-
ગઝલઃ ક્યારે હતી | ગીતઃ જળને બેઠું ચોમાસું
ગઝલ
ચીનુ મોદી
પરખ દ્રશ્ય જોવાની ક્યારે હતી
સ્વયં નાવ તોફાની ક્યારે હતીમને છોડી દેતા તને કષ્ટ શું
જણસ સાવ સોનાની ક્યારે હતીનદી જેમ ઊંચેથી પટકાઉં પણ
જગા કોઇ મોભાની ક્યારે હતીતમાશા બતાવે બધી બારીઓ
સડક એની પોતાની ક્યારે હતીહતા સાત પરદા થવા રૂબરૂ
ગઝલ ચીજ કોઠાની ક્યારે હતી
ગીતઃ જળને બેઠું ચોમાસુંરક્ષા શુક્લજળને બેઠું ચોમાસું ‘ને મને સોળમું વરસ.ભારે પગલે વાદળ તોયે મારા હિસ્સે તરસ !છલછલ થાતું પગલું ‘ને પગલામાં તળાવ આખું,કંકુવરણી પાની કહેતી ‘હું મહુડાને ચાખું.’સગપણ ઊગ્યું શ્રાવણમાં ત્યાં મને ફૂટતું લાખું,ભીંજાવાની તરસે દોડી જળમાં પાસા નાખું.વરસાદી ઘટના ‘ને ધસમસ સપનાં અરસપરસ,જળને બેઠું ચોમાસું ‘ને મને સોળમું વરસ.ફરફરતું કોઈ પાન લઇને પાનેતરમાં ભરતી,ઝંઝાવાતો જળ આપે ‘ને દર્પણ પાસે સરતી.નેવાના જળની ધારે હું વગર તરાપે તરતી,ટીંપાનું તોરણ હું આખા નભને બાંધી ફરતી.દોટ મૂકી વાદળને કીધું ‘મન મૂકીને વરસ’.જળને બેઠું ચોમાસું ‘ને મને સોળમું વરસ. -
એશિયાનું કલંક યાને કોરીયાની કથા – પ્રકરણ ૩ જું. – ઘરના ઘા.
પ્રકરણ બીજુંઃ પ્રભાતનું શાંતિસ્થાન થી આગળ
ઝવેરચંદ મેઘાણી
૧૧ મા અને બારમા સૈકાનીએાની અંદર તો કોરીયા ઉપર કંઈ કંઈ વીતકો વીતી ગયાં. એક વખત એ પ્રજાને શીરે પણ ધર્મની સત્તા જામેલી. બૌદ્ધ સાધુઓનું મંડળ પોતાના સ્વાર્થ ખાતર આખા દેશપર રાજ્ય ચલાવતું. સાધુઓએ પોતાના વિહારોને કિલ્લા બનાવી નાખ્યા. એક હાથમાં તલવાર અને બીજા હાથમાં ધર્મગ્રંથ લઈને સાધુઓ આખી શહેનશાહત ચલાવવા લાગ્યા. પ્રજા પરનો જુલ્મ બેહદ હતો.
ત્યાર પછી ૧૨–૧૩ ની અંદર જગત–વિજેતા જંગીસખાને કોરીઆનો કચ્ચર ઘાણ વાળ્યો. જંગીસખાનના વંશજ કુબ્લાખાને તો કોરીયાને ખંડીયું રાજ્ય બનાવી દીધું. જાપાનની સાથે કોરીઆને વેર કરાવનાર આ જાલીમ કુબ્લાખાન. કુબ્લાખાને કોરીયાની બલાત્કારે સહાય મેળવીને જાપાન પર સ્વારી કરેલી. જાપાન એ દિવસોને ભૂલ્યું નથી.
જાપાનના હલ્લાઓ તો ઘણી યે વાર આવી ગયા. પણ જ્યાં સુધી આ ન્હાના દ્વીપકલ્પનો સામાજીક આત્મા શુદ્ધ હતો ત્યાં સુધી એ બહારના હલ્લાઓ અંગ ઉપરથી પાણીનું બિન્દુ પડીને દડી જાય તેમ આવીને ચાલ્યા ગયા. પણ છેલ્લા ૩૦૦ વરસ થયાં એ પ્રજાનો પ્રાણ ડોળાયો હતો.
દેશમાં બેજ વર્ગ હતા. અમીર અને રૈયત. અમીરનાં ખેતરો રૈયત ખેડતી. રૂશ્વત અને વગસગને બળે દેશની તમામ સરકારી જગ્યાઓ અમીરજાદાઓને જ હસ્તગત રહેતી. સરકારી નોકરી ન મળી શકે તો આ અમીરજાદાઓ શાળાઓમાં શિક્ષક બનતા. તે સિવાય દેશના હુન્નર ઉદ્યોગ કે વ્યાપાર વાણિજ્યમાં પડવું એ તો એમના ગૌરવને હાનિ પહોંચાડવા જેવું હતું. આજ આપણે ત્યાં જમીનદારોના પુત્રોની જે હાલત થાય છે તેજ હાલત એ અમીર વર્ગની થઈ. ટોળાબંધ અમીરજાદાઓ આળસુ જીંદગી ગાળતા, અને પોતાના વિલાસોને પહોંચી વળવા માટે ખેડુઓને ચૂસતા. આખું વરસ ખેડ્યા પછી નીપજમાંથી, માંડ ગુજારો થાય તેટલોજ દાણો ખેડુને મળતો. બાકીનો ભાગ અમીરોના વૈભવોને પોષતો. અમીર ખેડુ પાસેથી ફાવે તેટલી વેઠ લઈ શકતો વસ્તીના ગાડાં ઘોડાં કે ગાય ભેંસ વગર પૈસે વાપરતો. મુસાફરીમાં મફત મહેમાનગીરી કઢાવતો.
કાયદો કેવળ રાજદ્રોહ સિવાય બીજા એકેય ગુન્હા બદલ અમીરને સજા ન કરી શકે. એનું મકાન જપ્ત ન થાય, કે ન એને ખુદને બંદીખાને નખાય. જ્યારે જ્યારે એનો કોઈ અપરાધ કરે ત્યારે એને અદાલતમાં જવાની જરૂર નહોતી. પરબારો પોતેજ કાયદો હાથમાં લઈ, મનમાં આવે તે શિક્ષા ઠોકી બેસાડતો. કોઈ કાળે રાજદ્રોહના ગુન્હા બદલ એને દેહાંત દંડની સજા થાય તો તેને જાહેરમાં ફાંસી નહોતી દેવાતી. પોતે પોતાના ઘરમાં બેસી ઝેરનું પ્યાલું ભરી પી જતો. આ અમીર વર્ગે વસ્તીની પાયમાલી કરી નાખેલી.
બીજો જુલ્મ રાજાઓનો. રાજા સદા દેવાંશી મનાતો. પ્રજાજન, રાજા ન જીવતો હોય તે દરમ્યાન એનું નામ ન ઉચ્ચારી શકે. પ્રજાજન એના દેહને અડકી પણ ન શકે. ભૂલથી રાજા કદાચ કોઇને સ્પર્શી જાય, તો એ સ્પર્શવાળી જગ્યા ઉપર સદા લાલ પટી લગાવી રાખવી પડે. રાજાજીનું મ્હોં દેશના કોઈ પણ સીક્કા ઉપર નહોતું છપાતું. કારણ કે એને પ્રજાજનોના અપવિત્ર હાથનો સ્પર્શ થાય એની છબી પણ એના મૃત્યુ પછીજ ચિતરાય. એની હજુરમાં કોઈ શોકના પાષાકમાં અગર ચશ્માં પહેરી આવી શકે નહિ. રાજાને લોઢાનો સ્પર્શ કદી ન કરાવી શકાય. આ વ્હેમને પરિણામે કેટલાયે રાજાઓની બિમારી વખતે દાક્તરી આજારો જ ઉપયોગમાં ન લઈ શકાયાં. અને રાજાઓએ જીવ ખોયો. રાજા મરે એટલે આખી પ્રજા ત્રણ વરસ સુધી શોક પાળે; તેમાં પહેલાં પાંચ માસ સુધી વિવાહ બંધ, જાહેર કે ખાનગી મ્હેફિલો બંધ, પશુઓની કતલ બંધ, અપરાધીઓનો પ્રાણદંડ ન થાય, અને અણરંગેલ શણનાંજ કપડાં સહુથી પહેરાય.
રાજાની મરજી એજ કાયદો. પ્રજાનાં જાનમાલ રાજાના હાથમાં હતાં. રાજા શાણો હોય તો આ રાજસત્તા પ્રજાનું મંગલ કરી શકતી, અને રાજા નબળો હોય ત્યારે પ્રજાનું નિકંદન નીકળતું.
આ રીતે પ્રજા આશાહીન, લાઈલાજ, ને હૃદયહીન બનતી ગઈ, અને ભૂખમરો તો પ્રજાને આંગણે પ્રત્યેક વરસે હાજર જ હતો.
કોરીયાની અંદર રમણીઓની હાલત બહુ બુરી બની ગએલી.
ઘરના ઘા ખાઈ ખાઈને છેક જેર થઈ ગયેલી પ્રજા બહારના હુમલાઓ સામે ક્યાં સુધી છાતી ધરી શકે ? કોરીયા ભાંગ્યું તે જાપાનની તલવારથી નહિ–ઘરનાં પીડનોથી.[૧]



*જાપાનના પક્ષપાતી “Story of Korea” એ પુસ્તકને આધારે લખાયોલું આ પ્રકરણ છે.
આવતા અંકેઃ પ્રકરણ ૪ થું – રણવાસમાં રક્તપાત..
સ્રોત સૌજન્યઃ વિકિસ્રોત
-
એક કલાકાર: ગાયકો એકથી વધુ [૩]
નિરંજન મહેતા
આ શ્રેણીમાં આ લેખમાં શોમેન રાજકપૂર વિષે રજૂઆત કરૂં છું. ન કેવળ એક અદાકાર પણ નિર્માતા નિર્દેશક તરીકે પણ તેમણે આગવી પ્રતિભા દાખવી છે.
કારકીર્દીની શરૂઆતથી જ મુકેશનો સ્વર તેમને બંધબેસતો હતો એટલે મોટાભાગના રાજકપૂરના ગીતો મુકેશે ગાયા છે પણ કોઈ કોઈ ફિલ્મમાં કોઈ ગીતમાં અન્યનો સ્વર પણ જોવા મળે છે
૧૯૪૮ની ફિલ્મ ‘આગ’માં એક સિવાય બધા ગીતો મુકેશે ગાયા છે. તેમાંથી એક નમૂનારૂપે રજુ કરૂં છું.
