઘણી વાર એ તાડપત્રીઓમાંથી ચૂવા થતા. બા જ્યાં પાણી પડતું હોય ત્યાં ડોલ કે બીજું કોઈ વાસણ મૂકી દેતી. ઘણી વાર અમે રાતે ચૂવાના પાણીનાં ટીપાં ગણતાં.
એ ઝૂંપડી હશે માંડ દસ કે બાર હાથ પહોળી. એના એક ખૂણામાં રસોડું. એમાં અમે પાંચ જણ – બા, કાકા, નાનો ભાઈ, મોટો ભાઈ અને હું- રહેતાં. ઝૂંપડીમાં ખાટલો રાખવા જેટલી જગ્યા ન હતી. અમે બધાં નીચે સૂઈ જતાં. ગોદડીઓ પાથરીને. બા વહેલી સવારે, અજવાળું થાય એ પહેલાં, ત્રણ બાજુ ખરસુડીની (સ્થાનિક બોલીમાં ‘ખરહૂડી’) વાડ બનાવીને બનાવવામાં આવેલા ‘બાથરૂમમાં’ નહાઈ લેતાં. એ બાથરૂમનો પથરો હજી મને યાદ છે. એ ઝૂંપડીમાં બાપાનાં સુથારી કામનાં સાધનો પણ રહેતાં અને અનાજપાણી પણ. ત્યાં બા કોદરા, બાવટો અને બંટી અને ક્યારેક એ ત્રણેયના મિશ્રણમાંથી રોટલા બનાવતાં. લોકો ત્યારે એને સાંગરું (સ્થાનિક બોલીમાં ‘હાંગરું’) કહેતા. એવા રોટલા ટાઢા પડી જાય તો તૂટતા નહીં. તોડવા બેસીએ તો એ રબરની જેમ લાંબા થતા. અમે ઘણી વાર એવા રોટલા અંગારે ઊના કરીને ખાતા. મને એ રોટલાઓનો કાળો રંગ ઝાઝો ગમતો નહીં. એટલે સુધી કે સવારે અમે કોઠીના વનમાં જાજરુ જતા ત્યારે અમારા કાળા મળને જોતા અને પેલા રોટલા યાદ કરતા. લણણી વખતે અમારી ઝૂંપડી આખી અનાજથી ભરાઈ જતી. ત્યારે એ ગામમાં એવો રિવાજ હતો કે અનાજ લેવાનું થાય ત્યારે ખળામાંથી જ સુથારને એના ભાગનું અનાજ આપવાનું. એ પણ એણે ખેતી કામનાં સાધનો રીપેર કર્યાં હોય એ બદલ. ગામલોકો એને ‘ખળું’ કહેતાં. પાક લેવાનો હોય ત્યારે ખેડૂતો એક દિવસ પહેલાં આવીને બાને કહી જતા કે કાલે ખળું લેવા આવજો. હું અને મારો નાનોભાઈ બન્ને, ઘણી વાર, બાની સાથે ખળું લેવા ગયા છીએ. ક્યારેક એટલું બધું ખળું આવી જતું કે અમે સૂતા હોઈએ ત્યારે અમારી એક પડખે અનાજ હોય અને બીજા પડખે કાં તો ભાઈ કે બા. ઘણી વાર ઊંઘમાં હાથ અનાજ પર પડતો તો અનાજ સરકતું પથારીમાં આવી પડતું. પછી એ બાજુ પડખું ફેરવાતું નહીં. જો અમે પડખું ફેરવતા તો અમને અનાજ ચબતું.
એ ગામમાં લોકો એવું માનતા હતા કે કેરીઓને આ પૃથ્વી પર લાવવાનું કામ સુથારે કર્યુ છે. જ્યારે વિશ્વકર્મા ઇન્દ્રપુરી બનાવી રહ્યા હતા ત્યારે એમને સુથારોની જરુર પડી. એટલે એમણે પૃથ્વી પરથી કેટલાક સુથારોને ત્યાં બોલાવ્યા. એ સુથારો સવારસાંજ વિશ્વકર્માને ત્યાં જમતા. વિશ્વકર્માનાં પત્ની એ સુથારોને રોજ સાંજે એક એક કેરી આપતાં ને એ લોકો ખાઈ રહે પછી ગણીને એટલા ગોટલા પાછા લઈ લેતાં. એક વાર એક સુથારે લાકડામાંથી બનાવટી ગોટલો બનાવ્યો અને અસલ ગોટલાની જગ્યાએ એ ગોટલો મૂકી દીધો. એણે વિશ્વકર્માનાં પત્ની સાથે આ રીતે છેતરપીંડી કરી. પછી, ઇન્દ્રપુરી બની ગઈ ત્યાર બાદ એ સુથારો પૃથ્વી પર પાછા આવ્યા. પેલો સુથાર સાથે કેરીનો ગોટલો લઈ આવેલો. એણે એ ગોટલો પૃથ્વી પર રોપ્યો. એમાંથી આ પૃથ્વી પરનો પહેલો આંબો ઊગ્યો. આ લોકકથા કે લોકમાન્યતાને પગલે જીતપુરાના આદિવાસી ખેડૂતો એમનો આંબો પહેલી વાર ફળે ત્યારે સુથારને, એટલે કે અમને, છ છકડું, એટલે કે છત્રીસ કેરીઓ આપતા. એને કારણે, કેરીની ઋતુમાં, અમારા ઝૂંપડામાં સુવા માટેની જગ્યા ન હતી રહેતી. અને કેરીઓ ખસેડીને સૂતાં.
આ ઝૂંપડી, અથવા તો એમ કહો કે આ ઘર અમારા માટે કાયમી ન હતું. એટલે અમે એમ તો ન જ કહી શકીએ કે અમે એક ઘર છોડીને બીજા ઘેર આવેલા. અમને બધાંને ખબર હતી કે અમે અહીં કાયમ માટે રહેવાનાં નથી. જો કે, ગામલોકોએ અમને ત્યાં રોકી રાખવાના બહુ પ્રયાસ કરેલા. એમણે બાપાને વીસ વીઘાં જમીન કોઈને પણ નહીં વેચવાની શરતે આપવાની વાત કરેલી. પણ, બાપા વતનમાં પાછા જવા માગતા હતા. વળી એ દરમિયાન કેટલીક કૌટુંબિક ઘટનાઓ પણ બની. મોટાભાઈ પરણ્યા અને એમણે જુદારો માગ્યો. એ આપવા અમારે પાછા વતનમાં આવવું પડ્યું. પછી અમે પાછાં ન ગયાં.
જીતપુરામાં અત્યારે કેટલા માણસોને ખબર હશે કે હું ત્રણ ચાર વરસ ત્યાં રહ્યો હતો એની મને ખબર નથી. પણ, ત્યારે મારી સાથે ભણતા ત્રણથી ચાર છોકરાઓનાં નામ મને હજી યાદ છે. એમનાં ઘર પણ મને યાદ છે. જેમ અહીં અમેરિકામાં અમેરિકનો વાતવાતમાં F શબ્દ વાપરતા હોય છે એમ, એ ગામમાં સ્ત્રીઓ અને પુરુષો પણ ત્યારે વાતવાતમાં F, પણ ગુજરાતીમાં, શબ્દો વાપરતી. શરૂઆતમાં મને એ જોઈને ખૂબ આઘાત લાગેલો. મેં એક વાર બાને કહેલું પણ ખરું અને બાએ વળતો જવાબ આપતાં કહેલું, “એ લોકો એમની બોલી બોલે, આપણે આપણી.” હું એ લોકો અને અમારી વચ્ચે આ F શબ્દના વપરાશના આધારે ભેદ પાડતો. ત્યારે જીતપુરામાં ડાકણોની વાતો પણ ખૂબ થતી. પણ, મારા બાપા ભૂવા હતા. કહેવાય છે કે એને કારણે ગામની ડાકણો ડરતી.
પાછાં ભરોડી આવ્યા પછી પણ અમારો જીતપુરા સાથેનો સબંધ ઘણાં વરસો સુધી સચવાઈ રહેલો. બા અને બાપા જીતપુરાના એકેએક માણસને એમનું સગુ માનતાં. જો ત્યાં કોઈનું અવસાન થતું તો એ લોકો અમને કાગળ લખીને જાણ કરતા. એવા કાગળ પર લખેલું હોય: “લૂગડાં ઊતારીને વાંચજો.” જ્યારે પણ એવો કાગળ આવે ત્યારે બા એકલી સાડી વિંટાળીને નાહવાના પથરે બેસતાં અને પછી મને કહેતાં, “હવે કાગળ વાંચ.” હું કાગળ વાંચતો ને બા રડતાં. ક્યારેક પોકે પોકે, ક્યારેક ધ્રૂસકે ધ્રૂસકે. જો ખૂબ નજીકના ઓળખીતાનું અવસાન થયું હોય તો બા અને બાપા બન્ને લૌકીક ક્રિયા કરવા માટે જીતપુરા પણ જતાં.
હું જનમ્યો ત્યારે મારું ભરોડીમાં આવેલું ઘર ત્રણ ભાગમાં વહેચાયેલું હતું. એક ભાગ બેસવા સૂવાનો, બીજા ભાગમાં રસોડું અને ત્રીજામાં કોઢ. એક જમાનામાં બાપા પોતે ખેતી કરતા. ત્યારે અમારે બે બળદ અને બે (કે કદાચ ત્રણ) ભેંસો પણ હતી. બાપા એમને કોઢમાં બાંધતા. હું ઘણી વાર બળદના ઘૂઘરા ગળે પહેરીને ગામમાં રમવા જતો. પછી તો બાપાએ બળદો વેચી નાખેલા અને ખેતી ભાગે આપવાનું શરૂ કરેલું. અમારા બેસવા સૂવાના ભાગ પાસે જ કોઢ. ક્યારેક મારો ખાટલો કોઢ પાસે નંખાતો. ઘણી વાર ભેંસ કોઢમાંથી માથું કાઢીને મારા હાથ કે પગ ચાટતી. ક્યારેક ભેંસો શીંગડાં ખીલા સાથે અથડાવતી. એને કારણે બધાંની ઊંઘ બગડતી. જો કે, બા અને બાપા તો ઘસઘસાટ ઊંઘી જતાં. રાવજી પટેલ એની એક કવિતામાં કહે છે એમ: “પંજેઠી જેવાં.” જ્યારે ભેંસ વેતરે આવે ત્યારે ઘરમાં જ નહીં, આખા ફળિયામાં જોવા જેવી થતી. ભેંસ એની sexual desireના એક ભાગ રૂપે ભાંભરતી અને બા જાણે કે ભેંસ ભાષા સમજતી ન હોય એમ એને કહેતાં, “મૂઈ ચૂપ રહે. સવારે પાડા પાસે લઈ જઈશું.”
ભરોડીના ઘરને મેડો હતો. મેડા પર બા એમનાં પેટીપટારાં વગેરે મૂકી રાખતાં. એમાંની એક પેટી મેં બા ન જાણે એમ અનેક વાર ખોલી છે. એ પેટીમાં કેટલાક ચોપડા હતા. રાતા રંગના. એમાં મારા દાદાએ, એટલે કે બાપાના બાપાએ, ગામમાં જેમને પૈસા ધીરેલા એમનાં નામ હતાં. એમાં એકબે નામ વીરપુરના વાણિયાઓનાં પણ હતાં. મને એ વાંચીને થતું કે ઓહ, મારા દાદા આટલા પૈસાદાર હતા!
