-
કેળવણીનો કક્કો અને સંસ્કારસિંચનની બારાક્ષરી
પુસ્તક પરિચય

કેળવણીની કેડીએથી: ગુલાબભાઇ જાની પરેશ પ્રજાપતિ
ગુલાબભાઇ જાનીએ છેક શાળા- કૉલેજના સમયથી જ વિનોબાજીના પ્રભાવ હેઠળ ખાદી અપનાવી હતી. શૈક્ષણિક પ્રવૃત્તિ તરફના લગાવને કારણે તેઓ LIC Of India ની નોકરી છોડી કોલેજમાં પ્રોફેસર તરીકે જોડાયા હતા.અત્યંત સાદાઇને વરેલા તેમનાં પત્ની ઉષાબહેન સંસ્કૃતના પ્રખર પંડિત ડી.પી. જોષીનાં દિકરી હોવાથી તે પણ શિક્ષણ સાથે સંકળાયેલા હતાં. આપણો અનુભવ કહે છે કે ‘પાકા ઘડે કાંઠા ન ચઢે’.વિજ્ઞાન પણ સ્વિકારે છે કે જન્મથી માંડી શરૂઆતનાં છ વર્ષનો ગાળો અત્યંત મહત્વનો છે. આમ,બાળકોનાઘડતર બાબતે ધાર્યાં પરિણામ મેળવવા કેળવણીનો કક્કો અને સંસ્કારસિંચનની બારાક્ષરી બાળપણથી જ ઘૂંટાવવી જોઇએ. તેથી રામકૃષ્ણ તથા વિવેકાનંદના વિચારોનાપ્રભાવ હેઠળ જાની દંપતિએ છેક 1968માં સિસ્ટર નિવેદિતા સ્કૂલની સ્થાપના કરી હતી.આજકાલ કરતાં આ દંપતિનો શિક્ષણ સાથેનો નાતો આજે છ દાયકા જેટલો પાકટ અને અનભવસમૃદ્ધ થઇ ચૂક્યો છે. સ્વાભાવિકપણે જ તેમની પ્રવૃત્તિઓનો ઝોક બાળકેન્દ્રી રહ્યો છે. અનુભવના નિચોડ તરીકે તેઓ અવારનવાર પોતાના ત્રૈમાસિક ‘સમુદ્દગાર’ તેમજ અન્ય સામયિકોમાં સતત લેખો લખતા રહ્યા છે. તેમના લેખોનું સંકલનથી આ પુસ્તક તૈયાર થયું છે.
પુસ્તકના કુલ 34માંથી પાંચ લેખો બાળશિક્ષણને લગતાં છે. આ સિવાયનાં અન્ય લેખોમાં બાળઉછેર અને બાળમાનસ વિશે મહત્વની વાતો ચર્ચવામાં આવી છે. પુસ્તકમાં શિક્ષકો ઉપરાંત વાલીઓને તાલીમ અને માર્ગદર્શન આપતાં લખાણોનો પણ સમાવેશ છે.સંતાનના શિક્ષણમાં મા-બાપની ભૂમિકા તેમજ તેમને સૌથી વધુ મૂંઝવતા સંતાનના અભ્યાસના માધ્યમની પસંદગી વિશેની બાબતેની ચર્ચા પુસ્તકમાં આવરીને એ અંગે પોતાનાં વિચારો રજૂ કરાયા છે.
લેખકે નોંધ્યું છે કે આપણા કરતાં ક્યાંય પછાત મનાતા કેન્યા જેવા નાનકડા દેશમાં પણ દર દસ હજારે સંશોધનકર્તા વિદ્યાર્થીની સંખ્યા 6 છે, જ્યારે ભારતમાં એ આંક માત્ર 4 છે! આમ, શિક્ષણ બાબતે ભારત કેન્યા કરતાં પણ પાછળ છે, ત્યાં ઇઁગ્લેન્ડ, અમેરિકા કે રશિયા સાથેની સરખામણી ઘણી દૂરની બાબત હોવાનું તેમણે ખેદ સાથે નોંધ્યું છે. લેખકે પરિવર્તન એક સાહજિક અને આવકાર્ય પ્રક્રિયા માની છે અને બાળકોને માત્ર જાણકારીના જાળામાં ગૂંચવી નાંખતી આપણી હાલની શિક્ષણપદ્ધતિમાં પરિવર્તન તથા નવીનીકરણની તાતી જરૂરિયાત હોવાનો તેમણે સ્પષ્ટ અભિપ્રાય આપ્યો છે. ખામીયુક્ત શિક્ષણપ્રણાલી તરફ આંગળી ચીંધીને ગુલાબભાઇ એક ડગલું આગળ વધ્યા છે અને તેના વ્યવહારુ ઉકેલની મડાગાંઠ ઉકેલવામાં જોડાઈ કેટલાક મહત્વનાં દિશાનિર્દેશ આપ્યા છે. તેમાં ‘લર્નિંગ વિધાઉટ સ્કૂલ’, પુસ્તક સાથે પરીક્ષાનો પશ્ચિમી પદ્ધતિ વિચાર તથા શ્રમનું મહત્વ જાળવી અપાતા ગાંધીશિક્ષણ એમ વિવિધ ઉપલબ્ધ વિકલ્પો પર પોતાના વિચારો જણાવ્યા છે. તેમાં, વિદ્યાર્થીની વિષયવાર ક્ષમતાનો માપદંડ રાખતા અરવિંદ આશ્રમની રોચક શિક્ષણ પ્રણાલીનો પણ ઉલ્લેખ છે. આ લખાણોમાં ગુલાબભાઇના વિસ્તૃત અભ્યાસની છાપ સ્પષ્ટપણે વરતાય છે. તેમનો મત છે કે વિદ્યાર્થીને જાણકારીથી જ્ઞાન તરફ અને જ્ઞાનના વ્યવહારુ ઉપયોગ કરવા તરફ દોરી જવા જોઇએ.
પુસ્તકમાં બે પ્રકરણ મહાવિદ્યાલયને લગતાં છે. તેના એક પ્રકરણમાં નાલંદાનો રસાળ ઇતિહાસ અને મહત્વ આવરી લીધા છે.
શિક્ષણ સાથે કારકીર્દીનો સંબંધ જોતાં પુસ્તકમાં એક પ્રકરણમાં કારકીર્દીને પણ ફાળવવામાં આવ્યું છે, જેમાં ‘ઘસાઇને ઉજળા થવા’ પર ભાર મૂકાયો છે.
પુસ્તકનું એક પ્રકરણ ‘મૂલ્ય શિક્ષણના અમારા પ્રયોગો’ સૌથી નોખું છે. એ પ્રકરણમાં શિક્ષણમાં તેમણે કરેલા પ્રયોગોનું બયાન છે. જેમાં શિક્ષણ સાથે રચનાત્મક કાર્યક્રમો દ્વારા બાળકના ઘડતર કરતા કાર્યક્રમો ધ્યાનાકર્ષક છે. આ જ રીતે છેલ્લું પ્રકરણ સિસ્ટર નિવેદિતા વિશે તથા નિવેદિતા શાળાના શિક્ષણકાર્ય અંગે છે. પુસ્તકમાં ક્યાંક કોઈબાબતે પુનરાવર્તન જણાય છે પરંતુ સમાવિષ્ટ લેખો સમયના લાંબા ફલકમાં લખાયેલા હોવાથી ક્વચિત આમ બન્યું હોવાની નોંધ લેખકે આરંભમાં આપી જ છે.
લેખકે વ્યક્તિગત ધોરણે વિદેશ પ્રવાસ ખેડ્યા હોવાથી તેમનાં વિદેશી શિક્ષણના અભ્યાસો અને તારણો વધુ આધારભૂત બની રહે છે. લખાણોમાં તેમના દીર્ઘ અને ઘૂંટાયેલા અનુભવની છાયા છે. પુસ્તકનાં પ્રકરણોમાં આંકડાકીય માહીતી ઉપરાંત અનેક ઠેકાણે કાકાસાહેબ કાલેલકર, ગાંધી અને ટાગોર સહિત અનેક નામી વિચારકો, ચિંતકો અને કેળવણીકારો સાથે આઇનસ્ટાઇન જેવા વૈજ્ઞાનિકોનાં અવતરણો છે. તેથી કેળવણી તથા શિક્ષણવિષયક તેમનીરજૂઆત ઘણી અસરકારક, આધારભૂત અને માર્ગદર્શક જણાય છે.
*** * ***
પુસ્તક અંગેની માહિતી:
કેળવણીની કેડીએથી : ગુલાબભાઇ જાની
પૃષ્ઠસંખ્યા : 172
કિંમત : ₹ 200
આવૃત્તિ: પ્રથમ
પ્રકાશક અને પ્રાપ્તિસ્થાન :સિસ્ટર નિવેદિતા પબ્લિકેશન
વિજાણુ સંપર્કઃ janigulabbhai@gmail.com
પુસ્તક પરિચય શ્રેણીના સંપાદક શ્રી પરેશ પ્રજાપતિનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : pkprajapati42@gmail.com
-
સમર્પિત સમાજવાદી મધુ દંડવતે, શતાબ્દી સુમિરન
તવારીખની તેજછાયા

હાડના સમાજવાદી મધુ દંડવતે રેલવે પ્રધાન હશે પણ ચાલુ ગાડીએ ચડી જવા સારુ જાણીતા કદાપિ નહોતા. નાણાંપ્રધાન હશે પણ નાણાં સારુ જાણીતા નહોતા
પ્રકાશ ન. શાહ
રાજકારણના રણમાં વીરડી શી એક સાંભરણમાં ચિત્ત ઠરવા કરે છે. ૧૯૭૪ના નવેમ્બરમાં ભરજેપી આંદોલને મધુ દંડવતેને પહેલ પ્રથમ મળવાનું થયું હતું. આંદોલનના એ વાસંતી મહિનાઓમાં, જયપ્રકાશજીની વિશેષ ઉપસ્થિતિમાં નવી દિલ્હીના વિઠ્ઠલભાઈ પટેલ હાઉસમાં મળેલા પક્ષ-અપક્ષ સંમેલન (પાર્ટી-નોન પાર્ટી કન્વેશન)માં ભાગ લઈ વળતે દહાડે અમદાવાદ પાછા ફરવાનું હતું. કન્ફર્મ્ડ ટિકિટનો જોગ નહોતો. પણ લોકસભાની કેન્ટીનમાં પ્ર. ગ. માવળંકરને શોધું તે પહેલાં અનાયાસ જ એક વડીલ સજ્જન મળી ગયા. એય ‘અણ્ણા’ (માવળંકર)ની શોધમાં હતા. છાપાકૃપાએ હું એમને ઓળખી ગયો, આ તો દંડવતે. જરી વાત નીકળી ન નીકળી ત્યાં તો એમણે જ મને સાસંદ ક્વોટામાંથી ટિકિટ માટેની ભલામણ લખી આપી.