ज़िंदा हूँ इस तरह कि ग़म-ए-ज़िन्दगी नहीं
जलता हुआ दिया हूँ मगर रोशनी नहींગીતકાર બેહ્ઝાદ લખનવી સંગીતકાર રામ ગાંગુલી
અન્ય ગીત છે
कहीं का दीपक कही की बाती
आज बने हैं जीवन साथी
देख हंसा है चाँद मुसाफिर
देख चाँद की और
देख चाँद की और मुसाफिरઆ ગીત શૈલેશના સ્વરમાં છે અને સાથ આપ્યો છે મીના કપૂરે. ગીતકાર બેહ્ઝાદ લખનવી સંગીતકાર રામ ગાંગુલી
૧૯૪૯ની ફિલ્મ ‘બરસાત’માં પણ બે ગાયકો છે. મુકેશ અને રફીસાહેબ. રફીસાહેબે ગાયેલું ગીત છે
मैं ज़िंदगी में हरदम रोता ही रहा हूँ
रोता ही रहा हूँ, तड़पता ही रहा हूँઅન્ય ગીતો મુકેશે ગાયા છે જેમાનું એક છે જેમાં લતાજીનો પણ સાથ છે.
छोड़ गए बालम, मुझे हाय अकेला छोड़ गए
तोड़ गए बालम, मेरा प्यार भरा दिल तोड़ गएબંને ગીતના ગીતકાર હસરત જયપુરી અને સંગીત આપ્યું છે શંકર જયકિસને.
૧૯૫૧ની ફિલ્મ ‘આવારા’માં પણ એક સિવાય બાકીના ગીતો મુકેશે ગાયા છે
दम भर जो उधर मुँह फेरे
दम भर जो उधर मुँह फेरे,
ओ चन्दामै उनसे प्यार कर लूंगी,
बातें हज़ार कर लूँगीગીતકાર છે શૈલેન્દ્ર અને સંગીત આપ્યું છે શંકર જયકિસને. મુકેશને સાથ આપ્યો છે લતાજીએ.
અન્ય ગીત છે જે લતાજી સાથે મન્નાડેએ ગાયું છે.
तेरे बिना आग ये चांदनी
तू आजा तू आजा
तेरे बिना आग ये चांदनी
तू आजा तू आजा
तेरे बिना बेसुरी बासुरीગીતકાર હસરત જયપુરી અને સંગીત આપ્યું છે શંકર જયકિસને
૧૯૫૫ની ફિલ્મ ‘શ્રી ૪૨૦’માં પણ મુકેશે જ ગીતો ગયા છે પણ એક ગીત ગાયું છે મન્નાડેએ.
दिल का हाल सुने दिलवाला
सीधी सी बात न मिर्च मसाला
कहके रहेगा कहनेवाला
दिल का हाल सुने दिलवालाઅન્ય ગીતો જે મુકેશે ગયા છે તેમાનું એક અત્યંત પ્રચલિત ગીત
मेरा जूता है जापानी, ये पतलून इंगलिस्तानी
सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानीબંને ગીતોના ગીતકાર શૈલેન્દ્ર અને સંગીત આપ્યું છે શંકર જયકિસને
૧૯૫૭ની ફિલ્મ ‘શારદા’ના ગીતોમાં પણ બે ગાયકોએ રાજકપૂરને કંઠ આપ્યો છે.
પ્રથમ ગીત છે જે મુકેશના સ્વરમાં છે
जप जप जप जप जप रे
जप जप जप जप मेरे मनवा
जप रे प्रीत की माला होय जप रे प्रीत की माला
जप जप जप जप रेબીજું ગીત છે જે મન્નાડેના સ્વરમાં છે.
दुनियाने मुझे छोड दिया, खुब किया खुब किया
બંને ગીતના રચયિતા છે રાજીન્દર કૃષ્ણ અને સંગીત આપ્યું છે સી. રામચંદ્રએ.
૧૯૫૮ની ફિલ્મ ‘પરવરીશ’માં પણ મન્નાડે અને મુકેશના સ્વરનો ઉપયોગ થયો છે.
પહેલું ગીત જેના ગાયક છે મન્નાડે અને સાથે છે લતાજી
मस्ती भरा है समा,
हम तुम है दोनो यहाँ
आँखों में आ जा,
दिल में समा जा,
झूमें ज़मीं आसमाँબીજું દર્દભર્યું ગીત મુકેશના સ્વરમાં છે.
आँसू भरी हैं ये जीवन की राहें
कोई उनसे कह दे हमें भूल जाएंhttps://youtu.be/EUVsSz_D5xY?si=5e6AA_VIQfKTYNIQ
બંને ગીતના ગીતકાર છે હસરત જયપુરી અને સંગીતકાર છે દત્તારામ
૧૯૫૯ની ફિલ્મ ‘અનાડી’માં પણ મુકેશ-મન્નાડેની જોડી નજર આવે છે.
પહેલું ગીત કોરસ ગીત છે જે મન્નાડેના સ્વરમાં છે અને લતાજીનો સાથ મળ્યો છે.
नाइनटीन फिफ्टी सिक्स
नाइनटीन फिफ्टी सेवेन
नाइनटीन फिफ्टी एइटदुनिया का ढांचा बदला
किस्मत का साचा बदलाબીજું ગીત મુકેશના સ્વરમાં એક ઝીંદાદીલ વ્યક્તિના રૂપમાં
किसी की मुस्कुराहटों पे हो निसार
किसीका दर्द मिल सके तो ले उधार
किसीके वास्ते हो तेरे दिल में प्यार
जीना इसी का नाम हैબંને ગીતોના રચયિતા શૈલેન્દ્ર અને સંગીતકાર શંકર જયકિસન.
૧૯૬૦ની ફિલ્મ ‘છલિયા’માં બધા ગીતો સિવાય એક મુકેશના સ્વરમાં છે તેમાનું એક
मेरे टूटे हुए दिल से कोई तो आज ये पूछे
के तेरा हाल क्या है के तेरा हाल क्या हैતો અન્ય ગીત રફીસાહેબે ગાયેલું છે
दुनियावालो सुन लो एक अबला की दुःख कहानी सुन लो
हार जित तो खूब हुई अब मेरी जबानीબંને ગીતના ગીતકાર છે કમર જલાલાબાદી અને સંગીતકાર છે કલ્યાણજી આણંદજી.
૧૯૬૦ની અન્ય ફિલ્મ ‘શ્રીમાન સત્યવાદી’માં પણ મુકેશ-મન્નાડે દ્વારા રાજકપૂરના ગીતો મળે છે.
પહેલું ગીત મન્નાડેના સ્વરમાં, સાથે ગાયિકા છે સુમન કલ્યાણપુર
भीगी हवाओं में तेरी अदाओं में
कैसी बहार है कैसा खुमार हैગીતકાર છે ગુલઝાર દીનવી
બીજું ગીત છે જે મુકેશે ગાયું છે
हाल-ए-दिल हमारा जाने न बेवफ़ा ये ज़माना ज़माना
सुनो दुनिया वालों आएगा लौट के दिन सुहाना सुहानाગીતકાર છે હસરત જયપુરી
બંને ગીતના સંગીતકાર દત્તારામ
૧૯૬૩ની ફિલ્મ ‘દિલ હી તો હૈ’માં પણ આ જ બે ગાયકોએ ગાયેલા ગીત છે.
પહેલા જોઈએ મન્નાડેએ ગાયેલું ગીત જે તેની ફિલસુફીને કારણે આજે પણ પ્રચલિત છે.
लागा चुनरी में दाग छुपाऊँ कैसे
लागा चुनरी में दाग
चुनरी में दाग छुपाऊँ कैसे घर जाऊँ कैसे
लागा चुनरी में दागબીજું ગીત મુકેશના સ્વરમાં
तुम अगर मुझको न चाहो तो कोई बात नहीं
तुम किसी और को चाहोगी तो मुश्किल होगीબંને ગીતના ગીતકાર સાહિર લુધિયાનવી અને સંગીત આપ્યું છે રોશને.
૧૯૬૩ની બીજી એક ફિલ્મ ‘એક દિલ સૌ અફસાને’માં રાજ કપૂર માટે સંગીતકાર શંકર જય્કિશને મુખ્ય સ્વર તો મુકેશનો જ નક્કી કર્યો હતો.
कुछ शेर सुनाता हुं मैं जो तुझसे मुखावीब है
ગીતકાર હસરત જયપુરી છે.
तुम ही तुम हो मेरे जीवनमें
કહેવાય છે કે આ શૈલેન્દ્ર રચિત આ ગીતનાં રેકોર્ડીંગ સમયે મુકેશ વિદેશની સફર પર હતા, તેથી કામચલાઉ ધોરણે રાજ કપૂર માટે મોહમ્મદ રફીના સ્વરનો ઉપયોગ કરી ગીત રેકોર્ડ કરી લેવાયું. મુકેશે આ ગીત સાંભળીને કહ્યું કે હવે આ ગીત મારા સ્વરમાં ન જામે.
૧૯૭૦ની ફિલ્મ ‘મેરા નામ જોકર’માં તો બે નહિ ત્રણ ગાયકોએ રાજકપૂર માટે ગાયું છે.
પહેલા જોઈએ મુકેશના સ્વરમાં આ તરોતાજા ગીત
जाने कहाँ गए वो दिन, कहते थे तेरी राह में
नज़रों को हम बिछाएंगे
चाहे कहीं भी तुम रहो, चाहेंगे तुमको उम्र भर
तुमको ना भूल पाएंगेઆ ગીતના ગીતકાર છે શૈલેન્દ્ર
બીજાના ગીતના ગાયક છે મન્નાડે
ए भाई ज़रा देखके चलो आगे ही नहीं पीछे भी
दायें ही नहीं बायें भी ऊपर ही नहीं नीचे भीઆ ગીતના ગીતકાર છે નીરજ
https://youtu.be/cEbcWvgUvLY?list=RDcEbcWvgUvLY
તો ત્રીજું ગીત રફીસાહેબનાં દર્દભર્યા સ્વરમાં, કોઈ નાટકના ભાગ રૂપે આ ગીત દેખાય છે.
सदके हीर हम तुजपे
तुज से लुट क्र तेरे द्वार आयैઆ ગીતના રચયિતા છે પ્રેમ ધવન
ત્રણેય ગીતના સંગીતકાર છે શંકર જયકિસન
બને તેટલી કાળજી લઇ ગીતો મુક્યા છે પણ કોઈ ફિલ્મના ગીત ચુકાઈ ગયા હોય તો ક્ષમસ્વ.
Niranjan Mehta
A/602, Ashoknagar(old),Vaziranaka, L.T. Road,Borivali(West),Mumbai 400091Tel. +91 22 28339258/ 91 9819018295વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com -
સુનયના (૧૯૭૯)
ટાઈટલ સોન્ગ
(આ શ્રેણીમાં હિન્દી ફિલ્મોમાં આવતાં ટાઈટલ્સ દરમિયાન વાગતાં ગીતો વિશે વાત કરવાનો ઉપક્રમ છે.)
