વરસાદ અને ચોમાસાં વિશે વૈજ્ઞાનિક માહિતી

વાવાઝોડાં

પરેશ ૨. વૈદ્ય

વીજળી અને મેઘગર્જનાની જેમ વરસાદ સાથે જોડાયેલી બીજી ડરાવનારી ઘટના છે વાવાઝોડાંની. એનું રૌદ્ર રૂપ અને તાકાત ઘણાં વધારે છે. એ વરસાદ જોડે સંકળાયંલાં છે તે ખરું, પરંતુ વાવાઝોડું પોતે એ ચોમાસાની ઘટના નથી. ચોમાસાંની ઋતુ ન હોય તેના પ્રદેશોમાં પણ એ આવે છે. ભારતીય ઉપખંડમાં વાવાઝોડાં ચોમાસાથી પહેલાં અથવા ચોમાસું પૂરું થાય તે પછી તુરત આવે છે. જો કે આ નિયમમાં છેલ્લાં બેએક વર્ષથી અપવાદ દેખાયા છે; ચોમાસાની અધવચ્ચે પણ વાવાઝોડાં આવ્યાં. બાકી સાધારણપણે મે મહિનામાં અને પછી ઓક્ટોબર-નવેમ્બરમાં એ આવે છે. છેલ્લાં ત્રણ વરસ બાદ કરતાં, સામાન્ય અનુભવ એવો છે કે મોટા ભાગનાં વાવાઝોડાં બંગાળના ઉપસાગરમાં જન્મે છે; અરબી સમુદ્રમાં ઓછી સંખ્યામાં અને ઓછી શક્તિવાળા તોફાન આવે છે.

જેમ ચોમાસું દુનિયામાં અમુક સ્થળોએ જ છે, તે રીતે વાવાઝોડાં પણ અમુક ચોક્કસ વિસ્તારોમાં જ આવતાં જણાયાં છે. ચિત્ર-૧૫માં આ ક્ષેત્રો જોઈ શકાય છે. આપણા ઉપરાંત એ પૂર્વ એશિયાના દેશો (ફિલીપાઈન્સ વગેરે)માં દેખાય છે. ત્યાં એ પ્રશાંત મહાસાગર બાજુથી આવે છે. બીજો વિસ્તાર વેસ્ટ ઈન્ડિઝના ટાપુઓ છે, જ્યાં ક્યારેક તો આટલાંટિક સમુદ્રમાં ઉઠેલું તોફાન ધરતી પાર કરી પ્રશાંત સાગર તરફ જાય છે. દક્ષિણ ગોળાર્ધમાં ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સુધી લટાર મારી આવે છે. કુદરતી પ્રક્રિયા એકની એક જ હોવા છતાં વિશ્વના જુદા જુદા પ્રદેશો એને જુદાં નામથી ઓળખે છે. ગુજરાતીમાં આપણે વાવાઝોડું કહીએ છીએ તેનું અહીં અંગ્રેજી નામ Cyclone (સાયક્લૉન) છે. એવું તોફાન વેસ્ટ ઈન્ડિયન ટાપુઓ ઉપર ‘હરિકેન’ કહેવાય અને જાપાનને કાંઠે ટાઈફૂન. આ બધાં વચ્ચે એક સામ્ય છે કે એ બધાં વિષુવવૃત્તની નજીકથી શરૂ થયાં હોય છે. પછી ભલે હજારો કિલોમીટરની યાત્રા કરી દૂરનાં સ્થળે પટકાતાં હોય અને ત્યાં વિનાશ વેરે.