એમના શતાબ્દી વર્ષ (૨૧-૧-૧૯૨૪ : ૧૨-૧૧-૨૦૦૫)માં જોગાનુજોગવશ આ સંભારણું એટલા વાસ્તે કે તે મિનિટે મને ખબર નહોતી કે હું ભાવિ રેલવે પ્રધાન મારફતે ટિકિટ મેળવી રહ્યો છું! જનતા રાજ્યારોહણ સાથે મોરારજી દેસાઈ મંત્રીમંડળ (૧૯૭૭-૧૯૭૯)માં રેલવે પ્રધાન અને તે પછી બે’ક દાયકે વિશ્વનાથ પ્રતાપ સિંહ મંત્રીમંડળમાં નાણાંપ્રધાન રહેલા. હાડના સમાજવાદી મધુ દંડવતે રેલવે પ્રધાન હશે પણ ચાલુ ગાડીએ ચડી જવા સારુ જાણીતા કદાપિ નહોતા. નાણાંપ્રધાન હશે પણ નાણાં સારુ જાણીતા નહોતા.
મોરારજી મંત્રીમંડળમાં જોડાવાનું કહેવા સરકારી અધિકારી આવ્યા, આ જ વીપી હાઉસના એક કમરામાં એમને શોધતા, ત્યારે આપણો વીરનાયક લાંબા ચૂંટણી પ્રવાસ દરમ્યાન ભેગાં થઈ ગયેલાં મેલાં કપડાં ધોવામાં દત્તચિત્ત હતો… અને હા, વિશ્વનાથ પ્રતાપ સિંહનું પ્રધાનમંડળ ઘરે બેઠું ત્યારે દેશના હજુ હમણેના નાણાંપ્રધાન બેંકની બારીએ કાર લોન સારુ ઊભેલા તે પણ ઈતિહાસદર્જ છે.
એક સંઘર્ષશીલ ને સ્વાધ્યાયપ્રત સમાજવાદી વિશે એના ટૂંકજીવી સત્તાકાળને છેડેથી વાત કરી તે એ વાનું ઉપસાવવા માટે કે આવી વ્યક્તિનું સત્તા પર હોવું એના કેવા તો સાંસ્કૃતિક-સામાજિક આયામ હોઈ શકે છે. એમણે શપથ લીધા ત્યારે આગલી (ઈન્દિરા) સરકારી અને રેલવે યુનિયન વચ્ચે આકરા અવિશ્વાસનો અને ઉગ્રકટુ નાતો હતો. દંડવતેના ન્યાયી અભિગમે વિશ્વાસ અને સહયોગનો સંબંધ ઊભો કરી ખાતું એવું તો ચલાવ્યું કે મોરારજીભાઈ કહેતા કે મેં સંભાળ્યું હોત તો આ હદે જામ્યું ન પણ હોત. બીજા/ત્રીજા વર્ગની લાંબી મુસાફરી લાકડાનાં પાટિયાંને કારણે અંતે કષ્ટદાયક અનુભવાતી. દંડવતે હસ્તક એ પાટિયાં ફોમવંતાં બન્યાં. એ કહેતા કે મારે ફર્સ્ટ ક્લાસને ડિગ્રેડ નથી કરવો પણ સેકન્ડ/થર્ડ અપગ્રેડ તો થઈ શકે ને. લાંબા અંતરની સુપરફાસ્ટો પણ એમને નામે જમા બોલે છે. મુંબઈ-કોલકાતા કે બીજી. રેલબાબુઓ પશ્ચિમ (મુંબઈ)થી પૂર્વ (કોલકાતા) દોડતી ટ્રેઈન વાસ્તે સીધુંસટ ‘ઈસ્ટર્ન રેલવે’ નામ લઈ આવ્યા હતા. દંડવતે હસ્તક એ ‘ગીતાંજલિ’ થઈ ગયું- અને આગળ ચાલતાં એ જ ધાટીએ ‘નવજીવન’ અને ‘સર્વોદય’ પણ આવ્યાં… કામદાર ને ગ્રાહક બેઉ સાથે સૌહાર્દ, નીચલા વર્ગને ફોમ-પથારી અને રેલગાડીને ટાગોર-ગાંધી પરંપરાનાં નામો! સમાજવાદી વહીવટની સાંસ્કૃતિક-સામાજિક પહેચાન તે આનું નામ.

સન બયાલીસનો સ્વાતંત્ર્યપૂર્વ સંઘર્ષ કે સ્વાતંત્ર્યોત્તર ગોવા મુક્તિ ને સંયુક્ત મહારાષ્ટ્ર આંદોલન, આ બધા કારા-સંઘર્ષો વચ્ચે મધ દંડવતેનું આજીવિકાનું સાધન મુંબઈની આંબેડકર સ્થાપિત સિદ્ધાર્થ કોલેજમાં ફિઝિક્સ (ભૌતિકશાસ્ત્ર)ની પ્રાધ્યાપકીનું હતું. સમાજવાદી કર્મશીલ ને કટારલેખક હિમ્મત ઝવેરી પાસે સાંભળ્યું છે કે અમે મોટે ઉપાડે સંઘજીવન (કોમ્યુન લાઈફ)નો પ્રયોગ કર્યો પણ અમારામાં એકમાત્ર નિયમિત આવકઠેકાણું મધુની પ્રોફેસરીનું હતું. અને પ્રમિલાબહેનનું ને એમનું દામ્પત્ય! રાષ્ટ્ર સેવિકા દળની શિક્ષાદીક્ષા પામેલાં- ને એમાં પણ એના કલાપથક સાથે વિશેષ લગાવ ધરાવતાં પત્ની પ્રમિલા (૧૯૮૦માં જનતા પક્ષનાં વળતાં પાણી છતાં) મુંબઈથી લોકસભામાં ચૂંટાયેલાં. પતિ-પત્ની બંનેએ કટોકટીકાળમાં બધો વખત, એકે બેંગ્લોર તો બીજાએ યરોડા જેલમાં, અલગ અલગ રહેવાનું નિરમાયેલું હતું. એમની વચ્ચે ત્યારે બસો જેટલા પત્રોની જે આપલે થઈ હતી એમાંથી પસાર થવું તે એક સમર્પિત દામ્પત્યની શીલસુવાસમંડિત જુગલબંદી શો સાક્ષાત્કારક અનુભવ છે. વાંચનલેખનની વાતો, રાત વરત રાગ જય જયંવતીની સંનિધિ, દૂર પડેલાં પતિ-પત્ની જેલ ઓથોરિટીની રજા સાથે કવચિત મળી શકાય એવી હોંશ સેવે છે, પણ સ્વમાનભોગે મળતી રજા નહીં- એવું વલણ, જયપ્રકાશની કિડની ફેઈલ થઈ રહ્યાના સમાચાર વચ્ચે પતિ દાક્તરી સંમતિને ધોરણે પોતાની કિડની ઓફર કરવાનું વિચારે છે ને પત્ની એનાં દૂખણાં લે છે. આપણે બેઉ જેલમાં છીએ ને હજુ ભણતો એકનો એક પુત્ર ઉદય કેમ જાણે પોતાને અનાથવત્ અનુભવતો હશે એ ખયાલે બહુ ચિંતિત છે તો ક્યાંક ચિત્તને ખૂણે એમ પણ છે કે ઉદય પણ ઠીક સંઘર્ષદીક્ષા મેળવી રહ્યો હશે. ૧૯૭૫-૧૯૭૭ના ગાળાની બેંગ્લોર-યરોડા જેલ ફ્રિકવન્સી પરની આ એક ન્યારી સુરાવલિ છે.
વિજ્ઞાનને સરળ રીતે મૂકી આપતાં ધારાપ્રવાહ મરાઠી વ્યાખ્યાનોથી માંડી રાજકીય પ્રતિભાવો, પ્રશ્નો, પ્રવાહો ને પરિબળો વિશેનું લેખન વળી એક જુદો જ ઈણકો છે, એટલી એક અધૂરીમધુરી નોંધ, આ શતાબ્દી વંદના સમેટતાં.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૨૪– ૧ – ૨૦૨૪ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
રાઈનો પર્વત (૧૯૧૩) – અંક ત્રીજો: પ્રવેશ ૩

સર્જક : રમણભાઈ મહિપતરામ નીલકંઠ
અંક ત્રીજો: પ્રવેશ ૨ થી આગળ
અંક ત્રીજો
પ્રવેશ ૩ જો
સ્થળ : કનકપુરનો મહેલ્લો. પુરવાસીઓનાં ઘરનાં આંગણાં આગળ.
[રસ્તામાં બેસી કટોરા લઈ રસ પીતાં પુરવાસીઓ, અને તેમની સામે બેઠેલા રાઈ , દુર્ગેશ અને છોકરો, અને પાછલ ઓટલા ઉપર બેઠેલી સ્ત્રીઓ અને બાળકો પ્રવેશ કરે છે.]
પહેલો પુરવાસી : શો લહેજતદાર રસ છે ! જેણે રસ પીને જીભને ગળી ન કરી હોય તેની કાયા કડવી જ રહી !
બીજો પુરવાસી : દુનિયામાં ગળપણ જેવું કાંઈ ગળ્યું નથી.
ત્રીજો પુરવાસી : અને ગળ્યા જેવું કાંઈ સ્વાદિષ્ટ નથી.
ચોથો પુરવાસી : અને સ્વાદિષ્ટ જેવું કાંઈ સુખકારક નથી.
પહેલો પુરવાસી :
(તોટક)
રસપાન લરો નવ ઢીલ કરો,
રસપાત્ર લઈ ઝટ હોઠ ધરો;
રસ છે મધુરો, પણ કોણ કળે? –
કડવો બનશે કદિ કાળબળે? ૩૭[સહુ કટોરો મોંએ માંડી રસ પીએ છે.]
