વનિતાવિશેષ
રક્ષા શુક્લ
સ્ત્રી દેવી છે સ્ત્રી માતા છે સ્ત્રી દુહિતા છે
સ્ત્રી ભગિની છે સ્ત્રી પ્રેયસી છે સ્ત્રી પત્ની
છે સ્ત્રી ત્યાગમૂર્તિ છે સ્ત્રી અબળા છે
સ્ત્રી સબળા છે સ્ત્રી શક્તિ છે સ્ત્રી નારાયણી
છે સ્ત્રી નરકની ખાણ છે સ્ત્રી પ્રેરણામૂર્તિ છે
સ્ત્રી રહસ્યમયી છે સ્ત્રી દયાળુ
માયાળુ પ્રેમાળ છે સ્ત્રી સહનશીલ છે
સ્ત્રી લાગણીપ્રધાન છે સ્ત્રી ડાકણ છે
સ્ત્રી ચુડેલ છે સ્ત્રી પૂતના છે સ્ત્રી
કુબ્જા છે સ્ત્રી મંથરા છે સ્ત્રી સીતા
ને સાવિત્રી છે સ્ત્રી…
સ્ત્રી સ્ત્રી સિવાય બધું જ છે
સ્ત્રી મનુષ્ય સિવાય બધું જ છે.
જયા મહેતા
કવયિત્રી સુભદ્રાકુમારી ચૌહાણની કવિતા ‘ખૂબ લડી મર્દાની, વહ તો ઝાંસી વાલી રાની થી’ કાવ્યથી ભાગ્યે જ કોઈ અજાણ્યું હોય ! આજે પણ કોઈ સ્ત્રી સંઘર્ષનો બહાદુરીપૂર્વક સામનો કરી મર્દાની સાબિત થાય તો આપણે તેને ‘ઝાંસીની રાણી’નું બિરુદ આપી નવાજીએ છીએ. તાજેતરમાં બનેલી કંગના રનૌતની ફિલ્મ ‘મણિકર્ણિકા-ધ ક્વીન ઓફ ઝાંસી’ની વાર્તા ભારતમાં ૧૮૫૭માં થયેલા બળવા પર આધારિત છે જેમાં ઝાંસીને બચાવવા અંગ્રેજોની વિશાળ સેના સામે પોતાના મુઠ્ઠીભર સૈનિકો સાથે રાણી લક્ષ્મીબાઈ લડતી રહી અને વીરગતિને પામી. શ્રીમતી ઇન્દિરા ગાંધી સ્વતંત્ર ભારત દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન હતા. તેઓ એક કુશળ પ્રધાનમંત્રી અને રાજનીતિજ્ઞ હતા એમાં કોઈ શંકા ન હોય શકે. લોખંડી મનોબળ ધરાવનાર એક હિંમતવાન મહિલા વડાંપ્રધાન તરીકે ઇન્દિરા ગાંધી હંમેશાં લોકોને યાદ રહેશે. ઇતિહાસમાં મહદ્ અંશે સ્ત્રી-પુરુષના કાર્યો વચ્ચેનો તફાવત સદીઓથી યથાવત્ રહ્યો છે. પુરુષપ્રધાન સમાજની માન્યતાઓને લીધે ઈતિહાસમાં પણ નારીચેતાનાને બહુ મહત્વ અપાતું ન હતું. ઇતિહાસનું ખરું પાત્ર જાણે પુરુષ જ હોય તેવું લાગ્યા કરે. નારી માત્ર ઘરકામ પૂરતી જ સીમિત મનાય છે. નારીની આવી અવહેલનાને નારીવાદીઓએ પડકારી છે. ઈતિહાસલેખનમાં કોઈ નારીપ્રતિભાને સ્થાન મળે એ ગૌરવ લેવા જેવી બાબત ગણી શકાય. ઇતિહાસના પાને સબળ સ્ત્રીઓની ભૂમિકાની નોંધના કેટલાક ઉદાહરણોમાં રઝિયા સુલતાનનું નામ નક્કર હાજરી નોંધાવે છે.