ગામમાં એક પણ કુટુંબ પૈસાદાર ન હતું. એને કારણે અમને એવું ન’તું લાગતું કે અમે ગરીબ છીએ. ત્યારે નાવા ધોવાના સાબુ બા ઘેર બનાવતાં. એટલું જ નહીં, ધૂપેલ પણ ઘેર પાડતાં. ક્યારેક બા નજીકમાં આવેલા બાવળના જંગલમાંથી ઉશેરાં (જમીનમાંતી નીકળતો એક પ્રકારનો પાવડર) લઈ આવતાં. એ ઘણી વાર એના વડે અમારાં માથાં ધોતાં. ઉશેરાંનું પાણી અમારી આંખમાં જતું તો અમને પુષ્કળ લાય બળતી. ક્યારેક એ પાણી મોંઢામાં જતું તો ખારું લાગતું. પણ, બાની આગળ અમારું કોઈનું ચાલતું નહીં.
એ ઘરને એક વિશાળ વાડો હતો. એ વાડામાં બે ખાટી આંબલીનાં ઝાડ હતાં. હું અહીં અમેરિકા આવ્યો પછી અમારા પાડોશીએ એ અમારી જમીન છે એમ કહીને એ વાડો લગભગ અડધોઅડધ પચાવી પાડ્યો છે. એમ કરવામાં કેટલાક સ્થાનિક માણસોએ પણ ટેકો આપ્યો. એમાં વળી કેટલાક તો ભણેલાગણેલા છે. એ લોકોને મારા માટે ઝાઝું માન નથી. કદાચ ઇર્ષાના કારણે. બાકી અમારે કંઈ વહેંચવાનું નથી.
મોટાભાઈને જુદારો આપ્યો એ સાથે અમારા એ ઘરના બે ભાગ પડ્યા. મેં જીંદગીમાં પહેલી વાર ઘરના ભાગ પડતા જોયા. બાબાપુજીએ કૃપા કરીને ભાઈને ભાગે આવતું હતું એના કરતાં વધારે જગ્યા આપી. એ સાથે કોઢવાળો ભાગ મોટાભાઈના ભાગે ગયો. પછી બાએ રસોડાની જગ્યાએ કોઢ બનાવી અને આગળ, અમે જ્યાં સૂતાં હતાં ત્યાં, રસોડું બનાવ્યું. એટલે કે ત્યાં ચૂલો નાખ્યો. હવે ઘર બે ભાગમાં. પહેલા ભાગમાં સૂવાનું, બેસવાનું, રાંધવાનું. બીજા ભાગમાં ભેંસો બાંધવાની.
કેટલાંક વરસો પછી વીરપુરના એક વાણિયાએ/વેપારીએ એક ઘર વેચવા કાઢ્યું. એ ઘર અમારા ફળિયામાં જ હતું. એક સુથારે એ ઘર એ વેપારીને ત્યાં ગિરો મૂકેલું. બા-બાપાએ એ ઘર ખરીદી લીધું. પછી, કોણ જાણે કેમ બા-બાપાને હું જ્યાં જન્મેલો એ ઘર અપશુનિયાળ લાગ્યું. એટલે એ અમને, બન્ને ભાઈઓને લઈને, નવા ઘરમાં રહેવા ગયાં. એ ઘર પણ ત્રણ ભાગમાં વહેંચાયેલું હતું. આગળ ઓસરી, પછી સુવા-બેસવાનો ભાગ અને પછી રસોડું. એ ઘરને પણ લાંબો વાડો હતો. એ વાડાની એક વાડ પાસે અમારા એક પાડોશીનો પીપળો હતો. અમે ત્યારે એવું માનતા હતા કે એ પીપળાના થડમાં કાળભૈરવનું સ્થાનક છે. મારી ઘણી બધી કવિતાઓમાં એ પીપળાની અને એ કાળભૈરવની વાત આવે છે.
થોડાંક વરસો એ ઘરમાં રહ્યા પછી બાબાપુજી પાછાં મૂળ ઘરમાં પાછાં ગયાં. એમની સાથે હું પણ. એ ઘરમાં હું એસ.એસ.સી. સુધી રહ્યો. એ સમયગાળામાં મેં અનેક ચડતીપડતી જોઈ. એમાંની એક પડતીમાંથી બહાર આવવા બાપાએ ટાયરવાળા ગાડાં બનાવવાનું શરૂ કરેલું. એમણે ખેડૂતોને સમજાવેલા કે પરંપરાગત પૈડાવાળાં ગાડાં ખેંચવામાં બળદનો બહુ આપદા પડે છે. હું પણ એ ગાડાં બનાવવામાં બાપાને મદદ કરતો. ત્યારે ભણવું મારા માટે અને મારા કુટુંબ માટે પણ ગૌણ હતું. બાપા કહેતા કે સમય મળે ત્યારે ભણજે. એ વારંવાર એક વાક્ય બોલતા: “આપણે ભણીને કાંઈ બેરીસ્ટર નથી થવાના.” ત્યારે મને ‘બેરીસ્ટર’ કોને કહેવાય એની ખબર ન હતી. જો કે, ચોપડીઓમાં ક્યાંક વાંચેલું કે ગાંધીજી બેરિસ્ટર હતા. મેં પણ ત્યારે નક્કી કરેલું કે આપણે ‘બેરિસ્ટર’ નથી થવું. એ ગાડાંના ધંધામાં બાપાને ખૂબ આર્થિક નુકસાન થયેલું. એ નુકસાન ભરપાઈ કરવા એમણે ખેતરમાં કૂવો ખોદવા લોન લીધેલી. એ કૂવામાં પથરા વધારે ને પાણી ઓછું આવ્યું. પથરા તોડવા બાપાએ ઘણી વાર એક સાથે વીસ વીસ સુરંગો મૂકવી પડતી. એને કારણે દેવું થઈ ગયેલું. એક દેવામાંથી બહાર આવવા બીજો ધંધો કરે ને એ ધંધો દેવું વધારે. આખરે અમારે એક ખેતર ગિરો મૂકવું પડેલું. જો કે, તો ય કૂવામાં પૂરતું પાણી ન હતું આવ્યું. આખરે બાપાએ બીજું ખેતર પર ગિરો મૂકેલું.
ક્રમશઃ
-
વોટ્સેપ ! ! !
‘ફેસબુક” પર કવિતા લખનાર કવિ શ્રી કૃષ્ણ દવેની “વોટ્સેપ” પર લખાયેલ કવિતા પણ ખૂબ મઝાની છે. એકદમ હળવી શૈલીમાં આધુનિક સમયની સુંદર પરિસ્થિતિ ચિત્રિત કરી છે.
વોટ્સેપ ! ! !
હવે લખવાનું હોય કંઇ ટપાલમાં ?
થોડા વોટ્સેપને મોકલી દ્યો વ્હાલમાં
આપ જીવી રહ્યાં છો કઈ સાલમાં ?
થોડા વોટ્સેપને મોકલી દ્યો વ્હાલમાં.રેડીમેડ લાગણીને ડાઉનલોડ કરવાની, લખવાનું મનગમતુ નામ
પહેલાના વખતના લોકો શરમાતા તે લખતા’તા રાધા ને શ્યામ
દાદા દાદીને કૈ ઓછું પૂછવાનું ? શું મોકલતા રેશમી રૂમાલમાં ?
થોડા વોટ્સેપને મોકલી દ્યો વ્હાલમાંસામા છેડા પરનું પંખી આ સ્ક્રીન ઉપર અમથું કાંઇ ફરવા નહીં આવે
ટહુકો ને ટ્યુન બધુ મેચિંગમાં હોયને તો એને પણ ઊડવાનું ફાવે
એકવાર ટાવર જો પકડી શકો તો બધુ રંગી પણ શકશો ગુલાલમાં
થોડા વોટ્સેપને મોકલી દ્યો વ્હાલમાંપરબીડીયુ લાવવાનું, સરનામું લખવાનું, ટીકીટ પણ ચોડવાની માથે
અમથું આ ગામ આખુ મોબાઈલ વાપરે છે ? જીવો જમાનાની સાથે
કાગળ લઈ આમ તમે લખવા શું બેઠા છો ? ખોટા પડો છો બબાલમાં
થોડા વોટ્સેપને મોકલી દ્યો વ્હાલમાં…..કૃષ્ણ દવે.
રસદર્શનઃ
દેવિકા ધ્રુવ
આ કવિતામાં ધ્રુવ પંક્તિ તરીકે બીજી પંક્તિ “થોડા વોટ્સેપને મોકલી દો વ્હાલમાં”ને બનાવી સરસ હળવો કટાક્ષ કર્યો છે.જૂના સમયની ટપાલોને ભૂલ્યા વગર શરુઆત તો કરી પણ તરત જ આજના ‘વોટ્સેપ’ પર વહાલ મોકલવાના આદેશ જેવા ઉલ્લેખમાં એક ઝીણી વેદનાનો સૂર સંભળાય છે પણ એ વધુ ઘેરો રંગ પકડે તે પહેલાં તો ‘આપ જીવી રહ્યા છો કઈ સાલમાં?’એવો પ્રશ્નાર્થ મૂકી મનને વાળી લેવાની વાત કેવી અનોખી ઢબે મૂકી દીધી છે?
ગીતના પ્રથમ અંતરામાં ‘ રેડીમેડ લાગણી’અને ‘ડાઉનલોડ’ શબ્દ દ્વારા ફરીથી પેલી વેદના ડોકિયા કરે છે ને એની સાથે જ અનાયાસે જ, પહેલાંના વખતમાં લોકો નામ લખતા પણ શરમાતા ને શું લખતાં અને શું મોકલતાં, કેવી રીતે મોકલતાં એની સરખામણી સામે લાવી બતાવે છે. અહીં મનગમતા ‘નામ’ સાથે ‘શ્યામ’ નો પ્રાસ અને ‘રુમાલ અને વહાલ’નો સુસંગત પ્રાસ પણ મન મોહક જ નહિ અર્થથી ભર્યો ભર્યો પણ લાગે છે.
બીજો અંતરો ઓર આનંદ આપે છે. કવિ કહે છે કે, ટહુકો,ટ્યુન, ટાવર બધું મેચિંગ થાય તો જ પંખી સ્ક્રીન પર ફરવા આવે ! આ કંઈ Unconditional Love થોડો છે?! એવું વાક્ય જાણે કે પાછળ તરત જ મનમાં જોડાઈ ગર્ભિત અર્થને મુલાયમ રીતે સ્પષ્ટ કરે છે..એ જ અર્થ ધ્રુવ પંક્તિમાં ફરી ફરીને સમજાવે છે. પંખીના ને સ્ક્રીનના પ્રતિકમાં તો પંખીની જેમ કેટલા બધા અર્થો ઊડતા ઊડતા નજર સામે ઉમટે છે!
