નિસબત
ચંદુ મહેરિયા
થોડા સમય પૂર્વે અમદાવાદની અદાલતમાં એક અજીબ પ્રકારનો માનહાનિનો કેસ આવ્યો હતો. અમદાવાદની રેફ્રિજરેટર બનાવતી ખાનગી કંપનીના જુનિયર એન્જિનિયરે તેમના સહકર્મીઓ પર તેમને અટકથી બોલાવીને બદનક્ષી કરતાં હોવાની ફરિયાદ કરી હતી. સામાન્ય રીતે આપણે ત્યાં સરકારી અને ખાનગી કચેરીઓમાં વ્યક્તિને નામને બદલે અટકથી ઓળખવાનો તથા બોલાવવાનો ચાલ છે. પેલા એન્જિનિયરસાહેબની અટક ‘ બાયડી’ હતી અને સહકર્મીઓ તેમને ‘ બાયડી’ કહીને બોલાવતા હતા. આ પ્રકારની અટક બદલવાને બદલે તેમણે અદાલતમાં બાયડી શબ્દના ઉચારણથી પોતાની સાથે મહિલાઓની પણ બેઈજ્જતી થતી હોવાની દલીલ કરી હતી. અટકને કારણે કેવી સ્થિતિ સર્જાય છે તેનું આ કનિષ્ઠ ઉદાહરણ છે.
નામને બદલે અટકથી માણસને બોલાવવાની પ્રથા માત્ર કચેરીઓમાં જ નથી, શાળા-કોલેજોમાં પણ વિદ્યાર્થીઓના નામમાં પહેલા અટક લખાય છે. હવે ગુજરાત સરકારે ચાલુ શૈક્ષણિક સત્રથી તેમાં ફેરફાર કર્યો છે. એટલા માટે નહીં કે સરકારને અટકના આટાપાટા ઉકેલવા છે પણ એટલા માટે કે વિદ્યાર્થીઓના આધારકાર્ડ અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં એકરૂપતા નહીં હોવાથી સમસ્યાઓ સર્જાઈ છે. રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના જનરલ રજિસ્ટર અને શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં હવે વિદ્યાર્થીના પૂરા નામમાં અટક પહેલાં નહીં પણ છેલ્લે લખવાનો સરકારી આદેશ થયો છે.
આદિ માનવોની ઓળખ તેમની ટોળી કે શિકારના સ્થળો પરથી થતી હતી અને તે કાયમી નહોતી પણ બદલાતી રહેતી હતી. માનવી સમૂહમાં રહેતો થયો, કુટુંબ સંસ્થા અસ્તિત્વમાં આવી તે પછી અટકો અસ્તિત્વમાં આવી હશે. સમાજશાસ્ત્રી વિધ્યુત જોશીના મતે નામ એ વ્યક્તિગત ઓળખ છે પરંતુ અટક એ જૂથગત ઓળખ છે. આ જૂથ જ્ઞાતિ, ગૌત્ર, કુટુંબસમૂહ, ગામ કે વ્યવસાયના સ્વરૂપનું હોઈ શકે છે. એક બીજો મત વસ્તી વૃધ્ધિ અને વ્યવહારની ઘનતાને કારણે અટકની જરૂરિયાત ઉભી થયાનો પણ પ્રવર્તે છે.

