લાંબી અને અર્થ વગરની કવિતાઓ માટેની એક વ્યંગ રચનાઃ
મૂળ કાવ્યની લોકપ્રિયતાને આધારે લખાયેલ પ્રતિકાવ્ય
ભૂલ કહે ભ્રમણાને…
– નિર્મિશ ઠાકર
ભૂલ કહે ભ્રમણાને, ભ્રમણા ભૂલવે વાત ભજનમાં:
લાઘવ ક્યાંય નથી રે કવનમાં !
કાલિન્દીનાં જલમાં ઝાંકી
પૂછે કદંબડાળી
યાદ તને બેસી અહીં કોણે
રચી શબ્દની જાળી ?
લહર વમળમાં પડે, વમળ ઝટ સરી પડે ચિંતનમાં:
લાઘવ ક્યાંય નથી રે કવનમાં !
કરો કવિને જાણ:
અરથની તાણ રહી છે વરતી !
સ્હેજ ન રાખી લજ્જા લખતાં,
રાવ હવે ક્યાં કરવી ?
છંદ કહે લય-પ્રાસને, સહસા ફેર ચડે લોચનમાં:
લાઘવ ક્યાંય નથી રે કવનમાં !
શિર પર ગોરસમટકી (?)
ના એ છલકી કે નવ તૂટી,
કંકર અંદર-બાહર વાગ્યા
કશું ન નીકળ્યું ફૂટી !
નિર્મિશ કહે ઝટ વેચને પસ્તી… તોલ બધું વજનમાં !
લાઘવ ક્યાંય નથી રે કવનમાં !

કાવ્ય સરસ, સ્મિત લાવે છે. કોઈ પણ કવિ મનના આનંદ માટે લખે તે સરસ, પણ અન્ય પર થોપે અને પ્રતિભાવ મેળવવાનો આગ્રહ રાખે ત્યારે કહેવું પડે…”રાવ હવે ક્યાં કરવી ?
છંદ કહે લય-પ્રાસને, સહસા ફેર ચડે લોચનમાં:
લાઘવ ક્યાંય નથી રે કવનમાં !“
સરયૂ
LikeLike