આજની ટેક્નોલોજીની સાથે, જૂના વખતને હળવા કટાક્ષમાં વાળતા ત્રીજા અંતરામાં તો ઘણી ઘણી લાગણીઓ ઠાલવી દીધી છે. એ કહે છે કે, કાગળ લઈને લખવું, પરબીડીયુ લાવવાનું, સરનામું લખવાનું, ટીકીટ પણ ચોડવાની માથે.. આ બધી બબાલ ખોટી શું કામ કરવાની? અરે ભાઈ, જમાનાની સાથે જીવો? ગામ આખું કંઈ અમથું મોબાઇલ વાપરે છે? કેટલી સરળ રીતે એવું કહી દીધુ કે જે ખરેખર તો કહેવાનું જુદું છે ! જેને બબાલ કહે છે તે હકીકતમાં તો મધમીઠું ગમતું કામ હતું એ કહેવું છે. એટલે જ તો ભૂલાતું નથી.એ વળી વળીને કોઈને કોઈ રૂપે કવિતામાં સ્પર્શાયા કરે છે. એ સંવેદનાઓ, એની અસરકારકતા,ઊંડાણ ક્યાં ‘વોટ્સેપ’માં છે? ભીતર તો એ વાત છે. એટલે આ વ્યંગ પણ હ્રદયંગમ બની રહે છે. છતાં જમાનાની સાથે જીવવાની તૈયારી તો જુઓ! એ એક સમજણની ઊંચાઈ દર્શાવે છે એટલું જ નહિ સુખ-શાંતિ પામવાનો સંદેશ પણ આપી જાય છે.
આખી કવિતામાં બોલચાલની સીધી સરળ ભાષા છે તો સાથે સાથે લયમાધુર્ય પણ ભરપૂર છે. વ્યંગ છે પણ વહાલથી નીતરતો છે, છૂપો કટાક્ષ છે પણ ડંખ વગરનો છે. જૂની રીતભાતોની યાદો છે તો નવાને સ્વીકારવાની તૈયારી પણ છે જ. પ્રેમની વાતો છે પણ મનના મેચિંંગથી જ સફળતાનું ટાવર મળે એનો ઈશારો પણ છે. પંખી અને પડદાનું પ્રતિક, ભાવકની ભાવના મુજબ જે અર્થ લેવો હોય અને જે રીતે લેવા હોય તેવા અનેક અર્થો પ્રતિબિંબિત કરે છે.
ફરી એકવાર “ફેસબૂક’ના કવિકર્મની જેમ ‘વોટ્સેપ’ ની આ કવિતા માટે પણ કવિને સલામ અને ખૂબ ખૂબ અભિનંદન.
Devika Dhruva.
ddhruva1948@yahoo.com -
મહિલાઓ માટે કૃતજ્ઞતા નિધિ
યોગેન્દ્ર યાદવ
“હું ? હું તો કંઈ નથી કરતી, ઘરે જ હોઉં છું અને હાઉસ વાઈફ છું.” મારે ઘણી વાર આવા જવાબનો સામનો કરવો પડે છે. જ્યારે કોઈ દંપતીની મુલાકાત થાય તો ઘણે ભાગે પુરુષ જ પોતાનો પરિચય પહેલાં આપે છે. તેમનાં પત્ની પાછળ-બાજુમાં ઊભાં હોય છે. ચૂપચાપ ‘નમસ્તે’ કરે છે. હું જેમ પુરુષને પૂછું તેમ બહેનને પણ પૂછું છું ‘અને આપ શું કરો છો ?’ આની પાછળ મારો હેતુ તેમની હાજરીની નોંધ લેવાનો અને વાતચીતમાં તેમને ભેળવવાનો હોય છે, તેમની કમાણીના સ્રોત અંગે પૂછવાનો નહીં. પરંતુ જો એ બહેન ગૃહિણી હોય તો એવું બને છે કે તે સંકોચ પામે છે, તેમાં પણ જો તે ભણેલી ગણેલી આધુનિક બહેન હોય તો ખાસ આવું બને છે. સંકોચથી તે કહે છે તે ‘કંઈ નથી’ કરતી.
આ જવાબથી હું વ્યાકુળ બની જાઉં છું. હું તેમને કહું છું, ઘરમાં કામ કરવું એ ‘કંઈ નહીં’ની કક્ષામાં નથી આવતું. પોતાનો દાખલો આપું છું. એક વાર મારે ત્રણ અઠવાડિયાં સુધી એકલે હાથે મારાં બંને નાનાં બાળકોને સાચવવાનો વારો આવ્યો હતો. અમે વિદેશમાં હતાં એટલે બીજી કોઈ પારિવારિક મદદ પણ મળે તેમ ન હતું. ત્યાં કોઈ પણ કામનું વેતન એટલું છે કે પૈસા આપીને ઘરનાં કામો કરાવવાની શક્તિ બહુ ઓછા લોકોની હોય છે. તેથી બાળકોને તૈયાર કરવાં, શાળામાં મૂકવા જવાથી માંડીને રસોઈ, વાસણ, ઘરની સફાઈ – બધું કામ જાતે જ કરવું પડતું હતું. ત્રણ અઠવાડિયાં સુધી “કંઈ નહીં” કરતાં-કરતાં મારી કમર તૂટી ગઈ હતી. તેથી જ્યારે કોઈ “કંઈ નહીં” કહે છે ત્યારે મને ખ્યાલ આવે છે કે એ કેટલી મહેનતનું કામ છે !
આ કિસ્સો સાંભળીને ગૃહિણીના ચહેરા પા સ્મિત આવી જાય છે. પરંતુ હૃદય અને મગજ પર પડેલી આ વાતને તમે એક દાખલાથી તો ભૂંસી નથી શકતા. સમાજને કેવી રીતે સમજાવીએ કે એક સ્ત્રી કેટલું કામ કરે છે – જ્યારે તે માત્ર ‘ઘરમાં’ હોય છે.
આ સર્વેમાં તેમના ઘરે જઈને તેમને પૂછવામાં આવે છે કે છેલ્લા ચોવીસ કલાકમાં તમે શું શું કર્યું. દર અડધા કલાક કે તેથી પણ ઓછા સમયમાં કરેલ દરેકેદરેક કામની વિગતો તેમાં નોંધીને તેનું વિશ્ર્લેષણ કરવામાં આવે છે – આ અહેવાલમાં. આ અભ્યાસનો પ્રથમ અહેવાલ વર્ષ ૨૦૧૯માં બહાર પડ્યો હતો. બીજો રિપોર્ટ તાજેતરમાં જ કેન્દ્ર સરકારે સાર્વજનિક કર્યો છે.
૨૦૨૪ના આંકડા પર આધારિત આ નવો અહેવાલ જણાવે છે કે આપણા દેશમાં એક સરેરાશ સ્ત્રી દરરોજ એક સરેરાશ પુરુષની સરખામણીમાં એક કલાક વધુ કામ કરે છે. ચોક્કસ આંકડા જોઈએ તો સરેરાશ દરેક પુરુષ દરરોજ ૩૦૭ મિનિટ (એટલે કે ૫ કલાક ૭ મિનિટ) કામ કરે છે તો એક સરેરાશ દરેક મહિલા દરરોજ ૩૬૭ મિનિટ (છ કલાક ૭ મિનિટ) કામ કરે છે. ફેર એટલો છે કે પુરુષને મહદ્અંશે તેના આ કામ માટે વેતન મળે છે, પરંતુ સ્ત્રીના મોટાભાગના કામનું કોઈ વેતન તેને મળતું નથી. એક સરેરાશ પુરુષના ૩૦૭ મિનિટના કામમાંથી ૨૫૧ મિનિટના કામના તેને પૈસા મળે છે. તેની માત્ર ૫૬ મિનિટ એવાં કામોમાં જાય છે જેમાંથી કમાણી નથી થતી. પરંતુ સ્ત્રીની પરિસ્થિતિ તદ્દન ઊંધી છે. તેના ૩૬૭ મિનિટના કામમાંથી તેને માત્ર ૬૨ મિનિટના કામમાંથી વેતન મળે છે અને તેનું ૩૦૫ મિનિટનું કામ ‘કંઈ નહીં’ની શ્રેણીમાં આવે છે. અને તેથી જ માત્ર એટલું કહેવું યોગ્ય નથી કે પુરુષ બહારનું કામ કરે છે અને સ્ત્રી ઘરનું. અંદર તેમજ બહાર બંને કામ ભેગાં કરીએ ત્યારે ખ્યાલ આવે છે કે સ્ત્રીનું કામ ભારે (વધુ મેહનત-સમય લેનારું) હોય છે.
આ બંને પ્રકારનાં કામોમાં સ્ત્રીઓ પર આવતો ભાર દરેક વર્ગનાં કુટુંબોમાં આપણે જોઈ શકીએ છીએ. એક સામાન્ય ભ્રમ એવો પ્રવર્તે છે કે સ્ત્રી જ્યારે કમાવા લાગે છે ત્યારે તેના પરથી આ બોજો ઓછો થઈ જાય છે. પ્રસ્તુત રિપોર્ટ કહે છે કે હકીકતમાં કામ કરનારી એટલે કે પૈસા કમાનારી બહેનો બંને તરફથી પિસાય છે. ગ્રામીણ કુટુંબોમાં રોજી માટે કામ કર્યા બાદ પણ આ બંને પ્રકારનાં ઘરનાં કામોમાં સ્ત્રીની સરેરાશ ૩૪૮ મિનિટ ખર્ચાય છે તો શહેરી કુટુંબોમાં પણ ૩૧૬ મિનિટ. જો પુરુષ બેરોજગાર હોય તો પણ મોટાભાગના કિસ્સાઓમાં તે ઘરના કામમાં મદદરૂપ નથી બનતો.
૨૦૧૯નો રિપોર્ટ એ ભ્રમનું પણ ખંડન કરે છે કે સ્ત્રીઓ સજવા-ધજવા પાછળ વધુ સમય ખર્ચે છે. એક સરેરાશ દિવસમાં નહાવા-ધોવા તૈયાર થવામાં પુરુષને ૭૪ મિનિટ લાગે છે. જ્યારે બહેનોને તેનાથી ઓછી ૬૮ મિનટ થાય છે. ખાવા-પીવામાં પુરુષોને મહિલાઓ કરતાં દસ મિનિટ વધુ સમય લાગે છે. ગૃહિણીને આરામ કરવા, વાતચીત કરવા તેમજ મનોરંજન માટે દિવસમાં ૧૧૩ મિનિટ મળે છે જ્યારે પુરુષને ૧૨૭ મિનિટ.
હવે સવાલ એ છે કે એ કોણ નક્કી કરે છે કે કયા કામ માટે પૈસા (વેતન) મળે અને કયા કામ માટે નહીં ? સ્પષ્ટ જ છે કે આ બાબત કામના મહત્ત્વના આધાર પર નક્કી નથી થતી. ઓફિસ અને ફેક્ટરીના કામ વગર તો દુનિયા ચાલીયે જાય પરંતુ રસોઈ અને બાળકોની સાર-સંભાળ વિના તે ચાલી શકે ખરી ? પુરુષપ્રધાન સમાજે પોતાના ફાયદા માટે આ વ્યવસ્થા બનાવી છે. તો શું આ અન્યાય ને દૂર કરવા માટેની કોઈ વ્યવસ્થા ન હોવી જોઈએ ?
તેને ચૂંટણીઓ આવતાં (ચૂંટણીની અગાઉ) લાંચ કે ભીખની જેમ આપવાને બદલે મહિલાઓ માટે ‘કૃતજ્ઞતા નિધિ’ જેવી કોઈ રાષ્ટ્રવ્યાપી યોજના કેમ બનાવાતી નથી ? માત્ર ૮મી માર્ચના મહિલા દિવસ પર જ નહીં, વર્ષના પ્રત્યેક દિવસે આ અંગે વિચાર કરવો જરૂરી છે.