મૂળે પશ્ચિમના દેશોમાં જન્મેલી અને વ્યવસાય , વતન ગામ, બાપદાદાના નામ પરથી બનેલી અટકો ભારતમાં જ્ઞાતિનો પર્યાય બની ગઈ છે. વ્યક્તિના નામોમાં આધુનિકતા પ્રવેશી છે પરંતુ વ્યક્તિને જેમ જન્મ સાથે જ્ઞાતિ વારસામાં મળે છે તેમ અટક પણ મળે છે. જોકે તેમાં ફરક એટલો છે કે નામ-અટક બદલી શકાય છે. મેડિકલ કોલેજોમાં ભણતા દલિત વિદ્યાર્થીઓને જ્ઞાતિસૂચક અટક પરથી ભેદભાવનો ભોગ બનવું પડે છે. એટલે મેડિકલ કોલેજોના વિદ્યાર્થીઓ ઉપરાંત ડોકટર્સ , કોન્ટ્રાકટર્સ, પ્રાઈવેટ સેકટરમાં કામ કરતા કે અન્ય વ્યવસાયિક દલિતો અટકો બદલે છે. પરંતુ એક અભ્યાસ પ્રમાણે નામ-અટક બદલવાથી જ્ઞાતિ બદલ્યાનો આભાસ ઉભો કરી શકાય છે પણ વાસ્તવમાં તે બદલી શકાતી નથી.
ગૂજરાત વિદ્યાપીઠના સાર્થ જોડણીકોશમાં અટકનો પર્યાય અડક જણાવી તેનો અર્થ ગોત્ર, ધંધો કે વતન ઈત્યાદિ બતાવતું નામ જોડે મૂકવામાં આવતું ઉપનામ (પૃષ્ઠ-૧૩) એવો દર્શાવ્યો છે. લોકબોલીમાં શાખ, નુખ, અંગ્રેજીમાં સરનેમ અને સંસ્કૃતમાં અવટંક જેવા શબ્દોથી ઓળખાતી અટકનો એક અર્થ સાર્થ જોડણીકોશમાં નડતર કે અવરોધ પણ આપ્યો છે. જે જ્ઞાતિસૂચક અટકને કારણે યથાર્થ છે.સ્વામી સચ્ચિદાનંદે દલિતોને જ્ઞાતિદર્શક ન હોય તેવી અટકો ધારણ કરવા અને અનાદર પેદા કરનારી અટકો ફગાવી દેવા અપીલ કરી હતી. કથિત ઉચ્ચજ્ઞાતિઓ માટે ગૌરવ, ગુમાન, શૌર્ય, અહમ કે ઉચ્ચતા દર્શાવતી અને દલિતો માટે અપમાન, અનાદર, ઘૃણા અને નફરત જન્માવતી જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીને જ્ઞાતિ નિર્મૂલનની દિશાનું પગલું માનવામાં આવે છે.
૨૦૨૫માં ઈન્ડિયન સ્કૂલ સર્ટિફેકેટની પરીક્ષામાં કોલકાત્તાની ૧૭ વરસની સૃજની સો ટકા માર્કસ મેળવી ટોપર બની હતી. સૃજનીએ તેના પરીક્ષા ફોર્મમાં જ તેની અટક લખી નહોતી. એટલું જ નહીં ધર્મના ખાનામાં માનવતા લખ્યું હતું. નોંધપાત્ર છે કે સૃજની કથિત ઉચ્ચજ્ઞાતિની છે. છતાં તેણે સમજપૂર્વક જ્ઞાતિસૂચક અટકનો ત્યાગ કર્યો હતો. જાણીતા ફિલ્મ અભિનેતા ઈરફાન ખાનના પુત્ર બાબિલ ખાન પણ ફિલ્મો અને ટી.વી. સિરિયલોમાં કામ કરે છે. તેમણે પણ ખાન અટક્નો ત્યાગ કરવાની ઘોષણા કરી છે.
પેરિયાર ભૂમિ તમિલનાડુમાં વીસમી સદીના આરંભે જે સ્વાભિમાન આંદોલન થયું હતું તેમાં ઘણાં લોકોએ અટકો છોડી હતી. જે.પી. આંદોલનમાં નામની પાછળ માતાની ઓળખ રાખવાનું બન્યું હતું. સૃજની કે બાબિલના એકલદોકલ પ્રયાસો અટકને લીધે થતા ભેદભાવોની નાબૂદીમાં મહત્વના છે. જોકે જાણીતા રાજનેતાઓ જયપ્રકાશ નારાયણ, ચરણસિંઘ, ચંદ્રશેખર અને જગજીવન રામે અટકોનો ત્યાગ કર્યો હતો. પરંતુ તેમની જ્ઞાતિ નાનું છોકરું પણ જાણે છે. એટલે અટકના ત્યાગથી જ્ઞાતિ નાબૂદ થઈ જ જશે તેમ કહી શકાતું નથી.