બીરેન કોઠારી
‘રાજશ્રી પ્રોડક્શન્સ’ આજે પણ કુટુંબપ્રધાન અને સ્વચ્છ ફિલ્મો માટે જાણીતી નિર્માણસંસ્થા છે, પણ ‘મૈંને પ્યાર કિયા’ પછી તેની વધુ ઓળખ મોટા બજેટની ફિલ્મના નિર્માણ માટે ઉભરી છે. એ પહેલાં એકદમ ઓછા બજેટની, મોટે ભાગે ગ્રામીણ પૃષ્ઠભૂમિવાળી, પ્રમાણમાં નવાં હીરો-હીરોઈન, ઓછા જાણીતા ગાયક-ગાયિકા, સંગીતકારવાળી ફિલ્મો તેની ઓળખ હતી. ગાયકોમાં મુખ્યત્વે જસપાલસિંહ, યેસુદાસ તેમજ ગાયિકાઓમાં હેમલતા, આરતી મુખરજી તેમની ફિલ્મોમાં રહેતાં. સંગીતકાર તરીકે રવીન્દ્ર જૈન, રાજકમલ, રામ-લક્ષ્મણ જેવા સંગીતકાર જોવા મળતા. નાયકનાયિકા તરીકે અનેક ઓછા જાણીતા ચહેરાઓ તેમણે ચમકાવ્યા. તેમની ફિલ્મોમાં એકાદું ગીત જીવનની કોઈક ફિલસૂફીને વણી લેતું. (અંગત રીતે મને રવીન્દ્ર જૈનનાં ગીતો નથી ગમતાં એટલી સ્પષ્ટતા)
આ નિર્માણસંસ્થાની ૧૯૭૯માં રજૂઆત પામેલી ફિલ્મ હતી ‘સુનયના’. આ ફિલ્મનું યેસુદાસે ગાયેલું ‘સુનયના, ઈન નઝારોં કો તુમ દેખો’ ગીત ખૂબ લોકપ્રિય બનેલું, જેની બીજી પંક્તિ હતી ‘ઔર મૈં તુમ્હેં દેખતે હુએ દેખું’. આ ગીત ગણગણતાં સ્વાભાવિકપણે જ આ પંક્તિ પણ બોલાતી, પણ એનો અર્થ સમજાતો નહોતો. એ સમજાયો ૧૯૭૯ના દિવાળી વેકેશનમાં.
મહેમદાવાદની અમારી શાળા શેઠ જે.એચ.સોનાવાલા હાઈસ્કૂલમાંથી દિવાળી વેકેશનમાં એક પ્રવાસ ઊપડવાનો હતો, જેમાં કાશ્મીર જવાનું હતું, અને વીસેક દિવસના આ પ્રવાસમાં વચ્ચે અનેક સ્થળો આવરી લેવાના હતા. પ્રવાસ માટેની ફી હતી ૬૫૧/ રૂ. આમ તો ઘણા વધુ કહેવાય, પણ મારા પપ્પાએ મને કહ્યું કે તારે આમાં જવું હોય તો જા. શાળા તરફથી અગાઉ અનેક પ્રવાસ યોજાયેલા, પણ કદી એમાં જવાનું બનેલું નહીં. આમાં જોડાવા હું તૈયાર થયો. મારી સાથે મિત્રો અજય પરીખ અને પંકજ ઠક્કર પણ હતા.
અંબાજી, આબુ, અજમેર, પુષ્કર થઈને અમે જયપુર પહોંચ્યા. જયપુરમાં રોકાણ હતું. ત્યાં ફર્યા પછી આયોજન એવું હતું કે રાત્રે નવથી બારના શોમાં અહીંના અતિ ભવ્ય સિનેમાગૃહ ‘રાજમંદિર’માં ફિલ્મ જોવી અને પછી રાત્રે જ બસ ઉપાડીને દિલ્હી તરફ રવાના થવું. અમને ‘રાજમંદિર’ વિશે કશો ખ્યાલ નહોતો. બસની રાતની મુસાફરી હોવાથી ઘણા બધાએ વિચાર્યું કે નાઈટડ્રેસ પહેરીને જ થિયેટરમાં જવું, અને ફિલ્મ જોઈને પછી સીધું બસમાં, જેથી કપડાં બદલવાની ઝંઝટ નહીં. ‘નાઈટડ્રેસ’ જેવો નાઈટડ્રેસ પહેરવાનું હજી ચલણ નહોતું શરૂ થયું. અનેક મિત્રોએ શર્ટ અને (પેન્ટને બદલે) લુંગી ચડાવી. હું લેંઘો પહેરતો હતો એટલે મેં એ ચડાવ્યો. પગમાં બૂટ. આવા વેશે અમે સૌ સિનેમાગૃહમાં દાખલ થયા. સિનેમાગૃહની ભવ્યતા અને ત્યાં એકઠી થયેલી ભીડ વચ્ચે અમારા દીદારનો ક્યાંય મેળ પડતો નહોતો. અમે બધા અમારા આ નિર્ણય બદલ રીતસર લાજી મરતા હતા કે આપણને સહેજ બી ખ્યાલ હોત યા કોઈકે કહ્યું હોત કે આટલું ભવ્ય સિનેમાગૃહ છે તો કમ સે કમ આપણે પાટલૂન તો પહેરત! એ જમાનામાં સામાન્ય રીતે મદારી લુંગી અને નીચે બૂટ (કે મોજડી) પહેરીને ખેલ કરવા આવતા. લુંગી નીચે બુટ પહેરેલા અનેક મિત્રો પોતાને ધીમા અવાજે ‘મદારી’ તરીકે ઓળખવા લાગ્યા અને કહેતા રહ્યા કે હવે દરવાજો ખૂલે અને ઝટ એન્ટ્રી મળે તો સારું. એ પંદરવીસ મિનીટ બહુ આકરી વીતી.

એ શોમાં અમારે જોવાની હતી ફિલ્મ ‘સુનયના’. આ ફિલ્મનું ‘સુનયના, ઈન નઝારોં કો તુમ દેખો’ ગીત રેડિયોને કારણે અમે સાંભળેલું, પણ ફિલ્મના કલાકારો અમારા માટે સાવ નવા અને અજાણ્યા હતા. નસીરૂદ્દીન શાહ તેના હીરો હતા, તો ટાઈટલમાં એમનું નામ ઊકેલીએ એ પહેલાં તો એ જતું રહ્યું. અમને થયું કે હીરોનું નામ કંઈ આવું હોતું હશે! ગીતની બીજી પંક્તિનો ભેદ ફિલ્મ શરૂ થતાં ખૂલ્યો. ફિલ્મની નાયિકા રામેશ્વરી અંધ હોય છે, આથી હીરો તેને ઉદ્દેશીને કહે છે, ‘ઔર મૈં તુમ્હેં દેખતે હુએ દેખું.’ રામેશ્વરીની આંખો ખૂબ મોટી અને સુંદર હતી, અને એનો ચાહક એક આખો વર્ગ થયેલો. પણ અમે ત્યારે રામેશ્વરીને ઓળખતા નહોતા.
‘સુનયના’ ફિલ્મ આમ તો ચાર્લી ચેપ્લિનની અદ્ભુત અને અમર ફિલ્મ ‘સીટી લાઈટ્સ’ પર આધારિત છે, જેમાં અનેક ભારતીય તત્ત્વોનો ઉમેરો કરવામાં આવ્યો છે. ‘સીટી લાઈટ્સ’ જોઈ હોય કે ન જોઈ હોય, મેઘાણીએ ‘પ્રતિમાઓ‘ પુસ્તકમાં તેની કથા ‘જીવનપ્રદીપ[1]‘ના નામે આલેખી છે એ ખાસ વાંચવા અનુરોધ છે. ફૂલ વેચતી અંધ નાયિકા, મુફલિસ નાયક, રોજ રાતે નશામાં ધૂત થઈ આપઘાત કરવા આવતો કરોડપતિ શેઠિયો અને તેને બચાવતો મુફલિસ નાયક, સવારે નશો ઉતરતાં જ બધું ભૂલી જતો શેઠિયો વગેરે ઘટનાઓ ‘સીટી લાઈટ્સ’ની જેમ જ આમાં છે. અલબત્ત, ‘સીટી લાઈટ્સ’ જોતાં હોઠ પર સતત મરકાટ રહે, અને આંખો ભીની. એ તત્ત્વ આમાં ગેરહાજર છે. અલબત્ત, આ ફિલ્મમાં એ અપેક્ષિત પણ નથી.
હીરેન નાગ દિગ્દર્શીત આ ફિલ્મના મુખ્ય કલાકારો હતા નસીરૂદ્દીન શાહ, રામેશ્વરી, વિજયેન્દ્ર, પિંચૂ કપૂર, લીલા મિશ્રા, રાજેન્દ્ર નાથ, મુકરી, જગદીપ વગેરે.

(ડાબેથી) રવીન્દ્ર જૈન અને યેસુદાસ ફિલ્મનાં કુલ ચાર ગીતો હતાં, જે રવીન્દ્ર જૈને લખેલાં તેમજ સંગીતબદ્ધ કરેલાં. ‘સુનયના, ઈન નઝારોં કો તુમ દેખો’ (યેસુદાસ), ‘મેઘા ઓ રે મેઘા તૂ તો જાયે દેસબિદેસ’ (હેમલતા), ‘લોગ કહે મેરા સાંવલા સા રંગ હૈ, ફૂલ સમા ખિલા ખિલા અંગ હૈ’ (હેમલતા) અને ‘આંસૂ ભી હૈ, ખુશિયાં ભી હૈ’ (યેસુદાસ).
આ પૈકીનું ‘આંસૂ ભી હૈ’ ગીત ફિલ્મના ટાઈટલ સોન્ગ તરીકે ઉપયોગમાં લેવાયું છે, જેના શબ્દો આ મુજબ છે.
आंसू भी हैं, खुशियां भी हैं
कांटे भी हैं, कलियां भी हैंदुखसुख से भरी है ये ज़िन्दगी
तुम्हें कैसी मिली है ये ज़िन्दगी
ज़रा जीके तो देखो,
इसे जीके तो देखोये मत सोचो की कितना मिला
सोचो बहोत मिला, हमें जितना मिला
ये मत सोचो की कितना मिला
सोचो बहोत मिला, हमें जितना मिला‘किस्मत’ ‘किस्मत’ कहो न
मेहनत मेहनत करो
के रोना भी है,हसना भी है
पाना भी है, तरसना भी हैनहीं इतनी बुरी ये ज़िन्दगी
तुम्हें कैसी मिली है ये ज़िन्दगी
ज़रा जीके तो देखो,
इसे जीके तो देखोलोग निकाले चाँद मैं भी कसर
जैसा जो देखे वही पाये नज़र
लोग निकाले चाँद मैं भी कसर
जैसा जो देखे, वही पाये नज़र
अवगुण अवगुण न देखो
गुण ही ढूँढा करोके हलकी भी है, ये भारी भी है
जी मीठी भी है, खारी भी है
हर पग पे नयी है ज़िन्दगी
तुम्हें कैसी मिली है ये ज़िन्दगी
ज़रा जीके तो देखो,
इसे जीके तो देखो‘સુનયના’નું આ ગીત આ લીન્ક પર સાંભળી શકાશે.
(તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
ત્યારે અને અત્યારે : સંયુક્ત અને વિભક્ત કુટુંબ
આ વાત એ નાગરિકોની છે જેમની ઉંમર ૬૫થી ૮૦ વર્ષની વચ્ચે છે, અથવા કહો કે જેઓ ૧૯૫૫થી પહેલાં જન્મ્યાં હોય.
આ જ વયગટના હોઈ બીજા દેશના નાગરિકોએ જોયાં હોય તેથી વધું વ્યાપનાં પરિવર્તન ભારતની એ પેઢીએ જોયાં,. ૧૯૫૩ થી ૨૦૧૩ની વચ્ચે શબ્દશઃ જમીન-આસમાનનો ફરક છે. જીવન અમુક ક્ષેત્રોમાં તો પરિસ્થિતિ જાણે સામસામા છેડાની જ છે. કદાચ એમ કહી શકાય કે ૭૫ વર્ષમાં આટલો પરિવર્તનનો અનુભવ બીજી કોઈ પેઢીને નહીં થાય. પરંતુ એ તો સમય જ કહી શકે.
આ પેઢીને પાછળ નજર કરતાં મુસાફરી એકદમ રોમાંચકારી લાગે છે. આરોગ્ય, સંદેશવ્યવહાર, વાહન વ્યવહાર, મનોરંજન, વગેરે બધાં ક્ષેત્રે ત્યારની પરિસ્થિતિ અત્યારે દંતકથા જેટલી જુદી લાગે છે, પરંતુ એ જ રોમાંચ છે. તેની વાત કરવામાં આવે તો નવી પેઢીના વાચકને જરૂર આશ્ચર્યનો અનુભવ થાય.

એ હેતુથી “ત્યાર”ની “અત્યાર’ જોડે સામાજિક અને વ્યક્તિગત સંદર્ભમાં તુલના કરવાની આ લેખમાળામાં નેમ છે.
પરેશ ર. વૈદ્ય

અપર્ણાએ તેના પતિ મનીષને કહ્યું કે ‘આજે મમ્મીનો ફોન હતો કે મમ્મીજીને કહેજો કે મારાથી પૂજામાં નહીં અવાય કારણકે મારે મમ્મીને ડોક્ટર પાસે લઈ જવી છે’. મનીષે કંટાળીને કહ્યુ, ‘ભલે., પણ મને શા માટે કહે છે. તું જ સીધી મમ્મીને કહી દે ને કે મમ્મીજી નહીં આવી શકે’.
વાચક મિત્રોને આ સંવાદમાં ગૂંચવાડો લાગે છે? શક્ય છે. એમાં ત્રણ માતાઓની વાત છે: અપર્ણાનાં મા નિર્મળાબેને મનીષના માતા વિમળાબેન માટે આ સંદેશો મોકલ્યો છે કે એ પોતાના મા કમળાબેનને દવાખાને લઈ જવાના છે એટલે આવી નહીં શકે. ટેલિવિઝન સિરિયલની અસર નીચે અપર્ણા પોતાનાં સાસુને માત્ર મમ્મી કહેવાને બદલે માનાર્થે મમ્મીજી કહે છે તેથી ઊલટું મનીષ પોતાનાં સાસુને મમ્મીજી કહે છે. હવે એ સંવાદ ફરીથી વાંચી લો.
અત્યારે ‘મમ્મી ‘ સંબોધનનું મોનોકલ્ચર છે; ૫૦ વર્ષથી ઓછી ઉંમરની પેઢીના બધા જ લોકો માને મમ્મી કહીને બોલાવે છે અને પિતાને પપ્પા કે ડેડી. અગાઉની પેઢીમાં આવા ગૂંચવાડાને કોઈ સ્થાન ન હતું. મમ્મી અને પપ્પા એ શબ્દો હજી આવ્યા જ નહોતા. સંતાનો માતાને કે પિતાને શું નામે બોલાવે તેનો આધાર સંયુક્ત કુટુંબના બંધારણ ઉપર હતો. સંબોધન કેમ કરવું તે શીખવવામાં ન આવતું. બાળકને ઘરમાં સંભળાતું જે તે નામે બાળક માતા-પિતાને બોલાવતું. મા માટે ભાભી, કાકી કે મામી જેવા સંબોધન અત્યારે વિચિત્ર લાગે પણ બહુ સામાન્ય હતાં. મોટા કુટુંબમાં સૌથી મોટા ભાઈના પત્નીને નણંદ કે દીયરો ભાભી કહેતાં હોય તે પછી ભાભીને બાળકો થાય તો એ ઘરમાં બોલાતો શબ્દ પકડીને માતાને ‘ભાભી’ એ જ નામે બોલાવે તે સ્વાભાવિક છે. એ જ બાળકો દિયરની નવી આવેલી પત્નીને કાકી કહેવા લાગે એટલે જ્યારે નાના ભાઈને છોકરાં થાય તે પિતરાઈ ભાઈ બહેનોની નકલ કરીને પોતાની જ માતાને ‘કાકી’ કહે. જો દિયરને બદલે નણંદના છોકરા ઘરમાં વધુ દેખાતું હોય તો એ કાકીને નણંદના છોકરા ‘મામી’ કહેતાં હોઈ શકે એટલે કેટલીક માતાઓ મામી પણ કહેવાતી. એ વખતે આમે ય બાળકો ઘણાં હતાં તેથી ક્રમવાર નાના ભાઈ બહેનોનું સામાજિક શિક્ષણ વડીલો નહીં પરંતુ તેનાથી મોટા ભાઈ બહેનો જ કરતાં. એટલે જે તે સંબોધન કે વર્તુણૂક ક્રમવાર છેલ્લા સંતાન સુધી પહોંચી જતાં. શબ્દનું મૂળ શોધવું એટલું અઘરું છે કે અમારા કાકીને અમે ‘બેન’ કહેતાં. એ તો ઠીક, એમના પોતાનાં સંતાનો પણ માતાને ‘બેન’ કહે ! ન હોય તેવા સંબંધોનાં સંબોધનોની છે ને રફતાર બેઢંગી ?
કેટલાક ખાસ સંજોગોમાં સંતાનો માતાને એનાં પ્રથમ નામથી પણ બોલાવતાં હોય એવું પણ તમે જોયું હશે. એક વડીલ જાજરમાન કુટુંબમાંથી આવ્યાં હતાં એટલે તેમનાં નણંદ અને દેરાણી એમને અંગત નામથી સવિતાબેન કહીને બોલાવે. આથી એમના સંતાનો પણ એ જ નામે બોલાવે. આમાં એવું પણ બને કે એ છોકરાઓ મોટાં થઈ જાય ત્યારે તેમનાં સંતાનો, એટલે કે ત્રીજી પેઢી પણ એમને પ્રથમ નામથી બોલાવતી હોય. આ ઉપરાંત પાઠ્યપુસ્તકમાં દેખાતાં મા, માં, અંમાં, બા, બાઈ એ સંબોધનો તો ખરાં જ, જેમાં છેલ્લે મમ્મી ઉમેરાયું. એવા સંબોધનો કે સૂચન કરે છે એ બાળક સંયુક્ત કુટુંબમાં નહીં કદાચ વિભક્ત કુટુંબમાં મોટું થયું હશે. માતાની જેમ પિતાના નામોમાં પણ વિવિધતા હતી. માતા બાબતે જોયું તેવા જ તર્ક હેઠળ પિતાને ક્યારેક કાકા, ભાઈ, બબાકાકા, ગોરાકાકા, ભાઈકાકા, ભા એવાં જુદાં જુદાં સંબોધનો ચોટતાં! અમારા એક દુરના કાકાનું હુલામણું નામ ભલાભાઇ હતું. તેમના બાળકો અને અમે ભત્રીજાઓ પણ તેમને એ અંગત નામે જ બોલાવતા. ગ્રામ્ય જનતામાં સંબોધનોમાં ‘બાપુ’ સંબોધન સામાન્ય રીતે સંભળાતું.

વિભક્ત કુટુંબ:
જે સમયની આપણે વાત કરીએ છીએ ત્યારે વિભક્ત કુટુંબ ( ન્યુક્લિયર ફેમિલી) નો કોઈ ખ્યાલ હતો નહીં. જે હતું તે સંયુક્ત કુટુંબ જ હતું. બે થી વધુ પુત્રો હોય તો માબાપ પોતે જ નિયોજિત રીતે મોટા પુત્રને લગ્ન પછી જુદુ ઘર લઈ દઈ વસવાટ કરાવતાં. પછી એવો સમય આવ્યો કે ઘરમાં વાસણો ખડખડે તો નાછૂટકે એક ભાઈ જુદા વસવાટ માટે જતો. પરંતુ સમાજની દ્રષ્ટિમાં (જે ત્યારે મુખ્યત્વે જ્ઞાતિ જ હતી) એ ચર્ચાનો વિષય બનતો. વિઘ્ન સંતોષીઓ એમાંથી કારણ શોધવાનો પ્રયત્ન કરતા. ભણતર વધતાં નોકરીઓ ઘરથી દૂર થવા લાગી ત્યારે આપોઆપ વિભક્ત કુટુંબ બનવા લાગ્યાં. પરંતુ નાભીનાળના સંબંધ તેનાથી તૂટતા ન હતા. વેકેશનમાં કે સારા માઠા પ્રસંગોએ પરિવાર એકત્ર થતું અને એક છત્ર નીચે રહેતું.
સંયુક્ત કુટુંબ
ગઈ સદીના ૧૯૬૦ કે ‘૭૦ ના દાયકાઓ દરમિયાન વર્તમાનપત્રોના મહિલા જગતના પાનાઓમાં એક મોટી ચર્ચાનો વિષય રહેતો કે વિભક્ત કુટુંબ સારું કે સંયુક્ત કુટુંબ. બંને તરફ મજબૂત દલીલો તો ત્યારે હતી અને આજે પણ છે. વ્યક્તિ સ્વાતંત્ર્યના ખ્યાલ દિવસા દિવસ દ્રઢ થતા જાય છે એટલે આજે જો આવી ચર્ચા કાઢવામાં આવે તો સંયુક્ત કુટુંબને બહુ ઓછા મત મળે એમ લાગે છે. સ્વાભાવિક છે કે પ્રથાના લાભ અને ગેરલાભ બન્ને હોય. વ્યક્તિ સ્વાતંત્ર્યના સાટામાં જે હુંફ અને સલામતી સંયુક્ત કુટુંબમાં મળતી તેનો ક્યાસ વર્ણન કરવાથી ના આવે. જીવનના ઉતાર ચઢાવમાં આજે દંપત્તિઓ એકલા ઝઝુમે છે, ખાસ કરીને અચાનક આવતી સ્વાસ્થ્યની સમસ્યાઓ આવે ત્યારે અસહાયતાનો અનુભવ થાય છે. દૂરના સગા કે મિત્રનો સહારો શોધવો જ પડે છે. સંયુક્ત કુટુંબનુ મહત્વ ત્યારે સમજાય છે.
