ધંધેકા ફંડા
ઉત્પલ વૈશ્નવ
હાઈવે પરનો પેલો ફળ વેંચનારો યાદ છે? – વ્યાપાર ઉદ્યોગમાં માન્યતાની શક્તિ વિશે વાત કરતાં કરતાં મેં તુષારને પૂછ્યું.
એ ફળ વેંચનારો અભણ હતો પણ કૃતનિશ્ચયી હતો. આખો દિવસ તે પોતાનાં ફળો વેંચવા માટે મહેનત કરતો રહેતો. નવા નવા નુસ્ખા પનાવીને ગ્રાહકોને ખરીદવા માટે આકર્ષતો રહેતો. એનો વેપાર ધમધોકાર ચાલતો હતો. જેટલું વેચાણ થાય તેમાંથી બીજા દિવસ માટે વધારે સારાં અને વધારે વૈવિધ્યનાં ફળો લાવતો. પરિણામે, એનો ધંધો વધારે સારી રીતે ચાલતો હતો.
એક દિવસ શહેરમાં ભણેલો દિકરો આવ્યો. દીકરા પાસે દેશની આર્થિક સ્થિતિનું જ્ઞાન છલકાતું હતું. તેણે પોતાના બાપને ચેતવ્યો, ‘બાપા, આર્થિક પરિસ્થિતિ ઘણી વિકટ ચાલી રહી છે. આવનારો સમય બહુ કપરો નીવડી શકે છે.
ફળ વેંચનારને પણ ચિંતા પેઠી. હવે તે ઓછાં, અને સસ્તાં ફળો લાવવા લાગ્યો. તેનું વેચાણ તો ત્યારથી વધારે ને વધારે ગગડવા લાગ્યું.
‘મારો દીકરો સાચું કહેતો હતો’, તે હવે બબડતો રહેતો. ‘સમય ખરેખર બહુ ખરાબ આવ્યો છે.
પરંતુ હકીકત એ હતી કે, આર્થિક પરિસ્થિતિ નહીં, પણ તેની બદલાયેલી માનસિકતાને કારણે તેનો વેપાર બેસી ગયો હતો. જેવો તે મંદીમાં માનવા લાગ્યો તેવી જ મંદી વાસ્તવિકતા બની તેની સામે આવી ગઈ.
→ ખરી સમસ્યા બહાર નથી, પણ આપણી અંદર રહેલી માનસિકતા છે, જે આપણા પ્રયાસોના પરિણામોને ઘડે છે.

પાદ નોંધ : ઘણી વાર બાહ્ય પરિબળો કરતાં આપણી માન્યતાઓને આપણું નસીબ સોંપી દેવામાં ખરી સમસ્યા રહેલી હોય છે.
આ શ્રેણીના લેખક શ્રી ઉત્પલ વૈશ્નવનો સંપર્ક hello@utpal.me વીજાણુ સરનામે થઇ શકે છે.