અટકો સ્ત્રી-પુરુષ ભેદભાવની બાબતમાં પણ અગત્યનો ભાગ ભજવે છે. ભારતમાં લગ્ન પછી સ્ત્રીએ પોતાના નામ પાછળ પતિનું નામ અને અટક ધારણ કરવાં પડે છે. કેટલાક રાજ્યોના સમાજોમાં તો તેનું નામ પણ બદલવામાં આવે છે. મહિલાને એક સ્વતંત્ર માણસ નહીં પણ જાણે કે પિતા કે પતિ પર આધારિત વસ્તુ માનતી પિતૃસત્તાનું આ પરિણામ છે.
ભારતમાં જ નહીં વિશ્વના સમૃધ્ધ અને વિકસિત દેશ જાપાનમાં પણ આવી સ્થિતિ છે. ઓગણીસમી સદીના અંતિમ વરસોમાં(ઈ.સ.૧૮૯૬) જાપાને કાયદો ઘડીને લગ્ન પછી પતિ-પત્નીએ એક સમાન અટક રાખવાનું નક્કી કર્યું હતું. એક અંદાજ મુજબ જાપાનની ૯૬ ટકા મહિલાઓને સમાન અટકના કાયદાનું પાલન કરવા પતિની અટક ધારણ કરવી પડતી હતી. મહિલા સમાનતા અને સ્ત્રી જાગ્રતિકરણના આ જમાનામાં જાપાની મહિલાઓને સમાન અટકનો કાયદો ખટકતો હતો અને તેને નાબૂદ કરવા માંગણી કરતી હતી. જાપાની મહિલાઓના લાંબા સંઘર્ષ પછી લોકમત મહિલાઓના વિરોધમાં હોવા છતાં જાપાની સરકારે થોડા વરસો પહેલાં આ કાયદો નાબૂદ કર્યો છે.
જાપાનથી સાવ સામા છેડાનું અટક્પુરાણ દક્ષિણ આફ્રિકાનું છે. દક્ષિણ આફ્રિકાની સર્વોચ્ચ અદાલતે પતિઓની પત્નીની અટકો અપનાવવાની માંગણી સ્વીકારી છે. મહિલા સમાનતાની દિશામાં આવું પણ જોવા મળે છે પતિઓને પત્નીની અટક અપનાવવાની મંજૂરી આપતો દક્ષિણ આફ્રિકા કંઈ પહેલો દેશ નથી. પૂર્વે અમેરિકાના કેટલાક રાજ્યો અને ન્યૂઝીલેન્ડ જેવા દેશમાં પણ આવી મંજૂરી આપવામાં આવી છે.
જ્ઞાતિ અને ધર્મ સૂચક અટકોની નાબૂદીની દિશામાં વિચારતાં જાપાનની તોહોફુ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રના પ્રાધ્યાપકની એક ગણતરી જાણવા જેવી છે. જાપાનમાં સૌથી વધુ લોકોની અટક સેટો છે. તે પછીના ક્રમે સુઝુકી છે. પ્રો. હિરોશી યોદિશાનો અભ્યાસ જાણાવે છે કે પાંચસો વરસો પછી એટલે કે ઈ.સ. ૨૫૩૧ સુધીમાં બધા જાપાનીઓની અટક સેટો હશે. જો અર્થશાસ્ત્રી હિરોશીની ગણતરી સાચી પડે તો અટક નાબૂદીની દિશામાં તે મહત્વનું હશે. તેનાથી જાપાની પ્રજા અટકને બદલે નામથી ઓળખાતી થશે.પરંતુ શું ભારતમાં આવું ક્યારેય થઈ શકે ખરું?