પિતા ઇલ્તુત્મિશ ગ્વાલિયરના હુમલામાં સામેલ હતા. આથી તેણે દીકરી રઝિયાને દિલ્હીનું ટેમ્પરરી શાસન સોપ્યું. પરંતુ પાછા ફરતા રઝિયાની રાજ્યકર્તા તરીકેની કુશળતા જોઈ આશ્ચર્યચકિત થઇ ગયા અને રઝિયાને પોતાની ઉત્તરાધિકારી નિયુક્ત કરી. તેના પિતા કહેતા કે ‘મારી આ નાની પુત્રી કેટલાયે પુત્રો કરતા શ્રેષ્ઠ છે.’ ૧૨૦૫માં જન્મેલી રઝિયાએ ૧૨૩૬ થી ૧૨૪૦ સુધી દિલ્હીની ગાદી પર રાજ્ય કર્યું. એ એક સાહસિક મુસ્લિમ સુલતાન હતી. પિતા જે નિયમોને પોતાના પ્રશાસનમાં લાગુ કરતા એ તેને અત્યંત આકર્ષિત કરતા. રઝિયા ઘોડેસ્વારી અને ધનુર્વિદ્યામાં પારંગત હતી. તો માર્શલ આર્ટ પણ સુપેરે જાણતી હતી. યુદ્ધને લગતા કોઈ પણ ઉપક્રમમાં પિતા ઇલ્તુત્મિશ સાથે રઝિયા જતી. તેમની સાવકી માતા અને ભાઈ તો તેને રાજગાદી સોંપવા માગતા જ નહોતા પરંતુ પિતાના લેખિત પત્રમાં કરાયેલા ઉલ્લેખને લીધે તેઓ ન ઈચ્છતા હોવા છતાં ૧૦ નવેમ્બર ૧૨૩૬ ના રોજ ‘જલાલાત-ઉદ-દીન રઝિયા’ના નામની સત્તાવાર ઘોષણા સાથે રઝિયાએ રાજગાદી સંભાળી.
તે બુદ્ધિમાન અને બહાદુર યોદ્ધા હતી. ઈમાનદાર અને ન્યાયપ્રિય શાશક હતી. માત્ર સાડા ત્રણ વર્ષના શાસનમાં તેના ઉત્તમ કાર્યો દ્વારા ઇતિહાસના પાનાઓ પર એક નક્કર જગ્યા બનાવી. દિલ્હીમાં રઝિયા સુલતાનનો મકબરો એ બહાદુર સ્ત્રીની યાદ આપે છે. એક સુલતાનને શોભે તેવું અંગરખું અને રાજમુકૂટ પહેરી એ હાથી પર સવાર થઈ યુદ્ધમાં ભાગ લેતી. મુસ્લિમ રીવાજોની વિરુદ્ધ એ પોતાનો ચહેરો ખુલ્લો રાખતી. મુસ્લિમ સ્ત્રીના પરદામાં રહેવાની વાતનો તેણે સખ્ત વિરોધ કર્યો અને પોતે સ્ત્રી હોવા છતાં પુરુષનો પોશાક અપનાવ્યો. પુરુષોની જેમ સજ્જ થઇ તે રાજદરબારમાં બિરાજતી. એક ઉત્તમ શાસકને શોભે તેવા સઘળા ગુણો તેણીમાં હતા. પોતાના પ્રદેશમાં તેણે સંપૂર્ણ શાંતિ સ્થાપિત કરી. તેની પ્રજા રઝિયા દ્વારા લાગુ કરાયેલા બધા નિયમોનું પાલન કરતી. રાષ્ટ્રનો વિકાસ સાધવા તેણે આદાન-પ્રદાન (વિનિમય)ને ઉત્તેજન આપ્યું. ગલી, રસ્તા અને કૂવાઓના બાંધકામને મહત્વ આપ્યું. શૈક્ષણિક સંસ્થાઓ તેમ જ પુસ્તકાલયોને અગ્રીમતા આપી. વિજ્ઞાન, અંતરિક્ષ વિજ્ઞાન કે નવી શોધો માટે પણ રઝિયાએ પ્રોત્સાહન આપ્યું. કલા અને સંસ્કૃતિના વિકાસ માટે વિદ્વાનોનું સમર્થન કરી જરૂરી યોગદાન આપ્યું. પોતે મુસ્લિમ શાસક હોવા છતાં હિન્દુ સંસ્કૃતિનો વારસો જાળવી રાખવા રઝિયાએ સતત પ્રયત્ન કર્યા. તેણીએ ક્યારેય હિન્દુ પ્રજાનું દિલ દુખાવ્યું નહોતું.
પ્રથમ મહિલા શાસક તરીકે સન્માન પ્રાપ્ત કરનાર રઝિયા સુલતાન ઉપર ૧૯૮૩માં કમાલ અમરોહીએ ધર્મેન્દ્ર અને હેમાને લઈને ‘રઝિયા સુલતાન’ ફિલ્મ બનાવી. જેનું જાં-નિસાર અખ્તરનું લખેલું ગીત ‘એ દિલે નાદાન’ ઘણું લોકપ્રિય થયું હતું. ૨૦૧૫માં એંડ ટી.વી. પર રઝિયા સુલતાન સિરિયલ આવેલી. એ રીતે દેશના દરેક ઘરમાં રઝિયા સુલતાને પ્રવેશ કર્યો. રફીક ઝાકરિયા દ્વારા ‘રઝિયા, ધ ક્વીન ઓફ ઇન્ડીયા’ પુસ્તક પણ લખાયું છે.