સંયુક્ત કુટુંબના વખતના કેટલાક રિવાજો કે ખાસિયતો એવી હતી જે આજે તદ્દન વિચિત્ર લાગે. સૌથી પ્રખ્યાત હતી, કુટુંબની સ્ત્રીઓ પુરુષવર્ગની લાજ કાઢે તે. સાડીના છેડાથી હંમેશા ઘૂઘટ ખેંચી રાખેલો હોય જે સસરા, જેઠ અને પતિ ત્રણેય માટે લાગુ પડે. એવા ઘરમાં દાખલ થાવ ત્યારે સ્ત્રી વર્ગને જોઈને ખબર પડી જાય કે ઘરમાં સિનિયર પુરુષો હાજર છે કે નહિં. એ જ રીતે સ્ત્રીઓના અવાજનું વોલ્યુમ પણ પુરુષો ઘરની બહાર જાય ત્યારે ‘ઘીમા’ પર થી ‘નોર્મલ ’ પર આવી જતો. એક બીજો રિવાજ એવો કે પિતા પોતાના વડીલોની હાજરીમાં સંતાનોની સાથે સામસામે વાત ન કરે કે ન તો તેને નામથી સંબોધે. એટલે કે પિતા પુત્રનું નામ ન લે. એમાં પાછી સિનિયોરિટી જળવાય. સૌથી મોટાભાઈ જો દાદા હાજર ન હોય તો પોતાના સંતાનો સાથે વાત કરે. તેના પછીનો વચેટ ભાઈ મોટાભાઈનાં સંતાનો જોડે વાત કરી શકે પણ પોતાનાં સંતાન જોડે નહીં. અને સૌથી નાના ભાઈ માટે તો પોતાના બાળકો જોડે વાત કરવાનું ક્યારે બને જ નહીં !
સ્ત્રીવર્ગ ઉપર આની અસર એવી કે માતા તો છોકરાંનાં નામ પણ ન લે. ‘મોટો’, ‘નાનો’, ‘વચલી’, ‘મોટી’, ‘છોરી’ એવાં વિશેષણથી કામ ચાલતું હોય. જો ઘર વધુ રૂઢિવાદી હોય તો છોકરાં ના લિંગ પણ ન દર્શાવે જેમ કે મા એમ કહે “મોટું નિશાળે ગયું છે” એમાં એ મોટો છે કે મોટી એ પણ ખબર ન પડે ! જો કે આ આ પ્રથા પુત્ર માટે વધારે લાગુ પડતી હતી. આમાં એક સુખદ અપવાદ પણ હતો. બાપ દીકરા જોડે વાત કરે કે ન કરે પણ જરૂર પડે દીકરી જોડે જરૂર વાત કરતા. આથી દીકરાઓ માતા સાથે કે બહેન સાથે પિતા માટે સંદેશો મૂકાવતા. નાની વહુના સંતાનો કજીયો કરવો હોય કે ત્રાગાં કરવાં હોય તો માત્ર માની સામે જ કરી શકતાં અને કરી લેતાં, કારણ કે કાકા કે કાકી સાથે એ ન થઈ શકે. આ પરિસ્થિતિમાં દબાણ હેઠળ આવેલી નાની વહુઓ વિના કારણે છોકરાંને ઢીબી પણ નાંખતી. એમ માર ખાવાનુ છોકરાઓના ભાગે વધારે આવે. છોકરાઓને તો પિતાના હાથની માર પણ ખાવી પડતી. બાળકોને મારવાના પ્રસંગો આજના દિવસે લગભગ નથી જ બનતા એનું મુખ્ય કારણ એ પણ છે કે દંપતીને એક કે બે જ બાળકો હોવાથી એને પ્રેમ આપતાં જ થાકતાં નથી. પિતા દ્વારા સંતાનો સાથે સામસામા સંવાદની ગેરહાજરી ને કારણે તેઓના અભ્યાસ બાબત પૂછપરછ કરવી કે તેમના કેરિયર વિશે ચર્ચા કરવાનો પ્રશ્ન જ નહોતો થતો. કોલેજમાં કઈ શાખા લેવી કે ક્યા વિષય ચૂંટવા એ પ્રકારના નિર્ણયો અમારી પેઢીએ તો આસપાસના સમાજમાંથી પ્રેરણા લઈને જ લીધા હતા. આજે જો કોઇ પિતા આવા નિર્ણય પુત્ર પર છોડે તો તેને બાકીના લોકો બેજવાબદાર જ ઠરાવશે.

સૌજન્યઃ નવનીત સમર્પણ, ઓક્ટોબર, ૨૦૨૫
ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક pr_vaidya@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
સાંદર્ભિક તસવીરોઃ નેટ પરથી
-
મહેન્દ્ર શાહનાં રેખા ચિત્રો
મહેન્દ્ર શાહનાં કળાસર્જનોનો સંપુટ
મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com
-
એ અકસ્માત કે દુર્ઘટના નહીં, બેદરકારી છે
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
કોઈ દુર્ઘટના એકાદ વાર બને તો એને અકસ્માત કહી શકાય, પણ એકની એક પ્રકારની દુર્ઘટના વારેવારે થયા કરતી હોય તો એને બેદરકારી, ઊપેક્ષા, અવગણના, જડતા કે એવું બીજું જે કહેવું હોય એ કહી શકાય.
૨૦૨૫ની વીસમી ડિસેમ્બરે આસામમાં વધુ એક વાર આ દુર્ઘટનાનું પુનરાવર્તન થયું. મિઝોરમના સૈરાંગ સ્ટેશનથી દિલ્હી તરફ જઈ રહેલી રાજધાની એક્સપ્રેસના પાંચ ડબ્બા અને એન્જિન, ગુવાહાટીથી સવાસો કિ.મી.ના અંતરે વનવિસ્તારમાં પાટા પરથી ઊથલી પડ્યાં. સદ્ભાગ્યે કોઈ મુસાફરને ઈજા થઈ નહીં. પણ દુર્ઘટના આ નથી. દુર્ઘટના એ છે કે રાતના આશરે બે વાગ્યાની આસપાસ આ ટ્રેનના ડ્રાઈવરે હાથીઓના ટોળાંને પાટાની આસપાસ જોયાં. તેણે ઈમર્જન્સી બ્રેક લગાવી. છતાં હાથીઓ એન્જિન સાથે ટકરાયા. અમુક બચ્ચાં અને એક સગર્ભા હાથણી સહિત સાત હાથીઓ મોતને ભેટ્યા. હાથીઓ સાથેની ટક્કરને કારણે એન્જિન અને થોડા ડબ્બા ઊથલી પડ્યા.
ટ્રેન સાથે હાથીઓની ટક્કર અને તેને લઈને થતાં મોતનો આ પહેલવહેલો કિસ્સો નથી. છેલ્લો પણ નહીં હોય. બલકે આમ ન થતું રહે તો જ નવાઈ ગણાશે. આસામમાં હાથીઓની વસતિ દેશમાં દ્વિતીય ક્રમે છે અને ૨૦૧૪માં રાજ્ય સરકારના આંકડા અનુસાર કુલ ૫,૮૨૮ હાથીઓ હતા. ખોરાક, પાણી અને આવાસની જરૂરિયાત મુજબ હાથી એક દિવસમાં ઓછામાં ઓછા પચીસ અને વધુમાં વધુ ૧૯૫ કિ.મી. જેટલો પ્રવાસ કરે છે. હાથીઓ મોટે ભાગે ટોળામાં ફરે છે, અને જે મુખ્ય વિસ્તારોમાં તેમની આવનજાવન રહેતી હોય એવા વિસ્તારો ‘એલિફન્ટ કોરીડોર’ તરીકે ઓળખાય છે. દેશના ઈશાન ખૂણે આવેલાં આ રાજ્યોમાં હવે વિકાસ થઈ રહ્યો છે, જેમાં ખનન, ઉદ્યોગ સહિત અનેકવિધ વિકાસકાર્યોને મંજૂરી આપવામાં આવી છે. આવા પ્રકલ્પોને મંજૂરી આપતાં અગાઉ કાનૂની જરૂરિયાત અનુસાર પર્યાવરણ પર થનારી તેની અસરો અને તેના ઊપાયો બાબતે અભ્યાસ થાય છે ખરા, પણ એક વાર કામ આરંભાઈ જાય પછી જે થવાનું હોય એ થઈને જ રહે છે.
જેમ કે, હાથીઓના આ કિસ્સે એવું બન્યું કે સો જેટલા હાથીઓ પાટા ઓળંગવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર અગાઉની જેમ જ આ કિસ્સો પણ બેદરકારીનો જ છે. એ વિસ્તારની એક મહિલા ખેડૂત સીનુ મોની દેવરીનું ઘર પાટાથી સોએક મીટરના અંતરે છે. તેમના જણાવ્યા અનુસાર રાતના સાડા દસની આસપાસ સ્થાનિક ગ્રામ પંચાયતે તેને એસ.એમ.એસ. દ્વારા જાણ કરેલી કે દોઢસોએક હાથીઓનું ટોળું એ વિસ્તારમાં ફરી રહ્યું છે. ડાંગરની લણણીની મોસમ શરૂ થતાં હાથીઓ ગામ તરફ આવતા હોય છે, પણ ખાસ નુકસાન કરતા નથી. પણ એ ખેતરમાં ઘૂસી ન જાય એટલા સારું ગામલોકો તેમના પર નજર રાખતા હોય છે. સીનુએ એટલા માટે બે તાપણાં સળગાવી રાખેલાં. રાતના બેની આસપાસ ટોળું પાટાની નજીક જવા લાગ્યા એટલે કેટલાક ગ્રામજનો તેમની પાછળ ગયા, કેમ કે, તેમને ખ્યાલ હતો કે હવે રાજધાની એક્સપ્રેસના પસાર થવાનો સમય નજીક છે. પણ આખરે જેનો ડર હતો એ થઈને જ રહ્યું.
રેલવે વિભાગના પ્રવક્તાના જણાવ્યા અનુસાર અકસ્માત થયો એ સ્થળ નિર્ધારીત એલિફન્ટ કોરીડોર નથી. આ વિસ્તારના એક વરિષ્ઠ પત્રકારનું કહેવું છે કે આ હાથીઓ મિકિર બામુની નામના વિસ્તારમાંથી આવતા હતા, જે એક નિર્ધારીત કોરીડોર છે. હવે એ કોરીડોરને વિશાળ સૌર પાર્કમાં વિભાજીત કરી દેવાયો છે. લણણીની મોસમમાં હાથીઓ જે માર્ગે આવનજાવન કરે છે ત્યાં પુષ્કળ દબાણો છે, જમીનોના હેતુફેર, ખનનપ્રવૃત્તિઓ વગેરે ચાલી રહ્યાં છે. આથી હાથીઓએ પોતાના ખોરાક માટે માર્ગ બદલીને પાટા ઓળંગવા પડે છે.