વિશ્વમાં વાવાઝોડાંને પાત્ર વિસ્તારો

ઉત્પત્તિ :

બીજાં પ્રકરણમાં આપણે આંતરવૃત્તિય મિલન ક્ષેત્ર (ITCZ)ની વાત કરી ગયાં. વિષુવવૃત્તની નજીકના આ પટ્ટામાં સામસામી બે દિશામાંથી પવનો આવી મળે છે અને ઉપર જાય છે. ઋતુ બદલતી હોય ત્યારે આ પટ્ટા પાસે પવનો અસ્થિર થાય છે. તેવામાં જો અમુક સ્થળે પાણીનું ઉષ્ણતામાન આસપાસ કરતાં ય વધી જાય તો ત્યાંની હવા વધુ ઝડપે ઉપર જાય છે. તો ત્યાં નાનો શો ઓછાં દબાણનો વિસ્તાર બને છે. તેને ભરવા ITCZ સિવાયની કોઈ ત્રીજી દિશામાંથી હવા ધસી આવે તો અસ્થિરતા નિર્માણ થાય છે. તે વખતે ITCZ નો પટ્ટો વિષુવવૃત્તની ઉપર જ હોય તો કંઈ નથી થતું, પરંતુ જો ઉત્તર કે દક્ષિણમાં પાંચ અંશ અક્ષાંશ જેટલો ખસી ચૂક્યો હોય તો ત્યાં પૃથ્વીનાં ધરીભ્રમણનો વેગ ભાગ ભજવે છે. પેલી ધસી આવતી હવાની દિશાને એ મરડે છે અને ચક્રિય ગતિ શરુ થઈ જાય છે. ગોળ ફરતી હવા ઉપર પણ જતી હોવાથી પાણીની સપાટી પર હવાનું દબાણ હજુય ઓછું કરે છે તેથી વળી વર્તુળાકાર ગતિ વધે છે અને અસ્થિરતાનું ‘વિષચક્ર’ શરૂ થઈ જાય છે.

ઉત્પત્તિનો શરૂઆતનો તબક્કો

મધ્યમાં ઓછાં દબાણવાળી આ પ્રણાલિ ITCZના પટ્ટાથી વિખૂટી પડી એક સ્વવંત્ર ઘટના તરીકે ફરે છે. આ થઈ વાવાઝોડાંની શરૂઆત. ભૌતિકશાસ્ત્રના નિયમો મુજબ ઉત્તર ગોળાર્ધમાં આ ચક્ર ઘડિયાળના કાંટાથી વિરુદ્ધની દિશામાં ફરે છે (anti-clockwise) અને દક્ષિણ ગોળાર્ધમાં ઘડિયાળની દિશામાં. એક પંપની જેમ એ સમુદ્રની સપાટી પરની ભેજવાળી હવાને ઉપર ધકેલતું રહે છે; ઉપર જઈ ઠંડી થતાં એ હવાના ભેજના વાદળાં બનતા રહે છે. ગાજવીજનાં વાદળાંની વાત કરી ત્યારે આપણે જોયું કે ભેજવાળી હવા ઠંડી પડે ત્યારે પોતાની આંતરિક ઊર્જા બહાર ફેંકે છે અને એ ગરમીના કારણે હવાનો જથ્થો વધુને વધુ ઉપર જતો રહે છે. આ પ્રક્રિયામાં અહીં તો વળી વર્તુળાકાર ગતિ પણ છે. એટલે વાદળાંનો એક ઊંચો નળાકાર રચાય છે અને ઉપર પહોંચી વાદળાં બહાર તરફ ફેલાતાં રહે છે. ઉપગ્રહનાં ચિત્રમાં એ થાળી જેવું દેખાય છે. સમુદ્રથી એ ૧૦-૧૨ કિ.મી. ઉપર હોય છે અને એનો વ્યાસ ૩૦૦-૪૦૦ કિ.મી.નો હોઈ શકે. સમુદ્રનાં પાણીનું ઉષ્ણતામાન ૨૭૦ સે. કે તેથી વધુ હોય ત્યારે જ વાવાઝોડાં સર્જાય છે.

આંતરિક રચના :

સાથેનાં ચિત્ર માં એક વાવાઝોડાંનો ઊભો છેદ (એટલે કે આંતરિક ઘટના) બતાવ્યો છે. તેના કેન્દ્રમાં કંઈ નથી. ત્યાં ઊભા હો તો માથે ભૂરું આકાશ દેખાય. આ વાવાઝોડાંની આંખ છે, તેનો પાંચ થી પચાસ કિ.મી.નો વ્યાસ હોઈ શકે. તે પછી મુખ્ય દિવાલ છે અને તેની બહાર વાદળાંના તૂટક તૂટક નળાકારો છે. આ બધું ફરે છે અને ‘ક્યુમુલો નિમ્બસ’ પ્રકારનાં વાદળાં નીચેનાં સ્થળોએ વરસાદ વરસાવતાં રહે છે.