(નવોદય ટાઇમ્સમાંથી અનુવાદિત)
ભૂમિપુત્ર : ૧ મે, ૨૦૨૫
-
સ્મૃતિની ખામોશીનો રણકાર
મંજૂષા
વીનેશ અંતાણી
યાદોની વણજારનો અંત હોતો નથી. ક્યારે શું યાદ આવી જાય એની ખબર પડતી નથી. ઘણી વાર તો સવારે જાગતાની સાથે જ આપણું મન કોઈ જૂનું ગીત ગણગણવા લાગે છે. અચાનક કોઈ ચહેરો મનમાં જાગી ઊઠે અને આપણો વર્તમાન ખળભળાવી મૂકે. વર્ષો પહેલાંની કોઈ સુગંધ સ્મૃતિમાં સળવળી ઊઠે અને એક સમયે એ સુગંધ સાથે જોડાયેલું બધું યાદ આવી જાય.

ફ્રાન્સના ખૂબ જાણીતા લેખક માર્સેલ પ્રૂસ્તની સાત ભાગ લખાયેલી એક નવલકથા છે – ‘ઇન સર્ચ ઓફ લોસ્ટ ટાઇમ’ – ખોવાયેલા સમયની શોધમાં. આખી નવલકથા સ્મૃતિઓની આસપાસ ગૂંથી છે. એમાં એમણે બે પ્રકારની સ્મૃતિ પર ભાર મૂક્યો છે. એક પ્રકારની સ્મૃતિ, જેમાં આપણે કશુંક યાદ કરવાનો પ્રયત્ન કરીએ ત્યારે જ એ યાદ આવે. બીજા પ્રકારની સ્મૃતિ, જેમાં અનાયાસ કશુંક યાદ આવી જાય. બીજા પ્રકારની સ્મૃતિઓ બિન બુલાયે મેહમાન જેવી હોય છે. જેમકે પહેલા વરસાદની સુગંધ આપણને બાળપણમાં લઈ જાય છે. એ ઉંમરે વરસતા વરસાદમાં પલળતા-પલળતા દોસ્તો સાથે કરેલી ધીંગામસ્તી યાદ આવી જાય છે. એ સ્મૃતિ જાગે ત્યારે વ્યક્તિની ઉંમર વીસ વર્ષની છે કે પચાસની કે એંસીની એની સભાનતા રહેતી નથી, એ સંપૂર્ણપણે બાળક બની જાય છે. કેરીની મોસમમાં એક સમયે બહુ ભાવતી દેશી કેરીનો સ્વાદ જીભ પર ફરી વળે છે. કોઈ અજાણ્યા ગામનું તળાવ જોતાં જ આપણે વતનના કાચા તળાવની પાળે પહોંચી જઈએ છીએ.
એક વાર બસમાં મારી બાજુમાં બેઠેલા માણસના પરસેવાની ગંધથી મને મારી પ્રાથમિક શાળાનો પટાવાળો યાદ આવી ગયો હતો. માર્સેલ પ્રૂસ્ત એમની નવલકથામાં અચાનક જાગી ઊઠેલા એક સ્મરણનો ઉલ્લેખ કરે છે. મોટા થયા પછી એ કોઈ રેસ્ટોરન્ટમાં ચા પીતા હતા, એમણે ચામાં કેક બોળીને મોઢામાં મૂકી તે સાથે જ એમના ચિત્તમાં દૂરના શહેરમાં રહેતી વહાલસોયી વડીલ મહિલાનું ઘર ઊપસી આવ્યું હતું. નાનપણમાં એ ઘરમાં વિતાવેલા દિવસો, રવિવારની સવાર અને એ મહિલાનો સ્નેહ વગેરે બધું યાદ આવી ગયું હતું. પ્રૂસ્ત કહે છે કે ભૂતકાળ ક્યારેય મરતો નથી. એ આપણી રોજબરોજની જિંદગીની સપાટી નીચે છુપાયેલો રહે છે અને તક મળતાં જ બહાર નીકળવાની પ્રતીક્ષા કરતો રહે છે.
વયના પાછલા પડાવ પર પહોંચ્યા પછી યાદદાસ્ત ધૂંધળી પડવા લાગે ત્યારે કેટલાક લોકોને ડર લાગે છે કે તેઓ સ્મૃતિશેષ બની જશે તો એમના જીવનમાં શું બાકી રહેશે? વૃદ્ધાવસ્થામાં સ્મૃતિ બહુ મોટો આધાર હોય છે. કુટુંબના લોકો મૃત્યુ પામનાર વડીલની થોડી ચીજો થોડો સમય સાચવી રાખે છે, પછી સમય જતાં એ ચીજોને સાચવી રાખવાની જરૂર રહેતી નથી. ઘરમાં આવતી નવી ચીજો માટે જગ્યા કરવા માટે પણ જૂની ચીજોનો નિકાલ કરવો પડે છે.
સંગીતનાં જૂનાં વાદ્યોની લે-વેચ કરતા આધેડ વયના સંગીતના શોખીન દુકાનદારે સરસ વાત કરી છે. એક દિવસ એક યુવાન જૂની સિતાર વેચવા આવ્યો. દુકાનદારે સિતારના તાર સૂરમાં લઈ એના પર આંગળી ફેરવી. એનો રણકાર સાંભળતાં જ વર્ષો જૂનું એક દૃશ્ય એની આંખમાં તરી આવ્યું. એ એના જ શહેરના મશહૂર સિતારવાદકની કોન્સર્ટમાં ગયો છે અને એના સિતારવાદનના જાદુમાં ખોવાઈ ગયો છે. ત્યાર પછી સિતારવાદક સાથે એનો ઘનિષ્ઠ સંબંધ બંધાયો. ઘણી વાર સિતારવાદક વહેલી સવારે રિયાજ કરતા હોય ત્યારે એ એમને ઘેર પહોંચી જતો. દુકાનદારે પેલા યુવાનને પૂછ્યું: ‘તમે જાણો છો, આ સિતાર કોની છે?’ યુવાને કહ્યું: ‘મારા દાદાની.’ એમનું નામ પણ જણાવ્યું. દુકાનદારે પૂછ્યું; ‘છતાં તમે આ સિતાર વેચી નાખવા માગો છો?’ યુવાને જવાબ આપ્યો: ‘હા, અમારા નવા ઘરમાં જગ્યા રોકે છે.’ દુકાનદારે યુવાને માગેલી કિંમતે સિતાર ખરીદી લીધી અને કહ્યું: ‘ભાઈ, તને ખબર નથી, તેં શું ગુમાવ્યું છે. આ સિતારના દરેક તારમાં સંગીતના એક યુગનો રણકાર છુપાયેલો છે.’
માનસિક તકલીફોથી પિડાતા લોકોની સારવાર કરતા નિષ્ણાતો ઘણી વાર દરદીને એમના ભૂતકાળમાં લઈ જાય છે. એ દ્વારા દરદીના અર્ધજાગ્રત મનમાં ધરબાયેલી બાબતોનો ખ્યાલ આવે છે. એના આધારે એની સારવાર શક્ય બને છે. પચીસ વર્ષની લીના કોઈની સાથે ભળી શકતી નહોતી. એના મનમાં ડર પેસી ગયો હતો એ કોઈ વ્યક્તિ સાથે સંબંધ બાંધશે તો પોતે દુખી થશે અને એ વ્યક્તિને પણ દુખી કરશે. આ ડરનાં મૂળ એના બાળપણમાં હતાં. એનાં માતાપિતા એમના બિઝનેસમાં સતત વ્યસ્ત રહેતાં હતાં. એ કારણે તેઓ એકની એક દીકરી લીનાને પ્રેમ અને હૂંફ આપી શક્યાં નહોતાં. લીના મનમાં ઠસી ગયું હતું કે કોઈને એની જરૂર નથી અને એ વધારાની વ્યક્તિ છે. એના ચિત્તમાં ઘર કરી ગયેલી ઉપેક્ષાની સ્મૃતિને લીધે એને એકલવાયું જીવન જીવવાની ફરજ પડી હતી.
સ્મૃતિમાં માણસના જીવનનું સાતત્ય સમાયેલું છે. જ્યાં સુધી આપણે વીતેલો સમય સાચવી શકીએ છીએ ત્યાં સુધી ‘અખંડ’ છીએ. માનવમન એક મજૂસ છે. ઘણા લોકો એમની મજૂસને ઘરના અંધારા ઓરડાના ખૂણામાં મૂકીને ભૂલી જાય છે કે એમાં શું ભર્યું છે. એમાં એમણે એમના ભૂતકાળના અવાજો, સ્પર્શો, સુગંધોની સાથે ચણિયા બોરના ઠળિયા, કોઈના પરફ્યૂમની સુગંધ અને અનેક રેશમી અને ખરબચડા સળવળાટો – એમ એક આખો વીતેલો સમય ઠાંસીઠાંસીને ભર્યો હોય છે. એ મજૂસમાં આપણે પોતે પણ હોઈએ છીએ.
પોતાને નવેસરથી પામવા માટે કોઈ પણ ઉંમરે મજૂસ ખોલી જૂનાં પોટલાંની ગાંઠ છોડવી જોઈએ. ‘ખુલ જા સિમ-સિમ’ બોલવા જેટલી જ વાર લાગશે અને આપણે આપણામાંથી બહાર નીકળી સ્મૃતિના અઢળક ખજાનામાં પહોંચી જશું. ‘તને સાંભરે રે – મને કેમ વીસરે રે…’ની રમત ભૂલવા જેવી નથી.
શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
‘દિવ્ય ભાસ્કર’ની ‘રસરંગ’ પૂર્તિમાં લેખકની કૉલમ ‘ડૂબકી’માં આ લેખ પ્રકાશિત થયો હતો.
-
સંવિધાન દિવસ: ઇતિહાસ, વિરાસત અને વર્તમાન પડકારો
તવારીખની તેજછાયા

પ્રકાશ ન. શાહ
બરાબર દસ વરસ થયાં નમો સરકારે હર ૨૬મી નવેમ્બરે સંવિધાન દિવસ મનાવવાનો ચાલ શરૂ કર્યાને. ૨૦૧૫નું વરસ આંબેડકરનું એકસો પચીસમું વરસ હતું એ નિમિત્ત પકડીને ત્યારે સરકારે આ ગેઝેટબદ્ધ જાહેરાત કરી હતી. સંવિધાન કહેતાં બંધારણ વિશે, એની આણ-આમન્યા-અવકાશ વિશે શાસનકર્તાઓમાં તેમ નાગરિકોમાં પરસ્પર સમજ ને સમાદર રહે તેમજ યથાપ્રસંગ ભિન્નમત અને વિરોધ સારુ મોકળાશ રહે એ વાસ્તે આ પ્રકારનાં આયોજનોની અવશ્ય એક ભૂમિકા છે. સ્વરાજ લડત સાથે સીધા સંબંધ વગરનાં બળો આજે સત્તારૂઢ છે ત્યારે પશ્ચાદવર્તી ધોરણે તેઓ સુડતાલીસ પૂર્વ સંધાનની કોશિશમાં હોય પણ સ્વાભાવિક જ છે
જેના ઘડતરમાં આંબોડકરનો અગ્રફાળો હતો તે સંવિધાન અમલમાં આવ્યું ૧૯૫૦ના જાન્યુઆરીની છવ્વીસ મેએ. પ્રજાસત્તાક તરીકે વિધિવત અમલમાં આવવાનું થયું તે ૧૯૫૦ના જાન્યુઆરીની 26મીએ, કેમ કે ૧૯૨૯માં જવાહરલાલ નેહરુના પ્રમુખપદે, ત્યારે તો રાષ્ટ્રીય ચળવળવત કોંગ્રેસે મુકમ્મલ આઝાદીનો ઠરાવ કર્યો એને પગલે ૧૯૩૦થી હર ૨૬મી જાન્યુઆરીએ પૂર્ણ સ્વરાજ દિવસ મનાવવાનું શરૂ થયું હતું. હાલ શાસનમાં બેસેલ વિચાર પરિવાર, આ બધા છૂટી ગયેલા તાંતણા સાથે જોડાય એથી રૂડું શું.