રેલવે વિભાગના પ્રવક્તા ભલે કહે કે આ વિસ્તાર નિર્ધારીત એલિફન્ટ કોરીડોર નથી, પણ પર્યાવરણ મંત્રાલય, આસામ રાજ્ય વનવિભાગ, ભારતીય રેલવે તેમજ વાઈલ્ડલાઈફ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા ૨૦૨૩ અને ૨૦૨૪ દરમિયાન સંયુક્તપણે હાથ ધરાયેલું સર્વેક્ષણ કંઈક અલગ દર્શાવે છે. એ મુજબ આ રાજ્યનું વિશાળ રેલવે નેટવર્ક અનેક ઠેકાણે વન્ય જીવોના આવાસસ્થાન તેમજ એલિફન્ટ કોરીડોરમાંથી પસાર થાય છે. પરિણામસ્વરૂપ આ વિસ્તારમાં થતાં હાથીઓનાં અકુદરતી મૃત્યુના કારણમાં તેમની ટ્રેન સાથેની ટક્કર દ્વિતીય ક્રમે આવે છે. ૧૯૦૦ થી ૨૦૧૮ ના ૨૮ વર્ષ દરમિયાન કુલ ૧૧૫ હાથી મૃત્યુ પામ્યા હતા, જ્યારે જાન્યુ.૨૦૧૭ થી માર્ચ, ૨૦૨૩ના ફક્ત છ વર્ષના ટૂંકા ગાળા દરમિયાન કુલ ૩૩ હાથીઓ મૃત્યુ પામ્યા છે. એમાંય નોર્થઈસ્ટ ફ્રન્ટીઅર રેલવે (એન.એફ.આર.) ક્ષેત્રમાં ૨૦૧૪થી ૨૦૨૨ દરમિયાન મૃત્યુ પામેલા હાથીઓનો આંકડો સૌથી વધુ, ૬૩નો છે.
આનો અર્થ સાફ છે. રેલવેના પાટાની દિશા કંઈ બદલાવાની નથી, બલકે એનો વિસ્તાર હજી વધતો જશે. હાથીઓની આવનજાવનનો માર્ગ અવરોધાતો રહેશે, કેમ કે, વનવિસ્તારમાં ઉદ્યોગો પણ વધતા રહેવાના. દબાણો અને ખેતી માટે જમીનનો હેતુફેર આ વિસ્તારને ઓર સંકોચી નાખશે. આ કારણે હાથી અને માનવ વચ્ચેની અથડામણની ઘટનાઓ હજી વધતી રહેશે, કેમ કે, શરૂ થયેલા વિકાસની આ ગાડીને રિવર્સ ગિયર નથી હોતો. આમાં ક્યારેક માનવ પણ મરી શકે, અને મોટે ભાગે હાથીઓ. આપણે બસ, આવા સમાચારોથી ટેવાઈ જવું પડશે. કેમ કે, મૃત્યુનું દેખીતું કારણ અકસ્માત કહેવાશે, પણ હકીકતમાં એ બેદરકારી છે, અને એ પણ ગુનાહિત, જેને હત્યાની સમકક્ષ મૂકવી પડે. એના આરોપી તરીકે આપણા સૌનું નામ મૂકાશે.
ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧ – ૧– ૨૦૨૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી -
સંસ્કૃત – શ્લોક/સુભાષિતો : સરસ્વતી વંદના
દેવિકા ધ્રુવ
શ્લોકઃ
या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता ।
या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना ॥
या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा वन्दिता ।
सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा ॥સમાસ વિભાજન અને શબ્દશઃ ગુજરાતી અર્થઃ
या=જે, कुन्द+इन्दु+तुषार+हार+धवला=
कुन्द=મોગરા, इन्दु=ચંદ્ર, तुषार=બરફ, हार=હારમાળા જેવી,धवला= શ્વેત.
या=જે, शुभ्र+वस्त्र+आवृता=शुभ्र=સફેદ, वस्त्र=વસ્ત્ર, કપડાં, आवृता=થી ઢંકાયેલ.ધારણ કરેલ.
या=જે, वीणावर+दण्ड+मण्डित+करा=
वीणावर=શ્રેષ્ઠ વીણા, दण्ड=દાંડો, मण्डित=સુશોભિત,
करा= હસ્ત, હાથ, या=જે, श्वेतपद्म+आसना=
श्वेतपद्म= સફેદ કમળ,आसना=આસન પર બિરાજે છે.
या ब्रह्मा +अच्युत॒+ शंकर+ प्रभृतिभिः+देवैः=
या=જે, ब्रह्मा=બ્રહ્મા, अच्युत=વિષ્ણુ, शंकर=મહેશ,શિવ, प्रभृतिभिः= વગેરે,
देवैः=દેવો થકી, सदा=હંમેશાં, वन्दिता= પૂજાય છે.
सा=તે, माम्=મારી, पातु=રક્ષા કરે, सरस्वती भगवती= સરસ્વતી દેવી
निःशेषजाड्यापहा=निःशेष=બધા પ્રકારની + जाड्य=જડતાને + अपहा=દૂર કરે.
શ્લોકનું ગુજરાતી ભાષાંતરઃ
જે મોગરા,ચંદ્ર,બરફની હારમાળા જેવી શ્વેત છે, જેમણે સફેદ વસ્ત્ર ધારણ કરેલ છે, જેમના હાથ શ્રેષ્ઠ વીણાથી સુશોભિત છે, જે સફેદ કમળના આસન પર બિરાજમાન છે, જેમની ઉપાસના બ્રહ્મા,વિષ્ણુ અને મહેશ કરે છે, જે દેવોથી સદા પૂજાય છે અને જે તમામ જડતાને દૂર કરે છે, એ મા સરસ્વતી મારું રક્ષણ કરો.
વિચારવિસ્તારઃ
આ શ્લોકમાં સરસ્વતીના તમામ વિશેષણો દ્વારા સરસ્વતીના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. દેવીના રૂપમાં સરસ્વતીનો ઉલ્લેખ ઋગ્વેદમાં પ્રથમવાર જોવા
મળે છે. તેમની પૂજા વસંતપંચમીને દિવસે મનાવવામાં આવે છે. સંગીતપ્રેમીઓથી માંડીને વૈજ્ઞાનિકો સુધીના તમામ જનો સરસ્વતીને એક જ્ઞાન અને કલાની દેવી ગણી નમે છે.Sanskrit shlok in English script:
Yaa kundendu tushaarhaardhavalaa yaa Shubhra vastravrutaa,
Yaa viṇaavaradaṇḍamaṇḍitakaraa yaa shwetapadmaasanaa
Yaa brahmacyutashankaraprabhrutibhirdevaihi sadaa vanditaa
Saa maaṃ patu sarasvati bhagavati nisheshajaadyapahaa …Word-to-word meaning in English:
Yaa= that, kundendutushaarhaardhavalaa==kund+indu+tushaar+haar+dhavalaa
Kund=Jasmin, indu=Moon, tuṣhaar=snow, Haara=Garland, dhavalaa= white,Yaa=that, shubhravastraavrutaa= Shubhra+Vastra+Avrutaa.
Shubhra= white, Vastra=clothes, Avruta=covered,
Yaa=that, viṇaavaradaṇḍamaṇḍitakaraa=Vinaavar+dand+Mandit+karaa=
Vinaavara= best Vina, daṇḍa=shape like stick, maṇḍita=decorated,
karaa= Hands, yaa= that, shwetapadmasanaa= Shwet+Padma+Aasanaa
Shweta=white, padma=Lotus, Asanaa=seated,
Yaa=that, brahmaacyutashankaraprabhrutibhirdevai =
Brahma+Achyut+shankar+Prabrutibhihi+ devaihi
brahma, Acyuta, Shankara= names of three God,
prabhṛtibhihi=by others, Devaiḥi=by Gods, sadaa=always,
vanditaa=worshipped, saa=that, maam=my,me Paatu=protect,
Sarasvati=goddess, bhagavati=divine, nisheshajaadyapahaa …
Nishesh+jaadya+apahaa=Nishesh=all, Jaadya=illusion, apahaa= destroy.
Translation in English:
She is a goddess, white like Jasmin, moon and garland of snow. She is covered with white clothes. Her hands adorned with the best veena and she sat on a white lotus. She is always worshiped by Brahma, Achyut, Shankara and other Gods. May that
divine Saraswati who destroys all illusion, protect me.
Devika Dhruva.
ddhruva1948@yahoo.com| -
સ્મૃતિસંપદા – સ્મરણગંગા : ડો. દિનેશ ઓ. શાહ – (૧)
ઉદાર અને ઉદ્દાત્ત વ્યક્તિત્વ ધરાવતા એક સફળ વૈજ્ઞાનિક તરીકે ડો. દિનેશ ઓ. શાહનું નામ અમેરીકાના ગુજરાતીઓમાં જાણીતું છે.
૧૯૩૮માં મુંબઈમાં જન્મેલા દિનેશભાઈની અમેરિકાની જીવન યાત્રા ૧૯૬૧માં શરૂ થઈ. સામાજિક પ્રગતિ માટેના કાર્યોમાં ગુજરાતમાં તેમણે ઘણો ફાળો આપ્યો છે. જેમાં શાહ-શૂલમન સેન્ટર ફોર સરફેસ સાયન્સ એન્ડ નેનોટેક્નોલોજી મુખ્ય છે. તેમના પત્ની સુવર્ણાની યાદમાં “સુવર્ણા શાહ પોએટ્રી ફેસ્ટિવલ”નું આયોજન દર બે વર્ષે થતું રહે છે તે તેમના પ્રેમાળ અને ઉદાર દિલનું પ્રમાણ છે.સાહિત્ય પ્રત્યેનો એમનો રસ ઘણો ઊંડો છે. કલમના જાદુથી એક તરફ રીસર્ચ પેપર્સમાં એમનું બુદ્ધિ કૌશલ્ય તો બીજી બાજુ કવિતાઓમાં સંવેદનાથી ભરપૂર હ્રદય છલકાય છે. એમના લખેલા ગીતોના પુસ્તક ઉપરાંત સીડી ઓ પણ ઉપલબ્ધ છે. એમની લખેલી કવિતા ગુજરાતની શાળાઓ માટેના પાઠ્યપુસ્તકમાં પણ પસંદગી પામી છે. જાણીતા ગાયકો અને સંગીતકારોની ઉપસ્થિતિમાં એમના ગીતોના કાર્યક્રમો મુંબઈ, અમદાવાદ, વડોદરા વિગેરે શહેરોમાં યોજાયા છે.
તેમની કહેલી વાર્તાઓનો ઈગ્લીશમાં અનુવાદ કરીને કિશોરવયના પૌત્રને પુસ્તક પ્રગટ કરવાની પ્રેરણા થઈ. દાદાનો વારસો અને પ્રભાવ પૌત્રએ લખેલા “વોકિંગ વિથ માય દાદા” પુસ્તકમાં પ્રગટ થાય છે. નિવૃત લોકો માટેની ફ્લોરિડાની શાંતિ નિકેતન કોલોનીમાં રહીને સમાજને ઉપયોગી થવાનો પ્રયત્ન તેઓ કરતા રહે છે.
www.dineshoshah.com પર એમને મળી વાંચી શકાશે.