પાંચમો પુરવાસી : જે રસ પીતાં ધરાય તે શું પીએ?
પહેલો પુરવાસી : જે ધરાય તેને રસ પીતાં આવડ્યો નહિ એમ સમજવું.
ત્રીજો પુરવાસી : પર્વતરાય મહારાજે પોતે ધરાઈ જવાથી જુવાની માગી હશે કે ઊણા રહી જવાથી જુવાની માગી હશે?
પાંચમો પુરવાસી : બેમાંથી એકે રીતે જીવતર જીવતાં ન આવડ્યું, એ તો નક્કી.
બીજો પુરવાસી : ઘડપણમાં એમને રસ ભાવ્યો નહિ કે રસ મળ્યો નહિ.
પહેલો પુરવાસી : આ રસ વેચનારને પૂછો કે કોઈ ઘરડા તેના ઘરાક થાય છે?
રાઈ : તમારા સરખા ઘરાક ઘરડા નહિ તો જુવાન ગણાય ?
પહેલો પુરવાસી : શું હું ઘરડો છું ?
રાઈ : તમારામાંથી કોઈ તો ઘરડો હશે!
બીજો પુરવાસી : તું રસ વેચવા આવ્યો છે કે ગાળો દેવા ?
રાઈ : ઘરડા કહેવામાં ગાળ છે?
ત્રીજો પુરવાસી : ત્યારે શું વધામણી છે?
રાઈ : તો પછી પર્વતરાય મહારાજને ઘડપણ ન ગમ્યું, એમાં એને દોષ કેમ દો છો?
પહેલો પુરવાસી : મહારાજને ખરેખરું ઘડપણ આવેલું. અમને શું એમની પેઠે માથે પળિયાં આવ્યાં છે, આંખે મોતિયા આવ્યાં છે, કાને બહેરાશ આવી છે, દાંતે બોખાપણું આવ્યું છે, હાથે ને પગે ધ્રુજારી આવી છે, અને ચામડીએ કરચલી વળી છે? મહારાજને એ બધાં અંગમાં ઘડપણને ઠેકાણે જુવાની આવશે, પણ ઘરડું કાળજું પાછું જુવાન કેમ થશે.
પાંચમો પુરવાસી : ઘરડાં એમને ઘરડાં જાણતા તે ના રહ્યું, અને જુવાન એમની જુવાની કબૂલ નહિ રાખે !
રાઈ : તમને જુવાન રાજા કરતાં ઘરડાં રાજા વધારે ગમે ?
પાંચમો પુરવાસી : અમને તો સારા રાજા ગમે. ઘરડા હોય તો ઘડપણથી લાજવાવા ન જોઈએ, અને જુવાન હોય તો જુવાનીથી છકી જવા ન જોઈએ.
દુર્ગેશ : તમે સહુ એકઠા થઈ ભલભલાને શીખવો એવા ડહાપણ ભરી વાતો કરો છો.
પહેલો પુરવાસી : આવો મજેદાર રસ તમે પાઓ એટલે ડહાપણ આવ્યા વિના રહે ?
(દોહરો)
ઉતરે રસનો ઘૂંટડો, ઉઘડે અક્કલ તર્ત,
હૈયું ફાલે હર્ષમાં, નાસે દિલનાં દર્દ. ૩૮બીજો પુરવાસી : તમારી સાથેનો છોકરો ચાલાક છે. તમે વાતોમાં રહ્યા, પણ એણે ઓટલા આગળ જઈ બૈરાં અને છોકરાંમાં કટોરા ફેરવવા માંડ્યા !
દુર્ગેશ : અમારી અપૂર્ણતા એ પૂરી કરે છે.
ત્રીજો પુરવાસી : છોકરા ! પેલાં સામેથી નવી કાકી આવે. એમને એક કટોરો પાજે.
[રસ્તે જતું સ્ત્રીમંડળ પ્રવેશ કરે છે]
છોકરો : કિયાં ?
ત્રીજો પુરવાસી : પેલાં કાળી ઝીમીમાં ‘ઝબૂક વાદળ વીજળી.’ [૧]
ચોથો પુરવાસી : એમ પૂછજે ને કે લીલાવતી જેવાં રૂપાળાં છે અને એમને પગલે ઘરડા વરને પરણ્યા છે તે કિયાં ?
છોકરો : બૈરાં માણસને એવાં અઘટિત વેણ મારાથી ન કહેવાય, અને તમારાથીયે ન કહેવાય.
ચોથો પુરવાસી : તું અમને કોણ ટોકનારો ?
છોકરો : માઝા મૂકે તેને ટોકવાનો સહુ કોઈને હક છે. પુરની સ્ત્રીઓની લાજ પુરવાસીઓ નહિ સાચવે તો કોણ સાચવશે?
ત્રીજો પુરવાસી : અમને તું નિર્લજ્જ કહે છે?
છોકરો : તમારી મેળે જ તુલના કરોને. એમ કહે છે કે મહારાજ રત્નદીપનું રાજ એવું હતું કે સોળ વર્ષની સુન્દરી મધરાતે એકલી રસ્તેથી ચાલી જતી હોય, પણ કોઇ બારીએથી ખૂંચ સરખો ન કરે. એ મર્યાદા આજ ક્યાં છે?
ત્રીજો પુરવાસી : ઝાઝું બોલીશ તો આ લાકડી જોઈ છે ?
[લાકડી ઉગામી]
છોકરો : એનો ઉતર મારી પાસે છે.
[કમરેથી કટારી બતાવે છે.]
દુર્ગેશ : અરે ! અરે ! કમ્-કમરમાંથી કટરી કાઢવી પડે એવો પ્રસંગ છે?
[છોકરાને હાથ પકડી ખેંચી રાખે છે.]
છોકરો : સ્ત્રીના માનની રક્ષા એ નાનોસૂનો પ્રસંગ છે ?
[પુરવાસી પુરુષો અને સ્ત્રીઓ દોડી આવી અને પુરુષો ત્રીજા પુરુવાસીને ઝાલી રાખે છે.]
એક સ્ત્રી : ઘરડા વરની નારની મશ્કરી કરવાને બદલે આ છોકરાની પેઠે બૈરાંની વારે જતાં શીખોને ! એવા પુરુષો ઘણા નીકળે તો કોઈ બાપ પોતાની કન્યા જ ઘરડા વરને નહિ દે.
પાંચમો પુરવાસી : હવે, અત્યારે અમને જંપવા દો ને લડાઈ ટોપલે ઢાંકો. જાઓ સહુ સહુને ઠેકાણે. લડાઈ આગળ ચલાવવી હોય તો સવારે ટોપલો ઉઘાડજો.
[સહુ જાય છે]
ક્રમશઃ
● ●
સ્રોત : વિકિસ્રોત
-
ગઝલ – ……જેવી વાત છે / અમે રે સૂકું રૂનું પૂમડું
(૧) ગઝલ
– ઉદયન ઠક્કરપ્રેમ છે આ, અહીં તો ચૂપ રહેનારના થાય બેડા પાર, જેવી વાત છે
હંસલી અને હંસ વચ્ચે ઝૂલતા કાચબાના ભાર જેવી વાત છેદ્રાક્ષને પોતે લચી પડવું હતું, એટલામાં લોમડી ચાલી ગઈ.
દ્રાક્ષ ખાટી નીકળી કે લોમડી -જે ગમે તે ધાર, જેવી વાત છેએક દિવસ શેરડીના ખેતરે જાણીતા કવિ પેસી ગયા
ના, હું તો ગાઈશ, બોલ્યા, મેળવ્યો યોગ્ય પુરસ્કાર, જેવી વાત છેલીલીછમ વાડીએ જઇને મેં પૂછ્યું, કુમળો એક અંતરાત્મા રાખું કે ?
આજુબાજુ જોઈ પોતાને કહ્યું, રાખને દસ-બાર… જેવી વાત છેવાતે-વાતે ગર્જના શાને કરે ? સિંહ જેવો થઈને છાયાથી ડરે ?
કાં તો ચહેરો ઓળખી લે પંડનો, કાં તો કૂદકો માર, જેવી વાત છેદિગ્દિગંતોનો ધણી દુષ્યંત ક્યાં? ક્યાં અબુધ આશ્રમનિવાસી કન્યકા ?
આંખમાં આંખો પરોવાઈ ગઈ, બે અને બે ચાર જેવી વાત છેજો ગધેડો ઊંચકીને જાય છે, બાપ-બેટાનો તમાશો થાય છે
મત બધાંના લે તો બીજું થાય શું ? આપણી સરકાર જેવી વાત છે(૨) અમે રે સૂકું રૂનું પૂમડું
– મકરંદ દવે
અમે રે સૂકું રૂનું પૂમડું,
તમે અત્તર રંગીલા રસદાર;
તરબોળી દ્યો ને તારેતારને,
વીંધો અમને વ્હાલા, આરંપાર:
આવો, રે આવો હો જીવણ, આમના.અમે રે, સૂના ઘરનું જાળિયું,
તમે તાતા તેજના અવતાર;
ભેદીને ભીડેલા ભોગળ-આગળા,
ભરો લખ લખ અદીઠા અંબાર:
આવો, રે આવો હો જીવણ, આમના.અમે રે ઊધઈખાધું ઈધણું,
તમે ધગધગ ધૂણીના અંગાર;
પડેપડ પ્રજાળો વ્હાલા, વેગથી,
આપો અમને અગનના શણગાર:
આવો, રે આવો હો જીવણ, આમના -
વાદ્યવિશેષ : (૧૧) – તંતુવાદ્યો (૬) : સિતાર [૧]
ફિલ્મી ગીતોમાં વિવિધ વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી
પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી
ભારતીય શાસ્ત્રીય સંગીતની દુનિયામાં કદાચ સિતાર તેમાંથી નિષ્પન્ન થતા સ્વરોની ગુણવતા અને માધુર્યને લઈને ટોચ ઉપર બીરાજે છે. લગભગ ૫૦૦-૬૦૦ વર્ષ પહેલાં ભારતીય ઉપખંડમાં આ વાદ્ય ક્રમશ: વિકસ્યું હોવાનું માનવામાં આવે છે. આ વાદ્યની રચના અને તેના વાદનની પદ્ધતિ એટલાં સંકિર્ણ છે કે પ્રસ્તુત લેખમાં સાવ સરળ શૈલીમાં તેનો પ્રાથમિક પરિચય પૂરતો છે.