આંબેડકર ૧૨૫નું ઓઠું લેવાઈ જ રહ્યું છે ત્યારે એ સંભારવું રસપ્રદ એટલું જ દિશાપ્રદ પણ બની રહેશે કે ૨૬મી નવેમ્બરના પૂર્વ દિવસે, ૨૫મી નવેમ્બરે, એમણે ગૃહમાં શું કહ્યું હતું. એમણે કહ્યું હતું કે રાજકીય સમાનતા, એક માથું- એક મત, અમલમાં આવે છે, પણ આર્થિક સામાજિકતા વિષમતા બરકરાર હોય એનું શું. દેખીતી રીતે જ, બંધારણે બક્ષેલ મૂળભૂત અધિકારો તેમજ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના ઉજાસમાં સમતા ને ન્યાયની બાકી અગર ચાલુ લડાઈનો ઊહાપોહભેર એક સંકેત એમાં પડેલો હતો.
હાલનો સત્તા પરિવાર એટલે કે એના તત્કાલીન પુરોગામીઓ સંવિધાન નિર્માણની પ્રક્રિયા પરત્વે શું વિચારતા હશે? સંઘના મુખપત્ર ઓર્ગેનાઈઝરની ફાઈલો જોઈએ તો હાય રામ, આ બંધારણમાં મનુસ્મૃતિનો ન તો મહિમા છે, ન તો તેને કોઈ સ્થાનમાન સુદ્ધાં છે. સાવરકર સમગ્રમાં તેમ બીજા સરસંઘચાલક ગોળવલકરના ‘બન્ચ ઓફ થોટ્સ’માં આ વાત ઊના નિસાસા કરતાં વધુ તો આક્રોશી ઢબે ઈતિહાસદર્જ છે.
૧૯૪૬-૪૯ના ગાળામાં બંધારણ સભાની જે કામગીરી ચાલી એને અંગે દિશાસૂચક સામગ્રી પણ સ્વરાજ લડતમાં પડેલી હતી. કોંગ્રેસે સોંપેલ કામગીરી સર મોતીલાલ નેહરુએ ઘડેલ બંધારણ મુસદ્દો 1928માં બહાર આવ્યો એમાં સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર, સ્વતંત્રતા ને સમાનતા તેમ લઘુમતીઓના અધિકારી વગેરે વાનાં કાનૂની પરિપાટીમાં અક્ષર રૂપ પામ્યાં હતાં.
1930માં મીઠાની લડત સાથે નાત-જાત-કોમ-લિંગ એકે ભેદ વગરનો મુદ્દો કેન્દ્રમાં આવ્યો. ૧૯૩૧માં ભગતસિંહની શહાદત સાથે ક્રાંતિની વ્યાખ્યા નકરા બોમ્બવાદમાં નહીં અટવાતા આર્થિક-સામાજિક ન્યાયમાં ઠરી. એ જ વરસે વલ્લભભાઈના પ્રમુખપદે કરાચી કોંગ્રેસે મૂળભૂત અધિકારોનો ઠરાવ પસાર કર્યો. ૧૯૩૧માં પુના કરાર સાથે સર્વસમાવેશી રાજકીય પ્રથાપૂર્વક સામાજિક બદલાવની દિશામાં કદમ ભરાયું. 1946-1949ની ચર્ચાઓની પૂંઠે પડેલી આ ઈતિહાસ સામગ્રી વિશે, મોડે મોડે એની સાથે સંધાન શોધનારને કશીક તો ખબર હોવી જોઈશે.
આંબેડકરનું સ્પષ્ટ માનવું હતું કે હિંદુ સમાજમાં વર્ણ અને લિંગ ગત ઊંચનીચ તેમજ ભેદભાવ લગભગ પ્રાણરૂપ મહત્ત્વ ધરાવે છે. એની નાબૂદી વગર અમથા અમથા કાયદા ઘડ્યે કશો શક્કરવાર વળવાનો નથી. નેહરુ અલબત્ત પ્રગતિશીલો સાથે હતા અને એમણે કટકે કટકે કોડ બિલ પસાર કરાવી જાણ્યું. વર્તમાન શાસન એના પૂર્વસૂરિઓની પેઠે સત્તાવારપણે મનુસ્મૃતિની હિમાયતમાં જણાતું નથી એ સાચું, પણ બંધારણ દિવસના ગર્જનતર્જન સાથે પોતે ક્યારેક ક્યાં હતા ને કેવી ખોટી લાઈન પકડી હતી એવી કોઈ આત્મનિરીક્ષણની ઈન્દ્રિય એની કને છે કે કેમ તે તો આપણે જાણતાં જાણીશું.
હમણે હમણે સંઘ વર્તુળોએ ફેરઉછાળેલો મુદ્દો બંધારણના આમુખમાંથી સેક્યુલર ને સોશ્યલિસ્ટ એ સંજ્ઞાઓ પડતી મૂકવાનો છે. એક વાત સાચી કે આમુખમાં આ બે શબ્દો કટોકટીકાળે ઉમેરાયા હતા તે વાતે કંઈક અસુખને અવકાશ હોઈ શકે છે. પણ આ પક્ષ પરિવારના વિચારબંધુઓએ સર્વોચ્ચ અદાલતનાં દ્વાર ખટખટાવ્યાં ત્યારે તત્કાલીન વડા ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાના વડપણ હેઠળની ખંડપીઠે સ્પષ્ટ કર્યું જ હતું કે બંધારણીય સુધારાની જોગવાઈ હેઠળ આમુખમાં ઉમેરો વૈધ છે. ઉપરાંત, આપણને અભિમત અર્થ સેક્યુલર કહેતાં સર્વ ધર્મ માટે સમાદરનો અને સોશ્યલિસ્ટ કહેતાં આર્થિક-સામાજિક શોષણમાંથી મુક્તિનો છે. એ રીતે આ બંને સંજ્ઞાઓ સંવિધાનના બુનિયાદી માળખાનું અભિન્ન અંગ છે.
આ બધું સમજીને આત્મનિરીક્ષણપૂર્વક આગળ ચાલવું તે ખરો પડકાર છે. સંવિધાન હત્યા દિવસ જેવાં ઉજવણાં દાખલ કરીને કટોકટીવિરોધ જેવા સાચા મુદ્દાને પક્ષીય ઓજાર તરીકે વાપરવાનું રાજકારણ આ સંદર્ભમાં પુનર્વિચાર માગે છે.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૨૬– ૧૧– ૨૦૨૫ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
આજનો ‘ઝૂમ’તો ગરબો..
દેવિકા રાહુલ ધ્રુવ
(કેસરિયો રંગ મને લાગ્યો ‘લા, ગરબા..ના ઢાળમાં)
ઝૂમ તણા ઝાંપેથી નીકળીને લો હવે,
ચાલ્યાં આ ફેસબુકના ફળિયે રે લોલ.મંગળા, આરતી ને પૂજાના પાઠ સૌ,
વંચાવવાને (!) મળિયે રે લોલ..ઊંડું ને ઊંચું કૈં વાંચવાનું હોય શું?
કોને ગમ્યું મારું, જરા કળિયે રે લોલ.લાગણીઓ-બાગણીઓ કોરાણે મૂકી
કોઈનું સ્વ-નામે રળિયે રે લોલ.આજના તાલે ને રાસે રે ઘૂમીએ
ખુદના નગારા વગાડીએ રે લોલ.અંતરના આંગણે ઝુમતાં ના આવડે.
અંબર પર પહોંચવા ઉછળીએ રે લોલ.ઓછું વધારે તો કહેવું શું જાતને!
સાનમાં સમજીને વળીએ રે લોલ.માઠું કે મીઠું ના લગાવ મારા જીવડા,
લીટાડા ખેંચી હવે ઢળીએ રે લોલ..
Devika Dhruva.
ddhruva1948@yahoo.com -
કેલેન્ડર
ચંદ્રકાન્ત જે સોની
ઘેર આવી, કદી કોઈ દિવસ ન કરેલ હસ્તક્ષેપ જેવું કામ વિનાયકભાઈએ કર્યું. સ્ટોરરૂમના એક ખૂણામાં લટકતા કેલેન્ડરમાં આજની તારીખ આઠમી જુલાઈના મોટ્ટા ચોરસ ખાનામાં નોંધ કરી, કેલેન્ડરનું હળવેથી ગોળ બીડું વાળી, તેની બંને બાજુ રબર બેન્ડ ચઢાવી, હળવેકથી માળિયામાં મુકાયેલા બીજા જૂના કેલેન્ડર સાથે તેને મૂક્યું.
દર વર્ષે, વર્ષ બદલાય ત્યારે, સુલક્ષણાબહેન પોતાની જાતે મોટ્ટા ચોરસ ખાના હોય એવું કેલેન્ડર લઈ આવે.
વિનાયકભાઈ ઈતિહાસના પ્રોફેસર. બેઠક રૂમમાં સુલક્ષણાબહેન કેલેન્ડર લટકાવતા. સાથે વારંવાર શોધવી ના પડે માટે એક પેન પણ તેની સાથે જ લટકાવે.
કામવાળી ક્યારે બાંધી, તેને વચ્ચે ક્યારે કેટલો ઉપાડ આપ્યો, તેનો પગાર, તે કામવાળીએ ક્યારે કામ છોડ્યું.. નવી કામવાળી ક્યારે રાખી. એ..નોંઘ તો ખરી જ. સાથે દૂધનો હિસાબ, બાળકોના ટ્યુશનનો હિસાબ પણ એમાં નિયમિત નોંધી રાખે.
વિનાયક ભાઈ ઈતિહાસના પ્રોફેસર એટલે ઈતિહાસના નવાનવા સંસોધનો અંગે અને માર્ગદર્શન અંગે ઘણા તેમની મુલાકાતે આવે.વાતો કરતાં કરતાં ઘણાનું ધ્યાન આ કેલેન્ડર પર જાય છે, તે તેઓ જુએ. આ કેલેન્ડર તેમને બેઠક રૂમમાં ઠીક ન લાગતાં કહ્યું, “તું, તારૂં આ વહીવંચાના ચોપડા જેવું કેલેન્ડર સ્ટોરરૂમમાં લટકાવ. બેઠકરૂમમાં સારૂં નથી લાગતું.”
કશું પણ બોલ્યા વિના સુલક્ષણાબહેને સ્ટોર રૂમમાં જાતે એક ખીલી પર આ કેલેન્ડર લટકાવી દીધું.
સાંજે વિનાયકભાઈ સાથે વાતવાતમાં સુલક્ષણાબહેને ,પ્રોફેસરને પૂછ્યુ, “વહીવંચો…એટલે શું?”
પ્રોફેસર થોડીવાર તેમની નિર્દોષ આંખો તરફ જોઈ રહ્યા, પછી બોલ્યા, ” વહીવંચો એટલે વંશાવળીઓની નોંધ રાખે તે…”
સુલક્ષણાબહેનને વંશાવળી અને તેની નોધ વગેરેની સહજ રીતે એમણે સમજ પાડી.અને તેના ઐતિહાસિક પુરાવામાં આધારભૂત ઉપયોગ…વગેરે સમજાવ્યું..