વાવાઝોડાંનો ઊભો છેદ

આ આખી પ્રણાલિ હટતી પણ રહે છે. જેમ ભમરડો ફરતો ફરતો હટતો રહે છે તેવું જ વાવાઝોડું પણ કરે છે. આ ગતિ ઠગારી છે. ક્યારેક રોજના ૨૦-૨૫ કિ.મી. ખસે તો ક્યારેક કલાકો સુધી એક જગ્યાએ ઊભી જઈ હવામાનશાસ્ત્રીઓ અને લોકોની ધીરજની પરીક્ષા લે છે. એનો ખસવાનો માર્ગ ધીરે ધીરે વૈજ્ઞાનિકોને સમજાવા લાગ્યો છે. એ ઉપગ્રહનાં ચિત્રો સાદાં રડાર અને ડૉપ્લર રડારની મદદથી તેના ઉપર નજર રખાય છે. આમ છતાં એ આગાહી કરતાં જુદા માર્ગે ચાલ્યું જાય તો આશ્ચર્ય નથી. કલાકે ૨૦૦ કિ.મી. ઝડપે ફરતો ભમરડો માર્ગમાંથી થોડો હટી જાય અને સરવાળે જુદી જ જગ્યાએ પહોંચી જાય તે સમજાય તેવી વાત છે.

ચિત્ર-માં વાવાઝોડાં નિસર્ગનો માર્ગ બતાવ્યો છે.

વાવાઝોડા નિસર્ગનો માર્ગ | સૌજન્ય : (ભારતીય હવામાન ખાતું)

વાવાઝોડાંનાં માર્ગ :

બંગાળના ઉપસાગરનાં વાવાઝોડાં સામાન્ય રીતે અરબી સમુદ્રનાં વાવાઝોડાં કરતાં વધુ શક્તિશાળી હોય છે અને તે મુજબ તેનો માર્ગ પણ એકદમ નક્કી નથી. પરંતુ અરબી સમુદ્રનાં વાવાઝોડાંનો માર્ગ ભાખવો સરળ છે. એ વેરાવળ કાંઠે આવે તેવું જ મનાય છે. તાજેતરમાં મોટાભાગનાં વાવાઝોડાં ઓમાન તરફ વળી જાય છે. પૂર્વ કાંઠે તમિળનાડુમાં નાગાપટ્ટનમ્, આંધ્રમાં વિશાખાપટ્ટનમ્ અને ઓરિસ્સામાં પારાદીપ અને જગન્નાથપૂરીની આસપાસ પટકાય છે. તોફાનનો માર્ગ કેવો હશે તેનો આધાર ઠેકઠેકાણે સમુદ્ર તેને કેટલીક ગરમ-ભેજવાળી હવા પૂરી પાડે છે તેના ઉપર છે. ગુજરાત તરફ આવતાં, ત્યાં સમુદ્રનાં પાણીનું ઉષ્ણતામાન ઓછું હોવાથી તેને મળતી ઊર્જા ઘટતી જાય છે. તેથી તેની ગતિ પણ ઘટે છે. પોતાનો વરસાદ એ સમુદ્રમાં જ ઠાલવી દે છે. ત્યારે એ પોતાની આંતરિક ગતિના કારણે ઓમાન તરફ વળી જાય છે. આથી ઉલટું, એક વાવાઝોડું ઓખા પાસેથી પૂર્વ તરફ વળી કચ્છના અખાતમાં ઘૂસેલું. તેના પાણીમાંથી નવી ઊર્જા લઈ એ કંડલા ઉપર ત્રાટક્યું હતું. ઈતિહાસમાં અગાઉ આવું ક્યારેય નહોતું બન્યું.

