સંવાદિતા
પ્રેમ અને સૌંદર્ય બશીર બદ્રની શાયરીમાં એ હદે ઓતપ્રોત છે કે એમને ‘ મહેબૂબ શાયર ‘ ના હુલામણા નામે સંબોધવામાં આવે છે.
ભગવાન થાવરાણી
જીવનની સંધ્યાના પણ સાંધ્યકાળમાંથી પસાર થઈ રહેલા ઉર્દુ શાયર બશીર બદ્ર નેવું વર્ષના થવા આવ્યા. એક જમાનામાં મુશાયરાઓની જાન અને શાન લેખાતા અને બુલંદ અવાજે તરન્નુમમાં પોતાની ગઝલોની રજુઆત કરતા બશીર સાહેબ હવે સાવ અસ્પષ્ટ શબ્દોમાં બેચાર શબ્દો મહામહેનતે માંડ ગણગણી શકે છે. એમની સ્મરણશક્તિ સાવ ધુંધળી બની ચુકી છે. એમની પોતાની ગઝલોનું પઠન કરીએ તો પણ એ રચનાઓનાં આછેરા પરિચયની ઝાંય એમના ચહેરા પર ફરકે અને તુરંત વિલીન થઈ જાય છે. માંડ સંભળાય અને સમજાય એવા શબ્દોમાં એ એમના આ જગપ્રસિદ્ધ શેરને દોહરાવતા રહે છે :
ઉજાલે અપની યાદોં કે હમારે સાથ રહને દો
ન જાને કિસ ગલી મેં ઝિંદગી કી શામ હો જાએ
આ શેરની લોકપ્રિયતા એ હકીકતથી અંદાજી શકાય કે વિવિધ ભારતીના એક કાર્યક્રમનું નામ જ ‘ ઉજાલે ઉનકી યાદોં કે ‘ રાખવામાં આવ્યું છે !
આપણી સંસદમાં અનેક સાંસદોએ કોઈક વાતના સંદર્ભમાં જો કોઈ શાયરના મહત્તમ શેર અવારનવાર ટાંક્યા હોય તો એ બશીર બદ્ર સાહેબના ! ૧૯૭૨માં ભારત – પાકના વડા પ્રધાનો વચ્ચે થયેલા સિમલા કરાર વખતે એમણે લખેલું :
દુશ્મની જમ કર કરો લેકિન યે ગુંજાઈશ રહે
જબ કભી હમ દોસ્ત હો જાએં તો શરમિંદા ન હોં..
કિંવદંતી કે કહેવતનું સ્વરૂપ અખત્યાર કરી ચુકેલા જો કોઈ શાયરના સૌથી વધુ શેર હોય તો એ પણ ચચા ગાલિબ પછી બશીર સાહેબના. થોડાક નમૂના :
બડે લોગોં સે મિલને મેં હમેશા ફાસલા રખના
જહાં દરિયા સમંદર સે મિલા – દરિયા નહીં રહતા
યહાં લિબાસ કી કીમત હૈ આદમી કી નહીં
મુજે ગિલાસ બડે દે – શરાબ કમ કર દે..
કોઈ હાથ ભી ન મિલાએગા જો ગલે મિલોગે તપાક સે
યે નયે મિઝાજ કા શહર હૈ યહાં ફાસલે સે મિલા કરો
તુમ્હેં જરૂર કોઈ ચાહતોં સે દેખેગા
મગર વો આંખેં હમારી કહાં સે લાએગા
ઘરોં પે નામ થે નામોં સે સાથ ઓહદે થે
બહુત તલાશ કિયા કોઈ આદમી ન મિલા
૧૯૮૭ના મેરઠ રમખાણોમાં એમણે ઘર, પુસ્તકો અને એમની રચનાઓ સહિત સર્વસ્વ ગુમાવી દીધેલું, માનવતામાં વિશ્વાસ સિવાય ! પછી એ ભોપાલ આવી વસ્યા. એ વખતે એમણે લખેલું :
લોગ ટૂટ જાતે હૈં એક ઘર બનાને મેં
તુમ તરસ નહીં ખાતે બસ્તિયાં જલાને મેં
એમના મતે ‘ જે દીપકની જેમ બળ્યો નથી એ કોઈ રીતે જીવનમાં ગુલાબની જેમ ખીલી શકે નહીં. ‘
૧૯૩૫માં ફૈઝાબાદમાં જન્મેલા બશીર સાહેબનું જન્મનું નામ હતું સૈયદ મોહમ્મદ બશીર. એમણે એમ એ પી એચ ડી અલીગઢ મુસ્લિમ યુનિવર્સીટીમાં કર્યું અને પછીથી ત્યાં જ અધ્યાપન કાર્ય પણ. એમણે મેરઠ યુનિવર્સીટીમાં પણ ભણાવ્યું. મધ્ય પ્રદેશ અને બિહાર ઉર્દુ અકાદમીના અધ્યક્ષપદે પણ રહ્યા. પદ્મશ્રી ઉપરાંત ઉર્દુ સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ એમને મળ્યો. એમની રચનાઓ ૨૦૧૫ની ‘ મસાન ‘ ફિલ્મમાં લેવામાં આવેલી. વિશાલ ભારદ્વાજની ફિલ્મ ‘ દેઢ ઈશ્કિયા ‘ ના પાત્રો એમના શેર ટાંકતા નજરે પડે છે. એમના કેટલાંક સંગ્રહોના નામ છે ઈકાઈ, ઈમેજ, આમદ, આહટ, કુલ્યાત-એ-બશીર બદ્ર વગેરે. સાહિત્યિક વિવેચનના બે ગ્રંથ ‘ આઝાદી કે બાદ ઉર્દુ ગઝલ કા તનકીદી મુતલા ‘ અને ‘ બીસવીં સદી મેં ગઝલ ‘ પણ એમણે સંપાદિત કર્યા છે.