ઉપરની છબીમાં જોઈ શકાય છે તેમ તેની રચનામાં એક તુંબડા સાથે લાંબી ગ્રીવા જોડાયેલી હોય છે. તે બન્નેને સાંકળી લેતા તાર જોડવામાં આવે છે. સિતારના પ્રકાર પ્રમાણે પાંચ કે છ મુખ્ય તાર અને પંદરથી એકવીશ જેટલા અનુતાર હોય છે. અપેક્ષિત સ્વરો મુખ્ય તારો વડે નિષ્પન્ન કરવામાં આવે છે, જ્યારે અનુતારોનો ઉપયોગ વાદન દરમિયાન વિશિષ્ટ અસર ઉભી કરવા માટે થાય છે. ગ્રીવા સાથે પરદા તરીકે ઓળખાતી રચનાઓ જોડાયેલી હોય છે. સિતારને વગાડવા માટે તેના તુંબડા પાસેના તારોને ઝંકૃત કરવામાં આવે છે. આ માટે મિઝરાબ તરીકે ઓળખાતી ધાતુની રચનાને આંગળીમાં પહેરીને તેના વડે જે તે તાર ઉપર પ્રહાર કરવામાં આવે છે.

મિઝરાબ ઝંકૃત થયેલા તારોમાંથી જે સ્વર ઉત્પન્ન થાય છે તેને યોગ્ય પ્રમાણમાં નિયંત્રિત કરવા માટે ગ્રીવા ઉપરના ચોક્કસ પરદાને દબાવવામાં આવે છે. આમ થતાં અપેક્ષિત સ્વર વગાડી શકાય છે. આટલા પ્રાથમિક પરિચય પછી હવે ઉસ્તાદ શહીદ પરવેઝ નામના આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રસિદ્ધ કલાકારનું સિતારવાદન સાંભળીએ.
આ વાદન પરથી સિતારના સૂરનો ધ્વનિ કેવો હોય છે એનો ખ્યાલ આવી ગયો હશે. હવે આગળ વધીએ, કેટલાંક સિતારપ્રધાન હિન્દી ફિલ્મી ગીતો માણવા તરફ.
૧૯૪૪ની ફિલ્મ ‘મેરી બહન’/’માય સીસ્ટર’માં પંકજ મલ્લિકના સ્વરનિર્દેશનમાં કે.એલ.સાયગલે ગાયેલા ગીત દો નૈના મતવારે તિહારે’ સાથેના સાદા વાદ્યવૃંદમાં સિતારના સ્વરો આસાનીથી ઓળખી શકાય છે.
https://youtu.be/T_URwqxX5lE?si=Oolb_dJXg5YbZ4yi
ફિલ્મ ‘આશીયાના’ (૧૯૫૨)નું ગીત મૈં પાગલ મેરા મનવા પાગલ સાંભળીએ. મદન મોહનના સંગીતનિર્દેશનમાં આ ગીતંને સ્વર આપ્યો છે તલત મહમૂદે. આ ગીતમાં પણ સાદા વાદ્યવૃંદમાં સિતારની હાજરી પારખી શકાય છે.
૧૯૫૬માં પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘ચોરીચોરી’માં સંગીત શંકર-જયકિશનનું હતું. તેનું લતા મંગેશકરે ગાયેલું ગીત રસિક બલમા ભારે લોકપ્રિય બની રહ્યું છે. આજે ૬૭ વર્ષ પછી પણ તેની લોકપ્રિયતા બરકરાર છે. ખાસ કરીને સિતારના અંશો ખુબ જ કર્ણપ્રિય છે.
સંગીતકાર દત્તા નાયક એન. દત્તાના નામે ફિલ્મોમાં સંગીત આપતા હતા. તેમના સંગીતવાળી ફિલ્મ ‘ચન્દ્રકાંતા’ (૧૯૫૬)નું એક જાણીતું ગીત મૈંને ચાંદ ઔર સિતારોં કી તમન્ના કી થી માણીએ. આરંભથી અંત સુધી સિતારના અંશો કાને પડતા રહે છે.
આ જ સંગીતકારનું એક વધુ સ્વરનિયોજન સાંભળીએ. ફિલ્મ ‘ધૂલ કા ફૂલ'(૧૯૫૯)ના આ નૃત્યગીત કૈસે કહૂં મન કી બાત માં સિતારના બહુ મનભાવન અંશો છે.
૧૯૫૯ની જ ફિલ્મ ‘મૈં નશે મેં હૂં’માં શંકર-જયકિશનનું સંગીત હતું. આ ફિલ્મનું એક સિતારપ્રધાન ગીત સજન સંગ કાહે નેહા લગાયે માણીએ. નોંધનીય છે કે પરદા ઉપર નાયિકાના હાથમાં જે વાજીંત્ર જોવા મળે છે તે સિતાર નહીં હોતાં તંબૂર/તાનપૂરો છે. પ્રાથમિક દૃષ્ટીએ સિતાર જેવા જ દેખાતા આ વાદ્યનો ઉપયોગ ગાયન/વાદન દરમિયાન પશ્ચાદભૂમાં ચોક્કસ સ્વરો પૂરા પાડવા માટે થાય છે.
ફિલ્મ ‘કોહીનૂર'(૧૯૬૦)નાં નૌશાદે સ્વરબદ્ધ કરેલાં ગીતો આજે પણ ખાસ્સાં લોકપ્રિય છે. તે પૈકીનું નૃત્યગીત મધૂબન મેં રાધિકા નાચે રે હિન્દી ફિલ્મી ગીતોના ઈતિહાસમાં ટોચનું સ્થાન ધરાવે છે. 4.28 થી 4.52ના સમયગાળામાં એકલ સિતારવાદન શરૂ થાય છે, જ્યાં પરદા ઉપર નાયકને સિતાર વગાડતા જોઈ શકાય છે. તે સમયનું શાસ્ત્રીય વાદન ખુબ જ પ્રભાવશાળી છે.
૧૯૬૦ની સાલમાં જ ફિલ્મ ‘પરખ’ રજૂ થઈ હતી. સંગીતકાર સલિલ ચૌધરીના નિર્દેશનમાં બનેલું આ ગીત ઓ સજના બરખા બહાર આયી સિતારના મધુર અંશોથી ભરપૂર છે.
સિતારના શોખીનોથી પંડીત રવિશંકરનું નામ અજાણ્યું નથી. શાસ્ત્રીય સંગીતના ઉચ્ચ કોટીના જાણકારો તેમને બિનવિવાસ્પદ રીતે શ્રેષ્ઠ સિતારવાદક ગણાવે છે. સિતારને દેશવિદેશમાં લોકપ્રિય બનાવવામાં તેમનો મોટો ફાળો છે. આ ઉપરાંત રવિશંકરે કેટલીક ફિલ્મોમાં સંગીત પણ આપ્યું છે અને તેમાં પોતાની આગવી છાપ છોડી છે. ફિલ્મ ‘અનુરાધા’માં તેમનું સંગીત હતું. તે ફિલ્મનું ગીત સાંવરે સાંવરે માણીએ.
રવિશંકરના નિર્દેશનમાં બનેલું વધુ એક સિતારપ્રધાન ગીત હીયા જરત રહત દિન રૈન સાંભળીએ. આ ગીત ૧૯૬૩ની ફિલ્મ ‘ગોદાનનું છે. અગાઉના ગીતમાં અણીશુદ્ધ ગાયન-વાદનનો પ્રયોગ થયો છે, જ્યારે આ ગીત સંપૂર્ણ ગામઠી શૈલીમાં બનાવવામાં આવ્યું છે.
એ જ વર્ષે પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘બ્લફ માસ્ટર’માં કલ્યાણજી-આણંદજીનું સંગીતનિર્દેશન હતું. તેના ગીત બેદર્દી દગાબાજ જાના વાદ્યવૃંદમાં સિતારનું પ્રભુત્વ જણાઈ આવે છે.
આજની કડીમાં અહીં વિરામ. આવતી કડીમાં સિતારનો ઉપયોગ થયો હોય એવાં કેટલાંક વધુ ગીતો વિશે.
નોંધ :
૧) તસવીર નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.
૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય છે.
૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.
સંપર્ક સૂત્રો :
શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com -
ફિલ્મી ગઝલો – ૩૫. અખ્તર શિરાની
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
આજે વાત અખ્તર શીરાનીની. ( અખ્તર એટલે સિતારો )મૂળ નામ મોહમ્મદ દાઉદ ખાન. બીજા અનેક શાયરોની જેમ જન્મ વર્તમાન ભારતના રાજસ્થાનમાં અને ઈંતેકાલ હાલના પાકિસ્તાનમાં માત્ર ૪૩ વર્ષની વયે ૧૯૪૮ માં. એમનો એક પ્રખ્યાત શેર છે :
મિટ ચલે મેરી ઉમ્મીદોં કી તરહ હર્ફ મગર
આજ તક તેરે ખતોં સે તેરી ખુશ્બૂ ન ગઈ
અખ્તર સાહેબ લાહૌરમાં પત્રકાર હતા અને અનેક સામયિકોનું સંપાદન પણ કરેલું. એમણે કહેલું ‘ કવિનું કામ જીવનના સૌંદર્યને નીરખવાનું, એનું આચમન કરાવવાનું છે. જીવનના ઝખ્મો રુઝવવાનો પ્રયત્ન એનું કામ નથી. ‘ ઉર્દૂમાં સોનેટ લખવાની શરુઆત એમણે કરેલી. ત્યારના અનેક મેગેઝીનમાં અલગ અલગ ઉપનામથી એ કટાર લેખન કરતા. એમની રચનાઓમાં રોમાંસના બાહુલ્યના કારણે એ ‘ શાયરે રૂમાન ‘ કહેવાતા. સુપ્રસિદ્ધ પાકિસ્તાની ગાયિકા નય્યરા નૂરે એમની નઝ્મ ‘ ઐ ઈશ્ક હમેં બરબાદ ન કર ‘ અદ્ભુત રીતે ગાઈ છે.હિંદી ફિલ્મોમાં એમણે માત્ર બે ફિલ્મોમાં કુલ ૯ ગીતો લખ્યા. ‘ નૌકર ‘ (૧૯૪૩) અને ‘ રોમિયો એંડ જૂલિયટ ‘ (૧૯૪૭). ગઝલ માત્ર એક જ. પેશ છે :
તુમ્હેં સિતારોં ને બે-ઈખ્તિયાર1 દેખા હૈ
શદીદ2 ચાંદ ને ભી બાર – બાર દેખા હૈકભી જો બેઠી હો ગેસુ સંવારને કે લિયે
તો આઈને ને તુમ્હેં હમકનાર૩ દેખા હૈસુનહરે પાની મેં ચાંદી સે પાંવ લટકાએ
શફક4 ને તુમકો સરે-જૂ-એ-બાર5 દેખા હૈકભી ગઈ હો ચમન મેં તો શોખ ફૂલોં ને
નિગાહે – શોખ6 સે મસ્તાના-વાર7 દેખા હૈગરઝ મઝાહિદે-કુદરત8 ને હર તરફ તુમકો
હઝાર બાર નહીં, લાખ બાર દેખા હૈમગર મેરી નિગાહે-શૌક કો શિકાયત હૈ
કે ઉસને તુમકો ફકત એક બાર દેખા હૈ ..( 1 પ્રચૂર , 2 તીવ્ર , 3 સંલગ્ન , 4 લાલિમા , 5 નદી સમક્ષ , 6 ચંચળ નજર , 7 ઉનમુક્ત કે લાપરવાહ , 8 પરાક્રમી કુદરત )
– ફિલ્મ : રોમિયો એંડ જૂલિયટ ૧૯૪૭
– જી એમ દુર્રાની
– હુસ્નલાલ ભગતરામ
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
શીર્ષક આવરતા ગીતો – ૪
નિરંજન મહેતા
પાંચ ભાગના આ લેખનો આ ચોથો ભાગ છે જેમાં ૧૯૭૯ સુધીના ગીતો લેવાયા છે.
