સંપાદન : કેપ્ટન નરેન્દ્ર ફણસે
કેલિફોર્નિયાના લગુના બીચની સુવર્ણરજ સમી રેતી પર ઊભો હું પ્રશાંત મહાસાગરના સ્પર્શનો પ્રથમ અનુભવ કરી રહ્યો હતો. મહાસાગરની અનંત, નીલ સમૃદ્ધિ – નીલશ્રી – જોઈને મનુષ્યને એક અવર્ણનીય અનુભૂતિ થવા લાગે. પ્રકૃતિનું અબાધિત સૌંદર્ય તેની ચિરંતના, તેના ઋત અને સત તથા અનંતની ભવ્યતાની પ્રતિતિ કરાવતી મહાસાગરની લહેરોના ઘેરા સંગીત સાથે સમન્વયતા સાધીને હું આ વિરાટમાં ખોવાઈ ગયો. ધીરે ધીરે, એક એક ડગલું ભરતાં જ્યાં સાગર અને ધરતી મળે ત્યાં જઈને ઊભો રહ્યો.
મોજાંઓના ખળખળ કરતા ધ્વનિમાં માર વિચારો ઓગળીને સાગરના મહાસંગીતમાં ખોવાઈ ગયા. એક બાલિકા રૂપાની ઝાંઝર પહેરી કૂદકા મારી પોતાની પ્રિય સાહેલીને મળવા જતી હોય, અને ઘૂઘરીઓની રૂમઝૂમ અને સખીને મળવાની ઉત્કંઠા તેના પ્રત્યેક પગલામાં જણાય, તેવી રીતે પ્રશાંત મહાસાગરની નીલી રજત સમી લહેરો મોતીની ઈંઢોણી માથે ચઢાવી સુવર્ણમય ધરતીને મળવા એક મૃદુ ગુંજન સાથે આવી રહી હતી. તેની પ્રથમ લહેરનો મારા ખુલ્લા પગને સ્પર્શ થયો અને માર આખા શરીરમાં વિધુતના પ્રવાહના જેવો રોમાંચ ફરી વળ્યો. મેં ક્યાંક વાંચ્થું હતું કે મૃત્યુની સીમા પર માનવ પહોંચે ત્યારે તેની નજર સામે પ્રકાશની ગતિથી તેના જીવનનો ઇતિહાસ એક ચિત્રપટની જેમ પ્રદર્શિત થતો હોય છે. પ્રશાંત મહાસાગરની લહેરનો મને પ્રથમ સ્પર્શ થયો ત્યારે મને લગભગ એવો જ અનુભવ થયો. મારી નજર સામે એક સ્લાઇડ-શો ઝપાટાબંધ દેખાવા લાગ્યો. મારા જીવનમાં થવેલી ઘટનાઓ મારી નજર સામે વિધુતગતિથી ફરકવા લાગી. એક પછી એક પ્રસંગની કમબદ્ધ છબી મારી પરદૃષ્ટિ સામે ઊપસતી હતી જે હું મારા દેહથી અલગ થઈ સાક્ષીભાવે જોઈ રહ્યો હતો. મને લાગે છે કે હું એક તંદ્રામય સ્થિતિમાં થીજી ગયો હતો, અથવા એક એવી ભ્રમણાવસ્થામાં પહોંચી ગયો હતો કે મને મારા વર્તમાનનો ખ્યાલ જ ન રહ્યો. તે વખતે પ્રશાંત મહાસાગરનાં મોજાંઓનો ઊંડો ધ્વનિ મંત્રોચ્ચારના સતત આવર્તનની જેમ મારા મનને સંભળાતો હતો, અને હું તેમાં ખોવાઈ ગયો હતો. સમયના બંધનથી અલિપ્ત રહેલા પ્રશાંત મહાસાગર જેવો આ સમયવિહીનતાનો અનુભવ હતો. મારું અસ્તિત્વ જાણે વાતાવરણમાં લય પામી ગયું હતું.
