પ્રકૃતિની પાંખો
હીત વોરા
એક સવારે, જ્યારે હું મારા પડોશમાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે ચકલી અને કાબરના ટોળા વચ્ચે અચાનક શાંતિ ભંગ થઇ. હવામાં એક પડછાયો ખૂબ જ ઝડપથી પસાર થયો– એક તીક્ષ્ણ અને ચપળ શિકારી, જેની નજર તેનો શિકાર શોધી રહી હતી. થોડીવારમાં જ પાંખોનો ભયાવહ ફફડાટ થયો અને પછી શાંતિ. આપણા ઉપખંડનો એક નાનો બાજ, શકરો (Shikra) (Tachyspiza badia) ત્યાં ત્રાટક્યો હતો!

શહેરો, ગામડાં, અને જંગલોમાં વસવાટ કરનાર આ પક્ષી મૌન અને સતર્ક શિકારી છે. તેને ગુજરાતીમાં શકરો અથવા શકરો-બાજ કહે છે.
ગરુડ અને ગીધ શિકારની શોધમાં ઊંચી ઉડાન ભરતા હોય છે, તેનાથી વિપરીત,શકરો વધુ ગુપ્ત અભિગમ પસંદ કરે છે. તે ડાળી પર શાંતિથી બેસે છે, તેની આસપાસના વિસ્તારોને સ્કેન કરે છે, અને જ્યારે યોગ્ય સમય આવે છે, ત્યારે તે ઝડપી, સચોટ અને નિર્દય રીતે હુમલો કરે છે. તે નાના પક્ષીઓ, ગરોળી, ઉંદરો અને જંતુઓનો પણ શિકાર કરે છે, જે સરિસૃપોની વસ્તીને નિયંત્રિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

પરંતુ તેનો અર્થ એ નથી કે તેનું જીવન સરળ છે. માનવ હાજરી ઘણીવાર તેના શિકારની રીતોને વિક્ષેપિત કરે છે. મેં તાજેતરમાં એક નર શિકરા જોયો જેના પંજામાં કબૂતરનું બચ્ચું હતું જેને તે પોતાના માળામાં ઈંડાને સેવતી માદા માટે લઈ જતો હતો, પણ મારી હાજરીનો આભાસ થતાં જ તેણે માર્ગ બદલીને, મને અવળે માર્ગે દોરવા ગોળ ગોળ ઉડતો ગયો અને પછી ઓઝલ થઈ ગયો. – આ પ્રસંગ યાદ અપાવે છે કે ભલે તેઓએ આપણી દુનિયામાં અનુકૂલન સાધી લીધું છે, છતાં તેના જીવનમાં આપણો વિક્ષેપ પસંદ નથી.
શિકરા નિઃશંકપણે ગ્રામીણ વિસ્તારો અને બગીચાઓમાં સારી રીતે અનુકૂળ થઈ ગયા છે, કારણ કે ત્યાં માળા બાંધવા માટે વૃક્ષોની વિપુલતા છે. તેનાથી વિપરીત, સમડીઓની સંખ્યા શહેરોમાં ખીલી છે, કારણ કે તેમને માળો બનાવવા માટે ઝાડની જરૂર નથી અને તેઓ કચરા અને ભંગારમાંથી વધેલા માંસના ટુકડા, ઉંદર વગેરે ખાઈને ટકી શકે છે, જ્યારે શકરા માટે વિપરીત સાચું છે – તેઓ ખોરાક માટે ફરજિયાતપણે શિકાર કરે છે, અને માળો બનાવવા માટે વૃક્ષો પર આધાર રાખે છે.
જોકે, ઝડપી શહેરીકરણ લેન્ડસ્કેપને બદલી રહ્યું છે. ગગનચુંબી ઇમારતો વધી રહી છે, જ્યારે ગ્રામીણ વિસ્તારો અને તેના સાથેના વૃક્ષોનું આવરણ અદૃશ્ય થઈ રહ્યું છે. સામાન્ય રીતે શહેરોમાં વૃક્ષોની ઘનતા ઓછી હોય છે, અને જ્યાં વૃક્ષો વાવવામાં આવે છે, ત્યાં પણ સ્થાનિક પરીસરતંત્રને (ઇકોસિસ્ટમને) ધ્યાનમાં લીધા વિના તેમની પસંદગી કરવામાં આવે છે. ઘણા શહેરી વિસ્તારોમાં વૃક્ષારોપણના નામે દેશી અથવા વિદેશી વૃક્ષોના કૃત્રિમ મોનોકલ્ચર (એક જ પ્રકારના વૃક્ષો વાવેલાં) હોય છે જે નાના પક્ષીઓ, જંતુઓ, ખિસકોલી વગેરે નાના જીવોને ટેકો આપવામાં નિષ્ફળ જાય છે – જે શકરા માટે મુખ્ય શિકાર છે. શિકારની સમૃદ્ધ વસ્તી વિના, આ અનુકૂલનશીલ શિકારી પણ ટકી રહેવા માટે સંઘર્ષ કરે છે.
શકરા અને અન્ય વન્યજીવોની વસ્તી સમૃદ્ધ રહે અને પરીસરતંત્ર સ્વસ્થ રહે તે સુનિશ્ચિત કરવા માટે, સ્થાનિક ઇકોસિસ્ટમને ટેકો આપતા, સંતુલિત અને ટકાઉ નિવાસસ્થાનને પ્રોત્સાહન આપતા વિવિધ પ્રકારના દેશી વૃક્ષોનું વાવેતર કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
નાના કદનું હોવા છતાં, શિકરા તેની ઇકોસિસ્ટમમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તે આહારશૃંખલામાં સર્વોચ્ચ સ્થાને હોવાથી સરિસૃપો, નાના પક્ષીઓ, ઉંદર, ખિસકોલી વગેરે પ્રાણીઓનો શિકાર કરીને તેમની વસ્તી કાબૂમાં રાખી કુદરતી સંતુલન જાળવીને, તે પરોક્ષ રીતે કૃષિને પણ લાભ આપે છે. સાંસ્કૃતિક ઇતિહાસમાં પણ, તેની શિકાર કરવાની કુશળતા માટે પ્રશંસા કરવામાં આવી છે! છતાં કેટલાક લોકો તેને નાના પક્ષીઓનો શિકાર કરવાના કારણે તેને નકારાત્મક રીતે જુએ છે પરંતુ પ્રકૃતિ ભાવના પર કામ કરતી નથી તે સંતુલન પર કામ કરે છે! આપણા પડોશમાં શિકરાનું અસ્તિત્વ એક સ્વસ્થ ઇકોસિસ્ટમની નિશાની છે. તેનો અર્થ એ છે કે ખોરાક શૃંખલા અકબંધ છે, વૃક્ષો હજુ પણ આશ્રય પૂરો પાડે છે, અને જીવન તેના જટિલ જોડાણના સ્વરૂપમાં ચાલુ રહે છે.
આગલી વખતે તમે કોઈ પંખીની ચેતવણીની બૂમ સાંભળો, ત્યારે થોડું ઉંચું જોશો તો કદાચ શિકરા–એ મૌન શિકારી, તમને એક નજર કરી રહ્યો હશે—એક ખૂણે બેઠો બેઠો તમારા અને કુદરત વચ્ચેનો એક જીવંત સંદેશ વહેંચતો!
શ્રી હીત વોરાનો સંપર્ક heetvora21@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

શકરા પર માહિતીપૂર્ણ લેખ બદલ આભાર.
-નીતિન વ્યાસ
LikeLike