૧૯૭૩ની ફિલ્મ ‘ધુંધ’ એક રહસ્યમય ફિલ્મ હતી જેનું આ પાર્શ્વગીત ફીલ્સુફીભર્યું છે.
संसार की हर शय का इतना ही फ़साना है
इक धुंध से आना है इक धुंध में जाना हैસંજય ખાન પર રચાયેલ આ ગીતના ગીતકાર છે સાહિર લુધિયાનવી અને સંગીત આપ્યું છે રવિએ. સ્વર છે મહેન્દ્ર કપૂરનો.
૧૯૭૪ની આ ફિલ્મ ‘આપ કી કસમ’ બહુ ચર્ચિત ફિલ્મ છે
करवटें बदलते रहे सारी रात हम
आप की कसम आप की कसमરાજેશ ખન્ના અને મુમતાઝની જોડી પર રચાયેલ આ ગીતનાં શબ્દો છે આનંદ બક્ષીનાં અને તેને સંગીત આપ્યું છે આર. ડી. બર્મને. ગાયકો છે લતાજી અને કિશોરકુમાર.
૧૯૭૪ની ફિલ્મ ‘રજનીગંધા’નુ આ ગીત પાર્શ્વગીત છે.
रजनीगंधा फूल तुम्हारे महके यूँ ही जीवन में
जैसे महके प्रीत पिया की मेरे अनुरागी मन मेंઅમોલ પાલેકરને યાદ કરતી વિદ્યા સિંહા આ ગીતની કલાકાર છે. યોગેશનાં શબ્દો અને સલીલ ચૌધરીનુ સંગીત. સ્વર છે લતાજીનો.
૧૯૭૪ની ફિલ્મ ‘અજનબી’નુ ગીત છે
एक अजनबी हसीना से
यूँ मुलाकात हो गई
फिर क्या हुआ
ये ना पूछो
कुछ ऐसी बात हो गईઝીનત અમાનને સંબોધીને રાજેશ ખન્ના અન્યોની હાજરીમાં આ ગીત રજુ કરે છે. ગીતકાર છે આનદ બક્ષી અને સંગીતકાર છે આર. ડી. બર્મન જેને સ્વર મળ્યો છે કિશોરકુમારનો.
૧૯૭૫ની ફિલ્મ ‘ગીત ગાતા ચલ’ એક સાલસ સ્વભાવના યુવાનનો જીવન પ્રત્યેનો અભિગમ દર્શાવે છે.
गीत गाता चल ओ साथी गुनगुनाता चल
ओ बन्धू रे
हंसते हंसाते बीते हर घड़ी हर पल
गीत गाता चल
સચિન અને સારિકા આ ફિલ્મના મુખ્ય કલાકાર છે. ગીતના રચયિતા અને સંગીતકાર છે રવીન્દ્ર જૈન. ગાયક છે જસપાલ સિંહ.
૧૯૭૫ની ફિલ્મ ‘એક મહેલ હો સપનો કા’નુ આ ગીત ટાઈટલ ગીત છે.
एक महल हो सपनों का
प्रिये जहां तुम रहती हो
घर नहीं स्वर्ग है यह तो
हर पल तुम ये कहती हो।।અનેક કલાકારોવાળી આ ફિલ્મના ગીતો છે સાહિર લુધિયાનવીનાં અને સંગીત આપ્યું છે રવિએ. ગાયકો છે લતાજી અને રફીસાહેબ.
૧૯૭૬ની ફિલ્મ ‘કભી કભી’નુ ગીત એક પ્રેમીના ભાવોને વ્યક્ત કરે છે.
कभी-कभी मेरे दिल में ख्याल आता है
कि जैसे तुझको बनाया गया है मेरे लिएઅમિતાભ બચ્ચન પર રચાયેલ આ ગીત રાખીને ઉદ્દેશીને ગવાયું છે જેના ગીતકાર છે સાહિર લુધિયાનવી અને સંગીત આપ્યું છે ખય્યામે. સ્વર છે મુકેશનો.
૧૯૭૭ની ફિલ્મ ‘હમ કિસી સે કમ નહિ’ નુ આ ગીત એક કવ્વાલીના રૂપમાં મુકાયું છે.
है अगर दुश्मन दुश्मन
ज़माना गम नहीं गम नहीं
कोई आये कोई आये कोई आये
कोई हम किसीसे कम नहीं कम नहींરીશીકપૂર અને ઝીનત અમાન વચ્ચે નોકઝોક થતાં આ ગીતના ગીતકાર છે મજરૂહ સુલતાનપુરી અને સંગીત આપ્યું છે આર. ડી. બર્મને. વાર છે રફીસાહેબ અને આશા ભોસલેના.
૧૯૭૭ની ફિલ્મ ‘અમર અકબર એન્થની’નુ આ ગીત ફિલ્મની કલાયમેક્ષ છે.
अनहोनी को होनी कर दें
होनी को अनहोनी
एक जगह जब जमा हों तीनों
अमर अकबर एन्थोनीત્રણ કાલાકરો અમિતાભ બચ્ચન, રિશી કપૂર અને વિનોદ ખન્ના આ ગીતના કલાકારો છે. ગીતના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ. ત્રણ જુદા જુદા પાર્શ્વગાયકો છે રફીસાહેબ, કિશોરકુમાર અને શૈલેન્દ્ર સિંહ
૧૯૭૭ની ફિલ્મ ‘ધરમવીર’નુ આ ગીત દોસ્તીની મિસાલ રૂપ છે.
सात अजूबे इस दुनिया में आठवीं अपनी जोड़ी
सात अजूबे इस दुनिया में आठवीं अपनी जोड़ी
अर्रे तोड़े से भाई टूटे नायह धरम वीर की जोड़ी
ઘોડેસવારી કરતાં દોસ્તો છે ધર્મેન્દ્ર અને જીતેન્દ્ર. ગીતકાર આનંદ બક્ષી અને સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ. સ્વર છે રફીસાહેબ અને મુકેશનાં.
૧૯૭ની બહુચર્ચિત ફિલ્મ ‘સત્યમ શિવમ સુન્દરમ’નુ ગીત લોકોના માનસને જાગૃત કરવા ગવાયું છે.
सत्य ही शिव है,
शिव ही सुन्दर है
जागो उठ कर देखो,
जीवन ज्योत उजागर हैसत्यम शिवम सुन्दरम, सत्यम शिवम् सुन्दरम
ઝીનત અમાન ગીતના કલાકાર છે અને શશી કપૂર પણ તેમાં દેખાય છે. નરેન્દ્ર શર્મા રચિત આ ગીતના સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ અને સ્વર આપ્યો છે લતાજીએ.
૧૯૭૮ની ફિલ્મ ‘અખિયોં કે ઝરોખો સે’નુ ગીત છે
अँखियों के झरोखों से
मैंने देखा जो सांवरे
तुम दूर नज़र आए
बड़ी दूर नज़र आएરંજીતા પર રચાયેલ આ ગીતના ગીતકાર અને સંગીતકાર છે રવીન્દ્ર જૈન અને સ્વર છે હેમલતાનો.
૧૯૭૮ની ફિલ્મ ‘મુકદ્દર કા સિકંદર’નુ આ ગીત પણ ફીલ્સુફીભર્યું છે.
रोते हुए आते हैं सब,
हंसता हुआ जो जाएगा
वो मुक़द्दर का सिकन्दर
जानेमन कहलाएगाટુ વ્હીલર પર સવાર અમિતાભ અને વિનોદ ખન્ના પર આ ગીત રચાયું છે. અંજાનના શબ્દો અને કલ્યાણજી આણંદજીનુ સંગીત. કિશોરકુમારનો સ્વર.
૧૯૭૮ની ફિલ્મ ‘ડોન’નુ અ ગીત એક પ્રખ્યાત ગીત બની ગયું.
अरे दीवानों मुझे पहचानो
कहाँ से आया मैं हूँ कौन
मैं हूँ कौन मैं हूँ कौन मैं हूँ मैं हूँ
मैं हूँ डॉन डॉन डॉन डॉन डॉनપોતાના ગીરોમાં પોતાની પહેચાન આપતા અમિતાભ બચ્ચન આ ગીત ગાય છે જેના શબ્દો છે અંજાનના અને સંગીત આપ્યું છે કલ્યાણજી આણંદજીએ. સ્વર છે કિશોરકુમારનો.
૧૯૭૯ની ફિલ્મ ‘ગોલમાલ’નુ ગીત છે
सब गोलमाल है
हर सीधे रास्ते की
एक टेढ़ी चाल है
सीधे रास्ते की एक
टेढ़ी चाल है
गोलमाल है भाई
सब गोलमाल हैઅમોલ પાલેકર અને આનંદ પર રચાયેલ આ ગીતના ગીતકાર છે ગુલઝાર અને સંગીતકાર છે આર.ડી.બર્મન. ગાયકો છે આર.ડી.બર્મન અને સપન ચક્રવર્તી
૧૯૭૯ની ફિલ્મ ‘બિન ફેરે હમ તેરે’નુ આ ગીત જણાય છે કે લગ્ન પહેલા વિધવા થયેલી આશા પારેખ પર રચાયું છે.