અકલ્પ્ય, unreal, – અ-સત સમો આ અનુભવ હતો. અચાનક મારા જીવનનો સ્લાઇડ-શો એક ફ્રેમ પર આવીને અટકી ગયો. અત્યારે મારી નજરની સામે એક નાનકડો છોકરો હતો. ચાર વર્ષનો આ છોકરો, ખુલ્લી ચાળનું ખમીસ, હાફ પેન્ટ અને પગમાં ચંપલ પહેર્યા વગર ખુલ્લા મેદાનમાં તે દોડતો હતો. બહાર કોઈકે બૂમ પાડી હતી, “એય, ધોડો, ધોડો, બલૂન જોવા. આજ ઘણ! દિ’એ આંયથી બલૂન નીકળ્યું સે…..”
વઢવાણ કેમ્પમાં તે વખતે ટ્રેન સિવાય બીજું કોઈ વાહન તેણે જોયું નહોળું. મોટરકાર તો શું, મોટરસાઇકલ પણ તેણે જોઈ નહોતી. વિમાન એક ચમત્કાર હતો અને આ ચમત્કાર ક્વચિત્ જોવા મળતો. બાળકની નજર આકાશમાં હતી, આંખો શોધતી હતી એક અણુ સમા ટપકાને. ચારે તરફ જોયું, પણ “બલૂન’ દેખાયું નહિ. અચાનક તેને ભાન થયું કે ધીખતી ધરામાં તેના પગ બળવા લાગ્યા હતા. ઘેર પાછા જતાં પહેલાં તેણે છેલ્લી વાર ઓતરાદી દિશામા જોયું અને ક્રણના સો-મા ભાગ પૂરતો એક ચળકાટ દેખાઈ ગયો.
“એ… બલૂન જાય !!!’ મેં – એ ચાર વર્ષના બાળકે હર્ષથી બૂમ પાડી.
વિમાન સામે હું જોઈ રહ્યો હતો. તેમાં બેઠેલા પ્રવાસીઓનો હું વિચાર કરી રહ્યો હતો. તે જ ક્ષણે મારા મનમાં એક ભાવના સ્પર્શી ગઈ. અંત:સ્કુરણા સમી એ ભાવના હતી.
“શું હું કદી બલૂનમાં…?”
આ વાતનો ત્યાર પછી મેં વિચાર કર્યો નહિ, પણ તે વખતથી મારા મનમાં ‘ક્યારે પણ શું હું કદી..’ કે પછી “મારા જીવનમાં અવું કંઈ થઈ શકે?” ભાવના! સ્કુરતી, તે હંમેશાં સત્ય થતી આવી હતી. આને પૂર્વસૂચન, અકસ્માત કે પછી કહો કે intuition – આ વાત હંમેશાં મારો પીછો કરતી રહી છે. પેસિફિક મહાસાગરનું પ્રથમ દર્શન કરનાર યુરોપિયનોને થયેલી અવર્ણનીય અનુભૂતિનું વર્ણન મેં વાંચ્યું હતું. ત્યાર પછી જ્યારે થોર હાયરડાલની પ્રવાસકથા ‘કોન ટિકી’ વાંચી ત્યારે મને એવી જ અનુભૂતિ થઈ હતી. “શું મને કદી …?”
વિમાનમાં પ્રવાસ કરવાની પ્રશ્ન-ઊર્મિ સત્ય નીવડી હતી. આજે હું પ્રશાંત મહાસાગરને કિનારે ઊભો હતો. ક્યાં એ વઢવાણ કેમ્પનો સરકારવાડો અને ત્યાંથી શરૂ થવેલી મારી જીવનયાત્રા… અને જીવનકાળ દરમિયાન વારે વારે મને થતી આ ભવિષ્યવાણીસમી અનુભૂતિ, જે સાચી પડતી જતી હતી. આજે હું પ્રશાંત મહાસાગરના કિનારા પર તેની સ્નેહમય, ઉષ્માભરી છોળમાં ભીંજાતો ઊભો હતો. ક્ષિતિજ પર જ્યાં મહ।સાગર અને આકાશ મળતાં હતાં ત્યાં આ માયાના ખેલ જેવો સ્લાઇડ-શો ચાલી રહ્યો હતો. નજર સામે મારું બચપણ હતું.