ત્યાર પછી તો સુલક્ષણાબહેન પોતાના કેલેન્ડરમાં ન કેવળ કામવાળી કે દૂધવાળાની, પરંતું ઘરની, ગામની સમાજની નવીનવી બનતી ઘટનાઓની પણ ટૂંકમાં નોંધતા પણ ખરા…ઘણી ઉપયોગી માહિતીને ખૂબ ટૂંકમાં…નોંધતા. આવી નોંધ રાખવાની તેમની આદત કહો તો આદત અને શોખ કહો તો શોખ…કોઈને ને કોઈને ક્યારેક ક્યારેક ઉપયોગી પણ થઈ જતી.
એક દિવસ પ્રોફેસર તેમના ઘણા કાગળો ફંફોસતા હતા. મદ્રાસની એક યુનિવર્સિટીમાં એમને વ્યાખ્યાન માટે પત્રથી જાણ કરાઈ હતી. પત્ર તો વ્યાખ્યાનના દિવસ કરતાં ઘણો વહેલો તેમને પાઠવવામાં આવ્યો હતો જેથી તેઓ સારી તૈયારી કરી શકે પણ આજે એ પત્ર જડતો ન હતો ને તેની તારીખ ભૂલાઈ ગયેલી.
“કેમ, આજે? કંઈ ખોવાઈ ગયું છે?” સુલક્ષણાબહેનના પ્રશ્ર્નના જવાબમાં તેઓ ગુસ્સે થઈ ગયા. “તને ખબર પડશે? શું કરીશ જાણીને..?.તું તારૂં કામ કરને?” કહી નાખ્યું.
બધા કાગળીયા ફંફોસી રહેલા પ્રોફેસર પાસે આવીને કહે
“એ…કહું છું.. આ મહિનાની પચ્ચીસમી તારીખે તો તમે મદ્રાસ જવાના છો ને? હવે પાંચ દિવસ બાકી રહ્યા નહીં..? કપડાં તો ઈસ્રી કરાવીને બેગમાં મૂકી દીધા છે પણ..નાસ્તો ?”
પ્રોફેસર નવાઈ સાથે તેમને જોઈ રહ્યા,”તને શું ખબર કે મારે આ મહિનાની પચ્ચીસમી તારીખે મદ્રાસ જવાનું છે?
“એં…પેલો વહીવંચાનો ચોપડો……તે દિવસે તમે કોઈ કાગળ દવે સાહેબને બતાવી નો’તા કહેતા…? એ મેં નોંધી લીધું… મારા કેલેડરમાં..”
અને પછી તો દર વર્ષે આખા વર્ષનું પુરૂં થયેલું કેલેન્ડર સુલક્ષણાબહેન ગોળ વીંટો વાળી રબર બેન્ડ લગાવી માળીયામાં મૂકી દે…ક્યારેક કોઈ નોંધ જોવા કામ આવે એવી ગણત્રીથી.
આવાં બાવીસ બાવીસ કેલેન્ડર, એમના માળીયામાં… કેટલીએ ઉપયોગી નોંધો..અને સમયાંતરે કોઈને કોઈ રીતે ઉપયોગી થયેલી માહિતી સાથે સચવાઈને મૂકેલાં હતાં
આ ત્રેવીસમાં, અધૂરા વર્ષનાં કેલેડરમાં વિનાયક ભાઈએ આજની આઠમી જુલાઈના ખાનામાં પ્રથમ વખત, સુલક્ષણાબેને કેલેન્ડર સાથે બાંધી રાખેલ પેનથી સહેજ કંપતા હાથે વાંકાચૂકા અક્ષરોમાં લખ્યું…”હે ! પ્રભુ, એના આત્માને શાંતિ…”અને એમની આંખમાંથી ટપકી રહેલા આંસુઓના બુંદોથી ભીંજાએલી આઠમી તારીખ..સાથેનું કેલેન્ડર માળિયામાં સાચવીને મુક્યું..
ચંદ્રકાન્ત જે સોની | મોડાસા
-
સ્વાતંત્ર્ય સંગ્રામ સમયની ‘વંદે માતરમ્’ની વિદ્રોહ ગાથા
રાષ્ટ્રીય ગાન ‘વંદે માતરમ્’ની ૧૫૦ વર્ષની સંગીત યાત્રા
સંકલનઃ અશોક વૈષ્ણવ
બંકિમચંદ્ર ચેટર્જીની કલમમાંથી સ્ફૂરીને લઈને આકાશવાણીના વાયુતરંગો પર વહીને, પંડિત ડી વી પલુસ્કરના આહ્વાનથી લઈને એ આર રહેમાનના રીમિક્સ સુધી, વંદે માતરમ્ મધુર સૂરાવલી, ગીત, રાષ્ટ્રગીત, અને યાદગીરી જેવાં અનેક સ્વરૂપમાં સર્જાતું રહ્યું છે, ભારતના વિકાસ સાથે જ વિકસ્યું, અનુકૂલિત થતું રહ્યું અને ઘુંટાતું રહ્યું છે.

‘વંદે માતરમ્’ દેશનાં રોમરોમમાં ગુંજતું રહ્યું છે ૧૭૭૦ના બંગાળના ભિષણ દુકાળ અને ૧૭૭૩ના ઉત્તર બંગાળના સાધુઓના વિદ્રોહનું શબ્દચિત્રણ કરતી નવલકથા ‘આનંદમઠ’ બંકિમચંદ્ર ચેટર્જીએ ૧૮૮૨માં પ્રકાશિત કરી. આ નવલકથામાં વદે માતરમ બંગાળી અને સંસ્કૃતનાં સંમિશ્રણમાં એક ગીતકાવ્ય તરીકે લખાયું.
ગીતનાં બહુ જ શરૂઆતનાં મુદ્રિત સંસ્કરણ નીચે પાદ નોંધમાં લખેલું હતું કે આ ગીત રાગ મલ્હારમાં કાઓલી તાલમાં રચાયું છે. એવી નોંધ જોવા મળે છે કે ગીતનું ગેય સંસ્કરણ દેશપ્રેમી સાહિત્ય રસિકોના નાના મેળાવડાઓમાં, બંકિમચંદ્રને સંગીત શીખવાડતા એ પંડિત જદુ ભટ્ટ (જદુનાથ ભટ્ટાચાર્ય) દ્વારા રજૂ કરાયું હતું. એ આદિ સંસ્કરણ તો હવે ઉપલબ્ધ રહ્યું નથી. પરંતુ એ સમયના બંગાળી સમાજમાં આ ગીત અનેક સ્વરૂપે ફેલાઈ ગયું હતું.
બંગાળી સંસ્કરણની એક રજૂઆત –
સ્વાતંત્ર્ય સંગ્રામ સમયની ‘વંદે માતરમ્’ની વિદ્રોહ ગાથા
૧૮૯૬નાં કોંગ્રેસનાં કલકત્તા અધિવેશનમાં રવિન્દ્રનાથ ઠાકુરે, પિયાનો પર જ્યોતિન્દ્રનાથની સંગતમાં, વંદે માતરમ્ ગાયું. પછી તો આ ગીત દેશમાં દાવાનળની જેમ પ્રસરી ગયું. આ ગીતની રેકર્ડ્સ પણ બહાર પડી. ૧૯૦૭માં એચ બોઝ રેકર્ડ કંપનીના માઇક, હેમેન્દ્ર મોહન બોસે રવિન્દ્રનાથ ઠાકુરના સ્વરમાં એ સમયે વપરાતાં ફોનોગ્રાફ નળાકાર પર આ ગીત રેકોર્ડ કર્યું. તે પછી તરત પડેલા પોલિસના દરોડામાં એચ. બોઝ કંપનીની ફેક્ટરી નાશ પામી. નસીબજોગે, રેકોર્ડીગની થોડીક નકલો બચી ગઈ, જેના પરથી ૭૮ આર પી એમની લાખની રેકર્ડ પર ૧૯૧૨માં આ ગીત ફરીથી જાહેરમાં આવ્યું.
ગુરુવર રવિન્દ્રનાથ ઠાકુરની ધુન પરથી હરિપાદ ચટ્ટોપાધ્યાયએ આ સમુહગાનની રચના કરી. શ્રીમતી જયા દાસ, બિજોય દાસ, પ્રવ રોય અને ધીરેન ગુપ્તના સ્વરમાં આ રચનાને ૧૯૩૭માં હિન્દુસ્તાન રેકર્ડ્સ દ્વારા જાહેરમાં રજૂ કરાઈ.
એ પછી ‘વંદે માતરમ્’ કોંગ્રેસ અધિવેશનોના પ્રારંભમાં ગવાવા લાગ્યું. સ્વાતંત્ર્ય સંગ્રામ દરમ્યાન તો કોઈ પણ સભા સરઘસમાં તે જનતાનો વિદ્રોહનો સુર બની ગયું. ૧૯૦૯માં તમીળ સામયિક ‘વિજય’નાં મુખપૃષ્ઠ પર ભારતમાતાનાં ચિત્રની સાથે ‘વંદે માતરમ્’ની હાકલ આ કાવ્યની દેશવ્યાપી સ્વીકૃતિઓનું એક ઉદાહરણ છે.

૧૯૨૭માં દિલીપ કુમાર રોયે આ ગીતને ગાંધીજી સમક્ષ રજૂ કર્યું.
તે પછીથી તેમણે એમ એસ સુબ્બલક્ષ્મી સાથે યુગલ સ્વરમાં કર્ણાટકી થાટમાં પણ આ ગીતની રચના કરી.
યુ ટ્યુબ પર હજુ એક સંસ્કરણ મળે છે જેમાં એવી નોંધ જોવા મળે છે કે ૧૯૬૩માં દિલીપ કુમાર રોયે નેતાજી ભવનમાં ૧૯૬૩માં આ ગીત લાઈવ ગાયું હતું.
૧૯૩૩નાં કાકીનાડાનાં કોંગ્રેસ અધિવેશનમાં પંડિત ડી વી પલુસકરના પિતા વિષ્ણુ દિગંબર પલુસકર ‘વંદે માતરમ્’ ગાવા ઊભા થયા ત્યારે મૌલાના અહમદ અલી અને તેમના ભાઈ શૌકત અલીએ તેમને રોકવાની કોશિશ કરી. પંડિતજીએ બહુ જ કડક શબ્દોમાં આ વિરોધને ફેંકી દીધો અને હિંમતપૂર્વક આખું કાવ્ય રાગ કાફીમાં ગાયું. એ મૂળ રચના તો ઉપલ્બધ નથી પણ મહદ અંશે એ રાગ પર જ આધારિત આ વૃંદ ગાન સાંભળીએ –
નેતાજી સુભાષચંદ્ર બોઝે બહુખ્યાત બંગાળી સંગીતકાર તિમિર બરન (ભટ્ટાચાર્ય)ને આ ગીત કુચની લયમાં સ્વરબદ્ધ કરવા સુચવ્યું. આ રાગ દુર્ગામાં સ્વરબદ્ધ આ ધુન આઝાદ હિંદ સેનાની પરેડમાં નિયમિત રીતે ગવાતી. સિંગાપોર રેડિયોએ તેની રેકર્ડ પણ બહાર પાડી.