सजी नहीं बारात तो क्या
आयी ना मिलन की रात तोह क्या
ब्याह किया तेरी यादो से
गाठ बंधन तेरे वादों से
बिन फेरे हम तेरे:આ પાર્શ્વગીત છે જેના શબ્દો છે ઇન્દીવરના અને સંગીત છે ઉષા ખન્નાનુ. દર્દભર્યો સ્વર છે કિશોરકુમારનો.
https://youtu.be/8gg2Eqf-ltU?si=iJ7wGBE2oQ1GESQI
૧૯૭૯ની ફિલ્મ ‘બાતો બાતો મેં’નુ ગીત બે પ્રેમી વચ્ચેની નોકઝોક રજુ કરે છે.सुनिए, कहीए
कहते सुनते
बातो बातों में
प्यार हो जाएगाકલાકારો છે અમોલ પાલેકર અને ટીના મુનીમ, ગીતકાર છે અમિત ખન્ના અને સંગીતકાર છે રાજેશ રોશન. કિશોરકુમાર અને આશા ભોસલે ગાયકો.
Niranjan Mehta
A/602, Ashoknagar(old),Vaziranaka, L.T. Road,Borivali(West),Mumbai 400091Tel. 28339258/9819018295વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com -
બાળ ગગન વિહાર – મણકો- ૩૨: વાત અમારી મારિઆની
શૈલા મુન્શા
મારા જીવનના તેવીસ વર્ષ જેને હું સહુથી સુંદર અને લાગણીસભર વર્ષ ગણું છું એ મારા દિવ્યાંગ બાળકો સાથે વિતાવેલા વર્ષો છે. મબલખ પ્રેમ એ બાળકો પાસે હું પામી છું. ફક્ત મારા દિવ્યાંગ બાળકો જ નહિ મારા મિત્રગણમાં પણ દિવ્યાંગ બાળકો સાથે કામ કરતાં મિત્રો પોતાના અનુભવો મને જણાવતા અને આજે હું એક એવી જ બાળકીની યાદ તાજી કરી રહી છું.
હું જે મારિઆ ની વાત કરવા માંગુ છું એ મારા ક્લાસમાં નહોતી એના નિર્દોષપણાની વાત મને મારી સખી દીના એ કરી. દીના પણ મારી જેમ ખાસ જરૂરિયાતવાળા બાળકો સાથે કામ કરતી હતી. આવા દિવ્યાંગ બાળકોની જરૂરિયાત, લાગણી, મિજાજ હમેશા અલગ જ હોય છે અને અમારે એમની ખાસિયતને ધ્યાનમાં રાખી, એમના સ્વભાવને અનુરૂપ કુનેહથી કામ કરવાનુ રહેતું.
મારિઆ અને એના જેવા બાળકોની ખાસિયત એવી હોય કે એમનું દરેક કામ એક નિયમ અનુસાર ચાલે. એમાં બદલાવ આવે તો એ બાળકો વિચલીત થઈ જાય ચિઢાય જાય, ચીસાચીસ કરી મુકે. જે સમયે રમવાનુ હોય તે સમયે રમવાનુ. જો રમવાને બદલે ભણવા બેસાડીએ તો આવી બન્યું. આ બાળકોને Autistic children કહેવાય છે. આ બાળકોની દૈનિક દિનચર્યામાં જરાપણ ફેરફાર થાય ત્યારે એમને સંભાળવા મુશ્કેલ થઈ જાય છે. મારિયા પણ એવી જ એક બાળકી હતી.
દીના બાળકોને રોજ સવારના અગિયાર વાગ્યાની આસપાસ સ્કુલના પાર્કમા રમવા લઈ જતી. એ પહેલા ક્લાસના ટીવી પર બાળકોને એજ્યુકેશનલ વીડિયો બતાડવાનો ક્રમ હતો. જ્યારે ટીવી બંધ કરવાનો સમય થાય ત્યારે દીના રીમોટ કંટ્રોલથી ટીવી બંધ કરતી. મારિઆ એ રોજ જોતી હતી. મારિઆ “A child with autism” જેને કહે તે પ્રકારની બાળકી. આ બાળકો મંદ બુધ્ધિના ના હોય પણ એક પ્રકારના નિયમમાં જકડાયેલા હોય.
એવું બન્યું કે ત્યારે હ્યુસ્ટનમાં લગાતાર ત્રણ ચાર દિવસ વરસાદ પડ્યો. પહેલે દિવસે તો દીનાએ મારિઆને જેમતેમ સમજાવી ક્લાસમાં જ રમવાનું કહ્યું. બારી બહાર વરસાદ પડતો દેખાડ્યો. બીજે દિવસે પણ વરસાદને વીજળીનાં કડાકા ચાલુ જ હતા. બહાર રમવા જઈ શકાય એ શક્ય જ નહોતું. દીના એ બાળકોને જેવું કહ્યું કે આજે પણ વરસાદને કારણે બહાર રમવા નહિ જઈ શકાય કે તરત જ મારિઆ દોડતી જઈને રીમોટ લઈ આવી અને દીનાને આપતાં બોલી “stop the rain, stop the rain” (વરસાદ બંધ કરી દો, વરસાદ બંધ કરી દો)
એ નાનકડી બાળકીની સમજ પ્રમાણે બધું જ રીમોટથી ચાલુ અને બંધ થઈ શકે. દીના બે ઘડી એની હોશિયારી અને ચપળતા જોઈ જ રહી, અને શું જવાબ આપવો એ વિચારી રહી.
કોણ કહી શકે કે આ બાળકો બીજા બાળકોથી કોઈ પણ વાતમાં ઉણા ઉતરે એમ છે? મારિઆ ભલે મારા ક્લાસમાં નહોતી પણ મને પણ આવા બાળકો સાથે કામ કરવાનો ઘણો અનુભવ હતો. એમની ચપળતા અમારી પણ બોલતી બંધ કરી દેતી.
આવા અનેક નાનકડાં પ્રસંગોથી અમારો થાક વિસરાઈ જતો અને મન આનંદથી સભર બની જતું
(દીના એ કહેલો આ પ્રસંગ એની અનુમતિથી મારા “રોજીંદા પ્રસંગો”ની ડાયરીની કલગીમાં એક વધુ મોરપિચ્છ ઉમેરવાનું કામ કર્યું છે.)
સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::
ઈ-મેલ: smunshaw22@yahoo.co.in
બ્લૉગ: www.smunshaw.wordpress.com -
જિંદગીમાં એક એવી પળ મળે કે જેમાં આખી જિંદગી જીવી જાઉં
પ્રસ્તુતિ: નીતિન વ્યાસ

સમયમાં એક પળ ….. One moment in time… ઑલિમ્પિકમાં આ ક્ષણ માટે ખેલાડીઓ જિંદગીભર તનમનથી તપશ્ચર્યા કરે છે.
એક લક્ષ્યબિંદુ માટે વર્ષોની મહેનત, હાડમારી અને સતત પ્રયત્નમાં વ્યસ્ત ખેલાડી નિજી સમસ્યાઓને ગૌણ માને છે. ક્યારેક રમતપ્રેમી મા-બાપ પોતાના બાળકને કુમળી વયે તાલીમ આપવાનું શરૂ કરે છે. શાળામાં રમત-ગમતના શિક્ષકના ધ્યાનમાં કોઈ આવી જાય તો તે બાળકને પ્રોત્સાહિત કરે છે. અનેક પ્રયત્નો પછી મળેલા વિજયના આનંદનો જુવાળ અવર્ણનીય હોય છે.
પરંતુ, દરેકની વિવિધ ગાથા હોય છે. જેમકે, આ યુવાનની વાત અલગ છે. દક્ષિણ આફ્રિકાના એક વિખુટા પડેલા ગામડાનો, કબીલો માબલેન છ વરસનો હતો ત્યારથી માઈલો સુધી દોડતો. કબીલો કહે છે કે, “અમારી જાતિ અને ગામ પર બીજી જાતિના સશસ્ત્ર સૈનિકો હુમલો કરતા તે સમયે મારે કુટુંબના સાથે જીવ બચાવવા ગામ છોડી ભાગવું પડતું.” પગ માં જોડા વિના, ઉઘાડા પગે દોડનારને જીવનભરનો સંઘર્ષ કામમાં આવ્યો. કબીલો માબલેનને, મેરાથોનમાં વિજેતા બનવાનું સન્માન મળ્યું.
ઑલિમ્પિક-આંતરરાષ્ટ્રીય રમતમાં ભાગ લેવા માટે ખેલાડીને નિયમો મુજબ જે સ્પર્ધામાં ભાગ લેવાનો હોય તેમાં ક્વૉલિફાઇ-ઉત્તીર્ણ થવું જોઈએ. દાખલા તરીકે, ૨૦૦મીટર દોડ માટે ૨૪ સેકન્ડની અંદર સ્પર્ધા પૂરી કરે ત્યારે પસંદગી પામે.(qualifying timings under 24 seconds) ઑલિમ્પિકમાં ત્રણ કે ચાર રાઉન્ડ સુધી પ્રથમ બે માં આવે. ચોથી કે પાંચમી સ્પર્ધા આખરી હોય. અહીં પહેલા ત્રણ આવેલાને ચંદ્રક મળે.
જમૈકાનાં હુસેની બોલ્ટ માટે એ પળ… અંતિમ આઠ હરીફોની સ્પર્ધામાં ફિનિશ લાઈનની ટેપને પહેલા પાર કરી તે હતી, – તેણે ૨૦૦ મીટર દોડ ૧૯સેકન્ડમાં પુરી કરી નવો વિશ્વ-રેકોર્ડ સરજ્યો. એ જીત પછી, પોતાના દેશનો ધ્વજ ગૌરવ ભેર હાથોમાં ફરકતો રાખી સ્ટેડિયમમાં ચક્કર લગાવી – પોડિયમ પર સર્વોચ્ચ સ્થાને ઉભા રહી – પોતાના રાષ્ટ્રગીત સાથે ધ્વજ સહુથી ઉપર લહેરાય અને હુસેની બોલ્ટ નામ બોલાય…તે સમયે કોઈ મહાનુભાવ આવી સુવર્ણ પદક ગળામાં પહેરાવે. આ એક પળ બોલ્ટ અને કબીલો જેવા વિજેતાઓને અનન્ય મુક્તિના આનંદનો અનુભવ કરાવે….One moment in Time …સમય માં એક પળ….