મારી નજર સાથે એક પછી એક પ્રસંગ આવતા ગયા…
બાપુજી ઓફિસમાં ગયા હતા. બાઈ – એટલે મારાં બા – સાથે હું ઓસરીમાના હીંચકા પર નેઠો હતો. બાઈ બાપુજી માટે પાનનાં બીંડાં બનાવી રહ્યાં હતાં, અને તેઓ તેમનું બાળપણમાં શીખેલું ગીત મીઠા અવાજે મને સંભળાવી રહ્યાં હતાંઃ
કાહે કો ખેલે, હમસે ન હોરી, પર્વતરાય કી નાજુક છોરી
ચિત્ર હવામાં વિલીન પામ્યું. મન જૂની વાદોમાં ખોવાઈ ગયું. બાઈ સાથે આવી મધુર ક્ષણો મને ક્વચિત્ મળતી. અમારા ઘરમાં પિતાજી અને બાઈ, મારાથી ત્રણ મોટા ભાઈઓ, ત્રણ મોટી બહેનો અને મારાથી નાની બહેનો હતી. મારાથી મોટા એવા બધા બાને માનવાચક શબ્દ “બાઈ” કહીને બોલાવતાં તેથી હું પણ બાને બાઈ કહીને બોલાવવા લાગ્યો હતો. આમ છતાં અમારા ભર્યાભાદર્યાં ઘરમાં કોણ જાણે કેમ પણ બાઈ ગૃહિણી તરીકે નહિ, ગૃહિણીના પડછાયા જેયું જીવન જીવતાં હતાં. ઘરમાં બધા હાજર હોય – મોટા ભાગે કોઈ ને કોઈ ઘરમાં હોય જ ત્યારે બાઈના મુખેથી એક શબ્દ મેં સાંભળ્યો હોવાનું યાદ નથી. મારા મોટા ભાઈ બહેનોમાંથી કોઈ તેમની સાથે વાત નહોતું કરતું. તેઓ ઘરમાં ન હોય, ત્યારે બાઈ અમારા ઘરમાં જૂના વખતથી આપ્તજન થઈ ગવેલા ઘરડાં માજી, જીવીબા, જેમને હું જી’બા કહીને બોલાવતો – તેમની સાથે વાત કરતાં. ઘરમાં અમે એકલા હોઈએ ત્યારે મને નજીક જોઈ તેમનું વ્યક્તિત્વ ખીલી ઊઠતું. મને સાથે લઈ હિંડોળા પર બેસતાં, મારી સાથે વાતો કરતાં અને મને તેમન પ્રિય ગીતો સંભળાવતા. ઘણી વાર મને કહેતાં, ‘મારી મા જીવતી હોત તો તને જોઈને ખુશીથી પાગલ થઈ ગઈ હોત?’ આવી રમણીય પળો મને ક્વચિત્ મળતી.