જમીનને સ્પર્શ :

વાવાઝોડું ત્રાટકવુ એટલે તેની આંખ સમુદ્ર છોડી જમીન પર દાખલ થવી. એનાથી થતો વિનાશ ત્રણ પ્રકારે થાય છે.

૧. હવાની ગતિના કારણે. આંખની આસપાસ નળાકારની સામસામી દિવાલોમાં હવાની ગતિ પણ વિરુદ્ધ દિશામાં હોય છે. એકસોથી બસ્સો કિલોમીટરની આ ગતિના કારણે ઝાડ ઉખેડવા તો સામાન્ય વાત છે; લોખંડના થાંભલા પણ મરડાઈ જાય છે.

૨. સમુદ્રનું પાણી ફેલાવાથી નળાકારના કેન્દ્રમાં સમુદ્રની હવા સતત ઉપર ખેંચાતી હોવાથી જેવું વાવાઝોડું જમીનને સ્પર્શે કે તેનું ઓછું દબાણ સમુદ્રનાં પાણીને જ ઊંચકીને કાંઠે ફેંકે છે. તેમાં યાંત્રિક શક્તિ હોવાથી નુકશાન થાય છે અને વધારામાં ખેતી અને રહેણાંક ખારા પાણીમાં ડૂબે છે.

૩. પાણીનું પૂર. વાવાઝોડાંનાં વાદળો ક્યુમ્યુલોનિમ્બસ પ્રકારનાં છે, જે સહેલાઈથી વરસે છે. આંખની દિવાલમાં ભરપૂર પાણી હોય છે. જે વરસવાથી પૂર આવે છે. કેન્દ્રની બહારના વિસ્તારમાં પણ સારો વરસાદ થાય છે, જે અંતર પ્રમાણે ઘટતો જાય છે.

પવનની ઊર્જા ઝાડો અને ઈમારતો સાથે સંઘર્ષમાં ખપી જાય છે; સમુદ્રનો સંપર્ક કપાઈ જવાથી નવી ઊર્જા મળતી નથી. આમ ક્રમશઃ ચક્રવાત ઘટતો જઈ આગળની યાત્રા નીચા દબાણનાં ક્ષેત્ર (ડિપ્રેશન) તરીકે કરે છે અને માત્ર વરસાદ આપે છે. જે વાવાઝોડામાં કેન્દ્રનું દબાણ બહુ ઓછું હોય (જેમ કે ૯૯૫ મિલીબાર) તે નુકશાન તો કરે જ છે પણ દેશની અંદર લાંબી યાત્રા કરે છે. બંગાળના ઉપસાગરનાં વાવાઝોડાંની અસર છેક રાજસ્થાન પહોંચવાના પણ દાખલા છે.

સાથેના કોષ્ટકમાં વાવાઝોડાંની તીવ્રતાનો તેમાંના પવનોની ગતિ જોડે સંબંધ બતાવ્યો છે. હવાના દબાણના આંકડા નથી બતાવ્યા પણ તે તીવ્રતા ઠરાવવામાં ભાગ લે છે.

 

: કોષ્ટક:

વાવાઝોડાંની તીવ્રતા

નામ

પવનની ઝડપ (કલાકે)
સામુદ્રિક માઈલ

કિલોમીટર

નીચાં દબાણનું ક્ષેત્ર

(ડિપ્રેશન)

૧૭ થી ૨૭ ૩૧ થી ૫૦
અતિ નીચાં દબાણનું ક્ષેત્ર ૨૮૩૩ ૫૧ થી ૬૨
વાવાઝોડું

(Cyclonic Strom)

૩૪૪૭ ૬૩ થી ૮૭
તીવ્ર વાવાઝોડું

(Severe Cyclonic Strom)

૪૮૬૩ ૮૮ થી ૧૧૬.
અતિ તીવ્ર વાવાઝોડું

(Very Sever Cyclonic Strom)

૬૪૧૧૯ ૧૧૮૨૨૧
સુપર સાઈક્લોન ૧૨૦થી વધારે ૨૨૨થી વધારે

નોંધ: વાવાઝોડાંની આગાહી નાવિકો માટે બહુ અગત્યની છે. આથી પવનની ઝડપ સામુદ્રિક માઈલમાં બતાવવાનો રિવાજ છે.