‘One Moment in Time’ ગીત અને તેના શબ્દો સાંભળતા તેનો ઈતિહાસ જાણવા જિજ્ઞાસા વધી. આ ગીત ૧૯૮૮ની ઑલિમ્પિક રમતોને અનુલક્ષી તૈયાર કરવામાં આવ્યું હતું…જે સાંભળતા લાગણીઓના ઊભારથી આંખો સજલ થઈ જાય છે.
પહેલાં એ ગીત સાંભળીયે: ગાયિકા વ્હીટની હ્યુસ્ટન.
સિઓલ રમતોત્સવનું ખાસ મહત્વ હતું. આ પહેલાનાં બે ઑલિમ્પિક ઉત્સવમાં શું થયું હતું તે જાણીએ. સાલ ૧૯૮0માં મોસ્કો ખાતેની ઑલિમ્પિકમાં કોમ્યુનીસ્ટ પાર્ટીની રાજનીતિની વિરુદ્ધમાં અમેરિકાએ ભાગ લીધો ન હતો. જ્યારે ૧૯૮૪માં અમેરિકા ખાતે લૉસએન્જલીસ શહેરમાં રમતો યોજાઈ ત્યારે રશિયા એ પોતાના ખેલાડીઓની ટીમ ન મોકલી.
આ હિસાબે ૧૯૮૮માં દક્ષીણ કોરિયામાં યોજાયેલ ઑલિમ્પિકનું મહત્વ ઘણું વધારે હતું. વિશ્વનાં ૧૬૨ દેશો તેમાં ભાગ લેવાના હતા અને કયો દેશ સહુથી વધારે ચંદ્રકો મેળવે છે તેની હોડ મચી હતી. સહુથી વધુ ચંદ્રકો કયો દેશ જીતે છે તે દેશની મજબૂતીની સાક્ષી રૂપ ગણાતું.
અમેરિકામાં સરકારમાં (US Gov.) ખેલ મંત્રાલય નથી. એક સ્વતંત્ર સંસ્થા ઑલિમ્પિક કમિટી જુદી જુદી સંસ્થાઓ અને કંપનીઓ પાસેથી આર્થિક મદદ Donations/Sponsorship મેળવી ખેલાડીઓને મોકલવાની તજવીજ કરતી હોય છે,
૧૯૮૮ની રમતો માટે ટેલિવિઝન પ્રસારણનાં હક્ક NBC અમેરિકાની નેશનલ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન મેળવી લીધા હતા. મ્યુઝિક પ્રોડ્યૂસર શ્રી.નારદ (ગુરુ શ્રી.ચિન્મયાનંદે આપેલું નામ) વાલ્ડેન ને વિચાર આવ્યો કે રમતવીરોને અનુલક્ષી એક ગીત તૈયાર કરવું. ઑલિમ્પિક રમતો શરૂ થવાને થોડા દિવસો બાકી હતા. નારદે ગીતકાર સંગીતકાર આલબર્ટ હેમન્ડનો સંપર્ક સાધ્યો. હેમન્ડ ‘કાર્પેન્ટર્સ” જેવા ગ્રુપ માટે ગીતો લખતા. તેને ખેલાડીઓને અનુરૂપ ગીત લખવાનું શરૂ કર્યું. સમય ઓછો હતો અને કામ બહુ અગત્યનું હતું. એમણે દિગજ્જ ગીતકાર જ્હોન બેટીસનો સંપર્ક સાધ્યો અને બંને એક મુખડા પર સહમત થયા, “One moment in time” અને આમ આ ગીતની રચના થઈ:
One moment in time
Each day I live
I want to be
A Day to give, the best of me
I’m only one
But not alone
My finest day Is yet unknownસમયમાં એક પળ
દરેક દિવસ હું જીવું, હું મારી ઉત્તમ સેવા આપી શકું.
હું એક છું પણ એકલો નથી
મારા શુભ દિવસો હજી અગમ્યરૂપ છે.અનુસંધાનમાં ગીતકાર આલબર્ટ હેમન્ડનો આ વિડિઓ જોવા જેવો છે:
આ ગીતની આગળની કડીઓ તો જુઓ:
I broke my heart. Fought every gain.
To taste the sweet I face the pain
I rise and fall. Yet through it all this much remains
… I want one moment in timeમારી દરેક ઉન્નતિ માટે મેં દિલ તોડ સંઘર્ષ કર્યા છે.
મીઠાશ માણવા હું દર્દનો સામનો કરું છું, હું જીતું કે હારું,
છતાં એ દરમ્યાન આ ઝંખના રહે છે,
…મને એક ક્ષણ સમયમાં મળી જાય.When I’m more than I thought I could be
When all of my dreams are a heartbeat away
And the answers are all up to me
Give me one moment in time …જ્યારે હું મારી ધારણા કરતાં પણ વધુ કરી શકું.
જ્યારે મારા સ્વપ્ના દિલની ધડકન જેટલા દૂર છે
અને દરેક સવાલના જવાબ મારા પર નિર્ભર છે
…મને સમયમાં એક ક્ષણ આપ.When I am racing with destiny
Then in that one moment of time
I will feel an eternity
I’ve lived to be the very best
I want it all, no time for lessજ્યારે હું નસીબ સાથે હરીફાઈ કરી રહી હોઉં,
ત્યારે સમયની એ એક ક્ષણની
અનંતતા હું અનુભવીશ.
હું બને તેટલી ઉત્તમ માનવ બની જીવી છું.
મારે બધું મેળવવું છે, કમી સ્વીકારવા સમય નથીI’ve laid the plans,
Now lay the chance here in my hands
… Give me one moment in time …
You’re a winner for a lifetime
If you seize that one moment in time…Make it shine
… Give me one moment in time …મેં યોજના કરી રાખી છે,
હવે મારા હાથમાં તક આવી છે.
…મને સમયમાં એક ક્ષણ આપ.
તું જીવનભરનો એક વિજેતા છે,
જો તું એ સમયમાં ક્ષણને ઝાલીને…ઉજ્જ્વલ બનાવે.
…મને સમયમાં એક ક્ષણ આપો.When I’m more than I thought I could be
When all of my dreams are a heartbeat away
And the answers are all up to me
Give me one moment in time …
When I’m racing with destiny
Then in that one moment of time …
I will be free…જ્યારે હું મારી ધારણા કરતાં પણ વધુ કરી શકું.
જ્યારે મારા સ્વપ્નાં દિલની ધડકન જેટલા દૂર છે
અને દરેક સવાલના જવાબ મારા પર નિર્ભર છે
મને સમયમાં એક ક્ષણ આપ.
જ્યારે હું નસીબ સાથે હરિફાઈ કરી રહી હોઉં,
ત્યારે એ સમયની એક ક્ષણમાં
હું મુક્ત હોઈશ…ભાવાનુવાદઃ સરયૂબેન પરીખ ( https://saryu.wordpress.com)
એરિસ્ટા રેકર્ડ કંપનીએ 1988 Summer Olympics Album નામ હેઠળ પ્રસિદ્ધ કર્યું. TV પર ઑલિમ્પિક રમતોના પ્રસારણ સાથે શરૂઆતમાં પ્રસ્તુત થતાં આ ગીતની લોકચાહના દિવસો દિવસ વધતી ચાલી. ‘Popularity Chart માં અવ્વલ નંબરે આવી ગયું. ફક્ત અમેરિકામાં જ નહીં પણ વિશ્વના અન્ય દેશોમાં આ ગીત લોકપ્રિય થયું. સાલ ૧૯૮૯માં આ ગીત માટે ગાયિકા વ્હીટની હ્યુસ્ટનને “ગ્રેમી એવોર્ડ” એનાયત થયો.
બેલ્જિયમની ડચ અને જર્મન ભાષાની વિખ્યાત ગાયિકા ડાના વિનર અત્યંત ભાવભરી રજુઆત કરે છે. અમેરિકામાં આ ગીત રેકર્ડને જબરી ચાહના મળી છે.
એક ક્ષણનો અર્થ શું છે? …અનંત સાથે જોડાવાની પળ. જ્યાં સફળતાના શિખરની ટોચ અને હું. ચરમ સીમાનો તિવ્ર સ્વર અને નીરવ શાંતિ.
Give me one moment in time …નો વિચાર કરતા, આપણા કવિ શ્રી.હરિહર પ્રાણશંકર ભટ્ટની રચના યાદ આવે છે. (૧૮૯૫-૧૯૭૮), કવિ હૃદય પણ વ્યવસાયે શિક્ષક. તેમના કાવ્યોમાં પ્રભુશ્રદ્ધા, જીવન-આશા, રાષ્ટ્રભાવ અને ગાંધીચીંધી દલિતભક્તિ જેવા વિષયો આલેખાયા છે. ગેય ઢાળોમાં રચેલાં એકવીસ ઊર્મિકાવ્યોનો સંગ્રહ તેમની પાસેથી મળે છે. ‘એક જ દે ચિનગારી મહાનલ!’ તેમનું સુપ્રસિદ્ધ કાવ્ય છે. અહીં ભાવ જરા જુદો છે. રચનામાં પ્રાર્થના, સમર્પણ અને માંગ છે.
એક જ દે ચિનગારી, મહાનલ!
એક જ દે ચિનગારી.ચકમક લોઢું ઘસતાં ઘસતાં ખરચી જિંદગી સારી
જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી
મહાનલ… એક દે ચિનગારી…ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભઅટારી
ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી
મહાનલ… એક દે ચિનગારી…ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી
વિશ્વાનલ ! હું અધિક ન માગું, માગું એક ચિનગારી
મહાનલ… એક દે ચિનગારી…શ્રી.હરિહર પ્રાણશંકર ભટ્ટ
(અસ્તુ)
સાલ ૨૦૨૪માં ૨૬ જુલાઈથી આરંભ થનાર પેરીસ ઑલિમ્પિકને અનુલક્ષી આ લેખ તૈયાર કર્યો છે. શ્રીમતી સરયૂબેન પરીખનાં સૌજન્યથી આ પ્રસ્તુતિ તૈયાર થઇ. તેમનો ખરા દિલથી આભાર.