Email: dineshoshah@yahoo.com
તારીખ ૭ સપ્ટેમ્બર ૧૯૬૧ ના રોજ હું મુંબઈથી ક્વોન્ટાસ એરલાઈનની ફ્લાઇટ લઇ મુંબઈથી નીકળ્યો ત્યારથી શરુ થઇ. એરપોર્ટ ઉપર મારા ભાઈઓ, બહેનો, સગાવહાલા, મિત્રો મને વળાવવા આવેલા. ઘણા મારા માટે હારતોરા લઈને આવેલા. હું સ્વપ્નોની દુનિયા અને હકીકતની દુનિયાની વચ્ચે ઝોલા ખાતો હતો. જાણેલી દુનિયા છોડી એક અજાણી દુનિયામાં પ્રવેશ કરવા જઈ રહ્યો હતો. ભાવિના સ્વપ્નો પણ હતા અને એ સાચા પડશે કે નહિ તેનો ગભરાટ પણ અનુભવતો હતો. મારી પૂર્વ ભૂમિકા જોતા વાચકને મારી પરિસ્થિતિનો ખ્યાલ આવી જશે.
કપડવંજ નામના એક નાના ગામમાં મારો ઉછેર થયો. મારા પિતાશ્રી હું દસ વર્ષનો હતો ત્યારે દેવલોક પામ્યા. મારા માતુશ્રી શારદાબેનના માથે બે દીકરીઓ તેમજ ત્રણ દીકરાઓને મોટા કરવાની જવાબદારી આવી પહોંચી. તેમણે ઈશ્વરમાં ખુબ શ્રદ્ધા રાખી હિંમતથી બાળકોને આગળ
વધવા પ્રોત્સાહન આપ્યું. આર્થિક સ્થિતિ બહુ સારી નહોતી. સારા નસીબે મારા મામા શ્રી ચંદ્રકાન્ત પરીખ ગાંધીજી ના અનુયાયી હતાં. આ પણ એક આકસ્મિક બનાવ છે કે આજે ઓક્ટોબર 2, ગાંધીજીની પુણ્યતિથિના દિવસે મારા જીવનની વાર્તા લખવાની શરૂઆત કરું છું. તેમને મને કહ્યું કે
કે તું સુતરની એક આંટી કાંતી આપે તો તને ત્રણ આંટીનો એક રૂપિયો આપીશ. દર રવિવારે સવારથી સાંજ સુધીમાં હું ઘરના એક જુના રેટિયા ઉપર ત્રણ આંટી કાંતીને બનાવી શકતો. દિવાળીના સમયે હાથથી દોરીને રંગીન ગ્રીટિંગ કાર્ડ બનાવતો. તે સમયે ઘણા ઓળખીતા લોકો મને મદદ કરવા એક એક રૂપિયાનું કાર્ડ ખરીદતા. આગળ જતા મારા એક પાડોશીએ તેમના બે નાના છોકરાઓનું ટ્યુશન કરવા મને ક્હયુ. મારે આ બને બાળકોને ગણિત અને વિજ્ઞાન શીખવાડવાનું હતું.
આઠમા ધોરણમાં હતો ત્યારે એક હરિજન જે અમારી વ્યાયામ શાળાનો કચરો વાળતો હતો તે કામ છોડી ને બીજે જતો રહ્યો. તો મેં અમારા વ્યાયામ શિક્ષક નરહરિભાઈને
કહ્યુકે હું દરરોજ કચરો વાળીશ અને તમે મને જે પગાર પેલા હરિજનને આપતાં હતા તે મને આપજો. તેમણે મંજૂરી આપી અને મને દર મહિને પાંચ રૂપિયાનો પગાર મળતો.
દરરોજ સાંજે શાળા છૂટે એટલે હું વ્યાયામશાળા સાફ કરતો તેમજ થોડી કસરત કરી ઘેર આવતો. એ સમયે મને હાઈ જમ્પ અને લોન્ગ જમ્પમાં ખુબ રસ હતો અને કોઈક દિવસ ઓલમ્પિક હરીફાઈમાં ભાગ લઈશ તેવા સ્વપ્ન પણ સેવતો. થોડા સમય બાદ અમારી શાળાના સંચાલક શ્રી શંકરલાલ શાહ ધારાસભ્ય તરીકે ચૂંટાયા. તેમણે એક વાર શાળાની મુલાકાત દરમ્યાન એક ભાષણમાં કહ્યુકે હવે આપણે આઝાદ થયા છીએ અને આપણા વિદ્યાર્થીઓએ મહેનત કરી પોતાના પગ પાર ઉભા રહેતા શીખવું જોઈએ. તો મેં એમને કહ્યું કે તમે શું કામ આપો? તો એમણે કહ્યુકે મારા ખેતરમાં દરરોજના બે રૂપિયા આપીશ. એ સમર વેકેશનમાં અમે ત્રણ વિદ્યાર્થીઓએ એમના ખેતરમાં કામ કરવાનું નક્કી કર્યું. બીજા દિવસે એક વિદ્યાર્થી ના આવ્યો કે મારા પાડોશીઓ વાતો કરે છે કે બ્રાહ્મણ થઈને ખેતરમાં કામ કરવા જાય છે. ત્રણ દિવસ પછી બીજો વિદ્યાર્થી ના આવ્યો કે મારી જૈનોની નાતવાળા કહે છે કે જૈનનો દીકરો થઈને ખેતરમાં મજૂરી કરવા જાય છે. મેં એકલાએ બે મહિના શંકરભાઈના ખેતરમાં કામ કર્યું. મને મારા પગાર કરતા
25 રૂપિયા વધારે આપ્યા. મેં પૂછ્યું કે શા માટે વધારે આપો છો? તો તેમણે કહ્યુકે આ 25 રૂપિયા તારી નૈતિક હિંમતના આપું છું. તે બીજા છોકરાઓની જેમ ડરીને બીજા વાતો કરશે એમ ગભરાઈને જોબ છોડી ના દીધી . ગાંધીજીની વિચાર સરણી જાતમહેનત કરવાની મને ખુબ કામ લાગી. આ માટે ગાંધીજીનો જેટલો આભાર માનું તેટલો ઓછો છે.
આમ અનેક કામ કરી જીવનમાં અનેક નવા સ્વપ્ના ઉમેરી જોતજોતામાં એસ.એસ.સી. ની પરીક્ષા આપી દીધી. ત્યાર બાદ બે મહિનાના વેકેશનમાં મારા એક મિત્ર પ્રભુચરણ સાથે હિમાલયના પ્રવાસે જવાનું નક્કી કર્યું. ગુજરાતમાં રહેલો વ્યક્તિને ખ્યાલ જ ના આવી શકે કે હિમાલયમાં બરફ પડતો હોય છે અને ઉનના કપડાંની જરૂર પડે છે. અમે તો ચાલુ કોટનના કપડાં લઈને હિમાલયના પ્રવાસે નીકળ્યા. હરદ્વાર, ઋષિકેશ, કેદારનાથ, તુંગનાથ વી. જોઈ આનંદ અને સંતોષ થયો. આટલું જોયા પછી મને તાવની બીમારી લાગી. તરત હું ઘેર પાછો આવ્યો. ડોક્ટરે કહ્યુકે ટાઇફોઇડની બીમારી છે. ત્યાં સુધીમાં પરીક્ષાનું પરિણામ જાહેર થયું. કપડવંજ કેન્દ્રમાં મારો પહેલો નંબર આવ્યો હતો. બધા શિક્ષકો મને મળવા મારી ઘેર આવ્યા હતા. શાળામાં મારી તબિયત સારી થઇ જાય તે માટે સમૂહ પ્રાર્થના થઇ હતી. આ બધાની મારા મન ઉપર ઘણી અસર થઇ અને હું થોડા સમયમાં સારો થઇ ગયો. મારા મોટાબેન પદ્માબેન તેમજ બનેવી કનુભાઇએ મારુ એડમિશન એલ્ફિન્સ્ટન કોલેજમાં લીધું તેમજ રહેવા માટે ગોકુલદાસ તેજપાલ બોર્ડિંગમાં લીધું. આ હોસ્ટેલ ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે હતી. તેમાં ખુબજ ઓછા ખર્ચથી રહેવાતું.
મારી કોલેજ શરુ થઇ ગઈ. ગુજરાતી કવિતાની હરીફાઈમાં મેં મારુ લખેલું એક મુક્તક આપ્યું. પરિણામ જાહેર થયું તેમાં મારા મુક્તકને બીજું ઇનામ મળ્યું. આ કારણથી મારી છાપ “કવિ” તરીકે બધા મિત્રો ઓળખવા લાગ્યા. અંગ્રેજીમાં બોલવું કે લખવું મારા માટે ખુબ ભારે હતું પરંતુ બધાને ફાવે છે તો મને કેમ ના ફાવે તેવો વિચાર કરી પ્રયત્ન કરતો. એક સેમેસ્ટરમાં જે કઈ ઈનામના પૈસા મળેલા તે વપરાઈ ગયા. એક સાંજે દરિયાકિનારે ચાલતો હતો અને વિચાર કરતો હતો કે કઈ રીતે જરૂરિયાત જેટલા પૈસા ભેગા કરી ભણતર ચાલુ રાખવું? અચાનક મારી નજર એક બંગલાના દરવાજા ઉપર પડી. ત્યાં નાના બોર્ડ ઉપર લખ્યું હતું કે બેરિસ્ટર ભુલાભાઇ દેસાઈ તેમજ બેરિસ્ટર ધીરુભાઈ દેસાઈ. આ બંને વિષે મેં શાળા દરમ્યાન વાંચ્યું હતું. બેરિસ્ટર ભુલાભાઇ દેસાઈની આગેવાની નીચે આઝાદ હિન્દ ફોજના ત્રણ જનરલોને દેશ દ્રોહની સજામાંથી મુક્ત કરાવેલા. ગાંધીજીએ તેમને “દેશભક્ત ભુલાભાઇ દેસાઈ ” તરીકે બહુમાન કરેલું. આ રોડનું નામ પણ ભુલાભાઇ દેસાઈ રોડ હતું. મેં બારણાંપાસે જઈ બેલ વગાડ્યો. એક નોકરે બારણું ખોલ્યું અને પૂછ્યું કોનું કામ છે? મેં કહ્યું કે ઘરમાં જે હોય તેમને આ ચીઠી આપશો? એક કાગળમાં મેં લખ્યું કે હું અહીં એલ્ફિન્સ્ટન કોલેજમાં ભણું છું અને ગોકુલદાસ હોસ્ટેલમાં રહુ છું . મારે કઈ પાર્ટટાઈમ કામની જરૂર છે. આપ કઈ મદદ કરી શકો તો મારો અભ્યાસ ચાલુ રહે. નોકર અંદર ગયો અને થોડીવારમાં બારણું ખોલી મને ઘરની અંદર આવવા કહ્યું. ખુબ પ્રભાવશાળી એક બહેન ખુરશીમાં બેઠા હતા . તેમણે મને પૂછ્યું કે ક્યાંથી આવો છો અને હાલમાં શું કરો છો? મેં મારી પુરી કથની કહી . તેઓ દેલવાડાના દેહરાની મુલાકાતે ગયેલા ત્યારે મારી શાળાના વિદ્યાર્થીઓને મળેલા અને તેમના પર સારી છાપ પડેલી. તેમણે કહ્યું આવતીકાલે આવજો અમે વિચાર કરીને તમને કંઈક કામ આપીશું. આ બેનનું નામ હતું માધુરીબેન દેસાઈ. તેમના પતિ બેરિસ્ટર ધીરુભાઈ દેસાઈ સ્વિટઝર્લેન્ડ ખાતે ભારતીય એલચી હતા. તેમનું અચાનક સ્વીટ્ઝરલેન્ડમાં અવસાન થયું એટલે માધુરીબેન ભારત આવી મુંબઈમાં બિચકેન્ડી ઉપર બંગલો બનાવી સ્થાયી થયા. તેઓ અમદાવાદના અગ્રણી ઉદ્યોગપતિ લાલભાઈના કુટુંબીજન હતા. બીજે દિવસે મળવા ગયો ત્યારે તેઓ ઘરમાં નહોતા પરંતુ તેમના પારસી સેક્રેટરીએ કહ્યું કે તમે અમારા બે નોકરોના બાળકોને ટ્યુશન આપવા આવજો અને અમે તમારી ફી કોલેજમાં તેમજ હોસ્ટેલની ભરી દઈશું. મારા માટે તો આ ન માની શકાય તેવો પ્રસંગ હતો. મારી આર્થિક ચિંતા બિલકુલ મટી ગઈ. મારુ બી.એસ.સી. પતિ ગયું અને પછી મેં કોલેજના વિદ્યાર્થીઓને ટ્યુશન આપવાનું શરુ કર્યું. દર સેમેસ્ટરમાં એકવાર મળવા જતો અને મારા અભ્યાસ વિષે તેમને માહિતગાર કરતો. એમ.એસ.સી. પતાવ્યા બાદ મારે અમેરિકા પી.એચ.ડી કરવા જવું હતું. મને કોલંબિયા યુનિવર્સીટીમાં એડમિશન મળ્યું અને વિસા લેવા માટે મારી સાથે તે અમેરિકન કોન્સુલેટમાં આવ્યા .