અન્ય કેટલાય શાયરોની જેમ ઉદાસી એમની પ્રિય જણસ છે પણ એમાં હતાશા નથી. કેટલાંક શેર :
હમ તો કુછ દેર હંસ ભી લેતે હૈં
દિલ હંમેશા ઉદાસ રહતા હૈ
કભી કભી તો છલક પડતીં હૈં યૂં હી આંખેં
ઉદાસ હોને કા કોઈ સબબ નહીં હોતા
દુઆ કરો કે યે પૌધા હરા – હરા હી લગે
ઉદાસિયોં મેં ભી ચેહરા ખિલા – ખિલા હી લગે
આજ હમ સબ કે સાથ ખૂબ હંસે
ઔર ફિર દેર તક ઉદાસ રહે
ખુશ રહે યા બહુત ઉદાસ રહે
ઝિંદગી તેરે આસપાસ રહે
ઉદાસ આંખોં સે આંસૂ નહીં નિકલતે હૈં
યે મોતિયોં કી તરહ સીપિયોં મેં પલતે હૈં
બહુત દિનોં સે હૈ દિલ અપના ખાલી – ખાલી સા
ખુશી નહીં તો ઉદાસી સે ભર ગએ હોતે
ન ઉદાસ હો ન મલાલ કર, કિસી બાત કા ન ખયાલ કર
કઈ સાલ બાદ મિલે હૈં હમ, તેરે નામ આજ કી શામ હૈ
ઉપર જે અંતિમ શેર છે એ કામિલ છંદ કે બહરમાં છે. કામિલ બશીર સાહેબની પ્રિય બહર છે. એમની અનેક ગઝલો આ પ્રમાણમાં અઘરા કહેવાય એવા છંદમાં છે. પારિભાષિક લિપિમાં કામિલ એટલે
‘ લ લ ગા લ ગા, લ લ ગા લ ગા ‘. ગુજરાતી કવિતામાં એના ઉદાહરણ :
દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી
મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી
– ગની દહીંવાલા
આ ક્ષણો પછીથી નહીં રહે, ન સુવાસ ફોરશે શ્વાસમાં
ચલો સંગ થોડુંક ચાલીએ, આ સમયના દીર્ઘ પ્રવાસમાં
– ભગવતી કુમાર શર્મા
મને ભાવની હો તલાશ તો, પછી ભવ્યતાનું હું શું કરું ?
ઊભું સત્ય આવીને બારણે, હવે માન્યતાનું હું શું કરું ?
– રઈશ મનિયાર
ભલે જાય સૂર્ય કિરણ લઈ, તમે બાગથી ન જશો પ્રિયે
હું તો રાતરાણીનું ફૂલ છું, તમે બસ સવાર સુધી રહો
– ગૌરાંગ ઠાકર
ફિલ્મી ગીતો ‘ મુજે તુમ સે કુછ ભી ન ચાહિયે ‘, ‘ યે હવા યે રાત યે ચાંદની ‘, તુજે ક્યા સુનાઉં મૈં દિલરુબા ‘, હૈ ઈસી મેં પ્યાર કી આબરુ ‘ વગેરે પણ આ બહરમાં છે.