માહિતી: ગુજરાતી સાહિત્ય પરિષદ, વિકિપીડિયા અને અન્ય વેબસાઈટ ઉપરથી
શ્રી નીતિન વ્યાસ નો સંપર્ક ndvyas2@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
પર્યાવરણ જાળવણી કેવળ પાઠ્યપુસ્તકમાં બચી છે
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
ગર્વ લેવો અને ગૌરવ હોવું બન્ને અલગ બાબતો છે, છતાં બે વચ્ચેની ભેદરેખા પાતળી છે. એમાં પણ પોતે કશું ન કર્યું હોય, કેવળ આકસ્મિક રીતે પોતાને જે મળ્યું હોય કે પોતાની પાસે જે હોય એના માટે કોઈ ગર્વ અનુભવે અને એ પણ જાહેરમાં, ત્યારે વાત બહુ હાસ્યાસ્પદ લાગે છે. અલબત્ત, આવો સમૂહ મોટો હોય તો હાસ્યાસ્પદ વાત ગંભીર બિમારીનું રૂપ લઈ શકે એવી શક્યતા હોય છે. પોતે કોઈ ચોક્કસ ખાનદાન, જાતિ, પ્રદેશ કે દેશના હોવાનું વાજબી ગૌરવ હોઈ શકે, પણ ગર્વ?
વધુ નહીં, એકાદ વરસ અગાઉ ‘ધ એલિફન્ટ વ્હીસ્પરર્સ’ નામના દસ્તાવેજી ચિત્રને લઘુ દસ્તાવેજી ચિત્રની શ્રેણીમાં ઓસ્કાર એવોર્ડ પ્રાપ્ત થયો ત્યારે સૌ દેશવાસીઓને આનંદ થયો હતો. તેમાં દર્શાવાયેલા મહાવત દંપતિ બોમ્મન અને બેલી જે રીતે તમિલનાડુનાં જંગલોમાં એકલવાયા હાથીઓની દરકાર લેતા બતાવાયા હતા એ વિશે જાણીને ગૌરવ થાય એમ હતું. સતત ઘટતો જતો વનવિસ્તાર, તેની વન્ય પશુઓ તેમજ પર જૈવવિવિધતા થતી વિપરીત અસર, તેને કારણે અસરગ્રસ્ત પર્યાવરણ વગેરે બાબતોની સામે આવા સમર્પિત લોકોનું હોવું આશાના એક તેજસ્વી કિરણ સમાન કહી શકાય.
એ ફિલ્મ અને તેમાં ચમકેલા દંપતિ પર ગૌરવ લેવાઈ ગયું, પણ એ પછી? હાથીઓ અને વનવિસ્તારની જાળવણી માટે કોઈ વિશેષ પગલાં લેવાયાં? એવી કોઈ નીતિ ઘડાઈ કે જેને કારણે આ ગૌરવની જાળવણી થઈ શકે?
આપણા દેશનું ગોવા રાજ્ય દેશમાં જ નહીં, વિશ્વભરમાં સૌથી વધુ પર્યાવરણ સંવેદનશીલ વિસ્તારમાંનો એક ગણાય છે. તેમાં પથરાયેલા પશ્ચિમ ઘાટને કારણે તે અનેક જૈવવિવિધતાઓનો ભંડાર છે. જોતાં આંખ ધરાય નહીં એટલું નૈસર્ગિક સૌંદર્ય અહીં નજરે પડે છે.
ગોવાના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે ૨૦૨૧માં પર્યાવરણ દિન નિમિત્તે ઘોષણા કરી હતી કે વન વિભાગ નવાં સો જળાશયો વિકસાવશે, જે મુખ્યત્વે પ્રાણીઓના ઉપયોગ માટે હશે અને માનવ-પ્રાણીનો સંઘર્ષ તેના થકી ઘટી શકશે. ઉલ્લેખનીય છે કે ગોવામાં તેમજ અન્યત્ર આ પ્રકારના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે, જેમાં હાથી, વાઘ જેવાં પશુઓ માનવવસતિમાં પ્રવેશી જતા હોવાના બનાવોનો સમાવેશ થાય છે. આ કટારમાં એનો ઉલ્લેખ ઘણી વાર કરવામાં આવતો રહ્યો છે. મુખ્ય પ્રધાનની આવી ઘોષણાથી સ્વાભાવિકપણે જ એવી છાપ પડે કે વનસંપદાની જાળવણી બાબતે સરકાર ગંભીર છે.
૨૦૨૩ના જુલાઈમાં ગોવાની સરકારે કેન્દ્ર સરકારની એક દરખાસ્ત નકારી. શેની હતી એ દરખાસ્ત? મ્હાદેઈ- કોટીગાવ ટાઈગર કોરીડોર અને તેની આસપાસના આરક્ષિત વિસ્તારો ફરતે વાઘનું અભયારણ્ય બનાવવાનું કેન્દ્ર સરકારે સૂચવ્યું હતું. ગોવા રાજ્ય વાઈલ્ડલાઈફ બૉર્ડના મતાનુસાર ગોવા જેવા નાનકડા રાજ્યમાં વાઘનું અભયારણ્ય હોઈ ન શકે. ગોવાના મ્હાદેઈ વિસ્તારમાં વાઘની અધિકૃત હાજરી છેક ૨૦૦૨માં, રાજ્યના વન વિભાગ દ્વારા કરવામાં આવેલી પશુઓની વસતિ ગણતરી દરમિયાન નોંધાઈ હતી. એ પછી ૨૦૦૬ અને ૨૦૧૦માં પણ આ વિસ્તારમાં વાઘની હાજરી નોંધાઈ હતી. ઑક્ટોબર, ૨૦૨૩માં વડી અદાલતના ઓર્ડર પર સર્વોચ્ચ અદાલતે રોક લગાવી હતી અને ગોવા સરકારને મ્હાદેઈ વન્યજીવ અભયારણ્ય તેમજ તેની આસપાસના વિસ્તારોને વાઘના અભયારણ્ય તરીકે ઘોષિત કરવાનો આદેશ ફરમાવ્યો હતો.
૨૦૨૪ના વર્ષારંભે બોરીમ રોડ પર એક ભૂખ્યું, થાકેલું દીપડાનું બચ્ચું રખડતું આવી ચડ્યું હતું,[1] જે માનવોથી ભયભીત જણાયું હતું. અલબત્ત, પછી ગામવાસીઓએ તેને પીવાનું પાણી ધર્યું હતું. રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર થયેલા થોડા પકડદાવ પછી આખરે એ બચ્ચાને વનવિભાગ દ્વારા પકડીને બચાવી લેવામાં આવ્યું હતું. હકીકત એ છે કે આ વિસ્તારોમાં દીપડાનું દેખાવું તેમજ શેરીનાં કૂતરાં, પાલતૂ પ્રાણીઓ અને મરઘાંનું અદૃશ્ય થઈ જવાની ઘટના સમાચાર નહીં, રોજિંદી વાસ્તવિકતા બની ચૂકી છે. માનવોની પરિભાષામાં ‘શિકારી પશુઓનો આતંક’ કહેવાય એવી ઘટના ચિંતાજનક છે, પણ એ વિચારવાની જરૂર છે કે આમ શાથી બની રહ્યું છે! બીજી તરફ ગોવાના ‘રાજ્ય પશુ’ તરીકે ઘોષિત કરાયેલા ગૌડ અથવા તો ભારતીય બાઈસનના આવાસ પર ખતરો તોળાઈ રહ્યો છે અને તે પણ ખોરાક માટે માનવીય વસાહતો કે ખેતરોમાં પ્રવેશી રહ્યાં છે. અત્યાર સુધી અહીંના ખેડૂતો પોતાની રોપણીને ગૌર ખેદાનમેદાન કરતું હોવાની ફરિયાદો કરતા હતા, પણ હવે ખોરાકની શોધમાં આ પશુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર રખડતું જોવા મળે છે.
હવે માનવોના લાભાર્થે તમામ જમીનને ‘કોન્ક્રીટ’ બનાવવાનો ‘નવિન’ વિચાર ગોવામાં આવ્યો છે, જેમાં લાખો ચોરસ મીટર જમીની વિસ્તાર પર બહુમાળી ઈમારતો અને અન્ય વ્યાપારી પ્રકલ્પો ઊભાં થશે. આ પગલું કેવળ માનવો માટે જ નહીં, પશુઓ માટે પણ નુકસાનકર્તા નીવડશે એવી રજૂઆત પર્યાવરણવાદી તેમજ કર્મશીલોએ કરી છે. તેના જવાબમાં સંસ્કૃતિની તમામ જરૂરિયાતોમાં માનવની જરૂરિયાત સૌથી ટોચે હોવાનું સત્તાધીશોએ જણાવ્યું છે.
શાળામાં સૌ કોઈ પોષણકડી અને માનવજાત તેમજ સજીવો માટેની તેની ઉપયોગિતા વિશે ભણતા હોય છે. શું આ ભણતર કેવળ પાઠ્યપુસ્તક પૂરતું મર્યાદિત રાખવાનું છે? વયસ્ક થયા પછી ખાસ કરીને રાજકારણીઓ અને અમલદારો શાળામાં ભણેલા પાઠ ભૂલી જતા હોય એમ લાગે છે. માનવજાતની જરૂરિયાતના નામે ચાલ્યા કરતા વિકાસપ્રકલ્પો દ્વારા કોનો વિકાસ થાય છે એ સંશોધનનો વિષય છે. પહેલાં આત્મઘાતી પગલાં ભરીને પર્યાવરણનું નિકંદન કાઢો અને પછી શાણપણની વાતો કરીને પર્યાવરણની જાળવણીની નિસ્બત જતાવો એ ઉપક્રમ હવે સામાન્ય બની રહ્યો છે. નાગરિકો બિચારા પાકા રસ્તા, લાંબા પુલ અને બહુમાળી ઈમારતો જોઈને હરખાતા રહે છે અને પર્યાવરણ બાબતે પ્રસાર-પ્રચાર માધ્યમો થકી જાણીને પોતાની નિસ્બત વ્યક્ત કરતા રહે છે. ટૂંકમાં કહીએ તો, સૌ પોતપોતાનું કામ કરે છે.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૮ – ૦૧ – ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)