ઘરમાં કોણ જાણે કેમ, એક તણાવ-મય વાતાવરણ હંમેશા પ્રવર્તતું હતું. જમતી વખતે કોઈ એકબીજા સાથે વાત કરતા નહોતા. બાઈ બધાંની સેવામાં એવાં તત્પર રહેતાં કે કોઈ કહે તે પહેલાં જ તેમને જોઈતી વાનગી પીરસી દેતાં. પિતાજીને કે મારાં મોટાં ભાઈ-બહેનોને મેં કદી તેમની સાથે ખુલ્લા મનથી વાત કરતાં જોયાં નહોતાં. કોણ જાણે શા માટે બધાં બાઈ સાથે ઔપચારિક વર્તન રાખતાં હતાં તે મારા બાલમનને સમજાતું નહોતું. બાઈ અમારાં સૌનાં મા હોવા છતાં મોટાં ભાઈ-બહેનો તરફથી તેમન પ્રત્યે આત્મભાવ કે સ્નેહ મને દેખાતો નહોતો. તેમનામાં બાઈ પ્રત્યે એક પ્રકારની એવી ઔપચારિકતા, અલિપ્તતા વર્તાતી હતી કે બાઈ એક પડછાયાની જેવું અવ્યક્ત, સંકોચપૂર્ણ અને કોઈ કોઈ વાર તો અત્યંત ગભરાયેલી હરિણીની જેવું જીવન જીવી રહ્યાં હતાં. પંચ-છ વર્ષની નાની વયે પણ મને આ વાતનો અહેસાસ થવા લાગ્યો હતો. અનેક પ્રશ્નો ઊઠવા લાગ્યા હતા.
બાઈને શા માટે આવા શ્રીમંત અને ભરેલા ઘરમાં પણ એકલતાનું જીવન જીવવું પડતું હતું?
એવી કઈ વાત હતી જે તેમને પરેશાન કરી રહી હતી? શા માટે…? શા માટે…?
આમાંના એક પ્રશ્નનો જવાબ મને પિતાજીના અવસાન બાદ જ મળ્યો. બાકીની બધી વાતો, બધા પ્રશ્નો અણઊકલ્યા રહ્યા.
૧૯૬૮માં બાઈનું અવસાન થયું. ત્યાર પછી થોડા સમય માટે અમારું સોનું જીવન વાવાઝોડામાં ઊખડી ગયેલા તણખલાંઓની જેમ વીખરાઈ ગયું હતું. પરંતુ બાઈ મને તેમના બાળપણ, કિશોરાવસ્થા અને ત્યાર પછી એક પત્ની, માતા અને ફક્ત ર૮ વર્ષની વયે તેમના પર અવી પડેલ! વૈધવ્યમાં ચાર-ચાર બાળકોની જવાબદારી દરમિયાન અનુભવેલા ભાવનત્મક સંઘર્ષની વાતો કરવા માગતાં હતાં. જે વાતો તેમના મુખેથી સાંભળવાનું અને જાણવાનું સદભાગ્ય તેમના જીવનકાળ દરમિયાન અમે ગુમાવ્યું હતું તે સમયના વહેણમાં ધોવાઈને નષ્ટ ન થાય તેનો પ્રબંધ બાઈએ કર્યો હતો.
બાઈ ગયા બાદ મને જાણવા મળ્યું હતું કે તેઓ અમારા માટે એક અમૂલ્ય વારસો મૂકી ગયાં હતાં. એક નાનકડી, પાકા પૂંઠાની નોટબુક, જેનું શીર્ષક હતું, ‘મારી જીવનકથા’.
વિચારોના પ્રદેશમાં મન ભટકતું હતું. અચાનક મને સાદ સંભળાયો. “ડૅડ, ક્યાં ખોવાઈ ગયા છો? ટાઢ નથી વાતી? જુઓ તમારા માટે વુલી જમ્પર લઈ આવી છું એ પહેરી લો.”
એકાએક હું ધરતી પર પાછો આવ્યો. મારી દીકરી કાશ્મીરા મને બોલાવી રહી હતી. હું જાગી ગયો.
પ્રશાંત મહાસાગરમાંથી હવે શાંત લહેરો આવી રહી હતી. ઘેર જવાનો સમય થઈ ગવો હતો.