રઝિયાએ પોતાને ‘સુલતાના’ તરીકેની ઓળખાવાની વાતનો વિરોધ કરી ‘સુલતાન’નું બિરુદ અપનાવેલુ. કારણ કે ‘સુલતાના’નો અર્થ ‘બીજું’ અથવા ‘તેના પછી’નું થાય. તે પ્રથમ હતી. બીજી નહીં. સ્ત્રી હોવા છતા પુરુષ સમોવડી હતી. એ કહેતી કે ‘પુરુષને સુલતાનનું બિરુદ મળે તો સ્ત્રીને કેમ નહી ?’ રઝિયા સત્તા પર આવતા ‘એક સ્ત્રી શાસન કરે’ તે વાતથી લોકોમાં ઇર્ષ્યા જાગી. પુરુષોનો તેજોદ્વેષ થયો. વળી પાડોશી દેશના આફ્રિકન સીદી ગુલામ જમાલુદ્દીન યાકુત માટેના એકતરફી પ્રેમે રઝિયાને ઘણું નુકશાન પહોંચાડ્યું. રઝિયાના આ પ્રેમ બાબતે ઘણા શાસકો અને હોદ્દેદારો નારાજ હતા. રઝિયાના બાળપણના મિત્ર હોવા છતાં ભટીંડાના રાજ્યપાલ મલિક ઇક્તીર-ઉદ-દીન અલ્તુનિયાએ રઝિયા વિરુદ્ધ કાવતરું ઘડ્યું. અલ્તુનિયાએ રઝિયાને કેદ કરી ત્યારે તેના ભાઈ મુઝુદ્દીન બહરામ શાહે પોતાને દિલ્હીનો સુલતાન જાહેર કરી દીધો. તેણે પોતાની બહેનની વિરુદ્ધ અનેક અફવાઓ ફેલાવીને રઝિયાને બદનામ કરી હતી. સમય જતા અલ્તુનિયા રઝિયાના પ્રેમમાં પડ્યો. આ પહેલા રઝિયા અને ગુલામ યાકુતના સંબંધો વિશેની અફવાઓ ફેલાઈ હતી એ વાતથી અલ્તુનિયાને ખૂબ ઈર્ષા થઈ. યાકુતની હત્યા કરાવ્યા બાદ છેવટે બન્ને વચ્ચે સમાધાન થયું. પોતાની કીર્તિને બચાવવા માટે પછીથી રઝિયાએ સમજદારીપૂર્વક અલ્તુનિયા સાથે વિવાહ કરવાનું નક્કી કર્યું.
રઝિયા અને પતિ અલ્તુનિયાએ રઝિયાના ભાઈએ પચાવી પાડેલા રાજ્ય પર કબ્જો કરવાનો નિર્ણય લીધો. પરંતુ રઝિયાના ભાઈ બહરામ શાહે અનેક લોકોના જુથ સાથે મળીને પતિ-પત્નીને હરાવીને કેટલાક ડાકુઓ મારફત તેમની હત્યા કરાવી નાખી. આમ દિલ્હીની પ્રથમ અને અંતિમ મહિલા સુલતાન ૩૫ વર્ષની નાની ઉંમરે દુનિયા છોડી ગયા. એક સ્ત્રી હોવા છતાં શાસનની સમગ્ર દોર પોતાના હાથમાં લેવાની વાતે તેનું પતન થયું એવું મૂલત: મનાય છે. જો કે મહિલા સ્વતંત્રતાનો મુદ્દો આજે પણ બધે ચર્ચામાં છવાયેલો રહે છે. ‘સાહબ, બીવી ઓર ગુલામ’, ‘હંટરવાલી’ કે ‘રંગૂન’ જેવી અનેક ફિલ્મોમાં થતું નાયિકાનું ચરિત્ર-ચિત્રણ પરંપરાગત સ્ત્રીની છબિને તોડી સમાજને બદલાવ માટે અપીલ કરે છે. પણ આપણો દંભી સમાજ આજે એકવીસમી સદીમાં પણ નારી શક્તિને સ્વીકારવા દિલથી રાજી નથી. સૈફ પાલનપુરીની શાંત ઝરુખે વાટ નિરખતી રૂપની રાણી અને એક શહેજાદી જોઇ હતી. પણ રઝિયા નોંખી માટીની હતી. નારી સત્તાના નવલારૂપ માટે સર જમી હિન્દુસ્તાન યાદ રાખશે.
ઇતિ
સારું વક્તવ્ય એને કહેવાય જેનો પ્રારંભ અને અંત બંને રસપ્રદ હોય અને એ બંને વચ્ચેનો ગાળો ટૂંકો હોય.
-દ લા રોશફૂકો
સુશ્રી રક્ષાબેન શુક્લનો સંપર્ક shukla.rakshah@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