બશીર સાહેબે અનેક આખેઆખી ગઝલો આ ડોલાવી દેતી બહરમાં કહી છે. સમગ્ર ગઝલને બાકી રાખી આ બહરમાં એમણે રચેલી કેટલીક ગઝલના મતલા જોઈએ :
યું હી બેસબબ ન ફિરા કરો, કોઈ શામ ઘર મેં રહા કરો
વો ગઝલ કી સચ્ચી કિતાબ હૈ, ઉસે ચુપકે-ચુપકે પઢા કરો
અભી ઈસ તરફ ન નિગાહ કર, મૈં ગઝલ કી પલકેં સંવાર લું
મિરા લફ્ઝ-લફ્ઝ હો આઈના, તુજે આઈને મેં ઉતાર લું
કહીં ચાંદ રાહોં મેં ખો ગયા, કહીં ચાંદની ભી ભટક ગઈ
મૈં ચિરાગ વો ભી બુઝા હુઆ, મેરી રાત કૈસે ચમક ગઈ
કભી યું ભી આ મેરી આંખ મેં, કે મેરી નઝર કો ખબર ન હો
મુજે એક રાત નવાઝ દે, મગર ઈસ કે બાદ સહર ન હો
હૈ અજીબ શહર કી ઝિંદગી, ન સફર રહા ન કયામ હૈ
કહીં કારોબાર- સી દોપહર, કહીં બદમિજાઝ-સી શામ હૈ
વહી તાજ હૈ વહી તખ્ત હૈ, વહી ઝહર હૈ વહી જામ હૈ
યે વહી ખુદા કી ઝમીન હૈ, યે વહી બુતોં કા નિઝામ હૈ
મેરે દિલ કી રાખ કુરેદ મત, ઈસે મુસ્કુરા કે હવા ન દે
યે ચિરાગ ફિર ભી ચિરાગ હૈ, કહીં તેરા હાથ જલા ન દે
સરે – રાહ કુછ ભી કહા નહીં, કભી ઉસ કે ઘર મૈં ગયા નહીં
મૈં જનમ – જનમ સે ઉસી કા હું, ઉસે આજ તક યે પતા નહીં
કોઈ ફૂલ ધૂપ કી પત્તિયોં મેં હરે રિબન સે બંધા હુઆ
વો ગઝલ કા લહજા નયા – નયા, ન કહા હુઆ ન સુના હુઆ
મેરી ઝિંદગી ભી મેરી નહીં, યે હઝાર ખાનોં મેં બંટ ગઈ
મુજે એક મુઠ્ઠી ઝમીન દે, યે ઝમીન કિતની સિમટ ગઈ
મેરે સાથ તુમ ભી દુઆ કરો, યું કિસી કે હક મેં બુરા ન હો
કહીં ઔર હો ન યે હાદિસા, કોઈ રાસ્તે મેં જુદા ન હો
કભી યું મિલે કોઈ મસ્લહત, કોઈ ખૌફ દિલ મેં જરા ન હો
મુજે અપની કોઈ ખબર ન હો, તુજે અપના કોઈ પતા ન હો
છેલ્લે કામિલ બહરમાં એમની એક સંપૂર્ણ ગઝલ –
વો નહીં મિલા તો મલાલ ક્યા, જો ગુઝર ગયા સો ગુઝર ગયા
ઉસે યાદ કર કે ન દિલ દુખા, જો ગુઝર ગયા સો ગુઝર ગયા
ના ગિલા કિયા ના ખફા હુએ, યું હી રાસ્તે મેં જુદા હુએ
ના તુ બેવફા ન મૈં બેવફા, જો ગુઝર ગયા સો ગુઝર ગયા
તુજે ઐતબારો યકીં નહીં, નહીં દુનિયા ઈતની બુરી નહીં
ના મલાલ કર મેરે સાથ આ, જો ગુઝર ગયા સો ગુઝર ગયા
વો વફાએં થીં કે જફાએં થીં, યે ન સોચ કિસ કી ખતાએં થીં
વો તેરા હૈ ઉસકો ગલે લગા, જો ગુઝર ગયા સો ગુઝર ગયા
વો ગઝલ કી કોઈ કિતાબ થા, વો ગુલોં મેં એક ગુલાબ થા
જરા દેર કા કોઈ ખ્વાબ થા, જો ગુઝર ગયા સો ગુઝર ગયા
મુજે પતઝડોં કી કહાનિયાં, ન સુના સુના કે ઉદાસ કર
તૂ ખિઝાં કા ફૂલ હૈ મુસ્કુરા, જો ગુઝર ગયા સો ગુઝર ગયા
વો ઉદાસ ધૂપ સમેટ કર, કહીં વાદિયોં મેં ઉતર ચુકા
ઉસે અબ ન દે મેરે દિલ સદા, જો ગુઝર ગયા સો ગુઝર ગયા
યે સફર ભી કિતના તવીલ હૈ, યહાં વક્ત કિતના કલીલ હૈ
કહાં લૌટ કર કોઈ આએગા, જો ગુઝર ગયા સો ગુઝર ગયા
કોઈ ફર્ક શાહો ગદા નહીં, કિ યહાં કિસી કો બકા નહીં
યે ઉજાડ મહલોં કી સુન સદા, જો ગુઝર ગયા સો ગુઝર ગયા..
( મલાલ = દુખ, તવીલ = દીર્ઘ, કલીલ = ઓછું, શાહો ગદા = ભિખારી અને રાજા, બકા = અમરત્વ )
બશીર સાહેબના દીર્ઘાયુષ્યની પ્રાર્થના સાથે વિરમીએ.
સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
સંપાદકીય નોંધ : આ સાથે ‘સંવાદિતા’ શ્રેણી અહીં સમાપ્ત થાય છે.

શૃંખલાનું સમાપન બશીર બદ્ર થી થયું એ બહુ ઉપયુક્ત રહ્યું.
LikeLike
ઘરોં પે નામ થે નામોં સે સાથ ઓહદે થે
બહુત તલાશ કિયા કોઈ આદમી ન મિલા.
ઉત્તમ ગઝલકારોનો પરિચય કરાવ્યો. આભાર,
સરયૂ પરીખ.
LikeLike