બાઈએ પોતાની જીવનકથા ૧૯૬૭માં લખી હતી. મને તે ૨૦૦૫ના જાન્યુઆરીમાં મળી. હું વાંચતો ગયો અને બાઈના જીવનની જે ક્ષણો સાથે હું અવિભાજ્ય થઈને જીવ્યો હતો, તેનાં સ્પંદનો ફરી અનુભવવા લાગ્યો. ફરક ફક્ત એક વાતનો હતો. તે વખતે હું જે કરી શકતો હતો અને કરી શક્યો નહોતો, તેનો અફસોસ બમણો થઈ ગયો. પરમાત્મા માણસને ફરીથી જીવવાની તક આપતા હોત તો જીવનમાં નિરાશ, યોગ્ય સમયે યોગ્ય કાર્ય ન કર્યાનું દુઃખ અને અશ્રુના સાગરમાં ડૂબવાની સજામાંથી માણસ બચી શકત.
માણસનું કર્મ તેને ફળ આપ્યા વગર રહેતું નથી, પરંતુ પરમાત્માએ તેનું નિરાકરણ કરી આપ્યું છે. તેમણે સ્વર્ગમાંથી પેલું ઝરણું પૃથ્વી પર ઉતાર્યું છે . જેમાં ડૂબકી દઈને આપણે ભલે પુણ્યશાળી ન બની શકીએ, પણ આપણા આત્માને તેનાથી શાતો તો જરૂર મળે છે.
બાઈની આત્મકથા મારા માટે એક અમૂલ્ય વારસો બની રહેલ છે. બાઈના લેખનનું વિશિષ્ટ અંગ તો એ છે કે તેઓ ફક્ત ચોથા ધોરણ સુધી જ ભણ્યાં હતાં. પોતાના કથનમાં આટલી સંવેદનશીલતા, ગ્રામાણિકતા, કરુણા, સ્નેહ અને ધૈર્યનું નમ્રતાપૂર્ણ વર્ણન કરવાની શક્તિ બાઈએ ક્યાંથી મેળવી હતી, પરમાત્મા જાણે. એટલું જરૂર કહીશ કે અ! મૂલ્યો બાઈન! જીવનમાં દૃઢ રીતે વણાઈ ગયાં હતાં જેની પ્રતીતિ મને ડગલે ને પગલે થતી હતી. આ ગુણો, આ મૂલ્યો અમને તેમના વારસા-રૂપે મળે એવી તેમની ધારણા હતી. મારા પૂરતી વાત કહી શકીશ કે ઘણે અંશે તેમની પરંપરા હું જાળવી શક્યો નથી. હું તેમના વિશ્વાસમાં ખરો ઊતર્યો નહિ.
“મારી જીવનકથા’માં બાઈએ કેટલાક પ્રસંગોનું વર્ણન જાણી જોઈને કર્યુ નથી એવું મને લાગે છે. અકે, તેમનાં બાળકોએ તેમના પત્યે અનેક વાર કરેલ દુલક્ષ્ય, અમારી સ્વાર્થપરાયણતા તથા તેમની અમે ક્યારેક કરેલી અવહેલનાના એક પણ પ્રસંગનો તેમયે ઉલ્લેખ કર્યો નથી. મારાં આપ્તજન, સગાં અને બાઈના પોતાનાં સ્વજનોએ તેમના પ્રત્યે કરેલ દુર્વ્યવહાર, તેમણે કરેલ બાઈના અપમાનની વાતોનો અંદેશો પણ કોઈને ન આવે તેની આત્મકથામાં ચોકસાઈ રાખી. કેવળ જે વાતોનું તેમને અસહ્ય દુઃખ ઊપજ્યું હતું તેનો હળવા સ્પર્શ-શો ઉલ્લેખ કર્યો. પોતાના જીવનકાળ દરમિયાન બાઈએ કોઈને એક શબ્દથી પણ દુભાવ્યા નહોતા. પરલોકગમન બાદ તેઓ કોઈને કેવી રીતે દુઃખ પહોંચાડી શકે?
બાઈના પ્રથમ શબ્દો છે: ‘મારો જનમ ૧૯૧૫માં થયો,’ અને આગળ લખે છે…