દેશને સ્વાતંત્ર્ય મળ્યું તેની સત્તાવાર જાહેરાત સ્વરૂપે સરદાર વલ્લભભાઈ પટેલે પંડિત ઓમકારનાથ ઠાકુરને ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના મધ્ય રાત્રિએ મળેલ ખાસ બેઠકમાં આખું ગીત ગાવા આમંત્રણ આપ્યું. પંડિતજીએ તેમના ગુરૂ વી ડી પલુસકરની રાગ કાફીની રચનાને રાગ બંગીયા કાફીમાં તેને વિલંબિત લયમાં રજુ કર્યું. આખા દેશને આ અલભ્ય રજૂઆતનો લાભ મળે એટલે સરદાર પટેલે પંડિતજીને આકાશવાણી પર ફરીથી ગાવાની વિનંતિથી એ દિવસે આકાશવાણીના કાર્યક્રમનો સવારે ૬.૩૦ વાગ્યે આરંભ પંડિતજીનાં ‘વંદે માતરમ્’ની રજૂઆતથી થયો. પંડિતજીએ આખું ગીત આકાશવાણીનાં માઈકની સામે ઊભીને ગાયું હતું!
સ્વાતંત્ર્ય સંગ્રામ સમયની ‘વંદે માતરમ્’ની આ વિદ્રોહ ગાથા માસ્ટર કૃષ્ણરાવ ફુલામ્બ્રીકરની સુગઠિત ધૈર્યભરી લડતની નોંધ લીધા વગર અધુરી જ રહે. ‘વંદે માતરમ્’ને રાષ્ટ્ર ગીત તરીકે સ્વીકૃતિ આપવા માટે આ ગીત કુચ લયમાં લશ્કરનાં બેન્ડ દ્વારા પણ રચી શકાય એ માટે તેમણે તત્કાલીન બ્રિટિશ પોલિસ બેન્ડના વડા સી આર ગાર્ડનર અને સ્ટેન્લી હિલ્સની મદદ લઈને કુચની લયમાં એક ધુન બનાવી. એવું માનવામાં આવે છે કે ૧૯૩૬ના બર્લિન ઑલિમ્પિક્સમાં ભારતના ખેલાડીઓનાં બિનસત્તાવાર પ્રતિનિધિત્વ રૂપે બ્રિટિશ પોલિસ બૅન્ડનું વંદે માતરમ્’નું એ સંસ્કરણ વગાડવામાં આવ્યું હતું. બીજી એક ધુન સ્વાગત ધુન તરીકે અને ત્રીજી રાષ્ટ્રગીતને ઉપયુક્ત ધુન તરીકે બનાવી. આ ત્રણેય રચનાઓ તેમણે પંડિત જવાહરલાલ નેહરૂને સંભળાવી પંડિત નેહરૂના વિરોધને પીગળાવી દીધો. તેમણે આ ગીતને લોકભોગ્ય બનાવવા માટે જુદા જુદા રાગોમાં રચનાઓ પણ રજૂ કરી. તે પૈકી રાગ ઝિંઝોટીમાં તેમની એક રચના –
સીઆરપીએફનાં સેન્ટ્રલ બેન્ડ દ્વારા કુચની લયમાં તૈયાર કરેલું એક સંસ્કરણ
એ સમયમાં આ ગીતને જાહેરમાં ગાવા પર બ્રિટિશ શાસકોએ મનાઈ હુકમ કરેલો તેમ છતાં પંડિત વિષ્ણુપંત પગણીસે રાગ વૃંદાવની સારંગમાં આ ગીતને એ સમયનાં સરઘસોમાં ગાયું હતું.
૨૪ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ ‘વંદે માતરમ્’નાં પહેલાં બે પદને રાષ્ટ્રગીત તરીકે સ્વીકૃત કરાયું.
સ્વતંત્ર ભારતમાં ‘વંદે માતરમ્’ અનેક કલાકારો વિવિધ શાસ્ત્રીય રાગોમાં રજૂ કરતા રહ્યા છે, તેની વાત હવે પછીના અંકમાં …..
તસવીર નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.
-
રહતે થે કભી જિનકે દિલ મેં…
ધિક્કારનાં ગીતો
મુજરા, ઐયાશી, ભક્તિ, ઉદાસી, આક્રોશ, નજાકત વગેરે વગેરે.
દીપક સોલિયા
મુજરો એટલે શું? મૂળભૂત રીતે તો તે મનોરંજન અને ઐયાશીનો જ એક પ્રકાર ગણી શકાય. નવાબો ‘બિચારા’ બહુ બધું કામ કરે અને બહુ બધું ટેન્શન લે એટલે તેમના ભારેખમ મનને હળવું કરવાની સગવડ તરીકે મુજરા મુગલકાળમાં શરૂ થયા હોવાનું કહેવાય છે. મુજરા શબ્દનો મૂળ અર્થ આદર આપવો, સલામી ભરવી, ઝૂકવું એવો થાય છે, પરંતુ પ્રેક્ટિકલી મુજરો શબ્દ મુખ્યત્વે કોઠા પરનો નાચ સૂચવે છે. એ નવાબીયુગ, કોઠા અને મુજરા આમ તો હવે લગભગ લુપ્ત થઈ ચૂક્યા છે, પરંતુ વાસ્તવિક જગતમાં મુજરાના વળતાં પાણી શરૂ થયાં ત્યાર પછી પણ ફિલ્મોમાં તેનું ચલણ ખાસ્સું રહ્યું.
સફેદ ગાદલાં પર, કાંડે સફેદ ફુલના ગજરો બાંધીને, દારૂ પીતાંપીતાં અને કોઠાવાળી બાઈને લોલૂપ નજરે જોતાંજોતાં અમીર ઐયાશો મુજરા માણે એવા દૃશ્યો-ગીતો હિન્દી ફિલ્મોમાં ઘણાં બધાં છે. અલબત્ત, ક્યારેક મુજરા કોઠાને બદલે અમીરના ઘરે પણ યોજાતા જોવા મળે. ઘરના કોઈ મોટા પ્રસંગે અતિ અમીર માણસ પોતે એકલા મુજરો માણવાને બદલે મહેમાનો-આમંત્રિતોને તેનો લાભ આપવા માટે કોઠેવાલીને ઘરના આંગણે નચાવે. જેમ કે ફિલ્મ પાકીઝાના ક્લાઈમેક્સમાં લગ્નપ્રસંગે કોઠાવાળી મીનાકુમારીને ઘરે બોલાવીને નચાવવામાં આવે છે અને પોતાના પ્રેમીના લગ્નપ્રસંગે નાચતી વખતે ભડકેલી કોઠાવાલી કાચ ફોડીને કાચના ટુકડા પર નાચીનાચીને પોતે ઘાયલ થાય છે અને જોનારને ઘાયલ કરે છે. એ ગીત તમને કદાચ યાદ હશેઃ
આજ હમ અપની દુઆઓં કા અસર દેખેંગે,
તીર-એ-નઝર દેખેંગે, ઝખ્મ-એ-જિગર દેખેંગે.ખેર, મુજરાઓમાં પુરુષો તો સ્ત્રીને દિલ બહેલાવનારી ‘ચીજ’ તરીકે જ જોતાં હોય તો પણ એ હકીકત નથી બદલાતી કે મુજરો કરનારી સ્ત્રી કોઈ ચીજ નથી હોતી. એ એક જીવતીજાગતી વ્યક્તિ હોય છે. પ્રેક્ષક પુરુષના મનમાં ભલે ઐયાશીનો જ ભાવ હોય, પરંતુ નાચનારી સ્ત્રીના મનમાં કળાની સાધનાનો, આવડતની અભિવ્યક્તિનો અને ઇવન ભક્તિનો ભાવ પણ હોઈ જ શકે. ફિલ્મ ‘અમરપ્રેમ’નું પેલું અમર ગીત તમે સાંભળ્યું જ હશેઃ રૈના બીતી જાયે, શ્યામ ન આયે. આ એક નિર્ભેળ ભક્તિગીત લાગી શકે, પણ ફિલ્મમાં પુષ્પાબાઈ નામની એક કોઠેવાલી કોઠા પર નાચવાને બદલે શાંતિથી બેસીને આ ગીત ગાય છે અને તેને સાંભળ્યા બાદ હીરો આનંદબાબુ કહે છે કે તમારું નામ પુષ્પાને બદલે મીરાં હોવું જોઈતું હતું.
ભક્તિ ઉપરાંત ઉદાસીની અભિવ્યક્તિ માટે પણ ફિલ્મોમાં મુજરાઓનો ઉપયોગ અસરકારક રીતે થયો છે. ફિલ્મ ઉમરાવજાનનો પેલો ઉદાસ મુજરો બહુ જાણીતો છેઃ જુસ્તજૂ જિસકી થી ઉસકો તો ના પાયા હમને, ઇસ બહાને મગર દેખ લી દુનિયા હમને.
ફિલ્મ અદાલતના આવા જ બે ઉદાસ મુજરાની વાત આપણે વિગતે કરીઃ
૧) યૂં હસરતોં કે દાગ મહોબ્બત મેં ધો લિયે, તથા
૨) ઉન કો યે શિકાયત હૈ કે હમ કુછ નહીં કહતે.આ ઉદાસ મુજરાઓ મૂળભૂત રીતે તો પુરુષ સામેની ફરિયાદ જ છે, પણ એમાં દ્વેષ ઓછો અને નજાકત વધુ છે. ઉમરાવજાનની રેખા ગાય છે કે “એ ‘અદા’ ઔર સુનાયે ભી તો ક્યા હાલ અપના, ઉમ્ર કા લંબા સફર તય કિયા તન્હા હમને” અને અદાલતની નરગિસ ગાય છે કે “ઘર સે ચલે થે હમ તો ખુશી કી તલાશ મેં, ગમ રાહ મેં ખડે થે વો હી સાથ હો લિયે”… આ બધા ગીતોમાં ઉદાસીની અભિવ્યક્તિ એટલી સઘન અને વ્યાપક છે કે એ ફક્ત કોઈ એક ચોક્કસ પુરુષ સામે એક ચોક્કસ નારીની ફરિયાદ બની રહેવાને બદલે જાણે પ્રત્યેક મનુષ્યની અંગત ઉદાસીની અભિવ્યક્તિ કરનારાં ગીતો બની રહે છે.
આપણી આ શ્રેણી છે સ્ત્રી-પુરુષનાં આપસી દ્વેષ-ફરિયાદને વ્યક્ત કરતાં ગીતો વિશેની. આવાં કેટલાંક મુજરા-ગીતોની ચર્ચાના અંતે એક એવા ગીતની વાત કરીએ જેને ફરિયાદની અભિવ્યક્તિ કરવા બાબતે સૌથી સીધા, વન-ટુ-વન, ચોટદાર અને છતાં નજાકતપૂર્ણ મુજરાનો ઍવોર્ડ આપી શકાય. એ મુજરો છે ફિલ્મ ‘મમતા’નો. ગીતના શબ્દો આ પ્રમાણે છેઃ
રહતે થે કભી જિન કે દિલ મેં હમ જાન સે ભી પ્યારોં કી તરહ
બૈઠે હૈ ઉન્હી કે કૂચે મેં હમ આજ ગુનહગારોં કી તરહ.દાવા થા જિન્હેં હમદર્દી કા, ખુદ આ કે ન પૂછા હાલ કભી
મહફિલ મેં બુલાયા હૈ હમ પે હંસને કો સિતમગારોં કી તરહ.સીધા બાત, નો બકવાસઃ
અમને દિલમાં રાણીની જેમ બેસાડેલાં અને હવે એમના ઘરમાં અમે ગુનેગારની જેમ બેઠાં છીએ. સાહેબશ્રીનો દાવો તો હમદર્દીનો હતો, પણ કોઈ દિવસ ખબરઅંતર ન પૂછ્યા એ તો ઠીક, અમને ઘરે બોલાવીને એ અમારા પર કોઈ જુલમીની જેમ હસી રહ્યા છે.