એક સામુદ્રિક માઈલ (નૉટ) = .૧૫ માઈલ = .૮૫ કિલોમીટર

સામાન્ય રીતે આપણા સાગરોમાં ઉત્પન્ન થતાં વાવાઝોડાં કરતાં એટલાન્ટિક અને પ્રશાંત મહાસાગરમાં વાવાઝોડાં વધારે તીવ્ર હોય છે. ૨૦૦૫નાં ‘કટ્રિના’ની ઝડપ ૨૦૦ કિ.મી./કલાક હતી અને અમેરિકાનાં ન્યૂ આર્લિયન્સ રાજ્યને રગદોળી નાંખ્યું હતું. ઈતિહાસમાં સૌથી પ્રબળ તોફાન “હૈયાન” હતું, જે ૩૧૫ કિ.મી.ની ઝડપે ફિલીપાઈન્સ પર ત્રાટકેલું.

શૈતાનનાં નામો:

તાઉતે વાવાઝોડું (TAUKTAE)

૧૭મી મે ૨૦૨૧ના ગુજરાતને કાંઠે ત્રાટકેલ વાવાઝોડું તાઉતે અમુક રીતે અનોખું હતું. (તેના નામમાંમૌન છે.) પહેલું તો અરબી સમુદ્રમાં મે મહિનામાં આટલાં વહેલાં વાવાઝોડાં નથી આવતાં. બીજું કે આખી યાત્રામાં કાંઠાની ઘણી નજીકથી (૮૦ થી ૧૩૦ કિ.મી.) પસાર થયું. આથી ગુજરાતથી પહેલાં ગોવા, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં નુકશાન કરતું આવ્યું.

તેનાં રીતે પૂર્વ તરફનાં સ્થાનને કારણે સૌરાષ્ટ્રમાં વેરાવળ કરતાં પૂર્વ તરફ (ઊના અને દીવની વચ્ચે) જમીનને અડક્યું અને તે પછીની મુસાફરીમાં પણ એણે ભાવનગર જિલ્લાને નુકશાન કર્યું. જેવું પહેલાં નહોતું બનતું. અરબી સમુદ્રનાં તોફાનોની ઝડપ ૨૦૦ કિ.મી.થી વધારે ક્યારેક ગઈ છે, પરંતુ ઉત્તર તરફ જતાં ઘટી જતી. આથી ૧૮૦ કિ.મી. જમીનને સ્પર્શનારું દાયકાઓમાં પહેલું તોફાન હતું.

યમરાજના આ દૂતોને નામથી ઓળખવાની પ્રથા ભારતીય ઉપખંડમાં તાજેતરમાં જ આવી છે. પશ્ચિમના દેશોમાં પહેલાંથી છે. હિન્દ મહાસાગરનાં વાવાઝોડાં પહેલાં તો માત્ર શહેરના નામ અને વર્ષથી ઓળખાતાં. જેમ કે ઢાકા (૧૯૯૧), પારાદીપ (૧૯૯૯) વગેરે. હવે આ વિસ્તારના ૧૩ દેશો પોતપોતાનાં પસંદગીનાં નામોની યાદી દિલ્હીમાં આવેલ પ્રાદેશિક હવામાન કેન્દ્રને આપે છે. વારાફરતી દેશો નામ ચૂંટે છે. હમણાંથી વાવાઝોડાંની સંખ્યા વધી હોવાથી નામોનો ભંડાર જલદી ખતમ થાય છે.