મુંબઈમાં મારા મિત્રોએ એક રેસ્ટોરન્ટમાં પાર્ટી આપી. અમારી જ્ઞાતિના કુટુંબોએ સન્માન સમારંભ ગોઠવીને હારતોરા કર્યા . પહેલા પાને લખ્યું તે પ્રમાણે મારી અમેરિકાની યાત્રા થોડા સ્વપ્નો અને થોડા ગભરાટ સાથે શરુ કરી. હવાઈ જહાજમાં એરહોસ્ટેસે મને મારી સીટ ઉપર બેસાડ્યો અને એક ટ્રેમાં ગરમ પાણીની કીટલી, ટીબેગ, સુગરની પડીકી, ચમચી અને બિસ્કિટ વિ હતા. મેં ટીબેગ તોડી ચાનો ભૂકો ગરમ પાણીમાં નાખ્યો. પણ ચા ગાળવાની ગરણી ના દેખાઈ. તો મેં એરહોસ્ટેસને બોલાવી ચા ગાળવા માટે કંઈક લાવવા કહ્યું. તો એણે મને સમજાયું કે સાર, તમારે ટીબેગ તોડાવાની નહોતી પણ આખી જ પાણીમાં નાખવાની હતી . મારી બાજુમાં એક જનરલ મોટર્સના એક્ઝિક્યુટિવ બેઠેલા અને તેમણે મને સમજાવ્યું કે અમેરિકા બહુજ આગળ પડતો દેશ છે. અમે બધુજ વૈજ્ઞાનિક સિદ્ધાંતો પ્રમાણે કરીએ છીએ. અમે ટીબેગ એવી બનાવી છે કે ટી ના મોલીક્યુલ પેપરબેગમાંથી નીકળી ગરમ પાણીમાં આવી જાય અને ટીબેગ અને ચાના કુચા અમે ગારબેજમાં ફેંકી દઈએ છીએ. પછી એ ભાઈ તેમનું વોલસ્ટ્રીટ જર્નલ વાંચવા માંડ્યા . ધીમે ધીમે મેં ચમચી વડે ચાના કૂચ બહાર કાઢી લીધા. હવે મારે સુગર ચાના કપમાં નાખવાની હતી. તો મને વિચાર આવ્યો કે આ એડવાન્સ સોસાયટી ટીબેગમાંથી ટીના મોલીક્યુલ બહાર નીકળી જાય તેવી બનાવે છે તો સુગરબેગ પણ સુગર મોલેક્યુલ બહાર નીકળી જાય તેવી બનાવી હશે. એમ સમજી મેં સુગર બેગ આખીને આખી ચાના કપમાં નાખી. મારી બાજુમાં બેઠેલા પેલા એક્ઝિક્યુટિવ મને કહે, “યંગમેન, વોટ આર યુ ડુઇંગ? મેં કહ્યું કે તમે મને કહ્યું કે અમે ટીબેગ એવી ડિઝાઇન કરી છે કે ટી મોલીક્યુલ બહાર પાણીમાં આવી જાય તો તમે સુગર બેગ પણ એવીજ ડિઝાઇન કરી હશે કે જેમાંથી સુગર મોલીક્યુલ બેગમાંથી બહાર પાણીમાં આવી જાય! એમણે કહ્યું કે યંગમેન, યુ વિલ નીડ લોટ ઓફ હેલ્પ ઈન અમેરિકા! હું જરૂર કબૂલ કરું છું કે મારા અમેરિકાના વસવાટ દરમ્યાન મને અનેક વ્યક્તિઓએ ખુબ મદદ કરી છે.
ક્રમશઃ
-
દિલીપ પરીખની એક અનોખી ચિત્ર શ્રેણી…E=MC2
રજુઆતઃ સરયૂ મહેતા-પરીખ
દિલીપ કૃષ્ણકાન્ત પરીખ એમ.એસ.યુનિવર્સિટી, વડોદરામાં, Physics અને Electronics નો અભ્યાસ કરી, ૧૯૬૫માં ફેલોશીપ મેળવી યુ.એસ.એ. આવેલા. વર્ષો સુધી, Microelectronics Industries, Rockwell International, AT&T Bell Labs, Texas Inst.માં service કરી આજે Austin, Texasમાં નિવૃત્ત-પ્રવૃત્ત જીવન મ્હાણી રહ્યા છે. આધ્યાત્મિક અભ્યાસમાં ખૂબ ઊંડો રસ ધરાવે છે.

છ દસકા આ દેશમાં રહ્યા પછી પણ ભારતીય સંગીત અને ચિત્રકલાનો રસ જળવાઈ રહ્યો છે. રોજ, શાસ્ત્રીય સંગીત સાંભળતા, ફિઝિક્સ અને આધ્યાત્મિક સમન્વયવાળા ચિત્રો, નિજાનંદ માટે બનાવતા રહે છે. તેમના વધુ ચિત્રો સરયૂ પરીખની વેબસાઈટ પર છે. www.saryu.wordpress.com hdkp@yahoo.com
ભાવનગરની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ચિત્ર શિક્ષક શ્રી સોમાલાલ શાહના ક્લાસથી રસ જાગ્યો. એ સમયે દોરેલા વોટર કલરમાં ચિત્રો, પેપર રોલ કરી ભારતથી અમેરિકા લઈ આવેલા, તેનાં રંગો હજુ સુધી કાયમ રહ્યા છે.

Sujata…Buddha’s devotee, watercolor 1956. DKP દિલીપ કિશોરે કોઈ કાર્ડ પર આ જોઈને જે રંગો લભ્ય હતા તેમાંથી ૧૮”નું ચિત્ર બનાવ્યું. એ સમયે શ્રી સોમાભાઈના મિત્ર, ચિત્રકાર ખોડીદાસ પરમારનો પરિચય થયો અને એક ઉત્સુક વિદ્યાર્થી તરીકે તેમની સૂક્ષ્મ કુશળતા, જેમકે ચિત્રમાં રંગ સૂકાયા પછી ડ્રોઈંગ પેપરને કઈ રીતે ધોવાનું વગેરે મૌન સાક્ષી બની શીખી લીધું.

Devyani… Kach-Devyani story.1956. DKP પુસ્તકો વાંચવાના શોખને કારણે કચ અને દેવયાનીની વાર્તામાં ઘણો રસ. શ્રી.સોમાભાઈના બનાવેલ ચિત્ર પરથી વિદ્યાર્થી દિલીપે ૧૮” ‘દેવયાની’ અને ‘પનિહારી’ ચિત્ર બનાવેલ..

Panihari. watercolor 1956. DKPહાઈસ્કૂલ સમયના થોડા ચિત્રો જ જળવાઈ રહ્યા છે. બાકી બીજા ઘણા ક્યાં હશે…તેનો તાગ લગાવવો મુશ્કેલ છે. વર્ષોના અંતરાય પછી…1998 to now. Paintings in Oil color.

Panihari. DKP. 2010 4’x6’ oil color. દીકરી સંગીતા અને મૃદુલના નિવાસ સ્થળે દિલીપ પરીખની કોલેજ સમયની સફળ કારકિર્દી, ગોલ્ડ મેડલ, સરયૂ મહેતા સાથે ૧૯૬૯માં લગ્ન. આગળના લેખમાં ચિત્રકારની સફરની વાત કરીશું.
Note: The photocopies do not justify the original art.
પ્રતિભાવઃ … રસદર્શનઃ શ્રી દિલીપ પરીખની ભાવઘન ચિત્રસૃષ્ટિ.
નિસર્ગ આહિર, ‘ગુર્જરી ડાયજેસ્ટ’ જુલાઈ ૨૦૨૪.
“…દરેક ચિત્ર તીવ્ર અસર છોડી જાય છે. આંખને જોવી ગમે એવી રમ્ય આકૃતિ, તેજસ્વી રંગો સાથે ભાવાત્મક, હેતુપુરઃસર સંયોજન – આ બધી ધ્યાનાર્હ ખાસિયતો છે ચિત્રકાર દિલીપ પરીખની…”
Saryu Parikh સરયૂ પરીખ www.saryu.wordpress.com
શાસ્ત્રીય સંગીત સાંભળતા, ફિઝિક્સ અને આધ્યાત્મિક સમન્વયવાળા ચિત્રો, નિજાનંદ માટે બનાવતા રહેતા શ્રી દિલીપ પરીખની ચિત્રકળાનો આસ્વાદ કરાવતી આ શ્રેણી આપણે દર મહિનાના પહેલા બુધવારે માણીશું.સંપાદક મંડળ, વેબ ગુર્જરી