બરસોં સે સુલગતે તનમન પર અશ્કોં કે તો છીંટે દે ન સકે
તપતે હુએ દિલ કે ઝખ્મોં પર બરસે ભી તો અંગારો કી તરહ.અમારી બેહાલી પર એમણે બે આંસુ વહાવ્યા હોત તો અમને થોડી તસલ્લી, થોડી ઠંડક મળી હોત, પરંતુ આ જાલીમ માણસ તો દિલના લબકારા મારતા જખમો પર અંગારાની જેમ વરસી રહ્યો છે.
આવી અતિ દાહક અભિવ્યક્તિ બાદ અચાનક કોઠાવાલી બાઇ કૂણી પડીને પોતાની લાચારી અને બેબસીનું બયાન આપે છેઃ
સૌ રૂપ ધરે જીને કે લિયે, બૈઠેં હે હઝારોં ઝહર પિયે,
ઠોકર ન લગાના હમ ખુદ હૈ ગિરતી હુઈ દિવારોં કી તરહ.ટકી રહેવા માટે ખૂબ ઝાંવા મારવા પડ્યા, સમાજે ખૂબ લાતો મારી. હવે અમારી પડુંપડું થતી દિવાલને તમે પણ ઠોકર મારશો તો પડી જશે આ દિવાલ, તૂટી જઈશું અમે…
મજરૂહ સુલતાનપુરીએ લખેલા આ ગીતના શબ્દો જેટલા ચોટદાર છે એટલું જ સંગીતકાર રોશનનું સંગીત હૃદયભેદી છે. અને આ બેય બાબતો સાથે ફિલ્મના પરદે અભિનેત્રી સુચિત્રા સેને ઉદાસી, આક્રોશ અને નજાકતની સહિયારી અભિવ્યક્તિ દ્વારા જે ત્રિવેણીસંગમ રચ્યો છે એ તો જોઈ-સાંભળીને જ માણી શકાય. ગીત તમે જાતે જ એને જુઓ, માણો, અનુભવો.
(ક્રમશઃ)
શ્રી દીપક સોલિયાનું વિજાણુ સંપર્ક સરનામુંઃ dipaksoliya@gmail.com
-
બે વાદળીઓ
પંખીઓના દેશમાં
ગિરિમા ઘારેખાન
આકાશમાં ભમતી રહેતી અનેક વાદળીઓ આપણે રોજ રોજ જોઈએ છીએ. આજે હું તમને બે વાદળીઓની વાર્તા કહીશ.
એકનું નામ હતું ભૂરી અને બીજીનું નામ હતું ધોળી. બે ય વાદળીઓ આકાશમાં આમ તેમ ફર્યા કરે. એક વાર એવું બન્યું કે સૂરજ ખૂબ જ તપવા માંડ્યો. એના કિરણો આગ વરસાવતા હોય એવું જ લાગે. ધરતી ઉપર તો બધા ત્રાહિમામ થઇ ગયા. નદી-તળાવોમાં પાણી ખલાસ થઇ ગયું. માણસો અને પશુ – પંખી પાણીની શોધમાં આમતેમ ભટકવા માંડયા. જમીન ઉપરથી ઘાસ પણ સૂકાઈ ગયું. અને આકાશ! આકાશ તો સૂરજની ગરમીથી સૂરજ જેવું જ ગરમ રહેવા માંડ્યું.
હવે પેલી બે વાદળીઓ પણ તરસથી પરેશાન થઇ ગઈ. એ લોકોએ આકાશમાંથી જમીન ઉપર જોયું – ક્યાંય પાણી છે? બધે પાણી સૂકાઈ ગયું હતું. આકાશમાં આમ તેમ રખડતા રખડતા એમની નજર નીચે દરિયા ઉપર પડી. વાદળીઓ તો દરિયો જોઇને ખુશ ખુશ! એ તો પાણીથી છલોછલ ભરેલો હતો. એમાં મોટાં મોટાં મોજાં ઉછળતા હતાં. સૂર્યના ગરમ ગરમ કિરણો એના ઉપર પણ પડતાં હતાં અને એને લીધે દરિયાનું પાણી વરાળ બનીને આકાશ તરફ આવતું હતું.
એ જોઇને વાદળીઓને થયું કે પાણી ન મળે તો કંઈ નહીં, વરાળ પી ને તરસ છિપાવીએ. એ બંને તો
દરિયાના પાણીની વરાળ પીવા માંડી. વરાળની ગરમીથી ભૂરી અને ધોળીનો રંગ અચાનક કાળો થઇ ગયો. એમના હલકા ફૂલ શરીર પણ ભારે થઇ ગયાં. એટલામાં જોરદાર પવન ફૂંકાવાનો ચાલુ થયો.પવન તો આ વાદળીઓને પોતાની સાથે ખેંચી જવા માંડ્યો. પહેલા એણે ભૂરી વાદળીને ખેંચી. વાદળીને બહુ મજા પડી. એને લાગતું હતું કે એ પોતે જ પવન થઇ ગઈ છે. કોઈ જ મહેનત વિના એને આકાશમાં ઉડવા મળતું હતું. એ નીચે નજર નાખે તો જુદા જુદા પ્રદેશો પણ જોવા મળતા હતાં. એ તો મસ્તીમાં આવીને ગાવા માંડી:
હું ભૂરી ભૂરી વાદળી
આજે થઈ ગઈ કાળી
તાજી માજી થઈને
પવન સાથે ઊડીવાદળી તો ગાતી ગાતી આગળ વધતી હતી ત્યાં અચાનક બીજું કોઈ પણ ગાતું હોય એવો અવાજ એના કાને પડ્યો. ભૂરીને તો લાગતું હતું કે આમ ઉડવાવાળી એ એકલી જ છે. આ બીજું કોણ ગાતું હતું? એણે એ અવાજ સાંભળવા કાન સરવા કર્યા. એને સંભળાયું:
હું ધોળી ધોળી વાદળી
આજે થઇ ગઈ કાળી
તાજી માજી થઈને
પવન સાથે ઊડીભૂરી વાદળીને તો ગુસ્સો આવ્યો. એને થયું કે આ ધોળી વાદળી મને ચીડવવા માટે મારી પાછળ પાછળ આવે છે અને મારા ચાળા પાડે છે. એણે પવનને થોડીક વાર ધીમા થવાનું કહ્યું અને પોતે પણ ઊભી રહી ગઈ. જેવી ધોળી વાદળી ગાતી ગાતી એની નજીક આવી કે એણે બૂમ પાડીને પૂછ્યું, “એઈ ધોળી, કેમ મારી પાછળ પાછળ આવે છે? પાછી મારા ચાળા પણ પાડે છે.’
ધોળી બોલી, “હું તો તારી પાછળ નથી આવતી. મને તો પવન જ્યાં લઇ જાય ત્યાં જાઉં છું અને મોજ કરું છું.’
પણ ભૂરીને એના જવાબથી સંતોષ ન થયો. એ વધારે મોટેથી બૂમ પાડીને બોલી, “તું મારા ચાળા તો પાડે જ છે. હું કાળી થઇ એટલે તેં પણ તારો રંગ બદલી નાખ્યો.’
ધોળી કહે, “પહેલા હું કાળી થઇ હતી, પછી તું થઇ. તું મારી નકલ કરે છે.’
બસ, પછી તો બે ય વાદળીઓ વચ્ચે જોરદાર ઝગડો ચાલુ થઇ ગયો. ભૂરી અને ધોળીએ પોતાની કટારો કાઢી અને એકબીજાની સામે ઉગામવા માંડી. આકાશમાં તો ચારેબાજુ કટારના ચમકારા ચમકારા. સાથે સાથે બંનેના મોઢામાંથી મોટા મોટા અવાજો પણ નીકળે. હવે આજુબાજુના બીજા વાદળા પણ એમનો જુસ્સો વધારવા માટે ગરજવા માંડયા. ધણણણ ધણણણ નગારા વાગતા હોય એવા અવાજો આવવા માંડ્યા. ઘરતી ઉપરથી લોકો ઉપર આકાશ તરફ જોવા માંડ્યા.
લડાઈ લડાઈમાં બંનેની કટાર એકબીજાને વાગી ગઈ. વાદળીઓમાં કાણા પડ્યા અને એમના શરીરમાં ભરાયેલી વરાળ પાણી થઈને નીચે ટપકવા માંડી. પછી તો ટપકાંમાંથી ધારાઓ બની અને જોતજોતામાં વાદળીઓ તો ખાલી થઇ ગઈ. હાંફતા હાંફતા બન્નેએ પોતાનું પાણી ક્યાં ગયું એ જોવા નીચે જોયું.
એમના આશ્ચર્યનો તો પાર ન રહ્યો.એમની લડાઇ જોઇને ધરતી ઉપરના લોકો તો આનંદમાં આવી ગયા હતા. નદી, તળાવ ભરાવા લાગ્યા હતા. ખેડૂતો વાવણી કરવા માટે ખેતરમાં પહોંચી ગયા હતા. નાના બાળકો રસ્તા ઉપર વહેતા પાણીમાં કાગળની હોડીઓ બનાવીને મૂકતા હતાં. વૃક્ષો પણ સાફ થઈ જવાથી વધારે લીલાં લાગી રહ્યાં હતાં. મોરના ટહુકા તો આકાશ સુધી પહોંચતા હતા. પશુઓ રસ્તા ઉપર ભરાયેલા ખાબોચિયામાંથી પાણી પીવા લાગ્યા હતા. બધે આનંદ આનંદ હતો.
ભૂરી અને ધોળી થોડી વાર સુધી એકબીજાની સામે જોઈ રહી. એમને માનવામાં ન હતું આવતું કે એમનું પાણી નીચે પડ્યું એને લીધે આ બધું થયું છે. થોડી વાર પછી ધોળીએ ભૂરીને કહ્યું,
“ભૂરી, તું જુએ છે?”
“હમમ, લડવા લડવામાં આપણે ખાલી થઇ ગયા.’
હા, પણ એનાથી ધરતી ઉપર બધા કેટલા આનંદમાં આવી ગયા!”
“એટલે જ હું તો વિચારું છું.’
‘શું?’
કંઈ જવાબ આપ્યા વિના ભૂરીએ તો પવનને બૂમ પાડીને બોલાવ્યો અને કહ્યું, પવન, ચલ ફરીથી લઇ જા અમને.’
“ક્યાં? પવને પૂછ્યું.
“દરિયે પાણી ભરવા. ચાલ ધોળી આવવું છે ને? ભરાઈને ખાલી થવામાં કેવી મજા આવે છે?’
“હા હા. આવું જ છું.’ ધોળીએ કહ્યું.“અમે પણ આવીશું.’ આજુબાજુ ઊભેલી બીજી વાદળીઓ પણ બોલી. અમે પાણી આપતી વખતે નગારા પણ વગાડીશું.’
હસતી હસતી બધી વાદળીઓ ચાલી પાછી દરિયે પાણી ભરવા.
ગિરિમા ઘારેખાન | મો- +૯૧ ૮૯૮૦૨૦૫૯૦૯