વૈશ્વિક ઉષ્મનની અસર:

સામાન્ય રીતે અરબી સમુદ્ર કરતાં બંગાળના ઉપસાગરમાં વધારે સંખ્યામાં વાવાઝોડાં બને છે. વર્ષ ૧૮૯૧થી ૧૯૯૦નાં એકસો વર્ષમાં પૂર્વ ભાગમાં ૨૬૨ વાવાઝોડાં ઉઠયાં હતાં જ્યારે પશ્ચિમમાં (એટલે અરબી સમુદ્રમાં) માત્ર ૩૩ એટલે કે બેત્રણ વરસે એક. પરંતુ તે પછી પરિસ્થિતિ બદલાઈ છે. સરેરાશ વરસે એક વાવાઝોડું અરબી સમુદ્રમાં પણ આવવા લાગ્યું છે. બીજી વિશેષતા છે કે માત્ર મે અને ઓક્ટોબર/નવેમ્બરને બદલે વાવાઝોડાં ચોમાસાની વચ્ચે પણ આવવા લાગ્યાં છે. ૨૦૧૯માં કુલ ૧૧ તોફાન ઉઠયાં, જેમાંથી ૪ અરબ સાગરમાં હતાં અને ૭ બંગાળના ઉપસાગરમાં. આ સંખ્યા વધતી જ રહેવાની.

રામેશ્વરમનું સુપર સાયક્લોન

વર્ષ ૧૯૬૪ના ડિસેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં શ્રીલંકાની પૂર્વમાં ઉઠેલ વાવાઝોડું ઉત્તર તરફ જવાને બદલે પશ્ચિમ તરફ આવ્યું અને રામેશ્વરમ્ પાસે ધનુષકોડી નામનાં ગામને સાફ કરી ગયું. ડૉ. અબ્દુલ કલામનું વતન રામેશ્વરમ્ એક ટાપુ ઉપર છે. તેને તમિલનાડુની ધરતી સાથે જોડતો પુલપંબન પુલકહેવાય છે. ૨૩મી ડિસેમ્બરે જ્યારે ૨૪૦ કિ.મી.ના પ્રચંડ વેગવાળું વાવાઝોડું ત્યાં આવ્યું ત્યારે પુલ ઉપર એક ટ્રેન હતી. સમુદ્રનાં પાણીની ઝાપટ ટ્રેનને નીચે પાડીને તાણી ગઈ. પુલને નુકશાન થયું પરંતુ ઊભો રહ્યો. ( ૨૦૨૧ માં તેના સ્થાને નવો પૂલ બંધાયો છે.)

૨૦૧૪માં પંબન પુલની શતાબ્દી પ્રસંગે ડૉ. કલામ ખાસ હાજર રહ્યા અને બાળપણમાં સંસ્મરણો તાજાં કરતાં કહ્યું કે પુલ પાર કરી રોજ સામે કાંઠે ભણવા જતા. આટલું શક્તિશાળી વાવાઝોડું તે પછી છેક ૧૯૯૯માં ઓરિસ્સામાં આવ્યું.

વાવાઝોડાંની બાબતે સંતોષની વાત એ છે કે એની આગાહી બહુ વહેલી અને વધુ સચોટ થવા લાગી છે. આંધ્ર અને ઓરિસ્સાની સરકારોએ વાવાઝોડાં દરમિયાન લોકોને શરણ આપવાના ‘શૅલ્ટર’ બનાવ્યા છે. આગાહીનો લાભ લઈ પ્રજા આ સલામત સ્થળે આવી જાય છે. એક ઉદાહરણ તરીકે જુઓ તો ૧૯૯૯નાં વાવાઝોડામાં ૯૮૮૭ જાન ગઈ હતી જ્યારે તેનાથી બીજા નંબરનાં વાવાઝોડાં ફાઈલીન અને ફણી (અનુક્રમે ૨૦૧૩ અને ૨૦૧૯)માં અનુક્રમે ૪૫ અને ૮૯ લોકોએ જ જાન ખોયા. આ રાહત પછી વૈજ્ઞાનિકોની આગાહી ક્યારેક આઘી પાછી થાય તો ટીકા કરવાપણું ન હોવું જોઈએ. બીજી તરફ અવકાશ વિજ્ઞાનનો આવો પ્રજાલક્ષી ઉપયોગ કરવાનું જેમણે સૂઝયું તે ડૉ. વિક્રમ સારાભાઈને લાખો લોકોનાં વંદન.



ક્રમશઃ


ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક prvaidya@gmail.com   વિજાણુ સરનામે થઈ શકે છે.